વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ત્યારે અને અત્યારે : પોસ્ટકાર્ડ સામે વૉટ્સએપ

    પરેશ ૨. વૈદ્ય

    માણસજાતની કોઈ પણ બે પેઢીઓ વચ્ચે વિચારોનું અંતર રહ્યું જ હશે. તેની સાથે સુખસગવડો અને સામજિક વ્યવહારો વચ્ચે પણ અંતર હશે – ૫છી એ બે પેઢી ન્યૂ યોર્કની રહેવાસી હોય કે ડાંગના અદિવાસીની હોય. “જનરેશન ગૅપ’ એ શબ્દ આમ કાલજયી અને સ્થાનજયી છે.

    આટલું જાણ્યા પછી એવું કહેવાની ઇચ્છા છે કે જે પેઢી અત્યારે ભારતમાં તેના સંધ્યાકાળમાં છે તેણે પોતાના એક જીવનકાળમાં જેટલા સામજિક અને ટૅક્નૉલૉજિકલ ફેરફારો જોયા છે તેટલા કોઈ પેઢીએ ક્યાંય નહીં જોયા હોય. આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જનમ્યા હોય.

    આની પાછળ અરસપરસ ગૂંથાયેલાં બે કારણો છે : એક તંત્રવિદ્યાને લગતું અને બીજું રાજકીય. વીસમી સદીના પૂર્વાર્ધમાં વિજ્ઞાને ઘણી મોટી ફાળ ભરી હતી. તેનું ટૅક્નૉલોજિમાં રૂપાંતર બીજા વિશ્વયુદ્ધને કારણે વધારે ઝડપથી થયું. સદીના ઉત્તરાર્ધમાં એ સતત થતું રહ્યું. એને કારણે દૈનિક જીવનમાં થતાં પરિવર્તન તો આખી દુનિયામાં થતાં હતાં. તેમાંથી સૂક્ષ્મ ઇલેક્ટ્રોનિક્સ અલગ ચર્ચાનો વિષય છે. પરંતુ ભારતના સંદર્ભમાં ખાસ બાબત એ કે આપણી આઝાદી વિશ્વ યુદ્ધ પછી તુરંત એ અરસામાં આવી. એટલે આર્થિક અને સામાજિક નિર્ણયો લેવાની રીતમાં  અચાનક ફેરફાર થયો. વહીવટી વ્યવસ્થા ઉપર આપણો પોતાનો કાબૂ હોવાથી ટૅક્નૉલોજિના ઉપયોગ માટેની નીતિઓ પાછી સમાજલક્ષી બની.

    નવા દેશના નવા રાજનેતાઓની સાથોસાથ નોકરશાહીને પણ ઉત્સાહ હતો કે “આપણા’ લોકોની જિંદગીમાં કશુંક એવું ઉમેરીએ જે ગુલામ દેશમાં ન હતું. પરદેશની ટૅક્નૉલોજિને અહીં આવતાં પચાસ વર્ષ થઈ જતાં તે સમયગાળો ક્રમે ક્રમે ઘટીને ર૦ વર્ષ થઈ ગયો (૧૯૯૧ પછી તો આ ગૅપ વધુ ઘટ્યો છે.) આઝાદી વખતે આપણા દૈનિક જીવનમાં વીસમી સદીની શરૂઆતની જ ટૅક્નૉલોજિ પ્રાપ્ત હતી. ઘરમાં વીજળી, રેડિયો, ટેલિફોન, વિમાનયાત્રા એ બધું હતું જ નહીં એમ કહી શકાય. પરંતુ ૧૯૫૫-૫૭ પછીથી ચિત્ર ઝડપથી બદલાયું. અપણે વાત કરીએ છીએ એ પેઢી શાળામાં આવી  અને પરિવર્તનને આત્મસાત્‌ કરતી ગઈ. ટેક્નૉલોજિની એ તાકાત છે કે એ સામજિક જીવન અને સમીકરણો ઉપર પણ અસર પાડે જ છે. બા૫ અને દીકરો સાથે મળીને રેડિયો પર (આજે તો ઓનલાઈન)  કૉમેન્ટરી સાંભળે એવું તેથી અગાઉની પેઢીમાં વિચારવું પણ અશક્ય હતું.

    આને કારણે જ કહ્યું કે આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    યોગાનુયોગ આ લખનારની ઉંમર પણ આશરે ભારતીય ગણતંત્ર જેટલી જ હોવાથી તે પણ ચર્ચા હેઠળની પેઢીનો ભાગ છે. અમારી પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.

    +                                                          +                                           +

    પોસ્ટકાર્ડ સામે વૉટ્સએપ

    એક વખત જીવનનું મહત્ત્વનું અંગ હતું તે ટપાલ વ્યવસ્થાને ઇન્ફર્મેશન ટૅક્નૉલોજિની ક્રાન્તિએ કેવી અદૃશ્ય કરી દીધી તેની વાત આજે કરીશું.

    રતુભાઈ સ્ટેશને ઊતર્યા અને ભત્રીજાને શોધવા આમતેમ નજર ફેરવતા હતા ત્યાં જ મોબાઇલ રણક્યો — “કાકા, મારાથી આવી નથી શકાયું. પરંતુ ચિંતા ન કરતા, મેં ઉબેર ટૅક્સી બુક કરી છે. એમ કરો, એન્જિન તરફનો દાદરો લઈ પહેલા પ્લેટફૉર્મ પર આવી જાઓ. “એક્ઝિટ’નીસામે જ ફલાણા નંબરની ટૅક્સી હશે. ત્યાં પહોંચો ત્યાં સુધી ઓટીપીનો મેસેજ કરું છું.”

    કોઈ તકલીફ ન થઈ. રતુભાઈએ પચાસ વર્ષની ટૅક્નૉલોજિ યાત્રા કરી હતી એટલે ટૅક્સી શોધીને ઓટીપી આપવાનું તો કરી જ શક્યા. ગાડીમાં બેઠાં બેઠાં એમના મનમાં “ફ્લેશ બૅક’ ચાલ્યો.

    ગઈ સદીના પચાસના દાયકામાં પોતાના મામા ગામથી મુંબઈ આવેલા ત્યારે ખાસ્સું નાટક થયેલું. મોબાઇલ તો. શું સાદા ટેલિફોન પણ બધાને ઘેર હતા નહીં. માત્ર ટપાલનો જ આધાર હતો. ટપાલ મળતાં ૫-૭ દિવસ થાય એ ધ્યાનમાં રાખીને જ કાર્યક્રમ ઘડવાનો રહેતો. મામાએ ૨૦ દિવસ પહેલાં જ કાગળ નાંખી પુછાવેલું કે ગામમાં તો હોઈશું ને? બાપુજીએ જવાબમાં એ પણ લખ્યું કે પોતે સ્ટેશને લેવા જશે.

    ત્યારે રિઝર્વેશનની પ્રથા તો હતી નહીં. એટલે મહેમાન કયા ડબ્બામાંથી ઊતરે તે નક્કી નહીં. ટ્રેન પ્લેટફોર્મ પર આવે એટલે ગાડીની બારીમાંથી આવનાર વ્યક્તિ ડોકું કે હાથ બહાર કાઢી ધ્યાન ખેંચે. એટલે આપણે ડબ્બા જોડે દોડતાં જવાનું. બાપુજી સ્ટેશને પહોંચે તે પહેલાં ટ્રેન આવી. ગઈ, એટલે મામા મળ્યા નહીં. પ્લેટફૉર્મ પર અરધો કલાક આંટા મારી બાપુજી નિરાશ થઈ ઘરે આવ્યા. તેમની પાછળ તુરત સામાન ઢસડતા મામા પણ પહોંચી આવ્યા. બે સામસામા ક્રૉસ કેમ થાઈ ગયા એની દલીલો બે દિવસ ચાલી.

    બધાંને આવો અનુભવ ક્યારેક તો થતો જ.

    મોબાઇલના જમાનામાં આવો પ્રસંગ પડતો નથી. આમેય પોસ્ટકાર્ડમાં જેટલું લખાય એટલું તો હવે એસએમએસ કે વોટ્સએપમાં લખી જ શકાય છે. ટિકિટ લેતાં અગાઉ કરવાની ચોખવટો ૧૫-૨૦ મિનિટમાં થઈ જાય છે; વીસ દિવસની તૈયારી નથી લાગતી.

    પણ અહીં પહોંચતાં સુધીની સંદેશવ્યવહારની યાત્રામાં ઘણા પડાવ આવ્યા છે. એ ટચૂકડા પોસ્ટકાર્ડે જ દાયકાઓ સુધી રાજ કર્યું. અંગત સંબંધો તેમ જ વેપાર-ધંધામાં ટપાલ વ્યવસ્થા એ એકમાત્ર કડી હતી.

    એક વાર કાગળ લખ્યો તો ૧૦-૧૨ દિવસ પછી તેના જવાબની રાહ જોવાનું શરૂ થતું. નોકરીની અરજી હોય કે વેવિશાળની વાત હોય, ઉત્કટતા એવી જ રહેતી જેવી આજે વૉટ્સએપ સંદેશો ચૂક્યા પછી ૧૦-૧૨ મિનિટમાં જવાબની તાલાવેલીમાં જોવા મળે છે! ટપાલ દિવસમાં બે વાર આવતી. ગલીને નાકેથી ટપાલી દેખાય કે ડોક ખેંચાતી, શું આપણા દરવાજે પણ આવે છે? ન આવે તો જે નિરાશા થતી તેનું નિરૂપણ ધૂમકેતુની વાર્તા “પોસ્ટ ઓફિસ’માં બરાબર થયું છે. ગાડીવાન અલી શિયાળામાં સવારે રોજ  ત્યાં જઈ દીકરી મરિયમના કાગળની પૂછા કરતો.

    આ કેટલું વાસ્તવિક છે તેનો એ પેઢીમાં બધાને અનુભવ હતો. ૧૯૬૦માં મોટાબહેનનાં લગ્ન મુંબઈ કર્યા. તે વખતે ભુજ સ્ટેશને જઈ જાનને વળાવી આવ્યા પછી વડીલો ગણતરી કરતા રહેતા, “આજ નીકળ્યાં, કાલે સાંજે પહોંચશે. પરમ દિવસે કદાચ ટાઇમ ન મળે તો બુધવારે કાગળ લખશે. આવતા સોમવાર
    સુધી આવવો જોઈએ’. એટલે આઠ દિવસ સુધી ચિંતાને દબાવી દેવાની આ યુક્તિ. આમાં એ વાતની તો ગણતરી નહીં કે નવા ઘરમાં વહુને કાર્ડ કે કવર કોણ લાવી આપશે, પોસ્ટ ઓફિસ કેટલી દૂર હશે, વગેરે. આવું તો દરેક અગત્યના પ્રસંગે થાય. મન મનાવીને જીવનમાં ધીરજ રાખવાની ફરજિયાત ટ્રેનિંગ મળતી રહેતી. ટૅક્નૉલોજિએ એ સાધનાની તક છીનવી લીધી છે

    સદભાગ્યે ટપાલ પાછળની લાગણીઓને એ ખાતું બરાબર સમજતું.  અંગ્રેજોએ જડબેસલાક વ્યવસ્થા બનાવી હતી. ધીમા વાહનવ્યવહારને કારણે ટપાલ મોડી મળે તે ખરું, પણ ગેરવલ્લે જવી તે અપવાદ હતો. બધા ટપાલી ડિલિવરી કરીને પાછા આવે ત્યારે પોતપોતાના ખાખી થેલાઓને ઊંધા કરી, ઝાટકીને ગડી કરવાનો નિયમ હતો. આ સાદી વ્યવસ્થાથી ખાતરી થતી કે કોઈ પતાકડું ભૂલથી ય રહી ન જાય.

    આમ છતાં, કોઈ પત્ર ગેરવલ્લે જાય તો તેની ભાળ કાઢવાનીય વ્યવસ્થા હતી. જેને “ડેડ લેટર ઓફિસ’ કહેતા.

    એ… તારવાળો…‘”

    રગશિયાં ગાડાની ટપાલવ્યવસ્થામાં સંદેશા ઝડપથી મોકલવા માટે પણ વ્યવસ્થા હતી. તેને “તાર’  (ટેલિગ્રામ) કહેતા. “હતી” એવો ભૂતકાળવાચક શબ્દ વાપર્યો છે, કારણ કે, છેલ્લાં ૧૦ વર્ષથી તાર ખાતું બંધ કરાયું છે. શરૂઆતમાં તાર મૉર્સની સંજ્ઞાઓ વાપરીને મોકલાતા. લખવામાં એ ટપકાં અને લીટીનાં મિશ્રણથી બનેલ બારાખડી, છે, પણ વ્યવહારમાં એ વીજળીનો ‘“કૉન્ટેક્ટ’ ટૂંકા અને લાંબા સમય માટે પકડી રાખવાથી થતો અવાજ છે. એક છેડે તાર માસ્તર ઇલેક્ટ્રિક ચાંપને દબાવીને આવા અવાજ પેદા કરે અને સામે છેડે કાન ઉપર ભૂંગળું મૂકી બેઠેલ તાર માસ્તર અવાજની શ્રેણી પરથી અક્ષર ઓળખી ઝડપથી શબ્દો લખતો જાય. ટૅક્નૉલોજિને નિચોવીને પણ પોતાની જિંદગી સુધારવાના માણસના સ્વભાવનું આ જૂનું ઉદાહરણ. પછી તો ટેલિપ્રિન્ટર આવ્યાં, ડિજિટલ સંદેશા આવ્યા.

    તાર વિશે ક્યારેક રમૂજી તો ક્યારેક કરુણ ઘટનાઓ બનતી. તાર મૂકવાનો ખર્ચ શબ્દોની સંખ્યા પ્રમાણે લેવાતો. એટલે તેનો ડ્રાફ્ટ બનાવનારા ટૂંકાણમાં કેટલું વધારે કહી દેવાય તેની ભાંજગડમાં રહેતા. અને તેમાંથી ગોટાળા પણ થતા. (આજે the ને “d’ કે andને n’ લખનારી પેઢીને આ વાત સમજાશે!) એવી ટૂંકી ભાષાને “ટેલિગ્રાફિક’ ભાષા કહેતા.

    તાર મોડો પડે તો તેનાથી પહેલાં મહેમાન ઘરે આવી જાય તેવું ય બનતું. કોઈ તેનાથી હસતું તો કોઈ ગુસ્સે થતું. રાત્રે ૧૧ વાગ્યા પછી જો ડેલીએ “એ… તારવાળો…” એવી બૂમ પડે તો ધ્રાસ્કો પડતો. કારણ,
    આવી કવેળાએ તારવાળા માત્ર મરણના સમાચાર દેવા માટે જ ડ્યૂટી કરતા.

    ભારતનો છેલ્લો તાર ૧૪મી જુલાઈ ૨૦૧૩માં થયો – એ હતો સંદેશવ્યવહાર ખાતાના પ્રધાન શ્રી કપિલ સિબ્બલ જોગ, એ વિનંતી કરવા માટે કે “તાર ખાતું બંધ ન કરવું!”

    પહેલાં ઇ-મેઇલ અને પછી મોબાઇલે ટપાલ ખાતાનું કામ ક્રમશઃ ઘટાડી નાંખ્યું.

    કુરિયર વ્યવસ્થા આમ તો ટપાલ જ છે, પણ એમાંથી ઉત્કંઠા અને સંતોષના એ ભાવ નથી નિષ્પન્ન થતા જે ગઈ સદીમાં ટપાલીના આગમનથી થતા. લેખની શરૂઆતમાં જોઈ તેવી રતુભાઈ અને તેના યજમાનની મુશ્કેલીઓ પણ હવે નથી જ. ઊલટું, આજે તો લોકો ઘેરથી સ્ટેશન જવા નીકળે ત્યારથી “સ્ટેટ્સ’ આપવા લાગે છે. એમણે ભજિયાં ક્યાં લીધાં અને “ચાય’ કયે સ્ટેશને પીધી તેની ય તમને ખબર રહે છે. છેવટે ટ્રેન પહોંચી આવે ત્યારે પ્લેટફોર્મ ઉપર એક કાને મોબાઇલ અને બીજો હાથ દૂરથી હલાવી સામસામી હાજરી દેખાડતા  લોકો જરૂર દેખાય છે.


    સૌજન્ય: નવનીત સમર્પણ |  જૂન ૨૦૨૪


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘જીવો જીવસ્ય ભોજનમ્’ માણસને પણ લાગુ પડે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે પૃથ્વી સ્થિર છે, અને સમગ્ર બ્રહ્માંડ તેની ફરતે ચકરાવા લે છે. પછીના યુગમાં વિવિધ સંશોધનોને પગલે વાસ્તવિકતાની જાણ થઈ કે હકીકતમાં પૃથ્વી સૌર માળાનો એક ગ્રહમાત્ર છે અને બીજા અનેક ગ્રહોની જેમ તે પણ સૂર્યની ફરતે ચકરાવા લે છે. અલબત્ત, આ વૈજ્ઞાનિક સત્ય થયું. માનવજાતે ઉત્ક્રાંતિ કરવા માંડી એ પછી ઊત્તરોત્તર તે પૃથ્વી પરના વિવિધ સ્રોતોનો ઊપયોગ કરતો ગયો અને આખરે તે એ રીતે વર્તતો થયો જાણે કે પોતે બ્રહ્માંડના કેન્‍દ્રમાં છે અને સમસ્ત બ્રહ્માંડ પોતાના માટે સર્જાયું છે. એવા કયા પ્રાકૃતિક સ્રોત માનવની નજરથી બચ્યા હશે કે જેનું તેણે નિકંદન ન કાઢ્યું હોય? હવે તો વિજ્ઞાનને લઈને એ પણ ખબર પડે છે કે આ કૃત્યોનાં દુષ્પરિણામ કેવાં હશે, છતાં તેની એ વૃત્તિમાં કશો ફેરફાર થતો જણાતો નથી.

    બગલાની ચાંચમાં માછલી અને એ માછલીના મોમાં બીજી માછલી  – તસવીરઃ Ernie Aranyosi

    સાંદર્ભિક તસવીરઃ નેટ પરથી

    એનું છેલ્લામાં છેલ્લું ઉદાહરણ એટલે નામિબિયાની સરકારે કરેલી ઘોષણા. આફ્રિકાની દક્ષિણે આવેલા આ દેશમાં દુષ્કાળ સામાન્ય બાબત છે, કેમ કે, આ પ્રદેશ તદ્દન સૂકો અને બિનફળદ્રુપ છે. અગાઉ ૨૦૧૩, ૨૦૧૬ અને ૨૦૨૯માં દુષ્કાળને કારણે અહીં રાષ્ટ્રીય કટોકટી ઘોષિત કરવામાં આવી હતી. અલબત્ત, આ વર્ષનો એટલે કે ૨૦૨૪નો દુષ્કાળ વ્યાપક અને વિનાશક બની રહ્યો છે. ઑક્ટોબર, ૨૦૨૩માં બોત્સવાનાથી આરંભાયેલી દુષ્કાળની પરિસ્થિતિ એન્‍ગોલા, ઝામ્બીઆ, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પ્રસરતી અને તીવ્ર બનતી રહી છે. આફ્રિકાના મોટા ભાગના દક્ષિણ વિસ્તારમાં આવી  પરિસ્થિતિ વ્યાપેલી છે.

    આટલી ગંભીર પરિસ્થિતિ પેદા થવાનું મુખ્ય કારણ અલ નીનો છે. તેને કારણે વિશ્વના ઘણા પ્રદેશોમાં અતિશય ગરમી અને સૂકું હવામાન જોવા મળી રહ્યું છે. આ વિસ્તારમાં સાત વર્ષ પછી, ૨૦૨૩માં અલ નીનોને કારણે સરેરાશ કરતાં વધુ તાપમાન અને લઘુત્તમ વરસાદ જોવા મળ્યાં છે, જેને પરિણામે દુષ્કાળ સર્જાયો છે. ચિંતાજનક બાબત એ છે કે જળવાયુ પરિવર્તનને કારણે દુષ્કાળ, પૂર એવી આત્યંતિક પરિસ્થિતિઓ વારેવારે અને તીવ્રતાપૂર્વકની જોવા મળી રહી છે.

    આ તો જાણે કે પરિણામ અને એનાં કારણ થયાં. ઊકેલનું શું? આફ્રિકાના દક્ષિણ ભાગની આશરે ૧૪ લાખની વસતિને ખોરાક પૂરો પાડવા માટે નામિબિયાએ કુલ ૭૨૩ વન્ય પશુઓને હણવાનો નિર્ણય લીધો છે. આમાં ૩૦ હિપ્પોપોટેમસ, ૬૦ ભેંસો, ૫૦ હરણો,  ૧૦૦ બ્લુ વાઈલ્ડ બીસ્ટ (એક પ્રકારનું કાળિયાર), ૩૦૦ ઝેબ્રા, ૮૩ હાથીઓ અને ૧૦૦ ઈલેન્‍ડ (એક પ્રકારનું હરણ)નો સમાવેશ થાય છે.

    દુષ્કાળની પરિસ્થિતિ વિશે જાણીને દુ:ખ અવશ્ય થાય, પણ આટલાં પ્રાણીઓની હત્યા કરવાની વાતે હાયકારો નીકળી ન જાય તો જ નવાઈ! નામિબિયાના પર્યાવરણ, વન અને પ્રવાસન ખાતાના મંત્રીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ‘આ કવાયત જરૂરી છે, અને અમારા નૈસર્ગિક સ્રોત નામિબિયાના નાગરિકોના લાભાર્થે વાપરી શકાય એવી બંધારણીય જોગવાઈ સાથે સુસંગત છે.

    એવું નથી કે સરકાર કેવળ માંસ માટે આ પ્રાણીઓનો શિકાર કરાવે છે. સરકારને ડર છે કે દુષ્કાળને કારણે પ્રાણીઓએ ખોરાકપાણીની શોધમાં સ્થળાંતર કરવું પડશે, જેને કારણે માનવવસ્તિ સાથે ટકરાવના તેમના બનાવ વધશે. આ દેશમાં ચોવીસેક હજાર હાથીઓ છે, જે વિશ્વની સૌથી વધુ વસતિ ધરાવતા દેશ પૈકીનો એક કહી શકાય. પર્યાવરણ, વન અને પ્રવાસન મંત્રાલય અનુસાર કેટલાંક પ્રાણીઓનો શિકાર કરવાથી તેમની પર દુષ્કાળની અસર ઓછી પડશે. ઘાસ અને પાણીના વ્યવસ્થાપન પર આવતું દબાણ પણ તેનાથી ઘટશે.

    આહાર માટે પશુઓને મારવાની નવાઈ નથી. ઝેબ્રા, હરણ જેવાં પ્રાણીઓ સામાન્ય સંજોગોમાં પણ આ વિસ્તારમાં શિકાર કરીને ખવાતાં હોય છે. છતાં આ પરિસ્થિતિ વધુ પડતી તીવ્ર કહી શકાય. સ્વાભાવિકપણે જ આ નિર્ણયની ટીકા થઈ રહી છે. અમુકનું કહેવું છે કે આ અભિગમ કરુણ અને ટૂંકી દૃષ્ટિનો છે. વન્ય પશુઓને મારવાથી દેશની ખોરાકની અછત ઘટે નહીં. બલકે એનાથી જૈવ પ્રણાલિ અસરગ્રસ્ત થશે અને જોખમગ્રસ્ત પ્રજાતિઓ વધુ જોખમગ્રસ્ત બનશે. જૈવ સંતુલનની જાળવણીમાં આટલા મોટા પાયે પ્રાણીઓનો સંહાર કરવાથી તેનાં વિપરીત પરિણામ આવી શકે.

    નામિબિયા તરફથી વારંવાર ત્યાંની ભીષણ પરિસ્થિતિની વાત આગળ ધરવામાં આવે છે, જે સાચી છે, અને તેઓ પોતાના આ પગલાને બંધારણીય રીતે વાજબી ગણાવે છે. વિશ્વના વિવિધ લોકોએ તેમને વૈકલ્પિક ઊકેલ વિચારવા કહ્યું છે, પણ પરિસ્થિતિ વધુ ગંભીર છે. વિચારણાની સ્થિતિ ક્યાંય પાછળ રહી ગઈ છે અને હવે નક્કર પગલાંનો વખત આવી ગયો છે.

    એક અહેવાલ મુજબ અનંત અંબાણીના સ્વપ્નપ્રકલ્પ ‘વનતારા’એ નામિબિયાના હાઈ કમિશ્નરને આ મામલે સહાયની દરખાસ્ત કરતો પત્ર લખ્યો છે. એ પછી શું થયું એ વિશે જાણકારી જોવા મળતી નથી.

    દરમિયાન નામિબિયાના નાગરિકો આ નિર્ણયથી વ્યથિત છતાં તેને જરૂરી માને છે એમ જણાયું છે. પોતાનાં બાળકો ભૂખે મરતાં હોય ત્યારે તેમને ખોરાક આપવાની જોગવાઈની પ્રાથમિકતા હોય એ સમજાય એવું છે. આટલે દૂર બેસીને, વાસ્તવિક પરિસ્થિતિને નજરે જોયા વિના તેના વિશે કંઈ કહેવું મુશ્કેલ છે. પણ એક હકીકત વારેવારે પુરવાર થતી આવી છે કે પર્યાવરણ સાથેનાં ચેડાં માનવજાતને ભારે પડી રહ્યાં છે, છતાં એ સુધરવાનું નામ લેતો નથી. વિકાસની આંધળી અને અંતહીન દોટ કેવું ભયાનક પરિણામ લાવી શકે એનો જીવતોજાગતો દાખલો નામિબિયાનો વર્તમાન સ્થિતિને ધ્યાને રાખીને કરાયેલો નિર્ણય છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૬]

    નરેશ પ્ર. માંકડ

    મણકો [૫]થી આગળ

    કિંગશુક નાગ અમદાવાદ આવૃત્તિના રેસિડન્ટ એડિટર હતા ત્યારે ૨૦૦૨ના રમખાણોના અહેવાલને કારણે એક્ઝિક્યુટિવ એડિટર શેખર ભાટિયાને દૂર કરવા માટે દબાણ થયું હતું પણ ટાઈમ્સ અડગ રહ્યું.  ચેરમેન સમીર જૈને આ વાતનો અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ‘મને ખ્યાલ છે કે પ્રધાનમંત્રીની ઓફિસમાંથી દબાણ થયું હતું પણ મને ચિંતા નહોતી’.  સમીર ક્યારેય કોઈ સમાચારને સેન્સર કરવા કે પડતા મૂકવા માટે દબાણ ન કરતા.

    +                                 +                                 +

    છૂટક વેપારની અને ફિલ્મો તેમ જ નાટકોની જાહેરાત મેળવવા નિષ્ક્રિય પડેલાં રોટરી પ્રિન્ટિંગ મશીનને ઉપયોગમાં લેવાના હેતુથી ઇવનિંગ ન્યૂઝ ઓફ ઇન્ડિયા શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૯૮૭માં બંધ થઈ ગયું.  દિવસના કાળાં અને સફેદ અખબારની અસરને ધોઈ નાખવા માટે આ સાંજના અખબારની રંગીન કથાઓ છાપવા માટે રંગોનો ઉપયોગ થતો. તેના ખબરપત્રીઓ ‘ આંટી ‘ ના દારૂના અડ્ડાઓની અને ક્યારેક અંડરવર્લ્ડના અડ્ડાઓની મુલાકાત લેતા.  પોલીસના એફ.આઇ.આર. કે સરકારી સમાચારોની શૈલી રિપોર્ટમાં ન આવી જાય એ માટે મથવું પડતું.

    +                                 +                                 +

    બહેરામ કોન્ટ્રાક્ટર ‘બિઝી બી’

    ઇવનીંગ ન્યૂઝનું સહુથી જાણીતું ફીચર હતું બિઝી બી નું Round and About.  એમાં મુંબઈના નિમ્ન તેમજ ઉચ્ચ જીવનની કથાઓ વિશે ક્યારેય ન લખાઈ હોય એવી વાતો આવતી. આર્ટ બુચવોલ્ડની ન્યુયોર્ક ટાઇમ્સમાં પ્રગટ થતી કોલમ સાથે ઘણી વાર તેની તુલના કરવામાં આવતી, પણ એ પોતે એક દંત કથા બની ગઈ હતી. બીઝી બી ઉપનામધારી બહેરામ કોન્ટ્રાક્ટર – વાંકા વળેલ, દુબળા, બેફામ પીવા અને ધુમ્રપાન કરવા વાળા અને સોડા બોટલના કાચવાળા ચશ્માથી જગતને નિહાળનારા – શહેરના ગંદી સ્લમમાં ફરીને આખી રાત ચાલતા ખાણીપીણીના સ્થળોમાં જતા.  તેમણે મુંબઈના સુધરેલા સમૃદ્ધ લોકો માટે સ્લમમાં જવાનું ફેશનેબલ બનાવી દીધું અને લોકો ગંદી શેરીઓમાં સાત હાંડીમાં રંધાતા કબાબ અને સ્ટીકના વર્ણન વાંચીને એ ખાવા માટે ઉમટી પડતા.

    લક્ષ્મણના સામાન્ય માણસની જેમ બીઝી બીનું પાત્ર હતું ‘ પત્ની ‘,   જેના દ્વારા તેઓ પોતાની ટિપ્પણી આપતા.  વાસ્તવમાં તેઓ કુંવારા હતા. પછી તેમણે ફરઝાના સાથે લગ્ન કરીને બધાને આશ્ચર્યનો આંચકો આપ્યો.  ફરઝાનાએ તેમની જિંદગી બદલાવી નાખી.  અત્યારે સર્વવ્યાપી બની ગયેલા સેલિબ્રિટીઓ હજી ચર્ચામાં ન હતા એટલે ખાઈ – પી ઉતરેલા રાજકારણીઓ અને કોઈ ક્યુબન ફિલ્મની મુલાકાત લેતા ફિલ્મ નિર્માતાઓની તેઓ ખબર લેતા.

    બહેરામને તેમના સહકાર્યકર્તાઓ સાથે અને ટાઈમ્સના નિયમિત મુલાકાતીઓ સાથે પણ ઝઘડો થઈ જતો. લક્ષ્મણ જેમને પેટન્ટ લેધર હેર કહેતા તે એ.જી. નૂરાની – ખુશવંત સિંહના ખાસ મિત્ર અને સાંજના ચાલવાના કાર્યક્રમના સાથીદાર – એકવાર વીકલીની મુલાકાતે આવ્યા હતા. એ કટોકટીના દિવસો હતા જ્યારે પત્રકારો નેસ્તનાબૂદ જેવા થઈ ગયા હતા અને ભલભલા બંધારણીય નિયમોના આગ્રહીઓ ભયભીત હતા.  ગફુર નૂરાની જેવા પહેલા ટટ્ટાર અને કડક માણસ હવે પોતાના પડછાયા જેવા બની રહ્યા હતા, ત્યારે બહેરામ ત્યાં જઈ ચડ્યા અને મજાકિયા મિજાજમાં કહ્યું, ” શું નુરાની,  તમે હજી જેલમાં નથી ગયા ? ” ગફુરનો દબાયેલો ગુસ્સો બહાર ધસી આવ્યો અને ઉશ્કેરાયેલી ભાષામાં બહેરામને આડેહાથ લીધા. બહેરામ નિસ્પૃહ રીતે અને રમૂજથી એમના જાડા કાચના ચશ્મામાંથી નૂરાનીની જોઈ રહ્યા, પણ ઓફિસના બાકીના લોકો આઘાતથી થીજી ગયા. સદભાગ્યે નૂરાની પોતાના પોલીશથી ચળકતા જૂતાની  એડી પર જનુનથી ફરીને તેઓ ચાલતા થયા.  “એ આટલા ગુસ્સે કેમ થઈ ગયા?” બહેરામે બનાવટી નિર્દોષ ભાવથી પૂછ્યું.

    ખ્યાતનામ પર્યાવરણવાદી અને ઔદ્યોગિક સામ્રાજ્યના ચેરમેન ગોદરેજ મેંગ્રોવ કે વાઘ કે સારસને બચાવવાના કોઈ વિષય પર પ્રેસ કોન્ફરન્સને સંબોધતા હતા. એમણે વક્તવ્ય પૂરું કર્યું, ત્યાં જ બહેરામ ઉભા થયા અને એમના નરમ અવાજમાં પ્રશ્ન કર્યો, ” મિસ્ટર ગોદરેજ તમારા નવા ટાઈપરાઈટરની ચાવી (keys ) કેમ નીકળી જાય છે?” બહેરામ નું પસંદગીનું ટાઈપીંગ મશીન હતું જરીપુરાણું અન્ડરવૂડ.  એના પર નમીને સ્ટૂલ પર બેસીને ૩૦ મિનિટમાં તેઓ પોતાની કોલમ લખી નાખતા ત્યારે તો હજી ન્યુઝ રૂમ ‘ જીવંત ‘ પણ થયો નથી હોતો.

    ૫:૧૭ ની બોરીવલીની કે બીજી કોઈ ફાસ્ટ ટ્રેન પર ઘર ભણી જઈ રહેલા થાકેલા લોકોને મનોરંજન આપતું ઇવનિંગ ન્યુઝ બપોરે 3:00 વાગ્યે બહાર પડતું.   બહેરામ ક્યારેક બચી કરકરિયાને પણ પોતાની ઝપટમાં લેતા, પણ માપસર, નવાગંતુક તરીકેના સ્થાનને ધ્યાનમાં લઈને. બચી ત્યારે ખુશવંત સિંહની અભૂતપૂર્વ સફળતાના પરાવર્તિત જાજવલ્યમાં મહાલતાં હતાં. તે પણ બહેરામની પાછળ કોઈ જગ્યાએ મળતી સ્વર્ગીય પરીઓની સાથે સ્પર્ધા કરે એવી કોઈ જગ્યાએ  બિરીયાની અજમાવી જોવા જતાં. પાછા ફરતા ટેક્સીને રોકીને બહેરામ કહેતા, ” ટાઈમ્સ ઓફ ઇન્ડિયા.” અને પછી બચી તરફ ફરીને કહે, ” હું વીકલી કહીશ તો એમને ખબર નહિ હોય ને?”

    બહેરામ ટાઈમ્સના નિર્ભય ખબરપત્રી હતા. બસ્તરનો દુકાળ, ઔરંગાબાદના કોમી રમખાણો જેવા બનાવોને કવર કરવા ફરતા અને મસાલેદાર ગરમા ગરમ બટેટા વડા માટે જાણીતા સ્થળ ખોપોલી પણ જતા. બહેરામ આ બધા સ્થળોપર કોઈ નોંધ ન ટપકાવતા પણ પાછા ફરીને અવિસ્મરણીય ગદ્ય લખી કાઢતા.

    નવભારત ટાઈમ્સ ના બહુ સફળતંત્રી વિશ્વનાથ સચદેવ પોતાના ખબરપત્રીઓને આ વાત હંમેશા કરતા.  પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલની તંગીના સમયે બળતણની બચતના પગલાઓ જાહેર કરવા પત્રકાર પરિષદ બોલાવી. બધી ચીલાચાલુ વાતો થઈ. બધા રિપોર્ટરોએ લગભગ એકસરખો જ રિપોર્ટ કર્યો પણ બહેરામે  અંતમાં લખ્યું, “પરિષદના અંતે પેટ્રોલિયમ મંત્રી એમના 20 કારના કાફલા સાથે વિદાય થયા.”  વિશ્વનાથજી કહેતા કે સારા રિપોર્ટર અને મહાન રિપોર્ટરમાં આ જ ફરક છે.

    બહેરામ કોન્ટ્રાક્ટર ૧૯૭૯ માં ટાઈમ્સ છોડીને ખાલીદ અન્સારી સાથે મીડ ડે માં જોડાયા અને પછી ૧૯૮૫ માં પોતાનું ‘આફ્ટરનૂન ડિસ્પેચ એન્ડ કુરિયર’ શરૂ કર્યું એટલે ‘રાઉન્ડ એન્ડ અબાઉટ કોલમ’ પણ એમની સાથે ગઈ. કહેવાય છે કે ઇવનિંગ ન્યુઝ આ કોલમને લીધે જ મુખ્યત્વે ચાલતું હતું, છતાં કોઈ ન્યૂઝ એડિટરે એ કોલમ માટે ચૂકવાતી વધારાની રકમ રૂપિયા ૭ થી વધારીને ૧૦ કરવાનો ઇનકાર કર્યો હતો.

    +                             +                             +

    મૅનેજમૅન્ટ અને તંત્રીમંડળ વચ્ચેનું ઘર્ષણ તો સમય જેટલું જ જૂનું છે. એક ખ્યાતનામ અમેરિકન અખબારે લિફ્ટ પણ એવી રાખેલી કે એડિટોરિયલ માળની લિફ્ટ મૅનેજમૅન્ટના માળ પર અટકતી નહીં અને મૅનેજમૅન્ટની લિફ્ટ એડિટોરિયલ માળ પર ઊભી ન રહેતી. ટાઈમ્સ આ હદે તો ગયું ન હતું પણ સમીર જૈને નવી ફિલસૂફી આપી.  અખબાર પ્રકાશનને ‘ ઉમદા ફરજ’ ગણાવતી એ સમયની પ્રચલિત માન્યતાના ધજાગરા ઉડાવતાં  તેમણે જાહેર કર્યું કે ‘અખબાર એક ધંધો જ છે અને એ સાબુની ગોટીની જેમ વેચાવું જોઈએ”. તેમણે પોતાની વાત પકડી રાખી,  સમગ્ર અખબાર જગતમાં માનભરી ગણાતી કેટલીય ‘પ્રતિમાઓ’ તંત્રી વિબાગમાંથી તેમનાં સ્થાનોએથી ‘ ગબ’ડી પડી,  આવક ઊભી કરતાં ડિપાર્ટમેન્ટ નવા સ્ટાર્સ બની ગયાં. જોકે વર્ષો જતાં તેઓ એડિટોરિયલ આવકનું મહત્વ સ્વીકારતા થયા, એડિટોરિયલ ની બૌદ્ધિક મૂડીનું મહત્વ સ્વીકાર્યું,  બંને વિભાગો વચ્ચે સરખા અને સમાન સંબંધો સ્થપાયા.

    +                             +                             +

    સમ્રાટનું શાસન

    નવાં રૂપવાળાં અખબારો The Independent અને Metropolis on Saturday વહેતાં મૂકવા માટે સમ્રાટ પબ્લિકેશન્સ ૧૯૯૦ના દશકમાં આરંભમાં સર્જવામાં આવ્યું.  પ્રથમ અખબારે સોફિસ્ટીકેટેડ વાચકોને આકર્ષ્યા, બીજું શહેર કેન્દ્રિત બ્રોડશીટ હતું જે રંગીન પાનાઓ વધુ આપવા માટે ચાર ભાગમાં હતું.

    ધ ઇંડીપેન્ડન્ટના એક ભૂતપૂર્વ તંત્રી (વિનોદ મહેતા?) અંબાણીના નવાં બહાર પાડી રહેલાં બિઝનેસ એન્ડ પોલિટિકલ ઓબઝર્વરમાં જોડાઈ ગયા. એમનો ભૂતપૂર્વ મદદનીશ પણ જોડાવાનો હતો પણ હજુ સમ્રાટમાં જ હતો.  તેણે બીજા ઘણા લોકોને પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યા, ઘણાં રાજીનામા આવ્યાં પણ છેવટે તેઓ કટોકટી ટાળવામાં સફળ થયા.

    પૂરણેન્દુ સેન એમના ક્યાંય નમતું ન જોખવાના વલણને લીધે પ્રિન્સ ઓફ ધ અંડરવર્લ્ડ કહેવાતા.  તેઓ કાંદિવલીમાં એશિયાના શ્રેષ્ઠ ટાઈમ્સ સબરબન પ્રેસના વડા હતા.  સર્વશક્તિમાન ડો. તરનેજા કે એમના અનુગામી પી. આર. કૃષ્ણમૂર્તિ તેનું માન રાખતા.  એમના ધારાધોરણની બહારનું કામ કરવાનું એમને કહેવામાં આવે તો તેઓ કહેશે “સાહેબ, નહિ હોગા. બ્રહ્મા પણ એ નહિ કરી શકે.” ક્યારેક બહુ ઓછા પ્રસંગે તેઓ પોતાનું નરમ પાસું બતાવતા. એક વાર એમણે નિલોફર બિલીમોરિયાને પેન નાઇફ ભેટ આપ્યો હતો.

    પી.આર.કૃષ્ણમૂર્તિ

    બધી જ સંસ્થાઓમાં એક પી.આર.કૃષ્ણમૂર્તિ હોય છે, અને ન હોય તો તેને ખાસ વરદી આપીને પણ લાવવો પડે.. પીઆરકેમાં આપબળે આગળ આવેલા માણસનું દંભીપણું હતું. એ સેક્રેટરીમાંથી શક્તિશાળી જનરલ મેનેજર બન્યા હતા.  તીવ્ર નિરીક્ષણ શક્તિ ધરાવતા આર. કે. લક્ષ્મણે એ સ્થૂળકાય જી.એમ. અંગે કહ્યું હતું  કે એમનું હાસ્ય તરંગોની જેમ ગળાંથી નીચે  પેટ સુધી ઊતરે છે.

    કોમ્પ્યુટર ટાઇમ્સમાં હજી નવાં નવાં આવ્યાં હતાં અને બહુ સિનિયર વ્યક્તિઓને જ આપવામાં આવ્યા હતાં. કૃષ્ણમૂર્તિ કોઈ મુલાકાતી આવે તેને અભિમાન સાથે કહેતા, ” આ જુઓ, આ મારું કોમ્યુટર છે અને આ તેનો ઉંદર.”

    બચી એની લાક્ષણિક અદાથી ઉમેરે છે, “એમણે કદાચ એમ ન પણ કહ્યું હોય અને આ મોરચાની તંત્રી બાજુએથી આવેલી મેનેજમેન્ટ કહાણી હોય!”

    નિલોફર બિલીમોરીયા ( “of exotic look”, બચીના શબ્દોમાં) કોઈ કામ માટે એમના ખંડમાં દાખલ થયાં ત્યારે કૃષ્ણમૂર્તિએ  એની સામે જોયું પણ નહિ. નિલોફરે દબાયેલા અવાજમાં કહ્યું, ” હું એક સમસ્યા બાબત પૂછવા માટે આવી છું.” આંખો મિલાવ્યા વગર જ એમણે કહ્યું, ” હું માત્ર ડિપાર્ટમેન્ટના વડા સાથે જ વાત કરું છું.” નિલોફરે જરા ગુસ્સામાં કહ્યું, ” હું ડિપાર્ટમેન્ટ હેડ જ છું.” કૃષ્ણમૂર્તિની નજર હજુ એની સામે પડેલા પેપર પર જ હતી.  ધૂંધવાયેલ નિલોફર બહાર નીકળી ગયાં અને બોસને ફરિયાદ કરી. કૃષ્ણમૂર્તિ થોડા કૂણા પડ્યા.  સમય જતાં તેઓ મિત્ર બની ગયા, ખાસ તો એટલે કે નીલોફેરને લગભગ દર અઠવાડિયે એમની કાનૂની સલાહ લેવી પડતી.

    પ્રીતિેશ નંદીની કૃષ્ણમૂર્તિ સાથેની મુલાકાત વિશે આ પહેલાં વાત કરેલી જ છે.

                         *****

     ભૂતકાલીન જનરલ મેનેજરો

    ૧૯૬૦ અને ‘૭૦ ના દશક વચ્ચેના વર્ષોમાં પી. કે. રોય જનરલ મેનેજર હતા.  ફિલ્મફેર એવોર્ડના એક કાર્યક્રમમાં અમીન સાયાની ખીલ્યા હતા ત્યારે એમણે આ વાત કરી હતી, “જ્યારે મિસ્ટર રોય નિરાંતે જમીને આવે છે ત્યારે ત્રીજા માળના મોટા હોલમાં ગણગણાટ થાય છે, ” પીકે આયા હૈ.”

    જે. સી. જૈન આમ તો બહુ શક્તિશાળી જનરલ મેનેજર હતા, પણ એમનો અવાજ પાતળો હતો.  એના વિશે એક એવી વાર્તા ચાલે છે કે એક વાર તેઓ હોલિવૂડની મુલાકાતે ગયા ત્યારે ‘ સ્મોકી ‘ અવાજ વાળી – જરા પુરુષ જેવા અવાજ વાળી – સુંદરી લોરેન બેકૉલને મળ્યા. એવી સુંદરીને કંઈ સ્માર્ટ વાત કહેવી જોઈએ એમ માનીને એમણે કહ્યું,  Miss Bacall, is it true that you are sometimes mistaken for a man?” પોતાની સુપ્રસિદ્ધ ભ્રમરોની કમાન ખેંચીને એ મહિલાએ વળતો જવાબ આપ્યો,” No, Are you?”

    ટાઈમ્સમાં વિચિત્ર લોકોનો સમૂહ એકઠો થયો હતો. એ. એસ. અબ્રાહમ બાથરૂમમાંથી નીકળીને છેક સુધી પેન્ટના બટન બંધ કરતા જતા.

    અર્થશાસ્ત્રના જાણકાર સ્વામિનાથન અંકલેસરિયા આયરની પણ ઘણી વિચિત્રતાઓ હતી પણ જીનિયસ તરીકે તેમને એનો પૂરો ક્વોટા ધરાવવાનો હક હતો.  તેઓ પોતાનો ચાનો કપ ત્રીજા માળ પર આવેલા બાથરૂમમાં લઇ જતા.

    ખુશવંતસિંહના વીકલી ઓફ ઇન્ડિયામાં ચોથા માળ પર આર.ગોપાલ કૃષ્ણ હતા, એમની એક બાજુ ખૂબ જ બોલકા જાલ એન્જિનિયર બેસતા જે તેમને વિચિત્ર સવાલો પૂછતા અને કહેતા ગો – પાલ, વ્હેર ઇઝ ભો – પાલ. આ બ્રાહ્મણને એમના બાજુમાં બેસતા સહકર્મી કરતાં વધારે રંજાડ એ વાતથી થતી કે ત્યાંથી પસાર થતા મુલાકાતીઓ એમની પાસે આવીને પૂછતા, “where is the loo?” બ્રાહ્મણ ગુસ્સે થતા, ” આ લોકો મને જ કેમ પૂછે છે, અને આ શબ્દ શું છે,  લૂ?” એકવાર કંટાળીને એમણે  “આ માણસ બહેરો મૂંગો છે,” એમ લખેલું કાર્ડબોર્ડ પોતાના ડેસ્ક પર મૂક્યું. આનો પણ કંઈ ફાયદો ન થયો. બહારના લોકો એમના ટેબલ પાસે આવીને આ જ પ્રશ્ન પૂછતા. એ શાંતિથી પોતે મુકેલા બોર્ડ તરફ આંગળી ચિંધતા અને ચાર મિનાર ફૂંકતા;  પેલા લોકો પૂછવાનું ચાલુ રાખતા, ” યસ, યસ, બટ વ્હેર ઇઝ ધ લૂ?”

    વી. એસ. ટેરર મલાઈ

    ટાઇમ્સમાં ચાલતી ભૂત – પ્રેત ની વાર્તાઓમાં એક હતી જાહેરખબરના વિભાગના વી. એસ. થીરુમલાઈને લગતી. એડવરટાઈઝમેન્ટ વિભાગમાં એમના નામથી જ બધા થરથરતા. એમનો પટાવાળો – ટાઈમ્સની ભાષામાં સિપોય – કોઈને બોલાવવા માટે આવે અને કહે, ” સાબ બુલાયા,” એટલે એ વ્યક્તિના છક્કા છૂટી જાય.  એમનું અચાનક અવસાન થયું, એના બીજા દિવસે જ એની ઓફિસમાં રહસ્યમય રીતે આગ ફાટી નીકળી અને એમાં તેની બધી જ ફાઈલો, કાગળો, પુસ્તકો બળીને રાખ થઈ ગયાં, પણ બાજુની કેબીનોમાં આંચ પણ ન આવી.

    એક સાંજે અરુણ અરોરા એમની કેબિનમાં લોક થઈ ગયા. એમને પણ ભૂતના વિચાર આવ્યા. વોચમેન પણ એમ જ વિચારતા હતા એટલે અરોરા બારણું ખખડાવતા હતા ત્યારે એ બધા ડરથી ભાગ્યા. એ અંદરથી બૂમો પાડતા રહ્યા, ” પાછા આવો, પાછા આવો, હું અરુણ અરોરા છું.” આખરે રાતે ૧૦ વાગ્યે એક બહાદુર દરવાને બારણું ખોલ્યું.

    પ્રદીપ ગુહા

    સમીર જૈને ટાઈમ્સ ન્યૂઝપેપર હાઉસની બદલે બીઝનેસ હાઉસની જેમ ચલાવવું જોઈએ એમ જાહેર કર્યું.  પત્રકારત્વનો રહસ્યમય દબદબો ગટરમાં ધોવાઈ ગયો. હવે આખરી ગ્રાહક વાચક નહિ , પણ જાહેર ખબર આપનારો બન્યો. એડવર્ટાઇઝિંગ ડિપાર્ટમેન્ટ વ્યુહાત્મક બટાલિયન બની ગયું અને પ્રદીપ ગુહા તેનો સ્ટાર જનરલ.  એ રુ.૭૫૦ના વેતનથી નોકરી શરૂ કરીને બેનેટ કોલમેનના સૌથી શક્તિશાળી વ્યક્તિ બન્યા.  ત્રીસ વર્ષ પછી એમણે નોકરી છોડી કેમ કે એમને વિનીત જૈન સાથે સમીર જૈન જેવું અંગત બંધન નહોતું.  તે ઝી માં જોડાયા અને ૨૦૦૫માં ટાઈમ્સનું હરીફ DNA શરૂ કર્યું. પણ આજ સુધી  એમણે પોતાનો નિમણૂકનો પત્ર સાચવી રાખ્યો છે. ટાઈમ્સની એટલી પકડ છે કે ઘણા જૂના ટાઈમ્સના માણસોએ પીળા પડી ગયેલા આવા પત્રો સાચવી રાખ્યા છે.

    પ્રદીપે બોલાવેલી મીટીંગ એકપક્ષી રહેતી. બીજા લોકો પોતાનું મંતવ્ય આપે ત્યારે તેના પર કંઈ ધ્યાન આપ્યા વગર પ્રદીપ પોતાના વિચારમાં ડૂબેલા રહેતા અને છેવટે એણે ધાર્યું હોય એ જ થતું.  એના લોકો એને ખુશામતખોરીની હદે પૂજતા. તંત્રીઓ.પણ તેનું માન જાળવતા. બેંગલોર એડિશનની કાયા પલટ તેણે અતિશય ટુંકા સમયમાં કરી દીધી.  સુઘડ દેખાવ માટે જરૂરી ટેકનોલોજીકલ સાધનો ટાઇમ્સમાં ન જોવા મળે એટલી ઝડપથી મંજૂર કર્યાં.

    ફેમિના મિસ ઇન્ડિયા સ્પર્ધા તંત્રી અને જનરલ મેનેજરના ગર્વને પોષતી હતી. મિસ ઇન્ડિયા રીટા ફેરીઆ ૧૯૬૫માં મિસ વર્લ્ડ બની. પ્રદિપે ઘરેલુ પ્રોડક્શનને વૈશ્વિક બ્લોકબસ્ટર બનાવી દીધું.  ગ્રૂમિંગ ની પ્રક્રિયામાંથી અનેક ઉદ્યોગ બન્યા,  વસ્ત્ર, હલન ચલનની રીતભાત (deportment), નૃત્ય થી માંડીને તેમણે જે સવાલોનો સામનો કરવાનો છે એ બધું એમાં આવતું.  પહેલાં આ બધું થતું તે મર્યાદિત સાધનો અને હેતુ માટે થતું. રિંગ માસ્ટર પ્રદીપ કહે છે:  “તેઓ  મિસ ઈન્ડિયાનું સર્જન કરવાની દૃષ્ટિ રાખતા હતા, મારી નજર ભારતમાંથી મિસ વર્લ્ડ કે મિસ યુનીવર્સ સર્જવા પર હતી.”  એ વર્ષોમાં ઐશ્વર્યા રાય અને સુસ્મિતા સેન જેવા અનેક ખિતાબો જીતનારા બન્યા.

    આ વૈશ્વિક જીતથી ફેશન, સૌંદર્ય અને સજાવટના ઉદ્યોગો નાના ગામોમાં પણ વિકસ્યા.

    પ્રદીપે સંસ્થા છોડી ત્યારે તેમને વિદાય આપવા માટે  બીજા માળથી ગેટ સુધીની કતાર બની હતી.


    ક્રમશઃ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ૧૫ -૧૦ ૨૦૨૪ના હવે પછીના મણકામાં દરેક સંસ્થામાં સાંભળવા મળતી હોય એવી કેટલીક રસપ્રદ વાતો વડે ટાઈમ્સનાં ‘ભારે’ વાતાવરણમાં હળવાશ અનુભવાશે.

     

  • હીરામન – ફણીશ્રનાથ રેણુનો, શૈલેન્દ્રનો અને ભગવત રાવતનો

    સંવાદિતા

    અલગ અલગ સર્જકો એક જ પાત્રને કઈ રીતે ઉપસાવે છે એ પણ એક રસપ્રદ અભ્યાસનો વિષય છે

    ભગવાન થાવરાણી

    હીરામન નામ સંભારીએ એટલે દ્રષ્યપટલ પર ૧૯૬૬ ની શૈલેન્દ્ર – બાસુ ભટ્ટાચાર્યની ફિલ્મ ‘ તીસરી કસમ ‘ નો રાજકપુર ઉભરી આવે – એમણે પરદા પર ગાયેલાં ‘ સજન રે જૂઠ મત બોલો ‘, ‘ સજનવા બૈરી હો ગએ હમાર ‘ અને ‘ દુનિયા બનાને વાલે ‘ ગીતો સહિત !
    અસલ હીરામન એટલે આ ફિલ્મી પાત્ર નહીં પરંતુ ફિલ્મ બન્યાના દસ વર્ષ પહેલાં હિંદી લેખક ફણીશ્વરનાથ રેણુએ ૧૯૫૬ માં સર્જેલ વાર્તા ‘ મારે ગએ ગુલફામ ઉર્ફ તીસરી કસમ ‘ નો નાયક. એ બિહારના અંતરિયાળ ગામડાંનો ચાલીસ વર્ષીય અપરિણિત પ્રૌઢ છે. એ ગાડીવાન છે. બળદગાડું ભાડે ચલાવે છે. એ ભોળોભટાક છે પણ મૂર્ખ નથી. એનું મન નિર્મળ, કપટહીન છે. એની લુચ્ચાઈ અને ચતુરાઈ ઉપર પણ આપણને વહાલ ઉભરાઈ આવે. ગાડામાં માલની હેરાફેરીમાં એ ક્યારેક ખોટું પણ કરી બેસે, પણ પછી એને પશ્ચાતાપ પણ થાય. જાત અનુભવે એણે પ્રણ લીધું છે કે પોતાના ગાડામાં જકાતચોરીનો માલ લાદવો નહીં અને વાંસની હેરાફેરી ન કરવી. એને પોતાના બે બળદ જીવ કરતાં વધુ વહાલાં છે. માલની હેરાફેરી છોડી હવે એણે મુસાફરોને લેવા – મૂકવા માટે ટપ્પર જોતર્યું છે.
    એક વાર એને ચંપાનગર સ્ટેશનથી ફાર્બસગંજના મેળે એક મુસાફરને લઈ જવાની વર્ધી મોં માગ્યા ભાડે મળે છે. એની પેસેંજર એક નાટ્ય કંપની – નૌટંકીની નર્તકી છે. ચોવીસ કલાકથીયે વધુ સમયનો પ્રવાસ સાંજે શરુ થાય છે. ટપ્પરમાં ઓઝલ આ અજાણી સ્ત્રીની ઉપસ્થિતિ માત્રથી હીરામનને એવું લાગ્યા કરે છે કે એનું ગાડું ચંપાની સુગંધથી મઘમધી ઊઠ્યું છે. એ સ્ત્રી નામે હીરાબાઈ એનું નામ જાણી કહે છે કે આપણું નામ એકસરખું એટલે આપણે એકમેકના ‘ મીતા ‘ કહેવાઈએ. એ સ્ત્રી એનાથી ખાસ્સી દૂર બેઠી હોવા છતાં એને નિરંતર પીઠમાં ગલગલિયાં જેવું થયે રાખે છે ! ખચકાટ દૂર થતાં બન્ને વાતોએ વળગે છે. હીરાબાઈનું સ્મિત પણ હીરામનને ખુશ્બૂદાર લાગે છે !
    હીરામનના મતે જે ચાલાકી છે તે હીરાબાઈને મન નર્યું ભોળપણ છે. સામે મળતો ગાડીવાન પૂછે કે ટપ્પરમાં કોણ છે તો એ કહે ‘ પિયરથી બાજુના ગામે સાસરે જતી છોકરી ‘ ! કયું ગામ તો કહે અગડમ બગડમ ! એને એમ છે કે સાચું કહીશ તો લોકો અવનવી અફવાઓ ઉડાડશે અને આ ‘ કુમારિકા ‘ બદનામ થશે એ વધારામાં ! અન્ય એક ગાડીવાનની પૃચ્છાનો જવાબ ‘ શહેરથી દાક્તરનીને બાજુના ગામમાં સુવાવડી સ્ત્રીની સારવાર માટે લઈ જાઉં છું ‘ અને હીરાબાઈ આગળ ચોખવટ ‘ ગામડાંના લોકોને પારકી ચોવટ બહુ હોય ! ‘
    હીરામન જબરો વાતોડિયો છે. બતરસ એની નસ નસમાં છે. એ હીરાબાઈને આ વિસ્તારની લોકવાયકાઓ, દંતકથાઓ અને લોકગીતો સંભળાવતો જાય છે. એના ગળાની હલક ઘેઘુર છે. એ એવું માનવા લાગ્યો છે કે એનાં ગાડામાં કોઈક દેવકન્યા સવાર છે. એ એને મહુવા ઘટવારિનની કથા સંભળાવે છે. એ દુખી ગરીબ કન્યાને એક સોદાગર ખરીદીને પોતાના વહાણમાં જબરદસ્તીથી લઈ ગયો હતો. છુટકારો પામવા મહુવા પાણીમાં કૂદી પડી હતી. એને બચાવવા એની પાછળ એને છુપો પ્રેમ કરતો સોદાગરનો ગુલામ પણ કૂદી પડેલો. હીરામન મનોમન વિચારે છે કે એ મહુવા એટલે હીરાબાઈ અને ગુલામ એટલે એ પોતે ! હીરાબાઈ ટપ્પરનો પડદો ખોલે એ હીરામન સાંખી શકતો નથી. કોઈકની બુરી નજર ન લાગી જાય !
    વિચારોમાં ખોવાયેલા હીરામનનો ચહેરો જોઈ હીરાબાઈ વિચારે છે દરેક વિચારમગ્ન માણસ આવો ભોળો લાગતો હશે ! હીરામને ગાયેલું ગીત એ ગણગણે છે તો હીરામન વિચારે છે કે આ તો જાણે પેલા ફેનુગિલાસ – ગ્રામોફોનનો અવાજ !
    મેળો આવી પહોંચે છે . હીરામનને એના જેવા જ એના ગામના હીરામનો ઘેરી વળે છે. હીરાબાઈ એને ભાડું અને બક્ષીશ આપે છે તો એને ખોટું લાગે છે. હીરાબાઈ પાસેથી ભાડું લેવાય ! હીરાબાઈ બધા હીરામનોને નૌટંકી જોવા આવવા માટે પાસની વ્યવસ્થા કરી આપે છે. હીરામન ફૂલ્યો સમાતો નથી. અધુરામાં પૂરું હીરાબાઈ કંપનીના ચોકીદારને કહી રાખે છે ‘ આ મારો હીરામન છે. એને મારી પાસે આવતાં રોકવો નહીં ! ‘ નૌટંકી જોવા આવનાર કોઈક નશેડી હીરાબાઈને રંડી કહે છે અને હીરામનનો પિત્તો જાય છે. એ મારઝૂડ કરે છે. પોતાની પાસેની રુપિયાની થેલી એ હીરાબાઈને સાચવવા આપે છે. મેળામાં તો ચોરી ચપાટી થાય ! એના મનમાં સતત હીરા નામનું વાજિંત્ર બજતું રહે છે.
    હીરાબાઈ હીરામનની આસક્તિથી પ્રસન્ન પણ છે અને વ્યગ્ર પણ. એ સ્ત્રી છે પણ હીરામન એને દેવી માને છે. એ હીરામનનું દિલ અને સપનું તોડવા માંગતી નથી. એ અચાનક મક્કમ નિર્ણય લઈ પોતાને ગામ જતા રહેવાનું નક્કી કરે છે. હીરામનની અમાનત પરત આપવા એ એને સ્ટેશને પહોંચવાનું કહેણ મોકલે છે. ત્યાં એ એને ફરી બક્ષીશ આપવાની ચેષ્ટા કરે છે . હીરામન બોલી ઊઠે છે ‘ પૈસા ! વાતવાતમાં પૈસા ! માણસનું કંઈ નહીં ! ‘ હીરાબાઈની ગાડી ઉપડે છે અને હીરામનને બધું ખાલી ખાલી, સુનું સુનું લાગે છે. પોતાનું ટપ્પર પણ !
     
    પ્રાણનું પ્લેટફોર્મ સુનું થઈ જશે
    ટ્રેન અજવાળું લઈ સરશે પછી
     
    હીરામન ત્રીજું પ્રણ લે છે. કંપનીની બાઈને ક્યારેય ટપ્પરમાં બેસાડવી નહીં !
    ગીતકાર શૈલેન્દ્રના વડવાઓ બિહારના એ જ વિસ્તારના હતા જ્યાંના રેણુ હતા અને જે પરિવેશને કેન્દ્રમાં રાખી એમણે હીરામનનું પાત્ર રચ્યું . એમનું સ્વપ્ન હતું કે રેણુની આ વાર્તા ઉપરથી ફિલ્મ બનાવવી. સાવ હીરામન જેવા શૈલેન્દ્રને ફિલ્મોના આર્થિક પાસા અને બેરહમ રીત રસમોની ખબર નહોતી. ફિલ્મના નિર્માણમાં એ પૈસે – ટકે અને વ્યવહાર જગતની ક્રૂરતાથી શરીર અને મનથી એવા ભાંગી પડ્યા કે ફિલ્મ પ્રદર્શિત થઈ એ પહેલાં જ અવસાન પામ્યા ! એ જેમને મિત્ર માનતા હતા એ રાતોરાત ફરી ગયા. એમનું અંતિમ ફિલ્મી ગીત ‘ રુલા કે ગયા સપના મેરા ‘ એમના આ ભગ્ન સ્વપ્નની જ વાત છે . હા, એમણે રેણુની મૂળ વાર્તા અને હીરામનના પાત્ર સાથે પૂરો ન્યાય કર્યો. બજારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી એમણે ફિલ્મમાં ખલનાયકનો ઉમેરો કર્યો ખરો પણ ફિલ્મનો અંત બદલી હીરાબાઈ અને હીરામનનું ‘ સુખદ મિલન ‘ કરાવવાની વાતમાં એ ટસના મસ ન થયા. ફિલ્મમાં ઘણાં ગીતો છે પણ મજેદાર વાત એ કે એમાંના પાંચ ગીતના મુખડા તો રેણુની મૂળ વાર્તામાં પણ છે. ગીતકાર શૈલેન્દ્રએ એમનો અર્થવિસ્તાર કર્યો છે. આ ગીતો એટલે સજન રે જૂઠ મત બોલો, સજનવા બૈરી હો ગએ હમાર, મારે ગએ ગુલફામ, લાલી લાલી ડોલિયા મેં લાલી રે દુલ્હનિયા અને તેરી બાંકી અદા પર મૈં હું ફિદા. હીરામનના પાત્રમાં ક્વચિત અભિનેતા રાજકપુર પોતે ડોકાઈ જતા હોવા છતાં એમની અભિનય કારકિર્દીનું એ શ્રેષ્ઠ સોપાન છે.
    હીરામનનું ત્રીજું પ્રતિરૂપ એટલે હિંદી કવિ ભગવત રાવત. એ હીરામન અને રેણુથી એટલા જ અભિભૂત હતા. પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીમાં એમણે વર્ષો લગી પોતાના વિદ્યાર્થીઓને આ વાર્તા ભણાવેલી. એ ભારપૂર્વક કહેતા કે આને પ્રેમકથા કહેવાય નહીં. એના પ્રકારને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાય નહીં ! એ સંબંધને કોઈ નામ આપવું એ સંબંધનું અવમૂલ્યન કરવા તુલ્ય છે. જીવનના એક તબક્કે માંદગીના બિછાને હતા ત્યારે એમણે બાવીસ કવિતાઓ લખી અને એ બધી જ હીરામનને સંબોધીને લખાયેલી હતી ! એ કવિતાઓ જે સંગ્રહમાં ગ્રંથસ્થ થઈ એનું નામ ‘ સુનો હીરામન ‘ ! એ બધી જ બે હીરામન વચ્ચેનો સંવાદ છે !
    રેણુ, શૈલેન્દ્ર અને ભગવતની જેમ આપણા સૌમાં પણ ક્યાંક ને ક્યાંક હીરામન વસે છે. બસ એટલું કે દુનિયાદારીના રંગો અને મજબૂરીઓ હેઠળ એ કચડાઈ જાય છે !


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • સ્વાધ્યાય અને સમીક્ષા

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    વર્તમાન સમય સંદર્ભ આપણને સૌને ઉત્તરોત્તર યંત્રપ્રધાન સંસ્કૃતિ ભણી ખેંચી રહ્યો છે ત્યારે પણ ખૂણે બેસીને ઝીણું કાંતતો કોઈ કવિ આપણને ‘મહાગુફામાં પ્રવેશ’ કરાવી શકે એવી ગુંજાયેશવાળી કવિતા લઈને આવે ત્યારે આપણી આશા સંકોરાય છે. આવા ઝીણા જંતરની જેમ આછું ને ઓછું વાગતા એક કવિની કવિતા વિશે માંડીને વાત કરવાનું મન થાય, એવા કવિ છે. રમણીક સોમેશ્વર.

    ‘તમે ઉકેલો ભેદ’ નામનો ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત થયેલો એક જ કાવ્યસંગ્રહ જેમના નામે ચડેલો છે તેવા આ કવિ પાસે વિષયવૈવિધ્ય ને ભાવવૈવિધ્ય તો છે જ. તેમની કવિતામાં શૃંગારની કોમળતાનો મખમલી સ્પર્શ છે. નગરજીવને ડહોળી નાખેલ માનવજીવન પ્રત્યેનો વિષાદ છે, વિરહની વેદના પણ છે. કચ્છના પરિવેશથી પરિચિત હોવાને લઈને રણનો અનુભવ પણ છે. પણ આ બધા અનુભવોમાંથી ઉપર ઊઠીને કવિએ અંદર પડેલા, રણઝણતા જીવતરના જંતરને કાન દઈને સાંભળ્યું છે, એટલું જ નહીં, પણ એના ઝણકાર સાથે પોતાનો ‘સા’ મેળવ્યો પણ છે. પરિણામે તેમની કવિતામાં એક પ્રકારનો પરિતોષ આકાર લેતો દેખાય છે.

    પરમતત્ત્વ પ્રત્યેની પ્રીતિ તો મધ્યકાળના દરેક કવિમાં લગભગ સમાંતરે ગવાઈ છે. એ પછી અર્વાચીન યુગના કવિઓ પણ એમાંથી અસ્પૃશ્ય નથી રહ્યા. સુન્દરમ જેવામાં તો એ મુખર થઈ ઊઠી છે. અનુગાંધીયુગના કવિઓનું એ મુખ્ય પરિબળ પણ બની છે. રવીન્દ્રનાથના પ્રભાવે કરીને. આ સૌમાં પ્રગટતો આ પ્રકારનો મનોભાવ ગુજરાતીમાં રહસ્ય તરીકે પણ ઓળખાવાયો છે. કેટલીક વાર ‘રહસ્ય’નો આ ભાવ આરોપિત કે અનુમાનને આધારે પ્રગટ્યો હોય એવું પણ બન્યું છે.સોમેશ્વરની કવિતામાં જીવનનું રહસ્ય આગવી મુદ્રાથી આલેખાયું છે. સોમેશ્વરની કવિતાને જોતાં પણ કંઇક આવું જ કહેવાનું મન થાય. તેમના કાવ્યસંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી હરિકૃષ્ણ પાઠકે પણ આ વાત સ્વીકારતાં નોંધ્યું છે: “આપણા સિદ્ધ ગઝલકાર અને કવિ શ્રી રાજેન્દ્ર શુક્લમાં જે ઊર્ધ્વનો અનુભવ, અલખની ઓળખ અને અવધૂતી આનંદના પ્રતીતિકર રણકા સાંભળવા મળે છે તેના અણસાર આ કવિએ પણ આપ્યા છે.”

    સંગ્રહની અન્ય કવિતાઓમાં આ કવિએ જીવતરના વિષમ અનુભવોને પણ પૂરા ગાંભીર્યથી પ્રમાણ્યા છે. તેમનું આ ગાંભીર્ય ઊર્ધ્વમાં આરોહણ કરતાં પ્રશાંત બને છે. પોતે જે જોયું છે, અનુભવ્યું છે, તેને પ્રાપ્તિ માનવાના ઘમંડમાં તણાવાને બદલે સૌમ્યતાપૂર્વક એ તત્ત્વનો હવાલો એ ભેદ ઉકેલવાની જેની હેસિયત છે એવા સંતોને સોંપીને આમ બાજુ પર ખસતાં કવિ જણાવે છે :

    ક્ષર – અક્ષરની આરપાર જે
    રમે શબ્દ ટેકીલો રે,
    સૂરજનો દીવો સંકોરી
    સંતો, ભેદ ઉકેલો રે.

    કવિએ તો માત્ર અદબપૂર્વક જ્ઞાનદીપનું, આંતરજ્યોતનું દર્શન જ કર્યું છે. તેના અજવાસમાં ભેદ ઉકેલવાનું મહાકાર્ય તો કો’ઋષિ જ કરી શકે એમ કવિનું માનવું છે.

    કવિ ભલે ને નમ્રતાપૂર્વક ભેદ ઉકેલવાની નાં પાડે, પણ એ કામ તેમણે જેને સોંપ્યું છે એ સંત કવિનું જ અડધિયું છે. પછીની પંકિતમાં કવિનો સહોદર, કવિમાંનો સંત આ રીતે પ્રગટ્યો છે :

    ઋતુ ઋતુનાં ફરે ચક્ર
    પણ મને કશું નાં થાતું,
    ભલે ફૂકાંતા શંખ,
    કશું ક્યા મારામાં પડઘાતું ?

    મીરાંએ દિલ ખોલીને દીવો કરવાની વાત કરી છે. એ ખોલતાં મીરાંને દેખાઈ છે વાડીઓ, સંભળાયા છે મોરના ઝીંગોરા. સોમેશ્વરની અનુભૂતિમાં મીરાં પડઘાય છે.

    એક વાવનાં સાત પગથિયાં
    સાત પગથિયે દીવા રે,
    દીવા જે પ્રગટાવી જાણે
    તે નાર તો મરજીવા રે.

    આતળું કહીને કવિ અટક્યા નથી. એ મરજીવા કૃત્ય તેમણે કર્યું પણ છે, જેનું પ્રમાણ આ રીતે મળે છે :

    કશું કર્ણ મધ્યે રણકતું ઝણકતું,
    અહા ! જીવ મહાલે છે અજવાસ મધ્યે !

    શિરાએ શિરાએ વહે સર્વ નદીઓ !
    વહે વાયુઓ સર્વ અવકાશ મધ્યે !

    આભાસ, આવાસ, આકાશ, આ હાશ,
    બધું એક ભાસે ચિદાકાશ મધ્યે !

    કોઈ મરમી પામી શકે તેવું, નરવી દ્રષ્ટિથી થયેલું, ચિદાકાશનું આ દર્શન કવિને શ્રી ફલશ્રુતિ આપે છે તે પણ જોવા જેવું છે. કવિ તો ચાલ્યા ગયા છે અપારના પ્રદેશમાં, જ્યાં હોવું, ન હોવું, કેમ હોવું જેવા પ્રશ્નોની ઝંઝટ વ્યર્થ બની જાય છે;જ્યાં સર્વ ખરી પડે છે. આ તટે ઊભેલાં સર્વની વિદાય લેતાં જાણે કવિ ગાઈ ઊઠે છે :

    મારું પગેરું ક્યા મળે છે કોઈ સ્થળ કે કાળમાં,
    બીજમાં હું હોઉં છું, ને હોઉં ટગલી ડાળમાં !

    મંદ મસ્તીભર પદોમાં કે પછી કરતાળમાં,
    હું તો વણાતો જાઉં છું ધીમે કબીરી સાળમાં !

    આમ તંતોતંત વહેતો હોઉં છું ચારે તરફ,
    ને છતાં હોતો નથી હું કોઈ સ્થળ કે કાળમાં !

    આ પ્રાપ્તિ પછી કવિ બને છે નિઃશેષ કવિનો ‘સા’ બરોબરનો બેસી ગયો છે ને પ્રગટ્યો છે સંવાદ ને માત્ર સંવાદ :

    હોઉં ઘરમાં ડાયરા વચ્ચે અને
    એ જ ઘડીએ શક્ય છે, બારે’ય હોઉં.

    આ અનાસક્તિ કવિને એક જ ક્ષણમાં
    સિદ્ધાર્થમાંથી બનાવી દે છે ‘બુદ્ધ’.

    ઘટના મને સ્પર્શીને ચાલી ગઈ અનાગતમાં,
    નીકળી હું મારાથી પ્રવેશું છું તથાગતમાં,

    આ બન્યું જેમ ? કવિને પણ તેનું સાનંદ વિસ્મય છે.

    એ હવે રુવે રૂંવે ઊતરી ગયો ભીતર,
    હાથમાં લીધો પદારથ જે શરારતમાં.

    રમત –રમતમાં અજવાળું થઇ ગયું. ‘સહજ મિલે અવિનાશી’ જેવો તાલ થઈ ગયો !

    અનાગતથી તથાગત સુધીની યાત્રાનો નકશો એટલે સોમેશ્વરની અવધુતિયા રંગવાળી રંગીન કવિતા. આ યાત્રા ઠેબે ચઢાવે તેવી છે, અળવીતરી છે, ખાંડાના ખેલ છે ને તેમ છતાં એનું કવિને અપાર આકર્ષણ છે. તેનું કારણ પણ તેમણે સ્પષ્ટ કર્યું છે.

    થરકતા ધ્રૂજતાં પણ પહોંચવાનું થાય છે મન જ્યાં,
    હજુ પણ કૈક છે એવું અગોચર આપણી અંદર !

    અંદર પડેલા અગોચરને અનુભૂતિના બળે વાળી-ઝૂડીને સ્વચ્છ કરવાનું અઘોર કાર્ય કવિ કરી શક્યા છે.

    શ્રી સોમેશ્વરની કવિતા તેમની નિરામય અંતર્યાત્રાની સૂચક છે. તેમનો લહેરાતો ભગવો રંગ જીવન પ્રત્યેના વિષાદમાંથી કે પલાયનમાંથી નહીં, પણ અનિવાર્ય આવશ્યકતામાંથી જ ઉદ્ભવ્યો જણાય છે. આથી જ જીવન સમદરને હનુમાનના આંચકાથી કૂદતા આ કવિ પ્રસાદપૂર્વક કહી શક્યા છે :

    ચરણ થંભ્યા પ્રથમ થોડું હવામાં,
    અને આ કેટલું કૂદી જવાયું !

    અનર્ગળમાં પ્રવેશવાની ગતિએ પહોંચ્યા પછી મળેલી વિસ્મિત સ્તબ્ધતા કવિને શૈલાધીરાજતનયા પાર્વતીની લગોલગ મૂકે છે આમ :

    અકળ એવો ધ્વનિ રણક્યો અનર્ગળ,
    બધું થંભી ગયું, થીજી જવાયું.

    કૂદતાં – કૂદતાં થીજી જતા કવિએ જોયું છે અર્જુને જોયેલું વિરાટ દર્શન, પોતામાં જ રહેલું વિરાટ સ્વરૂપ. કવિ એને પચાવી શક્યા છે. આથી જ વિસ્મિત થવાને બદલે તેઓ ઉપશમને પામ્યા હોય તેવી અક્ષુબ્ધતા એમનાં કાવ્યોમાંથી પામી શકાય છે.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • વિદ્યાર્થી ગાંધી : પોરબંદરની લૂલિયા માસ્તરની નિશાળથી લંડનની લૉ કોલેજ

    નિસબત

    ચંદુ મહેરિયા

    આજે દુનિયા જેમને મહાત્મા તરીકે પૂજે છે તે મોહનદાસ કરમચંદ ગાંધી વિદ્યાર્થી તરીકે કેવા હતા તે જાણવા- તપાસવાનો અવસર ગાંધી જયંતીથી વધુ રૂડો બીજો શો હોઈ શકે .

    ગાંધીજીએ તેમની આત્મકથા ‘સત્યના પ્રયોગો ‘ માં તેમના શિક્ષણ વિશે વીગતે નહીં લખ્યાની ફરિયાદ ઘણાં ગાંધી અભ્યાસીઓની છે. ગાંધીજીનો  આત્મકથા લેખનનો ઉદ્દેશ તેમના જીવનના યથાતથ જીવનવૃતાંતનો નહીં પણ તેમણે જે સત્યના પ્રયોગો કર્યા હતા તે આલેખવાનો હતો અને આત્મકથામાં વિદ્યાર્થી કાળના આવા પ્રયોગો તો તેમણે આલેખ્યા જ છે. છતાં તેમના વિદ્યાર્થી કાળ અને શિક્ષણ વિશે અલગ પુસ્તકો લખાયા છે. ગાંધીજી જ્યાં ભણ્યા હતા તે રાજકોટની આલ્ફેડ હાઈસ્કૂલના નિવૃત હેડમાસ્તર જયેષ્ઠારામ મણિશંકર ઉપાધ્યાયે ભારે લગન અને ખંતથી સંશોધન કરી અનેક આધાર, પુરાવા, મુલાકાતો એકત્ર કરી ગાંધીજીના શિક્ષણ વિષે અંગ્રેજી-ગુજરાતીમાં પુસ્તકો લખ્યા છે. ‘ મહાત્મા ગાધી એસ એ સ્ટુડન્ટ’ (૧૯૬૫)  અને મહાત્મા ગાંધી એ ટીચર્સ ડિસ્કવરી(૧૯૬૯) એ બે પુસ્તકો ગાંધીજીના વિદ્યાર્થી કાળને સમજવામાં ખૂબ ઉપયોગી છે. ઈતિહાસકાર રામચંદ્ર ગુહાએ તો જે.એમ. ઉપાધ્યાયના પુસ્તકને લેખકીય ઉધ્યમિતા અને જૂના દસ્તાવેજો પ્રતિ ગુજરાતીઓના લગાવનું જીવંત ઉદાહરણ કહી બિરદાવ્યું છે.

    માણસની જન્મ સમયથી શરૂઆતના કેટલાક વરસોની સ્મૃતિ હોતી નથી. જીવનના છપ્પનમા વરસે(૧૯૨૫માં) ગાંધીજીએ આત્મકથા લખવી શરૂ કરી હતી. આત્મકથા એ જો સ્મૃતિ કથા હોય તો ગાંધીજીનું આત્મકથામાં પહેલું સ્મરણ તેમના શાળા શિક્ષણનું છે. તેમણે લખ્યું છે, “બચપણ પોરબંદરમાં જ ગયું. કોઈ નિશાળમાં મને મૂકવામાં આવેલો. મુશ્કેલીથી થોડા પાડા શીખેલો.તે કાળે છોકરાઓની સાથે હું મહેતાજીને માત્ર ગાળ દેતા શીખેલો એટલું યાદ છે, અને બીજું કંઈ યાદ નથી” ગાંધીજીની આ ‘ કોઈ નિશાળ’  અંગે જ.મ ઉપાધ્યાય લિખિત “ મહાત્મા ગાંધીજીની શૈક્ષણિક સિધ્ધિઓ” પુસ્તકમાં માહિતી મળે છે. તે પ્રમાણે ગાંધીજીની પહેલી નિશાળ પોરબંદરના તેમના ઘર (આજના કીર્તિમંદિર) થી નજીક આવેલી વીરજી કામદારની નિશાળ હતી. વીરજી કામદારના પગે ખોડ હોવાથી સ્થાનિક લોકો તેમની શાળાને લૂલિયા માસ્તરની નિશાળ તરીકે ઓળખતા. હતા.

    પિતા કરમચંદ ગાંધી તે પછી રાજકોટ ગયા એટલે ગાંધીજીનું મેટ્રિક્યુલેશન સુધીનું શિક્ષણ રાજકોટમાં થયું હતું. બ્રાન્ચ–સ્કૂલ, પરાની શાળા કે તાલુકા શાળા અને કાઠિયાવાડ હાઈસ્કૂલ(જે ૧૯૦૭થી આલ્ફ્રેડ હાઈસ્કૂલ તરીકે ઓળખાતી )  એમ રાજકોટની ત્રણ શાળાઓમાં તે ભણ્યા હતા. તે સમયના નિયમ મુજબ ગુજરાતી  શાળામાં એક થી ચાર ધોરણ કરીને પ્રવેશ પરીક્ષા પાસ થયેથી અંગ્રેજી શાળાના એકથી સાત ધોરણમાં ભણવાનું થતું.  કુલ અગિયાર ધોરણના અંતે મેટ્રિકની પરીક્ષા આપવાની રહેતી હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ગાંધીજીનું વિદ્યાર્થી તરીકેનું સ્વમૂલ્યાંકન,  “ હું ભાગ્યે સામાન્ય કોટિનો વિદ્યાર્થી ગણાતો હોઈશ’, “હું અનુમાન કરું છું કે મારી બુધ્ધિ મંદ હશે અને યાદશક્તિ કાચા પાપડના જેવી હશે” નું છે. પરંતુ તેમના વિદ્યાર્થીકાળના પુરાવા દર્શાવે છે કે તે જેમ તેજસ્વી વિદ્યાર્થી નહોતા તેમ સાવ ઠોઠ પણ નહોતા. તેમને  એક મધ્યમ દરજ્જાના વિદ્યાર્થી ગણી શકાય. તે શાળામાં ભણતા ત્યારે જેમ નાપાસ થયા છે, ઝીરો માર્ક્સ મેળવ્યા છે તેમ કોઈ કોઈ વિષયમાં ટોપર કરતાં વધુ માર્કસ મેળવ્યા છે, એક જ વરસમાં બે ધોરણ પાસ પણ કર્યા છે. સત્રાંત પરીક્ષામાં નાપાસ થયા છે અને વાર્ષિક પરીક્ષા સારા ગુણે પાસ કરી છે. પરીક્ષાના સારા પરિણામના આધારે સ્કોલરશિપ મેળવી છે. અઘરી ગણાતી અંગ્રેજી માધ્યમની હાઈસ્કૂલની પ્રવેશ પરીક્ષા, મુંબઈ યુનિવર્સિટી દ્વારા લેવાતી મેટ્રિકની પરીક્ષા, અનિવાર્ય નહીં એવી  લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષા અને બેરિસ્ટરીની લેટિન સાથેની પરીક્ષા એક કે બે જ ટ્રાયલે પાસ કરી છે. એટલે તેમને  સાવ સામાન્ય કોટિના કે સરેરાશ વિદ્યાર્થી ગણી શકાય નહીં.

    બાળક , કિશોર અને યુવા મોહનદાસ શરમાળ, સંકોચશીલ , ડરપોક , વિષયભક્ત, નરમાખ, મૂઢ, જ્ક્કી જવાન અને આપમતિલો છોકરો હતા. તે છોડી-જાળવીને અહિસા, સત્ય અને અભયના માર્ગે રાષ્ટ્રપિતા કે મહાત્મા થઈ શક્યા તેમાં તેમના શિક્ષણ અને શિક્ષકોનું યોગદાન કેટલું? કે મોહનદાસનું મહાત્મા તરીકેનું ઘડતર તેમના વિદ્યાર્થીકાળમાં થયું હતું ? તે સવાલનો જવાબ ઘણે ભાગે નકારમાં જ આવે છે. ખ્યાત અમેરિકી પત્રકાર લુઈ ફિશરે ગાંધીજીના જીવનચરિત્રમાં લખ્યું  છે કે , “તેઓ મહત્વની વાતો ભણતરમાંથી નથી શીખ્યા. ખરા ગાંધી, ઈતિહાસના ગાંધી નિશાળના ભણતરમાંથી નથી પાક્યા.”

    બાળપણ અને કિશોરાવસ્થામાં ગાંધીજીને બૂરી સંગત વળગી હતી. માંસાહાર, ચોરી અને વ્યસન કરતાં થયા હતા. પરંતુ કાળક્રમે એ જાતે જ છોડ્યું . એટલું જ નહીં બેરિસ્ટર બનવા લંડન જવાનું થયું ત્યારે માંસ, મદિરા અને સ્ત્રીસંગથી દૂર રહેવાની માતા સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા અચૂક પાળી હતી. તેની પાછળ કયું બળ હતું.?  હાઈસ્કૂલના અંગ્રેજી ધોરણના પહેલા વરસની પરીક્ષા વખતે કેળવણી ખાતાના ઈન્સ્પેકટરે પાંચ શબ્દોની જોડણી લખાવી હતી. તેમાં એક શબ્દ કેટલ(Kettle) હતો. મોહનદાસે તેની જોડણી ખોટી લખી હતી.એટલે વર્ગશિક્ષકે પોતાના બૂટની અણી મારી સામેના છોકરાની પાટીમાંથી જોઈ લઈ જોડણી સુધારી લેવાનો ઈશારો કર્યો હતો. પણ તેમણે તેમ ન કર્યું અને આખા વર્ગમાં તેમની જ એક શબ્દની જોડણી ખોટી ઠરી. કદાચ પરીક્ષામાં એ નાપાસ થયા પણ નીતિ શિક્ષણમાં પાસ થયા અને તે પણ શિક્ષકની ઉપરવટ જઈને. પિતાએ ખરીદેલ શ્રવણપિતૃભક્તિ નાટકનું વાચન અને હરિશ્ચંદ્રનું આખ્યાન જોવાનું પણ તેમને નિશાળના કોઈ શિક્ષકની દોરવણી વિના જ થયેલું અને તેમાંથી મળેલી શિખામણ તેમણે કાયમ માટે ગાંઠે બાંધી હતી. એટલે જીવન મૂલ્યો તે શાળા શિક્ષણમાંથી નહીં બીજી રીતે શિખ્યા હતા.

    રાજકોટ સ્કૂલ ગાળાના સાથી મહેતાબ શેખ સાથેની દોસ્તીના ઉલ્લેખ વિના ગાંધીજીના વિદ્યાર્થી કાળનું આલેખન અધૂરું છે. મુસ્લિમ મિત્ર મહેતાબ સાથેના સંબંધને ગાંધીજીએ તેમની ‘ જિંદગીનું દુ:ખદ પ્રકરણ’  કહ્યું છે. મહેતાબની દોસ્તી ગાંધીજીને પણ કેટલાક દુર્ગુણો તરફ ખેંચી ગઈ હતી .જોકે તેઓ ઝડપથી પાછા વળી ગયા. પણ મહેતાબ સાથેની મિત્રતા લાંબો સમય રહી હતી. ગાંધીજીમાં કાયમ રહેલા  હિંદુ-મુસ્લિમ ભાઈચારાના બીજ કદાચ મહેતાબ સાથેની દોસ્તીમાં હતા.

    ગાંધીજીના સમગ્ર જીવન સાથે જે મૂલ્યો વણાયેલા છે તેના અણસાર તેમના વિદ્યાર્થીકાળમાં જોવા મળે છે. ૧૮૯૦માં લેવાયેલી લંડન મેટ્રિક્યુલેશનની પરીક્ષામાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નપત્રમાં એક સવાલ હતો કે સુવર્ણ કરતાં વધારે સુવર્ણમય શું છે?  અને એકવીસ વરસના પરીક્ષાર્થી મોહનદાસ ગાંધીનો જવાબ હતો કે, સત્ય એ સુવર્ણમય છે.  ભલે ભણતરે ગાંધીજી સામાન્ય કોટિના વિદ્યાર્થી મનાય પણ ગણતરે  જીવન મૂલ્યોસભર માનવી અને સત્યાગ્રહી તરીકે તે અસામાન્ય છે, અસાધારણ છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • બિહાઈન્ડ ધ ટાઈમ્સ – પરદા પાછળનાં પાત્રોની માર્મિક યાદોઃ બચી કરકરિયાની નજરે :: [૫]

    નરેશ પ્ર. માંકડ

    મણકો []થી આગળ

    જયદીપ બોઝ “જોજો”

    એક પેઢીના અંતરાલમાં તંત્રીપદ ની સ્ટાઈલ બદલાઈ ગઈ. જયદીપ બોઝ વડાપ્રધાનને સલાહ આપવાની જવાબદારીમાં માનતા નહોતા. એમનામાં ઔપચારિકતા ન હતી એ તો સમજી શકાય, પોતાના પેટ નામ જોજો થી ઓળખાતા એમની પાસે ઔપચારિકતા ની અપેક્ષા શી રીતે રાખી શકાય?

    જોજો સવારે સ્થાનિક તંત્રીને કહેશે, અખબાર આજે રાતે સમયસર નીકળી જવું જોઈએ. પછી ૧૦:00 વાગ્યે રાતે વીલું મોઢું લઈને તેની પાસે જઈને કહેશે,  મારા પર ગુસ્સે ન થતો પણ હું ફ્રન્ટ પેજ બદલાવું છું. એમને જ્યારે ઇકોનોમિક ટાઇમ્સના તંત્રી બનાવવામાં આવ્યા ત્યારે એમની વય ૨૯ ની હતી. પછી ત્યાંથી ફેરવીને એમને ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અખત્યાર સોંપાયો અને ચાર વર્ષ બાદ એમના માટે એડિટોરિયલ ડાયરેક્ટરની જગ્યા ઉભી કરવામાં આવી. એમની ટાઈમ્સની  ક્રેસ્ટ એડીશન વૈશ્વિક પત્રકારત્વમાં સીમાચિહન સમાન હતી. લીડ ઇન્ડિયા (૨૦૦૭), ટીચ ઇન્ડિયા (૨૦૦૮) અને પાકિસ્તાન સાથે સંવાદસેતુ માટે પાકિસ્તાનના જંગ મીડિયા ગ્રુપના સહયોગથી  ‘અમનકી આશા ‘(૨૦૧૦) જેવા એમના પ્રયાસો ઉત્સાહ સાથે ચાલતા રહ્યા.

    જોજોનો ટાઇમ્સનો દરેક પ્રોજેક્ટ વ્યૂહરચના, આયોજન અને ચાલાકીથી ભરેલી એક મોટી ગેમ જેવો હતો, પણ ભવ્ય, ૭૦ એમએમ મલ્ટી સ્ટાર્ટર બજેટ એડિશનને કોઈ મહાત ન કરી શકે એવી એ જંગી કવાયત હતી.  વાચકના દરેક વર્ગ – કોર્પોરેટ નેતા, કરદાતા અને વપરાશકર્તા માટે બજેટનું વિવરણ કરવામાં આવતું. આ પૃષ્ઠો પર વિશ્લેષણ, નિષ્ણાતોના અભિપ્રાય  જેવી જેટલી વધુ શક્ય હોય એટલી માહિતી ઠાંસીને મૂકવામાં આવ તીjojo અને આખરે વાંચનક્ષમ અને આકર્ષક પેકિંગ તૈયાર થતું.

    આ અભિયાનના આરંભમાં જોજો એવું કહે કે આ વખતે સાદી આવૃત્તિ બનશે,  પણ પછી તેઓ વધુને વધુ ઉત્તેજિત થતા જાય અને પોતાની થિંક ટેન્ક સાથે ક્યારેક તો છ – છ કલાક સુધી ચર્ચા ચાલે. એક પરેશાન અને થાકેલા સહભાગી એ કહ્યું હતું, આનાથી ઓછા સમયમાં તો મારી પત્નીની પ્રસુતિ થઈ ગઈ હતી.

    જ્ઞાનતંતુની કવાયતમાં ચર્ચા ક્યારેક ભટકી જઈને ક્રિકેટ, રાજકારણ અને પુરાણી યાદોમાં સરી પડતી. દર ૧૫ મિનિટે કોઈ વાતને ફરી મુદા પર લાવતું . પી.રામ, અજીત નીનાન, નીલાભ બેનર્જી જેવા ચિત્રકારો તેમના ખયાલોની યાદી મોકલતા.  દરેક આવૃત્તિ આગલી આવૃત્તિ કરતાં વધારે અપીલ કરનારી હોવી જોઈએ એવો વિચાર રહેતો. પ્રત્યેક વર્ષ આ એક મુશ્કેલ કાર્ય બનતું જતું હતું.  પ્રથમ પૃષ્ઠના પાંચ કે છ વર્ઝન બનાવવામાં આવતાં.  સ્ટાર ચેમ્બર ફરી ભેગી થતી. જોજો કહેશે, ઓકે કયું વર્ઝન?  કોઈ કહે C વર્ઝન.  જોજો કહેશે,  હા પણ તમને નથી લાગતું કે D વધુ મૌલિક છે? તમે એમનો મત સ્વીકારો તો એ કહેશે, એમાં સમસ્યા એ છે કે… બે કલાક પછી તમે A વર્ઝન પર આવો છો જે એમણે પહેલેથી નક્કી કરેલ જ હતો.  કોઈ કંટાળીને કહેશે, જોજો, અમને આટલા ભમાવવાની બદલે પહેલેથી જ આ વિકલ્પ કેમ પસંદ નથી કરી લેતા?  જોજોને ખોટું લાગશે અને કહેશે,  “શું માનો છો આ સરમુખત્યારશાહી છે?”

    એવી શંકા પ્રવર્તતી હતી કે નાણાપ્રધાન બજેટનું આયોજન શરૂ કરે એથી પણ પહેલા જોજો બજેટ આવૃત્તિનું આયોજન શરૂ કરી દે છે.  મોડેલ કે ટેમ્પલેટ પહેલેથી પેનલ્સ, બોક્સ, ઇન્ફોગ્રાફ, ટેબલ્સ, આંકડાઓ અને ટ્રીવીયાથી સજ્જ રાખવામાં આવે છે.  એમાંના કેટલાક બજેટના દિવસે ‘ગરમ કરીને ખાઈ લો’  (Heat and Eat) જેવા તૈયાર હોય છે, બીજા કેટલાક નાણામંત્રીના ભાષણ પછી તૈયાર કરી શકાય છે.  અસંખ્ય ડમી તૈયાર કરવામાં આવે. સેંકડો સંભવિત ફોટોગ્રાફ ડાઉનલોડ કરી રાખવામાં આવે છે, જે સ્માર્ટ કીકર્સ એટલે કે આકર્ષક મથાળામાં બંધબેસતા થઈ શકે. બજેટના અલગ અલગ ભાગ માટે વૈકલ્પિક શીર્ષકોની યાદી પહેલેથી જ તૈયાર રાખવામાં આવે અને ખૂબ સુઘડ રીતે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. એડિટોરિયલ ડાયરેક્ટર, જોજો, કરતાં પણ વધારે વ્યસ્ત એમનો અંગત મદદનીશ (પી. એ.)  સૂચનાઓનો માસ્ટર ડોક્યુમેન્ટ અને તેની અસંખ્ય પુરવણીઓ ફોજના સૈનિકો અને એમના સરદારો ને અને કમાન્ડરને મોકલી આપવામાં રહેતો.

    છેલ્લા સપ્તાહમાં કોપી લખાણનાં તેમ જ પેનલનાં લખાણનાં ચમકદાર મથાળા તૈયાર કરવા માટે ચાર લેખકોની એક ચુનંદી ડેસ્ક ટીમ બનાવાતી જે કોઈ પણ નીરસ વાત ઘુસી ના જાય તેની ખાસ ખાતરી કરતી.  એક વર્ષે એક નીરસ બજેટને ‘ઠંડાગરમ.કોમ ‘ શીર્ષક આપ્યું હતું અને નાણાં પ્રધાને એના જવાબમાં કહ્યું હતું, “નહીં, આ ગરમાગરમ છે.”

    +                             +                             +

    પ્રીતિેશ નંદી

    ખુશવંત સિંહે વીકલી છોડ્યું પછી થોડો સમય એમ. વી. કામઠ  આવ્યા, પછી બીજા સેલિબ્રિટી તંત્રી મળ્યા પ્રીતિશ નંદી.  ખુશવંત વસ્ત્રોની બાબતમાં જેટલા નિસ્પૃહ  હતા એટલા જ ભપકાદાર પ્રીતિશ હતા.  તેમને સંપૂર્ણ કાળા પોશાકનો, ખુલ્લા બટન વાળા શર્ટ અને ચુસ્ત જીન્સનો શોખ હતો. એક રીતે તેઓ ટાલિયા રાસ્પુટીન જેવા હતા. તેઓ કવિ હતા અને ભાષા બાબત ચુસ્ત હતા.  ખુશવંત સિંહથી ઉલટું, તેઓ જૈન પરિવારના અંતરતમ વર્તુળના સભ્ય હતા – ખાસ કરીને સમીર અને નંદિતાના.

    એકવાર હાથમાં વીકલીની નકલ લઈને નંદી ઓફિસમાં આગ ઉગળતા ઘસી આવ્યા. પોતાના ચાર સહાય તંત્રીઓને બોલાવીને ગરજયા, “મેં ફ્લાઇટમાં જોયું. મારું મસ્તક શરમથી ઝૂકી ગયું. મારા સહપ્રવાસીઓ સામે હું નજર નહોતો મેળવી શકતો. આ f…ing શરમજનક છે. કઈ જાતનું કંટાળાજનક s..t તમે બહાર પાડ્યું છે?”  પછી તેના ટુકડા કરી ને કારપેટ પર ફેંક્યા અને પોતાના ટ્રેડમાર્ક બુટથી તેને કચડ્યા. હમેશની જેમ અડધા કલાક પછી પોતાના ખુશ મિજાજમાં આવી ગયા.  બચી એના માટે ‘ખૂંખાર આખલો’ શબ્દ વાપરે છે.

    જેને બચી દેશની સૌથી કાર્યક્ષમ પત્રકાર કહે છે એવાં શેરના ગાંધીએ કહ્યું હતું કે બીજા કોઈ પણ તંત્રી કરતાં એમને નંદી પાસેથી વધુ શીખવા મળ્યું હતું.  એક ખોટું અલ્પવિરામ મૂક્યું હોય કે ન મૂક્યું હોય તો એ બહાર આવીને આખો ચોથો માળ સાંભળે એવી રીતે બૂમો પાડે.  એક વાર નંદી અમેરિકા ગયા હતા ત્યારે એક અંકમાં ઘણી ટાઈપની ભૂલો હતી. સબએડિટરને બચીએ કહ્યું, }તારાં નસીબનો આભાર માન કે નંદી અહીં નથી.”. બચીને ખબર ન હતી કે એમને જ્યાં હોય ત્યાં વીકલી એર મેઇલથી મોકલવામાં આવે છે.  એમણે ફોન પર સતત પંદર મિનિટ સુધી ભૂલ કરનાર ‘ સબ ‘ને ધમકાવ્યો હતો.

    દિલ્હી બ્યુરોમાં કામ કરતી સરોજ નેગીએ એમના મિજાજ અને લે – આઉટ શીટની બાબતમાં એમના તાંડવ જેવાં યુદ્ધ નૃત્ય વિશે સાંભળ્યું હતું પણ દિલ્હીમાં નંદી આવે ત્યારે માનેકા ગાંધી સાથે કે અન્ય રાજકીય બાબતોમાં જ તેમનો સમય જતો.  એક વાર તેઓ ઓફિસમાં આવ્યા અને કોઈ બાબતમાં તેમના સ્વભવનો ફ્યુઝ ઊડી ગયો.  સરોજ સ્તબ્ધ બની ગઈ, “દર બીજા શબ્દમાં ગાળ આવતી હતી.  હું માની શકતી નહોતી કે આ એ જ વ્યક્તિ છે જેની લાગણીસભર કવિતાઓની હું પ્રશંસક છું.” શેરના ગાંધી ઉમેરે છે નંદી ખેલદિલીપૂર્વક પોતાની ટીકાનો સ્વીકાર કરતા.

    એમના પુરોગામીની જેમ નંદીને પણ ladies’ man કહી શકાય પણ ખુશવંત માત્ર બડાશ મારતા જ્યારે નંદી તો તેનો અમલ પણ કરતા.  જેટલા ઉત્સાહથી એક ટીવી અભિનેત્રીની પાછળ પડ્યા હતા એટલા જ નિશ્ચયપૂર્વક તેને પડતી પણ મૂકી દીધી હતી.  એ મહિલા ગુસ્સાભેર આવીને નંદીની સેક્રેટરીના રૂમમાં ઘુસી ગઈ અને નંદીને મળવાની માગણી કરી.  અનુભવીએ સેક્રેટરીએ તેઓ બહાર ગયાં છે એવું બહાનું કાઢ્યું , પણ પણ પેલી મહિલાએ મચક ના આપી.  સેક્રેટરીએ બાજુના રૂમમાં જ બેઠેલા નાંદીને ચેતવી દીધા.  નંદી બારણા માંથી છટકીને રીતસર દોડતા ઉપરના માળે એમના જ તંત્રીપદ હેઠળના ‘ઇન્ડિપેન્ડન્ટ’ ની ઓફિસમાં ઘૂસી ગયા.

    નંદીની પત્રકાર તરીકેની કુશળતાના ઘણા ચાહકો એમની માનેકા ગાંધી સાથેની મિત્રતાના ટીકાકાર હતા. એ ચાહકો માટે માનેકાએ તેમને પોતાને કિંગ મેકર સમજતા રાજકીય પ્રાણી બનાવી દીધા હતા. નંદી હસ્તક વીકલી વધુ વિવાદાસ્પદ બની ગયું.  તેઓ એક પછી એક દંભી પણ શક્તિશાળી વ્યક્તિઓ પર નિશાન સાધવા લાગ્યા. ઓરિસ્સાના મુખ્યપ્રધાન જે. બી. પટનાયક સામે તેમની ગુસ્તાખી ભારે પડી ગઈ અને તેઓએ માફી માગવી પડી હતી.

    એવું જ ચંદ્રા સ્વામીની બાબતમાં બન્યું. દુનિયાના અડધો ડઝન જેટલા દેશના વડાઓને છેતરીને ચંદ્રા સ્વામી કરોડો રૂપિયાના હીરા લઈને ભાગી ગયા હોવાની સ્ટોરી એમણે છાપી. ચંદ્રા સ્વામીએ ઇન્ટરવ્યૂ આપવાનું ઇન્કાર કરેલો તેથી નદીએ છેતરપિંડીનો માર્ગ લીધો અને સ્વામીના ચમચા બનીને એમને મળ્યા. સ્વામીએ કહ્યું ” યે પ્રીતિશ નંદી કૌન હૈ? હરામજાદા હમારે પીછે લગા હૈ.  હું તને ૧૦ લાખ ડોલર આપીશ, તું એને મારા વિશે લખતાં અટકાવી દે. એને પૈસા આપીને બાકીના તું રાખી લેજે.”. નંદીએ નાટક આગળ ચલાવ્યું: “ગુરુજી,  હું જ પ્રીતીશ નંદી હોઉં તો ? ” એક ગાળ બોલીને સ્વામી કહે, “દેખો યે હૈ મેરી તીસરી આંખ. મૈં ભવિષ્ય દેખ સકતા હું. હમકો કોઈ ઉલ્લુ નહિ બના સકતા હૈ.” નંદી વધુ આગળ વધ્યા: “તો મારું ભવિષ્ય શું છે ” “તારામાં શક્તિ છે તું જેટલો ગધેડા જેવો લાગે છે એટલો નથી, તું ક્યાંક પહોંચીશ” સ્વામીએ કહ્યું.

    નંદીના ઇન્ટરવ્યુ વિક્લીની વિશેષતા બની ગયા.  એમાંનો એક હતો પ્રમુખ જ્ઞાની ઝૈલસિંઘનો, જેમાં એમણે કહ્યું હતું કે મને કોઈ કંઈ માહિતી નથી આપતા.  એમાંથી પછી બંધારણીય કટોકટી સર્જાઈ જેના પરિણામે તેઓ વડાપ્રધાન રાજીવ ગાંધીને બરતરફ કરશે એવી અફવા ફેલાઈ હતી.

    ફિલ્મી ગાયક કિશોરકુમારનો એમણે લીધેલો ઇન્ટરવ્યૂ યાદગાર બન્યો.

    વિવાદાસ્પદ કવર સ્ટોરી માટે તેઓએ અલગ, બિનપરંપરાગત રીતો અપનાવી હતી.  આંતરરાષ્ટ્રીય ગુનેગાર ચાર્લ્સ શોભરાજે જેલમાં એક નવલકથા લખી હતી.  નંદીના કહેવા મુજબ શોભરાજ તેની વકીલના પ્રેમમાં હતો.  તેને પટાવીને એમણે નવલકથાની એક નકલ મેળવી લીધી અને એમાંથી થોડો ભાગ તેમણે વીકલીમાં છાપ્યો હતો.

    બાંગ્લાદેશના વડા પ્રધાન ઝિયા ઉર રહેમાનની રુશવતખોરીની વાત મેળવવા નંદીએ તેની રખાતને સાધી લીધી.  એ સ્ત્રી ઝિયાના નાણાં સાથે ન્યૂયોર્કમાં છુપાયેલી હતી.

    અમિતાભ બચ્ચનની ઘણી ફિલ્મો ફ્લોપ ગઈ હતી ત્યારે એમણે કવર સ્ટોરી આપી: Superstar Finished.  બીજી એક સ્ટોરી હતી: “સુનિલ ગાવસ્કર વિશ્વના સૌથી ખરાબ કેપ્ટન છે?”. આ સ્ટોરી કોને લખી હશે એનું અનુમાન કરી શકો છો?  શશી થરૂરે.  નંદી કલકત્તાથી એમના પરિચિત હતા.

    નંદી ટાઇમ્સમાં જોડાયા એની વાત પણ રસપ્રદ છે.  એમને લિસ્બનથી કેલિકટની વાસ્કો દ ગામાની મુસાફરીને લઈને એક નવલકથા લખવા માટે ભાભા ફેલોશીપ મળી હતી અને તેઓ મુંબઈથી પ્લેનમાં કલકત્તા જઈ રહ્યા હતા. યોગાનુયોગ બાજુની સીટ પર અશોક જૈન બેઠા હતા. તેમણે નંદીને પોતાને ઘરે બ્રેકફાસ્ટ માટે આમંત્રણ આપ્યું. નંદી જૈન હાઉસમાં પહોંચ્યા. એમને નોકરીની ઓફર આપવામાં આવી અને એમણે કલકત્તા છોડ્યું, તાતાની ફેલોશિપ પણ છોડી અને ટાઈમ્સમાં જોડાઈ ગયા. એમના કહેવા મુજબ એમને આખા ગ્રુપને ફ્રેશ કરવાનું કામ સોપાયું હતું પણ ” ટાઇમ્સના સિનિયર પત્રકારો સાથે વાત કરવાનું અશક્ય હતું. એ લોકો એવા જૂનવાણી હતા જેઓ પોતે દુનિયા આખીના માલિક છે એમ માનતા હતા. તેઓ પોતાની શક્તિ અને.વગને મારી સામે મૂક્યા કરતા હતા. ગિરીલાલ જૈન પોતાના હોદ્દાને સામંત શાહી વારસો ગણતા હતા. મને સતત કહેવામાં આવતું હતું કે ગિરીએ વડાપ્રધાનને આ કહ્યું અને પેલું કહ્યું.. શ્રીમતી ગાંધીએ ગિરીની આ વાત પર સલાહ માગી પણ મને એવું લાગતું હતું કે ટાઈમ્સના તંત્રીનું કામ વડાપ્રધાનને સલાહ આપવાનું નહોતું. એનું કામ મક્કમતાથી ઉભા રહીને વડાપ્રધાન ક્યાં ખોટા છે એ વાંચકોને જણાવવાનું હતું. ”

    ગિરીએ અશોક જૈનને એવું કહ્યું હોવાનું મનાય છે કે પ્રીતિશ અંગ્રેજી લખી શકતો નથી, એ અધૂરાં વાક્યો લખે છે, એ જાહેરખબરીયું અંગ્રેજી લખે છે.  આ વાતની જાણ થઈ ત્યારે પ્રીતિશે કહ્યું, “હું જેમ બોલું છું એમ લખું છું, મોટી ભારેખમ વાતો નહીં. હું ગિરી જેવું લખું તો એ શરમજનક હશે.

    ટાઈમ્સની ‘ઓલ્ડ લેડી’ ની છાપ દૂર કરવા જૈન પરિવાર તાજગી લાવવા માટે નવા દિમાગની જરૂરિયાત જોતા હતા. ત્યારે ટાઈમ્સના ૧૫૦ વર્ષ પણ પૂરા થતા હતા, એની ઉજવણીની તૈયારીઓ ચાલતી હતી. એ સમયે ટાઈમ્સમાં જોડાવાનું નિમંત્રણ આપવા માટેની યાદી તૈયાર કરવામાં આવી. નંદીના મતે એમના પાસે ખૂબ જ સત્તા હતી કારણ કે અશોક જૈન નો તેમને ટેકો હતો. “મને પરિવર્તન લાવવાની સત્તા આપવામાં આવી હતી પણ ડો. તરનેજા અને કૃષ્ણમૂર્તિ દ્વારા દોરવાતી બ્યુરોક્રસીની સંખ્યા મોટી હતી.” તરનેજાએ નંદીના પહેલા જ દિવસે ફરિયાદ કરી હતી કે તે ફાટેલું જીન્સ પહેરીને કામ કરવા આવે છે અને છાતી દેખાય એમ ખુલ્લો શર્ટ પહેરે છે. આ જગ્યાની સંસ્કૃતિનો તે નાશ કરી દેશે. એ સ્ટ્રીટ ફાઈટ માટે તૈયાર થઈને આવે છે.  આ શબ્દો ભવિષ્યના વર્તારા સમાન હતા

    PRK, એટલે પી. આર. કૃષ્ણમૂર્તિ, સાથે તો એમને ટાઇમ્સમાં જોડાતાં વેંત જ ઘર્ષણ થયું.  નંદિની પોતાની કેફીયત જોઈએ તો તેઓ ટાઈમ્સમાં જોડાયા પછી એક અઠવાડિયા બાદ એમનો પરિવાર મુંબઈ આવ્યો; એમના ટિકિટના પૈસા બહુ સમય સુધી નંદીને ચૂકવાયા નહીં એટલે એમણે કૃષ્ણમૂર્તિની ઓફિસમાં જઈને કહ્યું કે મારું બિલ ક્યાંક અટવાયું છે. ઠાવકાઈથી કૃષ્ણમૂર્તિએ જણાવ્યું,  “એ ક્યાંય નથી અટવાયું, મારી પાસે જ છે. અટકાવવાનું કારણ એમને એવું આપ્યું કે ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરી છે એનો પુરાવો આપવા માટે ટિકિટ જોઈએ.”  “ટિકિટ તો સ્ટેશનની બહાર નીકળતી વખતે ટી સી લઈ લે છે”, દંગ થઈ ગયેલા નંદી એ કહ્યું. કૃષ્ણમૂર્તિએ બળતામાં અંગાર ચાંપ્યો,  ” તમે કંપનીને છેતરતા નથી એ મને કેમ ખબર પડે?” ગુસ્સાથી ભાન ભૂલીને નંદી કૃષ્ણમૂર્તિ પર તૂટી પડ્યા અને એમના સફેદ સફારીનું કોલર પકડીને ધમકાવ્યા “તમે એમ માનો છો કે હું છેતરું છું ? લાત મારીને તમારા દાંત તોડી નાખીશ. તમને એમ લાગે છે કે હું તમારા પિતાનો નોકર છું?”

    બીજા દિવસે બિલ ચૂકવાઇ ગયું. ત્યાર પછી કૃષ્ણમૂર્તિ એમની સાથે સાકર જેવા મીઠા બની ગયા હતા.

    બચી કહે છે, આ વાત એકપક્ષી છે અને પ્રીતિશ નંદીની કડક તંત્રી કાર્યશૈલીમાંથી બંધ નથી બેસતી.. “મને ક્ષમા કરશો, મેં કૃષ્ણમૂર્તિ સાથે આ ‘ક્લોઝ એન્કાઉન્ટર ઓફ ધ થર્ડ ક્લાસ’ ની ખરાઈ કરવાનો પ્રયત્ન પણ નથી કર્યો.”

    વિમલા પાટીલ

    ફેમીનાનાં તરવરાટિયાં તંત્રી વિમલા પાટીલને એમના ક્ષેત્રમાં પબ્લિશિંગ ડાયરેક્ટર તરીકે પ્રિતીશ નંદી દખલ કરવા લાગ્યા એ પસંદ નહોતું પડ્યું.  પ્રીતિશના અભિપ્રાય મુજબ “વિમલા તખ્તા પર ખડા થઈને ભારતીય સ્ત્રીઓએ શું બનવું જોઈએ એનો બોધ આપે છે. મને એની સામે ગંભીર વાંધો છે. હું નથી માનતો કે આધુનિક નારી માટેનું સામાયિક આવું હોવું જોઈએ.”

    જ્યારે ૧૯૭૦ના દશકમાં ફેમીનીઝમના પ્રથમ આવેગમાં સહકર્મીઓ નામની આગળ Ms લગાડતી હતી ત્યારે વિમલા ભારપૂર્વક Mrs Patil ને વળગી રહ્યાં હતાં.  એમની યુવાવસ્થામાં તેઓ  એટલાં આકર્ષક હતાં કે તેઓ લંચ રૂમમાં જવા કે ડો. તરણેજાને મળવા મેનેજર હોલમાંથી પસાર થાય ત્યારે દરેક વ્યક્તિ પોતાની પેન નીચે મૂકીને એમને નિહાળતા  રહેતા.

    ડેરીલ ડી મોન્ટેએ એવી વાત કરી હતી કે ઇમરજન્સી જાહેર થઈ ત્યારે વિમલાએ ઇન્દિરા ગાંધી વિશે પ્રશસ્તિ રજૂ કરતું લખાણ લખ્યું હતું. અમે બધા ડઘાઈ ગયા અને એમને આર્ટીકલ પાછો મંગાવી લેવા માટે સમજાવ્યાં; એમને ચેતવણી આપી કે સેન્સરશિપના નવા નિયમ મુજબ કોઈ પ્રકાશન ઇન્દિરા ગાંધીના નામનો ઉલ્લેખ ન કરી શકે.  વિમલા બહુ સ્માર્ટ હતાં અને તેઓ વાત માની ગયાં એનું કારણ એ જ હોય કે તેઓએ પોતે એ ન લખવાનું નિરધાર્યું હોય.

    સરોષ બનાજી

    ફિલ્મફેરના જૂના વાંચકો સરોષ બનાજીના ફિલ્મ રિવ્યૂ વાંચવાનું પસંદ કરતા પણ  એ મુશ્કેલ કર્મચારી હતા; એમને દૂર કરવાનું વધુ મુશ્કેલ હતું કેમ કે એ કાયમી નોકરી પર હતા. તેથી વધુ સરળ ઉપાય તરીકે કંપની એમને કંઈ જ કામ ન આપતી. તે પોતાના ડેસ્ક પર અવકાશમાં નજર નાખતા ૯:૩૦થી ૫ વાગ્યા સુધી બેસી રહેતા.  મરાઠી લેખિકા શાંતા ગોખલે એનું વર્ણન કરે છે: ” હમણાં જ નાલીમાંથી નીકળ્યા હોય એમ તે ઓફિસમાંથી બહાર નીકળતા , એના હાથ શરીરથી દૂર લંબાયેલા હોય અને ચહેરા પર અણગમો હોય.”

    પણ એ “રંગહીન, વાસવિહીન પ્રજાતિનું એક ખાનગી જીવન હતું.” એ રાયફલ રેન્જ પર સારા નિશાનબાજ હતા.


    ક્રમશઃ


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ૧૦ – ૧૦ – ૨૦૨૪ના હવે પછીના મણકામાં બહેરામ કોંટ્રાક્ટર નો પરિચય કરાવ્યા પછી બચી કરકરિયા ટાઈમ્સ ઑવ ઈન્ડીયાની તવારીખના એક બીજાં મહત્ત્વનાં પ્રકરણ – જનરલ મેનેજરો’નો લાક્ષણિક પરિચય રજુ કરે છે.
  • ગંગાજળથી વોડકા સુધીનું સફરનામું

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    આજે મેં મારા ઘરનો નંબર
    અને રસ્તા પરના નામનું પાટિયું ભૂંસી કાઢ્યું.
    મેં બધા જ રસ્તાઓ પરના પાટીના થાંભલાઓ કાઢી નાખ્યા
    તેમ છતાંય તારે મને શોધવી હોય તો,
    પ્રત્યેક દેશના, પ્રત્યેક શહેરના
    પ્રત્યેક રસ્તા પરના
    પ્રત્યેક ઘરનો દરવાજો ખખડાવ.

    આ શાપ છે અને વરદાન પણ,
    જ્યાં તારું અને મોકળાશનું મિલન થશે,
    એ જ મારું ઘર સમજજે.

                     અમૃતા પ્રીતમ (અનુ. નૂતન જાની)

                           

    મહાન વિભૂતિઓની પ્રામાણિકતા માત્ર ભ્રષ્ટાચાર ન કરવો કે ટેક્ષ ભરવા સુધીની નથી હોતી. તેઓ તેમના જીવનની સત્ય ઘટનાઓનું અને સંઘર્ષનું નિરૂપણ કરે છે તો એ એમના પ્રસંશકો અને ચાહકો માટે પ્રેરણારૂપ બને છે. મુક્ત વિચારો ધરાવતી એક ઉત્તમ લેખિકા અને કવયિત્રી અમૃતા પ્રીતમ ભારતીય સ્ત્રીની ’ઈમેજ’ વિશેની સભાનતાને ફગાવીને જિંદગીને પોતાની શરતો પર જીવ્યા. અઢળક સૌદર્યની સાથે એમને  અત્યંત સુંદર અને ભાવપૂર્ણ શબ્દોનું વરદાન મળેલું હતું. સંકોચની એક ન દેખાતી લકીરની અંદરની તરફ વાચકોને બોલાવીને તેઓ પોતાની આત્મકથની કહે છે ત્યારે ‘એનું સાહસ એના સત્ય કરતા જરાય ઓછું નથી’  એમ કહે છે. ખલીલ જિબ્રાને કહેલું છે કે ‘સત્ય બોલવામાં સંયમ રાખવો એ પણ દંભનો જ એક પ્રકાર છે’.

    રેવતીશરણ શર્માએ એકવાર અમૃતાજીને પૂછેલું કે ‘અમૃતાજી, તમારી નવલકથાની છોકરીઓ પોતાના સત્યની શોધમાં વસેલું ઘર તોડી નાખે છે. સમાજ માટે એ હાનિકારક નથી ?’ ત્યારે અમૃતાએ ખૂબ સુંદર જવાબ આપેલો કે ‘રેવતીજી, આજ સુધી જેટલા ઘર તૂટતા રહ્યા છે એ જૂઠના હાથે તૂટતા રહ્યા છે. હવે થોડા સત્યના હાથે તૂટવા દો’. અમૃતાને જીવનના દરેક પડાવે કોઈને કોઈ પુરુષનો હુંફાળો સાથ અને પ્રેમ મળ્યા છે. જેણે એમને સીંચ્યા છે, જીલ્યા છે અને પૂજ્યા છે. પિતા કરતારસિંહ, પતિ પ્રીતમસિંહનો નિર્વ્યાજ પ્રેમ, મિત્ર સજ્જાદ હૈદરની મિત્રતા, સાહિર સાથેનો ઉત્કટ પ્રેમ અને પતિને છોડ્યા પછી મળેલો ઈમરોઝનો અદભૂત સાથ.

    આ સર્વના નિઃસ્વાર્થ પ્રેમની ઊંચાઈ એવરેસ્ટ જેવી છે. અત્યંત સંવેદનશીલ અમૃતાને એક અહોભાવ અને કૃતજ્ઞતા સાથે તરસ પણ આપે છે. એટલે જ એ કહે છે તેમ કેટલીક છાયાઓ વર્ષો વીતી ગયા પછી પણ એનામાં રોકાઈ ગયેલી છે. છાયા તો કોઈ કાયાની હોય છે. દરેક છાયાને કોઈ કાયાની અપેક્ષા હોય છે પણ કેટલીક છાયા એવી ય હોય છે જે આ નિયમની બહાર હોય છે. તેમાં એક છાયા ન જાણે ક્યાંથી કાયાથી છૂટીને તમારી પાસે આવી જાય છે. પછી એને લઈને તમે દુનિયામાં ફર્યા કરો છો. શોધ્યા કરો છો કે કઈ કાયામાંથી એ તૂટી છે, છૂટી પડી છે. પણ આ શોધ અનંત હોય છે. એટલે જ અમૃતા એની જીવનયાત્રાને ‘ગંગાજળથી વોડકા સુધીનું સફરનામું છે, મારી પ્યાસનું..’ કહી આપણી સમક્ષ મૂકે છે.

    જો કે ઈમરોઝનો અદભૂત પ્રેમ અમૃતાને એના ભગવાન હોવાનો અહેસાસ આપે છે. એ લખે છે કે ‘પિતા, ભાઈ, મિત્ર અને પતિ – કોઈ પણ શબ્દનો કોઈ સંબંધ નથી. પણ જ્યારે તેને જોયો ત્યારે આ બધા અક્ષરો ઘેરા થઈ ગયા’. અમૃતાને લાગતું કે સાહિર અને સજ્જાદની દોસ્તી પણ ઈમરોઝની દોસ્તીના ખીલેલાં ફૂલમાં ક્યાંક સામેલ છે. એકવાર અમૃતાએ કહ્યું કે ‘ઈમ, જો મને સાહિર મળી ગયો હોત તો તું ન મળત’ ત્યારે ઈમરોઝે અમૃતાને ‘અમૃતા’થી પણ આગળ અપનાવીને કહ્યું હતું, ‘હું તમને મળત જ મળત. ભલે, તને સાહિરના ઘરમાં નમાજ પઢતા શોધી કાઢત’. ઈમરોઝ સાથે જિંદગીના ૪૦ વર્ષ અમૃતાએ વિતાવ્યા હતા. ઈમરોઝને ખબર હતી કે અમૃતા સાહિરને કેટલો ચાહે છે પણ તેને એ પણ ખબર હતી કે એ પોતે અમૃતાને કેટલું ચાહતો હતો. પ્રેમ માટેની અનન્ય પ્રતિબદ્ધતા અને વિશ્વાસને લીધે એ કહેતા કે ‘સાહિર સાથેનો અમૃતાનો સંબંધ મિથ્યા અને માયાવી છે. જ્યારે મારી સાથેનો નાતો સાચો અને યથાર્થ.’ સાહિરે અમૃતાને બેચેની આપી છે જ્યારે મારા સાથે એ સંતુલિત અને પરિપૂર્ણ છે’. સાહિરના નામને બહુ જ સુંદર રીતે કેલીગ્રાફીમાં એમ્બોઝ કરી ઇમરોઝે પોતાના રૂમની દીવાલ પર સજાવીને રાખેલ હતું. કારણ પૂછાતા એણે કહેલું કે ‘સાહીરનું નામ અમૃતાના હૃદયમાં કોતરાયેલું છે સંબંધની શરૂઆતમાં મેં જોયેલું કે એની આંગળીઓ દ્વારા પણ સતત સાહીરનું નામ જ રચાતું હોય છે. તો જેને અમૃતા પ્રેમ કરે તેને અમારા દિલમાં, ઘરમાં ખાસ જગ્યા છે.’ ‘અમૃતા ઈમરોઝ’ના લેખિકા ઉમા ત્રિલોક લખે છે કે સમય જતા અમૃતાની તબિયત લથડતી ગઈ. એ દરમ્યાન એક નાના બાળકને સાચવે તેમ ઇમરોઝે અમૃતાને સાચવ્યા. અમૃતાનું દરેક કામ ઈમરોઝ દૈવીભાવથી કરતા. ૨૦૦૫માં  અમૃતાએ ઇમરોઝને સંબોધીને એક કવિતા લખી…કદાચ છેલ્લી…

    मैं तुझे फ़िर मिलूंगी
    कहाँ किस तरह पता नही

     ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમ્રુતાનો ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો. અમૃતા પોતાની દરેક  સંવેદનાને આપણી સામે નોખી રીતે જ મૂકે છે એ કહે છે કે ‘મા જીવતી હોત તો કદાચ સોળમું વરસ કંઈક જુદી જ રીતે આવત, પરિચિતોની જેમ. પણ એ અપરીચિતની જેમ દરવાજો ખખડાવ્યા વિના ચુપચાપ આવ્યું અને ચાલ્યું ગયું. એટલે જ પછી એ જિંદગીના દરેક વર્ષમાં ક્યાંક સમાયેલું રહ્યું’. એમની સંવેદનાની અભિવ્યક્તિ કાબીલેદાદ છે. એ લખે છે કે ‘કોઈ ઋષિની સમાધિ તૂટી જાય તો ભટકવાનો શ્રાપ એની પાછળ પડે – મારી પાછળ ‘વિચારો’નો શ્રાપ પડ્યો છે’. એ ખુશ હતા કે એને સમાધિના સુખનું વરદાન નહોતું મળ્યું પણ રખડવાની બેચેનીનો શ્રાપ મળેલો હતો.

    પોતે સ્ત્રી હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ અમૃતાને જીવનમાં ત્રણ જ વખત થાય છે. પહેલી વાર યુવાન અમૃતાને સ્વપ્નમાં ફૂલના કુંડામાં એક બાળકનો ચહેરો ઉપસી આવેલો દેખાયો, બીજી વાર સાહિરને તાવ આવતા તેની છાતીમાં વિક્સ ચોળી આપતા અને ત્રીજી વાર સ્ટુડિયોમાં બેઠેલા ઈમરોઝે પાતળું બ્રશ કાગળ પરથી ઊંચકીને લાલ રંગમાં ડુબાડ્યું અને પછી ઉઠીને એ બ્રશથી અમૃતાના કપાળ પર એક બિંદી કરી ત્યારે. ક્યારેક અમૃતાએ એની અંદરની ‘કેવળ સ્ત્રી’ને નિરાંતે નિહાળી છે. જેને કોઈ કાગળ-કલમની જરૂર નહોતી. આ ક્ષણોને તેમણે જિંદગીભર ફ્રીઝ કરીને રાખી. અને જરૂર પડ્યે એમાંથી હૂંફ મેળવતા રહ્યા. આપણા દેશના ભાગલા વખતે જે ઘટ્યું એના જેવો ખૂની, બર્બર કાંડ કોઈની કલ્પનામાં પણ ન આવે તેવો ભીષણ અને અત્યાચારી હતો. જે મરી ગયા હતા કે વિખૂટા પડી ગયા હતા એનું મિલન કોણ કરાવે ? ટ્રેઈનમાં મુસાફરી કરતા અમૃતા લાશ જેવા લોકોની પીડા જોઇને ધ્રૂજી  જાય છે. એ સમયે એને પંજાબના દુઃખને વાચા આપી શકે તેવા કવિ વારીસ શાહ યાદ આવે છે. જેણે હીર જેવી બેટીના દુઃખને ગાયું હતું. અને ચાલતી ગાડીએ અમૃતા કાંપતી આંગળીઓથી વારીસ શાહને સંબોધીને એમનું પ્રખ્યાત કાવ્ય લખે છે…’આજે વારીસ શાહને કહું છું કે તમારી કબરમાંથી બોલો…’

    ‘મારી મહોબતમાં એના માટે પૂજા પણ સામેલ છે…’ એવું લખીને અમૃતા પ્રીતમ પોતાની આત્મકથા ‘ધી રેવન્યુ સ્ટેમ્પ’માં સાહિર સાથેના પ્રેમને ડંકાની ચોટ પર કબૂલે કરે છે. આત્મકથા એ સર્જકના આત્માની ઓળખ છે. જે હૃદયની પ્રામાણિકતાથી લખાય છે. તેમાં બુદ્ધિની કસરત કોરે મૂકવી પડે. એમાં કલ્પના પણ ન ચાલે. હકીકતોનું જ આલેખન કરવાનું હોય છે. સાહિરના પ્રેમમાં ગળાડૂબ અમૃતા પાગલપનના શિખર પર સવાર હતી. માતૃત્વ ધારણ કરવાની અંગત પળોને અમૃતાજીએ પોતાની રીતે જ આકારી. ગર્ભાવસ્થા દરમ્યાન સતત સાહિરના જ વિચારોમાં જીવી, સાહિરની જ છબીને દિલો-દિમાગ પર કંડાર્યા કરી જેથી બાળકનો ચહેરો સાહિરને જ મળતો આવે. એટલે જ ૧૩ વર્ષનો પુત્ર નવરોઝ નિર્દોષતાથી પૂછી બેસે છે, ‘મમ્મા, શું હું સાહિર અંકલનો દીકરો છું ?’ કોઈ ગમે તે માને પણ સાહિર સાથેનો અમૃતાનો પ્રેમ અલૌકિક હતો. અમૃતા લખે છે કે સાહિર મળવા આવે ત્યારે એની ખામોશીમાથી નીકળીને એક ટૂકડો ખુરશીમાં બેસતો અને ચાલ્યો જતો. ‘કોઈક વાર… એક વાર એના હાથને સ્પર્શવાની ઈચ્છા થતી, પણ મારી સામે મારા જ સંસ્કારોનું એક એવું અંતર હતું કે જે કાપી શકાતું નહોતું’.

    એક દર્દ હતું-
    જે સિગારેટની જેમ
    મેં ચૂપચાપ પીધું છે
    ફક્ત કેટલાંક ગીત છે –
    જે સિગારેટ પરથી મેં
    રાખની જેમ ખંખેર્યાં છે !

     અમૃતાએ ૧૯૬૦માં પ્રીતમસિંહથી છૂટા પડવાનું નક્કી કર્યું એ નિર્ણય બંનેનો સંયુક્ત હતો. કોઈ ફરિયાદ કે આક્ષેપો નહીં. અમૃતાના મનમાં પતિ પ્રીતમસિંહ માટે સતત માન અને આદર રહ્યા. પોતાના નામમાંથી એમણે એટલે જ ‘પ્રીતમ’ને હટાવી દેવાની કોશિશ ન કરી. મુઠ્ઠી  ઊંચેરા પ્રીતમસિંહે પણ હંમેશા અમૃતાનું માન-સન્માન જાળવ્યું. જીવનના પાછલા વર્ષોમાં અમૃતાને સતત ઈમરોઝનો હુંફાળો મૈત્રીભર્યો સાથ મળતો રહ્યો પણ પ્રીતમસિંહ છેક સુધી એકલા જ હતા. છેલ્લા વર્ષોમાં જ્યારે પ્રીતમસિંહ ખૂબ બીમાર રહેતા હતા ત્યારે અમૃતા અને ઈમરોઝ એને ઘરે લઇ આવ્યા હતા અને મૃત્યુપર્યંત એમની સેવા કરી. આ હતી એક ઉમદા ચારિત્ર્યની મિસાલ. સ્ટીફન કોવી કહે છે કે ‘આપણે આપણા વિશે જે વિચારીએ છીએ તે નહીં, પરંતુ આપણે જે વારંવાર ઉચ્ચારીયે અને આચારીએ છીએ તે જ આપણું સાચું ચારિત્ર્ય છે.’

    સમાજના ખોખલા રિવાજો અને માન્યતાઓ સામે બંડ પોકારનાર અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’, જિંદગીનો અલગ રાહ પસંદ કરી જીવતી પ્રતિભાસંપન્ન નારીની આંતરિક મથામણો, સંઘર્ષો, તેના અંગત અને જાહેર જીવનની ખાટ્ટી-મીઠી ઘટનાઓ, તબક્કાઓ અને સંસ્મરણોની સ્મૃતિગાથા છે. અગણિત માન-સન્માન અને ઇનામ-અકરામ તેઓને મળેલા છે. મુખ્યત્વે ૧૯૮૨માં ‘કાગઝ કે કેનવાસ’ માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત ૧૯૬૧માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ ! ઇનામો અકરામો એમને મળીને ગૌરવાન્વિત થયા છે.


    ઇતિ

    જે કાર્ય કર્યા પછી તમને પસ્તાવો થાય તે અનીતિ.

    જે કાર્ય કર્યા પછી તમને આનંદ થાય તે નીતિ.

    -અર્નેસ્ટ હેમિંગ્વે


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • ગાંધીજી : જહાં હો વહાં

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ગાં ધીજીની અને ગાંધી આસપાસની ટપાલ ટિકિટોને લગતી નિરીક્ષા ને નુક્તેચીનીને ધોરણે તરતમાં પ્રકાશિત થઈ રહેલા પુસ્તકનું નામ હસિત મહેતાએ પાડ્યું છે પણ મજાનું- ગાંધીજી : જહાં હો વહાં. વસ્તુત: આ શીર્ષક ગાંધીજી પર આવેલી કોઈ ટપાલ પરના સરનામાનું છે! દૂર દેશથી આશાએ ને આરતે ભર્યું કોઈ જણ બાપુને પત્ર લખે છે.

    ખબર નથી, ત્રીજા વર્ગનો નિત્યપ્રવાસી આ પત્ર પુગશે ત્યારે ક્યાં હશે. ભલે ભાઈ, ‘જહાં હો વહાં’ લખ્યું કે પતાકડું પુગ્યું સમજો. ગાંધીસ્મૃતિ પણ હવે તો અમૃતપર્વનાં વર્ષોમાં પ્રવેશી ચૂકી છે ત્યારે, આટલે વરસે, આ‌વા રમતીલા-ગમતીલા પ્રસંગો સંભારવાનું મન કેમ થઈ આવે છે? એવું તો નથી ને કે ગાંધીને કિસ્સા-કહાણીમાં ખતવી નાખ્યા કે હાશ, છૂટ્યા! હમણાં મેં એમને ત્રીજા વર્ગના નિત્યપ્રવાસી કહ્યા.

    ૧૯૧૫થી ૧૯૪૮નાં એમનાં હિંદવી વર્ષોમાં એમણે ત્રીજા વર્ગની મુસાફરીમાં કેટલા દિવસો કાઢ્યા હશે, એ પણ એક વિસ્મયનો વિષય સ્તો. હજુ બે-ત્રણ અઠવાડિયાં જ થયાં છે એ વાતને જ્યારે નવી દિલ્હીના ‘ગાંધીદર્શન’ પરિસરમાં કેન્દ્ર સરકારના સંસ્કૃતિ ને પ્રવાસન મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે અસલના વારાના ત્રીજા વર્ગના ડબ્બાની એક સોજ્જુ પ્રતિકૃતિ ખુલ્લી મૂકી છે. સરકારી ખાતાને એક સ્મૃતિજોણું સૂઝ્યું એ તો જાણે કે ઠીક થયું. પણ શેખાવતે તે પ્રસંગે જે કહ્યું એમાં મને ચોક્કસ જ રસ પડ્યો. એમણે કહ્યું કે સામસામાં ધ્રુવીકરણો ને ઝઘડે ભર્યા આજના જગતમાં બાપુનો સંવાદિતા ને સ્વયંપોષિતતાનો જે સંદેશ છે તે અગાઉ કરતાં પણ વધુ અગત્યનો બની રહે છે.

    આજનું સત્તા-પ્રતિષ્ઠાન ગાંધીની આ વાતમાં ખરેખર માને છે કે કેમ એ અલબત્ત તપાસનો વિષય છે, પણ ગાંધીને ઉઘાડે છોગ ફગાવવાનું એને સારુ કદાચ શક્ય નથી. હજુ મહિનો પણ નથી થયો એ વાતને જ્યારે વિદેશ મંત્રી જયશંકરે ‘ફોટો-ઓપ’ની સર્વાગ્ર કાળજીભેર જીનીવા ખાતેની પોતાની સત્તાવાર કામગીરીનો આરંભ ત્યાં મુકાયેલી ગાંધી પ્રતિમાના વિધિવત્ દર્શનથી કર્યો હતો. ગયે અઠવાડિયે દેશમાં બે બૌદ્ધિક ઉપક્રમો એક કરતાં વધારે ઠેકાણે જોવા મળ્યા તે આ ક્ષણે સાંભરે છે. એક ઉપક્રમ પક્ષ પરિવારના સિદ્ધાંતકોવિદ દીનદયાલ ઉપાધ્યાયના ૧૦૮મા જન્મદિવસ આસપાસનો હતો તો બીજો પુના કરારના અવસરને અનુલક્ષીને હતો.

    દીનદયાલના વિચારો અને ગાંધીવિચારમાં કેવું સામ્ય છે એ ઉપસાવવાની સહજ કોશિશ સત્તાવર્તુળોમાંથી થઈ. પુના કરાર એ દેશના દલિત બૌદ્ધિકોના મોટા હિસ્સાને સારુ ગાંધીજી બાબતે ટીકાનો મુદ્દો રહેલ છે. જોકે, ગોપાલ ગુરુ આ મુદ્દામાં પિન ચોંટી ન રહેતા વ્યાપક રીતે ન્યાય ને સમાનતાની કોશિશ બેઉ છેડેથી હતી તે વાત પર પોતાની રીતે ધ્યાન ખેંચતા રહ્યા છે. ગમે તેમ પણ આ વખતે મેં કોઈક બૌદ્ધિક-શૈક્ષણિક સંસ્થાનમાં ગાંધી-આંબેડકર બેઉ પોતપોતાને છેડેથી સ્વતંત્રતા અને સમાનતા તેમજ બંધુતાને કેટલા બધા વરેલા હતા એ મુદ્દા પર ભાર મૂકાતો પણ જોયો.

    આપણી સ્વરાજ લડતની કથિત મુખ્ય ધારાના કોઈ પણ નેતા કરતાં ગાંધીજી કદાચ સૌથી વધુ સંવાદમાં ઊતર્યા હશે. ભીખુ પારેખે ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ટાગોર ને આંબેડકરથી માંડીને બધા મહત્ત્વના સંવાદો સુપેરે મૂકી આપ્યા છે. મને લાગે છે, જે દિવસોમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ તેમાં આ પ્રકારનું ગાંધીસેવન નિરામય સમજ કેળવવાની દૃષ્ટિએ ખાસું ઉપયોગી ભાથું ખસૂસ સંપડાવી શકે.

    કમાલ તો એ રીતે પ્યારેલાલ કૃત ‘લાસ્ટ ફેઝ’ (‘પૂર્ણાહુતિ’) પણ છે. ગાંધી એમના જીવનના અંતિમ પર્વમાં જે સંઘર્ષ અને જે સાધનામાંથી સમર્પણ બુદ્ધિપૂર્વક ગુજર્યા એનું આ તંતોતંત આલેખન ત્યારના જાહેર જીવનને અને સ્વરાજ સંક્રાન્તિને સમજવામાં પણ એક દિલબર ભોમિયો બની રહે એ બરનું છે. આપણા સમયનું મહાભારત જ કહો તો પણ ચાલે. એમણે જે પંથ પકડ્યો હતો એને ભર અસંમતિએ પણ પ્રીછનારા ને પ્રમાણનારા એમને ક્યાં ક્યાંથી કેવા મળી રહ્યા એની તપસીલ આહલાદક રીતે આશ્વસ્તકારી છે.

    પખવાડિયા પર જ જેમની ૧૪૫મી જન્મજયંતી ગઈ તે રામસ્વામી પેરિયારે ગાંધીહત્યા પછી એમની પત્રિકા ‘વિદુથલાઈ’માં લખ્યું હતું: ‘અનેક લોકો માને છે કે ગાંધી પ્રત્યે મારું શોકાકુલ હોવું, મગરનાં આંસુથી અધિક નથી. તેઓ જે માનતા હોય તે એમને માનવા દઈએ. કેવળ એ દુષ્ટ પ્રવૃત્તિના લોકો જેમણે ગાંધીહત્યા નિમિત્તે મીઠાઈ વહેંચી હતી તેઓ જ ગાંધીથી પ્રભાવિત ન હોય એવું ને, અને તે પણ એ હદે કે તેઓ ખુશી મનાવે છે. પણ ગાંધીના નિધનની ખબર મળતાં હું મારું દુ:ખ રોક્યું રોકી શક્યો નહોતો. લાંબો વખત હું મારા પંદર બાય પંદરના કમરામાં આંટા પર આંટા મારતો રહ્યો, કેવળ એ પ્રેમને વશ થઈને જે એમના રાજકારણ અને સેવાઓને કારણે મારા દિલના અતલ ઊંડાણમાં છુપાયેલ હતો. એમની કેટલીક રાજકીય રસમો સાથે મને ઊંડા મતભેદ હતા, પણ એમના અહિંસા, સત્ય અને પ્રેમને લઈને મારા મનમાં કોઈ પૂર્વગ્રહ નહોતો. એ સ્તો હતું મારા શોકનું કારણ.’

    ગાંધી ‘જહાં હો વહાં’ ત્યાં તો આપણે ક્યાંથી પહોંચી શકવાના હતા! પણ આપણે જ્યાં છીએ ત્યાં આ કે તે નિમિત્તે ગાંધી સાથે હૃદયવાર્તા તો કરી જ શકીએ છીએ ને. એમની પ્રસંગમાળા, વિચારમાળા, સમગ્ર ગાંધી સાહિત્ય રૂપે સર્વજન સુલભ છે. મળતાં મળે એવા અવસરો પણ આવી જ મળતા હોય છે. ગાંધી સંસ્થાઓ પરની સરકારી તવાઈમાં જેમ આ સંસ્થાઓની ખરી ખોટી નિર્બળતાઓ નિમિત્ત આપતી હશે તેમ સત્તા પ્રતિષ્ઠાનની માનસિકતા પણ તરત ઢેકો કાઢતી માલૂમ પડે છે. આ તવાઈ પણ, એમ તો, ગાંધી સન્મુખ થવાનો અવસર જ ને?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૨-૧૦– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૫૭): આદિવાસી વિદ્રોહની બે કથાઓ

    દીપક ધોળકિયા

    આ લેખ શરૂ કરતાં પહેલાં એક ભૂલ બદલ ક્ષમા માગવાનું જરૂરી છે. ઘટનાક્રમમાં આ બન્ને વિદ્રોહોની કથા ચોરી ચૌરાથી પહેલાં અને ગદર પછી છે, પણ એ શરતચૂક થઈ છે. જાગ્રત મન તો આદિવાસીઓના સંગ્રામનું મૂલ્ય જરાય ઓછું નથી આંકતું પણ સુષુપ્ત મન કદાચ અંદરના શિક્ષિત, શહેરી મધ્યમ વર્ગીય માણસની ટેવોથી મુક્ત નથી થયું એટલે જ આ બન્ને ઘટનાઓ ક્રમમાં હોવા છતાં લખવાનું રહી ગયું. ચાલો, જાગ્યા ત્યાંથી સવાર.

    ૦૦૦

    રાજસ્થાન અને ગુજરાતમાં ભીલોનો બળવો;

    છોટા નાગપુર (ઝારખંડ)માં ટાના ભગતનું આંદોલન

    ભીલો

    કોંગ્રેસની સ્થાપના પછી દેશમાં ત્રણ મોટા જન સંહાર થયા. જલિયાંવાલા બાગની ઘટનાથી આપણે પરિચિત જ છીએ. તે પછી કિસ્સા ખ્વાની બજારમાં  અહિંસક પઠાણો  પર બેફામ ગોળીબાર. પણ સૌથી પહેલો નરસંહાર ગુજરાત અને રાજસ્થાનની સરહદે બાંસવાડા જિલ્લાના માનગઢના પહાડોમાં થયો. અંગ્રેજો અને દેશી રાજાઓએ મળીને ૧૫૦૦ ભીલોને મોતને ઘાટે ઉતારી દીધા. આજે પણ ભીલો એને માનગઢ ધામ તરીકે ઓળખે છે.

    આ આંદોલનના નેતા ગોવિંદ ગુરુ પોતે ભીલ નહોતા, એ લંબાડા (વણઝારા) હતા પણ અંગ્રેજો અને રાજાઓ સાથે મળીને શોષણ કરતા હતા તે એમનાથી જોઈ શકાયું નહીં. ભીલોએ મહારાણા પ્રતાપની સેનામાં ભારે કૌવત દેખાડ્યું હતું પણ એમનો ગૌરવશાળી ઇતિહાસ હવે શોષકોના પગ તળે ચગદાવા લાગ્યો હતો. એમના સ્વાભિમાન પર સતત હુમલા થતા હતા.

    ગોવિંદ ગુરુએ પહેલાં તો એમનામાં સામાજિક સુધારા શરૂ કર્યા. દારૂ ન પીવો, માંસાહાર છોડવો, સ્ત્રીઓનું સન્માન કરવું, ચોરી ન કરવી, વગેરે.

    ધીમે ધીમે ગુજરાત અને રાજસ્થાનના ભીલો એમના ઉપદેશોને માનતા થઈ ગયા. એમણે ગીતો પણ રચ્યાં:

    अंग्रेजिया नई मानू. नई मानूं
    हरि ना शरणा में गुरु गोविंद बोल्या
    जांबू (देश) में जामलो (जनसमूह)जागे है,
    अंग्रेजिया नई मानू. नई मानूं।।

    (અંગ્રેજોને હું નહીં માનું. જંબુદેશમાં લોકો હવે જાગી ગયા છે. અંગ્રેજોને હું નહીં માનું…)

    એમનું બીજું એક ગીત છે, જેમાં એમણે કહ્યું છે કે ભૂરિયા (અંગ્રેજો) જમીન લઈ લેવા આવ્યા છેઃ

    दिल्ली रे दक्कण नू भूरिया, आवे है महराज।
    मगरे झंडो नेके आवे है महराज।
    नवो-नवो कानून काढे है महराज।।
    दुनियां के लेके लिए आवे है महराज।
    जमीं नु लेके लिए है महराज।।

    હવે આદિવાસીઓ સંગઠિત થવા લાગ્યા અને એમના શોષક કોણ છે તે સમજવા લાગ્યા. ૧૮૮૩માં એમણે આદિવાસીઓ માટે સંપ સભાની સ્થાપના કરી. ૧૯૦૩માં એનું પહેલું સંમેલન મળ્યું ભીલોમાં જાગૃતિ આવી હતી. દેશી રાજાઓ પહેલાં એમની પાસે વેઠમજૂરી કરાવતા પણ હવે ભીલોએ એના માટે ચોખ્ખી ના પાડી દીધી. એમણે દારૂ છોડ્યો એટલે પીઠાં બંધ પડ્યાં અને સરકારની આવક ઘટવા લાગી. એમણે હવે ઉધાર લેવાનું બંધ કરી દીધું એટલે શાહુકારોની કમાણી પણ બંધ પડી. દેશી રાજાઓને ડર લાગવા માંડ્યો કે આટલી સશક્ત જાતિ જાગી જશે તો ક્યાંક એમનાં રાજપાટ ઝુંટવી ન લે!

    ૭મી ડિસેમ્બર, ૧૯૦૮ના રોજ સંપ સભાનું વાર્ષિક અધિવેશન  માનગઢ ધામ ખાતે યોજાયું હતું. જેમાં હજારો લોકોએ ભાગ લીધો હતો. ફરી ૧૯૧૩માં, ગોવિંદ ગુરુના નેતૃત્વમાં માનગઢમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ એકઠા થયા. તેમના વિરોધીઓએ એવી અફવા ફેલાવી કે આદિવાસીઓ રજવાડાઓ કબજે કરવાની તૈયારી કરી રહ્યા છે.

    તે સમયે ગુજરાત બોમ્બે પ્રાંત હેઠળ હતું.૧૦ નવેમ્બર ૧૯૧૩ના રોજ બોમ્બે પ્રાંતની સેના ટેકરી પાસે પહોંચી પણ ભીલોએ અંગ્રેજ ફોજને પીછેહઠ કરવા ફરજ પાડી. ટેકરીથી દૂર લશ્કર થંભી ગયું. ૧૨મી નવેમ્બરે એક ભીલ પ્રતિનિધિ ટેકરી પરથી નીચે આવ્યો અને ભીલોનો માંગણી પત્ર સેનાના ઊપરીને સોંપ્યો પરંતુ સમાધાન ન થઈ શક્યું. કરારના અભાવે, ડુંગરપુર અને બાંસવાડાના રજવાડાઓએ અમદાવાદના કમિશનરને જાણ કરી કે જો “સંપ સભા”ના ભીલોને જલ્દી દબાવવામાં નહીં આવે, તો તેઓ તેમના રાજ્યને લૂંટી લેશે અને પોતાનું રાજ્ય સ્થાપશે.  અંગ્રેજ અધિકારીઓએ મેવાડ છાવણીમાંથી સેનાને બોલાવી. આ સેના ૧૭મીએ માનગઢ પહોંચી અને પહોંચતાની સાથે જ ગોળીબાર શરૂ કરી દીધો. કુલ પંદરસો મૃતદેહો એક પછી એક પડ્યા. ગોવિંદ ગુરુને પગમાં ગોળી વાગી હતી. તેઓ ત્યાં પડી ગયા. એમની ધરપકડ કરવામાં આવી. કેસ ચાલ્યો તેમાં એમને ફાંસીની સજા ફટકારવામાં આવી. પરંતુ બાદમાં ફાંસીની સજાને આજીવન કેદમાં બદલી દેવામાં આવી. સારા આચરણને કારણે તેમને ૧૯૨૩માં મુક્ત કરવામાં આવ્યા. તેમની મુક્તિ પછી, તેઓ ગુજરાતના પંચમહાલ જિલ્લાના કંબોઇ ગામમાં રહેવા લાગ્યા. જીવનના અંતિમ દિવસો સુધી તેઓ લોકકલ્યાણના કાર્યોમાં વ્યસ્ત રહ્યા. ત્યાં ૧૯૩૧માં તેમનું અવસાન થયું.

    આજે પણ માનગઢ ટેકરીના પથ્થરો પર પંદરસો આદિવાસીઓની શહાદત કોતરેલી છે. ભીલોએ જે ધૂણી પ્રગટાવી તે આજે પણ જીવંત છે.

    ઝારખંડમાં ટાના ભગત આંદોલન

    બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની અસર છોટા નાગપુર (હવે ઝારખંડ)માં પણ દેખાઈ. અહીં વટાળ પ્રવૃત્તિમાં માત્ર બ્રિટિશ મિશનરીઓ નહીં, જર્મની અને ઑસ્ટ્રિયાના મિશનરીઓ પણ સક્રિય હતા. વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જર્મની સામસામે હતાં. આદિવાસીઓમાં જર્મન મિશનરીઓનો પ્રભાવ વધારે હતો. એમ મનાય છે કે જર્મન મિશનરીઓ એમના આદિવાસી અનુયાયીઓની બહુ મોટી સંખ્યાનો લાભ લઈને કંઈ અળવીતરાં ન કરે એટલા માટે બ્રિટિશ મિશનરીઓએ ટાના ભગત આંદોલન શરૂ કરાવ્યું. પરંતુ ટાના ભગત આંદોલન મુખ્યત્વે બ્રિટિશ સરકારની વિરુદ્ધ રહ્યું. એમાં ખાસ કરીને મુંડા અને ઉરાંવ આદિવાસી જોડાયા.

    ટાના ભગત આંદોલનની શરૂઆત જતરા ભગત નામના એક વીસ-પચીસ વર્ષના યુવકે કરી. એણે જાહેર કર્યું કે એને ‘ધર્મેશ’ (ભગવાન)નાં દર્શન થયાં અને ભગવાને આદેશ આપ્યો છે કે ઉરાંવ આદિવાસીઓ હવેથી માત્ર  ભગવાનની ભક્તિ કરશે

    મતિયાવ (ભૂતપ્રેત) ની પૂજા વગેરે બંધ કરી દેશે. દરેક જણે સાદું જીવન જીવવાનું છે, માંસ, દારુ, નાચગાન, આભૂષણો છોડવાનાં છે. જતરા ભગતના આદેશોમાં વૈષ્ણવ અને કબીરપંથીઓની અસર સ્પષ્ટ દેખાય છે.

    જતરા ભગતે આ સાથે જ ઉપદેશ આપ્યો કે ઉરાંવ કાયમી  ખેતજમીન નહીં ખેડે અને એમની પરંપરાગત ઝૂમ ખેતી કરશે( આ પ્રકારની ખેતીમાં એક જગ્યાએ ઝાડઝાંખરાં બાળીને ખેતી કરાય છે, બીજા વર્ષે એ જમીનને પડતર રહેવા દેવાય છે કે જેથી એનાં રસકસ સચવાઈ રહે, દરેક પ્રદેશમાં એનાં જુદાં જુદાં નામ હોય છે). ઉરાંવને જમીનદારો કે સરકારના કર ચુકવવાની પણ મનાઈ કરી. થોડા જ વખતમાં  દૂર દૂરના આદિવાસીઓ પણ એના અનુયાયી બની ગયા. હવે માત્ર ઉરાંવ જ નહીં બીજા આદિવાસીઓ પણ ભળ્યા. આમ ભૂતપ્રેતમાં આસ્થા હટાવવા માટે શરૂ થયેલું આંદોલન હવે આર્થિક બની ગયું. સત્તાધારીઓ અને જમીનદારો આદિવાસીઓને કૂલી સમજતા પણ હવે આદિવાસીઓ કૂલીગીરી કરવાની ના પાડતા થઈ ગયા. જતરાના ઉપદેશમાં ઉપભોગવાદ માટે જગ્યા નહોતી. એટલે એવાં કામો છોડવાનું આદિવાસીઓ માટે સહેલું થઈ ગયું.

    સરકારે જતરા સામે કામમાં આડે આવવા બદલ કેસ કર્યો અને બે વરસની સજા કરી. તે દરમિયાન એની પત્નીએ આંદોલનનું નેતૃત્વ સંભાળ્યું. ૧૯૧૫માં સજા પૂરી થતાં જતરા પાછો આવ્યો ત્યારે એ આંદોલનથી દૂર થઈ ગયો અને એક કોંટ્રૅક્તરને ત્યાં નોકરીએ લાગી ગયો. પણ જેલવાસ દરમિયાન એને રોગ લાગુ પડી ગયો હતો અને એનું થોડા જ વખતમાં મૃત્યુ થઈ ગયું.

    જતરા પછી બીજા પણ ભગવાનનો આદેશ લઈને આવ્યા અને આંદોલન સંપૂર્ણપણે અંગ્રેજોની વિરુદ્ધ થઈ ગયું. ઉરાંવ હવે જર્મનીના વિજયનાં ગીતો બનાવતા થઈ ગયા. એમણે ‘જર્મન બાબા’ માટે ભજનો પણ બનાવ્યાં. એવામાં દુકાળ પડ્યો અને આદિવાસીઓ બીજે હિજરત કરવા લાગ્યા.

    દરમિયાન સરગૂજાના નાના રજવાડામાં બળવો થઈ ગયો એમાં ૫૩ માણસ માર્યા ગયા. આ બળવો કિશન અને ઉરાંવ આદિવાસીઓએ કર્યો હતો. એમનો હેતુ બ્રિટન માટે દેશમાં અંધાધૂંધી ફેલાવવાનો હતો. જો કે એમણે હિંસાનો માર્ગ પહેલી વાર લીધો હતો. હિંસાચારમાં ઉરાંવનો ફાળો ઓછો રહ્યો તે ટાના ભગત આંદોલનનો પ્રભાવ ગણાય.

    ધીરે ધીરે ભગત આંદોલનમાં નવા નેતા આવ્યા એમણે જતરા ભગતે આચારવિચાર માટે નક્કી કરેલાં ધોરણો હળવાં બનાવ્યાં, આંદોલન પણ રાષ્ટ્રીય આંદોલન તરફ ઢળવા લાગ્યું અને અંતે ગાંધીજીની રાંચીની એક મુલાકાત પછી પૂરેપૂરું ગાંધીજીના આંદોલનમાં ભળી ગયું.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧. લેખક જનાર્દન ગોંડ https://www.forwardpress.in/2020/04/history-mangarh-bhil-tribes-hindi/

    ૨. https://en.themooknayak.com/bahujan-nayak/govind-guru-legacy-of-a-tribal-icon-and-freedom-fighter-in-rajasthan

    ૩. સંજય કુમાર – Kumar, S. THE TANA BHAGAT MOVEMENT IN CHOTANAGPUR (1914-1920). Proceedings of the Indian History Congress, 69, 723-731. https://www.jstor.org/stable/44147236


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી