વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ” ભગવાન પરશુરામ ” : આર્ય સંસ્કૃતિના સ્થાપનની કથા

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ઇતિહાસ અને પુરાણને ચિત્રાત્મક તેમજ લયબદ્ધ રીતે રજૂ કરનાર ગુજરાતી સાહિત્યના ઊંચા ગજાના સર્જકોમાં કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ પંક્તિની હરોળમાં લેવામાં આવે છે. કનૈયાલાલ મુનશી આર્ય સંસ્કૃતિના અનન્ય ચાહક અને ઉપાસક છે. આથી સહેજે તેમને પરશુરામનું ખેંચાણ છે એટલા માટે જ પ્રસ્તાવનામાં મુનશીએ  નોંધ્યું છે કે, ‘આ કૃતિ મારી ઉલ્લાસમય તપશ્ચર્યાનો અંત છે. ‘

    જ્યારે આર્ય ભૂમિનો પ્રાતઃકાળ હતો અને આ ભૂમિમાં જે સત્તા ભોગવતો હતો તે સહસ્ત્રાર્જુન પરશુરામ અને પછીથી તેની થનાર પત્ની લોમાને પકડીને દ્વારકા મૂકે છે અને ત્યારથી કથાનો પ્રારંભ થાય છે અને સહસ્ત્રાર્જુનના અંતથી આ કથા પૂરી થાય છે. આ બંને બિંદુઓની વચ્ચે કૃતિ સહૃદયને રસતરબોળ બનાવી દે છે.

    પરશુરામ રામના પણ સમકાલીન છે અને કૃષ્ણના પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ શ્વસ્યા છે. આ ભાર્ગવ રામમાં વશિષ્ઠ રોપાયા છે, વિશ્વામિત્ર રોપાયા છે,  દંડનાથ જેવો અઘોરી પણ રોપાયો છે. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેઓ રામમાંથી પરશુરામ બને છે અને પછીથી ભગવાન પરશુરામમાં રૂપાંતરિત થાય છે પૌરુષત્વ નો પર્યાય જાણે મુનશીએ પરશુરામ દ્વારા આપી દીધો છે. ભગવાન પરશુરામનું આલેખન એવું થયું છે કે બધા જ કથા પ્રસંગો વચ્ચે તેઓ તુંગ શિખરની જેમ ઊપસી આવે છે અને બીજાં બધાં જ પાત્રો તેમની સામે ઝાંખા પડી જાય છે – તેમના પિતા અને  ગુરુઓ સુદ્ધાં.

    ઇતિહાસ સાક્ષી રહ્યો છે તે પ્રમાણે સંક્રાંતિ કાળની કોઈપણ વ્યક્તિને હળાહળ તકલીફો જ સહન કરવી પડતી હોય છે. જ્યારે વેદકાળ પૂરો થતો હતો અને બ્રાહ્મણકાળની શરૂઆત થતી હતી એ વચ્ચેના સંક્રાંતિકાળનું પાત્ર છે આ પરશુરામ. બંને યુગની વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમના ફાળે આવ્યું છે. અને આખી કૃતિમાં જો એમનું મહત્વનું લક્ષણ હોય તો તે અભય અને સત્વસંશુદ્ધિ છે.  પરશુરામ ઉત્તમ પતિ છે, સાચા સમાજસુધારક, જાગૃત નેતા, સંસ્થાપક તેમજ વિવેકી રાજનીતિજ્ઞ પણ છે. પરશુરામ ના પગમાં ચક્ર છે જે તેને વણથંભ ચલાવે છે. ધીમે ધીમે આખી નવલકથામાંથી પસાર થતાં મુનશી આપણે બતાવતા જાય છે કે પરશુરામ એ પાત્ર નથી પણ ચરિત્ર છે. તેનો વ્યાપ કૃષ્ણની જેમ વિરાટ રૂપ ધારણ કરે છે. આ મહાનાયક દ્વારા મુનશી એ પણ સ્થાપવા માગે છે કે અભય અને સત્વસંશુદ્ધિ એ આ મહાનાયક ના બે મૂળ પાયા છે.

    આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : પહેલા ખંડમાં રામની દ્વારકા થી જૂનાગઢ સુધીની યાત્રા છે, બીજામાં એ નર્મદાકાંઠે દંડનાથ અઘોરી પાસે વિદ્યા શીખે છે તેની વાત છે અને અંત ભાગમા યાદવોને, શૌર્યતોને એકજૂથ કરે છે ત્યારે ઘોર સંગ્રામ થાય છે અને અંતે સહસ્ત્રાર્જુનનો વધ થાય છે તેની કથા છે.

    પરશુરામનો જન્મ જ આર્યત્વની સ્થાપના માટે થયો છે. એ જન્મથી જ ગુરુ છે. વારંવાર આ વાતને તેઓ ઘૂંટે છે કે હું ગુરુ છું અને ગુરુ જ રહીશ. જોવાની ખૂબી એ છે કે પરશુરામ માં એટલી સત્વસંશુદ્ધિ છે કે આ કહેતાં પણ તેમનાં પાત્ર દ્વારા અભિમાનની અનુભૂતિ નથી થતી. ભીષ્મ અને કર્ણ જેવા તેના શિષ્યો છે, જેને નિયતિનો ભોગ બનવું પડ્યું છે પણ તેમને હરાવવા અશક્ય છે, કારણકે તેઓ મહાગુરુ પરશુરામના શિષ્યો છે.

    પરશુરામના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેમના સિદ્ધાંતો કેન્દ્રમાં રહ્યા છે. ફરતા ફરતા તેઓ પિતા પાસે પહોંચે છે ત્યારે તેમના પિતા પરશુરામની માતા રેણુકા ભ્રષ્ટ થયેલી છે એવી વાત કરે છે ત્યારે પરશુરામનું લોહી ઉકળી જાય છે અને પિતાના આદેશ મુજબ માતાનું ડોકું કાપી નાખવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. માતાને શોધતા એ ગાંધર્વ ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે સામેનું ચિત્ર જોતાં અવાક્ થઇ જાય છે. ઋષિ ગાંધર્વ અને નગરવાસીઓને જે રોગનો ભોગ બન્યા છે તેની સેવાચાકરીમાં માતા રેણુકા મગ્ન હોય છે. આ જોતાં પરશુરામ પિતાની ગેરસમજને દૂર કરવા માતાને પિતા પાસે લઈ આવે છે અને પિતાની ગેરસમજણનું આકરા શબ્દોમાં સમાધાન લાવી આપે છે. મુનશીએ પરશુરામના ચરિત્રના આલેખન દ્વારા એ પણ સૂચવ્યું છે કે જ્યાં સિદ્ધાંત આવે ત્યાં સગા પિતાને પણ છોડી દેવા પડે. આ પૌરુષત્વની નિશાની છે. આવું પૌરુષત્વ એક ગુણ છે, એક તત્ત્વ છે. વ્યક્તિના સિદ્ધાંતો જ તેની મૂડી હોય છે. આખું જીવન પરશુરામ લડયા છે – પોતાના પિતાની સાથે પણ. અનંતરાય રાવળે નોંધ્યું છે કે, ‘એ જ પરશુરામની પૃથ્વીને નક્ષત્રિય કરવાની વાત છે. ‘ વિચારોનાં, રૂઢિનાં, ગેરસમજણોનાં જાળાં પરશુરામ એક પછી એક દૂર કરતા ગયા છે.

    મુનશીની આ નવલકથાનાં સ્ત્રી પાત્રો પણ હંમેશા જાજરમાન અને સંકુલ રહ્યાં છે. પરશુરામના જીવનની આસપાસ પણ અનેક સ્ત્રી પાત્રો છે, જેના કારણે સતત પરશુરામની પરીક્ષા થતી રહી છે. કલ્વિણી કુક્ષી ઋષિની પત્ની છે. તે પ્રથમવાર રામને જોતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેના પૌરુષત્વ પર મોહી પડે છે. એક વખત કલ્વિણી પરશુરામને પોતાને ઘેર નિમંત્રે છે. અને યુવાન રામ કલ્વિણીનો નિર્વસ્ત્ર દેહ જુએ છે. પરંતુ રામ સામાન્ય પુરુષ નથી કે કામતત્ત્વમાં તણાઈ જાય. એ પરશુરામ છે, જિતેન્દ્રિય પુરુષ છે. એ ક્ષણે તેઓ કલ્વિણીને સોટો  વિંઝી દે છે. જે ક્ષણ ચારિત્ર્ય સરકી જવાની ક્ષણ હતી તે ક્ષણને પરશુરામ સાચવી શક્યા છે અને માટે જ તેઓ આર્યત્વનું સ્થાપન કરવામાં સફળ રહ્યા છે.

    બીજું સ્ત્રીપાત્ર મૃગાનું છે. એ ખૂબ નાની હતી ત્યારથી જ એ માતા પિતા વિહોણી છે અને સહસ્ત્રાર્જુને જેને પોતા પાસે આશ્રય આપ્યો છે તેવી એ  જે સહસ્ત્રાર્જુનની ઉપપત્ની અને ગણિકા સ્ત્રી છે. મૃગા ખુબ જ સુંદર અને કામુક છે. સહસ્ત્રાર્જુન જેવો આસુરી પુરુષ પણ તેના વિના રહી શકતો નથી. ગણિકા હોવા છતાં તેણે સહસ્ત્રાર્જુન સિવાય કોઈ બીજા પુરૂષનો વિચાર સુધ્ધાં કર્યો નથી. વાતવાતમાં એ પરશુરામને પૂછી બેસે છે કે, તમે મારું શું કરો? કલ્વિણીને તો તમે સાઠકાથી મારી હતી. એ ક્ષણે ત્યારે અત્યંત માર્મિક વિધાન પરશુરામના મુખમાં મૂકીને  મુનશી સ્ત્રીહૃદયને જીતી શક્યા છે. પરશુરામ જવાબ આપે છે કે, ‘ તમારે માટે હું એવું નહીં કરી શકું કારણકે તમે સહસ્ત્રાર્જુનને પરણ્યાં ન હોવા છતાં, ઉત્તમ ચારિત્ર્ય ન ધરાવતાં હોવા છતાં આખું જીવન એક જ વ્યક્તિને તમે પ્રેમ કર્યો છે. એટલે મારા મતે તમે ચારિત્ર્યવાન પ્રમાણિત થયાં છો. માટે હું તમને મારી મોટી બહેન માનું છું. ‘ આમ કહીને પરશુરામે મૃગા જેવી સ્ત્રીને ભાર્ગવીનું પદ આપી દીધું છે. માર્મિકતાની આ અંતિમ સીમા મુનશીને ઉત્કૃષ્ટ નવલકથાકાર ઠેરવે છે.

    ત્રીજું, પરંતુ સૌથી મહત્ત્વનું એવું પાત્ર લોમાનું છે. નાનપણથી જ લોમા પરશુરામની સાથે છે. સ્ત્રી-પુરુષનો  ભેદ ન કરી શકાય એવો મૈત્રીસંબંધ લોમા અને પરશુરામની વચ્ચે છે. મુનશી રંગદર્શિતાના લેખક છે. વચ્ચે વચ્ચે રંગદર્શિતા દર્શાવતા અનેક પ્રસંગો આવે છે પરંતુ બંને આ લાગણી પ્રત્યે અજાણ છે. કલ્વિણીને નિર્વસ્ત્ર જોઈ પરત ફરેલા પરશુરામ જ્યારે લોમા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે તેમને પ્રથમવાર અનુભવાય છે કે આ પ્રેમ કરી શકવા જેવી સ્ત્રી છે અને તેથી તેઓ લોમા પાસે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. ક્યાં ઝુકી જવું અને ક્યાં તટસ્થ રહેવું એની કલામાં પરશુરામનો જોટો નથી.

    એક તરફ આર્ય સંસ્કૃતિનું સ્થાપન કરતા પરશુરામ છે અને બીજી તરફ પોતાના માનસિક સંચલોને જોઈ શકતા અને બદલતા જતાં પરશુરામ છે. આ બંને પરશુરામનાં પરિવર્તન પામતાં જતાં રૂપ આ નવલકથામાં સમાંતરે ચાલ્યાં છે. પરશુરામના હિંસા અને અહિંસા પ્રત્યેના ખ્યાલો પણ તદ્દન જુદા છે. પરશુરામ માને છે કે દ્વેષ જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. એ આર્યત્વનું પ્રમાણ છે. પણ કોઈ વ્યક્તિ અંત સમય સુધી ન જ માને તો તેને હિંસા પૂર્વક મારી નાખવી એ દ્વેષ નથી પરંતુ દુર્જનોને દૂર કરતી એક પ્રકારની અહિંસા છે.

    પરશુરામ ચરિત્ર પુરાણમાંથી લેવામાં આવેલું છે એટલે તેમાં અદભૂત રસ પણ છે. નર્મદાતટનો અઘોરી દંડનાથ પાણી પર ચાલી શકે છે, પાલતુ પશુઓ ની જેમ તેણે હિંસક મગરમચ્છને પાળ્યા છે. એ ઘડીકમાં પશુનું રૂપ લઇ શકે છે તો ઘડીકમાં મૃદુ સ્ત્રીનું રૂપ લઇ શકે છે. પ્રથમ નજરે જોતાં દંડનાથ જુગુપ્સાયુક્ત, ક્રૂર લાગે. પરંતુ બહુ જ સંયમપૂર્વક પરશુરામ આ બધી જ વિદ્યાઓ તેમની પાસેથી ગ્રહણ કરે છે. અને બદલામાં અઘોરીઓના આખા સમાજ જીવનને સુધારવાનું અદભૂત કાર્ય કરે છે. મહાદંતી જેવી અઘોરી સ્ત્રીનું સત્ત્વ પણ પરશુરામે પોતાનામાં સમાવ્યું છે અને પરિણામે પરશુરામનું તેજ દ્વિગુણિત બનતું ગયું છે. પરશુરામ ગર્વથી કહી શક્યા છે કે, અઘોરીએ મને દીકરો બનાવ્યો છે. વ્યંજનાઓનો એવો ભરપૂર ધોધ મુનશીએ આ કથામાં વહેડાવ્યો છે કે સમસંવેદનયુક્ત વાચક બે ઘડી માટે મુનશીની માયાજાળમાં ઓગળી જાય.

    પરશુરામમાં જાણે નવું જ મિશ્રણ જોવા મળે છે – જેમાં વશિષ્ઠ ની સૌમ્યતા છે, વિશ્વામિત્રની પ્રખરતા છે, દંડનાથની આવડત છે, મહાદંતીના ચમત્કારો છે, માતાની કોમળતા છે અને પિતા જમદગ્નિનું આર્યત્વ છે.

    પરશુરામને કારણે સહસ્ત્રાર્જુન રાત્રે ઊંઘી નથી શકતો એવી પરિસ્થિતિ છે. ભય અને અભયનો,  સદ અને અસદનો ભેદ આ કથામાં કેન્દ્રમાં છે. પરશુરામનું હોવું જ અસદ તત્ત્વોને પીડે છે. રામથી આરંભાતી આ કથા સહસ્ત્રાર્જુનનો અંત આણતા અને ભગવાન પ્રમાણિત થતા પરશુરામ દ્વારા પૂર્ણ થાય છે. આમ, એક પછી એક પગથિયાં મુનશી સહૃદયને ચડાવતા ગયા છે. તેમને સ્થાપિત એ કરવું છે કે સહસ્ત્રાર્જુન જેવો આર્ય કર્મોને લીધે અઘોરી થઈ ગયો અને દંડનાથ જેવો અઘોરી આર્ય થઈ ગયો. સદ-અસદનો આ ભેદ નવલકથામાં સતત અનુભવાતો રહે છે.

    મુનશીએ વિષય પસંદ કર્યો છે પૌરાણિક વસ્તુનો પરંતુ એમનો અભિગમ તદ્દન આધુનિક છે. મૃગા જેવી ગણિકા સ્ત્રીને મુનશી ‘પતિવ્રતા’ કહી શક્યા છે. અને પુરુષ સર્જક હોવા છતાં સ્ત્રીનાં નાજુક સંવેદનોને સમજી શક્યા છે એ ઘટના નોંધપાત્ર બને છે. માતાનું મસ્તક ઉડાડી નાખવાની ઘટનાને નવો વળાંક આપી પિતાને પણ સચોટ જવાબ પરખાવી દેતા પરશુરામ અહીં તદ્દન આધુનિક માનવ સાબિત થયા છે.

    આ કથા લખતાં મુનશીને ૨૩ વર્ષ લાગ્યાં છે. પુરાણ અને આધુનિકતાનાં મિલનની તપશ્ચર્યા સભર આ કૃતિને અંતિમ અંજલિ આપતા અનંતરાય રાવળ નોંધ્યું છે કે, ‘ભગવાન પરશુરામ મુનશીના વાઙમય યજ્ઞનું શ્રીફળ છે. ‘


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૫ # અંશ # ૩ અને છેલ્લો શબ્દ – ફરી મળવા માટેનું આમંત્રણ

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    પ્રકરણ ૫ : અંશ # ૨  થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    આપણાં જીવનની અર્થવ્યવસ્થાનાં મૉડેલનો નીચોડ – બે રેખાકૃતિઓ

    બે છેલ્લા સવાલ

    આ છેલ્લા બે સવાલના  આપણા પ્રતિભાવ પર આપણી પોતાની અર્થવ્યવસ્થાનાં ઘડતર નિર્ભર કરે છે –

    ૧. તમારી ઉમર શું છે?

    ૨. તમારી રેખાકૃતિની શરૂઆત ક્યાંથી થાય છે?

    આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિને એક એવાં મૉડેલ સ્વરૂપે નિશ્ચિત કરી   શકવું શક્ય છે જે આપણાં વાંછિત સુખનું ધ્યેય સિદ્ધ કરવામાં મદદરૂપ બની શકેછે.

    તમારાં જીવનની અર્થવ્યવસ્થાનું મૉડેલ નાણાકેન્દ્રી હોય કે બીનનાણાકીય સંસાધનો કેન્દ્રી હોય્ કે પછી બન્નેનું તમારું પોતાનું આગવું સંમિશ્રણ હોય, એ મૉડેલ તમારૂં પોતાનું, આગવું  છે અને અમલ કરવા બાબતે સરળ પણ છે.

    તમે યુવાન છો કે મોટી વયનાં છો એ મુજબનાં બે મૉડેલ અહીં રજૂ કર્યાં છે.  આ મૉડેલના આધારે નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનો ઉપયોગ કરીને આપણી પોતાની અર્થવ્યવસ્થાની રેખાકૃતિ તૈયાર કરી શકાશે.


     

    વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ 

    જો તમે યુવાન છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો

    તમારાં જીવનનો તબક્કો

    યુવાનીનો પ્રારંભ

    તમારી માનસિક રુચિઓ સામાન્ય અતિખર્ચાળ / ઉડાઉ પરગજુ
    કમાવું હા હા હા
    ખર્ચવું હા હા હા
    બચત કરવી હા ના હા
    રોકાણ કરવું હા ના હા
    રોકાણનો ઉપાડ હા ના હા
    વહેંચવું કે એમને એમ આપી દેવું હા ના હા

    તમે સામાન્ય રુચિ ધરાવતાં હો કે પરગજુ વૃતિ ધરાવતાં હો, તો અંગત અર્થવ્યવસ્થાની રેખાકૃતિની છ એ છ પ્રવૃતિઓ તમારે  કરવી જોઈશે. જો તમારું વલણ અતિખર્ચાળ કે ઉડાઉ હોવા તરફ હશે તો તમે નાણાની બચત કે રોકાણ કરવાની વૃતિ નહી ધરાવતાં હો. એ સંજોગોમાં  આવક, ખર્ચ, બચત, રોકાણ અને શક્ય હોય તો તમરી સંપત્તિની વહેંચણી માટે તમારે બીજાં કોઈ બીનનાણાકીય સંસાધનો  જોઈશે.


     

    વ્યક્તિનાં જીવનનું નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થા મૉડેલ 

    જો તમે મોટી વયનાં છો અને તમારી માનસિક રુચિઓ આ તરફ સ્પષ્ટપણે ઢળતી હોય તો

    તમારાં જીવનનો તબક્કો

    ઢળતી વયે

    તમારી માનસિક રુચિઓ નિવૃત

    સુખી

    નિવૃત

    જરૂરિયાતમંદ

    નિવૃત

    પરગજુ

    કમાવું ના હા હા
    ખર્ચવું હા હા હા
    બચત કરવી ના ના હા
    રોકાણ કરવું ના ના હા
    રોકાણનો ઉપાડ હા ના હા
    વહેંચવું કે એમને એમ આપી દેવું હા ના હા

    જો તમે નિવૃત્ત છો અને તમારી ભૂતકાળની બચતોથી ખુશ છો તો તમે તમારી સંપત્તિ ખર્ચી શકો છો, અને કદાચ, વહેંચી પણ શકો છો. તમારે કમાવાની, બચત કરવાની કે રોકાણ કરવાની જરૂર નથી. તમારે બીનનાણાકીય સાધનો પર પણ આધાર રાખવાની જરૂર નથી. જો તમારી પાસે પહેલેથી કોઈ બીનનાણાકીય સંસાધનો હોય તો તેનો તમે તમારા ઉદ્દેશ્યો મુજબનો ઉપયોગ કરી શકો છો.

    પરંતુ, તમે નિવૃત્ત છો અને તમારે હજુ પણ નાણાની જરૂર રહે છે, તો તમારે કમાવાનું, અને ખર્ચ કરતાં રહેવાનું, ચાલુ રાખવું પડશે. તમારા માટે બચત  કે રોકાણ કરવાં શક્ય નથી કે સંપત્તિની વહેંચણી કે સખાવત કરવી હિતાવહ નથી.

    પરંતુ તમારે આ ઉંમરે પરગજુ થવું જ છે તો તમારે અંગત અર્થવ્યવસ્થાની છ એ છ પ્રવૃત્તિઓ ચાલુ રાખવી જોઈશે. તે ઉપરાંત્ પરગજુ વૃત્તિને ટકાવી રાખવા માટે તમારે હજુપણ વધારે બીનનાણાકીય સંસાધનો પણ ઊભાં કરવાં જોઈશે.

     


    આપણી અંગત અર્થવ્યવસ્થા વિશેની સમજ સ્પષ્ટ કરીએ – વર્તમાન સ્થિતિ અને આપણી ભવિષ્યની અર્થવ્યવસ્થાનું આયોજન 

     

    ઉપર જોયું એ મુજબની આપણી અર્થવ્યવસ્થાની બે શક્ય રેખાકૃતિઓ મુજબ, આપણી ઉમર અને અને આપણી માનસિક રુચિઓને અનુરૂપ, આપણે આપણું આર્થિક મૉડેલ ઘડી કાઢી શકીએ. એ પ્રક્રિયા દરમ્યાન આપણે આપણે જે સમાજનો ભાગ છીએ એવાં આપણાં આસપાસનાં વાતાવરણ, આપણી સાંસ્કૃતિક ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓ, આપણા હમસફર વ્યાવસાયિકોનાં વલણો અને પસંદનાપસંદ તેમ જ પ્રથામિકતાઓ વગેરે જેવાં પરિબળોને પણ આપણે ગણતરીમાં લેવાં જોઈએ.

    આપણું પોતાનું મૉડેલ ઘડી કાઢવા માટે, અંગત અર્થવ્યવસ્થાની છ સર્વસામાન્ય પ્રવૃત્તિઓ આધારિત બે નમૂનાઓ અહીં રજૂ કર્યા છે. તેમાં પ્રશ્નો સામેના જવાબો ખાલી છે. આપણાં જીવનના વર્તમાન તબક્કા અનુસાર જવાબો  આપણે જ તેમાં મુકવાના છે.  યાદ રહે કે આ આપણાં આર્થિક લક્ષ્યો નથી, પણ આપણી વર્તમાન સ્થિતિનું ચિત્રણ છે જે આપણને આપણી આર્થિક પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થશે.

    તમારી વર્તમાન પરિસ્થિતિ 

    તમારાં જીવનનો તબક્કો 

     

    કમાઓ છો?

    ખર્ચા કરો છો?

    બચત કરો છો?

    રોકાણ કરો છો?

    રોકાણના ઉપાડ કરો છો?

    સંપત્તિની વહેંચણી કરો છો,
    કે એમ ને એમ જ આપી દો છો?

     

    આપણા જીવનની આટલી ઉલટતપાસ જીવનમાં, અને જીવનની અર્થવ્યવસ્થામાં, આપણે ક્યાં છીએ તેનું ચિત્ર સ્પષ્ટ કરી આપશે.


     

    હવે ઉપર મુજબની જ વિગતોની મદદથી આપણે આપણા વાંછિત લક્ષ્યને પણ સ્પષ્ટ કરી શકીશું. અહીં પણ સવાલોની સામેની ખાલી જગ્યામાં આપણાં લક્ષ્યો લખી જણાવવાનાં છે.

    આપણું આર્થિક લક્ષ્ય

    તમારાં જીવનનો તબક્કો 

     

    કમાઓ છો?

    ખર્ચા કરો છો?

    બચત કરો છો?

    રોકાણ કરો છો?

    રોકાણના ઉપાડ કરો છો?

    સંપત્તિની વહેંચણી કરો છો,
    કે એમ ને એમ જ આપી દો છો?

    આ છે આપણું પોતાનું – નાણાકેન્દ્રી – આર્થિક આયોજન ….


     

    એક વાર ફરીથી ઉપર મુજબની વિગતોની મદદ લઈને હવે આપણાં જ્ઞાન-અનુભવ, કૌશલ્ય, સમય, સેવાઓ જેવાં દરેક ઉપલબ્ધ બીનનાણાકીય સંસાધન માટે આપણા જીવનની અંગત અર્થવ્યવસ્થાની રૂપરેખાનું આલેખન કરીએ.

    તમારી પાસેનું ઉપલબ્ધ સંસાધન 

    કમાઓ છો?

    ખર્ચા કરો છો?

    બચત કરો છો?

    રોકાણ કરો છો?

    રોકાણના ઉપાડ કરો છો?

    સંપત્તિની વહેંચણી કરો છો,
    કે એમ ને એમ જ આપી દો છો?

    પહેલી બે રેખાકૃતિઓ આપણી સામે સર્વસામાન્ય આર્થિક મૉડેલની સરખામણીમાં આપણી પોતાની કઈ ઈચ્છાઓ, કેટલી હદે ઉચિત રહેશે તેનું ચિત્ર રજૂ કરે છે.

    તે પછીની રેખાકૃતિ આપણી આર્થિક સ્થિતિને  અને તેની સરખામણીમાં આપણાં આર્થિક લક્ષ્યોને, નાણાકીય માપદંડના સંદર્ભમાં, રજૂ કરે છે.

    તેનાથી પછીની રેખાકૃતિ એવી કોરી પાટી છે જેમાં આપણે આપણાં દરેક બીનનાણાકીય સંસાધનની વર્તમાન સ્થિતિ અને તેની સામે આપણા ભાવિ આયોજનનું આલેખન રજૂ કરીએ છીએ.



    છેલ્લો શબ્દફરી મળવા માટેનું આમંત્રણ

     

    જતાં જતાં, જીવનની અર્થવ્યવસ્થા માટે છેલ્લો શબ્દ

    આપણા જીવનની અર્થવ્યવસ્થા આપણી પોતાની, આગવી છે.

    આપણાં જીવનની અર્થવ્યવસ્થા માટે જે કોઈપણ મૉડેલ અપનાવ્યું હોય, તે આપણા જીવનનાં, નાણાવિષયક તેમ્જ બીનનાણાવિષયક, સુખની સિદ્ધિનું એક સાધન માત્ર જ છે.

    અર્થશાસ્ત્રીઓ દ્વારા રજૂ કરતા વ્યાપક અર્થતંત્રના પ્રવાહો તેમજ તેઓ દ્વારા ઘડાતી આર્થિક નીતિઓની આપણી અર્થવ્યવસ્થા પરની અસરોને સમજવી જરૂર જોઈએ, પણ માત્ર તેના પર જ આધાર રાખીને આપણી પોતાની અર્થવ્યવસ્થાનું આયોજન કે ઘડતર ન કરાય.

    આપણા જીવનની અર્થવ્યવસ્થાનાં આયોજન, ઘડતર અને સંભાળ આપણે જ, અને માત્ર આપણે જ, આપણી સમજ અને ક્ષમતા કેળવીને, કરવાનાં છે.

    આર્થિક દૃષ્ટિએ જીવન સુખમય રહે એવી શુભેચ્છાઓ……

     

    ફરી મળવા માટેનું આમંત્રણ

    મારા આ પુસ્તકના લેખક તરીકે અને તમારા આ પુસ્તકના વાચક તરીકે આ પુસ્તકનું આ છેલ્લું પાનું છે. પરંતુ આપણી પોતપોતાની અર્થવ્યવસ્થાઓના હમસફર તરીકેના સંબંધનો અહીં અંત નથી આવતો.

    “તમારી પોતાની અર્થવ્યવસ્થા’ બાબતે તમારા વિચારો, અનુભવો, મૉડેલ, રેખાકૃતિઓ, કે પુસ્તકમાં આવરી લેવાયેલ મુદ્દઓ વિશે તમારા પ્રતિભાવો ફરી ફરીને મળવાનું આપ સૌને હાર્દિક આમંત્રણ છે.

    આપણે એકબીજાના સંપર્કમાં રહીએ એવી હું આશા સેવું છું.

    મારા સંપર્ક માટે આપને અનુકૂળ રહે એ વિકલ્પનો ઉપયોગ કરી શકશો –

    ૧. ઇ-મેઇલ  dca@iifs.co.in અથવા dca@economicsoflife.com

    ૨. WhatsApp –  xxxxxxxxxx – લેખીત પ્રતિભાવ માટે

    ૩. મારી વેબસાઈટ economicsoflife.com પર પ્રતિભાવ, કે પછી

    ૪. નીચેના સરનામે પત્ર સંપર્ક

    Anjaria, D. C.

    8 square Leon Blum

    92800 Puteaux

    France

    અથવા

    દિવ્યભાષ સી. અંજારીઆ

    ૨૦ સંસ્કાર ભારતી  સોસાયટી

    અંકુર રોડ, નારણપુરા

    અમદાવાદ ૩૮૦૦૧૩

    ગુજરાત, ભારત


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ‘ઈન્ડિયન ઓપિનિયન’માં ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ

    નિસબત

    ચંદુ મહેરિયા

    બીજી ઓકટોબર ૧૮૬૯ના રોજ જન્મેલા મોહનદાસ ગાંધી ૧૮૯૩ના એપ્રિલમાં દક્ષિણ આફ્રિકામાં વકીલાત કરવા ગયા ત્યારે  ૨૩ વરસના યુવા બેરિસ્ટર હતા. અલબત્ત  ‘કુલી બારિસ્ટર’. દક્ષિણ આફ્રિકાના રંગભેદનો અનુભવ એમને બીજે કે ત્રીજે દિવસે જ ત્યારે થયો , જ્યારે ડરબનની કોર્ટમાં ન્યાયાધીશે તેમને માથા પરની પાઘડી ઉતારવા કહ્યું. અઠવાડિયા પછી ડરબનથી ટ્રેનમાં પ્રિટોરિયા જતાં ફર્સ્ટ ક્લાસની ટિકિટ હોવા છતાં શરીરના રંગને લીધે તેમને મેરિત્સબર્ગ  સ્ટેશને ધક્કો મારીને નીચે ઉતારી મૂક્યા. અંગત અપમાનની આ ક્ષણે જ તેમણે રંગદ્વેષના મહારોગની નાબૂદીનો સંકલ્પ લીધો હતો. બે ટૂકડે ૨૧ વરસ ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહ્યા હતા. ગયા હતા તો વકીલ તરીકે પણ ત્યાં ખરેખર તો તેમણે અહિંસક સત્યાગ્રહના નવતર પ્રયોગ થકી રંગભેદ નાબૂદીની વકીલાત કરી હતી. ભારતના મોહનદાસ ગાંધી દક્ષિણ આફ્રિકાના મહાત્મા ગાંધી બની ૧૯૧૫માં સ્વદેશ આવ્યા ત્યારે દેશનું આઝાદી આંદોલન જાણે કે તેમના નેતૃત્વની પ્રતીક્ષા કરતું હતું.

    રંગભેદનો ભોગ બનનાર લોકોએ તેના વિરોધ માટે એકત્ર આવવું જરૂરી હતું. ગાંધીજીની પહેલ અને પ્રયત્નોથી ૧૮૯૩માં નાતાલ ઈન્ડિયન કોંગ્રેસની સ્થાપના થઈ હતી. આ સંગઠનનું ધ્યેય ભારતીયોના હિતોનું રક્ષણ તથા દક્ષિણ આફ્રિકાના ભારતીયોની સ્થિતિ અંગે અંગ્રેજો, સરકાર અને લોકોને માહિતગાર રાખવા અને સ્થિતિ સુધારવાના પ્રયત્નો કરવાનુંહતું. ૧૯૦૩માં ટ્રાન્સવાલના ભારતીયોના હિતોની રક્ષા માટે બ્રિટિશ ઈન્ડિયન એસોસિએશનની રચના થઈ. રંગભેદ નાબૂદીની ચળવળ માટે સંસ્થાગઠન પછીની જરૂરિયાત અખબારની લાગી. અગાઉ પણ તે માટેના પ્રયાસો થયા હતા. ગોરી સરકાર હિંદીઓ પ્રત્યે બેપરવા અને પ્રેસ નિહિત સ્વાર્થમાં રમમાણ હતા.એટલે ભારતીયોને પોતાનો અવાજ રજૂ કરવા સામયિક જરૂરી લાગ્યું..

    મૂળે મુંબઈના પૂર્વ શિક્ષક અને ગાંધીજીના રાજકીયા સહકર્મી મદનજીત વ્યવહારિકે ૧૮૯૮માં ડરબનમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું હતું. નાતાલ કોંગ્રેસનું બધું જ સાહિત્ય ત્યાં છપાતું હતુ. મદનજીત એક અખબાર શરૂ કરવા માંગતા હતા.  ગાંધીજીના મદદ અને માર્ગદર્શનથી તે આસાન બન્યું. ચોથી જૂન ૧૯૦૩ના રોજ ઈન્ડિયન ઓપિનિયન શરૂ કરવામાં આવ્યું. આજે તો તેને ૧૨૧ વરસો થયાં. પરંતુ ગાંધીજીના પત્રોમાં તેમનું આ પહેલું સામયિક ઘણું મહત્વનું છે.

    અઠવાડિક ઈન્ડિયન ઓપિનિયનના પહેલા તંત્રી(જેને ગાંધીજી અધિપતિ કહે છે)  મનસુખલાલ નાજર હતા. સત્યના પ્રયોગોમાં ગાંધીજીએ લખ્યું છે તેમ તંત્રીપણાનો લેખન સહિતનો તમામ બોજો ગાંધીજી પર હતો. ગાંધીજીની સહી વગરના ગાંધીજી લિખિત પહેલા અંકના અગ્રલેખ ‘ આ વર્તમાનપત્ર’માં અખબારની જરૂરિયાત અને ઉદ્દેશ સ્પષ્ટ કરવામાં આવ્યા છે. તે મુજબ તેઓ ઈન્ડિયન ઓપિનિયન મારફતે જુદી જુદી પણ એક જ અદભૂત રાજની પ્રજા વચ્ચે સંપ વધારવા અને ભાઈબંધી ઘાડી કરવા માંગતા હતા. સાથે સાથે ઈન્ડિયનોની ભૂલો બેધડક બતાવવા અને તે સુધારવાની રીત સૂચવવાનો પણ હેતુ જણાવ્યો છે.

    સત્યના પ્રયોગોમાં ગાંધીજી લખે છે : ઈન્ડિયન ઓપિનિયન તેમના જીવનના કેટલાક ભાગનો નિચોડ છે. દર અઠવાડિયે ગાંધીજી તેમાં પોતાનો આત્મા રેડતા હતા. વાચકોને તેઓ જેને સત્યાગ્રહરૂપે ઓળખતા હતા તે સમજાવતા હતા. ગાંધીજીએ ૧૯૧૪ સુધીના ઈન્ડિયન ઓપિનિયનના એક પણ અંકમાં કંઈ ના લખ્યું હોય તેમ બન્યું નથી. વળી  એક પણ શબ્દ વગરવિચાર્યે, વગરતોળ્યે લખ્યો નથી  કે કોઈને કેવળ ખુશ જ કરવાને લખ્યો નથી. એટલે જ ગાંધીજીને ઈન્ડિયન ઓપિનિયને કોમની સારી સેવા કરી હોવાનો સંતોષ હતો.

    જેમ હિંદીઓ તેમ ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાના ગોરાઓ પણ ઈ નઈયન ઓપિનિયનના વાચકો અને ચાહકો હતા. કેટલાક ગોરાઓ તો તંત્રીમંડળમાં અને વ્યવસ્થાપનમાં પણ સક્રિય હતા.શરૂઆતમાં તે અંગ્રેજી, ગુજરાતી, તમિળ અને હિંદીમાં પ્રગટ થતું હતું.દક્ષિણ આફ્રિકામાં હિંદી પ્રજાની સ્થિતિ ભારતના અસ્પૃશ્યો જેવી હતી. પણ અંગ્રેજોની ન્યાય કરવાની નીતિ પસંદ હોઈ ગાંધીજીએ રજૂઆતો વિનંતી અને અરજનો માર્ગ અપનાવ્યો હતો. તે ફળીભૂત ના થતાં અહિંસક સત્યાગ્રહનો રસ્તો લીધો. વારંવાર જેલ ગયા, હિંદીઓને અન્યાયકર્તા કાયદાનો વિરોધ કર્યો, ઉપવાસ કર્યા અને કઠિન પ્રયાસો અને લાંબી ધીરજ પછી સફળ થયા હતા.

    ગાંધીજીએ તેમના જીવનકાળમાં ઈન્ડિયન ઓપિનિયન, યંગ ઈ ન્ડિયા, નવજીવન અને હરિજન પત્રો કાઢ્યા હતા. પત્રકારત્વ વિશેના તેમના વિચારો ખૂબ જ સ્પષ્ટ હતા. લવાજમ કે લોકોની આર્થિક મદદથી અખબાર ચલાવવામાં તે માનતા હતા અને ખાનગી કે સરકારી જાહેરખબરોથી દૂર રહેવાનું તેમનું વલણ હતું. વર્તમાંપત્રો સેવાભાવથી  જ ચાલવા જોઈએ તેમ તેઓ અનુભવથી માનતા હતા. અખબારની શક્તિ અને તેની મર્યાદા બંને તે જાણતા હતા.એટલે તેમણે લખ્યું, ‘ વર્તમાનપત્ર એ ભારે શક્તિછે. પણ જેમ નિરંકુશ પાણીનો ધોધ ગામનાં ગામ ડુબાવે છે ને પાકનો નાશ કરે છે તેમ નિરંકુશ કલમનો ધોધ નાશ કરે છે.

    ગાંધીજીનું આરંભિક પત્રકારત્વ અને તેમની વિશિષ્ટતા તથા મર્યાદા ઈન્ડિયન ઓપિનિયનના તેમના લખાણોમાં દેખાય છે. ભાષાની સરળતા અને વિચારોની સ્પષ્ટતા ગાંધીજીનો વિશેષ છે. ઈન્ડિયન ઓપિનિયનમાં તેમણે લખેલા ચરિત્રો અને મોટાભાગે વિદેશીઓના તે પછીના ગાંધીજીના લેખનમાં જોવા મળતા નથી. એ જ રીતે હિંદ સ્વરાજ કે આત્મકથાની જેમ ગાંધીજીની અન્ય લેખમાળાઓ પણ અહીં હપ્તાવાર પ્રકાશિત થઈ હતી. કેટલાક શબ્દો અને વાક્યો ભાષા અને વ્યાકરણની દ્રષ્ટિએ ત્રુટિપૂર્ણ લાગે છે. ભારતીય કલા  પરનું તેમનું લખાણ વિચારોની પરિપકવતા અને સ્પષ્ટતાની રીતે ચકાસવા જેવું છે. મૈસુરના મહારાજાનો નવો મહેલ બંધાઈ રહ્યો છે તેના અંગ્રેજી અખબારના અહેવાલના અંશો પ્રગટ કરી તેમણે ટિપ્પણી કરી છે કે ભારત એ જંગલી લોકોનો કે ઝૂંપડીઓનો દેશ નથી. વળી આ મહેલના બાંધકામને તેમણે રાષ્ટ્રીય ગૌરવની સંતુષ્ટિનો મામલો ગણાવ્યો ત્યારે ગાંધીની સાદાઈના આગ્રહ સામે સવાલ થાય છે. ૪ થી જૂન ૧૯૦૩ના રોજ  ઈન્ડિયન ઓપિનિયનનો પ્રથમ અંક પ્રગટ થયો હતો તેમ છતાં ગાંધીજીએ આત્મકથામાં “આ છાપાની ઉત્પત્તિ ૧૯૦૪માં થઈ “ ( પ્રુષ્ઠ ૨૭૬) તેમ જણાવ્યું છે. સાર્થ  ગુજરાતી જોડણીકોશના ઉઘડતે પાને “ હવે પછી કોઈને સ્વેચ્છાએ જોડણી કરવાનો અધિકાર નથી “ એમ ગાંધીજી કહે છે. પરંતુ સત્યના પ્રયોગો અને દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના ઈતિહાસમાં એમણે ઈન્ડિયન ઓપિનિયનની જોડણી સ્વૈચ્છાએ કરી છે!

    ઈન્ડિયન ઓપિનિયનના પહેલા વરસના તંત્રીલેખમાં ગાંધીજીએ લખ્યું હતું , “   “અમે નથી તો તમિળ કે નથી બંગાળી, નથી હિંદુ કે મુસલમાન. નથી બ્રાહ્મણ કે વાણિયા અને ન જ હોવા જોઈએ. બલકે અમે કેવળ બ્રિટિશ ભારતીય છીએ. “”  દક્ષિણ આફ્રિકાના  વિભાજીત ભારતીયોમાં ઈન્ડિયન ઓપિનિયને એક રાષ્ટ્રીય ઓળખ ઉભી કરી હતી.

    ચાર વરસ પછી ઈન્ડિયન ઓપિનિયનના પ્રાગટ્યના સવાસોમે,  વર્ણ, વર્ગ, જ્ઞાતિ,કોમ, ભાષા, લિંગ અને એવી ઘણી રીતે વિભાજીત ભારતને ૧૨૦ વરસ પૂર્વે લખાયેલા ગાંધીજીના આ શબ્દોના અમલની કેટલી જરૂર છે, નહીં ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનો પ્રેરણાત્મક કલાકૃતિઓનો કળાસંંપુટ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    મહેન્દ્ર શાહનો પ્રેરણાત્મક કલાકૃતિઓનો કળાસંંપુટ

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • પાંચમી જૂનના સંપૂર્ણ ક્રાંતિ દિવસની સાખે…

    તવારીખની તેજછાયા

    ગાંધી મેદાનમાં જનમેદનીને સંબોધતા જે.પી.

    પ્રકાશ ન. શાહ

    આજથી પાંચ દાયકા પર પાંચમી જૂને જયપ્રકાશના આવાહનથી પટણાના ઈતિહાસપ્રસિદ્ધ ગાંધી મેદાન પર સંપૂર્ણ ક્રાંતિ દિવસ મનાવાયો હતો. એક રીતે, એમાં નેવું વરસ પર જેનો સૂત્રપાત થયો હતો એ સમાજવાદી આંદોલનનું સ્વાતંત્ર્યોત્તર સંધાન હતું.

    આ ક્ષણે, પાંચમી જૂનના જોગસંજોગનો અવસર ઝડપી હું એક મુદ્દો ખસૂસ કરવા ઈચ્છું છું- અને તે એ કે વાજપેયીનાં છ વરસ (૧૯૯૮-૨૦૦૪) દરમ્યાન જેના કંઈક દબાતા, કંઈક સંવારેલા ઉદગારો સંભળાતા હતા અને જે કથાનક ઉભરતું આવતું હતું, યથાપ્રસંગ કથિત લિબરલ મેકઅપ સાથે, તે ૨૦૧૪-૨૦૨૪ના આ મોદી દશકમાં એકદમ બુલંદપણે અને પ્રસંગોપાત તો પ્રાકૃત લાગવાની હદે ખાસ ફિકર વગર ઉભર્યું છે.

    આ કથાનક અલબત્ત ‘રાષ્ટ્ર’નું છે, એની સાંકડી ને આક્રમક વ્યાખ્યાનું છે, પણ હમણેના ગાળામાં એક વૈકલ્પિક કથાનક, અને તે પણ સ્વરાજસંધાન સાથે, ઊઘડતું આવે છે. પરિણામથી નિરપેક્ષપણે હવે એ કંઈ નહીં તો પણ વ્યાપક સમાંતર સ્વીકૃતિ ધરાવતું માલૂમ પડે છે. આ કથાનકને ગાંધીયુગીન લેખે અંશતઃ પણ ખતવી તો શકાય, પણ એમાં જો લવણ સાટું લડ્યાનું લાવણ્ય છે તો પુના કરારનું ખરબચડું સત્ પણ છે.

    એની પાસે સદભાગ્યે સાવરકર નથી, પણ મહદભાગ્યે ભગતસિંહ જરૂર છે- એ ભગતસિંહ, જેનો બોંબપ્રયોગ હલકાફૂલકા ધ્યાનાકર્ષણ પ્રસ્તાવ સરખો હતો, અને જેની મુખ્ય વાત આર્થિક-સામાજિક ન્યાયની હતી. લાહોર જેલમાં ૧૯૨૯ની આઠમી ઓગસ્ટે જવાહરલાલ ભગતસિંહ અને સાથીઓને મળવા ગયા ત્યારે એક મહિનાથી ભૂખ હડતાળ ચાલુ હોવા છતાં, એમણે આત્મકથામાં સંભાર્યું છે કે ભગતસિંહના ચહેરા પર ઝળકતી બૌદ્ધિક પ્રતિભા આકર્ષતી હતી, અને તે સાથે એના પરની શાંતિ ને સ્વસ્થતા પણ… કેટલી મૃદુતા ને સુજનતાથી એ વાત કરતા હતા!

    વોટ્સએપ યુનિવર્સિટીના સૌ લબરમૂછ (કેટલાંક તો મોટી ઉંમરનાં) બાળુડાંને આઝાદીના લડવૈયાઓની વિવિધ ધારાઓ વચ્ચે મતભેત છતાં કેવું સૌહાર્દ હતું એ સમજાય એટલા માટે જવાહરલાલની આત્મકથામાંથી આ ઉલ્લેખ કર્યો છે.

    મુદ્દાની વાત એ છે કે રાષ્ટ્રવાદના ગર્જનતર્જનમાં ગંઠાઈ ન રહેતાં સમાજવાદે આમ આદમીના આર્થિક-સામાજિક ન્યાયની ચિંતા કરી. તમે જોયેલા છેલ્લામાં છેલ્લા દીનહીન જણનો ચહેરો યાદ કરી નિર્ણય લેશો એ તો ગાંધીદીધું તાવીજ હતું જ. કોંગ્રેસ સમાજવાદી પક્ષનું પ્રતિનિધિ મંડળ ગાંધીજી સાથે નિરાંતે વાતો કરવા ગયું ત્યારે એના નેતા આચાર્ય નરેન્દ્ર દેવે સરસ કહ્યું હતું કે તમે આવ્યા અને સ્વાતંત્ર્યલડતનો વ્યાપ સુખી મધ્યમવર્ગની વંડી ઠેકીને આગળ વધી રહ્યો છે એના જ અનુસંધાનમાં કિસાનો ને કામદારો સહિત સૌની સહભાગિતાની અમારી સમાજવાદીઓની કોશિશ છે.

    પાંચમી જૂને આ પિછવાઈ સંભારણું એટલા વાસ્તે કે બેસતે સ્વરાજે ગાંધીસૂચવ્યા બે કોંગ્રેસ પ્રમુખો સમાજવાદી જયપ્રકાશ ને સમાજવાદી નરેન્દ્ર દેવ હતા. ગાંધીએ આંબેડકરનું નામ રાષ્ટ્રપતિ પદે વિચાર્યું હતું એવું કવચિત્ સાંભળવામાં આવ્યું હશે, પણ આ લખનાર કને એની કોઈ સાહેદી નથી. અલબત્ત, બંધારણના ઘડતર સાથે આંબેડકરનું સંકળાવું ગાંધીપહેલને આભારી હતું.

    ગમે તેમ પણ, સ્વરાજના ઉષાકાળે જે નામો શાસનસ્થ નેહરુ-પટેલથી ઉફરાટે ગાંધીને સાંભર્યા તેમાંથી એકને આ દેશના પરંપરાગત વર્ણવાસ્તવની પાકી ખબર હતી તો બીજાને વર્ગવાસ્તવની. ૧૯૫૬ સંકેલાતે સૂચિત લોહિયા-આંબેડકર મુલાકાત આંબેડકરના અસામયિક નિધનથી રહી ગઈ. બાકી, લોહિયાનું આંબેડકર જોગ આગ્રહભર્યું કહેવું હતું કે તમારે સ્વરાજ પછીની રાષ્ટ્રીય ચળવળનું નેતૃત્વ કરવાનું છે.

    (આઠેક વરસ પર અમદાવાદમાં ઉમાશંકર વ્યાખ્યાનમાં આનંદ તેલતુંબડેએ સંભાર્યું હતું કે આંબેડકર બંધારણમાં ‘સમાજવાદ’- અલબત્ત, લોકશાહી સમાજવાદનો સ્પષ્ટ ઉલ્લેખ ઈચ્છતા હતા.)

    સ્વરાજ પછી કોંગ્રેસમાંથી જુદા પડેલા સમાજવાદી પક્ષના નીતિ વિષયક નિવેદનમાં, આગળ ચાલતાં નેહરુ-ઢેબરની કોંગ્રેસમાં, પ્રજા-સમાજવાદી પક્ષથી ફારેગ થઈ ભૂદાન આંદોલન ભણી વળતી વખતે જયપ્રકાશે સાથીઓ જોગ લખેલ પત્રમાં, ૧૯૭૭ના જનતા ઢંઢેરામાં, જનતા અવતાર છાંડી ભારતીય જનતા પક્ષ રૂપે લીધેલ આરંભિક ભૂમિકા માંહેલા ગાંધીવાદી સમાજવાદમાં, લોહિયા-પ્રભાવિત ચિંતનને પગલે વીપીએ ઘુમાવેલ મંડલાસ્ત્રમા અને હમણેની કોંગ્રેસ ભૂમિકામા તમને આ ઈતિહાસનું સાતત્ય જૂજવે રૂપે જોવા મળશે. ક્યાંક એ પૂરા કદમાં નહીં તો પ્રભાવિત ટુકડાઓમાં છે, ક્યાંક કોસ્મેટિક પણ હશે.

    જોકે, મને પોતાને બે રોમહર્ષક અવસર પચમઢી કાર્યક્રમ (મે ૧૯૫૨) અને સંપૂર્ણ ક્રાંતિ દિવસ (૫ જૂન, ૧૯૭૪) લાગતા રહ્યા છે. પચમઢીમાં સમાજવાદીઓ મળ્યા તો હતા આકરી હાર પછી, પણ પાવડો, જેલભરો અને મતપેટી- રચનાકાર્ય, અન્યાય પ્રતિકાર તેમજ લોકશાહી પ્રશિક્ષણની એની ત્રિસૂત્રી રાજ્ય અને સમાજના ધોરણસરના રુધિરાભિસરણ ને ચયાપચયની રીતે બેમિસાલ હતી, છે અને રહેશે.

    ૧૯૭૪ના માર્ચથી બિહારમાં આવેલ છાત્રઉઠાવ જયપ્રકાશના નેતૃત્વમાં કેવળ વિધાનસભા વિસર્જનની માંગ ન અટકતાં સંપૂર્ણ ક્રાંતિના વ્યાપક અભિગમ ભણી વળ્યો એ સમાજવાદી આંદોલનની સર્વોદયસંધાન સહિતની ગાંધી ઘડી હતી… છે ને આ બધી નવ્ય કથાનકની ઈતિહાસ-સામગ્રી?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • તીખો તમતમતો તડકો, કાળઝાળ ગરમી અને બળબળતો ઉનાળો…

    પીળક

           -રક્ષા શુક્લ                     

     

    તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.

    ‘આવું ?’ કહેતા ગરમાળો સાથે પીળકને લાવ્યો.

     

    તોરણ લીલાં મૂકી મેડિયે ગરમાળો તો પીઠી ચોળે,

    પૈણું પૈણું પીળક કરે ‘ને કંકુમાં આંગળિયું બોળે.

    લૂમઝૂમ ને લાલચટક લ્યો, ગુલમહોર પણ નીકળે ટોળે,

    લળી લળી વાસંતી વાયુ ફરી ફરીને ચમ્મર ઢોળે.

     

    ગમતીલી ધમ્માચકડી ને ગમતો અવસર ફાવ્યો.

    તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.

     

    તડકાની તીખી બારાખડી, ગરમાળો પીળચટ્ટો ક્યાંથી ?

    ગોળગોળ ઘુમરાતા વાયુ વચ્ચે પીળો પટ્ટો ક્યાંથી ?

    પીળકનો પડછાયો આછો, આજે હટ્ટોકટ્ટો ક્યાંથી ?

    રંગ ઉછાળી ગરમાળો-ગુલમ્હોર રમે આ સટ્ટો ક્યાંથી ?

     

    ચૈતર ચીંધી કેડી પકડી સૂરજ છો ને આવ્યો !

    તીખો તમતમતો તડકો મેં ફળિયા વચ્ચે વાવ્યો.

    સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com


    “વેબગુર્જરી” પરિવારનુ પ્રથમ નવલું નજરાણું એટલે ‘ગ્રીષ્મવંદનાનામે
    ઈપુસ્તક
    તેમાં સમાવેશ પામેલ એક રચનાઃ

     ઉનાળો’  

    —દેવિકા ધ્રુવ

       છંદવિધાન–   હજઝ- ૨૮ ( લગાગાગા*૪)

    ગુજાર્યો જીંદગીનો જે ઉનાળો યાદ આવે છે.
    ધરા જેવી હતી હૈયાવરાળો યાદ આવે છે.

     

    સૂકા સૂમસામ રસ્તા પર ફરે ના બે પગુ પ્રાણી,
    ઝરે જલધનમળે માનવ રૂપાળો યાદ આવે છે.

     

    નિશાળોની રજામાં માણવા મળતી મઝા કેવી,
     વ્હાલી બાના ગામે કેરીગાળો યાદ આવે છે.

     

    શિશુવયના લડી ઝઘડીને રમતા સાથ સૌ સંગે,
    ભગિનીભાઈનો  નેહ નિરાળો યાદ આવે છે.

     

    ભલે બાળે ,દઝાડે ઝાળ સૂરજ ચૈત્રવૈશાખે,
    મળે જે માર્ગમાં વૃક્ષોનો માળો યાદ આવે છે.

     

    હકીકત તો અનોખી સ્‍હેલ છે સંસાર ઉનાળાની,
    સમંદર ઓટ ને ભરતી ઉછાળો યાદ આવે છે.


     

    —-દેવિકા ધ્રુવ | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક છઠ્ઠો: પ્રવેશ ૩

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક છઠ્ઠો: પ્રવેશ ૨   થી આગળ

    પ્રવેશ ૩ જો

    સ્થળ : વીણાવતીના મહેલની વાડી માંહેની ભૂમિ.

    [કોટની પાસે અંદરની બાજુએ પીપળાના ઝાડ આગળ ઊભેલી વીણાવતી પ્રવેશ કરે છે.]

    વીણાવતી : હજી કેમ આવ્યા નહિ ? આવશે ખરા કે નહિ ? આટલી મોડી રાત્રે આ પીપળા ઉપરથી ચઢી ઊતરીને અહીં આવવા મેં એમને બોલાવ્યા, પણ એટલું બધું સાહસ એ કરશે ? ગાયની કોડીમાં મારા પત્રનીચે તો લખી મોકલ્યું હતું કે ગમે તેમ કરીને પણ આવીશ, પણ એવું શું છે કે મને મળવા સારુ ગમે તેમ કરીને આવે ? ત્યારે , એવું શું છે કે એમને મળવા સારુ હું પરિજનોને ઊંઘતા મૂકી છાનીમાની આ એકાન્ત સ્થળે આવી ઊભી છું ? એવું શું છે ? હ્રદય ! એનો ઉત્તર તો તું જ દઈ શકે. તું મને અહીં ખેંચી લાવ્યું છે.

    (ઉપજાતિ)

    તેં જે ક્ષણેથી દઈ ફેંકિ શાન્તિ,
    ગ્રહી અજાણી નવિ કોઈ વૃત્તિ;
    ત્યાંથી છુટ્યું તું મુજ તંત્રમાંથી,
    ને હું બની છું તુજ તંત્રવશ્ય. ૭૫

    (ઊંચે જોઈને) અહો ! આ ઝાડમાંથી કોણ ડોકિયું કરી રહ્યું છે? અરે ! એ તો ચન્દ્ર છે. ચન્દ્ર ! મારી આ વિવશતા જોવાનું તને કુતૂહલ થાય છે ! અને આ શું?

    (ઉપેન્દ્રવજ્રા)

    મને વિંટીને કિરણોનિ જાળે,
    ધિમે ધિમે ભૂમિથિ તું ઉપાડે;
    કરે શું એ કૌતુકતૃપ્તિ સારૂ,
    નિહાળવા મન્થકષ્ટ મારું ? ૭૬

    પણ કદાચ હું ખોટો આરોપ મૂકતી હઈશ. તું મારી મદદે આવીને આમ કરતો નહિ હોય?

    (અનુષ્ટુપ)

    જેહના દર્શનાર્થે હું ઔત્સુક્યે અધિરી ઉભી,
    તેની પાસે મને લે શું અન્તરાયો થકી ઉંચે ? ૭૭

    [પીપળાના ઝાડ ઉપરથી અવાજ સંભળાય છે.]

    ‘સુન્દરી અન્તરાયોનું સામ્રાજ્ય હવે ઉતરી ગયું છે.’

    વીણાવતી : (ચમકીને) અરે ! મારાં વચન કોણે સાંભળ્યાં ?

    [ઝાડના થડને અડકીને ઊભી રહી ઊંચુ જુએ છે. જગદીપ ઝાડને થડેથી નીચે ઉતરે છે.]

    જગદીપ : (ઊતરતાં ઊતરતાં) એ વચનામૃતોનો જે પિપાસુ હતો તેણે જ પાન કર્યું છે. (નીચે ઊતરી ઝાડના થડને અડકી વીણાવતી પાસે ઊભો રહે છે.) અને એ પાને તેને અધિક તૃષાતુર કર્યો છે, પરંતુ એ અમૃતના સરોવર પર કાંઈ છાયા કેમ દેખાય છે?

    વીણાવતી : મને ચિંતા થતી હતી કે કોટ બહાર ઝૂમતી આ ઝાડની ડાળીઓ ઘણી ઊંચી છે, તેને શી રીતે પહોંચીને ઝાડ પર ચઢાશે.

    જગદીપ 😐 ઝાડ પર ચઢતા હું નાનપણથી શીખ્યો છું. પણ મને ખ્યાલ નહોતો કે એ કુશળતા કોઈ દિવસ સ્વર્ગનું દર્શન કરાવશે.

    વીણાવતી : આપ અતિ શયોક્તિના વાક્યો બોલો છો.

    જગદીપ : મારું હ્રદય બોલાવે છે તે કરતાં એક અક્ષર પણ વધારે નથી બોલતો. હ્રદયને જે વિષય કહેવાનો છે તે અતિશય હોય એમાં તો આપને વાંધો ન જ હોય ?

    વીણાવતી : આપ ક્યા વિષય વિશે કહો છો તે સાદી ભાષામાં કહો. તે વિના આ કોટની અંદર રહેનારને શી સમજણ પડે?

    જગદીપ : આ કોટની બહારની ભાષામાં એ વિષયને પ્રેમ કહે છે. આ કોટની અંદર એને માટે કદાચ બીજો કોઈ શબ્દ હશે.

    [વીણાવતી નીચું જોઈ રહે છે, પછી ઝાડના થડની છાલ પર નખથી ‘મૂંઝવણ’ શબ્દ લખે છે.]

    જગદીપ : (વાંચીને) તરુણી ! એ મૂંઝવણનું ખરું નામ પ્રેમ છે. એમ તમે હવે જાણ્યું તો પછી એનો સ્વીકાર કરવો ઘટે છે.
    વીણાવતી : ખરો શબ્દ સ્વીકાર્યા પછી પણ ખોટાએ કરેલી મુશ્કેલી ખસતી નથી.

    જગદીપ : પ્રેમ આગળ કોઈ મુશ્કેલી ટકતી નથી.

    વીણાવતી : મારી પરવશતાનો તમને ખ્યાલ નથી. હું રાજપુત્રી છું. પણ ભિખારણ જેટલી પણ હું સ્વેચ્છાની માલિક નથી.

    જગદીપ : તમે રાજપુત્રી ! કયા રાજાનું આંગણું આવાં અણમૂલ પગલાંથી ધન્ય થયું છે?

    વીણાવતી : પિતાના આંગણે મારો સંચાર હોત તો આ પ્રશ્ન ઉત્પન્ન જ ન થાત, પરંતુ મહારાજ પર્વતરાયને પોતાની પુત્રીને દૂરના એકાન્તમાં પૂરી રાખવી ગમે છે.

    જગદીપ : તમે પર્વતરાયનાં પુત્રી ! તેમના કુંવરી તો ગત થયાં છે, એમ લોકો જાણે છે !

    વીણાવતી : મારી આસપાસ આ કોટ ઉપરાંત ભેદના બીજા શા શા પડદા વીંટાળેલા છે તે હું જાણતી નથી, પણ હું પર્વતરાયની પુત્રી વીણાવતી છું અને હજી ગત થઈ નથી એટલું તો જાણું છું.

    જગદીપ : અહો ! પ્રેમ ! તને કેવાં તોફાન સૂઝે છે ! ક્યાં પર્વતરાયની વીણાવતી અને ક્યાં રત્નદેવીનો પુત્ર જગદીપ !

    વીણાવતી : તમે રત્નદીપદેવીના પુત્ર ! તમે અહીં શી રીતે ?

    જગદીપ : એ અપરાધનો વૃત્તાન્ત વર્ણવીશ ત્યારે તમે આર્પેલો પ્રેમપ્રસાદ રાખવાનો મારો અધિકાર નહિ રહે.

    વીણાવતી :

    (વસંતતિલકા)

    આ વાડિમાં વિવિધ જે કુસુમો ઉગે છે.
    દે છે સુગંધ, પણ, તે નહિ પાછી લે છે;
    ને કહાડતાં મધુર જે રવ પક્ષિ આંહી,
    લેતાં ન ખેંચિ ફરિ તે નિજ કંઠ માંહી. ૭૮

    જગદીપ : પ્રિયા ! તું એ કુસુમો અને પક્ષીઓ સાથે ઊછરી છે, અને તેમના જ વર્ગની છે. તેની પેઠે તારું પ્રમદાન પણ અલોપ્ય છે. તે હું જાણું છું. પરમ્તુ, તારા પ્રતિ થયેલો મારો અપરાધ હું ગુપ્ત રાખી તારું પ્રેમદાન અકુંઠિત થવા દઉં એ ન્યાય નથી.

    વીણાવતી : જેના ગુણને હું પૂજું છું તેના અપરધ જાણવાને મને શી જિજ્ઞાસા હોય?

    જગદીપ : (જમીન તરફ જોઇને) અરે, આ મારા પગ સાથે શું અથડાયું ? (વાંકો વળી જમીન પરથી વસ્તુ હાથમાં લઇ) માછલીના કાંટા જેવું જણાય છે ! અને, એમાં રેશમી દોરી પરોવેલી છે!

    વીણાવતી : એ કાંટો મારા કંઠમાં બાંધ્યો હતો, તે છૂટીને પડી ગયો. એ જાળવી રાખવાનો છે.

    જગદીપ : એવું એનું શું મૂલ્ય છે ?

    વીણાવતી : એ અમૂલ્ય છે. જે મગરમચ્છે જીવતાં આપણો પ્રથમ મેળાપ કરાવ્યો, અને પોતે મુવા પછી પણ આપણે ફરી મેળાપ કરાવ્યો તેના અંગમાંનો એ કાંટો છે.

    જગદીપ : એમ છે તો તેની બહુ આદરથી રક્ષા કરવી જોઈએ. પરંતુ મગરમચ્છે શી રીતે એ ધન્ય કાર્ય કર્યું?

    વીણાવતી : સમુદ્રમાં ભરતી સાથે મગરમચ્છ નદીમાં ચાલ્યો આવેલો, અને નદીના પટ ઉપરનો પેલો ઝૂલતોઝાંપો તોડીને તે વાડીની હદમાં પેઠેલો. મારી હોડી નીચે તેનું અંગ આવતાં હોડી ઉંધી વળેલી. ઝાંપાના ભાલા વાગવાથી તેનું મૃત્યુ થયેલું અને ભરતી ઊતરી જતાં તેનું શબ પાછું તણાઈ વાડી બહાર આવીને કિનારે પડેલું. ત્યાં બીજે દિવસે જઈ તેના અંગમાંથી હું આ કાંટો સ્મારકચિહ્ન માટે લઈ આવી છું.એના દેહને મેં ત્યાં જ અગ્નિ દાહ કરાવ્યો છે.

    જગદીપ : એની સેવા અતુલ છે.

    (અનુષ્ટુપ)

    પ્રેમસ્ફુલિંગે લાવેલો વડવાનલમઆંથિ એ,
    રોપવા આપણી માંહે તોડિયા જડ બન્ધનો. ૭૯

    એણે ઝાંપો તોડ્યો ન હોત તો આ બંધ વાડીમાં મારો પગ સંચાર ક્યાંથી થાત? અને, એણે હોડી ઉથલાવી પાડી આ વાડીમાંની અપ્સરાને મારી તરફ જલમાર્ગે પ્રેરિત કરી ન હોત તો હું એ દિવ્ય મૂર્તિની પ્રાપ્તિ ક્યાંથી કરત ? આ કાર્યમાં એના જીવનનું બલિદાન થયા પછી એનું શબ જ્યાં આપણા પુનઃ સમાગમનું નિમિત્ત થઈ ભસ્મીભૂત થયું છે ત્યાં આપણે સ્મરણસ્તંભ ઊભો કરીશું અને તે ઉપર લેખ કોતરાવીશું કે,

    (તોટક)

    હળવા ભરજો પગલાં અહિઆં,
    કચરાતિ રખે રજ આ સ્થળની.
    ભરિ ભસ્મ અલૌકિક એ રજમાં,
    વડગાગ્નિકણે જહિં પેમ સ્ફુરે. ૮૦

    પરંતુ પ્રેમથી અમૂલ્ય કીર્તિ સૌંદર્ય સાથેના યોગમાં રહેલી છે. માટે એ પ્રેમદૂતના આ અવશેષોને આ ગૌર કંઠ ઉપર આપેલી ધન્ય પદવીએ તેને ફરી સ્થાપિત કરવોજોઈએ.

    [જગદીપ મગરમચ્છનો કાંટો વીણાવતીને કંઠે બાંધે છે. તેમ કરતાં વીણાવતીના કંઠ પર જગદીપના હાથ રહેલા છે. તે વેળા બંનેની આંખો સામસામી મળે છે. અને તેવી સ્થિતિમાં તેઓ ક્ષણભર ઊભા રહે છે.]

    વીણાવતી : વહાલા ! તું મારી આંખોમાં શું જોઈ રહ્યો છે?

    જગદીપ : પ્રિયતમ વીણા ! મેં આજ સુધી જે દીઠું નથી તે અત્યારે તારી આંખોમાં જોઉં છું.

    (વસંતતિલકા)

    સીમા અભેદ્ય નડતી મુજને બધે જ;
    તે ચક્ષુ આ તુજ મહીં થતિ લુપ્ત દેખું,
    નિસ્સીમ દર્શન થતું તુજ ચક્ષુમાં જે,
    તેથી અગમ્ય ઘટના થતિ આજ ગમ્ય. ૮૧

    (અનુષ્ટુપ)

    ઘેરો અગમ્યતાનો જે દશે દિશ ફરી વળ્યો,
    ખસી જતો નિહાળું આ પ્રેમાર્દ્ર નયનો મહીં. ૮૨

    વીણાવતી : મારી આંખો મારા દિલદારને કોઈ પણ રીતે કામ આવતી હોય તો તે કાઢીને આપી દેવા તૈયાર છું.

    જગદીપ : મારે તો આખી વીણા જોઈએ છે. એના કયા અંગની કિંમત વધારે કરું અને કયા અંગની કિંમત ઓછી કરું ?

    વીણાવતી : (ઊંચે જોઈને) આ ચન્દ્રને આજે જંપ નથી. ઝાડ પરથી નીકળી આવીને એણે છાયાનું આવરણ આપણા પરથી ખસેડી લીધું છે. આપને બીજા કોઈ ઝાડની છાયાનો આશ્રય લઈએ કે જ્યાં મહેલમાંથી દૃષ્ટિગોચર ન થવાય.

    જગદીપ : પ્રેમપ્રતિજ્ઞાથી પાવન થયેલું આ સ્થળ છોડતાં પહેલાં અહીં તારી સુકોમલ અંગુલીએ મુદ્રા ધારન કરાવવી ઘટે છે. મારી પાસે આ વેળા સુવર્ણ પણ નથી અને રત્ન પણ નથી, પરંતુ પ્રેમરસની અમૂર્ત મુદ્રાથી તારી અંગુલી અંકિત કરવાની અનુજ્ઞા માંગુ છું.

    [વીણાવતી પોતાનો જમણો હાથ લાંબો કરી આંગળીઓ ધરે છે. જગદીપ ઘૂટણીયે પડી વીણાવતીની અંગુલી પર ચુંબન કરે છે.]

    જગદીપ : (ઊભો થઈને) સ્વર્ગમાં અમૃતનો આસ્વાદ છે એની મને હવે પ્રતીતિ થઈ. હવે પેલા ઝાડની છાયામાં જઈ પ્રભાત આપણો વિયોગ કરાવે તે પહેલાં હું મારું વૃતાન્ત નિવેદન કરી મારા હ્રદય પર રહેલો ભાર હલકો કરું.

    [બન્ને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૩ – दुनिया ये सरकस है और सरकस में ….. नीचे से ऊपर को, ऊपर से नीचे को आना-जाना पड़ता है

    નિરંજન મહેતા

    ए भाई, ज़रा देख के चलो
    आगे ही नहीं, पीछे भी
    दायें ही नहीं, बायें भी
    ऊपर ही नहीं, नीचे भी
    ए भाई…

    तू जहाँ आया है
    वो तेरा
    घर नहीं, गली नहीं, गाँव नहीं
    कूचा नहीं, बस्ती नहीं, रस्ता नहीं
    दुनिया है
    और प्यारे
    दुनिया ये सरकस है
    और सरकस में
    बड़े को भी, छोटे को भी, खरे को भी
    खोटे को भी, दुबले भी, मोटे को भी
    नीचे से ऊपर को, ऊपर से नीचे को
    आना-जाना पड़ता है

    और रिंग मास्टर के कोड़े पर
    कोड़ा जो भूख है
    कोड़ा जो पैसा है
    कोड़ा जो क़िस्मत है
    तरह-तरह नाच के दिखाना यहाँ पड़ता है
    बार-बार रोना और गाना यहाँ पड़ता है
    हीरो से जोकर बन जाना पड़ता है

    गिरने से डरता है क्यों, मरने से डरता है क्यों
    ठोकर तू जब तक न खाएगा
    पास किसी ग़म को न जब तक बुलाएगा
    ज़िन्दगी है चीज़ क्या नहीं जान पायेगा
    रोता हुआ आया है, रोता चला जाएगा
    ए भाई ज़रा देख के…

    क्या है करिश्मा, कैसा खिलवाड़ है
    जानवर आदमी से ज़्यादा वफ़ादार है
    खाता है कोड़ा भी, रहता है भूखा भी
    फिर भी वो मालिक पे करता नहीं वार है
    और इनसान ये माल जिसका खाता है
    प्यार जिस से पाता है, गीत जिस के गाता है
    उसके ही सीने में भौंकता कटार है
    ए भाई ज़रा देख के…

    हाँ बाबू, ये सरकस है शो तीन घंटे का
    पहला घंटा बचपन है
    दूसरा जवानी है
    तीसरा बुढ़ापा है

    और उसके बाद
    माँ नहीं, बाप नहीं
    बेटा नहीं, बेटी नहीं
    तू नहीं मैं नहीं
    ये नहीं, वो नहीं
    कुछ भी नहीं रहता है
    रहता है जो कुछ वो
    ख़ाली-ख़ाली कुर्सियाँ हैं
    ख़ाली-ख़ाली तम्बू है
    ख़ाली-ख़ाली घेरा है
    बिना चिड़िया का बसेरा है
    ना तेरा है, ना मेरा है

     

    https://youtu.be/u0I8bCWcY3Y
    ૧૯૭૦ની ફિલ્મ મેરા નામ જોકરનું આ બીજું ગીત છે જેમાં જીવનની ફિલસુફી છલકે છે.

    સરકસ એ આપણી જિંદગીનું જ એક રૂપ છે તેમ આ ગીતમાં દર્શાવાયું છે. કહે છે કે આ જિંદગીરૂપી સરકસમાં સર્વેને આવવું જવું પડે છે, ભલે તે પાતળો હોય કે જાડો, ખરો હોય કે ખોટો, નાનો હોય કે મોટો. વળી તેમ પણ સમજાવે છે કે જ્યાં તમે રહો છો તે ગલી, ઘર, રસ્તો, ગામ વગેરે તમારા નથી. તમે તો આવ્યા છો અને સમય આવ્યે ત્યાંથી છોડીને જતાં રહેવાના.

    સરકસમાં જેમ રીંગ માસ્ટર હોય છે તેમ આ દુનિયાના રીંગ માસ્ટર, પ્રભુ, ભૂખ, પૈસો, નસીબ જેવા કોરડા માનવી ઉપર વીંઝે છે અને તેને લઈને મનુષ્યએ જાત જાતના કામો કરવા પડે છે, ભલે તે ગમતું હોય કે નહીં. પણ આમ આખડતા પડતાં રહેવાથી શા માટે ગભરાવવું? જ્યાં સુધી ઠોકર નહીં ખાઓ, જ્યાં સુધી દુઃખનો અનુભવ નહીં કરો ત્યાં સુધી જિંદગીની ખરી કિંમત નહીં સમજાય. એ તો સર્વ વિદિત છે કે માનવ આ જગતમાં આવે છે ત્યારે રડતો આવે છે અને જાય છે ત્યારે અન્યો તેના માટે રડે છે.

    આગળ બહુ સુંદર કટાક્ષ મુક્યો છે. કહે છે કે માનવી કરતા જાનવર વધુ વફાદાર છે. સરકસમાં જાનવર માલિક તરફથી કોરડા ખાય છે, ભૂખ્યો રહે છે છતાં તે માલિક પર હુમલો નથી કરતો. જ્યારે માનવી જેનું ખાય છે, જેનો પ્રેમ મળ્યો છે, જેના તે ગુણગાન ગાય છે તેને જ પીઠ પાછળ છરો ભોંકે છે. આ કેવી કરામત, આ કેવી રમત!

    સરકસના આ ખેલને જીવનના ખેલ સાથે સરખાવ્યો છે. જેમ સરકસમાં ત્રણ કલાકનો શો હોય તે જ રીતે માનવીના જીવનમાં પણ ત્રણ તબક્કા છે, બાળપણ, જુવાની અને બુઢાપો. પણ જેવો બુઢાપો સમાપ્ત થાય છે ત્યારે પછી કોઈ કોઈનું નથી રહેતું. જેમ સરકસનો શો પત્યા પછી ખાલી ખુરસીઓ, ખાલી તંબુ રહી જાય છે તેમ માનવીના ગયા પછી જે કાંઇ રહે છે તે બધું ખાલી ખાલી જ અનુભવાય છે. મારૂં તમારૂં કાંઈ જ નથી રહેતું.

    આમ સરકસના એક જોકર દ્વારા કહેવાયેલી આ ફિલસુફીભરી વાત આપણને જરૂર વિચાર કરતાં કરી મુકે છે.

    આ ગીતના રચયિતા છે નીરજ જેને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે મન્નાડેનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૫૪. પંડિત ગાફિલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    એ જમાનામાં ફિલ્મી લેખકો અને ગીતકારોમાં પંડિતોની ભરમાર હતી. આ બધા ‘પંડિત’ જે સરળતાથી કોઈ ભક્તિ ગીત અથવા સંસ્કૃત – પ્રચુર  રચના લખી શકતા એટલી જ સરળતાથી ગઝલ પણ કહી શકતા કારણ કે ફિલ્મોની ભાષા હિન્દુસ્તાની હતી જેમાં ઉર્દુનો પ્રભાવ સાહજિક હતો એ ભાષા લોકોની હતી, કોઈ ધર્મ કે જાતિ – વિશેષની નહીં.

    અત્યાર સુધી આ લેખમાળામાં જે પંડિતોની ગઝલો આપણે જોઈ ગયા એમાં પંડિત ન્યાય શર્મા, કેદાર શર્મા, નરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ, દીનાનાથ મધોક અને પંડિત ઈન્દ્રનો સમાવેશ થાય છે.

    વાત કરીએ પંડિત ગાફિલની. એ ગાફિલ હરનાલવી પણ કહેવાતા. માત્ર એક રચનાથી એમનો પરિચય આપવો હોય તો ‘ અફસાના ‘ ૧૯૫૧ નું લતાએ ગાયેલું ગીત ‘ અભી તો મૈં જવાન હું ‘ કાફી છે. એમનું અસલી નામ અને અન્ય માહિતી ઉપલબ્ધ નથી. એમણે દો શહઝાદે, ડાકુ મન્સુર, ઝંઝીર, મિડલ ફેલ, રૂપ બસંત, રસીલી, તુફાન, પરખ અને પત્થરો કે સૌદાગર જેવી પંદરેક ફિલ્મોમાં ૫૦ જેટલાં ગીત લખ્યાં.

    એક જ ફિલ્મ ‘ દો શહઝાદે ‘ ( ૧૯૫૬ ) ની એમણે લખેલી બે ગઝલ પેશ છે :

     

    ઐ ગમે દિલ તેરા ચારા મૈં કરું તો ક્યા કરું
    જિંદગી હૈ બેસહારા, મૈં કરું તો ક્યા કરું

    શબ અંધેરી દૂર સાહિલ નાખુદા મજબૂર હૈ
    કોઈ બતલાઓ ખુદારા, મેં કરું તો ક્યા કરું

    અપને અરમાનો કી બરબાદી કા મંઝર દેખકર
    ખૂન હોકર દિલ પુકારા, મેં કરું તો ક્યા કરું

    લોગ ગૈરોંકા ગિલા અપનોં સે કરતે હૈ મગર
    મુજકો અપનોં હી ને મારા, મૈં કરું તો ક્યા કરું..

    – મુબારક બેગમ
    – લચ્છીરામ તોમર

     

    ઇન્સાં કી મહોબ્બત ભુલ ગયા તુ રસ્મે વફા કો ભૂલ ગયા
    દો રોઝ કી જુઠી દુનિયા મેં, બંદે તુ ખુદા કો ભુલ ગયા

    તુ ઝુલ્મો સિતમ સે ઓ ઝાલિમ, ખાલિક કી શાન મિટાતા હૈ
    જો દર પે ખડી હૈ શામો સહર,  ક્યા અપની કઝા કો ભુલ ગયા

    દુનિયા કે સફર મેં ઐ રાહી, એક હાથ સે દે એક હાથ સે લે
    યહાં સૌદા નકદ – બ – નકદી હૈ, તુ ઉસકી રઝા કો ભૂલ ગયા

    નાદાન સંભલ કુછ હોશ મેં આ, યે ઝુલ્મ ન કર યું ઝોર ન ઢા
    તાકત કે નશે મેં દીવાને, તુ કહરે ખુદા કો ભૂલ ગયા..

     

    – શિવ દયાલ બાતિશ
    – લચ્છીરામ તોમર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • શા માટે કંઈ પણ શીખવું જોઈએ?

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    શીખતાં રહેવાની બાબતે દરેક વ્યક્તિને વળગણ હોય છે..

    તે, તેણી, પેલું. તમે, તેઓ, કે હું.

    પરંતુ, ૯૦% લોકો અર્થ વગરનું શીખવામાં સમય વેડફતાં હોય છે.

    બધાં “માહિતગાર” થવા માટે શીખે છે.

    મોટે ભાગે, માહિતગાર થવાથી ખોટો વિશ્વાસ ઘડાય છે – એ વિશ્વાસને કારણે તમારે કરવાનાં કામોમાંથી કેટલાંક કરી નાખી શકાતાં હોય છે, પણ તેનાથી કંઈ વધારે નથી કરી શકાતું.

    માહિતગાર હોવાથી સારી કારકિર્દી બનશે કે વધુ સારૂં જીવન બનશે એવું જરૂરી નથી.

    → તમે જે શીખ્યાં છો તેને વ્યવહારમાં મુકી શકો તો જમવાનાં ટેબલ પર સફળતા લાવી શકો.

    અને સફળતા એકલી નથી આવતી. સમૃદ્ધિ પણ સાથે સાથે લાવે છે.

    વધારે સારી કારકિર્દી અને બહેતર જીવનને પણ સાથે લાવે  ✌️

    માહિતી મેળવવા શીખવું જૉઇએ = ના.
    નાનામાં નાનું કર્મ કરવા શીખવું જોઈએ = હા.

    તમે શા માટે શીખવા માગો છો?


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.