ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

પૃથ્વી પર વસતા દરેક જીવની એક આગવી ભૂમિકા અને હેતુ હોય છે, જેના માટે તેઓનું અસ્તિત્વ છે.

કુદરતે તૈયાર કરેલ આહાર શૃંખલા પર દરેક જીવ નભે છે અને આહાર શૃંખલાના ભાગ બની, એક બીજા પર નિર્ભર રહીને તેઓનું જીવન વ્યતીત થાય છે.

જીવનનિર્વાહ અર્થે મધમાખીઓનું આગવું મહત્વ છે. મધમાખીઓ, પક્ષીઓ, પતંગિયાઓ અને શલભ પરાગનયનની ક્રિયા શક્ય બનાવે છે, તેઓ ખરા અર્થમાં પરાગનયનકારો છે. આપણું જીવન મધમાખી, પતંગિયા, પક્ષીઓ અને શલભને આભારી છે.

પરાગનયન અનુકૂળ ખેત-ઉત્પાદન સાંકળમાં મધમાખીનું મહત્ત્વનું સ્થાન છે.

મધમાખીઓ, અન્ય ઘણાં જીવોની જેમ ઝડપથી લુપ્ત થઈ રહી છે અને આ અંગે જાગૃકતા લાવવા, દર વર્ષે૨૦મી મેના રોજ  “હની બી ડે (મધમાખી દિવસ)”  ઉજવવામાં આવે છે, જેથી આ અંગે જાગૃતિ આવે, એમની સંખ્યામાં વધારો થાય અને એમનું આપણાં જીવનમાં જે મહત્વ છે, એ સૌને સમજાય.

દરેક જીવન્ત વસ્તુ વિકસે છે અને બદલાય છે, જેમાં છોડનો પણ સમાવેશ થાય છે. યોગ્ય પરિસ્થિતિમાં બીજમાંથી છોડ ઉગે છે અને ઘણાં બધા છોડ પર સુંદર ફૂલો ઉગે છે. કુદરતમાં ફુલોનું ખુબ મહત્વ છે. મધમાખીનું અસ્તિત્વ જ જાણે છોડના પ્રજનન માટે છે. આ ક્રિયા પરાગનયન વડે થાય છે, જેમાં પરાગરજ એક ફૂલના પુંકેસર દ્વારા બીજા ફૂલના બીજકોષ પર મુકાય છે.

“રાષ્ટ્રીય મધમાખી ઉછેર અને હની મિશન ( NBHM)”  ભારત સરકારની એક પહેલ છે, જેમાં 2 વર્ષ દરમિયાન મધમાખીના વૈજ્ઞાનિક ઉછેર દ્વારા તેમની સંખ્યા વધારી દેશમાં “મધુર ક્રાંતિ” લાવવાનું લક્ષ્ય છે, જેનાથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવક વધશે, સાથે જ રસાયણમુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે અને મોંઘા કેમિકલયુક્ત ખાતર અને દવાઓનો ઉપયોગ ખુબ જ ઓછો થઈ જશે.

માનવસર્જિત મધપૂડામાં મધમાખીઓના વસવાટની વ્યવસ્થા કરી, માણસો હવે મધમાખીને આંશિક રૂપે પાળવા લાગ્યા છે અને મધનું ઉત્પાદન પણ કરવા લાગ્યા છે. મધપૂડામાં કે જંગલી માળામાં, મધમાખીઓના કુલ ત્રણ પ્રકાર હોય છે:

– એક જ સ્ત્રીજાતિની રાણી માખી

– અમુક સંખ્યામાં નર માખીઓ જે નવી રાણી માખીને જન્મ આપી શકે

– ૨૦,૦૦૦ થી ૪૦,૦૦૦ જેટલી સ્ત્રી મજૂર માખીઓ

મધમાખી હંમેશા પરાગનયન માટેની સુપરહીરો માનવામાં આવે છે. જે ફૂલો મધમાખી દ્વારા પરાગાધાન થાય છે એ સપાટ, થોડા પ્રમાણમાં મધવાળા, ઉઘડતા રંગ વાળા જેમકે વાદળી અથવા પીળા (મધમાખી લાલ રંગ નથી જોઈ શકતી), મધુર સુગંધવાળા, બેસવા માટે પહોળી જગ્યા ધરાવતા અને દિવસ દરમ્યાન ખુલ્લા રહેતા હોય છે.

સાથે જ, ઘણાં ફૂલોમાં મધની માર્ગદર્શિકા હોય છે. કુદરતે અલગ અલગ જીવોને આગવી લાક્ષિણકતાઓ આપી છે, જેનો એક હેતુ છે. માણસો અલ્ટ્રાવાયોલેટ કિરણો નથી જોઈ શકતા; મધમાખીઓ આ વિરોધાભાસી પેટર્ન જોઈ શકે છે, જે તેમને ફૂલોની વચ્ચે રહેલ પોષક મધ સુધી પહોંચવામાં સહાયક બને છે.

પરાગનયનકારો કેવી રીતે માણસોને મદદરૂપ છે ? આજે તમે શું ખાધું એ યાદ કરો: એક કેળું, એક પીનટ બટર અને જેલી સેન્ડવીચ સાથે એક સફરજન,  અને આ બધાની સાથે ટામેટાનો જ્યુસ ? હવે, એક ઘૂંટ ભરો – અને હવે છોડ અને પરાગનયનકારોનો આભાર વ્યક્ત કરો જેમના કારણે તમને આ સ્વાદિષ્ટ ભોજન મળ્યું.  ફૂલોનું પરાગન થાય છે, ત્યારે તેઓ બીજ ઉત્પન્ન કરે છે અને જીવન શૃંખલા ચાલ્યા કરે છે.

મધમાખીઓ અને અન્ય માખીઓ દ્વારા તૈયાર થતું મધ સ્વાદમાં મધુર અને ચીકણું પ્રવાહી હોય છે. મધમાખીઓ ફૂલોમાં રહેલ મધુર સ્ત્રાવમાંથી મધ બનાવે છે. ફૂલોના મધુર સ્ત્રાવમાંથી મધમાખી મધપૂડો બનાવે છે, જેનો ઉપયોગ પોતાના શારીરિક બંધારણને મજબૂત કરવા કરે છે અને બાકીનું લાંબા સમય માટે સંગ્રહી રાખે છે. ઠંડી ઋતુમાં અથવા જયારે આહારના વિકલ્પ ન મળે, ત્યારે પુખ્ત અને નાની માખીઓ સંગ્રહિત મધનો ઉપયોગ કરે છે.

મધ પહેલેથી જ મધમાખી દ્વારા પચાવેલું હોય છે આથી પચવામાં ખુબ જ સરળ હોય છે અને એમાં અનેક ઔષધીય ગુણો રહેલા હોય છે.

મધનો ઉપયોગ અને ઉત્પાદન પૌરાણિક કાળથી થતું આવ્યું છે. સ્પેનમાં આવેલ કેટલીય ગુફાઓમાં મળેલ ચિત્રોથી જાણવા મળે છે કે 8000 વર્ષો પૂર્વે પણ માણસો મધની ખેતી કરતા હતા.

આપણા ઘરોની આસપાસ મળતી મધમાખીઓમાં: ઇન્ડિજીનીયસ એપિસ સિરાના (એશિયન મધમાખી), એપિસ ફલોરિયા( ડવાર્ફ મધમાખી) અને એપિસ ડોરસાટા (જાયન્ટ મધમાખી), મેલીપોનીની (ડંખ વગરની મધમાખી) અને ઝાયલપકો (સુથારી મધમાખી).

આ બધી જ મધમાખીઓ અલગ અલગ પ્રકારના મધપૂડાઓ બનાવે છે અને એ પણ અલગ અલગ પ્રકારની જગ્યાઓ એ અને અમુક માખીઓ એકલી જ જીવન વિતાવે છે, કેવી અજાયબી !

વિશ્વમાં પહેલા ૨૦,૦૦૦ થી વધુ પ્રકારની મધમાખીઓ હતી !

મધમાખીઓના બચાવ દ્વારા આપણે આબોહવા પરિવર્તનને કાબુ કરી પ્રકૃતિને આપણું યોગદાન આપી શકીશું અને પ્રાકૃતિક ખેતી સહીત સર્વજીવો સાથે સહજીવન વ્યતીત કરી શકીશું, એટલે કે સહઅસ્તિત્વ.

આપણું જીવન મધમાખીઓ પર નભે છે.

સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

Love – Learn  – Conserve


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214