રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…

અલ્પા શાહ
નમસ્કાર મિત્રો, “ગીતબિતાન” શ્રેણીમાં ફરી એક વાર આપ સૌનુંભાવભર્યું સ્વાગત છે. રબીન્દ્રસંગીત દ્વારા માનવ મનની મેઘધનુષી સંવેદનાઓની સફર આગળવધારતા, ચાલો આજે એક નવી રચનાને જાણીએ અને માણીએ.
આપણે જાણીએ છીએ તેમ, કવિવરનું કલાસભર વ્યક્તિત્વ આધ્યાત્મિકતાથી સરભર છલકતું હતું. તેમના જીવન જીવવાના દ્રષ્ટિકોણમાં શરીર ગૌણ અને આત્મા કેન્દ્રસ્થાને હતો. તેઓ દ્રઢપણે માનતા કે તેમની અંદર જે દિવ્ય શક્તિ રહેલી છે તેજ તેમની સર્જનાત્મકતાનો સ્તોત્ર બની રહી છે. ગુરુદેવ તેમનામાં રહેલી એ દિવ્ય શક્તિ સાથે સતત જોડાયેલા રહેતા, તેમના આત્માના અવાજ સાથે સતત સંવાદ સાધતા રહેતા અને તેમની ભીતરમાં પ્રજ્વલિત જ્યોત સાથે અનુસંધાન સાધતા રહેતા અને કદાચ એટલેજ એમના લખાણ અને કવિતાઓમાં એક આધ્યાત્મિક ઊંડાણ જોવા મળે છે.
આત્માના સાદ સાથે નિત્ય સંવાદ રચતા ગુરુવર માટે આ ભીતરની ગુંજ(inner voice) તેમનું જીવનચાલક બળ હતું. આ આત્માના સાદને કેન્દ્રમાં રાખીને રચેલી એક સુંદર સંવેદનશીલ રચનાને આજે આપણે જાણીશું. ૧૯૨૨માં રચાયેલી આ રચનાનું શીર્ષક છે আমি কান পেতে রই (Aami Kaan Pete Roi) જેનું ભાવાનુવાદિત શીર્ષક છે “એ અનાહત નાદ…”. જેનું સ્વરાંકન કવિવરે રાગ બિભાસમાં કર્યું છે અને તેનેદાદરા તાલ દ્વારા તાલબદ્ધ કરેલ છે. મેં આ રચનાનો ગુજરાતીમાં પદ્યસ્વરૂપે ભાવાનુવાદકરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે તે દ્વારા આપણે આ રચનામાં રહેલી સંવેદનાઓમાં ભીંજાવાનોપ્રયત્ન કરીશું. આ રચનાને કવિવરે પૂજા વિભાગમાં વર્ગીકૃત કરી છે
એક અનાહત નાદ…
ભીતર ઉઠતી ગુંજને પારખવા જયારે મારા કાન રહે મંડાય
ત્યારે એક અનાહત, અવિનાશી નાદ સતત મને સંભળાય
ક્યારેક મૌન રુદન તો ક્યારેક હરખની હેલીના સૂર છેડાય
ક્યારેક સૂનકાર તો ક્યારેક કોલાહલનું સામ્રાજ્ય રચાય
ક્યારેક નીલકમળને ખોજતા ભ્રમરની સતત ગુંજ સુણાય
ક્યારેક અંધકારમાં એકાકી પંખીનું વિરહગાન વલોવાય
ના કદી દેખાય, ના કદી સ્પર્શાય કે ના એનો પીછો કરાય
બસ, એનો દિવ્ય અહેસાસ ફક્ત મારા અંતરે અનુભવાય
એ સતત મને કંઈ કહ્યા કરે સતત મારી આસપાસ રહ્યા કરે
એનો સંદેશ સૂર અને શબ્દ બની મારા થકી વહ્યા કરે,
અવિરત વહ્યા કરે…
©અલ્પા શાહ
ભીતરની ગુંજ એટલેકે inner voice એટલેકે આપણા અંતરાત્માનો અવાજ. આ રચનામાં કવિવરે ખુબ નજાક્તતાથી એના અસ્તિત્વનું સમર્થન તો કર્યું જ છે અને સાથેસાથે એ ભીતરની ગુંજ દ્વારા અપાતા સંદેશા તેમના શબ્દો અને સૂર દ્વારા વહી નીકળે છે તે પણ સુપેરે રજુ કર્યું છે અને કવિવરની રચનાના ઊંડાણને જોતા કદાચ આ ભાવ માત્ર ભાવ નહિ પણ હકીકત લાગે છે. આ ભીતરની ગુંજ પણ આપણા મનોભાવો પ્રમાણે આપણને જુદા જુદા સંદેશ આપતી હોય તેવા ભાવ આ રચનામાં વ્યક્ત કરેલ છે.
મારા, તમારા અને આપણા સૌમાં આ ભીતરની ગુંજ સતત ગુંજ્યા કરે છે, આપણને જીવનમાં GPS બની સતત સાચો માર્ગ દેખાડવા પ્રયત્ન કરે છે. પણ આપણે જ કદાચ કાન દઈને સાંભળવા તૈયાર નથી હોતા. આ ભીતરની ગુંજ તો એકદમ નિર્મળ અને અણીશુદ્ધ હોય છે પણ આપણે આપણી અંદરના દૂન્યવી કોલાહલને લીધે આ અવાજ કોઈક વાર દબાઈ જાય છે અથવા આપણા મનોભાવો પ્રમાણે આપણને જે સાંભળવું હોય તેજ આપણે સાંભળીએ છીએ.
જયારે સમગ્ર જગતથી તમે એકલા થઇ ગયા હોય, જયારે જિંદગી કોઈક આંટીઘૂંટીમાં અટવાઈ હોય કે પછી જયારે મન તેની તર્કશક્તિ અને વિચારશક્તિ ગુમાવી બેસે એવા સંજોગો ઉભા થાય ત્યારે આ ભીતરનો નાદ આપણો હાથ ઝાલીને સાચા રસ્તે લઇ આવશે – જો આપણે તેને શાંત ચિતે સાંભળવાનો પ્રયત્ન કરીશું તો….
આપણા અંતરનો અવાજ એ તો આપણામાં રહેલા પરમ ચૈતન્યના અંશના અસ્તિત્વનું પણ સમર્થન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં અનેક શ્લોકમાં આપણા આત્મામાં એમની પરમ શક્તિનો અંશ રહેલો છે તે રજુ કર્યું છે જેમકે
तेषामेवानुकम्पार्थमहमज्ञानजं तम: ।
नाशयाम्यात्मभावस्थो ज्ञानदीपेन भास्वता
એટલેકે પરમાત્માની કૃપાથી તેમની દિવ્ય શક્તિનો અંશ આપણામાં પ્રજ્વલિત રાખે છે અને આ દિવ્ય શક્તિનો અંશ જે આપણામાં રહેલો છે તેના થકીજ મારો-તમારો શ્વાસ ચાલે છે અને તેથીજ વૈદિક વિચારધારા પ્રમાણે આ ભીતરની ગુંજ એટલેકે એટલે એક અનાહત નાદ, મારા શ્યામનો સાદ અને પરમ પરમાત્માનો પ્રસાદ …
તો ચાલો, આ ભીતરની ગુંજને સતત સાંભળતા અને સમજતા રહેવાના પ્રયત્ન કરવાના નિશ્ચય સાથે હું મારી કલમને વિરામ આપું છું. આશા રાખું છું કે તમે પણ આ ગીતમાં રજુ થતી સંવેદનોની સરવાણીમાં ભીંજાયા હશો. તમારા માર્ગદર્શન અને પ્રતિભાવોની અપેક્ષા સહ,
