વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? | એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

    (૧) તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ? 

     મુકેશ જોશી

    તમે કોઈ દિવસ પ્રેમમાં પડ્યા છો ?
    એકાદી મુઠ્ઠીનું અજવાળું આપવા આખીય જિંદગી બળ્યા છો?

    તમે લોહીઝાણ ટેરવાં હોય તોય કોઈના મારગથી કાંટાઓ શોધ્યા?
    તમે લીલેરા છાંયડાઓ આપીને કોઈના તડકાઓ અંગ ઉપર ઓઢ્યા?

    તમે એકવાર એનામાં ખોવાયા બાદ કદી પોતાની જાતને જડ્યા છો?
    તમે કોઈ દિવસ…

    તમે કોઈની આંખ્યુંમાં વીજના કડાકાથી ખુદમાં વરસાદ થતો જોયો?
    તમે કોઈના આભને મેઘધનુષ આપવા પોતાના સૂરજને ખોયો ?

    તમે મંદિરની ભીંત ઉપર કોઈની જુદાઈમાં માથુ મૂકીને રડ્યા છો ?

    તમે કોઈ દિવસ…
     

    (૨) એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

     – અશરફ ડબાવાલા

    પ્રથમ એ થઈ શકે એવાં જ થોડાં કામ આપે છે,
    ને અઘરાં કામરૂપે એ પછી ઈનામ આપે છે.

    છે મારા મનની અંદર આગવું પંચાંગ એવું કે,
    અચાનક આવનારી હર ખુશીને નામ આપે છે.

    બધી વિદ્યાકળા ને યુક્તિથી પર થાઉં છું ત્યારે,
    એ આવી રૂબરૂ અંગત મને પયગામ આપે છે.

    એ મારી આવડતને પાથરી દઈને બજારોમાં,
    કદી વેપાર આપે છેકદી લિલામ આપે છે.

    ભલે આશય જુદા જુદા હો એના આપવા માટે,
    એ સીતા હો કે ધોબી હો બધાંને રામ આપે છે.

    સમયની આગમાં એ મારું સર્જન ફેંકી દે છે પણ,
    હું માગું ખાક પાછી તો મને ખય્યામ આપે છે.

    સખાવત કે દૂરંદેશી જે ગણવું હોય તે ગણજો,
    મફત જે હોય છે એનાય અશરફ દામ આપે છે.

  • ફિલ્મી ગઝલો – ૩૯. દીનાનાથ (D N) મધોક

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    હિંદી ફિલ્મોના બિલકુલ શરુઆતી દૌરના ત્રણ મોટા કવિ હતા જે ફિલ્મ જગતના ‘ આદિ કવિ ‘ કહેવાય છે. કવિ પ્રદીપ, કેદાર શર્મા અને દીનાનાથ મધોક. કવિ પ્રદીપે મારા મત અને છાનબીન અનુસાર કોઈ ગઝલ લખી નહોતી. કેદાર શર્માની રચનાઓ વિષે આ અગાઉ લખી ચૂક્યો છું. આજે દીનાનાથ મધોકની વાત.

    દીનાનાથજી ‘ મહાકવિ મધોક ‘ કહેવાતા. સંગીતકાર નૌશાદની પહેલી હિટ ફિલ્મ ‘ રતન ‘ (૧૯૪૪) માં દસ ગીત હતા અને દસેય એક એકથી ચડિયાતા ! એ બધા ગીત મધોક સાહેબે લખેલા. ૮૦૦ ઉપરાંત ગીત રચના ઉપરાંત એમણે અનેક ફિલ્મોની કથા, પટકથા અને સંવાદ પણ લખ્યા . ૧૭ ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું . ‘ રતન ‘ ફિલ્મના એમના જાણીતા ગીતો ( જબ તુમ હી ચલે પરદેસ, ઓ જાને વાલે બાલમવા, સાવન કે બાદલોં, અંગડાઈ તેરી હૈ બહાના, અખિયાં મિલા કે જિયા ભરમા કે, આઈ દિવાલી આઈ દિવાલી, રુમઝુમ બરસે બાદરવા, મિલ કે બિછડ ગઈ અખિયાં ) ઉપરાંત એમના જાણીતા ગીતોમાં ‘ ઘટા ઘનઘોર ઘોર ‘ ( તાનસેન ), ‘ બેઈમાન તોરે નૈનવા ‘ ( તરાના ), ‘ મૈને દેખી જગ કી રીત ‘ ( સુનહરે દિન ) વગેરેનો ઉલ્લેખ કરી શકાય.

    એમની લખેલી બે ગઝલો જોઈએ :

    હંસ હંસ કે મેરે ચૈન પે બિજલી ગિરાએ જા
    અરમાં  તડપ  ઉઠેં  મેરે  યું  મુસ્કુરાએ  જા

    ફિર હમ સે વો ફિરતીં હુઈં નજરેં મિલાએ જા
    ફિર ઠેસ દે કે દિલ કો  મેરા દિલ બનાએ જા

    આંખોં મેં જામ પ્યાર કે ભર ભર કે લાએ જા
    મૈં જિતની પી સકું મુજે ઉતની પિલાએ જા ..

    – ફિલ્મ : રસિયા  ૧૯૫૦

    – લતા

    – બુલો સી રાની

    ( ગઝલ શાસ્ત્ર પ્રમાણે આને મતલા ગઝલ કહેવાય )

    દિલ મેં શમા જલા કે તેરે ઈંતઝાર કી
    દુનિયા લુટા કે બૈઠી હું સબ્રો – કરાર કી

    આંખો કા નૂર દિલ કી તમન્નાએં લૂટ કર
    સૂરત બિગાડ દી હૈ ફિઝા ને બહાર કી

    આ જા કે દિલ મેં રંગ ભરા હૈ ઉમ્મીદ કા
    તસવીર ફિર રહી હૈ નિગાહોં મેં પ્યાર કી

    ફરિયાદ મેરી સુન કે સિતારે ભી રો દિયે
    રાતોં કો ઉઠ કે મૈને જો તેરી પુકાર કી ..

    – ફિલ્મ : સબક  ૧૯૫૦

    – આશા ભોંસલે

    – અલ્લારખા કુરેશી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શીર્ષક આવરતા ગીતો – ૫

    નિરંજન મહેતા

    આ શ્રેણીનો પાંચમો અને છેલ્લો ભાગ આ સાથે રજુ કરૂં છું. કદાચ કોઈ ગીતો આ પાંચ ભાગમાં સામેલ ન થયા હોય તો ક્ષમસ્વ.

    સૌ પ્રથમ આવે છે ૧૯૮૦ની ફિલ્મ ‘શાન’નુ ગીત. આ એક પાર્ટી ગીત છે.

    दोस्तो से प्यार किया दुश्मनो से बदला लिया
    जो भी किया हमने किया शान से शान से

    પરવીન બાબી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે આર. ડી. બર્મન. સ્વર છે  આશા ભોસલે અને પંકજ ઉધાસના.

    https://youtu.be/9va4vTwE-fk

    ૧૯૮૦ની જ અન્ય ફિલ્મ ‘જુદાઈ’ નુ ગીત એક વિરહ ગીત ગણી શકાય.

    मार गई मुझे तेरी जुदाई डस गई ये तन्हाई
    तेरी याद आई फिर आँखों में नींद नहीं आई

    કલાકારો છે રેખા અને જીતેન્દ્ર. આનંદ બક્ષીના શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયકો આશા ભોસલે અને કિશોરકુમાર.

    ૧૯૮૦ની વધુ એક ફિલ્મ ‘આશા’નુ આ ગીત આજે પણ લોકો માણે છે.

    शीशा हो या दिल हो
    आख़िर, टूट जाता है
    ,,,,,,,,,,,,,

    दुनिया एक तमाशा है
    आशा और निराशा है
    थोड़े फूल हैं काँटे हैं
    जो तक़दीर ने बाँटे हैं

    સ્ટેજ પર ગવાતા આ ગીતના કલાકાર છે રીના રોય. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. લતાજીનો સ્વર.

    આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જેમાં ‘આશા’ શબ્દ આવે છે જે એક બાગમાં ગવાય છે.

    आशाओं के सावन में, उमंगों की बहार में
    तुम मुझको ढूँढो, मैं खो जाऊँ प्यार में
    आशाओं के सावन में…

    કલાકારો છે રીના રોય અને જીતેન્દ્ર. ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. રફીસાહેબ અને લતાજીના સ્વર.

     

    ૧૯૮૧ની ફિલ્મ ‘નસીબ’નુ ગીત પણ એક પાર્ટી ગીત છે.

    मेरे नसीब में तू है कि नहीं
    तेरे नसीब में मैं हूँ कि नही
    मेरे नसीब में तू है कि नहीं
    तेरे नसीब में मैं हूँ कि नहीं

    હેમા માલીની પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે  લતાજીનો.

    https://youtu.be/1UNRquQGVUc

    ૧૯૮૧ અન્ય ફિલ્મ ‘એક દુજે કે લિયે’નુ આ ગીત બે પ્રેમીઓની મનોભાવના દર્શાવે છે.

    हम बने तुम बने एक दूजे के लिए
    उसको क़सम लगे
    जो बिछड़ के इक पल भी जिए
    हम बने तुम बने एक दूजे के लिए

    રતિ અગ્નિહોત્રી અને કમલ હસન ગીતના કલાકારો. આનંદ બક્ષીનાં શબ્દો અને લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત. ગાનાર કલાકારો લતાજી અને એસ.પી. બાલસુબ્રમનીયમ.

    ૧૯૮૧ની ફિલ્મ ‘સાજન કી સહેલી’નુ આ ગીત એક પાર્ટી ગીત છે જેમાં ચાર કલાકારો દર્શાવાયા છે.

    जिसके लिए सबको छोड़ा
    उसी ने मेरे दिल को तोडा
    जिसके लिए सबको छोड़ा
    उसी ने मेरे दिल को तोडा

    वो बेवफा वो बेवफा
    किसी और के साजन की सहेली हो गयी

    ચાર કલાકારો છે રાજેન્દ્ર કુમાર, નૂતન, વિનોદ મહેરા અને રેખા. ગીત જોતા જણાશે કે આ એક ટીઝર પ્રકારનું ગીત છે જેમાં વિનોદ મહેરા અને નૂતનને માટે આ ટીઝર મુકાયું છે. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર છે  ઉષા ખન્ના. ગાયક કલાકારો છે સુલક્ષણા પંડિત અને રફીસાહેબ.

    ૧૯૮૨ની ફિલ્મ ‘સત્તે પે સત્તા’નુ ગીત એક સમુહગીતના રૂપમાં દર્શાવાયું છે.

    दुक्की पे दुक्की हो या सत्ते पे सत्ता
    दुक्की पे दुक्की हो या सत्ते पे सत्ता
    गौर से देखा जाए तो बस है पत्ते पे पत्ता
    कोई फ़र्क नही अलबत्ता

    અમિતાભ બચ્ચન અને અન્ય કલાકારો આ ગીતમાં સામેલ છે. ગુલશન બાવરાના શબ્દોને આર.ડી.બર્મને સજાવ્યા છે. ઘણા કલાકારોને કારણે ગાયકો પણ એક કરતાં વધુ છે જે છે ભુપીન્દર સિંહ, આર.ડી.બર્મન, આશા ભોસલે, સપન ચક્રવર્તી અને કિશોરકુમાર.

    ૧૯૮૩ની ફિલ્મ ‘અગર તુમ ન હોતે’નુ ગીત જોઈએ.

    हमें और जीने की चाहत न होती
    अगर तुम न होते, अगर तुम न होते

    રેખા અને રાજેશ ખન્ના ગીતના કલાકારો છે. શબ્દો છે ગુલશન બાવરાના અને સંગીતકાર છે આર.ડી.બર્મન. ગાયક કલાકાર કિશોરકુમાર.

    આ જ ગીત બીજી વાર લતાજીના સ્વરમાં

    ૧૯૮૩ની ફિલ્મ ‘બડે દીલવાલા’નુ આ ગીત ફીલ્સુફીભાર્યું છે.

    जीवन के दिन छोटे सही
    हम भी बड़े दिल वाले
    कल की हमें फुर्सत कहाँ
    सोचे जो हम मतवाले

    રીશીકપુર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે  કિશોરકુમારનો. આ ગીત ફિલ્મમાં ફરીવાર આવે છે જેમાં પ્રાણને દર્શાવાયા છે પણ ટે વિડીઓ પ્રાપ્ત નથી.

    https://youtu.be/idUREJ2tn54?si=5Xixevru5j84I09i

    ૧૯૮૪ની ફિલ્મ ‘તોહફા’નુ આ ગીત એક પ્રણયગીત છે.

    तोहफा तोहफा तोहफा तोहफा
    दिल पे छाया छाया छाया
    प्यार का तोहफा तेरा, बना है जीवन मेरा
    दिल के सहारे मैंने पा लिए, जीने को और क्या चाहिए
    प्यार का तोहफा तेरा

    કલાકારો છે જયા પ્રદા અને જીતેન્દ્ર. ઇન્દીવરના શબ્દો અને બપ્પી લાહિરીનુ સંગીત. ગાયકો આશા ભોસલે અને કિશોરકુમાર.

    ૧૯૮૫ની ફિલ્મ ‘સાગર’નુ ગીત પણ એક પ્રણયગીત છે જેમાં પ્રેમીઓ પોતાના મનોભાવ વ્યક્ત કરે છે.

    सागर किनारे दिल ये पुकारे
    तू जो नहीं तो मेरा कोई नहीं है
    हो सागर किनारे

    ડિમ્પલ કાપડિયા અને રીશીકપુર પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર અને સંગીતકાર છે આર.ડી.બર્મન. હલક્ભર્યા સ્વર છે કિશોરકુમાર અને લતાજીના.

    ૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’ જે એક ચમત્કારવાળી ફિલ્મ હતી તેનું આ ગીત પ્રેમગીત છે.

    अरे करते हैं हम प्यार मिस्टर इंडिया से
    हमको मिलना सौ बार मिस्टर इंडिया से

    ગીતના કલાકારો છે અનીલ કપૂર અને શ્રીદેવી. જાવેદ અખ્તરના શબ્દોને સજાવ્યા છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને સ્વર આપ્યો છે કવિતા ક્રિષ્ણમૂર્તિ અને કિશોરકુમારે.

    ૧૯૯૪ની ફિલ્મ ‘હમ આપ કે હૈ કૌન’નુ આ ગીત ટાઈટલ ગીત છે.

    हम आप के हैं कौन
    बेचैन है मेरी नज़र
    है प्यार का कैसा असर
    न चुप रहो इतना कहो
    हम आप के आप के हैं कौन

    સલમાનખાન અને માધુરી દિક્ષિત પર આ ગીત રચાયું છે જેના શબ્દો છે દેવ કોહલીના અને સંગીત આપ્યું છે રામ લક્ષ્મણે. ગાયકો છે લતાજી અને એસ.પી. બાલસુબ્રમનીયમ.

    ૧૯૯૫ની ફિલ્મ ‘રાજા’નુ ગીત બે પ્રેમીઓની વાત કરે છે.

    किसी दिन बनूँगी मैं राजा की रानी

    ज़रा फिर से कहना
    बड़ी दिलरुबा है ये सारी कहानी

    પ્રેમીઓ છે માધુરી દિક્ષિત અને સંજય કપૂર. ગીતકાર સમીર અને સંગીતકાર નદીમ શ્રવણ. ગાયકો અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણ.

    ૧૯૯૮ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નુ આ ગીત આજે પણ લોકો પસંદ કરે છે.

    तुम पास आए, यूँ मुस्काराए
    तुमने ना जाने क्या सपने दिखाए
    अब तो मेरा दिल जागे ना सोता है
    क्या करूँ हाय कुछ कुछ होता है

    શાહરૂખ ખાન, કાજોલ અને રાની મુકરજીની ત્રિપુટી ગીતના કલાકાર. સમીરના શબ્દો અને જતિન લલિતનુ સંગીત. ગાયકો અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ અને કવિતા ક્રિષ્ણમૂર્તિ.

    ૧૯૯૯ની ફિલ્મ ‘તાલ’નુ આ નૃત્યગીત કુદરતની વચ્ચે રચાયું છે.

    दिल यह बेचैन वे रास्ते पे नैन वे
    दिल यह बेचैन वे रास्ते पे नैन वे
    जिन्दड़ी बहाल है सुर है ना ताल है
    आजा साँवरिया आ आ आ आ
    ताल से ताल मिला हो ताल से ताल मिला

    અક્ષય ખન્ના અને ઐશ્વર્યા રાય ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીત આપ્યું છે એ. આર રેહમાને. સ્વર છે અલકા યાજ્ઞિક અને ઉદિત નારાયણના.

    ૨૦૦૭ની ફિલ્મ ‘અપને’ એક કૌટુંબિક ફિલ્મ છે જેનું આ ગીત પ્રચલિત છે.

    मन की मैल को मिटाकर जो साथ खड़े होते है
    वही तो अपने होते है
    जो दुआ से हर डर को दूर भगा दे
    हिम्मत को बढाकर नई अहसास जगा देते है
    इसीलिए तो कहते है की अपने तो अपने होते है

    ધર્મેન્દ્ર, સની દેઓલ અને બોબી દેઓલ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સમીર અને સંગીતકાર છે હિમેશ રેશમિયા. ગાનાર કલાકારો છે જસપીંદર નરુલા, જયેશ ગાંધી અને સોનુ નિગમ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • વાદ્યવિશેષ : (૧૧) – તંતુવાદ્યો (૬) : સિતાર [૨]

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    આ કડીમાં સિતારના પ્રાધાન્ય વાળાં વધુ ફિલ્મી ગીતો સાંભળીએ તે પહેલાં આ કડી પૂરતો સિતારના સૂરનો પરિચય તાજો કરી લઈએ.  સિતારવાદનના ક્ષેત્રે ભારતમાં ઘણા દિગ્ગજ કલાકારો થઈ  ગયા છે.  ઉસ્તાદ રઈસખાન એવા જ એક ઉચ્ચ કક્ષાના શાસ્ત્રીય સિતારવાદક હતા. સાથેસાથે તેઓએ ફિલ્મી વાદ્યવૃંદોમાં પણ વગાડ્યું છે, પહેલાં તેમના શાસ્ત્રીય વાદનથી અને એ રીતે સિતારના સૂરોથી પરીચિત થઈએ.

    સંગીતકાર મદનમોહનના વાદ્યવૃંદના તેઓ અભિન્ન અંગ બની રહ્યા હતા. આ બન્નેએ સાથે મળીને અનેક યાદગાર ગીતો આપ્યાં છે.

    હવે વધુ કેટલાંક સિતારપ્રધાન ગીતો સાંભળીએ.

    ૧૯૬૦ની ફિલ્મ બહાનાનું ગીત ‘જા રે બદરા બૈરી જા જા જા રે’ માણતાં ખ્યાલ આવે છે કે ગાયકી અને સિતાર સમાંતરે ચાલી રહ્યાં છે. સંગીત મદનમોહનનું છે.

     ફિલ્મ ભાભી કી ચૂડીયાં (૧૯૬૧)નું ગીત ‘જ્યોતિ કલશ છલકે’ તેના શબ્દો, સુધીર ફડકેની બનાવેલી ધૂન તેમ જ ગાયકી થકી એક સર્વાંગસંપૂર્ણ ગીત ગણાય છે. તેમાં સિતારના અંશો આગવો રંગ ભરે છે.

    https://www.youtube.com/watch?v=6OWNiGODXc0

    ફિલ્મ દિલ એક મંદીર(૧૯૬૩)ની સફળતામાં શંકર-જયકિશને બનાવેલાં તેનાં ગીતોનો મોટો ફાળો હતો. તે પૈકીના ગીત ‘હમ તેરે પ્યાર મેં સારા આલમ ખો બૈઠે’ના વાદ્યવૃંદમાં સિતાર સતત હાજરી પૂરાવે છે.

     

    ૧૯૬૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ પૂજા કે ફૂલનાં ગીતોની ધૂન મદનમોહને બનાવી હતી. તેનું ગીત ‘મેરી આંખોં સે કોઈ નીંદ લીયે જાતા હૈ’ સાંભળતાં ખ્યાલ આવે છે કે તેના વાદ્યવૃંદમાં સિતારનો વિશેષ ફાળો છે.

    https://www.youtube.com/watch?v=GgRvsTAxy30

    તે જ વર્ષે પરદા ઉપર રજૂ થયેલી ફિલ્મ કાશ્મીર કી કલીના પ્રસ્તુત ગીત ‘ઈશારોં ઈશારોં મેં દિલ લેને વાલે’ના વાદ્યવૃંદમાં સિતારની હાજરી સતત વર્તાતી રહે છે.

    https://www.youtube.com/watch?v=zNsNuCitZys
     ફિલ્મ આખરી ખત(૧૯૬૬)નું સંગીત ખય્યામે તૈયાર કર્યું હતું. તેના ગીત ‘બહારોં મેરા જીવન ભી સંવારો’માં સિતારનો બહુ રસપ્રદ પ્રયોગ થયો છે. મુખડાના પહેલા શબ્દ પછી અને બીજા થોડા શબ્દો પછી સિતારનો નાનો એવો ટહૂકો સંભળાય છે. જ્યારે જ્યારે આ ગીત ગણગણતા હોઈએ કે પછી મનોમન તેની યાદ આવે ત્યારે આ ટહૂકા વગરની ગાયકીની કલ્પના પણ નથી થઈ શકતી.

    ૧૯૬૬ની જ અન્ય એક ફિલ્મ આમ્રપાલીનું એક યાદગાર ગીત ‘તુમ્હેં યાદ કરતે કરતે’ માણીએ. આ ઐતિહાસીક ફિલ્મનું સંગીતનિર્દેશન શંકર-જયકિશનનું હતું. ગીતમાં સિતારના સ્વરો સતત સંભળાતા રહે છે, અલબત્ત, પરદા ઉપર શરૂઆતમાં નજરે પડે છે તે સિતાર ન હોતાં વીણા છે.

    ફિલ્મ નૌનિહાલ(૧૯૬૭)નું સંગીત માદનમોહને તૈયાર કર્યું હતું. તેનું એક સિતારપ્રધાન ગીત ‘તુમ્હારી ઝુલ્ફ કે સાયે મેં શામ કર લૂંગા માણીએ.

    ૧૯૭૦ની બહુચર્ચિત ફિલ્મ દસ્તક નું સંગીત મદનમોહને તૈયાર કર્યું હતું. આ ફિલ્મનાં બે સિતારપ્રધાન ગીતો સાંભળીએ. પહેલાં ‘હમ હૈ મતા એ કુચા ઓ’ અને પછી માણીએ ‘બૈયાં ના ધરો ઓ બલમા’.

     

     

     

    ફિલ્મ બાવર્ચી(૧૯૭૨)ના એક નૃત્યગીત ‘મોરે નૈના બહાયે નીર’માં વાંસળી અને સારંગી સાથે સિતારના ખુબ જ કર્ણપ્રિય અંશો સાંભળવા મળે છે. સ્વરનિયોજન મદનમોહનનું છે.

    મદનમોહનના નિર્દેશનમાં બનેલું ગીત ‘રસ્મ એ ઉલ્ફત કો નિભાયે કૈસે’ માણીએ, જેમાં સિતારના અંશો સતત કાને પડતા રહે છે. ગીત ૧૯૭૩ની ફિલ્મ દિલ કી રાહેંમાંથી લેવામાં આવ્યું છે.

    https://www.youtube.com/watch?v=Nyhp5OK1ltQ
    મદનમોહનના નિર્દેશનમાં બનેલું વધુ એક સિતારપ્રધાન ગીત ‘આજ સોચા તો આંસુ ભર આયે’ સાંભળીએ. ફિલ્મ છે ૧૯૭૩ની હંસતે જખ્મ’.

    https://www.youtube.com/watch?v=xEcPRKcdpM8

    સિતારનું એક વધુ ગીત રાહુલદેવ બર્મનની તરજ પર બનેલું ‘ચોરી ચોરી ચૂપકે ચૂપકે’ સાંભળીએ. પ્રસ્તુત ગીત ૧૯૭૪ની ફિલ્મ આપ કી કસમ માંથી લેવામાં આવ્યું છે.

    આ કડીના સમાપનમાં એક વિશિષ્ઠ ગીત સાંભળીએ, જે ફિલ્મ ખુદ્દાર(૧૯૮૨)નું છે. તેના શબ્દો ‘ડીસ્કો ૮૨’ પરથી જ ખ્યાલ આવે છે કે મુળે આ એક ડીસ્કો પ્રકારનું ગીત છે પણ સંગીતકાર રાજેશ રોશને તેના વાદ્યવૃંદમાં સિતારનો સમાવેશ કરીને જે વિરોધાભાસ સર્જ્યો છે તે સિતારના માધુર્યને ઓર ઉભારે છે.

     

    આવતી કડીમાં એક વધુ તંતુવાદ્યનો પરિચય કરીશું.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • બાળ ગગન વિહાર – મણકો – ૩૩: વાત અમારા ઈસ્માઈલની

    શૈલા મુન્શા

    “પારણે ઝુલતું, આંબા ડાળે ડોલતું,
    કેવું અદ્ભૂત છે મારૂં બાળપણ.
    મોજ મસ્તી કરતું, ધીંગા મસ્તી કરતું,
    કેવું અજાયબ છે મારૂં બાળપણ.”

    મસ્તીખોર આ બાળપણ એકવાર જાય પછી પાછુ ક્યાં મળે છે! પણ આપણે આપણા બાળકોમાં, પૌત્ર પૌત્રીમાં ફરી આપણુ બાળપણ જીવી લેતા હોઈએ છીએ.

    હું તો ઘણી નસીબદાર હતી કે મારા આ અનોખા બાળકો સાથે કામ કરતાં અનાયાસે આ માસુમિયત આ બાળપણ ફરી જીવવાની રોજ તક મળતી હતી.

    અમારા ક્લાસમાં નવા બાળકો આવતાં જ રહેતાં. એ વર્ષે પણ એક નવો છોકરો ક્લાસમાં આવ્યો, નામ એનું ઈસ્માઈલ. પહેલાં તો નામ સાંભળી મને થયું કે કોઈ મુસ્લિમ બાળક હશે, પણ જ્યારે જોયો ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મેક્સિકન બાળક છે. મેક્સિકન ભાષાના શબ્દો અને ભારતિય ભાષાના શબ્દો ઘણા મળતા આવે છે. સંસ્કૃતિ પણ ઘણી મળતી આવે.
    બીજા મેક્સિકન બાળકોની જેમ ઈસ્માઈલ પણ તંદુરસ્ત અને ગોળ ચહેરો. માતા પિતા ઘણા જુવાન અને પ્રેમી પંખીડાની જેમ બન્ને હમેશા ઈસ્માઈલને સાથે મુકવા આવે. દેખાઈ આવતું કે ઈસ્માઈલને વધુ પડતા લાડ લડાવવામાં આવી રહ્યા હતા. તોફાની ઈસ્માઈલ એમના રહેઠાણના સ્થળે બીજા બાળકોને રમતાં રમતાં ધક્કો મારી પાડી નાખતો. ઈસ્માઈલને વાત વાતમાં ખોટું લાગી જાતું, રમતાં રમતાં એનું ધાર્યું ન થાય તો એક ખુણામાં મોઢું ફુલાવી બેસી જતો. આ બધી વાતો ઈસ્માઈલના મમ્મી પપ્પાએ જ અમને કહી હતી, અને જ્યારે અમે બાળકોને રમવા લઈ ગયા ત્યારે એનો અનુભવ અમને પણ થયો હતો.

    સ્વભાવિક રીતે જ અમારે ફક્ત ઈસ્માઈલ જ નહિ પણ બીજા બાળકોની સુરક્ષાની જવાબદારી પણ રહેતી એટલે ધીરે ધીરે થોડી સમજાવટ થોડા કડક થઈને પણ ઈસ્માઈલની એ આદત દુર કરવામાં અમે સફળ થયા. ધીરે ધીરે ઈસ્માઈલ બધા સાથે હળી ગયો. ઈસ્માઈલ જ્યારે અમારા ક્લાસમાં આવ્યો ત્યારે બહુ બોલતો નહોતો. એના ઈવોલ્યુશનમાં લેબલ તો હતું Autistic childનું, પણ દેખાઈ આવતું હતું કે માતા પિતાના વધુ પડતાં લાડે એને જીદ્દી બનાવી દીધો હતો.

    એ વર્ષે અમારા ક્લાસમાં હર વર્ષ કરતાં બોલતાં બાળકોની સંખ્યા વધારે હતી. સામાન્ય રીતે એવું બનતું કે ત્રણ વર્ષનું બાળક જ્યારે ક્લાસમાં આવતું ત્યારે જલ્દી બોલતું નહિ. ખબર જ ના પડે કે આ બાળક બોલી શકે છે કે નહિ. Autistic બાળકોની એ પણ એક ખાસિયત હતી, પણ થોડા જ સમયમાં  મોટાભાગના બાળકોને સંગત ની રંગત લાગી જતી અને એમની વાચા ખુલવા માંડતી.

    સામાન્ય માણસોના જગતમાં બીજાને મદદ કરવા તત્પર હોય એવા માણસો જલ્દી મળતાં નથી, પણ અમારા ક્લાસમાં એની કોઈ કમી નહોતી. ત્યારે અમારા ક્લાસમાં એક જેનેસિસ નામની બાળકી હતી. એ બે વર્ષથી અમારી સાથે હતી. ખૂબ બોલકી અને બીજાને મદદ કરવા સદૈવ તત્પર.

    બપોરે ઘરે જવાના સમયે જે મમ્મી કે પપ્પા પોતાના બાળકને લેવા આવતાં એમને જેનેસિસ તરત જ દોડીને એ બાળકનું દફતર એનો નાસ્તાનો ડબ્બો કે જે વસ્તુ હોય તે એ બાળકના મમ્મી, પપ્પાના હાથમાં જઈને આપી આવતી. બધાને હમેશ મદદ કરવા તત્પર.

    તે દિવસે જ્યારે મોનિકાના પિતા એને લેવા આવ્યાં કે તરત જેનેસિસ દફતર લેવા દોડી અને દફતર લઈ મોનિકાના પિતાના હાથમાં આપ્યું. અચાનક ઈસ્માઈલનો ભેંકડો સંભળાયો. એક ક્ષણ તો હું અને સમન્થા હક્કબક્કા થઈ ગયાં. અચાનક ઈસ્માઈલને શું થયું! વાત એમ બની કે એ ભાઈ પણ દોડતા જઈને સેવાનું કામ કરવા માંગતા હતા, પણ મોડા પડ્યાં. ઈસ્માઈલના રડવાનું કારણ સમન્થાને ના સમજાયું પણ મને ખ્યાલ આવી ગયો અને મેં મોનિકાના પિતાને કહ્યું “મહેરબાની કરી મને દફતર પાછું આપો” એ દફતર લઈ મેં ખીંટીએ જઈ લટકાવ્યું. ઈસ્માઈલ દોડીને દફતર લઈ આવ્યો,અને જાણે આખી દુનિયા પર વિજય પ્રાપ્ત કર્યો હોય તેમ  ગર્વભેર દફતર મોનિકાના પિતાના હાથમાં આપી આવ્યો. પોતે જાણે મોટું પરાક્રમ કર્યું હોય એમ એનો ચહેરો ખુશીથી ચમકી ઉઠ્યો.

    આવી હરિફાઈ અને સેવાની ધગશ તમને બીજે ક્યાં જોવા મળે? આ નિર્દોષ બાળકો પાસે આપણે બીજું કશું નહિ તો સેવાની ભાવના તો શીખી જ શકીએ!

    ઈસ્માઈલના ગાલ પર આંસુ અને હાસ્યનો  એ અનુપમ નજારો આ દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાનો મારો ઉત્સાહ હમેશ જીવંત રાખતાં. કેવું અનોખુ છે આ બાળપણ !!

    રોજની આ અનોખા બાળકોની મસ્તી અને એમનો વિશ્વાસ એમની માનસિક વિકલાંગતાને ભુલવી મારામાં વધુ શક્તિ અને વહાલનો સંચાર કરતાં.

    ઈશ્વરને એ જ પ્રાર્થના કે ઈસ્માઈલ અને એના જેવા બાળકોની નિર્દોષતા હમેશ બરકરાર રહે અને જગમાં મૈત્રી અને પ્રેમભાવના પાંગરતી રહે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • મોહમ્મદ રફી – ‘એ’ થી ‘ઝેડ’ પરથી શરૂ થતાં સૉલો ગીતો (૨)

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ : યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    મોહમ્મદ રફી – ‘એ’ થી ‘ઝેડ’ પરથી શરૂ થતાં સૉલો ગીતોના અંક (૧)માં આપણે ‘એ’થી લઈને’ એમ’ સુધીના અક્ષરો પરથી શરૂ થતાં ગીતો સાંભળ્યાં. હવે આગળ ……..

    અનુવાદ અને સંકલન: અશોક વૈષ્ણવ

    મોહમ્મદ રફીનાં ‘ગમતાં’ ગીતો પસંદ કરવાં એ દેખાય છે એટલું સહેલું કામ નથી પરવડતું. એ એવો ખજાનો છ એકે એક વાર ખૂલે એટલે ખોબે ખોબે ઉસેડીને તેમાનાં રત્નો ભેગાં કરીએ તો પણ ‘ઓહો આ રહી ગયું’ ને ‘પેલું તો લઈ જ લઈએ’ વાળી અવઢવનો ક્યારેય અંત જ ન આવે. ખેર, કસુંબો તો હાથની  હથેળીમાં સમાય એટલો જ લેવાય એ ન્યાયે આપણે પણ કયાં ગીતો રહી ગયાં તેનો વસવસો ભુલીને, આજના મણકામાં મોહમ્મદ રફીએ ગાયેલાં એનથી ઝેડથી શરૂ થતાં જે ગીતો પસંદ થયાં તેનો કેફ માણીએ.

    ન ઝટકો ઝુલ્ફ સે પાની કે યે મોતી ટૂટ જાયેંગે – શહનાઈ (૧૯૬૪) – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીત: રવિ

    યે ઝુલ્ફ અગર ખીલકે બીખર જાયે તો અચ્છા (કાજલ, ૧૯૬૫ – સંગીતઃ રવિ), ઝુલ્ફોં કો હટા લો ચહેરે સે (સાવનકી ઘટા, ૧૯૬૬ – સંગીતઃ ઓ પી નય્યર), તુમ્હારી ઝુલ્ફ કે સાયેમેં શામ કર લુંગા (નૌનિહાલ, ૧૯૬૭ – સંગીતઃ મદન મોહન) ઝુલ્ફ બીખરાતી ચલી આયી હો (એક કલી મુસ્કાઈ, ૧૯૬૮ – સંગીત મદન મોહન), જેવાં તો ‘ઝુલ્ફ’ રચાયેલાં મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલાં એકને યાદ કરોને બીજાંને ભુલો એવાં ગીતો રચાયાં છે.

    ઓ દૂર કે મુસાફિર હમકો ભી સાથ લે લે રે હમ રહ ગયે અકેલે – ઉડન ખટોલા (૧૯૫૫) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ

    એકદમ ઊંચા સુરમાં શરૂ થતી સાખી પછી સુરની ઉતરચડમાં ઘુંટાતી એકલતાની વ્યથાની મોહમ્મદ રફીના સ્વરમાં થયેલ રજુઆત દિલનાં ઊંડાંણ સુધી છયાયેલી રહે છે.

    સાખી દરમ્યાન કાઉંટર મેલોડી સ્વરૂપે મોજાંના ઘુઘવાટને નૌશાદે સમુહ સ્વરોમાં જે રીતે રજુ કર્યો છે તે ગીતને વધારે ઘૂંટે છે.

    https://www.youtube.com/watch?v=pD7HziV7204

    પાસ બૈઠો તબીયત બહલ જાયેગી મૌત ભી આ ગઈ તો ટલ જાયેગી – પુનર્મિલન (૧૯૬૪) – ગીતકારઃ ઈંદીવર  – સંગીતઃ સી અર્જુન

    કહેવાય છે કે આ તની રચના ઈમ્દીવર અને સી અર્જુનમાં બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે એક નખશીખ સૌંદર્યની પ્રતિમા સમી યૌવના બસમાં ચડીને તેમની સીટ પાસે આવીને ઊભ રહી ગઈ ત્યારે ઈંદીવરને સ્ફુરેલ આ મુખડાના બોલ છે!

    ક઼દમોંમેં તેરે સનમ હમને તો સર ઝુકા લિયા – ઉમ્મીદ પે દુનિયા ઝુકતી હૈ (રજુ ન થયેલ ફિલ્મ) – ગીતકારઃ પ્રેમ ધવન – સંગીતઃ મદન મોહન

    મોહમ્મદ રફી અને મદન મોહનની કેટલીય રચનાઓ આ ગીતની જેમ રજુ ન થયેલી ફિલ્મોમાં કેદ થઈને રહી ગઈ હશે!

    રહા ગર્દીશોમેં મેરે ઈશ્કકા સિતારા – દો બદન (૧૯૬૬) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ

    પ્રેમિકાનો હાથ લગનમંડપમાં બીજાના હાથમાં જોઈને પ્રેમીના હોઠ પર આવી આહભર્યું ગીત છલકી પડે એ ફિલ્મોમાં વપરાતી ફોર્મુલાની જાણીતી રસમ છે. પરંતુ આવા દરેક પસંગે ગીતકાર, સંગીતકાર અને ગાયક તો આપણને હૂદયસ્પર્શી ગીત જ આપે !

    સબ જવાં સબ હસીં કોઈ તુમસા નહીં હો ગયે જિસકે હમ વો તુમ્હી હો તુમ્હી – મૈં સુહાગન હું (૧૯૬૪) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ લછ્છીરામ (તોમર)

    હિંદી ફિલ્મોનાં કેટલાંય સદાકાલીન ગીતો એવાં છે કે જેના સંગીતકાર કે પરદા પર અભિનિત કરતાં કલકાર, કે ખુદ ફિલ્મ સુદ્ધાં, અશ્મિભૂત થઈ ગયાં હશે!

    તસવીર બનાતા હું તેરી ખુન -એ – જિગર સે – દીવાના (૧૯૫૨) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ

    ‘ટી’ પર મોહમ્મદ રફીએ ગાયેલાં તંગ આ ચુકે હૈ કશ્મક્શ – એ – જિંદગસે હમ, (પ્યાસા, ૧૯૫૭ – સંગીતઃ એસ ડી બર્મન), તુઝે ક્યા સુનાઉં મૈં દિલરૂબા (આખરી દાવ, ૧૯૫૮ – સંગીતઃ મદન મોહન ), તુમ એક બાર મુહબ્બતકા ઇન્તહામ તો લો (બાબર, ૧૯૬૦ – સંગીતઃ રોશન), તક઼દીર કા ફસાન, જા કર કિસે સુનાયેં ઇસ દિલમેં જલ રહી હૈ અરમાંકી ચિતાયેઃ (સેહરા, – સંગીતઃ રામલાલ), જેવાં ગીતોમાંથી કોઈ એકને પસંદ કરવું ખરેખર વસમું કામ છે.

    આટલું ઓછું હોય તેમ ‘ટી’થી શરૂ થતાં તસવીર ગીત તેરી તસવીર ભી તુઝ જૈસી હસીન હૈ લેકિન (કિનારે કિનારે, ૧૯૬3 સંગીતઃ જયદેવ), પેરોડી ગીત તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી, મર જાઉંંગા મૈ કેસે તુ જો આ ન સકેગી (દેવર ભાભી, ૧૯૫૮, સંગીતઃ રવિ), તેરી સુરત સે નહીં મિલતી કિસીકી સુરત, હમ જહાંમેં તેરી તસવીર લીયે ફિરતે હૈં (ઝિદ્દી, ૧૯૬૪ – સંગીતઃ એસ ડી બર્મન),  અને તુ હી વો હસીં જિસકી તસવીર ખયાલોંમેં બસી રહેતી હૈ  (ખ્વાબ, ૧૯૮૦  – સંગીતઃ રવિન્દ્ર જૈન) ઉપરાંત  ‘તસવીર’ ઉપર મોહમ્મદ રફીએ જ ગાયેલાં યે દુનિયા તેરે દિલકી તસવીર બાબા (શ્રીમતી ૪૨૦,૧૯૫૬ – સંગીત ઓ પી નય્યર), , અબ ક્યા મિસાલ દું મૈં તુમ્હારે શબાબકી……. તસવીર હો તુમ્હીં મેરે જન્નતકી (આરતી, ૧૯૬૨, સંગીતઃ રોશન), યાદ ન જાયે બીતે દીનોંકી…. તસવીર ઉનકી છુપા કે રખ દું જહાં જી ચાહે (દિલ એક મંદિર, ૧૯૬૩, સંગીતઃ શંકર જયકિશન), , જો બાત તુઝમેં હૈ તેરી તસવીરમેં નહીં (તાજ મહલ, ૧૯૬3 સંગીતઃ રોશન), જાનેવાલો ઝરા મુડકે દેખો મુઝે …. મૈં વિધાતાકે હાથોંકી તસવીર હું (દોસ્તી, ૧૯૬૪ – સંગીતઃ લક્ષ્મીકાન્ત પ્યારેલાલ), જન્નત કી હૈ તસવીર….. યે કશ્મીર ન દેંગે – (જોહર ઈન કશ્મીર, ૧૯૬૬ – સંગીતઃ કલ્યાણજી આણંદજી), દિલકે આઈનેમેં તસ્વીર તેરી રહેતી હૈ (આઓ પ્યાર કરેં, ૧૯૬૪ – સંગીતઃ ઉષા ખન્ના), જિનકી તસવીર નિગાહોંમેં લિયે ફિરતે હૈં (હુસ્ન ઔર ઈશ્ક઼, ૧૯૬૬ – સંગીતઃ ગણેશ), દિલકે ઝરોંખોમેં બીઠાકર.. આખોંમેં રહતી હૈ તસવીર તેરી … (બ્રહ્મચારી, ૧૯૬૮ – સંગીતઃ શંકર જયકિશન), યકીન કર લો …. તુમ્હારી તસવીર હૈ નજ઼રમેં….. (યકીન, ૧૯૬૯ – સંગીત શંકર જયકિશન), મહેબુબા તેરી તસવીર, કિસ તરહ મૈં બનાઉં નહીં બનતી (ઈશ્ક઼ પર જોર નહીં, ૧૯૭૦ – સંગીતઃ એસ ડી બર્મન)     અય મુસ્સવીર મેરે મહેબુબકી તસવીર બના (ઈંસાન ઔર ઈંસાન, ૧૯૮૫ – સંગીતઃ  હેમરાજ રત્નદીપ) અને અર્ધો ડઝન જેવાં યુગલ ગીતો આ યાદીમાં ભળે તો તો એમ જ થાય કે આ ગીતોમાંથી પસંદગી કરવી એના કરતાં તો આ ગીતોને લઈને એક અલગ જ લેખ બનાવી લઈએ.

    પ્રસ્તુત ગીતમાં સંગીત અને ગાયકની તો અનોખી કમાલ છે જ , પણ ગીતકારે પણ કમાલ કરવામાં કોઈ કસર નથી છોડી.

    જિતને ભી મિલે રંગ વો સબ ભર દિયે તુઝમેં
    એક રંગ-એ-વફા ઔર હૈ લાઉં વો કિધર સે

    અને પછીથી કુદરત તરફ નજર દોડાવેલી પણ પાછી પડે છે….

    સાવન તેરી ઝુલ્ફોંસે ઘટા માંગકે લાયા,
    બીજલીને ચુરાઈ હૈ તડપ તેરી નઝરોંસે….

    ઉન્હેં કિસ્સા – એ – ગમ લિખને જો બૈઠે તો દેખે કલમકી રવાનીમેં આંસુ – નયા કાનૂન (૧૯૬૫) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ મદન મોહન

    પરંપરાગત રીતે ગીતની શરૂઆત મુખડાથી થાય તેને બદલે આ નઝ્મ તો સીધે સીધી અંતરાઓનું જ પઠન છે. કોઈ પણ જાતનાં સંગીત કે તાલવાદ્યની સંગત સિવાય જ મોહમ્મદ રફી આ ગીતને તેમની અનોખી ગાયકીની શૈલીમાં રજૂ કરે છે. દરેક અંતરાની શરૂઆત લાગણીઓની તીવ્રતા દર્શાવતા ઊંચા સ્વરમાં છે જે સમાઈ જતાં છેલ્લે આંસુ સુધી પહોંચતાં ઉર્મિશીલ નરમાશમાં પરિવર્તીત થઈ રહે છે.

    આ ગીતનું આશા ભોસલેના સ્વરનું સંસ્કરણ રેકોર્ડીંગ સ્ટુડીઓમાં ગવાતું બતાવાયું છે.

    વિધિને દેખો વિરહ મિલન બેલા કા કૈસા ખેલ રચાયા – રામ રાજ્ય (૧૯૬૭) – ગીતકારઃ ભરત વ્યાસ – સંગીતઃ વસંત દેસાઈ

    રામની જીવન કથાને મોહમ્મદ રફી પૂર્ણતઃ ભાવપૂર્વક રજુ કરે છે.

    આ ગીત સુમન કલ્યાણપુર સાથે યુગલ ગીતનાં સ્વરૂપે પણ છે. તેની ઓડીયો ક્લિપ જ મળે છે એટલે ગીત કયા સંદર્ભમાં રજું થયું હશે તે ખબર નથી પડતી. પરંતુ રફી કરૂણ ભાવના અલગ સ્વરમાં ગીતને રજુ કરે છે.

    વો સાદગી કહેં ઇસે દીવાનગી કહેં  ઉનકા બઢા જો હાથ યહાં દિલકા દિયા – શમા (૧૯૬૧) – ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ ગુલામ મોહમ્મદ

    માત્ર અને માત્ર રોમાસના ભાવની અભિવ્યક્તિ ગીતની ધુન, વાદ્યસજ્જા, બોલ અને ગાયકીમાં છવાયેલાં રહે છે.

    યે ઝુકે ઝુકે સે નૈના યે લટ બીખરાતી તો દિલ મેરા ક્યું ન હો દીવાના તેરા – ભરોસા (૧૯૬૩) – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃ રવિ

    ગુરૂ દત્ત સામાન્ય રીતે દિલફેંક રોમીયાના કિરદારોમાં જોવા ન મળે. અહીં પણ તે એક સીધા સાદા ગ્રામ્યવાસી યુવાની જ ભુમિકામાં છે. પણ તેથી બાગબગીચામાં પ્રેમિકાની પાછળ પાછળ પોતાના પ્રેમની અભિવ્યક્તિ તે ન કરી શકે એવું થોડું હોય !

    ઝિંદગી કે સફરમેં અકેલે થે હમ મિલ ગયે તુમ તો દિલ કો સહારા મિલા – નર્તકી (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ

    અહીં પ્રેમની અભિવ્યક્તિ સાવ જ અલગ જ અંદાજમાં જોવા મળે છે. પહેલાં એકલા હતા એમાંથી હવે મળી ગયેલ પ્રેમની સરવાણીઓના મંદ મંદ પ્રવાહમાં પ્રેમીના દિલના ભાવની નાવ વહી નીકળી છે.

    મોહમ્મદ રફીના સ્વરની આપણી સફરનાં એ થી ઝેડ સુધીનાં પ્રકરણની આ એક પ્રકારની રજુઆત હતી. હવે પછી પણ મોહમ્મદ રફીના સ્વરની યાદોની સફર ચાલતી રહેશે.


    મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Mohammad Rafi from A to Z    નો આંશિક અનુવાદ

  • આપણી સિદ્ધિ: વિજ્ઞાનની સહાયથી અવૈજ્ઞાનિક અભિગમનો પ્રસાર

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિજ્ઞાન સાથે આપણો પનારો રોજબરોજ પડતો રહે છે, પણ એ આપણામાં વૈજ્ઞાનિક અભિગમ કેળવી શકતો નથી એ હકીકત છે. વિજ્ઞાનના ઉપયોગ થકી આપણે પ્રસાર તો મુખ્યત્વે અંધશ્રદ્ધા, ગેરમાન્યતા, જૂઠાણાં અને ધિક્કારનો જ કરતા રહીએ છીએ. કમ સે કમ આ મામલે કોઈ અન્યને દોષ દઈ શકાય એમ નથી. આપણી સામૂહિક માનસિકતાનું કદાચ આ પ્રતિબિંબ હશે. આથી જ જાન્યુઆરી, ૨૦૨૪માં એક મહત્ત્વની ઘટના બાબતે સાવ છૂટીછવાઈ નોંધ લેવાઈ.

    ‘ઈન્‍ડિયન સાયન્‍સ કોંગ્રેસ એસોસિયેશન’ (આઈ.એસ.સી.એ.)નું 109મું વાર્ષિક સત્ર પંજાબના લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી, જલંધર ખાતે ત્રીજીથી પાંચમી જાન્યુઆરી દરમિયાન ભરાવાનું હતું. આ સંસ્થા ખાનગી હોવા છતાં સરકારની નાણાંકીય સહાયથી દર વરસે આ સત્ર યોજાતું હતું, જેમાં ભારતીય વિજ્ઞાનની શ્રેષ્ઠ પ્રતિભાઓ હિસ્સેદાર બનતી હતી અને વિદ્યાર્થીઓ તેમજ જનસામાન્યમાં વિજ્ઞાનને લોકપ્રિય બનાવવાની ભૂમિકા અદા કરતી હતી. વિજ્ઞાનીઓ, યુનિવર્સિટી, પ્રાધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ વચ્ચે વૈજ્ઞાનિક ચર્ચા માટે જરૂરી મંચ આ સત્ર પૂરું પાડતું હતું. હવે આ વરસે સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે આ ઉપક્રમમાંથી પોતાના હાથ પાછા ખેંચી લીધા છે. આખો ઘટનાક્રમ સમજીએ.

    અમુક લોકોના મતે સત્ર રદ થવાની ઘટના અભૂતપૂર્વ અવશ્ય છે, પણ આશ્ચર્યજનક જરાય નથી. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં આ સંસ્થાની પ્રતિષ્ઠામાં નોંધપાત્ર ઘટાડો થતો રહ્યો છે. દેશના મોટા ભાગના સન્માનનીય વિજ્ઞાનીઓ હવે આમાં ભાગ લેવાનું ટાળવા લાગ્યા છે. અગ્રણી સંશોધન સંસ્થાઓ તેમજ પ્રયોગશાળાઓની હાજરી હોય છે, પણ કેવળ નામ પૂરતી. વિજ્ઞાનના સાંપ્રત મુદ્દાઓ બાબતે જવલ્લે જ ચર્ચા થાય છે. છેલ્લા થોડા વરસોમાં કશી અર્થપૂર્ણ વિજ્ઞાનલક્ષી ચર્ચાને બદલે વિવાદ થકી તે વધુ ચર્ચામાં રહી છે. વિજ્ઞાનના ક્ષેત્રે સાવ તુચ્છ પ્રદાન ધરાવનારાઓ આ કાર્યક્રમના મંચ પર ચડી બેસે છે. સમગ્રપણે વિજ્ઞાનની બિરાદરી અને સરકાર બન્ને આ બદલાવથી નાખુશ હતા. ભારતીય વિજ્ઞાનની છાપ આનાથી બગડી રહી હોવાનું સૌને લાગતું હતું. આવાં કારણોસર સરકારે આ સંસ્થાના પાંચ કરોડના ફંડને અટકાવી દીધું છે.

    બીજી તરફ એક મોટો વર્ગ માને છે કે આ વાર્ષિક સત્ર બંધ રાખવું અયોગ્ય છે. કેમ કે, આ સંસ્થાની ભૂમિકા અતિ મહત્ત્વની છે, ખાસ કરીને ગેરમાહિતી અને ગેરમાન્યતાઓનો પ્રસાર આટલી ઝડપે થઈ રહ્યો હોય એવા આ યુગમાં. કારણ એ કે આ મંચ થકી નાનાં નગરો અને શહેરોના વિજ્ઞાનની વિવિધ શાખા યા ક્ષેત્રોના લોકો એકમેકને મળી શકે છે, અને વિચારોનું આદાનપ્રદાન કરી શકે છે. સંશોધનના વ્યાપને વિસ્તારવામાં તેમજ યુનિવર્સિટી અને કૉલેજોમાં સંશોધનક્ષમતા વધારવામાં આ માધ્યમ ઉપયોગી નીવડી શકે છે. સરકાર દ્વારા નવાસવા રચાયેલા ‘નેશનલ રિસર્ચ ફાઉન્‍ડેશન’નો મુખ્ય હેતુ આ જ છે.

    સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે સરકારની મંજૂરી વિના, એકપક્ષી નિર્ણયથી કાર્યક્રમનું સ્થળ લખનઉથી બદલીને જલંધર કરવાનો આક્ષેપ મૂક્યો છે. ‘વિજ્ઞાનની બિરાદરીમાં તેણે પોતાની પ્રસ્તુતતા ક્યારની ગુમાવી દીધી હોવાનો અને આ કાર્યક્રમના આયોજનમાં અનેક મોરચે વ્યાવસાયિક અભિગમનો અભાવ હોવાનો’ આક્ષેપ પણ કર્યો છે. હજારો વિજ્ઞાનીઓ, સંશોધકો, યુનિવર્સિટી તેમજ વૈજ્ઞાનિક સંસ્થાઓના સભ્યો તેમજ શાળાના વિદ્યાર્થીઓ આ સત્રમાં ઉપસ્થિત રહેતા હોય છે.

    અહીં નિયમીતપણે ઉપસ્થિત રહેતા, આ વાતાવરણથી પરિચીત અધિકારીઓ અને વિજ્ઞાનીઓ માને છે કે વાર્ષિક સત્રની સામગ્રીમાં સુધારણા થવી જોઈએ અને દેશના હાર્દ સમી વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ માટે આ કાર્યક્રમની પ્રસ્તુતતા બાબતે સવાલ ઉઠાવવો યોગ્ય નથી.

    આ કાર્યક્રમને આર્થિક અનુદાન ન આપવાના સરકારના નિર્ણય પાછળ ઘણા બીજા પણ એક કારણને જવાબદાર માને છે. ‘વિજ્ઞાનભારતી’ નામની સંસ્થાના વાર્ષિક કાર્યક્રમ ‘ઈન્ડિયા ઈ‍ન્‍ટરનેશનલ સાયન્‍સ ફેસ્ટીવલ’ (આઈ.આઈ.એસ.એફ.)ને સરકાર આગળ કરવા માગતી હોવાનું ઘણાનું માનવું છે. ‘વિજ્ઞાનભારતી’ની ઓળખ ‘સ્વદેશી જુસ્સા સાથેની વૈજ્ઞાનિક ચળવળ, જે પરંપરાગત અને આધુનિક વિજ્ઞાન તેમજ પ્રાકૃતિક અને આધ્યાત્મિક વિજ્ઞાનને સાંકળતી’ હોવાની છે. ૨૦૧૫થી તે સરકારની સહાયથી ‘આઈ.આઈ.એસ.એફ.’નું આયોજન નિયમીત ધોરણે કરી રહી છે, અને ‘આઈ.એસ.સી.એ.’ માટે ફાળવવામાં આવતા પાંચ કરોડની સરખામણીએ આ સંસ્થા પાછળ સરકાર દ્વારા વીસથી પચીસ કરોડ ફાળવવામાં આવે છે.

    ‘આઈ.એસ.સી.એ.’ની રોનક ઓસરી રહી છે એ હકીકત છે, તો સામે પક્ષે ‘આઈ.આઈ.એસ.એફ.’ પણ વિજ્ઞાનના સંમેલનને બદલે વિજ્ઞાનનો મેળાવડો હોવાનું મુમ્બઈના હોમી ભાભા સેન્‍ટર ફોર સાયન્‍સ એજ્યુકેશનના ખગોળશાસ્ત્રી અનિકેત સુળેનું માનવું છે. પ્રો.સુળે બન્ને પ્રકારના કાર્યક્રમોમાં નિયમીતપણે ભાગ લેતા આવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર ‘આઈ.એસ.સી.એ.’નું મૃત્યુ ચિંતાજનક નથી, ખરી ચિંતા તેના મૃત્યુના કારણની છે. ‘વિજ્ઞાનભારતી’ દ્વારા આયોજિત ‘આઈ.આઈ.એસ.એફ.’ને આગળ કરવા માટે ‘આઈ.એસ.સી.એ.’નો બલિ ધરવામાં આવી રહ્યો છે.

    ‘આઈ.એસ.સી.એ.’નાં અગાઉનાં વાર્ષિક સત્રો દરમિયાન તેની ગરિમા ઝંખવાય એવા કેટલાક બનાવો પણ બનતા રહ્યા હતા. ૨૦૧૬માં માયસોર ખાતે ભરાયેલા તેના વાર્ષિક સત્રમાં એક સનદી અધિકારીએ એ વિષય પર વાર્તાલાપ આપ્યો હતો કે શંખ ફૂંકવાથી સ્વાસ્થ્ય સુધરે છે. એ પછી ૨૦૧૮માં ઈમ્ફાલ ખાતે યોજાયેલા સત્રમાં કેન્‍દ્રીય વિજ્ઞાનમંત્રી હર્ષવર્ધનનો દાવો હતો કે સ્વર્ગીય ભૌતિકશાસ્ત્રી સ્ટીફન હૉકિંગે જણાવેલું કે આઈન્‍સ્ટાઈનના સાપેક્ષવાદના સિદ્ધાંત કરતાં ચડિયાતો સિદ્ધાંત વેદ પાસે છે.

    આપણી સંસ્કૃતિ સર્વોત્તમ હોવાનું, તેમાં પશ્ચિમી વિજ્ઞાનના તમામ આવિષ્કારો સમાયેલા હોવાનું મિથ્યાગૌરવ આપણા દેશનો મોટો વર્ગ લઈ રહ્યો છે, જેનો પૂરેપૂરો રાજકીય લાભ ઉઠાવવામાં આવે છે. ટેક્નોલોજી વિજ્ઞાન છે અને વિજ્ઞાનની સહાયથી અવૈજ્ઞાનિક અભિગમનો પ્રસાર જોરશોરથી, ગૌરવપૂર્વક તેમજ ઝડપભેર કરવામાં એક નાગરિક તરીકે આપણે સૌ પ્રવૃત્ત હોઈએ ત્યાં વિજ્ઞાન ક્ષેત્રે કાર્યરત એક સદી જૂની સંસ્થાને આયોજનબદ્ધ રીતે પૂરી કરવામાં આવે એનાથી આપણને શો ફેર પડે!


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫– ૦૨ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ઉપાડો જડ પડદા!

    હરેશ ધોળકિયા

    જગતમાં ત્રણ પ્રકારનાં વ્યકિતત્વ ધરાવતા લોકો છે.

    પહેલા છે ‘ સૂર્ય જેવા પ્રકાશિત લોકો.’ આ લોકોની ખાસીયત એ છે કે તેઓ સ્વયં પ્રકાશિત છે. એટલું જ નહીં, બીજાઓને પણ પ્રકાશ આપે છે. તેઓ પરમ સ્વતંત્ર લોકો છે. તેમને કોઈ કયારેય પણ એક પળ માટે પણ બંધનમાં રાખી શકે નહીં. બીજું, તેઓ પ્રજ્ઞાશીલ લોકો છે. તેમની પ્રજ્ઞા કલ્પનાતીત ઝળહળતી રહે છે જેના પ્રકાશમાં વિશ્વ પ્રગતિ કરે છે. આજ સુધીની બધી જ પ્રગતિ આ પ્રજ્ઞાશીલ લોકોના કારણે થઈ છે. આવા લોકો એક પળ પણ સમાજમાંથી ખસે તો સમાજ છિન્નભિન્ન થઈ જાય. આજ સુધીના જગતના વિવિધ ક્ષેત્રોના મહાન લોકો એ આ સૂર્ય જેવા પ્રકાશિત લોકો છે. તેમાં ઋષિઓ, સંતો, વિરલ વિજ્ઞાનીઓ વગેરે લોકો આવે છે જેઓ દુનિયાને સતત સ્વસ્થ પ્રગતિ તરફ લઈ જાય છે. આવા લોકો વિરલ હોય છે. ત્રણસો-ચારસો વર્ષોમાં એકાદ વાર આવતા હોય છે.

    બીજા છે ” ચન્દ્ર પ્રકાશિત લોકો.” આ લોકો પણ એટલા જ તેજસ્વી છે, પણ તેમનો પ્રકાશ સૂરજ જેટલો ઝળહળતો નથી. ચન્દ્ર જેવો ઝળહળે છે. પેલા લોકોના કારણે સમગ્ર વિશ્વને લાભ થાય છે, તો આ લોકોના કારણે તેમના ક્ષેત્રને ફાયદો થાય છે. આમાં વિજ્ઞાનીઓ, વિચારકો, કર્મનિષ્ઠો, ઉતમ સેવકો વગેરે આવે છે. આ લોકોના કારણે પણ જગતને ફાયદો જ થયા કરે છે. માત્ર ક્ષેત્ર મર્યાદિત છે.

    અને ત્રીજા છે ” આગિયાનો પ્રકાશ ધરાવનારા લોકો.” તેમના પાસે તો માત્ર ટીમટીમાતો પ્રકાશ હોય છે. ઝળહળાટનો તો સવાલ જ નથી. આ બાબતનું તેમને ભારે દુઃખ હોય છે. તેમનો અહંકાર તેના કારણે સતત ઘવાય છે. એટલે તેઓ એક જ કામ કરે છે કે પહેલા બે લોકો સામે પોતાની નબળી પાંખોથી સતત ધૂળ ઊડાડયા કરે છે. સૂર્યને ઝાંખો કરવાનો ભારે પ્રયાસ કરે છે. સાથે આ સૂર્ય લોકો નકામા છે, પોતાથી ઉતરતા છે એમ બરાડા પાડયા કરે છે. થોડી પણ પહેલા બેની સિધ્ધિ જોવા મળે કે, આજની ભાષામા, ટ્રોલ કરી તેમનું ચારિત્ર્ય હનન કરે છે. તેમનું આ એક માત્ર મુખ્ય કાર્ય કરે છે. તેમાં તેમને ભારે વિકૃત આનંદ આવે છે.

    પહેલા બે પ્રકારના લોકોના કામમાં કેમ સતત ખલેલ પહોંચાડયા કરવી અથવા કામ તેઓ કરે અને લાભ પોતે કેમ લેવો તે જ તેમનો મુખ્ય શ્રમ હોય છે. અને, કમનસીબે, ઘણી વાર તેઓ સફળ થતા દેખાય છે. કોઈ પ્રથમ પ્રકારના માણસને બદલે આગીયા પ્રકારના ” મહાન” માણસને આગળ કરી, તે આ માણસ કરતાં વધારે મહાન છે એમ સાબિત કરી, પેલાને ઉતારી પાડવાનો પ્રયાસ કરે છે. તે માટે જરુર પડે તો ઈતેહાસ બદલાવવાનો પણ પ્રયાસ કરે છે.

    દરેક સમાજમાં આ ત્રણ પ્રકારના લોકો હોય છે.

    અત્યારે ” આગીયા યુગ” ચાલે છે.

    એનો અર્થ નથી કે બીજા બે પ્રકારના લોકો નથી. હા, અત્યારે વૈશ્વિક કક્ષાના પ્રજ્ઞાશીલ-સૂર્ય પ્રકાશિત- લોકો સમગ્ર વિશ્વમાં કયાંય નથી. હમણાં આવવાની શકયતા પણ નથી. આગળ કહ્યું તેમ તેઓ વિરલ હોય છે. છેલ્લાઓમાં ગાંધી, વિનોબા કે આઈન્સ્ટાઈન હતા. હવે આવે ત્યારે સાચા. હા, બીજા પ્રકારના- ચન્દ્ર પ્રકાશિત-લોકો ઘણા છે. પોતપોતાના ક્ષેત્રમાં ઉતમ કામ કરે છે. પણ તેઓ આગીયા પ્રકાશિત લોકોની તુલનામાં લઘુમતિમાં છે. તેઓ પ્રચારમાં માનતા ન હોવાથી અને ચૂપચાપ કામ કરતા હોવાથી મીડિયા તેમની કયારે નોંધ નથી લેતું. મીડિયા તો પળેપળ આગીયા પ્રકાશના લોકોની ખુશામતમાં વ્યસ્ત છે. તેમની ખીદમત કરે છે. એટલે, અપવાદ બાદ કરતાં, આ લોકો વિશે લોકોને જાણ થતી નથી.એ સંદર્ભમાં આગીયા યુગ ચાલે છે.

    કોઈ પૂરાવા?

    ચારે તરફ નજર કરો. અત્ર સર્વત્ર દેખાશે. બધા ક્ષેત્રોમાં દેખાશે. છાપાં ખોલો, ટી.વી. ખોલો, ઈન્ટરનેટ ખોલો, મોટા ભાગના કાર્યક્રમોમાં જાવ, એ “મહાન” લોકોનાં દર્શન થશે. છાપાઓમાં સતત તેમને અભિનંદન મળતાં હશે (જે તે પોતાને જ ખર્ચે આપતા હશે ! ) કૂતરાંની પૂંછડીને અડકશે તો પણ તેને લોકાપર્ણ કહેવાતું હશે. વર્ણન કરતા હશે તે એક પણ કામ થયું નહીં હોય, છતાં તેની સિધ્ધિને ગવાતી હશે. તેમની ચાલીસાઓ લખાતી હશે. રેંકીંગમાં આગળ પડતા દેખાતા હશે. તેમનાં ચરિત્રો લખવા, તેમના ઈન્ટરવ્યૂ લેવા બધા પડાપડી કરતા હશે. તેઓ પણ પ્રમુખ કે મંત્રી કે છેવટે પંદરમા ઉપમંત્રી થવા મથામણ કરતા હશે. તે માટે જે તે સંસ્થાનું નિકંદન નીકળી જાય તેમાં તેમને વાંધો નહીં હોય. પણ પોતાને પદ મળવું જ જોઈએ. ” હું કોણ, ખબર છે ? મિયાં ફુસકી !” જેમ ભગવાન સર્વત્ર છે, તેમ આ આગીયાઓ પણ સર્વત્ર જોવા મળશે.

    આગીયાઓના લક્ષણ શું?

    સામાન્યતાની, સરાસરીપણાની હરિફાઈ. તેમને શ્રેષ્ઠત્વનો આગ્રહ નથી હોતો. સામાન્ય કામ હોય તો પણ ચાલે. કર્યા પછી તરત કામ નબળું પડી બગડી જાય તો પણ ચાલે. (અને આમ જ થતું હોય છે.) અને કામ કરતાં ભ્રષ્ટાચાર મહત્વનો હોય છે. કામ સારું કર્યું હોય કે ન કર્યું હોય, છતાં તેને જ કામ મળવું જોઈએ તેવો હિંસક આગ્રહ. ઉતમ કામ કરનાર હાજર હોય તો તેને ન જ મળે તેવા તીવ્ર પ્રયાસો કરવા.

    ” પણ તેમાં તમને વાંધો શું છે ? તમને પ્રમુખપદ નથી મળતું માટે ઈર્ષ્યા તો નથી કરતાને?”

    આગીયાની વળી કયારેય ઈર્ષ્યા થાય ! તો તો તે કરનાર પોતે પણ પરમ આગીયો જ બની જાય.

    તો?

    ચિંતા સમાજની થાય છે. હજારો વર્ષોની ત્રદ્ષિઓની મહેનત પછી ભારતીય કે વૈશ્વિક સમાજ ઊભો થયો છે. લાખો કરોડો લોકોએ પોતાના ભોગ આપ્યા છે. અનેક ઉતમ સંસ્થાઓ સર્જી છે. ઉતમ નિયમોની રચના કરી છે. અનેક મૂલ્યો ઊભાં કર્યા છે. લાખો લોકોએ પોતાના જીવ આપી ભારતને સ્વતંત્રતા અપાવી છે. તે પછી પણ અનેક લોકોએ રાત દિવસ શ્રમ કરી તેને
    સમૃધ્ધ બનાવેલ છે. સર્જન કરતાં વર્ષો લાગે છે.

    પણ આ આગીયાઓને આ બધાની જરા પણ નથી પડી. તેમને રસ છે પોતાની સામાન્યતાનો સતત પ્રચાર કરવાનો. ઉતમ લોકોને સતત ટ્રોલ કરવાનો. તેમનું ચારિત્યહનન કરવાનું. બીજું કશું ન મળે તો ધર્મ કે કોમ કે રંગના નામે વ્યકિતને ખલાસ કરી નાખવી. લોકોને ઉશ્કેરી નાખવા અને તેના કારણે જો લીંચીંગ કે હત્યા પણ થાય તો ખુશ થવું. તેના વીડિયોઝ મોકલવા. ભારતીય સમાજ આમ પણ હજારો વર્ષોથી જ્ઞાતિઓમાં વિભાજિત છે. પણ ગ્રામ્ય સમાજ હતો ત્યાં સુધી, દુઃખી હોવા છતા, અનુકૂલન કરી રહેતા હતા. પાછળથી તેમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ભળ્યા. વિખવાદો થતા, પણ ભારતીય સંસ્કૃતિ ઉદાર હોવાથી તેમને પણ સમાવી લેવામાં આવતા. પણ અંગ્રેજોએ આ વિભાજનવૃતિને ઉશ્કેરી. બે કોમને સતત લડાવી મારી. મૂર્ખ અને ઝનૂની આગીયા લોકો ન સમજયા અને લડતા રહ્યા. વિશ્વામિત્રથી લઈ બુઘ્ધ, કબીર, નાનક, નરસિંહ મહેતા, ગાંધીજી બધાએ સમાજને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કર્યો. પણ દેશનું વિભાજન થઈને જ રહ્યું. કરોડો લોકોને ભયાનક તકલીફો પડી. તેમાં જેટલો અંગ્રેજોનો વાંક હતો, તેટલો જ આપણો પણ વાંક હતો કે વગર સમજયે આપણે તેમને વશ થઈ જતા હતા. સ્વાતંત્ર્ય પછીના શરુઆતના લોકોએ પુનઃ શાંતિ સ્થાપવાના મહારથ પ્રયાસો કર્યા અને સફળ થયા. પણ તેઓ જતાં નેતૃત્વ આગીયાઓના હાથમાં આવી ગયું. બસ ! પછી શું જોઈએ. ફરી વિભાજિત માનસને ઉશ્કેરવાની શરુઆત થઈ છે. વ્યર્થ લોકોને મહત્વ અપાય છે. વ્યર્થ કાર્યો કરાય છે. પાયાના મુદાઓને અવગણાય છે. પણ આ બધાના પરિણામે હજારો વર્ષોથી સર્જાયેલ સંસ્કૃતિ વિખરાઈ રહી છે. ચારે બાજુ અસ્વસ્થતા પ્રસરતી જાય છે. કલાઈમેટ ચેન્જ કે કોરોના કરતાં આ વિભાજિત માનસને ઉશ્કેરવાની પ્રવૃતિ વધારે જોખમી, પ્રાણઘાતક છે. સમાજને પાયાથી હલાવી રહેલ છે. સમાજના પાયાને નબળો બનાવી રહેલ છે. એક બાજુ વૈશ્વિકરણ થતું જાય છે, મંગળ પર જવાની વાતો થાય છે અને અહીં આગીયાઓ દસમી સદીમાં ઘસડી રહ્યા છે. પહેલા બે પ્રકારમાંથી નેતૃત્વ નથી. હોય તો આ આગીયાઓ તેમને આવવા દે તેમ નથી. આવે તો પળમાં ખલાસ કરી નાખે છે. મારી પણ નાખે છે. એટલે તેઓ ચૂપ છે. માટે આ આગીયાઓ નિરંકુશ છે. માત્ર ભારતમાં જ નહીં, સર્વત્ર આ સ્થિતિ છે. આ તો સારું છે કે એંસી ટકા લોકો શાંત છે. માટે શાંતિ રહે છે. પણ તેઓ પણ સમજી શકતા નથી કે કોને ટેકો આપવો. મોટા ભાગના વિચાર કરી શકતા નથી. એટલે આવેશને વશ થઈ જાય છે.

    આનો ઉપાય નથી?

    એના માટે સૂર્ય પ્રકાશિત લોકોની હાજરી અનિવાર્ય છે. તેમની પ્રજ્ઞા, તટસ્થતા, તેમનું ભવ્ય વ્યકિતત્વ જ આ કરી શકે. તે શકય નથી. ચન્દ્ર પ્રકાશિત લોકો પણ કરી રહ્યા છે, પણ તેમનો પ્રભાવ તેમના ક્ષેત્રમાં વધારે છે. સમગ્ર સમાજમાં નથી હોતો. છતાં નાના મોટા પ્રયાસો સર્વત્ર થઈ રહ્યા છે. તે બ્રેક મારવાનું ચોકકસ કામ કરે છે. પણ સોશિયલ મીડિયાને અટકાવી શકાય તેમ નથી. તેમાંથી ઓકાતું વિષ અટકાવી શકાય તેમ નથી. લોકો પોતે સમજે, આગીયાઓને નકારે, સાચા લોકોને જ આગળ કરે, તો જ સ્વસ્થતાની શકયતા છે.

    આમ તો આ કામ શિક્ષણનું છે, પણ શિક્ષણ વ્યાપારીકરણમાં ફસાઈ ગયું છે. એટલે તેના પાસેથી પણ અત્યારે સો ટકા આશા રાખી શકાય તેમ નથી.

    સ્વસ્થ-શાંત લોકો જ આશા છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ખોવાયા છે : શા માટે ઘર છોડી ચાલ્યા જતા હશે દેખીતી રીતે સુખી લાગતા લોકો ?

    સંવાદિતા

    ઘર છોડી જનાર દરેક માણસ કંઈ અપરિપક્વ કે પલાયનવાદી હોતો નથી. એ દરેકને ઘર અને સ્વજનો સાથેના જીવનમાં કશુંક ખૂટતું – તૂટતું લાગે છે જે એને કદાચ અન્યત્ર મળી જવાની આશા હોય છે .

    ભગવાન થાવરાણી

    છાપામાં આપણે છાશવારે ‘ ખોવાયા છે ‘ , ‘ ચાલ્યા ગયા છે ‘ , પતો આપનારને યોગ્ય બદલો ‘ અને ‘ તું પાછો આવી જા, તને કોઈ ખીજાશે નહીં’ જેવી જાહેરાતો વાંચતા હોઈએ છીએ. જાહેર સ્થળો, બસ કે રેલ્વે સ્ટેશન, ચોક, દીવાલો અને શૌચાલયોમાં પણ આવી જાહેરાતના પોસ્ટર ચોંટાડેલા હોય છે.
    બાળકોના અપહરણ, ઘરેથી ચોરી-ચપાટી કરી ભાગી છૂટેલા બાળકો કે પ્રેમીઓ અને માનસિક રીતે અસ્વસ્થ ભાગેડૂઓનું તો જાણે સમજ્યા પરંતુ સંપૂર્ણ સાજા-નરવા, સમજદાર, પુખ્ત અને વિશેષ તો દરેક રીતે સુખી લાગતા લોકો શા માટે ઘર છોડીને ચાલ્યા જતા હશે ? શું ઓછું આવી જતું હશે આવા લોકોને એ એક કોયડો છે. દરેક સંભવિત કારણોમાંથી કોઈ એક સર્વસામાન્ય અને પ્રતિતિકર તારણ કાઢવું અઘરી વાત છે.
    હિંદી લેખક નિર્મલ વર્માની લાંબી વાર્તા ‘ કવ્વે ઔર કાલા પાની ‘ આવા એક માણસ અને એના પરિવારની વાત કરે છે. એ દસ વર્ષ પહેલાં રાતોરાત ઘર છોડી ચાલ્યા ગયેલા એકંદરે સુખી લાગતા ત્રણ ભાઈઓમાંના વચેટ ભાઈની કથા છે. એના પરિવાર જનો – મોટા ભાઈ, નાનો ભાઈ, પિતા ( જે હવે મૃત્યુ પામ્યા છે ) અને મા – એને શોધવા શહેરની પોલિસ ચોકીઓ, ઈસ્પિતાલો અને શબઘરો ઘૂમી વળે છે પણ એની ભાળ મળતી નથી. એ મૃત્યુ પામ્યો હશે એમ બધા ધારી લે છે અને અચાનક એક દાયકા પછી એનો પત્ર આવે છે. એ શહેરથી જોજનો દૂર કુમાઉંની પહાડીઓમાં વસે છે. એનો નાનો ભાઈ અને વાર્તાનો સહનાયક ‘ કુટુંબના ભલા ‘ માટે એને મળવા નીકળી પડે છે. એ પોતે ઘર – ગૃહસ્થી અને બાળકોવાળો સરેરાશ મધ્યમવર્ગીય ‘ જવાબદાર ‘ નોકરિયાત છે જે ઘરથી આટલે દૂર ક્યારેય ગયો નથી. મોટા ભાઈએ પરાણે એને ભાઈને મળવા મોકલ્યો છે. સાથે બાપદાદાના વખતનું મકાન વેચવા માટેના દસ્તાવેજોમાં એ વચેટ ભાઈની સહી લેવા પણ !
    ભાઈ હવે પહાડો વચ્ચે આવેલા અને કોઈ રીતે હિલ – સ્ટેશન ન કહેવાય એવા દુર્ગમ ગામના ઉપરવાસમાં આવેલા જંગલમાં સન્યાસી જીવન ગાળે છે પણ મનથી સન્યાસી નથી. ગામલોકો માટે એ બાબા કે સ્વામીજી છે. એ એકલો રહે છે. નાનો ભાઈ એને મળે છે. એને એવી કોઈ ઈચ્છા નથી કે ભાઈને ઘરે પરત આવવાનું કહે. પોતાની સ્થિર ચાલી જતી જિંદગીમાં આ ભાઈ પરત આવી વિક્ષેપરૂપ બને એવી કોઈ ઈચ્છા એની કે મોટા ભાઈની પણ નથી. માની ઈચ્છાને તો ગણકારે છે જ કોણ ? એ સાથે મકાનના કાગળો અને મા અને મોટાભાઈની ચિઠ્ઠીઓ પણ લઈ ગયો છે. ( જેથી મકાનના કાગળોમાં સહીઓ કરાવવાનું સરળ રહે ! ) ભાઈને મળતાં, બધા સાથે હતા એ સમયની સ્મૃતિઓ તો સળવળે છે પરંતુ થોડીક વાર માટે જ. નાનાનો મુખ્ય હેતુ તો ભાઈની સહીઓ લઈ પરત પોતાના સુરક્ષિત જીવનમાં નાસી છૂટવાનો જ છે. હવે સન્યાસી લેખાતો ભાઈ કહે છે પણ ખરો કે મેં કશું ત્યાગ્યું નથી. મને હજી પણ તમે બધા યાદ આવો છો. હું સન્યાસી નથી. લોકોની મારામાં આસ્થા એ એમની શ્રદ્ધાની વાત છે. મારામાં એવું કશું ચમત્કારિક નથી. તમારા બધાથી અળગો રહું છું એટલું જ. હું કોઈ જ્ઞાન – ધ્યાન કે પૂજા – પાઠ કરતો નથી. કુટુંબ સાથે હતા ત્યારની એમની શ્વાસની તકલીફ પણ હજુ જેમની તેમ છે. એ નાના ભાઈને એ જ ભાવપૂર્વક મળે છે જે પહેલાં હતો. ઘરના બધાના ખબરઅંતર પૂછે છે, માના વિશેષ. બબ્બે દીકરા શહેરમાં હોવા છતાં એ એકલી રહે છે એનું દુખ વ્યક્ત કરે છે. યથાસંભવ સરભરા કરે છે એ એના ‘ છોટે ‘ ની. દસ વર્ષના અંતરાલ પછી નાનાને આ વચેટ ભાઈ એમના મૃત પિતાની પ્રતિકૃતિ સમા લાગે છે.
    પૈતૃક મકાન વેચીને એ પૈસાનું ઉપજાઉ રોકાણ કરવાની વાત એમને રુચતી નથી પણ એ કોઈ રકઝક કરતા નથી. એ નાના ભાઈને ભાર અને ભાવપૂર્વક પોતાની સાથે રાત રોકાઈ જવા કહે છે પણ નાનાને હવે અજાણ્યા લાગતા ભાઈ સાથે રહેવું મંજૂર નથી. નાનો ભાઈ એમને પૂછે છે, ‘ આટલા વર્ષો તમે અમને જાણ પણ ન કરી કે તમે અહીં છો ! ‘ જવાબ  ‘ શો ફાયદો ? જીવતો છું એ જાણી તમારી કઈ તકલીફ ઓછી થાત ! ‘  પ્રતિ પ્રશ્ન  ‘ તો હવે કેમ લખ્યું ? ‘ જવાબમાં મૌન.
    અમુક સત્યો સાવ અનાવશ્યક હોય છે. એમને કહેવા – ન કહેવાથી કશો ફરક નથી પડતો. ‘ તો તમે ઘર છોડીને શા માટે જતા રહ્યા ? ‘  જવાબ  ‘ ત્યાંના લોકો માટે મારું કોઈ મહત્વ નહોતું એટલે. ‘  ‘ અને અહીં ? ‘  ‘ અહીં લોકો છે જ ક્યાં ! ‘  નાનાનો છેલ્લો પ્રશ્ન  ‘ સ્વજનોને સાવ છોડી દેવા શક્ય છે ? ‘ જવાબ  ‘ ના, નથી. એટલે તો મેં તમને લોકોને પત્ર લખ્યો.’
     
    એ મકાન – વેચાણના કાગળોમાં કોઈ દલીલ વિના સહીઓ કરી આપે છે. ‘ છોટે ‘ પણ કશું બોલ્યા વિના જાણે મનોમન ભાઈને અલવિદા કરી નીકળી જાય છે.
    કવિ મંગલેશ ડબરાલની  એક કવિતા ‘ ગુમશુદા ‘1 આવા જતા રહેલા લોકોની વાત જરા જૂદી રીતે કહે છે.

    शहर के पेशाबघरों और अन्य लोकप्रिय जगहों में
    उन गुमशुदा लोगों की तलाश के पोस्टर
    अब भी चिपके दिखते हैं
    जो कई बरस पहले दस बारह साल की उम्र में
    बिना बताए घरों से निकले थे

    पोस्टरों के अनुसार उनका क़द मँझोला है
    रंग गोरा नहीं गेहुँआ या साँवला है
    हवाई चप्पल पहने हैं
    चेहरे पर किसी चोट का निशान है
    और उनकी माँएँ उनके बगै़र रोती रह्ती हैं

    पोस्टरों के अन्त में यह आश्वासन भी रहता है
    कि लापता की ख़बर देने वाले को मिलेगा
    यथासंभव उचित ईनाम

    तब भी वे किसी की पहचान में नहीं आते
    पोस्टरों में छपी धुँधँली तस्वीरों से
    उनका हुलिया नहीं मिलता
    उनकी शुरुआती उदासी पर
    अब तकलीफ़ें झेलने की ताब है
    शहर के मौसम के हिसाब से बदलते गए हैं उनके चेहरे

    कम खाते कम सोते कम बोलते
    लगातार अपने पते बदलते
    सरल और कठिन दिनों को एक जैसा बिताते
    अब वे एक दूसरी ही दुनिया में हैं

    कुछ कुतूहल के साथ
    अपनी गुमशुदगी के पोस्टर देखते हुए
    जिन्हें उनके माता पिता जब तब छ्पवाते रहते हैं
    जिनमें अब भी दस या बारह
    लिखी होती है उनकी उम्र ।

    હિંદી કવિતાનો ભાવાનુવાદ :
    :  ખો વા યા   છે   :
    શહેરના પેશાબ-ઘરો
    અને અન્ય લોકપ્રિય જગ્યાઓએ
    એ ખોવાયેલા લોકોની શોધખોળના પોસ્ટર
    હજી પણ ચોંટાડેલા દેખા દે છે
    જે અનેક વર્ષો પહેલાં 
    દસ કે બાર વર્ષની ઉંમરે
    નીકળી ગયા હતા ઘરેથી
    કહ્યા વિના
    પોસ્ટરોમાં દર્શાવ્યા અનુસાર
    એમનો બાંધો મધ્યમ
    અને વાન ઘઉંવર્ણો કે શ્યામ છે
    હવાઈ પગરખાં પહેરેલાં
    ચહેરા પર વાગ્યાનું નિશાન
    અને એમની માઓ
    એમના વિયોગમાં રડ્યે રાખે છે
    પોસ્ટરોના અંતે એવું પ્રલોભન પણ હોય
    કે ખોવાયેલ જણનો પતો આપનારને
    ઉચિત ઈનામ અપાશે
    તેમ છતાં 
    એ લોકો જડતા નથી
    પોસ્ટરોમાં છપાયેલા એમના ઝાંખા-પાંખા ફોટાઓ સાથે
    એમના ચહેરા મેળ નથી ખાતા
    એમના ચહેરાઓ ઉપરની પ્રારંભિક ઉદાસી ઉપર
    હવે હાડમારીઓના પ્રહારોના ચિહ્નો છે
    શહેરની તાસીર અનુસાર
    બદલાઈ ચૂક્યા છે
    એમના ચહેરા
    ઓછું ખાતા, ઓછું સૂતા, ઓછું બોલતા 
    નિરંતર પોતાનું સરનામું બદલતા
    સીધા અને આકરા દિવસો એકસરખા વિતાવતા
    એ લોકો હવે જૂદી જ દુનિયામાં છે
    થોડાક કુતુહલ સાથે
    પોતે ખોવાયાના પોસ્ટરો પોતે જ નીરખતા
    જે એમના માતા-પિતા હજુ પણ છપાવ્યે રાખે છે
    અને જેમાં હજી પણ દેખાડાય છે એમની ઉંમર
    દસ કે બાર વર્ષ ….
    – મંગલેશ ડબરાલ

    1


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શું આપણે પાગલ થઈ ગયાં છીએ?

    મંજૂષા

    વીનેશ અંતાણી

    એકવીસમી ફેબ્રુઆરી ‘માતૃભાષા દિવસ’ તરીકે ઊજવાશે, એ નિમિત્તે માતૃભાષાથી વિમુખ થયેલી કેટલીક વ્યક્તિઓની વ્યથા જાણીએ.

    ભારતની એક યુવતી હાઇસ્કૂલમાં હતી ત્યારે એને અંગ્રેજી વિષયમાં બધાથી વધારે માર્ક્સ આવતા. એ પ્રાથમિક શાળાથી અંગ્રેજી માધ્યમમાં ભણી હતી એથી પોતાની માતૃભાષા વાંચતાં કે લખતાં શીખી નહોતી. બોલવામાં પણ તકલીફ પડતી હતી. અંગ્રેજીમાં નિપુણ હોવાથી એને સારી નોકરી મળી. એને લાગ્યું કે એણે જીવનમાં બધું પ્રાપ્ત કરી લીધું છે. એકવાર એ કુટુંબમાં લગ્નપ્રસંગે એના વતનમાં ગઈ ત્યારે એને માતૃભાષાથી ઉચ્છેદાઈ જવાની ગંભીરતા સમજાઈ. એનાં ગામના અને બૃહદ્ પરિવારનાં લોકો અંગ્રેજી જાણતા નહોતા, એથી એ એમની સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. લખે છે: ‘હું એ લોકોમાંની એક હતી, એમનું જ લોહી મારામાં વહેતું હતું, છતાં હું પરાયી બની ગઈ. મને પહેલીવાર સમજાયું કે હું મારી લાગણી, મારો સ્નેહ, મારો આનંદ, મારા વિચારો અમને જોડતી માતૃભાષામાં વ્યક્ત કરી શકતી નથી એ કેટલું ભયાનક છે?’

    સૌરવ શાળામાં સૌનો લાડકો હતો. ‘વેરી સ્માર્ટ બોય’. રાગિણી પણ સૌરવના વર્ગમાં હતી. સૌરવને એનાં માતાપિતાએ શરૂઆતથી અંગ્રેજી માધ્યમમાં ભણવા મૂક્યો હતો, જ્યારે રાગિણીને એનાં માતાપિતાએ ‘દેખાદેખી’માં ચોથા ધોરણ પછી અંગ્રેજી માધ્યમમાં મૂકી. એ વર્ગમાં બધાંથી પાછળ રહેવા લાગી. એની ગણતરી ‘સામાન્ય’થી પણ ઊતરતી કક્ષામાં થવા લાગી. ઘરમાં અને સામાજિક વર્તુળમાં રાગિણીની છાપ આત્મવિશ્વાસથી ભરપૂર, હોશિયાર અને ચબરાક છોકરીની હતી. શાળામાં એ મૂંગી, મૂંઝાયેલી, લઘુતાગ્રંથિથી પીડાતી છોકરી બની ગઈ. વર્ગમાં પગ મૂકતાં જ એનો આત્મવિશ્વાસ ડગી જતો. રાગિણી મોટી થઈ અને સંસારમાં ગોઠવાઈ પછી એણે લખ્યું: ‘શું આપણે પાગલ થઈ ગયાં છીએ?

    ઘણા દેશોમાં માતાપિતા એમનાં સંતાનો સાથે આવું કરતાં નથી. તેઓ પણ અંગ્રેજીમાં ભણે છે પરંતુ એ એમની સેકન્ડ લેંગ્વેજ હોય છે. એમના માટે અંગ્રેજી કે અન્ય પારકી ભાષા ‘મહારાણી’ નથી, એમની મહારાણી માતૃભાષા છે.’ બલ્ગેરિયાની યાલદાઝ સાદાકોવા નાની ઉંમરે માતાપિતાની સાથે કેનેડા રહેવા આવી ગઈ હતી. મોટી થઈ પછી એક દિવસ એ ટોરોન્ટોની દુકાનમાં ગઈ. દુકાનનો માલિક બલ્ગેરિયન ભાષામાં વાતચીત કરતો હતો. યાલદાઝ પણ એની સાથે બલ્ગેરિયનમાં વાતો કરવા લાગી. એમાંથી ખબર પડી કે બંને બલ્ગેરિયાનાં તો છે, એમની જાતિ પણ એક જ હતી અને એમની માતૃભાષા ટર્કિઝ હતી. એ જાણીને દુકાનદાર ટર્કિઝમાં વાત કરવા લાગ્યો. યાલદાઝને કશું સમજાતું નહોતું. એણે કહ્યું: હું આપણી માતૃભાષા ભૂલી ગઈ છું. દુકાનદાર ગુસ્સે થઈ ગયો – તમે તમારી માતૃભાષા ભૂલી ગયાં છો એટલે શું? ગ્લાનિમાં ડૂબેલી યાલદાઝ દુકાનદારની આંખ સાથે આંખ મેળવવાને લાયક રહી નહોતી.

    જૅની લિયાઓ મૂળ ચીનની. એ બે-ત્રણ વર્ષની હતી ત્યારે એનાં માબાપ ચીનથી માઇગ્રેટ કરી અમેરિકા આવી ગયાં હતાં. બીજા દેશમાંથી આવેલાં લાખો-કરોડો બાળકોની જેમ જૅની પણ એમની જાતિની કેન્ટોનિઝ ભાષા છોડીને અંગ્રેજીમાં ભણી અને મોટી થઈ. નાનપણમાં એ ઘરમાં અને માબાપની સાથે કેન્ટોનિઝમાં વાતો કરતી પણ પછી એનો મહાવરો રહ્યો નહીં. એ કેન્ટોનિઝ ભાષા સાવ જ ભૂલી ગઈ. એનાં માબાપ ભાંગ્યુંતૂટ્યું અંગ્રેજી બોલે અને જૅની કેન્ટોનિઝ બોલી કે સમજી શકે નહીં. એથી એનાં માબાપ શું કહે છે તે એને સમજાતું નહીં અને એ બોલતી તે માબાપ સમજતાં નહીં. એમની વચ્ચે માતૃભાષાનો પુલ તૂટી ગયો હોવાથી તેઓ એકમેકથી લગભગ અજાણ્યાં જેવાં થઈ ગયાં.

    જૅની તો માઇગ્રેટ કરેલાં માતાપિતાનું સંતાન છે પરંતુ આજે ભારતમાં જ વસતાં માબાપોના અંગ્રેજી પ્રત્યેના મોહને કારણે એમનાં સંતાનો માતૃભાષાથી દૂર જવા લાગ્યાં છે એનું શું?

    આજના વૈશ્વિક વાતાવરણમાં અંગ્રેજી શીખવી જરૂરી છે પરંતુ માતૃભાષાના ભોગે તો નહીં જ. માતૃભાષા ત્યારે જ લુપ્ત થાય છે, જ્યારે આપણે જાતે જ એનું ખૂન કરીએ છીએ. એ ખૂનથી ઊડતા લોહીના ડાઘ આપણી ભાવિ પેઢી પર પડવા લાગ્યા છે એની ચિંતા સત્વરે થવી જોઈએ અને માતૃભાષાને બચાવી લેવાનું આંદોલન પારિવારમાંથી જ શરૂ કરવું જોઈએ. કોઈ પણ માતૃભાષાનો એક ભાષક હયાત હશે ત્યાં સુધી એ ભાષા જીવતી રહેશે.

    આર્જેન્ટિનાના નવ્યાસી વર્ષના બ્લાસ ઓમાર જેઇમની માતૃભાષા ‘શાના’. આર્જેન્ટિનાના મૂળ વતનીઓને એમના પ્રદેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી નવા સત્તાધીશોએ પોતાની ભાષા લાદી અને સ્થાનિકોની ‘શાના’ લુપ્ત થવા લાગી. બ્લાસની માતા પોતાની માતૃભાષાને બચાવી લેવા કૃતનિષ્ચય હતી. એણે રોજ બપોરે દીકરા બ્લાસને એમનાં પૂર્વજો, સંસ્કૃતિ, લોકવાર્તા વગેરેની માહિતી ‘શાના’ ભાષામાં આપવાનું શરૂ કર્યું. બ્લાસે એ બધું યાદ રાખ્યું. એ નિવૃત્ત થયો પછી એની જાતિના થોડા લોકોને શોધ્યા અને એમની સાથે ‘શાના’માં વાતચીત કરવાનું શરૂ કર્યું. પોતાની દીકરીને પણ ‘શાના’ શીખવી અને બંનેએ સાથે મળીને લુપ્ત થયેલી માતૃભાષાના હજારથી વધારે શબ્દોની ડિક્શનેરી તૈયાર કરી. બ્લાસે એમની જાતિની સંસ્કૃતિ અને માતૃભાષા વિશે વ્યાખ્યાનો આપવાનું શરૂ કર્યું. એ રીતે એણે માતૃભાષાને સજીવન કરવાનો યજ્ઞ આરંભ્યો. બે દાયકાના અવિરત પ્રયત્નો પછી એણે એની માતૃભાષાને ફરી વિશ્વની ભાષાઓના નકશા પર મૂકી આપી છે. એણે કહ્યું છે: ‘માતૃભાષાનો દ્રોહ કરનાર લોકોના અસ્તિત્વની કિંમત ફૂટી કોડીનીય નથી.’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.