વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ૧૨મી જૂન, ૧૯૭૫ : બે ઐતિહાસિક ચુકાદાનો દિવસ

    તવારીખની તેજછાયા

    મોરારજી હંમેશ એક વાત પર ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં

    પ્રકાશ ન. શાહ

    લગભગ પાંચ દાયકા પાછળ ૧૨મી જૂન, ૧૭૫ના દિવસે બે ઐતિહાસિક ચુકાદા એકસાથે આવ્યા હતા. અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવ્યાં હતાં. જેપી આંદોલને આણેલ જાગૃતિના માહોલમાં ચોક્કસ જ ઈન્દિરાઈ એકાધિકાર પર આ એક ફટકો હતો. બીજો ફટકો ગુજરાત વિધાનસભાનાં ચૂંટણી પરિણામો સાથે પડ્યો: ભલે સીમિત પણ જનતા મોરચો ગજું કરી ગયો હતો.

    નવનિર્માણના દિવસોમાં જયપ્રકાશ ગુજરાત આવ્યા ત્યારે યોજાયેલ લોકસ્વરાજ સંમેલનનો તાંતણો પછી આગળ ચાલ્યો એમાં બિહાર આંદોલનથી બની રહેલ રાષ્ટ્રીય માહોલનો ખાસો હિસ્સો હતો. અમદાવાદનું ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન કેન્દ્ર આ સંદર્ભમાં એક સંપર્કસૂત્ર જ નહીં રીતસર નર્વ સેન્ટર બની રહ્યું હતું. બેંતાલીસ બિરાદરી, સર્વોદય મંડળ, તરુણ વિદ્યાર્થીઓ, નિસબત ધરાવતા નાગરિકો, સૌનું એ મિલન ઠેકાણું બલકે થાણું હતું. સૌના ધરીપુરુષ ભોગીભાઈ- ભોગીલાલ ગાંધી. ૧૯૭૪ના ફેબ્રુઆરીમાં જેપીની મુલાકાત સાથે જે દોર આગળ ચાલ્યો એણે છોડાવવાનું એક મોટું ઉખાણું એ હતું કે ૧૫મી માર્ચે વિધાનસભાનું વિસર્જન તો થયું પણ નવી ચૂંટણીમાં સતત સળંગ મુદત પડતી ગઈ.

    વિસર્જનને ખાસું એક વરસ વીતી ગયું ને કેન્દ્ર સરકારે ચૂંટણી યોજવાનું નામ ન લીધું ત્યારે અમે ગાંધી શાંતિ પ્રતિષ્ઠાન (નવી દિલ્હી)ના મંત્રી અને જેપી આંદોલનના સંયોજકવત્ રાધાક્રિષ્ણની વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાતના પક્ષ-અપક્ષ અગ્રણીઓનું સંમેલન યોજી ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી. તે પછી તરતના અઠવાડિયામાં એપ્રિલ ૧૯૭૫માં મોરારજી દેસાઈએ ચૂંટણી યોજવા માટે અનશન કર્યા અને ઈન્દિરાજીના મોકલ્યા ગૃહપ્રધાન દીક્ષિતે મોરારજીભાઈની માગણી સ્વીકારી. તે સાથે બાંહેધરી પણ આપી કે મિસાનો રાજકીય ઉપયોગ નહીં કરીએ. લોકસ્વરાજ આંદોલન-લોકસંઘર્ષ સમિતિ-જનતા મોરચો એ પ્રક્રિયા આગળ ચાલી.

    વાતની શરૂઆત પરિણામના દિવસથી કરી હતી, પણ ત્યાં સુધી પહોંચતાં પહેલાં ઝડપથી બે-ત્રણ મુદ્દા કરી લેવા જોઈએ. વ્યક્તિગત રીતે મોરારજીભાઈ સાથેના પરચિયથી (એમની અજાતમિત્ર આભા છતાં) સકારાત્મક છાપ પડી. મોરચાનો ઢંઢેરો તૈયાર કરવાની સમિતિ પર જેપી મિત્રોએ મૂક્યો હતો. કીર્તિદેવ દેસાઈ-પ્રવીણ શેઠ અમારા સહયોગી હતા. સંસ્થા કોંગ્રેસના બાબુભાઈ જશભાઈ ને દિનેશ શાહ તો અન્ય પક્ષો તરફથી આર. કે. અમીન વ. તેમ પ્રસંગોપાત પિલુ મોદી પણ જોડાતા. અમારા સૌમાં વયોવૃદ્ધ મોરારજી દેસાઈ બધો વખત બિલકુલ ટટ્ટાર બેસી ચર્ચામાં રસ લેતા. એક વાર પિલુ મોદીએ કહ્યું કે તમને છેલ્લે બધું બતાવી દઈશું. આટલું લાંબું બેસવાનું કષ્ટ કેમ લો છો. મોરારજી જેનું નામ- એ કહે, પિલુ, તું તો અંગ્રેજી આધ્યાક્ષર મુજબ બોર્ન પી.એમ. છે. જ્યારે મારે તો હજુ એમ.પી. બનવા માટે પણ મહેનત કરવાની છે. મુદ્દા ચર્ચવામાં મોરારજી હંમેશ એક વાત પર પોતાના વહીવટી અનુભવને જોરે ભાર મૂકતા: બરાબર વિચારો, આપણે વચન પાળી શકીએ એમ છીએ કે નહીં.

    ઢંઢેરાના મુખડા જેવો એક પેરા કીર્તિદેવ દેસાઈએ અને મેં તૈયાર કર્યો હતો. એમાં જયપ્રકાશના આંદોલનની આબોહવામાં એક નવું રાજકારણ રચાઈ રહ્યાનો નિર્દેશ હતો. ગુજરાતમાં જયપ્રકાશ ક્યાંથી, એવી વેધક પૃચ્છક નજરે મોરારજીભાઈએ અમારા સામું જોયું, પણ બાબુભાઈ દરમ્યાન થયા: આ લોકો (જેપી મિત્રો) છે તો આપણે બધા સાથે થઈ શક્યા છીએ.

    તે પછી બધું સમું ચાલ્યું. અનૌપચારિક સંબંધ એવો તો થઈ ગયો મોરારજીભાઈ સાથે પછીના ગાળામાં કે એ એમના આરોગ્યના પ્રયોગો વગેરેની વાત રસથી મિત્રભાવે કરે. એક વાર તાવ આવ્યો, ઊતરવાનું નામ લે, એટલે પોતે લંઘનનો રાહ લીધો. તે પછી આટલે વરસે એકે વાર તાવ આવ્યો નથી, એમ પણ એમણે કહ્યું. મારાથી રહેવાયું નહીં એટલે મેં એમને કહ્યું: ‘હવે મને ખબર પડી કે આપણે કેમ બનતું નથી… તમે રહ્યા લંઘનવાળા, અને અમે રહ્યા જેપીવાળા… ઉલ્લંઘનવાળા!’ એ ખડખડાટ હસી પડ્યા. પણ હતા તો મોરારજી, એટલે કહ્યા વગર રહી શક્યા નહીં કે તમે તમારા મનમાં કબજામાં છો જ્યારે મારું મન મારા કબજામાં છે.

    ખરું જોતાં વાસંતી સંઘર્ષ દિવસો તો એક લાંબી દાસ્તાં છે અને પાંચસો સાતસો શબ્દૈડીમાં એને ખતવી શકાય નહીં. પણ એટલું સંભારી લઉં કે જનતા મોરચાએ સરકાર રચવા માટે જે સાથ લેવો પડ્યો એને અંગે અમારા મનમાં કંઈક કચવાટ જરૂર રહ્યો. જોકે અત્યારે સૂત્રો હાથમાં ન લઈએ તો આવનારા દિવસો ભયાવહ વળાંક લઈ શકે છે એવીયે એક માન્યતા હતી. ઉમાશંકરે મન્યુવશ પ્રતિક્રિયા આપી કે અહીં જેપી થીસિસને બદલે મોરારજી થીસિસ ચાલે છે. શપથવિધિ માટે જતા બાબુભાઈને એમણે કહ્યું- હું તમને ‘વિશ’ કરી શકતો નથી. (જોકે ૨૬મી જૂને કટોકટી ઝિંકાઈ તે સાથે આ થીસિસ વિવાદ અપ્રસ્તુત બની ગયો.)

    પાંચમી જૂન, ૧૯૭૪ (સંપૂર્ણ ક્રાંતિ દિવસ) અને બારમી જૂન, ૧૯૭૫, જેપી થીસિસ ને મોરારજી થીસિસ વચ્ચેનું ગુણાત્મક અંતર ૧૯૭૭ના જનતા રાજ્યારોહણ સાથે કપાતું લાગ્યું.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૨ – ૦૬ – ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • મારો ચીનીભાઈ

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    ચીનાઓની મને કોઈ વાત આમ તો યાદ રાખવા જેવી લાગી જ નથી. એક સરખું માપ લઈને તૈયાર કરેલા બીબાંઢાળ ચહેરા,ચુંચી આંખો, બુચાં નાક, એમના આકાર, પ્રકાર, વેશભૂષાના લીધે યંત્રવત ચાલતા પૂતળા જેવા જ લાગે. પણ, આજે યાદ આવે છે એક આદ્ર આંખોવાળો ચીની ફેરિયો જે બોલ્યા વગર કહી ગયો કે, અમે સૌ કાર્બન કૉપી નથી. અમારી પણ અલગ કથા હોય છે.

    કેટલાક વર્ષો પહેલાંની વાત છે. પીઠ પર કપડાંનું પોટલું લઈએ આવેલો એ ચીની ફેરિયો કંઈક વેચવા આવતો.

    “મેમસા’બ કંઈક લેશો?”

    મા, બહેન, દીદી, બેટી જેવાં સંબોધનથી ટેવાયેલાં મનને મેમસા’બ શબ્દ કઠ્યો. વિદેશી માલ હું નથી લેતી કહીને એની અવજ્ઞા કરી.

    “અરે! અમે ક્યાં વિદેશી છીએ. અમે તો ચીનથી આવીએ છીએ.” એની આંખોમાં વિસ્મય હતું અને અવજ્ઞાના લીધે આઘાત પણ.

    ધૂળથી મેલાં જોડા અને એવાં જ મેલાં કપડાંમા દૂબળો પાતળો એ ચીની કંઈક જુદો તો લાગ્યો જ.

    “સાચે જ મને કંઈ નથી જોઈતું ભાઈ.” અવજ્ઞાથી દુઃખી જોઈને હું થોડી કોમળ બની.

    “ભાઈ કીધું તો જરૂર લેશો ને?”

    આ તો ધરમ કરતાં ધાડ પડી.

    એણે તો પોટલું ઉતારીને ચાયના સિલ્ક, ચાયના ક્રેપનાં કપડાં બતાવવા માંડ્યા. એનાં ભારે આગ્રહ પછી માંડ બે ટેબલક્લોથ લીધાં અને માની લીધું કે હવે આટલી ઓછી આવક પછી ફરી એ અહીં આવવાની ભૂલ નહીં કરે.

    પંદર દિવસ પસાર થયા અને વરંડામાં પોટલું ખોલીને એને કંઈક ગણગણતો બેઠેલો જોયો.

    “હવે તો હું કશું જ નથી લેવાની.” એને બોલવાનો મોકો આપ્યા વગર જ કહી દીધું.

    ચીનીએ ભારે પ્રસન્ન ભાવથી ખીસ્સામાંથી એક રૂમાલ કાઢીને બોલ્યો, “ સિસ્તર, બહુ બેસ્ત સેલ થયું એટલે તારી વાસ્તે સંતાડીને લાવ્યો છું.” એ ‘ટ’ બોલવાના બદલે ‘ત’ બોલતો. બોલતો ત્યારે સતત હકલાતો.

    જાંબુડી રંગનાં નાજુક ફૂલોથી સજાવેલા સરસ મઝાના રૂમાલ હતા જેમાં ચીની નારીની નાજુક આંગળીઓની કલાત્મકતા જ નહીં જાણે જીવનના અભાવની કરૂણ કથા આલેખાયેલી હતી. મારાં મ્હોં પરના નકારાત્મક ભાવની પરવા કર્યા વગર એની ઝીણી આંખો પટપટાવતા એણે હકલાતા સ્વરે બોલવા માંડ્યું. “ સિસ્તર કે વાસ્તે લાયા હૈ. સિસ્તર કે વાસ્તે લાયા હૈ.”

    આ તે કેવો યોગાનુયોગ! નાની હતી ત્યારે સૌ મને ચીની કહીને ચીઢવતા. હવે રહીરહીને આખા અલ્હાબાદમાં સૌને છોડીને બહેનનો સંબંધ જોડતો આ ભાઈ મળી આવ્યો! એ દિવસથી મારા ઘેર આવવાનો જાણે એને વિશેષાધિકાર મળી ગયો.

    ચીનની સામાન્ય વ્યક્તિ પણ કલા સંબંધી અભિરૂચી ધરાવે છે એ એની પાસેથી જાણ્યું. આસમાની રંગની દીવાલો પર કેવું ચિત્ર શોભે, લીલા કુશન પર કેવા પક્ષી સુંદર દેખાય, સફેદ પરદા પર કેવા ફૂલોનું ભરત શોભશે જેવી જાણકારી એની પાસેથી મળી. રંગ અંગેની એની જાણકારીથી તો એવું લાગ્યું કે, એની આંખો પર પટ્ટી બાંધી હોય તો સ્પર્શ માત્રથી પણ એ કયો રંગ છે એ કહી દેશે.

    ચીની વસ્ત્ર કે ચીની ચિત્રોનાં રંગો જોઈને થતું કે, ચીનની માટીનો કણકણ આવા રંગોથી રંગાયેલો હશે. મારે ચીન જોવું છે જાણીને એ અતિ પ્રસન્ન થઈ ગયો. પોતાની કથા સંભળાવવા એ અતિ ઉત્સુક રહેતો પણ કહેવા, સાંભળવા વચ્ચે ચીની અને બર્મીઝ ભાષાની ખાઈ હતી. એની ભાંગીતૂટી વાતોથી પૂરો સંદર્ભ સમજવો મુશ્કેલ હતો પણ, ભાવને ભાષા કે શબ્દોની સીમાઓ ક્યાં નડે? જે સમજાયું એ સાચે કરૂણ કથા જેવું હતું.

    એના માતા-પિતાએ બર્મા આવીને ચાની ટપરી ખોલી ત્યારે એનો જન્મ નહોતો થયો. એના જન્મ પછી તરત જ સાત વર્ષની બહેન પાસે છોડીને એની મા પરલોક પહોંચી. જે માને જોઈ પણ નહોતી એ મા પ્રત્યેની એની શ્રદ્ધા અજબ અને અતૂટ હતી. પિતાએ બીજી બર્મીઝ સ્ત્રી સાથે લગ્ન કર્યા અને મા વગરનાં એ બાળકોનાં દુર્ભાગ્યની શરૂઆત થઈ. પાંચ વર્ષનો થયો ત્યાં પિતા એક દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. અબોધ બાળકોએ સંજોગ સાથે પનારો સ્વીકારી લીધો. અપરમાનો ત્રાસ વધતો જતો હતો. ક્યારેક બહેન અને મા વચ્ચેનાં વૈમનસ્યને લઈને અબોધ બાળકને વધુ સજા મળતી. કેટલીય વાર ઘરનાં બંધ બારણાની બહાર આખી રાત ઠંડીમાં ઠરતી એની આંગળીઓ બહેનની હથેળીમાં ઉષ્મા શોધતી. બહેનનાં મલિન વસ્ત્રોમાં એના આંસુ ઝીલાતા. બહેનનાં નાનાકડા ખોળામાં ભરાઈને પિતા પાસે જવાની જીદ કરતો ત્યારે એના ફિક્કા ગાલ થપથપાવીને બહેન શાંત પાડતી. પડોશીઓના ઘેર કામ કરીને બહેન એના માટે ભાત માંગી લાવતી.

    બહેનની વ્યથાનો અંતિમ પડાવ હવે શરૂ થતો હતો. એક રાત્રે એણે જોયું તો મા બહેનને ખૂબ અલગ રીતે સજાવીને ક્યાંક લઈ ગઈ. એ જોઈને એ ખૂભ ભય પામી, રડીરડીને ઊંઘી ગયો. જ્યારે જાગ્યો ત્યારે એની પાસે પોટલાની જેમ પડી બહેન રડતી હતી. એ દિવસથી ભાઈને રોજે સારુ ભોજન, કપડાં, રમકડાં મળવા લાગ્યા. હવે ઉત્તરોઉત્તર બહેનની ક્ષીણ થતી કાયાને વધુ રંગરોગાન કરવામાં આવતા.

    રોજ એ વિચારતો કે કોઈક રીતે એના પિતાની ભાળ મળી જાય તો એમને ઘેર લઈ આવીને બહેનને ખુશ કરી દે પણ, એ ખોજ શરૂ ન થઈ શકી.

    હવે તો સાંજ પડે બહેનની કાયાપલટ, અડધી રાતે થાકીને આવતી બહેનના હાથમાંથી જંગલી બિલાડીની જેમ તરાપ મારીને પૈસાની પોટલી છીનવી લેતી મા, ભાઈના માથા પાસે ઢગલો થઈ જતી બહેન રોજનો ક્રમ થઈ ગયો હતો.

    એક દિવસ બહેન પાછી આવી જ નહીં. પિતાને શોધવા માંગતો બાળક હવે ગલીગલી ફરીને બહેનને શોધવા માંડ્યો. રાત્રે જે રૂપમાં જોતો એ બહેનને દિવસના અજવાળે શોધવી કપરી હતી. આમતેમ ભટકતા બાળકને સૌ પાગલ માનવા માંડ્યા. આમ ભટકતો એ કોઈ બર્મી,ચીની, સ્યામી ખીસાકાતરુ લોકોની ટોળીના હાથે જઈ ચઢ્યો. અતિશય ગંદી જગ્યમાં રહેતી આ ટોળકીએ એનું અલગ ઘડતર કરવા માંડ્યું. શીખતા જો ભૂલ થાય તો ઢોરમાર, ક્યારેક ઠીક ઠીક અભિનય કરે તો લાતથી પુરસ્કાર. ગંદા ગોબરા વાસણમાં મ્હોંમા ન જાય એવા ખાવામાંય એક બિલાડી જોડે ભાગ કરવો પડતો. આજે એ યાદ કરતા એની આંખોમાં અપમાનની જ્વાળા ભભૂકી ઉઠતી.

    મોડી રાતે પાછા આવતા સાથીઓના પગરવ પરથી અંધારામાંય એમની કમાણીનો કે કોઈની સાથે લડીને આવ્યાનો અંદાજ એ કાઢી શકતો.

    સંજોગોથી ત્રસ્ત એ બાળકનું જો કે નસીબ ઉજળું નીકળ્યું. ચોરીચપાટીની આ દિક્ષા પૂર્ણ થયા પછી જ્યારે કામે લાગ્યો ત્યારે અનાયાસે પિતાના ઓળખીતા વેપારી સાથે મેળાપ થયો અને એની જીવનદિશા બદલાઈ.

    પ્રસંશાની પુલ બાંધતાં કેવી રીતે જૂનો માલ પકડાવી દેવાનો, ગજથી કપડું માપે ત્યારે ઓછું મપાય પણ વેઢા જેટલું વધુ ન મપાય, પાઈપાઈના હિસાબની સામે પૈસા પાછા વાળવામાં ખોટા સિક્કા સરકાવી દેવાના એ કપડાંની દુકાનના વેપારી પાસે શીખવા માંડ્યો. માલિક સાથે ખાવાનું અને દુકાનમાં સુવાની વ્યવસ્થાથી એવું લાગ્યું કે જાણે એની પ્રતિષ્ઠા વધી.

    નાની ઉંમરથી ધન કેવી રીતે વાપરવું એ સંબંધી મૂલ્ય સમજી ગયો. હજુ એની બહેનને શોધવાનો પ્રયાસ છોડ્યો નહોતો. એને ક્યાં ખબર હતી કે આવી બાલિકઓનું જીવન જોખમોથી ખાલી નથી હોતું. ક્યારેક મૂલ્ય આપીને ખરીદી લેવાય કે ક્યારેક વિના મૂલ્યે એને ગાયબ કરી દેવાય. ક્યારેક કોઈ શરાબી નશાની હાલતમાં એનાં જીવનનો અંત આણે તો ક્યારેક હતાશામાં એ પોતે આત્મહત્યા કરી લે, કંઈ કહેવાય નહીં. અપરમા કોઈ બીજા જોડે પરણીને ચાલી ગઈ હતી એટલે એ રસ્તો પણ બંધ થઈ ગયો.

    દરમ્યાન કામ માટે એ રંગૂન આવ્યો. બે વર્ષ કલકત્તા રહ્યો. સવારથી સાંજ કપડાં વેચવાની ફેરી કરતો રહ્યો. હજુ એનામાં ઈમાનદાર બનવાની અને બહેનને શોધવાની ઇચ્છા જીવિત હતી. એ ઇચ્છાપૂર્તિ માટે ભગવાન બુદ્ધને પ્રાર્થના કરતો.

    ક્યારેક થોડો સમય એ દેખાતો નહીં પણ જ્યારે આવે ત્યારે “સિસ્તર કે વાસ્તે યે લાયા હૈ” કહીને ઊભો રહી જતો. એક દિવસ ખબર પડી કે હવે લડવા માટે એ ચીન જવાનો છે. એ ઇચ્છતો હતો કે હું બધાં કપડાં લઈ લઉં તો એ એના માલિકનો હિસાબ ચૂકતે કરીને ચીન પાછો જઈ શકે.

    પહેલી વાર આવ્યો ત્યારે પણ હકલાતો હતો, પાછો જઈ રહ્યો છે ત્યારે પણ હકલાતો હતો. પણ જ્યારે મેં પુછ્યું કે, ત્યાં તું એકલો જઈને શું કરીશ ત્યારે પહેલી વાર પૂર્ણ વિશ્વાસ સાથે બોલ્યો કે, “આટલા મોટા ચીનમાં એ ક્યાં એકલો છે?”

    મારી પાસે હતા એટલા અને બીજા પાસેથી ઉધાર લઈને પૈસાનો બંદોબસ્ત કર્યો ત્યારે એ અતિ પ્રસન્ન હતો.

    જતાંજતાં એનો કપડાં માપવાનો ગજ આપતો ગયો ત્યારે એના “સિસ્તર કે વાસ્તે” સિવાયના અન્ય શબ્દો હકલાવામાં સમજાયા નહીં.


    મહાદેવી વર્મા લિખિત વાર્તા ‘ वह चीनी भाई/ चीनी फेरी वाला’પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ખુશીઓનો પાસવર્ડ

    આશા વીરેન્દ્ર

    નીતીશની આંખો અચાનક ખૂલી ગઈ. કેટલા વાગ્યા હશે? એણે મોબાઈલમાં જોયું. ઓહ! હજી તો ચાર પણ નથી વાગ્યા. હમણાં હમણાં આવું જ થાય છે. અડધી રાતે ઊંઘ ઊડી જાય પછી આંખ મીંચાવાનું નામ નથી લેતી. એટલામાં એને કાને અવાજ પડ્યો,

    ‘ટ્વિચ, ટ્વિચ,’

    કોણ જાણે આ ચકલીનું શું લુંટાઈ જતું હશે કે, આટલી વહેલી સવારે ઊઠીને કકળાટ કરવાનું ચાલુ કરે છે ! નીતીશ મનોમન ખિજાયો. ગાર્ગી જો જાગતી હોત તો હસીને કહેત,

    ‘અરે, પણ આ માસુમ ચકલી પર વગર કારણે તારો ગુસ્સો શું કરવા ઊતારે છે? એ તો પતાની મસ્તીમાં બોલતી રહે છે!’ પણ અત્યારે તો ગાર્ગી રેવાને ગળે વળગાડીને નિરાંતે સૂતી હતી. સૂએ જ ને? આખા દિવસમાં કેટકેટલાં કામ કરે છે? થાકી જતી હશે. આવાં બધાં કામ કરવાની એને આદત પણ ક્યાં છે? ને રેવા? ગોરી પરી જેવી મારી દીકરી અહીં આવીને કેવી ઝાંખી પડી ગઈ છે? એ વ્હાલથી રેવાના વાળ સરખા કરવા ગયો ત્યાં રેવાએ ઉં… ઉં… અવાજ કર્યો એટલે ગાર્ગી જાગી ગઈ.

    ‘શું થયું નીતીશ? ઊંઘ નથી આવતી? તબિયત તો બરાબર છે ને?’ એણે ઉપરા છાપરી સવાલો પૂછી નાખ્યા.

    ‘તબિયતને તો કંઈ નથી થયું પણ મન બહુ બેચેન રહે છે. તને અને રેવાને અહીં લાવીને મેં ભૂલ કરી હોય એવું મને લાગ્યા કરે છે. જાણે મહેલમાં રહેનારાંને જેલમાં પૂરી દેવાનો ગુનો મારાથી થઈ ગયો હોય એવો સંતાપ મને સુખેથી ખાવા નથી દેતો કે નથી શાંતિથી સૂવા દેતો.’ બોલતાં બોલતાં એની આંખ ભીની થઈ ગઈ.

    ગામડાં ગામમાં એકઢાળિયું મકાન, પાકથી લચી પડતાં ખેતર અને કુદરતી હર્યાભર્યા વાતાવરણમાં ઉછરેલો નીતીશ એગ્રીકલ્ચર એંજિનિયરની ડીગ્રી મેળવ્યા પછી સિંગાપુર જવાની જીદ લઈને બેઠો ત્યારે મા-બાપુને ઘણું આકરું લાગેલું પણ પોતાની પીડા મનમાં જ છુપાવીને એમણે દીકરાની મરજીને વધાવી લીધેલી.

    ‘ભલે બેટા, તારી ખુશીમાં અમારી ખુશી.’

    સિંગાપુર જઈને નીતીશે ઘણીસારી પ્રગતિ કરી. .ઑફિસમાં સાથે કામ કરતી ગાર્ગી એને ગમી ગયેલી. એ દિવસોમાં ઑફિસની બારીની પાળ પર એક પંખી આવીને બેસતું. આખું કાળું અને છાતીથી પેટ સુધીનો ભાગ સફેદ. પૂંછડી એવી રીતે ઊંચી કરતું જાણે ટી.વી.નો એંટિના. આ પક્ષીની હિલચાલ અને એના અવાજને નીતીશે ગાર્ગીના ગમા- અણગમા અને વર્તન સાથે જોડી દીધેલાં. એ બે વાર પૂંછડી હલાવે તો ગાર્ગીને પોતે ગમે છે, દસ સુધી ગણે ત્યાં સુધી એ એક જ જગ્યાએ બેસી રહે તો ગાર્ગી પોતાનો લગ્નનો પ્રસ્તાવ સ્વીકારશે- આવું તો કેટલુંય એ પક્ષીને કેંદ્રમાં રાખીને વિચારતો. પછી તો બેઉ જોડાયાં બાદ એણે આ વાત કરી ત્યારે બંને પેટ પકડીને હસેલાં.

            ‘તું ય ખરો છે નીતીશ! પણ હવે આપણી એ મિત્રનું નામકરણ કરવું જોઈએ, એવું નથી લાગતું?’

    ‘મેં તો વિચારેલું જ છે. એ કાળી છે એટલે એનું નામ કલ્લી. બરાબરને?’

    ત્યારબાદ સમય એટલો ઝડપથી વિતવા લાગ્યો કે એની સાથે તાલ મિલાવવાની દોડમાં કલ્લી ક્યાંય ભુલાઈ ગઈ. રેવાનાં જન્મ પછી સિંગાપુરની વૈભવશાળી જીવનશૈલીમાં બંને સારી રીતે ગોઠવાઈ ગયાં .એક દિવસ માનો ફોન આવ્યો હતો. રડતાં રડતાં એણે કહ્યું હતું,

    ‘બેટા, તારા બાપુ બહુ માંદા છે. તમને બધાંને જોવાની એમને બહુ ઈચ્છા છે. જેમ બને એમ જલ્દી આવી જાવ.’

    સિંગાપુરથી એ સૌ પહોંચ્યા ત્યારે બાપુની હાલત નાજુક તો હતી જ પણ જ્યાં એમનાં મનને પજવતી વાત સમજીને નીતીશે ગામ પરત ફરીને ખેતી સંભાળી લેવાની વાત કરી ત્યાં તો જાણે ચમત્કાર થયો. થોડા દિવસમાં એમની તબિયતમાં ઘણો સુધારો થયો. મા-બાપુને ખુશ જોઈને દીકરાને આનંદ તો થયો જ પણ સાથે જ એક અજંપો એને ઘેરી વળ્યો કે, પોતાની મરજી એણે પત્ની પર થોપી દીધી હતી.

    ‘હું તમારા બેઉનો ગુનેગાર હોઉં એવું અનુભવું છું ગાર્ગી, અહીં નથી ઢંગની સ્કૂલ, નથી કોઈ પાર્ક કે નથી મૉલ. મારી લાડકવાયીને શું હું આવી જિંદગી આપીશ?’

    ‘નીતીશ, મને લાગે છે કે, સિંગાપુર છોડતી વખતે તેં મને અને રેવાને અગવડ ભરી જિંદગી આપવા માટે, તકલીફમાં મૂકવા માટે પોતાને જવાબદાર માનીને તારા મનની ફાઈલમાં એક ફોલ્ડર  તૈયાર કરી લીધું અને બાકી બધી ખુશીઓને પાસવર્ડથી પ્રોટેક્ટ કરી લીધી. એ પાસવર્ડ તારી પાસે જ છે પણ કદાચ તું ભૂલી ગયો છે.’

    ‘સાચે જ તું એમ માને છે, ગાર્ગી?’

    ‘સો ટકા. અહીં આવીને થોડો વખત મને બેચેની જરૂર લાગી પણ હવે જમીન ખેડવામાં, બીજ રોપવામાં, બીજને અંકુરિત થતું જોવામાં મને જે આનંદ મળે છે એ આપણી એરકંડીશંડ ઑફીસમાં નહોતો મળતો. ને રેવાની વાત કરતો હોય તો એને આ કુદરતની શાળામાં જે પાઠ શીખવા મળે છે એની સરખામણીમાં પ્લે સ્કૂલનું પોપટિયું શિક્ષણ મને તો નકામું લાગે છે.’

    ‘હાશ, આજે તેં મારા મન પરથી મોટો બોજ ઉતાર્યો. હવે હું નિરાંતે સૂઈ શકીશ.’

    ‘નીતીશ, તારું એગ્રીકલ્ચરનું અને મારું માર્કેટીંગ નું ભણતર હવે આપણે ખેતીનું આધુનિકીકરણ કરવામાં કામે લગાડીશું. ઓન લાઈન માર્કેટીંગનો ઓપ્શન વિચારવા જેવો છે. રાગી અને કિનોવાના ઑર્ડર તો અત્યારથી મળવા માંડ્યા છે.’

    ‘તારા સાથથી મને નવું બળ મળ્યું છે ગાર્ગી. હવે મને લાગે છે કે, આપણે કંઈક અર્થસભર કામ કરવા અહીં આવ્યાં છીએ. આપણે ઘણાં લોકોને રોજી- રોટી આપી શકીશું.’

    ‘તારો ખૂબ આભાર ગાર્ગી,..’ ખુશ થઈને નીતીશ આગળ કંઈ કહેવા જાય ત્યાં અવાજ આવ્યો, ‘ટ્વિચ, ટ્વિચ’

    બંને ખુશ થઈને એક સાથે બોલી ઊઠ્યા, ‘અરે, આ તો કલ્લી.’


    (શ્રધ્ધા થવાઈતની હિંદી વાર્તાને આધારે)


    સૌજન્ય: ભૂમિપુત્ર


    સુશ્રી આશાબેન વીરેન્દ્રનો સંપર્ક avs_50@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [ ૩ ] : ૧૯૬૮ થી ૧૯૮૦

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    શિવનંદમ પાલમડાઈ

    ૧૯૬૮ – લિખે જો ખત તુઝે વો તેરી યાદમેં હજારો રંગ કે નઝારે બન ગયે – કન્યાદાન – શંકર જયકિશન – નીરજ – શશી કપૂર

    શૈલેન્દ્રના નિધન પછીના વર્ષોનાં આ ગીતમાં હવે નીરજ ગીતકાર તરીકે આવી ગયા છે.

    જોકે શંકર જયકિશનની હવે ‘લાઉડ’ થતી જણાતી શૈલીની સાથે મોહમ્મદ રફીની ઊંચા સ્વરમાં અદાયગી હજુ પણ મહદ અંશે કર્ણપ્રિય રહી છે.

    ૧૯૬૯ – તેરી આંખોંકે સિવા ઈસ દુનિયામેં રખા ક્યા હૈ – ચિરાગ – મદન મોહન – મજરૂહ સુલ્તાનપુરી – સુનીલ દત્ત

    મદન મોહનની ધુનને મોહમ્મદ રફીએ પોતાની આગવી શૈલીમાં રજૂ કરી છે. ‘ઈનમેં મેરે આનેવાલે’ કે ‘આંખોં કે’ સમયે અલગ જ લહેકો ‘ર..ખ્ખા’  અને ‘ક્યા હૈ ‘ વચ્ચે થોડું અંતર જેવી હરક્તો રફીની આગવી પહેચાન બની ચુક્યાં હતાં.

    ૧૯૭૦ – તુમ સે કહું એક બાત પરોંસે હલકી હલકી – દસ્તક – મદન મોહન – મજરૂહ સુલ્તાનપુરી – સંજીવ કુમાર

    પ્રેમીકાના છેક હોઠ પાસે લાવીને બોલાતા ગીતના શબ્દો બહાર વરસાદની ઝરમરની અસરને વધારે આત્મીય અને માદક બનાવી રહે છે.

    આવો જ યાદગાર પ્રયોગ મદન મોહને ‘હીર રાંઝા’ (૧૯૭૦)નાં રફી – લતાનાં યુગલ ગીત મેરી દુનિયામેં તુમ આયે‘ (ગીતકારઃ કૈફી આઝમી) માં પણ કર્યો છે.

    ૧૯૭૧ – યે જો ચિલમન હૈ દુશ્મન હૈ હમારી – મેહબુબ કી મેંહદી – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – આનંદ બક્ષી – રાજેશ ખન્ના

    ‘આરાધના’ પછી પણ રાજેશ ખન્ના માટે રફીએ ગાયેલાં આ ગીતમાં રફીએ જે કુમાશથી ગીતની રજૂઆત કરી છે તે રફીના જ નહીં પણ રાજેશ ખન્નાના ચાહકોને પણ એટલી જ પસંદ પડી હતી.

    જોકે સંગીતકારોએ એક ગીત – મેરે દીવાનેપન કી દવા નહીં –  કિશોર કુમાર પાસે, તેમને અનુરૂપ શૈલીમાં, પણ ગવડાવવું પડ્યું છે.

    ૧૯૭૨ – એક ના એક દિન કહાની બનેગી તુ મેરે સપનોંકી રાની બનેગી – લક્ષ્મીકાન્ત પ્યારેલાલ – આનંદ બક્ષી – રાજેન્દ્ર કુમાર

    જયકિશનનાં અવસાન પછી રાજેન્દ્ર કુમાર માટે ગવાયેલાં ગીતોની શંકર જયકિશનની આગવી હથોટીનો વારસો જાણે લક્ષ્મીકાન્ત પ્યારેલાલ જાળવી રહ્યા છે !

    ૧૯૭૩ – તુમ જો મિલ ગયે હો તો યે યે લગતા હૈ કે જહાં મિલ ગયા હૈ – મદન મોહન – કૈફી આઝમી – નવીન નિશ્ચલ

    બદલતી જતી લય, દરેક લયમાં  પરદા પરની સીચ્યુએશનને જીવંત કરતી ગાયકી જેવા મદન મોહને કરેલા અદ્‍ભૂત પ્રયોગોને મોહમ્મદ રફીએ એટલા જ અનોખા અંદાજમાં રજુ કરેલ છે.

    https://www.youtube.com/watch?v=7cQaLY4sUDo

    ૧૯૭૧ – તેરી ગલીયોંમેં ન રખેંગે કદમ – હવસ – ઉષા ખન્ના – સાવન કુમાર – અનિલ ધવન

    ઉષા ખન્ના તેમની કારકિર્દીની ૧૯૫૯ થી કરેલી શરૂઆતથી મોહમ્મદ રફી પાસે ઘણાં યાદગાર ગીતો ગવડાવ્યાં છે. મહેમઉદ જેમાં હીરો છે એવી ફિલ્મ, લગભગ ‘બી’ ક્લાસની ફિલ્મ શબનમ (૧૯૬૪)માં પણ તેમણે રફીના સ્વરમાં મૈને રખા હૈ મોહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેરા બાંકપન જેવાં યાદગાર ગીતો આપ્યાં છે.

    ૧૯૭૫ – દૂર રહ કર ન કરો બાત કરીબ આ જાઓ – અમાનત – રવિ – સાહિર લુધિયાનવી – મનોજ કુમાર

    મનોજ કુમાર જ્યારે મહેન્દ્ર કપૂર કે મુકેશના જ સ્વરોમાં ગીત ગાતા એવા બદલી ગયેલા સમયમાં પણ રવિ, તેમના સાહિર લુધિયાનવી સાથેના સુવર્ણ કાળને છાજે એવી રચના મોહમ્મદ રફીના સ્વરમાં રજૂ કરે છે.

    ૧૯૭૬ – બરબાદ – એ – મોહબ્બત કી દુઆ સાથ લે જા, ટૂટા હુઆ ઈકરાર – એ – વફા સાથ લે જા – લૈના મજ઼નુ – મદન મોહન – સાહિર લુધિયાનવી – ઋષિ કપૂર

    મદન મોહન (૧૯૨૪), સાહિર લુધિયાનવી (૧૯ર૧) અને મોહમ્મદ રફી (૧૯૨૪) ઋષિ કપૂરથી ખ્ખાસી એક આખી પેઢી આગળના છે. પણ તેમનાં સંગીતને ઉમરની આવી દિવાલો નડતી નથી !

    ૧૯૭૭ – કહીં એક માસુમ નાજ઼ુક સી લડકી બહુત ખુબસુરત મગર સાંવલી સી … મુઝે આપને ખ્વાબોં કી બાહોંમેં પાકર કભી નિંદમેં તો મુસ્કરાતી તો હોગી – શંકર હુસ્સૈન – ખય્યામ – કમાલ અમરોહી – કંવલજીત

    ઉમદા શરાબ જેમ જૂનો થાય તેમ વધુ મુલાયમ બને અને વધુ અસરકારક બને એમ જ ખય્યામ તેમની બીજી ઇનિંગ્સમાં એમની જ ઉમરના શ્રોતાઓને પણ પોતાની ઉમર ભુલાવી દે એવી રચના સર્જે છે !

    ૧૯૭૮ – હમમેં હૈ ક્યા કે હમેં કોઈ હસીના ચાહે … સિર્ફ જજ઼બાત હૈ જજ઼બાતમેં ક્યા રખા હૈ – નવાબ શૈખ – સી અર્જુન – સાહિર લુધિયાનવી – પરિક્ષિત સાહની

    આ આખી શ્રેણીમાં આ એક ગીત એવું છે જેની ફિલ્મ અને ગીત કદાચ સાવ અજાણ્યાં કહી શકાય. જોકે સંગીતકાર, ગીતકાર, ગાયક અને અબિનેતા બહુ જાણીતા છે. સી અર્જુન જેવા પ્રતિભાશાળી સંગીતકાર અને સાહિર જેવા શાયરની રચના હોવાને કારણે આ ગીત હવે લુપ્ત થતાં જતાં માધુર્યમાં મીઠી વીરડી સમાન લાગે છે.

    મોહમ્મદ રફીનો સ્વર કેટલો યુવાન લાગે છે !

    ૧૯૭૯ – ખુશ્બુ હું મૈં ફૂલ નહીં હું જો મુર્જાઉંગા…જબ જબ મૌસમ લહેરાયેગા મૈં આ જાઉંગા – શાયદ – માનસ મુખર્જી – નિદા ફાઝલી – નસીરૂદ્દીન શાહ

    આ ગીતના સંગીતકાર ખરા અર્થમાં નવી પેઢીના કહી શકાય. જોકે માનસ મુખર્જીની પ્રતિભાની પુરી ઓળખ થાય તે પહેલાંતો, ૪૩ વર્ષની વયે, તેઓ આ દુનિયા છોડી ગયા. તેમનાં સંતાનો, શાન અને સાગરિકાને શ્રોતાઓની નવી પેઢીએ ગાયકો તરીકે બહુ નવાજ્યાં.

    આ ગીતના બીજા જૉડીયા ભાગમાં મોહમ્મદ રફીની સાથે સાગરિકા પણ સાથ આપે છે.

    અહીં મુકેલ લિંક વડે  બન્ને ભાગને ઑડીયો સ્વરૂપે સાંભળી શકાય છે.

    ૧૯૮૦ – મૈંને પૂછા ચાંદ સે કે દેખા હૈ મેરે યાર સા હસીન, ચાંદને કહા ચાંદનીકી કસમ નહીં નહીં નહીં – અબ્દુલ્લાહ – આર ડી બર્મન – આનંદ બક્ષી – સંજય ખાન

    મોહમ્મદ રફી સાથે આર ડી બર્મનનું આ છેલ્લું ગીત કહી શકાય. આર ડી અને રફીના વ્યવસાયિક સંબંધો વિશે જે પણ કંઇ કહેવાતું રહ્યું છે તે દરેક વાતને આ બન્નેએ જે ગીતો આપ્યાં છે તે સાવ તથ્યવિહિન સાબિત કરતાં હોય તેવું લાગે.

    પાદનોંધ :

    મોહમ્મદ રફીના ગીતોની યાદીમાં ૧૯૯૭ સુધીનાં ગીતો જોવા મળે છે. આવાં ગીતોની સંખ્યા પાછી ૧૮૮ જેટલી છે. બધાં ગીતો એવાં હશે કે જે રેકોર્ડ પહેલાં થયાં હશે, પણ એ ફિલ્મો મોડેથી રજૂ થઈ હશે.

    આ લેખનો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ખરેખર સક્રિય વર્ષોમાંથી કેટલાં ગીતોને પસંદ કરવાનો માત્ર છે. એટલે જે અને જેટલાં ગીતો અહીં મુક્યાં છે તેના કરતાં આ દરેક વર્ષે અનેક ગીતોને અહીં મુકી શકાય તેમ છે.

    આશા કરીએ કે મોહમ્મદ રફીના બીજા ચાહકો પાસેથી આવા રસથાળનો લાભ આપણને મળતો રહેશે.


    મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ

    અનુવાદ: અશોક વૈષ્ણવ

  • ફિલ્મી ગઝલો – ૫૫. પંડિત ફાની

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પંડિત ગાફિલ પછી પંડિત ફાની.આ શબ્દ બેલડી કાન અને આંખને ભલે થોડી વિચિત્ર લાગે ( એક વિશુદ્ધ હિન્દી શબ્દ પછી તુરત ઉર્દૂ તખલ્લુસ ! ) પણ એ જ હિન્દુસ્તાની સંસ્કૃતિની ઓળખાણ છે.

    પંડિત ફાની વિષે પણ ખાસ વ્યક્તિગત જાણકારી ઉપલબ્ધ નથી. બસ એટલું કે ‘૪૦ અને ‘૫૦ માં દશકમાં એમણે ચાલીસેક ફિલ્મોમાં દોઢસો આસપાસ ગીતો લખ્યા. થોડીક ફિલ્મોના સંવાદો પણ. મોટાભાગની ફિલ્મો ગુમનામ જ રહી. આવી કેટલીક ફિલ્મો એટલે મીના, બંસરી બાલા, નન્હે મુન્હે, અપની ઇજ્જત, આઈના, ભગવાન શ્રીકૃષ્ણ, બીતે દિન, હમારી બેટી, રૂપયે કી કહાની, તુલસી, રંગીન ઝમાના, રંગભૂમિ, નારી અને કીર્તિ વગેરે. એમણે લખેલી ગઝલોમાંની બે પ્રસ્તુત છે :

    મિસ્લે ખયાલ આયે થે આકાર ચલે ગયે
    દુનિયા હમારે ગમ કી બસા કર ચલે ગયે

    ફૂલો કી આસ જિન સે જગાએ હુએ થે હમ
    કાંટે વો રાસ્તે મેં બિછા કર ચલે ગયે

    આઈ ન થી હમારે ચમન મેં બહાર ભી
    વો આગ આશિયા મેં લગા કર ચલે ગયે

    ભૂલે સે ભી કભી ન જિન્હેં હમ ભૂલા સકે
    દિલ સે હમે વો અપને ભૂલા કર ચલે ગયે..

    –  ફિલ્મ : આઈના ૧૯૪૪

    – કલ્યાણી

    – ગુલશન સુફી

     

    મુહબ્બત ભી જુઠી ઝમાના બી જુઠા
    મહોબ્બત કા હૈ યે ફસાના ભી જુઠા

    અદાએં ભી જુઠી વફાએં ભી જુઠી
    યે સબ રુઠ જાના મનાના બી જુઠા

    કહાં કા યે દિલ ઔર કૈસી મોહબ્બત
    અરે દિલ કા આના ભી, જાના ભી જુઠા

    જુદા હોના મિલના હૈ ઇસકા બરાબર
    યે રોના ભી જૂઠા હંસાના ભી જુઠા..

    –  ફિલ્મ : હમારી બેટી ૧૯૫૦

    –  મુકેશ

    – સ્નેહલ ભાટકર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વનવૃક્ષો : સીસમ

    ગિજુભાઈ બધેકા

    મારા ઘરમાં એક પેટી હતી. તે ઘણાં બધાં ખાનાંવાળી હતી, અને તેના ઉપર સુંદર સુંદર નક્શી હતી. એ પેટી સીસમની હતી.

    જેમ સુખડમાં નક્શીકામ થાય છે તેમ સીસમમાં પણ નક્શીકામ થાય છે. એક પાટીદારના ઘરની આખી છત સીસમના લાકડાની ભરપૂર કોતરણીવાળી હતી. કેટલાંય વર્ષની તે હતી, છતાં તે નવા જેવી જ લાગતી હતી. કેમકે સીસમનું લાકડું જેવું ને તેવું રહે છે; ઝટ જૂનું થતું નથી, અને એને કીડા પણ લાગતા નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જૂના લોકો પથ્થરમાં તેમ જ સીસમના લાકડામાં કારીગરીને સરસ રીતે સાચવી રાખતા હતા.

    કોઈના જૂના ઘરમાં જઈને હંમેશાં સીસમના ઇસ્કોતરાની તપાસ કરવી; ઘણા જૂના કારીગરોએ આગળ ઉપર એવા ઇસ્કોતરા બનાવેલા છે. મેં ઉપર કહ્યું તેમ એવો એક ઇસ્કોતરો મારા ઘરમાં હતો.

    થોડા વખત પહેલા મેં બાળકો માટે ચાર દાંડિયા સીસમના કરાવ્યા હતા, પણ તે તો ઝટ લઈને તૂટી ગયા. મને પાછળથી માલૂમ પડ્યું કે સીસમનું લાકડું ૪૦-૫૦ વર્ષ પછી મજબૂત થાય છે. કોઈએ કાચું લાકડું કાપ્યું હશે ને તેમાંથી દાંડિયા કર્યા હશે એટલે એ તૂટી ગયા. ખરું પૂછો તો સીસમનું લાકડું સારું ને જૂનું હોય તો તેનાં પાટિયાં લોખંડ જેવાં મજબૂત નીકળે છે.

    સારું સીસમ ઘણે વખતે પાકે છે, એટલે તે મોંઘું પડે છે. એટલે હાલના ઉપલકિયા લોકો જેવાં તેવાં બીજાં લાકડાંનાં ફરનિચર ઉપર સીસમનો રંગ કરી ખુરશીટેબલ વગેરે ફરનિચર સીસમના જેવાં બનાવે છે. પણ એમ કર્યે કાંઈ સાચા સીસમની તોલે આવે? અસલ તે અસલ, ને રંગ તે રંગ!

    સીસમનું લાકડું કંઈક અબનૂસ જેવું કાળું હોય છે. પણ કદાચ એટલું બધું તો નહિ; પણ માણસ જ્યારે કાળે રંગે હોય છે ત્યારે ઘણી વાર લોકો એમ કહે છે કે “આ તો કાળો સીસમ જેવો છે.”

    પણ સીસમથી કાળું અબનૂસ છે અને અબનૂસથી કાળો આફ્રિકાનો ‘નુબી’ નામની જાતનો વતની છે. આફ્રિકામાં જ્યારે હું નુબી લોકોને જોતો ત્યારે મને તેલ ચોપડેલી સીસમની લાકડી સાંભરતી.

    તમે સીસમની લાકડી ઉપાડી જોશો તો માલૂમ પડશે કે બીજી લાકડીઓથી તે ભારે છે. દેવદારનું લાકડું ખૂબ હળવું છે તો સીસમનું લાકડું ખૂબ ભારે છે.

    કેટલાંક મોટાં ઝાડો જેમ પર્વતો ઉપર થાય છે તેમ સીસમ પણ સહ્યાદ્રિ ઉપર ઠીકઠીક થાય છે. મલબારમાં પણ એની ઉત્પત્તિ સારી છે. આપણા ગુજરાત-કાઠિયાવાડમાં સીસમનું ઝાડ છે કે નહિ તે હું જાણતો નથી. પણ તમે કોઈ જાણતા હો તો મને લખી જણાવજો.

    મારી પાસે બેઠેલી એક છોકરી કહે છે: “સીસમ શબ્દ સીદી ઉપરથી આવ્યો હશે.”

    પણ એ વાત ખોટી લાગે છે. આફ્રિકામાં એ ઝાડ થાય છે કે નહિ એ માલૂમ નથી, પણ યુરોપમાં તો થાય છે. લૅટિનમાં તેનું નામ ‘ડાલ વર્જીયા ટ્રી ફોલિયા’ છે. કેવડું મોટું નામ ? લૅટિન ભાષાના બધા શબ્દો આવડા મોટા હોય તો તો બોલવામાં બહુ ભારે પડે, ને મોઢું પણ દુખે!

    આપણે સીસમ શબ્દ ઠીક છે.


    માહિતી સ્રોત : વિકિસ્રોત


    વધારે માહીતી માટે:

    સીસમ (સીસુ)  : ગુજરાતી વિશ્વકોશ

  • યાયાવર પક્ષીઓનો ઋતુપ્રવાસ

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ઋતુપ્રવાસ ઉપર નીકળતા પક્ષીઓની દુનિયા ખુબજ અલગ પ્રકારની રચના છે. જીવશ્રુષ્ટિના વિવિધ જીવમાં ઋતુપ્રવાસ એ તેમની જિંદગી અને ભવિષ્ય માટે જરૂરી હોય છે જેના વિના તેમનું જીવન શક્ય નથી બની રહેતું.

    ખાસ કરીને લાંબા પ્રવાસ થકી દેશદેશાવર જતા યાયાવર પક્ષીઓનો પ્રવાસ તેઓના અસ્તિત્વ માટે  વિસ્મયકારક, મોહક અને આકર્ષક ઘટમાર કુદરતે રચેલી છે. દરેક વર્ષે બે વખત વસંત ઋતુ તેમજ પાનખર ઋતુમાં પોતાના એક વતનથી બીજા વતન સુધી જવા માટે અસંખ્ય પક્ષીઓ ખુબ લાંબા પ્રવાસે અનુકૂળ વાતાવરણ માટે નીકળી પડે છે. તેઓ પોતાના નિશ્ચિત બીજા વાતને લગભગ નિર્ધારિત સમયમાં પહોંચી જાય છે.

    પક્ષીઓ અનુકૂળ વાતાવરણ, ખોરાક અને પ્રજનનનો અનુકૂળતા મેળવવા માટે આવા લાંબા અને જોખમી પ્રવાસ કરતા હોય છે. વધારે પડતા ઠંડા પ્રદેશમાં તેમનું જીવવું અને ખોરાક મેળવવું એમ બંને અશક્ય બનતા હોય છે. શિયાળુ પ્રદેશમાંથી પોતાને અનુકૂળ હુંફાળા પ્રદેશમાં જાય છે અને ફરીથી ઋતુ બદલાય તેટલે પોતાના સાથીઓ સાથે પાછા પોતાના શિયાળુ વતન તરફ પાછા નીકળી પડે છે.

    Bar-tailed Godwit

    પક્ષીઓમાં ત્રણ વર્ગ છે. પહેલા વર્ગમાં સ્થાનિક પક્ષી જે લાંબો પ્રવાસ નથી કરતાં. બીજા વર્ગમાં લાંબો પ્રવાસ કરનારા પક્ષી હોય છે અને ત્રીજા વર્ગમાં તેમના ઝુંડના કેટલાક પક્ષી લાંબા પ્રવાસે જાય છે તો કેટલાક નથી પણ જતા. ઋતુપ્રવાસવાળા પક્ષી અને સ્થાનિક પક્ષીના શરીરની રચના અને શારીરિક તાકાત કુદરતે અલગ અલગ રચેલી છે અને જે પક્ષી લાંબા પ્રવાશે જાય છે તેઓને શારીરિક રચના, હાડકાનું માળખું, આંખોનું તેજ, દિશાનું જ્ઞાન અને માનસિક ક્ષમતા બીજા પક્ષીઓ કરતાં આગવી હોય છે જે તેમને લાંબા પ્રવાસ માટે ઉપયોગમાં આવે છે.

    પૃથ્વીના ઉત્તર ભાગના, ખુબજ ઠંડા પ્રદેશના પક્ષી, ઠંડી શરુ થતા પહેલા શારીરિક ક્ષમતા કેળવી પૃથ્વીના દક્ષિણ ભાગ તરફ જતા હોય છે. આ સમયમાં તેઓના શરીરનું વજન વધતું હોય છે. ભારતમાં હિમાલયના ઉપરના ખુબજ ઠંડા પ્રદેશમાંથી પક્ષીઓ દક્ષિણ ભારત, મધ્ય ભારત અને પશ્ચિમ ભારત તરફ પોતાના બીજા વતનમાં જતા હોય છે અને પોતાના ઉનાળુ વતનમાં ગરમીનો સમય શરુ થાય ત્યારે પાછા આવતા હોય છે.

    ઉનાળુ વતનમાં ફૂલ, પાંદડા, જીવાત વગેરે ખોરાક તેમજ પ્રજનન કરી માળો બાંધી, બચ્ચાને ઉછેરીને પાછા પોતાના ઉનાળુ વતનમાં જવું તે તેમનો જીવન ક્રમ હોય છે. આવા પ્રવાસ દરમ્યાન તેઓને ઘણી કઠિણાઈઓનો સામનો કરવાનો આવી શકે છે. વાતાવરણમાં તોફાન, એકાએક પડેલો વરસાદ અને આંધી, સૂર્યનું ઢંકાઈ જવું અને તે કારણે દિશા ભુલાઈ જવી જેવા વિઘ્નોનો સામનો કરવાનો આવે તો તેનો સામનો કરતાં હોય છે.

    ભારતમાં પીળક/ ગોલ્ડન Oriol જેવા પક્ષી ચોમાસાના મુંબઈના ભારે વરસાદને છોડી, મધ્યા ભારત જતા રહે છે અને ત્યાર બાદ ચોમાસુ પૂરું થતાં સપ્ટેમ્બર મહિનામાં મુંબઈમાં પાછા આવી જાય છે.

    બધા પક્ષીઓ ગણતરી પૂર્વક ઋતુપ્રવાસ શરુ કરતા પહેલા પોતાનો ખોરાક વધારી દે છે અને એનર્જી ભેગી કરી લે છે જેનો વપરાશ તેઓ લાંબા અંતરે ઉડતા હોય ત્યારે થતો હોય છે. આ માટે તેમને પ્રવાસ માટેની એનેર્જી કેટલી જોઈશે તેનો અંદાજ સારી રીતે હોય છે અને જરૂર કરતાં થોડી વધારે એનર્જી ભેગી કરી લેતા હોય છે. પ્રવાસમાં દરિયા ઉપરથી ઉડવાનું હોય ત્યારે લાંબા સમય સુધી દિવસ રાત સતત ઉડવું પડતું હોય છે અને તેવા સમયે તેમની એનેર્જી વધારે વપરાતી હોય છે.

    ઉપરાંત રસ્તામાં તેમને જુદાજુદા પ્રકારના શિકારી પક્ષીનો ભય, રસ્તામાં ધુમ્મસ અને આંધી, દિશા નક્કી કરવા માટે સૂર્ય અને ચંદ્ર ન દેખાવા જેવા પ્રશ્નો ઉભા થતાં હોય છે. આવતા જુદા જુદા વિવિધ વિઘ્નોનો સામનો કરી, પોતાનું જીવનચક્ર ચાલુ રાખવા માટે ઋતુપ્રવાસ એ તેતેઓના જીવનનો અનિવાર્ય ભાગ છે. કુદરતની બક્ષેલી કાબેલિયત ઘણી ઉમદા છે, સૂર્યના ઉગવા અને આથમવા ઉપરથી તેઓ કઈ દિશામાં કેતુ જવાનું છે તે નક્કી કરતાં હોય છે. આમ તેમનો રોજિંદો પ્રવાસ સૂર્યોદય અને સૂર્યાસ્ત ઉપરથી નક્કી થતો હોય છે.

    નાના અને મોટા પક્ષીઓ એક દિવસમાં એક સાથે ૩૦ કિલોમીટર થી લઈને ૨૫૦ કિલોમીટર ઉંડાણ ભરતાં હોય છે તેમજ પોતાના શરીરની વધારે એનર્જી ન વપરાય માટે પોતાની ક્ષમતા પ્રમાણે ૬૦૦ થી ૧૮૦૦ મીટર ઊંચે સતત ઉડતા હોય છે અને તે દરમ્યાન તેમને નીચે ક્યાં ક્યાં ખોરાક મળી રહ્યો છે તે એટલે ઊંચેથી નજર રાખી ખોરાક મેળવતા હોય છે. જાણેકે આખા રસ્તાનો નકશો તેઓ જાણતાં હોય છે.

    કુદરતની આ રચના એટલી અજાયબ છે કે નવા જન્મેલા અને પહેલી વક્ષત ઋતુપ્રવાસ ઉપર નીકળેલા પક્ષીઓનું જ્ઞાન પણ આશ્ચર્ય પમાડે તેવું હોય છે.

    નિશ્ચિત જગ્યાએ પહોંચીને ખોરાક, પાણી, માળા બનાવવા, ઈંડા મુકવા અને બચ્ચાને ઉછેરવાની સાવચેતી સાથેની પ્રક્રિયા કરીને પોતાના શિયાળુ વતનમાં અને પ્રશ્નોનો સામનો કરી, ક્યારેક ખુવારી પણ ભોગવી જીવન વ્યથિત કરતાં હોય છે.

    આવા પક્ષીઓમાંથી કેટલાક ૩૫,૦૦૦ કિલોમીટર સુધીની લાંબી યાત્રા કરતાં હોય છે.

    આવું ઋતુપ્રવાસી એક આગવું પક્ષી ફ્લેમિંગો/ સુરખાબ એ ગુજરાત રાજ્યના પક્ષી પ્રતીક/ સ્ટેટ બર્ડ છે જે ઋતુપ્રવાસ કરી ભારતમાં શિયાળામાં આવે છે અને દર વર્ષે ચોક્કસ અને નિયત જગ્યાએ પહોંચી જતા હોય છે.  તેઓ અહીં ઈંડા મૂકે છે, બચ્ચાને ઉછેરે છે અને ત્યાર બાદ પાછું પોતાના વિદેશના ઉનાળા વતનમાં પાછું જાય છે. ભારતમાંથી મેં માસમાં વૈયા/ Rosy Pastors મધ્ય એશિયામાં બચ્ચા ઉછેરે છે અને સપ્ટેમ્બર મહિનાના આરંભમાં પાછા ભારતમાં પોતાના કાયમી સ્થાને પાછા આવી જાય છે.

    ચમચાચાંચ/ Spoonbills તેમજ દસાડી/ આડ/ Coots પક્ષીની જાત એવી છે કે તેઓમાંના કેટલાક ઋતુપ્રવાસ કરે છે અને કેટલાક ઋતુપ્રવાસ નથી પણ કરતાં.

    આ એક ઘહન અને રસપ્રદ વિષય છે જેના વિષે ઘણો અભ્યાસ થઇ રહ્યો છે અને ઘણી બધી નવી સમાજ બહાર આવી રહી છે.


    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    * Love – Learn – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • કુદરતના જોર આગળ નાણાંનું જોર પાછું પડે ત્યારે…

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આત્યંતિક હવામાનના વધુ એક પરચારૂપે રણપ્રદેશ એવા દુબઈમાં  એપ્રિલ, ૨૦૨૪માં એક જ દિવસમાં વરસી પડેલો ૧૫૪ મિ.મી. જેટલો અધધ વરસાદ. સામાન્ય રીતે દુબઈમાં આનાથી અડધી માત્રામાં વરસાદ સમગ્ર મોસમ દરમિયાન વરસતો હોય છે. છેલ્લે અહીં આવી ઘટના છેક ૧૯૪૯માં થઈ હતી. આટલો બધો વરસાદ આટલા ટૂંકા ગાળામાં વરસે એટલે જે થવું જોઈએ એ જ થયું. આખો વિસ્તાર જળબંબાકાર થઈ ગયો, કેમ કે, વર્ષ દરમિયાન સાવ ઓછી માત્રામાં વરસાદ પડતો હોવાથી વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા અહીં ઊભી કરાઈ જ નથી. આથી આખેઆખું તંત્ર ખોરવાઈ ગયું. વિમાનીસેવાથી લઈને રોજબરોજના જીવન પર ગંભીર અસર થઈ. નુકસાનનો અંદાજ આવવો મુશ્કેલ છે, પણ એ કરોડો ડોલરમાં હોવાનું મનાય છે. આ ઘટનાએ વધુ એક વાર હવામાનની વિપરીતતા અને કુદરતી પરિબળોમાં માનવીય હસ્તક્ષેપ અંગેની ચર્ચા જગાવી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એક ધારણા અનુસાર આવા દેમાર વરસાદના મૂળમાં ‘ક્લાઉડ સીડિંગ’ નામની વરસાદની પ્રક્રિયાને વેગવંતી બનાવવાની ટેક્નોલોજીનો ઉપયોગ છે. આ ટેક્નોલોજી આકાશમાં રહેલાં વાદળને નિયંત્રીત કરે છે અને વરસાદને સમય કરતાં વહેલો કે વિલંબીત કરી શકે છે. હકીકત એ છે કે સંયુક્ત આરબ અમીરાતમાં આવેલું દુબઈ શહેર એક અજાયબ શહેર તરીકે છેલ્લાં થોડાં વરસોમાં વિકસી રહ્યું છે. બહુમાળી ઈમારતો, રસ્તા, વિમાની મથકો તેમજ અન્ય અનેક ક્ષેત્રે તેણે સ્થાપત્યકળાના બેનમૂન નમૂના સર્જ્યા છે, અને એ પણ સાવ ટૂંકા ગાળામાં. કહેવાય છે કે ઘણું બધું ઘણી ઝડપથી કરી લેવાની ઉતાવળમાં ઝીણવટભર્યું અનેક આયોજન ધ્યાનબહાર રહી ગયું છે. એ પૈકીનું એક આયોજન એટલે ઘણા વિસ્તારોમાં વરસાદી પાણીના નિકાલની પ્રણાલિનો અભાવ. વરસાદના અભાવવાળા અતિશય ગરમ અને સૂકા એવા આ વિસ્તારમાં એની જરૂર જણાઈ નહીં.

    સંયુક્ત આરબ અમીરાતમાં ‘ક્લાઉડ સીડિંગ’ દ્વારા વરસાદ વરસાવવાની નવાઈ નથી. છેક ૧૯૮૦ના દાયકાથી અહીંના ‘નેશનલ સેન્‍ટર ઑફ મીટીયરોલોજી’ (એન.સી.એમ.) દ્વારા ‘યુ.એ.ઈ.રેઈન એન્‍હેન્‍સમેન્‍ટ પ્રોગ્રામ’ (યુ.એ.ઈ.આર.ઈ.પી.) અંતર્ગત ‘નેનો મટિરીયલ’ તરીકે ઓળખાતો, મીઠાના આવરણયુક્ત ટીટેનિયમ ઑક્સાઈડ ધરાવતો ‘સીડિંગ એજ‍ન્ટ’ વિકસાવવામાં આવ્યો છે. અલબત્ત, આ દુર્ઘટના માટે ‘ક્લાઉડ સીડિંગ’ જવાબદાર ન હોવાનું સત્તાવાળાઓ તેમજ નિષ્ણાતો ભારપૂર્વક કહી રહ્યા છે. તેઓ આને માટે હવામાન પરિવર્તનને કારણભૂત ગણે છે.

    આ પ્રકારના બનાવ એકલદોકલ નથી, બલકે વિશ્વભરના વિવિધ પ્રદેશોમાં જોવા મળી રહ્યા છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં થઈ રહેલી વૃદ્ધિને કારણે વરસાદ વરસે તો એનું જોર વધુ હોય છે. સાવ સૂકા પ્રદેશમાં ધોધમાર વરસાદ અને વરસાદી વિસ્તારમાં દુષ્કાળની પરિસ્થિતિ ઘણે ઠેકાણે જોવા મળવા લાગી છે. દુબઈની ઘટના એ હકીકતને વધુ ગાઢ કરે છે કે નાણાં, ટેક્નોલોજી કે સાહસવૃત્તિ ભલે અઢળક હોય, કુદરત રૂઠે ત્યારે એ કશું કામ નથી આવતું.

    દુબઈમાં જે ધોધમાર વરસાદ વરસ્યો એ વાવાઝોડાની પ્રણાલિ સક્રિય થઈ હોવાને કારણે વરસ્યો, જે અરબી દ્વિપકલ્પ પરથી પસાર થઈને ઓમાનના અખાત તરફ આગળ વધતું હતું. ‘નાસા’ દ્વારા બહાર પાડવામાં આવેલી છબિઓમાં સામાન્ય રીતે સૂકા રહેતા આ પ્રદેશમાં પૂરે સર્જેલી ખાનાખરાબીનું પ્રમાણ જોવા મળ્યું. અનેક વિસ્તારોમાં પૂરનાં પાણી ફરી વળ્યાં છે.

    લંડનની ‘ઈમ્પિરીયલ કૉલેજ’નાં વરિષ્ઠ વ્યાખ્યાતા ફ્રેડી ઓટ્ટોએ કહ્યું છે, ‘આપણે અશ્મિજન્ય ઈંધણને બાળવાનું બંધ કરવું પડશે અને આપણાં શહેરોનું આયોજન નવેસરથી કરવું પડશે. બધે જ કોન્ક્રીટ પાથરવાનું અટકાવવું પડશે. કેમ કે, આપણે ક્યાંય છિદ્રાળુ સપાટી રહેવા દીધી નથી કે જેને કારણે પાણી જમીનમાં શોષાઈ જાય. આને કારણે સડક સાવ ટૂંકા ગાળામાં નદીમાં પરિવર્તીત થઈ જાય છે. સરવાળે આ આખું આયોજન મોતની જાળ રચે છે, જેને કારણે મૃતકાંક વધે છે.

    આપણે વિચારવાનું એ છે કે દુબઈ જેવા અતિ ધનવાન અને વિકસીત દેશમાં આ સ્થિતિ થઈ શકતી હોય તો આપણા જેવા દેશમાં આવું કંઈક થાય તો શી હાલત થાય? હવામાન પરિવર્તન અનેક સ્વરૂપે પોતાના પરચા દેખાડી રહ્યું છે. આપણા દેશમાં પણ આ પ્રકારે મર્યાદિત સમયમાં વરસાદ વરસી જવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે- ખાસ કરીને હિમાલયના પહાડી વિસ્તારોમાં. આમ છતાં, વિકાસની અવનવી યોજનાઓની ઘોષણાઓ થયે જાય છે. જે તીવ્ર દુર્ઘટનાઓ બની ગઈ એમાંથી કશો પાઠ શીખવાનું બાજુએ રહ્યું, એ સિફતપૂર્વક ભૂલાવી દેવામાં આવે છે. પર્યાવરણ પર વિપરીત અસર કરતા અનેક પ્રકલ્પો કે પરિયોજનાઓનો વિરોધ થાય છે તો પણ છેવટે એ ખાસ દબાણ પેદા કરી શકતો નથી.

    હિમાલયની જૈવપ્રણાલિ આમ પણ અત્યંત નાજુક છે. તેની સાથે છેડછાડ જાનમાલનું ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે છે. છેલ્લાં પાંચેક વરસમાં આ વિસ્તારમાં આની ઝલક આપતી વિવિધ દુર્ઘટનાઓ બની છે, છતાં એ બાબતે કશું વિચારાયું હોય એમ જણાતું નથી. નાગરિક તરીકે આ મામલે સાવ લાચારી અનુભવવી પડે એવી સ્થિતિ છે. તેમના ભાગે દુષ્પરિણામ ભોગવવા સિવાય ભાગ્યે જ કશું આવે છે. નીતિઘડતરના તબક્કે કશું કામ થતું જણાય તો નાગરિકો અશ્મિજન્ય ઈંધણના વિકલ્પના અમલ બાબતે કશું વિચારી શકે કે અમલ કરી શકે. નાગરિકોના કમનસીબે સરકારને મુખ્ય રસ નાણાંકીય આંકડામાં પડે છે. દુબઈના ઉદાહરણ પરથી એટલો બોધપાઠ લેવાય તોય ઘણું કે નાણાંના જોર કરતાં કુદરતનું જોર વધુ હોય છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૦૬ – ૦૬ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રસન્નતા તો પતંગિયાં જેવી છે

    મંજૂષા

    વીનેશ અંતાણી

    વાયા ભારતીય લેખક રસ્કિન બોન્ડ મૂળ અંગ્રેજ પરિવારના. એમનો જન્મ પહાડી શહેર કસૌલીમાં થયો હતો. એમણે ભારતને પોતાનું વતન બનાવ્યું. વચ્ચે થોડાં વર્ષો બાદ કરતાં એમનું મોટા ભાગનું જીવન ભારતમાં પહાડોની વચ્ચે વીત્યું છે. અત્યારે પણ એ ઘણાં વર્ષોથી મસૂરીના એક ગામમાં રહે છે. નાનપણથી પહાડો સાથે બંધાયેલો સંબંધ જીવનભર ટક્યો છે. એ જાણે પહાડના અવિભાજ્ય અંગ બની ગયા છે! એમણે કહ્યું છે: ‘હું પહાડોનાં વૃક્ષો, ફૂલો અને ભેખડો – ખડકોનો કુટુંબીજન બની ગયો છું.’

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સ્વાભાવિક રીતે એમણે મોટા ભાગનું લેખન પહાડોના સાંનિધ્યમાં કર્યું છે. એ કારણે એમની કૃતિઓમાં કુદરતી વાતાવરણની તાજગી, સુગંધ અને એક પ્રકારની હળવાશનો અનુભવ થાય છે. એમના વિપુલ સર્જનમાં બાળસાહિત્યથી માંડીને નવલકથા, વાર્તા, નિબંધો, કવિતા જેવાં સાહિત્યનાં વિવિધ સ્વરૂપોનો સમાવેશ થાય છે. પહાડોમાં વસતા લોકો સાથે રોજિંદા સંપર્કથી એમની લેખનશૈલી અને ઘટનાઓમાં સરળતા અને નિર્દોષતા માણી શકાય છે. કુદરતનાં તત્ત્વો સાથે એમનો ઘનિષ્ઠ અનુબંધ એમના શબ્દેશબ્દમાંથી નીતરે છે. એમની કથાઓ પરથી ‘ધ બ્લ્યૂ અમ્બ્રેલા’, ‘સાત ખૂન માફ’, ‘જૂનુન’ જેવી સુંદર ફિલ્મોનું નિર્માણ થયું છે.

    ગયા મહિને – ઓગણીસમી મેના રોજ – એમણે નેવુંમા વર્ષમાં પ્રવેશ કર્યો. તે પ્રસંગે એમણે કહ્યું હતું : ‘હું નેવુંમા વર્ષમાં પ્રવેશ કરું છું ત્યારે મારે મને આ સવાલ અવશ્ય પૂછવો જોઈએ કે શું હું પ્રસન્ન અને ભરપૂર જીવન જીવ્યો છું? એનો જવાબ છે – હા, ક્યારેક ક્યારેક! અને જો તમે ‘ક્યારેક ક્યારેક’ પ્રસન્ન રહી શક્યા હો તો શક્ય છે કે બાકીના સમયમાં પણ પ્રસન્ન અને ભરપૂર જીવન જીવી શકશો.’

    જીવનમાં પ્રસન્ન રહેવાની વાત સમજાવવા એ આપણને બાલ્યાવસ્થામાં લઈ જાય છે. કહે છે કે આપણે બાળક હોઈએ ત્યારે વારંવાર રડીએ છીએ. પછી સમય આવે છે સ્મિત અને કિલકારીઓનો. બાળકની કિલકારીઓ આ જગતનો સૌથી મીઠો અવાજ હોય છે. એવી કિલકારીઓમાંથી જ બાળક આ ‘મજેદાર’ દુનિયાની ખોજ કરવાનો આરંભ કરે છે. માણસને કોઈ પણ ઉંમરે બાળસહજ હાસ્યની જરૂર પડે છે. હાસ્ય માનવજાતને મળેલી બહુ મોટી ભેટ છે. ખાસ કરીને જીવનમાં આવતા મુશ્કેલ સમયમાં પણ આપણે હસી શકીએ, પ્રસન્ન રહી શકીએ, તો એ ભેટ વધારે મૂલ્યવાન બની જાય છે.

    પ્રસન્નતાની વાત કરતાં કરતાં રસ્કિન બોન્ડની કલમમાંથી વિચારપ્રેરક સૂત્ર જેવું આ વાક્ય સરી પડે છે: ‘તમે સુખ – પ્રસન્નતાની પાછળ દોડશો નહીં તો એ સામે ચાલીને તમને મળશે.’ આ વાક્યને એમણે સુંદર દૃષ્ટાંત આપીને સ્પષ્ટ કર્યું છે: ‘તમે પતંગિયાને પકડવા એની પાછળ દોડશો તો એ ઊડી જશે, સ્થિર ઊભા રહેશો તો એ જાતે જ તમારા હાથ પર બેસી જશે.’ પછી ઉમેરે છે કે જીવનમાં હાસ્ય અને હળવાશને આકર્ષી શકીએ તો એ આપણા આત્માનો હિસ્સો બની જશે.

    રસ્કિન બોન્ડ માને છે કે આપણે ચોવીસે કલાક પ્રસન્ન રહી શકીએ નહીં. પરંતુ થોડા સમય માટે તો ચોક્કસ ખુશ રહી શકીએ. દરેક નવો દિવસ, કશાકની નવી શરૂઆત, જીવનમાં આવતો દરેક નવો તબક્કો પ્રસન્નતાપૂર્વક માણતાં શીખવું જોઈએ.

    એ પોતે પહાડોમાં વસતા હોવાથી એમને પહાડોના પ્રભાતનો અવર્ણનીય આનંદ માણવાનો લાભ મળ્યો છે. એમની દરેક સવાર સુંદર અને અલૌકિક વાતાવરણથી શરૂ થાય છે. કૂકડાનું કૂકડેકૂક અને પક્ષીઓના ચહેકાટ કાને પડતાં એમના દિવસનો આરંભ થાય છે ઘરની બારી ઉઘાડતાં જ ક્ષણેક્ષણે રંગ બદલતી ક્ષિતિજ અને પરોઢની શીતળ હવા એમના ચિત્તને પ્રસન્નતાથી ભરી દે છે. પરોઢનું અજવાળું ધીરેધીરે પહાડો પર, ઘરોનાં છાપરાં પર અને ખેતરો અને જંગલ પર ફેલાવા લાગે છે. ત્યાર પછી સૂરજ બધું પોતાના હાથમાં લઈ લે છે અને પૃથ્વી પરનું જીવન જીવંત થઈ ઊઠે છે.

    શહેરોમાં રહેતા લોકોને પહાડોની વહેલી સવારનો લાભ ન મળે, પરંતુ શહેરીજનો પણ એમની રીતે નાનીનાની બાબતોમાંથી આનંદ મેળવી શકે. રસ્કિન બોન્ડ કહે છે તેમ શિયાળાની ઠંડીમાં તાપણાની આજુબાજુ બેઠેલાં પરિવારજનો સાથે માણેલી ક્ષણેક્ષણને આપણે આપણી ભીતર સંગોપી રાખીએ. ચોમાસામાં આકાશમાં આકાર બદલતાં વાદળો અને વરસાદનો આનંદ માણી શકાય. વહેલી સવારે ફરવા નીકળીએ ત્યારે આસપાસનાં વૃક્ષો, પક્ષીઓ, પ્રાણીઓ અને માણસોમાંથી કશુંક નવું જોઈ શકાય છે. રસ્કિન બોન્ડ કહે છે: ‘કોને ખબર છે – આજે આપણે જે રસ્તા પર ચાલ્યા એના પર ફરી ચાલવા મળશે કેમ?’

    એમણે બીજી એક ખૂબ મહત્ત્વની વાત કહી છે – તમારાં સપનાંને કદીય વિલાવા ન દો. તમે કોઈ સપનું સેવ્યું હોય તો એને સાચું પાડવા સતત પ્રયત્નશીલ રહો. સપનાં તમને ટકાવી રાખશે. તમે સેવેલાં સપનાં સાકાર કરવાનો માર્ગ પ્રસન્ન જીવનયાત્રા બની રહે છે. પ્રસન્નતા બહુ રહસ્યમય બાબત છે. એ સાવ નજીવી બાબતો અને ખૂબ મોટી બાબતોની વચ્ચે ક્યાંક રહેલી હોય છે અને તે આપણે જાતે શોધવાની છે. હળવા રહી ન શકતા, ગીતો ગાતાંગાતાં નાચીકૂદી ન શકતા લોકો પ્રસન્ન રહી શકતા નથી.

    રસ્કિને પોતાને પૂછેલો સવાલ આપણે પણ આપણી જાતને પૂછી શકીએ – હું ખુશ છું એથી નાચું છું કે નાચું છું એથી ખુશ રહું છું? હું ગીતો ગાઉં છું એથી મને આનંદ મળે છે કે હું ગાઈ શકું છું એ કારણે પ્રસન્ન રહું છું?’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • ઇકીરુ : જીવન ક્ષણભંગુર છે ગોરી, હોઠ પરનું રતુમડું સ્મિત કરમાય તે પહેલા પ્રેમ કરી લે.

    સંવાદિતા

    મૃત્યુ નજીક છે એ જાણી કેટલાક એ ક્ષણથી જ મરવાનું શરૂ કરી દે છે. કેટલાક ત્યારથી જીવવાનું શરૂ કરે.

    ભગવાન થાવરાણી

    ઉર્દુ લેખક કૃષ્ણ ચંદરની એક ટૂંકી વાર્તા છે ‘જામુન કા પેડ ‘.એમાં ભરરસ્તે એક ઝાડ પડી જાય છે અને એની હેઠળ એક માણસ દબાઈ જાય છે. લોકો ભેગા થઈ એ ઝાડ હટાવી એની નીચેથી પેલા માણસને કાઢવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક ડાહ્યો માણસ વચ્ચે પડે છે. ‘ આ સરકારી ઝાડ છે. આપણાથી હટાવાય નહીં. સરકારના માર્ગ વિભાગને જાણ કરવી જોઈએ.’ માર્ગ વિભાગના અમલદાર કહે છે ‘ જાહેર બાંધકામના કાર્યક્ષેત્રમાં આવે આ મામલો.’ એ વિભાગ કહે છે કે આ મામલો બાગાયતી વિભાગ હેઠળ આવે અને એ લોકો આ રાજ્ય સરકારનો નહીં કેન્દ્ર સરકારનો વિષય છે એવું કહી વાતને આગળ ઠેલે છે.અંતે ‘ સક્ષમ ‘  વિભાગના માણસો ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં પેલો માણસ મરી ચૂક્યો હોય છે !
    મહાન જાપાનીઝ ફિલ્મ સર્જક અકીરા કુરોસાવાની ૧૯૫૨ ની જે ફિલ્મ ‘ ઇકીરુ ‘ (એટલે જીવવું )ની વાત આજે આપણે કરવાના છીએ એનો નાયક કાંજી વાતાનબે આવો એક ‘ સક્ષમ ‘  અધિકારી છે જે દરેક રીતે એક અક્ષમ જીવન જીવ્યો છે. એણે ત્રીસ વર્ષની નોકરીમાં એક પણ દિવસ રજા પાડી નથી પરંતુ એ ત્રીસેય વર્ષોમાં યંત્રવત ફાઈલો ઠેકાડવા અને મુલાકાતીઓને ભગાડીને અન્યત્ર મોકલવા સિવાય કોઈ કામ કર્યું નથી. એ વિધુર છે અને પોતાના દીકરા અને વહુ સાથે રહે છે જેમને, એમની નજીક આવી રહેલી નિવૃત્તિના નાણા સિવાય એમનામાં કોઈ દિલચશ્પી નથી.
    મ્યુનસિપાલીટીના વિભાગીય વડા તરીકે એમની પાસે શહેરની મહિલાઓનું એક પ્રતિનિધિ મંડળ આવે છે. શહેરની વચ્ચે મચ્છરોથી ઊભરાતા કાદવ કચરા વાળા એક મેદાનને બાળ ક્રિડાંગણમાં ફેરવવા માટે એ રજૂઆત કરવા આવ્યું છે. એમને આ સાહેબ એમ કહી ભગાડી મૂકે છે કે આ કામ એમના કાર્યક્ષેત્રમાં આવતું નથી. એમણે આખી નોકરીમાં જવાબદારીઓનો આમ જ ઉલાળીયો કર્યો છે.
    પેટની તકલીફ માટે વાતાનબે સાહેબ એકવાર ડોક્ટર પાસે જાય છે. પોતાના એક્સ રેના પરિણામની રાહ જોઈ બેઠેલા વાતાનબેને ત્યાં એક વાતોડીયો માણસ ભેટે છે. વાત વાતમાં એ માણસ એમને કહે છે ‘ ડોક્ટર સાહેબ જો તમને કહે કે તમને ગમે તે ખાવા પીવાની છૂટ છે એનો અર્થ એવો કરજો કે તમને કેન્સર છે અને હવે છ એક મહિનાથી ઝાઝું જીવવાનું નથી. ‘ ડોક્ટર ખરેખર તેમ જ કહે છે. એમને હોજરીનું કેન્સર છે અને હવે મુશ્કેલીથી જિંદગીના છએક મહિના બચ્યા છે.
    ખળભળી ઉઠેલા કાંજી ઘરે પહોંચી આ વાત એકના એક દીકરાને કરવાનો પ્રયત્ન કરે છે પણ એ કોઈ રસ દાખવતો નથી. એ બ્લેન્કેટ ઓઢી એકલા એકલા રડે છે અને દિવાલ ઉપર ટિંગાડેલ ” નોકરીના 25 વર્ષ સફળતાપૂર્વક પૂરા કર્યા નું પ્રમાણપત્ર ” એમને ઉપહાસથી જોઈ રહે છે !
    સ્વસ્થતા કેળવી એ નોકરી ઉપર જવાનું બંધ કરે છે અને ખિસ્સામાં 50,000 યેન ભરી જીવન ‘ માણવા ‘ નીકળી પડે છે. બાર, કેસિનો, કેબરે, સ્ટ્રીપ ટીઝ અને માનુનીઓના મેળાવડામાં ફરતાં એમને એક મનમોજી લેખક ભેટે છે. એ એમની જીવી લેવાની ઉતાવળ અને એના કારણો સમજે છે. એ જ્યારે એમને વધુ પડતો દારૂ ઢીંચતા રોકે છે ત્યારે જવાબમાં કાનજી કહે છે ‘ આ પીવું એ મારો મારી અત્યાર સુધીની જિંદગી સામે નોંધાવેલો પ્રતિરોધ છે. ‘ !
    એક પાર્ટીમાં એ પિયાનો વાદકને એક જૂનું ‘ ગોન્ડોલા ગીત ‘ વગાડવાની ફરમાઈશ કરે છે અને પછી પોતે જ એ ગણગણે છે. એમણે ગાયેલા ગીતમાં સમાયેલું દર્દ સાંભળી પાર્ટીમાં ઉપસ્થિત સૌ લોકો ચકિત રહી જાય છે !
    એમની જ ઓફિસમાં કામ કરતી એક સહકાર્યકર સ્ત્રી એમને મળવા આવે છે. એ નોકરીમાંથી રાજીનામું આપવા માંગે છે કારણ કે દોઢ વર્ષ નોકરી કરી એણે પોતાનો સમય વેડફ્યો હોય એવું એને લાગે છે. એ સ્ત્રીને રાજીનામાના પત્રમાં કાંજીની મંજૂરીની સહી જોઈએ છે. જીવનના સાક્ષાત ધબકાર સમ એ સ્ત્રી ચંચળ લીલીછમ અને સતત પ્રવૃત્તિશીલ છે. એને નોકરી છોડી બાળકો રમીને રાજી થાય એવા રમકડા બનાવવામાં બાકીની જિંદગી ખરચવી છે. ઓફિસના સહકાર્યકારો એની ગેરહાજરીમાં એની કેવી ઠેકડી ઉડાડે છે એ વાત જ્યારે એ સ્ત્રી કાંજીને કહે છે ત્યારે એ જવાબ આપે છે  ‘ કોઈની ઘૃણા કરવી હવે મને પોસાય જ નહીં. મારી પાસે એટલો સમય જ ક્યાં છે ? ‘ . એ સ્ત્રીની ની જીવન સાથેની ઘનિષ્ઠ નિસ્બત જોઈને કાંજી ઉચ્ચારે છે ‘ મરતાં પહેલા ઓછામાં ઓછો એક દિવસ મારે તારી જેમ વ્યતીત કરવો છે.’
    કાંજીને લાગે છે કે મોજમજા એ વેડફાયેલા જીવનને ભરપાઈ કરવાનો સાચો ઉકેલ નથી. એને યાદ આવે છે,એના શહેરમાં ખરાબાની જમીનને બાળ ઉદ્યાનમાં ફેરવવા વિનંતી કરવા એક સ્ત્રીઓનું જૂથ આવેલું. એ મનોમન કંઈક નક્કી કરે છે. ઘણા દિવસ પછી ઓફિસે જાય છે અને મચ્છર અને ગંદકીથી ખદબદતી એ જગ્યાએ બગીચો બનાવવાની ઝુંબેશ શરૂ કરે છે. બધા ચકિત કે આ મુર્દામાં જીવ ક્યાંથી !  એ બધું અવગણી દોડાદોડી કરે છે, અન્ય વિભાગોનો સહકાર લે છે, ક્યાંક પોતાના કાર્યક્ષેત્રની ઉપરવટ પરાણે જાય છે અને બગીચાનું નિર્માણ શરૂ કરાવે છે.
    બગીચો પૂર્ણ થાય છે. એક દિવસ સમાચાર આવે છે કે કાંજી, પોતે બધા સંજોગોની સામે ઝઝુમીને બનાવેલા બગીચામાં એક અડધી રાતે હિંચકામાં ઝૂલતો ઝૂલતો કડકડતી ઠંડીમાં થીજીને મૃત્યુ પામ્યો છે ! એક સહકાર્યકરે તો એ હિંચકતો હતો ત્યારે એને પોતાની સગી આંખે અને કાને ‘ગોંડોલાનું ગીત ‘ ગણગણતા ભાળ્યો પણ હતો !
    ૧૯૧૫માં જાપાનીઝ કવિ ઈસામુ યોશી દ્વારા લખાયેલ એ ઊર્મિગીતના શબ્દો જુઓ :
    જીવન તો ભંગુર છે ગોરી
    પ્રેમ કરી લે
    જીવનમાંથી લાલચટક ખિલખિલાટ આથમે
    એ પહેલા
    માંહ્યલા થનગનાટનું પુર ઓસરે એ અગાઉ
    કારણ કે છેવટ તો
    કાળ જેવું કશું છે જ નહીં
    જીવન તો પરપોટો છે ગોરી
    નેહ રળી લે
    એની હોડી એ એના જ હાથોથી
    છીનવી લે એ પહેલાં
    ગાલોની લાલી ઓઝપાઈ જાય એ પહેલા
    કારણ આ દિશામાં તો રડ્યુંખડ્યું જ કોઈ આવે છે.
    જીવન તો સપનું રે ગોરી
    દલડું દઈ દે
    હોડી મોજાં પર સવાર થઈ
    સરી જાય એ પહેલાં
    તારા ખભે ટેકવાયેલો હાથ
    શિથિલ થઈ સરી પડે એ પહેલા
    કારણ અહીં લગી કોઈ નજર પહોંચે છે જ ક્યાં
    જીવન તો ટૂંકું ને ટચ
    પ્રેમ પદાર્થ પામ રે ગોરી
    કાળી ભમ્મર ઝુલ્ફનો ચળકાટ ઝંખવાય એ પહેલા
    તારા જિગરની જ્વાળા ટમટમીને હોલવાઈ જાય તે પહેલાં
    કેમ કે
     આજની ઘડી ગઈ તો પાછી ક્યાંથી ફરવાની..
    ફિલ્મમાં નાયકની અદભુત ભૂમિકા અભિનેતા તાકાશી શિમુરાએ ભજવી છે. એ કુરોસાવાની કુલ ત્રીસમાંથી એકવીસ ફિલ્મોમાં હતા. વિશ્વની સર્વકાલીન મહાન ફિલ્મોના ચયનમાં આ ફિલ્મ હંમેશા અગ્રસ્થાને હોય છે.
    ફિલ્મ લીઓ ટોલ્સટોયની લઘુ નવલ ‘ ડેથ ઓફ ઇવાન ઇલીચ ‘ ઉપરથી પ્રેરિત હતી. હિન્દી ફિલ્મ ‘આનંદ ‘માં પણ આ ફિલ્મની છાંટ હતી. ૨૦૨૨માં બ્રિટિશ ફિલ્મ ‘ લિવિંગ ‘ પણ એના પરથી બની છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.