-
બંધારણ સુધારાની સંસદની સત્તા અસીમિત નથી
નિસબત
ચંદુ મહેરિયા
ભારતનું બંધારણ પરિવર્તનશીલ છે. સમય અને સંજોગો પ્રમાણે તેમાં ફેરફાર કે સુધારા કરી શકાય છે. બંધારણના ઘડવૈયાઓએ બંધારણમાં જ સુધારાની સત્તા અને પ્રક્રિયાની જોગવાઈ કરી છે. ૨૬મી નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ પસાર કરેલ અને ૨૬મી જાન્યુઆરી ૧૯૫૦ના રોજ અમલમાં આવેલ બંધારણમાં ૩૯૫ અનુચ્છેદ, ૨૨ ભાગ અને ૮ અનુસૂચિ હતા. આજે તેમાં ૪૪૮ અનુચ્છેદ, ૨૫ ભાગ અને ૧૨ અનુસૂચિ છે. બંધારણ અમલમાં આવ્યાના સવા સાત દાયકામાં, જાન્યુઆરી ૨૦૨૩ની સ્થિતિએ, ૧૦૫ બંધારણ સુધારા થયા છે. એટલે વરસે સરેરાશ બે બંધારણ સુધારા થાય છે.
બંધારણના ભાગ ૨૦, અનુચ્છેદ ૩૬૮માં બંધારણ સુધારા અંગેની સંસદની સત્તા અને સુધારાની પ્રક્રિયા દર્શાવી છે. સંસદના કોઈ પણ ગૃહમાં બંધારણ સુધારા વિધેયક રજૂ કરી શકાય છે. તેની મંજૂરી માટે જે તે ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી, ગૃહમાં હાજર અને મતદાન કરનારા સભ્યોની બેતૃતીયાંશ બહુમતીની આવશ્યકતા છે. કેટલીક ખાસ બંધારણીય જોગવાઈ, ખાસ કરીને રાજ્યોને સંલગ્ન જોગવાઈઓમાં સુધારા માટે ૨/૩ બહુમતી ઉપરાંત દેશના કુલ રાજ્યો પૈકીના અડધા રાજ્યોની વિધાનસભાના સમર્થન પ્રસ્તાવ પછી જ બંધારણ સુધારો રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી શકાય છે.
૧૯૫૧માં, બંધારણના અમલના બીજા જ વરસે, અસ્થાયી સંસદે પહેલો બંધારણ સુધારો કર્યો હતો. ૨૦૨૧માં એકસો પાંચમો સુધારો થયો છે. કેટલાક બંધારણ સુધારા બહુ જ મહત્વના છે તો કેટલાક બંધારણીય જોગવાઈઓ નિભાવવા માટે કરવા પડ્યા છે. એકસો પાંચ સુધારામાં સાત સુધારા તો દર દાયકે અનુસૂચિત જાતિ-જનજાતિની રાજકીય અનામતો વધારવા અંગેના છે ! એક આડવાત તરીકે એ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે એસસી એસટીની નોકરીઓ અને શિક્ષણની અનામતની કોઈ સમયમર્યાદા નથી. માત્ર લોકસભા અને રાજ્યોના વિધાનગૃહોની રાજકીય અનામત બેઠકોની મર્યાદા મૂળ બંધારણમાં દસ જ વરસની છે. તેને કોઈ પણ રાજકીય પક્ષની કેન્દ્ર સરકાર બંધારણ સુધારા મારફતે લગભગ સર્વાનુમતિથી વધુ દસ વરસ લંબાવે છે. રાજ્યોના નામો બદલવા કે ભાષાઓને આઠમી અનુસૂચિમાં સામેલ કરવા અંગેના સુધારા સામાન્ય બંધારણ સુધારા ગણી શકાય.
તાનાશાહ કોંગ્રેસી વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી દરમિયાન ૧૯૭૬માં થયેલો બેતાળીસમો બંધારણ સુધારો ખૂબ જ વિસ્તૃત અને વિવાદાસ્પદ હતો. આ બંધારણ સુધારાને અભ્યાસીઓ લધુ બંધારણ ગણાવે છે. બેતાળીસમા બંધારણ સુધારામાં આમુખમાં ત્રણ શબ્દો( સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને અખંડતા) નો ઉમેરો કરવામાં આવ્યો, મૂળભૂત ફરજોનું પ્રકરણ ઉમેરવામાં આવ્યું, લોકસભા અને વિધાનસભાઓની મુદત પાંચને બદલે છ વરસની કરવામાં આવી, વડાપ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકારી શકાશે નહીં તેવો ન્યાયતંત્રને પાંગળુ બનાવતો સુધારો કર્યો તો રાજ્યોની સત્તા ઘટાડતો શિક્ષણ, વનસંપદા અને વસ્તી નિયંત્રણના વિષયોને રાજ્યને બદલે સમવર્તી યાદીમાં સમાવવામાં આવ્યા.જો કે તે પછી સત્તામાં આવેલી જનતા પક્ષની સરકારે ૧૯૭૮ના ચુંમાળીસમાં બંધારણ સુધારા મારફતે બેતાળીસમા સુધારાની મોટાભાગની બાબતો રદ કરી હતી.
કેટલાક બંધારણ સુધારા મહત્વના , લાંબા ગાળાની અસરો જન્માવતા અને અસામાન્ય છે. ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા અંગેનો ૧૯૫૬નો સાતમો સુધારો, મિલકતના અધિકારને મૂળભૂત અધિકારમાંથી રદ કરતો ૧૯૭૮નો ૪૪ મો સુધારો, મતદાન માટેની વય એકવીસ વરસથી ઘટાડીને અઢાર કરવા અંગેનો ૧૯૮૯નો એકસઠમો સુધારો, પંચાયતી રાજ સંબંધી ૧૯૯૨-૯૩ના ૭૩મા અને ૭૪ મા સુધારા, તમિલનાડુમાં અનામતની ટકાવારી ૫૦ ટકા કરતાં વધુ( ૬૯ ટકા) કરતા કાયદાને બંધારણ કે ન્યાયિક સમીક્ષાથી પર ગણવા તેને નવમી અનુસૂચિમાં સામેલ કરવા સંબંધી ૧૯૯૪નો છોંતેરમો સુધારો, છ થી ચૌદ વરસના બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણનો અધિકાર આપતો ૨૦૦૨નો ૮૬મો સુધારો, કેન્દ્ર અને રાજ્યોના મંત્રીમંડળની સંખ્યા લોકસભા કે વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાના પંદર ટકા નિર્ધારિત કરતો ૨૦૦૩નો ૯૦ મો સુધારો આવા અસામાન્ય બંધારણ સુધારા છે.
નરેન્દ્ર મોદીના વડપણ હેઠળની વર્તમાન કેન્દ્ર સરકારે તેની બે ટર્મ (૨૦૧૪-૧૯ અને ૨૦૨૦-૨૪) દરમિયાન અત્યાર સુધીમાં સાત બંધારણ સુધારા કર્યા છે. ન્યાયાધીશોની નિમણૂક અંગેની હાલની કોલેજિયમ સિસ્ટમને બદલે રાષ્ટ્રીય ન્યાયિક નિયુક્તિ આયોગ( ૨૦૧૫નો ૯૯ મો સુધારો), એક દેશ, એક કર માટેનો જીએસટી અધિનિયમ( ૨૦૧૬નો ૧૦૧મો સુધારો), સામાન્ય શ્રેણીના આર્થિક નબળા વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં ૧૦ ટકા અનામતનો કાયદો અને તેને અદાલતી સમીક્ષાથી પર ગણવા નવમી અનુસૂચિમાં સામેલ કરવો (૨૦૧૯નો ૧૦૩મો સુધારો), સામાજિક –શૈક્ષણિક પછાતવર્ગોની ઓળખ કરી તેની યાદી જાહેર કરવાની રાજ્યોને સત્તા આપતો ૨૦૨૧નો ૧૦૫મો બંધારણ સુધારો તે પૈકીના છે.
બંધારણ સુધારા વિધેયક માત્ર સંસદના બે ગૃહોમાં જ રજૂ કરી શકાય છે. રાષ્ટ્રપતિ પાસે તેની કોઈ આગોતરી મંજૂરી લેવાની હોતી નથી. વળી રાષ્ટ્રપતિ તેને અન્ય વિધેયકની જેમ પુનર્વિચાર માટે પરત કરી શકતા નથી. બંધારણ સુધારા વિધેયકને મંજૂર કરવા તેઓ બાધ્યકારી છે. જોકે બંધારણ સુધારાની પ્રક્રિયા પ્રમાણે કેન્દ્ર સરકાર પાસે બંને ગૃહોમાં ઠરાવેલી બહુમતી હોવી અનિવાર્ય છે. જો બહુમતી ના હોય તો બંધારણ સુધારા ખરડા માટે સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શકાતું નથી.જ્યાં રાજ્યોની અનુમતી જરૂરી છે તેવા બંધારણ સુધારા માટે રાજ્યો માટે કોઈ સમય સીમા નિર્ધારિત નથી તેથી બંધારણ સુધારા માટે રાજ્યસભામાં બહુમતીનો અભાવ જેમ બાધક છે તેમ દેશના અડધા રાજ્યોની સંમતિ અને અચોક્કસ સમય પણ બાધક બની શકે છે.
સંસદને બંધારણ સુધારાની સત્તા જરૂર છે પણ તેની આ સત્તા પર લગામ પણ મૂકાયેલી છે. કોઈપણ બંધારણ સુધારા ન્યાયિક સમીક્ષાથી પર નથી. એકસો પાંચ બંધારણ સુધારામાંથી સર્વોચ્ચ અદાલતે નેશનલ જ્યુડિશિયલ એપોઈન્ટમેન્ટ કમિશન અંગેના એક જ બંધારણ સુધારાને ગેરબંધારણીય ઠેરવી રદ કર્યો છે પરંતુ અદાલત સમીક્ષા કરી શકે છે. કેશવાનંદ ભારતી કેસના જજમેન્ટ માં સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે કે સંસદ બંધારણના મૂળભૂત માળખામાં કે તેના હાર્દને અસર થાય તેવા કોઈ સુધારા કરી શકશે નહીં.
ભારતનું બંધારણ સ્થિતિસ્થાપક છે. તેમાં સુધારાની પ્રક્રિયા અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડના બંધારણ જેવી અતિ કઠિન નથી તો બ્રિટનના જેવી સાવ સરળ પણ નથી. આયરિશ બંધારણમાં સરળતાથી સુધારા તો થઈ શકે છે પરંતુ તે માટે બહુમતી જનતાનું સમર્થન અનિવાર્ય છે. બંધારણના ઘડવૈયા ડો.આંબેડકર સુધારા માટે સંસદમાં ૨/૩ બહુમતીની જરૂરિયાતને બહુ સરળ માનતા હતા. ભારતની ચૂંટણી વ્યવસ્થામાં સત્તા પક્ષને કુલ મતદાનના ૫૦ ટકા કરતાં ઘણા ઓછા મત મળે છે પરંતુ બેઠકો વધુ મળે છે. વોટશેર અને બેઠકો વચ્ચેનું આ અસંતુલન કેન્દ્રમાં ૨/૩ બેઠકોની બહુમતી ધરાવતા સત્તાપક્ષને અનૂકૂળ હોય તેવા બંધારણ સુધારા માટે અવકાશ પૂરો પાડેછે. ઈન્દિરાઈ કટોકટી વખતના બેતાળીસમા સુધારાના અનુભવ પછી પણ આ દિશામાં ગંભીરતાથી વિચારાતું નથી.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪ . ૧ # અંશ ૩
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
અંશ ૨ થી આગળ
દિવ્યભાષ સી. અંજારીઆ
નાણા વિના – અવેતન – કામ
બીજા માટે કામ કરવા છતાં નાણાં કે તેની સમકક્ષ વળતર ન લેવાથી કામ સંબંધી ઘર્ષણનું મુખ્ય કારણ ટળી જઈ શકે છે. તમે અવેતન કામ કરો તે તો કામ આપનાર માટે તો ફાયદાકારક નીવડી શકે, પણ મુદ્દાનો સવાલ તો એ રહે છે કે કોઈ પણ પ્રકારનું વળતર ન મળે એવું કામ કોઈ કરે શા માટે? એક કારણ તો એ શક્ય છે કે તમારી પાસે અન્ય સ્ત્રોતોમાંથી જ એટલી કમાણી છે, કે એટલી બચત છે, કે તમે માત્ર નિજાનંદ માટે કે સમાજ સેવા માટે જ કામ કરી શકો. ઘણા કિસ્સાઓમાં તો અવેતન કામ કરનાર પાસે ‘પુરતી’ કમાણી કે બચત ન પણ હોય એવું પણ બની શકતું જોવા મળે છે. એ લોકો માટે આ રીતે કામ કરવું એ તેમણે નક્કી કરેલી જીવનશૈલીનો એક ભાગ હોય છે.
જે લોકો બીજા માટે અવેતન કામ કરે છે એ લોકો કામનાં વળતર સંબંધી ઘર્ષણો ટાળીને, કે પછી તેમને સાવ બિનમહત્વનાં બનાવી દઈને, અપેક્ષા પુરી ન થવાનાં નીજી દુઃખ પેદા કરતી પરિસ્થિતિઓને ટાળી શકે છે. વ્યાવસાયિક કામો કે સેવાઓના સંબંધોમાં તે પોતાનું પલડું ભારી કરી શકે છે અને સમાજ સેવા સંબંધોમાં માનસન્માન મેળવી શકે છે. આમ અવેતન કામ કરીને પણ તે આવા અપ્રત્યક્ષ લાભોની કમાણી તો અંકે કરી જ શકે છે !
નાણાંને પ્રમુખ સ્થાન આપતી અર્થવ્યવસ્થાનો વિકાસ જ્યારે હજુ આજ જેટલો વ્યાપક નહોતો બન્યો એ સમય પહેલાંની સમાજ વ્યવસ્થામાં, કે આજે પણ હજુ એ વિકાસથી પાછળ રહી ગઈ હોય એવી ‘અવિકસિત – ઓછી વિકસિત’ સમાજ વ્યવસ્થામાં, સ્વાભાવિકપણે નાણા સિવાયનાં વૈકલ્પિક ચલણની વ્યવસ્થા જરૂર હોય જ. આવી સમાજ વ્યવસ્થાઓ આપસી નિર્ભરતાના લાભો મેળવી શકવાની ક્ષમતા કેળવી લેતી હોય છે. આવી વ્યવસ્થામાં બન્ને પક્ષ નાણારૂપી વળતર સિવાય જ આપસી આદાનપ્રદાનથી કામ કરતાં હોય છે.
જોકે, આજની નાણા કેન્દ્રી અર્થવ્યવસ્થામાં, આપસી નિર્ભરતાને કારણે, કે સ્વનિર્ભરતાને કારણે, પણ નાણા વિના કામ કરવાથી પણ, સરવાળે, સમાજને તો ફાયદો જ થાય છે.
આજે જોકે હકીકત એ છે કે કામ કરનારાંઓનો મોટો વર્ગ ક્યાં તો નાણા માટે જ કામ કરે છે કે માત્ર પોતા પુરતું જ કામ કરે છે. આમાંનાં બધાંએ સવેતન કમાણી માટે કામ કરતા રહેવાની આવશ્યકતા હોય એ જરૂરી નથી. એ લોકો ધારે તો બીજા માટે અવેતન જ કામ કરી શકે છે, કે પોતાની નાણાકીય સમૃધિ બીજા માટે કામે લગાડી શકે છે. એમ કરવાથી વણવપરાયેલ, પડી રહેલ, બચતો કે રોકાણોને વધારે ઉત્પાદક જરૂરિયાતો તરફ વાળીને કે જરૂરિયાતમંદ લોકો માટે રોજગારની સંભાવનાઓ ઊભી કરીને સમાજમાં નાણાકીય સમ્રુદ્ધિની વધારે સમાન વહેંચણીની વ્યવસ્થા ઊભી કરી શકે છે.
આપસી નિર્ભર સંબંધને કારણે દેનાર તેમ જ લેનાર બન્નેને સંતોષ થાય છે અને સુખ પણ અનુભવાય છે. સમાજની આ વ્યવસ્થામાં જીવવાનું પસંદ કરનારાં લોકોને નાણા કમાવા માટે કામ કરતાં રહીને ધનદોલત એકઠી કર્યે રાખવામાં કે બીજાં કરતાં વધારે ધનિક બની રહેવાની દોટમાં કોઈ રસ નથી હોતો. સમાજને તમારી દોલતને બદલે તમારી સારી બાજુઓનું મૂલ્ય વધારે છે. પૈસાને કારણે સંબંધોમાં પડી જતાં અંતર જેવી સામાજિક સમસ્યાઓ ન થાય એ પાછો વધારાનો ફાયદો. આમ બીજાની જરૂરિયાતો પુરી કરીને, કે બીજાંને જરૂરતના સમયે મદદરૂપ બનીને, આપણે પણ સુખની અનુભૂતિ કરીશું.
નાણાં માટે કામ ન કરવાનું પસંદ કરવા છતાં માનસન્માન કે જેમને આપણે મદદ કરી છે તેની આપણા પ્રત્યેની આભારવશતા જેવાં અપ્રત્યક્ષ વળતર તો આપણને મળતાં જ હોય છે. ન કરે નારાયણને ભવિષ્યમાં આપણને જરૂર પડી તો નાણાકીય વળતરની અપેક્ષા વગર કરેલાં આપણાં કામોનો બદલો આપણને નાણાભીડ દૂર કરવામાં મળી શકતી મદદ, કે એ સમયે નાણાની અપેક્ષા વિના આપણને કરાતી મદદ દ્વારા મળી શકે છે.
ઘણી વાર એવું પણ બનતું હોય છે કે આપણે જ્યારે કોઇ કામ કરી આપીએ છીએ ત્યારેને ત્યારે તેનાં નાણા સ્વરૂપનાં કે બીનનાણા સ્વરૂપનાં વળતરની આપણને જરૂર ન હોય. એટલે એક રીતે ભવિષ્યનાં વળતર માટે તે આપણું આજે કરાયેલું રોકાણ બની રહે છે. જોકે, આ વિકલ્પની પસંદગીનો આધાર આપણી તે સમયની કમાણી કે ભૂતકાળમાં કરેલી બચતની ‘પર્યાપ્તતા’ પર જરૂર છે. ઘણીવાર કંઈ નવું શીખવા, નવું કૌશલ્ય શીખવા કે આપણા કોઈ નવા, અનોખા વિચારની ચકાસણીના પ્રયોગ માટે પણ અવેતન કામ કરવાનો વિકલ્પ અપનાવાતો હોય છે. અનુક્રમે વિદ્યાર્થી વર્ગ, કારકિર્દીની નવી દિશાઓ ખોળતો વ્યાવસાયિક કે પોતાનાં નવાં સાહસની યોજનાને અમલ મુકતાં પહેલાં પૂર્વ-ચકાસણી કરતો ઉદ્યોગ સાહસિક આ વિકલ્પનાં ઉદાહરણો છે.
અવેતન કામ કરવાનો વિકલ્પ અપનાવનારને પણ પોતાની વર્તમાનની રોજબરોજની જીવન જરૂરિયાતો પુરી કરવા માટે કંઈક તો નાણાં જોઇશે એ પણ હકીકત છે. એટલે ક્યાં તો પોતાની પુરતી અન્ય આવક કે બચત કે કુટુંબમાં પતિ કે પત્ની, માતાપિતા કે સંતાનો જેવાં આપ્તજનોની મદદ કે પછી કોઈ અન્ય સ્રોતમાંથી જરૂરી નાણાની જોગવાઈ જેવી ટેકારૂપ વ્યવસ્થાનું પુરૂં આયોજન થયેલું હોય એ બહુ જ આવશ્યક છે. જીવનની વાસ્તવિકતા તો એ જ છે કે આરામથી જીવન ગુજારી શકવા ઉપરાંત બીજાંને અવેતન મદદ કરી શકે એવાં લોકો બહુ જૂજ સંખ્યામાં જ હોય છે. એટલે આપણે આ સિવાયના વિકલ્પો વિશે પણ વિચાર કરવો જોઈએ.
હવે પછી સાટા વિનિમય – ચીજવસ્તુની અદલબદલ, સેવાની સામે સેવાની અદલબદલ, સામુદાયિક કામની અદલબદલ અને આપસી મદદરૂપ, સ્વનિર્ભર અને સમતાવાદી સમાજની રચના જેવા વિકલ્પોની વાત કરીને કમાણીની વિશેષતાનાં વિવિધ પાસાંઓની ચર્ચા પુરી કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
‘મિની સૌરાષ્ટ્ર’ની આ દાસ્તાંમાં સામગ્રી સમાજકારણ, રાજકારણ, અર્થકારણની
તવારીખની તેજછાયા
પ્રકાશ ન. શાહ
સુપ્રતિષ્ઠ સમાજશાસ્ત્રી એમ. એન. શ્રીનિવાસે પોતાના ગામ ‘રામપુર’ની વાત સમાજશાસ્ત્રીય કરતાં વધુ આર. કે. નારાયણની ઢબે માંડીને ક્યારેક નવી ભોં ભાંગી હતી.
લખવાનો ધક્કો તો પૂર્વમંત્રી નાનુભાઈ વાનાણીની સુરત-પાટી ત્રયીમાંથી પસાર થતાં લાગેલો છે.
પણ એમાં પ્રવેશી શકું તે પહેલાં જળબંબોળ જૂનાગઢ વિશે સાંભળું છું અને મહાલક્ષ્મી શેરીના કોઈક ઢોળાવ પરની ‘ભટ્ટ ખડકી’ ખાબકી આવી સહસા ચિત્તનો કબજો લે છે. એમાં વાંક ને જવાબદારી અલબત્ત યોગેશ વૈદ્યના હૃદ્ય કવિક્રમની છે. એમણે આ ખાનદાન, દુનિયાદારી અર્થમાં સુખી નયે હોય એવા નિવાસઝુમખાને એકદમ જ આત્મીય બનાવી દીધેલ છે.
શા હાલ હશે એના આ પૂર વચાળે, એવું જોકે વિચારવું જરૂરી નથી; કેમ કે બે’ક દાયકા પરના ભૂકંપ સાથે અહીં ‘ભયની મારી હજાર ભીંતો ભડકી’ અને પેઢાનપેઢી જ્યાં જીવ્યાં તે સૃષ્ટિ સંકેલાઈ ગઈ છે. ક્યારેક ‘ઓરસિયા પર શ્લોક પ્રસરતો દાદા ચંદન ઘસતા/ઘરના નાના ખૂણે કેટલા ઈશ્વર આવી વસતા’ એ સૃષ્ટિએ હવે ક્યાંક બીજે હોવાનું છે- અને કવિ પરિવાર અન્યત્ર સ્થાયી થઈ પોતાની રીતે જીવન માણતો પણ હશે સ્તો. (બાકી, ‘ભટ્ટ ખડકી’માં રહ્યા ત્યારે તો પિંજર જેવું ખુલ્લું રહી ગયું હોય પણ પંખી એમાંથી ઊડી જવા ન ઈચ્છે એમ રહેવું કોઠે પડી ગયું હતું.)
યોગેશ વૈદ્યના કાવ્યલોકમાં સરી જવાનો અથવા પાલ્ગ્રેવની ‘ગોલ્ડન ટ્રેઝરી’ના વારાથી સુપ્રતિષ્ઠ ‘ડેઝર્ટેડ વિલેજ’ જે ઘસાતાં ગામડાંની યાદ લઈ આવે છે એમાં અટવાઈ જવાનો ખયાલ તો ક્યાંથી હોય? જીવન અંતે તો ગતિ અને સ્થિતિનું કાવ્ય છે અને ઈતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી. ઈતિહાસમરમી ઈ. એચ. કાર વખતોવખત કહેતા કે મનુષ્યજાતિની નિયતિ એક નાવિક જેવી છે. છોડેલા કિનારાનાં ભવ્ય ખંડેરો કે ખખડી ગયેલા ખાનદાન ખોરડાં ભણી મોં ઠેરવી બેસવાનું બેમતલબ છે. વસ્તુત: આપણી નૌકા જે અખાતમાં પ્રવેશી છે તે તરફ જ નજર નોંધી બંદરશોધ ચલાવવાની છે. કહ્યું ને, ઈતિહાસમાં તમે પાછાં જઈ શકતા નથી… તો, રાધાના નામ પેઠે કાળજે ધરી કે મોરપીંછ પેઠે મસ્તકે ધરી વ્રજ મેલી ક્યાંક પૂગવું રહે છે જ્યાં દ્વાર ખુલ્લાં હોય કે ખોલી શકીએ. વિશ્વવાર્તાની જેમ લાંબી પ્રસ્તાવના કીધી પણ તમે જુઓ કે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આપણે સ્થળાંતરિતોના દસકા જેવા આયોજન કરવા લાગ્યા છીએ. ભારત એટલે ગામડાં એમ આપણે કહેતાં આવ્યાં એ કંઈ ખોટું નથી. પણ વીતેલા દસકાઓમાં શહેરીકરણનો સપાટો જોઈએ તો તરતનાં વરસોમાં અધઝાઝેરું ગુજરાત ગ્રામીણ નહીં પણ શહેરી હશે. ચોપડે ચડ્યા વગરની વણનોંધી, કથિત પરપ્રાંતીય શ્રમશક્તિ, કુદરતી આપત્તિ પછી ખુદ ગુજરાતમાં કેટલી એમ જ અલોપ થઈ જતી હશે, ન જાને! ખાંડવવન દહન વિનાનું ઈન્દ્રપ્રસ્થ કલ્પવું એ ખરે જ એક મહાભારત કામ રહ્યું છે.
તસવીરો – નેટ પરથી વધુ વહી જતો લાગું તે પહેલાં અટકું અને નાનુભાઈની ત્રયી નિમિત્તે બે’ક વાતો કરું. સુરતના વરાછા, કતારગામ, અમરોલી અને મોટા વરાછા વિસ્તાર છેલ્લાં સાઠ વરસમાં ‘મિની સૌરાષ્ટ્ર’ લેખે ઉભર્યાં છે. સૌરાષ્ટ્રના ચૂંટણીજંગમાં સુરતની સામેલગીરી ને સુરતમાં સૌરાષ્ટ્રની સામેલગીરી તે લક્ષમાં લઈએ તો ‘સુરતમાં સૌરાષ્ટ્રની ‘સૂરત’ તરત સમજાશે. સચોટ કહ્યું છે કે નાનુભાઈએ પ્રસ્તાવનામાં કે અહીં સાહસ ને સંઘર્ષ તે અમારો ‘વીર’ રસ છે; અમારા શરૂઆતના સમયે અને અભણ, ગંદા, ઘસીય, ગોવિંદા, રોકેટ કહેવાઈ હાંસીપાત્ર બન્યા તે ‘હાસ્ય’ રસ છે; અમારી સખાવતો તે ‘વાત્સલ્ય’ રસ છે, ગેરકાયદે બાંધકામોનું ઘોર જંગલ તે ‘બીભત્સ’ રસ છે; અકલ્પનીય આર્થિક વિકાસ તે ‘અદ્્ભુત’ રસ છે; શરૂઆતના દિવસોમાં અમારા પરિણીત યુવાનોએ અહીં અને એમની પત્નીઓએ વતનમાં રહી જે વિયોગ સહન કર્યો તે વિરહનો ‘શૃંગાર’ રસ છે; વિચલિત થયા વગર વધતા રહેવું તે અમારો ‘શાંત’ રસ છે, અને પૈસાની ભક્તિ તે અમારો ‘ભક્તિ’ રસ છે. પુરુષાર્થ, પરમાર્થ અને સ્વાર્થની આ મહાભારત કથા છે. બીજી પાસ, નાનુભાઈએ ‘વાંચે તે જાણે’ એવી ટૅગ-ટિપ્પણ સાથે સુરતની આર્થિક ક્રાંતિનું ‘રહસ્ય’ ખોલવાનીયે કોશિશ કરી છે. અને આ બધું કરતી વખતે ને કરતે છતે સૌરાષ્ટ્રના પોતાના મૂળ વતનગામ ‘પાટી’નુંયે ચિત્ર ગામની ખુદની આત્મકથની રૂપે આપ્યું છે. વતનભૂમિ અને કર્મભૂમિ બેઉને પૂરા હૃદયથી વરેલી શખ્સિયતની કલમે સાંપડેલી સામગ્રી વિશે વધુ નહીં કહેતાં આટલે જ અટકીશું.એક રાજકીય કાર્યકર તરીકે નાનુભાઈએ પક્ષીય માળખા બહાર ઊઠીને કરેલી આ ચિત્રણા નિશ્ચયે સરાહનીય છે. એમાં વતનભૂમિ ને કર્મભૂમિ વચ્ચે સમજપૂર્વકનો સહૃદય લગાવ છે, તો નવી જગ્યાએ બનતા દાયિત્વની ખબર પણ છે. પોતે જ પક્ષ સાથે છે એને અંગે પણ એમનો દાયિત્વબોધ કેવોક હશે તે વિધાનસભાની છેલ્લી ચૂંટણી વખતે વિજય છતાં મતોની ઘટેલી ટકાવારી વિશેની એમની ચિંતામાં વરતાય છે. કાર્યકર આધારિત અને વિચારધારા આધારિત પાર્ટીમાંથી આપણે મોદી આધારિત પાર્ટીમાં તો નથી ફેરવાઈ ગયા ને. સત્યમેવ જયતેને બદલે જો જીતા વહી સિકંદર, એવું તો નથી ને, આ પ્રકારના પ્રશ્નો એમણે એક જાહેર મુલાકાતમાં ઉઠાવ્યા હતા તેનું આ ક્ષણે સ્મરણ થાય છે.ભારતમાં સમાજશાસ્ત્રની નવી ભોં ભાંગનાર તરીકે એમ. એન. શ્રીનિવાસ અને એમણે માંડેલી પોતાના ગામની દાસ્તાં ‘રામપુર’ આદરભેર સંભારાય છે. ‘રામપુર’ની લેખનધારી શાસ્ત્રીય નહીં એટલી આર. કે. નારાયણની કલમે ચાલી આવતી વાર્તાની તરેહની છે. નાનુભાઈની આ સામગ્રી સુરતથી સુપરિચિત સમાજશાસ્ત્રીઓની આપણી શૃંખલા પૈકી ઘનશ્યામ શાહ, વિદ્યુત જોશી, ગૌરાંગ જાની કોઈક તપાસી એને પલટાતા સમાજના પાઠ્યપુસ્તક તરીકે કેમ ન જોગવી આપે વારુ? નાગરિકતાના શિક્ષણની એ અચ્છી હાથપોથી પણ બની રહેશે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૩ – ૦૮ -૨૦૨૩ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
વન માનવ
વાંચનમાંથી ટાંચણ
– સુરેશ જાની

આ ટારઝન જેવા કોઈ કાલ્પનિક પાત્રની કે ઘનઘોર જંગલમાં રહેતા કોઈ ચીલાચાલુ આદિવાસી માણસની વાત પણ નથી. આ એવા એક માણસની વાત છે કે, જેણે બ્રહ્મપુત્રા નદીમાં સાવ બંજર બની ગયેલા ટાપુ પર આખેઆખું જંગલ ઊગાડ્યું છે! એણે ખાલી વૃક્ષો જ વાવ્યાં નથી, પણ એવી સૃષ્ટિ ખડી કરી છે; જેમાં વન્ય પ્રાણીઓ પોતાની જાતે વસવા આવી ગયાં છે – હરણ, વાંદરા, સસલાં, સાપ, વાઘ, હાથી અને ગેંડા સમેત!
૩૧, ઓક્ટોબર – ૧૯૫૯ના રોજ આસામના જોરહટ જિલ્લાના કોકિલામુખ નજીક આવેલા એક ગામમાં મિશિન્ગ જાતિમાં જન્મેલ જાદવ પિયાન્ગ ૧૯ વર્ષનો હતો; ત્યારે એના ગામની નજીક બ્રહ્મપુત્રા નદીમાં આવેલા સાવ વેરાન પણ વિશાળ ટાપુ પર તેણે પૂરના કારણે તણાઈ આવેલા મરેલા સાપ જોયા. તેને ખ્યાલ આવ્યો કે, આ સાપ ભુખના કારણે મરી ગયા હતા. એ વિશાળ ટાપુ પર સમ ખાવા માટે પણ કોઈ વૃક્ષ કે નાનાં સરખાં જાનવર કે પક્ષીઓ ન હતાં. તેના મગજમાં વિચાર આવ્યો કે, અહીં વૃક્ષો વાવે તો જાનવરો અને પક્ષીઓ રહેતાં થાય.
બસ, આ જ એક વિચાર અને તેણે વાંસનાં બી લાવીને ૨૦ રોપા વાવ્યા અને મોટા થયા ત્યાં સુધી તેમની માવજત કરી. થોડાક જ વર્ષ થયા અને આવી વિશાળ નદી અને ભરપૂર વરસાદના સબબે એક નાનકડું વાંસનું જંગલ ઝડપભેર ફેલાવો કરવા લાગ્યું. લગ્ન થયા બાદ તેની નવોઢા બિનિતા સાથે તેણે આ બગીચામાં એક ઝૂંપડું બાંધ્યું અને પોતાના ગામમાંથી ઢોર લાવી રહેવા લાગ્યો. પશુપાલનમાંથી બન્નેનો ગુજારો થવા લાગ્યો અને સાથે સાથે અવનવી જાતનાં વૃક્ષોની વસાહત પણ બન્ને ઉમેરવા લાગી ગયાં.

થોડાક જ વર્ષોમાં એ નાનકડું વન એની મેળે વિસ્તરવા લાગ્યું. એમાં પક્ષીઓ, વાંદરા, સસલાં વિગેરે જીવો પણ વસવાટ કરવા લાગ્યાં. અને લો! દૂર દૂરથી આકર્ષાઈને એક ગેંડા દમ્પતિ પણ એમનું પાડોશી બની ગયું! અને શિકારની શોધમાં આવીને આ જંગલમાં વાઘ પણ વસવા લાગ્યા. ૨૦૦૮ની સાલમાં ૧૧૫ હાથીઓના એક ધણે એક ગામમાં થોડોક વિનાશ કર્યો હતો, તેની શોધ કરતાં કરતાં આસામના વન વિભાગના અધિકારીઓને, જ્યાં હાથીઓએ કામચલાઉ નિવાસ કર્યો હતો તેવા આ વનની જાણ થઈ. દર વર્ષે છ મહિના માટે હાથીઓ આ વનની મુલાકાત લે છે.
અલબત્ત આ જંગલમાં રહીને પશુપાલન કરવાનું જોખમી હતું, એટલે બન્ને જણ તેમનાં ત્રણ સંતાનો સાથે હવે નજીકના મિશિન્ગ ગામમાં પાકું મકાન બાંધીને રહે છે, અને પશુપાલન અને ખેતીથી તેમનો જીવન નિર્વાહ સરસ રીતે થાય છે.
જાદવે ૧૯૭૯ માં શરૂ કરેલા આ નાનકડા અભિયાનને કારણે તેને ભરપૂર પ્રસિદ્ધિ મળી છે. ૧૩૯૦ એકરમાં હવે વિસ્તરેલું આ વન તેના નામના એક અંશ પરથી મોલાઈ વન તરીકે વિશ્વ વિખ્યાત થયું છે. અનેક એવોર્ડોથી જાદવના કામની નવાજેશ થઈ છે. ૨૦૧૨ની સાલમાં જવાહરલાલ નહેરૂ યુનિ. માં તેને એનાયત કરવામાં આવેલ એવોર્ડની સાથે તેના વાઈસ ચેન્સેલર સુધીર કુમાર સોપોરીએ તેને ‘Forest man of India’ ના નામથી ઓળખાવ્યો હતો. ત્યારથી આખી દુનિયામાં તે આ નામથી જાણીતો થયો છે. એની ચરમસીમા રૂપે ૨૦૧૫ની સાલમાં રાષ્ટ્ર્પતિના હસ્તે તેને ‘પદ્મશ્રી’ ઇલ્કાબ એનાયેત થયો હતો.

૨૦૧૮ની સાલમાં બહુ જાણીતી બનેલી ફિલ્મ ‘ હાથી મેરે સાથી’ એના કામના આધાર પર અને મોલાઈ વનમાં બનાવવામાં આવી હતી. જાદવના આ કામનો ચિતાર આપતા એક બાળ પુસ્તકમાં એની આ તસ્વીર એને મળેલી પ્રસિધ્ધિનો ખ્યાલ આપે છે –

વાચકોને એ જાણીને નવાઈ થશે કે, આ પરિચય લખનારને અમેરિકાના એક સાવ નાના સ્થાનિક પુસ્તકાલયના બાળ વિભાગમાં નીચેના પુસ્તકમાંથી થઈ હતી!

સંદર્ભ –
https://www.oneearth.org/reforestation-hero-jadav-payeng/
https://en.wikipedia.org/wiki/Jadav_Payeng
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
બસ બીજું કંઈ જ કહેવાની જરૂર નથી
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
અજબ છે ને આ દુનિયા? ખાસ કરીને કાનૂન..
કાનૂન સાથે જે રીતે ચેડા કરાય છે, જે રીતે એની સાથે રમત રમાય છે એ જોઈને તો કાનૂન પરથી પણ વિશ્વાસ ઊઠી જાય.
ગુનો કોઈ કરે અને સજા કોઈ ભોગવે, એ તો હવે સામાન્ય વાત થઈ ગઈ છે. સરકારની રહેમ નજર હોય તો માલિક પૈસા ખવડાવીને છૂટ્ટો અને સજા ચાકરને આપી દેવાની, બસ કેસ અને વાત બંને ખતમ. ગેરકાયદેસર શરાબ વેચવાવાળા પકડાય તો પોલીસને પૈસા પહોંચાડી દે. બે-ચાર એવા ભાડૂતી માણસો હોય જે એમના બદલે થોડા સમયની જેલ ભોગવી આવે. પૈસા તો એમને પણ મળી જાય.
અમીન પહેલવાન પણ આવો જ એક કેટલીય વાર જેલ જઈ આવેલો ભાડૂતી માણસ હતો. નામ તો અમીન પહેલવાન હતું પણ અખાડામાં ક્યારેય એણે પગ મૂક્યો નહોતો. કોઈના ગોરખધંધાનું આળ પોતાના માથે લઈને એના બદલે જેલ ભોગવવાના કામને એ પોતાનો કારોબાર કહેતો. જેલમાં જવાની વાતને એ પસંદગી કે નાપસંદગીના ત્રાજવે તોળતો નહીં.
એ કહેતો કે સૌ એક પોતાની ઑફિસે જાય છે જ ને? એની દૃષ્ટિએ તો ઑફિસ એક જાતની જેલ જ હતી.
“વાત તારી સાચી છે પણ ઑફિસ જવાવાળાની વાત જુદી છે. એમને લોકો ખોટી દૃષ્ટિથી નથી જોતા.” ક્યારેક હું એને કહેતો.
“કેમ, જિલ્લા કચેરીના દરેક મુનશી, ક્લાર્ક માટે કોને માન છે? એ લોકો લાંચ લે છે, ખોટું બોલે છે, એક નંબરના ખોટા અને ખટપટિયા હોય છે. હું મારું કામ ખરેખરી ઈમાનદારીથી કરું છું.”
એ માનતો કે કોઈના બદલે જેલ ભોગવવાનું એય એક જાતનું કામ છે. જેના માટે સજા ભોગવી છે એ એને પૈસા આપે, ઉપરાંત જેલમાં જઈનેય એ મહેનત તો કરે જ છે. પોતાની મહેનતની કમાણી ખાય છે. લોકો એને ગુંડો સમજે છે, પણ ખરેખર તો એણે આજ સુધી કોઈને એક પણ તમાચો માર્યો નહોતો.
સાચે જ એની વાત સૌથી સાવ અલગ હતી. જોવાની ખૂબી એ હતી કે, આટલી વાર જેલ ભોગવ્યા પછી પણ એની પ્રકૃતિમાં કોઈ પરિવર્તન નહોતું આવ્યું. એ ગમાર હતો, પણ શાંત અને સમજુ હતો.
જેલનું ખાવાનું ગમે તેવું હોય પણ એ એને ગમતું કરીને ખાતો. પહેલી વાર કાંકરાવાળી દાળ અને રેતવાળી રોટી મળી ત્યારેય એને ઈશ્વર કૃપા સમજીને હોટલમાં ખાતો હોય એવી મઝાથી ખાઈ લીધી હતી. અને પછી તો એને આદત પડી ગઈ.
એક દિવસ મેં એને પૂછ્યું, “ તેં ક્યારેય કોઈને પ્રેમ કર્યો છે ખરો?”
“ખુદા એવા પ્રેમથી મને બચાવે. બસ મને માત્ર મારી મા માટે પ્રેમ છે.”
એની મા હયાત હતી. એને વિશ્વાસ હતો કે એની માના આશીર્વાદથી જ એ સલામત છે.
આજ સુધી અમીન પહેલવાનને કોઈની સાથે પ્રેમ ન થયો હોય એ મારા માનવામાં આવતી નહોતી. સાથે એવી ખબર હતી કે એ ક્યારેય ખોટું નહોતો બોલતો. હકીકત એ હતી કે એને આજ સુધી કોઈના પ્રત્યે દિલચશ્પી જાગી નહોતી.
જાણવામાં આવ્યું કે, અમીન પહેલવાનની મા લકવાના લીધે મૃત્યુ પામી ત્યારે એની પાસે ફૂટી કોડી પણ નહોતી. શોકાતુર થઈને બેઠો હતો અને શહેરની એક ધનાઢ્ય વ્યક્તિ તરફથી કોઈ ખાસ કામ માટે એને તેડું આવ્યું. માની મૈયત છોડીને એ ગયો પણ ખરો. એ જ તો એની રોજીરોટીનું માધ્યમ હતું ને!
કાળાબજારનો કિસ્સો હતો. શહેરના ધનાઢ્ય મિયાં દીન સાહેબના ગોદામ પર છાપો મારવામાં આવશે એવા અંદરના ખબર એમને મળ્યા હતા. હવે જ્યારે છાપો મારવામાં આવે તે સમયે અમીન પહેલવાન એ ગોદામનો માલિક છે એવું દર્શાવવાનું હતું. છાપો મારે તો પાંચ હજાર રૂપિયા દંડ અને એકાદ-બે વર્ષની કેદ આવશે એવી ગણતરી હતી. દંડ એ મિયાં સાહેબ ભરી દે અને એમના બદલે જેલમાં અમીન પહેલવાને જવાનું. દર વખતની જેમ જેલમાં અમીન પહેલવાનની સગવડનું પૂરતું ધ્યાન આપવામાં આવશે એવી ખાતરી આપતા હતા. ક્યારેય કોઈ સોદામાં ના ન પાડતો અમીન માની દફનક્રિયા કર્યા વગર આજે બીજું કશું કરવા તૈયાર નહોતો.
જો એ સમયે અમીન ગોદામ પર જાય તો મિયાં સાહેબ અમીનની માની દફનક્રિયાની જવાબદારી લેવા તૈયાર હતા. અમીન માટે આ સૌથી કપરી કસોટી હતી. અત્યંત વહાલી એવી માની વિદાય સમયે પોતાનો ખભો પણ એને નસીબ ન હોય એ અમીન માટે અસહ્ય વાત હતી.
એક તત્વચિંતકની જેમ મિયાં એને સમજાવતા હતા કે, આ બધી દુનિયાદારીની વાતો છે. મરી ગયા પછી કોને ફરક પડે છે કે એ કોની કાંધે ચઢીને અવ્વલ મંઝીલે જઈ રહ્યું છે, કે કોણ એની મૈયતમાં સાથ આપી રહ્યું છે. માણસ મરી ગયું પછી એને બાળો, દાટો અથવા ગીધ કે સમડીના હવાલે કરી દો, એને ક્યાં કોઈ ફરક પડવાનો છે?
થોડી રકઝક પછી સોદાના હજાર રૂપિયા નક્કી થયા. જેલમાંથી આવીને એની મા માટે સંગેમરમરની કબર બનાવી શકશે એવા આશ્વાસન સાથે અમીન ગોદામે જવાની તૈયાર દર્શાવી.
અમીને એ સમયે રોકડા રૂપિયા માંગ્યા જેથી એ તત્કાળ એની માના કફનની સગવડ કરી શકે. અમીનને ભરોસો નહોતો કે જેલમાં એ જશે તો એ પછી મિયાં દીન એની માની અંતિમક્રિયા કરશે અને મિયાં સાહેબને ભરોસો નહોતો કે રૂપિયા લઈને અમીન એમનું કામ કરશે કે નહીં. પહેલવાન માટે તો કોઈ એની ઈમાનદારી પર ઘા કરે એ જ અસહ્ય વાત હતી. કોઈ બેઈમાનીનો ધંધો કરતું હોય એનું આળ પોતાના માથે લેવા તૈયાર હતો, પણ એમાં એણે ક્યારેય પૈસા ચૂકવનાર સાથે બેઈમાની નહોતી કરી.
બસ આ એક વાત પર મિયાં દીન અને અમીન પહેલવાન અડી પડ્યા અને વાત ત્યાં જ અટકી ગઈ.
અમીન જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે એની માને આખરી સ્નાન કરાવીને તૈયાર કરવામાં આવી હતી. કફન પણ તૈયાર હતું. એ જોઈને અમીન પહેલવાન દંગ રહી ગયો કારણ કે મિયાં દિન તો એની સાથે સોદો કરવાની જીદ પર હતા તો પછી આ બધી મહેરબાની ક્યાંથી?
આશ્ચર્ય મિશ્રિત અવાજમાં એણે પૂછપરછ આદરી. તો જવાબ મળ્યો કે આ બધો પ્રબંધ એની બીબીએ કરાવ્યો છે.
“હેં??” ફરી એક વાર આશ્ચર્ય મિશ્રિત અવાજ નીકળ્યો.
“હા જનાબ. અને એ અંદર આપની રાહ જુવે છે. “ ફરી જવાબ મળ્યો.
અમીને અંદર જઈને જોયું તો એક નવયુવાન ખૂબસૂરત યુવતી નજરે પડી.
“અરે, તમે કોણ છો, અહીંયા કેમ અને ક્યાંથી આવ્યા છો?” અમીન પહેલવાને એ યુવતીને પૂછ્યું.
“હું તમારી બીબી છું તો અહીં કેમ છું એવો વ્યર્થ સવાલ કેમ?
“બીબી? મારે વળી બીબી ક્યાંથી? સાચે સાચું કહી દો કે તમે છો કોણ?”
“હું મિયાં દીનની દીકરી છું. એ સમયે તમારી સાથે જે વાતચીત થતી હતી એ બધી મેં સાંભળી છે અને…….”
“બસ, હવે બીજું વધારે કંઈ કહેવાની જરૂર નથી….”
અને એક અર્થપૂર્ણ વ્યવસ્થા પર અમીન પહેલવાને વ્યર્થ ચર્ચા કરવાનું ટાળ્યું.
સઆદત હસન મંટોની વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ચિઠ્ઠી
નીલેશ રાણા
રાત્રિનો છેલ્લો પ્રહર, તેરસની ચાંદની અંધકારને ઓગાળવામાં સફળ થવા લાગી હતી. અચાનક આડે આવેલી નાનકડી વાદળીને ધક્કો મારતા ચંદ્રે ધરા પર નજર ફેરવી. નાનકડું શહેર,
એના છેવાડે વહેતી નદી, કિનારેથી થોડી દૂર પુરાણી હવેલી. બાજુમાં વૃદ્ધ થતું પીપળનું વૃક્ષ… રોજિંદું દૃશ્ય… અરે! આ શું? આ સમયે? એક યુવતી વૃક્ષની નીચે હાથમાં બગલથેલો પકડી નજરદોડાવી રહી હતી. અહીં ક્વચિત્ મળવા આવતા પ્રેમીઓનો મળવાનો સમય તો અફળ પામી ગયો હતો. તો પછી…થોડે દૂરથી પ્રસરતો ઘુવડનો અવાજ, પવનની ધીમી દોડ, થોડાં પર્ણો ખર્યા. માથા પર હાથ ફેરવતાં યુવતીએ ઉપર જોયું. શંકાએ મનમાં પગપેસારો કર્યો. હિંમત થોડી ઓસરતાં ડરકંપનમાં
પલટાયો. બગલથેલા પરની પકડ વધુ મજબૂત બની થોડે દૂર આવેલી ઝાડી પાછળથી પગરવનો અવાજ, સતેજ થતી નજર, સખા થતાં કાન, દૃશ્ય વધુ સ્પષ્ટ થતાં જ વળતી પળે અનુભવાતી
હાશ, જાણે ફૂલ ખીલતાં પ્રસરતી ફોરમ. પાસે આવતાં જ પુરુષનો ધડકતો અવાજ સંભળાયો, “બાપજી… હું આવી ગ્યો.’“આવવામાં આટલીવાર? હું મારો જીવ પીપળે લટકાવીને ક્યારની ઊભી છું.’ સ્વરમાં તીખાશ.“શું કરું, લજવાતા પુરુષ આગળ બોલ્યો “ભેરુઓ સાથે મોડે સુધી વાતો કરતાં ઊંઘ મોડી આવી.’“પણ મારી નીંદરનું શું?”“ગુસ્સો થૂંકી નાંખો બાપજી.’“હા, મારી પાસે બીજો કોઈ ઉપાય નથી.”“હવેલીમાં મળવાને બદલે આ સમયે તમે મને અહીં મળવા બોલાવ્યો.’ સહેજ પાસે સરકતાં એ બોલ્યો, “શું સાહેબ પાછા આવી ગ્યા?’“આવવામાં જ હશે. તને ડર લાગે છે?’“અહીં મળવા બોલાવ્યો એટલે ડર તો લાગે જને!’“ડર તો મનેય લાગે છે.’“પણ હું સમજ્યો નઈ!’“મેં મન મક્કમ કરી લીધું છે. છેવટનો નિર્ણય કર્યો છે. પાણીમાં ભુસ્કો મારવાનો.’“બાપજી… શું બોલો છો? આત્મહત્યા.”“મૂરખ, મારું તરવું કે ડૂબવું… હવે તારા હાથમાં છે.”“અજાણ્યો થા મા. તું સંધુય સમજે છે.’“બાપજી…’“તું મારી વાત માનીશ?’“મેં ક્યારે ના પાડી છે.”“તું… તું સાથ આપશેને? જો.. જો સાંભળીને ફરી ના જતો.. ફરી ના જતો..’ફરી ઘુવડનો અવાજ, પવનનું અડપલું, પર્ણોનું ખરવું અને પુરુષના મનમાં ફાળ… “આજે બાપજીનો મિજાજ અને અવાજ અલગ છે. હવે?’ એ સ્વગત બબડ્યો.“કેમ, શું વિચાર કરે છે?’ પ્રશ્ન કરતાં યુવતીએ ખભા પરની શાલ ઠીક કરી. “મને એમ કે તું નહીં આવે.’“હું આવ્યો તો છું.’ ચહેરા પરની મૂંઝવણ અંધકારમાં લપાઈ ગઈ. એણેય ગભરાતા ચારે તરફ નજર ફેરવી. આ શું થઈ રહ્યું છે ન સમજતા હૃદય જોરથી ધડકવા લાગ્યું.“મેં નિર્ણય કરી લીધો છે. હવે તારે અત્યારે જ નક્કી કરવાનું છે.”“વાતનો ફોડ પાડોને!’“બસ હદ થઈ ગઈ. હવે નથી સહેવાતું કે રહેવાતું.”“પણ… એવું તો શું બની ગયું?’“મેં છેવટનો ફેંસલો કરી લીધો છે.’“કેવો ફેંસલો?”“ચાલ આપણે ભાગી જઈએ.’“બાપજી… જી… આપણે ભાગી…’ હોઠ પહોળા થયા પણ શબ્દો..“સાંભળીને નવાઈ લાગી!’“તમારે ભાગી જવાનું છે..”“હા… હા…”“તેય મારી સાથે? મજાક કરો છો.’“ક્યાં જઈશું? અત્યારે… મારી સાથે!”“તું લઈ જાય ત્યાં… ચાલશે..’ યુવતીના ચહેરા પર હલકો પ્રકાશ પથરાયો. “ભરોસો રાખુંને?’“તમે હવેલીના અને હું… ભાગવું સહેલું નથી. જાણો છો, સાહેબના હાથ ઘણા લાંબા છે.’“જાણું છું. એમના હાથોની પહોંચથી દૂર જવા હું તૈયાર છું. જો તારામાં સાથ આપવાની હિંમત હોય તો.’“તમને એ… એ ઠીક લાગે છે.’“આ પળે તો એમ જ લાગે છે.’“અચાનક આજે… આ ફેંસલાનું કારણ?’ થડનો સહારો લેતાં પુરુષ ધીમા અવાજે બોલ્યો.“આજે નહીં છેલ્લા બે મહિનાથી હિંમત ભેગી કરી છે.’“સાહેબ તમારાથી નારાજ છે?’“તારા સાહેબ નહીં, હું નારાજ છું, પરેશાન છું.’“મેં તો તમને ખુશ જોયા છે. ઘરમાં, પાર્ટીમાં..’“એ ખુશી નકલી છે, બનાવટી.’“સાહેબે તમારો જીવ દુભવ્યો છે?’“તને શું સમજાવું? હું એમની પત્ની છું, પણ માત્ર નામની શોભા ખાતર, પ્રેમ માટે નહીં, પ્રમોદ માટે.. માત્ર રાત્રિનો શણગાર..”’“આ…. આ… તમે….’ અવાજ થોથવાયો.“એટલે જ તો તારી નજર ઓળખતા… તારી પાસે આવી નથી. તમે મોટા ઘરના અને હું…. મારી સાથે રે’વું ગમશે?’“હા… હા કેમ નહીં?’“તમારી રે’ણીકરણી, આદતો મારાથી ન પોષાય તો? એને માટે પૈસાની જરૂર પડશે.” એ ઉતાવળે બોલ્યો.“મને ખબર છે. શરૂઆતમાં મુસીબત જરૂર પડશે એટલે જો.’ બગલથેલો એની સામે ધરતાં આમાં થોડા પૈસા અને ઘરેણાઓ છે. એકાદ બે મહિના ચાલશે. ત્યાં સુધીમાં તું… તું… ના… ના સાથે હું પણ.. કામ શોધી લઈશું.”“બાપજી, તમે શું બોલી રહ્યા છો?’“તું મને રાખશે એમ રહેવા તૈયાર છું. બસ તું મને અહીંથી દૂર લઈ જા. હું જીવવા માગું છું.”“હું એમ જ કહું છું તમે જીવો, પણ અહીં.”“આ લંકામાં… જ્યાં રોજ મારી ચિંતા બળે છે.’“મને લાગે છે તમે ખોટી ઉતાવળ કરી રહ્યા છો.’“પગ ઢીલા થઈ ગયા? મારી સાથે ભાગી જવામાં ડર લાગે છે કે શરમ?’“મારી વાત તો સમજો.’“પિંજરમાં પુરાયેલા પંખીને પંપાળવામાં મજા આવી ત્યારે ડર કે ધર્મસંકટ નડ્યું નહીં અને અત્યારે..”“જરા સમજો, વિચારો..’“તું મારી વાત સમજતો નથી કે સમજવા માગતો નથી. બસ તું મને અહીંથી દૂર લઈ જા. મેં તને મનનો માણીગર માની લીધો છે.’“હું તમારી વાત સમજું છું, પણ આ સાચો સમય નથી.’“જો પો ફૂટવામાં છે. આજ સાચો સમય છે. આજે, અત્યારે આ પળે નક્કી કરવાનું છે તારે.. પછી આવી તક ફરી નહીં મળે. સાહેબ થોડીવારમાં જ ઘરે પહોંચી જશે, કે પહોંચી ગયા હશે. પછી મોડું થઈ જશે.’“મારા સાહેબ તો આવતીકાલે આવવાના હતા ને.’“કોર્ટનું કામ પતી જતા. આજે આવવાના છે, માગ સમય ઓછો છે, જલદી કર.’“બાપજી…’ થોડો ઘોણો ઊંડો શ્વાસ લેવામાં વાપરતા.“મારું માનો.. તમે પાછા વળી જાવ.. આવી ખોટી ભૂલ ન કરો.’“તમને વિનંતી કરું છું. મારી વાત માનો, તમે પાછા વળી જાવ.’એક પ્રલંબ નિશ્વાસ “એ શક્ય નથી.’“કેમ… કેમ?”“હું ત્યાં એક ચિઠ્ઠી મૂકીને આવી છું. હવે પાછા ફરાય એમ નથી.”“ચિઠ્ઠી…. ચિઠ્ઠી…’ નાનકડી ચીસ..“વૃક્ષ પર જાગેલાં પંખીઓનો આછો કલબલાટ, હવે કાન સુધી પહોંચતો વહેતી નદી મધુર ધ્વનિ.”“હા.. હા.. ચિઠ્ઠી મૂકીને આવી છું, એમાં શું?’“અરે, ભગવાન એમાં… એમાં શું લખી આવ્યા છો?’“જાણવું છે..?’“ઓહ બાપજી… આ તમે શું કર્યું?’“જો હું બધું છોડીને આવી છું. મારે માત્ર ટ્રોફી બનીને નથી જીવવું. તને છાનુંછપનું મળવાથી કંટાળી ગઈ છું. આવી અધૂરી જિંદગીમાં શ્વાસ લેવાતો નથી. કાંટાનો ડંખ સહી શકાય, ફૂલોનો નહીં. તું મારી ચિંતા ન કર. બસ ચાલ મારી સાથે.”“પણ એ ચિક્ઠી…. એમાં શું…”“જાણવું છે… આપણા સંબંધની સચ્ચાઈ.“લખ્યું છે કે હું મારી મરજીથી ઘર છોડીને ભાગી રહી છું.. બસ ચિંતા ઓછી થઈ.’“ચિઠ્ઠી લખીને તમે મોટી ભૂલ કરી છે.’“એમ..’ કહેતા યુવતી હસી પડી.“તમે ગાંડપણ છોડી દો..’“હું એ સરહદ પાર કરી ચૂકી છું.’“મારું માનો, પાછી વળી જાવ, સાહેબ આવે એ પહેલાં પાછળના બાગનો દરવાજો ખોલી બંગલામાં દાખલ થજો, જેથી કોઈની નજર તમારા પર ન પડે.’“અને ધારો કે તારા સાહેબ આવી ગયા હોય અને એ ચિઠ્ઠી એમના હાથમાં આવી ગઈ હોય તો?’“તો પગે પડી એમની માફી માગી લેજો કે ભૂલ થઈ ગઈ. મને ખાતરી છે તેઓ જરૂર માફ કરી દેશે.’“તને ખાતરી છે?’“હા.. હા.. મને ગળા સુધી ખાતરી છે, જલદી કરો.’“શાબાશ…”“ચાલો તમે મારી વાત માની તો ખરી…”“અને ધારો કે એ ચિઠ્ઠીમાં મેં એમ લખ્યું હોય…”“એમ… એટલે..?’બગલથેલો યુવાનના હાથમાં સોંપતા “મારી ઇચ્છાવિરુદ્ધ તું બળજબરીથી મને ઉઠાવીને લઈ ગયો છે.’ -
બેઠી ને બેઠી વાર્તા!
વલીભાઈ મુસા
દરેક રવિવારી સાંજની નિત્ય આદત મુજબ હું રેલવે સ્ટેશનના બુકસ્ટૉલની સામેના બાંકડે બેઠોબેઠો નવીન વાર્તામેગેઝિનનાં પાનાં ફેરવી રહ્યો હતો. થોડેક દૂરના પ્લેટફોર્મના થાંભલા પાસે બે મુસાફરો ફ્લોર ઉપર બેઠેલા હતા. તેમના સામાનમાં બે મોટા થેલા હતા, જે પૈકી એકમાં ચાલુ સિઝનનાં ખરીદેલાં જામફળ હતાં અને બીજામાં કદાચ બંનેનાં પહેરવાનાં કપડાં વગેરે સામાન હશે. મેગેઝિનની અનુક્રમણિકા ઉપર નજર ફેરવી લઈને વાંચન માટે પસંદ કરેલી એક વાર્તાને વાંચવાની હજુ તો હું શરૂઆત કરું છું, ત્યાં તો પેલા બે જણ વચ્ચે ચાલી રહેલી વાતચીત તરફ મારા કાન સરવા થયા. હું વાર્તાકાર હોઈ વાર્તાનો કોઈક વિષય મળી જાય, તે આશયે હું તેમની વાતો સાંભળવા માંડ્યો. થોડીકવારમાં જ મને જાણવા મળી ગયું કે તેઓ કાપડના ફેરિયા હતા. તેમનો બધો માલ વેચાઈ જતાં તેઓ વતન તરફ પાછા ફરી રહ્યા હતા અને પોતાનાં ઘરવાળાં માટે સિઝનનાં સસ્તાં જામફળ લઈ જઈ રહ્યા હતા. તેમની વચ્ચે આ પ્રમાણે સામાન્ય વાતચીત થઈ રહી હતી :
‘અલ્યા આદિલ, આપણે લારીવાળા પાસેથી બધાં જામફળ ઊધડાં લઈ લીધાં એટલે આપણને સાવ મફતના ભાવે પડ્યાં નહિ?’
“હવે એ તો વધેલાંઘટેલાં હતાં, એટલે ‘ફેંક દે, તો મુઝે દે!’ના હિસાબે આપણને મળી ગયાં; એમાં મોટો ફાયદાનો સોદો થઈ ગયો એમ માનતો નહિ, રઝાક!’ આદિલે આમ કહ્યું તો ખરું, પણ તેના કથનમાં સાહજિકતા ન હતી; ઊલટાની તેના ચહેરા ઉપર થોડીક કટુતા ડોકાતી હતી.
‘અલ્યા લોકલને હજુ વાર છે, એટલે એમ કર ને કે આપણે પોતપોતાના થેલાઓમાં તેમને અડધાંઅડધાં બે ભાગે કરી લઈએ; જેથી આપણને ઊંચકવામાં સહુલિયત રહે અને અહીં જ વહેંચણી પણ થઈ જાય. વળી પાછું સ્ટેશનેથી આપણું ગામ દોઢેક કિલોમીટર દૂર પણ છે એટલે કોઈને બોજ પણ પડે નહિ.’ રઝાકે વ્યવહારુ વાત કહી.
‘એ તો તું વહેંચ ને, મને ન આવડે.’
‘હવે એમાં આવડવા ન આવડવાની ક્યાં વાત છે, ભલા માણસ? આપણાં બેનાં ભેગાં કરી દીધેલાં કપડાંના મારા થેલાને ખાલી કરીને તેમાં અંદાજે અડધાં જામફળ ભરી કાઢ અને ઉપર પોતપોતાનાં કપડાં ગોઠવી દે. પાંચ જ રૂપિયાનો તો માલ છે અને કોઈને વધારેઓછાં જશે, તો એમાં શી લંકા લૂંટાઈ જવાની છે?’
‘ના, એમ તો સારાં ખરાબ પણ જોવાં પડે, સમજ્યો!’
‘તારે જેમ કરવું હોય તેમ કર અને મને આજની થોડીક બાકી રહી ગએલી મારી અલ્લાહના જિક્રની તસબી પઢી લેવા દે.’ આમ કહીને પેલા રઝાકે ઝભ્ભાના ખીસામાંથી તસબી કાઢીને પીઠે થાંભલાંનો ટેકો લેતાં બંધ આંખે પઢવાનું શરૂ કર્યું.
હું આડી નજરે જોઈ રહ્યો હતો કે આદિલ રઝાકની સૂચના પ્રમાણે બધાં જામફળને થેલામાંથી નીચે ઠાલવી દઈને તેના બે ભાગ પાડી રહ્યો હતો. મને લાગ્યું કે તેનું નામ ‘આદિલ’ એટલે કે ‘અદ્દલ ઇન્સાફ કરવાવાળો’ હોઈ પહેલાં તો સારાં અને ખરાબ એવા બે ભાગ કર્યા પછી, વળી પાછો તેમને સરખા ભાગે બે ઢગલીઓમાં મૂકતો જશે. પરંતુ મારી ધારણા ખોટી પડી અને તેણે તેની તરફ એકદમ સારાં જામફળ રાખ્યાં અને રઝાકની તરફ સાવ કાચાં, લીબું જેવાં નાનાં અને એકદમ ખરાબ મૂકી રહ્યો હતો. જો કે તેણે તેમાં સોગંદ ખાવા પૂરતાં થોડાંક સારાં જામફળ પણ મૂક્યાં હતાં કે જેથી રઝાકને હળાહળ અન્યાય જેવું ન લાગે!
બંધ આંખે તસબી પઢ્યે જતા રઝાકને આદિલે વ્યવહાર કરવા પૂરતું કહ્યું, ’લે રઝાક, બે ભાગ પડી ગયા; હવે તારો મનપસંદ ભાગ ઉપાડી લે..’
રઝાકે બંધ આંખે જ કહ્યું, ‘ભલા માણસ, હવે જામફળમાં એવી તે શી શેખી છે કે વળી તેમાં મનપસંદ કે નાપસંદ જેવું કંઈ હોય! તું તારે બંને થેલાઓમાં ભરી દે અને મને શાંતિથી તસબી પઢવા દે.’
આદિલે પોતાનો મલિન ઈરાદો છતાં વળી ઠાવકાઈથી કહ્યું, ‘ના ભાઈ, ઇન્સાફનો તકાજો તો એ કહે છે કે એક જણ ભાગ પાડે, તો બીજો ઉપાડે!’ આદિલની વાણીમાં વ્યંગ વર્તાતો હતો..
‘ઓહ તું તો યાર, મગજની નસ ખેંચે છે!’ આમ કહેતાં રઝાકે આંખો ખોલી અને જોયું તો તેને આદિલની ચોખ્ખી લુચ્ચાઈ દેખાઈ આવી. તેણે તેને સબક શીખવવાના ઈરાદે પેલા તેની તરફના સારા ભાગમાંથી પોતાના થેલામાં જામફળ ભરવા માંડ્યાં. આદિલના ચહેરાનો રંગ કાચિંડાની જેમ બદલાવા માંડ્યો અને રઝાક જેવો તેનાં જામફળ થેલામાં ભરી રહ્યો કે તરત જ ધુઆંપુઆં થતો ઊભો થઈને તેણે પેલાં ખરાબ જામફળને બુટ નીચે ચગદી નાખ્યાં અને રીસાઈને મારા બાંકડાના છેડે મોંઢુ ફેરવીને બેસી ગયો.
‘અરે અરે આદિલિયા, તું ગાંડો થયો છે કે શું? આવું કેમ કર્યું? તારો કાકો કોઈ રેલવેવાળો જોઈ જશે તો ખમીશ કઢાવીને આ બધું સાફ કરાવશે!’
‘તો હું સાફ કરી નાખીશ. તેં સારાંસારાં જામફળ લઈ લીધાં અને મારે કડદો લેવાનો!’
હું જોઈ રહ્યો હતો કે પેલો આદિલ ‘ચોર કોટવાળને દંડે’ જેવું કરી રહ્યો હતો. હું મનોમન વિચારી રહ્યો કે આ તે કેવો માણસ કહેવાય! મને તુલસીદાસનો દોહો યાદ આવી ગયો કે ‘તુલસી ઈસ સંસારમેં ભાતભાતકે લોગ’! હું અજાણ્યા માણસોની વચમાં પડવા માગતો ન હતો અને વળી પેલો આદિલ હાલ ગરમ મિજાજમાં હોઈ હું ખામોશ જ રહ્યો.
આમ છતાંય રઝાકે શાંતિથી કહ્યું,’ ‘ગાંડિયા, એ તો સારું છે કે હાલમાં કોઈ ગાડી ન આવવાની હોઈ પ્લેટફોર્મ ઉપર કોઈ માણસો નથી; નહિ તો તમાશો થઈને રહેત! લે, આ બધાં જામફળ તું લઈ લે; પણ દોસ્તીના વાસ્તે તું શાંત થઈ જા! બીજું કે તું આપણા સામાનની ખબર રાખ અને હું સ્વીપરને બોલાવી લાવું છું. ભલે મારા ગાંઠના ચારઆઠ આના આપવા પડે, પણ આ સફાઈ તો કરાવી દેવી પડે, નહિ તો રેલવેવાળા મોટો દંડ પણ ફટકારી શકે!’
આદિલ ઉપર રઝાકના શબ્દોની કોઈ અસર ન થઈ, પણ મારી સાથે એક્વાર નજર મળી જતાં તે થોડોક ભોંઠો તો જરૂર પડ્યો. રઝાકના થોડેક દૂર ગયા પછી તેણે હિંમત કેળવીને મારા આગળ તેનું બચાવનામું પેશ કરતાં કહ્યું, ‘એ એના મનમાં શું સમજતો હશે! એ અલ્લાહની તસબી ફેરવે છે એટલે એને દૂધનો ધોયેલો સમજી લેવાની ભૂલ ન કરતા, ભાઈ!’
‘જુઓ ભાઈ, ખોટું ન લગાડો તો હું કહું કે તમે ગેરઈન્સાફ કર્યો છે અને ઉપરથી એ ભાઈને તમે વઢી રહ્યા છો! હું ક્યારનોય તમને બંનેને સાંભળી રહ્યો છું.’ હું તેમની વચ્ચે પડ્યા વગર ન રહી શક્યો અને મારે સાચેસાચું કહેવું પડ્યું.
‘તમારી વાત સાચી છે, પણ મારા એમ કરવા પાછળના ભેદની તમને ખબર નથી. હવે એને પાછો આવવા દો અને મને સાંભળો પછી તમારે જ ન્યાય તોળવાનો છે.’ આદિલે રડમસ અવાજે કહ્યું.
મને આદિલની વાતમાં કંઈક તથ્ય લાગ્યું, કેમ કે જો એનો સારાંસારાં જામફળ લઈ લેવાનો ઈરાદો જ હોત તો તે રઝાકને ભારપૂર્વક પોતાનો હિસ્સો ઉપાડી લેવાનું જણાવત નહિ. મને હકીકત જાણવાની તાલાવેલી થઈ. કોઈ સ્વીપર ન મળતાં રઝાક જલ્દી પાછો ફર્યો અને મેં તેને મારી પાસે બેસાડીને બેઉ વચ્ચે દરમિયાનગીરી કરવાની મારી ઇચ્છા પ્રગટ કરી.
રઝાકે મને કહ્યું, ’ભાઈજી, તમે ક્યારનાય બાંકડા ઉપર બેઠેલા છો એટલે હકીકતથી વાકેફ હશો જ. હવે તમે જ ન્યાય કરો કે હું કઈ જગ્યાએ ખોટો છું!’
‘જુઓ રઝાકભાઈ, તમારા સ્વીપરને બોલાવવા ગયા પછી મારે આ આદિલભાઈ સાથે થોડીક વાતચીત થઈ છે. એ કંઈક કહેવા માગે છે, માટે પહેલા તો એમને સાંભળો. બોલો આદિલભાઈ, હવે તમારી કેફિયત રજૂ કરો.’
‘તો સાંભળ રઝાક. મેં જાણી જોઈને તને એ વાતનો અહેસાસ કરાવવા માટે આ બાલિશ હરકત કરી હતી કે તને પણ ખ્યાલ આવવો જોઈએ કે કોઈ આપણી સાથે ગેરઈન્સાફથી વર્તે તો કેવું દુ:ખ થતું હોય છે! આપણા ઉતારે સવારે નહાવા જવા પહેલાં તેં જ્યારે તારા થેલામાંથી ટુવાલ કાઢ્યો ત્યારે તારી ખબર વગર પચાસની નોટ નીચે પડી ગઈ હતી. હવે મને જવાબ આપ કે આપણા ધંધાની સરખી ભાગીદારીના ચોખ્ખા હિસાબના અંતે તારા ભાગના પૈસા તેં ઠેકાણે મૂકી દીધા પછી આ વધારાની પચાસની નોટ ક્યાંથી આવી? મને લાગ્યું કે આપણે ઘણા લાંબા સમયથી ભાગીદારીમાં સાડીઓની ફેરી કરીએ છીએ અને આવી દગાખોરી તું ક્યારનો કરતો હશે! મેં એ પચાસની નોટ તારા થેલામાં મૂકી તો દીધી હતી, પણ હું મનોમન તારાથી એટલો બધો દુ:ખી થયો હતો કે જેને કહેવા માટેના મારી પાસે કોઈ શબ્દો નથી.’ આદિલ રડી પડ્યો.
‘તો વાત એમ છે! લે સાંભળ, હું જૂઠું નહિ બોલું. આવું તો હું છેલ્લા પાંચેક ફેરાથી કરતો આવ્યો છું અને કેટલીક વાર તો સો-બસો રૂપિયા સુધી પણ મેં ખેંચ્યા છે, પણ તને ખરે જ છેતરવાનો મારો લેશમાત્ર ઈરાદો ન હતો. ઘરે જઈને તારી ઘરવાળીને પૂછી લેજે કે રઝાકભાઈએ છેલ્લા કેટલાક ફેરાઓમાં કેટલા રૂપિયા તેને આપેલા છે. આજના પચાસ રૂપિયામાંથી પણ અડધા તો તારા ઘરે જ જવાના હતા!’ રઝાકે લાગણીસભર સ્વરે સ્વસ્થતાપૂર્વક જણાવ્યું.
મેં એ બેઉની વચ્ચે ન બોલતાં ખામોશી ધારણ કરી લીધી હતી અને મારે કંઈપણ બોલવાની જરૂર પડે તેમ પણ ન હતી, કેમ કે તેમની રીતે જ એકબીજાની ગેરસમજો દૂર થઈ રહી હતી.
‘તો મારી બાયડીએ અને તારે મને અંધારામાં રાખીને આવાં કારસ્તાન કરવાની શી જરૂર પડી, એ તો મને જણાવ; એટલે મને ખબર તો પડે કે મારા ભાગના જ પૈસા આમ તારા હાથે તેને આપીને તું એનો મોટો ભાઈ બનતો હતો!’ આદિલે થોડા ગુસ્સા સાથે કહ્યું.
‘એ તો તું તારી જાતને પૂછ કે તું તારી મરિયમને ઘરખર્ચ માટે પૂરતા પૈસા આપતો હતો ખરો! હું માનું છું કે આપણે દિવસરાતની રઝળપાટ થકી પરસેવો પાડીને જે કમાઈએ છીએ તેને તું ઊડાવી દેતો તો નહિ જ હોય, ક્યાંક બચત પણ કરતો હશે; પરંતુ ઘરવાળાંને દુ:ખી કરીને એવી બચત કરતો હોય તો તે શા કામની! બીજું સાંભળી લે કે આવા અલગ કાઢી લીધેલા પૈસાને તું ચોરી ન સમજી બેસતો. તને ખબર છે કે ફેરિયો પોતાના માલનો ગમે તેટલો વ્યાજબી ભાવ જણાવે, પણ ગ્રાહક થોડોઘણો પણ ભાવ ઓછો ન કરાવે ત્યાં સુધી તેને ધરપત થાય નહિ. આપણો મુખ્યત્વે વેપાર તો સ્ત્રીઓ સાથેનો જ છે, કેમ કે આપણે મોટાભાગે હાથવાણાટની સાડીઓ જ વેચતા હોઈએ છીએ; અને એ લોકો તો ભાવમાં ખાસ રકઝક કરે જ! હવે આપણે જાણીજોઈને આપણા ખરેખરા વેચાણભાવ કરતાં બેપાંચ રૂપિયા વધારે જ કહેવા પડે અને તું પણ તેમ જ કરતો હોઈશ. હવે ઘણીવાર એવાં કોઈક સીધી લીટીનાં ગ્રાહકો ભાવતાલની માથાકૂટ કર્યા વગર આપણે કહીએ તેટલા પૈસા આપી પણ દે. આમ આવા વધારાના પૈસા અલગ રાખીને હું છેલ્લા પાંચેક ફેરાથી આપણાં બંનેનાં ઘરે તે સરખા હિસ્સે આપતો આવ્યો છું. મારા ઘરની ડાયરીમાં એ બધો હિસાબ છે જ. તારી મરિયમે મને ખાસ વિનંતી કરી હતી કે આ ખેલની તને જાણ ન થવા દેવી. આમ છતાંય મેં મરિયમને અને મારી બેગમને તાકીદ કરી હતી કે દરેક ફેરાએ આવા વધારાના પૈસા ઓછાવધતા આવી શકે અથવા કોઈ વખતે ન પણ આવે; માટે તેમણે આવા ઉપરના બધા પૈસા વાપરી ન દેતાં કરકસર કરીને થોડાક બચાવવા પણ જોઈશે કે જેથી એવા કોઈ અણધાર્યા ખર્ચના પ્રસંગે કામ આવે.’
આદિલે ઊભા થઈને ગળગળા અવાજે રઝાકની માફી માગતાં કહ્યું, ‘દોસ્ત, મને માફ કર. મારા ઉપર શેતાન સવાર થઈ ગયો હતો.’
‘લ્યો હવે, તમારા બંને વચ્ચે રાજીપો થઈ જ ગયો છે; તો મારી એક ઇચ્છાને માન આપશો? મારા તરફથી ચાય થઈ જાય!’ હું આનંદસહ બોલી ઊઠ્યો.
‘ના ભાઈ, ચાય તો અમારા તરફથી જ રહેશે.’’ બંને જણા એક સાથે બોલી ઊઠ્યા.
‘તો પછી પેલાં સારાંસારાં જામફળ મારાં થયાં, બરાબર?’ મેં મજાક કરી.
અમે ત્રણેય જણા ખડખડાટ હસી પડ્યા. અમારી સાથે બુકસ્ટોલવાળો મારો દોસ્ત પણ હસતોહસતો ભેગો ભળ્યો અને કહેવા માંડ્યો, ‘રેલવે સ્ટેશને દોઢ ચાય નહિ મળે, બે મંગાવવી પડશે; મને ભેળો ચોથો ગણી લેજો. વળી બદલામાં હું સ્વીપર પાસે સફાઈ કરાવી લઈશ, મારી પાસેથી એ પૈસા પણ નહિ લે.’
થોડીવારમાં લોકલ ટ્રેન આવી અને ઊપડી. અમે બે દોસ્તોએ પેલા બે ફેરિયાભાઈઓને હાથ હલાવીને વિદાય આપી.
બુકસ્ટોલવાળા મારા દોસ્તે મને પૂછ્યું, ‘વાર્તાનો કોઈ મુદ્દો મળ્યો, મુકુલભાઈ?’
‘અરે યાર બાબુ, આખી વાર્તા જ બેઠી ને બેઠી મળી ગઈ; માત્ર પાત્રોનાં નામ બદલવાં પડશે, હોં!’
– વલીભાઈ મુસા
નોંધ : –
(મારી મોટાભાગની વાર્તાઓનું કથાબીજ સત્ય ઘટના ઉપર આધારિત હોય છે, પરંતુ તેને સાહિત્યિક ઓપ તો આપવો જ પડતો હોય છે. મને સાંભળવા મળ્યા મુજબ “જામફળ ખૂંદવાનો કિસ્સો’ સાચો છે, પણ ત્યાં કદાચ ખરે જ છેતરપિંડીનો આશય હોઈ શકે; પણ અહીં હેતુ બદલ્યો છે. વાર્તા તો લખાયે જાય છે, પણ અંતમાં ચમત્કૃતિ એ રીતે લાવવામાં આવી છે કે જાણે કે પાત્રોનાં નામો બદલીને આ જ મુજબની ‘બેઠી ને બેઠી વાર્તા’ હવે પછી લખવામાં આવનાર છે! પરંતુ હકીકત તો એ જ છે કે વાર્તા તો લખાઈ જ ચૂકી છે, માત્ર વાર્તાકાર મુકુલભાઈ અને તેમના બુકસ્ટોલવાળા મિત્ર બાબુ વચ્ચેના વાર્તાના અંતે થયેલા સંવાદમાંથી માત્ર વાર્તાનું શીર્ષક પ્રયોજી દેવામાં આવ્યું છે.)
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com મોબાઈલ – +91 93279 55577નેટજગતનું સરનામુઃ
• William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) | વલદાનો વાર્તાવૈભવ | માનવધર્મ – જીવો અને જીવવા
દો | હળવા મિજાજે -
ફિલ્મી ગઝલો – ૧૦. રાજા મેંહદી અલી ખાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
જેમ નૌશાદ અને શકીલ બદાયુની તેમજ શંકર – જયકિશન અને શૈલેન્દ્ર – હસરતના નામ સહિયારા જબાન પર આવે એવું જ મદન મોહન અને રાજા મેંહદી અલી ખાન સાહેબનું. રાજા સાહેબના લગભગ બધા જ ગીતોમાં માનવીય ભાવનાઓ યુક્ત કાવ્ય – તત્ત્વ ઠાંસી – ઠાંસીને ભરેલું હોય ! ગીત હોય કે ગઝલ કે નઝ્મ, એમની મોટા ભાગની રચનાઓમાં રૂદનની વાત આવે જ !
એમની આરંભિક ઓળખ ઊભી થઈ એમના ‘ મેરા સુંદર સપના બીત ગયા ‘ ( ગીતા દત્ત – દો ભાઈ – ૧૯૪૮ ) અને ‘ વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હોં ‘ ( રફી / ખાન મસ્તાના – શહીદ ૧૯૪૮ ) જેવા ગીતોથી. અલ્લામા ઈકબાલની રાષ્ટ્ર – ગીત તુલ્ય રચના ( આમ તો ગઝલ પણ ! ) ‘ સારે જહાં સે અચ્છા હિંદોસ્તાં હમારા ‘ ના શબ્દોમાં મુખડા ( મત્લો ) ને અકબંધ રાખી બાકીના શેરોમાં રદ્દોબદલ કરી એમણે ફિલ્મ ‘ ભાઈબહેન ‘ ( ૧૯૫૯ ) માટે એક સુંદર ગઝલ રચેલી.મદન મોહન સાથે મળી એમણે અમર ફિલ્મી ગીતોની એક આખી સૃષ્ટિ ખડી કરી ( અદા, મદહોશ, અનપઢ, આપ કી પરછાઇયાં, મેરા સાયા, વોહ કૌન થી, જબ યાદ કિસીકી આતી હૈ, નીલા આકાશ, દુલહન એક રાત કી )
એમના કેટલાક ગીતો ગઝલ તરીકે ગણાવાય છે જે વાસ્તવમાં ગઝલો નથી ( આપ કી નઝરોં ને સમજા પ્યાર કે કાબિલ મુજે – અનપઢ અને આપ કે પહેલૂ મેં આ કે રો દિયે – મેરા સાયા ) તો બીજી તરફ કેટલીક એવી બંદિશો છે જે છે ગઝલ પણ એ રીતે પરખાઈ નથી ! આવી બે ગઝલો પર નજર ફેરવીએ :
આપ યૂં હી અગર હમસે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાએગા
ઐસી બાતેં ન કર ઓ હંસી જાદુગર, મેરા દિલ તેરી બાતોં મેં ખો જાએગાપીછે – પીછે મેરે આપ આતી હૈં ક્યોં, મેરી રાહોં મેં આંખેં બિછાતી હૈં ક્યોં
ક્યા કહું આપ સે યે ભી એક રાઝ હૈ, એક દિન ઈસકા ઈઝહાર હો જાએગાકૈસી જાદુગરી કી અરે જાદુગર, તેરે ચેહરે સે હટતી નહીં યે નઝર
ઐસી નઝરોં સે દેખા અગર આપને, શર્મ સે રંગ ગુલનાર હો જાએગામૈં મુહોબત કી રાહોં સે અનજાન હું, ક્યા કરું ક્યા કરું મૈં પરેશાન હું
આપકી યે પરેશાનિયાં દેખ કર, મેરા દિલ ભી પરેશાન હો જાએગા ..( ‘ પ્યાસા ‘ ફિલ્મની ગઝલ ‘ હમ આપ કી આંખોં મેં ઈસ દિલ કો બસા દેં તો ‘ ની જેમ આ પણ સવાલ – જવાબના રૂપમાં એક ચુલબુલું યુગલ – ગીત છે જેનું કલેવર ગઝલનું છે . )
– ફિલ્મ : એક મુસાફિર એક હસીના – ૧૯૬૨
– રફી – આશા
– ઓ . પી . નૈયર
૨.
જબ છાએ કભી સાવન કી ઘટા, રો – રો કે ન કરના યાદ મુઝે
ઐ જાને- તમન્ના ગમ તેરા, કર દે ન કહીં બરબાદ મુઝેજો મસ્ત બહારેં આઈં થીં , વો રૂઠ ગઈં ઈસ ગુલશન સે
જિસ ગુલશન મેં દો દિન કે લિયે, કિસ્મત ને કિયા આબાદ મુઝેવો રાહી હું પલ ભર કે લિયે, જો ઝુલ્ફ કે સાયે મેં ઠહરા
અબ લે કે ચલી હૈ દૂર કહીં, ઐ ઈશ્ક તેરી બેદાદ* મુઝેઐ યાદે – સનમ અબ લૌટ ભી જા, ક્યોં આ ગઈ તૂ સમજાને કો
મુજકો મેરા ગમ કાફી હૈ, તૂ ઔર ન કર નાશાદ મુઝે ..( * અન્યાય, જુલમ )
– ફિલ્મ : રેશમી રૂમાલ ( ૧૯૬૧ )
– તલત મહેમૂદ
– સંગીત : બાબુલ
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
હરિશ્ચન્દ્ર તારામતી (૧૯૬૩)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
કવિ પ્રદીપ અને સંગીતકાર ઓ.પી.નય્યરની યુતિ કેવળ એક જ ફિલ્મ ‘સંબંધ’માં સર્જાઈ અને ‘ચલ અકેલા’ જેવું યાદગાર ગીત સર્જાયું. કવિ પ્રદીપની આવી જ- એક ફિલ્મની યુતિ સંગીતકાર લક્ષ્મીકાન્ત- પ્યારેલાલ સાથે સર્જાઈ હતી. એ ફિલ્મ હતી ૧૯૬૩માં રજૂઆત પામેલી ‘હરિશ્ચન્દ્ર તારામતી’. આ વર્ષે આ જોડીની સૌ પ્રથમ ફિલ્મ ‘પારસમણિ’ની રજૂઆત થઈ હતી, જેનાં ગીતો અત્યંત લોકપ્રિય નીવડ્યાં હતાં. એ ફિલ્મનાં ગીતો ઈન્દીવર, અસદ ભોપાલી અને ફારુખ કૈસર દ્વારા લખાયાં હતાં. આ જ વર્ષે આવેલી, આદર્શલોક નિર્મિત, આદર્શ દિગ્દર્શીત ફિલ્મ ‘હરિશ્ચન્દ્ર તારામતી’નાં તમામ ગીતો પ્રદીપે લખ્યાં હતાં.

આ ફિલ્મમાં પૃથ્વીરાજ કપૂર, જયમાલા, બી.એમ.વ્યાસ, તિવારી જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ સાત ગીતો હતાં, જેમાંનાં ચાર ગીતો મહિલાગાયકો દ્વારા ગવાયેલાં હતાં. એ ચાર ગીતો આ મુજબ હતાં.
‘મેઘવા ગગન બીચ ઝાંકે‘ (લતા મંગેશકર અને સાથીઓ), ‘મૈં એક નન્હા સા, મૈં એક છોટા સા બચ્ચા હૂં‘ (લતા), ‘મૈં તેરી અભાગન માં હૂં’ (લતા) અને ‘યહ જવાની ફિર ન આની‘ (આશા ભોંસલે અને ઉષા મંગેશકર).
ફિલ્મનાં ત્રણ ગીતો પુરુષગાયકો દ્વારા ગવાયેલાં હતાં. એ ત્રણ ગીતો હતાં ‘ધર્મ કી ખાતિર બીક ગયા રાજા, બીક ગઈ દેખો રાની‘ (મ.રફી), ‘ટૂટ ગઈ હૈ માલા મોતી બિખર ગયે‘ (પ્રદીપ) અને ‘જગતભર કી રોશની કે લિયે’ (હેમંતકુમાર). આમાંના બે ગીતો ‘ટૂટ ગઈ હૈ માલા’ અને ‘જગતભર કી રોશની કે લિયે’ સદાબહાર બની રહ્યાં છે. આ બે ગીતો પૈકી હેમંતકુમારના સ્વરે ગવાયેલું ‘જગતભર કી રોશની કે લિયે’ અત્યંત મધુર અને કર્ણપ્રિય ગીત છે, જેમાં હેમંતકુમારના સ્વરનો જાદુ પૂરેપૂરો ખીલેલો જણાય છે. ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે આ ગીતની પસંદગી કરવામાં આવી છે.

(ડાબેથી) પ્યારેલાલ, પ્રદીપ, લતા અને લક્ષ્મીકાન્ત ગીતના શબ્દો સાંભળતાં જ ખ્યાલ આવી જાય કે એ કવિ પ્રદીપના લખેલા હશે. ફિલ્મના ટાઈટલ દરમિયાન ગીતનો આટલો અંશ સંભળાય છે:
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत कल्याण की ख़ातिर तू जन्मा है
तू जग के वास्ते हर दुख उठा रे
भले ही अंग तेरा भस्म हो जाये
तू जल-जल के यहाँ किरणें लूटा रे
लिखा है ये ही तेरे भाग में
कि तेरा जीवन रहे आग में
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाટાઈટલ્સ સાથે ગવાતો આ ગીતનો અંશ અહીં પૂરો થાય છે. એ પછી ફિલ્મની મધ્યમાં આ ગીત તેના તમામ અંતરા સાથે ફરી એક વાર સંભળાય છે, જેના શબ્દો આ મુજબ છે.
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत कल्याण की ख़ातिर तू जन्मा है
तू जग के वास्ते हर दुख उठा रे
भले ही अंग तेरा भस्म हो जाये
तू जल-जल के यहाँ किरणें लूटा रे
लिखा है ये ही तेरे भाग में
कि तेरा जीवन रहे आग में
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाये संकट तू ख़ुशी के साथ सह लेना
सदा हँसते हुए तपना अगन में
किसी आदर्श की रक्षा के हित प्रभु ने
तुझे भेजा है ज्वाला के भवन में
तू जल रे परवाह न कर प्राण की
ये भी इक लीला है भगवान की
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाकरोड़ों लोग पृथ्वी के भटकते हैं
करोड़ों आँगनों में है अँधेरा
अरे जब तक न हो घर-घर में उजियाला
समझ ले है अधूरा काम तेरा
जगत उद्धार में अभी देर है
अभी तो दुनिया में अन्धेर है
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाત્રણે અંતરા સહિતનું આખું ગીત ફિલ્મની મધ્યમાં આવ્યા પછી ફિલ્મના અંતમાં ફરી એક વાર આટલું મુખડું સાંભળી શકાય છે.
जगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाजगत भर की रोशनी के लिये
करोड़ों की ज़िन्दगी के लिये
सूरज रे जलते रहना
सूरज रे जलते रहनाઆ ગીત સાંભળતી વખતે હેમંતકુમારના સ્વર સિવાયનું બધું જ ગૌણ લાગે છે. પ્રદીપજીના શબ્દોને તેમણે અત્યંત ભાવપૂર્વક ગાયા છે. આ શબ્દોને સચોટ રીતે પહોંચાડી શકાય એ માટે આ ગીત પૂરતું સંગીત પણ ખપ પૂરતું જ છે. અહીં કદાચ સત્યરૂપી સૂરજની વાત કરવામાં આવી છે.
પોતે લખેલાં ઘણાંખરાં ગીતોની ધૂન પ્રદીપજી પોતે જ તૈયાર કરતા હતા. આ ધૂન પણ એમની પોતાની હોય એવી શક્યતા- ખાસ કરીને તેની સરળતા જોતાં નકારી શકાય નહીં.
હેમંતકુમારના જીવંત કાર્યક્રમોમાં આ ગીત લગભગ અનિવાર્ય બની રહ્યું હતું. હાર્મોનિયમની સંગતે હેમંતકુમાર દ્વારા ગવાતું આ ગીત સાંભળવાનો લ્હાવો છે.
એટલી નોંધ જરૂરી કે આ જ નામની અન્ય એક ફિલ્મ ૧૯૭૦માં પણ રજૂઆત પામી હતી, જેમાં ગીતો વીરેન્દ્ર મિશ્રાનાં અને સંગીત હૃદયનાથ મંગેશકરનું હતું.
ટાઈટલ દરમિયાન તેમજ એ પછી ફિલ્મમાં આવતું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે. ફિલ્મના અંત ભાગમાં મુખડાનું જ પુનરાવર્તન થાય છે.
https://www.youtube.com/watch?v=YT8u_16wIv8
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
મહેન્દ્ર શાહનાં જુલાઈ ૨૦૨૩નાં સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s July 2023 collections
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
