-
જીવનપર્યંત શીખતા રહેવા જરૂરી એવા ૨૦ પદાર્થપાઠ
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
ગયા મણકામાં આપણે ”નવું નવું શીખતી રહેતી સંસ્થાના ઘડતર કરવા માટે અગ્રણીએ ધ્યાનમાં રાખવા જેવા ૧૦ પદાર્થપાઠ’ વાત કરી હતી. વધુ વિચાર કરતાં કરતાં જણાયું કે જો સંસ્થામાંની વ્યક્તિઓ નવુ નવું ન શીકે તો નવું નવું શીખતી સંસ્થાનું ઘડતર શક્ય નથી. આજીવન શિક્ષણ કેળવવા માટે મેં ટોચના જે ૨૦ પાઠ અનુભવ્યા તે અહીં રજૂ કરેલ છે:
- વ્યાવસાયિકો તરીકે, સતત શીખવાની ક્ષમતા (અને ધગશ) એ સ્પર્ધાત્મક લાભ છે.
- શીખવું એ એક વખતની ઘટના નથી, પરંતુ જીવનભરની પ્રક્રિયા છે. તે સતત અને સ્વ-નિર્દેશિત હોવું જોઈએ.
- જો તમે હંમેશા જે રીતે કર્યું છે તે રીતે કામ કરવાનું ચાલુ રાખો, તો તમે ફક્ત તે જ જાણતાં રહેશો જે તમે હંમેશાથી જાણો છો.
- તમે જેટલા વધુ જોખમો લો છો, તેટલું વધુ તમે શીખો છો. તમામ નોંધપાત્ર શિક્ષણ ત્યારે થાય છે જ્યારે આપણે આપણી જાતને આપણને અનુકૂળ હોય એવી પરિસ્થિતીમાંથી બહારનીકળવા માટે તૈયાર હોઈએ છીએ.
- જ્યારે તમે જોખમ લો છો, ત્યારે નિષ્ફળ થવા માટે તૈયાર રહો અને તે નિષ્ફળતાઓમાંથી શીખો. તમારી નિષ્ફળતાઓને વેડફશો નહીં.
- શીખવા માટે તમારી સફળતાઓ, નિષ્ફળતાઓ, હેતુઓ, ધારણાઓ અને ક્રિયાઓનું પ્રમાણિક સ્વ-મનોમંથન અને મૂલ્યાંકન જરૂરી છે.
- જિમ રોહ્નનું કહેવું છે કે, “જો તમે વાંચતા નથી, તો જેઓ વાંચી શકતા નથી તેમનાકરતાં તમને કોઈ ફાયદો નથી. હું જે પણ મહાન નેતાને મળ્યો છું તે દરેક મહાન વાચક છે.” વાંચન આપણી જિજ્ઞાસાનો ખોરાક છે.
- શીખવુંએ પ્રમાણપત્રો, તાલીમો જેવું કોઈ બાહ્ય પરિબળ નથી.- જ્યારે તમે આંતરિક રીતે શીખવા માટે પ્રતિબદ્ધ હોવ ત્યારે જ બાહ્ય પ્રયાસો મદદ કરે છે. શીખવું એ “બહારની અંદર” પ્રક્રિયા નથી. તે શીખવાની આપણી ઇચ્છાથી શરૂ થાય છે. તેથી, તે “અંદરથી બહાર”ની સહજ પ્રક્રિયા છે.
- જો આપણે સાંભળીએ નહીં તો આપણે શીખીશું નહીં.ખુલ્લું મન અને સાંભળવા માટેનું વલણ શીખવા માટેની પૂર્વ-જરૂરીયાત છે. પોતે કરેલ કામ માટે પ્રતિસાદ મેળવવો (અને સ્વીકારવો) એ શીખવાની શ્રેષ્ઠ રીત છે. તેથી ટીકા પર ધ્યાન આપવું રહ્યું.
- પુસ્તક વાંચવાં, બ્લોગ્સ કે લેખો વાંચવા, ટીવી જોવાનું બંધ કરવું , દિવસમાં થોડો સમય સક્રિયપણેશીખવા માટે સમર્પિત કરવો જેવાં કોઈ પણ માધ્યમો દ્વારા નવું શીખવા માટે પ્રતિબદ્ધતા અને શિસ્તની જરૂર છે.
- ટેકનોલોજી શીખવાનું સરળ (અને સસ્તું) બનાવે છે. ઘણા ઉદાર લોકો તેમના બ્લોગ્સ, પોડકાસ્ટ્સ અને વિડિઓ દ્વારા ઘણું બધુંઉપલબ્ધ કરે છે. તમારા કાર્યક્ષેત્રમાં આ વિચારોબીજોને ખોળતાં રહેવા માટે થોડો થોડો સમય ફાળવવાથી મોટો ફરક પડે છે.
- સ્મૃતિપત્ર : પુસ્તકો હજુ પણ આપણાં શ્રેષ્ઠ મિત્રો છે.
- સ્મૃતિપત્ર પછી : પુસ્તક વાંચીને તરવાનું શીખાતું નથી. વાંચ્યા પછી, મનન કરો અને પોતાની વિચારસરણીને ઢંઢોળો. જે શીખવાનું થયું છે તેને યોગ્ય સંદર્ભમાં પાઠ લાગુ કરો અને વ્યવહારમાં મૂકો. શીખવાની આ એક સૌથી જાણીતી પદ્ધતિ છે.
- મિત્રો આપણા શિક્ષણને વેગ આપે છે અને તેથી, જેઓ વિચારે છે (અને આપણને વિચારતા કરે છે), જેઓ શીખે છે (અને આપણને શીખવામાં સક્ષમ કરે છે), જેઓ પ્રેરિત છે (અને આપણને પ્રેરણા આપે છે) એવા મિત્રો હોવા મહત્વપૂર્ણ છે. મિત્રો તમારી શીખવાની પ્રક્રિયાને ઉત્પ્રેરિત કરી શકે છે.
- આપણે જ્ઞાન અને અનુભવ જેટલાં વધારેવહેંચીશું તેટલું આપણે તેમાંથી વધારે શીખીશું. અન્યને માર્ગદર્શન આપવું, અન્યને શીખવવામાં વ્યસ્ત રહેવું અથવા ફક્ત પોતે શીખેલા પાઠ વહેંચવાથી આપણી પોતાની તંત્રવ્યવસ્થા મજબૂત બને છે. પાઠોને વહેંચવાની પ્રક્રિયામી મદદથી આપણી શીખવાનું પ્રક્રિયા પણ વધુ આપણી અંદર વણી લઈએ છીએ.
- બહુ ઘણું શીખવું એએક પ્રકારનું અશિક્ષણ પણ છે. શીખવું એ પ્રવાહી છે અને તેથી આપણે આપણા શીખેલા પાઠને કાયમ માટે પકડી રાખી શકતા નથી. આપણા સંદર્ભમાં થતા ફેરફારો અનુસાર એ પાઠોની શીખ બદલાતી રહે છે.
- આપણાંકામ આપણાં શિક્ષણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે – જો તમે અઠવાડિયાના ૪૦ કલાક એક જ વસ્તુઓ વારંવાર કરવામાં પસાર કરતાં હો તો તમારે ચિંતા કરવાનું કારણ છે.
થોડા જટિલ પ્રશ્નો – તમે તાજેતરમાં શું શીખ્યા છો? તમે શું શીખવા માટે આગળ જોઈ રહ્યાં છો? તમારું શિક્ષણ તમને વધુ યોગદાન આપવામાં કેવી રીતે મદદ કરી રહ્યું છે?
છેલ્લું પરંતુ ઓછામાં ઓછું નહીં – સતત નવી વસ્તુઓ શીખવાથી આપણા મનને તાજગી મળે છે અને આપણી ખુશીમાં મોટો ફાળો મળે છે.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આગ ભલે લાગ્યા કરે, કૂવો કદી નહીં ખોદીએ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
અગ્નિની શોધ માનવના ઈતિહાસની સૌથી મહત્ત્વની શોધ કહી શકાય. નિયંત્રિત રહેલો અગ્નિ માનવજીવન માટે અનિવાર્ય અને આશીર્વાદરૂપ છે, પણ તે નિયંત્રણ બહાર જતો રહે અને આગ બને તો તેના જેવો જીવનહારક બીજો કોઈ નથી. માનવસંસ્કૃતિ વિકસતી ચાલી એમ અગ્નિનો ઉપયોગ પણ વધતો ગયો, જેણે જીવનશૈલીમાં ઘણા ફેરફાર કર્યા. સાથોસાથ આગને લઈને માનવજીવન પર તોળાતા ખતરાનું પ્રમાણ પણ વધતું ચાલ્યું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
https://www.peepultree.world/livehistoryindia/story/eras/great-mumbai-fireભારતમાં અગ્નિસેવાનો આરંભ ૧૮૦૩માં મુંબઈથી થયો, જે પછી કોલકાતા, દિલ્હી અને ચેન્નાઈમાં આરંભાઈ. ઔદ્યોગિક વિકાસની સાથોસાથ અગ્નિનો ઉપયોગ વધતો ચાલ્યો, એમ તેની સાથે સંકળાયેલા જોખમમાં પણ વધારો થતો ગયો. રહેણાક વિસ્તારો માટે આગને લગતા સુરક્ષાના નિયમો સરખામણીએ ઘણા મોડા બન્યા. બહુમાળી ઈમારતોનું પ્રમાણ વધતાં એ જરૂરિયાત ઊભી થતી ગઈ. ભારતીય માનક બ્યુરો (બી.આઈ.એસ.) દ્વારા ૧૯૭૦માં ‘નેશનલ બિલ્ડીંગ કોડ’(એન.બી.સી.) અંતર્ગત પહેલવહેલી વાર માળખાકીય નિયમો અમલી બન્યા, જેમાં આગ સામે સુરક્ષાનો સમાવેશ થતો હતો. આ નિયમોમાં ત્યાર પછી વખતોવખત જરૂરિયાત મુજબ ફેરફાર થતા આવ્યા છે.
અલબત્ત, નિયમ બનાવવા એક વાત છે, તેની ગંભીરતા સમજીને ચુસ્ત અમલ કરવો બીજી વાત છે, અને કાગળ પર અમલ થયેલો દેખાડવો એ સાવ અલગ વાત છે. વસ્તીની ગીચતા, સતત વધતું ઔદ્યોગિકરણ, બિનસલામત બાંધકામો અને સુરક્ષાના નિયમો પ્રત્યે બેકાળજી વગેરે પરિબળોને કારણે ઉદ્યોગોમાં તેમજ રહેણાક વિસ્તારોમાં આગના બનાવ બનતા રહે છે, જે અનેક લોકોનો ભોગ લે છે, અને છતાં એવા બનાવ અટકવાનું નામ નથી લેતા.
મહારાષ્ટ્રના થાણેમાં ૨૩મેના રોજ એક રસાયણના કારખાનામાં આગ અને ધડાકાનો બનાવ બન્યો, જેમાં ઓછામાં ઓછા અગિયાર લોકોનું મૃત્યુ અને સાઠથી વધુ લોકો ઘાયલ થયાના સમાચાર છે. એ પછી મહારાષ્ટ્રના ઉદ્યોગ અને શ્રમ વિભાગની તપાસમાં જણાયું કે આ ઔદ્યોગિક એકમનું બૉઈલર ભારતીય બૉઈલર કાનૂન, ૧૯૫૦ અંતર્ગત નોંધાવવામાં નહોતું આવ્યું. રાજ્યના મુખ્ય મંત્રીએ રાબેતા મુજબ ‘આકરાં પગલાં’નો આદેશ આપ્યો. એ પછી પણ તપાસ સમિતિ કે ઉચ્ચ કક્ષાની તપાસ જેવી ઘોષણાઓ થતી રહેવાની. એ તપાસના અહેવાલો આવ્યા કે કેમ, આવ્યા તો એનો કશો અમલ થયો ખરો વગેરે બાબતો કદી પ્રકાશમાં આવતી નથી, અને આવે તો એને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આ કારણે ફરી વખત દુર્ઘટનાનું પુનરાવર્તન થાય ત્યારે આવા જુમલાઓનું પણ પુનરાવર્તન થતું રહે છે.
મહારાષ્ટ્રની આ દુર્ઘટના બન્યાના બે દિવસમાં જ ગુજરાતના રાજકોટમાં આગની દુર્ઘટના બની. આ દુર્ઘટના એક ગેમઝોનમાં બની અને એવી ભયાવહ નીવડી કે તેમાં બળી ગયેલા લોકોના મૃતદેહોની ઓળખ પણ થઈ ન શકી. ફરી એક વાર ‘ચમરબંદીને છોડવામાં નહીં આવે’થી લઈને ‘ઉચ્ચ કક્ષાની તપાસ’ના એના એ જ નાટકીય જુમલા અને ઠાલાં આશ્વાસનનો મારો ચાલ્યો. જેમનાં સ્વજનોએ જીવ ગુમાવ્યા એમના ભાગે આજીવન ખોટ સહન કરવા સિવાય કશો ઉપાય નથી.
રાજકોટની દુર્ઘટનાના બીજા દિવસે દિલ્હીના વિવેક વિહારની એક હોસ્પિટલમાં આગની દુર્ઘટના બની, જેમાં સાતેક નવજાત શિશુઓ બળીને ખાક થઈ ગયા. આ ઘટનાને પગલે પણ ‘કોઈને છોડવામાં નહીં આવે’નો જાપ ચાલ્યો.
સાવ તુચ્છ મામલે રાજકારણ- રાજકારણ રમનારા નેતાઓ આવી દુર્ઘટના થાય ત્યારે પ્રજાકીય નિવેદનમાં જણાવે છે કે આ મામલો સંવેદનશીલ છે અને આ મામલે રાજકારણ કરવું જોઈએ નહીં. સો ઉંદર મારીને હજ કરવા જતી બિલ્લી જેવો આ મામલો છે. રાજકારણ ‘કરવું’ એ પ્રજાનો નહીં, રાજકારણીઓનો શોખ છે, અને કદી કલ્પ્યું ન હોય એવા મુદ્દે તેઓ રાજકારણ કરી લે છે, પણ પોતાની તળે રેલો આવે ત્યારે તેમને અચાનક ડહાપણની દાઢ ફૂટવા લાગે છે.
આગ લાગી, મૃત્યુ થયાં, સરકારે તપાસનો આદેશ આપ્યો કે રાજ્યે મૃતકોને શું વળતર આપ્યું એ બાબતો ગૌણ છે, કેમ કે, આ બધું ઊભરા જેવું હોય છે. મુખ્ય મુદ્દો એ છે કે આટલો કાનૂન હોવા છતાં એવું કયું પરિબળ છે કે જેને કારણે લોકો એનો છડેચોક ભંગ કરતા રહે છે? એમને કાનૂનભંગનો અને તેને પગલે થનારા દંડનો ડર શાથી નથી હોતો? કાનૂની કડકાઈ અને ‘ચમરબંદીને નહીં છોડવામાં આવે’ની ઘોષણાનો ખરેખરો અમલ થાય છે ખરો? આગના મોટા ભાગના કિસ્સામાં આગ સામે લેવાનારાં સુરક્ષાનાં પગલાંનો અભાવ જોવા મળે છે. સરકારી તંત્ર કયા કારણે આ પરિસ્થિતિને નજરઅંદાજ કરે છે? કાનૂન અને એને અમલમાં મૂકનારું તંત્ર હોવા છતાં એની બીક નથી એ સૂચવે છે કે આ બધું કાગળ પર કેવળ નામનું જ છે. ડ્રાઈવિંગ લાઈસન્સ લીધા વિના વાહન ચલાવનારને દંડ કરી શકાતો હોય તો કાનૂની રીતે આગ સામે સુરક્ષાનાં પગલાં ન લેનાર સામે આંખ આડા કાન શી રીતે થઈ શકે? શું એવા લોકોની સંખ્યા રસ્તા પરના વાહનચાલકો કરતાંય વધુ હોય છે? કે પછી એમની આ હરકત સામે આંખ આડા કાન કરવાનો આદેશ હોય છે?
આ બધા સવાલો થતા હોય અને તેના જવાબનું પગેરું મેળવવા જઈએ તો છેવટે એ રાજકારણીઓ સુધી જ પહોંચે છે, કેમ કે, તંત્રના કોઈ એકલદોકલ અધિકારીની એવી હિંમત હોતી નથી કે તે ભ્રષ્ટ બનીને કાનૂની જોગવાઈના અભાવ સામે આંખ આડા કાન કરે.
નાગરિક તરીકે આપણી કમનસીબી એ છે કે આપણે નેતાઓને આવા સવાલ પૂછવાને બદલે અંદરોઅંદર એકબીજાને ચૂપ કરવાની કવાયત કરતા રહીએ છીએ. હજી આપણા નેતાઓ પાસે મફતિયા અનાજ આપવા કે કોમોને અંદર અંદર લડાવતા રહેવા સિવાય બીજા કોઈ નક્કર મુદ્દાઓ જ નથી. અને એ જ નેતાઓ આપણને આવા ગંભીર અકસ્માતના મુદ્દે રાજકારણ ન કરવાની સલાહ આપે ત્યારે શું સમજવું!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩ ૦ – ૦૫ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સમયની શરણાગતિ
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
એક દિવસની વાત છે. અનરાધાર વરસાદના લીધે ઉપરવાસમાંથી જાણે પાણીનો ધોધ ફાટ્યો. નદી તો જળબંબાકાર. આ ગામથી પેલા ગામ જવા માટે નદી પર બાંધેલો લાકડાનો પૂલ તુટી ગયો. પૂલ પરથી પસાર થતા હતા એવા બે જણા પૂલમાંથી સીધા જ નદીમાં પડ્યા અને નદીના ધસમસતા વહેણ સાથે ખેંચવા લાગ્યા.
પાણીનું વહેણનો જે રીતનો પ્રવાહ હતો એ જોઇને તો લાગતું જ હતું કે બેમાંથી કોઇ ઉગરી નહીં શકે. કાંઠે ઊભેલા લોકો બૂમાબૂમ કરવા માંડ્યા. એમને બચાવવા માટે શક્ય એટલા પ્રયત્નો કરવા માંડ્યા. કોઇએ દોરડું ફેંકીને એમને ઉગારવા પ્રયત્ન કર્યો તો કોઇએ લાકડાના થડિયા વહેતા મૂક્યા જેથી એમના હાથમાં જે આવે એ પકડીને બચી જાય. પરંતુ એવી કોઇ શક્યતા જ નહોતી કારણકે પાણીનો ધસમસતો પ્રવાહ દોરડું કે થડિયું પહોંચે એ પહેલાં તો એમને ક્યાંય આગળ તાણી જતો.
આ બે વ્યક્તિમાંથી એક જણને તો તરતા આવડતું હતું એટલે એના બચવાની તો થોડી-ઘણી શક્યતા હતી. એણે તો બાથોડિયાં મારવાના ચાલુ પણ કરી દીધા. શરીરમાં હતી એટલી પૂરેપૂરી તાકાતથી એણે પ્રવાહમાં તરીને કિનારા તરફ આવવા મથામણ આદરી એ પણ લોકોએ જોયું. પણ બીજાનું શું? એનો તો અંત નિશ્ચિત જ હતો.
વરસાદ અટકતા પાણીનું જોશ પણ ધીમું પડ્યું. નદીનો પ્રવાહ પણ જરા ધીમો પડ્યો. હવે લોકોએ પેલા બે જણની શોધ આદરી. સૌની નવાઇ વચ્ચે જેને તરતા નહોતું આવડતું એ ક્યાંક આગળ જઈને તુટી પડેલા ઝાડ વચ્ચે ફસાઇને ત્યાં જ અટકી ગયો હતો. જ્યારે બીજાનું નામ નિશાન નહોતું. પેલા માણસને બચાવીને બહાર લાવવામાં આવ્યો.
“ભારે નસીબદાર ભાઇ તું!
“હા વાત તો તમારી સાચી, પેલાએ જવાબ આપ્યો. નસીબદાર તો ખરો જ પણ આમાં તો નસીબની સાથે મારી સાદી સમજ પણ કામ તો આવી જ. પાણીનો પ્રવાહ આપણા માટે અનુકૂળ નહોતો એટલે હું જ પાણીના પ્રવાહને અનુકૂળ બની ગયો. એના ધસમસતા પ્રવાહમાં અર્થહીન બાથોડિયાં ભરવાના બદલે મેં મારી જાતને જ એમાં વહેતી મૂકી દીધી. જો સામે પડવા પ્રયત્ન કર્યો હોત તો હું થાકી જાત, હારી જાત .”
સીધી વાત! પડકારો ઝીલીને સફળ થવાનો તો સો ટકા પ્રયાસ કરવો જ જોઇએ પણ સાથે પ્રતિકૂળ પરિસ્થિતિમાં વ્યર્થ હવાતિયાં મારવાના બદલે થોડા સમય માટે એને આધીન થઈને શાંતિથી સમય પસાર કરવામાં અને શાંતચિત્તે એનો ઉકેલ લાવવામાં શાણપણ તો છે જ.
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વતન ઝુરાપો : છોડી આવ્યા છીએ એ ક્યારેય છૂટતું નથી. મનમાં એ બધું અકબંધ પડેલું હોય છે
સંવાદિતા
એક છોટા-સા લમ્હા હૈ જો ખતમ નહીં હોતામૈં લાખ જલાતા હું યે ભસ્મ નહીં હોતા– ગુલઝારભગવાન થાવરાણીમન્ના ડેએ ગાયેલું પ્રેમ ધવન લિખિત ફિલ્મ ‘ કાબૂલીવાલા ‘ નું ગીત ‘ ઐ મેરે પ્યારે વતન ઐ મેરે બિછડે ચમન તુજ પે દિલ કુરબાન ‘ એ દેશભક્તિનું નહીં, વતન ઝુરાપાનું ગીત છે. અહીં સમાઈ છે જલાવતન થયેલા એક વતન પ્રેમીની વ્યથા. વતન અફઘાનિસ્તાનથી જોજનો દૂર રોજીરોટી માટે હિંદુસ્તાન ફંગોળાયેલો એ પઠાણ નાયક સતત પોતાની જમીન, સખા-સાથીઓ અને નાનકડી દીકરીને સંભારતો રહે છે. કવિ જ્યારે લખે કે ‘ તને સ્પર્શીને જે હવા આવે એ હવાને લાખ લાખ સલામ ‘ ત્યારે એ ઉદગાર અને એમાંની પીડા માત્ર કવિ કે નાયકની નહીં, વતનથી દૂર રહેવા મજબૂર બધાની છે.ઉર્દૂ કવિ મુનવ્વર રાણાએ એમની દીર્ઘ ગઝલ ‘ મુહાઝિરનામા ‘ માં ‘ છોડ આએ હૈં ‘ રદીફથી લખાયેલા પ્રત્યેક શેરમાં એક મુહાઝિર ( વિસ્થાપિત ) ની પીડા વ્યક્ત કરી છે જે પોતાના વતનમાં ઘણું બધું છોડી આવ્યો છે. ગુજરાતીમાં આદિલ મંસૂરીની, પરદેશમાં પોતાના વતન અમદાવાદ અને સાબરમતી નદીને સંભારતી ગઝલ ‘ નદીની રેતમાં રમતું નગર મળે ન મળે ‘ થી સૌ ગુજરાતીઓ પરિચિત છે. એ ગઝલના અંતિમ શેરમાં પણ કવિ આર્દ્રતાપૂર્વક ‘ વતનની ધૂળથી માથું ભરી લેવાની ‘ વાત કરે છે કારણ કે ‘ કોણ જાણે ક્યારે ફરી આ ધૂળ મળે ‘ !કવિ મણિલાલ હ પટેલની ગઝલ ‘ ગામ જવાની હઠ છોડી દે ‘ વાળા રદીફની બાર શેરની ગઝલમાં ગામ છૂટવાની સાથે શું-શું છૂટ્યું એની દર્દનાક વાત દરેક શેરમાં વણી લે છે તો કવિ યોગેશ વૈદ્ય એમના દીર્ઘ સોનેટ કાવ્ય ‘ ભટ્ટ ખડકી ‘ માં એમના પૈતૃક નિવાસની શેરી અને એની વર્તમાન દુર્દશાની વાત કરે છે.
આજે વાત કરીએ આપણા ઋષિ કવિ રાજેન્દ્ર શુક્લની યાદગાર ગઝલ ‘ હું મળીશ જ ‘ વિષે. ગુજરાતી કવિતાનો ભાગ્યે જ કોઈ એવો રસિયો હશે જેણે આ રચનાનું રસપાન કરી એમાં સમાવિષ્ટ અનૂભુતિ સાથે તાદાત્મ્ય ન કેળવ્યું હોય. ઘણા બધાએ આ ગઝલ વિષે ઘણું બધું લખ્યું પણ છે. કેટલાકને તો – વિશેષત: જૂનાગઢ નગરના પ્રેમમાં હોય તેને – આ આખી ગઝલ કંઠસ્થ હશે. ગઝલ જોઈએ:પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જહતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જનગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જબપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જતળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જકોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જશિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જછતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જશમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જહશે કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જમને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જજૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ..ગઝલમાં જૂનાગઢ શહેરનો ઉલ્લેખ તો છેક અંતિમ શેરમાં આવે છે પરંતુ આ શહેર જેમની નસ નસમાં વસેલું છે એમને તો ત્રીજા જ શેરથી ખબર પડી જાય કે આ એમના પ્રિય નગર અને ત્યાંની સ્મૃતિઓની વાત છે. ગઝલના દરેક શેરનો અદ્રષ્ય ધ્વનિ તો એ છે કે કોઈ શહેર કે ગામને તમે દિલથી ચાહ્યું હોય, એમાં અલગારી રઝળપાટ કરી હોય, એને સદૈવ શ્વસ્યું હોય તો તમે સ્થૂળ રીતે ત્યાં ( કે જગતમાં પણ ! ) ન હો તો પણ ત્યાંની આબોહવામાં સુક્ષ્મ રૂપે તમે મળો જ. દરેક શેર લાક્ષણિક ‘ રાજેન્દ્ર શુક્લાઈ ‘ મિજાજમાં છે જ્યાં પંક્તિએ પંક્તિએ અધ્યાત્મ, નિસર્ગ અને કવિની આગવી છટા વર્તાય છે. અહીં ક્યાંક દામોદર કુંડ અને ગિરિ તળેટી છે, ક્યાંક ગિરનારની ટૂક અને દત્તાત્રેય શિખર છે, ક્યાંક અશોક શિલાલેખ છે તો ક્યાંક ઉપરકોટની ભરબપોરની સૂની રાંગ પણ છે. નરસિંહ ચોરાનું નગારું અને એમના પ્રિય રાગ કેદારનો ઉલ્લેખ છે તો ગિરનારની પરકમ્મા પણ છે. કવિએ પોતાની પ્રકૃતિ અનુસાર આ પરકમ્માને સ્વયંની શોધ જોડે સાંકળી લીધી છે. શિલાલેખમાં આલેખાયેલી હવે લુપ્ત એવી બ્રાહ્મી લિપિનો ઉલ્લેખ કરી એમણે માણસને ઉકેલવાની વાત પ્રતીકાત્મક સ્વરૂપે મૂકી છે. હૃદયમાં ટીસ ઉઠાવતા એક શેરનો ઉપાડ છે ‘ છતાં યાદ આવે તો કેદાર ગાજો ‘ . અહીં ‘છતાં’ શબ્દમાં એ પીડા અભિપ્રેત છે કે મોટે ભાગ તો હું યાદ નહીં જ આવું ! કવિને વળી કોણ સંભારે ? પણ ધારો કે યાદ આવું તો બસ કેદારો ગાજો. હું તુરત આવીને મળીશ. ક્યાં ? ભીતરે સ્તો !
તાજેતરમાં જૂનાગઢના ઉપરકોટના થયેલા પુનરુદ્ધારમાં શાસને જૂનાગઢના આ રત્નકવિને યાદ કરી પરિસરમાં એમના નામની તકતી પણ મૂકી છે એ થઈ સવિશેષ આનંદ અને સંતોષની વાત.

જૂનાગઢના ઉપરકોટના થયેલા પુનરુદ્ધારમાં રત્નકવિ શ્રી રાજેન્દ્ર શુક્લની યાદમાં પરિસરમાં એમના નામની તકતી નિશાળેથી ભાગી જતા જ્યાં રિસેસે
મહાબતના એ મકબરે હું મળીશ જ..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
જળ ‘તીર્થ’ છે અને અન્ન ‘બ્રહ્મ’ !
નલિની નાવરેકર
પાણી માણસની મૂળભૂત આવશ્યકતાઓમાંની એક છે. માણસના શરીરમાં ૭૦ ટકા પાણી હોય છે. આ પ્રમાણ જળવાઈ રહે તે આરોગ્ય માટે ખૂબ જરૂરી છે. ખાધા વિના માણસ ઘણા દિવસો રહી શકે છે, પરંતુ પાણી વિના થોડા કલાકો સુધી રહેવું પણ મુશ્કેલ છે. તેથી જ પાણી એ ‘જીવન’ કહેવાય છે.
આયુર્વેદ શાસ્ત્રમાં પાણી અંગે ઊંડો અભ્યાસ થયો છે. અંતરિક્ષ જળ, ભૌમજળ, વહેતું પાણી, સંગ્રહાયેલું પાણી જેવા અન્ય પ્રકારો પણ દર્શાવ્યા છે. દરેકના ગુણ જુદા જુદા છે. ગરમ પાણી, ઠંડું પાણી, ઉકાળેલું પાણી વગેરેના પરિસ્થિતિ પ્રમાણે જુદા-જુદા ગુણ હોય છે. પાણી એટલે આપણી તરસ બુઝાવનાર માત્ર નથી.
આપણે માટે આટલું મહત્ત્વનું, અત્યંત જરૂરી ‘પાણી’ સ્વચ્છ અને શુદ્ધ હોવું બહુ જરૂરી છે. નહીં તો આપણે જાણીએ છીએ કે તે મૃત્યુનું કારણ બની શકે છે.
સ્વચ્છ અને શુદ્ધનો તફાવત
અસ્વચ્છ પાણી જેમાં કચરો, ધૂળ, માટી વગેરેના અંશ છે, તે આપણે નરી આંખોથી જોઈ શકીએ છીએ. પરંતુ પાણી શુદ્ધ, જંતુરહિત છે કે નહીં તે માત્ર જોઈને નથી કહી શકાતું. પાણી સ્વચ્છ કરવા માટે તેને ગાળવું, ફટકડી ફેરવવી, તેને સ્થિર રાખવું વગેરે ઉપાયો છે. તેની સાથે સાથે જેમાં પાણી ભરીએ છીએ તે વાસણની સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે. પીવાનું પાણી શુદ્ધ કરવાની જુદી જુદી પદ્ધતિઓ છે, ઘર માટે તેમજ સાર્વજનિક.
ક્લોરિન માટેની ચેતવણી
પાણી જંતુરહિત કરવા માટે ક્લોરિનનો ઉપયોગ થાય છે. પ્રયોગશાળામાં યોગ્ય માત્રામાં પ્રયોગ કર્યા બાદ તે સાબિત થાય છે. પરંતુ વ્યવહારમાં આ પ્રમાણ જાળવવું સહેલું નથી. તેને કારણે પાણીમાં અનેક નુક્સાનકારક તત્ત્વો, ટોક્સીન વગેરે ભળે છે. તેની માઠી અસર મનુષ્ય શરીર ઉપર તેમજ પર્યાવરણ પર થવી સ્વાભાવિક છે. અમેરિકામાં થયેલ એક અભ્યાસમાં આ બાબત ધ્યાનમાં આવી છે.
અગ્નિ દ્વારા શુદ્ધિ
લોખંડનો તપેલો ગોળો અથવા અન્ય તપેલી વસ્તુ પાણીમાં ડુબાડવાથી પાણી શુદ્ધ થઈ જાય છે. પાણી ઉકાળવાથી પણ તે શુદ્ધ થાય છે. – (સુશ્રુત-સૂત્ર સ્થાન)
પાણી ઊકળવાની શરૂઆત થાય તે પછી વીસ મિનિટ સુધી તેને ઉકાળવામાં આવે તો જ તે પૂર્ણરૂપથી શુદ્ધ થાય છે. ચંદન, મંજીષ્ઠા, અનંતમૂલ વગેરે નાંખીને ઉકાળવાથી પાણી વધુ શુદ્ધ, સુપાચ્ય બને છે.
સારો અને સહેલો ઉપાય
પાણી શુદ્ધ કરવાનો સૌથી સારો, ઘરગથ્થુ ઉપાય છે, વિશિષ્ટ ધાતુઓના વાસણોનો ઉપયોગ. પૂના (મહારાષ્ટ્ર)ની વિજ્ઞાનવર્ધિની સંસ્થાએ આ બાબતે સંશોધન કર્યું છે. પ્રયોગો દ્વારા તેમણે સાબિત કર્યું છે કે પિત્તળના વાસણમાં બાર કલાકમાં પાણી શુદ્ધ થાય છે. તાંબામાં છ કલાકમાં અને ચાંદીના વાસણમાં અડધા કલાકમાં તે શુદ્ધ થાય છે. સ્ટેનલેસ સ્ટીલના વાસણમાં પાણી ભરીને તેમાં ચાંદીની નાનકડી વસ્તુ મૂકવાનો પ્રયોગ કરી શકાય. ઇંગ્લેંડના રૉબ રીડ નામના સૂક્ષ્મ જીવ શાસ્ત્રના વિજ્ઞાનીએ પિત્તળના વાસણમાં પાણી શુદ્ધ કરી બતાવીને સાબિત કરી આપ્યું છે કે તે શક્ય છે. અલબત્ત, આ વાસણ પાણી ભરતા પહેલાં રોજ માંજીને સાફ રાખવું જરૂરી છે.
રાખનો ઉપયોગ
જૈન ધર્મની પરંપરા પ્રમાણે પીવા માટે મુખ્યત્વે વરસાદી પાણીનો ઉપયોગ કરવાનું યોગ્ય માનવામાં આવે છે. દેશી ગાયના છાણની રાખનો ઉપયોગ પણ તેઓ કરે છે. તેનાથી પાણી જંતુરહિત થાય છે. ડૉક્ટરોએ પણ આ બાબત માન્ય કરી છે.
પ્લાસ્ટિકમાં રાખેલું પાણી
સ્વચ્છ, શુદ્ધ પાણી બાબતે આજે આપણે જાગૃત થયા છીએ. તેથી ખૂબ વિશ્ર્વાસપૂર્વક પાણીની બોટલ આપણે ખરીદી લઈએ છીએ. કાર્યક્રમોમાં કૅન ભરીને પાણી ખરીદવામાં આવે છે. ઘરેઘરે વપરાતા ફીલ્ટર પણ પ્લાસ્ટિકના હોય છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકમાં ભરેલા પાણી કે ખાદ્ય પદાર્થની સાથે આપણા પેટમાં, શરીરમાં પ્લાસ્ટિક જાય છે. જે નરી આંખે નથી દેખાતું. જેવી રીતે રોગના જીવાણુ પણ નથી જોઈ શકાતા. નવા અભ્યાસ પ્રમાણે એક લિટર પાણીમાં બેલાખ ચાલીસ હજાર પ્લાસ્ટિકના સૂક્ષ્મકણ મળી આવે છે. માનવમાત્રને આ કારણે બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે.
પાણી એ તીર્થ છે
દરેક ઘરનું પાણી ‘તીર્થ’ બની શકે તેમ છે. જે ઘરમાં સારા સંસ્કાર છે, હળીમળીને રહેવાનું તેમજ ભજન, પ્રાર્થના, સત્સંગનું વાતાવરણ છે, તો એ ઘરનું પાણી ‘તીર્થસ્થાન’ જેવું સંસ્કારપૂર્ણ હશે. ઘરમાં જ્યારે વિશેષ પૂજાપાઠ વગેરે કરવામાં આવે છે ત્યારે પહેલાં કળશમાં મૂકેલ પાણીની પૂજા કરવામાં આવે છે. મંદિરોમાં ભક્તોના હાથ પર ‘તીર્થ’ આપવામાં આવે છે. શુદ્ધ ચિત્તથી, પ્રસન્નતાપૂર્વક પૂજાપાઠ, આરતી, સ્તોત્ર પઠનથી પાણી અભિમંત્રિત થઈને તીર્થ બની જાય છે. પાણી પર મન, વિચારો તેમજ સંગીતની અસર થાય છે. ધ્વનિના, પ્રકાશના સંસ્કાર હોય છે. કમનસીબે આપણા મોટાભાગનાં તીર્થસ્થાનો ગંદકીથી ભરેલાં છે. જ્યાં સ્વચ્છતા જ ન હોય ત્યાં પવિત્રતા કઈ રીતે હોઈ શકે ?
આજે વિજ્ઞાને આ સાબિત કરી બતાવ્યું છે. મામારુ ઈનોટોબા નામના જાપાનના બુદ્ધિજીવીએ પ્રયોગ કર્યો. સદ્વિચારો સાથે પાણીના ટીપાને થીજવ્યું, તેનો બરફ બનાવ્યો, સૂક્ષ્મદર્શક યંત્રથી તેના ફોટા પાડ્યા. તેની એક સુંદર રચના બની હતી. ત્યારબાદ જ્યારે તેની સામે વિનાશકારી, ખરાબ વિચાર પ્રગટ કર્યા તો આ રચના બગડી ગઈ. સુંદર રચના તૂટી ગઈ.
અનાજની સ્વચ્છતા તેમજ શુદ્ધિ
સ્વચ્છ તેમજ શુદ્ધ અનાજ બાબતે વિચારવું એ આજના જમાનામાં અત્યંત જરૂરી બાબત બની ગઈ છે. ઉપનિષદમાં સૂત્ર છે, ‘અળવળફયૂથ્ળજ્ઞ લટ્ટમયૂરુથ્:’ -આંતરિક શુદ્ધિ, જીવનની શુદ્ધિ માટે આહારશુદ્ધિનું મહત્ત્વ છે. આજનો આપણો આહાર કેટલો શુદ્ધ છે ?
સહુથી પ્રથમ તો સામાન્ય સ્વચ્છતા ઉપર ધ્યાન આપવું જરૂરી છે. રસોડું સાફ હોવું જોઈએ. ખાવાનું બનાવનાર તેમજ આરોગનાર સાફ થઈને જ તેમાં પ્રવેશ કરે. ઘણી જગ્યાઓએ સ્નાન કર્યા બાદ જ રસોઈ કરવાનો મહત્ત્વનો રિવાજ હોય છે. વાસણ, શાકભાજી, અનાજની સફાઈ પણ સહુ કરતા જ હોય છે.
ભેળ-સેળનો પ્રશ્ન
માણસનો લોભ અને રેડીમેડ લેવાની, બજાર પર આધારિત આપણી જીવનશૈલી આ બંને કારણોને લીધે ‘ભેળસેળ’ની વૃત્તિએ આજે બધી સીમાઓ પાર કરી દીધી છે. અગાઉ દૂધમાં પાણી નાંખવામાં આવતું હતું, આજે તો રસાયણો દ્વારા કૃત્રિમ દૂધ બનાવવામાં આવે છે. તેલમાં થતી ભેળસેળ પણ એવી જ જોખમકારી છે. મસાલામાં લાકડાનો વેર વગેરે નાખવામાં આવે છે. આકર્ષકતા વધારવા રોડામાઈન જેવા જોખમી રંગનો ઉપયોગ કરવામાં આવે છે. આવી ઘણી વસ્તુઓ છે જે આપણા શરીરને નુકસાન પહોંચાડે છે.
હોટેલનું ખાણુ
લારી પર મળતી પાણીપૂરી, કચોરી, વડા, સમોસા – આ બધા શું સ્વચ્છ અને શુદ્ધ આહાર છે ? ઘણી હોટેલોની અંદર તેમજ બહાર ગંદકી હોય છે. મોટી હોટેલોમાં ભલે ગમે તેટલી સફાઈ દેખાય, પરંતુ તેમાં પણ કેટલી ભેળસેળ, વાસી ખાવાનું હોય તે આપણે જાણતા હોતા નથી. અમારા એક મિત્ર મહારાષ્ટ્ર રાજ્યના અન્ન અને ઔષધ વિભાગના સચિવ હતા, તેઓ કહેતા કે ‘મીઠાઈની દુકાનમાંની એક પણ મીઠાઈ ખાવા લાયક હોતી નથી.’ આપણે ત્યાં ‘સારું ખાવાનું’નો અર્થ ‘સારો સ્વાદ’ એટલો જ થાય છે. પરિસ્થિતિવશ બહાર ખાવું પડે અને શોખને માટે હોટેલમાં જવું એમાં ફરક છે. ‘માતૃહસ્તેન ભોજનમ્’ કહેવાય છે. ઘરનું ખાવાનું સૌથી શ્રેષ્ઠ હોય છે.
ઝેરમુક્ત અનાજ
આજે આપણે જોઈએ છીએ કે ફળ હોય કે શાક કે અનાજ – આમાં કુદરતી સ્વાદ મળતો નથી. પોષણ પણ ઓછું છે. કારણ કે રાસાયણિક ખાતર, દવાઓ વગેરેનો ભરપૂર ઉપયોગ કરાય છે. આ કારણોસર આપણા શરીરમાં ઝેરના અંશોનો સંગ્રહ થતો જાય છે. કેન્સર જેવી બીમારીઓ વધી રહી છે. જમીનની ઉત્પાદક ક્ષમતા ઓછી થઈ રહી છે. આનો ઉપાય એટલે કુદરતી ખેતી જ છે. પોતે ઉગાડીને પોતે ખાવું જોઈએ. વેદમાં કહ્યું છે – ‘તમે કોઈ પણ કામ ભલે કરો, સાથે ખેતી તો કરો જ.’
માંસાહારનો સવાલ
મનુષ્ય જે પ્રાણીઓને પ્રેમ કરે છે, પ્રેમ કરી શકે છે, તો તે એને કેવી રીતે ખાઈ શકે ? મનુષ્યના શરીરની રચના – દાંત, આંતરડાં, નખ વગેરે એવાં છે કે તે માંસાહાર નહીં પરંતુ શાકાહાર માટે બનાવેલાં છે. માંસાહાર માટે શાકાહાર કરતાં ચાર ગણી જમીનની જરૂરિયાત રહે છે. આટલું સમજ્યા પછી પણ જો સમજણવાળો માનવી માંસાહાર કરે તો તે મહાપાતક જ ગણાય. શોખને કારણે, સ્ટેટસ માટે માંસાહાર કરે છે તે મહાપાતક કરે છે. વિનોબાજી કહે છે, ‘અળવળફયૂરુથ્ લજ્ઞ લણ્મયૂરુથ્’ એ અનુભવસિદ્ધ બાબત છે.
પૂર્ણબ્રહ્મ
રસોઈ કરતી વખતે, પીરસતી વખતે તેમજ ખાતી વખતે મનમાં કોઈ પ્રકારનું દુ:ખ ન હોય, મન પ્રસન્ન હોય તે જરૂરી છે. ક્રોધ, નારાજી, ઝગડો – એ બધાને ભોજનઘરમાં સ્થાન ન આપવું. બને ત્યાં સુધી ભાર વધારનારી કામની વાતો, અશાંતિ કરનારી વાતો ખાતી વખતે ન કરવી એ પણ આહારશુદ્ધિનો જ ભાગ છે.
અનાજને પૂર્ણબ્રહ્મ કહેવામાં આવે છે. પ્રાર્થના સાથે ગ્રહણ કરાયેલું અન્ન અને પાણી શુભ હોય છે.
નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ એપ્રિલ, ૨૦૨૪
-
પ્રકાશપુંજ
સરયૂ પરીખ
હે જી રે, મારા પ્રેમના ઝરૂખાનો દીવો,
રે રાજ રત, પાવન પ્રકાશે પ્રગટાવો.જાગે મારા આતમમાં પ્યારો પલકારો,
વાગે રૂડા અવસરનો ન્યારો ઝણકારો,
હે જી, હું તો હરખે બજાવું એકતારો,
ને રાજ રત, મનમાં મંજુલ સૂર તારો.નાની પગલી ને લાંબો પગથારો,
ના હું એકલી, છે તારો સથવારો.
શૂલ હો, મને ફૂલ–શો અથવારો,
રે રાજ રત, તારો અતૂટ સહચારો.અંક અંકુરમાં પગરવ સુહાણો,
તેજપુંજ ઝળહળ દીપતો અજાણ્યો,
ઘેરા ઘનમાં સોનેરી પ્રકટ જાણ્યો,
રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.https://drive.google.com/file/d/1dzZeK-oem9X4S5i3OPfGyhxNGRrFCzR0/view?usp=sharing
સંપર્કઃ સરયૂ પરીખ – saryuparikh@gmail.com
:આસ્વાદઃદેવિકા ધ્રુવઅમેરિકાના ઑસ્ટીન શહેરમાં રહેતાં સરયૂબહેન પરીખનું એક સુંદર કાવ્ય ‘પ્રકાશપુંજ’ વાંચતાંની સાથે જ ચિંતનની એક ઊંચાઈ પર જઈને બેસી ગયું. સંસ્કારી વાતાવરણમાં ઉછરેલાં અને સંગીતમય વિશ્વમાં પાંગરેલાં સરયૂબહેનને કવિતા, વારસાગત મળેલી દેન છે, જે ઉત્તરોત્તર સ્વ-સમજણ અને સૂઝથી વિકસતી ગઈ છે.
ઉપરોક્ત કાવ્ય તેના આરંભથી જ એક અજવાળું લઈને આવે છે. ભૌતિક કોડિયાના દીવડાની કે તેના ઉજાસની અહીં વાત જ નથી. અહીં તો છે પ્રેમનો ઝરુખો અને તે દ્વારા પ્રગટતો દીવો જેને પ્રગટાવવાની એક ઝંખના છે, એના પાવન પ્રકાશને પામવાની એક પ્રાર્થના છે. એટલે જ તો ‘હે જી રે…’ અને ‘રે રાજરત’…જેવા ઉચિત શબ્દપ્રયોજનથી બુલંદ છતાં મૃદુતાસભર આરંભ થાય છે.
પ્રથમ અંતરામાં નાયિકા આંતરમનનું વર્ણન કરવાનો પ્રયાસ કરે છે. કોઈ શાંત પડેલા વાજીંત્ર પર આંગળીઓ ફરે ને જે મધુર રણકાર થાય તેમ આ પાવન પ્રકાશના વિચાર માત્રથી જાણે કે, એક અજબનો અનુભવ થાય છે. કોઈ મંગલ અવસરની આગાહી જેવો હરખ થાય છે અને તેથી જ સૂરો પણ મંજુલ થઈ રેલાય છે. અહીં એક મઝાનો સુવિચાર યાદ આવ્યા વગર રહેતો નથી કે, “મંદિરોમાં પ્રગટાવેલા અસંખ્ય દીવડાઓ કરતાં અંતરના ઊંડાણમાં પ્રગટાવેલો શ્રદ્ધાદીપ આત્માને વધુ ઉજાસ આપનારો નીવડે છે.”
બીજા અંતરામાં આ જ વિષયને આગળ વધારતાં હકીકતની સજાગતા વરતાય છે. કલમકાર જાણે છે કે, માત્ર ઇચ્છા કે પ્રાર્થના કરવાથી આ પાવન-પુંજ સુધી પહોંચી શકાતું નથી. કારણ કે, એનો પંથ સુદૂર છે, પગથાર લાંબો છે, પોતાની પગલીઓ નાની છે. પણ છતાં એક વિશ્વાસ છે કે, પોતે એકલ નથી, પરમ ‘એ’નો સાથ છે, સહારો છે, આધાર છે અને તેથી જ માર્ગમાં ભલે ને ડંખે કે વાગે એવી હજાર હજાર શૂળ આવે, કાંટા આવે પણ અનુભૂતિ તો ફૂલ-શી જ લાગે. એક અતૂટ સાથની શ્રદ્ધા છે.
“નાની પગલી ને લાંબો પગથારો,
ના હું એકલી, છે તારો સથવારો.
શૂલ હો, મને ફૂલ–શો અથવારો,
રે રાજ રત, તારો અતૂટ સહચારો.”અહીં ‘અથવારો’ શબ્દ પ્રાસની રીતે સાનુકૂળ છે. છતાં ‘ઓથારો’ વધુ ઉચિત લાગે છે. કારણ કે, કવયિત્રીને ‘આધાર’ અર્થ અભિપ્રેત છે તે સ્પષ્ટપણે વરતાય છે. લય આસ્વાદ્ય બન્યો છે અને મઝાનો ગૂંથાયો છે.
હવે ત્રીજા અને ચોથા અંતરામાં આતમરાજના અનુપમ આનંદની ક્ષણો ઝીલાય છે. અગાઉ સુપેરે વર્ણવેલ આંતરમનનો ભાવ, હકીકતની સજાગતા અને તે પછીની શ્રદ્ધાને કારણે થયેલી સુસજ્જતા પછી રુદિયામાં એક અનોખા આનંદની સરવાણી ફૂટે છે. કંઈક પગરવ જેવું સંભળાય છે, હલચલ થતી ભાસે છે. જાણે પહેલાં નહિ જોયેલો,જાણેલો એવો એક ઝળહળતો, સોનેરી તેજપુંજ પ્રકાશતો ભાસે છે. મનમાં આનંદ આનંદ છવાય છે. એ બીજું કોઈ નહિ પણ, કાવ્યનાયિકા ઘટસ્ફોટ કરતાં કહે છે કે, ભીતરમાં ‘ રે રાજ રત, કાળજડે કાનજી સમાણો.’ આધ્યાત્મિક અનુભવની એક પરમ અવસ્થાનો આ આનંદ તે જ પામી અને માણી શકે જેને એમાંથી પસાર થવાનું સદ્ભાગ્ય સાંપડ્યું હોય.
આમ, પ્રેમના ઝરુખેથી શરૂ થઈને ૧૪ પંક્તિમાં રચાયેલ આ કાવ્ય અંતે કાનજીના પ્રકાશપુંજ સુધી પહોંચે છે. ધ્રુવપંક્તિ યથાર્થ રીતે દોહરાવી છે અને લગભગ આખી રચનામાં લય પણ જળવાયો છે તેથી સ્વાભાવિક રીતે જ મનમાં ગણગણ્યાં વગર રહેવાતું નથી. ભીતરના ખજાનાની વાત જ ન્યારી છે. કેટલી સાચી વાત છે કે, ‘માંહી પડે તે જ મહાસુખ પામે’.
આવી સુંદર કવિતા માટે સરયૂબહેનને અભિનંદન અને તેમની પાસેથી વધુ ને વધુ સારી કવિતા મળતી રહે તેવી શુભેચ્છા.
દેવિકા ધ્રુવ : સંપર્કઃ ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com -
પહેરવેશ: પરિવર્તન,પ્રતિરોધ, પ્રતિબંધ અને પર્યાવરણ
નિસબત
ચંદુ મહેરિયા
‘ દેશ તેવો વેશ’ અને ‘એક નૂર આદમી હજાર નૂર કપડાં’ જેવી કહેવતોથી બદન ઢાંકવા માટેના કપડાંની સફર ક્યાં પહોંચી છે તે જણાય છે. કપડાં, વસ્ત્ર, લૂંગડાં, ચીથરાં, પોશાક, પહેરવેશ, ગણવેશ જેવા શબ્દોથી ઓળખાતા શરીરની સલામતી , ઈજ્જત, વિનમ્રતા, સુંદરતા, આકર્ષણના ઉદ્દેશે પહેરાતાં કપડાં હવે તો તેના સ્વીકૃત સ્વરૂપમાં બદલાવ અર્થાત નિતનવી ફેશન સાથે સાંસ્કૃતિક પરંપરાથી ઘણા આગળ નીકળી ગયા છે. સુખની પરિભાષામાં ખાધે-પીધેની સાથે જ લૂગડે-લત્તે સુખીનો પણ સમાવેશ થાય છે. તેના પરથી પણ તેની મહત્તા જણાય છે. હવે તો માત્ર ફેશનેબલ જ નહીં બ્રાન્ડેડ અને ફાસ્ટ ફેશનનો પણ જમાનો આવી ગયો છે.
સંસ્કૃતિ અને ઈતિહાસ સાથે જોડાયેલા માનવીના પોશાકમાં સતત પરિવર્તન થતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં માણસ શરીર ઢાંકવા ઝાડની છાલ કે જાનવરોના ચામડાનો ઉપયોગ કરતો હતો. પહેલા લંગોટ અને કાપડની શોધ પછી તે લાંબુ કપડું વીંટતો હતો. કાળક્રમે સાડી અને ધોતી વાપરતો થયો. સિલાઈની શોધે તેના કપડામાં પ્રાણ પૂર્યા અને જાતભાતના કપડાં પહેરતો થયો. સ્ત્રીઓના બ્લાઉઝની શોધ કદાચ બંગાળમાં પહેલીવાર થઈ હતી. મહિલા મુક્તિની દિશામાં રૂઢિવાદી પિતૃસત્તાત્મક સમાજમાં સાડીથી ગાઉન કે ડ્રેસ સુધીની મહિલાઓની વસ્ત્ર પરિધાન યાત્રા સાચે જ કઠિન હશે. ભારતની સઘળી વિવિધતા લોકોના પહેરવેશમાં જોવા મળે છે. શહેરોમાં પશ્ચિમી વેશભૂષાનું ચલણ છે.પરંતુ ગામડાઓમાં ખેડૂતો, કારીગરો અને શ્રમિકો તેમના કામને અનુરૂપ કપડાં પહેરે છે.
જેમ પરિવર્તન તેમ પ્રતિબંધ પણ પહેરવેશ સાથે જોડાયેલો છે. કપડાં ઓળખની સાથે માનવીના સામાજિક-આર્થિક દરજ્જાનું પણ પ્રતીક છે. બ્રિટિશકાળમાં કેટલાક ભારતીયો અંગ્રેજો જેવો પોશાક પહેરતા અને અન્ય ભારતીયોથી પોતાને વેંત ઉંચા માનતા. આપણા ધાર્મિક સ્થળોએ અમુક કપડાં પ્રતિબંધિત છે જ ને ? તેથી આ વરસના આરંભે ઈન્ડિયન નેવીની મેસમાં નેવી ઓફિસર્સ અને સોલ્જર્સને કુર્તા-પાયજામા પરિધાન કરવાની છૂટ મળી તે ગુલામીના અવશેષોમાંથી મુક્તિ અને ભારતીય પરંપરાના અમલની દિશાનુ કદમ છે. આજે ભારતીયોના રોજબરોજના પોશાકમાં ધોતી-સાડી અને કુર્તા-પાયજામાનું ચલણ વધ્યું છે તે ઔપનિવેશિક માનસિકતાથી દૂરી અને સાંસ્કૃતિક સ્વરાજનું ધ્યોતક છે.
ગાંધીજીએ ગરીબ મહિલાની સ્થિતિ જોઈને શરીર પરનાં ઘણા વસ્ત્રો છોડી જિંદગીભર પોતડી પહેરી હતી. એ તો ખરું પણ અંગ્રેજોએ ભારતના કાપડ ઉધ્યોગને તબાહ કરી તેમના દેશનું કાપડ આપણા માથે માર્યું ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં વિદેશી કાપડ અને વસ્ત્રોના બહિષ્કારનું એલાન આપ્યું હતું. દેશમાં ઠેરઠેર વિદેશી કાપડની હોળી થઈ હતી. ઘણીવાર મહિલાઓએ નગ્ન કે અર્ધનગ્ન થઈને વિરોધ કર્યો છે. નારીવાદનો આરંભ નારીઓના આંતરવસ્ત્રો સળગાવીને થયો હતો. એટલે કપડું પ્રતિબંધની જેમ પ્રતિરોધનું પણ સાધન છે. વિદેશી કાપડના બદલે દેશી કાપડ , હાથવણાટનું કાપડ અને ખાદી તેનો વિકલ્પ જ નહીં આઝાદી આંદોલનનું પણ પ્રતીક હતું. ગાંધી ટોપી આજે ભાગ્યે જ જોવાa મળે છે પણ તે સ્વતંત્રતા આંદોલનનું મજબૂત પ્રતીક હતું.
ચીન , રશિયા અને જાપાન જેવા દેશોના નેતાઓ પશ્ચિમી શૈલીના કપડાં પહેરે છે ત્યારે ભારતના રાજનેતાઓ ભારતીય પોશાક જ પહેરે છે. તેમાં પણ તેમની વિશિષ્ટતા જોવા મળે છે. પ્રથમ વડાપ્રધાન નહેરુનું નહેરુ જેકેટ તો હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અડધી બાંયનો મોદી કુર્તા જાણીતા છે.ઈંદિરા ગાંધી થી સોનિયા ગાંધી સુધીના મહિલા નેતાઓ ખાદીની સાડીને મહત્વ આપે છે. ગાંધીની ટોપી વિલુપ્ત થઈ ગઈ છે તો પછી બાપુ પહેરતા હતા તે પોતડી તો તેમની હયાતીમાં જ ભાગ્યે જ કોઈ પહેરતા. જોકે મોદી કુર્તા અને મોદી લુક માટે ઓન લાઈન બિઝનેસ વેબસાઈટ્નું હોવું કે પૂર્વ અમેરિકી પ્રમુખ બોરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામાના પહેરવેશ વિશે બ્લોગ હોવો તે દર્શાવે છે કે લોકો રાજનેતાઓના વસ્ત્ર પરિધાનને કેટલા અનુસરે છે.
ફેશનનો જે ટ્રેન્ડ ચાલે છે તે આશરે વીસ વરસે બદલાઈ જાય છે. વરસે ૮૦ ટકા કરતાં વધુ કપડાં ડમ્પ થઈ જાય છે. કપડાંનું અર્થકારણ પણ મહત્વનું છે. ૮૦ ટકા કપડાં બનાવનાર ૧૮ થી ૨૪ વરસની મહિલાઓ હોય છે. એટલે કપડામાં આવતું પરિવર્તન જનહિતમાં હોવું જોઈએ.વ્યક્તિની સામાજિક-આર્થિક ઓળખ કપડાં પરથી પરખાય છે એટલે પણ સૌને પોસાય અને જચે તેવા કપડાં જરૂરી છે. ઘણી વાર લોકો ફેશનના નામે એવા કપડા પહેરે છે જે મજાકનું સાધન બને છે. એટલે વ્યક્તિએ તેના કદ-કાઠીને શોભે તેવા વસ્ત્રો પહેરવા ઘટે. શરીર અને ઉમરને અનુરૂપ તથા શરીરને માફક આવે તેવા કપડાં પહેરવા જોઈએ. જીન્સ પહેરવું કે માત્ર સ્કીનટાઈટ જીન્સ પણ વિચારવું પડશે. જુવાન મહિલાઓનાં કપડાની પણ આલોચના થાય છે.તે સંદર્ભે યુવતીઓએ ટૂંકા કપડા ન પહેરવા કે પુરુષોએ રૂઢિવાદી માનસિકતા બદલવી તે સવાલ છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી @article{Karunaratne2019PreservingAS, title={Preserving and sustaining culture: Traditional clothing in the UNESCO world cultural heritage site Kandy in Sri Lanka}, author={Priyanka Virajini Medagedara Karunaratne and Gayathri Madubhani Ranathunga and S. S. V. DE Silva}, journal={Journal of Advanced Research in Social Sciences and Humanities}, year={2019}, url={https://api.semanticscholar.org/CorpusID:195721954} પહેરવેશનો પર્યાવરણ સાથે ગાઢ સંબંધ છે. એ મુદ્દે હવે જાગ્રતિ આવી રહી છે. જળવાયુ પરિવર્તન સામે લડવા અને પર્યાવરણના સંરક્ષણ માટે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ રિસર્ચ (CSIR) તથા સેન્ટ્રલ લેધર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ, ચેન્નઈએ મળીને એક અભિયાન શરૂ કર્યું છે. સીએસઆઈઆરે તેના કર્મચારીઓ, વૈજ્ઞાનિકો અને અન્ય તમામને દર સોમવારે ઈસ્ત્રી વગરના કપડાં પહેરવા અપીલ કરી છે. એક જોડ કપડાંને ઈસ્ત્રી કરવાથી ૨૦ ગ્રામ કાર્બનનું ઉત્સર્જન થાય છે તેના કરતાં કરચલીવાળા, ઈસ્ત્રીવગરના કપડા શું ખોટા? તે આ ઝુંબેશનો હેતુ છે. સીએસ આઈઆરની ૩૭ લેબોરેટરીઝમાં ૩૫૨૧ સાયન્ટિસ્ટ અને ૪૧૬૨ ટેકનિકલ અને બીજો સ્ટાફ કામ કરે છે. જો બધું સમુસૂથરું પાર પડે તો માત્ર આ એક જ સંશોધન સંસ્થાના કર્મચારીઓના અઠવાડિયે એક વખત ઈસ્ત્રી વગરના કપડાંથી વરસે ૪,૭૯,૪૧૯ કિ.ગ્રામ કાર્બનનું ઉત્સર્જન અટકાવી શકાશે. પર્યાવરણની દ્રષ્ટિએ પણ પોશાકને જોવાની જરૂર છે.
આઈઆઈએમ તેના સ્નાતકોને દીક્ષાંત સમારોહમાં યુવકોને કુર્તા-પાયજામા અને યુવતીઓને સાડીનો ભારતીય પરંપરાનો પોશાક પહેરવા અનુરોધ કરે છે. હવે આઈઆઈએમના દીક્ષાંત સમારોહ લગભગ ભારતીય પોશાકમાં જ યોજાય છે. પરંતુ શાળાઓનો ગણવેશ હોય કે કંપનીઓનો ડ્રેસ કોડ તે દેશની આબોહવાને અનુરૂપ હોય તે વધુ જરૂરી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૪૯) લાલા લાજપત રાયની શહાદત
દીપક ધોળકિયા
પહેલા વિશ્વ યુદ્ધમાં બ્રિટનની ફોજ સાથે અસંખ્ય ભારતીયો પણ લડ્યા હતા અને વિશ્વયુદ્ધમાં બ્રિટન અને એના સાથીઓને મળેલા વિજયમાં ભારતીયોનો મોટો ફાળો રહ્યો. આથી એવી આશા હતી કે હવે સામ્રાજ્યવાદી સરકાર હિન્દુસ્તાનનો આભાર માનવા તરીકે અમુક રાજકીય સ્વતંત્રતાઓ આપશે. બ્રિટન સરકારે આના માટે કૅબિનેટના ભારત માટેના મંત્રી મોંટેગ્યૂ અને ભારતના વાઈસરૉય ચેમ્સફૉર્ડને મુસદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. એમણે જે યોજના તૈયાર કરી તે મોંટેગ્યૂ-ચેમ્સફૉર્ડ સુધારા (અથવા મોંટફર્ડ સુધારા) તરીકે ઓળખાય છે. ૧૯૧૯માં એ લાગુ કરવામાં આવી. આ યોજનાએ બળતામાં ઘી હોમ્યું. કારણ કે બ્રિટને જે આપ્યું તે એટલું ઓછું હતું કે લોકોનો અસંતોષ વધ્યો.
મોટફર્ડ સુધારા હેઠળ દ્વિમુખી શાસન પદ્ધતિ લાગુ કરવામાં આવી. એટલે કે કેન્દ્રમાં અને પ્રાંતોમાં બે ધારાગૃહો બનાવાયાં – એકમાં ચુંટાયેલા પ્રતિનિધિઓ અને બીજામાં ગવર્નરે નીમેલા નાગરિકો અને સરકારી અધિકારીઓ. એ એક્ઝીક્યુટિવ કાઉંસિલ હતી અને એ સીધી રીતે ગવર્નરને જવાબદાર હતી. આમ લોક-પ્રતિનિધિઓના હાથમાં કંઈ આવ્યું નહીં. આમ છતાં, જનતા સમક્ષ તો એમને જવું પડતું. આની સામે લોકોએ ભારે વિરોધ કર્યો. રોલેટ ઍક્ટ આ વિરોધને દબાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો અને જલિયાંવાલા કાંડ પણ રૉલેટ ઍક્ટના વિરોધનું જ પરિણામ હતો.
૧૯૧૬માં કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એક થઈને સ્વરાજ માટે લડવાની સમજૂતી કરી.
સાઇમન કમિશન
મોંટફર્ડ સુધારા લાગુ કરતી વખતે બ્રિટન સરકારે દસ વર્ષ પછી એની સમીક્ષા કરવાનું વચન આપ્યું હતું.
આ દસવર્ષીય સમીક્ષા માટે સાઇમન કમિશન ૧૯૨૮માં ભારત આવ્યું. બ્રિટનને એમ હતું કે થોડા વધારે સુધારા કરવા અને લોકોના અસંતોષને ઠંડો પાડવો. પરંતુ બ્રિટન સરકારની ભૂલ એ હતી કે ૧૯૧૯ અને ૧૯૨૯નાં દસ વર્ષ દરમિયાન ચિત્ર બદલાઈ ગયું હતું. લોકોમાં ૧૯૧૯ના સુધારા પછી વિરોધ શમવાને બદલે વધારે ઊગ્ર બન્યો હતો.
સાઇમન કમિશન કંઈ ધરખમ ફેરફાર કરે એવી આશા નહોતી. હિન્દુસ્તાનીઓ નિર્ણયનો અધિકાર માગતા હતા. સાઇમન કમિશનમાં એક પણ ભારતીય નહોતો એટલે કોંગ્રેસ અને મુસ્લિમ લીગે એનો બહિષ્કાર કર્યો હતો. આમ, દેશની ચેતનામાં નવું જોશ રેડાયું. આથી આખા દેશમાં સાઇમન કમિશન સામે વિરોધ ફાટી નીકળ્યો.
૧૯૨૮નું વર્ષ આવતાં સુધીમાં દેશમાં સંઘર્ષ માટેનું ચિત્ર વધારે સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક તો, ૧૯૨૦થી જ કોંગ્રેસનું પોત બદલી ગયું હતું. ગરમ કે નરમ, બન્ને જૂથોના નેતાઓ, લોકમાન્ય તિલક અને ગોપાલ કૃષ્ણ ગોખલે તો બહુ પહેલાં જ વિદાય લઈ ગયા હતા. ગાંધીજીની અહિંસક અને સામૂહિક આંદોલનની પદ્ધતિ એકમાત્ર પદ્ધતિ રહી હતી. બીજી બાજુ, સશસ્ત્ર ક્રાન્તિકારીઓમાં પણ પરિવર્તનો આવ્યાં હતાં. પહેલાં ધાર્મિક રંગે રંગાયેલા હિંસામાં માનનારા ક્રાન્તિકારીઓ મોખરે હતા. તેમાંથી HRA અને પછી ભગત સિંઘ જેવા ધર્મથી અલિપ્ત, સમાજવાદથી પ્રેરાયેલા ક્રાન્તિકારીઓ આગળ આવ્યા હતા. જો કે, હજી સશસ્ત્ર આંદોલનોમાં સમાજવાદી વિચારોને લાગુ કરવા માટે જરૂરી શક્તિ વિકસી નહોતી, અને અંગ્રેજી સત્તાનો શસ્ત્રશક્તિથી સામનો કરવાની ઉત્કટતા વધારે હતી. ખરેખર તો રશિયામાં થયેલા સત્તાપલટાની અસર સામ્યવાદી સિદ્ધાંતો કરતાં વધારે હતી. એટલે માર્ક્સવાદ વિશે ક્રાન્તિકારીઓ વધારે રોમૅંટિક હતા. હજી એમની સમજ પૂરી વિકસી નહોતી. આથી કોઈ આખી વ્યવસ્થાને નહીં પણ કોઈ એક ખાસ વ્યક્તિને જવાબદાર માનવાનું વલણ પણ હતું.
સાઇમન કમિશન અને લાલા લાજપત રાયનું મૃત્યુ
૧૯૨૮ની ૩૦મી ઑક્ટોબરે કમિશન લાહોર પહોંચ્યું ત્યારે સરકારને ખબર હતી કે એની સામે વિરોધ થશે એટલે ૧૪૪મી કલમ લાગુ કરી દેવાઈ હતી. તેમ છતાં, એના વિરોધમાં જબ્બરદસ્ત સરઘસ નીકળ્યું. પંજાબ કેસરી લાલા લાજપત રાયની આગેવાની નીચે હજારો લોકો રસ્તા પર કૂચ કરતા નીકળી પડ્યા. જંગી સરઘસને વીખેરી નાખવા માટે પોલીસે લાઠી ચાર્જ કર્યો તેમાં લાલાજી ઘવાયા અને ૧૭મી નવેમ્બરે એમનું અવસાન થયું.લાલા લાજપત રાય કોંગ્રેસના એક સર્વમાન્ય નેતા હતા. અહિંસક સરઘસ પર પોલીસના પાશવી અત્યાચારનો ભોગ બનનારા તેઓ એકમાત્ર અને પહેલા નેતા હતા, જે શહીદ થયા. દેખીતી રીતે જ, લાહોર ક્રોધથી કાંપતું હતું.
હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. એમનો ઇરાદો તો લાઠીચાર્જનો હુકમ આપનારા લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો. લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.
ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો. (આ કથા ભગતસિંહ વિશેના પ્રકરણમાં આગળ ચાલશે).
બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – “સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” આ કેસના તાજના સાક્ષી જયપાલના નિવેદનમાંથી આખી યોજનાની ઝાંખી મળે છે તે પ્રમાણે ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી.
સંદર્ભઃ
1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017
- A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)
૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સમાજવાદને સમજવાની એક કોશિશ!
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
શરૂઆત એક રોમહર્ષક સાંભરણથી કરું? હવે તો ખાસાં આઠ વરસ થયાં એ વાતને. એ ગાળામાં હું ગેસ્ટ ફેલોને નાતે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ સ્ટડી (શિમલા)માં યદૃચ્છાએ સ્વાધ્યાય વિહાર કરતો હતો. સર્વપલ્લી રાધાક્રિષ્ણન રાષ્ટ્રપતિ હતા ત્યારે એમણે ઐતિહાસિક વાઈસરોય ભવનને સ્વાધ્યાય સંશોધન કેન્દ્રમાં પરિવર્તિત કરવાનો સંસ્કાર શોભીતો નિર્ણય કીધો હતો. આવી જગ્યાએ થોડાક ગાળા સારુ પણ વિધિવત હોવું એ પોતે કરીને કમ રોમાંચક અલબત્ત નથી, પણ ત્યાં કેમ જાણે એથીયે અદકી રોમહર્ષક ક્ષણ રાહ જોતી હતી.
આપણે ત્યાંનું સમાજવાદી આંદોલન, ખાસ તો એવો ઉષાકાળ, મને હંમેશ ખેંચે છે. એના આરંભકારોનું સાહિત્ય ફંફોસતો હતો અને મને સહજ કુતુહૂલ થઈ આવ્યું કે મારા પહેલાં કોણે આ સાહિત્યમાં ડોકિયું કર્યું હશે. પુસ્તકના પાછલે છેડે જઈને ઈશ્યુવહી જોઉં છું… અરે, આ તો સૂ ચી! મ્યાંમારની લોકશાહી લડતમૂર્તિ, નોબેલ પુરસ્કૃત. પોતે અહીં ફેલો તરીકે હશે, મારાથી ત્રણેક દાયકા પર, ત્યારે એમાંથી એ હોંશે હોંશે અભ્યાસઅગ્ર જીવે પસાર થયાં હશે, કેમ કે એ છે તો સમાજવાદી રુઝાનવાળા સ્વાતંત્ર્યસેનાની પિતા ઑંગ સાનનાં પુત્રી.
હમણેના દિવસોમાં આ સાંભરણ નીંગળવાનું કારણ કહું? આપણે ત્યાં સમાજવાદી આંદોલન કોંગ્રેસ સમાજવાદી પક્ષ રૂપે સંસ્થીકૃત થવાની શરૂઆત થઈ મે ૧૯૩૪ની પટણા બેઠકથી. જેટલા માર્ક્સ વિચાર એટલા જ બૌદ્ધ દર્શનના પ્રખર વિદ્વાન આચાર્ય નરેન્દ્ર દેવ એમાં અગ્રપદે હતા. સંયોજનનું દાયિત્વ જેમની કને હતું એમાં જયપ્રકાશ નારાયણ મુખ્ય હતા, અને એમના સાથીઓ પૈકી એક વિશેષ રૂપે સાંભરી આવતું નામ મહાપંડિત રાહુલ સાંકૃત્યાયનનું છે.
આ તો વિધિવત નવ દાયકાની વાત થઈ પણ અવિધિસરની તવારીખ તો એથીયે પાછળ જઈ શકે. ગાંધીપ્રવેશનાં બે-ત્રણ વરસે અમદાવાદની મજૂર ચળવળને મળી રહેલાં મોટીબહેન બલકે માતૃમૂર્તિ શાં અનસુયા સારાભાઈને એમનાં લંડનવાસ દરમ્યાન ફેબિયન સોશિયાલિઝમનો કંઈક પરિચય હતો એમ જણાય છે. વખતે દીક્ષા લઈ જૈન સાધ્વી થઈ શક્યાં હોત એવાં અનસૂયાબહેન મિલ માલિક ભાઈ અંબાલાલ સારાભાઈની સામે મજૂરોની પડખે ઊભાં રહ્યાં એ વળી ઈતિહાસનું એક મળતાં મળે એવું પાનું છે.
હમણાં ગાંધીઘટનાની જિકર કરી તો એની સાથે એક રસપ્રદ વિગત પણ દર્જ કરી લઉં. લોકશાહી સમાજવાદને વરેલી લેબર પાર્ટીનો ઈંગ્લેન્ડમાં ઉદય થયો અને પહેલી વાર ત્યાં હાઉસ ઓફ કોમન્સમાં લેબર પાર્ટીના સાંસદો કંઈક નોંધપાત્ર સંખ્યામાં ચૂંટાયા ત્યારે એક સર્વેમાં માલૂમ પડ્યું હતું કે તેમના પૈકી ઠીક ઠીક આ પક્ષ અને સમાજવાદી ચળવળ ભણી રસ્કિનના પુસ્તક ‘અન ટુ ધ લાસ્ટ’ની નૈતિક અપીલથી ખેંચાયા હતા. અને આ તો, પાછળથી જેમની કલમે ‘સર્વોદય’ શીર્ષકે ઊતરી આવ્યું તે ગાંધીનુંયે પ્રિય પુસ્તક હતું.
બાય ધ વે, ૧૯૪૭માં આપણે આઝાદ થયા તે ઈંગ્લેન્ડમાં લેબર પાર્ટીનો શાસનકાળ હતો. આગળ પટણા બેઠકનો ઉલ્લેખ કર્યો, પણ સ્વરાજલડતની વડી પાર્ટી કોંગ્રેસ અંતર્ગત સમાજવાદી પાર્ટી તરીકે ગઠિત થવું ને કાર્યરત હોવું એવી અવિધિસરની ચર્ચા એની પૂર્વે શરૂ થઈ જ ગઈ હતી. એમાં કદાચ સૌથી મહત્ત્વનું ઠામ બલકે ધામ હોય તો તે ૧૯૩૩માં નાશિક જેલનો બી વોર્ડ હતો. ત્યાં યુવા સ્વાતંત્ર્યસૈનિકો વચ્ચે આ વિશે ખાસી ચર્ચા-વિચારણા થઈ હતી. કારાગારમાં કૃષ્ણજન્મ શી આ ઈતિહાસ પ્રક્રિયામાં સહભાગી બંદીજનોમાં જયપ્રકાશ નારાયણ, અશોક મહેતા, મીનુ મસાણી, રામ મનોહર લોહિયા, અચ્યુત પટવર્ધન, યુસુફ મહેરઅલી, મોહનલાલ દાંતવાલા, નાનાસાહેબ ગોરે, સહુ ત્યાં હતા. (આ જૂથની બૌદ્ધિક પ્રતિભાનો અંદાજે અહેસાસ મને પાંચેક દાયકા પર અમેરિકન એન્સાઈક્લોપીડિયા ઓફ સોશિયલ સાયન્સીઝમાંથી પસાર થતાં થયો હતોઃ એના આંતરરાષ્ટ્રીય સંપાદક મંડળમાં બે જ ભારતીયો હતા, પાછા બેઉ સમાજવાદી, અને વળી ગુજરાતી! અશોક મહેતા, મોહનલાલ દાંતવાલા.)
આ લખી રહ્યો છું ત્યારે લોકસભાની ચૂંટણી પૂરી થવામાં છે. જેને આર્થિક-સામાજિક વિચારધારાકીય કહી શકાય એવા મુદ્દાને ચૂંટણી પ્રચારમાં પૂરા કદની માવજત મળી નથી. કોંગ્રેસે જરૂર એક અભિગમ ઉપસાવવાની કોશિશ કરી છે, પણ સત્તા પક્ષે એ અંગે કોઈ ધોરણસરના પ્રતિભાવની જરૂર જોઈ નથી. આપણે ત્યાં ચોક્કસ જ એક ચિંતન કોશિશ થઈ છે. હકીકતે, જે ગાળાની હમણાં મેં વાત કરી તે વર્ષોમાં આપણી બંધારણ સભાએ ૧૯૪૬-૧૯૪૯નાં વર્ષોમાં જે કામગીરી પાર પાડી તેને સારુ ખાસું ખાણદાણ ભરેલું છે. ભગત સિંહે શહાદત વહોરી ઉપસ્થિત કરેલા આર્થિક-સામાજિક મુદ્દા, મીઠાનો મુદ્દો ઊંચકી દાંડીકૂચ વાટે ગાંધીએ નાતજાતકોમથી નિરપેક્ષપણે આમ આદમીના અર્થકારણ સારુ પ્રશસ્ત કરેલી ભૂમિકા, કરાચી કોંગ્રેસનો મૂળભૂત અધિકારનો ઠરાવ, પુના કરાર, આ બધાંમાં બંધારણ સભાની વણબોલી નાન્દી પડેલી છે.
અહીં મહાદેવભાઈની ડાયરીનો ઓગણીસમો ગુટકો સાંભરે છે. સમાજવાદીઓને અને સમાજવાદને સમજવા માટે ગાંધીએ કરેલી મથામણ તમને ૧૯૩૪-૩૫માં તબક્કે તબક્કે જોવા મળે છે. જવાહરલાલ જોડે સહજ ચર્ચા સારુ ગાંધી મહાદેવભાઈને અલાહાબાદ મોકલે છે, પોતે સમાજવાદીઓ સાથે સહવિચારની દૃષ્ટિએ પૂર્વ તૈયારી સારુ શું વાંચવું એ માટે નરેન્દ્ર દેવની સલાહથી જી. ડી. એચ. કોલનું પુસ્તક જોઈ જાય છે. ગુજરાતના સમાજવાદીઓને મળવા સારુ જગ્યા મેળવી આપે છે. સ્વરાજ પછી પચમઢી કાર્યક્રમથી માંડી ૧૯૭૭ના જનતા ઢંઢેરા પૂંઠે એક આખો જમાનો પડેલો છે તે આ લખતાં તાદૃશ થાય છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૯ – ૦૫ – ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
આધુનિકા
ગિરિમા ઘારેખાન
રચનાએ ફરી એક વાર ઘડિયાળમાં જોયું. સેકંડ કાંટો તો એની ગતિથી જ ફરી રહ્યો હતો. તો પછી સમય કેમ આગળ વધતો ન હતો? દીપાનું પ્લેન તો ક્યારનું લેન્ડ થઇ ગયું હશે. એરપોર્ટથી ઘેર આવતા એકાદ કલાક થાય. તો પછી હજી પહોંચી કેમ નહીં? ઘરમાં આટલું કામ ના હોત તો એ પોતે જ એને લેવા એરપોર્ટ પહોંચી ગઈ હોત. મન દીકરીને જોવા બેબાકળું થઇ ગયું હતું. એનું અમેરિકા જવાનું કેવું ઓચિંતુ નક્કી થઇ ગયું હતું! સુધીરે બહુ નાની ઉંમરમાં એને વિદેશ ભણવા મોકલી દીધી હતી. હજી તો જાણે નાળથી બંધાયેલી હોય એવું જ લાગતું હતું અને હવામાં ઉડતા પતંગની દોરી અચાનક હાથમાંથી છૂટી જાય એવી રીતે દૂર દૂર ઉડી ગઈ હતી. એના દાદીને તો એ જરા પણ ગમ્યું ન હતું, ‘હજી હમણાં તો એને અઢાર પૂરાં થયા છે. કોલેજના ત્રણ વર્ષ ભલે અહીં પૂરાં કરી લેતી. પછી મોકલી દેજે.’
પણ સુધીરે એ લોકોની વાત કાન તળે કાઢી નાખી હતી. એની પાસે એને માટેના કારણો પણ તૈયાર હતાં, ‘તમે લોકો જોતાં નથી અહીંનું વાતાવરણ? એ અગિયારમામાં આવી અને ભયંકર ધરતીકંપ થયો. લગભગ છ મહિના સ્કૂલ બંધ રહી. બારમામાં બોર્ડ એકઝામના મહિના પહેલા કોમી રમખાણો. પરીક્ષા ચાર મહિના લંબાઈ ગઈ અને પરિણામમાં પછી લોચા. અહીં ભણાવીને મારે મારી આટલી હોશિયાર છોકરીની કેરિયર ખરાબ નથી કરવી.’
‘પણ એ હજી તો કેટલી નાની છે? ત્યાના સાવ અજાણ્યા વાતાવરણમાં —’ રચનાએ પણ દલીલ કરી જોઈ હતી.
‘કયા જમાનામાં જીવે છે તું? કેટલાય મા બાપ પોતાના છોકરાંઓને મેડીકલનું ભણાવવા માટે રશિયા અને ચાઈના મોકલતા હોય છે. ત્યાં તો ભાષાની પણ મુશ્કેલી. આપણી દીપુને અમેરિકામાં તો જરા ય વાંધો નહીં આવે.’
જો કે શરૂઆતના થોડા વિરોધ પછી તો ધ્રૂજી ગયેલા અને પછી ભડકે બળેલા ગુજરાતની હાલત જોઈ ચૂકેલી રચના પણ સુધીરના સૂરમાં સુર પૂરાવતી થઇ ગઈ હતી. દીપાને ફટાફટ સ્ટુડંટ વિઝા મળી ગયા હતા અને ઓગણીસમા વર્ષે તો એ પાંખો પહેરીને ઊડી ગઈ હતી. બે વર્ષ થયાં એ વાતને. થોડી બૂમો પાડીપાડીને ફોન પર એની સાથે વાત તો થઇ જતી, પણ રચનાની આંખો હવે એને જોવા માટે ચાતક બની ગઈ હતી અને મન એના વધુ યુવાન થયેલા સ્વરૂપની કલ્પના કરવા માંડ્યું હતું.- કેવી લાગતી હશે મારી દીકરી? સુંદર તો એ નાનપણથી હતી જ. એના નિતંબ સુધી પહોંચતા ભરાવદાર વાળને ઓળતાં કેટલો બધો સમય લાગતો હતો! તીણું નાક અને ચમકતી આંખો એની નમણાશને વધુ નાજુક બનાવતા હતા. અમેરિકા રહીને તો એની ગોરા ગાલ વધારે ગુલાબી થઇ ગયા હશે. પ્લેનમાં બેઠી ત્યારે તો લાલ પંજાબી ડ્રેસમાં આંખે ઊડીને વળગે એવી લાગતી હતી! અત્યારે ભાઈના લગ્નમાં આવે છે એટલે ઘણાની નજરમાં આવી જવાની મારી દીકરી.
બહારથી ગાડીના હોર્નનો અવાજ આવ્યો અને રચના ગેસ બંધ કરીને બહાર દોડી. ડ્રાઈવર ગાડીમાંથી ઉતરીને ડીકીમાંથી સામાન કાઢી રહ્યો હતો. રચના ગાડી તરફ આગળ વધતી હતી ત્યાં તો પાછળનો દરવાજો ખુલ્યો અને એમાંથી હાઈ હિલ્સ બુટ્સ પહેરેલો એક ગોરો પગ બહાર આવ્યો, પછી બીજો અને રચના મટકું મારવાનું ભૂલી ગઈ-આનંદથી નહીં, આઘાતથી. સાથળ સુધી પહોંચતું ફ્રોક પહેરીને દીપા સામે ઊભી હતી. ખભા ઉપર બાંયની જગ્યાએ માત્ર બે પાતળી પટ્ટીઓ હતી. ખુલ્લા વાળ માંડ ખભા સુધી પહોંચતા હતા. એક ક્ષણ તો રચનાને લાગ્યું કે એ બેભાન થઇ જશે. એને સાસુના શબ્દો યાદ આવી ગયાં, ‘અત્યારે બહુ કૂદે છે પણ પછી તું જ પસ્તાઇશ. ભણાવાની લાહ્યમાં છોકરીને ગુમાવાનો વારો ના આવી જાય.’
દીપા નજીક આવીને રચનાને વળગી પડી. એના અવાજમાં ઝાકળ જેવી ભીનાશ હતી. ‘ઓ મમ્મા! તને જોઇને કેટલું સારું લાગે છે! I feel so good!’ પછી એના બંને ગાલ ઉપર ચુંબન કરતાં બોલી, ‘I miss you the most. મમ્મા.’
રચના પણ બે વર્ષ પછી મળેલી દીકરીને જકડી રાખવા માગતી હતી. પણ એની ડોક ઉપર કોતરાયેલું પતંગિયાનું ટેટુ આંખમાં આવીને ભોંકાતું હતું. માથે ફરતો હાથ વાળના છેડા સુધી આવીને અટકી જતો હતો, પહેલાંની જેમ પીઠ સુધી લંબાઈ શકતો ન હતો. નજર રહી રહીને પવનથી ઉડીને પગને વધારે ઉઘાડા કરતા ફ્રોક તરફ અને બીજું કોઈ એ જોઈ તો નથી રહ્યું ને એ જોવા આજુબાજુ ફરતી રહેતી હતી.
‘મમ્મા, ભાઈને રસ્તામાં કંઇક કામ હતું એટલે એ થોડા મોડા ઘેર આવશે. ડેડી ક્યાં? દાદી ક્યાં છે?’
‘ડેડી તારે માટે તારા ભાવતાં ગરમાગરમ સમોસા લેવા ગયા છે અને મા પૂજા રૂમમાં હશે. પણ તું પહેલાં તારા —’
‘અરે આજ ભલે દાદીની સેવા અધૂરી રહેતી. હું તો જવાની.’
દીપા પૂજા રૂમ તરફ આગળ વધી અને રચના એના સાસુ એને આવી રીતે જોઇને શું પ્રતિભાવ આપશે એ વિચારી રહી. એ કપડાં બદલીને એમની પાસે ગઈ હોત તો!
એણે પૂજા રૂમ તરફ કાન માંડ્યા.
‘આવી ગઈ બેટા? અલી છોડ, છોડ મને. જો મારા લાલજીનું દૂધ ધોળી નાખ્યું તેં. અને આ શું વેશ કાઢ્યા છે? આવા સારા વાળ મુંડાવી નાખ્યા! મેં કહ્યું’તું તારી મમ્માને —.’
‘અરે મા, સવારે વહેલું કોલેજ માટે નીકળવું પડે. એટલા લાંબા વાળ ઓળવાનો સમય જ કોની પાસે હોય? અહીં પાછી આવીશ એટલે વાળ તો વધી જશે.’
‘અને આ કેવું ફ્રોક પહેર્યું છે? આટલું ઊંચું?’
‘મા, તમે જ કહો છો ને કે દેશ એવો વેશ કરવો પડે? હું ત્યાંની કોલેજમાં મારો પંજાબી ડ્રેસ પહેરીને , દુપટ્ટો નાખીને તો ના જ જાઉં ને? ફ્લાઈટનો ટાઈમ થઇ જતો હતો એટલે કોલેજ પહેરીને ગઈ હતી એ જ કપડાં પહેરીને આવી ગઈ.’
દીપાના શબ્દોમાંથી લાડનું મધ ટપકતું હતું.
‘સારું સારું. જરા ય બદલાઈ નથી. બધી વસ્તુના જવાબ તારી પાસે તૈયાર જ હોય. પણ અલી દીપુ, તું તો ગોરી બહુ થઇ ગઈ છે હોં! અસલ મડમ જેવી લાગે છે.’ દાદીના શબ્દો પણ વ્હાલની ચાસણીમાં ડૂબાડૂબ હતાં.
‘એમ ને મા! બસ ત્યારે. હવે સાંજે પૂજા સમયે બધા આવે ત્યારે કેવી તૈયાર થવું છું જોજો.’
રચનાને લાગ્યું કે હાશ! એક પહાડ તો પાર થઇ ગયો! જો કે હિમાલય તો હવે ચડવાનો છે. દીકરાના લગ્ન નિમિત્તે સાંજે ઘરમાં સત્યનારાયણની પૂજા રાખી છે. બધાં જ સગાં વહાલાં આવવાના છે. એ બધાની સામે દીપા આવા કપડાં પહેરીને આવશે તો કેવું લાગશે! હું એને કહી જોઇશ પણ બે વર્ષ પરદેશની હવા ખાઈ આવ્યા પછી એ મારું માનશે?
ત્યાં તો બહારથી સુધીરનો અવાજ સંભળાયો, ‘ક્યાં ગઈ મારી દીકરી? દીપુ! આવી ગઈ ને બેટા? જો તારે માટે તારા ભાવતાં સમોસા લાવ્યો છું.’
દીપા અંદરની રૂમમાંથી આવીને એના પપ્પાને વળગી પડી. સુધીરનો પ્રતિભાવ જોવા રચના એની સામે જોઈ રહી. પણ એને તો જાણે દીકરીમાં થયેલો ફેરફાર નજર જ ન હતો આવતો. એ તો એની સાથે એની કોલેજની, ભણવાની, આગળના કોર્સની જ વાતો કરવા માંડ્યો.
નાસ્તો પતાવીને દીપા તો તરત એની રૂમમાં સૂવા જતી રહી પણ રચનાના મગજમાં ચિંતાનું ધુમ્મસ ધીરે ધીરે ગાઢું બનતું રહ્યું. ‘આ છોકરી! સાવ આવી બદલાઈ જશે એવું ક્યાં વિચાર્યું જ હતું? ભગવાન જાણે બીજું શું શું બદલાયું હશે? માંસ મટન ખાતી તો નહીં થઇ ગઈ હોય ને? કોને ખબર? પછી કહી દે કે “બધાની સાથે સાથે ખાવું પડે.” બે ત્રણ ઘેરથી સારા છોકરાઓ માટે વાત પણ આવેલી છે. પણ આવી છોકરીને કોણ પસંદ કરે? લોકો તો મારી જ મજાક ઉરાડશે ને? એને યાદ આવ્યું – એણે એક વાર એનો એક સોનાનો દાગીનો ઘાટ બદલવા માટે સોનીને આપ્યો હતો અને નવા ઘાટ સાથે એ એની પાસે પાછો આવ્યો ત્યારે એ પહેલા કરતાં તો સાવ જુદો અને ખરાબ થઇ ગયો હતો. એને લાગતું હતું કે એમાંથી સોનું જાણે ઓછું થઈને તાંબુ ઉમેરાઈ ગયું હતું.
ચાર વાગ્યા પછી ઘર ભરાવા માંડ્યું. જેને ખબર હતી એ બધાં દીપાને મળવા આતુર હતાં પણ રચના ઈચ્છતી હતી કે એ ભલે સૂતી જ રહેતી. એના એ ફ્રોકમાં બહાર દોડી આવશે તો એમના થોડા સંકુચિત સમાજમાં લોકોને તો વાતો કરવાની તક મળી જશે –મોટા ઉપાડે દીકરીને અમેરિકા મોકલી હતી, હવે ભોગવો પરિણામ!
ભગવાને રચનાની પ્રાર્થના સાંભળી હોય એમ આખી પૂજા, પાંચે ય અધ્યાયની કથા સંપન્ન થઇ ત્યાં સુધી દીપા ઊંઘતી જ રહી. આરતીની ઘંટડીનો અવાજ આવ્યો ત્યારે એના રૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો અને રચનાના મગજમાં ઘંટડીનો અવાજ મોટા ઘંટની જેમ અથડાવા માંડ્યો -ટન ટન ટન ટન. એ અને સુધીર આરતી ઊતારતા હતાં ત્યારે બંગડીઓ પહેરેલા બે હાથ એમની આરતીની થાળી સુધી લંબાયા અને આરતીના દીપકમાંથી નીકળતું તેજોવર્તુળ થોડું વધારે વિસ્તૃત થવા માંડ્યું. . રચનાએ બાજુમાં જોયું. પંજાબી ડ્રેસ પહેરીને, કપાળમાં નાની બિંદી કરીને, માથે દુપટ્ટો ઓઢીને દીપા બાજુમાં ઊભી હતી. એના ખભા સુધીના વાળને એણે સરસ પોનીમાં બાંધી દીધા હતા. મહારાજની સાથે એના સૂરે પણ સાથ પૂરાવ્યો, ‘મંગલમ્ ભગવાન વિષ્ણુ, મંગલમ્ ગરુડધ્વજ—.’
રચનાની આંખોમાં આંસુ આવી ગયાં.એણે સુધીર સામે જોયું. સુધીરની આંખોમાં દીકરી માટેનો ગર્વ છલકતો હતો. રચનાથી સાસુ સામે નજર નંખાઈ ગઈ. એમણે રચના સામે જોઇને ડોકી હલાવી અને પછી દીપા સામે જોઇને માથે મુઠ્ઠીઓ અરાડીને ટચાકા ફોડ્યા. આરતી પછી દરેક જણને પંચામૃત આપતી વખતે દીપા દરેક વડીલને નીચી નમીને પગે પણ લાગતી હતી. છેલ્લે એ રચના પાસે આવી અને આંખો ઊલાળીને એની સામે હસી અને ધીમેથી બોલી, ‘મમ્મા, તારી જ દીકરી છું.’ રચનાથી એના માથામાં ટપલી મરાઈ ગઈ. એણે ભગવાનને ચડાવાયેલા ફૂલ તરફ નજર નાખી. ગુલાબથી છૂટા પડ્યા પછી પણ ગુલાબની દરેક પાંદડીની સુગંધ તો યથાવત જ હતી.
એ પછીનું નાસ્તો વગેરે આપવાનું બધું કામકાજ દીપાએ જ સંભાળી લીધું. એણે રચનાને કહી દીધું, ‘તેં આખો દિવસ બહુ કામ કર્યું છે મમ્મા. હવે બધું જ હું કરીશ. તું બેસીને વાતો કર.’
બાજુમાં જ બેઠેલા રચનાના સાસુએ એને ધીરેથી કહ્યું, ‘છોકરીના વાળ અને કપડાં જોઇને તું નક્કામી ફિકર કરતી હતી ને? હું તને કહેતી જ હતી કે આપણા સંસ્કાર ક્યાંય ના જાય. એ તો લોહીમાં વણાઈ ગયા હોય.’
રચના એના સાસુએ ક્યારે આવું કહ્યું હતું એ યાદ કરવા પ્રયત્ન કરતી રહી.
નાસ્તા પછી ભજનો ગવાયાં ત્યારે દીપાએ એના સૂરીલા કાંઠે મીરાબાઈનું ભજન સંભળાવ્યું,
‘કોઈ દિન હાથ ન કોઈ દિન ઘોડા
કોઈ દિન પૈદલ ચલના જી.
કર લી ફકીરી ફિર ક્યા દિલગીરી,
મીરા મગનમેં રહના જી.’
રાત્રે સૂતાં પહેલાં સુધીરે ખુશખુશાલ દેખાતી રચનાને કહ્યું, ‘મને ખબર છે કે આખો દિવસ તું શેનું ટેન્શન લઈને ફરી છે. પણ આપણી દીકરીએ રંગ રાખ્યો ને? મને તો એના પર પૂરો ભરોસો હતો.
‘હા સુધીર, હું મા છું ને એટલે અનેક વિચારો આવતાં હતાં. પણ હું ભૂલી ગઈ હતી કે માળામાંથી બહાર નીકળેલું પંખી આખો દિવસ આકાશમાં ગમે તેટલી કરતબો બતાવે, પણ માળામાં પાછું આવે ત્યારે તો પાંખો સંકેલીને જ અંદર આવે છે.’
‘બસ તો હવે એને બીજી વાર ઉડવા માટે આનંદથી મોકલી દઈશ ને?’
રચનાએ સુધીરના લંબાયેલા હાથમાં હાથ મૂકી દીધો.
ગિરિમા ઘારેખાન:
૧૦, ઇશાન બંગલો, સુરધારા- સતાધાર રોડ, થલતેજ
અમદાવાદ-૩૮૦૦૫૪
