-
પગદંડીનો પંથી – ભાગ ૨ – ૧૦ : વિવિધ પ્રકારની દવાઓના શરીર-પ્રવેશ
તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

ડૉ. પુરુષોત્તમ મેવાડા,
એમ. એસ.આપ સૌને જાણીને નવાઈ લાગશે કે દવાઓ કેવી હોય છે અને કેવા-કેવા પ્રકારે શરીરમાં જરૂરિયાત પ્રમાણે લઈ શકીએ/આપી શકાય છે. ઘણી વૈજ્ઞાનિક પદ્ધતિઓ ઉપયોગમાં લેવાય છે.
નીચે પ્રમાણેના મુદ્દાઓ ધ્યાનમાં લઈને ડૉક્ટર દવા આપતા હોય છે.
(૧) રોગનો પ્રકાર
(૨) ડૉક્ટરે આ બધા મુદ્દાની પણ નોંધ લેવી પડે છે: દર્દીની ઉંમર, બાળક કે વૃદ્ધ, સ્ત્રી કે પુરુષ, શરીરનું વજન, બેભાન છે કે કેમ, ખાઈ શકે છે કે ઊલટી કે ઝાડા થયા છે, બીજા રોગો હોવા, દવાની આડઅસર અને એલર્જિ કે ઘાતક એનાફાઈલેક્ષિસ (Anaphylaxis), વગેરેની પહેલાં કોઈ અસર થઈ છે કે કેમ. જો કે ડૉક્ટરનો અનુભવ વધે તેમ આ બધાની નોંધ સરળતાથી લેવાઈ જાય છે.
(૩) તાત્કાલિક કે સામાન્ય રીતે સારવાર કરવી.
(૪) તાત્કાલિક કઈ દવા સુલભ છે? (Availability).
(૫) દવા ક્યાં અસર કરશે (Targeted organ). આથી દવાના પણ બે વિભાગો પડે છે: જે મોઢા દ્વારા પાચનતંત્ર વાટે લેવાય તે (Enteral) અને એ સિવાય લેવી પડે તે (Parenteral).
આપણા શરીરના કોઈ પણ ભાગ દ્વારા દવા આપી/લઈ શકાય છે. ચામડી, ચામડી નીચે રક્ત વાહિનીઓમાં, માંસ-સ્નાયુમાં, હાડકાના પોલાણમાં, કરોડરજ્જુ અને મગજના આસપાસના પડમાં, આપણા શરીરના મુખ્ય ચાલકતંત્રોમાં દા.ત. પાચનતંત્ર, શ્વસનતંત્ર, ચેતાતંત્ર, વગેરે, અને શરીરના જુદા-જુદા ભાગો પ્રમાણે, આંખ, નાસિકા, કાન, જનનેન્દ્રિયો અને પેશાબની જગ્યા, ગુદાદ્વાર, વગેરે.
તો આ વિષે આ લેખમાં થોડી ચર્ચા કરું, જેથી સામાન્ય (Non-medical) વાચકોને કંઈક જાણવાનું મળે.
ચામડી શરીરનો ઘણો મોટો ભાગ છે.
(૧) ચામડી ઉપર (Topical or Local Effect) પાવડર, મલમ, પ્રવાહી રૂપે (Lotion), દવાનો પેચ-પટ્ટી (Medicated Patch, like Nicotine Patch), વગેરે.
(૨) ચામડીના પડમાં (Intradermal) – રિઍક્શન (Sensivity Test) ટેસ્ટ કરવા, ટી.બી.નો ટેસ્ટ (M.T.) અને (B.C.G.) રસી આપવા.
(૩) ચામડીની નીચે (Subdermal) – દા.ત. ડાયાબીટીસ માટેનું ઇન્સ્યુલિન ઇંજેક્શન.
(૪) માંસપેશી-સ્નાયુમાં (Intramuscular) – આ પણ ખૂબ જ સામાન્ય રીતે વપરાતી દવા આપવાની પધ્ધતિ છે. ઘણાં ઇંજેક્શનો આ પ્રકારનાં હોય છે. દુખાવાની દવાઓ (Pain Killars), એન્ટિબાયોટિક્સ (Antibiotics & Chemotherapeutic Agents), રોગ પ્રતિકારક રસીઓ (Vaccines) ધનુર, હડકવાની હાલની રસીઓ પણ અપાય છે.
લોહીની નળીઓનો ઉપયોગ (Use of blood vessels).
(૫) શિરામાં (Intra-Venous) – મોટાભાગના ઈંજેકશનો આ રીતે પણ અપાય છે. ખાસ કરીને તાત્કાલિક અસર માટે, જાન બચાવવાના ઇંજેક્શનો, એન્ટિબાયોટિકસ, બેભાન કરવાની દવાઓ, તાત્કાલિક સારવારમાં વપરાતી દવાઓ વગેરે.
ઘણાં ઇંજેક્શન અને બાટલા દ્વારા દવાઓ અને પ્રવાહી આ શિરા વડે અપાય છે તે આપ જાણો જ છો. સ્પેશિયલ કેસમાં કેન્સરની દવાઓ, કે દર્દી બેભાન હોય તો પ્રવાહી અને ખોરાક પણ અપાય છે. ફાયદો એ કે દવા સંપૂર્ણ શરીરમાં પહોંચવાની ખાત્રી. પણ આડઅસર અને બીજી અસરોથી સાવધ રહેવું પડે, અને દવાખાનામાં દાખલ થવું પડે. ખાસ જંતુનો ચેપ ના લાગે એનો પણ ખ્યાલ રાખવો પડે.
(૬) ધમનીમાં (Intra-arterial)
(અ) ખાસ સંજોગો જેવા કે દવાને અમુક અવયવ પૂરતી જ આપવી હોય તો, દા.ત. કેન્સરના ભાગમાં.
(બ) તપાસાર્થે (for investigations)- ધમની બંધ હોય તેની તપાસ, હૃદયની એન્જ્યોગ્રાફી (with Cardiac Catheterization), પગની ધમનીનો અકસ્માતે કે રોગથી અટકાવ ક્યાં છે તે જોવા. (Angiography).
(ક) સારવાર અર્થે (for treatment) – ધમનીને પહોળી કરવા (Vasodilators) અને જામી ગયેલા લોહીની ગાંઠો ઓગાળવા (Thrombolytics).
ઘણી વખત જાન બચાવવા અમુક ઇંજેક્શન હૃદયમાં સીધાં જ આપી શકાય છે. (Intracardiac).
ધમની દ્વારા ખાસ કેસની વાત કરી છે એ પ્રકારે જ વપરાય છે. ધ્યાન ન રહે તો ઘણું નુકશાન થવાનો સંભવ રહે છે. જેથી આ આધુનિક હોસ્પિટલોમાં જ આ પ્રકારનો ઉપયોગ કરાય છે.
(૭) હાડકાં ના પોલાણમાં (Intraosseous) – બાળકોની શિરા (Veins) ખૂબ નાજુક હોઈ, ઘણીવાર હાડકાંના પોલાણમાં (Marrow Area) બાટલાથી દવા અને બીજા પ્રવાહીઓ આપી શકાય છે. કેન્સરની દવા પણ અપાય.
સાંધાના ‘વા’ (Osteoarthritis, Rhematoid Arthritis)માં સાંધાના પોલાણમાં (Intra-Articular).
(૮) મુખ્ય ચેતાતંત્ર (Central Nervous System/CNS) કરોડરજ્જુ (Spinal Cord) અને મગજની (Brain, Cerebrum), આસપાસ (Intrathecal, Subdural) – આ જ રીતે, મગજના આવરણના પડ નીચે પણ દવા અપાય છે.
ઑપરેશન (Surgery) વખતે દર્દીને/શરીરના ભાગને અસંવેદન/બેભાન કરવા વપરાતી દવાઓ આ રીતે અપાય છે. (Techniques of Anaesthesia).
(A) સંપૂર્ણ બેભાન કરીને (General Anaesthesia). આમાં ગેસ રૂપે દરદીને સુંઘાડવામાં સીધી અથવા શ્વાસનળીમાં ટ્યૂબ નાખીને (Endotracheal) અને ઇંજેક્શન દ્વારા.
(B) સ્થાનિક ભાગને બેભાન કરવા (Local Anaesthesia) ઘણીવાર એકાદ બે જ્ઞાનતંતુના સમૂહને દવાથી બહેરો કરવાથી એ જે જગ્યાને સંવેદના વહન કરતો હોય તેને બહેરું કરી વાગેલા ઘાના ટાંકા લેવા, નાની રસોળી/ગાંઠને કાપી કાઢવા કે તપાસાર્થે લેવા (Biopsy) ઉપયોગ થાય છે. ઘણી દવા સ્પ્રે તરીકે પણ વપરાય છે.
(C) સ્પાયનલ એનીસ્થેશિયા (Spinal Anesthesia) – ઑપરેશન (Surgery)જો શરીરના નીચેના ભાગે કરવાનું હોય તો તે ભાગ બહેરો કરવા કમર (પીઠ)માં થઈને આપી શકાય છે. દરદી સંપૂર્ણ ભાનમાં રહે છે અને જનરલ એનીસ્થેશિયા (General Anaesthesia)ના ડરમાંથી બચી શકાય. ઘણી દવાઓ પણ એ જગ્યાએ આપવાની જરૂર પડે છે. Caudal Anasthesia આમાંનો જ પ્રકાર છે, જે બાળકોમાં પણ વપરાય છે. આ સિવાય પણ Regional Anaesthesia નામની પધ્ધતિ છે, પણ આ ઓછી વપરાય છે.
(૯) શરીરના અન્ય પોલાણમાં પણ દવા આપી શકાય, દા.ત. પેટમાં (Tuberculosis-T.B.), ફેફસાની બહારના પડમાં (Intra-Plural), સાંધામાં (Intra-Articular). કિડની (ગુદા) કામ કરે નહીં (Renal Failure), ત્યારે પેટના પોલાણમાં પ્રવાહીથી લોહીનો કચરો સાફ કરાય છે. (Intaperitoneal Dialysis).
(૧૦) પાચનતંત્ર દ્વારા (Gastro-Intestinal Tract) – (૧) મોઢા વાટે (૨) હોજરીમાં નાખી (૩) ગુદા દ્વારા.
મોઢા વાટે લેવાતી દવાઓ, ટેબ્લેટ, કેપ્સ્યુલ, પીવાના સિરપ, વિટામિન અને મિનરલની દવાઓ.
બાળકો માટે ટીપાં (Drops) રૂપે પણ વપરાય છે.
દર્દી જો ભાનમાં હોય અને ખાઈ શકતો હોય તો આ એક સામાન્ય ઉત્તમ પ્રકાર છે. છતાં એ દરદીમાં દવા કેટલી વપરાશે અને ફાયદો કરશે એ ચોક્કસ થતું નથી. ફાયદો એ કે ઓછી આડઅસર કરે.
દર્દી બેભાન હોય તો, અથવા લાંબી માંદગીમાં ગળા અને અન્નનળીના કેન્સરના દરદીને ખોરાક-પાણી હોજરી કે નાના આંતરડા સુધી ટ્યૂબ નાખી આપી શકાય છે. આવી ટ્યૂબ દ્વારા સારવારની દવાઓ પણ આપી શકાય છે. આ રીતે હોજરીને સાફ કરી ઝેર (Poison)ની અસર ઓછી કરાય, લોહીની ઊલટી થાય તો બરફનું ઠંડું પાણી વપરાય અને સાથે દવાઓ પણ લોહી બંધ કરવા નાખી શકાય છે.
ગુદા દ્વારા બંધકોશ (Constipation) માટે ટેબ્લેટ (Supossitory), એનિમા (Enema) માટે સાદું પાણી (હૂંફાળું), સાદા સાબુનું પાણી, ગ્લિસરીન, કે અત્યારે આધુનિક તૈયાર મળતા એનિમા આપી શકાય. બીજી દવાઓ જે મસા, ભગંદર, અને હરસ માટે હોય છે, દા.ત. મલમ. ગુદા ઉપરના મોટા આંતરડાંમાં પાણી સહેલાઈથી ચુસાય છે, તેથી ઘણીવાર શરીરમાં પાણી ઓછું થયું હોય ત્યારે પણ એ પ્રવેશે આપી શકાય છે.
ઘણી દવાઓ મોઢામાં, ઓગળી જાય (Dissolving) એવી હોય છે, મોઢામાં (Transmucosal), નાયટ્રોગ્લિસરીન (Nitroglycerine) નામની ગોળી જીભ નીચે મૂકવાથી હૃદયશૂળ (Angina, Heart Attach)માં તાત્કાલિક રાહત આપે છે.
અમુક દવાઓ સ્પ્રે દ્વારા અથવા ટીપા દ્વારા, ચુસાય (Chewing) એવી હોય છે. મોઢામાં મુકાય છે, અને નાકમાં દમના દર્દીઓ સ્પ્રે અથવા એરોસોલ (Aerosole) દ્વારા લેતા હોય છે.
આંખમાં, કાનમાં, નાકમાં ટીપા રૂપે, સ્ત્રીઓ માટે જનનેંદ્રિયમાં મૂકવાની ગોળીઓ, દવાઓ પણ આવે છે. જે સમજપૂર્વક વપરાય તો સારી અસર કરે છે.
ગર્ભાશયમાં અને પ્રેગનન્સી વખતે પણ ગર્ભની આસપાસ દવા વપરાય છે. (Extra-Amniotic).
પુરુષ નપુંસકતાના અમુક કિસ્સામાં (Erectile dysfunction), જનનેન્દ્રિયમાં ઇંજેક્શન રૂપે (Intracavernous). આ વિષે મળતી ગોળીઓ પણ છે. ઘણીવાર રોગના ભાગમાં દવાનું ઇંજેક્શન આપી શકાય છે. (Intralesional).
આ લેખ ઘણો વિસ્તૃત થઈ શકે, પણ અંગ્રેજી શબ્દોનું ગુજરાતી ભાષાંતર કઢંગું થાય તો સમજાય નહીં. વળી વાચકોને કામ આવે એવું જ લખવાનો મેં ઉપક્રમ રાખ્યો છે, એટલે અટકું છું.
Please Note – Administration of drugs in human body is a very vast subject by itself, the medical branch is called Pharmacology. It is very nicely discussed by various internet sites, though most are in English, more information can be found by interested readers.
દવાઓ વિશે જાણવા જેવું
આપણે જોયું કે દવાઓ કઈ રીતે શરીરમાં – Administration of Drugs – લેવાય છે. થોડી વધારે માહિતી આપવી જરૂરી લાગે છે.
રોગને મટાડવા/રાહત આપવા શરીરમાં દાખલ કરાતા પદાર્થને દવા કહે છે.
આધુનિક એલોપથી (Allopathy) દવાઓ ઘણી ઉપકારક સાબિત થઈ છે, છતાં પણ તેની આડઅસરો (Side Effects, Reactions) વધતા-ઓછા પ્રમાણમાં થાય છે, એ સ્વીકારવું રહ્યું. જોકે, આ વાત આયુર્વેદ, કે નેચરોપથી કે હોમિયોપથી પદ્ધતિઓથી દવા તરીકે અપાતા કોઈ પણ પદાર્થને લાગુ પડે છે,
એક કરતાં વધારે દવાઓ સાથે લેવાના (Multi-Therapy) અમુક સંજોગોમાં ફાયદા છે, પણ તેની આડઅસરોની શક્યતાઓની જાણકારી પણ સાથે-સાથે રાખવી જોઈએ. દવાની આડઅસર સામાન્યથી માંડીને જીવલેણ સુધીની થઈ શકે. યાદ રાખવું કે આવાં ‘રિએક્શન’ ખૂબ ઓછા બને છે અને એવી દવાઓ પણ ઘણી ઓછી છે.
આ માટે ઘણા પરિબળો ભાગ ભજવે છે,
(૧) દર્દીનું શરીરનું બંધારણ;
(૨) વાંશિક, Genetic;
(૩) પ્રજાતિ, Race;
(૪) ઉંમર;
(૫) સ્ત્રી કે પુરુષ;
(૬) ખાસ કરીને લીવર અને કિડનીના, હૃદયના, અંતરસ્ત્રાવના, હૉર્મોનગ્રંથિઓને લગતા બીજા હયાત રોગો
(૭) અન્ય દવાઓ સાથે લેવાથી થતી કેટલીક ચોક્કસ ક્રિયા-પ્રતિક્રિયાઓ, વગેરે.
આ ઉપરાંત, વૈજ્ઞાનિક કારણોમાં દરેક દવાનું ચયાપચય (Metabolism) અને શરીરમાંથી બહાર નીકળી જવાની ઉત્સર્ગ ક્રિયા (Excretion) પણ અગત્યનો ભાગ ભજવે છે.
દવાની આડઅસરોના પ્રકારઃ
(૧) સામાન્ય (જેમ કે કોઈ કોઈ દવા માટેની ઍલર્જિ, કોઈ કોઈ દવા માટે વ્યક્તિના શરીરનાં બંધારણની અતિસંવેદનશીલ પ્રતિક્રિયાની પ્રકૃતિ [Hypersensitivity]) – ઊબકા, ઊલટી, ખંજવાળ, એસિડિટી, બંધકોશ વિ.
(૨) દવા ચાલુ હોય તેટલા પૂરતા સમય માટે થઈ આવતી (Time Bound Reactions) ચિંતાજનક આડઅસર – આવી આડઅસર થોડું નુકસાન કરે પણ દવા બંધ કરતાં સંપૂર્ણ સારું થાય છે. દા.ત. ચામડી પર ફોલ્લા પડવા, તાવ આવી જવો.
(૩) ગંભીર કે સિરિયસ આડ અસરો જે જીવલેણ બની શકે (Anaphylaxis) – જેમાં ગભરામણ (Uneasiness), શ્વાસમાં તકલીફ, લોહીનું નીચું દબાણ (low B.P.), હૃદયની તકલીફ, કલેજા અને ગુદાનું કામ અટકી જવું (Liver failure, Kidney failure), લોહીનું કેન્સર થાય (Leukaemia), બેભાનાવસ્થા, વગેરે.
દવાઓ સાથે લેવાથી થતી આડ અસરો (Drug Interactions).
એકથી વધારે દવાઓ સાથે લેવાય તો ઘણી ન કલ્પેલી અસરો (Unpredictable effects) થઈ શકે.
(૧) એક દવા બીજાની અસર ઓછી કે વધતી કરી શકે, અને તેથી જ આનો ઉપયોગ વધારે નુકસાન કરતી દવાની માત્રા ઓછી કરવામાં કરી શકાય છે.
(૨) સામાન્ય રાસાયણિક પ્રક્રિયાથી દવા બદલાઈ જાય, અને કોઈ નવું જ રસાયણ બને જે નુકસાન કરે.
(૩) મોઢા વાટે લીધી હોય તો તેને આંતરડામાંથી શરીરમાં ચુસાતા રોકે.
(૪) લોહીમાં ભળ્યા પછી એકબીજા સાથે ચોંટી જાય (Binding) અથવા જ્યાં અસર કરવાની હોય ત્યાં સ્પર્ધા કરે (Receptor Site Competition).
આ બધાનો આંશિક ઉપાય એ કે અમુક દવાઓ લેતાં/આપતાં પહેલાં માહિતી પૂરી પાડવી અને ટેસ્ટ કરી ખાતરી કરવી. આ માટે (Skin Test), ચામડીના પડમાં ૦.૧મી.લી. જેટલી દવાનું ઇંજેક્શન આપી તેની પેનથી નિશાની કરી ૩૦ મિનિટ સુધી શું થાય છે તે જોવું. અને ત્યાર પછી દર્દીને કંઈ ના અનુભવાય તો જ દવા ચાલુ કરવી એ વાત ડૉક્ટરો જાણતા હોય છે.
ખાસ કરીને એન્ટિબાયોટિક દવાઓ, રસીકરણ માટેની દવાઓ, લોહીનું પ્રવાહી (Serum, Serum Products), અને અન્ય ઘણી દવાઓ સાથે ખોરાકની વસ્તુઓ (ખાસ Addictive હોય તો) આવું ગંભીર રિઍક્શન (Anaphylaxis) આવી શકે.
તો આપણે શું કરવું?
(૧) દવાનાં લેબલ કે દવાનાં પૅકિંગ સાથેના માહિતીના કાગળ (Drug Insert) પરની સૂચનાઓ વાંચી તેના વિશે સમજ કેળવવી. બ્રાન્ડના/કંપનીના નામ સાથે એમાં વપરાયેલી મુખ્ય (Active) દવાનું નામ (Generic Name) વાંચી ખાત્રી કરવી. વધારે દવાઓ સાથે હોય તો તે પણ સમજી લેવી. વાપરવાની છેલ્લી તારીખ (Expiry Date), કયા રોગ માટે/તકલીફ માટે (Indications, Uses) જેવી આવશ્યક સૂચનાઓ પર પણ ખાસ ધ્યાન આપવું.
કઈ દવાઓ સાથે ના લેવાય (Known Drug Interactions), ચેતવણીની નોંધ (Warning Notes), અને કેવી રીતે લેવી (How to take), દવાની એક વખતની માત્રા (Single One Time Dose), દિવસમાં કેટલી વાર કેટલા અંતરે લેવાય (Frequency and Time Gap), દિવસમાં વધારેમાં વધારે (Maximum Dose) કે ઓછી (Minimum Required Dose) કેટલી લેવાય એ વાંચવું. (જો કે સમજાવવાની જવાબદારી ડૉક્ટરની પણ છે જ).
(૨) જાતે જ દુકાનેથી દવા ના ખરીદવી (Self-Medication). ઘણી દવાઓ ડૉક્ટરનાં લખાણ/સલાહ વગર (Prescription) મળતી હોય છે (Over the Counter Medicine – OTC – Medicines). તે ના છૂટકે જ લેવી, અને વહેલી તકે ડૉક્ટરની સલાહ લેવી.
(૩) બીજા માટે લખાયેલી દવા ડૉક્ટરની સલાહ વગર ના લેવાય.
(૪) જાતે જ દવાની માત્રા (Dose) વધારવી કે ઓછી કરવી નહીં
(૫) ડૉક્ટરે એક કરતાં વધારે દવાઓ લખી આપી હોય તો મુખ્ય દવા કઈ છે તે જાણી લેવું.
(૬) આજની ધંધાકીય સ્પર્ધામાં ટકી રહેવા ઘણી ફાલતુ દવાઓ બનાવવામાં આવે છે. જાણીતી કંપનીના નામમાં (Brand) સહેજ ફેરફાર કરી બજારમાં મૂકાય છે. (Spurious Medicines). લેબલને અને કંપનીના નામને બરાબર ચકાસી પછી જ દવાઓ ખરીદવી.
(૭) પહેલાં પણ જણાવ્યું છે એમ નવી આવેલી દવાઓના, ‘Latest’ના ભ્રમમાં ના પડો. ખાત્રી કરવા ઇન્ટરનેટ કે તમારા ફેમિલી ડૉક્ટરના સંપર્કમાં રહો.
અંતમાં,
આ લખી રહ્યો છું ત્યારે Drug Addiction/Dependence, Misuse/Abuse of Drugs, etc જેવા બીજા કેટલાક મુદ્દાઓ પણ યાદ આવે છે. અત્યારે એની વાત અસંગત છે.
કોઈપણ સારા ફાયદા સાથે જોખમ તો લેવું જ પડે, જો જરૂરી હોય તો! દા.ત. કાર કે વિમાનની મુસાફરી, શસ્ત્રક્રિયાઓ, ઇન્ટરનેટનો ઉપયોગ, વગેરે. એટલે આ બધું વાંચી/જાણીને ગભરાઈ જવાનું નથી. આધુનિક મેડિકલ વિજ્ઞાન ઘણું આગળ વધેલું છે અને તેના આયોજકો, વ્યાવસાયિકો કે ધંધાર્થીઓ ઘણા તૈયાર છે.
-
મખ્દૂમ મુહિયુદ્દીન અને ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ : આપકી યાદ આતી રહી રાત ભર
સંવાદિતા
કેટલીક ફિલ્મી ગીત રચનાઓના શબ્દો અને એમનું ફિલ્માંકન એ હદે એકમેકના પૂરક હોય છે કે મીઠો મૂંજારો થાય – કયું શ્રેષ્ઠ ?
ભગવાન થાવરાણી
મખ્દૂમ મુહિયુદ્દીન ઉર્દૂના ખ્યાતનામ શાયર હતા એટલું જ નહીં, ભારતના સ્વાતંત્ર્ય સેનાની તરીકે પણ એમનું નામ મોટું છે. હૈદ્રાબાદના નિઝામના એ રિયાસતને પાકિસ્તાન સાથે જોડવાના વિચારના એ પ્રખર વિરોધી હતા અને એ ચળવળની સફળ આગેવાની એમણે કરેલી. સ્વતંત્રતા પછી આંધ્ર પ્રદેશની ધારાસભાના વર્ષો સુધી એ ચૂંટાયેલા સક્રિય સદસ્ય હતા. કવિતા ઉપરાંત રાજકીય વર્તુળોમાં એમનું નામ પૂરા આદરથી લેવાતું. એમની સમગ્ર રચનાઓ ‘ બિસાત-એ-રક્સ ‘ ( નૃત્ય મંચ ) નામના પુસ્તકમાં ગ્રંથસ્થ છે. તેઓ ૧૯૬૯ માં અવસાન પામ્યા.એમની પ્રખ્યાત નઝ્મ ‘ દો બદન પ્યારકી આગમેં જલ ગએ એક ચમેલી કે મંડવે તલે ‘ ફિલ્મ ‘ ચા ચા ચા ‘ ( ૧૯૬૪ ) માં એમની હયાતી દરમિયાન જ લેવાયેલી. એ પહેલાં એમની ક્રાંતિકારી નઝ્મ ‘ જાને વાલે સિપાહી સે પૂછો વો કહાં જા રહા હૈ ‘ પણ ફિલ્મ ‘ ઉસ ને કહા થા ‘ માં આવી હતી. એમના મૃત્યુ પછી એમની એક ગઝલ ફિલ્મ ‘ ગમન ‘ ( ૧૯૭૦ ) માં અને પછી અન્ય એક ગઝલ ‘ ફિર છિડી રાત બાત ફૂલોં કી ‘ ફિલ્મ ‘ બાઝાર ‘ ( ૧૯૮૨ ) માં લેવાઈ. જો કે એક શાયર તરીકે ફિલ્મો દ્વારા મળતી લોકપ્રિયતાની એ સ્હેજે મોહતાજ નહોતા.આજે વાત કરવી છે ૧૯૭૮ ની સ્મિતા પાટિલ – ફારૂક શેખ અભિનીત અને મુઝફ્ફર અલી દિગ્દર્શિત ફિલ્મ ‘ ગમન ‘ માં આ કલાકાર બેલડી પર ફિલ્માવાયેલ ગઝલ ‘ આપકી યાદ આતી રહી રાત ભર ‘ ની અને એની સાથે સંકળાયેલ અન્ય એક એટલી જ બળકટ રચના અને એ કૃતિના મહાન સર્જકની પણ ! પહેલાં મખ્દૂમ સાહેબ લિખિત અને છાયા ગાંગૂલીએ ગાયેલી, જયદેવ દ્વારા સંગીતબદ્ધ એ ગઝલના શબ્દો જોઈએ :આપ કી યાદ આતી રહી રાત ભરચશ્મે – નમ મુસ્કુરાતી રહી રાત ભરરાત ભર દર્દ કી શમ્આ જલતી રહીગમ કી લૌ થરથરાતી રહી રાત ભરબાંસુરી કી સુરીલી સુહાની સદાયાદ બન-બન કે આતી રહી રાત ભરયાદ કે ચાંદ દિલ મેં ઉતરતે રહેચાંદની ઝગમગાતી રહી રાત ભરકોઈ દીવાના ગલિયોં મેં ફિરતા રહાકોઈ આવાઝ આતી રહી રાત ભર ..પ્રતીક્ષાની રાત્રિઓ ખૂબ લાંબી હોય છે, ક્યારેક તો એક જિંદગી જેટલી સુદીર્ઘ ! આ પ્રતીક્ષાના એક છેડે સ્મૃતિઓ હોય અને બીજા છેડે આશા. એ રાત્રિઓ સ્થૂળ રીતે વીતી પણ જાય તોય એના ભણકારા મન-મંજૂષામાં આજીવન ગૂંજતા રહે છે.‘ ખુમાર ‘ બારાબંકવીએ લખેલું :રાત બાકી થી જબ વો બિછડે થેકટ ગઈ ઉમ્ર – રાત બાકી હૈ ..મખ્દૂમ સાહેબની ગઝલનો દરેક શેર ભાવક સમક્ષ એક ચિત્ર ખડું કરે છે. ચશ્મે – નમનું મુસ્કુરાવું, દર્દની શમા, ગમની જ્યોતનું થથરવું, બાંસુરી શબ્દ પછી સળંગ આવતા ત્રણ ‘સ’કાર શબ્દોના આવર્તન, યાદનો ચંદ્ર અને અંતિમ શેરમાં કોઈ પાગલનું ગલીમાં રઝળવું અને એનો પોકાર – આ બધા એવા પ્રતીકો છે જે ઝેહનમાં જડાઈ જાય છે. ફિલ્મમાં આ ગઝલનું ફિલ્મીકરણ પણ મુઝફ્ફર અલીએ એવું જ ધારદાર અને ભાવવાહી કર્યું છે. કેમેરા ક્યારેક ગામથી જોજનો દૂર આવેલા શહેરમાં ટેક્સી ચલાવતા પતિ ફારૂક શેખની નિ:સહાયતા ઝીલે છે તો બીજી ક્ષણે દૂર ગામમાં પતિના સાન્નિધ્ય માટે વલખતી પત્ની સ્મિતા પાટિલનો ઝુરાપો !હવે વાત કરીએ બીજી ગઝલની.આ ગઝલ ઉર્દૂના મુઠ્ઠી ઊંચેરા શાયર ફૈઝ અહમદ ‘ ફૈઝ ‘ દ્વારા રચિત છે. એક તરફ મખ્દૂમ જેવા વિદ્રોહી શાયર વિભાજન બાદ ભારતમાં જ રહીને વિભાજનકારી સાંપ્રદાયિક તાકતો સામે લડતા રહ્યા તો ફૈઝ સાહેબ પાકિસ્તાન ( એ સમયનું અખંડ હિંદુસ્તાન ) માં જ જન્મી આજીવન ત્યાંના શાસન સામે લડતા રહ્યા. સરકારને ‘ ઉથલાવવા ‘ ના જાલી આરોપ હેઠળ એમણે વર્ષો લગી જેલવાસ ભોગવ્યો. એક સર્જક તરીકે એમનું કદ એવું માતબર હતું કે એમનું નામ નોબેલ ઈનામ માટે પણ પ્રસ્તાવિત થયેલું. રશિયાનો પ્રતિષ્ઠિત લેનિન પુરસ્કાર પણ એમને એનાયત થયેલો. ૧૯૮૪ માં એ ઝન્નતનશીન થયા.જે વર્ષે મખ્દૂમ સાહેબની ગઝલ ‘ ગમન ‘ ફિલ્મમાં લેવાઈ, એ જ વર્ષ એટલે કે ૧૯૭૮ માં ફૈઝ સાહેબે એમના પરમ મિત્ર મખ્દૂમને યાદ કરી મોસ્કોમાં આ ગઝલ અદ્દલ એ જ બહર, કાફિયા અને રદીફ સાથે લખી. એક શાયર પોતાના મિત્રને એના જ ભાવ અકબંધ રાખી કેવી ભવ્ય અંજલિ આપી શકે એનો નમૂનો એટલે આ નઝાકતભરી રચના ! જૂઓ :આપ કી યાદ આતી રહી રાત ભરચાંદની દિલ દુખાતી રહી રાત ભરગાહ જલતી હુઈ ગાહ બુઝતી હુઈશમ્એ ગમ ઝિલમિલાતી રહી રાત ભરકોઈ ખુશ્બૂ બદલતી રહી પૈરહનકોઈ તસવીર ગાતી રહી રાત ભરફિર સબા સાયા-એ-શાખે-ગુલ કે તલેકોઈ કિસ્સા સુનાતી રહી રાત ભરજો ન આયા ઉસે કોઈ ઝંજીરે-દરહર સદા પર બુલાતી રહી રાત ભરએક ઉમ્મીદ સે દિલ બહલતા રહાએક તમન્ના સતાતી રહી રાત ભર..( ગાહ = ક્યારેક , પૈરહન = વસ્ત્ર , સબા = હવા , સાયા-એ-શાખે ગુલ = ફૂલોની ડાળની છાયા )અહીં પણ દરેક શેરની શેરિયત અને પરિપક્વતા મખ્દૂમની ગઝલ સાથે ખભેખભો મેળવી ઊભી રહે એવી આલીશાન છે.ત્યાર બાદ પણ આ ચુંબકીય રચનાના ખેંચાણમાં પુરુષોત્તમ અબ્બી ‘ આઝર ‘ અને ‘ સમર ‘ ગાઝીપુરી નામના શાયરોએ એ જ લહેજા, કાફિયા અને રદીફથી ગઝલો લખી. એ રચનાઓના માત્ર મત્લા વાંચી સંતોષ માનીએ :આપકી યાદ આતી રહી રાત ભરનીંદ નખરે દિખાતી રહી રાત ભરઆપકી યાદ આતી રહી રાત ભરચશ્મે તર ઝગમગાતી રહી રાત ભર..
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કેટલું!….
ગઝલઃ કેટલું!….
જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?કોણ લઈ જાય છે સાથમાં કેટલું?
લોક જો, ઊઠતું જાય છે, કેટલું?કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?–જયશ્રી વિનુ મરચન્ટ
:આસ્વાદઃ
સાહિત્ય-જગતમાં ચારેકોર છવાયેલ, અમેરિકાસ્થિત જયશ્રીબહેન મર્ચન્ટની ઓળખ કોઈનાથી અજાણી નથી. ગાલગાના ૪ આવર્તનોમાં રચાયેલ આ ગઝલ ‘કેટલુ!’ના આશ્ચર્ય ચિન્હ સાથે જ વિસ્મય અને રહસ્યનાં અકળ વિશ્વ તરફ તેઓ વાચકને અવશપણે ખેંચી જાય છે.
અદભૂત મત્લાથી કવયિત્રી શરૂ કરે છે,
જાળવો, ફૂટતું જાય છે કેટલું!
જોઈ લો, છૂટતું જાય છે કેટલું!આહાહા. આ ફૂટવા,છૂટવાની સાથે જ અર્થોના વિવિધરંગી પડદાઓ મનના મંચ પરથી સરવા માંડે છે. ગમે તેટલું જાળવીએ પણ કેટકેટલું જાણે અજાણે ફૂટે છે અને છૂટે છે. અહીં કોઈ ભૌતિક વસ્તુનો સ્થૂળ અર્થ લેશમાત્ર નથી. ક્યાંક ઇચ્છાઓની બરણી ફૂટે છે, ક્યાંક જીવતરના ગોખલે ઝળહળતા દીવા જેવો આખો ને આખો માણસ છૂટે છે; ને આપણે જોતાં રહી જઈએ છીએ. કોઈ કશુંયે ક્યાં કરી શકે છે?! એવું તો કેટલું બને છે? એકદમ ઉચિત રદીફથી રસાયેલ મત્લા કાબિલેદાદ છે.
આગળના શેરમાં તૂટવાના ભાવને રજૂ કરતા કવયિત્રી કહે છે કે, અરીસો તૂટે અને સાચવી રાખો તો પણ ધીરે ધીરે, ખબર પણ ન પડે એ રીતે, આયનો કોરેથી રોજ રોજ તૂટતો જાય છે. જીવનનો આયનો કોઈનો જુદો નથી. ગમે તેટલો રોજ જુઓ પણ પોતાનું જ પ્રતિબિંબ બદલાતું જતું ક્યાં દેખાય છે! આયનો તૂટે છે કે આપણે?!!
તૂટતો આયનો સાચવો તોય શું?
કોરથી બટકતું જાય છે કેટલું?અહીં ‘બટક્તું ‘ શબ્દ ભાવને જાળવતો હોવા છતાં ગઝલના છંદને જરા બટકાવે છે. અન્ય સરળતાથી ઉપલબ્ધ પર્યાયી શબ્દ અપેક્ષિત ખરો. પ્રથમ બે શેરમાં ફૂટવા, છૂટવા અને તૂટવાની વાત કર્યા પછી હવે ત્રીજા શેરમાં જુઓ. ઊઠી જવાનો એક ગંભીર ભાવ પ્રગટ થાય છે. એક પળની એવી વાસ્તવિક્તા છે કે કોઈ કશું ત્યારે લઈ જઈ શક્તું નથી. બસ, એમ જ ‘ચેકઆઉટ’ થઈ જવાનું હોય છે. સમય નિશ્ચિત્ત છે પણ જાણ નથી. ગમે તેટલું ભેગું કર્યું હોય પણ કશું સાથે લઈ જવાતું નથી. “લોક જો ઊઠતું જાય છે કેટલું?” સાની મિસરાના આ શબ્દો ‘કોવિદકાળ’ના કપરા સમયમાં પટોપટ ઊઠી જતાં લોકની સ્મૃતિઓને તાજી કરાવે છે. દિલ દ્રવી ઊઠે છે અને આંખ ભીની થઈ જાય છે.
આગળના શેરમાં એક નવો વિચાર આવે છે. થોડો સામાજિક મનોદશાનો સૂર નીકળે છે. ઘણા લોકો સુંદર હોય છે પણ એમાં વિનયી કેટલાં? અને એ વિશે અન્યોને ખૂંચે છે કેટલું? અરે ભાઈ, જે છે તે છે. એને સમભાવે સ્વીકારો ને? આપણે કેવાં છીએ કે કેવાં રહી શકીએ છીએ તે અગત્યનું છે. પ્રકૃતિ તરફ નજર કરો. દરેક ઋતુનો ચૂપચાપ સ્વીકાર, કશોયે નકાર નહિ. નરી સ્વીકૃતિ.
અહીં વળી એક ઑર અર્થ ઉઘડે છે અને તે એ કે, એ સુંદર છે પણ વિનયી પણ કેટલાં બધાં છે? પણ તોયે લોકોને તો એ પણ ખૂંચે છે!!! કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે કે, અવળચંડા માણસોને બધું વાંકુ જ દેખાય. સારામાં પણ ખોટું જ દેખાય. કદાચ એટલે જ કહ્યું હશે ને કે, દૃષ્ટિ તેવી સૃષ્ટિ?!! આ શેરમાં કશીયે શિખામણ નથી. માત્ર માનવીની સાહજિક મનોદશાનો, કવયિત્રીએ એક અછડતો લસરકો કરી છોડી દીધો છે! વાચકને વિચારતાં કરી દીધા છે! કવિકર્મ અહીં કેટલું કલામય જણાય છે?
કેટલું નમ્ર છે રૂપ આ આપનું
સૌને એ ખટકતું જાય છે કેટલું?આ ચોથા શેરમાં ‘ખટકતું’ને બદલે ‘ખૂંચતું’ શબ્દ વધુ બંધબેસતો લાગત.
અંતિમ બે શેર અદભૂત છે, લાજવાબ બન્યા છે. કેટકેટલું ભર્યું છે એમાં? ઓહ…. એકસામટા કંઈ કેટલા ભાવ/અર્થના એકસામટા દીવડા પ્રગટી ઊઠે છે એમાંથી? સવાલ તો ભાવક કરે છે કે, ‘કેટલું?!!’ કવયિત્રી જયશ્રીબહેન?! કેટલું?
એક દીવો કરી બેસશો ક્યાં સુધી?
તેલ જો, ખૂટતું જાય છે કેટલું?મરીઝ આવીને સામે ઊભા જ રહી જાય છે કે, “એક તો ઓછી મદીરા છે, ને ગળતું જામ છે.” ઘડીભર લાગે કે જિંદગી તો ખૂબ જ લાંબી છે; પણ ના…ના.. એવું નથી, એવું નથી જ. પરપોટા જેવી આ પળ… ન જાણ્યું જાનકીનાથે…સવારે શું થવાનું છે? ઊંડા વિચારે ચડી જવાય. ઇચ્છા તો ખૂબ હોય કે ઉંઘમાં જ ઉંઘી જવાય. પણ કવયિત્રી સિફ્તપૂર્વક નજરને ક્યાંક બીજે જ દોરી જાય છે.
આંખ ખોલી જરા જાગ જો કોણ છે?
કોણ આ, લૂંટતું જાય છે કેટલું?હસતાં સંતના શબ્દો પડઘાય છેઃ “નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો..”
કોણ, કેટલું અને કેવું… આ બધાં સદીઓથી દોહરાતાં સવાલો છે અને એવાં જ હૃદયમાંથી નીસરે છે જેને આત્મસાત થયાં હોય છે. સતત પરમ સાથેનું જોડાણ હોય તો જ અને ત્યારે જ આટલી સુંદર રીતે આવી સંવેદના પ્રગટ થાય. કવિ શ્રી નરસિંહ મહેતાના અસ્સલ ઝુલણા છંદને મળતો આ ૨૦ માત્રાનો મુત્દારિક છંદ ભાવને અનુરૂપ ઊંચા શિખર પર લઈ જઈ ચિંતનના ઝુલણે ઝુલાવે છે.
કવયિત્રીને સો સો સલામ અને વંદન.
–અસ્તુ.
દેવિકા ધ્રુવ
Devika Dhruva.
ddhruva1948@yahoo.com -
ગ્રામીણ ભારતના માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સામેના પડકારો
નિસબત
ચંદુ મહેરિયા
ઉચ્ચ પ્રાથમિક (ધોરણ-૮), માધ્યમિક (ધો-૯, ૧૦) અને ઉચ્ચ માધ્યમિક ( ધો.૧૧,૧૨) માં શિક્ષણ મેળવતા ગ્રામીણ ભારતના ૧૪ થી ૧૮ વરસના કિશોરો અને યુવાનોને પૂછવામાં આવ્યું કે ૧૫ લીટર પાણી શુધ્ધ કરવા ક્લોરીનની ૩ ગોળી જોઈએ તો ૨૫ લીટર માટે કેટલી જોઈએ ? ૫૧.૬૦ ટકા વિધ્યાર્થીઓને જવાબ આવડ્યો નહોતો. રોજિંદા જીવનનો અને બગડિયા-તગડિયાનો સાદો ભાગાકાર ના આવડે તેવા અડધા કરતાં વધુ વિધ્યાર્થીઓએ આઠેક વરસનું શિક્ષણ પૂર્ણ કર્યા પછીના શિક્ષણની આ હાલત છે.
પણ રહો. એમ નિરાશ થવાની જરૂર નથી. આ જ વય જૂથના ૮૫ ટકા લંબાઈ બરાબર માપી શકે છે . હા, એમને મુશ્કેલી ત્યારે પડે છે જ્યારે મેજરપટ્ટી ઝીરોથી શરૂ ન થતી હોય ! જો શૂન્યને બદલે બીજા કોઈ આંકડાથી લંબાઈ મપાવવી શરૂ કરાવીએ તો આ ૮૫ ટકા ઘટીને ૩૯ ટકે પહોંચી જાય છે !
રૂ. ૨૦,૦૦૦ની લોન પરનું જુદી જુદી ત્રણ બેન્કોનું વાર્ષિક વ્યાજ જણાવી, તમે કઈ બેન્ક પસંદ કરશો અને એક વરસ પછી કેટલી રકમ પાછી આપવાની થાય ? તે બંને પ્રશ્નનો સાચો જવાબ આપી શકનારા છાત્રો માત્ર ૬ ટકા જ હતા. તો ઓઆરએસના પેકેટ પરની સૂચનાઓ વાંચી નહીં શકનારા સ્ટુડન્ટ ૩૫.૯ ટકા હતા.અર્થાત માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ મેળવતા વિધ્યાર્થીઓ રોજબરોજના વ્યાજદર, માપ જેવા પાયાના સંખ્યાત્મક કૌશલ કે વાચનમાં ઘણા કાચા છે.
કોઈ અઘરું વાચન-ગણન નહીં પણ તેઓ જે ધોરણમાં ભણે છે તેના કરતાં ચાર-પાંચ ધોરણ નીચેનું ભાષા કે ગણિતનું સાદું જ્ઞાન ન ધરાવતા વિધ્યાર્થીઓની સંખ્યા પચાસ ટકાથી વધારે હોય તેવા શિક્ષણની ચિંતા અને તે દૂર કરવાના મસમોટા પડકારોની અનુભૂતિ “ અસર” (ASER- એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ) ૨૦૨૩ વાંચતા થાય છે.
વરસ ૨૦૦૫થી બિનસરકારી સંસ્થા “ પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન “ ગ્રામીણ ભારતના શિક્ષણની સ્થિતિ વિશે વાર્ષિક રિપોર્ટ પ્રગટ કરે છે. ૨૦૧૮થી તે દ્વિવાર્ષિક ધોરણે પ્રગટ થાય છે. આ વરસના આરંભે “ એન્યુઅલ સ્ટેટ્સ ઓફ એજ્યુકેશન રિપોર્ટ ૨૦૨૩ બિયોન્ડ બેસિક્સ” [1]પ્રગટ થયો છે. ભારતના ૨૬ રાજ્યોના ૨૮ જિલ્લાના ૩૪,૭૪૫ વિધ્યાર્થીઓ પરના રાષ્ટ્રવ્યાપી નાગરિક નેતૃત્વકારી ઘરેલુ સર્વેક્ષણનો હેતુ શાળામાં પ્રવેશ કે નામાંકન જેવી મૂળભૂત બાબતથી આગળની સ્થિતિ જાણવાનો છે. શાળા શિક્ષણ અને શિખવવાની સ્થિતિ તથા વાસ્તવિક જિંદગીમાં તેના ઉપયોગનો તાગ મેળવવાનો પણ ઉદ્દેશ છે. [2]
વિશ્વના ઘણા દેશો કરતાં ભારતમાં શાળામાં નામાંકનનો દર ઉંચો છે. ૨૦૨૧-૨૨માં ૬ થી ૧૦ વરસના બાળકોનો શાળા પ્રવેશનો દર ૯૯.૧ ટકા હતો. નવીનતમ રિપોર્ટ મુજબ હાલમાં ૧૪ થી ૧૮ વરસના બાળકોનો નામાંકન દર ૮૬.૮ ટકા છે. પરંતુ શું નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવતાનો પુરાવો છે ? “બાળકો શાળામાં છે પરંતુ શીખી નથી રહ્યા” નો સંદેશ ધરાવતો ૨૦૨૩નો “અસર’ તેનો જવાબ છે.૧૪ થી ૧૮ વરસના ૫૦ ટકાથી વધુ વિધ્યાર્થીઓ સાદો ભાગાકાર કરી શકતા નથી. સ્થાનિક ભાષાનો બીજા ધોરણનો પાઠ અસ્ખલિત વાંચી ન શકનાર ૨૫ ટકા છે. જો કે ૫૭.૩૦ ટકા અંગ્રેજી વાક્ય બરાબર વાંચી શકે છે અને તેમાંથી ૭૩.૫ ટકાને જે વાંચે છે તેનો અર્થ પણ આવડે છે.
ભારતમાં જે બાળકો શાળા છોડે છે તેને સરકાર ડ્રોપ આઉટ ગણાવે છે ખરેખર તો તેઓ આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કારણોસર શાળા બહાર ધકેલાય (પુશ આઊટ) છે . ૧૪ વરસના આવા કિશોરો ૩.૯ ટકા છે, ૧૬ વરસના ૧૦.૯ ટકા છે અને ૧૮ વરસના ૩૨.૬ ટકા છે. એટલે બાળક જેમ ઉપલા ધોરણમાં જાય તેમ શાળા છોડે છે કે શાળા બહાર ફેંકાય છે.
જેમ ડ્રોપ આઉટનો ઉંચો દર તેમ છોકરા-છોકરીના શિક્ષણ વચ્ચેનો ભેદ પણ ગ્રામીણ ભારતના શિક્ષણ સામેનો પડકાર છે. ઉચ્ચ માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યા પછી કન્યાઓ સ્નાતક સુધી ભણવા માંગે છે પરંતુ કુમારો ટૂંકા ગાળાના વ્યવસાયક્ષી કોર્સ મારફત કમાવા માંગે છે. નોકરી અને ડિગ્રી વચ્ચેનો અનુબંધ ઈચ્છનીય ગણાય પણ માત્ર ૫.૬ ટકા જ વિધ્યાર્થીઓની જ હાયર સેકન્ડરીમાં વ્યવસાયલક્ષી શિક્ષણના પ્રવાહની પસંદગી છે. છોકરાઓ ગણિતમાં તો છોકરીઓ ભાષામાં આગળ છે. આ બધું ભારતની પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાને આભારી છે અને સમાજ સુધારણાની ચળવળનો પડકાર શિક્ષણ સમક્ષ પણ છે.
કોરોના મહામારીને લીધે સર્જાયેલી બેરોજગારી છતાં શિક્ષણમાં પ્રવેશ ખાસ ઘટ્યો નથી તે આશ્વાસનરૂપ છે. દેશમાં સ્માર્ટફોનની ઉપલબ્ધતા વધી છે. ૮૯ ટકા બાળકોના ઘરમાં સ્માર્ટફોન છે અને ૯૨ ટકા બાળકોને તે ચલાવતા પણ આવડે છે. જોકે સર્વેક્ષણ હેઠળના વયજૂથના ૪૩.૭ ટકા છોકરા અને ૧૯.૩ ટકા છોકરીઓ મળી ૩૧.૧ ટકા પાસે તો ખુદનો સ્માર્ટ ફોન છે. ૮૦ ટકા તેનો ઉપયોગ મનોરંજન માટે કરે છે. અલબત્ત ૭૦ ટકા કોઈ જવાબ શોધવા ગુગલબાબા પાસે જવાનું જાણે છે. પોણા ભાગનાને એલાર્મ સેટ કરતાં ફાવે છે. એટલે હવે કમ્પ્યુટર અને ફોનનો શૈક્ષણિક ઉપયોગ વધારવાની જરૂર છે.
‘ અસર ‘ ના શૈક્ષણિક સ્થિતિ અંગેના રિપોર્ટની નોંધ નીતિ નિર્માતા, શિક્ષણવિદો, વિધ્યાર્થીઓ અને વાલીઓ લે છે અને તેના અમલ માટે લોકદબાણ ઉભું થાય છે. ૨૦૧૭માં શિક્ષણના અધિકાર અધિનિયમમાં રાજ્યો માટે શિક્ષણના મૂલ્યાંકનને ફરજિયાત કરતો સુધારો, નીતિ આયોગનો ૨૦૧૭થી ૨૦નો એકશન પ્લાન તથા ૨૦૨૦ની શિક્ષણ નીતિમાં બાળકો પાયાનું વાચન ગણન સંબંધી જ્ઞાન કૌશલ હાંસલ કરે તેનો સમાવેશ અસરના સર્વેક્ષણનું પરિણામ હોઈ શકે છે.
ઉપલા ધોરણના બાળકોનો નીચલા ધોરણનો પાયો કાચો હોય તેનું શું થઈ શકે તે પણ એક પડકાર છે. વર્તમાન શિક્ષણ વ્યવસ્થામાં શિક્ષકો માટે તેમના હાલના અભ્યાસક્રમની સાથે નીચેના ધોરણનું ભણાવવાનું શક્ય બનતું નથી. બીજી તરફ જો પાયો કાચો હશે તો ભવિષ્યમાં દેશની શ્રમશક્તિની ગુણવત્તા પર અસર થશે તેથી પણ તેમને બીજા બાળકોની હરોળમાં લાવવા જરૂરી છે. શિક્ષણની વ્યવસ્થા પાઠ્યપુસ્તક કેન્દ્રી કે વર્ગ કેન્દ્રી ને બદલે વ્યક્તિગત વિધ્યાર્થી કેન્દ્રિત બનાવી શકાય તો કદાચ નામાંકનમાં વૃધ્ધિ શિક્ષણની ગુણવત્તામાં પણ વ્રુધ્ધિ બની શકે.
ચૌદથી અઠાર વરસના કિશોરો અને યુવાઓ તેમના ભાવિ વિશે બેખબર છે અને તેનું કોઈ માર્ગદર્શન તેમને મળતું નથી. ૪૮.૩ ટકા વિધ્યાર્થિનીઓ અને ૪૨.૫ ટકા વિધ્યાર્થીઓના કોઈ આદર્શ કે રોલમોડેલ નથી. ડેમોગ્રાફિક ડિવિડન્ડના લાભ મેળવવા હશે, વિશ્વગુરુ બનવું હશે તો મતદારની વયે પહોંચેલા વિધ્યાર્થીઓના શિક્ષણની હાલત વિષે ચિંતા કરી તેમના શિક્ષણ સામેના પડકારો ઝીલી લેવા તે સમયનો તકાદો છે.
[1] ASER 2023 ‘Beyond Basics’
Click to access ASER-2023-Report-1.pdf
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કોઈનો લાડકવાયો – (૪૫) જલિયાંવાલા બાગનો હત્યાકાંડ (૨)
દીપક ધોળકિયા
બૈસાખીના દિવસે દસ હજારથી વધારે લોકો અમૃતસરમાં સુવર્ણ મંદિર પાસેના જલિયાંવાલા બાગમાં એકઠા થયા. લોકો અંગ્રેજી રાજ સામે લડવાના જોશથી થનગનતા હતા. બૈસાખીના તહેવારનો ઉલ્લાસ પણ હતો એટલે સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા પણ બહુ મોટી હતી.
રેજિનાલ્ડ ડાયરને એક બાતમીદાર મારફતે સમાચાર મળ્યા હતા કે જલિયાંવાલા બાગમાં સભા છે. એણે પચાસેક ગોરખા સૈનિકોની ટુકડી એકઠી કરી અને “હિન્દીઓને પાઠ ભણાવવા” નીકળી પડ્યો. ત્યાં પહોંચવા માટે સાંકડો રસ્તો છે અને બહાર નીકળવા માટે બીજો કોઈ રસ્તો નથી.સાંકડી ગલીમાંથી સૈનિકો ત્યાં પહોંચ્યા ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો. એ વખતે વક્તા હંસ રાજે લોકોને શાંત રહેવા અપીલ કરી. “ગભરાઓ નહીં, એ લોકો હથિયાર વિનાના લોકો પર ગોળી નહીં ચલાવે. પણ ડાયરે ત્યાં પહોંચીને કશી જ જાહેરાત કે ચેતવણી વિના સીધા જ ફાયરિંગનો હુકમ આપી દીધો.
હંસ રાજે કહ્યું, “કંઈ નથી, એ ખાલી ટોટા છે, ડરવાની જરૂર નથી.” પરંતુ ધાણી ફૂટે તેમ ગોળીઓ છૂટી અને ટપોટપ લાશો પડવા માંડી. બચવા માટે ભાગતાં સ્ત્રી-પુરુષોને નિશાન બનાવીને ઢાળી દેવાયાં. સ્ત્રીઓ પોતાના જાન અને શીયળ બચાવવા માટે પાસેના કૂવામાં કૂદી ગઈ. બાળકો રઝળી પડ્યાં. ડાયર ૩૭૯ના જાન લઈને અને ૧૧૦૦ ઘાયલોને કણસતાં છોડીને પોતાની ટૂકડી સાથે ત્યાંથી નીકળી ગયો. જો કે આ સરકારી આંકડા છે, સ્વતંત્ર તપાસમાં ૧૨૦૦નાં મોત થયાનું નોંધાયું છે. મરનારામાં હિન્દુ, શીખ અને મુસ્લિમ, બધા ભારતીયો હતા. લોહીમાં નહાયેલી, ગોળીઓથી વિંધાયેલી જલિયાંવાલા બાગની દીવાલો ઇતિહાસના આ ભયંકર હત્યાકાંડની સાક્ષી બનીને ઘાયલોનાં ક્રંદન સાંભળતી રહી.

કડક સેંસરશિપ હોવા છતાં આ સમાચાર આખા દેશમાં ફેલાઈ ગયા. જનતામાં ક્ષોભ અને રોષની લાગણીનો ઉછાળ આવ્યો. વાઇસરૉયની કાઉંસિલના સભ્ય સી. શંકરન નાયરે રાજીનામું આપી દીધું. ‘સર’રવીન્દ્રનાથ ટાગોરને સેંસરશિપને કારણે આ સમાચાર છેક મે મહિનાના અંતે મળ્યા. એમણે ‘સર’નો ખિતાબ પાછો આપી દીધો. લંડનમાં ઇંડિયન નૅશનલ કોંગ્રેસની બ્રિટિશ કમિટીએ નિવેદન બહાર પાડીને આખા ઘટનાક્રમનું વિવરણ બ્રિટનની જનતા માટે પ્રગટ કર્યું. નિવેદનમાં કમિટીએ કહ્યું કે વિશ્વયુદ્ધમાં બ્રિટનના વિજયમાં ભારતનો ફાળો મહત્ત્વનો રહ્યો છે, તેમ છતાં ભારતીયોના નસીબે તો માર્શલ લૉ, કોરડા, જેલની સજા, મશીનગનો દ્વારા ગોળીબાર, ગામડાંઓ પર હવાઈ હુમલા, મિલકતની જપ્તી, મિલિટરી ટ્રાઇબ્યુનલો સમક્ષ બચાવ કરવાની મનાઈ, અખબારોની સેંસરશિપ વગેરે કાળા કાયદા જ રહ્યા.
બ્રિટનમાં બે જાતના અભિપ્રાય હતા. ચર્ચિલ વગેરે નેતાઓએ જલિયાંવાલા બાગના હત્યાકાંડને “un-British” ગણાવ્યો અને ડાયરના કૃત્યને વખોડ્યું. પરંતુ એક વિદ્વાન કહે છે કે ચર્ચિલે આમ કરીને ડાયરના કૃત્યને અંગ્રેજી સામ્રાજ્યથી અલગ કરી નાખ્યું. એનો કહેવાનો અર્થ એ હતો કે અંગેજી હકુમત તો સારી હતી; એ આવું ન કરે, પણ ડાયરે હત્યાકાંડ કરીને સામ્રાજ્યને બટ્ટો લગાડ્યો. ડાયરના સમર્થક પણ ઘણા હતા. મોટાભાગે એ બધા ઉચ્ચ વર્ગના અથવા ભારત કે બ્રિટિશ આર્મી સાથે સંકળાયેલા હતા. ડાયરને સન્માનવા માટે મોટું નાણાં ભંડોળ પણ ઊભું કરાયું.
તે પછી તપાસ માટે હંટર કમિટી નિમાઈ. તેમાં પણ ડાયરે પોતાની ભૂલ કબૂલ ન કરી અને પસ્તાવો પણ જાહેર ન કર્યો. એણે કહ્યું કે એક વખત આવું કરવાથી હંમેશ માટે શાંતિ રહે એ હેતુથી એણે આ કર્યું. એણે કબૂલ કર્યું કે એના સૈનિકોએ ૧૬૫૦ ગોળીઓ છોડી, જેને કારણે ૩૭૯નાં મરણ થયાં અને ૧૧૦૦ ઘાયલ થયા.
હંટર કમિટીમાં એને સવાલ પુછાયો કે
“તમે શું કર્યું?
“મેં ગોળીબાર કર્યો.”
“તરત જ?”
“તરત જ. મેં આ બાબતમાં વિચાર કર્યો હતો અને મારી ફરજ શી છે તે નક્કી કરવામાં મને ત્રીસ સેકંડથી વધારે સમય ન લાગ્યો.”
એક સાક્ષીએ જુબાની આપી કે સૈનિકોએ બંદુકોની નળીઓ નીચી કરીને ગોળીબાર કરતાં ગોળીઓ સીધી લોકોના પેટ અને પગ પર વરસવા લાગી. કોઈ ભાગીને બચી જાય એવું પણ ન રહ્યું.
ડાયરે કહ્યું કે જેટલા રાઉંડ છોડાયા તેના આધારે સમયનો અંદાજ કરતાં દસેક મિનિટ ફાયરિંગ ચાલ્યું. એને પૂછવામાં આવ્યું કે તમે ફાયરિંગ ન કર્યું હોત અને લોકોને વીખેરાઈ જવા કહ્યું હોત તો એ વીખેરાઈ ન ગયા હોત કે તમારે આટલો લાંબો વખત ફાયરિંગ કરવું પડ્યું? એનો જવાબ હતો કે માત્ર કહેવાથી લોકો વીખેરાઈ ગયા હોત, પણ વળી એકઠા થયા હોત અને મારા પર હસતા હોત.
કોંગ્રેસ પણ સક્રિય બની ગઈ. આ સાથે મહાત્મા ગાંધી કોંગ્રેસના એક માત્ર સર્વોચ્ચ નેતા તરીકે ઊપસ્યા.
એમના જ સંયત શબ્દોમાં: “હંટર કમિટીની પાસે પુરાવો ન દેવાનો નિશ્વય અમે બધાએ એકમતે કર્યો. પણ જો કમિટીનો બહિષ્કાર થાય તો લોકો તરફથી એટલે મહાસભા તરફથી એક કમિટી હોવી જોઈએ એમ નિશ્ચય થયો. તેમાં પંડિત મોતીલાલ નેહરુ, સ્વ. ચિત્તરંજન દાસ, શ્રી અબ્બાસ તૈયબજી, શ્રી જયકર અને મને પંડિત માલવીયજીએ આ કમિટી ઉપર નીમ્યા. અમે જુદે જુદે ઠેકાણે તપાસ કરવા વીખરાઈ ગયા. આ કમિટીની વ્યવસ્થાનો બોજો સહેજે મારી ઉપર આવી પડયો હતો, અને વધારેમાં વધારે ગામોની તપાસ મારે ભાગે આવવાથી, મને પંજાબ અને પંજાબનાં ગામડાં જોવાનો અલભ્ય લાભ મળ્યો.આ તપાસ દરમ્યાન પંજાબની સ્ત્રીઓને તો જાણે હું યુગોથી ઓળખતો હોઉં તેમ મળ્યો. જયાં જાઉં ત્યાં તેમનાં ટોળાં મળે, અને મારી પાસે પોતે કાંતેલા સૂતરના ઢગલા કરે. પંજાબ ખાદીનું મહાન ક્ષેત્ર થઈ શકે એ હું આ તપાસ દરમ્યાન અનાયાસે જોઈ શકયો.
લોકોની ઉપર થયેલા જુલમની તપાસ કરતાં જેમ જેમ હું ઊંડો ઊતરતો ગયો, તેમ તેમ હું નહોતો ધારતો એટલી સરકારી અરાજકતા, અમલદારોની નાદિરશાહી, તેમની આપખુદીની વાતો સાંભળી આશ્વર્ય થયું ને દુ:ખ પામ્યો. પંજાબ કે જયાંથી સરકારને વધારેમાં વધારે સિપાહીઓ મળે છે ત્યાં લોકો કેમ આટલો બધો જુલમ સહન કરી શકયા, એ મને ત્યારે આશ્વર્ય પમાડનારું લાગ્યું ને આજે પણ લાગે છે.
આ કમિટીનો રિપોર્ટ ઘડવાનું કામ પણ મને સોંપવામાં આવ્યું હતું. પંજાબમાં કયા પ્રકારના જુલમ થયા એ જેને જાણવું હોય તેણે એ રિપોર્ટ વાંચવો જ જોઈએ… એમાં ઈરાદાપૂર્વક એક પણ જગ્યાએ અતિશયોક્તિ નથી. જેટલી હકીકત આપી છે તેને સારુ તેમાં જ પુરાવો રજૂ કર્યો છે. એ રિપોર્ટમાં જેટલો પુરાવો આપ્યો છે તેના કરતાં ઘણો વધારે કમિટી પાસે હતો. જેને વિષે જરા પણ શંકા હોય એવી એક પણ હકીકત એ રિપોર્ટમાં મૂકવામાં નથી આવી. આમ કેવળ સત્યને જ આગળ ધરીને લખાયેલા રિપોર્ટ ઉપરથી વાંચનાર જોઈ શકશે કે બ્રિટિશ રાજ્ય પોતાની સત્તા કાયમ રાખવાને સારુ કેટલી હદ સુધી જઈ શકે છે, કેવાં અમાનુષી કાર્યો કરી શકે છે…”
અમૃતસરમાં કોંગ્રેસના અધિવેશનના અંતે ગાંધીજીએ કહ્યું – “પ્લાસીએ બ્રિટિશ સામ્રાજ્યનો પાયો નાખ્યો, અમૃતસરે એને હચમચાવી નાખ્યો.”
જલિયાંવાલા બાગની ઘટના વખતે માઇકલ ઑ’ડ્વાયર પંજાબનો ગવર્નર હતો. વીસેક વર્ષ પછી ૧૯૪૦માં લંડનના એક રસ્તા પર શહીદ ઉધમ સિંઘે ઑ’ડ્વાયરને ઠાર કરીને રાષ્ટ્ર પર એણે ગુજારેલા દમનનો બદલો લીધો અને હસતે મુખે ફાંસીએ ચડી ગયા.

૦૦૦
સંદર્ભઃ
- Massacre At Amritsar, Rupert Furneaux, George Allan & Unwin Ltd. (publication year not available) (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
- British Reaction to the Amritsar Massacre, Derek Sayer, University of Alberta. Namdhari elibrary, namdharielibrary@gmail.com (ઇંટરનેટ પર ઉપલબ્ધ)
- Centenary History of Indian National Congress, 1985
- સત્યના પ્રયોગો, મો. ક. ગાંધી (ભાગ-૫, પ્રકરણ ૩૫).
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
‘સો દા’ડા સાસુના, એક દા’ડો વહુનો.’ : ટેલેન્ટ શોના માળખાનું ‘સજ્જડબંબ પાંજરું પહોળું થયું’
ઉર્વીશ કોઠારી
૧૭મી માર્ચ, ૨૦૨૪, રવિવાર, એ મહિલા દિવસ ન હતો. કોઈ સરકારી બેટી/કન્યાલક્ષી ઉજવણું પણ ન હતું. આમ જુઓ તો હતો નડીયાદની સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજનો ટેલેન્ટ શો. પણ તેનું વિચારબીજ, તે બીજને કેન્દ્રમાં રાખીને થયેલું આયોજન અને કાર્ય્રક્રમનો થયેલો અમલ જોયા પછી થયું કે એક કોલેજ-એક વિદ્યાસંસ્થા ધારે તો શું કરી શકે—અને એ વાત આપણી આસપાસના વાતાવરણમાંથી કેટલી હદે ભૂંસાઈ ગઈ છે.
નડિયાદની જ નહીં, સમસ્ત ખેડા જિલ્લાની એક માત્ર મહિલા કોલેજ, સૂરજબા મહિલા આર્ટ્સ કોલેજ, તેના આચાર્ય શ્રી હસિત મહેતા, સંસ્થાની એક વિશિષ્ટ પ્રવૃત્તિ ‘વીરામૃત કોલેજ ઓન વ્હીલ્સ’ વગેરે અવનવી, મૌલિક પ્રવૃતિઓ થકી સાવ અજાણી નથી, તેમ હોવી જોઈએ તેટલી જાણિતી પણ નથી. પરંતુ, આ બધાં પરિબળો બાજુ પર રાખ્યા પછી પણ કહેવું પડે કે આવો અસાધારણ, સંવેદનસભર છતાં સાત્ત્વિક રંજકતાથી ભરપૂર કાર્યક્રમ કદી જોયો નથી.
અવનવું જ કરનારી સંસ્થાએ ટેલન્ટ શો જેવા કાર્યક્રમ માટે જાણીતા ટીવી કાર્યક્રમનું શીર્ષક રાખવાનું કેમ પસંદ કર્યું એ જાણવું જરૂરી ગણાય.
આ કૉલેજમાં ભણવા આવતી એકે એક વિદ્યાર્થીનીઓની આગવી કહાણી છે. આપણે સામાન્ય જીવનમાં કલ્પી ન હોય એવી વિપરીતતાઓ વચ્ચે પણ તેઓ કૉલેજ આવે છે, એટલું જ નહીં, પોતાના ક્ષેત્રે નામ ઊજાળે છે. કોઈક વિદ્યાર્થીની ખેતરમાં પાણી વાળવાનું કામ કરે, કોઈ વિદ્યાર્થીની પશુપાલન કરે, કોઈક પતંગો બનાવે, કોઈક ગરબાનું સુશોભન કરે, તો કોઈક સાવ ફેંકી દીધેલી ચીજમાંથી સુશોભનની એવી કળાકૃતિઓ તૈયાર કરે કે આપણે કદી કલ્પ્યું સુદ્ધાં ન હોય! વિદ્યાર્થીનીઓ આ કામ કંઈ માત્ર શોખ પૂરો કરવા માટે નથી કરતી, પણ આજીવિકા લેખે આ કામ તેમણે અપનાવ્યું છે. એટલે કે શોખ તો ખરો જ, પણ તેને આજીવિકા તરીકે અપનાવીને તેઓ તેમાંથી પોતાના અભ્યાસનો ખર્ચ કાઢે છે, સાથોસાથ, પરિવારને પણ ટેકારૂપ થાય છે. અને આ બધું તેઓ સાવ સહજપણે કરે છે. એ તો વિદ્યાર્થીનીઓ સાથે જીવંત સંપર્ક રાખતા પ્રાચાર્ય તેમજ અધ્યાપકગણ થકી આ બધું જાણવા મળે ત્યારે ખબર પડે!
એક તરફ આર્થિક -સામાજિક વિપરીતતાઓ અને એમાં અભ્યાસ આગળ ધપાવવાનો, સાથોસાથ પોતાના કૌશલ્યને વિકસાવીને આજીવિકા પણ રળવાની! આ સંજોગો એ સાસુ! આ વિપરીતતાઓ એ સાસુ! આ પ્રણાલિ એ સાસુ! આ અવરોધો એ સાસુ! અને એના પાછા સોએ સો દા’ડા! આ બધા વચ્ચે પોતાની પ્રતિભાના, પોતાના કૌશલ્યના પ્રદર્શનનો અને તેને બીરદાવવાનો ઉપક્રમ એટલે ‘એક દા’ડો વહુનો.’
આવા આશયથી કરાતા ટેલેંટ શો નિમિત્તે કંઈક જુદું કરવાનો વિચાર આવો એ જ આ સંસ્થા અને તેના આચાર્ય માટે સામાન્ય ગણાય. અહીં,જુદું એટલે એવું કશું, જેમાં મહિલા આર્ટ્સ કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓનો સંઘર્ષ અને તેમની સફળતા ઉજાગર થાય. આ એક દિવસ અંત નહીં, પણ શરૂઆત છે—એવી ભાવના પણ તેમાં સ્પષ્ટ રીતે વ્યક્ત કરવામાં આવે.

(આયોજનની રૂપરેખા અંગે ચર્ચા: વચ્ચે પ્રો.હસિત મહેતા, આસપાસ અધ્યાપકગણ) થોડા મહિના પહેલાં આવેલા આ વિચાર પછી ધીમે ધીમે કાર્યક્રમનું સ્વરૂપ ઘડાતું ગયું અને કેટલાક પાયાના નિયમ નક્કી થતા ગયા. જેમ કે,
- આ કાર્યક્રમનો આશય કોલેજના પ્રચારનો કે કોલેજ કેટલી મહાન છે, તે દર્શાવવાનો નથી. તેનું સઘળું લક્ષ્ય કોલેજમાં ભણતી છોકરીઓની આવડત પર હોવું જોઈએ.
- ટેલેન્ટ શોમાં સામાન્ય રીતે હોબીમાં સ્થાન પામતી કળા/આવડતો પ્રદર્શિત થતી હોય છે. આપણા ટેલેન્ટ શોમાં તે સિવાય જીવનલક્ષી કસબો-વ્યવસાયોને પણ સ્થાન મળવું જોઈએ.
- ફક્ત એવી જ વિદ્યાર્થિનીઓને શો માટે પસંદ કરવી, જે તેમના કસબ કે કળામાંથી કમાતી હોય. કેમ કે, મોટા ભાગના કિસ્સામાં એવી કમાણી તેમના ઘર માટે ઉપયોગી અને ટેકારૂપ હોવાની.
- કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થિનીઓનો પણ શોમાં સમાવેશ કરવો.
- કાર્યક્રમ રૂઢ અર્થમાં ટેલેન્ટ શો નથી. એટલે તેના આમંત્રણમાં ક્યાંય તે શબ્દનો ઉલ્લેખ ન કરવો.
હવે સામાન્ય લાગે એવી આટલી સ્પષ્ટતાઓ સુધી પહોંચવામાં ઘણો સમય નીકળ્યો. પછી શરૂ થઈ વૈવિધ્યપૂર્ણ આવડત ધરાવતી વિદ્યાર્થિનીઓની તલાશ. મહિલા આર્ટ્સ કોલેજમાં નડિયાદ અને તેની આજુબાજુનાં આશરે ૨૦૦ ગામમાંથી છોકરીઓ ભણવા આવે છે. મોટા ભાગની છોકરીઓ સામાન્ય, સંઘર્ષરત પરિવારોની હોય છે. દલિત-મુસ્લિમ-પછાત છોકરીઓનું પ્રમાણ બહુ મોટું હોય છે. ધીમે ધીમે વિવિધ આવડતવાળી છોકરીઓની યાદી બનાવવાનું કામ શરૂ થયું. અધ્યાપકો પ્રમાણે જવાબદારીઓ વહેંચવામાં આવી. કોઈ પણ છોકરીનું નામ આવે, એટલે તેના કસબની વિડીયો અધ્યાપકો મેળવે અને તે હસિતભાઈને બતાવે. તેના આધારે છોકરીને સામેલ કરવી કે નહીં, તે નક્કી થાય. આ તબક્કો લાંબો ચાલ્યો.
અગાઉ આ પ્રકારના કોઈ કાર્યક્રમનો આધાર ન હોવાથી, દરેકેદરેક બાબત નવેસરથી નક્કી કરવાની હતી. એટલે સવાલ આવ્યો કે ગાય-ભેંસ દોહીને ડેરીમાં દૂધ ભરીને કમાણી કરનાર અને ખેતરમાં પાણી વાળવાનું અને બીજું કામ કરીને રૂપિયા કમાનાર વિદ્યાર્થિનીઓનો આ કાર્યક્રમમાં સમાવેશ થાય? તે માટે ઝાઝો વિચાર કરવો ન પડ્યો. તરત નિર્ણય થયોઃ કેમ નહીં? ચોક્કસ. થવો જ જોઈએ. એવી રીતે ગીત, અભિનય અને નૃત્ય જેવી પરંપરાગત શોની આવડતો ઉપરાંત, મેક અપ, રંગોળી, મહેંદી, સીવણ અને રાંધણ જેવી, સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો અને સ્વરક્ષણ, પશુપાલન, ખેતમજૂરી, પતંગ બનાવવી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ આઇટેમો પણ કાર્યક્રમનો હિસ્સો બની.
યાદીમાં એક પછી એક ચીજો ઉમેરાતી ગઈ, તેમ આશ્ચર્ય સાથે આનંદ અને ઉત્સાહ વધતાં ગયાં. કોઈ છોકરીને તેની આવડત વિશે શીખવવાનું ન હતું, પણ મંચ પરથી નિશ્ચિત સમયમાં તેની પ્રસ્તુતિ શી રીતે થાય તે માટે ભરપૂર તૈયારી કરાવવામાં આવી. અગાઉ જણાવ્યું તેમ, કાર્યક્રમના કેન્દ્રસ્થાને કોલેજ નહીં, વિદ્યાર્થિનીઓ હતી. એટલે, હસિતભાઈનાં સક્ષમ સહાયક પારુલ પટેલે બીજી અનેક કામગીરી ઉપરાંત ભાગ લેનારી તમામ વર્તમાન અને પૂર્વ વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત કરીને તેમના વિશેની વિગત મેળવી, જેને કાર્યક્રમની સ્ક્રીપ્ટમાં વણી શકાય.

(સ્ટેજ પર રસોઈનું નિદર્શન) આવી બધી બાબતોને કેન્દ્રમાં રાખીને નિમંત્રણ તૈયાર કરવામાં આવ્યું અને કાર્યક્રમની સ્ક્રીપ્ટ પણ બીરેન કોઠારીએ અને મેં હસિતભાઈને સાથે રાખીને લખી. ત્યારથી લઇને ૧૬મી માર્ચના રોજ નડીયાદના ઇપ્કોવાલા ટાઉન હોલમાં થયેલા ગ્રાન્ડ રીહર્સલ અને આજે થયેલા કાર્યક્રમનો વિગતવાર અહેવાલ લખવાને બદલે, તેના રેકોર્ડિંગની લિન્ક જ અહીં આપું છું.

કાર્યક્રમ શરૂ થતાં પહેલાં, પરદા પાછળ, ભાગ લનેાર વિદ્યાર્થિનીઓ
અને સ્ટાફની સર્વધર્મપ્રાર્થનાકાર્યક્રમ વિશે એટલું જ કહેવાનું કે આખી ટીમે અત્યાર સુધી કરેલી દૃષ્ટિપૂર્વકની મહેનત ફળી, કાર્યક્રમમાં અનેક વિવિધતા હોવા છતાં અને સ્ટેજ પર અનેક પ્રકારની વસ્તુઓ થોડા થોડા સમય માટે લાવવાની હોવા છતાં, ક્યાંક ગરબડગોટાળા કે વિલંબ ન થયા. કાર્યક્રમ એટલી ચુસ્તીથી પૂરો થયો કે ઘણાને તે ટૂંકો લાગ્યો. વચ્ચે થોડી મિનીટ માટે હોલની લાઇટ ગઈ ત્યારે પણ વિદ્યાર્થિનીઓ, વાલીઓ અને બીજા મહેમાનોથી ભરેલા આખા હોલમાં ક્યાંય અશાંતિ ન સર્જાઈ. અંગ્રેજીમાં જેને ‘ટીઅરજર્કર’ કહેવામાં આવે છે એવી, લોકોને પકડી પકડીને રડાવે એવી કોઈ વાત કે સૂચન ન હોવા છતાં, છોકરીઓના સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું, તે જોઈને કેટલાયની આંખો ભીની થઈ. પત્રકારત્વમાં જેને ‘હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરી’ કહેવામાં આવે છે એવી કથાઓ મહિલા આર્ટ્સ કોલેજમાં લગભગ દરેક વિદ્યાર્થિની પાસે હોય છે. પરંતુ કોઈ વાત છાપામાં કે સોશિયલ મિડીયા પર ચડે ત્યાર પછી જ તેની મહત્તા સમજવાની આદત પડી ગઈ છે. આ કાર્યક્રમ સંવેદનશીલતા પર ચડેલી આદતની-વ્યવહારની ધૂળને ખંખેરીને, અસલી સંવેદન અનુભવવાનું નિમિત્ત બની રહ્યો.
વધુ તો આ લિન્ક જોઈને ખાતરી કરજો. સળંગ સમય ન હોય તો ટુકડે ટુકડે કરીને જોશો તો પણ તેનું અનોખાપણું અને તેની સંવેદનપ્રેરક તાકાત તમે અનુભવી શકશો.
શ્રી ઉર્વીશ કોઠારીનો સંપર્ક uakothari@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
સંપાદકીય નોંધઃઆ અહેવાલમાં શ્રી બીરેન કોઠારીએ રિહર્સલ વખતે કાર્યક્રમનાં શીર્ષકને લગતી નોંધ આવરી લીધેલ છે. -
આમાં પણ કોઈ નવી વાત નથી / એવી ગઝલ લખવી જોઈએ?
વ્યંગ્ય કવન
બાબુ સુથાર
(૧)
એક ચકલી ઘરમાં ઊડ્યા કરે છે.
આમાં કોઈ નવી વાત નથી.ક્યારેક એ ચકલી
ઘરમાં અઘાર પણ કરતી હોય છે.
આમાં પણ કોઈ નવી વાત નથી.એ ચકલીને બે પાંખો છે
બે આંખો છે
બે પગ છે
આમાં પણ કોઈ નવી વાત નથીજેમ મારા દેશે વિકાસ કર્યો છે
એ કોઈ નવી વાત નથી એમ.મારા ગામનો મગનિયો
એની સાત સાત પેઢીની પરંપરા
હજી પણ સાચવી રહ્યો છે
એ રોજ ભૂખ્યો ઊંઠે છે
અને અર્ધો ભૂખ્યો ઊંઘે છે
આમાં પણ કોઈ નવી વાત નથી.(૨)
જ્યારે સર્વત્ર વિકાસ જ દેખાતો હોય ત્યારે
ગરીબી પરનાં કાવ્યો
ના તો ‘પરબ’ છાપે
ના તો ‘શબ્દસૃષ્ટિ’.એવાં કાવ્યો લખાય ખરાં
ક્યારેક વંચાય પણ ખરાં
જેથી કરીને માનનીય વિવેચકો એમને
બોલકાં કાવ્યો કહી શકે.હું વડોદરાથી અમદાવાદ ઉબેરમાં જતો હોઉં
ડ્રાયવર અમદાવાદ શહેરમાં પ્રવેશતાં જ
ક્યાંક ચાર રસ્તે કાર રોકે
ને કોઈક બાળક મારી સીટ તરફના કાચ પર
ટકોરા મારેઅને હું જોઉં એની હથેળી
મારા હૃદય જેવી ખાલીત્યારે મને થાય: બોલકા ન બનવા માટે મારે
કાશીએ જઈને કરવત મૂકાવવો જોઈએ કે પછી
અમદાવાદના કોઈક સાહિત્યિક મહોત્સવમાં રજૂ કરી શકાય
એવી ગઝલ લખવી જોઈએ? -
ચાલો સૂર્યના પ્રવાસે જઈએ!
વિજયગુપ્ત મૌર્ય
(આ લેખ ‘અખંડ આનંદ’ સામાયિકના પ્રારંભકાળમાં તેના જૂલાઈ, ૧૯૪૯ના અંકમાં પ્રસિદ્ધ થયો હતો.)
આવો, આજે આપણે સૂર્યના પ્રવાસે જઈએ.
આપણે કંઈ બ્રહ્માંડમાં બહુ લાંબે જવાનું નથી. સૂર્ય આપણી પૃથ્વીથી સરેરાશ માત્ર ૯,૨૯,૦૦,૦૦૦ માઈલ જ દૂર છે. બ્રહ્માંડમાં જ્યાં અબજોના અબજો માઈલ પણ બહુ સાધારણ અંતર ગણાય છે, ત્યાં સવા નવ કરોડ માઈલની તે શી કિંમત ગણાય? આપણે તો કલ્પનાના પાંખાળા ઘોડા પલાણી તેમના પર સવાર થઈને જવું છે ને?
કલ્પનાના ઉલ્લેખ ઉપરથી એમ નહિ માની બેસતા કે તમારા મનઃચક્ષુ આગળ હેરત પમાડે એવી જે સૃષ્ટિ ખડી થનાર છે તે પણ કાલ્પનિક છે. સૂર્ય વિષે નગદ્ સત્ય હકીકતનું ચિત્ર તમારા મનઃચક્ષુ સમક્ષ અહીં રજૂ થાય છે.
આર્યોએ સૂર્યને સચરાચર જગતના સ્વામી અને ઈશ્વર સ્વરૂપે ઓળખાવેલ છે, તે આદિત્ય છે, એ બધું ખરું. તે મહાન છે, પણ તેમાં બધું સમાઈ નથી જતું. આ અનંત બ્રહ્માંડમાં જ્યાં સ્થળ, સમય, અંતર, દિશા, સૌ માયા જ લાગે છે તેમાં દિવસે સૂર્ય પોતાની મહત્તાના મિથ્થા દમામમાં આપણને આંજી બ્રહ્માંડને પોતાના કિરણો આડે ઢાંકી મૂકે છે અને એ રીતે આપણાં મનમાં એવો ભ્રમ પેદા કરે છે, કે આ બ્રહ્માંડનો સ્વામી સૂર્ય જ છે પણ આપણે તેના ઘમંડથી છેતરાઈશું નહિ. રાત પડવા દો અને પછી જુઓ. ચંદ્રને પણ જવા દો. કારણકે જ્યારે સૂર્ય નથી હોતો ત્યારે તે ચંદ્ર દ્વારા પોતાનો પ્રકાશ આપણી આંખ આડે પાથરી આપણને ભ્રમમાં રાખવા માગે છે. અંધારી રાતે ઝળહળતા લાખો તારા સાથે જુઓ. એ દરેક તારો (ગ્રહ નહિ) સૂર્યથી અનેકગણો મોટો છે, અનેક ગણો તેજસ્વી છે. આમાંના સૌથી નાના તારા પાસે પણ આપણો સૂર્ય તુચ્છ છે, અતિશય તુચ્છ છે, કંગાલ છે, ઝાંખો-ઝપટ છે, નિસ્તેજ છે, ફિક્કો છે…
સૂર્ય તો આ બ્રહ્માંડમાં સૌથી નાનામાં નાનો, આપણી પાસેમાં પાસે અને ઓછામાં ઓછો તેજસ્વી તારો છે. તેના પછીનો તારો (આપણાથી સૂર્ય સુધીના અંતર કરતાં) ત્રણ લાખ ગણો વધારે દૂર છે! સૂર્ય તો આપણો ઘરદીવડો છે. આપણી પડખે, માત્ર સવા નવ કરોડ માઈલ છેટે હોવાથી જ તે આટલો બધો તેજસ્વી અને ગરમ લાગે છે. પણ આપણે. વામન કહીને એની ‘અવગણના’ નહિ કરીએ. તેનામાં ૩,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ (ત્રણ ઉપર ૨૭ મીંડા) જેટલા કેન્ડલ પાવરનું તેજ છે! પરંતુ મૃગશીર્ષ (નક્ષત્ર)માં પારાધી (વ્યાધ)નો તારો સૂર્ય કરતાં ૨૬ ગણો વધારે પ્રકાશિત છે.
પ્રસ્તાવનામાં વખત ગાળવો આપણને પાલવે તેમ નથી. કલ્પનાના પાંખાળા ઘોડા અધીરાઈથી હણહણે છે. આપણે ઘોડેસ્વાર થઈ ઊડી નીકળીએ. જુઓ, આપણે હવે સૂર્યની સપાટી જોઈએ. પૃથ્વી કરતાં ૨,૩૨,૦૦૦ ગણું વજન ધરાવતા અને ૮,૬૪,૦૦૦ માઈલનો વ્યાસ ધરાવતા સૂર્યની સપાટી દાણાદાર અને કિનારી કરતાં મધ્ય ભાગ વધુ તેજસ્વી લાગે છે, ખરું ને? પણ સૂર્યની સૃષ્ટિ અકળ છે.
હવે આપણે સૂર્યથી ઘણા પાસે આવી ગયા છીએ. ઘોડાને જરા થોભાવો. આપણે સૂર્યના ગોળાનું નિરીક્ષણ કરીએ. હવે તાપ બહુ લાગે છે, ખરું ને? અને તેજથી આંખો બિડાઈ જાય એમાં નવાઈ પણ શું છે? સૂર્યની સપાટીમાંથી છ હજાર ડીગ્રી સેન્ટિગ્રેડ ગરમી છૂટે છે! હજી તેના મધ્યબિંદુની ગરમીનો તો આપણને ખ્યાલ જ નથી! આપણે એ મધ્યબિંદુ સુધી જવા પણ નથી માગતા; કારણકે ત્યાં તો ચારથી છ કરોડ ડીગ્રી ગરમી છે! એ ગરમી કેટલી થઈ તેનો ખ્યાલ આવે છે? એક પૈસો લઈએ અને તે ચાર કરોડ ડીગ્રી ગરમી આપે એટલી હદ સુધી તેને જો તપાવીએ, તો તેમાંથી એવી ગરમી નીકળે કે હજાર ગાઉ છેટે માણસ હોય તેને પણ એ પૈસામાંથી નીકળતી ગરમી બાળીને કોલસો કરી દે!
હવે ભગવાન આદિત્ય નારાયણનાં દર્શન કર્યા? એ ગોળો ક્યાંથી શરૂ થાય છે તે કહેવું જ મુશ્કેલ છે. સૂર્યના વાતાવરણ અને બંધારણ વિષે આપણા વિશ્વવિખ્યાત વિજ્ઞાનશાસ્ત્રી શ્રી. મેઘનાથ સહાએ ખૂબ જ મહત્ત્વનું સંશોધન કરી આશ્ચર્યજનક પ્રકાશ પાડ્યો છે.
તમે તાજુબ બનીને સૂર્યના ગોળા સામે જોઈ રહ્યા છો, અને વિચારમાં પડી ગયા છો કે એ ગોળો શેનો બનેલો છે ? પરંતુ હું તમને પૂછું કે જ્યાં ૬,૦૦૦ ડીગ્રીથી માંડીને છ કરોડ ડિગ્રીની ગરમી ધીખતી હોય ત્યાં કઈ વસ્તુ ઘન કે પ્રવાહી રૂપે રહી શકે? તેમાં રહેલાં લોઢું, પથ્થર, કાર્બન, હાઈડ્રોજન, પ્રાણવાયુ, નાઈટ્રોજન વગેરે તમામને એ પ્રચંડ ગરમીના કારણે વાયુરૂપે જ રહેવું પડે. જે કંઈ તત્વો આપણી પૃથ્વીમાં છે તે સૂર્યમાં પણ છે; કારણકે પૃથ્વી પુત્રી તો સૂર્યની જ ને? પરંતુ એ બધું ધગધગતા વાયુરૂપે છે. પૃથ્વીની જેમ સૂર્યને વાતાવરણ છે. પણ પૃથ્વીના વાતાવરણ જેવું તો નહિ જ. આઠથી નવ હજાર માઈલ સુધી તે ફેલાય છે. તેમાં વિદ્યુત પ્રેરિત હાઈડ્રોજન, હેલિયમ, કેલ્શિયમ વગેરે વાયુઓ છે. પરંતુ સૂર્ય પોતે જ્યારે વાયુરૂપ છે ત્યારે સૂર્ય અને તેના વાતાવરણને જુદા પાડે એવી સીમારેખા તો ક્યાંથી જ દોરી શકાય? તેમાં વળી સૂર્યમાંથી જે પ્રચંડ જ્વાળાઓ નીકળીને ઘણીવાર તેના વાતાવરણમાં ચડી જાય છે તે જોતાં એ બે વચ્ચે સીમા દોરી શકાય જ નહિ.
આ ચમત્કાર જોયા? સૂર્યમાંથી જે પ્રચંડ મોજાની જેમ શિખાએ વારંવાર ઊંચી ચડે છે અને વિવિધ પ્રકારના ફાંટેબાજ આકાર ધારણ કરે છે, તે તો શુષ્કવૃત્તિના માણસને પણ નવાઈ પમાડે એવા છે. જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ હોય ત્યારે મેશ ચોપડેલ કાચ આડો ધરીને દૂરબીનમાંથી સૂર્યની કંકણ આકૃતિ જોજો. આ રાક્ષસી શિખાઓ તમને સૂર્યમાંથી વીંઝાતી દેખાશે. કોઈ વખત તો એ સૂર્યમાં સમાઈ જાય છે, કોઈ વખત તે વિવિધ સ્વરૂપો ધારણ કરે છે અને કોઈ વખત તો સૂર્યમાંથી છૂટી પડી બહાર ચાલી જાય છે. આ પૈકી કેટલીક જ્વાળાઓ લાખો માઈલ ઊંચી અને લાખો માઈલ પહોળી હોય છે! (તેમાંની) એક નાનકડી જ્યોત (પણ) આપણી આખી પૃથ્વીને ઢાંકી દે (એટલી મોટી હોય) છે!
સૂર્ય અને સૂર્યના વાતાવરણની વચ્ચે ઝળહળતો પરિવેશ છે. તમે જ્યારે ખગ્રાસ સૂર્યગ્રહણ જુઓ ત્યારે એ પરિવેશ સ્પષ્ટ જોઈ શકશો. ચંદ્ર આડે આવવાથી સુર્યની ગોળાકૃતિ ઢંકાઈ ગઈ હશે, કદાચ તેની કોર કંકણાકારે દેખાતી હશે ૫રંતુ તેમાંથી જે તેજના ફુવારા છૂટે છે તેનો આ પરિવેશ છે. તે એમ બતાવે છે કે સૂર્ય કરોડો માઈલ સુધી આકાશને સૂર્યમય બનાવી દે છે. આમ સૂર્યમાંથી ગરમી, તેજ, ઈથરના આંદોલનો, વિદ્યુતપ્રવૃત્તિ વગેરે દ્વારા જે અમોઘશક્તિ નીકળે છે, તેનો જો અંદાજ કરીએ તે સૂર્યને દર સેકન્ડે ચાલીસ લાખ ટનની ખોટ પડે છે!
રખે તમે ચિંતામાં પડી જતા કે સૂર્યને દર સેકન્ડે જ્યારે ચાલીસ લાખ ટનનો ઘસારો લાગતો હશે, ત્યારે બાપડો બહુ વહેલો ઠરી જશે અને પછી આપણું સૌનું શું થશે? ગભરાવાનું કારણ નથી. સૂર્યમાં એટલી અમોઘશક્તિ છે કે દર સેકન્ડે ચાલીસ લાખ ટનનો ઘસારો લાગતો હોવા છતાંય સૂર્ય આમ ને આમ લાખો કે કરોડો વર્ષ સુધી ચાલવાનો છે.
પૃથ્વી પર અને આપણા વાતાવરણમાં સૂર્યના તેજ અને ગરમીથી કેટલી પ્રચંડ ક્રિયા થઈ રહી છે તેનો કદી ખ્યાલ કર્યો છે? પણ આપણે ફાળે સૂર્યમાંથી જે શક્તિ આવે છે તે તો કંઈ જ નથી. સૂર્યના ગ્રહોને સૂર્યમાંથી જે શક્તિ મળે છે તેનાથી બાર કરોડ ગણી શક્તિ તો અવકાશમાં જ લોપ પામે છે!
આવો, હવે આપણે સૂર્યના ગોળાનું નિરીક્ષણ કરીએ. પ્રચંડ ગરમીને કારણે અહીં દરેક વસ્તુ વાયુરૂપ છે. એ વાયુના અણુઓ પ્રચંડ ગતિ અને શક્તિથી ઘૂમે છે અને ગુરુત્વાકર્ષણને કારણે વિખેરાઈ ન જતા સમૂહમાં રહે છે. દરેક અણુમાં નેગેટિવ વિદ્યુતકણો પોઝિટિવ કેન્દ્રની આસપાસ કરે છે. અણુના વિભાજનથી જે વિરાટ શક્તિ ઉદ્ભવે છે તેનો ખ્યાલ આપણને અણુ બૉમ્બથી મળ્યો છે. (તા. ૬ ઑગસ્ટ, ૧૯૪૫ના રોજ જાપાન પર પડેલા અણુ બૉમ્બથી દુનિયા આખી કંપી ઊઠી હતી.) સૂર્યમાં પ્રચંડ ગરમી અને વાતાવરણના ઓછા દબાણના કારણે અણુમાંથી વિદ્યુતકણો છૂટાં પડે છે અને તેથી તેમાંથી વિરાટ શક્તિ પેદા થાય છે. દર કલાકે તેમાં જે શક્તિ પેદા થઈ નીકળી જાય છે તેને આપણે ૧,૪૪, ૦૦,૦૦ ૦૦૦ ટનમાં વ્યક્ત કરી શકીએ.
દરેક વસ્તુ બળે છે ત્યારે તે વિશિષ્ટ પ્રકારના રંગનો પ્રકાશ આપે છે અને એ પ્રકાશ કિરણોને વિશિષ્ટ પ્રકારના રંગોનો વળાંક હોય છે. સૂર્યનો પ્રકાશ સફેદ છે એમ તમે માનો છે? મેઘધનુષ્યમાં જે સાત રંગો છે એ જ સૂર્યનો પ્રકાશ છે પરંતુ તે રંગો જો ભેગા મળી જાય તો રંગ ધોળો બની જાય. સાવ સાદી વાત છે: પંખા પરના એક ગોળ પૂંઠા પર એ સાત રંગો પડખેપડખે ચીતરીએ અને પછી એ પંખાને ગોળગોળ ફેરવીએ તો પૂઠામાં સાત રંગ નહિ દેખાય, પણ સમગ્ર પૂઠું ધોળું જ દેખાશે. એ જ રીતે સાત રંગના પ્રકાશ આપતો સૂર્ય પોતાની ધરીની આસપાસ ફરતો હોવાથી તેનાં સાતે રંગ મળી તડકાનો ઘોળો રંગ થાય છે. એ જ ધવલ કિરણો જ્યારે વરાળ કે વાદળામાંથી પસાર થાય છે, ત્યારે તેનાં સપ્તરંગી કિરણો છૂટાં પડી જાય છે અને મેઘધનુષ્ય બને છે.
ગયા જાન્યુઆરીની આખરમાં (એટલે કે ઈ.સ. ૧૯૪૯માં) સૂર્યમાં જે ધાબા દેખાયાં હતાં, તેને પરિણામે દુનિયાનો રેડિચો અને કેબલ વહેવાર ખોરવાઈ ગયો. એમ કેમ બન્યું? ખરી વાત એ છે કે એ ધાબાં શું છે, શા માટે થાય છે અને કેમ અદૃશ્ય થઈ જાય છે તે કોઈ જાણતું નથી. પણ આશરે દર અગિયાર વર્ષે તેઓ દેખાય છે. એ ધાબાં છે, તેનો અર્થ એ કે ત્યાં આસપાસની સપાટી કરતાં જરા ઓછી ગરમી છે, તેમને પાણીની ઘૂમરી કે વંટોળિયા સાથે સરખાવી શકાય, પરંતુ તેઓ લાખો માઈલ લાંબા-પહોળા હોય છે. એટલા મોટા હોય છે કે આપણી પૃથ્વી તો તેમાં એક કાંકરાની જેમ સમાઈ જાય. દરેક ધાબાની જોડી હોય છે. જો મુખ્ય ધાબામાં ઉત્તરધ્રુવ હોય તો જોડિયામાં દક્ષિણ હોય છે. પરંતુ સૂર્યના દક્ષિણ ગોળાર્ધમાં જે ધાબાં હોય છે તેમનો ક્રમ ઊલટો હોય છે. આપણી પૃથ્વીની જેમ આ ધાબાઓ પણ વિદ્યુતપ્રેરિત લોહચુંબક જ છે. આ ધાબામાંથી જે વિદ્યુત અવકાશ દ્વારા પ્રેરાય છે તે આપણા રેડિયો, બિનતારી સંદેશા અને કેબલ વહેવારને ખોરવી નાખે છે. સૂર્ય કરતાં આ ધાબામાં વિદ્યુતશક્તિ વધારે હોય છે. સૂર્ય પોતે પોતાની ધરી પર ફરતો હોવાથી આ ધાબાં પણ તેની સાથે ફરે છે. સૂર્યનો મધ્ય ભાગ ર૪.૫ દિવસમાં પોતાની ધરીની આસપાસ ફરી લે છે. સૂર્ય પોતે ઘન સ્વરૂપ ન હોવાથી આખું અંગ એક સાથે અને એકસરખી ઝડપથી નથી ફરતું.
સૂર્યની આ પ્રચંડ ક્રિયાઓ અને તેની વિરાટ શક્તિ ક્યાંથી આવે છે? તે ક્રિયા અને શક્તિનું મૂળ તેના પેટાળમાં–મધ્યબિંદુ પાસે છે, જ્યાં આપણી કલ્પનામાં પણ ના આવે એટલી વિરાટ ક્રિયાઓ થાય છે, ત્યાંથી શક્તિ તેની સપાટી તરફ ધકેલાય છે. એ શક્તિ એટલી પ્રચંડ હોય છે કે દરેક ચોરસ ઈચને ૫૦ હોર્સ પાવરની શક્તિ મળે છે. એ શક્તિને મુક્ત કરવા માટે જ સપાટી ઉપર આવા રાક્ષસી ઝંઝાવાતો ચાલ્યા કરતા હોય છે. જેમ પાણી ઊકળીને વરાળ દ્વારા ગરમી બહાર હડસેલે છે, તેમ સૂર્યના જે કેન્દ્રમાંથી આટલા બળથી શક્તિ (ગરમી) સપાટી ઉપર ધકેલાય છે, ત્યાં કેટલું ભયંકર દબાણ હશે તેનો ખ્યાલ કરવા જેવો છે. આપણી પૃથ્વી ઉપર દર ચોરસ ઇંચે હવાનું પંદર રતલ દબાણ છે, એટલે કે તે એક વાતાવરણનું પ્રમાણ થયું. સૂર્યના કેન્દ્ર ઉપર એવા ચાલીસ અબજ વાતાવરણનું દબાણ છે! આગગાડીના ભારેખમ ભરેલા ૬૦ વેગનને ખેંચી જનાર રેલવે એન્જિનના બોઈલરમાં પણ વરાળનું વીસ હવામાનથી વધુ દબાણ નથી હોતું.
આમ પ્રચંડ ગરમીથી સૂર્યના અણુઓ જ્યારે ફૂલવા માગે છે ત્યારે પ્રચંડ દબાણથી તેમને સંકોચાઈ જવું પડે છે. આમ બે વિરોધી બળો વચ્ચે તુમુલ યુદ્ધ ચાલે છે અને તેનું પરિણામ આપણે સૂર્યની સપાટી ઉપર જોઈએ છીએ.
સૂર્યની આ વિરાટશક્તિનું મૂળ તેના અણુઓના વિભાજનમાં છે. જ્યારે અણુ તૂટીને તેમાંથી વિદ્યુતકણો છૂટાં પડે છે, ત્યારે તેઓ એક મિનિટના ૩૦ હજાર માઈલની ઝડપ પકડે છે અણુના વિભાજનથી તેમાંથી જે મહાશક્તિનો દીર્ઘાયુ ધોધ નીકળે છે, તેનો પૃથ્વી પર તો આપણને ખ્યાલ છે. (ચોખવટઃ હકીકતમાં સૂર્ય પર fisson એટલે કે અણુ-વિભાજન નહિ પણ fusion એટલે કે અણુ-સંયોજન પ્રક્રિયા થાય છે. સૂર્યની મધ્યમાં રહેલા પ્રચંડ દબાણથી ત્યાં રહેલા હાઈડ્રોજન વાયુના ૪ પ્રોટોન કણનું સંયોજન થઈ હેલિયમ વાયુનો એક પ્રોટોન બને છે જેના પરિણામે તેમાંથી પ્રચંડ શક્તિ છૂટી પડે છે. આ આખી પ્રક્રિયા proton-proton fusion કહેવાય છે. સૂર્ય પર રહેલી કુલ ગરમીમાંથી ૯૯ ટકા ગરમી આ પ્રક્રિયાથી ઉત્પન્ન થાય છે.) જો અણુમાં જ આ સૃષ્ટિનું રહસ્ય અને બ્રહ્માંડની ચાવી હોય તો આપણે કલ્પનાના પાંખાળા ઘોડાને પાછા વાળી પૃથ્વી પર ઊતરી પડીએ કારણકે મોડું વહેલું અહીં અણુશક્તિનું તાંડવ તો થવાનું જ છે. જો બ્રહ્માંડમાં સૂર્ય ઘરદીવડો છે, તો ગ્રહોમાં આપણી પૃથ્વી શુ ખોટી છે કે જેથી અણુના ઉત્પાત જોવા આપણે સૂર્ય સુધી જવું પડે?
હવે આપણને એમ નથી લાગતું કે વિશ્વની સૌથી મહાન શક્તિ અણુમાં છુપાયેલી છે? સૂર્યમાં એ શક્તિનું જે તાંડવનૃત્ય ચાલે છે તેમાંથી પૃથ્વીને અને અન્ય ગ્રહને (જો અન્ય ગ્રહોમાં જીવન હોય તો) જીવન મળે છે. સૂર્ય ન હોય તો પૃથ્વી પર જીવન કેટલી ક્ષણ ટકે? એ સૂર્યમાંથી જ પૃથ્વી અને બધા ગ્રહોનો જન્મ થયો છે, અને પ્રલય સમયે આપણે તેમાં જ સમાઈ જઈશું એટલે જ આપણે સૂર્યને આદિત્ય ભગવાન કહ્યા છે. કોઈ એની શક્તિને દેવી તરીકે પૂજે છે, કોઈ એ શક્તિધારીને ભગવાન તરીકે પૂજે છે પણ અખિલ બ્રહ્માંડનું રહસ્ય અણુમાં સમાયેલું છે એ સ્પષ્ટ છે. કારણકે અણુના વિભાજનથી જ એ શક્તિનો ઉદ્ભવ થાય છે અને બ્રહ્માંડમાં સૃષ્ટિનું સર્જન થયું તે પહેલાં આ તમામ સૃષ્ટિ અણુ રૂપે જ હતી અને સૃષ્ટિનો લય થશે ત્યારે પણ તે અણુ સ્વરૂપે જ હશે ને? સૂર્ય અણુ અને અણુશક્તિ રૂપે છે એટલે જ આદિત્ય નારાયણ આદિ અને ઈતિના પ્રતીક છે.
પણ વિશ્વ કઈ સૂર્યમાં જ નથી સમાઈ જતું. આપણે સહસ્રનામધારી સૂર્યને વિરાટ સ્વરૂપે જોયા. આ અનંત વિશ્વમાં તો એ વિરાટ સૂર્ય પણ અતિશય તુચ્છ–ક્ષુદ્ર વસ્તુ છે. હા, આદિત્ય નારાયણ આપણી પૃથ્વી તથા મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, યુરેનસ, નેપ્ચ્યુન, પ્લુટો વગેરે ગ્રહોના પરિવારના પિતા છે અને પૈડું જેમ ધરી પર ફરે અને આગળ પણ ધપે–એમ બે ગતિ ધરાવે છે–તેમ દરેક ગ્રહ પોતાની ધરીની આસપાસ ફરે છે અને સૂર્યની આસપાસ પણ ફરે છે. પરંતુ સૂર્ય પોતે પોતાની ધરી પર ફરે છે અને પોતાના પરિવારને લઈને અનંત અવકાશમાં શૌરી મંડળના તારકગુચ્છ (નક્ષત્ર) તરફ કલાકના ત્રીસ હજાર માઈલની ઝડપથી ધસી રહ્યો છે!
કોણ છે આ શૌરી મંડળ જે આપણા વિરાટ સૂર્યને વામન બનાવી તેને પણ આટલી ઝડપથી દોડાવે છે? પશ્ચિમમાં અગ્રેજીમાં તેને “હર્ક્યુલસ’ કહે છે શૌરીનો અર્થ તો શ્રીકૃષ્ણ થાય, પણ પાંત્રીસ હજારથી પણ ક્યાંય વધારે તારા જે મંડળમાં સમાયેલા છે એમાં કૃષ્ણ ક્યા? એ પ્રશ્નનો જવાબ તો કોણ આપી શકે? કારણકે કૃષ્ણના રાસ મંડળમાં દરેક ગોપી સાથે કૃષ્ણ ક્રીડા કરતા હતા! આમ કૃષ્ણ અનેક સ્વરૂપે વિહાર કરતા તેનો અર્થ તો એ જ ને કે ભગવાન સર્વ વ્યાપક છે? જે એ ભગવાન સ્વરૂપ શૌરી મડળમાં જ આપણી પૃથ્વી, આપણે અને સૂર્યનો તમામ પરિવાર સમાઈ જવાને હોય તો પછી શી ચિંતા છે? પણ શું એ શૌરી મંડળ જ આ અનંત બ્રહ્માંડનું મધ્યબિંદુ હશે?
આપણું સૂર્યમંડળ જેવા તો અનેક સૂર્યમંડળો આ બ્રહ્માંડમાં છે. આપણો સૂર્ય જેમની પાસે ઝાંખામાં ઝાંખા તણખલા જેવો અને જેવડો લાગે એવા (અનેક) મહાતેજસ્વી સૂર્યો આ અનંત બ્રહ્માંડમાં વિચરે છે. એ બધા પણ આ શૌરી મંડળ તરફ ધસી રહ્યા છે એ શું સત્ય હશે? પણ એ શૌરી મંડળ પોતે કોઈ બીજા મધ્યબિંદુ તરફ નહિ ખેંચાતું હોય એ કોણ કહીં શકે? કલ્પનાનો પાંખાળો ઘોડો જ્યાં જઈ શકતો નથી ત્યાં વધુ વખત વિહાર કર્યો શું વળશે એટલે જ આપણા શાસ્ત્રકારોએ કહ્યું છે, કે ઈશ્વરની માયાનો પાર કોઈ પામી શકે નહિ. પણ વળી અહીં પ્રશ્ન થાય છે કે એ ઈશ્વર કોણ અને કેવા સ્વરૂપે છે! એ સર્વત્ર વ્યાપક છે, નિરાકાર છે, અજન્મા છે અને અવિનાશી છે. સર્વ વ્યાપક તો અણુ છે અને અણુમાં જ આ સૃષ્ટિના સર્જન, પોષણ અને પ્રલયની શક્તિ ભરેલી છે. તેને જ આપણે ઈશ્વર અથવા ઈશ્વરની પ્રતિકૃતિ ગણીએ.
અણુ અને અણુશક્તિના પ્રતીક સમા વિરાટ છતાં વામન અને વામન છતાં વિરાટ એવા સૂર્યદેવને નમસ્કાર હો!
સ્રોત સૌજન્ય:
-
દોસ્તીમાં તને પૈસા શેના ચૂકવવાના? ચાલ, હવે ઉછીના આપ!
હરેશભાઈ ધોળકિયાએ રજૂ કરેલ ગુલઝારની યાદદાસ્તોનાં પુસ્તક ‘એક્ચ્યુઅલી.. આઇ મેટ ધેમ …. મેમ્વાર’ નો પરિચય આપણે માણ્યો હતો.
આ પુસ્તકમાંની યાદો બહુ બધાં લોકોને પોતાની અંગત યાદો જેવી લાગી છે. શ્રી બીરેનભાઈ કોઠારીએ અંગતપણાના ભાવને વધારે નક્કર શબ્દદેહ આપ્યો. જરૂર જણાઈ ત્યાં પૂરક માહિતીઓ કે ટિપ્પ્ણીઓ ઉમેરીને એ પુસ્તકનાં કેટલાંક પ્રકરણોના તેઓએ મુક્તાનુવાદ કર્યા.
વેબ ગુર્જરીના વાચકો સાથે એ મુક્તાનુવાદોની લ્હાણ વહેંચવા માટે બીરેનભાઈએ પોતાની એ તાસકને ખુલ્લી મુકી દીધી છે.
તેમનો હાર્દિક આભાર માનીને આપણે પણ ગુલઝારની યાદોને મમળાવીએ.
બીરેન કોઠારી
આ સમય એવો હતો કે જ્યારે બાસુ (ભટ્ટાચાર્ય) બીમલદા (બીમલ રોય) સાથે કામ કરી રહ્યો હતો; અને હું જોડાયો નહોતો. એ પછી બીમલદાની સાથે મેં કારકિર્દીનો આરંભ કર્યો ત્યારે બાસુ પોતાની ફિલ્મો બનાવવામાં વ્યસ્ત થઈ ગયો હતો. બાસુની પહેલવહેલી ફિલ્મ ‘ઉસકી કહાની’ ઓછા બજેટની ફિલ્મ હતી. એ પછીની તેની ફિલ્મો પણ ઓછા બજેટની, અને અમારા સૌ મિત્રો દ્વારા બનાવાયેલી રહેતી. અમને કોઈને કશા કામ માટે મહેનતાણું ચૂકવવામાં નહોતું આવતું. આ બાબતને બાસુ પોતાનો જન્મસિદ્ધ હક ગણતો. એનો તર્ક એ હતો કે પોતાને ફિલ્મમાં કામ કરનાર મિત્રો અન્ય ક્યાંક કામ કરીને કમાતા હોય તો પછી એમને નાણાં ચૂકવવાની જરૂર નથી. ‘આવિષ્કાર’ બનાવતી વખતે બાસુએ રાજેશ ખન્નાને કહેલું, ‘તારે સારી ફિલ્મની, સારા પાત્રની જરૂર છે. પૈસાની જરૂર નથી. તું સુપરસ્ટાર છે.’ સંભવત: રાજેશ ખન્ના આ બાબતે સંમત થઈ ગયા હશે. નાના બજેટની ફિલ્મો બાબતે આ તર્ક સાથે હું પણ સંમતિ ધરાવતો હતો. અમે મિત્રોએ આવી અનેક ફિલ્મો અમારા પોતાના માટે બનાવી. દરેક વખતે પ્રેક્ષકોએ એ કદાચ ન સ્વીકારી, પણ એ ફિલ્મોથી અમને તૃપ્તિનો ઓડકાર આવતો.
શરૂઆતથી જ બાસુનો ઝોક અલગ પ્રકારના સિનેમા તરફનો હતો. એની ફિલ્મો ફિલ્મ ફેસ્ટિવલોમાં મોકલાતી. એક વાર અમે મોસ્કોમાં હતા અને સખત ઠંડી હતી. તેણે મને પોતાનો ઓવરકોટ આપ્યો અને કહ્યું, ‘તું આ લઈ લે, અને મને તારી શાલ આપ.’ બીજા દિવસે મેં બાસુને કહ્યું, ‘આટલો ભારેખમ ઓવરકોટ પહેરવો મને નથી ફાવતો. જાણે કે તને આખેઆખો મારે ખભે ઊંચક્યો હોય એવું લાગે છે.’ મેં એને ઓવરકોટ પાછો આપી દીધો, પણ મને મારી શાલ પરત ન મળી. વાસ્તવમાં બાસુને કદી એમ લાગ્યું જ નહોતું કે તેણે મને શાલ પાછી આપવાની છે. અમારી દોસ્તી આવી હતી.
એક સવારે તેનો ફોન આવ્યો. ‘આવી જા. આપણે ભેગા જમીએ. હું રાંધવાનો છું.’ બંગાળી ભોજન બાબતે અતિ આસક્ત એવો હું તરત સંમત થઈ ગયો. બાસુ એક અદ્ભુત રસોઈયો હતો. બાસુની પત્ની રીન્કીએ કદી અમારા માટે રાંધ્યું હોવાનું યાદ નથી આવતું. હું એને ઘેર પહોંચ્યો ત્યારે ખબર પડી એક મુસીબત મારા માટે ટાંપીને બેઠી હતી. બાસુ પોતાની ફિલ્મ ‘ગૃહપ્રવેશ’ની અધવચ્ચે હતો. તેણે મને જણાવ્યું કે મારે એમાં ‘લોગોં કે ઘર મેં રહતા હૂં’ ગીત અને અન્ય એક દૃશ્યમાં એક નાનકડી ભૂમિકા કરવી પડશે. મેં તરત ઈન્કાર કરી દીધો. તેણે ધમકીના સૂરે કહ્યું, ‘તો પછી તને આજે કશું ખાવા નહીં મળે.’ (બંગાળી ભોજન માટેની) લાલચ અને એવા જ સ્વાદરસિયા સંજીવના દબાણ આગળ હું ઝૂકી ગયો. પરિણામે એ ગીતમાં બેઠેલા અને ચાનો ઘૂંટ ભરતા એક પાત્ર તરીકે મેં દેખા દીધી. બીજું એક દૃશ્ય પણ હતું, પણ ડબિંગ દરમિયાન એમાં મજા ન આવી.
અને અમારી દોસ્તી? એક સવારે એ મારે ઘેર રઘવાટમાં ધસી આવ્યો. ત્યારે હું જુહુ રહેતો હતો. એણે એક વાઉચર ધર્યું અને કહે, ‘આમાં સહી કર. મારી ફિલ્મનાં ગીતો લખવા માટે તને પૈસા આપવા માંગું છું.’ હું નવાઈ પામી ગયો. આવું કદી થયું નહોતું. વાઉચર પણ કોરું કશા લખાણ વિનાનું હતું. ‘આ તો કોરું છે’ મેં કહ્યું. ‘હા, આ મારે ઈન્કમ ટેક્સ માટે જરૂરી છે. અને સાંભળ, બસો રૂપિયા આપ.’ બસ, એણે પૈસા લીધા અને આવ્યો હતો એવો જ ચાલ્યો ગયો.
– ગુલઝાર (ગુલઝાર લિખીત સંસ્મરણો ‘Actually…I met them’ પુસ્તકના એક અંશનો મુક્તાનુવાદ, 2021)
નોંધ: – ગુલઝારે પોતે જે ગીતમાં દેખા દીધી હોવાનો ઉલ્લેખ કર્યો છે એ ‘ગૃહપ્રવેશ’નું ગીત અહીં જોઈ શકાશે.– બાસુ ભટ્ટાચાર્ય અને રીન્કીના છિન્નભિન્ન દામ્પત્યજીવનની અનેક વાતો હવે સૌ જાણે છે, તેથી તેની ચર્ચા અહીં અસ્થાને છે.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૪૪. તનવીર નકવી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
તનવીર નકવી જેવા ઘણા ફિલ્મી ગીતકારો છે જેમનો જન્મ અખંડ હિંદુસ્તાનમાં થયો એટલે એક સમયે હિંદુસ્તાની હતા પણ ભાગલા પછી એમના નિવાસના શહેરો પાકિસ્તાનમાં ગયા એટલે રાતોરાત પાકિસ્તાની બની ગયા ! તનવીર નકવીનું અસલી નામ હતું ખુરશીદ અલી. એમના તખલ્લુસ તનવીરનો અર્થ થાય પ્રકાશ અથવા ચમક.
એમના ગીતો વિષે તો શું કહેવું ! અનમોલ ઘડી ( ૧૯૪૬ ) ના ૧૧ ગીતો યાદ કરો ( આવાઝ દે કહાં હૈ, મેરે બચપન કે સાથી, જવાં હૈ મુહબ્બત ), જુગ્નુ ( ૧૯૪૭ ) નું ‘ યહાં બદલા વફા કા બેવફાઈ કે સિવા ક્યા હૈ ‘ , શીરીં ફરહાદ ( ૧૯૫૦ ) ના ‘ ગુઝરા હુઆ ઝમાના આતા નહીં દુબારા‘ અને ‘ હઝારોં રંગ બદલેગા ઝમાના ‘ સહિત ચાલીસેક હિંદી ઉપરાંત ૨૦૦ આસપાસ પાકિસ્તાની ફિલ્મો. એમની એક પેટા ઓળખ એ કે તેઓ મલકા – એ – તરન્નુમ નૂરજહાંના બનેવી હતા, નૂરજહાંની બહેન ઈદનબાઈના ખાવિંદ.એમણે ગઝલો પણ ખાસ્સી લખી. બે હાજર છે :
નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ
તુજે આઝમાને કો જી ચાહતા હૈઅગર દૂર સે હમ તુજે દેખતે હૈં
તેરે પાસ આને કો જી ચાહતા હૈવો બાતેં જો તેરે તસવ્વુર સે કી હૈં
તુજે ભી સુનાને કો જી ચાહતા હૈતેરી રાહ મેં તેરે હર હર કદમ પર
નિગાહેં બિછાને કો જી ચાહતા હૈ ..– ફિલ્મ : પરાઈ આગ ૧૯૪૮
– મુહમ્મદ રફી
– ગુલામ મોહમ્મદ
( આ જ બહર અને આ જ મતલાના પહેલા મિસરાથી સાહિર લુધિયાનવીએ ૧૯૬૩ માં એક ગઝલ લખી જેને કવ્વાલી તરીકે ‘ દિલ હી તો હૈ ‘ ફિલ્મમાં લેવાઈ અને આના કરતાં ક્યાંય વધુ લોકપ્રિય થઈ. )
એક મુદ્દત સે દીવાના દિલ ખુશિયોં કા ઝમાના ભૂલ ગયા
ફુરકત કી કહાની યાદ રહી, ઉલફત કા ફસાના ભૂલ ગયાઉન નઝરોં મેં કૈસા જાદૂ થા પૂછો તો મુજે કુછ યાદ નહીં
એક બાર તો મૈં બેહોશ હુઆ ફિર હોશ મેં આના ભૂલ ગયાસૂનસાન અંધેરી રાહેં હૈ, સાથી ભી નહીં મંઝિલ ભી નહીં
દિલ મૌત કી ઈસ ખામોશી મેં જીને કા તરાના ભૂલ ગયા ..– ફિલ્મ : નાતા ૧૯૫૫
– મુહમ્મદ રફી / એસ ડી બાતિશ
– એસ મોહિંદર
( આ જ ધુન પરથી ‘પ્રેરણા’ લઈને પછી રવિએ ૧૯૬૦ માં ફિલ્મ ‘ ચૌદહવીં કા ચાંદ ‘ માં ‘ શરમા કે યે ક્યોં સબ પર્દાનશીં આંચલ કો સંવારા કરતે હૈં ‘ નું સર્જન કર્યું. )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
