વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૫૬. વહીદ કુરેશી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    વહીદ કુરેશી એટલે વધુ એક એવા ગીતકાર જેમના નામ અને કામથી ભાગે જ કોઈ પરિચિત છે. ( વહીદ કુરેશી નામના અન્ય એક વિદ્વાન લેખક, કવિ અને શિક્ષણ શાસ્ત્રી પણ આ જ ગાળામાં પાકિસ્તાનમાં થઈ ગયા. )

    વહીદ સાહેબે દિલ કી બસ્તી (૧૯૪૨ )નામની ફિલ્મનું દિગ્દર્શન પણ કરેલું અને ફેશનેબલ વાઈફ (૧૯૪૯), મેરી કહાની ( ૧૯૪૮), દુનિયાદારી (૧૯૪૮) ઘર કી લાજ (૧૯૬૦ ),  ઘર સંસાર (૧૯૫૮) અને નેક પરવીન (૧૯૪૬ )નું લેખન પણ.

    ‘૪૦ અને ‘૫૦ના દશકમાં એમણે પ્યાસે નયન, આબશાર, મેરે સાજન, ગૃહસ્થી, દિલ કી બસ્તી, ભૂલ ન જાના, નેક પરવીન, તુફાન, રંગીન કહાની, પતિ સેવા, બ્લેક આઉટ, ખઝાનચી કા બેટા અને લહેરી કેમેરામેન જેવી ત્રીસેક ફિલ્મોમાં ૧૫૦ થી વધુ ગીતો પણ લખ્યા. ફિલ્મ સંગીતના અસલ શોખીનોએ કદાચ એમનું લખેલું ફિલ્મ ‘ પ્યાસે નૈન ‘ ( ૧૯૫૪ ) નું તલત અને આશાએ ગાયેલું યુગલ ગીત ‘ મેરે જીવનમેં આયા હે કૌન ‘ સાંભળ્યું પણ હશે.

    એમના ગીતોમાં ગઝલો પણ ખાસ્સી માત્રામાં હતી એમાંની ત્રણ ગઝલો :

    ખામોશ મોહબ્બત કી ખામોશ કહાની હૈ
    આંખે હૈ ઝુબાન દિલ કી આંખો સે સુનાની હૈ

    રહેને દે મેરે દિલ મેં તું રોગ જુદાઈ કા
    યે તેરી મોહબ્બત કી છોટી- સી નિશાની હૈ

    કર કે દુનિયા દિલ કી આબાદ મોહબ્બત સે
    બરબાદ ઇસે કરને કી કિસ લિયે ઠાની હૈ

    તુ ચાહે તો ઠુકરા દે તુ ચાહે તો અપના લે
    દિલ હે તેરે કદમો પર ઠોકર મેં જવાની હૈ..

    – ફિલ્મ : સહેલી ( ૧૯૪૨ )

    – રતનબાઈ

    – બશીર દેહલવી

     

    વો અબ ન આયેંગે ઐ દિલ તુ ઈન્તેઝાર ન કર
    તુ બેકરાર ના હો મુજકો બેકરાર ન કર

    યે કૈસે આંખ મેં આંસુ યે કૈસા દર્દે દિલ
    તુ ભૂલ જા ઉન્હેં અબ યાદ બાર બાર ન કર

    યે કહ કે દિલ ને બુઝા ડાલા આરઝૂ કા ચિરાગ
    કિસી પે ભૂલ કે દુનિયા મેં ઐતબાર ન કર..

    –  ફિલ્મ:  ભૂલ ન જાના ૧૯૪૭

    – બ્રિજ માલા

    – ખાન મસ્તાના

     

    ઉનસે હમ કુછ કહેતે કહેતે રહ ગયે
    લેકિન આંસુ સબ ફસાના કહ ગયે

    આગ દિલ મેં તુમ લગા કર ચલ દિયે
    ઔર યહાં અરમાન જલતે રહ ગયે

    દિલ કે ટુકડે થે નિશાની પ્યાર કી
    આજ વો ભી આંસુઓ મેં બહ ગયે..

    –  ફિલ્મ:  દિલ કી બસ્તી ૧૯૪૯

    –  લતા

    – ગુલામ મોહમ્મદ


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : ચોકસાઈ

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    કેવળ સત્યને માટેની જિજ્ઞાસા આ ગુણો વિના નિષ્ફળ જાય છે. તથ્યો એકઠા ફરવાની ઇચ્છા ઘણીયે હોય  તો પણ  તે બારીક નિરીક્ષણ અને ચોકસાઈયી પ્રાપ્ત કરવામાં ન આવ્યાં હોય અયવા તો તેમને સ્પષ્ટતાથી વર્ણવવામાં ન આવ્યાં હોય તો બધી મહેનત વ્યર્થ જાય છે. વિજ્ઞાનનો પાયો ચોકસાઈથી પ્રાપ્ત કરેલાં તથ્યો ઉ૫૨ રચાયેલો હોય છે. તેથી તેમના નિર્ણયમાં કે વર્ણનમાં કોઈ પણ ઠેકાણે અચોક્કસતા જણાય તો સર્વ કાર્ય દોષિત થાય છે અને તજી દેવું પડે છે.  આ ચોકસાઈ જેટલી આવશ્યક છે તેટલી જ પ્રાપ્ત કરવી કઠિન છે. ઘણાં બાળક પોતાના જાગ્રત અને સ્વપ્નાવસ્થા અનુભવ વચ્ચેનો ભેદ સમજી શકતાં  નથી, અને સ્વપ્નને પણ સાચું માને છે.

    તેવી જ રીતે પ્રાચીન સમયના કેટલાએક મુસાફરોએ પોતાના અનુભવનાં વર્ણન કરતી વખતે પોતે નજરે જોયેલી ખરી હકીકતો, બીજા લોકોએ કહેલી વાતો, અને પોતાના માનસિક અભિપ્રાયો એકઠા કરી નાખ્યાં છે. આવી નોંધપોથીઓ વૈજ્ઞાનિક સમન્વેષણમાં નિરુપયોગી થઇ પડે છે. એક સાધારણ બનાવની હકીકત ત્રણ ચાર જુદાં જુદાં મનુષ્યો જુદી જ રીતે કહેશે. તેની ચોકસાઈથી અને પોતાના અંગત અભિપ્રાયથી રંગ્યા સિવાય વર્ણન કરનારા ઘણા ઓછા જ મળશે. પ્રયોગથી એમ સિદ્ધ થયું છે કે એક જ નાટ્યપ્રયોગનાં વર્ણનો પણ જુદા જુદા વિદ્યાર્થીઓ એકસરખી ચોકસાઈથી લખી શકતા નથી.

    પરતુ આ ચોકસાઈ ની ટેવ પ્રાપ્ત કર્યા વિના વૈજ્ઞાનિકોને ચાલે તેમ નથી. સર માયકેલ ફોસ્ટર નામના વિખ્યાત વૈજ્ઞાનિકના શબ્દોમાં કહીએ તો “સાધારણ” અનભિજ્ઞ અવૈજ્ઞાનિક મનુષ્યોને “લગભગ” “આશરે”, “ચાલશે” એવા શબ્દોથી ધણી વાર સંતોષ મળે છે. પરતુ કુદરતને તેથી સંતોષ થતો નથી. એ વસ્તુઓમાં ચોખાપુર અથવા તો ચોખાના સહસ્ત્રાંશ જેટલો પણ ફેર હોય તો કુદરત તો તે બને વસ્તુઓને જુદી જ ગણશે.  સાધારણ મનુષ્ય પોતાની દુનિયાદારીની રેવ પ્રમાણે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં આ સુક્ષ્મ ભેદ સમજ્યા વગર કામ કરવાની ધૃષ્ટતા રાખે તો કુદરત તેને ક્ષમા આપવાની નથી. આ ઝીણા ભેદ જોઇ નહિ શકવાથી જ્ઞાનનો માર્ગ હાથમાં આવેલો છતાં દેખી રાકાતો નથી, અતે કુદરતના ખજાનાની ચાવી સમીપ હોવા છતાં તેનો લાલ લઈ શકાતો નથી. વરાળયત્ર જેવા ય’ત્રતી બનાવટમાં આવી ચોખાપુર પણૃ ભૂલ કરવાથી કોઈવાર તે યંત્રની અને વાપરનાર મનુષ્યની પોતાની સહીસલામતીનો પણ ભોગ આપવો પડે છે. આવી બારીકાઇ અને ચોકસાઈથી બનાવાતાં યંત્રો અને હથિયારો દરેક દેશની ઔદ્યોગિક સ્વતંત્રતાના પાયા રૂપ છે.


    ક્રમશઃ


    હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ” વિશે વાત કરીશું.

  • ખેડૂત ધારે તો ખેતીમાં જણાતી “આફતો”ને “અવસર”માં ફેરવી શકે

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    “આફતને ફેરવીએ અવસરમાં“ આ જરા અવળવાણી લાગીને ? પણ આફતને અવસરમાં ફેરવી શકાય છે. હરેક આફતોના ઉકેલ અવશ્ય હોય છે. ઘણીવાર અણધારી આવી પડેલી આફત એવી તબાહી ફેલાવી એટલું બધું નુકશાન વહોરાવી દે છે કે એ જોઇને અરેરાટી નીકળી જાય છે. આમાંથી ઉગરવાનો કોઇ આરો વારો જ નથી દેખાતો. એવા મુંઝારાની વિકટ પળે પણ જો માણસ મનને હિંમત વડે બરાબર મક્કમ બનાવી આવી પડેલી મુશ્કેલી-આફતને “કંઇક કરી છૂટવાનો મોકો” [ચાંસ] સમજીને પુરુષાર્થ વડે ઉકેલવાનો પ્રયત્ન કરવામાં આવે તો  એ વલોવાટમાંથી મલાઇ રૂપ કોઇ નવી વાત, નવી પદ્ધતિ કે કાર્યક્રમ- નુસ્ખા મુંઝારામાં માર્ગ રૂપે મળી આવ્યા હોય એવા જાત અનુભવના મારા બેચાર .પ્રસંગોની વાત કરવી છે આજે.

    [૧]…..”ખેતર” નું રૂપ “વાડી” માં ફેરવાઇ ગયું :

    કૃષિ કોલેજના ભણતર દરમ્યાન મેળવેલ ખેતીના વિવિધ વિષયોના સૈધાંતિક જ્ઞાન, પ્રત્યક્ષકાર્યો, શૈક્ષણિક પ્રવાસો તથા પ્રયોગશીલ ખેડૂતોની વાડીઓની મુલાકાતો પછી નિશ્ચય કરેલો કે “ભણીને એવી ખેતી  કરી દેખાડવી છે કે જોઇને લોકો કહે કે જુઓ, “ઉત્તમખેતી” કોને કહેવાય ?” એનો ઉત્તમ નમૂનો ખડો કરી દેવાના મનસુબા સાથે ભણતર પૂરું કરી પહોંચી ગયો એવી ખેતી કરવા વતનમાં.

    પણ આ શું ? Hear ij the land ? Bat wher ij the Soil ?” ખેતી કરવાના મારા નિર્ણયમાં બળ પૂરનાર ખેડૂતોની ઉત્તમ વાડીઓ, અવનવા ખેત સાધનો અને નોખનોખી ખેતીની પદ્ધતિઓ, ફળોથી લથબથ બગીચાઓ, હેંડલ માર્યા ભેળાં ખ..ળ..ળ..ળ પાણીના ધોધ વહાવતાં ઓઇલ એન્જિનો, ફરજામાં હમચી ખુંદતાં ઘોડા જેવા બળદોની જોડી, અરે ! દૂધથી ફાટ ફાટ થતા અડાણ વાળી ગાયો થકી વ્યવસ્થિત મળતાં વળતરના સંતોષથી હરખાતા હરખાતા માણકી ઘોડી પર સવાર થઈ મોલાતોમાં આંટો મારતા ખેડૂતો મારી નજર સામે હતા. ક્યાં એ મેં કલ્પેલા આદર્શના દ્રશ્યો અને ક્યાં આ મરુભૂમિ જેવી આ મારા ખેતરની ધરતી અને એની સ્થિતિ ?

    જમીન ખરી, પણ સાવ ભૂખલી અને વધારામાં પાછી ઢોરાઢડિયા અને ઢાળવાળી ! નહીં ખેતર ફરતી વાડ કે કોઇ બંધપાળાનું નિશાન ! નથી ભળાતી મોલને પિયત દેવાની કોઇ સુવિધા કે નથી ભળાતું પડામાં એકેય ઝાડવું ! દેખાય છે બસ પરંપરાગત ખેતીના નબળા પાકો અને જૂની પુરાણી ખેતીની પદ્ધત્તિઓ ! આને કાંઇ “વાડી” થોડી કહેવાય ? મેં તો ધાર્યું હતું કે “હું ઉત્તમ ખેતી કરી દેખાડીશ” આવી પરિસ્થિતિમાં ખેતી કરવી કેમ ? મારું ખેતી કરવાનું સ્વપ્નું ભાંગીને ભુક્કો થઈ ગયું ! અને મુંઝારામાં ને મુંઝારામાં જરા જોરથી બોલાઇ ગયું “ ભારે કરી ! ખેતી કરવાનો નિર્ણય લેવામાં ક્યાંક ભૂલ તો નથી થઈ ગઈ ને મારી ?” આ મારી પહેલી આફત હતી.

    “ના ના ! જરાય ભૂલ થઈ નથી તમારી ! ભડ થઈને ભાંગી કાં પડો છો ? જુઓ, આ જ ખેતરમાંથી આપણા અભણ  વડીલો કુટુંબના રોટલા રળી શકતા હોય તો તમે તો ખેતીવાડીનું ભણતર ભણ્યા છો. હરેરી ગયે થોડો પાર આવે ? હિંમતે મર્દા તો મદદે ખુદા ! બધું થઈ રહેશે. હું છું ને ૧૬ વરસની તમારી સાથે !” પત્નીનો આવો બળુકો પડકારો  મળતાં હૈયામાં હિંમત આવી ગઈ. અને ભૂખલ્યા ખેતરને વ્યવસ્થિત વાડી બનાવવાના ઉપાયો અજમાવવા મન મક્કમ બન્યું.

    લોકભારતીમાંના શિક્ષણ દરમ્યાન ખેતીને ઉજ્વળ બનાવવાના અનેક પાસાંઓ માંહ્યલી સૌથી પહેલાં “પાક ઉત્પાદનમાં પિયતનું મહત્વ અને એના લાભ” વિશેની વિગત યાદ આવી ગઈ. આવતી સીઝન પહેલાં આખા ખેતરમાં પિયતની સગવડ કરે પાર !

    ઘડીભર થયું કૂવો ખોદાવું ? પણ તળમાં નીચે કાળમીંઢ પથ્થર ! કામ ઘણું કઠ્ઠણ-લાંબું અને પાણી થવાની પૂરી અનિશ્ચિતતા વાળું ! કૂવાની ધમાલમાં મોસમ ચુકાઇ જવાય તો ? મન કૂવાની અવેજી શોધવા લાગ્યું. ખેતરને નીચલે શેઢે જ કાળુભાર નદી. તે દિવસોમાં બારેમાસ અખંડ વહે. નદીમાં જ એન્જિન મૂકી ખેતરને પાણી પીતું કરવા મન અધીરું બન્યું. પણ નદી હતી ખુબ નીચાણમાં અને પડું હતું ખૂબ ઉંચું ! આ તો નેવાંનાં પાણી મોભારે ચડાવવાનાં ! પૂછતાં ઉપાય જડ્યો. ભૂગર્ભમાં સિમેંટ-પાઇપ નાખી શકાય. એ વખતે એવા ઉપાયનું જરાયે પ્રચલન નહોતું. પાઇપ બનાવનારા ભાગ્યે જ મળતા. પહોંચ્યો બોટાદ. એક રૂપિયાની એક ફૂટ એ લેખે થોડી પાઇપ લાવ્યો અને એની ટેકનીક પણ જાણતો આવ્યો. ખેતરના કાંઠે જ રેતી અને પાણી તો હતાં જ ! જાતે 2000 ફૂટ પાઇપ બનાવી. અમારા પરિશ્રમે જવાબ આપ્યો. નદીનો સીધો પ્રવાહ – વાયા પાઇપલાઇન – આખા ખેતરમાં પહોંચી ગયો ! પડું બધું હવે “ખેતર” મટી “વાડી” બની ગયું. ઉત્પાદન અચંબો પમાડે એવું જોરુકું મળવા લાગ્યું. આવી પડેલી મુશ્કેલીથી મુંઝાયા વિના માર્ગ શોધવાની મહેનતે ખેતીને કાયમ ખાતે જીવંત બનાવી દીધી.

    [૨]…..ઉપરા ઉપરી પડેલા 3 દુકાળે- પિયતની ઇલમી પધ્ધત્તિની ભેટ ધરી :

    અમારા ગઢડા વિસ્તારમાં ૧૯૮૫, ‘૮૬ અને ‘૮૭ ના ઉપરા ઉપરીના ત્રણ ખાબક્યા દુશ્કાળ. કૂવાના પાણી ડૂક્યાં, તળ તોડાવ્યાં, આડા-ઊભા દાર કરાવ્યા, પણ પાણી ન વધ્યું. કાંઠે વહેતી કાળુભાર નદી પણ સાવ કોરી ધાકોડ ! કુદરતના રીસામણાં સામે માનવી શું કરી શકે ? કૂવામાં માત્ર પોણો કલાકનું પાણી અને સામે પાણી માગનારાં ૬૦ વીઘામાં ૪,૦૦૦ ઝાડવાં ! ક્યુ ઝાડ શેનું છે તે યે ન પરખાય તેવાં પાન વિહોણાં નર્યાં ઠુંઠા ! તેમના “પાણી…પાણી” ના પોકારો વચ્ચે ઊભેલા અમ પતિ-પત્ની ! તદ્દન અવાક, અસહાય ! દુશ્કાળરૂપી આવેલી આફતનું  એ દ્રશ્ય યાદ આવતાં આજે પણ રુંવાડાં ઊભાં કરી દે છે

    મુંઝાયે પાર આવે એવું નહોતું.. મૂળવિસ્તારમાં માટલાં દાટી તેમાં પાણી ભરી જોયું. પણ જામ્યું નહીં. ભાવનગરમાં “ટપક” વિશેની મિટીંગની વાત સાંભળી. પહોંચી ગયો ત્યાં. વાત કરનાર કંપનીના ડીલરને તેડી લાવ્યો વાડીએ, અને સર્વે કરાવ્યો. તેમણે અંદાજ આપ્યો- “સવાલાખ રૂપિયા થશે”. આંકડો સાંભળી મન મોળું પડી ગયું. આટલી મોટી રકમ ? એનું વ્યાજ કેટલું થાય ? અને આ “ટપક-ઇલમ” ન હાલ્યો તો ? તો તો ગોઠણભેર જ થઈ જઈએ ને ?

    પણ વાડીએ આવીએ અને ઝાડવાં સામું જોઇએ ત્યાં મન ચકરાવે ચડે -“આ ઝાડવાં મરી જશે હો” ! ઘડીક આ છાબડું નમે, ઘડીક પેલું નમે ! બે દિવસના મનોમંથન થકી નક્કી કર્યુ કે સાહસ કરવું. ગામની સહકારી મંડળી, જિલ્લા સહકારી બેંક અને તેના પ્રમુખ શ્રી જયવંતસિંહજી જાડેજાની ત્વરિત મદદે ભેર કરી. લોન મળી. વાડીએ વીજ જોડાણ નહોતું. ઓઇલ એન્જિનના સહારે સાઇઠે વીઘામાં પથરાએલી ટપકની નળીઓ દ્વારા ટીપે ટીપે પાણી પિરસાયું. અને માત્ર પોણા કલાકના પાણીથી–કહોને દસમાં ભાગના પાણીથી ૪,૦૦૦ ફળવૃક્ષો બચી ગયાં ! “દુશાળ”નું રૂપ લઈને આવેલી આફતે “ડ્રીપ ઇરિગેશન સીસ્ટિમ” રૂપી બાબરાભૂતની ચોટલી હાથમાં આપી દીધી. આજે એ ઘટના ઉપરથી 35 વરહના વહાણાં વાઈ ગયાં- પણ એના પ્રત્યે વધુને વધુ વહાલ ઊભરતું જાય છે,

    [૩] …”વાવાઝોડા” એ લીંબુનાં ઝાડને નવી ઝીંદગી કેમ આપવી તે શિખવાડ્યું :

    મારી સાંભરણ્યનાં ૧૯૮૩, ૧૯૯૬, ૨૦૦૫ અને તાજેતરમાં ૨૦૨૧માં ખાબકેલ “તોક્તે” મળી કુલ ચાર વાવાઝોડાંનો પંચવટીબાગને માર ખમવાનો આવ્યો છે. એમાં ૧૯૯૬ નું વાવાઝોડું તો વાવણીના પ્રથમ વરસાદની સાથે જ તોફાની પવન આંટીઓ ખાઈ અવળચંડાઇએ એવો ચડી ગયો હતો કે ઘેરાના ઘેરા વૃક્ષોનો સોથ વાળી દીધો હતો. વાડી ફરતી ઊંચી ને અડાબીડ ઊભેલી જીવંત વાડને પહેલાં ઉલાળી, અને પછી લીધો અંદરનાં ઝાડવાંનો વારો ! ઝાડવાંને કરડી-મરડી ભાંગ્યાં એટલાને ભાંગી-ચૂંથી નાખ્યા ! અને જેણે સામે ધક ઝીલી, એને મૂળિયાંમાંથી ઊખેડી-ઊથલાવી નાખ્યાં. ગામ ભાંગવા જેમ બહારવટિયા વારે ચડી આવ્યા હોય એમ આખા બાગને ધમરોળી નાખ્યો.

    તે દિવસોમાં પંચવટીબાગમાં ઉંમરલાયક ફળઝાડના ઘેરા હતા બે. એક લીંબુડીનો અને બીજો હતો ચીકુડીનો. ચીકુડીની ડાળીઓ હોય ચીકણી અને દૂધવાળી, વળી એની આખી ઘટા હોય જમીનને અડકેલી. વાવાઝોડાના ગાંડા વાયરાએ એનેય આડી-અવળી હલાવી-ધૂણાવી બહુ, પણ ભાંગી-તોડી-ઊથલાવી નાખવા જેવું વહમું નુકશાન કરવાની કારી ન ફાવી .મુશ્કેલીમાં પૂરેપૂરો મૂક્યો લીંબુડીના ઘેરાને ! ૩૦૦ ઝાડના આખા ઘેરામાં એક પણ ઝાડને સાજુ-નરવ્યું ન રહેવા દીધું. ત્રણસોએ ત્રણસો લીંબુડીની લાશો માથું પૂર્વમાં અને ટાંટિયા આથમણા, એવો એક સરખો સમાર જ ફેરવી દીધો જાણોને ! અમારા આ વહાલસોયા વૃક્ષની એકાદ ડાળીને થોડુંકેય નુકશાન કોઇ કાવરુ માણહે કર્યું હોય તો વઢી-ઝઘડીને તેની તો ધૂડ કાઢી નાખી હોય, એને બદલે આખેઆખા ઘેરાને સુવરાવી દીધો ? ભગવાન ભેળો થાય તો એકવાર તો બાથંબાથ આવી જવાનું મન થઈ ગયું હતું. માથે ફાળિયું ઓઢીને રોવાનું જ બાકી રહ્યું હતું. કોને કહેવું આ દુ:ખ કહો !

    વાવાઝોડું તો કુદરતી હવામાનની પ્રતિકુળ પરિસ્થિતિ પેદા થતાં સર્જાતું હોય છે, તે કેટલી ઝડપે આવી રહ્યું છે, ક્યારે ક્યાં પહોંચશે અને કઈ બાજુ ફંટાશે-તેનું ગણિત કંઇકે કરી શકાય છે, પણ તેને બંધ કરવાની ત્રેવડ હજુ સુધી વિજ્ઞાન મેળવી શક્યું નથી. ત્યાં સુધી તો તે પસાર થઈ ગયા પછી પાયમાલીની જે પરિસ્થિતિ ઊભી કરી હોય તેમાંથી હવે સુધારો કેમ કરવો તેના જ ઉપાયો અજમાવવા પડતા હોય છે.

    હવે શું કરવું ? બધાં ઝાડ નેવકા કાઢી નાખવા ? પછી નવું જે રોપાણ કરીએ તેનું ઉપજણ લેતાં તો વાર લાગી જાય ૫ -૬  વરસની ! શું કરવું કંઇ સુઝતું નહોતું. “કંઇક તો કરવું જોઇશે” એવું વિચારી સૂઈ રહેલા લીંબુડીના ઘેરા વચ્ચે એક ઝાડ, બીજું ઝાડ, ત્રીજું-ચોથું એમ એકે એકની ખબર લેવા માંડ્યા. ૮ ૧૦ ઝાડવાને તપાસ્યાં ભેળો એક ઝબકારો થયો ! અલ્યા ! આ બધાં ઝાડવાં માંદા થયા છે, કંઇ મર્યા નથી ! તેનાં એકબાજુનાં મૂળિયાં બહાર ભલે નીકળી ગયાં એ વાત સાચી, પણ નીચેની બાજુનાં તો  સાવ જ સાબૂત છે ! એમ કર્યું હોય તો કે દરેક થડને જમીનથી 6 ઇંચ ઉપરથી કાપી લઈએ અને બહાર દેખાતાં મૂળ પણ કાપી લઈ, અને થડ ફરતે માટીનું ઢુંગલું કરી દઈએ તો ? નીચેના સાબૂત મૂળિયાં દ્વારા નવી ફૂટ નહીં મેળવી લે ?

    વિચારને મૂક્યો અમલમાં. બધા ઝાડને થડિયેથી કાપી, ડાળી-પાંખડા દૂર કરી, થડિયે માટી ચડાવી, અંદરના ખાલામાં દાંતી-રાંપ ચલાવી પડું કર્યું ચોખ્ખું અને ખામણા કરી ખાતર-પાણી કર્યા શરુ ! દરેક થડિયે પીલા ફૂટ્યા ઘણા, પણ બે બે રાખી, વાંસ-લાકડીનો ટેકો આપી ઝાડવાંને વધવાની મોકળાશ કરી આપતાં ત્રીજા જ વરસે ઉત્તમ ઘટાદાર બાળવૃક્ષો બની ફાલ આપવા મંડી પડ્યા ! જાણે ઉપરથી વાવાઝોડા રૂપી ઘાત ગઈ જ નથી ! કહો, આફતે તો લીબુંના બાગને વૃદ્ધમાંથી ફરી યુવાન બનાવી દીધોને?

    [૪]…..કોરોના-કોવિડ-19 વાયરસના હુમલા પછી જીવન જીવવાની નવી રીત મળી :

    દુનિયા આખીના કંઇક માણસોને મોતની ખાઇમાં ધકેલી દેનાર વાયરસ-કોવિડ-૧૯ એ ૨૨ માર્ચ-૨૦૨૦ થી ભારતમાં પગપેસારો કર્યાને દોઢ વરસ થવા આવ્યું છતાં દેશ છોડવાનું નામ લેતો નથી એવા આ લપિયા વાયરસે બહુ લાંબો સમય લોકડાઉન ઉપર લોકડાઉન- અને એને પરિણામે દેશના નાનાં મોટાં તમામ ધંધાઓ બંધ, કારખાના-ફેક્ટરીઓ, બસસેવા, ટ્રૈનસેવા, દરિયાઇસેવા, અરે ! હવાઇ જહાજ-પ્લેનસેવા અને મોટર-કાર, ટ્રકો, રીક્ષાઓ તથા બાઇક સેવા તો શું, બજારોમાં લોકોની હરફર સુદ્ધાં બંધ, જેવા ઘણા બધાં પગલાં તેને મહાત કરવા ભરાયાં છતાં તેની બીજી લહેરે તો એવો આતંક મચાવ્યો કે દવાખાનાઓ બધાં દર્દીઓથી ઊભરાયાં,દવાઓ ખુટી પડી, રેમડેસીવર ઇંજેક્શનોના કાળાબજાર બોલાયા છતાં મોતના ખપ્પરમાં એટલા બધાને લઈ લીધા કે કુદરતનો માણસોને મારી નાખવાનો લક્ષાંક જાણે પૂરો જ ન થતો હોય તેમ મડદાંઓને સ્મશાનોમાં દાખલ થવા માટેની લાઇનો લાગી-કહોને સ્મશાનો ખૂટી પડ્યાં ! આ કંઇ “આફત” નહોતી, “કુદરતનો કોપ” હતો. એણે દેશ અને દુનિયાના લોકોને ગફલતમાં રહ્યે શું થાય તેનું વરવું દર્શન કરાવી દીધું.

    જેમનું જેમનું આયુષ ખુટ્યું હતું તેવાને કાળને ભેટાડવાનું નિમિત્ત કોવિડ-૧૯ જરૂર બન્યો, પણ બીજી બાજુ વિચારીએ તો જે માણસો જરા સમજુ હતા, વિજ્ઞાનના તજજ્ઞોની સલાહને માનનારા હતા-કહોને પોતે સજાગ હતા તે બધાએ કોરોનાએ મચાવેલા વરવા દ્રશ્યો જોઇ પોતે જીવન કેવું જીવવું એ પાઠ પાક્કો કરી લીધો છે. આ દરદને લગતી દવાઓ, ઇંજેકશનો અને સારવાર બધાથી ઉપર શરીરને સાજું રાખવાનો કારગરમાં કારગર ઉપાય જો કોઇ હોય તો પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી એ જ છે. અમોને પણ આ વાત બરાબરની સમજાઇ, અને તબીબી વિજ્ઞાન આપણી ભેરે આવી ગયું હોવાથી શોધાએલાં વેક્સીનના ઇંજેક્શનો સમયસર લઈ લેવા ઉપરાંત આળસ ખંખેરી, નિયમિત પણે યોગ-પ્રાણાયામ, કલાકભર સવારમાં ચાલવું, થઈ શકે તેટલો ઉત્પાદક શ્રમ કરવો, તુલસી-અજમો-ફુદિનો-ગળો અને હળદરનો ગરમ પાણી સાથેનો નાહ અને આ જ પદાર્થોનો ઉકાળો, આદુ-લીંબું-આમળાનું સેવન, સાદો-પૌષ્ટિક ખોરાક, હાથ-મોં-શરીરની ચોખ્ખાઇ અને વગર જોઇતા પ્રવાસોનું નિયમન તથા પરિવાર ભાવનાને પ્રાયોરીટી જેવી ટેવો, કોરોના વહ્યો જાશે તો પણ ચાલુ રાખવાની આદત ઊભી થઈ ગઈ હોવાથી જીવન સુખમય રીતે પસાર કરી શકાશે તેવો વિશ્વાસ આવી ગયો છે.

    આ રીતે મિત્રો ! આફતો આપણા હીરને બહાર પ્રકટાવવાનો મોકો આપતી હોય છે. કસોટીની ખરી પળ આવે છે ત્યારે જ આપણે મીણના છીએ કે પોલાદના તે આવા સમયે જ નક્કી થાય છે.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • અમારું પામ તેલ ખરીદો. ભેટમાં ઉરાંગઉટાંગ મેળવો

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કુદરતે પ્રત્યેક જીવોનું ભૌગોલિક સ્થાન નિર્ધારીત કરેલું છે, જે મહદ્‍ંશે જે તે પ્રદેશની આબોહવા અને ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર હોય છે. માનવ તેનાથી ઉપરવટ જઈને, પોતાના ક્ષુલ્લક સ્વાર્થ ખાતર આ સ્થિતિમાં પરિવર્તન કરવાનો પ્રયાસ કરે ત્યારે તે કુદરતના ચક્રને ખોરવે છે, જેનાં વિપરીત પરિણામ કયા સ્વરૂપે જોવા મળશે એ કહી શકાતું નથી.

    અત્યારના ઈન્ટરનેટના યુગમાં જોઈતી, વણજોઈતી તમામ માહિતી આંગળીના ટેરવે સુલભ છે. તેને કારણે સૌથી મોટો ભોગ સહજ વિસ્મય અને જિજ્ઞાસાનો લેવાયો છે. પણ એ પહેલાંના યુગમાં કેવળ મુદ્રિત માધ્યમોનો જમાનો હતો ત્યારે માહિતી કેવળ કર્ણોપકર્ણ કે વાંચીને પ્રાપ્ત થતી. વિવિધ પશુપક્ષીઓ જોવાની આવી જિજ્ઞાસાએ જન્મ આપ્યો પ્રાણી સંગ્રહાલયના વિચારને. બાળકો માટે તેનું ખૂબ આકર્ષણ હતું, જે સ્વાભાવિક હતું. સર્કસમાં પણ વિવિધ પ્રાણીઓ જોવા મળે એ એક આકર્ષણ હતું. આમ છતાં, ઘણાં પ્રાણીઓ વિશે કૌતુક હતું.

    નવાસવા આઝાદ બનેલા આપણા દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુની છબિ ‘બાળકોના પ્રિય’ તરીકેની હતી. તેમને જાપાનનાં બાળકોએ પત્ર દ્વારા જણાવ્યું કે પોતે કદી હાથી જોયો નથી, તો તેઓ એ બાબતે કંઈ કરી શકે કે કેમ. હાથી ભારતનું પ્રાણી છે એ જાણીને બાળકોએ આમ લખેલું. નહેરુજીએ મૈસૂરના પ્રાણીબાગમાંથી એક હાથી દરિયાઈ માર્ગે જાપાન મોકલેલો અને લખેલું, ‘હાથી મજબૂત છતાં દયાવાન, શાણું અને ધૈર્યવાળું પ્રાણી છે. આશા રાખું કે આપણા સૌમાં આવા ગુણો વિકસે.

    ભાવનાત્મક રીતે આ પગલું પ્રશંસનીય જણાય, પણ દરિયાઈ સફર દરમિયાન અને એ પછી સાવ નવાસવા વાતાવરણમાં અનુકૂલન સાધતાં એ હાથીને કેવી મુશ્કેલી પડી હશે! નહેરુજીના આ પગલા પાછળ કેવળ બાળપ્રેમ નહોતો, બલકે મુત્સદીગીરી પણ હતી.

    રાજદ્વારી સંબંધો બનાવવા કે વિકસાવવા માટે પ્રાણીઓની આપ-લે કરવાની આ પદ્ધતિ ઘણી પ્રચલિત અને હવે તો જૂની કહી શકાય એવી છે. અલબત્ત, એમ કરવાથી ખરેખર રાજદ્વારી સંબંધો બને છે કે ટકે છે એ વિચાર માગી લેતો વિષય છે.

    ચીનમાં પાન્ડા નામનું શ્વેતશ્યામ પ્રાણી જોવા મળે છે. દેખાવમાં રૂપકડા અને નિર્દોષ જણાતા આ પ્રાણીનો ઉપયોગ ચીન રાજદ્વારી સંબંધો માટે કરતું આવ્યું છે. આ પ્રથાને ‘પાન્‍ડા ડિપ્લોમસી’નું નામ અપાયું છે. ટપાલટિકિટના સંગ્રાહકો જેમ પોતાના સંગ્રહની વધારાની ટપાલટિકિટોની આપ-લે કરે એમ ચીન કેટલાક પશ્ચિમી દેશોમાં પાન્ડા મોકલીને રાજદ્વારી સંબંધો જાળવે છે. એટલે કે પાન્‍ડાના બદલામાં તે કેટલીક બાબતોની તરફદારી ઈચ્છે છે યા મેળવે છે.

    પ્રાણીઓનો આવો ઉપયોગ નૈસર્ગિક સંતુલનને ખોરવે છે, એમ જે તે પ્રાણીના સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર કરે છે. આ પરંપરાનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ મલેશિયાનું છે. ત્યાંના ચીજવસ્તુ મંત્રી જોહરી અબ્દુલ ગનીએ ઘોષણા કરી છે કે પોતાના દેશમાંથી પામ તેલ ખરીદનાર વ્યાપારી હિસ્સેદારોને ઉરાંગઉટાંગ ભેટ તરીકે આપવામાં આવશે. પામનું તેલ મલેશિયાના અર્થતંત્ર માટે અતિ મહત્ત્વનું છે. એ દેશમાં પામના તેલનો વિકાસ અને પ્રસાર ‘મલેશિયન પામ ઑઈલ બૉર્ડ’ નામની સરકારી સંસ્થાને હસ્તક છે. જો કે, છેલ્લાં થોડાં વરસોમાં પામના તેલ માટે વૃક્ષોનું આડેધડ છેદન થવા લાગતાં યુરોપિયન કમિશન દ્વારા મલેશિયાને ચેતવણી આપવામાં આવી કે ઈ.સ.૨૦૩૦ સુધીમાં પામ તેલનો ઉપયોગ સદંતર બંધ કરી દેવામાં આવે. આની સામે મલેશિયાના ભૂતપૂર્વ વડાપ્રધાન મહાતીર મહમ્મદે આક્ષેપ મૂક્યો કે યુરોપિયન સંગઠન મલેશિયા સાથે સાવ ગેરવાજબી ધોરણે વ્યાપારયુદ્ધ શરૂ કરવા ઈચ્છે છે અને ધનવાન લોકો ગરીબોને વધુ ગરીબ બનાવવા ઈચ્છે એવી આ વાત છે.

    આ આખી વાતમાં ભોગવવાનું આવશે ઉરાંગઉટાંગને ભાગે. વાનર પ્રજાતિનું આ પશુ મનુષ્યેતર પ્રજાતિઓમાં સૌથી બુદ્ધિમાન ગણાતી પ્રજાતિઓ પૈકીનું એક છે. મલેશિયામાં તેના ત્રણ પ્રકાર છે અને પુષ્કળ વસતિ હતી, પણ મનુષ્યના સ્વાર્થને કારણે તેની સંખ્યા સતત ઘટતી ચાલી છે અને હવે તેનું વર્ગીકરણ ‘જોખમગ્રસ્ત પ્રજાતિ’માં કરવામાં આવ્યું છે.

    યોગ્ય રીતે જ વન્ય જીવ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓએ મલેશિયન સરકારને અન્ય વિકલ્પ વિચારવા માટે વિનંતી કરી છે. ‘જસ્ટિસ ફોર વાઈલ્ડલાઈફ મલેશિયા’ નામના પર્યાવરણ સંગઠને જણાવ્યું છે કે પામ તેલના મુદ્દા બાબતે ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ અનેક વિકલ્પો પૈકીનો એક છે એ અમે જાણીએ છીએ, એમ યુરોપ અને મલેશિયા વચ્ચેના સંબંધ સુધારવા માટે પણ આ અગત્યનું પરિબળ છે. આમ છતાં, આનો અન્ય વિકલ્પ વિચારવો જોઈએ. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’નો 1 અમલ અઢળક વૈજ્ઞાનિક અને કાનૂની સંશોધન માગી લે છે. આ જૂથે એમ પણ જણાવ્યું કે ઉરાંગઉટાંગના નૈસર્ગિક આવાસ જેવાં જંગલોનું રક્ષણ કરવું સૌથી મહત્ત્વનું છે. ‘ઉરાંગઉટાંગ ડિપ્લોમસી’ પાછળ ખર્ચ થનારાં નાણાંનો ઉપયોગ તેમના આવાસ જેવાં વનોના સંરક્ષણ માટે વપરાવાં જોઈએ.

    ભારત જેવા દેશમાં વન્ય પશુઓને એક રાજ્યમાંથી અન્ય રાજ્યમાં સ્થળાંતરિત કરવામાં આવે તો પણ એ પશુ માટે ઘાતક નીવડી શકે છે. એની સરખામણીએ સાવ અલાયદા હવામાનવાળા દેશમાં  ઉરાંગઉટાંગને મોકલવાથી તેના અસ્તિત્વ પર ખતરો પેદા થઈ શકે એ શક્યતા પૂરેપૂરી છે. પણ દેશના ‘વ્યાપારી સંબંધો’ સુધરતા હોય, નાણાંની આવક થતી હોય તો આ જીવને બિચારાને પૂછે કોણ?

    વિજ્ઞાન, ટેક્નોલોજી અને ઈન્‍ટરનેટ થકી થયેલા માહિતીના વિસ્ફોટના આ યુગમાં કોઈ દેશ વ્યાપારને ઉત્તેજન આપવા માટે આવી પ્રતિકૂળ અને ક્રૂરતાપૂર્ણ પદ્ધતિ અપનાવે એ કેવી વિચિત્રતા છે! આપણે સમય સાથે આગળ વધી રહ્યા છીએ કે પાછા જઈ રહ્યા છીએ?


    1 સાંદર્ભિક વિડીયો: યુ ટ્યુબ પરથી


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં  ૧૩ – ૦૬ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન- ૮ : ખગ્રાસ સૂર્યગ્રહણ

    અવલોકન

     – સુરેશ જાની

    એપ્રિલ મહિનામાં આપણામાંના ઘણા બધાએ ખાસ ગોગલ્સ પહેરીને જોવાનો આનંદ માણ્યો. અમે પણ!

    સૂર્યને રાહુ અને કેતુ ગ્રસી ગયા! સૂર્યને અને ચન્દ્રને તો સૌએ જોયા છે. પણ આ રાહુ અને કેતુ જોવા દૂરબીનમાંથી આંખો ફાડી ફાડીને પ્રયત્નો કર્યા, પણ કાંઈ ભળાયું નહીં. કદાચ જૂના જમાનામાં વરાહ મિહીરને ઈશ્વરે દિવ્યચક્ષુ આપ્યા હશે, જેનાથી કોઈ સાધન વગર તેઓ આ ઉપદ્રવી આકાશી પદાર્થો જોઈ શક્યા હશે! હળવી મજાક બાજુએ મુકી દઈએ તો એક વાત નિર્વિવાદ છે કે, જ્યારે બાકીનું વિશ્વ અજ્ઞાનના ગર્તામાં ગરકાવ હતું; ત્યારે ભારતના વિચારકો અને વૈજ્ઞાનિકોનો  સુવર્ણયુગ હતો.કશા કેલ્ક્યુલેટર, કોમ્યુટર કે ગણિતીય લોગેરિધમ ટેબલ વાપર્યા વગર જે ચોકસાઈથી આકાશી પદાર્થોની ગતિની ચોક્કસ ગણતરી  કરવાની પધ્ધતિ આપણી એ મહાન વિભૂતિઓએ શોધી કાઢી હતી; તે જોઈ આપણે આશ્ચર્ય ચકિત થઈ જઈએ છીએ.

    ગ્રહણ થાય ત્યારે આખા સમાજમાં શોક અને ભયનું વાતાવરણ વ્યાપી જતું; અને બધાં ગ્રહણ છૂટે ત્યારે હાશકારો અનુભવતા અને સ્નાન કરતા. અમે ભાઈ બહેનો નાનાં હતાં ત્યારે આ અંધશ્રધ્ધાને ભારોભાર તિરસ્કારથી હસી કાઢતા. પણ આ એકવીસમી સદીમાં અને તે પણ અતિ આધુનિક ઉપકરણો અને જ્ઞાનનો ઉપયોગ કરનાર, અમેરિકાની નાસા સંસ્થાએ પણ ત્સુનામી, વાવાઝોડા, અભૂતપુર્વ ભરતી વિ. થવાની આશંકા વ્યક્ત કરી; આગોતરી ચીમકીઓ આપી હતી. સૂર્ય અને ચન્દ્રના એક જ દિશામાં કાર્યરત થતા ગુરુત્વાકર્ષણના બળને પ્રતાપે આમ થવાની શક્યતા એમને પૂર્ણ વેજ્ઞાનિક જણાઈ હતી.

    આ બાબત મારું જ્ઞાન તો બહુ જ સીમિત છે. પણ નવસારીના શ્રી. ગોવીંદ મારુના બ્લોગ’ અભીવ્યક્તી’ પર આ વિષય પર બે અભ્યાસપૂર્ણ લેખ વાંચવાનું સૌ વાચકોને જરુર ગમશે.

    https://govindmaru.com/2009/07/10/govind-maru-14/

    વિશેષ અભ્યાસ માટે ‘ નાસા’ ની આ વેબ સાઈટ પણ જોવી ગમશે.

    https://eclipse.gsfc.nasa.gov/solar.html

    પણ આ લેખમાં અલગ જ અંદાજથી વાત કરવાની છે –

    ગ્રહણ થાય એ તો કુદરતી ઘટના છે. પણ વ્યક્તિગત અને સામાજિક જીવનમાં પણ ગ્રહણો થતાં હોય છે. ક્યાંક કશુંક બને છે અને કશુંક ગ્રસાઈ જાય છે. ઘોર અંધકાર વ્યાપી જાય છે. પૃથ્વી રસાતાળ જવાની હોય, સેંકડો જ્વાળામુખી ફાટી જતા હોય, ધરતીકંપોના આંચકાથી બધું ઉપરતળે થઈ ગયું હોય; તેવો નિર્વેદ અને ગમગીની જીવનને ક્ષુબ્ધ કરી નાંખે છે. અંધારા બોગદાનો કોઈ છેડો જ ન હોય તેવી, શોકમય અનુભૂતિમાં આપણે અથવા સમાજ ગરકી જતાં હોઈએ છીએ. પણ..

    જેમ દરેક ગ્રહણ અલ્પ સમય માટે જ ટકતું હોય છે અને ફરીથી ચમકતો અને દમકતો સૂર્ય નજર અંદાજ થઈ જતો હોય છે -તેમ બધી વ્યથાઓ અને બધા સંતાપો અલ્પકાલિન જ હોય છે.

    કશું શાશ્વત નથી. સુખ પણ નહીં અને દુખ પણ નહીં.

    ‘ આનંદમયી મા ‘ એ કહ્યું હતું તેમ,

    ‘ वो भी चला जायगा

    અને આ ક્ષણે ન. ભો. દિવેટીયા યાદ આવી ગયા-

    કાળા ઘને ઉજ્જ્વળ સૂર્યબિંબ ઢંકાયું , તે ચિત્ર દીસે અગમ્ય.
    પરંતુ તે છાંયની પેલી પારે, જ્યોતિ રહ્યો ઝળહળી ન કદીય ખૂટે.

    પરિવર્તન…પરિવર્તન…પરિવર્તન…સઘળું અનિત્ય છે. કેવળ વર્તમાન જ સતત છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • છાકો કી વાપસી : પોતાની જમીન અને સંસ્કૃતિ પ્રત્યેનો અદમ્ય લગાવ આવે છે ક્યાંથી ?

    સંવાદિતા

    બોલી, પહેરવેશ, ખોરાક, રહેણીકરણી અને સમગ્ર સંસ્કૃતિ જ માણસ – માણસને જોડે છે

    ભગવાન થાવરાણી

    ભારત-પાક વિભાજન વિશે ખાસ્સી માત્રામાં ભારતીય સાહિત્ય રચાયું છે. આપણા ગુજરાતના લોકપ્રિય લેખિકા શરીફાબેન વીજળીવાળાએ આ ક્ષેત્રને ખુબ ખેડ્યું છે. અનેક ટૂંકી વાર્તાઓ ઉપરાંત અમૃતા પ્રીતમની નવલકથા ‘ પિંજર ‘, રાહી માસુમ રઝાની ‘ આધા ગાંવ ‘, અસગર વજાહતની ‘ જિન લાહોર નહીં વેખ્યા ‘ જેવી કૃતિઓ તેઓ સુંદર અનુવાદો દ્વારા ગુજરાતી વાંચકો સમક્ષ લાવ્યા છે. ખુશવંતસિંહની ‘ટ્રેન ટુ પાકિસ્તાન ‘ યશપાલની ‘ આધા સચ ‘અને ભીષ્મ સહાનીની ‘ તમસ ‘ પણ આ વિષયની પ્રતિનિધિ નવલકથાઓ છે, પણ આ બધી મહદંશે ઉત્તર ભારત અને પંજાબ ઉપર વિભાજને વર્તાવેલા કેરની વાત કરે છે. પૂર્વ ભારત – બંગાળ -પૂર્વ પાકિસ્તાનમાં પણ આ જ વિભિષિકા પ્રવર્તી હતી એ વિષે બહુ ઓછું સાહિત્ય આપણી સમક્ષ આવ્યું છે. અલબત્ત અનેક બંગાળી લેખકોએ એ વિષે લખ્યું છે જે બંગાળી ભાષા અથવા વધીને અંગ્રેજી અનુવાદ સુધી સીમિત રહ્યું છે. ઇન્તેઝાર હુસૈન અને અબ્દુલ્લા હુસૈન જેવા પાકિસ્તાની લેખકો અને કયેસ અહેમદ અને હસન અઝીઝુલ હક જેવા બાંગ્લાદેશી લેખકોએ પણ આ વિશે સરસ પુસ્તકો આપ્યા છે. વિભાજન વિશેની ઋત્વિક ઘટકની ફિલ્મ-ત્રયી વિશે આપણે અહીં જ થોડા સમય પહેલા જોઈ ગયા.
    આવી એક નવલકથા એટલે હિન્દી- ઉર્દુ લેખક બદીઉઝઝમા ( આખું નામ સૈયદ મોહમ્મદ ખ્વાજા બદીઉઝઝમા ) દ્વારા ૧૯૭૫ માં લખાયેલી નવલકથા ‘ છાકો કી વાપસી ‘. આ લેખક અને એમના આ પુસ્તક વિષે હિન્દી સાહિત્યમાં પણ ભાગ્યે જ ચર્ચા થઈ છે. એમણે આ પુસ્તક ઉપરાંત ‘એક ચૂહે કી મોત’,  ‘અપુરુષ’, ‘છઠ્ઠા તંત્ર’  અને ‘ સભા પર્વ ‘નામના ઉપન્યાસ પણ આપ્યા. ગુજરાતમાં બહુ ઓછા સાહિત્યરસિકોના ધ્યાન પર આ મહત્વપૂર્ણ કૃતિ આવી છે. પુસ્તક બિહારના ગયા શહેરના મુસ્લિમ બહુમતી ધરાવતા એક મોહલ્લામાં વસતા બે પરિવારોના કિશોર વયના બાળકોની મૈત્રીની વાત કરે છે. મધ્યમ વર્ગના ફરજંદ ‘ ખાજે બાબુ ‘અને સાવ ગરીબ પરિવારના છાકો ઉર્ફે અબ્દુલ શકુરની વાત. ખાજે બાબુ ઉચ્ચ વર્ગના સૈયદ પરિવારમાંથી આવે છે જ્યારે છાકો ગરીબ દરજી પરિવારનો છોકરો છે. છાકો અડોશ પડોશમાં રહેતા અન્ય ગરીબ કડિયા, કુંભાર, મોચી પરિવારો વચ્ચે રહે છે. હિન્દુઓની જેમ અહીં મુસ્લિમો વચ્ચે પણ વર્ગભેદ છે. ખાજે બાબુના પિતાને અંદરખાને એ ગમતું નથી કે એમનો દીકરો આ હલકા વર્ણના છોકરા જોડે ભળે.
    ખાજે ભણેલો હોવાથી મહોલ્લાભરની ગરીબ સ્ત્રીઓ પરદેશ કમાવવા ગયેલા પોતાના સંતાનો કે પતિના પત્રો એની પાસે વંચાવવા કે જવાબ લખાવવા સતત આવતી રહે છે.
    ૧૫ પ્રકરણોમાં ફેલાયેલી નવલકથા નિરંતર ભૂત અને વર્તમાનમાં આવનજાવન કરતી રહે છે. વર્તમાન એટલે વિભાજન પછીના ત્રણ ચાર વર્ષ પછીનો ગાળો જે કથાના અંત લગી પહોંચતા ૧૯૭૧ ના બાંગ્લાદેશ સર્જન સુધી લંબાય છે.
    મહોલ્લામાં જ રહેતો ખાજેબાબુના કાકાનો પરિવાર ઢાકા જતા રહેવાનો નિર્ણય કરે છે કારણ કે ત્યાં ‘ ભણેલા ગણેલા મુસ્લિમો માટે ઉજવળ ભવિષ્ય છે ‘ ખાજેબાબુનો પરિવાર પોતાનો દેશ, પોતાનું ઘર, પોતાની માટી અને પોતાના મૂળિયાં ત્યજી જવાનો વિરોધી છે, ખાસ કરીને એની અમ્મા.  અધૂરામાં પૂરું, નાયકનો મિત્ર છાકો પણ રોજગારની લાલચને વશ થઈ, પૂરી વિગતો જાણ્યા – સમજ્યા વિના પાકિસ્તાનનું નાગરિકત્વ લઈ ઢાકા પહોંચી જાય છે !
    સમગ્ર નવલકથાનો પ્રધાન સૂર એ છે કે લોકો- સમાજને જોડે છે તે ધર્મ નહીં પરંતુ સંસ્કૃતિ – રહેણીકરણી, ખોરાક, પહેરવેશ, ભાષા અને સંસ્કાર – જેને જમીન કહેવાય- તે છે. હોંશે હોંશે ‘ મુસલમાનોના નવા સ્વર્ગ ‘ પૂર્વ પાકિસ્તાન ગયેલ નાયકનો પિતરાઈ હબીબ ત્યાંથી લખે છે, ‘ આ બંગાળી મુસલમાનોના તૌર તરીકા હિન્દુઓ જેવા વધુ છે. અહીં કોણ હિંદુ અને કોણ મુસ્લિમ એ પારખવું જ મુશ્કેલ. ઉર્દુ તો કોઈને આવડે જ નહીં. સંસ્કારની દ્રષ્ટિએ આ લોકો હિન્દુઓની વધુ નજીક છે. અમે અહીં આવ્યા તો કદાચ આ લોકો સુધરશે.’ ત્યાં ગયેલા આ સંભ્રાંત લોકો એમ પણ માને છે કે બિહાર બંગાળના ગરીબ પછાત મુસલમાનો જો અહીં આવશે તો પાકિસ્તાનની પ્રગતિમાં અડચણરૂપ બનશે ! અન્ય એક પત્રમાં હબીબભાઈનો બળાપો, ‘ માત્ર કહેવા ખાતર આ બંગાળીઓ પોતાને મુસલમાન કહેવડાવે છે. આ લોકો કુરાનની આયતો પઢે તો આપણને હસવું આવે. જાણે કોઈ બંગાળી કિતાબ વાંચતા હોય ! આ લોકોમાં તો એટલા સંસ્કાર પણ નથી જેટલા બિહાર બંગાળના હિન્દુઓમાં છે.આ લોકોને આપણી પાસેથી કશું શીખવું જ નથી ને ! ‘
    નવલકથાનો એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ કહે છે ‘ હિંદુ મુસલમાનોએ જેટલું એકબીજાનું લોહી વહાવ્યું છે એનાથી ક્યાંય વધારે રક્તપાત મુસલમાનો વચ્ચેના વિખવાદ દરમિયાન થયો છે. ‘ એક કટ્ટરવાદી જ્યારે એમ કહે છે કે હિન્દુસ્તાનના બધા મુસલમાનોની ભાષા ઉર્દુ છે તો એના જવાબમાં ‘ ક્યારેક સિંધ અને બંગાળના મુસલમાનો સાથે એ ભાષામાં વાત કરી જોજો. ‘
    નવલકથાના પાત્રો સ્થાનિક મગહી બોલીનો ઉપયોગ કરે છે જેમાંથી ભોજપુરી અને મૈથિલી જેવી લોકબોલીઓ ઉતરી આવી છે. ગયા શહેરની ભૌગોલિક સ્થિતિ, શહેરની ફલગુ નદી અને નદીના ઘાટ, શેરીઓ, રસ્તાઓ અને સ્થળોનું પણ તાદ્રશ વર્ણન કરાયું છે. સમાજ એવો ગંગા – જમુની કે મુસ્લિમ બાહુલ્યવાળા વિસ્તારમાં એકલો હિન્દુ હજામ આરામથી રહે. એ એમના બાળકોની સુન્નત કરે, એમની જાનમાં દુલ્હાનું છત્તર પકડે, મુહરમમાં સિપર ઝાલે, પિંડદાન કરાવવા આવેલા હિન્દુઓનું મુંડન પણ એ જ કરે અને એને ઘરનો માણસ ગણી મુસ્લિમ સ્ત્રીઓ એનાથી પરદો પણ ન કરે !
    ઢાકામાં બિહારી અને બંગાળી મુસલમાનો વચ્ચે રમખાણો થયાના સમાચાર વધુ એકવાર પુરવાર કરે છે કે ધર્મનું જીવનમાં શું સ્થાન છે . હબીબભાઈ આ બંગાળી મુસલમાનો વિષે વધુ એક વાર ટિપ્પણી કરતાં લખે છે કે એમની આગળ ઈકબાલનો કોઈ શેર કહીએ તો મોઢું વકાસીને જોઈ રહે ! એમને તો ટાગોરના ગીત જોઈએ !  ઘરે ઘરે અહીં રવિન્દ્ર સંગીત !
    માત્ર ધર્મના કારણે વતન છોડી જતા લોકો માટે એક બિનસાંપ્રદાયિક મુસ્લિમ પાત્ર કહે છે ‘  ઇન્હેં વતન કભી નસીબ નહી હોગા. યે ભટકતે રહેંગે ઔર અપની મિટ્ટી ઔર હવાઓં કે લિયે તરસતે રહેંગે. ‘
    વર્ષો લગી રોજગારી માટે ઝઝૂમ્યા પછી નાયકને આખરે જજની નોકરી મળે છે. પૂર્વ પાકિસ્તાન થી વતન વિઝા ઉપર આવેલો છાકો આવીને પોતાના જૂના મિત્ર આગળ કાલાવાલા કરે છે કે મારે કોઈ પણ રીતે પાછું અહીં ગયા આવવું છે. તું વગદાર છો. કંઈક કર ને ! વિટંબણા એ કે એ મુસલમાન છે, પાકિસ્તાની નાગરિક છે. એનું કુટુંબ અહીં હોવા છતાં હવે કાનૂનન  કશું થઈ ન શકે !
    સમયાંતરે નાયકના પિતા અને માતાનું અવસાન થાય છે. એ હવે એકલો છે અને સાથે છે માત્ર ગયા, પરિવાર અને પોતાના લોકોની સ્મૃતિઓ ! આખરે પૂર્વ પાકિસ્તાન નવા દેશ બાંગ્લાદેશમાં પરિણમે છે અને અહીંથી ત્યાં ગયેલા બિહારી મુસલમાનોને ફરી એકવાર પશ્ચિમ પાકિસ્તાન ભાગવું પડે છે !

    આને ઇતિહાસનું પુનરાવર્તન કહીશું !


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા : ૧૬

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના સોળમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય

     

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પહેલા દલિત ક્રિકેટરનું જીવન અને સંઘર્ષ ફિલ્મી પડદે અવતરશે…

    નિસબત

    ચંદુ મહેરિયા

    રમત અને રમતવીરો વિશે ડઝનબંધ ફિલ્મો બની છે. ભારતના પ્રખ્યાત ક્રિકેટરો મોહમ્મદ અઝહરુદ્દીન, મહેન્દ્રસિંહ ધોની  અને મહિલા ક્રિકેટર મિતાલી રાજની બાયોપિક બની છે. પરંતુ લગભગ દોઢસો વરસ પહેલાં, ઓગણીસમી સદીની છેલ્લી પચીસીમાં જન્મેલા અને  સિત્તેરેક વરસો પૂર્વે અવસાન પામેલા દેશના પહેલા દલિત ક્રિકેટરની બાયોપિક બની રહ્યાનું જાણીએ તો કેવા ભાવ જન્મે? જાણીતા દિગ્દર્શક તિગ્માંશુ ધૂલિયા ૨૦૧૭થી ભારતના પહેલા દલિત ક્રિકેટર પી.બાલુ વિશે ફિલ્મ બનાવવા પ્રયત્નશીલ છે. આખરે તેમને અજય દેવગણ અને પ્રીતિ સિંહાનો નિર્માણ સહયોગ પ્રાપ્ત થયો છે.  એટલે આ વરસના અંત સુધીમાં ફિલ્માંકન શરૂ થશે.

    બાલુ બાબાજી પાલવણકર
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    બાલુ બાબાજી પાલવણકર1ની એક સ્ટાર ક્રિકેટર બનવાની કહાની અને તે માટેની તેમની મહેનત તથા સંઘર્ષ આજે પણ વેદના અને પ્રેરણા જન્માવે છે. ક્રિકેટ જ્યારે રાજા-મહારાજાઓ, અમીરો અને કુલીન વર્ગની રમત હતી, નાતજાતના ભેદ બહુ તીવ્ર હતા  ત્યારે એક ગરીબ –દલિતનો તેમાં પ્રવેશ જ અસંભવ જેવો હતો. એ સંજોગોમાં તેનું ક્રિકેટ-સ્ટાર બનવું, દેશ-વિદેશમાં છવાઈ જવું અને આભડછેટ પાળતા લોકોને તેમની ગરજે પોતાને ટીમમાં સામેલ કરવા મજબૂર કરવા –આ સઘળી હકીકતો  ભારે રોમાંચક છે. પી.બાલુની બાયોપિક જેના પર આધારિત છે તે ઈતિહાસકાર રામચંદ્ર ગુહાની કિતાબ A Corner of foreign field : The Indian history of a British sport માં બાલુનું ક્રિકેટર કેરિયર અને તે માટેનો સંઘર્ષ આલેખાયો છે.

    ઓગણીસમી માર્ચ ૧૮૭૬ના રોજ તત્કાલીન બ્રિટિશ ભારતના બોમ્બે પ્રેસિડેન્સીના ધારવાડમાં બાલુનો જન્મ. જોકે મૂળ વતન મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લાનું પલવાની. ગામના નામ પરથી તેમની અટક પલવંકર કે પાલવણકર. મહારાષ્ટ્રના ઘણા દલિતોની જેમ બાલુના પિતા પણ બ્રિટિશ સેનામાં હતા.પુણેની આર્મ્ડ ફેકટરીમાં તે કામદાર હતા. એટલે બાલુ ત્યાંની સૈનિક સ્કૂલમાં ભણતા હતા. તેમને ત્રણ ભાઈઓ હતા : શિવરામ , ગણપત અને વિઠ્ઠલ. પિતાએ ઘરની નબળી આર્થિક સ્થિતિને લીધે  મોટા દીકરા બાલુને સત્તરમા વરસે ભણવાનું છોડાવી કામે વળગાળ્યા.

    માસિક ચાર રૂપિયાના પગારે પૂણેની ઈંગ્લીશ ક્રિકેટ કલબ પૂના જિમખાનામાં ગ્રાઉન્ડ સ્ટાફ તરીકે તેમનું કામ મેદાનની દેખભાળ, પિચ રોલ કરવી અને નેટ્સ લગાવવાનું હતું. છેક કિશોરાવસ્થાથી બાલુને બેટ-બોલની રમતનું ઘેલું હતું. મેદાનની બહાર બેઠાબેઠા સૈન્ય અફસરોને તેઓ ક્રિકેટ રમતા જોયા કરતા . ક્યારેક તેમનો બોલ લાવી આપતા. તે જે નકામા બેટ-બોલ ફેંકી દેતા તે લઈ લેતા અને ઘરે ભાઈઓ સાથે રમતા. એટલે ગ્રાઉન્ડમેન તરીકે તેમનો પ્રવેશ મેદાન પર થયો ત્યારે તો તે દોડીને બોલ લઈ આવતા. એક દિવસ નેટ પ્રેકટિસ કરતા એક જાણીતા પ્લેયરે બાલુને બોલિંગ કરવા કીધું. તેમણે પેલાના છક્કા છોડાવી નાંખતી બોલિંગ કરી અને એ જ દિવસથી તે મેદાન પર અને મેદાનની બહાર છવાઈ ગયા.

    હિંદુ, મુસ્લિમ, પારસી અને યુરોપિયન એમ ચાર ધર્મ આધારિત ટીમો( એ જમાનામાં આ સહજ હતું) વચ્ચે મુંબઈમાં ટુર્નામેન્ટ યોજાવાની હતી.ડેક્કન જિમખાના નામક હિંદુ ટીમમાં બધા કથિત ઉચ્ચ વર્ણના ખેલાડીઓ હતા. પરંતુ પૂનાની ધોળિયાઓની ટીમને હરાવવા તેમને બાલુ જેવા બોલરની જરૂર હતી. એટલે કેટલાક વિરોધ છતાં કથિત અસ્પૃશ્ય બાલુને ટીમમાં સામેલ કર્યા. ૧૯૦૫ થી દોઢેક દાયકો તેઓ ઘરેલુ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય મેચોમાં રમ્યા હતા.

    પતિયાળા નરેશની આગેવાનીમાં ભારતના ચાર ધર્મોની મિશ્ર ટીમ ૧૯૧૧માં ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. આ પ્રવાસમાં ટીમ તો ખાસ કંઈ ઉકાળી ના શકી પરંતુ  બાલુની કેરિયરમાં તે બહુ યાદગાર રહ્યો. ચૌદમાંથી બે જ મેચ ઓલ ઈન્ડિયન ટીમ જીતી પરંતુ લેફ્ટ આર્મ સ્પિનર બાલુએ ઈંગ્લેન્ડ પ્રવાસમાં ૧૮.૮૬ રનની સરેરાશથી ૧૧૪ વિકેટો લીધી હતી. ઈંગ્લીશ બેટસ્મેનોને બાલુની બોલિંગ બહુ ભારે પડી હતી.એટલે વિદેશી ક્રિકેટ સમીક્ષકોએ તેમના ભરપૂર વખાણ કર્યા હતા.

    જે બાલુ ક્રિકેટના મેદાનમાં હીરો હતા તે જન્મે દલિત અને એટલે અછૂત હોવાથી ટીમના સાથીઓની ઉપેક્ષા અને ભેદભાવનો સતત વેઠતા હતા.એમને જુદા ટેબલ પર જમવા બેસાડવામાં આવતા. ચા પણ ડિસ્પોઝેબલ કપમાં બધાથી અલગ પીવી પડતી. કોઈ સાથી ખેલાડી તેમની સાથે વાતચીત કરતો નહીં પછી ઉઠકબેઠક કે આત્મીયતાની વાત જ શાની. ? પોતાના વાસણ એમણે જાતે સાફ કરવા પડતા. મેદાન પર બાલુએ સ્પર્શ કરેલા દડાને બધા અડતા પણ મેદાનમાં કે અન્યત્ર તેમને માટે પાણી લાવનાર તેમનો જ્ઞાતિભાઈ હોય તેની કાળજી લેવાતી હતી.અનેક સિધ્ધિઓ અને લાયકાત છતાં એકમાત્ર દલિત હોવાના કારણે બાલુને કદી કેપ્ટન બનાવવામાં આવ્યા નહીં.

    જેમ ક્રિકેટમાં તેમ રાજનીતિમાં પણ બાલુએ પોતાનું સ્થાન બનાવ્યું હતુ. હોમરુલ જેવી આઝાદીની ચળવળમાં તે જોડાયા હતા. કોંગ્રેસના તેઓ સમર્થક જ નહીં સભ્ય પણ હતા. મુંબઈની મહાનગરપાલિકાના તે સભ્ય બન્યા હતા. બાલુ કરતાં ઉમરમાં પંદરેક વરસ નાના ડો.આંબેડકર બાલુને દલિત સમાજનો હીરો માનતા હતા. ઈંગ્લેન્ડમાં સફળ બોલર તરીકેની સિધ્ધિ મેળવી પરત આવેલા બાલુનું દલિતોએ ઠેરઠેર ઉમળકાભેર સ્વાગત કર્યું. રોહિદાસ વિધ્યાવર્ધક સમાજ તરફથી બાલુના સન્માનનો જે કાર્યક્રમ થયો તેમાં બાલુનું સન્માનપત્ર યુવાન આંબેડકરે લખ્યું હતું. કદાચ તે તેમના જાહેરજીવનનો આરંભ હતો.

    ડો.આંબેડકરના આ હીરો જાહેરપ્રવૃતિઓમાં તેમનાથી અલગ રહ્યા. ૧૯૩૨ના પૂના કરાર વખતે તેઓ ગાંધીજી અને કોંગ્રેસની તરફેણમાં અને ડો.આંબેડકરની વિરુધ્ધમાં હતા. તેઓ બાબાસાહેબની અલગ મતાધિકારની માંગણીને બદલે અનામતની તરફેણમાં હતા.પૂના કરાર પર તેમની સહી પણ છે. એટલું જ નહીં ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાની ચૂંટણીમાં આંબેડકર સામે મધ્ય મુંબઈ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર પી. બાલુ હતા.  જો કે આ ચૂંટણીમાં બાબાસાહેબ સામે બાલુ હારી ગયા હતા ડો.આંબેડકર અને પી.બાલુની પેટાજ્ઞાતિઓ અલગ હોવાથી દલિતાના પેટા જ્ઞાતિવાદને વટાવવા અને વકરાવવા કોંગ્રેસે બાલુને ઉમેદવાર બનાવ્યા હતા. તત્કાલીન રાજકીય વિશ્લેષકોએ તેનું શ્રેય સરદાર પટેલને આપ્યું હતું.

    ૭૯ વરસની વયે ચોથી જુલાઈ ૧૯૫૫ના રોજ મુંબઈમાં બાલુનું અવસાન થયું ત્યારે તેઓ ઠીકઠીક ભૂલાઈ ગયા હતા.પોતાની પ્રતિભા અને લાયકાતના જોરે આઝાદી પહેલાંની હિંદુ ક્રિકેટ ટીમમાં બાલુ અને તેમના ચાર ભાઈઓ સામેલ થયેલ હતા. પણ  આજની વાસ્તવિકતા જુદી છે. ભારતના આશરે ૫૦૦ ક્રિકેટરોમાં ગણીને પાંચ જ દલિતો છે. ૨૦ કરોડની વસ્તીનું માંડ એક ટકો જ પ્રતિનિધિત્વ છે. ક્રિકેટ અને તેના વહીવટમાંથી દલિતોની બાદબાકી કડવું સત્ય છે. આવતા વરસના માર્ચથી પી.બાલુની સાર્ધ શતાબ્દી આરંભાશે. ગુમનામી અને ઉપેક્ષાના શિકાર દલિત નાયક બાલુને દોઢસોમા જન્મ વરસે તેમની બાયોપિક્થી વધુ સારી અંજલિ કઈ હોઈ શકે?


    1


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – ૧

    ગગનગોખેથી   આવ્યો ઇ મેઇલ..

    નીલમ  હરીશ દોશી

    આયો આયો રે મારા વા’લાનો  ઇ મેઇલ,
    ગગનગોખેથી આજ આયો રે ઇ મેઇલ..

    પ્રિય દોસ્ત,

    આજે તારા સુધી પહોંચવા માટે મારે પણ ગરુડે ચડીને નહીં , પણ આધુનિક ટેકનોલોજીની અંબાડીએ ચડીને જ આવવું રહ્યું ને ? આ તમારા ઇ મેઇલે, તમારા કોમ્યુટરે મારા ગરુડ સહિત  બધા વાહનોને આઉટ ઓફ ડેઇટ બનાવી દીધા છે.હવે તો દોસ્ત, તારા સુધી પહોંચવાનો, મારા દિલની વાતો તારા સુધી પહોંચાડવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો મને  એક જ દેખાય છે. એથી જ તો હવે કાગળ પત્તર નહીં પણ ઇમેલથી જ હું મારા મનની વાત તારી સાથે  કરીશ. આમ તો મને જાણ છે કે હવે તમે બધા ઇમેલથી પણ આગળ નીકળી ગયા છો. હવે તો તમે વોટસ અપ અને ફેસબુક વાળા..પણ હજુ ત્યાં સુધી પહોંચતા મને થોડી વાર તો લાગે ને ? આ ઇમેઇલ હજુ તો માંડ માંડ શીખ્યો છું. પણ હજુ તમારા જેટલા સ્માર્ટ બનવાનું બાકી છે. હા, વોટ્સ અપ વાંચતા શીખી ગયો છું  રોજ સવારે વોટ સ અપ પર તમારા સૌના અત્યંત સુંદર મેસેજ વાંચીને હું પુલકિત બની ઉઠું છું. વાહ મારો ભકત..સોરી, મારો દોસ્ત કેટલું બધું જાણે છે. આને તો મારે કંઇ કહેવા કે સમજાવવા જેવું છે જ નહીં.

    ગીતાના અધ્યાય હવે મારે સમજાવવા પડે તેમ છે જ નહીં. ગીતાના કેટકેટલા નિતનવા અર્થો શોધી શોધીને તમે વોટસ અપ, કે ફેસબુક પર એ જ્ઞાનના ખજાનાની લ્હાણી છૂટે હાથે કરો છો. એનાથી હું બહું અભિભૂત થાઉ છું. ગમતું મળે તો ગૂંજે ભરીને તમે કંઇ એકલપેટા નથી બનતા એનો મને આનંદ છે.

    મને ગર્વ છે મારા સર્જન પર, મને ગર્વ છે તારી અપાર શક્તિ પર. મને ગર્વ છે તારી અમાપ બુધ્ધિ પર. તને આપેલા મગજનો આટલો વિકાસ તું કરી શકયો છે એનો મને આનંદ છે. મારા કેટલા ભવ્ય મંદિરો તેં બનાવ્યા છે. મારા નિતનવા આવાસો તું સર્જતો રહે છે. મારે તો કેટકેટલી જગ્યાએ રહેવું ? સોના, ચાંદી અને હીરાના આભૂષણોથી તું મારા નિતનવા શણગાર કરે છે. છપ્પનભોગ આરોગી આરોગીને તો મારું વજન વધી જવાનો મને ડર લાગે છે. લાગે છે મારે પણ તમારી જેમ ડાયેટ ચાર્ટ બનાવવો પડશે.દોસ્ત, ખરેખર તેં તો મારી સમક્ષ અપાર વૈભવ ખડકી દીધો છે. લક્ષ્મીપતિ  હું છું કે તું એવો પ્રશ્ન, એવી શંકા પણ મારા મનમાં કદીક જાગે છે.

    લિ. તારો  જ ઇશ્વર, અલ્લાહ, ભગવાન, જિસસ..( દોસ્ત, તને જે નામ પસંદ પડે તે તારું..)

    ચપટીક ઉજાસ:

    જગતનો સૌથી મોટો વણવપરાયેલો ભંડાર ભલમનસાઇનો છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • કોઈનો લાડકવાયો – ( ૫૦) લાલા લાજપતરાયના મૃત્યુનો બદલો

    દીપક ધોળકિયા

    હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિકન ઍસોસિએશન (HSRA)ના ક્રાન્તિકારીઓ લાલાજીના રાજકારણ સાથે સંમત તો નહોતા પરંતુ એમણે એમના મૃત્યુને સમગ્ર દેશના અપમાન જેવું ગણીને બદલો લેવાનું નક્કી કર્યું. સ્કૉટને મારવાની જવાબદારી ભગત સિંઘ અને શિવરામ રાજગુરુને સોંપાઈ. ચંદ્રશેખર આઝાદે આખી કાર્યવાહીનો દોર સંભાળ્યો. ક્રાન્તિકારીઓ આખા આંદોલનને સશસ્ત્ર ક્રાન્તિના માર્ગે વાળવા માગતા હતા અને દેખાડવા માગતા હતા કે લાલાજીના મૃત્યુ પછી એ હાથ બાંધીને બેઠા નથી. મૂળ લક્ષ્ય  તો લાહોરના પોલીસ કમિશનર જેમ્સ સ્કૉટને મારવાનો હતો પરંતુ લાલાજીના મૃત્યુના બરાબર એક મહિના પછી, ૧૭મી ડિસેમ્બરે સ્કૉટ પર હુમલો કરવાની બધી તૈયારી હતી ત્યારે સ્કૉટને બદલે આસિસ્ટન્ટ કમિશનર જ્હૉન સૉંડર્સ બહાર આવ્યો અને માર્યો ગયો.

    ક્રાન્તિકારીઓને પકડવા માટે એક ગોરો ઑફિસર બહાર આવ્યો પણ એના કાન પાસેથી બે ગોળીઓ સુસવાટા કરતી નીકળી ગઈ તે પછી એની હિંમત ન થઈ. પણ એક કૉન્સ્ટેબલ ચન્નન સિંઘે એમનો પીછો કર્યો અને એ પણ ગોળીથી વિંધાઈ ગયો.

    બીજા દિવસે લાહોરમાં ઠેકઠેકાણે HSRAના નામ સાથે પોસ્ટરોએ દેખા દીધી – સોંડર્સ મરાયો… લાલાજીના મોતનો બદલો વસૂલ!” ક્રાન્તિકારીઓ ઇચ્છતા હતા કે હત્યા પછી પોલીસ એમની પાછળ પડે તો એની સાથે સામસામે ધીંગાણું કરવું અને મોતને ભેટવું. પરંતુ પોલીસે કંઈ ન કર્યું એટલે ભગત સિંઘ અને રાજગુરુ ત્યાંથી બે સાઇકલ પર નજીકમાં ડી. એ. વી. કૉલેજના બોર્ડિંગ હાઉસમાં ચાલ્યા ગયા. પોલીસે આખા શહેરમાં અને રેલવે સ્ટેશનોએ જાપ્તો ગોઠવી દીધો હતો એટલે લાહોરથી કેમ ભાગવું તેની યોજના પણ બનાવવાની હતી. એના માટે એ કૉલેજમાંથી બહાર નીકળ્યા તે પછી તરત જ પોલીસે કૉલેજને ઘેરી લીધી પણ એ તો નાસી છૂટ્યા હતા.

    ભગત સિંઘ અને સુખદેવ થાપર સૉંડર્સની હત્યા કરીને બે દિવસ પછી ભગવતી ચરણ વોહરાને ઘરે પહોંચ્યા. એમને લાહોરથી નીકળી જવું હતું અને કોઈ ઓળખી ન શકે એટલે એમણે વેશપલ્ટો કરી લીધો હતો. ભગત સિંઘે પહેલી વાર વાળ કપાવીને ફેલ્ટ કૅપ પહેરી. આજે તો એ તસવીરથી જ આપણે ભગત સિંઘને ઓળખીએ છીએ. પરંતુ ટ્રેનમાં એવું લાગવું જોઈએ કે એક સદ્‍ગૃહસ્થ કુટુંબ મુસાફરી કરે છે એટલે આ ફેલ્ટ કૅપવાળા જુવાનની પત્ની પણ હોવી જોઈએ. આ ભૂમિકા ભગવતી ચરણ વોહરાનાં પત્ની દુર્ગાભાભીએ ભજવી. ભગત સિંઘે દુર્ગાભાભીના પુત્ર શચીન્દ્રને તેડ્યો, અને બન્ને ફર્સ્ટ ક્લાસના ડબ્બામાં બેઠાં. રાજગુરુ એમના ‘નોકર’ તરીકે થર્ડ ક્લાસમાં સામાન સાથે આવ્યા. પંડિત ચંદ્રશેખર આઝાદ ખરેખરા પંડિત બન્યા – અંગવસ્ત્ર, ધોતિયું, કપાળે તિલક, માળા વગેરેમાં સજ્જ થઈને એક યાત્રાળુઓની મંડળી સાથે લાહોરથી ભાગી છૂટ્યા.

    ભગવતી ચરણ વોહરા ભગવતી ચરણ વોહરાનો જન્મ ૧૯૦૪માં થયો. એ મૂળ ગુજરાતના હતા, પરંતુ બહુ પેઢીઓ પહેલાં ગુજરાત છોડીને આગરામાં એમનો પરિવાર વસી ગયો હતો. ભગવતી ચરણ અને એમનાં પત્ની દુર્ગાવતી પણ ગુજરાતી બ્રાહ્મણ પરિવારનાં જ હતાં. લગ્ન વખતે દુર્ગાની ઉંમર ૧૧ વર્ષ હતી. બન્ને પરિવાર આગરા છોડીને લાહોરમાં નજીક નજીકની શેરીઓમાં જ રહેતા હતા. દુર્ગાવતી પણ પતિની સાથે જ ભગત સિંઘની મંડળીમાં સક્રિય બની ગયાં. ગ્રુપમાં બધા એમને દુર્ગાભાભી કહેતા.

    ભગવતી ચરણ પહેલાં તો ગાંધીજીના સત્યાગ્રહમાં જોડાયા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ સત્યાગ્રહ પાછો ખેંચી લેતાં એ ફરી કૉલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયા. વોહરા વાચનના જબરા શોખીન હતા અને ભગત સિંઘે સ્થાપેલી નૌજવાન ભારત સભા અને હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનના સિદ્ધાંતવેત્તા હતા. આમ એમનું સ્થાન ગ્રુપમાં મુખ્યત્વે ચિંતક અને વિચારકનું હતું. એમણે કૉલેજમાં ભગત સિંઘ અને સુખદેવની સાથે મળીને માર્ક્સિસ્ટ સ્ટડી સર્કલ પણ બનાવ્યું હતું. એના પછી હિન્દુસ્તાન રીપબ્લિકન એસોસિએશનનું નામ હિન્દુસ્તાન સોશ્યલિસ્ટ રીપબ્લિક એસોસિએશન (HSRA) નામ અપાયું.

    સશસ્ત્ર કાર્યવાહીઓ માટે પૈસાની પણ જરૂર પડતી અને વોહરા પરિવાર પૈસેટકે સુખી હતો એટલે ગ્રુપની નાણાભીડમાં પણ ભગવતી ચરણની મદદ રહેતી. એમનાં મોટાં બહેન સુશીલાદીદી પણ ક્રાન્તિકારી હતાં. એ એક સ્કૂલમાં શિક્ષિકા હતાં પણ કશા ડર વિના ક્રાન્તિકારીઓને મદદ કરતાં. ભગત સિંઘ અને રાજગુરુ ડી. એ. વી. કૉલેજથી નીકળ્યા તે પછી બે દિવસ એમને આશરા માટે એક ઘર એમણે જ અપાવ્યું હતું.

    ૧૯૨૯માં ભગવતી ચરણ વાઇસરોયને ટ્રેનને બોમ્બથી ઉડાવી દેવાના કાવતરામાં સામેલ થયા. વાઇસરોયની ટ્રેનને તો કંઈ નુકસાન ન થયું પણ ગાંધીજીએ એની વિરુદ્ધ ‘Cult of Bomb’ લેખ લખ્યો. એના જવાબમાં HSRA તરફથી પણ એક લેખ પ્રકાશિત થયો – Philosophy of Bomb. આ લખનાર ભગવતી ચરણ હતા.

    હવે એમણે બોમ્બ બનાવવાનું શીખી લીધું હતું. એમનો વિચાર હતો કે ભગતસિંઘ અને એમના સાથીઓને બોમ્બ ફેંકીને જેલમાંથી છોડાવી લેવા. એક ભાડાના ઘરમાં એ અમુક સાથીઓની સાથે મળીને બોમ્બ બનાવતા. ૨૮મી મે ૧૯૩૦નો એ દિવસ હતો. ભગવતી ચરણ એક-બે સાથી સાથે રાવીના કિનારે બોમ્બનો અખતરો કરવા ગયા ત્યારે બોમ્બ અચાનક ફૂટી ગયો. અને ક્રાન્તિકારી વીર ભગવતી ચરણ વોહરાનું એમાં મૃત્યુ થઈ ગયું. એ સમયે એમની ઉંમર માત્ર ૨૫ વર્ષની હતી.


    સંદર્ભઃ

    1.भगत सिंह और उनके साथियों के सम्पूर्ण उपलब्ध दस्तावेज़. संपादकः सत्यम. राहुल फाउण्डेशन, लखनऊ ISBN 978-81-87728-95-5. #- 350-00 rhljk iqueqZnz.k % fnlEcj] 2017

    1. A Centenary History of the Indian National Congress Vol. II (1919-1935)

    ૩. http://www.shahidbhagatsingh.org/biography/c6.htm


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી