વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પલભર કે લિયે કોઈ હમેં ‘પ્યાર’ કર લે! જૂઠા હી સહી

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

     

    “ઉડ્ડયનનાં સો વર્ષ અમારા માટે એક મોટી જવાબદારી સમાં બની રહ્યાં છે. કેમ કે, તમે ઈચ્છો છો કે આપણાં સંતાનો પણ આ સુંદર વિશ્વને નિહાળે, ખરું ને? આથી અમે આગામી સો વર્ષ લગી ઉડ્ડયનની સુધારણા માટે દિવસરાત મથી રહ્યા છીએ. આપણે સાથે મળીને જ એને સંભવ બનાવી શકીએ. આથી અમે તમને કંઈક પૂછવા માગીએ છીએ. વધુ જવાબદારીભર્યા ઉડ્ડયન માટે, શું તમારે રૂબરૂ મળવું જરૂરી છે? વિમાનને બદલે તમે ટ્રેનમાં જઈ શકો? અંગારવાયુના ઉત્સર્જનને સરભર કરવામાં તમે કંઈક પ્રદાન આપી શકો? કે હળવા સામાન સાથે મુસાફરી કરી શકો? વર્તમાન વિશ્વમાં સૌ પ્રથમ વ્યાપારી એરલાઈન તરીકે હવાઈયાત્રાના આપ સૌ મુસાફરોને અમે સાગમટે પ્રયત્નો માટે, વિશ્વને જાગ્રત કરવાની આપણી સહિયારી જવાબદારીમાં અમારી સાથે જોડાવા માટે આમંત્રીએ છીએ. આપણે સૌએ અવારનવાર હવાઈ મુસાફરી કરવાની થાય છે. પણ હવે પછી જવાબદારીભર્યા ઉડ્ડયન બાબતે વિચારજો.”

    આવો શાણપણયુક્ત સંદેશ નેધરલેન્ડ્સની એરલાઈન ‘કે.એલ.એમ.’ દ્વારા, ૨૦૧૯માં તેના સો વર્ષ સંપન્ન કરવા નિમિત્તે બનાવાયેલી એક જાહેરાતમાં કહેવાયો હતો. આ જાહેરખબરમાં સ્વાભાવિકપણે જ ઊડતાં વિમાન બતાવાયાં છે, અને છેલ્લે એવું દર્શાવાયું છે કે આ જાહેરાત સાચાં વિમાનો બતાવીને નહીં, પણ કમ્પ્યુટરના પડદે આભાસી દૃશ્યો સર્જીને દેખાડાયાં છે. જાહેરખબરના અંતે એ મતલબનું લખાણ મૂકાયું છે કે આ ફિલ્મમાં વાસ્તવિક વિમાનોનો ઉપયોગ કરાયો નથી.

    આ જાહેરખબરીય ઝુંબેશનું શિર્ષક હતું ‘ફ્લાય રિસ્પોન્‍સીબલી.’ (જવાબદારી સમજીને ઊડ્ડયન કરો) તેને અનુરૂપ વહેતો મૂકાયેલો સંદેશો જાણીને આનંદ થાય એવું છે. જાહેરખબરમાં જણાવાયેલી બાબતોને યથાતથ સાચી માની લેવાનું ભોળપણ કરનારાનું પ્રમાણ જૂજ હોય છે, છતાં એ હકીકત છે કે જાહેરખબર પ્રભાવ અવશ્ય છોડે છે. નેધરલેન્‍ડ્સની આ કંપનીને એ જ દેશની અદાલતે તેની આ જાહેરખબર ગેરમાર્ગે દોરતી હોવાનો માર્ચ, ૨૦૨૪માં ચૂકાદો આપવો પડ્યો છે. તેને લઈને આ કંપની સમાચારમાં ચમકી છે.

    આખો ઘટનાક્રમ જાણવા જેવો છે. ૧૯૧૯માં આરંભાયેલી આ એરલાઈને ૨૦૧૯માં સો વર્ષ સંપન્ન કર્યાં. એ નિમિત્તે તેના દ્વારા તૈયાર કરાયેલી જાહેરખબરમાં આ ઉદ્યોગ સાથે સંકળાયેલા સહુ કોઈ એટલે કે એરલાઈન હિસ્સેદારો, ગ્રાહકો તેમજ કર્મચારીઓને આ ઉદ્યોગના ‘સસ્ટેનેબલ’ ઊકેલ વિકસાવવા માટે સંયુક્ત પ્રયત્નો કરવાનું આહ્વાન કર્યું. ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ’નો અર્થ આમ તો સાતત્યપૂર્ણ વિકાસ થાય, પણ પર્યાવરણ સંદર્ભે તેનો અર્થ થાય છે ભાવિ પેઢીની જરૂરિયાત જોખમાય નહીં એ રીતે વર્તમાનની જરૂરિયાત પૂરી કરવી. આ શબ્દપ્રયોગ પર્યાવરણ ક્ષેત્રે ખૂબ ચલણી છે. વૈશ્વિક સ્તરે થતા અંગારવાયુના ઉત્સર્જનનો ૨ ટકા હિસ્સો ઉડ્ડયનક્ષેત્રનો છે.

    સામાન્ય રીતે વિવિધ સુવિધાઓ અને આકર્ષક ભાડાં દ્વારા ગ્રાહકોને આકર્ષતી એરલાઈનની જાહેરખબરની સામે કોઈ એરલાઈન પોતાના ગ્રાહકને જરૂર હોય તો જ વિમાની સેવાનો ઉપયોગ કરવાનું જણાવે ત્યારે સૌ પહેલાં તો તેનો જાહેરખબરનો અંદાજ અન્યોથી અલગ પડે છે, જે જાહેરખબરના ક્ષેત્રની મૂળભૂત જરૂરિયાત છે.

    સાંદર્ભિક તસવીર: “The Greenwashing Hydra

    આમ તો, સાવ ‘નવિન’ દૃષ્ટિકોણથી પોતાની વાત મૂકવા બદલ જાહેરખબરની પ્રશંસા થાય, અને એ લોકોનું ધ્યાન આકર્ષે એટલે વાત પૂરી થઈ ગઈ ગણાય. પણ ૨૦૨૨માં આ જ દેશના ‘ફોસિલ ફ્રી’ નામના પર્યાવરણ જાગૃતિ માટે કામ કરતા એક સંગઠને કે.એલ.એમ. સામે દાવો માંડ્યો અને જણાવ્યું કે આ જાહેરાત ગેરમાર્ગે દોરનારી છે. કોઈ કંપનીની જાહેરખબરમાં કહેણી અને વાસ્તવિક કરણી અલગ હોય એના માટે અંગ્રેજીમાં ‘ગ્રીનવૉશિંગ’ શબ્દ છે. પર્યાવરણની સુરક્ષા અને જાળવણી બાબતે મોટેમોટા દાવા કરાતા હોય, પણ વાસ્તવમાં કામ સાવ નહીંવત્‍ થઈ રહ્યું હોય એના માટે આ શબ્દપ્રયોગ ઉપયુક્ત છે. ‘ફોસિલ ફ્રી’ સંગઠને કે.એલ.એમ. આવું ‘ગ્રીનવૉશિંગ’કરી રહી હોવાનું દાવામાં જણાવ્યું હતું. બે વર્ષની અદાલતી કાર્યવાહી પછી આખરે અદાલતે કંપનીના દાવાને ‘ગેરમાર્ગે દોરનારો અને તેથી ગેરકાયદે’ હોવાનો ચૂકાદો આપ્યો. અદાલતે જણાવ્યું કે કંપનીએ આ દાવા દ્વારા વધુ પડતું ગુલાબી ચિત્ર ઉપસાવ્યું હતું.વાસ્તવમાં આવાં પગલાંથી પર્યાવરણ પર થતી વિપરીત અસરમાં મામૂલી ઘટાડો થાય છે, અને લોકોમાં એવી છાપ ઉપસે છે કે આ કંપનીના વિમાનમાં ઉડ્ડયન કરવું એટલે ‘સસ્ટેનેબલ ડેવેલપમેન્‍ટ’ની દિશામાં પગલું ભરવું.

    સાદી ભાષામાં કહીએ તો આખરે તો આ ગ્રાહકોને આકર્ષવાના ગતકડાથી વિશેષ કંઈ નથી. સ્વાભાવિકપણે જ ‘ફોસિલ ફ્રી’ સંગઠનને આ ચુકાદાથી આનંદ થયો હોય અને તે એને મોટા પ્રદૂષક દ્વારા કરાતા ‘ગ્રીનવૉશિંગ’ પરનો વિજય ગણાવે. પણ ચુકાદાની સાથે સંકળાયેલી મહત્ત્વની બાબત એ છે કે અદાલતે આ સંગઠનને થયેલો તમામ ખર્ચ ભરપાઈ કરવાની સૂચના કંપનીને આપી હોવા છતાં કંપનીને બીજી કશી શિક્ષા કરી નથી.

    કે.એલ.એમ.ને તો શૂળીનો ઘા સોયથી સર્યા જેવી સ્થિતિ છે. ચુકાદા પછીના નિવેદનમાં તેણે એવી જ શાણી વાતો કરી છે, જેવી અગાઉની જાહેરખબરમાં કરી હતી.

    ઘરઆંગણે આપણા દેશમાં આવું જ કંઈક બન્યું છે, જેમાં કંપની અલગ છે, પણ અદાલતી કાર્યવાહી સમાન. બાબા રામદેવની કંપની ‘પતંજલિ’ દ્વારા કરાયેલો વિવિધ રોગ મટાડવાનો દાવો ‘જૂઠો અને ભ્રામક’ હોવાનું જણાવીને આપણી સર્વોચ્ચ અદાલતે કંપનીની ઝાટકણી કાઢી, પણ તેને કશી સજા ન કરી.

    બેય કિસ્સે સરવાળે છેતરાવાનું ગ્રાહકોના ભાગે આવ્યું, જેમણે જે તે કંપનીના દાવામાં ભરોસો રાખીને તેની પાછળ નાણાં ખર્ચ્યા. આની સામે દલીલ એવી થઈ શકે કે ગ્રાહક પોતાનાં નાણાં આ નહીં તો બીજી કોઈ કંપની પાછળ ખર્ચત.

    બેય મામલે આશ્વાસન એટલું કે અદાલતે આ કંપનીઓનો કાન આમળ્યો અને તેમના દાવાઓ જૂઠા હોવાનું ઉઘાડેછોગ જણાવ્યું. કોર્પોરેટ દૈત્યનો કોઈ કાન આમળી શકે છે એટલું આશ્વાસન ઓછું છે?  ભલે ને તેનાથી કશો ફરક ન પડે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૫– ૦૪ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આત્મમંથન

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    ભૂતપૂર્વ બરાક ઓબામાની કારકિર્દી હજુ ન ભૂલાયેલો ભૂતકાળ છે. બરાક ઓબામાએ અમેરિકન પ્રેસિડન્ટ તરીકે આઠ વર્ષ સેવા આપી. એવા બીજાય પ્રેસિડન્ટ હશે જેઓ સામાન્ય ચાર વર્ષનો શિરસ્તો ચાતરીને ફરી પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા હશે. એવા જ એક ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેંકલિન રૂઝવેલ્ટ, જેઓ લગાતાર ચાર વાર અમેરિકન પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયા અને બાર વર્ષ સુધી સેવા આપી એટલું જ નહીં પણ બીજા વિશ્વયુધ્ધ વખતે પણ યુનાટેડ સ્ટેટ્સને લીડરશિપ અપાવી.

    આજે એમની સફળ કારકિર્દી કરતાં ય એમના વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. ફ્રેંકલિન રૂઝવેલ્ટને એક ટેવ હતી. દિવસ આખો પસાર થયા પછી રાત્રે તેઓ તેમના દિવસભરના કામો વિશે મંથન કરતા. આખા દિવસ દરમ્યાન તેમણે કરેલા કામો, મંત્રણાઓ કે મહત્વની પ્રવૃત્તિથી માંડીને અલગ અલગ અનુભવનું સરવૈયું ચકાસતા જેથી કરીને પોતાનાથી થયેલી ભૂલને સુધારવાનો અવકાશ મળે.

    કેવી સરસ વાત!

    આપ આરોપી અને આપ જ જજ. પણ આ જજ સાચુકલા હતા. એમણે કરેલા આત્મમંથનમાંથી પોતાની જાત માટે કેટલીક તારવણી કરી અને જોયું કે એમનામાં મુખ્ય ત્રણ દોષ હતા.

    -સમય વેડફવો, બીન જરૂરી બાબતોમાં ચંચૂપાત કરવો અને લોકો સાથે નિરર્થક ચર્ચાઓ કરીને એમની વાતોનું ખંડન કરવું અથવા વિરોધ કરવો.

    હવે? ફ્રેંકલિન રૂઝવેલ્ટ તો સફળ નેતા હતા એ તો સૌએ સ્વીકારી લીધેલું સત્ય હતું. એમને વળી ક્યાં પોતાના ગુણ-દોષને ત્રાજવે તોળવાની જરૂર હતી? બીજું કોઇ હોય તો આપવડાઈ અને મોટાઈમાં રાચતું થઈ જાય પરંતુ તથસ્થ એવા ફ્રેંકલિન રૂઝવેલ્ટે વિચાર્યું કે જ્યાં સુધી આ દુર્ગુણો દૂર નહીં થાય ત્યાં સુધી બધું જ વ્યર્થ છે. એકવાર નિર્ણય કર્યો પછી એમણે શરૂ કર્યું એક પછી એક દોષ વિશે સતર્ક રહીને એને નિર્મૂળ કરવાનું. સાથે સાથે એમાં પોતે કેટલી પ્રગતિ કરી શક્યા એ પણ ચકાસતા રહેતા. આમ ઘણા સંઘર્ષ પછી એમણે પોતે શોધી કાઢેલા દોષ પર એ કાબૂ મેળવી શક્યા. શક્ય છે એના લીધે અમેરિકાને આટલા પ્રભાવશાળી- શક્તિશાળી વ્યક્તિત્વ ધરાવતા પ્રેસિડન્ટ મળ્યા.

    આ આખી વાત પરથી એક વાત તો ફલિત થાય છે કે જ્યારે જે કોઇ સંજોગો હોય એમાં અન્ય કરતાં પોતાની જ જવાબદારી વધુ હોય છે. માણસનો સૌથી મોટો દુશ્મન એ ખુદ હોય છે. સાથે એક વાત પણ નિશ્ચિત છે કે માત્ર પોતાના ગુણ-દોષ પારખીને કે આત્મમંથન કરીને પોતાની જાતને ઉતરતી માની લેવાની ય જરૂર નથી.

    સીધી વાત-જરૂર છે આત્મમંથનની અને એમાંથી માખણ તારવવાની. વ્યક્તિ જ પોતે તટસ્થ રીતે પોતાના ગુણ- દોષ પારખીને જો એમાંથી શું સારું કે શું સાચું એ નક્કી કરી લે તો ઘણી બધી સમસ્યાનો આપમેળે ઉકેલ આવી જાય.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સફાઈને ઊંડાણથી સમજીએ

    નલિની નાવરેકર

    ‘સ્વચ્છતા’ને સહુ જાણે છે. સહુ તેને વિશે માહિતગાર છે અને બધા જ તે કરે પણ છે. પરંતુ તે રોજ-બ-રોજનો એક સાદો વિષય માત્ર નથી, આ એક વ્યાપક અને ઊંડો વિષય છે. જીવનનાં અનેક મુખ્ય અંગોને સ્પર્શનારો વિષય છે સફાઈ. અધ્યાત્મ અને વિજ્ઞાન બંને દૃષ્ટિથી મહત્ત્વનો વિષય છે સફાઈ.

    આપણા દેશના ઘણા મહાનુભાવોએ સફાઈના મહિમાની વાત કરી છે. તેને અગ્રીમ સ્થાન આપ્યું છે. આ સફાઈ માત્ર આંતરિક સફાઈ અથવા ચિત્તની શુદ્ધિ નથી. ગાંધીજી તો કહેતા કે ‘જે અંદરથી સ્વચ્છ છે તે બહારની ગંદકી સહન જ નહીં કરી શકે.’ સફાઈ ગાંધીજીનો પ્રિય વિષય હતો, સફાઈને ગાંધીજી વૈજ્ઞાનિક દૃષ્ટિથી જોતા હતા. અને તેમનાં બધાં કામો તથા વિચારોના પાયામાં અધ્યાત્મ તો રહેલું જ હતું. ગાંધીજીની પ્રેરણાથી ઘણા લોકોએ પોતાનું આખું જીવન સફાઈના કામમાં લગાવી દીધું. બહુ મોટું તેમજ મૌલિક કામ આ લોકોએ કર્યું.

    વિનોબાજીએ સામાજિક ઉત્થાન માટે સફાઈનાં મૂળભૂત કામો કર્યાં. તેની પાછળ ક્રાંતિનો વિચાર હતો. તેઓ સફાઈને આધ્યાત્મિક દૃષ્ટિથી જોતા હતા. દેશના અન્ય અનેક મહાન લોકોએ પણ વિચારપૂર્વક તેમજ સાતત્યથી સ્વચ્છતા અંગે કામો કર્યાં. સફાઈના ક્ષેત્રમાં વ્રતપૂર્વક તપશ્ર્ચર્યા કરી. લોકોને શીખવવાનું કામ કર્યું.

    ‘શુચિતા’ એ આપણે ત્યાંનો જૂનો શબ્દ છે. તેમાં અંદર (આંતરિક સ્વચ્છતા) અને બહાર (વ્યવહાર અને પરિસર)ની સ્વચ્છતા આવરી લેવાય છે. આજે અમાપપણે વધતાં જતાં શહેરો તેમજ બદલાતી જીવનશૈલીને કારણે કચરો તેમજ ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. સરકારોએ પણ પોતાની રીતે આ બાબતે નાની-મોટી યોજનાઓ, કાર્યક્રમો કર્યા છે. જેમ કે કેન્દ્રીય ગ્રામીણ સ્વચ્છતા કાર્યક્રમ, સંપૂર્ણ સ્વચ્છતા અભિમાન, નિર્મલ ગ્રામ યોજના, નિર્મલ ભારત અભિયાન, સ્વચ્છ ભારત મિશન !

    સફાઈની વ્યાપકતા તેમજ ઊંડાણ સમજવાનો આ પ્રયાસ છે. સાચી સ્વચ્છતા આપણા સૌના જીવનમાં આવે, વ્યવહારમાં આવે એવી આશા રાખીને આ લેખમાળા શરૂ કરવાનું વિચાર્યું છે. સ્વચ્છતાના અનેક ઘટક છે. વ્યક્તિગત સ્વચ્છતાથી માંડીને વિશ્ર્વવ્યાપી સ્વચ્છતા સુધી. દરેકની વૈજ્ઞાનિક જાણકારી, કેટલીક ટેકનોલોજી, આજ સુધી થયેલ કામ, જુદા-જુદા અનુભવ – જેવા મુદ્દાઓ પર આ લેખમાળામાં લખીશું. શરૂઆત પોતાથી એટલે કે વ્યક્તિગત સ્વચ્છતાથી કરીશું.

    સામાન્ય રીતે વ્યક્તિગત સ્વચ્છતા અંગે તો આપણે જાણીએ જ છીએ પરંતુ કેટલીક વાતો યાદ કરાવવા માટે અને કેટલીક નવી જાણકારી અહીં આપી છે.

    આંખ ગંદી હોય, નાક વહેતું હોય, વાળ ગંદા અને અસ્તવ્યસ્ત હોય એવા બાળકને જોઈને આપણે થોડા દૂર થઈ જઈએ છીએ. રસ્તામાં કોઈ મેલો માણસ આપણને મળે તો તેને જોઈને આપણે ખૂબ ઘૃણા કરીએ છીએ. સડેલા પેશાબની દુર્ગંધ આપણે સહન નથી કરી શકતા. પરંતુ આ બધું જ આપણા શરીરમાંથી પણ નીકળે છે ને ? તો આપણને પોતાના શરીરની ઘૃણા આવવી જોઈએ. મુનિ પાતંજલીના યોગસૂત્રમાં શુચિતા અંગે એક શ્ર્લોકમાં સુંદર વ્યાખ્યાન છે. તેનો પહેલો શબ્દ છે, ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’ એટલે કે પોતાના શરીરની અરુચિ. શુચિતા પ્રત્યે આપણે જેટલા જાગૃત થઈશું, તેટલી જ શરીર પ્રત્યે આપણને ઘૃણા થશે.

    આપણે શરીર નહીં આત્મા છીએ, એ ભાન ‘શ્ર્નમર્ળૈઉં ઘૂઉૂંન્નલળ’થી આવે છે. પરંતુ શરીર તો સાધન છે. માત્ર ઘૃણા કરીશું તો સેવા કેવી રીતે કરી શકીશું ? આપણું આ સાધન આપણને મળેલી અમૂલ્ય દેણ છે. તેને દરરોજ સાફ-સુથરું રાખવું જોઈએ. મંદિર જેવું. તો મંદિરને સાફ કરીશું.

    દાંત :

    મુંબઈમાં અમારા સગામાં એક બહેન રહેતાં હતાં. તેમની ઉંમર ૮૦ વર્ષથી ઉપરની હતી. છેવટ સુધી તેમના દાંત સારા રહ્યા હતા. એનો અર્થ એ કે મનુષ્યના દાંત જો સચવાય તો લાંબા સમય સુધી ટકી શકે છે. કેટલાક નિયમો ધ્યાનમાં રાખીશું :

    રાત્રે સૂતા પહેલાં દાંત સાફ કરવા વધુ ઇચ્છનીય છે. શાસ્ત્ર પ્રમાણે દાંત માટે થોડા તીખા, તૂરા કે કડવા સ્વાદનું મંજન, પેસ્ટ કે દાતણ યોગ્ય કહેવાય. વધુ જોર કરીને દાંત ઘસવાથી દાંતનું ઈનેમલ પણ ઘસાઈ જાય છે. દિવસે જ્યારે પણ કંઈ ખાઈએ તેના પછી કોગળો કરવો જરૂરી છે. ગળ્યું ખાધા પછી પાંચ મિનિટમાં કોગળો કરવો જોઈએ.

    લાંબા સમય સુધી દાંત ટકાવી રાખવા માટે માત્ર દાંતની સ્વચ્છતા પૂરતી નથી. વધુ પડતું ગરમ અથવા ઠંડું ખાવા-પીવાથી, ચોકલેટ, પાન-તમાકુના સેવનથી દાંત ખરાબ થાય છે. કેલ્શિયમની કમી પણ એક કારણ છે. દાંત ઉપર ચઢેલ પ્લાક (પીળો થર) તથા મોઢામાંથી દુર્ગંધ આવતી હો તો તે પેટ સાફ ન હોવાનું પરિણામ છે.

    આંખ :

    ‘અસ્વચ્છ આંખથી તારીકાઓનું દર્શન નહીં કરવું જોઈએ’ – કેવો હૃદયંગમ વિચાર છે ! કોઈપણ વસ્તુને ગંદી આંખોથી કેમ જોવી ?

    આપણી આંખ (ભજ્ઞક્ષિયફ- શુકલ મંડળ) જિંદગીભર ટકી શકે છે. મૃત્યુ પછી પણ. તેથી જ તો આપણે નેત્રદાન કરી શકીએ છીએ. પરંતુ આંખની સંભાળ સારી રીતે લીધી હોય તો જ આ શક્ય છે. દિવસમાં ઓછામાં ઓછી બે વાર આંખો ધોવી જરૂરી છે. સવારે દાતણ કરતી વખતે અને સ્નાન કરતી વખતે. આંખો પર ધીરેથી ઠંડું પાણી છાંટવું અને પછી હલકા હાથે આંખો લૂછી લેવી.

    આંખમાં કચરો કે ધૂળ જવાથી તથા જોરમાં હવા જવાથી પણ આંખને નુકસાન થઈ શકે છે. આવે વખતે એક વાર આંખો ધોઈ લેવી જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે સ્કૂટર કે મોટરસાઈકલ પર જઈએ છીએ ત્યારે આંખ ઉપર ચશ્માં લગાડવાનું ભૂલવું ન જોઈએ. આંખના રક્ષણ માટે સાદો ચશ્મો પણ લગાડી લેવો જોઈએ. જો કદાચ આંખમાં કચરો જાય તો ચોળશો નહીં. તેનાથી આંખોને નુકસાન થાય છે. આંખ ઉપર વારંવાર હાથ લગાડવાની આદત ખૂબ નુકસાનકારક છે. તેનાથી ચેપ લાગવાની શક્યતા રહે છે.

    હાથની સફાઈ :

    હાથ ધોવાનું મહત્ત્વ આપણે સૌ જાણીએ તો છીએ, હાથ ધોઈએ પણ છીએ. તોય કોરોનાએ હાથ ધોવાની સાચી રીત શીખવી. ‘હેંડ વોશિંગ ડે’ ઊજવવો પડે છે, કારણ કે આપણે ભૂલી જઈએ છીએ. જમતા પહેલાં, પીરસતા પહેલાં અને રસોઈ બનાવતા પહેલાં હાથ ઘસીને ધોવા જરૂરી છે. પાયખાને ગયા પછી તો સાબુથી હાથ ધોવા જ જોઈએ. સાબુનો વધુ પડતો ઉપયોગ પણ નુકસાનકારક છે. દર વખતે સાબુ વાપરવાની જરૂર નથી હોતી. સાબુને કારણે હાથની ચામડીને નુકસાન થઈ શકે છે.

    પગની સ્વચ્છતા :

    જમીન પર ઉઘાડા પગે ચાલવું એ એક સુખદ અનુભવ છે. તળિયાનો સીધો સંબંધ મગજ સાથે હોય છે. એવું કહેવાય છે કે એનાથી એક પ્રકારની શક્તિ, સંજીવની મગજ સુધી પહોંચે છે.

    ૦          પગની સ્વચ્છતા રાખવી જરૂરી છે.

    ૦          બહારથી ઘરમાં આવતા પગ ધોઈએ.

    ૦          પાયખાને જઈ આવ્યા પછી પગ ધોઈએ.

    ૦          પગ ધોઈને ભોજન માટે બેસીએ.

    ૦          સૂતા પહેલાં પગનાં તળિયાં ધોઈને લૂછી લેવાં જોઈએ. શાંતિનો અનુભવ થશે અને ઊંઘ પણ સારી આવશે.

    ચામડી, વાળ તેમજ કપડાં :

    વાળની સ્વચ્છતા માટે પહેલાં અરીઠા, શીકાકાઈ વગેરેનો ઉપયોગ કરવામાં આવતો હતો. નાહવા માટે ચણાનો લોટ (બેસન) જેવી કેટલીક વસ્તુઓનો ઉપયોગ થતો હતો. આ વસ્તુઓથી સ્વચ્છતાની સાથે સાથે તેના કુદરતી ગુણોનો લાભ પણ અનાયાસે મળતો હતો.

    આજે તેમની જગ્યા બજારની વસ્તુઓએ લઈ લીધી છે. વાળ ધોવા માટે શેમ્પુ અને નાહવા માટે રંગબેરંગી સુગંધિત સાબુનો ઉપયોગ વધતો જાય છે. તેનાથી તાત્કાલિક લાભ દેખાતો હોય તો પણ લાંબા ગાળાનું નુકસાન જ થાય છે. કારણ કે બજારના ૯૦% શેમ્પુ, સાબુમાં નુકસાનકારક રસાયણો જ વપરાય છે.

    કપડાંની શુભ્રતા અલગ વસ્તુ છે અને સ્વચ્છતા બીજી બાબત છે. આજકાલ વધારે તો ડીટર્જન્ટનો ઉપયોગ થાય છે. તેમાં ઢગલાબંધ રસાયણો હોય છે. વધારે પડતાં શુભ્ર કપડાં માટે વિનોબાજી હિંસક સફેદી શબ્દ વાપરતા. જે કપડાં સાફ છે પણ પૂર્ણપણે શુભ્ર નથી તેને અહિંસક કહેતા. તેઓ કહેતા, ‘ખેતીમાં કામ કરનારાનાં કપડાં ધોયા પછી પણ શુભ્ર-સાફ નથી દેખાતાં. પરંતુ તે ગંદાં નથી હોતાં, તેના પર માટીનો રંગ ચઢેલો હોય છે.

    કપડાં સારી રીતે ચોખ્ખાં થવાની બાબત કપડાં ધોવાની પદ્ધતિ પર આધારિત છે. સુતરાઉ કપડું સ્વચ્છતા, આરોગ્ય તથા પર્યાવરણની દૃષ્ટિથી વધુ સારું મનાય છે.

    વ્યક્તિગત સ્વચ્છતાનાં અનેક સાધન આજે બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ તેની આપણા આરોગ્ય તેમજ કુદરતી સંસાધનો પર માઠી અસર થાય છે. શેંપુ, સાબુ, ટૂથપેસ્ટ વગેરેમાં વપરાતાં રસાયણો આપણાં જમીન, જળસ્રોત, વનસ્પતિને પણ પ્રદૂષિત કરી મૂકે છે. કૃત્રિમ રેષાઓમાંથી બનતાં કપડાં ધોતી વખતે નીકળતા સૂક્ષ્મકણો, કાન સાફ કરવા વપરાતા ઈયરબડસ્ વગેરે સમુદ્રમાં પણ પહોંચી જાય છે અને પ્રદૂષણમાં વધારો કરે છે.

    કેટલીક ચીજ વસ્તુઓનો ઉપયોગ સ્વચ્છતા કરતાં પણ સૌંદર્ય માટે વધુ થાય છે. પરંતુ, સાચું સૌંદર્ય તો આરોગ્ય અને પ્રસન્નતા, એ બેના મિલનથી પ્રગટ થાય છે અને આ બંનેના મૂળમાં છે સાચી સફાઈ.


    નલિની નાવરેકર| મો.: ૭૫૮૮૩૧૬૧૩૭ | (નાસિક)


    સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ ફેબ્રુઆરી, ૨૦૨૪

  • જીત્યું હમેશાં ગુજરાત

    હારી આ સરહદ ને હાર્યા સીમાડા

    પણ હાર્યું ના કોઈ’દી ગુજરાત
    હે જીત્યું, જીત્યું હમેશાં ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત
     

    ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
    પણ ઝૂક્યું ના કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત

    તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
    પણ તૂટ્યું ના કોઈ’દી ગુજરાત

    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    હો બેઠી બજારો ને મીલોના ભૂંગળા
    પણ ઊભું અડીખમ ગુજરાત
    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    ધણણણ ધણણણ ધણણણ ધરણી આ ધ્રૂજે
    કે આભલા ઝળૂંબે પણ
    ડગે ના કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું, જીત્યું હમેશાં ગુજરાત

    હાર્યા ના ગાંધી ના હાર્યા સરદાર
    એમ હાર્યું ન કોઈ’દી ગુજરાત
    હો રાજ મારું,જીત્યું હમેશા ગુજરાત
    હો રાજ મારું,જીત્યું હમેશાં ગુજરાત

    દુનિયાના નિતનવા નારાની સામે
    ના હારે આ દિલનો અવાજ
    એવો સુણીને દલડાનો સાદ
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત

    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત
    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત
    હાં હાં રે મારું જય જય, જય ગરવી ગુજરાત..
    મારું ગુજરાત..!

    ————-મનિષ ભટ્ટ…

    ટહુકો.કોમ.ના આભાર સાથે..

  • મલયાનિલોની પીંછી અને રંગ ફૂલના

    સંવાદિતા

    વિશ્વની દરેક ભાષાના કવિઓએ વસંતને પોતાના માહૌલ, સંસ્કૃતિ અને અને સંસ્કાર અનુસાર વિવિધ પ્રકારે બહેલાવી છે

    ભગવાન થાવરાણી

    વસંત પંચમીના  વિષયે લખાયેલી કેટલીક કાવ્યકૃતિઓ ઉપર નજર ફેરવીએ.
    કવિ કુલગુરુ કાલીદાસે વસંત સહિતની છ ઋતુઓ વિષે ‘ ઋતુસંહાર ‘ મહાકાવ્ય સંસ્કૃતમાં રચેલું. ગુજરાતીની વાત કરીએ તો સૌ પ્રથમ સાંભરે કવિ કાંતનું છેક ૧૯૨૩ માં લખાયેલું ખંડકાવ્ય ‘ વસંત વિજય ‘ . જો કે કાવ્ય મૂળભૂત રીતે મહાભારતના આદિ પર્વની એક ઘટના વર્ણવે છે પણ એમાં વસંતના નશીલા પ્રભાવ હેઠળ આત્મનિયંત્રણ ગુમાવતા રાજા પાંડુની વાત છે. એ પહેલાં નરસિંહ મેહતા પણ પોતાના પ્રભાતિયામાં ગાઈ ગયેલા :
    આ ઋતુ રૂડી રે મારાં વહાલાં રૂડો વસંત
    રૂડા તે વનમાં કેસૂડાં ફૂલ્યાં, રૂડો રાધાજીનો કંથ
     
    કવિ ન્હાનાલાલે વસંતને ઋતુરાજ કહેલો. એમની ‘ વસંતોત્સવ ‘ કવિતા મશહૂર છે. કવિ સુંદરમે લખેલું ‘ મને ફાગણનું ફૂલ એક આપો ‘ તો એમની જ પેઢીના પ્રજારામ  રાવળે કહ્યું ‘ શિશિર તણે પગલે વૈરાગી વસંત આ વરણાગી ‘ . કવિ ઉમાશંકર જોષીના એક કાવ્યસંગ્રહનું તો નામ જ ‘ વસંત વર્ષા ‘ છે. આદિલ મંસૂરી પોતાની વિખ્યાત ગઝલના એક શેરમાં લખે છે :
    ઉતરી ગયા છે ફૂલના ચહેરા વસંતમાં
    તારા જ રંગરૂપ વિષે વાત થઈ હશે ..
     
    ઋષિકવિ રાજેન્દ્ર શુકલ એમના એક શેરમાં કહે છે :
    અહો શ્વાસ મઘ્યે વસંતો મહોરી
    ઉડે રંગ ઉડે ન ક્ષણ એક કોરી
     
    તો મનોજ ખંડેરિયાની પંક્તિઓ ‘ ફૂલો એ બીજું કંઈ નથી પગલાં વસંતના ‘ કોણે નથી વાંચી ? ર. પા. ના આ શેર વિષે પણ શું કહેવું !
    શોધે છે શબ્દકોષમાં જે અર્થ વૃક્ષનો
    તેઓ વસંત જેવા સભર હોય તો યે શું !
     
    કાકાસાહેબ કાલેલકરે લખેલું ‘ જેની રહેણીકરણી કુદરતથી વિખૂટી થઈ નથી, કુદરતના રંગે જે રંગાય છે તે વસંતનું આગમન વગર કહ્યે અનુભવે છે. ‘
    આશ્ચર્યજનક રીતે ઉર્દૂ કવિઓએ પણ વસંત વિષે વિપુલ પ્રમાણમાં લખ્યું છે. કેટલાક શેર :
    આયા બસંત ફૂલ ભી શોલોં મેં ઢલ ગએ
    મૈં ચૂમને લગા તો મેરે હોંટ જલ ગએ
    – કુમાર પાશી
     
    પત્તે  નહીં  ચમન  મેં  ખડકતે  તેરે  બગૈર
    કરતી હૈ ઈસ લિબાસ મેં હરદમ ફુગાં બસંત
    (ફુગાં = ફરિયાદ, આર્તનાદ )
    – ઈંશા અલ્લાહ ખાન ‘ ઈંશા ‘ 
     
    કરતા હૈ બાગે દહર મેં નૈરંગિયાં બસંત
    આયા હૈ લાખ રંગ મેં ઐ બાગબાં બસંત
    બાગે દહર = સૃષ્ટિરૂપી ઉપવન, નૈરંગિયાં = જાદૂ )
    – મુનીર શિકોહાબાદી
     
    શાયર અમીક હનફીની વસંત – વિષયક એક નઝ્મનો તરજુમો જોઈએ :
    શહેરની દ્રષ્ટિનું ફલક વિસ્તરે
    તો દિલમાં ઉતરે પલાશ ફૂલોની ઝાળ
    શહેરની ઘ્રાણેંદ્રિય ખૂલે તો દખણાદી હવાની લહેરખીઓ
    આંબા પર મોર આવ્યાની ખબર ફેલાવે
    શહેરના કાનમાંથી ઘોંઘાટના દટ્ટા નીકળે
    તો નસોને સ્પર્શે કોયલનો કેકારવ
    શહેરની ચેતનામાંથી ધુમાડાના ગોટા વિખેરાય
    તો પંચેન્દ્રિયના પરિસરમાં પણ પધારે વસંત..
    સ્વીડીશ કવિ ગુન્નાર એકિલોફ વસંત વિષે વિષાદમય વાત કરે છે :
    શરદ હો કે વસંત
    શું ફરક પડે છે ?
    યુવાની હો કે વૃદ્ધાવસ્થા
    એનો શું અર્થ ? 
    ગમે તે હોય
    થવાનું તો છે વિલુપ્ત
    વિરાટની છાયામાં
    આપણે લુપ્ત થઈએ
    અત્યારે કે ઘડીક પહેલાં
    કે હજાર વર્ષ અગાઉ
    પરંતુ આપણું લુપ્ત થવું જ
    રહે છે શેષ ..
    અંકે પુન: ઉલ્લાસની દુનિયામાં પ્રવેશી કવિ અઝહર હાશમીની એક હિંદી વસંત – ગઝલ સાથે વિરમીએ :
    રિશ્તોં મેં હો મિઠાસ તો સમજો વસંત હૈ 
    મન મેં ન હો ખટાસ તો સમજો વસંત હૈ
    આંતોં મેં કિસી કે ભી ન હો ભૂખ સે એંઠન
    રોટી હો સબ કે પાસ તો સમજો વસંત  હૈ
    દહશત સે રહી મૌન જો કિલકારિયાં ઉનકે
    હોઠોં પે હો સુહાસ તો સમજો વસંત હૈ
    ખુશહાલી ન સીમિત રહે કુછ ખાસ ઘરોં તક
    જન – જન કા હો વિકાસ તો સમજો વસંત હૈ
    સબ પેડ પૌધે અસ્લ મેં વન કા લિબાસ હૈં
    છીનો ન યે લિબાસ તો સમજો વસંત હૈ ..

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


  • ઉમેદવારો માટે ચૂંટણી ખર્ચની મર્યાદા છે, રાજકીય પક્ષો માટે નથી!

    નિસબત

    ચંદુ મહેરિયા

    ચૂંટણીઓ લોકતંત્રને ટકાવવા અને દ્રઢાવવાનું મહત્વનું ઓજાર છે. પણ આજકાલ ચૂંટણીઓ અતિ મોંઘી અને ખર્ચાળ બની ગઈ છે. તેમાં અધધધ રૂપિયો ખર્ચાય છે. ચૂંટણીઓ લોકશાહીનું લોકપર્વ મટીને નાણાંની રેલમછેલ કરતી ઘટના  ( કે દુર્ઘટના) બની ગઈ છે.સેન્ટરફોર મીડિયા સ્ટડીઝના અનુમાન પ્રમાણે હાલની લોકસભા ચૂંટણીમાં ૧.૨ લાખ કરોડથી વધુ ખર્ચ થશે. જે અમેરિકી રાષ્ટ્રપતિની ગત ચૂંટણી કરતાં વધુ છે. તો આ ખર્ચ પાકિસ્તાનના વાર્ષિક બજેટનો ૧/૩ કરતાં વધુ ભાગ છે.

    ભારતનો પ્રત્યેક નાગરિક પછી તે અમીર હોય કે ગરીબ ચૂંટણી લડી લોકોનો ચૂંટાયેલો પ્રતિનિધિ બની શકે તે માટે ચૂંટણી લડતા ઉમેદવારો માટે ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેથી એકલા ધનપતિઓ ધનબળના જોરે ચૂંટાઈ ન જાય.પણ વાસ્તવમાં ઉમેદવારો માટેની ચૂંટણી ખર્ચની સીમા એક પાખંડ લાગે છે. સીધા કે આડા માર્ગે કાળા નાણાના બળે આર્થિક સામર્થ્ય ધરાવતા ઉમેદવારોનું ચૂંટાવાનું પ્રમાણ વધ્યું છે. હજુ દાયકા પૂર્વે ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૫૮ ટકા કરોડપતિ  ઉમેદવારો ચૂંટાયા હતા  દસ વરસ પછીની ૨૦૧૯ની ચૂંટણીમાં તેમાં ત્રીસ ટકાનો વધારો થયો હતો અને ૨૦૧૯ થી ૨૦૨૪ની લોકસભામાં ૮૮ ટકા કરોડપતિ સાંસદો હતા.

    સરકાર, રાજકીય પક્ષો અને ઉમેદવારો  એમ ત્રણ લોકો ચૂંટણીમાં નાણા ખર્ચે  છે. તેમાં સરકારી ખર્ચ તો કુલ ખર્ચમાં પંદર ટકા જ છે. ઉમેદવારો માટે ખર્ચની મર્યાદા નિર્ધારિત કરી છે. રાજકીય પક્ષો માટે ખર્ચની મર્યાદા હોતી નથી એટલે રાજકીય પક્ષો બેફામ નાણું વાપરે છે.  ઉમેદવારો હાથીના ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે તેમ સરકારી ચોપડે જુદો ખર્ચ બતાવે છે પણ વાસ્તવમાં તો અનેક ઘણા રૂપિયા વાપરે છે. ઈલેકશન વોચ અને એસોસિએસન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સનું ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના વિજેતા ૫૧૪ સભ્યોના ઈલેકશન કમિશન સમક્ષ રજૂ થયેલા ખર્ચના આંકડાઓનું વિશ્લેષણ દર્શાવે છે કે ૫૩ સાંસદોએ નિર્ધારિત રૂ. ૭૦ લાખ કરતાં અડધા જ ખર્ચમાં ચૂંટણી લડી હતી ! માત્ર બે જ સાંસદોએ રૂ.૭૦ લાખથી વધુ ખર્ચ કર્યો હતો. ૫૧૪ સાંસદોએ નિર્ધારિત રકમના સરેરાશ ૭૩ ટકા રકમ જ ખર્ચી હતી.. ભાજપના ૨૯૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૩૧ લાખ અને કોંગ્રેસના ૫૧ સાંસદોએ સરેરાશ રૂ. ૫૧.૭૨ લાખ જ ખર્ચ કર્યો હતો. આ હકીકતો પરથી ખર્ચની મર્યાદા, તેના નિરીક્ષણ માટેનું તંત્ર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરેલા ખર્ચના પત્રકો લોકોની આંખોમાં ધૂળ નાંખવા બરાબર લાગે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ૧૯૫૧-૫૨માં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારના ખર્ચની સીમા પચીસ હજાર રૂપિયા  હતી. આજે આઝાદીના અમૃત કાળમાં ૨૦૨૪માં તે વધીને રૂ. પંચાણું લાખ થઈ છે. ચૂંટણી પંચ ખર્ચની સ્વીકાર્ય રકમ નક્કી કરે છે તેમાં વિસ્તાર પ્રમાણે ચૂંટણી અધિકારી ફેરફાર કરી શકે છે. ઝંડા થી ડંડા, ચા થી ચવાણુ, મંડપ થી માચીસ અને હેલિકોપ્ટર થી હવન માટેની રકમ ઠરાવે છે. ઈલેકશન કમિશને એક બાય દોઢના કપડાંના ઝંડાની સ્વીકાર્ય કિંમત ૭ રૂ, ત્રણ ફુટના ડંડાના ૧૫ રૂ.,ગળાના ખેસના ૭રૂ., એક હજાર મલ્ટિકલર  પત્રિકાના રૂ.૪૫૦૦, ફુલહારના રૂ.૧૨, અડધા કપ ચાના રૂ.૧૦, કોફીના રૂ. ૨૦, હવન માટે પંડિતની દક્ષિણાના રૂ.૧૨૦૦ અને નાડાછડીના રૂ.૪ નક્કી કર્યા છે. મતવિસ્તાર દીઠ અલગ સ્વીકાર્ય કિંમત પ્રમાણે ગાંધીનગર જિલ્લા ચૂંટણી તંત્રે અડધા કપ ચા કે કોફીના રૂ.૬ ,મિષ્ટાન વગરની ગુજરાતી થાળીના રૂ. ૯૦ અને ૧૦૦ ગ્રામ ભજીયા કે દાળવડાના રૂ.૩૦ ઠરાવ્યા છે , એ જાણીને નવાઈ લાગે છે. કદાચ સબસિડાઈઝ રેટવાળી સંસદની કેન્ટિનનું તો આ ભાવપત્રક  નથી ને ? એવો પ્રશ્ન મતદારોને થાય છે.

    ઈલેકશન કમિશન ચૂંટણી ખર્ચ પર  નજર રાખવા માટે ભારતીય રેવન્યૂ સર્વિસના અધિકારીઓની ખર્ચ નિરીક્ષકો તરીકે નિમણૂક કરે છે. તેઓ ઉમેદવારના ચૂંટણી પ્રચાર અને અન્યમાં વપરાયેલા નાણાનો હિસાબ રાખવા વીડિયોગ્રાફી પણ કરે છે. તમામ ઉમેદવારોએ ચૂંટણી પરિણામના ૩૦ દિવસમાં જિલ્લા ચૂંટણી અધિકારીને ખર્ચની વિગતો આપવાની હોય છે. જે ઉમેદવારો ખર્ચની વિગતો આપતા નથી તેને પંચ ત્રણ વરસ માટે ઉમેદવારી માટે અયોગ્ય ઠેરવે છે. જો મર્યાદાથી વધુ ખર્ચ કર્યો હોય તો પણ સજા થઈ શકે છે. જો કોઈ નાગરિકને લાગે કે ઉમેદવારે ખર્ચેલા નાણા કરતાં ઓછો ખર્ચ દર્શાવ્યો છે તો તે આધાર-પુરાવા સાથે ઈલેકશન પિટીશન કરી શકે છે. ગાંધીનગર મહાનગરપાલિકાના બીજેપીના વર્તમાન એકતાળીસ   નગર સેવકોએ એકસરખો રૂ. ૧,૩૩,૩૮૦ ખર્ચ દર્શાવ્યો હતો. જે પહેલી નજરે જ શંકાસ્પદ લાગતાં તેમની સામે ફરિયાદ થઈ છે. ૨૦૦૯ની ચૂંટણીમાં  મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક ચવાણ સામે અખબારમાં આપેલી ચૂંટણીની જાહેરાતનો ખર્ચ ઓછો બતાવવા બદલ ફરિયાદ થયેલી છે.  આ બંને અને એવી બીજી ચૂંટણી ખર્ચની ફરિયાદોનો ભાગ્યે જ સમયસર નિવેડો આવે છે.

    ચૂંટણી પંચને બેનામી કે બેહિસાબી રોકડ અને બીજી વસ્તુઓ જપ્ત કરવાનો અધિકાર છે. જેથી ચૂંટણીમાં ગેરકાયદે થતા ખર્ચાઓ રોકી શકાય. ૨૦૧૯ની સમગ્ર ચૂંટણી કરતાં ૨૦૨૪માં પહેલા તબક્કાના મતદાન પૂર્વેના એકાદ માસમાં જ પંચે રૂ. ૪૬૫૦ કરોડની જપ્તી કરી છે. ભારતની ચૂંટણીઓ પર બેનામી અને કાળા નાણાનો કેટલો પ્રભાવ છે તેનું આ ધ્યોતક છે. રૂ. ૪૬૫૦માં સૌથી વધુ રૂ. ૧૧૪૩ કરોડની કિંમતની મફત વહેંચણીની વસ્તુઓ પકડાઈ છે. તે સાબિત કરે છે કે ઉમેદવારોની સાથે મતદારો પણ ભ્રષ્ટ છે કે તેમને ભ્રષ્ટ કરવામાં આવે છે. નવેમ્બર ૨૦૨૨માં તેલંગાણાના મુનુગોડે મતવિસ્તારની પેટાચૂંટણીમાં રૂ.૬૨૭ કરોડ ખર્ચાયા હોવાની ફરિયાદ ફોરમ ફોર ગુડ ગવર્નન્સે કરી છે. આ ચૂંટણીમાં ઉમેદવારે મતદારોને ૧૦૦ ગ્રામ સોનું આપ્યાની પણ ફરિયાદ થઈ હતી.

    રાજકીય પક્ષોના ખર્ચની કોઈ મહત્તમ મર્યાદા નક્કી ના થઈ હોવાથી તેના ખર્ચ પર કોઈ નિયંત્રણ નથી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે રૂ. ૧૨૬૪ કરોડ અને કોંગ્રેસે રૂ. ૮૨૦ કરોડ ખર્ચ્યા હોવાનું ઈલેકશન કમિશન સમક્ષ સબમિટ કરેલ હિસાબોમાં જણાવ્યું હતું. સૌ જાણે છે કે વાસ્તવિક ખર્ચ તેના કરતાં અનેકગણો થયો હશે. પરંતુ પોલિટિકલ પાર્ટીઝના ખર્ચની અસલિયત જાણી શકાતી નથી અને જે જાણીએ છીએ તે પણ અધધધ છે. રાજકીય પક્ષોના ખર્ચ પર નિયંત્રણના મુદ્દે તમામ રાજકીય પક્ષો એક્સંપ થઈને નકાર ભણે છે. રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ અને રાજકીય પક્ષોની ગાંધી –વૈદ્યનું સહિયારુંની નીતિને કારણે ચૂંટણીઓમાં થયા અનિયંત્રિત ખર્ચનો આજે તો કોઈ ઉકેલ જણાતો નથી.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – બૌદ્ધ પરંપરા

    પ્રવાસી યુ. ધોળકિયા

    ઓશો રજનીશ કહે છે કે વિશ્વની અન્ય ધાર્મિક પરંપરાઓ ઈશ્વર કેન્દ્રિત છે, પરંતુ પ્રથમ વખત જ મહાવીર સ્વામીએ શ્રમણ પરંપરાના માર્ગેથી મોક્ષ કેન્દ્રિત ધાર્મિક અને આધ્યાત્મિક પરંપરાની વિશ્વને ભેટ આપી. રાજકુમાર સિદ્ધાર્થ જ્યારે સંબોધિ પામીને ગૌતમ બુદ્ધ બન્યા ત્યારે તેઓએ, માનવ કેન્દ્રિત અતિ ઉજ્જવળ આધ્યાત્મિક જ્યોતિ પ્રગટાવીને, સમગ્ર વિશ્વને પ્રકાશમય બનાવી દીધું.

    બૌદ્ધ પરંપરા

    આજથી લગભગ ૩,૮૦૦ વર્ષ પહેલાં આપણા દેશમાં મહાવીર સ્વામી અને ભગવાન બુદ્ધના સ્વરૂપમાં બે ભવ્ય જ્ઞાનજ્યોતિઓનું પ્રાગટ્ય થયું. બન્ને સમકાલીન હોવા છતાં, મહાવીર સ્વામીની જ્યોતિ પ્રથમ પ્રગટી. મહાવીરથી વયમાં થોડા નાના સિદ્ધાર્થે જોયું કે મહાવીર સ્વામી દ્વારા પ્રગટેલી જ્ઞાનજ્યોતિ કદાચ થોડા સમયમાં ઝાંખી પડી જશે. તેથી શ્રમણ પરંપરાની આ જ્યોત સર્વદા પ્રગટી રહે તે માટે પોતાનું રાજકાજ, પત્ની અને બાળક સહિત આ સંસારનો ત્યાગ કરીને તપશ્ચર્યા કરવા નીકળી પડ્યા. પ્રારંભમાં તેઓએ પણ કઠોર તપશ્ચર્યા અને અતિ દેહદમનનો માર્ગ સ્વીકાર્યો. પરંતુ આમ કરવાથી તેમને કોઈ આધ્યાત્મિક અનુભૂતિ ન થઈ, એટલે તેઓએ મધ્યમ માર્ગનો સ્વીકાર કર્યો અને ટૂંક સમયમાં આત્મબોધિ પ્રાપ્ત કરી.

    આત્મબોધિ પ્રાપ્ત થયા પછી ગૌતમ બુદ્ધે તરત જ સારનાથથી શરૂ કરીને પહેલાં ભારતમાં અને પછી વિશ્વમાં પોતાના ઉપદેશોનો પ્રસાર કર્યો. બુદ્ધના પરિત્રાણ પછી, સમ્રાટ અશોકે સમગ્ર ભારતમાં હજારો સ્તૂપો, વિહારો, ચૈત્યો અને શિલાલેખોની રચના કરીને વૈદિક ધર્મને બદલે બૌદ્ધ ધર્મની અત્રે સ્થાપના કરી. તે પછી, સમ્રાટ કનિષ્ક અને પ્રકાંડ બૌદ્ધ સાધુઓએ મધ્ય એશિયા, ચીન, કોરિયા, જાપાન અને સમગ્ર દક્ષિણ – પૂર્વ એશિયામાં બૌદ્ધ ધર્મની સ્થાપના કરી. કાળક્રમે, દક્ષિણ ભારતના સંતોએ બૌદ્ધ ધર્મ પર વળતો ફટકો  મારી અત્રેથી તેનું લગભગ નામોનિશાન મિટાવી નાખ્યું. તેથી, વિશ્વની લગભગ ૬% વસ્તી આજે બૌદ્ધ ધર્મ પાળે છે, પણ તેમાંથી ભારતીયોનું પ્રમાણ નહિવત છે. આજે વિશ્વનું બૌદ્ધ મંદિર ભારતનું નહી પણ ઇન્ડોનેશિયાનું બુરૂ – બૌદરનું મંદિર સંકુલ સૌથી વિશાળ છે.

    બૌદ્ધ ધર્મના ઉપદેશો અને સિધ્ધાંતો

    ભગવાન બુદ્ધે પણ તેમના ઉપદેશો પ્રાકૃત – પાલિ ભાષામાં આપ્યા. તેમના આ ઉપદેશો વિનયપિટ્ટક, સુત્તપિટ્ટક અને અભિધર્મપિટ્ટક એવા ત્રિપિટ્ટક – ત્રણ ટોકરીઓ – માં સમાવાયા છે.

    ૪ આર્ય સત્ય

    ૧) આ સંસાર દુઃખમય છે.

    ૨) દુઃખનાં કારણો પણ છે.

    ૩) દુઃખોનો અંત શક્ય છે.

    ૪) આ દુઃખોનું નિવારણ બુદ્ધે ચીંધેલા અષ્ટાંગ  માર્ગનું પાલન કરીને કરી શકાય છે.

    ભગવાન બુદ્ધ પોતાના સિધ્ધાંતો સમજાવતાં કહે છે કે દરેક જીવને દુઃખ થાય છે તેનું કારણ તૃષ્ણા છે. આ તૃષ્ણાનો નિરોધ કરવામાં આવે તો દુઃખોનું નિવારણ શક્ય બને છે. દુઃખ અને તૃષ્ણાથી મુક્તિ પામવા માટે તેઓ બહુ સરળતાથી પાળી શકાય એવા અષ્ટાંગ માર્ગનું નિરૂપણ કર્યું છે.

    અષ્ટાંગ માર્ગ

    ૧) સમ્યક દૃષ્ટિ – દરેક વસ્તુના યથાર્થ સ્વરૂપને યોગ્ય રીતે જાણવું.

    ૨) સમ્યક સંકલ્પ – આસક્તિ અને હિંસામુક્ત વિચાર

    ૩) સત્ય વાક્ – સર્વદા સત્ય તથા મૃદુ વાણીનો પ્રયોગ

    ૪) સમ્યક કર્મ – સારાં કાર્યો કરવાં અને ખરાબ કામોથી દૂર રહેવું.

    ૫) સમ્યક આજિવિકા – વિશુદ્ધ રૂપથી સદાચારમય જીવન વ્યાપન

    ૬) સમ્યક વ્યાયામ – અકુશળ ધર્મનો ત્યાગ તથા કુશળ ધર્મનો સ્વીકાર

    ૭) સમ્યક સ્મૃતિ – વસ્તુના સ્વરૂપ વિશે જાગૃતતા

    ૮) સમ્યક સમાધિ – સમગ્ર ચિત્તની એકાગ્રતા કેળવી જીવનની જાગૃતિ જગાવવી.

    બુદ્ધનું દર્શન

    બુદ્ધનાં નિર્વાણ બાદ તેમના દર્શન વિશે નીચે મુજબની માહિતી મળે છે

    ૧)  પ્રતીત્ય સમુત્પાત – સામાન્ય ભાષામાં ઉપરોક્ત સિધ્ધાંતનો અર્થ કાર્યકારણવાદ અને શુન્યવાદ તરીકે ઓળખાવાય છે. કોઈ પણ ઘટના કાર્યકારણના સિધ્ધાંત વિના શક્ય નથી. દરેક મનુષ્યે જન્મ લેતાંની સાથે કર્મનું આચરણ કરવું ઘટે છે. અહીંથી તેની અનેક તૃષ્ણાઓનો પ્રારંભ થાય છે અને તે જીવન – મરણના ચક્રમાં ફસાતો જાય છે. બુદ્ધે આ બધાંમાંથી છૂટકારો મેળવવા માટે પ્રથમ તો અષ્ટાંગ માર્ગમય જીવન જીવવાનો અને વિપશ્યના ધ્યાન પદ્ધતિને અપનાવી નિર્વાણ પામવાનો માર્ગ સૂચવ્યો છે.

    ૨) જગતમાં કશું પણ સ્થિર કે શાશ્વત નથી. સમગ્ર જીવનસૃષ્ટિ ક્ષણભંગુર છે અને તેનું કોઈ મહત્ત્વ નથી.

    ૩) આત્માનું કોઈ અસ્તિત્વ નથી. પ્રાણીમાત્ર મન અને શરીરથી બનેલાં છે. આમ આ દર્શન અનાત્મવાદી છે.

    ૪) આ જગત કોઈ ઈશ્વરે નથી બનાવ્યું. સૃષ્ટિચક્ર અનાદિ છે. તેનો કોઈ નિયામક નથી. મનુષ્ય પોતે જ પોતાનો નિયામક છે.

    ૫) જીવનનું અંતિમ સત્ય શુન્યતા છે. આપણે જેમ દીવાને ફૂંક મારીને ઓલવી નાખીએ છીએ તેમ દરેક વ્યક્તિએ સ્વયં પુરુષાર્થથી મહાશુન્યમાં ઓલવાઈ જઈને વિલય પામવાનું છે.

    બૌદ્ધ ધર્મના દર્શન અને ચિંતન વિશે બીજી કેટલીક માહિતી પણ જાણવા જેવી છે. બૌદ્ધ ધર્મના ભિક્ષુઓ, ભિક્ષુણીઓ અને શ્રાવકો માટે પણ પંચશીલના નીચે મુજબના સિધ્ધાંતો છે.

    ૧) અહિંસા

    ૨) અસ્તેય (ચોરી ન કરવી)

    ૩) અપરિગ્રહ

    ૪) સત્ય, અને

    ૫) બધા પ્રકારના નશાઓના સેવનનો નિષેધ.

    તે ઉપરાંત, બૌદ્ધ ધર્મની જાગૃતિ – બુદ્ધત્વના પણ ત્રણ તબક્કાઓ છે. બધા પ્રકારની તૃષ્ણાઓનો ત્યાગ, લોભ, અવિદ્યા, હિંસા અને આત્મા તથા ઈશ્વરમાં અશ્રદ્ધા કેળવી વિપશ્યના ધ્યાન દ્વારા શ્રાવક શ્રાવક બોધિ, પ્રત્યક્ષ બોધિ અને સમ્યક બોધિ પ્રાપ્ત કરીને બુદ્ધ બની શકે છે. તેથી જ ઓશો રજનીશ જણાવે છે કે શ્રમણ પરંપરાના મોક્ષ કે નિર્વાણ પામવાના માર્ગો પ્રારંભમાં  અતિકઠણ જણાય છે, પરંતુ પછીથી શ્રમણ માર્ગ એક રાજમાર્ગ બની જાય છે. તેના દ્વારા આધ્યાત્મ યાત્રી પોતાના ગંતવ્ય પર સરળતાથી પહોંચી શકે છે. તેમાં પણ મધ્યમ માર્ગના સ્વીકારને કારણે બૌદ્ધ ધર્મ વિશ્વભરમાં વધારે સ્વીકાર્ય બન્યો છે.

    ઘણા વિચારકો બૌદ્ધ ધર્મને નિરાશાવાદી અને અસ્તિત્વનો વિરોધી માને છે.. પરંતુ, જેમ જેમ તેના ગહન ચિંતન અને મનનમાં ઊંડાં ઉતરતા જઈએ છીએ તેમ તેમ સમજાય છે કે આ ધર્મ જેવો યથાર્થવાદી બીજો કોઈ ધર્મ નથી. બુદ્ધ હંમેશાં ઉપદેશે છે કે ભવિષ્ય આપણા હાથમાં નથી તેથી તેની ચિંતા છોડી દઈ, ભૂતકાળને પણ ભૂલી જઈ દરેક વ્યક્તિએ વર્તમાનમાં અને તત્ક્ષણમાં જાગૃત બનીને જીવવું જોઈએ.

    બૌદ્ધ સંપ્રદાય

    કાળક્રમે બૌદ્ધ ધર્મ નીચેના સંપ્રદાયોમાં વિભાજિત થઈ ગયો.

    ૧) હિનમાન અથવા થેરવાદ – આ સંપ્રદાય ભગવાન બુદ્ધે પ્રબોધેલા ઉપદેશો અને સિધ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરે છે.

    ૨) મહાયાન – આ સંપ્રદાય પ્રમાણમાં લચીલો અને મધ્યમમાર્ગી છે.તે બુદ્ધ ઉપરાંત બોધિસત્વમાં પણ શ્રદ્ધા ધરાવે છે. બોધિસત્વ બનવા માટે બુદ્ધે પ્રબોધેલી દસ પારમિતાઓ, આજ્ઞાઓ,નું પાલન કરવાનું રહે છે. આ બોધિસત્વો પણ બુદ્ધત્વ – નિર્વાણ પ્રાપ્ત કરી શક્યા હોત. પરંતુ, સમગ્ર માનવ જાતનાં કલ્યાણ અર્થે તેઓ વિશ્વમાં રોકાઈ ગયા અને અનેક શ્રાવકોને બૌદ્ધ ધર્મમાં પ્રવેશ કરાવડાવ્યો.

    બૌદ્ધ સાહિત્ય લગભગ ૨૫ બોધિસત્વોનાં નામો ગણાવે છે, જેમાંના અવલોકીતેશ્વર, મહાસ્થમપ્રાપ્ત, સમંતભદ્ર, ધર્મેશ્વર, સિંહનાદ, ગુણધર્મ, વજ,અમિતાભ અને મૈત્રેય જેવાં થોડાં નામો જાણીને આપણે સંતોષ માનીશું.

    ૩) વજ્રયાન – આ તંત્ર માર્ગ છે. તિબેટમાં તંત્ર માર્ગનું પ્રચલન પદ્મસંભવે ૮મી કે લ્મી સદીમાં કર્યું. આપણા સદ્‍ભાગ્યે ચીની સામ્યવાદીઓના આતંકને કારણે તિબેટના દલાઈ લામાને ઇ. સ. ૧૯૫૯માં ભારતમાં આશ્રય લેવો પડ્યો. પરિણામે આ ધર્મનાં સારાં પાસાં સચવાઈ ગયાં. જોકે, વજ્રયાન માર્ગમાં મધ્ય યુગમાં અતિશય વામાચાર ફેલાઈ ગયો હતો. પરિણામે, બૌદ્ધ પરંપરાને ભારે નુકસાન થયું.

    ૪) નવયાન માર્ગ –  આ માર્ગનું પ્રચલન ૨૦મી સદીમાં ડૉ. બી આર આંબેડકરે કર્યું. તેના કારણો ધાર્મિક કરતાં રાજકીય અને સામાજિક વધારે છે. છતાં પણ આજે મહારાષ્ટ્ર, ગુજરાત, અને ભારતના અનેક પ્રદેશોમાં નવયાન માર્ગનો ભારતીય સમાજની ઘણી જાતિઓએ સ્વીકાર કર્યો છે.

    બૌદ્ધ યાત્રાધામોમાં લુમ્બિની, બોધગયા, સારનાથ અને કુશીનારા પરંપરાગત મહત્ત્વ ધરાવે છે. તે ઉપરાંત, હાલમાં ગુજરાતમાં વડનગર અને સોમનાથ તેમ જ મહારાષ્ટ્ર તથા અન્ય પ્રદેશોમાં બૌદ્ધ ધર્મનાં અનેક સ્થાનકો મળી આવ્યાં છે. આ રીતે ભારતની સનાતન ધર્મની પરંપરાના જૈન અને બૌદ્ધ ધર્મનો પુનરુદ્ધાર થઈ રહ્યો છે.

    સિદ્ધાર્થના જન્મ અને તેમનાં બુદ્ધત્વની પ્રાપ્તિ સમયે કેટલાક મહત્ત્વના બનાવો બન્યા હતા.-

    ૧) સિદ્ધાર્થનો જન્મ માયાદેવીની કૂખે સાલ વૃક્ષની નીચે થયો હતો. આપણી પરંપરામાં સાલ વૃક્ષ નવસર્જનનુ પ્રતીક મનાય છે. એટલે તેમનો જન્મ નવા યુગનો પ્રવર્તક બનશે એવો સંકેત મળ્યો હતો.

    ૨) સિદ્ધાર્થ જ્યારે ઉગ્ર અને કષ્ટદાયક તપ કરી રહ્યા હતા ત્યારે તેઓ લગભગ બેહોશ બની ગયા હતા. આ સમયે સુજાતા નામની દલિત કન્યાએ સિદ્ધાર્થને દૂધનું પાન કરાવ્યું હતું. આ ઘટના પ્રતિપાદિત કરે છે કે બૌદ્ધ ધર્મમાં ઉચ-નીચ, પુરુષ-સ્ત્રી જેવા વર્ણ કે જાતિના ભેદને કોઈ સ્થાન નહિં રહે. વળી દૂધના સેવન પછી તેમનામાં નવું ચેતન આવ્યું ત્યારે સિદ્ધાર્થે તપ અને ધ્યાન માટે મધ્યમ માર્ગનો સ્વીકાર કર્યો.

    ૩) સિદ્ધાર્થને જ્યારે બુદ્ધત્વ પ્રાપ્ત થયું ત્યારે મારા નામની બે બહેનો તેમની હત્યા કરવા પાછળ દોડી, પણ નિષ્ફળ ગઈ. આ મારા બહેનો માનવ જીવનમાં  રહેલી તૃષ્ણા, લાલચ અને વાસનાઓનું પ્રતિનિધિત્વ કરે છે. તેમના પર વિજય મેળવીને બુદ્ધે સિદ્ધ કર્યું કે તેમના નૂતન ધર્મનો સ્વીકાર કરનાર મનુષ્યો આવાં પ્રલોભનો જીતી શકશે.

    ૪)  તે પછી બુદ્ધ વૈશાલી આવે છે. ત્યારે ત્યાંની વિખ્યાત નગરવધુ આમ્રપાલી પોતાના ઉપવનમાં તેમને ભોજન કરાવે છે અને લલચાવે છે. જોકે, અંતમાં આ મહાજ્ઞાની પાસે તેનું કશું ચાલતું નથી. બુદ્ધના પ્રભાવમાં આવીને આમ્રપાલી પણ સાધ્વી બનીને બૌદ્ધ સંઘમાં જોડાઈને પોતાનું શેષ જીવન વ્યતીત કરે છે.

    ૫) બુદ્ધના જીવનની જ્યારે અંતિમ ક્ષણો આવી લાગી ત્યારે તેઓ પોતાના પ્રધાન શિષ્ય, આનંદ,ને શોક ન કરવાનું સમજાવતાં ઉપદેશ આપે છે કે, ‘આત્મદીપો ભવઃ’.

    બુદ્ધના પ્રધાન શિષ્યો

    ૧) સારિપુત્ત

    ૨) મોગ્ગલાન

    ૩) બુદ્ધના ભાઈ આનંદ, જેઓ જીવનનો ૨૦થી વધારે વર્ષનો સમય બુદ્ધની સાથે પડછાયાની જેમ સાથે રહ્યા. તેમણે બુદ્ધના ઉપદેશો કંઠસ્થ કરી લીધા હતા. તેઓની સામે અન્ય બૌદ્ધ ભિક્ષુઓને ભારે વિરોધ હતો કેમકે તેમણે ક્યારે પણ દિક્ષા ગ્રહણ કરી ન હતી. પરંતુ બુદ્ધના ઉપદેશોને સાચવી શકે એવી વ્યક્તિ માત્ર આનંદ જ હતા એટલે તેમનો બચાવ થઈ રહ્યો.

    ૪) મહાકશ્યપ, બૌદ્ધ સંઘના પ્રથમ મહાગુરુ હતા.

    ૫) સ્ત્રી શિષ્યોમાં ખેમા અને મહાપ્રજાપતિ. આ બન્નેને બૌદ્ધ સંધમાં પ્રવેશ મળ્યો હતો.

    ૬) આજથી લગભગ ૧,૪૦૦ વર્ષ પહેલાં, બુદ્ધના ધ્યાનમાર્ગના મહાધ્યાનવેતા બોધિધર્મનો જન્મ ભારતમાં થયો હતો. તેઓ બુદ્ધના નવપલ્લવિત ધ્યાનમાર્ગેને ભારતમાં ફેલાવવા માગતા હતા. પરંતુ જડ માનસ બની ગયેલા ભારતીયોએ તેમનો અસ્વીકાર કર્યો. તેથી તેઓ ચીન ગયા અને ત્યાં લાઓત્સેના સમર્થકોએ તેમના ધ્યાનમાર્ગને સ્વીકાર્યો. તે આજે જાપાનમાં વિકસેલ ઝેન માર્ગ તરીકે વિશ્વપ્રસિદ્ધ થયેલ છે.

    બૌદ્ધ ધર્મના અન્ય વિખ્યાત તત્ત્વજ્ઞાનીઓમાં નાગાર્જુન, વસુબંધુ, દિઙનાગ અને કુમારજીવનો સમાવેશ થાય છે.

    ઉપસંહાર

    બૌદ્ધ ધર્મના મહાગ્રંથ, ધર્મપદ, પરનાં ઓશો રજનીશના પ્રવચનો, એસ ધમ્મો સનંતનો[1], શીર્ષક હેઠળ સાત ભાગમાં ગ્રંથસ્થ થયાં છે. આ લેખનો ઉપસંહાર તેના ઉલ્લેખથી કરવો યોગ્ય ગણાશે અને આ લેખમાં આવી ગયેલ વિશ્લેષણનું પુનરાવર્તન પણ થશે.

    રજનીશ જણાવે છે કે બૌદ્ધ ધર્મ વર્તમાન સમયમાં પણ એટલો જ પ્રાસંગિક છે, કારણકે આજે વિશ્વમાં દરેક વ્યક્તિને કંઈક બની જવાની અતિઉતાવળ છે. ધર્મપદ માનવીને સ્થિર થવાનું –  થોભી જવાનું – કહે છે.  કોઈ દર્શન, વિચારધારા કે ગ્રંથમાં અંધશ્રદ્ધા ધરાવવાનું બુદ્ધ નથી કહેતા. તેઓ ગહન વિચાર, ચિંતન, મનન અને ધ્યાન કરીને જીવન જીવવાની કળા શીખવે છે.  માનવને તેના કુષિત મનોવિશ્વમાંથી બહાર નીકળીને નિર્વાણ પામવાનો માર્ગ બુદ્ધ દર્શાવે છે, જેથી મહાશુન્યમાં વિલન થઈ જવું શક્ય બને. આ શુન્યતા પણ સચ્ચીદાનંદની અનુભૂતિ કરાવે છે. બૌદ્ધ ધર્મ એકવીસમી અને તે પછીની આવનારી સદીઓનો વિશ્વધર્મ બનશે તેમાં પણ જરા શંકા નથી.

    બુદ્ધનું એક નામ તથાગત છે. તથાગત એટલે જે આવેલ પણ છે (તથ – આગત) અને ગયેલા પણ છે (તથા – ગત), એટલે કે તે સર્વદા છે. રજનીશ તથાગતને ‘તથાતા’ કહે છે.

    લેખનું સમાપન બુદ્ધના કેટલાક મહામંત્રોનાં શ્રવણ અને રટણથી કરવું યોગ્ય ગણાશે.

    ૐ મણિ પદ્મે હૂમ્ ।

    બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિ ।

    ધમ્મં શરણમ્ ગચ્છામિ ।

    સંઘં શરણમ્ ગચ્છામિ ।


    હવે પછીના મણકામાં આપણે ભક્તિ માર્ગ – સંત પરંપરા વિષે ચર્ચા કરીશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


    [1] बुद्ध का विज्ञान – “विज्ञान से भी कठिन काम बुद्ध ने किया। क्योंकि विज्ञान तो कहता है, वस्तुओं के प्रति निरपेक्ष भाव रखना। वस्तुओं के प्रति निरपेक्ष भाव रखना तो बहुत सरल है, लेकिन स्वयं के प्रति निरपेक्ष भाव रखना बहुत कठिन है। बुद्ध ने वही कहा। विज्ञान तो बहिर्मुखी है, बुद्ध का विज्ञान अंतर्मुखी है। धर्म का अर्थ होता है, अंतर्मुखी विज्ञान।” – ओशो

  • એક લીટીના સંવાદ થકી સ્થાપિત થઈ જતું પાત્ર

    હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ ….  મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.

    આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.

    વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.

    તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.


    બીરેન કોઠારી

    તેની સાથે ફિલ્મ કરવાની ઈચ્છા મને સદાયની હતી. ‘ખૂશ્બુ’ના નિર્માણ વખતે એક નાની ભૂમિકા માટે વિનંતી કરવા હું તેની પાસે ગયો. મારી સાથે બાસુ ભટ્ટાચાર્યને મેં લીધેલો; કેમ કે, તેઓ સારા મિત્રો હતાં. રીન્કુ (શર્મિલા ટાગોર)એ અમને સાંભળ્યા અને મહેમાન ભૂમિકા માટે સંમતિ આપી દીધી. હવે આનો બદલો ચૂકવવાનો વારો મારો હતો. મેં ‘મૌસમ’ની કથા સાથે તેનો સંપર્ક કર્યો; અને તે તરત સંમત થઈ ગઈ. પહેલવહેલી વાર અમે એકમેકને ખરેખર જાણતા થયાં. મને ત્યારે જ ખબર પડી કે એ શમ્મી કપૂરની જબરી ફેન હતી. કલકત્તામાં હતી ત્યારે તે શમ્મીની ફિલ્મો જોવા માટે કૉલેજમાં ગાપચી મારતી. અને મુમ્બઈ આવ્યા પછી તેની સૌ પ્રથમ ફિલ્મ એ જ પ્રિન્સ ચાર્મિંગ સાથે કરવા મળી.

    ‘મૌસમ’માં રીન્કુની બેવડી ભૂમિકા હતી. પહેલાં મા તરીકેની અને પછી દીકરી તરીકેની. માતા શાંત અને સૌમ્ય હતી, જ્યારે દીકરી બિન્ધાસ્ત સેક્સ વર્કર! શોટના પહેલા દિવસે તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી હતી. અચાનક અમારા સાઉન્ડ રેકોર્ડિસ્ટ ઈસાભાઈ મારી પાસે આવ્યા અને કહ્યું, ‘રીન્કુને સંવાદમાં કશીક તકલીફ છે. તમે એમાંનો અમુક અંશ બદલી શકો તો સારું.’ સ6વાદ આવો હતો, ‘દેખિયે સાબ, આપ મુઝે જો કહેંગે કરુંગી, આપ કે સાથ રહૂંગી, મગર આપ કે દોસ્તોં કે સાથ મૈં નહીં સોઉંગી…’ પોતાના ગ્રાહક સાથે એ નિખાલસપણે સોદાની શરત જણાવી રહી હતી.
    એ ભૂમિકા સંજીવકુમારે કરેલી. મેં રીન્કુને સમજાવવા પ્રયત્ન કર્યો કે એક લીટીના એ એક સંવાદ થકી તેનું સમગ્ર પાત્ર સ્થાપિત થઈ જાય છે. પોતાના વ્યવસાય બાબતે તે એક બિન્ધાસ્ત, પણ નિખાલસ ઓરત તરીકે રજૂ થાય છે. નહીંતર હિન્દી સિનેમાના એ જ ઘસાયેલા સંવાદ આવે, ‘મૈં અપના શરીર નહીં બેચતી, મૈં સિર્ફ અપની આવાઝ બેચતી હૂં..’ વગેરે વગેરે. વાસ્તવ જીવનમાં આવું થયું હોય ખરું?
    હું તેને આ સમજાવી રહ્યો હતો ત્યારે સંજીવ નજીકમાં જ હતો. અચાનક તેણે કહ્યું, ‘રીન્કુ, આ સંવાદ તું કશા હાવભાવ વિના બોલી નાખ. એ બહુ સરળ રહેશે.’ ‘તમે કહો છો એમ, કોઈ હાવભાવ વિના શી રીતે બોલી શકે, હરિભાઈ!’ રીન્કુ બોલી. તમે ભાગ્યે જ માની શકશો, પણ સંજીવે તરત જ એ આબેહૂબ રીતે કરી બતાવ્યું. તેણે કંઈક બીજું વિચારતાં વિચારતાં આ સંવાદ બોલવા રીન્કુને જણાવ્યું. તેની સાથે થોડા રિહર્સલ પછી રીન્કુએ પરફેક્ટ શોટ આપ્યો. અને કબૂલ્યું કે એ જ ક્ષણેથી તેણે પોતાનું પાત્ર આત્મસાત કરવા માંડ્યું હતું. આ ભૂમિકા માટે તેણે શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત કર્યો.

    – ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)


    નોંધ: ‘મૌસમ’માં સેક્સ વર્કર કજલીની ભૂમિકામાં શર્મિલા ટાગોરનો પ્રવેશ સંભવત: આ દૃશ્યથી થાય છે. ગુલઝારે વર્ણવેલું દૃશ્ય બીજું છે, પણ એક મિનીટની આ નાનકડી ક્લીપ બહુ સચોટ છે.

    https://youtu.be/hoCJAFVi-iE?si=kwfVgXBMNj-y8LXJ


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મોહમ્મદ રફી – ૧૯૪૬ – ૧૯૮૦ :: ૩૫ વર્ષોઃ ૩૫ ગીતો – [૧] – ૧૯૪૬ – ૧૯૫૬

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    શિવનંદમ પાલમડાઈ

    શ્રી શિવનંદમ પાલમડાઈની વ્યવસાયિક કારકિર્દી માર્કેટીંગના ક્ષેત્રની રહી છે. મૂળ તમિલનાડૂના એવા શ્રી પાલમડાઈ છેલ્લાં પચીસ વર્ષોથી પુણેમાં સ્થાયી થયા છે અને હવે પોતાના સમયને વ્યવસાય અને પસંદગીઓની વચ્ચે પોતાની ઈચ્છા મુજબ વહેંચીને વ્યસ્ત રહે છે. હિંદી ફિલ્મો અને ગૈરફિલ્મી હિંદી ગીતો ઉપરાંત તેઓ કર્ણાટકી અને પાશ્ચાત્ય સંગીતના પણ ચાહક છે. મોહમ્મદ રફી પરનાં ફોરમમાં તેઓ અવારનવાર લેખો લખે છે.

    મોહમ્મદ રફી પાર્શ્વગાયક તરીકે જેટલા બહુવિધપ્રતિભાશાળી હતા એટલા જ વ્યક્તિ તરીકે કુટુંબવત્સલ, નિરાભામાની, પરગજુ અને નમ્ર પણ હતા. ફિલ્મ સંગીતના ચાહકોમાં અમુક ગાયક કે સંગીતકાર, કે ગીતકાર બાબતે પોતપોતાની આગવી વધારે ઓછી પસંદ જરૂર  રહે, પણ મોહમ્મદ રફી માટે ગાયક તરીકે થોડું પણ ઘસાતું બોલતું તો કોઈ સાંભળવા જ નહીં મળે. ઓછા જાણીતા સંગીતકારોનાં ગીતોનાં રેકોર્ડિંગ માટે સમય ફાળવવામાં ઠાગાઠૈયા કરવા કે ગીત ગાવામાં ઓછું ધ્યાન આપવું  એવું તો તેમના સ્વભાવમાં જ નહોતું.. આજે તો હવે એ પણ બહુ જાણીતું છે કે તેમણે ઘણા નવા સંગીતકારો પાસેથી તેમની પહેલવહેલી ફિલ્મ માટે સાવ નામનું જ મહેનતાણું જ લીધું હતું.

    ગીતની રચના મુજબ પોતાના સુરના આરોહ અવરોહને તો તેઓ આગવી અદાયગી આપવામાં કુશળ હતા જ પણ તે સાથે ગીતના ભાવ પણ તેઓ એટલી જ સહજ રીતે રજુ કરી શકતા.  ભક્તિ ગીતોથી લઈને રોમંસનાં, દેશ પ્રેમનાં ગીતોથી લઈને શરાબીઓ માટેનાં, કરૂણ ગીતોથી લઈને હાસ્ય ગીતો, શાસ્ત્રીય સંગીત પર આધારીત ગીતોથી માંડીને સાવ જોડકડાં જેવાં કે ભિક્ષુક માટેનાં ગીતોથી લઈને પોતે બનાવેલ ચીજ વસ્તુઓ વેંચતાં નાના વેપારીઓ માટ કે ગજ઼લથી લઈને કવ્વાલીઓ સુધીના દરેક ગીત પ્રકાર તેઓ એટલી જ સહજતાથી ગાઈ શકતા.

    પરદા પર ગીતને ગાઈ રહેલા અભિનેતાની શૈલી પણ તે પોતાની ગાયકી દ્વારા જ એટલી વાસ્તવિકતાથી રજુ કરતા કે ગીત સાંભળતાં વેંત કયા અભિનેતાએ પરદા પર ગીત ગાયું હશે તે કલ્પી શકાતું. ૧૯૪૪થી ૧૯૮૦ સુધીની કારકિર્દીમાં તેમણે એ સમયના લગભગ બધા જ નામી અનામી અભિનેતાઓ, ચરિત્ર અભિનેતાઓ કે કોમેડીયનો માટે ગીત ગાયાં હતા. પૃથ્વી રાજકપૂર (પંજાબી ફિલ્મમાં), તેમના ત્રણેય પુત્રો રાજ, શમ્મી અને શસી તેમ જ પછીની પેઢીના રણધીર અને ઋષિ, એમ ત્રણ પેઢીઓ માટે તેમણે ગીતો ગાયા. બલરાજ સાહની અને તેમના પુત્ર પરિક્ષિત માટે પણ તેમણે પોતાનો સ્વર આપ્યો તો ફિલ્મ જગતના બધા કુમારો  – દીલીપ, રાજેન્દ્ર, મનોજ, સંજીવ – માટે તેમણે યાદગાર ગીતો ગાયાં. કે એલ સાયગલનું ગીત તેમણે માઈક વિના ગાઈને સાયગલ સાહેબની સરાહના મળવી. ગત પેઢીના શ્યામ, તે પછી ધર્મેંદ્ર અને નવી પેઢીના અમિતાભ, વિનોદ ખન્ના, જીતેન્દ્ર અને શત્રુઘ્ન શર્મા માટે પણ તેમણે ગીતો ગાયા. જોહ્ની વૉકરની તેઓ અનિવાર્ય એવી પાર્શ્વસ્વર ઓળખ ગણાતા.

    તેમણે પોતાના સમયનાં બીજાં બધાં  પાર્શ્વગાયકો સાથે તો ગીતો ગાયાં છે. એક સમયના તેમના રોલ મૉડેલ સમા જી એમ દુર્રાની માટે પણ તેમણે ગીત ગાયું. તેમના વ્યવસાયિક હરીફ સમા કિશોર કુમાર માટે તો તેમણે  કોઈ જાતનાં અભિમાન વિના પરદા પાછળ પણ ગાયું. એટલું જ નહીં પણ બેકગ્રાઉન્ડ ગીતો પણ તેમની આગવી ખાસીયત ગણાતી. બીજી પણ એક ખાસ વાત તરફ ધ્યાન જાય છેઃ ૧૯૪૬નાં ગીત, કહ કે ભી ન આયે તુમ,માં પોતાની ઉમરનાં  બાવીસમા વર્ષે તેઓ જે સહજતાથી ગંભીર બની શકે છે એટલી જ સહજતાથી ૧૯૮૦નાં પોતાની વયના ચોપનમા વર્ષે તેઓ મૈને પુછા ચાંદસે માં તેઓ નવયુવાનને શરમાવે તેવા નખશીખ પ્રેમી લાગે છે.

    આવા બહુપ્રતિભાવાન, બહુઆયામી ગાયક એવા મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી નિમિત્તે ૧૯૪૪ અને ૧૯૪૫નાં તેમની સાવ શરૂઆતનાં બે વર્ષો છોડીને ૧૯૪૬થી ૧૯૮૦ સુધીનાં ૩૫ વર્ષનાં દરેક વર્ષનાં એક એક પ્રતિનિધિ ગીતને પસંદ કરવું એ પહેલી નજરે તો સાવ અસંભવ કામ જણાતું હતું. તેમણે જેમના માટે ગીતો ગાયાં એવા સંગીતકાર કે અભિનેતા દીઠ કે તેમણે ગાયેલાં ગીતોના પ્રકાર દીઠ તો દરેક વિષય પર અનેક લેખો લખાય તો પણ મોહમ્મદ રફીની ગાયન પ્રતિભાનો સર્વગ્રાહી પરિચય ન આપી શકાય. ઘણી મથામણને અંતે એમ નક્કી કર્યું કે દરેક વર્ષનું, મારી પોતાની પસંદ મુજબનું એક ગીત પસંદ કરવું. એમ કરતાં શક્ય એટલા જુદા જુદા ભાવનાં પ્રકારનાં કે સંગીતકારો માટેનાં ગીતો રજુ કરી શકાય તેવો સન્નિષ્ઠ પ્રયાસ કરવો. પરિણામે, ૧૯૪૬થી ૧૯૮૦ સુધીના ૩૫ વર્ષનાં ૩૫ ગીતોની આ યાદીમાં આના કરતાં પેલું ગીત વધારે સારૂ રહેત કે આ સંગીતકાર તો સાવ ભુલાઈ જ ગયા એવો અસંતોષ જરૂર અનુભવાશે. પણ મોટું મન રાખીને મારી આ મર્યાદાને દરગુજર કરવાની મારી વિનંતિ છે.

    ગીતોની રજુઆત ફિલ્મની રજુઆતનાં વર્ષના ક્રમમાં કરેલી છે. દરેક ગીતની ઓળખ માટે, ફિલ્મની રજુઆતનું વર્ષ, ગીતના મુખડાના બોલ, ફિલ્મનું નામ, સંગીતકાર, ગીતકાર અને પરદા પર ગાઈ રહેલ અભિનેતાનું નામ એ ક્રમ રાખેલો છે. ૧૯૪૭, ૧૯૪૮ અને ૧૯૫૦ સિવાય બાકીનાં દરેક વર્ષ માટે મોહમ્મદ રફીનાં સોલો ગીતો જ પસંદ કરેલ છે.

    ૧૯૪૬ – કહ કે ભી ન આયે તુમ અબ છુપને લગે તારે – સફર – સી. રામચંદ્ર – જી એસ નેપાલી – કનુ ઘોષ

    બાવીસ જ વર્ષની ઉમર, કારકિર્દીનાં તો પહેલે પગથિયે જ પગ મુક્યો છે, પણ  મોહમ્મદ રફી પાસેથી ભવિષ્યમાં કેવાં કેવાં ગીતો મળી શકશે તેની આલબેલ તો આ ગીતમાં સ્પષ્ટપણે સભળાય છે.

    જો કે આ સિવાય પણ ફિલ્મમાં મોહમ્મદ રફીનું એક અન્ય સોલો ગીત – અબ વો હમારે હો ગયે ઈકરાર કરે યા ન કરે– પણ નોંધપાત્ર રહ્યું હતું.

    ૧૯૪૭ – યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ – નુરજહાં સાથે – જુગનુ – ફિરોઝ નિઝામી –  અસગર સરહદી – દિલીપ કુમાર (અને નુરજહાં)

    મોહમ્મદ રફીનું નુરજહાં સાથેનું એક માત્ર યુગલ ગીત !

    આ ફિલ્મનાં એક ગીત – વો અપની યાદ દિલાને કો – માં મોહમ્મદ રફીએ પોતે જ પરદા પર ગીત ગાયું છે.

    https://www.youtube.com/watch?v=ZTIVV06WE3I

    ૧૯૪૮ – સોલહ બરસ કી ભઈ ઉમરીયા – શમશાદ બેગમ અને સાથીઓ સાથે – આગ – રામ ગાંગુલી –  બહઝાદ લખનવી – સત્યનારાયણ (નરગીસ અને સાથીઓ સાથે)

    રાજ કપુરને સિનેમાના મહાન શોમેન તરીકે કેમ ઓળખવામાં આવતા તે આ ગીતનાં બહુ અનોખાં ફિલ્માંકન દ્વારા સમજી શકાય છે.

    ગીત લોકગીતના ઢાળ પર બનાવાયું છે.

    આહ અને જિસ દેશમેં ગંગા બહેતી હૈ સિવાય આર કે ફિલ્મ્સની મેરા નામ જોકર સુધીની દરેક ફિલ્મમાં મોહમ્મદ રફીને સ્થાન મળ્યું જ છે!

    ૧૯૪૯ – સુહાની રાત ઢલ ચુકી ના જાને તુમ કબ આઓગે – દુલારી – નૌશાદ – શકીલ બદાયુની – સુરેશ

    મોહમ્મદ રફી પોતાની ગાયકીમાં જે ભાવ લાવી શકતા તેવા ભાવ તો હિંદી ફિલ્મોના ગણ્યા ગાંઠ્યા અભિનેતાઓ સિવાય મોટા ભાગના અભિનેતાઓ પોતાની અદાયગીમાં લાવી ન શકતા.

    આ ગીતને મળેલી અપ્રતિમ સફળતાએ મોહમ્મદ રફીનાં ફિલ્મ જગતનાં સ્થાનનો મજબુત પાયો નાખવાનું કામ કર્યું.

    ૧૯૫૦ – તારા રી આરા રી …. યે સાવન ઋત તુમ ઔર હમ તા રા રા રા રમ – સુરૈયા સાથે – દાસ્તાન – નૌશાદ – શકીલ બદાયુની – રાજ કપુર (અને સુરૈયા)

    મોહમ્મદ રફી અહીં પાશ્ચાત્ય ધુન પર હળવા મિજાજનાં રોમેન્ટીક ગીત ગાવાની તેમની ફાવટ રજુ કરે છે.

    રાજ કપુર અને નૌશાદે આ ફિલ્મ સિવાય ક્યારે પણ સાથે કામ કરતા નથી દેખાયા. તે ઉપરાંત દિલીપ કુમાર – મોહમ્મદ રફી, રાજ કપુર – મુકેશ એવી વણલખી પ્રથાઓ પણ હજુ શરૂ નથી થઈ. પરંતુ આ ગીતમાં મોહમ્મદ રફીનો અવાજ રાજ કપુરની અભિનય શૈલીને પણ બહુ સહજપણે બંધ બેસે છે.

    ૧૯૫૧ – હુએ હમ જિનકે લિયે બરબાદ વો હમ કો ચાહે ન કરે યાદ હમ ઉનકી યાદમેં ગાયે જાએંગે – દીદાર – નૌશાદ – શકીલ બદાયુની – દિલીપ કુમાર

    આ પહેલાંની ફિલ્મ, અંદાઝ,માં દિલીપ કુમાર માટે મુકેશ દ્વારા ગવાયેલાં ગીતો શ્રોતાઓના મનમાંથી તસુભાર પણ ન ખસ્યાં હોય એવામાં હવે મોહમ્મદ રફી દિલીપ કુમારના પાર્શ્વસ્વર માટે આવ્યા અને મોહમ્મદ રફી સિવાય દિલીપ કુમાર કલ્પી ન શક્ય એટલી હદે દિલીપ કુમારના અભિનય સાથે વણાઈ ગયા.

    ગીતની સાખીનો ઉપાડ મોહમ્મદ રફી થોડા ઊંચા સુરમાં કરે છે અને પછી ધીમે ધીમે ગીતના મૂળ સુર તરફ સરકતા આવે છે. એ જ રીતે આખાં ગીત દરમ્યાન સુરની ઉતરચડ દ્વારા ગીતના ભાવની અભિવ્યક્તિ તાદૃશ કરતા રહે છે.

    ૧૯૫૨ – ઓ દુનિયાકે રખવાલે સુન દર્દ ભરે મેલે નાલે – બૈજુ બાવરા – નૌશાદ – શકીલ બદાયુની – ભારત ભુષણ

    ‘ભગવાન, ભગવાન, ભગવાન’થી શરૂ થતા પૂર્વાલાપથી મોહમમ્દ રફીના સ્વરમાં જે દર્દ ટપકે છે તે મહલ ઉદાસ ઔર ગલીયાં સુની ….. હમ જીવન કૈસે ગુજારેમાં આર્તસ્વરની ફરિયાદ બની રહે છે. કોણ કલ્પના કરી શકે કે આ ગાયકે આટલા ભાવ સાથે આ ગીત એક બેજાન માઈક્રોફોન સામે ઊભીને ગાયું હશે!

    ૧૯૫૩ – અજબ તોરી દુનિયા હો મોરે રામા – દો બીઘા ઝમીન – સલીલ ચૌધરી – શૈલેન્દ્ર – અન્ય ચરિત્ર અભિનેતાઓ

    જરા ધ્યાનથી સાંભળીશું તો જણાશે કે પહેલા અને બીજા અંતરામાં બે અલગ અલગ અભિનેતાઓ ગીત ગાય છે અને એ માટે રફીએ પોતાના સ્વરમાં સહેજસાજ ફરક પણ કર્યો છે.

    https://youtu.be/6oD3gCt3lXM?si=0SJA5mdMFjM5kopq

    ૧૯૫૪ – હૈ બસ કે હર એક ઉનકે ઈશારેમેં નિશાં ઔર, કરતે હૈ મુહબ્બત તો ગુઝરતા હૌ ગુમાં ઔર – મિર્ઝા ગાલિબ – ગુલામ મોહમ્મદ – મિર્ઝા ગાલિબ – અન્ય ચરિત્ર અભિનેતા

    ‘મિર્ઝા ગાલિબ’ મૂળતઃ મિર્ઝા ગાલિબ અને મોતી બેગમના પ્રેમની કહાની છે એટલે સ્વાભાવિક છે કે ફિલ્મનાં તલત મહમુદ અને સુરૈયાનાં ગીતો જ વધારે પ્રસિદ્ધિ પામ્યાં હોય. પરંતુ, ગઝલનો આ શેર તો મોહમ્મદ રફીની મોહક ગાયકીને જ જાણે સાબિત કરી રહે છેઃ

    હૈ ઔર ભી દુનિયામેં સુખન્નવર બહુત અચ્છે

    કહતે હૈ કે ગ઼ાલિબકા અંદાજ઼-એ-બયાં ઔર

    ૧૯૫૫ – કહાં જા રહા હૈ તુ અય જાનેવાલે અંધેરા હૈ મન કા દિયા તો જલા લે – સીમા – શંકર જયકિશન – શૈલેન્દ્ર – બલરાજ સાહની

    ‘સીમા’નાં ગીત આમ તો એક એકથી ચઢિયાતા હતાં. ‘તુ પ્યાર કા સાગર હૈ‘, મનમોહના બડે જૂઠે અને પ્રસ્તુત ગીત તો જાણે આપસમાં સ્પર્ધામાં ઉતરવાને બદલે દરેક પંક્તિના બોલ, ગીત બાંધણી કે ગાયકીમાં ખુદ પોતા કરતાં જ વધારે ઊંચાં કીર્તિમાનો સ્થાપિત કરતાં હોય એમ જણાય. જેમ કે, જો બાંધે હૈ બંધન વો ક્યોં તોડ ડાલે‘માં  ‘તો ડ’ને રફીએ કેટલું અર્થપૂર્ણપણે તોડી બતાવ્યું છે.

    ફિલ્મનું એક અન્ય ગીત – હમેં ભી દે દો સહારા કે બેસહારે હૈ, ફલક કી ગોદ સે ટૂટે હુએ સિતારે હૈ – તો વળી ભિક્ષુક’ પ્રકારનાં ગીતોમાં પણ નવી કેડી કંડારે છે.

    ૧૯૫૬ – દુનિયા ન ભાયે મોહે અબ તો બુલા લે ચરનોમેં ચરનોમેં – બસંત બહાર – શંકર જયકિશન – શૈલેન્દ્ર – ભારત ભુષણ

    અહીં પર મોહમ્મદ રફીએ કેતકી ગુલાબ જુહી ચંપક કે ભય ભંજના વંદના સુન હમારી જેવાં ઉત્તુંગ કક્ષાનાં ગીતોની સાથે આ ગીતને બરાબરીનું સ્થાન અપાવવાનું હતું, જે તેમણે ‘ચરનો મેં ચરનો મેં‘ વ્યથાની વલોવણી વડે જ સિદ્ધ કરી લીધું.

    આજે અહીં વિરામ લઈશું. હવે પછીના મણકામાં ૧૯૫૭થી ૧૯૭૦ સુધીના વર્ષોનાં કેટલાંક ચુંટેલાં ગીતો યાદ કરીશું’


    મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની ઉજવણી રૂપે સોંગ્સ ઑફ યોર પર પ્રકાશિત લેખ Rafi’s Centenary Special: 35 songs from 35 years (1946-1980)નો આંશિક અનુવાદ

    અનુવાદ: અશોક વૈષ્ણવ

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ચોથો: પ્રવેશ ૫

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક ચોથો: પ્રવેશ ૪  થી આગળ

    સ્થળ : કિસલવાડી પાસે નદીનો કિનારો

    [રાઈ રેતીમાં ફરતો પ્રવેશ કરે છે.]

    રાઈ : શીતલસિંહે જે બધું કહ્યું તેમાંથી એક વાત તો ખરેખર સાચી છે. તે એ કે લીલાવતીનું સૌંદર્ય અનુપમ છે. એવું સૌંદર્ય મેં આજ સુધી કોઈ સ્ત્રીનું જોયું નથી. હું વસતીમાં કદી રહ્યો નથી, તેથી કદાચ એમ હશે. પરંતુ ⁠⁠ લીલાવતીનું સૌન્દર્ય અતીવ મનોહર છે એ તો નિઃસંદેહ છે. એવા સૌન્દર્યના ઉપભોગ માટે પર્વતરાયે યૌવન પ્રાપ્તિની ઇચ્છા કરી હોય તો તે ક્ષમા કરવા યોગ્ય છે. પણ, ગયેલું યૌવન કદી પાછું આવતું નથી એ નક્કી છતાં પર્વતરાયે લીલાવતી સાથે લગ્ન કરી તેનું સૌન્દર્ય નકામું કરી નાખી દીધું એ શું વ્યાજબી હતું?

    (અનુષ્ટુપ)

    સૌન્દર્ય કેરી સંપત્તિ સ્વર્ગથી અહીં ઊતરે;
    દૂરવાયા કરવા તેનો અધિકાર ન કોઈને. ૫૦

    લીલાવતીનું લગ્ન કોઈ યુવાન વીર નરેન્દ્ર સાથે થયું હોત તો તેમનું જીવન કેવું ધન્ય થાત અને દુનિયામનાં દંપતી-રત્નોનું ઔજ્જવલ્ય કેવું પુષ્ટ થાત ! હું પર્વતરાય તરીકે નહિ, પણ જગદીપ તરીકે ગાદીએ હોત તો લીલાવતી જેવી રાણી… (ખેંચાઈને) અરે ! આ શું ? પરસ્ત્રી વિષે લાલસા ભર્યા વિચારને હું મારા ચિત્તમાં પ્રાવેશ કરવા દઉં છું ને વધવા દઉં છું ! આહ ! શીતલસિંહ ! તેં સૌન્દર્યમોહનો કીડો મારા ચિત્તમાં મૂક્યો ! અરે ! પણ, મેં એ કીડાને ટકવા કેમ દીધો ? ટકવા દીધો તો આમ ઊપડી આવ્યો ! પણ ત્યારે, શું મારે સૌન્દર્ય એ વસ્તુનો જ તિરસ્કાર કરવો ?

    (ઇન્દ્રવજ્રા)

    જે સૃષ્ટિકેરા યશની પતાકા;
    જે પ્રેરણાઓ તણી ખાણ મોંઘી
    જેનાં ત્રિલોકે ગુણગાના થાય,
    સૌન્દર્ય તે શું મુજ દ્વેષ યોગ્ય? ૫૧

    લીલાવતીનું સૌન્દર્ય પરમ આદરને યોગ્ય છે, પણ આદર પછી કઈ વૃત્તિ ? અહો ! શું એ આદર આ ⁠⁠ ગૂંચવણ ઉત્પન્ન કરે છે ? ના ! ના ! સૌન્દર્યને અને આ ગૂંચવણને શો સંબંધ છે ? મારે પર્વતરાય થવું પડે ત્યારે પર્વતરાયની રાણી લીલાવતીનું શું કરવું એ જ પ્રશ્ન છે. લીલાવતી સુન્દર હોય કે ન હોય પણ એ પ્રશ્ન તો એનો એ જ છે. શું હું એટલો દુર્બલ છું કે એ સૌન્દર્ય તરફના આદરને લીધે મારા નિર્ણય લઈ શકતો નથી ? એમ હોય કેમ ! સૌન્દર્ય તરફનો આદર એ તો ઉદાર વૃત્તિ છે. એ અધમ વૃત્તિ નથી, પણ વૃત્તિઓનું પૃથ્થકરણ અત્યારે શું કામ આવે એવું છે? (અટકીને) હું કેવો મૂર્ખ ! મને સૂઝયું જ નહિ કે પર્વતરાય થતાં મારે તેની રાણીના પતિ થવું પડશે ! જાલકા મને ‘શાહી અને કાગળનો પંડિત’ કહે છે તે ખોટું છે? જાલકાએ અને શીતલસિંહે તો મને ગાદીનો માલિક બનાવતાં રાણીનો સ્વામી પણ બનાવવા ધારેલો જ, પણ એમણે એ વાત મારાથી ગુપ્ત રાખી. એમને મન ખુલ્લું હતું તેનો મને ખ્યાલ પણ ન આવ્યો એવી મારી પંડિતતા! લાવ, મારી ભૂલના ચિહ્નનો કાપો કાગળ ઉપર નાખતી કોતરી નાખું કે હૃદયનો કાપો ચિત્ર રૂપે મારી આંખ આગળ ધરી શકાય. (ગજવામાંનો કાગળ કાઢે છે. કાગળ ઉઘાડી) આ શું ? મારા લખાણ નીચે જાલકાના અક્ષર ક્યાંથી? એણે શું લખ્યું છે? (વાંચે છે)

    ⁠“‘રાઈ’ ને ‘જાલકા’ એ તો બાજીનાં સહુ સોકઠાં;”

    ⁠⁠ શું હું માત્ર બાજીનું સોકઠું ? મારું નરત્વ નહિ, મારું વીરત્વ નહિ, ને જાલકા પોતાના પાસા નાખે તેં મને ફેરવે ! જાલકા પોતાને પણ સોકઠું કહે છે એ એની ચતુરાઈ છે, અને એને સોકઠું થવું હોય તો ભલે થાય, હું નહિ થાઉં. બીજી લીટી શી છે? (વાંચે છે.)

    “છેતરે કોણ કોને જ્યાં રમે ખેલાડિ એકઠાં?”

    ⁠⁠ આ બધી છેતરપિંડી તે જાલકાને મન રમત છે અને ખેલ છે ! બાજી રમી રહીને રામનારાંએ હસવાનું, તેમ આ સહુ કપટ અને અનીતિને અન્તે અમારે સાહુએ મળી હસવાનું ! એ સૂત્ર મારાથી કબૂલ નહિ થાય. જાલકાએ જાણેલું તે મેં ન જાણેલું એટલો એની વ્યવહારકુશળતાએ વારી પંડિતતાનો પરભાવા કર્યો. તો મારી પંડિતતાનો એ વિજય છે કે એણે ઇચ્છયું તે મેં નથી ઇચ્છયું, અને હું તે નહિ ઇચ્છું. (અટકીને) શું મારી ઇચ્છાને હવે અવકાશ નથી , અને હું બંધાઈ ગયો છું? શીતલસિંહે કહ્યું કે પર્વતરાય થવાથી મારી કબૂલતમાં પર્વતરાયના બધા સંબંધો અને બધા વ્યવહારોનો સ્વીકાર આવી જાય છે. શું પર્વતરાય થવાનું કબૂલ કરતી વખતે મેં લીલાવતીના સ્વામી થવાની ધારાણા કરેલી એમ જ મનાશે? મારા કપટમાં કામવાસનાનો અંશ નહોતો એ વાત શું કોઈ નહિ માને? તે વખતની મારા મનની સ્થિતિ તે કોણ જાણે ? હા ! આ જ સ્થાન હતું . આ નદી બધું જાણે છે !

    (હરિગીત)

    ઓ ! રંગિણી ! તું સાક્ષિ છે તે સરવા મારા તર્કની,
    સંકલ્પ ને સંદેહ મારા તેં સુણ્યા તે રાત્રિયે;
    લાવું જગતને તારિ પાસે તો ખરું શું તું ન ક્હે?
    કંઈ કંઈ યુગોનું મૌન તુજ, મુજ અર્થા તું તોડે ન શું ? ૫૨

    અને, મારા મનની એ વિશુદ્ધતા મનુષ્યો કદાચ કબૂલ ન કરે, માટે શું એ વિશુદ્ધતા મારે મૂકી દેવી ? ત્યારે, પર્વતરાય થવું અને લીલાવતીના સ્વામી ન થવું એમાં શી રીતે કરવું ? (અટકીને) એ તો કેવળ અશક્ય છે. કાં તો બન્ને થવું કામ તો એકે ન થવું એ બે જ માર્ગ છે. કોઈ વચલો માર્ગ છે જ નહિ. વચલો માર્ગ ખોળવો ⁠⁠ એ ભ્રાન્તિ છે. તો સામ સામા બે માર્ગમાંથી ગમે તે માર્ગે આંખો મીંચી ઘસડાઈ જવું? મને ઘસડી જઈ શકે એવો કોઈ વાયુવેગ છે? આ કાગળમાં શું લખ્યું હતું ? (વાંચે છે.)

    ‘બે રહ્યા તુજ સમીપ માર્ગ જ્યાં,
    તું ગ્રહે ઉભયમાંથી એક ત્યાં.’

    એ ખરી વાત છે. માણસ જાતે જ માર્ગ પસંદ કરે છે. ઘસડાવાનું કહેવું એ માત્ર જવાબદારીમાંથી બચવાનું બહાનું છે. મારા પુસ્તકજ્ઞાનથી લખેલો સિદ્ધાન્ત કેવો અણીને વેળે સહાયકારક થયો ! સિદ્ધાન્ત થયો. (કાગળ ગજવામાં મૂકે છે) હવે નિર્ણયા કરું કે બેમાંથી કયો માર્ગ લેવો ? લીલાવતીનું સ્વામીપણું મૂકી દેતાં પર્વતરાયપણું જશે, કનકપુરની ગાદી જશે, ગુજરાતનું મોટું રાજ્ય જશે, ગુર્જરો પરનું આધિપત્ય જશે, દ્રવ્ય – સુખો – વૈભવના ભંડાર જશે, પુરુષાર્થના પ્રસંગો જશે, સંકલ્પ કરી મૂકેલી ધારાણાઓ જશે, જાલકાના મનોરથ જશે, સ્નેહીઓના સંબંધ જશે.

    (આંખો મીંચીને ક્ષણભર સ્તબ્ધ ઊભો રહે છે. પછી આંખો ઉઘાડીને)

    (ઉપજાતિ)

    જાઓ ભલે જીવન-આશા સર્વે
    ઉત્પાત થાઓ ! ઉપહાસ થાઓ !
    થાઓ તિરસ્કાર ! વિનાશ થાઓ !
    ના એક થાજો પ્રભુપ્રીતિનાશ

    (ઘૂંટણીએ પડીને) પતિતોદ્ધારક પ્રભુ !

    (અનુષ્ટુપ)

    સન્મતિ પ્રેરિ છે જેવી, આપજો બલ તેહવું
    કે હું સર્વસ્વ છોડીને તમને વળગી રહું. ૫૪

    ⁠⁠ (ઊભો થઈ) હવે મને ભીતિ નથી , શંકા નથી. મારા કર્તવ્યનો માર્ગ સ્પષ્ટ અને સીધો દેખાય છે. આજે હું ઘણે મહિને નિરાંતે ઊંઘીશ.

    [જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત