-
આપણી લોકશાહી અને જનતાનું ડી. એન. એ
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
ઉત્તરરામચરિત્રમાં રામચંદ્રજીનાં મુખમાં એક સંવાદ મૂકવામાં આવ્યો છે. “ગર્ભવતી હોવા છતાં તમારા કહેવાથી મેં સીતાને વનમાં હિસક પશુઓની વચ્ચે મૂકી દીધી છે. પરંતુ લાંબા સહવાસ અને અતિશય પ્રેમને કારણે તેની યાદમાં મને એકાદ આંસુ આવી જાય તો હે અયોધ્યાના નગરજનો, મને માફ કરશો” રામચંદ્રજીના આ શબ્દોથી અભિભૂત થઈને કોઈ વિદ્વાને કહ્યું છે કે પ્રજાની ઇચ્છાને માન આપનાર રાજાશાહી ખરેખર તો લોકશાહી જ કહેવાય. આ જ પ્રકારે કહેવાય છે કે બુદ્ધ અને મહાવીરના સમયમાં ગણરાજ્યો હતા જેને આપણે આપણી પ્રાચીન લોકશાહી તરીકે ઓળખીએ છીએ. આ લોક્શાહી કેવા પ્રકારની હતી તેનો ખ્યાલ નથી, છતાં આપણે ગૌરવ તો લઈએ છીએ કે લોક્શાહી સાથેનો આપણો નાતો ઘણો પુરાણો છે. પરંતુ આપણા લાંબા ઇતિહાસકાળમાં વ્યક્તિ -વ્યક્તિ વચ્ચેના સબંધમાં કે સામૂહિક જીવનમાં લોકશાહી ભૂતકાળમાં પણ ક્યારેય હોય એમ જણાયું નથી. આજે પણ પણ પરિસ્થિતિ એ જ છે. ઇતિહાસમાં કેટલાક અપવાદ રૂપ ઉદાહરણોને પરંપરા તરીકે ન જ ગણાવી શકાય.
લોકશાહી એ માત્ર રાજ્યવ્યવસ્થા નથી. ખરેખર તો એ જીવનપદ્ધતિ છે. વ્યક્તિ સ્વાતંત્ર્ય અને સમાનતા એ લોકશાહીના આધાર છે. તેનાં શિક્ષણની શરૂઆત પરિવારથી જ થાય છે. પરંતુ મોટાભાગના પરિવારોમાં સમાનતા અને સ્વાતંત્ર્ય હોતાં જ નથી. જેને આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય કહીએ છીએ તેમાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યકત કરવાની સ્વતંત્રતાનો પણ સમાવેશ થાય છે. ભાગ્યેજ કોઈ પરિવાર હશે જ્યાં દરેકને પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાની સ્વતંત્રતા હશે. મહિલાઓ સાથે ભેદભાવ તો અનાદિ કાળથી ચાલ્યો આવે છે. પુખ્ત ઉંમરના સંતાનોને પણ પોતાનો નિર્ણય કરવાની સ્વતંત્રતા ભૂતકાળમાં ક્યારેય ન હતી. પરિવારમાં જેની હકુમત હોય તેના શબ્દો જ કાયદો ગણાય છે. નિયમિત મંદિર-મસ્જિદ-દેરાસર માત્ર હુકમને કારણે જ જવું પડતું હોય છે. ધર્મ અને ધર્મગ્રંથોની વાત જે આપણને ગળથૂથીમાંથી જ શીખવાડવામાં આવે છે ત્યાં તર્ક, સવાલો કે ભિન્ન અભિપ્રાયની સ્વતંત્રતાને કોઈ સ્થાન જ નથી હોતું.
કોઇપણ મુદ્દા પર મતભેદ હોય તો લોકશાહીમાં તેને અંગે નિખાલસ ચર્ચા થવી જોઇએ અને ચર્ચાનો હેતુ યોગ્ય નિષ્કર્ષ પર આવવાનો હોવો જોઇએ. પરતુ અનુભવો એવા છે કે ભલે ખોટો હોય પણ પોતાનો પક્ષ સ્વીકરવાની બળજબરી જ હોય છે.
સહકારી મંડળીઓ કે નાની મોટી અનેક સંસ્થાઓનાં બંધારણોનું માળખું ભલે લોક્શાહી સ્વરૂપનું હોય, પરંતુ વ્યવહારમાં તો લોકશાહી ભાગ્યેજ દેખાય છે. ક્યારેક તો આવી સંસ્થામાં ઠરાવ લખીને કારોબારીના સભ્યોની સહી લેવાતી હોય છે. કેટલીક સામાન્ય સભાઓમાં તો મોવડીમંડળના સભ્યો ઉગ્ર ચર્ચા અને મતભેદનું નાટક કરતા પણ જોવાયા છે. લોક્શાહી રીતે વર્તન કરવાને બદલે લોકશાહીનો દેખાડો જ કરવામાં આવતો હોય છે.
આ જ પરિસ્થિતિ આપણી રાજ્યવ્યવસ્થાઓની હોય છે. નિયમિત સમયાંતરે થતી ચૂંટણી અને તેનાથી રચાતી સરકારોમાં લોકશાહીની ઇતિશ્રી નથી જ. ચૂંટણી લડતા રાજકીય પક્ષોમાં તો આંતરિક લોક્શાહી નામની પણ નથી હોતી. પક્ષની શિસ્તનાં નામે પક્ષના કાર્યકરો કે અન્ય નેતાઓના અવાજને દબાવી દેવામાં આવતો હોય છે. લોકશાહીમાં જેને પણ સત્તા સોંપવામાં આવે છે, તેને વિરોધી સૂર સહેજ પણ પસંદ નથી હોતો.
આપણા અને બીજા અનેક દેશોમાં કારોબારી સંસદને જવાબદાર માનવામાં આવે છે. પરંતુ સંસદની અંદર જે તે રાજકીય પક્ષોના નેતાના અભિપ્રાયને જ સામાન્ય સભ્યને પોતાનો અભિપ્રાય માનવાની ફરજ પાડવામાં આવે છે, પછી ભલે ને તે સતાપક્ષ હોય કે વિપક્ષ. આ વાત રાજકીય પક્ષોના કાર્યકરો કે ચૂંટાયેલા સભ્યોએ સ્વીકારીને જ ચાલવું પડે છે. આ માટેનું એક ઉદાહરણ યાદ આવે છે. 1972ની ગુજરાત વિધાનસભાની એક બેઠક પર બે ઉમેદવારો મુખ્ય સ્પર્ધકો હતા. જેમાં એક ઉમેદવાર લગ્ભગ નિરક્ષર હતા અને સામેના ઉમેદવાર બનારસ યુનોવર્સિટિના સ્નાતક તેમજ ખૂબ વિદ્વાન હતા. પેલા નિરક્ષર ઉમેદવારની ચૂંટણીસભામાં હાજર રહેલી એક વ્યક્તિએ ઉમેદવારને પૂછ્યું “તમે તો સાવ અભણ છો તો વિધાનસભમાં જઈને શું તમે માત્ર આંગળી જ ઉંચી કરવાના છો?” તેના જવાબમાં મંચ પર બેઠેલા ઉમેદવારના એક સહાયક ભાઈએ કહ્યું કે વિધાનસભામાં ભણેલો હોય કે અભણ, દરેકે પોતાના પક્ષનાં સમર્થનમાં માત્ર આંગળી જ ઊંચી કરવાની હોય છે! લોકશહી કહેવાતા દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિ છે. યાદ કરીએ ગાંધીજીને જેમણે બ્રિટનની પાર્લામેન્ટને આ જ કારણથી ‘વેશ્યા’ કહેલી.
લોકશાહીની ઉપર દર્શાવેલી સ્થિતિનાં મૂળમાં સામાન્ય પ્રજાને જ લોક્શાહીમાં કોઈ રસ નથી તે છે. જો પ્રજાનો લોકશાહી માટે આગ્રહ હોત તો રાજ્યવ્યવસ્થા સહિત દરેક સંસ્થા લોકશાહીની ભાવના પ્રમાણે ચાલતી હોત. માત્ર ભારતમાં જ નહિ, દુનિયાના લગભગ બધા જ દેશોમાં આ પરિસ્થિતિ છે. જો કોઈ સત્તાધારીનો વહીવટ લોક્શાહી રીતે ન ચાલતો હોય અને વિપક્ષો તે માટે ગમે તેટલો કકળાટ કરે પરંતુ પ્રજાનું તેમને સમર્થન નથી મળતું. મુઠ્ઠીભર જાગૃત નાગરિકો સિવાય બધા જ લોકોને પોતાના રોજેબરોજનાં જીવનમાં જ રસ હોય છે.
1975મં દેશમાં લદાયેલી કટોકટીને લોક્શાહી પરના મોટા પ્રહાર તરીકે વાજબી રીતે જ ગણવામાં આવે છે. ત્યાર પછી 1977માં યોજાયેલી ચૂંટણીમાં શ્રીમતી ઇંદિરા ગાંધી અને તેમના પક્ષને મળેલી શિકસ્તને ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતની પ્રજાની લોકશાહીના વિજય તરીકે ગણવામં આવી. પશ્ચિમના દેશાના રાજકીય વિશ્લેષકોએ અભિપ્રાય વ્યક્ત કર્યો કે ગરીબ અને નિરક્ષર એવી પ્રજાઓ પણ લોકશાહી જ ઝંખે છે. પરંતુ હકીકત કાંઇક જુદી જ છે. ખરેખર તો પ્રજાનો ચૂકાદો તો કટોકટી દરમિયાન કરવામાં આવેલા જુલ્મોના વિરોધમાં હતો. જે રાજ્યોમાં કટોકટી દરમિયાન પ્રજા પર જુલમો થયા હતા ત્યાં સત્તાપક્ષની હાર થઈ હતી. કટોકટી તો દક્ષિણના રાજ્યોમાં પણ લાદવામાં આવી હતી. પ્રજાના મૂળભૂત હક્કો પર ત્યાં પણ તરાપ મારવામાં આવી હતી. આમછતાં શ્રીમતી ઇંદિરા ગાંધીના પક્ષને ત્યાં વિજય મળ્યો હતો.
કટોકટી દરમિયાન શ્રીમતી ઇંદિરાગાંધી એક સરમુખ્ત્યાર સ્વરૂપે જ પ્રગટ થયેલા. આમછતાં રાયબરેલીની બેઠક પરથી 1977માં ચૂંટણી હારી ગયાના એક જ વર્ષમાં તેઓ કર્ણાટકની ચિકમંગલુર બેઠક પર પેટાચૂંટણી જીતી ગયાં હતાં. આટલું ઓછું હોય તેમ 1980ની સામાન્ય ચૂંટણીમાં તેમનો પક્ષ જંગી બહુ,મતીથી વિજયી થયો હતો. ખરેખર પ્રજાને જો લોકશાહીનો આગ્રહ હોય તો જેનામાં સરમુખત્યારનાં લક્ષણો સ્પષ્ટ રીતે દેખાયા હોય તેવા નેતાની પસંદગી કદી ન કરે.
લોક્શાહીમાં ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિર્ભિક હોવું જોઈએ. પરંતુ ચૂંટણી જીતીને સત્તા મેળવ્યા પછી કોઇ પણ શાસકને સ્વતંત્ર ન્યાયતંત્ર પસંદ નથી હોતું. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમને આડખીલી રૂપ લાગે છે. હાલના દિવસોમાં ઇઝરાયલના વડાપ્રધાને પ્રજાનો વિરોધ હોવાછતાં પાર્લામેન્ટમાં કાયદો કરીને ન્યાયતંત્રને પોતાના અંકૂશમાં લેવા પ્રયાસ કર્યો છે. ભારતમાં જ્યારે જ્યારે આવા પ્રયસો થયા છે ત્યારે પ્રજાએ તેનો વિરોધ કર્યાનું જાણમાં નથી. લોકશહીમાં ન્યાયની સર્વસ્વીકૃત પ્રણાલિકા પ્રમાણે આરોપી પર નિયમ પ્રમાણે કામ ચલાવીને આરોપીનો ગૂન્હો અદાલતમાં પુરવાર થાય તો જ તેને ગૂનેગાર ગણી શકાય. પરંતુ જોવા એ મળ્યું છે કે માત્ર શક પરથી થતા નકલી એન્કાઉન્ટરોને પ્રજા હોંશે હોંશે વધાવે છે અને એન્કાઉન્ટરના હિમાયતી નેતાની વાહવાહ થાય છે.
લોકશાહીમાં કાયદો સર્વોપરી હોવાથી કોઇપણ શકમંદ ગૂનેગારને તેના પર કામ ચલાવવા માટે પોલીસને સોંપાવો જોઈએ. પરંતુ જાહેર સ્થળે ખિસ્સા કાતરુ પકડાય તો ટોળને પેલા ખિસ્સા કાતરુને ન્યાય કરતું જોવાનો આપણને લગભગ બધાને જ અનુભવ હશે. હવે તો કહેવાતા ગૌરક્ષકો પણ કાયદો હાથમાં લેતા હોય છે.
આગાઉ જણાવ્યા પ્રમાણે સમાનતા એ લોકશાહી માટેની આવશ્યક શરત છે. જે સમાજમાં હજારો વર્ષથી વર્ણવ્યવસ્થાને નામે ઉંચનીચના ભેદ પ્રવર્તતા હોય તે સમાજને સમાનતા કે લોકશાહી સાથે સ્નાન સૂતકનો પણ સબંધ નથી એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
ટુંકમાં ગમે ગમે તેટલી શાણી વાત કરીએ, પરંતુ વ્યાપક પ્રજાને લોક્શાહી સાથે કોઇ લગાવ હોય તેમ જણાતું નથી. કોઇપણ સરકાર લોક્સભામાં માત્ર પોતાની બહુમતી હોવાના કારણે જ લોક્શાહી પર તરાપ મારતા કાયદાઓ કરવાની હિંમત કરી શકે છે, તેનું કારણ એ છે કે સરકારોનો અદમ્ય વિશ્વાસ હોય છે કે જનતાની તાસીર ગમે તે હોય પણ તેનાં ‘ડીએનએ’માં લોકશાહી નથી જ.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
અલવિદા, સુકુમાર પરીખ; અલવિદા અચ્યુત યાજ્ઞિક : તમારા વિના શહેર સૂનું લાગશે
તવારીખની તેજછાયા
એકે સ્વરાજના ઉઘાડ અને બીજા સ્વરાજમાં લિબરલ ધારાનું અનુસંધાન જાળવ્યું તો બીજાએ અભ્યાસી ને તળ કાર્યકર વચ્ચે સંધાનની જયપ્રકાશોત્તર લોકાયત પરંપરા સેવી.
પ્રકાશ ન. શાહ
અ લબત્ત, એ એક જોગાનુજોગ જ હતો, પણ બે પ્રસંગ લગભગ સાથે બની આવ્યા. પહેલી સપ્ટેમ્બરે સુકુમાર પરીખનું બેસણું હતું, અને બીજી સપ્ટેમ્બરે અચ્યુત યાજ્ઞિકની શ્રદ્ધાંજલિ સભા,

વિનોદિની નીલકંઠ સુકુમાર સુપ્રતિષ્ઠ નીલકંઠ ઘરાણાના. (માતા વિનોદિનીએ આગ્રહપૂર્વક પિતા રમણભાઈ નીલકંઠની અટક જાળવી રાખી હતી, એ ન્યાયે.) એમઆઈટી ટ્રેઈન્ડ સુકુમાર છેલ્લે જાહેરમાં ક્યારે જણાયા હતા? વિનોદિની નીલકંઠની નવલકથા ‘કદલીવન’નો અંગ્રેજી અનુવાદ પ્રગટ થયો ત્યારની એમની વ્હીલચેર હાજરી આ લખતી વખતે નજર સામે તરે છે. દરિયો ખેડી નાતમાંથી કમી થનાર મહીપતરામ, ‘ભદ્રંભદ્ર’કાર રમણભાઈ, એ ગુજરાતની નવાચારી કુટુંબ પરંપરાના વારસ સુકુમાર. પ્રાર્થના સમાજની સાર્ધ શતાબ્દી નિમિત્તે એક ધોરણસરના પ્રકાશન અને ‘કદલીવન’નો અનુવાદ શક્ય બનાવવા સાથે એમણે અંતિમ વર્ષોમાં કિંચિત ઋણતર્પણનો સાર્થક અનુભવ કર્યો હશે.
અચ્યુતને છેલ્લે ક્યારે જોયેલા? વિશાળ પ્રાતિનિધિક હાજરીએ છલકાતી શ્રદ્ધાંજલિ સભામાં સામેલ થનારાઓ પૈકી ઘણાએ કદાચ વર્ષોથી નહીં જોયા હોય; કેમ કે વર્ષોથી એ ઘર ને દફતર સિવાય ખાસ બહાર નીકળતા નહોતા. પણ દફતર બેઠા એમના અને એમની સાથેના સંપર્કોનો સુમાર નહોતો.
સુકુમાર પરીખે કોઇ પુસ્તક નહોતું લખ્યું, જેમ અચ્યુત યાજ્ઞિકે (સુચિત્રા શેઠ સાથે) ગુજરાત અને અમદાવાદ પરનાં નોંધપાત્ર (અને બીજાં પણ) લખ્યાં છે. પણ શૈલજા કાલેલકર પરીખે ‘નીલકંઠ્સ ઇન ગુજરાત’ (‘એકલો જાને રે’) લખ્યું છે એમાંથી અમદાવાદ અને ગુજરાતના પલટાતા સમાજજીવનનું, પરિવર્તન માટેની મથામણનું, પોતાની તરેહના જે તે પેઢીના વિશ્વદર્શનનું ચિત્ર જરૂર મળે છે. આ ચિત્ર સુઘારક પરંપરાનું છે, આજના સમયમાં તે મવાળ પણ લાગે. પરંતુ જે તે સમયમાં નાતજાતમાં નહીં માનવાની પ્રાર્થના સમાજની ભૂમિકા કે વિધવા પુનર્વિવાહ માટેનો આગ્રહ વગેરે વાંચીએ ત્યારે એનો સ્પંદ જરૂર અનુભવાય.
ભોળાનાથ સારાભાઇ સ્તો એ ઇતિહાસનિમિત્ત હતા જેમના તેડાવ્યા દલપતરામ વઢવાણથી પગપાળા નીકળી ફાર્બસને અમદાવાદ મળવા પહોંચ્યા અને ગુજરાતની તવારીખમાં એ અંતર ગાઉઓમાં નહીં એટલું સદીઓમાં કપાઇ ગયું. દેશભરમાં ત્યારે ઇશ્વરચંદ્ર વિદ્યાસાગરના વિદ્યાપ્રેમ, વિધવાવિવાહ સહિતના એકંદર સુધાર અભિગમની વિશિષ્ટ સુવાસ પ્રસરેલી હતી. ભોળાનાથના કુટુંબને એવી હોંશ કે દીકરીને દીકરો જન્મે તો વિદ્યાસાગર ને દીકરી જન્મે તો વિદ્યા એવું નામ આપવું. આ વિદ્યાગૌરી તે લેડી વિદ્યાગૌરી નીલકંઠ. સર રમણભાઇનાં પત્ની અને 1932માં ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સના લખનૌ અધિવેશનના પ્રમુખ. એમનાં દીકરી વિનોદિની.
ઉલટ પક્ષે, અચ્યુત (કુટુંબ પરંપરાનું નામ જયેન્દ્ર) આવી કોઇ જાણીતી પરંપરાનું સંતાન નહીં. પણ આપ અભ્યાસે એણે ગુજરાતની પરંપરા સમસ્તની દમદાર વારસાઇ અભ્યાસગત ખસૂસ કરી. લિબરલ કુટુંબોનો જે સહજ, કદાચ કંઇક સીમિત વિકાસ એનીયે અનોખી રેન્જ એમ તો ક્યાં નહોતી? હીરાલાલ ભગવતી અને જયન્તિ દલાલ પાસે સાંભળ્યું છે કે એમને કોઇ નાટક સારુ મારવાડી લોકઢાળની રચના જોઇતી’તી તો વિદ્યાબહેને એમને ત્યાં હાથલારી ખેંચવા શ્રમિકોની મુલાકાત કરાવી આપી હતી. તેઓ એ શ્રમિકોનું હૂંફઠેકાણું હતાં. આછુંપાતળુંયે એમનું યુનિયન જેવું કાંક હશે.
અચ્યુત, સેતુ-સેન્ટર ફોર સોશિયલ નોલેજ એન્ડ એક્શનથી ઓળખાયા અને પંકાયા. નીલકંઠ ધારા થોડોક અપવાદ બાદ કરતાં એકંદરે શાલીન બંધારણીય પરંપરામાં વિલસી. સેતુની કામગીરીમાં જયપ્રકાશના આંદોલન અને કટોકટીઉત્તર નવસમજનો ફાળો હતો તે એ રીતે કે જે લોકો તળ સ્તરે કામ કરે છે એમને નવપ્રયોગપૂર્વક સાંકળવામાં સહભાગી થવું. અભ્યાસીઓ અને સંશોધકોએ એમના એકાંતકક્ષની બહાર આવી તળ હલચલ, માઇક્રો સ્ટરિંગ્ઝ સાથે સંકળાવું, નોલેજ અને એક્શનનું સાથે લગાં હોવું એ એનો વિશેષ હતો. નામ પાડવું હોય તો એ ‘લોકાયન’ હતું અને છે. એટલે જે ગુણાત્મકપણે જુદું પડ્યું તે આ : ઓલ ઇન્ડિયા વિમેન્સ કોન્ફરન્સ અને ‘સેવા’ વચ્ચેનો ભેદ પકડાય તો આ મુદ્દો પમાય. અભ્યાસી અને તળ કાર્યકરનું સંધાન, નારી શક્તિનું શ્રમિક સંધાન, એમ પણ કહી શકો તમે. અલબત્ત, નોલેજ એન્ડ એક્શનનાં આ સહિયારાંમાં મળી રહેતો કર્મશીલ ને કાર્યકર કદાચ એક જુદી જ પ્રજાતિ છે.
વાતની શરૂઆત સુકુમાર પરીખ અને અચ્યુત યાજ્ઞિકને સાથે રાખીને પલટાતા અમદાવાદ-ગુજરાતને જોવાના પ્રયાસ રૂપે કરી હતી પણ જે કોશિશ અચ્યુત જેવા ‘જ્ઞાન અને કર્મનાં યથાસંભ સહિયારાં’ માટે મથનારાઓની સતત રહી તે છેલ્લાં વર્ષોની અમદાવાદ-ગુજરાતની કોમી તાસીરના સગડ દાબવાની. હમણાં જ વિદેહ થયેલા અમેરિકી અમદાવાદ-મિત્ર હાવર્ડ સ્પોડેકે જેની કોશિશ અમદાવાદને ‘શૉક સિટી ઓફ ટ્વેન્ટિયેથ સેન્ચરી ઇન્ડિયા’ એ ઉપશીર્ષકે હજુ થોડાં વરસ પર જ કરી હતી. એ વરસોમાં સ્પોડેક પહેલી જુલાઇએ ક્યારેક ક્યારેક વસંત-રજબ સ્મારક પર મળી જતા પણ તે આ વિષય પર કામ કરી રહ્યા હશે એનો ત્યારે મને અંદાજ નહોતો…દરમ્યાન, હમણાં તો સુકુમાર અને અચ્યુતને અલવિદા.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૩ – ૯ – ૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પાર્સલ મળ્યું
આનંદ રાવ
મારૂં નામ સુનંદા.અમેરીકામાં છું…ડૉક્ટર છું. પ્રેકટીસ ઘણી સરસ ચાલે છે. મારા મિત્રો અને ઘરનાં બધાં મને લાડમાં “સુની” કહે છે. મારા પતિ મયંક પણ હાર્ટ સર્જન છે. એમને મેડીકલ પ્રેકટીસ કરતાં stocks, bond અને રીયલ એસ્ટેટમાં પૈસા કમાવાનો ભારે “શૉખ” છે. એમના એક બે દોસ્તો છે. એ બધા સાથે મળીને બધું કર્યા કરે છે. હું એમની એ બધી ધમાલમાં માથુ મારતી નથી. ટીપીકલ દેશી ગૃહિણી છું. એમને જે કરવું હોય તે કર્યા કરે. અને થાય છે પણ એવું જ કે એ જેમાં હાથ નાખે છે એમાં પૈસા ડબલ અથવા એથી ય વધારે થાય છે. આજ સુધી કોઈ સોદામાં એમણે પૈસા ગુમાવ્યા હોય એવું મને યાદ નથી.મને કોઈ વાતની કમી નથી. હું સુખની ટોચ ઉપર બેઠી છું. એક ઈન્ડીયન સ્ત્રીને જે જોઈએ તે બધું મારી પાસે છે. પુરતો પૈસો છે. દેખાવડો, શોખીન, રંગીલો, ખુબ પૈસા કમાતો ડૉકટર પતિ છે. રાજમહેલ જેવું ઘર છે. હોશિયાર અને મીઠડાં બે બાળકો છે. માન છે. પ્રતિષ્ઠા છે. બધું છે. ઘરમાં ફુલ ટાઈમ મેઈડ છે. એક ઈન્ડીયન બહેન રસોઈ કરવા પાર્ટ ટાઈમ આવે છે. જીવન વિષે છું કોઈ ફરિયાદ કરી શકું એમ નથી. મેઘધનુષની કમાન ઉપર ઝુલો બાંધીને હું ઝુલતી હોઉ અને પક્ષીઓ મારી આસપાસ એમનાં મીઠાં ગીતોનો કલરવ કરતાં હોય એવા સુખમાં હું ઝુલી રહી છું.* *પણ હમણાં એક મહીના માટે ઈન્ડીયા મારાં ઘરડાં મમ્મી-પપ્પા પાસે રહી આવી અને ત્યાં મોહનને મળી ત્યારથી ઉદાસીનતા મારો પીછો છોડતી નથી. મારું હૈયુ જાણે ભાંગી પડ્યું છે. આ મોહન મારા હૈયામાંથી ખસતો નથી. મારી ઊંઘ હરામ થઈ ગઈ છે. આંખમાંથી આંસું સૂકાતાં નથી. આ આંસુ સહી શકાતાં નથી અને કોઈને બતાવી પણ શકાતાં નથી.મોહન અને હું એક જ ગામમાં ભણતાં હતાં. સાવ નાનું ગામડું. ગામની ભાગોળે નાની સ્કુલ હતી. એ સ્કુલમાં એકડીયા વર્ગમાં મને દાખલ કરવામાં આવેલી. મને નિશાળે જવું જરાય ગમતું ન્હોતું. મારી મરજી વિરુધ્ધ, મને પુછયા ગાછયા વીના જ મારાં માબાપે મને સ્કુલમાં દાખલ કરી દીધેલી. નિશાળનો ટાઈમ થાય એટલે હું ભેંકડા તાણીને ધમાલ મચાવી મૂકતી. પણ મારી મમ્મી સહેજે નમતું મૂકતી નહીં. ક્યારેક તો એ મને ફટકારતી પણ ખરી. એ વખતે મને આ મારી મમ્મી દુશ્મન જેવી લાગતી. બહુ કુર સ્ત્રી લાગતી. બાજુમાં રહેતા મોહનને એ બોલાવતી….“અલ્યા મોહનીયા, બેટા, આ સુનીને તારી સાથે લેતો જા. એને રસ્તામાં કોઈ પજવે નહી એનું ધ્યાન રાખજે. સુની, જો મોહન તારી સાથે છે. ડાહી થઈને જા હવે…નહીતર …” એના હાથમાં રાખેલી સોટી હલાવીને કહેતી.મોહન મારો હાથ પકડીને મારો રક્ષક બની જતો. એ મારા કરતાં એક વર્ષ આગળ હતો. એ પહેલા ધોરણમાં હતો. ડાહી ડાહી વાતો કરીને એ મને પટાવતો અને ધીરજ આપતો. બહુ ડાહ્યો ડમરો અને ગંભીર પુરુષ હોય એમ વર્તતો.“ચાલ સુની, તને કોઈ નહી પજવે. હું છું ને. લાવ તારૂં દફતર.” મારી સ્લેટની થેલી પણ એ એના ખભા ઉપર ભરવી લેતો. હું એનો હાથ પકડી રડતી રડતી એની સાથે ચાલતી. રસ્તામાં કૂતરૂ આવે તો ગભરાઈને હું એની પાછળ સંતાઈ જતી. કોણ જાણે કેમ પણ નાનપણમાં મને કુતરાંની બહુ બીક લાગતી. મોહન દફતર વીંઝીને કુતરાને દૂર કાઢી મૂકતો.“લે…બસ…કુતરુ જતું રહયું. હવે ડરીશ નહી.” હું ગભરાતી ગભરાતી દૂર જતા એ કુતરાને જોઈ રહેતી. મોહન મને અમારી કન્યાશાળાના ઝાંપા સુધી મૂકી જતો. પછી એ બાજુમાં છોકરાઓની સ્કુલમાં જતો રહેતો. નિશાળ છૂટે એટલે ઝાંપા પાસે મારી વાટ જોઈને ઊભો રહેતો. અમે લગભગ સાથે જ છૂટતાં અને રસ્તામાં રમતાં રમતાં ઘેર પહોંચી જતાં…ઉઘાડા પગે.એક વખત ઘેર જતાં મને પગમાં કાચનો ટુકડો સહેજ વાગી ગયો. થોડુ લોહી નીકળવા માંડ્યું. આમ તો કાંઈ ખાસ એટલું બધું નહોતું વાગ્યું. પણ મોહન સાથે હતો એટલે મોટો ભૅંકડો તાણીને હું નીચે બેસી પડી. બિચારો મોહન ગભરાઈ ગયો. એણે એના હાથે લોહી લૂછવા પ્રયત્ન કર્યો. પણ લોહી બંધ થયું નહી.“સુની, રસ્તા વચ્ચે રડાય નહી. તું તો ડાહી છું ને…ચાલ છાની રહી જા જોઉ…બહુ દુ:ખે છે? હમણાં મટી જશે…” જાણે મોટો વડીલ હોય એમ એ મને આશ્વાસન આપી પટાવતો હતો. એણે આસપાસ નજર કરી. રસ્તામાં ક્યાંક ચીંથરાનો ગાભો પડ્યો હોય તો લોહી લુછવા કામ લાગે. પણ ક્યાંય કોઈ ગાભો મળ્યો નહી. છેવટે એના યુનીકોર્મના ધોળા શર્ટના નીચેના ભાગથી એણે મારા પગનો ઘા દાબ્યો. થોડી વારમાં લોહી બંધ થઈ ગયું. લોહીના ડાઘાવાળું શર્ટ તરત એણે પાછું એની ખાખી ચડીમાં દાબી દીધું. પછી મારો હાથ પકડી એણે મને ઊભી કરી. એના ખભાનો ટેકો લઈ હું લંગડાતી લંગડાતી ચાલવા માંડી. ખરેખર તો મોહનના ટેકાની કે લંગડાવાની કાંઈ જ જરુર નહોતી. પણ મોહનનો કસ કાઢવામાં મને જાણે મઝા આવતી.હું એના ઉપર ખૂબ અધિકાર જમાવતી. ખૂબ દાદાગીરી કરતી. એના શર્ટ ઉપર લોહીના ડાઘા વિષે એને ચીંતા થતી હતી. “સુની, ઘેર જઈને મારી બાને કહેતી નહીં કે મારા ખમીસ ઉપર લોહીના ડાઘા પડ્યા છે. સમજી?”“નહીં કહું” રોતલ અવાજે મેં જવાબ આપેલો.પણ અમારા બંનેમાંથી એકેને એટલી અક્કલ ન્હોતી કે શર્ટ ઉપર પડેલા લોહીના ડાઘ સવારે એ શર્ટ ધોતી વખતે એની મમ્મીને દેખાયા વિના રહેવાના છે!?શિયાળાના દિવસોમાં મોહન બીજા છોકરાઓ સાથે ખેતરોમાં ઘૂમવા-રખડવા જતો. ખિસ્સાં ભરીને બોર લઈ આવતો. લીલી વરિયાળી લઈ આવતો. યાદ રાખીને એ મારો ભાગ સાચવી રાખતો. મારો ભાગ આપવા એ ક્યારેક મારે ઘેર આવતો. કાંતો બીજા દિવસે નિશાળે જતાં યાદ કરીને મને આપતો. મારો ભાગ એ કદી ભૂલતો નહી.ગામમાં મોહનના બાપાની કરિયાણાની નાનકડી દુકાન હતી. જ્યારે જ્યારે અમે એમની દુકાન પાસેથી પસાર થતાં ત્યારે એ મને એક ગોળી આપતા. તદન મફત. મોહન મારી સાથે હોય તો પણ ગોળી તો એ મને જ આપતા. પછી રસ્તામાં હું મારા દાંતે એ ગોળી તોડીને જે નાનામાં નાનો ટુકડો હોય તે એને આપતી. કશી પણ કચકચ શિવાય મોહન એ ટુકડો સ્વીકારી લેતો. હું જે કરૂં એ બધું હંમેશાં મોહનને માન્ય જ રહેતું. મારી ઈચ્છા એ જ એની ઈચ્છા રહેતી.
% %* %આજે મને સમજાય છે કે બાળપણમાં મે મોહનની ઉદારતા, એના ભલા સ્વભાવ અને એની સરળતાનો બહુ સ્વાર્થી ફાયદો ઉઠાવ્યો હતો. એની સાથે બહુ ઉધ્ધત અને તુમાખીભર્યું વર્તન કર્યું હતુ. હું કબૂલ કરૂં છું કે એટલી નાની બાળવયમાં પણ મારામાં જબરી અદેખાઈ, જબરી ઈર્ષા હતી….એક વખત, મારા કલાસમાં ભણતી કુમુદ પાસે સ્લેટમાં લખવાની પેન નહોતી. એણે ક્યાંક ખોઈ નાખેલી. મોહન પાસે એના દકફતરમાં હંમેશાં થોડા વધારાના ટુકડા હોય. એ મોહન પાસે આવી. મોહને એક ટુકડો કુમુદને આપ્યો. આપ્યો એટલું જ નહી … બહુ કાળજીથી પથ્થર ઉપર ઘસી ઘસીને અણી પણ કાઢી આપી. મોટો ઉદાર આત્મા! હું બાજુમાં ઊભી ઊભી જોયા કરતી હતી. પેન આપતાં આપતાં પાછું એ કુમુદડીને એણે કહયું,“લે. કુમુદ, સરસ અણી થઈ છે. હવે તારા અક્ષર પણ સરસ થશે.” કુમુદ પેન લઈને એના ક્લાસમાં દોડી ગઈ. એના ગયા પછી મેં ગુસ્સામાં મોહનના વાળ કચકચાવીને ખેંચ્યા. ખુબ હચમચાવી નાખ્યો.“કુમુદને પેન કેમ આપી દીધી?…કેમ આપી દીધી?…કેમ આપી દીધી?”વાળ ખેંચાવાથી મોહનને બિચારાને પીડા તો થતી જ હશે. એ જોર જોરથી બૂમો પાડવા માંડ્યો…..“હવે નહીં આપું…વાળ છોડ….હવે નહીં આપું….મારા વાળ છોડ…”મોહન બિચારો મારા હાથમાંથી વાળ છોડાવવા મથતો રહયો અને હું ખેંચતી રહી.મારી દાદાગીરીનો બીજો એક પ્રસંગ પણ મને યાદ આવે છે.નિશાળ છુટયા પછી અમે ઘેર જતાં હતાં. મોહનના ખિસ્સામાં દસ પૈસા હતા. નિશાળ પાસે ઊભા રહેલા લારીવાળા પાસેથી મોહને એ દસ પૈસાના ચણા લીધા. છાપાના કાગળમાં એક મુઠ્ઠી જેટલા ચણા પેલાએ આપ્યા. એમાંથી અરધા મોહને મારા હાથના ખોબામાં મૂક્યા. મારા જ વાંકે કાંઈક બન્યું અને મારા બધા ચણા મારા હાથમાંથી વેરાઈને જમીન ઉપર પડી ગયા. મારો પિત્તો ગયો અને મૅ ભૅકડો શરૂ કર્યો.બિચારો મોહન! જલ્દી જલ્દી વાંકો વળીને નીચે વેરાઈ ગયેલા મારા ચણા વીણવા લાગ્યો.“મારા ચણા” “મારા ચણા” કરતી કરતી, ગુસ્સાથી હું વાંકા વળેલા મોહનની પીઠ ઉપર જોર જોરથી મુક્કા મારવા લાગી. વિના કારણ. એનો વાંક હતો જ નહી તો પણ હું એને મારતી રહી.“સુની, લે…રડીશ નહીં. આ લે તારા ચણા…બસ?” બધા ચણા જમીન ઉપરથી વીણીને એ ઊભો થયો.“નીચે પડેલું ભૂત ખાય…” કહીને મૅ જોરથી એના હાથને ધક્કો માર્યો અને બધા ચાણા પાછા નીચે જમીનમાં ફેંકી દીધા.મારો ભેંકડો ચાલુ જ હતો. મોહને એની ઉદારતા બતાવી.“સારૂ…લે…આ મારા ચણા લઈ લે… બસ?” કાગળના પડીકાવાળા એના બધા ચણા એણે મને આપી દીધા. નફફટની જેમ મેં એ બધા ચણા લઈ લીધા અને ખાવા પણ માંડી. ચણા ચાવતું મારૂં મોઢું મોહન જોતો હતો એટલે મેં એને એમાંથી થોડા આપેલા.મોહનને આટલો પજવ્યા બદલ આજે મને બહુ પસ્તાવો થાય છે. પણ શું કરૂં? હવે લાચાર છું….એ બાળપણ હતું.બાળપણનાં આવાં તો કેટલાંય ખાટાં મીઠાં સંભારણાં મોહન સાથે સંકળાયેલાં છે. બાહ્ય દષ્ટિએ સાવ સામાન્ય લાગતી આ ઘટનાઓ મારે મન હવે એક અણમોલ ખજાના જેવી સ્મૃતીઓ છે. એ યાદોની મીઠાશ જ કાંઈ ઓર હોય છે.મોહન!કેટલો ભોળો! કેટલો ઉદાર! કેટલો ક્ષમાશીલ!મારી દાદાગીરી સહીને પણ એ હમેશાં મને ખુશ રાખતો! એણે હંમેશાં મને ‘આપ્યા’ જ કર્યું હતું. બદલામાં મારી પાસેથી કશી જ અપેક્ષા ન્હોતો રાખતો. મારી સાથે કદી કશી રકઝક નથી કરી. રકઝક કરીને એ મને કદી દુ:ખી કરવા નહોતો માગતો. હું કહું તે બધું મંજુર રાખવાવાળો. કેટલો નિસ્વાર્થી !કેટલો ત્યાગી! He was a giver, and giver only…* * *અમારી ઉમ્મર વધતી ગઈ. હું છઠ્ઠા ધોરણમાં આવી ગઈ. મોહન સાતમા ધોરણમાં આવી ગયો હતો. સાથે ૪િશાળે જવાનું તો ક્યારનું ય બંધ થઈ ગયું હતું. હવે તો એની હાજરીમાં કાંઈક જુદા જ ભાવ મારા મનમાં ખળભળી ઉઠતા. મોહન ક્યારેક કયારેક ધેર આવતો. ખેતરોમાંથી લાવેલા થોડાં શાકભાજી કે બોર અથવા લીલી વરિયાળી મારી બાને આપીને તરત જતો રહેતો. આમ મને મળ્યા સિવાય જતો રહેતો ત્યારે તો મને જબરો ગુસ્સો આવી જતો. એને હવે મારી પડી જ નથી. શું સમજતો હશે એના મનમાં? ઘાટ આવશે ત્યારે બરાબરનો ઠેકાણે કરી દઈશ.જોત જોતામાં મેટ્રીકની પરીક્ષાઓ આવીને ઊભી રહી. પેલું બાળપણ ક્યાં અલોપ થઈ ગયું! એની જગાએ શરીરમાં આ બધું શું ઘૂસી ગયું!ચિંતાઓ…! લાગણીઓના ગૂંચવાડા!આ બધું ક્યાંથી અને કેવી રીતે અંદર ઘૂસી ગયું! બહારથી તો મારૂં શરીર બદલાયું જ હતું. પરંતુ અંદરથી પણ હું કેટલી બદલાઈ ગઈ હતી! જે મોહનને મારા હાથે હું બરાબર પીટતી એ જ મોહનને
હવે હાથનો સ્પર્શ કરવાની કલ્પના આવતાં મનમાં કંઈકનું કંઈક થઈ જતું! બધી જ છોકરીઓ આમ બદલાતી હશે! છોકરાઓ પણ બદલાતા હશે કે પછી છોકરાઓ બધા એવા ને એવા જ જડ જેવા રહેતા હશે!મોહનનો દેખાવ પણ કેટલો બદલાઈ ગયો હતો! દાઢી અને મૂછો કાપવા માંડ્યો છે! એ પણ અંદરથી બદલાયો હશે ખરો! કોણ જાણે કેમ પણ હવે એ મારાથી બહુ દુર રહેતો. ગામડામાં તો અમારી ઉમ્મરના છોકરા છોકરીઓએ સમાજની લોકલાજ ખાતર દુર જ રહેવું પડે.મેટ્રીકની પરીક્ષાઓનું પરિણામ બહાર પડ્યું. અમારા વર્ગમાંથી મોટા ભાગના પાસ થઈ ગયાં હતાં. મોહન પણ પાસ થયો હતો. પરંતુ હું આખા કેન્દ્રમાં પહેલી આવી હતી. એ ખુશીમાં મારા બાપુજીએ મોટી આઈસ્ક્રીમ પાર્ટી આપી. મારા પિતા ગામના અચ્છા અને ભલા તલાટી તરીકે જાણીતા હતા. મારા કલાસના બધા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને બીજા મહેમાનો પાર્ટીમાં આવેલા. મોહન પણ હતો. હું એની પાસે ગઈ.“મોહન, હવે તું કઈ કૉલેજમાં જવાનો?” મૅ પુછયું.“ખબર નથી. આગે આગે દેખા જાયગા. તું ક્યાં જવાની?”“મને બરોડાની સાયન્સ કૉલેજમાં એડ્મીશન મળ્યું છે. ત્યાં જવાની છું.”“કોગ્રેચ્યુલેશન, સુની. હું તો…” એ આગળ કાંઈક કહેવા જતો હતો ત્યાં બાપુજીના બે મિત્રો અભિનંદન આપવા મારી પાસે આવ્યા. એટલે મોહન ટોળામાં ખોવાઈ ગયો. એ ક્યારે એના ઘરે જતો રહ્યો એની મને ખબર ના પડી.* * *થોડાં વધારે વર્ષ વીત્યાં. મારો મેડીકલ અભ્યાસ પુરો થવાની તૈયારી હતી. બાપુજી પણ રિટાયર્ડ થવાની તૈયારીમાં હતા, એમણે ગામ છોડી દીધું અને હું બરોડામાં હતી એટલે એમણે બરોડામાં જ એક સોસાયટીમાં ધર લઈ લીધું. હવે અમે બરોડાવાસી થઈ ગયાં.મેડીકલનું છેલ્લુ વર્ષ ખુબ મહેનત માગી લેતું હતું. મારી બધી શકિત અભ્યાસમાં જ કેન્દ્રીત થતી. પરીક્ષાઓ આપતાં આપતાં કૉલેજનાં પાંચ સાત વર્ષ ક્યાંય વીતી ગયાં. કૉલેજમાં નવું મિત્ર મંડળ પણ થયું હતું. નવા મિત્રો અને અભ્યાસનો બોજો….આ બધામાં મોહનની યાદ ધીમે ઘીમે ઝાંખી થઈને ઊંડે ઊંડે ક્યાંય વીસારે પડતી ગઈ.અંતે, હું ડૉક્ટર થઈ ગઈ. મારે કોઈ હોસ્પીટલમાં નોકરી કરવી કે પોતાની પ્રાઈવેટ પ્રેકટીસ શરૂ કરવી…એવી દ્વિધા મારા મનમાં ચાલતી હતી. પણ બાપુજીને તો મારી મેડીકલ કરીયર કરતાં મારા લગ્નની ચિંતા વધારે હતી. ઈન્ડીયન બાપને માટે એ સ્વાભાવિક હતું.એ અરસામાં મયંકકુમાર અમેરીકાથી કન્યાની શોધમાં ઈન્ડીયા આવેલા. સગાં સંબંધીઓના વર્તુળે અમારી મુલાકાત ગોઠવી…મયંકકુમારના વ્યક્યિત્વથી હું પ્રભાવીત થઈ ગઈ હતી. પરસ્પર અમે એક બીજાને ગમી ગયાં…. and the rest is history.ડૉ. મયંકને પરણીને હું અમેરીકા આવી ગઈ. પતિ, પૈસા, પ્રતિષ્ઠા અને બાળકો આ બધા સુખના ગગનમાં હું પાંખો ફેલાવતી સ્વૈર વિહાર કરતી થઈ ગઈ….* * *એક દિવસ વડોદરાથી બાની બિમારી અંગે ફોન આવ્યો. બાપુજીએ થોડા વખત માટે મને વડોદરા આવવા બહુ આગ્રહ કર્યો. બા મને મળવા માગતી હતી. એ તો વળી છોકરાંને પણ સાથે લાવવાનું કહ્યા કરતી હતી. પણ છોકરાંની સ્કુલો ચાલુ હતી એટલે હું એકલી નીકળી પડી.વડોદરા પહોંચ્યાને બે ત્રણ દિવસ થયા ત્યાં અમારા જુના ગામની મારી બહેનપણી માધુરી બાની ખબર કાઢવા આવી. અમે ગામની સ્કુલમાં સાથે જ ભણેલાં. મને જોઈને એ ઉછળી પડી.“અલી…સુની…તું?” એ મને વળગી પડી. હું પણ એને વળગી પડી.“ઓ, માધુરી તું કેટલા વર્ષે મળી!? તું હજુ ગામમાં જ છું કે ક્યાં છું?” એના આલિંગનમાંથી છૂટા પડતાં મૅ પુછયું.માધુરીની આંખો પણ આનંદથી છલકાઈ આવી હતી.“સુની, હું તો ક્યાં જવાની હતી? તારી જેમ મને અમેરીકા લઈ જનારો મુરતીયો મળતો નથી. મૅ બી.એડ્. કર્યું અને હવે ગામની એ જ સ્કુલમાં છોકરાં ભણાવું છું. કોઈક વાર તારાં બા-બાપુજી પાસે વડોદરા આવી જઉ છું. સાંભળ…આ વખતે હું તને ગામમાં મારે ધરે લઈ ગયા વગર નથી રહેવાની. બોલ ક્યારે આવીશ?”“કાલે જ. તું આજની રાત અહીં રહી જા. સવારે આપણે સાથે બસમાં જઈશું. મારે પણ ગામ જોવું છે. મારી એ નિશાળ…એ રસ્તા…એ ફળિયું…અને મારું એ બાળપણનું ઘર….આ બધું ફરી એક વાર જોવું છે. ગામ છોડ્યાને કેટલાં વર્ષ થઈ ગયાં!”માધુરી..! બિચારી કેવું જીવન જીવી રહી છે! લગ્ન કરવાની તીવ્ર ઈચ્છા હોવા છતાં આર્થિક, કૌટુમ્બિક અને સામાજીક સંજોગોને લીધે લગ્ન કરી શકી નહીં. એનાં માબાપ પાસે મોટી રકમની “ડાવરી” “પૈઠણ” આપીને મુરતીયો ખરીદવાની શકતી નથી. એટલે માધુરીનું સાડત્રીસ વર્ષનું યૌવન એમ જ એળે જઈ રહયું છે. દેખાવમાં માધુરી અમેરીકાની મારી એક મેક્સીકન નર્સ મીસ લોપેઝ જેવી સુંદર છે. ફરક એટલો છે કે મીસ લોપેઝને તો બૉય ફેન્ડ છે. માધુરીને તો લગ્ન સિવાય આ જીવનમાં પુરુષ સુખ મળવાનું જ નથી! એણે તો યૌવનને છાતી સરસુ દાબીને આખી જીંદગી ગૂંગળાયા જ કરવાનું છે.આ આપણી સામાજીક પરંપરાઓ અને રૂઢિઓ !!અને…હા…ગામમાં મોહન મળશે…મારી દબાઈ ગયેલી સ્મૃતિઓમાંથી ધૂળ ખંખેરતો મોહન એકદમ બહાર આવ્યો. મારા રોમે રોમમાં ઉત્સાહની ભરતી આવી ગઈ.મોહન! કેવો હશે! શું કરતો હશે! હજારો સવાલ મારા મનમાં ખળભળાટ મચાવવા લાગ્યા. એને મળવા હું અધીરી થઈ ગઈ.બીજા દિવસે સવારે નવ વાગે હું અને માધુરી વડોદરાથી ગામ જતી એસ.ટી.ની બસમાં ધક્કા મૂક્કી કરીને ચઢયાં. અંદર એક સીટ ખાલી હતી. એના ઉપર જલ્દી બેસી જવા માધુરીએ મને હુકમ કર્યો. બસના હડદોલા ખાતાં ખાતાં બે કલાકે આખરે ગામની ભાગોળ દેખાઈ.એ જુનું મંદિર….થોડે દૂર પેલું તળાવ…ચા અને પાનવાળાની બે ત્રણ હોટેલો…વડના મોટા ઝાડને ફરતો બાંધેલો એ ચોંરો…એ ઓટલા ઉપર આરામ કરવા સૂતેલા કેટલાક વૃધ્ધ માણસો…છાંયડામાં બેઠી બેઠી વાગોળી રહેલી કેટલીક ગાયો….આ બધાં જાણે મારા બાળપણને પાછું બોલાવતાં હતાં….ભાગોળ નજીક આવી એટલે ડ્રાયવરે બસ રસ્તા ઉપરથી થોડી નીચે ઊતારીને ઊભી રાખી. ધુળના ગોટા ઉડ્યા. હું અને માધુરી ઊતર્યા એટલે કંડકટરે ખખડતું એ બારણું પાછુ ધડ દઈને બંધ કર્યું અને બે ઘંટડી વગાડી. ધૂળના ગોટા ઉડાડતી બસ પાછી રોડ ઊપર ચઢી ગઈ.મારા બાળપણની એ ધરતી ઉપર મેં કેટલાં વર્ષે પાછો પગ મૂક્યો હતો! મારા અંગૅઅંગમાં ઝણઝણાટી પ્રસરી ગઈ. બસ-સ્ટેન્ડથી સહેજ દુર દેખાતી એ પ્રાથમિક શાળા ઉપર મૅ નજર કરી. એનું
એ જ એ મકાન હજુ છે. આ એ જ શાળા જ્યાં જતાં હું ખૂબ રડતી અને મોહન મને બહુ પ્રેમથી ધીરજ આપતો. આ ભાગોળ પણ એજ છે. એકાદ બે નવી હૉટેલોનાં છાપરાં અને લારીઓ સિવાય ભાગોળ પણ એવી છે.અમે માધુરીના ધર તરફ ચાલ્યાં.એ જ વાંકી ચુંકી ગલીઓ. ગામના રસ્તાઓમાં કાંઈ ખાસ ફરક નથી થયો. થોડું આગળ ચાલ્યાં અને ગામમાં પ્રવેશ્યાં ત્યાં એ જ નાનકડી કરિયાણાની દુકાન મને દેખાઈ, જ્યાંથી મને મફતગોળી મળતી. મોહન ગલ્લા ઉપર બેઠેલો લાગ્યો. તદ્દન મેલુ, જુનું જર્જરીત શર્ટ એણે પહેરેલું હતું.દુકાન જોતાં જ જાણે હું પાછી બાળક બની ગઈ. હરખઘેલી થતી હું ઝડપથી દુકાન તરફ દોડી. નજીક જઈને, સાવ અજાણી ઘરાક બનીને “એક રૂપિયાનો ગોળ આપો” કહીને મારે મોહનને જરા ચમકાવવો હતો.પણ એવું કાંઈ બન્યુ નહી.એ તરત મને ઓળખી ગયો.“સુની…!” બૂમ પાડીને એ ગલ્લાથી નીચે કુદ્યો.આશ્ચર્યનો મોટો આંચકો હું એના મોઢા ઉપર જોઈ શકી.“મોહન….” હું એને જોરથી વળગી પડી. મારી આંખમાંથી આંસુ વહે જતાં હતાં. હું લાગણીવશ બની ગઈ હતી. મોહન મને આલીંગન આપતાં ગભરાતો હતો. પુતળાની જેમ સ્તબ્ધ બની એ મારા આલીંગનમાં ઊભો હતો. થોડી ક્ષણો પછી એને મારા આલીંગનમાંથી છોડી હું એના આખા શરીર તરફ તાકીને જોતી ઉભી રહી.આ મોહન! આ હાલત! શરીર ઉપર સહેજે નુર નથી. નર્યું હાડપીંજર દેખાય છે. કેટલાંય વર્ષોનો ગાળો અમારી વચ્ચે પસાર થઈ ગયો હતો. આ ગાળામાં હું તો ક્યાંની ક્યાં આગળ નીકળી ગઈ છું. અમેરીકાની શ્રીમંતાઈમાં મ્હાલુ છું. અને આ મોહન! ત્યાંનો ત્યાં જ ખુંચી ગયો છે. ગરીબીમાં ડટાઈ ગયો છે.આને શું કહેવું! સંજોગો! પુરૂષાર્થ! નશીબ! કે બધું ભેગું!હું મોહન તરફ ફાટી આંખે જોતી રહી….મારી આંખો દુઃખથી ઉભરાતી હતી. ગરીબીએ મોહનને શેકીને ખતમ કરી નાખ્યો છે. હાડપીંજર જેવુ શરીર, પીળી ઊંડી ઉતરી ગયેલી આંખો, ગંદુ શર્ટ, ઉઘાડા પગ …બહારથી હું વાતોનો ડોળ કરતી હતી. પણ અંદરથી તો હું રડતી હતી. મોહનની આ હાલત જોઈને મારું હૈયું જાણે ઉકળતા તેલની કઢાઈમાં તળાતું હતું. મારા દુપટ્ટાથી આંખો લુછતાં, ગળગળા અવાજે પુછયું.“મોહન, તારું બધું કેમ છે? બાપુજી કેમ છે?”“બધું ઠીક ચાલ્યા કરે છે. બાપુજી તો ઘણાં વર્ષો પહેલાં ગુજરી ગયા.”મોહને સમાચાર આપ્યા. મને આઘાત લાગ્યો.“શું તકલીફ હતી એમને?”“એમને પેશાબમાં લોહી પડવા માંડ્યું હતું. અને થોડા જ દિવસમાં ચાલ્યા ગયા. ખુબ ખર્ચ કરીને મોટા ડાકટરને બતાવેલું. પણ…”મોહનની આંખમાં આંસુ આવી ગયાં. હું પણ ઢીલી થઈ ગઈ. મોહન આગળ બોલ્યો. “બાપુજીના ગયા પછી બધી જવાબદારી મારે માથે આવી પડી…..એમના ગયા પછી હું દુકાન ઉપર બેઠો. બાપુજીના છેલ્લા દિવસો હતા ત્યારે એમની ઈચ્છા ખાતર મારે લગન પણ કરવું પડ્યું.”મોહને એનાં આંસુ લુછયાં.“સુની, તું આટલાં વર્ષે યાદ કરીને ગામમાં આવી એ વાતનો જ મને તો અપાર આનંદ છે.”“દુકાન કેમ ચાલે છે?” મૅ પુછયું.“બે ટંકનો રોટલો જેમતેમ નીકળી રહે છે. બીજું શું જોઈએ? છોકરાં મોટાં થાય ત્યાં સુધીમાં દુકાન જરા સરખી થઈ જાય તો એકને તો કૉલેજમાં જરૂર મોકલવો છે…ચાલ….મારી વાત જવા દે…તારી વાત કર. તારૂં ત્યાં અમેરીકામાં બધું કેમ ચાલે છે? મઝામાં છું ને? તારાં બાળબચ્ચાં બધાં….”હું એને શું જવાબ આપું?મારી અમેરીકન શ્રીમંતાઈનું વર્ણન એની આગળ કેવી રીતે કરુ?કેટલો વિરોધાભાસ હતો મારી અને એની life styleમાં! હું એને કયા શબ્દોમાં…શું કહું? મારી જીભ ઉપડી નહી. જીગર ચાલી નહીં.મેં ટુંકમાં પતાવ્યું.“ઠીક ચાલે છે. અહીંના કરતાં ત્યાં અમેરીકામાં સુખ સગવડો થોડી સારી મળતી હોય છે.”“સુની, અમેરીકા પાછી જતાં પહેલાં થોડીવાર માટે મારે ઘરે આવીશ?”“હા. આજે સાંજે જ આવીશ.”* * *મેં માધુરી સાથે આગળ ચાલવા માંડ્યું. અમે સહેજ દૂર ગયાં ત્યાં મોહને બૂમ પાડી મને બોલાવી.“સુની….આ તારી ગોળી…!”ગલ્લાની બરણીમાંથી એણે એક ગોળી કાઢી અને હાથ ઊંચો કર્યો હતો. અમારા બાળપણનો નિયમ એણે યાદ કર્યો.હું જોરથી પાછી દોડી. એના હાથમાંથી ગોળી ઝૂંટવી લીધી, ગોળીનો કાગળ ખોલી દાંતથી તોડી. આ વખતે જે સૌથી મોટો ટુકડો હતો તે મેં એના મોઢામાં મૂકયો.એ ખડખડાટ હસી પડ્યો.હું પણ હસી.* * *માધુરીને ઘરે જતાં રસ્તામાં માધુરીએ મને મોહનની દુકાન વિષે, દુકાનની કંગાલ હાલત વીષે માહિતિ આપી.“સુની, સાંભળ. ગામમાં બીજા બે મોટા પ્રોવીઝન સ્ટોર ખુલ્યા છે. એટલે મોહનની આ જુની દુકાન હવે ભાંગી પડી છે. એના બાપના વખતમાં હતી એવી જ કંગાલ હાલત આજે પણ છે. જમાના પ્રમાણે અંદર થોડો શણગાર, થોડો ભપકો હોવો જોઈએ એવું કશું જ નથી. મોટા સ્ટોર સાથેની હરિફાઈમાં એની દુકાન છુંદાઈ ગઈ છે. વળી, મોહનમાં વેપાર કરવાની આવડત
હતી જ ક્યાં! એ તો હરતું ફરતું ભોળપણ અને જીવતી જાગતી ભલાઈ છે. બાપની બીમારીના ખર્ચામાં બાપદાદાનું ઘર ગુમાવી દીધું છે અને હવે ગામની બહાર એક ઝુંપડપટ્ટીમાં એની પત્ની અને છોકરાં રહે છે. મોહનની દુકાન સરખી નહી ચાલે તો થોડા જ વખતમાં હવે એનું આખુ કુટુંબ રસ્તા ઉપર ભીખ માગતુ થઈ જશે એવી પરિસ્થિતી આવી ગઈ છે.”માધુરી પોતે મોહનની પત્નીને મોહનથી છુપાવીને અવાર નવાર થોડા પૈસા આપે છે જેથી એ થોડો લોટ અને થોડું અનાજ ખરીદી શકે છે.મારું હૈયુ કકળી ઉઠ્યુ. ડુમો ભરાઈ આવ્યો. આંખે ઝળઝળીયાં આવી ગયાં. પર્સમાંથી પૈસા કાઢતાં હાથ કંપવા લાગ્યો.“માધુરી, પ્લીઝ…લે…આ પૈસા રાખ. હું અમેરીકા પાછી જાઉ ત્યાં સુધી તું મોહનના કુટુંબને બધી જ મદદ કરતી રહે.”* * *વાતોમાંને વાતોમાં માધુરીનું ઘર આવી ગયું. માધુરીએ મારા માટે બહુ સ્વાદીષ્ટ લંચ બનાવ્યું. પણ મોહનની હાલત જોયા જાણ્યા પછી મારી ભુખ મરી ગઈ હતી. લંચ પછી હું બાળપણના મારા એ ફળીયામાં પહોંચી ગઈ. પડોશીઓના આંગણામાં બાંધેલી ભેંસોના વીંઝાતાં પૂછડાંથી બચતી બચતી હું મારા બાળપણના ધર પાસે આવી. ઘરમાં તો બીજું કોઈ રહેતું હતું. મારે મારા બાળપણનું ઘર અંદરથી જોવું હતું. નવા રહેતા લોકોએ બહુ ભાવથી મને અંદર આવકારી. મેં ઘરમાં ચારે તરફ નજર નાખી. જુના સંસ્મરણોના તરંગો ઉછળવા માંડ્યા. જીવનની ટેપ જાણે રીવાઈન્ડ થતી હોય એવું લાગવા માંડ્યું. ઘરના ખૂણે ખૂણે મને મારૂં બાળપણ પાછું રમતું દેખાવા માંડ્યું. ઘરની દિવાલો ઉપર એ જુની સ્મૃતિઓ કોતરાયેલી દેખાઈ. થોડી ક્ષણો માટે હું કેટલાંય વર્ષો પાછળ દોડી ગઈ…ક્યાં બેસીને હું લેસન કરતી, ક્યાં બેસીને બા દાળ ચોખા વીણતી, ક્યાં બેસીને બા મારા લાંબા વાળમાં તેલ ઘસતી, બહારથી આવીને બાપુજી એમનો ઝભ્ભો અને ટોપી કઈ ખુંટી ઉપર લટકાવતા….એ બધું દેખાવા લાગ્યું.થોડી વાર પછી, આખો લુછતી, હું યાદગીરીઓના એ ભંડારમાંથી બહાર નીકળી અને મોહનના ધર તરફ ચાલવા માંડી.ગામથી સહેજ દુર મોહનની આ ઝુંપડપટ્ટી હતી. ચારે તરફ બેહદ ગંદકી હતી. દુપટ્ટાથી નાક મોં દાબતી, સંભાળીને પગલાં ભરતી હું આગળ વધતી હતી … જ્યાં ત્યાં રખડતાં ડુક્કરો…ગંદા પાણીની ખુલ્લી નીકોમાંથી પાણી ચાટતાં માંદલાં કુતરાં…જ્યાં ત્યાં ખડકાએલા કચરાના ઢગલા…ઉપર બણબણતી માખોનાં ઝુંડ … આ બધાથી બચતી બચતી હું મોહનના ઝુંપડે
આવી. મને જોતાં જ મોહનની પત્નીએ બહુ ઉમળકાથી મારો સત્કાર કર્યો. શેતરંજીની ધુળ ખંખેરીને નીચે પાથરી જેમ તેમ કરીને હું એ શેતરંજી ઉપર પલાંઠી વાળીને બેઠી. આસપાસ નજર કરી. માટીની ચાર દીવાલો અને ઉપર કટાએલાં પતરાંના છાપરા સીવાય ત્યાં બીજું કાંઈ નહોતું. એલ્યુમિનિયમનાં બે ત્રણ વાસણો અને પાણીનું એક માટલુ દેખાતુ હતુ. પાણીનો નળ કે ઈલેક્ટ્રિસિટી કે ન્હાવા ધોવાની કોઈ સગવડ નહોતી.મોહનના બે દીકરા પણ ઘેર આવી ગયા હતા. ખાખી ચડી, ઉપર મેલી બંડી પહેરેલી. શરમાતાં, સંકોચાતાં એક ખૂણામાં એ મારી સામે બેસી ગયા હતા. પુરતા ખોરાકને અભાવે શરીર ઉપર કોઈ નુર નહીં. આંખો પીળી થઈને ઊંડી ઉતરી ગઈ હતી. હું કાંઈ પૂછતી તો માત્ર “હા” અથવા “ના”માં જવાબ આપતાં. એમની સરખામણીમાં અમેરીકાના મારા રાજમહેલની સગવડોમાં ઉછરી રહેલાં મારાં બંને છોકરાં મને યાદ આવી ગયાં. ક્યાં એ છોકરાં અને ક્યાં આ! … કેવો ભેદ!મોહનની પત્ની બીલકુલ ભણેલી નહોતી. હું મોટી અમેરીકાવાળી…અને તેમાંય પાછી મોટી દાકટર..! મારા પ્રભાવથી એ બિચારી ખુબ દબાઈ ગઈ હતી. વારંવાર માથે છેડો ઓઢયા કરતી હતી.એણે ચાનો આગાહ કરવા માંડ્યો.“બુન, હું થોડી ચા મૂકું છુ. પીવી જ પડશે. તમે અમારે ઘેર કયે દા’ડે ફરી આવવાનાં હતાં!”એ ઊભી થઈ અને ચુલો સળગાવવાની તૈયારી કરવા લાગી.મેં સમજાવીને સ્પષ્ટ ના પાડી ત્યારે છેવટે એ માની.મોહન પણ દુકાનેથી મને મળવા સમયસર ઘેર આવી ગયો હતો. હું મનમાં વિચારતી રહી…મોહન, એનાં બંને બાળકો અને એની પત્ની…આ બધાંનાં શરીર કેવાં ફીક્કાં! દુબળાં અને માયકાંગલાં છે! બધાં malnutitionનાં ભોગ બન્યાં છે! એ નિસ્તેજ કુટુંબ તરફ છું તાકી રહી, મોટી અમેરીકન ડૉકટર હોવા છતાં હું લાચાર હતી. ગરીબી કોને કહેવાય એનાં સાક્ષાત દર્શન મને અત્યારે થયાં. એ આખા કુટુંબ સાથે વાતચીતમાં થોડો વખત ગાળી હું ભારે હૈયે ઊઠી અને માધુરીને ઘેર પહોંચી ગઈ. મોહનની આ હાલત! હું અંદરથી રડતી હતી.* * *મોહન અને એના કુટુંબથી છૂટી પડી ત્યારથી એક પ્રકારનો અજંપો, એક જાતની દુ:ખદ બેચેની મારામાં પ્રવેશી ગઈ, બીજા દીવસે સવારે વડોદરા જવા હું બસ સ્ટેન્ડ ઉપર આવી. મોહન પણ મને “આવજે” કહેવા બસ સ્ટેન્ડ ઉપર આવ્યો હતો.બસ આવી. ધક્કા ધક્કી કરીને હું અંદર ચઢી, એક સીટને અઢેલીને, બેલેન્સ સંભાળતી, હું ઊભી રહી અને ટિકિટ માટે પર્સમાંથી પૈસા કાઢયા. કંડકટરે બે કાણાં પાડી એ ટીકીટ અને બાકીના પૈસા મારા હાથમાં મુક્યા. જબરા આંચકા મારતી, બરાબરનો ખખડાટ કરતી બસ ઉપડી. મેં બારીમાંથી મોહનને “આવજે” કહેતો હાથ છેક સુધી હલાવ્યા કર્યો.બસ આગળ વધી. મને મનમાં મોટો વિરોધાભાસ દેખાવા લાગ્યો. ક્યાં મારી BMW ગાડીની સગવડ ભરી મુસાફરી અને ક્યાં આ મુસાફરી! દસ-પંદર માઈલની મુસાફરી કરવામાં કેટલી હાડમારી! ઈન્ડીયા અને અમેરીકા – આ બે લાઈફ-સ્ટાઈલ વચ્ચે કેટલું અંતર! આટલી બધી અસમાનતા કેમ!મોહન વિષેના ઊંડા વિચારોમાં અને બસની ધક્કાધક્કીમાં રસ્તો ક્યારે કપાઈ ગયો અને બસ વડોદરાના ડીપોમાં ક્યારે આવીને ઊભી રહી તે મને ખબર પડી નહી. રીક્ષા લઈને હું ઘેર પહોંચી. વડોદરા બા સાથે થોડા દિવસો કાઢયા. નક્કી કરેલી તારીખે પાછું એ જ જંબો જેટ પકડ્યું અને હતી ત્યાંને ત્યાં હું પાછી આવી પડી…અમેરીકામાં…મારા રાજમહેલમાં…મારી BMWમાં….પાછા આવીને મારી પ્રેક્ટીસના રૂટીનમાં જોડાઈ જવાનો પ્રયત્ન કર્યો. પણ મનમાંથી મોહન વિષેની એ બેચેની અને ઉદાસી ખસતી નથી. ગરીબીની હાથકડીઓમાં જકડાઈને લાચાર બની ગયેલો મોહન મારી નજર સામેથી ખસતો નથી.આ મોહને બાળપણમાં કેટલો બિનશરતી પ્રેમ મને આપ્યો હતો! હવે મારે એનું ત્રશ્ણ ચૂકવવાની ક્ષણ આવી છે.* * *હું જાતજાતનાં ઢગલાબંધ વિટામીન્સ ખરીદી લાવી. બીજી કેટલીક જીવન-જરૂરી ખાધ ચીજ-વસ્તુઓ પણ ખરીદી લાવી. છોકરાઓ માટે ચૉકલેટ કેન્ડીનાં પુષ્કળ પેકેટ પણ લાવી. થોડાં કપડાં પણ ખરીધાં – બે મોટાં મોટાં બૉકસ્ તૈયાર કર્યા. મોહનને એની દુકાનનું રૂપરંગ બદલવા, અને નવો માલ ભરવા દસ હજાર ડૉલરનો ચેક લખી એક પત્ર સાથે બોકસમાં મુક્યો. મોહન માટે તો દસ હજાર ડૉલરની રકમ એનું જીવન બદલી નાખનારી ગણાય. આટલી મૂડીથી એની દુકાનમાં નવા પ્રાણ આવી જશે. એનું જીવન ધોરણ ઊંચું આવી જશે. પણ એ મોહનીયો, એ ડોઢ ડાહ્યો પૈસા લેવાની ના પાડશે એ મને ખબર છે. એટલે આ રકમ લોન પેટે છે એવું મેં લખી દીધું.ગમેતેમ કરીને એને પૈસા આપ્યા સિવાય હવે હું એને નહીં છોડું. આ ચેક લઈને મારા બાપુજી પાસે જવાનું પણ એને જણાવ્યું. બાપુજી એની દુકાન માટે એને પુરુ માર્ગદર્શન આપશે. ટેપ ચોંટાડીને બન્ને બોંકસ બરાબર બંધ કર્યાં. ભારે વજનદાર ખોખાં ઉઠાવીને હું બહાર આવી. ડ્રાઈવ-વેમાં પડેલી મારી વાનની ડીકીમાં આ વજનદાર બૉક્સ મુકવા હું મથતી હતી ત્યાં મયંકની ગાડી ડ્રાઈવેમાં આવી. ગાડીમાંથી નીકળી એણે બન્ને ખોખાં મારી ગાડીમાં મુકવામાં મદદ કરી.“Where are you going?” મયંકે પુછયું.“Post office…”ગાડીની ચાવી શોધવા હું પર્સ ફેંદતી હતી. નજીક આવીને મયંકે બૉકસ ઉપરનાં સરનામાં વાંચ્યાં.“Who is this Mohan guy?” એણે આતુરતાથી પુછયું.“My friend. You do not know him.”હું ઉતાવળમાં હતી…જલ્દી જવાબ આપી દીધો.“Oh! your college friend?”મયંકના અવાજમાં મને શંકાનો-ઈર્ષાનો આછો રણકો સંભળાયો.“No.”“Your high school sweet heart!” કીંડરગાર્ટન ક્લાસનો મારો ભક્ત!” શીકિનુમ બારણૂં ધબ કરીને બંધ કરતાં હું બોલી.“No…..”“Then who is he…?”“He is my kindergarten devotee”.“Devotee…. તારો ભક્ત.” મયંક હસી પડ્યો.બે ઘડી માટે એના મોઢા ઉપર ઉપસી આવેલી શંકા અને ઈર્ષાની રેખાઓ ‘કીંડરગાર્ટન’ શબ્દ સાંભળીને અદશ્ય થઈ ગઈ.મેં ગાડી સ્ટાર્ટ કરી અને પોસ્ટ ઑકીસ તરફ હાંકી.મોહને મારી આંખો ખોલી નાખી હતી. ગરીબી અને શ્રીમંતાઈ વચ્ચેનો ભેદ એણે મને દીવા જેવો સ્પષ્ટ દેખાડ્યો હતો. મારી શ્રીમંતાઈના મેઘધનુષમાં ચમકતા રંગોમાં મોહને ગરીબીનો કાળો લીટો મને દેખાડ્યો હતો. ગગનના મારા સ્વૈરવિહારમાંથી એ મને પાછી ધરતી ઉપર લઈ આવ્યો હતો.વિચારોમાં ને વિચારોમાં પોસ્ટ ઓફીસ આવી ગઈ. ગાડી પાર્ક કરી હું અંદર ગઈ અને પાર્સલ રજીસ્ટર કરી દીધાં.વીસ-બાવીસ દિવસ વીતી ગયા. એક સાંજે હું ક્લિનિકમાંથી ઘેર આવી. ઘરે આવતાં મેલ-બૉકસમાં કાગળોનો ઢગલો જોયો.આમ તો મોટે ભાગે મયંકનાં ઢગલાબંધ મેગેઝીન્સ, બીલ્સ અને નકામાં કાગળીયાં જ આવતાં હોય છે. મેં ટપાલનો ઢગલો કાઢયો. અંદર ઈન્ડીયાનું એક ભૂરૂ એરોગ્રામ દેખાયું. અધીરી થઈને તરત મેં એ બહાર ખેંચ્યું. પાછળ જોયું. મોહનનો પત્ર હતો. હાશ…એને પાર્સલ મળી ગયું. મને ખૂબ આનંદ થયો.દસ હજાર ડૉલર વિષે એ દોઢ ડાહ્યાએ શું લખ્યું હશે એ જાણવાની મારી આતુરતા વધી ગઈ.તરત જ મેં એ પત્ર ખોલ્યો. ઈન્ડીયાનાં એ એરોગ્ામ અહીં અમેરીકા પહોંચતાં પહોંચતાં તો ચુંથાઈ ગયાં હોય છે! ખોલતાં ખોલતાં જ આડાઅવળી ફાટવા માંડે છે.બહુ ઉત્સાહથી મેં પત્ર વાંચવા માંડ્યો….અચાનક મારો હાથ થરથર ધ્રૂજી ઊઠયો. મારી આંખે અંધારાં આવી ગયાં…મારાથી ચીસ પડાઈ ગઈ.મોહનના મૃત્યુની જાણ કરવા એની પત્નીએ આ પત્ર એના દિકરા પાસે લખાવ્યો હતો. મારાં પાર્સલ ત્યાં પહોંચે તે પહેલાં જ મોહન કાયમ માટે ચાલ્યો ગયો હતો.ખોલેલો એ પત્ર મારા હાથમાં જ થીજી ગયો. હું સોફામાં ફસકાઈ પડી. પથ્થરની મૂર્તિની જેમ, વિચાર કરતી, રુમની સિલિંગ તરફ તાકતી, મુંગો કલ્પાંત કરતી, સૂમસામ બેસી રહી. આંસુ રોકી શકતી નહોતી.મનોમન બબડતી રહી….”મોહન, મને ત્યાં ગામમાં છેલ્લી વાર મળી લેવા માટે જ તેં તારો દેહ ટકાવી રાખ્યો હતો! મોહન, જીદંગીભર તેં મારી પાસેથી કદી કશું જ ‘લીધું‘ નથી. તેં મને કેવડો મોટો દગો દીધો?શું કરું મોહન, શું કરું? મોહન, હું બહુ મોડી પડી …મોડી પડી.
શ્રી આનંદરાવ લિંગાયતનો સંપર્ક gunjan.gujarati@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મુક્તિ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અંતે બ્રાહ્મમુહૂર્તમાં બાબુએ અંતિમ શ્વાસ લીધો. છેલ્લા આઠ-દસ દિવસથી એમની પીડા જોઈને ડૉક્ટરે પરિવારજનોને કહી દીધું, “ હવે તો પ્રાર્થના જ કરવી રહી કે ઈશ્વર એમને પીડામુક્ત મૃત્યુ આપે. જો કેન્સરનું દર્દ શરૂ થયું તો એ સહન કરવું કપરું બની જશે.”
જો કે સૌ સમજતાં હતાં કે આનાથી વધુ સુખદ મૃત્યુ ન જ હોઈ શકે. ચારે સંતાનો સરસ રીતે ગોઠવાઈ ગયાં હતાં. પિતાનું ખૂબ ધ્યાન રાખતા. પરિવારના સભ્યો એક જ શહેરમાં અને એકમેક સાથે સ્નેહથી સંકળાયેલા છે. ક્યાંય કોઈ કમી નહોતી.
અને એમની પત્ની? આવી સેવાપરાયણ પત્ની હોવી એ પણ નસીબની વાત હતી. ઉંમર તો એમનીય થઈ હતી છતાં દિવસ રાત જોયા વગર, રાતોની રાતો જાગીને છેલ્લા આઠ મહિનાથી બસ લગાતાર…..
બાબુજીને આ બધું ધ્યાન પર નહીં આવતું હોય કે પછી અમ્મા પાસે સેવા કરાવવાનો પોતાનો અધિકાર અને સેવા કરવાની અમ્માની ફરજ છે એમ માની લીધું હશે?
જોકે આ સેવાને કોઈએ અમ્માની ફરજ, દિનચર્યા કે સ્વભાવની સારપના નામે કરી દીધી. સૌના ધ્યાનનું કેન્દ્ર હતા બીમાર બાબુ અને એમની બીમારી કે જે મોતનો સંદેશો લઈને આવી હતી.
ત્રણ મહીના પહેલાં બાબુને નર્સિંગહોમમાં શિફ્ટ કર્યા. મેં રાહતનો શ્વાસ લીધો કે હવે એમની દેખરેખ નર્સ રાખશે તો અમ્માને થોડી શાંતિ મળશે. પણ એમ ન બન્યું અને સેવા-ચાકરીની જવાબદારી તો અમ્માની જ રહી. જરૂર પડે તો અમ્માની સાથે રહેવા પરિવારમાંથી કોઈ આવી જતું પણ સેવાનો ભાર તો અમ્માના માથે જ રહ્યો.
કાલે રાત્રે નર્સિંગ હોમમાંથી ડૉક્ટરનો ફોન આવ્યો કે, “જેને બોલાવવા હોય એમને બોલાવી લો. બાબુજી ભાન ખોઈ રહ્યા છે. એવું લાગે છે કે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે.”
મુંબઈ મોટાભાઈ, લખનૌ દીદી અને અમેરિકા નમનને જાણ કરી દેવાઈ.
ડોક્ટરની સૂચનાથી જાણે મારું હૃદય બેસી ગયું જાણે ઊંડા પાતાળ કૂવામાં પહોંચી ગઈ હોઉં એવું લાગ્યું. રવિ સ્નેહથી મને સંભાળી લેવા મથ્યા.
“શિવાની, તું તારી જાતની સંભાળ લે નહીંતર અમ્માને કેવી રીતે સાચવીશ?” રવિએ મને હિંમત આપવાનો પ્રયાસ કર્યો પણ અમ્મા પર શું વીતશે એ વિચારે હું વધુ વિચલિત થઈ.
મુંબઈ મોટાભાઈને ફોન કર્યો તો એ એકદમ સ્વસ્થતાથી બોલ્યા, “થેન્ક ગોડ…બાબુજીનો તકલીફ વગર શાંતિથી જવાનો સમય આવી ગયો. હું સવારની ફ્લાઇટમાં નીકળું છું. બંને છોકરાઓને બોર્ડની એક્ઝામ છે એટલે સુષ્માથી તો નહીં આવી શકાય અને બધા એક સામટા આવીને કરશે શું?”
દીદીને ફોન કર્યો તો એમણે પણ જલ્દી આવવાનો પ્રયાસ કરશે એમ જણાવ્યું. ન તો બાબુજી માટે કંઈ પૂછ્યું કે ન તો અમ્મા માટે. જાણે સૌ એક રસમ પૂરી કરવા આવી રહ્યાં હોય એવો તાલ હતો. હું અવાક હતી. મોટાભાઈ કે દીદીના અવાજની સ્વસ્થતા મને અકળાવતી હતી. જાણે આવા કોઈ સમાચારની રાહ જોતાં હોય એમ જરા સરખો પણ આઘાત કોઈના અવાજમાં ન સંભળાયો.
મારી અકળામણ રવિ સમજતો હતો. મને સાંત્વન આપતા સૂરે એ બોલ્યો, “ તું ખોટા વિચારે ના ચઢીશ. યાદ છે ને પહેલી વાર બાબુજીને કેન્સર થયું છે એવા રિપોર્ટ મળ્યાં ત્યારે કેટલા મહિનાઓ સુધી બાબુજીનું ધ્યાન રાખવાની દોડધામ ચાલી હતી? શરૂઆતના ચાર મહિનામાં મોટાભાઈ બે વાર દોડ્યા દોડ્યા આવ્યા હતા. અમેરિકાથી નમન પણ આવી ગયો હતો. એણે જ તો બાબુજીની બીમારીનો ખર્ચો ઉપાડી લીધો નહીંતર નર્સિંગ હોમનો ખર્ચો કેટલો ભારે પડી જાત? અહીંયા છે એ બધાએ અવારનવાર સમય સાચવી જ લીધો હતો ને? લાંબો સમય બીમારી ચાલે પછી સૌ પોતાના કામે લાગે એ બહુ સ્વાભાવિક છે.”
હવે આ વાત મને સમજાતી હતી. બીજા તો ઠીક હું પણ હવે ક્યાં પહેલાંની જેમ બાબુજી પાસે ચાર- પાંચ કલાક બેસતી હતી? ક્યારેક તો બે-બે દિવસના અંતરે આવતી હતી. કદાચ આ જ જીવનની સચ્ચાઈ હતી. બીમારી લાંબી ચાલે ત્યારે સૌ માત્ર ફરજ નિભાવતા હોય એમ સમય સાચવે પણ મનથી તો જે અત્યારે આવીને ઊભી હતી.એ ક્ષણની પ્રતીક્ષા જ કરવા માંડે. એટલે જ કદાચ સૌને આઘાત ઓછો અને રાહત વધુ લાગી હશે.
“શિવાની થોડી રિલેક્સ થા અને અમ્માનો વિચાર કર. સૌ બાબુજીમાં લાગી જશે પણ અમ્માને કોણ સાચવશે?” રવિ મારી પીઠ પસવારતા બોલ્યા.
“જાણું છું. એક માત્ર અમ્મા બાબુજી સાથે જોડાયેલી રહી છે બાકી તો લાંબી બીમારીએ અંતરંગ સંબંધોના તાર વેરવિખેર કરી નાખ્યા છે. સાચે જ અમ્મા બહુ એકલી પડી જશે. એ કેવી રીતે આ આઘાત સહી શકશે?” મેં ઊંડો નિસાસો નાખ્યો.
સમજણ નહોતી પડતી કે નર્સિંગ હોમમાં અમ્માનો સામનો કેવી રીતે કરીશ, પણ અમ્મા તો રોજની જેમ બાબુજીના પગ દબાવતી બેઠી હતી.
મને જોઈને બોલી, “ તું આ સમયે ક્યાંથી?”
હું સમજી ગઈ કે અમ્માને હજુ પરિસ્થિતિની જાણ નથી. મારા અવાજને સ્વસ્થ રાખીને પૂછ્યું, “બપોરનું ટિફિન હજુ કેમ અકબંધ જ પડ્યું છે?”
“અરે! કેટલા દિવસ પછી એ ઘેરી ઊંઘમાં છે. પગ દબાવવાનું બંધ કરું તો ઊઠી જાય અને ઊઠી જાય ત્યારે એમનો ગુસ્સો કેવો હોય છે એની તને ખબર તો છે. ઊઠતાની સાથે કેવી લાતો મારે છે એ તેં જોયું છે. ખાવાનું તો ઠીક છે મારા ભઈ, પેટમાં પડ્યું હોય કે ટિફિનમાં શું ફરક પડે છે?”
અમ્મા સતત કેવા ભયમાં જીવતી હતી એ મને સમજાયું. છેલ્લા કેટલાય સમયથી અમ્માનું આ જીવન હતું. ખાવાનીય સુધ નહોતી રહેતી. પણ ક્યારેય નથી કોઈના માટે ફરિયાદ કરી કે નથી કોઈની પર ગુસ્સો કર્યો. અને ગુસ્સો કરે તો કોના પર?
આશ્ચર્ય મને એ વાતનું હતું કે, અનુભવી એવા અમ્માને બાબુજી ઘેરી નિંદ્રામાં છે કે બેહોશીમાં એની ખબર નહોતી પડી. બાબુજીની આઠ મહિનાની બીમારીએ અમ્માની ઊંઘ-ભૂખની સાથે એમની ઇંન્દ્રિયો પણ સાવ સુન્ન કરી દીધી હતી?
એક બાજુ બાબુજીના જીવનના ગણેલા કલાકો, એ પછીની અમ્માની પ્રતિક્રિયા, આ બધા વિચારોની સાથે સહજ રહેવાનો ડોળ કરવાનું મને અઘરું પડતું હતું.
સવારે પાંચ વાગે બાબુજીએ અંતિમ શ્વાસ લીધો. અમ્મા સિવાય સૌ આ પરિસ્થિતિ માટે તૈયાર હતા. બાબુજીની ઠંડા પડી ગયેલા પગને પકડીને હૈયાફાટ રૂદન કરતી અમ્માને સંભાળવાનું દુષ્કર હતુ. અમ્માને સાંત્વન આપવાના પ્રયાસો વિફળ જતા હતા, પણ પછી જાણે આંસુ જ ખૂટી ગયા હોય એમ એ એકદમ શાંત થઈ ગઈ.
બાબુજીની સાથે એમનોય જીવ નીકળી ગયો હોય એટલી હદે એકદમ જડ બની ગયેલી અમ્માને બાબુજી પાસેથી ઊભી કરવી કઠિન હતું.
માંડ ઘર સુધી પહોંચીને એમને બાબુજીની રૂમમાં બેસાડી દીધાં. બહાર ચાલતી ગતિવિધિથી બેખબર અમ્માની સાથે હું બેસી રહી. બાર વાગતામાં બાબુજીનો નિર્જિવ દેહ ઘરે લવાયો ત્યારે ફરી રોક્કળ શરૂ થઈ. અમ્માને પરાણે બાબુજીના દર્શન માટે બહાર લઈ જવાઈ. આ તે કેવી વિડંબના? આજ સુધી અમ્મા બાબુજીના ક્રોધથી કાંપતી જ રહી છે. બાબુજીની નાની મોટી ઇચ્છાપૂર્તિમાં જ એના દિવસ-રાત પસાર થયા હતા.
અંતિમક્રિયા પતાવીને સૌ પાછા આવ્યા. એક પછી એક અમ્મા પાસે આવીને એમને ધીરજ અને હિંમત રાખવાનું આશ્વાસન આપતા રહ્યાં. સાંજે દીદી આવી. ફરી રોક્કળ શરૂ થઈ. અમ્મા કંઈ ન બોલ્યાં. રાત્રે સૌ જમ્યાં પણ અમ્માએ અન્નનો દાણો મ્હોંમાં ન મૂક્યો કે ન ઊંઘ્યાં.
બીજી સવારે સૌ ખરખરો કરવા આવ્યાં. બાબુજીની બીમારીની વાતો, થોડું રૂદન અને વચ્ચે આશ્વાસનનાં ઠાલાં શબ્દો…કોઈ કહેતું હતુ કે, “આને મૃત્યુ ન કહેવાય. આને તો મુક્તિ કહેવાય. કેવી બીમારી હતી અને કેવી શાંતિથી મોત થયું એ તો વિચારો! વળી કેવા નસીબદાર કે સવારના શુભ મુરતમાં પ્રાણ ગયા. આવું મોત કોના નસીબમાં હોય છે?”
વળી કોઈ અમ્માને કહેતા, “તમને તો સંતોષ હોવો જોઈએ કે ન કોઈ તકલીફ, ન પીડા અને બસ જંજાળમાંથી મુકત થઈ ગયા. પ્રભુ એમના આત્માને શાંતિ આપે.”
અમ્માની માંડ આંખ મળી હતી. આ કંઈ સૂવાનો સમય હતો, લોકો શું કહેશે એ વિચારે દીદી એમને ઊઠાડી દેતી હતી, પણ થાકેલા અમ્મા આંખ ઊંચી કરી શકતા નહોતાં. ભીંતને ટેકે બેઠેલાં અમ્માને ભાભીની મદદથી પલંગ પર સુવડાવ્યાં અને બાજુમાં બેસીને હળવેથી હું માથે હાથ ફેરવવા લાગી. સાચે જ અમ્માને કેટલા વખતે આમ ઘેરી નિંદ્રા લેતાં જોયા, પણ એ જોઈને દીદી ભડકી.
“બહાર આમ લોકો માતમ મનાવવા આવ્યા છે અને તેં એમને સુવડાવી દીધાં? હજુ તો બાબુજીની ચિતા નથી ઠરી અને અમ્મા આમ….?”
“દીદી, તમને લખનૌમાં બેઠા ક્યાંથી ખબર હોય કે અમ્માએ આઠ મહિનામાં કેટલા દિવસ ખાધા કે ઊંઘ્યા વગર કાઢ્યા છે. બાબુજી પાછળ દિવસ-રાત એક કર્યા છે. બાબુજીએ પણ ક્યારેય નથી વિચાર્યું કે અમ્માની શી હાલત હતી. એમના ગુસ્સાથી અમ્મા કેટલા ડરતાં હતાં એનીય ક્યાં ખબર હતી એમને? આઠ મહિનામાં અમ્મા પૂરેપૂરા નિચોવાઈ ગયા છે. એક કામ કરો તમે જ બહાર જઈને એ સૌની સાથે બેસો. કહી દો કે અમ્માની તબિયત ખરાબ છે.” જરા ઊંચા અવાજે મારાથી દીદી પાસે અકળામણ ઠલવાઈ.
મારી વાત, મારા તેવર જોઈને દીદી સડક થઈ ગયા અને એક અક્ષર બોલ્યા વગર બારણું ખોલીને બહાર ચાલ્યા ગયાં. એ ગયાં ત્યારે ખુલ્લા બારણામાંથી અવાજ સંભળાતા હતા,“ જે થયું એ સારું થયું કે ભગવાને એમને સમયસર મુક્તિ આપી દીધી.”
બહારના આ અવાજોથી અમ્મા જાગી ન જાય એની ચિંતામાં હું ઝડપથી બારણું બંધ કરી આવી. પાછી ફરી ત્યારે જોયું તો અમ્મા ઘેરી નિંદ્રામાં હતાં. એકદમ શાંત…નિશ્ચિંત …
મને એ ક્ષણે વિચાર આવ્યો કે ખરેખર મુક્તિ મળી કોને, બાબુજીને કે અમ્માને ?
મન્નૂ ભંડારી લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
મુકેશનાં સૉલો ગીતો – પાંચ કે ઓછાં ગીતોના હમસફર ગીતકારો સાથે રચાયેલાં છૂપાં રત્નો
સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ
વિંટેજ એરાના અંતકાળથી માંડીને અનુ-સુવર્ણ યુગની શરૂઆત સુધીના સમયકાળમાં ફેલાયેલી મુકેશની હિંદી ફિલ્મ સંગીત ક્ષેત્રની સક્રિય કારકિર્દી દરમ્યાન કેટલાયે નિરીક્ષકોએ તેમને ‘એક ગીતના જાદુગર’ તરીકે નવાજ્યા છે. ફિલ્મમાં મુકેશને ફાળે એક જ ગીત આવ્યું હોય પણ તે ફિલ્મનાં બીજાં બધાં ખુબ જ સારાં ગણાય એવાં ગીતો પર છવાઈ ગયું હોય તેવા તો અનેક દાખલાઓ જોવા મળશે. એટલે જ કદાચ, જ્યારે મુકેશે કુલ કેટલાં ગીતો ગાયાં હશે એવો જે અડસટ્ટો સામાન્યપણે સાંભળવા મળે ત્યારે એ સમયના સૌથી વધારે સૌથી વધારે વિશાળ સર્વર્તોમુખી વૈવિધ્ય સ્વરપટ ધરાવતા પુરુષ ગાયક મોહમ્મદ રફીનાં ગીતોની સંખ્યા બરાબરનો જ અંદાજ મુકાતો. પરંતુ હકીકત એ છે કે ૩૬ વર્ષની કારકિર્દીમાં મુકેશે ગાયેલાં હિંદી ગીતોની સંખ્યા માંડ ૮૬૦ જેટલી જ છે!આ આંકડાઓ કે મુકેશનાં ગીતોની વ્યાપક લોકસ્વીકૃતિની પ્રમાણિત કરવા માટે ‘મુકેશ ગીત કોશ’ જેવા અધિકૃત સંદર્ભ ગ્રંથ જેવાં કોઈ સાહિત્યની ખોજ કરવાની જરૂર નથી. અમસ્તી અમસ્તી રમાતી અંતાક્ષરી કે કે વિધિસર ગોઠવાયેલ જાહેર કાર્યક્રમોમાં. કે કોઈ પણ ગીતચાહકના હોઠ પર સહજપણે ફુટી નીકળતાં ગીતોમાંના ત્રણથી પાંચ ગીતોમાં એક ગીત તો અવશ્યપણે મુકેશનું જ હશે.
મુકેશની ૧૦૦મી જન્મતિથિએ યાદાંજલિના લેખ માટે મુકેશનાં ગીતોની પસંદગી માટે માપદંડ નક્કી કરતી વખતે મુકેશના સ્વરની આટલી વ્યાપક લોકસ્વીકૃતિની આ સ્વાભાવિક પ્રકલ્પના મનમાં રમતી હતી. એટલે ‘મુકેશ ગીત કોશ’ની સૂચિઓની ખોજ કરતી વખતે અવશપણે મુકેશ માટે ૧૦ કે તેથી ઓછાં ગીતો લખ્યાં હોય એવા ગીતકારોનાં ગીતોમાંથી મુકેશનાં કેટલાંક યાદગાર ગીતો મળી રહે છે તે જોઇ જવાની દૃષ્ટિથી કાચી નોંધ કરવાનું શરૂ કર્યું. કોઇ ખાસ પરસેવો પાડ્યા વિના જ મુકેશનાં યાદગાર ગણાય એવાં ગીતોથી યાદી ભરાવા લાગી.
એટલે પછી મેં એક ગીતકારનું, અને વધારામાં એક જ સંગીતકારનું એક જ ગીત, એવી પસંદ કરી કરીને ગીતો અળગાં કરવાનું શરૂ કર્યું. તો પણ એક મણકા માટે પુરતી સામગ્રી એકઠી કરવામાં બહુ નિપુણતાની જરૂર ન પડી. ખોજ જે કંઈ થોડી ઘણી લંબાઈ તેનું કારણ તો એટલું જ કે હવે મારા ઉદ્દેશ્યમાં મુકેશના સમગ્ર સક્રિયા કાર્યકાળને આવરી લેવાની લાલચ પણ ભળી હતી.
ગીતોની અહીં રજૂઆત ફિલ્મ પ્રકાશિત થવાનાં વર્ષના ઉતરતા ક્રમમાં છે, પણ તે સિવાય મારી પસંદગી માટે કોઈ અન્ય ધોરણ નથી લાગુ કર્યું.
દિલ જલતા હૈ તો જલને દે – પહેલી નજ઼ર (૧૯૪૫) – ગીતકારઃ ડૉ. સફદર ‘આહ’ – સંગીતઃ અનિલ બિશ્વાસ
મુકેશને ગાયક તરીકે પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આ ગીતને ખાતે છે. એક કહી શકાય આ ગીત પછી મુકેશની કારકિર્દીને સફળતાના બ્રહાંડમાં છલાંગ મારવાનો પલાયન વેગ મળ્યો!
હસીનોં કો હસીનોંએ મોહબ્બત હો હી જાતી હૈ – મૂર્તિ (૧૯૪૫) – ગીતકારઃ પં. ઈંદ્ર – સંગીતઃ બુલો સી રાની
કે એલ સાયગલની છાયાના પ્રભાવનાં આ ગીતમાં મુકેશની ખુશીનાં ગીતો ગાઈ શકવાની જે શક્યતાઓ સ્પષ્ટપણે કળાઈ રહી છે તે જોયા પછી તેમને ‘કરૂણા સાગર’ કહેવું મુશ્કેલ લાગે…!
બહે ના કભી નૈન સે નીર ઊઠી હો ચાહે કિતની મનમેં પીર – વિદ્યા (૧૯૪૮) – ગીતકારઃ યશોનન્દન જોશી – સંગીતકારઃ એસ ડી બર્મન
‘પહેલી નજ઼ર’ની સફળતા પછી મુકેશ એ સમયના લગભગ બધા જ અભિનેતાઓ માટે સર્વસામાન્ય પાર્શ્વ પુરુષ ગાયક તરીકે સ્થાન મેળવવા લાગ્યા હતા. વિધિએ જો અવળા પસાઓની રમત ન માંડી હોત તો સુવર્ણ યુગનો પુરુષ પાર્શ્વ ગાયનનો ઇતિહાસ કદાચ અલગ પણ હોત !?
તેરે પ્યારકો ઇસ તરહ સે ભુલાના ન દિલ ચાહતા હૈ ન હમ ચાહતે હૈ – મૈને જીના સીખ લિયા (૧૯૫૯) – ગીતકારઃ રાહિલ ગોરખપુરી – સંગીતઃ રોશન
ફિલ્મમાં રૂસણાં-મનામણાંનાં જૉડીયાં ગીત – અય જી મૈને પૂછા આપ કો હુઆ હૈ ક્યા માટે જેટલી સ્વાભાવિક પસંદગી મોહમ્મદ રફી / આશા ભોસલેની રહી હશે, તૂટેલાં દિલની પીડા વ્યકત કરતાં આ ગીત માટે એટલી સહજ પસંદગી મુકેશની રહી હશે. )
મુઝકો ઈસ રાતકી તન્હાઈ મેં આવાજ ન દો – દિલ ભી તેરા હમ ભી તેરે (૧૯૬૦) – ગીતકાર શમીમ જયપુરી – સંગીતઃ કલ્યાણજી આણંદજી
‘૬૦ના દાયકામાં મોહમ્મદ રફીનું મસમોટું મોજું બધે ફરી વળ્યું એ પહેલાં નવાસવા અભિનેતા (અહીં ધર્મેન્દ્ર તેમની પહેલવહેલી ફિલ્મમાં) અને પગભર થતા સંગીતકારો (અહીં કલ્યાણજી આણંદજી) માટે મુકેશનો સ્વર સફળતાની ચાવી સમાન મનાતો.
કાંટોમેં રહને વાલે કાંટોસે ક્યા ડરેંગે – મતલબી દુનિયા (૧૯૬૧) – ગીતકારઃ રમેશ ગુપ્તા – સંગીતઃ જયન્તિ જોશી
આજે આ ગીતકાર કે સંગીતકારના નામ ભલે કોઈને કદાચ યાદ ન આવે, આ ગીત તો પણ કદાચ ભુલાયેલું હોય એમ લાગે પણ ભુલાયું તો ન જ હોય !
ઘર ભી થા દીવારેં ભી થી તુમસે હી ઘર ઘર કહલાયા – ભાભીકી ચુડીયાં (૧૯૬૧) – ગીતકારઃ નરેન્દ્ર શર્મા – સંગીતઃ સ્નેહલ ભાટકર
મુકેશના સ્વરમાં ઘુંટાતી પીડા ગીતને અલગ મુકામ પર લાવી મુકે છે. ખાસ્સા નીચા સુરમાં ગીત ચાલતું હોય ત્યારે (બીજા અંતરામાં) અચાનક જ એકદોઢ સ્વર સરળતાથી ઉંચે સરી જઈ, લાગણીની તીવ્રતા વ્યક્ત કરી, ફરી પાછી પીડાની ગર્તાના નીચા સુરમાં પાછા સરી આવતા મુકેશ સાવ સહજ જ લાગે છે.
કભી કિસીકી ખુશિયાં કભી લુટે ના બનતે બનતે મહલ કિસીકા ટૂટે ના – ઝિંદગી ઔર ખ્વાબ (૧૯૬૧) – ગીતકારઃ પ્રદીપજી – સંગીતઃ દત્તારામ
‘તૂટેલાં દિલનાં ગીત’ની સફળ ફોર્મુલા સમાન સીચ્યુએશનનાં આ ગીતમાં પણ પ્રદીપજીનું કવિત્વ એટલું જ મહોરી રહે છે –
અભી અભી દો ફુલોવાલી ઝુમ રહી થી ડાલી
ઘીરી અચાનક કલી બીજલી ગીરનેવાલી
હોતે હોતે સાથ કિસીકા છૂટે ના.જબ ગમ – એ – ઈશ્ક઼ સતાતા હૈ તો હંસ લેતા હું – કિનારે કિનારે (૧૯૬૩) – ગીતકારઃ ન્યાય શર્મા – સંગીતઃ જયદેવ
કરૂણ ભાવને ઉજાગર કરતી મુકેશના સ્વરની સંવેદનાને જયદેવે પુરેપુરી નિખારી છે. મુકેશનાં સિમાચિહ્ન ગીતોમાં આ ગીત આગવું સ્થાન ભોગવે છે.
ગોરે ગોરે ચાંદ પે મુખ પે કાલી કાલી આંખેં હૈ – અનિતા (૧૯૬૩) – ગીતકારઃ આરઝૂ લખનવી – સંગીતઃ લક્ષ્મીકાંત પ્યારેલાલ
૧૯૫૧માં અવસાન પામેલ આરઝૂ લખનવીની આ ગઝલના બોલ જાણે ફિલ્મની આ સીચ્યુએશન માટે જ લખાયેલા શી રીતે હોય એવો સવાલ કાયમ રહેતો.
આજે થોડી ઊંડાણમાં શોધખોળ કરવાની તક મળી. મુખડા સિવાયના મૂળ ગઝલના બોલ આ મુજબ છે –
मुँह से पल्ला क्या सरकाना इस बादल में बिजली है
सूझती है ऐसी ही नहीं जो फूटने वाली आँखें हैंचाह ने अंधा कर रक्खा है और नहीं तो देखने में
आँखें आँखें सब हैं बराबर कौन निराली आँखें हैंबे जिस के अंधेर है सब कुछ ऐसी बात है उस में क्या
जी का है ये बावला-पन या भोली-भाली आँखें हैं‘आरज़ू’ अब भी खोटे खरे को कर के अलग ही रख देंगी
उन की परख का क्या कहना है जो टेकसाली आँखें हैंબેક઼સૂર (૧૯૫૦)માં પણ મુખડા સિવાયના બોલ સાવ જ બદલી નખીને આ ગઝલને મુઝરા સ્વરૂપે રજૂ કરાઈ છે.
આરઝૂ લખનવી ૧૯૪૨ થી ૧૯૪૬ મુંબઈમાં વસ્યા હતા અને તેમને હિંદી ફિલ્મો માટે એ સમયમાં ૨૦૦ જેટલાં ગીતો પણ લખ્યાં હતાં, એ વાતની પૂર્તિ અનેક સંદર્ભોમાં જોવા મળે છે,
પણ, પોતાની મૂળ ગઝલને આમ અલગ જ સ્વરૂપે આરઝૂ લખનવીએ જ લખી હશે, લખી હોય તો શા માટે એમ કર્યું હશે એ સવાલોના જવાબ તો હજૂ નથી મળતા ….
તેરી નિગાહોં પે મર મર ગયે હમ – શબનમ (૧૯૬૪) – ગીતકારઃ જાવેદ અન્વર – સંગીતઃ ઉષા ખન્ના
ફિલ્મમાં રોમેન્ટીક ભાવના મોહમ્મદ રફીનાં આગવાં બબ્બે ગીત – મૈને રખ્ખા હૈ મુહબ્બત અપને અફસાને કા નામ અને યે તેરી સાદગી યે તેઆ બાંકપન – છે, ગીતના ભાવની મજા બગાડી નાખે એવી પરદા પર મહેમૂદની અદાયગી છે, છતાં ઉષા ખન્નાએ આ ગીત માટે મુકેશ પર ઉતારેલી પસંદગીમાં મુકેશ ક્યાંય ઊણા નથી ઉતરતા !
કઇ સદીયોં સે કઈ જન્મોંસે તેરે પ્યારકો તરસે મેરા મન – મિલાપ (૧૯૭૨) – ગીતકાર: ‘નક઼શ’ લાયલપુરી – સંગીતઃ બૃજ ભુષણ
ઊંચા સુરમાં ઈંતઝારના અંત માટે પ્રેમિકાને કરાતા પુકાર પછી ગીત વિરહના સુરને રહસ્યના ભાવમાં વણી લે છે…
મૈં ઢૂંઢતા હું જિનકો રાતોંકે ખયાલોમેં – ઠોકર (૧૯૭૪) – ગીતકારઃ સાજન દહેલવી – સંગીતઃ શ્યામજી ઘનશ્યામજી
રોમેન્ટીક ગીત – અપની આંખોંમેં બસા કર તેરા દિદાર કરૂં – મોહમ્મદ રફીને ફાળવવું અને કરૂણ ભાવનું ગીત હોય તો મુકેશને ફાળવવું એ ફોર્મ્યુલા છેક ૧૯૭૪માં પણ સફળતાની એટલી જ અસરકારક ચાવી સાબિત થાય છે !
આટલાં ગીતો મળી આવ્યા પછી પણ મુકેશ માટે એક જ ગીત લખ્યું હોય એવા જ ૬૭ ગીતકારો છે એવું જાણવા મળે છે એટલે હજુ બીજાં ગીતો શોધવાની લાલચ તો બહુ થઈ આવે, પણ આજ પુરતો, એક વધારે ગીત યાદ કરીને, અહીં વિરામ લઈએ –
ગોરી ચોરી-ચોરી જાના બુરી બાત હૈ – એક ઝલક ((૧૫૭)નું વર્ઝન સંસ્કરણ – ગીતકારઃ એસ એચ બિહારી – સંગીતઃ હેમંત કુમાર
મૂળ ગીત – રેકર્ડ નંબર N 52139 – જ રજૂ થતાંવેંત લોકજીભે ચડી ગયું હતું. એટલે એ લોકપિયતાને વટાવી લેવા પ્રતિસ્પર્ધી કંપનીએ મુકેશના સ્વરમાં આ વર્ઝન સંસ્કરણની રેકર્ડ FT21009 બહાર પાડી હશે? મુકેશે આ ગીત માટે સ્વર આપવાની સંમતિ કેમ આપી હશે? હિંદી ફિલ્મ ઉદ્યોગનાં રહસ્ય તો અતાગ જ છે !
ગીતકાર અને મુકેશના સ્વરનાં અનોખાં સંયોજનોના આધારે મુકેશને તેમની હવે પછીની જન્મ અને પુણ્ય તિથિઓની અંજલિ માટે હજુ આવાં ગીતોની આપણી ખોજ જારી જ રહે છે. ….
ૠણ સ્વીકાર:
મુખ્ય માહિતી સ્ત્રોત તરીકે મુકેશ ગીતકોશ, દ્વિતીય સંસ્કરણ, ૨૦૨૦ – હરીશ રઘુવંશી ‖ પ્રકાશકઃ શ્રીમતી સતિન્દર કૌર, એચ આઈ જી – ૫૪૫, રતન લાલ નગર – કાનપુર ૨૦૮ ૦૨૨, ભારત ‖ ઈ-મેલઃ: hamraaz18@yahoo.com
અને
વિડિયો લિંક – એનો વ્યાવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરીસહ યુ ટ્યુબ ઉપરથી
-
ફિલ્મી ગઝલો – ૧૬. નરેન્દ્ર શર્મા
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નરેન્દ્ર શર્માને બરબસ પંડિત નરેન્દ્ર શર્મા તરીકે સંબોધવા પડે એવી એમની વિદ્વત્તા અને મરતબો હતો. એમની ગીતકાર તરીકેની ઓળખાણ માટે એમની એક કાલજયી રચના ‘ જ્યોતિ કલશ છલકે ‘ ( ભાભી કી ચૂડિયાં ) કાફી છે પણ એ ઘણા દ્રષ્ટિકોણથી ફિલ્મ સંગીતના જ નહીં, મનોરંજનની દુનિયાની ઊંચી શખ્સિયત હતા. એક રીતે પાયાના પથ્થર અને પથ – પ્રદર્શક .મારા જેવા રેડિયો સાંભળવાના શોખીનો આજે પણ લાખોની તાદાદમાં છે અને એ જાણે છે કે લોકપ્રિય સંગીત ચેનલ વિવિધ ભારતીના સ્થાપક એટલે પંડિતજી. વિવિધ ભારતી નામ જ એમની દેન. આજે પણ ચાલતા એના અનેક કાર્યક્રમોનું નામકરણ પણ એમના થકી થયું.
લોકપ્રિય સિરીયલ ‘ મહાભારત ‘ ના પરામર્શદાતા, પટકથાકાર અને ગીતકાર એ પોતે. સોથી વધુ ફિલ્મોમાં ગીતો લખનારા નરેન્દ્ર શર્મા એમના વિશુદ્ધ સંસ્કૃત -પ્રચૂર હિંદી ગીતોના કારણે સુખ્યાત હતા. એમનો રચના – સંસાર જોતાં પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે કે એમણે ગઝલો નહીં લખી હોય. હા, બહુ ઓછી લખી છે. મહામહેનતે એમાંથી મળેલી બે, જે શ્રાવ્ય રીતે ગઝલ લાગે નહીં પણ છે ગઝલ જ. પ્રસ્તૂત છે :
સુની જો ઉનકે આનેકી આહટ, ગરીબખાના સજાયા હમને
કદમ મુબારક હમારે દર પે, નસીબ અપના જગાયા હમને
હુઈ હૈ આમદ ખુશ – આમદીદા, યે કહના દિલકો સિખાયા હમને
ખિલે હૈં આશા કે ફૂલ મન મેં, યે રાઝ ઉનસે છુપાયા હમને
વે અપને નેતા હમ ઉનકી જનતા, હંમેશા નાતા નિભાયા હમને
યે તેરી રહમત હૈ મેરે માલિક, ગુમાં નહીં થા વો પાયા હમને
ઉન્હેં જો દેખા ઝુકા લી આંખેં, અદબ સે અહેસાં ઉઠાયા હમને
સુની જો ઉનકે આનેકી આહટ, ગરીબખાના સજાયા હમને..
– ફિલ્મ : સત્યમ શિવમ સુંદરમ – ૧૯૭૮
– લતા
– લક્ષ્મીકાંત પ્યારેલાલ
( ગઝલમાં બધા જ શેર મત્લા છે. આવી ગઝલને ‘ મત્લા ગઝલ ‘ કહે છે. )
ખિલે થે કલ જો ગુલાબ લાખોં, કહાં ગએ વો બતાએ કોઈ
નિખાર દે કે અપની આંખોં, કહાં ગએ વો બતાએ કોઈ
હૈ સૂની મહફિલ બિસાત ખાલી, ચિરાગ ઝિલમિલ નિઢાલ પ્યાલી
હૈ ફર્શ ખાકી ન કોઈ બાકી, કહાં ગએ વો બતાએ કોઈ
ખયાલ રીતે હૈં ખ્વાબ ઝૂઠે, ન કોઈ રીઝે ન કોઈ રૂઠે
વો મીત પહલે વો દિન સુનહલે, કહાં ગએ વો બતાએ કોઈ
હસીન રાતેં મહીન બાતેં, કહીં નહીં હૈં વો મીઠી ઘાતેં
ન ચૈન ચલતે ન નૈન છલતે, કહાં ગએ વો બતાએ કોઈ..
– ફિલ્મ: સુબહ – ૧૯૮૨
– લતા
– હૃદયનાથ મંગેશકર
( અહીં ‘ કહાં ગએ વો બતાએ કોઈ ‘ જેવો લાંબો રદીફ તો છે પણ કાફિયા સમગ્ર ગઝલમાં છે જ નહીં . )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ: (૩૦) એક ગતકડું નામે ‘અંજલી’

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬)નો અનુવાદ}
પિયૂષ એમ પંડ્યા
અગાઉ ગવાઈ ગયેલા(લોકપ્રિય) ગીતનું નવું સંસ્કરણ ગાવાના ગતકડાની રમતમાં પડનાર દરેક ગાયક તેને શ્રદ્ધાંજલી, શ્રદ્ધાંજલી અને શ્રદ્ધાંજલી તરીકે જ ઓળખાવે છે. અંજલીને કોઈ પણ નામ આપો. તે અંજલી જ રહે છે. હાલના સમયમાં તે ગાયકને પોતાની ગાવાની ક્ષમતા પ્રસ્થાપિત કરવાનું સગવડીયું બહાનું પૂરું પાડે છે.
અંજલીના અંચળા હેઠળ ગાનારા એક પણ ગાયકને તેણે જેનું ગીત ગાયું હોય તે ગાયકની છબીને વધુ ઊંચી લઈ જવામાં સફળતા નથી મળી. હકીકતે મૂળ ગીત અને તેના નવા સ્વરૂપને એક પછી એક સાંભળતાં જે ખ્યાલ આવે છે તે નિષ્ફળતાનો છે. કેટલાક કિસ્સામાં ખ્યાતનામ ગાયકોએ તેમના સમકાલિનોનાં ગાયેલાં લોકપ્રિય ગીતો ગાયાં છે. પણ, એ તેમણે અંજલીના અંચળા હેઠળ નથી કર્યું.
૧૯૪૪ની ફિલ્મ ‘મેરી બહન’નાં સાયગલે ગાયેલાં દો નૈના મતવાલે , છૂપો ના છૂપો ના ઓ પ્યારી સજનીયાં અને અય કાતિબ એ તકદીર મુઝે ઈતના બતા દે જેવાં ગીતો પંકજ મલ્લિકે પણ ગાયાં હતાં. એ જ રીતે ઝોહરાબાઈએ ફિલ્મ ‘ગાંવ કી ગોરી’ (૧૯૪૫)નાં નૂરજહાંએ ગાયેલાં ગીતો અને સુરૈયાએ ૧૯૪૬ની ફિલ્મ ‘શમા’ માટે શમશાદ બેગમે ગાયેલાં ગીતો ગાયાં છે. વળી રાજકુમારીએ શમશાદ બેગમનાં ગાયેલાં ફિલ્મ ‘હુમાયુ'(૧૯૪૫)નાં ગીતો ગાયાં અને હેમંતકુમારે ઊમાદેવી સાથે મળીને ફિલ્મ ‘બાબુલ'(૧૯૯૫૦)નું તલત મહમૂદ અને શમશાદ બેગમે ગાયેલું ગીત મીલતે હી આંખેં દીલ હુઆ દીવાના કિસી કા ગાયું હતું. આશા ભોંસલેએ પણ લતાએ ગાયેલાં ફિલ્મ ‘અમર'(૧૯૫૪)નાં ગીતો રેકોર્ડ કરાવ્યાં છે.
આ ગીતો અંજલીના કોઈ જ દાવા-દેખાડા વગર ગવાયાં હતાં. એ ગાયકોના શ્રેષ્ઠ પ્રયત્ન પછી પણ તેમને જે કંઈ સફળતા મળી તે એકદમ આછીપાતળી કહેવાય તેવી હતી. કારણ સીધું હતું – એ ગીતોના સંગીતકારોએ તેમના અવાજને ધ્યાનમાં રાખીને ધૂનો નહોતી બનાવી. ‘મેરી બહન’નાં સાયગલે ગાયેલાં ગીતોના સ્વરકાર પંકજ મલ્લિકને પણ તે ગીતો ગાવામાં તેમણે ધારી હશે એવી સફળતા નહોતી મળી.
કોઈ બે ગાયકો અવાજની સમાન ગુણવત્તા ધરાવતા નથી હોતા. બહેતર ગાયકની પ્રતિષ્ઠા તેની ગાયકીની બારીકીઓ વડે બંધાય છે. અને તે થકી જ બે ગાયકો વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. ૧૯૩૫માં સાગર મૂવીટોને સુરેન્દ્રનો ન્યુ થિયેટર્સના સાયગલ સામેના જવાબ તરીકે બહોળો પ્રચાર કર્યો હતો. તેમની પહેલી જ ફિલ્મ ‘ડેક્કન ક્વીન'(૧૯૩૬)માં તેમણે ગાયેલું ગીત બીરહા કી આગ લગી મોરે મન મેં સાયગલે ગાયેલા લોકપ્રિય ગીત બાલમ આય બસો મોરે મન મેં (દેવદાસ’, ૧૯૩૫)ની બેઠી નકલ જેવું હતું.

સુરેન્દ્રનું ગાયેલું તે ગીત ચાલ્યું નહીં. અનિલ બિશ્વાસે ફિલ્મ ‘જાગીરદાર'(૧૯૩૭)નાં ગીતો તૈયાર કરીને તેમને આગવી ઓળખ ન આપી હોત તો સુરેન્દ્ર ગાયક તરીકે સફળ ન થયા હોત. પણ સી.એચ.આત્માનો હાથ ઝાલનાર કોઈ ન મળ્યું. શંકર-જયકિશન (રોઉં મૈં સાગર કે કિનારે, ‘નગીના’ – ૧૯૫૧) અને ઓ.પી.નૈયર (ઈસ બેવફા જહાં મેં વફા ઢૂંઢતે રહે, ‘આસમાન’ – ૧૯૫૨) જેવા સંગીતકારોને તેમનામાં સાયગલ દેખાતા હતા. પણ છેવટે તે સરખામણી જ તેમની પડતીનું કારણ બની રહી. એવા જ કારણસર લતા મંગેશકર જેવો અવાજ ધરાવતાં સુમન કલ્યાણપૂર લતાની નબળી નકલ બનીને રહી ગયાં. તેમના અવાજમાં લતાની વિશિષ્ટ મીઠાશ ન હતી.
લતા સંગીતનિર્દેશકની કલ્પના કરતાં પણ એક ડગલું આગળ જતાં હતાં. આ જ કારણથી સચીનદેવ બર્મને તેમનાથી પાંચ વર્ષ અળગા રહ્યા પછી લતા સાથે સમાધાન કરી લીધું હતું. કાલા પાની (૧૯૫૮), લાજવંતી (૧૯૫૮), ઈન્સાન જાગ ઉઠા (૧૯૫૯), સુજાતા (૧૯૫૯) અને કાલા બાઝાર (૧૯૬૦) જેવી ફિલ્મોમાં બર્મને લતા વગર પણ સફળતા મેળવી તેમ છતાં તેઓ લતા વગર અધૂરપ અનુભવતા હતા.

છેવટે લતાએ એક વિજેતાની અદાથી ફિલ્મ ‘બંદીની’ (૧૯૬૩)ના ગીત મોરા ગોરા અંગ લઈ લે સાથે બર્મનની છાવણીમાં પુન:પ્રવેશ કર્યો. પ્રતિભાવમાં સચીનદેવે કહેલું, “કોઈ પ્રોબ્લેમ નહીં, લોતા (લતા) સમ્હાલ લેગી”. તેમનો મતલબ એ હતો કે લતા મંગેશકર ગીતને બરાબર ઉઠાવ આપી દેશે.
પાર્શ્વગાનનાં મૂળ મજબૂતીથી જામી ગયાં તે પછી ખરા અર્થમાં સર્જક સંગીતનિર્દેશકોની આણ વર્તાતી રહી ત્યાં સુધી દરેક ગાયકનું આગવું સ્થાન બની રહ્યું, જેને અન્યો પડકારી શકે તેમ નહોતા. લતાએ ગાયેલાં આયેગા આનેવાલા (મહલ, ૧૯૪૯) અને ન મીલતા ગમ તો બરબાદી કે અફસાને (અમર, ૧૯૫૪) જેવાં ગીતોની કલ્પના પણ લતા સિવાય અન્ય કોઈના પણ અવાજમાં કરી ન શકાય. એવું જ ગીતા દત્તે ગાયેલાં મેરા સુંદર સપના બીત ગયા (દો ભાઈ, ૧૯૪૭) અને વક્ત ને કીયા ક્યા હસીં સીતમ (કાગઝ કે ફુલ, ૧૯૫૯) તેમ જ આશા ભોંસલેનાં ગાયેલાં કાલી ઘટા છાય મોરા જીયા ગભરાય (સુજાતા, ૧૯૫૯) અને ફિલ્મ ઉમરાવ જાન (૧૯૮૧)નાં ગીતો માટે કહી શકાય.
સુહાની રાત ઢલ ચૂકી (દુલારી, ૧૯૪૯) જો રફીના જ અવાજમાં શોભે, તો તૂટ ગયે સબ સપને મેરે (પરવાના, ૧૯૪૭) માત્ર સાયગલ અને અય દિલ મુઝે ઐસી જગહ લે ચલ (આરઝૂ, ૧૯૫૦) માત્ર તલત મહમૂદ જ જ ગાઈ શકે. એ જ રીતે કહી શકાય કે જવાબ (૧૯૪૨)નું ગીત અય ચાંદ છૂપ ના જાના ખાસ કાનનબાળા માટે જ બનાવાયું હોવું જોઈએ. હું માની નથી શકતો કે નૂરજહાં ન હોત તો સંગીતકાર દતા કોરેગાંવકરે ૧૯૪૫ની ફિલ્મ બડી માનું ગીત કીસી તરહ સે મહોબત મેં ચૈન પા ના સકે બનાવ્યું હોત. એ જ રીતે શમશાદ બેગમના અવાજ સિવાય નૌશાદને ચમન મેં રહ કર વિરાના (દીદાર, ૧૯૫૧)ના સ્વરનિયોજનની પ્રેરણા મળી હોત કે કેમ એ સવાલ છે.
મુદ્દાની વાત એ છે કે દરેક સુખ્યાત ગાયક પાસે તેના અવાજની ગુણવત્તા ઉપરાંત વધારાનું ખાસ એવું કંઈક હોય છે, જેની નકલ ન થઈ શકે. એ જ કારણ છે કે અંજલીના નામે ગવાતાં ગીતો મૂળ ગાયકને શ્રધ્ધાંજલી આપવાના બહાના હેઠળ તે ગાયકનું મિથ્યાભિમાન સંતોષવાનો ખેલ જ બની રહે છે.
ટી સીરીઝના ગુલશન કુમારના મજબૂત ટેકાના જોર પર અનુરાધા પૌંડવાલે લતા મંગેશકરનાં ગાયેલાં ઘણાં ગીતો રેકોર્ડ કરાવ્યાં છે.

નોંધ :
તસવીરો નેટ પરથી અને ગીતોની લિંક્સ યુ ટ્યુબ પરથી સાભાર લેવામાં આવી છે. તેનો કોઈ જ વ્યવસાયિક ઉપયોગ નહીં કરવામાં આવે.
મૂલ્યવર્ધન …. બીરેન કોઠારી.
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
-
મામૂલી પ્રમાણ ધરાવતા માથાભારે કાર્બનને કાબૂમાં લેવા બ્રિટનનો નવો દાવ
ગઈ કાલે ડૉ. પરેશ વૈદ્યના લેખમાં ‘નેટ – ઝીરો’નાં વિવિધ પાસાંઓને લગતી અગત્યની જાણકારી આપણે મેળવી હતી. આજે હવે એ અંગે હાલમાં થઇ રહેલ કામ વિશે પણ માહિતી મેળવીએ.સંપાદક મંડળ – વેબ ગુર્જરી
વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ ૦.૦૪૦૭ ટકાથી વધારે નથી. મામૂલી લાગતો આંકડો હકીકતે મોટી સમસ્યા છે, માટે બ્રિટને ૨૦ અબજ પાઉન્ડના ખર્ચે ‘કાર્બન કેપ્ચર’ની યોજના શરૂ કરી છે…

લલિત ખંભાયતા
જગત પાસે બે જ રસ્તા છે. પ્રદૂષણ ઘટાડો, ગ્લોબલ વોર્મિંગ કાબૂમાં રહે એવાં પગલાં ભરો અથવા તો ગ્લોબલ વોર્મિંગથી સર્જાતી આફતોનો સામનો કરો. ગ્લોબલ વોર્મિંગથી સાવ પીછો છોડાવવો શક્ય નથી. માટે એક તરફ ગ્લોબલ વોર્મિંગ કાબૂમાં લેવાના પ્રયાસો ચાલે છે, તો બીજી તરફ ગ્લોબલ વોર્મિંગ પેદા કરતો કાર્બન હવામાં ઓછો ફેલાય એનાંય પગલાં લેવાઈ રહ્યાં છે.
બ્રિટને એ પગલાંના ભાગરૂપે જ ‘કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ (CCS)’ના જંગી પ્લાનની જાહેરાત કરી છે. ઋષિ સુનકની યોજના CCS પાછળ ૨૦ અબજ પાઉન્ડ જેવી જંગી રકમ ખર્ચવાની છે. અલબત્ત, આ ખર્ચ ૨૦ વર્ષના ગાળામાં થશે. પરંતુ આમ પણ ગ્લોબલ વોર્મિંગ જેવી સમસ્યા રાતોરાત તો કાબૂમાં આવવાની નથી, પણ ઉપાયો જેટલા વહેલા લાગુ કરવામાં આવે એટલા વહેલા તેના સારાં પરિણામો મળે.
* * *
ધરતી ફરતે હવાનું આવરણ (વાતાવરણ) ડઝનેક ગેસોનું બનેલું છે. એમાં વિલન બની ચૂકેલો કાર્બન માંડ ૦.૦૪૦૭ ટકા પ્રમાણ ધરાવે છે. એટલે એક ટકોય હાજરી નથી. આંકડો બહુ મામૂલી છે, છતાં તેની માથાકૂટનો પાર નથી. આ આંકડો પણ જરાક મોટો છે કેમ કે હજુ ગઈ સદીમાં તો ધરતી પર કાર્બનનું પ્રમાણ ૦.૦૩ ટકા જેટલું જ હતું.
કાર્બન સમસ્યા છે એ સ્પષ્ટ છે એટલે હવે તેને કેદ કરવાની યોજનાઓ શરૂ થઈ છે. કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ એટલે કે હવામાંથી કાર્બન કેદ કરવો અને તેને ક્યાંક સાચવીને મૂકી દેવો, એવી યોજના બ્રિટને લાગુ કરવાનું નક્કી કર્યું છે. ટૂંકમાં સીસીએસ તરીકે ઓળખાતી યોજના નવી નથી, વિજ્ઞાનીઓ વર્ષોથી તેના વિશે જાણે છે. પરંતુ હવે તેનો મોટે પાયે અમલ કરવો પડે એવી સ્થિતિ આવી પડી છે. કોઈ એક ઉપાય દ્વારા હવાનો કાર્બન સંપૂર્ણ કાબૂમાં આવવાનો નથી. આ ઉપાય દ્વારા પણ કાર્બનનો પ્રશ્ન પૂરેપૂરો હલ નહીં થાય, પરંતુ થોડો-ઘણો તો હલ થશે જ.
કાર્બન કેદ કરવો કેમ?
કાર્બનને કેદ કરવાની મુખ્યત્વે બે પદ્ધતિ વપરાશે. એક પદ્ધતિ છે ‘પોઈન્ટ સોર્સ કાર્બન કેપ્ચર એન્ડ સ્ટોરેજ.’ જ્યાંથી કાર્બન પેદા થાય ત્યાંથી જ તેને કેદ કરી લેવાનો. જેમ કે, ચીમનીમાંથી કાર્બન બહાર નીકળે ત્યાં જ ગળણું બાંધીને એને કેદ કરી લેવાનો એટલે એ હવામાં પહોંચે નહીં, હવામાં પહોંચે નહીં તો ફેલાય નહીં અને ફેલાય નહીં તો તેનાથી ઊભી થતી મુશ્કેલીઓ આવે નહીં. મુશ્કેલીઓ જોકે આવી ચૂકી છે એટલે ઓછી થાય અને ખાસ તો ભવિષ્યમાં કાર્બનનું પ્રમાણ થોડા-ઘણા અંશે કાબૂમાં રહે.
બીજી રીત છે, હવામાં ઓલરેડી ફેલાયેલા કાર્બનને કેદ પકડવાની. એ પદ્ધતિ ‘ડાયરેક્ટ કાર્બન/એર કેપ્ચર’ તરીકે ઓળખાય છે. બન્ને પદ્ધતિઓ પોતપોતાની રીતે અસરકારક છે. અત્યારે એ માટે બ્રિટિશ કંપનીઓએ ‘એક્રોન’ અને ‘વાઈકિંગ પ્રોજેક્ટ’ નામે બે યોજના શરૂ કરી દીધી છે. બ્રિટિશ સરકાર તેને ટેકો આપશે.
૧૦ કરોડ ડોલરનું ઈનામ
કાર્બનને કેદ કરવો અશક્ય નથી પરંતુ મુશ્કેલ જરૂર છે. એટલે જ ભવિષ્ય પારખીને ઈલોન મસ્કે ૨૦૨૧ માં જાહેરાત કરી હતી કે જે કોઈ કાર્બન કેપ્ચરની સારામાં સારી રીત શોધી આપશે તેને હું ૧૦ કરોડ ડોલરનું ઈનામ આપીશ. ઘણી કંપનીઓ એ દિશામાં કામ કરી રહી છે અને સ્ટાર્ટઅપ કરનારાઓ પણ ઈલોનના ઈનામ માટે મથી રહ્યા છે. કોઈ કંપનીએ કાર્બન કેદ-સ્ટોર કરવો હોય તો ટન દીઠ ૨૦ થી લઈને ૧૫૦ ડોલર સુધીનો ખર્ચ થઈ શકે છે. બધી કંપનીઓને ખર્ચ કરવામાં રસ ન હોય એ સ્વાભાવિક છે.
જ્યાંથી ફેલાય ત્યાંથી જ પકડો
કાર્બન સૌથી વધારે જ્યાંથી ફેલાય એવી રિફાઈનરી, સ્ટીલનાં કારખાનાં… વગેરે સ્થળોએ આ બન્ને કંપનીઓ કાર્બન પકડવા પર કામ કરી રહી છે. યુરોપના ઘણા દેશોના કાર્બન પ્રદૂષણના નિયમો કડક છે. કંપનીઓ હવામાં અમુક માત્રા કરતાં વધારે કાર્બન ફેલાવી શકતી નથી. વધુ કર્બન ઉત્સર્જીત થાય તો કંપનીએ તેનો નિકાલ પોતાની રીતે કરવો રહ્યો. માટે ઘણી કંપનીઓ ખાનગી ધોરણે કાર્બન કેદ કરી સંગ્રહનો અમલ કરવા લાગી છે. જર્મનીની કંપની ‘હેઈડલબર્ગ મટિરિયલ્સે’ તો ઘણા દેશોમાં પોતાનો સીસીએસ બિઝનેસ વિસ્તાર્યો છે.
ઓસ્ટ્રેલિયાની ‘શેવરોન કોર્પોરેશન’ નામની પેટ્રોલિયમ કંપની જગતનો સૌથી મોટો કમર્શિયલ સીસીએસ પ્લાન્ટ ધરાવે છે. ઓસ્ટ્રેલિયા ઉપરાંત અન્ય દેશોમાં પણ કાર્બન કેદ કરવા માટે એ કંપની સંઘર્ષ કરી રહી છે, પરંતુ જોઈએ એવી આર્થિક સફળતા મળી નથી. જગતમાં કુલ ૧૯૦ પ્રોજેક્ટ સીસીએસ માટે ચાલી રહ્યા છે. એમાંથી ૬૧ પ્રોજેક્ટ તો ૨૦૨૨ માં જ શરૂ થયા છે. એટલે કે હવે આ દિશામાં સ્પીડ આવી છે. બ્રિટનની જાહેરાતમાં નવી વાત એ છે કે કોઈ દેશની સરકારે મોટેપાયે આ યોજના માટે તૈયારી કરી છે.
આપણે કેટલો કાર્બન ફેલાવીએ છીએ?
‘ગ્લોબલ સીસીએસ’ નામની સંસ્થાએ નોંધેલી વિગત મુજબ તો છેક ૧૯૭૦ ના દાયકાથી કાર્બન કેપ્ચર-સ્ટોરેજનું કામ ચાલે છે. અત્યાર સુધીમાં અંદાજે ૨૦ કરોડ ટન કાર્બન કેદ કરીને સ્ટોર કરી દેવાયો છે. બીજી બાજુ જગતે ૨૦૨૨ માં ૩૭ અબજ ટન કરતાં વધારે કાર્બન હવામાં ઠાલવ્યો. આ વર્ષ પૂરું થશે ત્યાં આંકડો વધી ગયો હશે. એટલે હવામાંથી કાર્બન કેદ કરવાની યોજના મોટે પાયે લાગુ થાય તો તેનો બેશક ફાયદો મળી શકે.
બકરું કાઢવા જતાં ઊંટ ન પેસે
રાષ્ટ્રસંઘની પર્યાવરણ બેઠકમાં પણ કાર્બન કેદ કરી સાચવવાનો મુદ્દો વારંવાર ઊઠ્યો છે. ત્યાં નિષ્ણાતો એવા તારણ પર આવ્યા છે કે આ દિશામાં કામ થવું જ જોઈએ. પરંતુ અત્યારે જે કાર્બન ઉત્સર્જન થાય એ ઘટાડવાની દિશામાં કામગીરી ચાલુ રાખો અને સાથે સાથે જે કાર્બન ફેલાયો છે એને સમેટવા પ્રયાસ કરો. આ ભય ખોટો નથી. અમે તો કાર્બન કેદ કરીને સ્ટોર કરીએ છીએ.. એમ માનીને ઘણી કંપનીઓ વધારે કાર્બન હવામાં ફેલાવવા ન લાગે એ મોટો ડર છે જ. એટલે બકરું (હવાનો કાર્બન) કાઢવા જતાં ઊંટ (નવો કાર્બન ) પેસી ન જાય એ જોવું પડે.
નેટ ઝીરોની નજીક પહોંચવાનો પ્રયાસ
ગ્લોબલ વોર્મિંગને કાબૂમાં લેવા માટે જગતભરમાં એ પ્રયાસ થઈ રહ્યો છે કે બધા દેશો નેટ ઝીરોનો ટાર્ગેટ રાખે અને હાંસલ કરે. નેટ ઝીરોનો અર્થ થાય છે કે હવામાં કાર્બનનો બિલકુલ ફેલાવો ન કરવો. ઈન કેસ ફેલાવો થાય તો તેને કાબૂમાં લેવાના પ્રયાસો પણ એટલા જ કરવા. એટલે કાર્બન ઉત્સર્જન સરવાળે ઝીરો થાય. બ્રિટનનો ટાર્ગેટ ૨૦૩૦ સુધીમાં નેટ ઝીરો પહોંચવાનો છે. ભારતે આ લક્ષ્યાંક માટે ૨૦૭૦નું વર્ષ નિર્ધારિત કર્યું છે. એ રીતે વિવિધ દેશોએ વિવિધ વર્ષ જાહેર કર્યાં છે. ત્યાં સુધીમાં ખરેખર કાર્બન ઉત્સર્જન કેટલું ઓછું થાય એ અલગ વાત છે. બ્રિટિશ સરકારે જે પ્લાન જાહેર કર્યો એ મુજબ વર્ષે ૨ થી ૩ કરોડ ટન કાર્બન કેદ કરી સાચવી લેવાનો છે.
* * *
વિજ્ઞાનીઓ વર્ષોથી કાર્બન કેપ્ચર-સ્ટોરેજ અંગે જાણકારી ધરાવે જ છે, પણ તેની સચોટ કહી શકાય એવી પદ્ધતિ હજુ સુધી મળી નથી. અત્યારે તો જે પદ્ધતિઓ છે એ વાપરીને કાર્બનને કેદ કરવો અનિવાર્ય છે. બ્રિટને એ દિશામાં પહેલ કરીને સારું કામ કર્યું છે.
અમેરિકા પણ આ દિશામાં કામ કરવા માંગે છે, પરંતુ અમેરિકામાં હજુ પડકારો છે. અમેરિકી પાવર સેક્ટરે બાઈડોનનો પ્રસ્તાવ નકારી દીધો છે. પરંતુ આ રસ્તો અજમાવવામાં આવે તો કંઈ ખોટું નથી કેમ કે ૯૦ ટકા સુધીનું કાર્બન ઉત્સર્જન કેદ કરી શકાય એમ છે. અત્યારે આ યોજના ખર્ચાળ લાગી રહી છે, પરંતુ ધરતીનું નિકંદન કાઢવાની કિંમત તો ચૂકવવી જ પડે ને!કાર્બનના ઉપયોગો કાર્બન પ્લાસ્ટિક, કોંક્રીટ, બાયોફ્યુલ વગેરે ઉત્પાદનમાં કામ આવી શકે છે. ઘણી કંપનીઓ એ દિશામાંય કામ કરી જ રહી છે. કેદ થયેલા કાર્બનને બળતણ તરીકે ઉપયોગ કરી વીજળી પેદા કરવાનો પ્લાન પણ બ્રિટિશ વિજ્ઞાની ડેવિડ જોન્સને તૈયાર કર્યો છે, જેના પર કદાચ હવે કામ થશે.
ભારત ક્યાં છે? સરકારે ૨૦૭૦નો ટાર્ગેટ જાહેર કરી દીધો અને સાથે સાથે સીસીએસ પ્રોજેક્ટ પણ લોન્ચ કરી દીધો છે. બીજી તરફ સરકારી કંપની ‘ગેસ ઓથોરિટી ઓફ ઈન્ડિયા લિમિટેડે (GAIL)’એ અમેરિકી કંપની ‘લાન્ઝાટેક’ સાથે જોડાણ કર્યું છે. બન્ને મળીને ભારતમાં કાર્બન કેપ્ચર કરશે અને તેમાંથી કોઈક ઉપયોગી ચીજવસ્તુઓ બનાવશે. આ સિવાય પણ ઘણી ભારતીય કંપનીઓ પોતાની રીતે આ દિશામાં કામગીરી કરી રહી છે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૪ – ૦૮ -૨૦૨૩ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘સમયાંતર’ માં પ્રકાશિત લેખ
-
દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં ઈલાબહેન ભટ્ટ અમદાવાદથી વિશ્વમાં પ્રકાશ્યાં
તવારીખની તેજછાયા

અખિલ હિંદ મહિલા પરિષદ તરેહની મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા ચળવળને અસંગઠિત શ્રમિકો થકી નવેસર વ્યાખ્યાયિત કરવામાં એ ઈતિહાસનિમિત્ત બન્યાં
પ્રકાશ ન. શાહ
ઈ લા રમેશ ભટ્ટ, ‘સેવા’નાં ઈલાબહેન સ્તો, આપણી વચ્ચે હોત તો આવતીકાલે નેવું વરસ પૂરાં કરી એકાણુંમે પ્રકાશતાં હોત. એ નેવુંમે ગયાં, નવેમ્બર 2022માં એમનું દીર્ઘાયુ એ જીવનમાં વર્ષો નહીં પણ વર્ષોમાં જીવન ભરતી ઘટના હતી. છેલ્લાં થોડાં વરસ એ ગૂજરાત વિદ્યાપીઠનાં કુલપતિ રહ્યાં. એ ગાળામાં એમની હેડીનું ભાગ્યે જ કોઈ ગુજરાતમાં હશે જે આ પદે હોઈ શકે. એક રીતે એમની એ કારુણિકા બની રહી. જોકે, હું આ પ્રયોગ ચીલેચલુ છાપાંગત નહીં કરતાં ગ્રીક ટ્રેજેડીના અર્થમાં, કરુણભવ્ય એ અર્થમાં કરવો ઈચ્છું. ક્યારેક વિદ્યાપીઠ વિશે વાત કરવાની બનશે ત્યારે એની ચર્ચા કરવાની કોશિશ જરૂર કરીશ. પણ હમણાં તો વ્યાપક ફલક પર એક યશસ્વી જીવન નિમિત્તે થોડીએક વાતો કરવા ઈચ્છું છું.
ઈલાબહેન મૂળે સુરતનાં. દદ્દાઓ અને નન્નાઓની નગરીનાં. બને કે ચંદ્રવદન મહેતાએ પંડે જે ઈલાઓનાં નામ પાડ્યાં લેખાય છે તે પૈકીનાં એક એ પણ હોય. ગમે તેમ પણ, ક્યારેક નીલકંઠ ને દિવેટિયા પરિવારોનું સુરત-અમદાવાદ આવવું-જવું, વસવું-સેવવું, ગુજરાતમાં સંસાર સુધારાની હિલચાલનું એક અરુણું પ્રકરણ હતું તેમ વીસમી સદીનું છેલ્લું ચરણ પણ સુરતથી અમદાવાદ આવી સ્થાયી થયેલાં ઈલા ભટ્ટ, ઈલા વર્મા (પાઠક), કીર્તિદેવ દેસાઈ, પ્રવીણ શેઠ-સુરભિ શેઠ વગેરે થકી આપણા નજીકના ઈતિહાસનું એક સલૂણું પ્રકરણ છે. (સુરભિબહેન થોડો વખત નર્મદ સાહિત્ય સભાના સહમંત્રી હતાં એવો ખ્યાલ છે. હમણાં જ એ પુત્ર અમિત-સ્થાપકનિયામક, આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ ઈન્સ્ટિટ્યૂટ, યુનિ. ઓફ સાઉથ કેરોલિના-ને ત્યાં વિદેહ થયાં.)
ઈલાબહેનને મિષે વાત કરતે કરતે ઝીણી-ઝીણી વિગતોમાં નહીં જતાં બેત્રણ બહોળાં નિરીક્ષણો કરું. સંસારસુધારાની અને સ્વરાજની ચળવળો પછીનાં સ્વાતંત્ર્યોત્તર- એમાં પણ કટોકટી આસપાસ અને તે પછીનાં આ વરસો છે. સ્વરાજનિર્માણની પહેલી પચીસી પસાર થઈ ન થઈ અને બીજી પચીસી બેસતે દેશ સ્વરાજની બીજી લડાઈની પરિસ્થિતિમાં મુકાઈ ગયો. નાગરિક સ્વાધીનતા અને મૂળભૂત અધિકારોની પ્રતિષ્ઠાપૂર્વક લોકશાહીના પુન:સંસ્થાપનનો, ૧૯૭૫ -૭૭નો એ ગાળો વિશ્વસ્તરે પણ આંતરરાષ્ટ્રીય નારીવરસ સહિતના નોંધપાત્ર ઘટનાક્રમનો હતો. આ સઘળું નકરો જોગાનુજોગ નહોતો. કટોકટી ઊઠી એ અરસામાં કોઈકે, ઘણું કરીને ડેવિડ સેલ્બોર્ને લખ્યું હતું કે કટોકટી (ઈમરજન્સી) ગઈ, કટોકટી (ક્રાઈસિસ) જારી છે. લોકશાહીનું પુન: પ્રતિષ્ઠાપન (રિસ્ટોરેશન) થયું એ સાચું, પણ એથી જે સુવિધા મળી એમાં સ્વરાજના વ્યાપક અર્થમાં કેટકેટલાં સ્તરે લડવાનું હતું અને છે. સ્વરાજ સૌને અનુભવાય, જેમ ‘સહિત’ને તેમ રહિત દલિત વંચિત સૌને, જેમ પુરુષને તેમ સ્ત્રીને, માલિકને તેમ શ્રમિકને- આ તો એક સતત ચાલતી પ્રક્રિયા, લડાઈ કહો તો લડાઈ છે નીલકંઠ-દિવેટિયા સંક્રાન્તિથી ભટ્ટ-પાઠક સંક્રાન્તિમાં શું બન્યું? જરી સબૂરીથી વિચારીએ.
પહેલી સંક્રાન્તિમાં, લિબરલ પરિવારોના મવાળ કોંગ્રેસકારણમાંથી ગાંધીનું રાજકારણ આવ્યું. અખિલ હિંદ મહિલા પરિષદ પ્રકારની સર્જનાત્મક ને સંસ્થાકીય હિલચાલનો માહોલ બન્યો. એને જરી વધુ સુધારકી વળાંક મળ્યો ત્યારે જ્યોતિસંઘનો જમાનો આવ્યો (જેણે હમણેના દાયકાઓમાં સેક્સ વર્કર ક્ષેત્રે નવોન્મેષ દાખવ્યો છે.) ક્યારેક ‘પુરુષસમોવડી સ્ત્રી’ની રીતે વાત થતી હતી તેમાંથી આપણે જેમ પુરુષ તેમ સ્ત્રી પણ એક વ્યક્તિ છે અને એનું મૂલ્યાંકન પુરુષ સાપેક્ષ ધોરણે સીમિત નહીં રહેતાં, સ્વત:સિદ્ધ વ્યક્તિને નાતે થવું જોઈએ એ સમજે નાંગર્યાં છીએ. નવી નારીનું જે પ્રતિમાન અને પ્રતિરૂપ આપણી સમજ અને સંવેદનાને સંકોરતું સામે આવવા કરે છે તે ધોરણે આગલી મધ્યમવર્ગી હિલચાલ પછીના નવા મુકામમાં મહિલા પ્રવૃત્તિ પણ નવેસર વ્યાખ્યાયિત થઈ રહી છે. સિવણગૂંથણ, વડીપાપડ પોતાને ઠેકાણે ઠીક જ છે, પણ મધ્યમવર્ગી વંડી ઠેકીને શ્રમિક સુખ-દુ:ખ સાથે જોડાવું અને તેમ કરતે કરતે પૂરા કદની વ્યક્તિ અને પૂરા કદના નાગરિક થવાની મજલ બેઉ પક્ષે હોવી તે યુગપડકાર છે.
શરૂ શરૂમાં મજૂર મહાજનના પ્રત્યક્ષ અંગભાગી રૂપે અને આગળ ચાલતાં સ્વતંત્ર રૂપે ઈલાબહેનના નેતૃત્વમાં ને યોજકત્વમાં ‘સેવા’નો ઉદ્ભવ ને વિકાસ આ રીતે જોવા જેવા છે.
‘સેવા’ વિશે ઘણું લખાયું છે એટલે નજીકના ઈતિહાસ ને નજીકનાં વલણોની આટલી પિછવાઈએ અટકી થોડું ઈલાબહેનનાં વ્યક્તિત્વ વિશે કહું?
એમની જાહેર કામગીરી અને એના ઉંબર તેમ આરંભ ગાળામાં અમારો નિકટ પરિચય રહ્યો. ૧૯૭૩માં પર્લ બક ગયાં ત્યારે મેં આનંદાશ્ચર્ય જાણ્યું કે હજુ ફેબ્રુઆરી સુધી એમની ને પર્લ બક વચ્ચે પત્રવહેવાર હતો, જે ક્યારેક ‘ગુડ અર્થ’ વાંચ્યા પછી શરૂ થયો હતો. સંઘર્ષ, સ્વાધ્યાય ને સહૃદયતા એમના જીવનમાં સાથેલગાં રહ્યાં. ‘’૭6’૭૯ના અરસામાં એ હું ધારું છું, નવસારીની ગાર્ડા કોલેજમાં ‘નારીનાં પ્રતિરૂપ’ વિશે યુનિ. વ્યાખ્યાન આપવાનાં હતાં ત્યારે થયેલી ચર્ચા સાંભરે છે. સેવાનો વિકાસ, મેગ્સેસે એવોર્ડ, રાઈટ લાઈવલીહુડ એવોર્ડ, રાજ્યસભામાં નિયુક્તિ, પદ્મ સન્માન, આ બધી રુટિની હારડાશાઈ વિગતોમાં નહીં જતાં અંતમાં એટલું જ કહીશું- અધૂકડી તો અધૂકડી – આ કટારનોંધમાં, કે એકંદરે બિનપક્ષીય રહ્યાં છતાં પાછલા દાયકાઓમાં એમને શાસન તરફથી જે ભીંસનો અનુભવ થયો એમાં જો શાસકીય અસંસ્કારિતા સાફ છે તો ભલે પક્ષસંધાન વગરનીચે નાગરિક-રાજકીય અભિજ્ઞતા પણ સંમાર્જન માગે છે…
હમણાં તો એ વિરલ વ્યક્તિતા ને નેતૃતાને માનવંદના!
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૬ – ૯ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો (૩૧) – “મેરી ઝાંસી નહીં દૂંગી”
દીપક ધોળકિયા
૧૮૧૭માં ઈસ્ટ ઇંડિયા કંપની સામે પેશવાનો પરાજય થયો. પેશવાએ ઝાંસી કંપનીને સોંપી દીધું. કંપનીએ ઝાંસીમાં નવા શાસકને ‘સુબેદાર’ તરીકે નીમ્યા અને. ૧૮૩૨માં સુબેદારની જગ્યાએ ‘રાજા’ બિરુદ શરૂ કરવાની છૂટ આપી. કોઈ પણ રાજ્યને પચાવી પાડવાની એક જ રીત હતીઃ વહીવટ ખરાબ છે, એમ કહેવું અથવા દત્તકપુત્ર્નો અધિકાર ન માનવો. ૧૮૩૯માં રાજાનું અવસાન થયું ત્યારે એ સંતાન વિનાનો હતો એટલે ગાદીના ચાર દાવેદારોમાંથી એકને ગાદી આપી. તે પછી એના વહીવટ સામે પણ વાંધો પડ્યો. એટલે સરકારે પોતે જ સત્તા સંભાળી લીધી. તે પછી ફરી ૧૮૪૨માં કંપનીએ રાજાને પસંદ કર્યો અને સત્તા આપી. પણ દર વખતે વારસ નહોતો મળતો. આમાં છેલ્લે ગંગાધર રાવને રાજગાદી મળી. પણ ૧૮૫૩માં એ નિઃસંતાન મૃત્યુ પામ્યો. એણે દત્તક લીધો હતો તેને કંપનીએ સ્વીકાર્યો નહીં અને ડલહૌઝીએ “સ્થાનિક પ્રજાના ભલા માટે” ફરી સત્તા સંભાળી લીધી.સાતમી માર્ચ ૧૮૫૪ના રોજ કંપની સરકારે જાહેરનામું બહાર પાડીને ઝાંસીને ખાલસા કરી લીધું. મૅજર ઍલિસ રાણી લક્ષ્મીબાઈને આ સમાચાર આપવા ગયો. રાણીએ પરદા પાછળથી આ સાંભળ્યું. એને આઘાત લાગ્યો. કળ વળતાં એણે શાંત પણ ઊંચા સ્વરે કહ્યું, “મેરી ઝાંસી નહીં દૂંગી.” જે આજે પણ ઇતિહાસમાં ગૂંજે છે
૦૦૦
રાણી અને રાજ્યની જનતાની નજરે દત્તક પુત્ર ગાદીપતિ બને અને રાણી એના વતી કારભાર સંભાળે તે સામાન્ય હતું પણ અંગ્રેજ રેસીડેંટોએ ગંગાધર રાવ સાથે થયેલી સમજૂતીનો હવાલો આપીને કંપનીને રિપોર્ટ મોકલ્યો કે રાજાને કંપની સરકારની પરવાનગી વિના દત્તક લેવાનો અધિકાર નહોતો. એટલે રાણીને સાલિયાણું બાંધી આપીને રાજ્યનો વહીવટ સંભાળી લેવો જોઈએ. પણ ગવર્નર જનરલ ડલહૌઝીએ લખ્યું કે ઝાંસી આશ્રિત રાજ્ય હતું, એનો કોઈ પરંપરાગત રાજા નહોતો એટલે દત્તકને સોંપવાનો સવાલ જ નહોતો. વળી “ઝાંસીની પ્રજાના કલ્યાણ માટે” કારભાર સંભાળી લેવાથી આખો બુંદેલખંડ એક નેજા નીચે આવી જશે. ડલહૌઝીએ કહ્યું કે રાજાને હિન્દુ વિધિ પ્રમાણે દત્તક લેવાનો અધિકાર તો છે, પણ રાજકારભાર એમાં ન ગણાય. એટલે ગંગાધર રાવની અંગત માલમિલકતનો એ માલિક બની શકે પણ એને રાજા માનવા કંપની બંધાયેલી નહોતી. કંપનીએ કિલ્લાનો કબજો લઈ લીધો અને લક્ષ્મીબાઈને શહેરમાં આવેલા મહેલમાં રહેવા જવું પડ્યું.
રાણી બહારથી તો શાંત રહ્યાં પણ અંદરખાને ધુંધવાતાં હતાં. રાણી માત્ર બહાદુર નહોતાં, મુત્સદી પણ હતાં. એમનું આ પાસું બહુ ચર્ચાયું નથી. છેક ૧૮૫૭ના જૂન સુધી રાણી લક્ષ્મીબાઈ દેશમાં લાગેલી બળવાની આગથી દૂર રહ્યાં.. એમણે પહેલાં તો પોતાનો હક મેળવવા માટે કંપની સાથે પત્રવ્યવહાર કર્યો, એમાં પોતે વિદ્રોહીઓની વિરુદ્ધ હોવાનું પણ દેખાડ્યું.
ઝાંસીમાં વિદ્રોહ
આ પત્રોની કંઈ અસર નહોતી તે રાણીએ જોઈ લીધું હતું પણ એમણે ૧૮૫૭ની પાંચમી જૂને ઝાંસીમાં વિદ્રોહ શરૂ થઈ ગયો ત્યાં સુધી શાંતિ રાખી. કંપનીના એજન્ટે આ બળવાનો રિપોર્ટ આપ્યો છે તે જોઈએઃ
“ઓચિંતા જ ૫0-૬૦ સિપાઈઓએ શસ્ત્રાગાર અને સરકારી તિજોરી પર કબજો કરી લીધો અને કૅપ્ટન સ્કીનના બંગલા તરફ ગોળીબાર શરૂ કરી દીધો. આથી સ્કીન પોતાની પત્ની અને બાળકો સાથે શહેર તરફ ગયો. ત્યાં બચાવની વ્યવસ્થા કરીને એ કિલ્લા તરફ ગયો. કેપ્ટન ગૉર્ડન પણ એની સાથે હતો. એમણે થોડા સૈનિકોની મદદથી બચાવનો પ્રયત્ન કર્યો. રાણીએ પણ કિલ્લાના રક્ષણ માટે પોતાના માણસો મોકલ્યા.
બીજા દિવસે, છઠ્ઠી જૂને સિપાઈઓ અને ઘોડેસવારોએ એમના બધા અફસરોને મારી નાખ્યા અને એમના બંગલા બાળી નાખ્યા. પરંતુ કિલ્લાના દરવાજા ખોલી ન શક્યા. સાતમી તારીખે એમણે કિલ્લાની દીવાલ પર ચાર-પાંચ તોપગોળા પણ છોડ્યા, પણ નુકસાન ન થયું.”
આઠમી જૂને એમણે ફરી કિલ્લા પર હુમલો કર્યો અને રાણીના દોઢસો સૈનિકોને પણ પોતાની સાથે ભેળવી દીધા. બપોરના ત્રણ વાગ્યા સુધી ઘમસાણ ચાલ્યું. એમાં કેટલાયે વિદ્રોહીઓ માર્યા ગયા. પરંતુ કૅપ્ટન ગૉર્ડન માર્યો ગયો. કૅપ્ટન સ્કીને પત્ની અને બાળકો સાથે ભાગી છૂટવાની કોશિશ કરી પણ વિદ્રોહીઓએ એમને ઝડપી લીધાં અને મોતને ઘાટે ઉતારી દીધાં. રાણી પોતાનો જાન માંડ બચાવી શકી પણ એની માલમત્તાને ભારે નુકસાન થયું.
૧૧મીની રાતે વિદ્રોહીઓ ચાલ્યા ગયા. આશા છે કે જહન્નમમાં જ ગયા હશે!”
તે પછી, એક અઠવાડિયે, ૧૨મી તારીખે રાણીએ સાગર જિલ્લાના કમિશનરને પત્ર લખ્યો. તેમાં એ પોતે બળવાખોર સિપાઈઓ સામે કેવાં લાચાર હતાં તેનું વિવરણ આપે છે. રાણી કહે છે કે સિપાઈઓએ ક્રૂરતાથી યુરોપિયન સ્ત્રીઓ અને બાળકોને મારી નાખ્યાં પણ પોતે એમને બચાવી ન શક્યાં કારણ કે એમના પોતાના મહેલના રક્ષણ માટે માત્ર દોઢસો સિપાઈઓ હતા અને પોતે પણ બ્રિટિશ મદદની આશા રાખતાં હતાં. રાણી લખે છે કે બળવાખોરોએ એની પાસે પૈસા માગ્યા અને ન આપું તો મહેલ ઉડાવી દેવાની ધમકી આપી. એટલે નાછૂટકે એમને ધન આપવું પડ્યું. રાણી વધુમાં લખે છે કે કોઈ અંગ્રેજ અધિકારી હાજર નહોતો એટલે એમણે પોતે જ વ્યવસ્થા સંભાળી લીધી અને બધાને ફરજ પર સાવધાન રહેવાનો હુકમ આપ્યો અને આ વાત એણે પહેલાં જ જણાવી દેવી જોઈતી હતી, પણ બળવાખોરોને કારણે તક જ ન મળી. હવે બળવાખોરો દિલ્હી તરફ ગયા છે.
આ પત્રનો અર્થ શો સમજવો? રાણી ખરેખર વિદ્રોહીઓની ફરિયાદ કરતાં હતાં કે વિદ્રોહીઓ સાથે મળી ગયાં હોવા છતાં નિર્દોષ લાગે એવો રિપોર્ટ મોકલ્યો?
૦૦૦
રાણી લક્ષ્મીબાઈએ ૧૮૫૪થી ૧૮૫૭ સુધી, ઘણા પત્રો લખીને ન્યાયની માગણી કરી હતી. ૧૮૫૭ના બળવા વખતે પણ એમનું વલણ એ જ હતું, પણ ન્યાય માટેની ઝંખના પણ એટલી જ પ્રબળ રહી. એમની નજરે ન્યાય એક જ રીતે થાયઃ અંગ્રેજ હકુમત સંધિનું શબ્દશઃ પાલન કરે અને દામોદર રાવને ગંગાધર રાવના વારસ તરીકે સ્વીકારીને રાજા તરીકે માન્યતા આપે; અને જ્યાં સુધી એ પુખ્ત વયે ન પહોંચે ત્યાં સુધી રાણીને એના વાલી તરીકે રાજકાજ સંભાળવાનો અધિકાર આપે. આ સિવાયની કોઈ પણ ઉદાર શરતોને રાણીએ ઠોકર મારી દીધી. દાખલા તરીકે, ૨૨મી ઍપ્રિલ, ૧૮૫૪ના પત્રમાં રાણીએ ગવર્નર જનરલ ડલહૌઝીને રાજ્યમાં સીધું બ્રિટિશ શાસન લાગુ કરવાનું એક મહિના માટે મોકૂફ રાખવાની વિનંતી કરી હતી અને એ દરમિયાન એમણે પોતાની વફાદારી સાબીત કરી દેવાની તૈયારી પણ દેખાડી હતી.
રાણીએ કહ્યું કે આમ છતાં, જો એ નિર્ણય લાગુ કરાશે તો “અમારા લોકો જેને લશ્કર કહે છે તેની પાંચસો કટાયેલી તલવારો અને નુકસાન કરી ન શકે તેવી પચાસ તોપો ભારે દુઃખ સાથે, પણ બીજો કોઈ દેખાડો કર્યા વગર, તમારા (ગવર્નર જનરલના) એજંટને સોંપી દેશું.”
ગવર્નર જનરલ પાસેથી ન્યાય નહીં મળે તેમ લાગતાં રાણીએ લંડનમાં કોર્ટ ઑફ ડાયરેક્ટર્સને અપીલ કરી. આમાં જે ભાષા વાપરી છે તે તીક્ષ્ણ બુદ્ધિ અને હિંમતનો પરિચય આપે છે. એણે જે દલીલો કરી છે તેમાં અંગ્રેજોની સત્તા સામે નમતું ન મૂકવાની તૈયારી દેખાય છે. રાણી હિંમતથી એમનું રાજ્ય લઈ લેવાના પગલાને પડકારે છે. એ મુદ્દાવાર લખે છેઃ
ઝાંસીના હમણાંના અને પહેલાંના શાસકોને ઈસ્ટ ઇંડિયા કંપનીની બ્રિટિશ સરકારથી સ્વતંત્રપણે ઝાંસીના પ્રદેશ અને સરકારમાં સંપૂર્ણ અને અકાટ્ય અધિકાર છે. આ અધિકાર કોઈ સંધિ દ્વારા કે બીજી રીતે ઈસ્ટ ઇંડિયા કંપનીના હાથમાં ગયો નથી અથવા તો રાણી અથવા એના પુરોગામીઓએ ફરજ ચૂકવાને કારણે કે લડાઈમાં અથવા (સામા પક્ષના) વિજયને કારણે ખોયો નથી.
આ અધિકાર રાજા ગંગાધર રાવના અવસાન પછી કોઈ વારસ ન હોવાને કારણે ઉપરી સરકારના હાથમાં જતો નથી. હિન્દની સરકારે દત્તકનો ઇનકાર નથી કર્યો, દત્તક લેવાની અસરનો ઇનકાર કરે છે.
રાણી આગળ સીધો જ સવાલ કરે છેઃ
દત્તક લેવાની અસરોનો સ્વીકાર ન કરવાથી ઈસ્ટ ઇંડિયા કંપનીને ઝાંસીની માલિકી મળી જાય છે? એને કારણે શું એને અધિકાર મળી જાય છે કે ઝાંસીના રાજ્યનો વહીવટ કરે અને પ્રદેશનો ઉપભોગ કરે?
અરજીનો બંધ વાળતાં રાણીએ લખ્યું કે,
આ કેસને કારણે હિન્દના બધા રાજાઓ અને જાગીરદારોમાં અજંપો છે. સૌ ભારે ઇંતેજારીથી એના પરિણામની રાહ જુએ છે અને તેઓ એના પરિણામ પરથી નક્કી કરશે કે બ્રિટિશ સરકારનો ભરોસો કરવો કે કેમ.
પરંતુ કોર્ટ ઑફ ડાયરેક્ટર્સ માટે ડલહૌઝીએ કહી દીધું તે જ કાયદો હતો.
એમના પત્રોમાં છેક ૧૮૫૮ની શરૂઆત સુધી સંઘર્ષ ટાળવાનું વલણ રહ્યું. તે પછી બનેલા બનાવોની વિગતો રાણીએ પોતાના ૧લી જાન્યુઆરી ૧૮૫૮ના પત્રમાં આ રીતે આપી છેઃ
રાજ્યમાં અરાજકતાની સ્થિતિ જોઈને પૂર્વ અને પશ્ચિમેથી દાતિયાની રાણી અને ઓરછાના રાજાએ ઝાંસીના ઘણા પ્રદેશ કબજે કરી લીધા હતા. રાણીએ એક પત્રમાં આ અંગે નિરાશા પણ વ્યક્ત કરી છે કે –
“કમિશનર મને મદદ કરવા તૈયાર હોય એમ નથી જણાતું કારણ કે એણે એના ૯મી નવેમ્બરના પત્રમાં લખ્યું છે કે બ્રિટિશ ફોજની હમણાં એના હેડક્વાર્ટર્સ પર જરૂર છે. આવા ટૂંકી દૃષ્ટિવાળા માણસોને બ્રિટિશ સર્વોપરિતાનો ખ્યાલ નથી અને મને તેમ જ આખા દેશને પાયમાલ કરી નાખવા માગે છે…”
રાણીની ભાષામાં ક્યાંય દાસતાની છાંટ પણ નથી. એ તો સમોવડિયા શાસક તરીકે બ્રિટિશ હકુમત સાથે વાત કરે છે!
ગૌવધની છૂટ
ઝાંસીમાં ગૌવધની બંધી હતી પણ અંગ્રેજોએ એની ફરી છૂટ આપી. રાણીએ ૨૧મી ઓગસ્ટ ૧૯૫૪ના પત્રમાં સરકારને લખ્યું કે તમે મારું રાજ્ય તો અન્યાયથી ઝુંટવી લીધું, હવે મારા અને મારી પ્રજાના ધર્મ પર હુમલો કરો છો. લક્ષ્મીબાઈએ આનાં ગંભીર પરિણામો આવવાની ચેતવણી પણ આપી.
પાંચમી જૂને શરૂ થયેલા વિદ્રોહની વધારે વિગતોમાં ન જતાં આપણે રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા પર ધ્યાન આપીએ. એમણે સંગઠિત થઈને અંગ્રેજો સામે લડવાની યોજના કરી રાખી હતી, તે નીચેના બે પત્રોમાંથી પ્રગટ થાય છે.
બળવા પછી લલિતપુર અને સાગરની સેનાઓએ અંગ્રેજી પલટનોનો ખાતમો બોલાવીને રાજા મર્દન સિંહને સરદારી સોંપી હતી. રાણીનો પહેલો પત્ર વિ. સં. ચૈત્ર સુદ ભૌમ (મંગળ) તિથિ(?) સંવત ૧૯૧૪ (ઈ. સ. ૧૮૫૮)ના લખાયેલો છે. લક્ષ્મીબાઈ બહુ આદરપૂર્વક મર્દનસિંહને સંબોધિત કરે છે અને કહે છે કે
“હમારી રાય હૈ કે વિદેસિયોં કા સાસન ભારત પર ન ભઓ ચાહિજે ઔર હમકો અપુન કે બડૌ ભરોસો હૈ ઔર હમ ફૌજ કી તૈયારી કર રહે હૈં. અંગરેજન સે લડવૌ બહુત જરૂરી હૈ.” (મુકામ ઝાંસી)
બીજો પત્ર પણ રાજા મર્દન સિંહને જ શ્રાવણ સુદ ૧૪, સોમવાર, સંવત ૧૯૧૪ના રોજ લખેલો છે. આ પત્રમાં રાણીએ વ્યૂહની ચર્ચા કરી છે. રાણી વ્યૂહ સમજાવતાં મર્દનસિંહને કહે છે:
અપુન “આપર ઉહાં કે સમાચાર ભલે ચાહિજે, ઇહાં કે સમાચાર ભલે હૈં. આપર અપુન કી પાતી આઈ સો હાલ માલુમ ભને શ્રી મહારાજ સાહ ગઢ કી પાતી કો હવાલો દઓ સો માલુમ ભઓ. આપર ઈહાં સે લિખી કે આપ સાગર કો કૂચ કરેં. ઉહાં દો કંપની બિચ મેં સાહબન કી હૈ ઉનકો મારત વ ખેડત સાહગઢ વારે રાજા કો લિવા સીધે ઉત ફૌજ કે સીધે કાલપી કુચ કરેં. હમ વ તાત્યા ટોપે વ નાનાસાહબ ફૌજ કી તૈયારી મેં લગે હૈં સો આપ સીધે નોંટ (?)ઘાટ પર સર હિયૂ રોજ (હ્યૂ રોઝ) કી ફૌજ કો મારત વ ખેડત કાલપી કો કૂચ કરેં. ઈહાં સે હમ આપ સબ જને મિલ કે ગ્વાલિયર મેં અંગરેજન પર ધાવા કરેં. પર દેર ન ભઓ ચાહિજે. દેખત પાતી કે સમાચાર દેવેમેં આવૈ. (મુકામ કાલપી).

અહીં જોવાનું એ છે કે રાણી લક્ષ્મીબાઈએ આ પત્રોમાં ભારતની વાત કરી છે, માત્ર ઝાંસીની નહીં. એટલે “મેરી ઝાંસી નહીં દૂંગી” એ પ્રત્યાઘાત તો તાત્કાલિક સામે આવી પડેલી સ્થિતિનો હતો. અંગ્રેજો જે આખા દેશમાં કરે છે તે જ ઝાંસીમાં કર્યું છે. આમ રાણી એને માત્ર વ્યક્તિગત અન્યાય નહીં, અન્યાયી વ્યવસ્થા તરીકે જૂએ છે. રાણીનો એક પત્ર છે જેમાં એમણે ‘સુરાજ’(સ્વરાજ) શબ્દનો ઉપયોગ કર્યો છે.
“ શ્રી મહારાજા શ્રી રાજા મર્દનસિંહ બહાદુર જૂ દેવ ઐતે શ્રી મહારાની લક્ષ્મીબાઈ…… આપર અપુન કી વ હમારી વ શાહગઢ ઔર તાત્યા ટોપે કી જો સલાહ કરી થી કે સુરાજ ભઓ, શાસન ભઓ ચાહિજે. ઐ હી હમારી રાય…અપુનો હી દેસ હૈ… (પોષ સંવત ૧૯૧૪).”
ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની વીરગાથા આવતા પ્રકરણમાં સમાપ્ત થશે.
૦૦૦
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
