વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૬૦ . હસન કમાલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    હસન કમાલ સાહેબે ફિલ્મોમાં ગીતકાર તરીકે પદાર્પણ પણ કર્યું એ પહેલા જ ‘ બ્લિટ્ઝ ‘ સાપ્તાહિકના તંત્રી તરીકે પોતાની કારકિર્દીમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અન્ય કેટલાક ઉર્દુ પત્રોમાં પણ એમના કટાર લેખનથી એ લોકપ્રિય હતા.

    ફિલ્મોમાં ગીતલેખન ની શરૂઆત એમણે બી આર ચોપડાની ‘ નિકાહ ‘ ( ૧૯૮૨ ) ફિલ્મથી કરી. આશરે ૨૫ ફિલ્મોમાં ગીતો લખ્યા. એમાંની કેટલીક ફિલ્મો એટલે નિકાહ ઉપરાંત મઝદુર,  ઇન્સાફ કૌન કરેગા, આજ કી આવાઝ, ઐતબાર, તવાઇફ, દહલીઝ, બીવી હો તો ઐસી, હથિયાર વગેરે. ફિલ્મ ક્ષેત્રે એમનો ઉદય અભિનેત્રી સલમા આગા સમાંતરે થયો.

    એમની લખેલી બે જાણીતી ગઝલો :

    દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે
    હમ વફા કરકે ભી તન્હા રહ ગયે

    જિંદગી એક પ્યાસ બન કર રહ ગઈ
    પ્યાર કે કિસ્સે અધૂરે રહ ગયે

    શાયદ ઉનકા આખરી હો યે સિતમ
    હર સિતમ યે સોચ કર હમ સહ ગયે

    ખુદ કો ભી હમને મિટા ડાલા મગર
    ફાસલે જો દરમિયાં થે રહ ગયે ..

     

    –  ફિલ્મ : નિકાહ ૧૯૮૨
    – સલમા આગા
    – રવિ

    કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ
    કહાં હો તુમ કે યે દિલ બેકરાર આજ ભી હૈ

    વો વાદિયાં વો ફિઝાએ કે હમ મિલે થે જહાં
    મેરી વફા કા વહીં પર મઝાર આજ ભી હૈ

    ન જાને દેખ કે ક્યોં ઉનકો યે હુઆ અહેસાસ
    કે મેરે દિલ પે ઉન્હેં ઇખ્તિયાર આજ ભી હૈ

    વો પ્યાર જિસકે લિયે હમને છોડ દી દુનિયા
    વફા કી રાહ મેં ઘાયલ વો પ્યાર આજ ભી હૈ

    યકીં નહીં હૈ મગર આજ ભી યે લગતા હૈ
    મેરી તલાશ મેં શાયદ બહાર આજ ભી હૈ

    ન પૂછ કિતને મોહબ્બત મેં ઝખ્મ ખાયે હૈ
    કે જિનકો સોચ કે દિલ સોગવાર આજ ભી હૈ..

    ઝિંદગી ક્યા કોઈ નિસાર કરે
    કિસે દુનિયા મેં કોઈ પ્યાર કરે
    અપના સાયા ભી અપના દુશ્મન હૈ
    કૌન અબ કિસકા ઐતબાર  કરે ..

    અંતે આપેલું મુક્તક આશા ભોંસલેના કંઠમાં ગઝલના અંતે ગવાય છે.

    –  ફિલ્મ :  ઐતબાર ૧૯૮૫
    –  ભુપેન્દ્ર/ આશા ભોંસલે
    – બપ્પી લાહિરી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અનુરોધ (૧૯૭૭)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ‘આવાઝ કી દુનિયા કે દોસ્તોં’! આ સંબોધન ખાસ કરીને ફિલ્મના કોઈ પાત્રને રેડિયો પર ગાતું બતાવાયું હોય ત્યારે ફિલ્મમાં ખાસ વપરાતું. એવાં અનેક ગીતો યાદ આવે કે જેમાં પુરુષ કે સ્ત્રીપાત્ર રેડિયો સ્ટેશન પર ગાતું બતાવાયું હોય, એ ગીત રેડિયો પરથી પ્રસારિત થઈ રહ્યું હોય અને નાયક કે નાયિકા તેની સાથે પોતાનું અનુસંધાન સાધવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. ‘સ્ટ્રીટ સીંગર’માં ‘જીવન બીન મધુર ના બાજે‘ ગાતા કુંદનલાલ સાયગલ, ‘સુનહરે દિન’માં ‘મૈંને દેખી જગ કી રીત‘ ગાઈ રહેલા રાજ કપૂર, ‘અનુરાધા’માં રેડિયો પરથી રેલાતું ‘સાંવરે સાંવરે‘, ‘બરસાત કી રાત’માં ‘જિંદગીભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત‘ ગાતા ભારતભૂષણ, ‘અભિમાન’માં ‘પિયા બીના પિયા બીના‘ ગાતાં જયા બચ્ચન, ‘ફરાર’માં ‘પ્યાર કી દાસ્તાં તુમ સુનો તો કહેં‘ ગાતાં શબનમ, ‘નઈ ઉમર કી નઈ ફસલ’માં ‘આજ કી રાત બડી શોખ‘ ગાતાં તનુજા, ‘ચાચાચા’માં ‘વો હમ ન થે, વો તુમ ન થે‘ ગાઈ રહેલા ચંદ્રશેખર, ‘મેરે હુજૂર’માં ‘ગમ ઉઠાને કે લિયે’ ગાતા જિતેન્દ્ર…. આવાં અનેક ગીતો છે. અ ગીતોમાં ગાનાર પાત્ર ગાયક કે ગાયિકા બતાવાયું હોય એ તો જાણે બરાબર, પણ ગીત પૂરતું રેડિયો પણ એક પાત્ર બની રહે. રેડિયોસ્ટેશનમાં રેકોર્ડિંગ કરતી વખતે વાદ્યવૃંદ શી રીતે ગોઠવાતું હશે એનો પણ અમુક અંશે અંદાજ મળે, ભલે ને એ ગોઠવણ ફિલ્મમાં દેખાડવા માટે જુદી રીતે કરાઈ હોય!

    રેડિયો પરની આ જ પરંપરાનું એક ટાઈટલ સોન્‍ગ એટલે ‘અનુરોધ’નું ‘આપ કે અનુરોધ પે મૈં યે ગીત સુનાતા હૂં’. ૧૯૭૭માં રજૂઆત પામેલી ‘સામન્ત એન્ટરપ્રાઈઝ’ નિર્મિત, શક્તિ સામન્ત દિગ્દર્શીત ‘અનુરોધ’માં રાજેશ ખન્ના, વિનોદ મહેરા, અશોકકુમાર, સીમ્પલ કાપડિયા, નિરૂપા રોય, અસરાની જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. સીમ્પલ કાપડિયાની આ પહેલી ફિલ્મ. આનંદ બક્ષી દ્વારા લખાયેલાં કુલ પાંચ ગીતોને લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે સંગીતબદ્ધ કર્યાં હતાં. ‘આતે જાતે ખૂબસૂરત આવારા સડકોં પે‘, ‘આ જા…મેરે દિલ ને તડપ કે જબ નામ તેરા પુકારા’ અને ‘જબ દર્દ નહીં થા સીને મેં‘ ગીતો કિશોરકુમાર દ્વારા ગવાયેલાં હતાં, જ્યારે બે ભાગનું ગીત ‘તુમ બેસહારા હો તો કિસી કા સહારા બનો‘ મન્નાડે દ્વારા ગવાયું હતું. (બીજો ભાગ અહીં) નવાઈની વાત એ છે કે ફિલ્મમાં એકે યુગલગીત નહોતું.

    આ ફિલ્મના ટાઈટલ દરમિયાન શરૂ થતું ગીત ‘આપ કે અનુરોધ પે મૈં યે ગીત સુનાતા હૂં’ કિશોરકુમારના સ્વરમાં છે, અને તે રેડિયોસ્ટેશનમાં ‘લાઈવ’ ગવાઈને પ્રસારિત થાય છે.

    ગીતના શબ્દો આ મુજબ છે:

     

    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    अपने दिल की बातों से, आप का दिल बहलाता हूँ
    आप के अनुरोध पे…

    मत पूछो औरों के दुःख में, ये प्रेमकवी क्यों रोता है
    मत पूछो औरों के दुःख में, ये प्रेमकवी क्यों रोता है
    बस चोट किसी को लगती है और दर्द किसी को होता है
    दूर कहीं कोइ दर्पण टूटे, तड़प के मैं रह जाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ

    तारीफ़ मैं जिसकी करता हूँ,
    तारीफ़ मैं जिसकी करता हूँ, क्या रूप है वो, क्या खुशबू है
    कुछ बात नहीं ऐसी कोई, ये एक सूरों का जादू है
    कोयल की एक कूक से सबके मनमें हूक़ उठाता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ

    मैं पहने फिरता हूँ जो, वो ज़ंजीरें कैसे बनती हैं
    मैं पहने फिरता हूँ जो, वो ज़ंजीरें कैसे बनती हैं
    ये भेद बता दूँ गीतों में, तसवीरें कैसे बनती हैं
    सुन्दर होंठों की लाली से, मैं रंगरूप चुराता हूँ
    आप के अनुरोध पे, मैं ये गीत सुनाता हूँ
    मैं ये गीत सुनाता हूँ
    अपने दिल की बातों से, आप का दिल बहलाता हूँ
    आप के अनुरोध पे…

    અ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.

    https://www.youtube.com/watch?v=l2T6YVHDyiw


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૨ જું: વૈજ્ઞાનિક વૃત્તિ : સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    ચોકસાઇના ગુણુની સાથે ઝીણવટયી નિરીક્ષણ કરવાની ટેવ,  નાની અને  બારીક હકીકતોની પણ નોંધ રાખીને તેતો ઉપયોગ અને તેનો અર્થ સમજવાની તત્પરતાએ વૈજ્ઞાનિક સ્વભાવમાં હાજર રહે છે. આ ઝીણવટને લીધે જ ઘણી અગત્યની શોધો થઇ શકી છે. તેનાં એક બે દૃષ્ટાંતો આપવાં આવશ્યક છે.

    ઘણાં વર્ષો સુધી આપણી હવામાં નાઇટ્રોજન, ઓકસીજત, કાર્બોનિક એસિડ ગૅસ અને વરાળના અંશ સિવાય બીજાં કોઇ તત્વો છે જ નહિ એમ મનાતું  હતું. . કેવન્ડીશ (૧૭૩૧–૧૮૧૦) નામના એક અંગ્રેજ રસાયનિકે નિરીક્ષણ કર્યુમ હતું કે હવામાંથી ઉપર્ દર્શાવેલા વાયુઓ દૂર કર્યાં પછી પણ જરા જેટલો (નાના પરપોટા જેવો) વાયુ રહી જતો હતો. સાધનોના અભાવને લીધે આ વાયુના ગુણ અતે લક્ષણોની તપાસ તે કરી શક્યો નહોતો, અને સો વર્ષ સુધી આ વાયુ વિષે કોઇ પણ વૈજ્ઞાનિકે વધારે તપાસ કરી નહોતી. પર’તુ ૧૮૯૪ માં લૉર્ડ રૈલેને હવામાંથી મેળવેલા નાણટ્રોજનના વજનમાં સહેજ ફેર માલુમ પડયો, આ વજનનો ભેદ ઘણો જ થોડો અને ઝીણો હતો-એક ગ્રામના દશ હજારમા ભાગ જેટલો પણ ભાગ્યે હશે. આટલા નાના ફરકને પણ ધ્યાનમાં રાખવાથી, અને કેવન્ડીશના નિરીક્ષણને યાદ શખવાથી તથા આ ભેદના કારણની તપાસ ચાલુ રાખવાથી, હવામાં રહેલા બીજા વાયુરૂપ તત્વોના સમૂહની શોધ ચઇ, આ શોધમાં રંગપટવિદ્યા[1] ઘણી ઉપયોગી થઇ પડી હતી; તેમાં પણ ચોકસાઇ અને ચીવટથી કામ કરનારને આરગન, હીલિયમ, નિયોન, વગેરે નવાં તત્વોની શોધ કરવાનો લાભ મળ્યો હતો. આ તત્વોનું પ્રમાણ હવામાં ઘણું જ થોડું છે. તે છતાં આ તત્ત્વોની શોધથી સૈદ્ધાંતિક રસાયનવિજ્ઞાનના જ્ઞાનમાં કૅટલીએક ખાલી રહેલી જગ્યા પુરાઇ છે: અને એ તત્ત્વોના ગુણના અભ્યાસથી પૃષ્વી અને સૂર્યના સંબંધ વિષે, પૃથ્વીમાં રહેલા હીલિયમના અંશો ઉપરથી પૃથ્વીની ઉમર વિષે અને એવા બીજા અનેક વિષયો ઉપર  પ્રકાશ પડે છે.

    બનાવટી રંગ બનાવવાના અર્વાચીન ઉદ્યોગતી સ્થાપના આવા બારીક નિરીક્ષણની ટેવથી જ થઇ હતી. ઇ. સ. ૧૮૫૬ માં પર્કીન નામના એક ૧૭ વર્ષના યુવકને કોઈદેન બનાવતાં અકસ્માત એક કાળો પદાથ જોવામાં આવ્યો, તેતે નાખી દવાને બદલે તેનો વ્યવસ્થાપૂર્વક અભ્યાસ કરવાથી “એનીલીન માવ’ રંગની શોધ થઇ, અને એક નવા ઉદ્યોગની સ્થાપના થઇ. કોલસામાંથી બાળવા માટેનો ગેસ બનાવતાં અને શુદ્ધ કરતાં જે પદાર્થો મળી આવે છે તેમાંના નાંખી દેવાતા કોલટારમાંથી આ ઉપયોગી પદાથ બનવાથી રંગ બનાવવાના એક નવા હુન્નરની સ્યાપના થઇ છે, અર્વાચીન જગતમાં રંગની વિવિધતામાં અતે અદ્ભુતતામાં તેમ જ રંગથી બનતા સૌન્દર્યમાત્રમાં વૈજ્ઞાનિકોનો હાય સર્વત્ર દેખાય છે., એનીલીનની માફક એલીઝરીન રંગની બનાવટમાં પણ ધણી જ ઝીણવટ, બારીકાઇ અને ચોકસાઇનો ઉપયોમ થપો છે. એમ કહેવાય છે કે એક પ્રયોગમાં થર્મોમીટર તૂટી જવાથી અને તેમાંનો પારો વાસણતી અદર પડવાથી, રાસાયનિક કાર્ય ઉત્તેજિત થયું હતું અને મહિનાઓની મહેનતને બદલે એક જ અકસ્માતથી આ રગ બનાવવાનું કાર્ય સહેલાઇથી સંપૂર્ણ થયું હતું.  આમ અકસ્માતથી કોઈ વખતે વૈજ્ઞાનિકોનું કાર્ય સુલભ થાય છે, પણુ તેનો લાભ બારીકાઇથી નિરીક્ષણ કરનારને જ મળે છે.

    એવો જ દાખલો પેનીસીલીન નામની નવી દવાની શોધ વિષે બન્યો છે. ૧૯૨૯માં પ્રોફેસર ફ્લેમીંગ લંડનમાં જદી જુદી જાતનાં સૂક્ષ્મ જંતુ[2] વિષે પ્રયોગ કરતા હતાઃ તેમાંના એક પ્રયોગમાં તૈયાર કરેલી બધી સામગ્રી બહારની કોઇ વસ્તુને લીધે ખરાબ થયેલી જણાઇ. અને વાદળી અને લીલા વચ્ચેના રગની ઉબ [3] વધતી જોવામાં આવી. હવે બીજા કોઈ પ્રયોગીએ આવી ધટના જોઈને તે રકાખી ફેંકી દીધી હોત અને તે વાત ભૂલી જાત. પરંતુ પ્રોફેસર અનુભવી અને સૂક્ષ્મ નિરીક્ષક હોવાને લીપે તેમણે વધારે ઝીણવટથી જોયું અ ને શોધી કાઢ્યું કે આ ‘ઉબ’ને લીધે મુખ્ય જંતુઓનો નાશ થયો હતો. વધારે શોધ કરતાં જણાયુંકે આ ‘ઉબ’ના જીવનમાં એવી એક રાસાયનિક વસ્તુ નીકળતી હતી કે જેનાથી અમુક રોગોનાં સૂક્ષ્મ જંતુઓનો સદંતર નાશ થયો હતો, આ પ્રમાણે વધુ સંસોધન કરતાં ન્યુમોનિયામાં ફેફસાના કે મગજના સોજાના રોગોમાં અને બીજા કેટલાએક રૉગોમાં તે રામબાણ અસર કરે છે એ પુરવાર થયું આ અકસીર દવાની શોધ તે સૂક્ષ્મ નિરીક્ષણનું જ ફળ છે.

     

    [1] Spectroscopy

    [2] Bacteria

    [3] Fungi


    ક્રમશઃ


    હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સ્પષ્ટતા ” વિશે વાત કરીશું.

  • વાડી સંરક્ષણનો નિર્દોષ ઉપાય – “ધૂપ”

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

            કોઇ પણ જ્વનશીલ પદાર્થનું સળગતી વખતનું રૂપ ભૂરા ભડકાનું ન હોય અને તે મુંઝાતો મુંઝાતો સળગતો હોય ત્યારે તેના અધકચરા સળગીને છૂટા પડી રહેલા કાર્બનના કણોવાળા ધુમાડાના ગોટા તે પદાર્થની વિશિષ્ટ ગંધને ઓર તેજીલી બનાવી વાતાવરણમાં પ્રસરાવે છે. પ્રયત્ન પૂર્વક કરાતી આવી પ્રક્રિયાને આપણે “ધૂપ આપવો” એમ કહેતા હોઇએ છીએ. અને જેને સુંઘતાં આપણને તાજગી આવે અને મન-મગજ ખુશી અનુભવે એને આપણે “સુગંધિત ધૂપ” કહીએ છીએ.

    સુગંધિત ધૂપ સાથે આપણા વ્યવહારો :

    આપણા દેશમાં રાજા હોય કે રંક, શહેરીજન હોય કે ગામડિયા, તમામને ઘેર સવાર-સાંજ બે વખત પોતાના ઇષ્ટદેવને ઘીનો દીવો અને સુગંધિત અગરબત્તી કે લોબાન-ગુગળ જેવા પદાર્થનો ધૂપ શ્રદ્ધાપૂર્વક નિયનિતરીતે કરાતો રહેતો હોય છે. તેથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ અને ચેતનવંતું બની રહે છે.

    અરે ! ઘરો ઉપરાંત મંદિર હોય કે મસ્જિદ, ગુરુદ્વાર હોય કે ચર્ચ- તમામ ધાર્મિક સ્થળોએ અને શાળા-મહાશાળા કે અન્ય સમૂહ મિલનોમાં આરંભે શુદ્ધ અને શાંત વાતાવરણના સર્જન અર્થે ધૂપસળીઓ પ્રગટાવાતી હોય છે.

    પ્રાચીન સમયમાં અને આજે પણ ઘણી વાર થતા રહેતા નાના મોટા યજ્ઞોમાં ઘી અને સુગંધિત સમિધોની આહૂતિ આપવા પાછળ અમૂક જાતના લાભકારી વાતાવરણના સર્જનનો હેતુ રહ્યો હોય છે.

    પણ કેટલાક પદાર્થો એવા યે હોય છે કે જેના ધૂપની દુર્ગંધ નાકમાં ગયા ભેળી જ મનને વિહ્વળ બનાવી મૂકે છે, અને એમાંથી છૂટવા નાક બંધ કરી, શ્વાસ લેવાનું રોકી દઈ, જલ્દી જલ્દી એવું સ્થળ છોડી દેવા તલપાપડ થઈ જઈએ છીએ. એવા પદાર્થને સળગાવવાનો હોય ત્યારે આઘા ઊભા રહેવું પડે છે.

    આ રહ્યાં એવાં ઉદાહરણો કે જેમાં ધૂમાડાની અણગમતી ગંધ અને તેની તીવ્રતાની માઠી અસર આપણા સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતી હોઇ આપણે તેનાથી દૂર રહેવું પડે છે.

    મનને આકળ-વિકળ કરી મૂકે એવી ધૂપની અસરો :

     [1]……..રસોડામાં બહેનો દાળ; શાક કે કઢીનો વઘાર કરે ત્યારે ઓંશરી કે ફળિયામાં બેઠેલ મહેમાન ડાયરાને નાક દ્વારા ગળા સુધી પહોંચેલી તેની તીખી વાસ ઉધરસના ઠંહકાં લાવી દે છે.  વઘારમાં વપરાતાં મરચાં પોતે જ હોય સ્વભાવે તીખાં, અને સૂકાં એવાં કે એને અડક્યું ન થાય ! તેમાં યે તેને જ્યારે નંખાય ઊકળતા તેલમાં ! એટલે એમાંથી છૂટેલો તીખો ધૂપનો ગોટો શ્વાસમાં જાય તો પછી બળતરાની કોઇ મણા રહે ખરી ?

    [2]……..દિવાળીના પરબ ઉપર કે લગ્નપ્રસંગની આતશબાજીમાં ફોડાતા ફટાકડા, ઊંચે ચડાવાતી હવાઇઓ, તિખારા વેરતી ફૂલખરણીઓ કે દાડમ-ચક્રીઓ જેવા અનેક તાજ્જુબીઓ આપતાં દારુખાનામાંથી જે ધુમાડો નીકળે છે, તે કેટકેટલાયને ઉધરસ,શરદી, સળેખમ, અવાજને બેસારી દેવો કે માથાનો દુ:ખાવો શરૂ કરાવી દેવા જેવી માઠી અસરોનો ભોગ બનાવી દેતા હોય છે એનો આપણને અનુભવ ક્યાં નથી ?

    [3]……..એવું જ પથ્થરિયાળ ધરતીમાં ઊંડો કૂવો ગાળતી વખતે કમ્પ્રેસર થકી પાડેલા દારમાં જીલેટીન-કેપ [ટોટા ] ભરી ભડાકા કર્યા પછી તરત કૂવામાં ઊતરીએ તો શું થાય ખબર છે ? જીલેટીનના વિસ્ફોટ પછી તેના ગેસથી કૂવો આખો ખીચોખીચ ભર્યો હોય-એ ગેસ શ્વાસ દ્વારા ફેફસાંમાં ગયેથી ગુંગળામણથી બેભાન બની ગયાના કિસ્સા મોજૂદ છે.

            પણ આ તો થઈ આપણા ઉપર આવા ધુમાડાની થતી ગમતી-અણગમતી અસરોની વાત ! પણ આપણા અન્ય પાલતુ જીવોને અને આપણા ખેતીપાકોના રક્ષણ અને વૃધ્ધિ માટે આવા ધૂપ-ધુમાડા કામે લાગે ખરા ? તો આપણા ખેડૂતો માટે કામની વાત ગણાય.

    કીટકશાસ્ત્રીઓનો અભ્યાસ એવું જણાવે છે કે કેટલાંક ઝીણાં જીવડાંઓને બાદ કરતા ખેતીપાકો અને જમીન પર ઊડતાં ભમતાં અને હરતાં-ફરતાં જીવડાંઓને પણ મનુષ્યોની જેમ ગંધ પારખવાની ઘ્રાણેંદ્રીય અને વસ્તુને નિરખવાની દ્રષ્ટિ પ્રકૃતિએ આપેલી છે. તેથી જ નજરે ચડતાં દ્રશ્યો અને ગંધ ઉપરથી જીવન નિર્વાહ અને શારીરિક ઇચ્છાપૂર્તિ અર્થે બધાં સ્થળફેર કરતાં રહેતાં હોય છે.

    એટલે ખેડૂતોએ તો ખેતીપાકો માટે નડતરરૂપ જીવડાંઓને ભગાડવા કેવા પ્રકારના ધૂપ-ધુમાડો-ગંધ એને નથી ગમતાં તે શોધી કાઢી એનો ઉપયોગ આદરવો જોઇએ.

    આ રહ્યા એવા ધૂપના પદાર્થો કે જે જીવાતોને દૂર ભગાડે છે :

     @………ગામડું હોય કે શહેર, ભેજવાળી ઋતુમાં મચ્છરોનો ત્રાસ બહુ વધતો હોય છે. એનો ખરો ઉપાડો સંધ્યાટાણે શરૂ થઈ જાય છે. આવા ટાણે કોઇ ખેત-કચરાની ઢગલી કરી, તેને સળગાવી, ઉપર થોડી લીમડાની તીરખીઓ નાખી ઘૂમાડાના ગોટા પ્રગટાવી દ્યો ! મચ્છરોની હૈસિયત નથી કે લીમડાના ધૂપવાળી જગ્યાએ ટકી શકે ! એને સ્થળ છોડવું જ પડે ! આ ઉપાયની તો સૌને જાણ છે જ ખરું ને ? અને એટલે જ ખેડૂતોના ઘેર બાંધેલા ઢોરનાં છાપરાંની હેઠળ આવો લીમડાના પાનનો ધુમાડો કરવાનો ઉપાય પરાપૂર્વથી લેવાતો રહ્યો છે.

    @………શેઢા પરનો સૂકાં લાકડાનો ઢગલો ટ્રેક્ટર-ટ્રેલરમાં ભરી ઘેર લઈ જવો હોય, પણ અંદર બાજ્યો છે મોટો મધપૂડો ! કેમ કરીને લાકડાં ટ્રેલરમાં ભરવાં ? ચીકુ, આંબા કે આમળાંમાં ફળો ઉતારી લેવાની વેળા પાકી ગઈ છે, પણ એ જ ઝાડની બરાબર વચલી ડાળ પર જ બેઠેલું ભળાય મધ ! ફળો તોડતાં ડાળી હલી જાય તો મધની માખોનું ઝૂંડ આપણને ચોટી જ પડવાનું ! ફળ ફળને ઠેકાણે રહી જાય અને દૂર ભાગતા ભોં ભારે પડી જાય ભાઇ !

              આવી ઊભી થયેલી કટોકટી વેળાએ લાંબી લાકડીના છેડે થોડા કંતાન કે કપડાનો ડૂચો વીંટી, તેને સળગાવી-તાપ ન થઈ જાય તેવા ધુમાડાનો ગોટો બરાબર મધપૂડા પર ફેલાય તેવું ગોઠવી દઈએ તો મધમાખીઓ ધુમાડાથી છૂટવા તેની વસાહત-મધપૂડો છોડી દઈ આસપાસ ચક્રાવો લીધા કરે છે. આપણે એને સીધી ખીજવી નથી એટલે ડંખ પણ નહીં મારે અને આપણું લાકડાં ભરવાનું કામ પૂર્ણ કરી શાકાશે. જોયું ! અહીં ધૂપ-ધૂમાડે આપણું કામ કેવું સરળ બનાવી આપ્યું ?

    @……… માલધારીઓ અને ખેડૂતોએ વહેલી સવારે થોડું અંધારું હોય ત્યાં ઢોરાં દોહી લેવાં પડે- નહીં તો અજવાળું થયે માખીઓ જાગી જઈ, દૂઝણા ઢોરના શરીર પર ચટકા ભરવા શરૂ કરી દેતી હોય છે.  તે વખતે ઢોરાં માખીઓને ઊડાડવા માથું હલાવ્યા કરે, પૂંછડું આડું અવળું ફંગોળ્યા કરે, પગ ઉંચા નીચા કરી પછાડ્યા કરે એટલે દોહનારનું કામ અડચણમાં મુકાય. આવા ટાણે બસ, આ જ ઉપાય કારગત નીવડે. કૂચાની ઢગલી કરી, મૂકો દિવાસળી અને ઉપર નાખો થોડો લીલો ઓગાહ ! ધુમાડાના ગોટેગોટા નીકળશે, ફરજામાં ફેલાશે અને માખીઓ દૂર ચાલી જશે.

    @……….. ઘણા વરસો પહેલાં અમારા એક ઘરમાં કોઠી માથે સાપ ભરાઈ બેઠેલો દેખાયો. રૂમનું બારણું ઉઘાડીએ ત્યાં ફૂંફાડે ફૂંફાડા મારે !! કોઇની રૂમમાં જવાની હિંમત હાલે નહીં, એમાં એને પકડી દૂર કરવો કેમ ?

                પણ અમારા મા [બાપાના બા ] એ પોતાની ઉંમર સાથે અનુભવ પણ બહુ એકઠો કરેલો. હિંમત પણ ખરી. અમને બધાને આઘા ખસેડી કહ્યું, “ તમે બધાં હાંહતા પડો, એને ખોટો ખીજવોમા, હમણા ઘીના ઠામમાં ઘી પડી રહેશે.” કહી, ચૂલામાંથી થોડો દેતવા લોઢીમાં લઈ, એની માથે થોડું ઘી નાખ્યું અને એ ધૂપિયું સાણસીમાં પકડી મૂકી દીધું સાપવાળા ઘરમાં અને બારણૂં અધખોલું બંધ કર્યું. અમે બધા એ ક્યારે બહાર નીકળે છે એની બારણા સામે નજર રાખી રાહ જોતા બેઠા. ઘીના ધૂપનો આપણને વાંધો નથી પણ સાપને એ ધૂપની વાસ નહીં ગમતી હોય ! એ ઘીના ધૂપથી અકળાયો અને દસેક મીનીટમાં જ ખુલ્લા બારણેથી હળવેકથી સરકતો ઓંશરીમાં આવી, ત્યાંથી સડસડાટ દોડતો વંડીની ખાળમાં થઈ બહાર નાસી ગયો. તે દિ’ અમે સાપને ભગાડવાનો અક્સીર ઇલાજ નિહાળ્યો !

    @………. ચોમાસાની હેલી જામી હોય, વરસાદ બંધ થવાનું નામ ન લેતો હોય, માલધારીનાં ઘેટાં-બકરાંને ચરાવવા તો લઈ જવા જ પડે ને ?  પણ એ બિચારા જીવ એકધારા પલળતાં હોય, પગનાં ખરિયાં તો પાણીપોચાં થઈ ગયાં હોય, બધાંના નાખોરાંમાંથી લીટ હાલી જતી હોય, શરદીથી લથબથ થઈ ગયાં હોય ત્યારે જેમ માણસોમાં ભારે શરદી-સળેખમમાં અજમો કે નીલગીરીનાં પાન અને વિક્સને ગરમ પાણીમાં નાખી ‘નાહ’ લેવાનું વૈદો ચીંધતા હોય છે, તેના જેવું જ માલધારીઓના ઘેટાં-બકરાંના ટોળામાં સાંઇ-ફકીર ગૂગળ-લોબાનનો પાક્કો ધૂપ બનાવી ધૂપિયું ફેરવવા આવે છે, અને માલધારીઓ ગાડ-બકરાં જીવ દીઠ થતો ચાર્જ હમણાં સુધી ચૂકવતા એ મને બરાબર યાદ છે. અમારા જૂના ગામ ચોસલામાં અમે રહેતા હતા ત્યારે હાથમાં ગૂગળ-લોબાન કે કોઇ ઔષધિઓથી બનાવેલ ધૂપિયું લઈ સાંઇ-ફકીર આવતા અને જ્યાં ઢોરાં બંધાતા હોય ત્યાં ખીલે ખીલે-ગમાણે બધે ધૂપિયું ફેરવતા અને વાતાવરણને જંતુમુક્ત કરતા. અને અમે સૌ યથાશક્તિ પાઇ-પૈસો ફકીરની ધૂપદાનીમાં નાખતા ! આ કોઇ કેવળ ધાર્મિક વિધિ નથી પણ વાતાવરણને શુદ્ધ કરવાનો કારગર ઉપાય અજમાવવા જેવો છે.

    @………અચાનક રેડિયો પરથી સમાચાર સંભળાય છે કે “ અમુક વિસ્તારમાં ટીડનાં ટોળાં આકાશે ભમી રહ્યાં છે અને ફલાણી દિશા તરફ ગતિ કરી રહ્યાં છે”. એટલે સાંભળતાંવેંત ડબા-થાળીઓ ટીપી ટીપી ભાતભાતનો શોરબકોર કરવા ઉપરાંત વાડીમાં અનેક જગ્યાએ ખેત-કચરાની ઢગલીઓ સળગાવી ગોટેગોટા ધુમાડો નીકળે એવું કરવા માંડવું પડે છે. ધુમાડો તીડને ગમતો નથી. એને એ અકળાવી મૂકે છે. એટલે અહીં નીચે ઉતરવાનું માંડી વાળી એની ઊડ ચાલુ રાખે અને એમનામ આપણાથી દૂર નીકળી જાય, એટલે સમજોને આપણું  જોખમ ટળે !

    આ પણ ધૂપજ ગણાય :

    કેટલાક વનપક ફળોને અકાળે પકાવી રંગ લાવવા કાર્બેટ, અનાજને સડતું અટકાવવા અને ઉંદરોને એના દરમાં ને દરમાં જ ગૂંગળાવી મારવા વપરાતી સેલ્ફોસ કે ક્વીકફોસ જેવી ટીકડીઓ, જીવાતોને સ્પર્શની સાથોસાથ ગેસયુક્ત ઝેરી અસર પહોંચાડવા ડીડીવીપી જેવાં ઝેરી રસાયણો વાપરવા પાછળ એમાંથી ગેસ-ધૂપ થાય એ જ હેતુ રહ્યો હોય છે. પણ એ બધા કહેવાય ઝેરના અખતરા ! પર્યાવરણ અને આરોગ્યને બાધક હોઇ ત્યજી દેવા જેવા છે.

    આવું કેમ ન કરી શકીએ ?

    કુરેશીબાગવાળા ગફારભાઇ પોતાની આખી નર્સરીને અનેક સ્થળે મૂકેલી ધૂપદાનીઓમાંથી ઊડતો ગૂગળ-લોબાનનો ધૂપ નિયમિત સવાર-સાંજ બે વખત આપીને જો પોતાના રોપા, કલમો અને વૃક્ષોને જંતુમુક્ત રાખી શકતા હોય તો આપણે પણ પ્રયોગોથી સિદ્ધ થયેલ ઉપાય-વાવડીંગનો ધૂપ ઊભી મોલાતમાં આપી મોલો-મસી, લીલાં ચૂસિયાં, તડતડિયાંના ૮૦ % ત્રાસમાંથી મોલાતને મુક્તિ કેમ ન અપાવી શકીએ ? આપણા અનાજ સંગ્રહના કોઠાર-ગોડાઉન, ઢોરના ફરજા-કોઢ અને રહેણાકી મકાન સુદ્ધાંને આવા નિર્દોષ ધૂપ દ્વારા પ્રદૂષિત અસરમાંથી મુક્તિ કેમ ન અપાવીએ ?

    આપણે જરૂર વિચારીએ :

    મિત્રો ! પર્યાવરણ ક્ષેત્રે બહુ બગાડો થતાં છેલ્લે કેટલાંક વરસોથી તેના પર પણ બહુ ગંભીરપણે વિચારાવા લાગ્યું છે. પ્રદૂષિત પર્યાવરણના કારણે કુદરત તરફથી અણધારી આફતો ક્યારે અને કેવા રૂપમાં ઊતરી પડે એનું કંઇ નક્કી હોતું નથી. જુઓને ! ઋતુઓ પણ પોતાનો માર્ગ ભૂલી ગઈ છે. સિઝન હોય ચોમાસાની તો વરસાદ ક્યાંક નેવકો ન વરસે અને જ્યાં વરસે ત્યાં વરસીને રેલહોનારત સર્જી દે ! શિયાળો હવે શિયાળાપણું દેખાડવાનું ભૂલી ગયો છે. જ્યારે ઉનાળો હવે વધુ ને વધુ વહમો બનતો હાલ્યો છે. આમે યે એકંદરે પૃથ્વીનું તાપમાન વધ્યું છે-પરિણામે નથી ઝાડવે ફાલ ટાણાહર લાગતો કે નથી પૂરતાં ફળો ઝાડવે લટકતાં ! માનવીએ આદરેલો મર્યાદાભંગનો ચેપ જાણે ઋતુઓને ચોટી ગયો છે.

    નાના મોટા વાહનચાલકો, નાની મોટી જરૂરી ચીજ-જણસોના ઉત્પાદકો અને વસ્તુઓના ઉપયોગમાં સંયમ ચૂકતા નાગરિકોથી “જગતાત” થોડો અળગો પડતો હતો. હવે જગતાત ગણાતો ખેડૂત પણ ખાદ્ય ચીજોને ઝેરી બનાવતાં જંતુનાશકોના ઉપયોગ થકી સૌની સાથેના લોલંલોલમાં ભળી ગયો છે. માતા ધરતીની નરવાઇ હણી લેવામાં શૂરવીર બન્યો છે. આમાંથી પાછા વળવું જ રહ્યું. આપણી પાસે ઝેરી રસાયણમુક્ત પાકસંરક્ષણના કેટલાક ઉપાયો છે જ. તે પૈકીના આ “ધૂપ” પણ આપણને ઘણી મદદ કરી શકે તેવો નિર્દોષ ઉપાય છે.

    “કૃષિ” એ  અન્ય વ્યવસાય જેવો માત્ર એક ધંધો જ નથી. પરંતુ જીવમાત્ર પ્રત્યેની દયા, સાહનુભૂતિ અને પરસ્પરાવલંબન સાથે જોડાયેલ અને જગતનિયંતા કુદરત સાથે ગૂંથાયેલી એક સર્વશ્રેષ્ઠ જીવન પદ્ધતિ છે. સમજીએ તો જીવનસાધનાનો પંથ છે.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • જળપ્રદૂષણ માટે આપણે સૌ જવાબદાર છીએ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પોતાની જાતને સ્વચ્છતાપ્રેમી ગણાવવું મનુષ્યને બહુ ગમે છે, પણ હકીકત એ છે કે ગંદકી તેનો પ્રિય શોખ છે. જેટલો તે વધુ સુશિક્ષિત અને સાધનસંપન્ન, એટલી વધુ ગંદકી તે ફેલાવે. આ કદાચ કોઈના માન્યામાં ન આવે, પણ હકીકત છે. એક સ્વચ્છતાપ્રેમી અને સુશિક્ષિત વ્યક્તિ કેવળ પોતાની આસપાસની સ્વચ્છતા રાખવા પૂરતી સીમિત નથી બની રહેતી. એ સમગ્રતામાં વિચારે છે. મનુષ્ય પોતાના પરિસરમાં જ નહીં, જ્યાં પણ જાય ત્યાં ગંદકી ફેલાવે છે.

    થોડા સમય પહેલાં ‘નેશનલ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઓશનોગ્રાફી, ગોવા’ના એક અભ્યાસમાં પૂર્વ અરબી સમુદ્રમાં માઈક્રોપ્લાસ્ટિકનું ચિંતાજનક પ્રમાણ જોવા મળ્યું. મુંબઈના દરિયા નજીક, કન્યાકુમારીથી નજીક કેપ કોમોરિનની આસપાસ તેમજ ગોવાના દરિયાતટ વિસ્તારમાં તે વધુ પડતું હતું. આ એક અતિ ગંભીર મામલો કહી શકાય.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આમ તો, પ્લાસ્ટિકની શોધ વિકલ્પરૂપે થઈ હશે, પણ હવે પ્લાસ્ટિકનો કોઈ વિકલ્પ જણાઈ રહ્યો નથી. ઓછું વજન, ટકાઉપણું અને સુલભતાને કારણે વિશ્વભરમાં પ્લાસ્ટિકનો વપરાશ દિનબદિન વધતો રહ્યો છે. વિવિધ રંગ, રૂપ અને પ્રકારનાં પ્લાસ્ટિક આવે છે. કેરી બૅગ, પાણીની બૉટલ, ઠંડા પીણાંની બૉટલ, પ્લાસ્ટિકના કપ, નાયલોનનાં દોરડાં, પોલિથીન, ખુરશી, ટેબલ, પીણાં પીવા માટેની ભૂંગળી, કાંટા-ચમચી, તેલનાં પીપ, કાર્બોય, ડિશ સહિતની કેટકેટલી પ્લાસ્ટિકની ચીજો દુનિયાના ખૂણેખૂણે લોકો રોજબરોજના ધોરણે વાપરે છે અને ફેંકી દે છે. બેફામપણે અને જથ્થાબંધ ઉત્પાદન તેમજ અવૈજ્ઞાનિક ઉપયોગ પ્લાસ્ટિકના પ્રદૂષણને નોંતરે છે. એક સમયે મનુષ્યની સવલત માટે શોધાયેલા પ્લાસ્ટિકે એવો ઊપાડો લીધો છે કે વિશ્વને વિનાશને આરે તેણે લાવીને ઊભું કરી દીધું છે. એમાંય ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક’ તરીકે ઓળખાતા એક જ વખત ઉપયોગ કરીને ફેંકી દેવાતા પ્લાસ્ટિકે પર્યાવરણને પુષ્કળ નુકસાન કર્યું છે અને હજી એ પ્રક્રિયા એટલા જ વેગથી ચાલુ છે. તટીય અને દરિયાઈ વિસ્તારમાં છેલ્લા કેટલાક દાયકાઓમાં આવા પ્લાસ્ટિકથી થતું પ્રદૂષણ ખૂબ વધ્યું છે.

    એક અંદાજ અનુસાર 1950માં પ્લાસ્ટિકનું સરેરાશ વાર્ષિક ઉત્પાદન પંદર લાખ ટન હતું, જે બાળવાર્તામાં આવતી રાજકુમારીની જેમ વધીને ૨૦૧૦માં ૨,૭૦૦ લાખ મેટ્રિક ટન, ૨૦૧૫માં ૩,૨૦૦ મેટ્રિક ટન અને ૨૦૨૧માં ૩,૯૦૫ મેટ્રિક ટન થઈ ગયું.

    વિવિધ પ્રકારનું વપરાયેલું પ્લાસ્ટિક આખરે દરિયાને કે જળાશયોને કે જમીનને હવાલે થાય છે. દરિયાઈ પ્રવાસન, માછીમારી, પરિવહનના સતત વધતા રહેતા પ્રમાણને કારણે દરિયામાં કે જળાશયોમાં સીધેસીધો કચરો ઠલવાય છે, તો ઘરગથ્થુ કે ઔદ્યોગિક વપરાશના પ્લાસ્ટિકનો કચરો લૅન્ડફીલ પર ઠલવાઈને આડકતરી રીતે પછી જળાશયોમાં પહોંચે છે. આ કચરો જળાશયને પ્રદૂષિત કરવાની સાથોસાથ જળસૃષ્ટિને ભયાનક નુકસાન પહોંચાડે છે.

    દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક મુખ્યત્વે વિવિધ પ્રકારનું ‘માઈક્રોપ્લાસ્ટિક’ હોય છે. પાંચ મિ.મી.થી ઓછી લંબાઈનાં એટલે કે પેન્‍સિલની પાછળ આવતા ઈરેઝર જેટલા પ્લાસ્ટિકને ‘અમાઈક્રોપ્લાસ્ટિક’ કહે છે. એક અંદાજ મુજબ દરિયામાં ઠલવાતા માઈક્રોપ્લાસ્ટિક પૈકીનું પંચોતેર ટકા જમીનના સ્રોત દ્વારા આવતું હોય છે. માઈક્રોપ્લાસ્ટિક દરિયામાં અવરોધ પેદા કરે છે તેમજ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખતરારૂપ છે. દરિયામાં ઠલવાતું પ્લાસ્ટિક દરિયાઈ કાચબા, વ્હેલ, દરિયાઈ પક્ષીઓ, માછલીઓ, પરવાળાં તેમજ અન્ય અસંખ્ય દરિયાઈ પ્રજાતિઓ અને આવાસો પર વિપરીત અસર કરે છે.

    માઈક્રોપ્લાસ્ટિક હાનિકારક રસાયણો છોડે છે, જે દરિયાઈ ખોરાક દ્વારા માનવશરીરમાં પ્રવેશે છે. તેને કારણે પાચનસંબંધી, વજન વધવાની, કેન્‍સરની કે અન્ય ગંભીર શારિરીક સમસ્યાઓ સર્જાવાની શક્યતા રહે છે. સરકારી નીતિ ગમે એવી અને, પણ આખરે તો વાત સંસ્થાકીય કે વ્યક્તિગત સ્તરે જ આવીને અટકે છે. પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટે અને અન્ય વૈકલ્પિક સામગ્રી તરફ વળાય તો કદાચ કશુંક નક્કર કામ થઈ શકે. આ કામ એવું છે કે સૌએ પોતપોતાને સ્તરે પૃથ્વીને બચાવવા માટે કરતા રહેવાનું છે. કોઈ બીજા પર ઢોળી દેવાથી સમસ્યાનો ઊકેલ આવવાનો નથી.

    સૌથી કારગર ઊપાય સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગને વ્યક્તિગત ધોરણે બંધ કરી દેવાનો છે. વ્યક્તિગત સ્તરે તેનો ઉપયોગ ઘટાડતા જઈએ તો ધીમે ધીમે એ શક્ય બની શકે. આ પ્રકારનું પ્લાસ્ટિક મોટા ભાગે આપણી અનિચ્છા છતાં ઘરમાં આવતું હોય છે. તેનો સુયોગ્ય વિકલ્પ ધીમે ધીમે શોધતા જવાય અને એમાં ઘટાડો કરતા જવાય એમ બની શકે.

    સૌથી મહત્ત્વની બાબત પ્લાસ્ટિકની સમકક્ષ પેકેજિંગ માટેની વૈકલ્પિક સામગ્રી શોધવાની છે, જે કિંમતમાં પણ કિફાયતી હોય. સાથોસાથ પ્લાસ્ટિકના રિસાયકલિંગને પ્રોત્સાહન આપવા માટે સુયોગ્ય નીતિ અને એનો અમલ જરૂરી છે. એક અંદાજ અનુસાર સમગ્ર વિશ્વમાં હાલ માત્ર ૯ ટકા પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવે છે. રિસાયકલિંગનું પ્રમાણ વધે તો સમુદ્રમાં ઠલવાતું પ્લાસ્ટિક ઘટે અને ‘નવું’ પ્લાસ્ટિક ‘ચલણ’માં આવતું અટકી શકે.

    આનાથી થતા નુકસાનનું ચિત્ર એટલું બિહામણું છે કે એની પર બને એટલો જલ્દી અમલ નહીં કરાય તો વર્તમાન પેઢીને નુકસાન છે જ, ભાવિ પેઢીને પણ અનેકગણું નુકસાન છે.

    દરિયાઈ સૃષ્ટિ સામાન્ય સંજોગોમાં જમીન પર રહેનારને નજરે પડતી નથી. આથી પોતાના દ્વારા ફેંકી દેવાતા પ્લાસ્ટિકથી તેને કશું નુકસાન થઈ શકે એ જોડાણનો અંદાજ સુદ્ધાં તેને હોતો નથી. પ્લાસ્ટિક બેફામપણે વાપરનાર સૌ કોઈએ એ સમજી લેવું રહ્યું કે એ રીતે વત્તેઓછે અંશે પોતે પણ પ્રદૂષણ ફેલાવવામાં હિસ્સેદાર બને છે. એ જવાબદારી પોતાની જ છે. સત્તાવાળા એ અંગેની નીતિ બનાવે ત્યારની વાત ત્યારે, એ પહેલાં વ્યક્તિગત સ્તરે જાગૃતિ નહીં લવાય તો ઘણું મોડું થઈ ગયું હશે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૧ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરિવર્તન- ૯ : ઘાસ

    અવલોકન

     – સુરેશ જાની

    સામે દૂર આંખોને ઠંડક આપતું, લીલીછમ્મ ધરતીનું મનોહારી દ્રશ્ય છે. તમે કલ્પનાની પાંખે ઊડીને તેની નજીક ને નજીક જતા જાઓ છો. પ્રતિક્ષણ તે લીલો પટ્ટો મોટો ને મોટો થતો જાય છે. તમારું ક્ષિતિજ આ લીલી ઝાંયથી ઘેરાવા માંડે છે. હવે તમારી ચારે બાજુ આ લીલો રંગ છવાઈ જાય છે.

    જેમ આ લીલાશ નજીક આવતી જાય છે; તેમ તમે નાના ને નાના થતા જાઓ છો. એ હરિયાળીની ઠંડકમાં તમને તમારા સંકોચાતા કદનો ખયાલ જ આવતો નથી. હવે તમે ચારે બાજુ આ હરિયાળીની વચ્ચે ઘેરાઈ ગયા છો. તમને હવે લીલા સિવાય બીજો કોઈ રંગ દેખાતો નથી. ઘાસનાં તણખલાં હવે વિશાળ નારીયેળીનાં પાન જેવાં લાગી રહ્યાં છે. તમે એક જંતુની જેમ તેની ઉપર બેસી તેની ઠંડકનો સ્પર્શ માણી રહ્યા છો. તમારું જગત હવે લીલું છમ્મ બની ગયું છે. પરીકથામાં માણેલા મધુર વિશ્વની અંદર તમે મહાલી રહ્યા છો. ઈડનનો બગીચો તમારી ચારેપાસ હેલ્લારા મારી રહ્યો છે. આ લીલા સાગરના લીલ્લોળે હિલ્લોળે તમારા દિલમાંય અપરંપાર આનંદનો મહાસાગર ઘૂ ઘૂ  કરતો ઘૂઘવી રહ્યો છે.

    તમે આ આનંદના સાગરમાં ડૂબી જવા, તેની સાથે એકાકાર બની જવા લાલાયિત બની ગયા છો.  તમારા ઉત્સાહને પ્રતિધ્વનિત કરતો મંદ મંદ સમીર આ લીલા સાગરને હીંચોળી રહ્યો છે. અને તમે એક ઠેકડો ભરીને એ લીલાંછમ્મ પાનની અંદર કૂદકો મારો છો. બાજુમાંથી એક વિશાળ નળીમાંથી પાનના કણકણને જીવન સિંચતા પાણીની નદી વહી રહી છે. લીલાં લીલાં અસંખ્ય કણ સૂર્યનાં કિરણોથી તપ્ત બની ફૂલી અને સંકોચાઈ રહ્યાં છે- શ્વસી રહ્યાં છે. હરેક શ્વાસે નળીમાંથી પાણી તેમની અંદર પ્રવેશે છે. અને હરેક ઉછ્વાસે તે કણે બનાવેલું મિષ્ટ પકવાન પાણીની સાથે પાછું જાય છે.

    તમે પાનના હરેક શ્વાસની સાથે તાદાત્મ્ય અનુભવી રહ્યા છો. જીવનનો એ ધડકતો, ફરકતો રાસ તમારા જીવનતાલની સાથે એકતાલ બનવા માંડે છે. અને આ આનંદનો તીવ્રતમ અનુભવ કરવા તમે હવે બીજો ઠેકડો મારીને એક કણની અંદર પ્રવેશો છો.

    અને આ શું? અહીં તો કોઈ ઠંડક જ નથી, બધી શીતળતા વિદાય લઈ ચૂકી છે. ગરમ ગરમ ભઠ્ઠીની અંદર તમે શેકાઈ રહ્યા છો. અહીં તો બાળી નાંખે તેવા જલદ તેજાબ ધખધખી રહ્યા છે. તમારા સમગ્ર હોવાપણાને ગ્રસીને ઓહિયાં કરે તેવી પાનના એ કણની હોવાપણાની ચિરંતન ભુખ તમારો કોળીયો કરવા આતૂરતાથી તમારી તરફ ધસી રહી છે. એ તેજાબના સાગરની મધ્યમાંથી કોઈક અજાણ્યું જીવન પોતાના અસ્તિત્વ સિવાયના બીજા કોઈ ખયાલ વિના  તમારા પ્રાણને ઝબ્બે કરવા આદેશો આપી રહ્યું છે.

    તમે એક્દમ ગભરાઈને પારોઠનાં પગલાં ભરવા માંડો છો. પણ તમે હવે સાવ અસહાય છો. નાના બનવાની આ પ્રક્રિયા અપરિવર્તનશીલ છે. તમે હવે પાછા તમારા અસલી રૂપમાં નથી આવી શકતા. તમે આ કેદમાંથી ભાગવાનો મરણિયો પ્રયત્ન કરો છો. પણ બહારથી કૂમળી અને હરિત લાગતી એ કણની ક્રૂર દિવાલ હવે પોલાદ જેવી બની ગઈ છે. તમે આ કેદમાં થોડીક જ સેકંડો દૂર રહેલા તમારા અંતની નજીક ને નજીક ખસી રહ્યા છો.

    અને એ કાળઝાળ તેજાબ તમને ઘેરી વળે છે. એક જ ક્ષણ અને તમે પણ એ ક્લોરોફિલ બની જવાના છો. તમે પસીને રેબઝેબ, આ દિવાસ્વપ્નમાંથી સફાળા ઝબકીને જાગી જાઓ છો. સામે દૂર એ જ હરિયાળી ફરી પાછી વિલસી રહી છે. જીવનનું સૌદર્ય શું? અને જીવનની ક્રૂરતા શું? – એ બધાં સત્યો તમને હવે સાવ નગ્ન રીતે સમજાઈ ગયાં છે.

    સત્ય બહુ જ કડવું હોય છે; સત્ય બહુ જ અસહ્ય હોય છે; સત્ય બહુ જ કઠોર હોય છે – એ સત્ય સમજી તમારા સત્યશોધનના ધખારા પર પૂર્ણ વિરામ મૂકવું કે કેમ તેવું તમે વિચારતા થઈ જાઓ છો. અને …. આ મામલામાં વધુ ઊંડા ઊતરવા કરતાં ‘ આજની ઘડી રળિયામણી’ ના તમને મળેલાં મહામૂલ્ય રત્ન જેવાં જીવનસૂત્ર અને જીવનશૈલીમાં તમારો વિશ્વાસ હવે દ્રઢ બની ગયો છે.


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

     

  • સાહિર એટલે જાદુગર અને કવિ સાહિર લુધિયાનવી શબ્દ, ભાવ, લય, સંવેદન અને અભિવ્યક્તિના ખરા જાદુગર હતા

    સંવાદિતા

    જંગ તો ખુદ હી એક મસલા હૈ
    જંગ ક્યા મસઅલોં કા હલ હોગી

    ભગવાન થાવરાણી

    સાહિર લુધિયાનવી મુખ્યત્વે પ્રેમ અને એમાંથી જનમતી આનુષંગિક લાગણીઓના કવિ તરીકે જાણીતા છે પણ એમનો રચના સંસાર દરેક અર્થમાં બહુઆયામી હતો. મૂલત: ઉર્દુ કવિ હોવા છતાં એમણે વિશુદ્ધ હિંદી ભાષામાં લખેલા ફિલ્મી ગીતો અને એમાં સમાયેલું અગાધ ઊંડાણ સાંભળી- અનુભવી દંગ રહી જવાય ! એમની અંગત જિંદગી અને પ્રેમ પ્રકરણો ચર્ચાઈ ચુક્યા છે. માનવતા, ધર્મનિરપેક્ષતા, સમાજવાદ અને મહેનતકશોની હિમાયતમાં એમણે વિપુલ માત્રામાં લખ્યું છે. ઉર્દુના મહાન કવિ ફૈઝ અહમદ ‘ ફૈઝ’ ની એમના લખાણો પર ઊંડી અસર હતી. ફિલ્મી ગીતકારોને ફિલ્મોની પ્રસિદ્ધિમાં માનભર્યું સ્થાન અને એમને અપાતાં મહેનતાણા માટે એમણે જે લડત ચલાવી એ કદીય વિસરી શકાય નહીં ! ૨૦૨૧ એમની જન્મ શતાબ્દીનું વર્ષ હતું.


    આજે ચોમેર ફેલાયેલ યુદ્ધ અને તબાહીની આંધીમાં એમની  યુદ્ધવિરોધી રચનાઓ અત્યંત પ્રસ્તુત છે. આવી બે કૃતિઓ ઉપર દ્રષ્ટિપાત કરીએ. એમની એક નઝ્મનો આરંભ આમ છે :

    ખૂન અપના હો યા પરાયા હો
    નસ્લ-એ-આદમ કા ખૂન હૈ આખિર
    જંગ મશરિક મેં હો યા મગરિબ મેં
    અમ્ન-એ-આલમ કા ખૂન હૈ આખિર

    લોહી પોતીકું હો કે પારકું, છેવટે તો માણસનું જ ને ! યુદ્ધ પૂર્વમાં થાય કે પશ્ચિમમાં, હત્યા તો વિશ્વશાંતિની જ ને ! આ નઝ્મની પછીની પંક્તિઓનો કેવળ સારાંશ જોઈએ.

    બોમ્બ ઘર પર પડે કે સરહદ પર, લોહીલુહાણ તો સર્જનનો આત્મા જ થાય છે. ખેતરો આપણા સળગે કે દુશ્મનના,  ભૂખમરો જિંદગી વેઠે છે. ટેન્ક આગળ વધે કે પાછળ હટે, કૂખ ધરતીની જ વાંઝણી થાય છે. વિજયોત્સવ હોય કે પરાજયનું માતમ, જિંદગી લાશો ઉપર આંસુ સારે છે.
    યુદ્ધ તો સ્વયં એક સમસ્યા છે. એ વળી સમસ્યાઓ હલ કરશે ? યુદ્ધ ટળે એ જ શ્રેયસ્કર છે. આપણા સૌના આંગણામાં સુખશાંતિની જ્યોત જલતી રહે એમાં જ ભલાઈ છે.
     કોઈક બળવાન છે એ સાબિત કરવા લોહી વહાવવું એ જ એક ઉકેલ છે ? ઘરનું અંધારું દૂર કરવા ઘરને સળગાવવાનું ?
    લડાઈ લડવી હોય તો બીજા અનેક મોરચા ક્યાં નથી ? આવો લડીએ બર્બરતા સામે,  આ હતભાગી પૃથ્વી પર સમજદારી રૂપી અજવાસ માટે, લડીએ શાંતિ માટે,  લડીએ મોતના સોદાગર એવા રાજકારણીઓ સામે ,લડીએ ગરીબી અને ગુલામી સામે, લડીએ સુશાસન માટે અને ગુમરાહ નેતૃત્વ સામે,  લાચાર પ્રજા માટે, મૂડીવાદના આધિપત્ય સામે,  લોકોની ખુશહાલી માટે અને લડાયકતાની માનસિકતા વિરુદ્ધ !
    ફિલ્મ ‘ તાજમહાલ ‘ ( ૧૯૬૩ ) માં સાહિરે લખેલા લતા મંગેશકર દ્વારા ગવાયેલ અને રોશન દ્વારા તર્જબદ્ધ ( રાગ : મિયાં કી તોડી ) એક નઝ્મમાં પણ આ જ વાત જુદા અંદાઝમાં દોહરાવાઈ છે પણ એના શબ્દોની ઉર્દુ પ્રચૂરતાના કારણે એની મહત્તા યોગ્ય રીતે ઝીલાઈ નથી. પડદા પર મુમતાઝ મહાલ ( બીના રોય )એને ઇબાદતના રૂપમાં ગાય છે. એના અસલ શબ્દો પણ જોઈએ :
    ખુદા – એ – બરતર તેરી ઝમીં પે ઝમીં કી ખાતિર યે જંગ ક્યોં હૈ
    હરેક ફતહ-ઓ-ઝફર કે દામન પે ખૂને – ઈંસાં કા રંગ ક્યોં હૈ
     
    ઝમીં ભી તેરી હૈં હમ ભી તેરે, યે મિલ્કીયત કા સવાલ ક્યા હૈ
    યે કત્લ-ઓ-ખૂં કા રિવાજ ક્યોં હૈ, યે રસ્મે જંગો જિદાલ ક્યા હૈ
    જિન્હે તલબ હૈ જહાન ભર કી, ઉન્હીં કા દિલ ઈતના તંગ ક્યોં હૈ
     
    ગરીબ માંઓં, શરીફ બહનોં કો અમ્નો ઈઝ્ઝત કી ઝિંદગી દે
    જિન્હેં અતા કી હૈ તુને તાકત, ઉન્હેં હિદાયત કી રૌશની દે
    સરોં મેં કિબ્ર-ઓ-ગુરૂર ક્યોં હૈ, દિલોં કે શીશે પે જંગ ક્યોં હૈ
     
    કઝા કે રસ્તે પે જાને વાલોં કો બચ કે આને કી રાહ દેના
    દિલોં કે ગુલશન ઉજડ ન જાએં, મુહબ્બતોં કો પનાહ દેના
    જહાં મેં જશ્ને વફા કે બદલે, યે જશ્ને તીરો તફંગ ક્યોં હૈ..
     
    ધ્રુવ પંક્તિ સહિતના ચાર બંધની આ રચનાનો સરળ અર્થ જોઈએ.
    – હે સર્વશક્તિમાન ઈશ્વર ! તારી જ જમીન પર જમીન ખાતર આ યુદ્ધ શાને ? દરેક ફતેહનો પાલવ માનવીય રક્તથી રંજિત શાને ?
    – જમીન તારી, અમે પણ તારા તો પછી વ્યક્તિગત મિલકતનો સવાલ ક્યાંથી ? આ હત્યા અને ખૂનામરકીની પ્રથા શા કારણે ?આ યુદ્ધ, આ વિખવાદો શાને ? જેમને સમગ્ર જગત કબજે કરવાની લાલસા છે એમનું દિલ આટલું સંકુચિત ?
    – ગરીબ માતાઓ અને ભલી ભોળી બહેનોને શાંતિ અને સ્વમાનનું જીવન આપજે. જેમને તેં સામર્થ્ય અને અપાર શક્તિ આપ્યા છે એમને સન્માર્ગનો રસ્તો પણ અજવાળી આપજે. એ લોકોના દિમાગમાં આ ઘમંડ, આ ઉદ્દંડતા શા કારણે ? એમના હૃદયના દર્પણ ઉપર આ ધુંધળાશ  કેમ ?
    – જે લોકો વિનાશના રસ્તે નીકળી ચૂક્યા છે એમને ત્યાંથી પાછા ફરવાની મોકળાશ આપજે. દિલમાં ખીલેલા હર્યાભર્યા ઉદ્યાન વેરાન ન થઈ જાય તે માટે ત્યાં પ્રેમની કૂંપળનો અવકાશ આપજે. દુનિયામાં પ્રેમ, વફાદારીના ઉત્સવની ઉજવણીના બદલે આ બંદૂકો અને અસ્ત્ર- શસ્ત્રોનું સામ્રાજ્ય શાને ?
    સાહિરની સૌથી લોકપ્રિય રચના ‘ અલ્લાહ તેરો નામ‘ ( ફિલ્મ : હમ દોનો – લતા ) ના શબ્દોમાં પણ અદ્દલ આ જ ભાવ છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • કાર્ટૂનકથા (૧૭)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના સત્તરમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

     

    વાર્તાવ્યંગ્ય

    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પ્રવાસન ક્ષેત્રની હાલત કમાઉ છતાં ઓરમાન સંતાન જેવી છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    પ્રવાસ, પર્યટન અને યાત્રા માનવજીવનનું અભિન્ન અંગ છે. કદાચ એટલે જ જીવ્યા કરતાં જોયું ભલું એમ આપણે કહીએ છીએ. ભારત દેશી-વિદેશી પ્રવાસીઓને ભરપૂર આકર્ષી શકે એટલી વિવિધતા ધરાવે છે. હિમાલયનો મોટો હિસ્સો ભારતમાં છે. ઘણી વિશાળ નદીઓ છે તો વિશાળ સમુદ્ર તટ છે. વિવિધતાથી ભરેલો રણ પ્રદેશ છે. પ્રાચીન સભ્યતા ધરાવતા આપણા દેશમાં કેટકેટલા ઐતિહાસિક સ્થળો છે. યુનેસ્કોની વિશ્વ ધરોહરના ઘણાં બધાં સ્થાનો છે. રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્યો છે. નહેરુ જેને આઝાદ ભારતના નવા તીર્થ સ્થળો કહેતા એવા વિશાળકાય બંધો અને ઉત્પાદન કેન્દ્રો છે. રંગબેરંગી વિવિધતાઓમાં કંઈક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા સ્થાનો , નદીઓ, ઝરણા,પર્વતો,સંગીત, સંસ્કૃતિ, ખાનપાન, હસ્તકળા અને એવું કંઈક છે. વન્ય જીવન છે તો પહાડી અને મેદાની પ્રદેશો છે. તાજમહેલ અને કશ્મીર પછી હવે વિશ્વની સૌથી ઉંચી સરદાર પ્રતિમાનું સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટી  છે. ગાંધી,નહેરુ, સુભાષ,સરદાર, ભગતસિંઘના જન્મ અને સ્મારક સ્થળો છે તો ગુરુદેવ ટાગોરનું શાંતિનિકેતન અને જૂની-નવી નાલંદા વિશ્વ વિદ્યાલય છે. અનેક બૌધ્ધ તથા જૈન સ્મારકો છે. બિનસાંપ્રદાયિક દેશમાં તમામ ધર્મોના મહત્વના અને કેટલાક વિશ્વ પ્રસિધ્ધ ધાર્મિક સ્થળો છે. ટૂંકમાં ભારત પ્રવાસન ક્ષેત્રે ખૂબ સમૃધ્ધિ ધરાવે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વલ્ડ ઈકોનોમિક ફોરમ ઘોષિત ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઈન્ડેક્ષમાં વિશ્વના ધનવાન દેશો મોખરાનું સ્થાન ધરાવે છે. પ્રવાસનમાં શીર્ષ સ્થાન ધરાવતા દુનિયાના દેશો જાપાન,અમેરિકા, સ્પેન, ફ્રાન્સ, જર્મની, સ્વિત્ઝરલેન્ડ, ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને સિંગાપુર છે. અનોખા પ્રવાસન સ્થળો અને પ્રવાસીઓ માટે બહેતર સુવિધાઓના કારણે આ અમીર દેશો સૂચકાંકમાં મોખરે છે. ૨૦૨૪ના યાત્રા અને પર્યટન વિકાસ સૂચકાંકની ૧૧૯ દેશોની સૂચિમાં ભારત ૩૯મા ક્રમે છે. કોરોના મહામારી પૂર્વે ૨૦૧૯મા તેનું સ્થાન ૫૪મું હતું. કોરોના પછી ટુરિઝમ ક્ષેત્રે મંદી પ્રવર્તી રહી છે ત્યારે ભારતે  વિશ્વના દેશો સાથે સ્પર્ધા કરી પ્રથમ ચાળીસમા સ્થાન મેળવ્યું છે, તે નોંધનીય છે.

    પ્રવાસન પ્રત્યેનું એકંદર સરકારી વલણ કમાઉ પણ ઓરમાન દીકરાનું  છે. જોકે હવે તેમાં સુધારો થઈ રહ્યો છે. એ દ્રષ્ટિએ ભારતમાં  ટુરિઝમના વિકાસની યાત્રા જોવા જેવી છે. સ્વતંત્રતા પહેલા ૧૯૪૫માં પ્રવાસનના વિકાસ માટેનો પહેલો સંગઠિત અને સચેત પ્રયાસ કરવામાં આવ્યો હતો. પંચવર્ષીય યોજનાઓમાં પણ તેને સ્થાન મળ્યું. ૧૯૬૬માં ઈન્ડિયન ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશનની રચના કરવામાં આવી  અને તેને પ્રવાસન સ્થળોએ પાયાની સગવડો  ઉભી કરવાનું કામ સોંપાયું. રોજગારીનું સર્જન, આવકનો સ્ત્રોત, વિદેશી મુદ્રા આવકની રીતે વિચારીને ૧૯૮૦ના દસકમાં પ્રવાસનને એક ઉદ્યોગના રૂપમાં ગતિ મળી.પ્રવાસન બંધારણની સમવર્તી સૂચિનો વિષય હોઈ તે કેન્દ્ર અને રાજ્યો બંનેને સ્પર્શે છે પરંતુ કેન્દ્રીય ધોરણે પહેલી પ્રવાસન નીતિ ૧૯૮૨માં ધડવામાં આવી હતી. વિદેશોમાં ભારતને ગૌરવશાળી અને સમૃધ્ધ અતીત ધરાવતા દેશ  તરીકે સ્થાપિત કરી વિદેશી પ્રવાસીઓને આકર્ષવા પર તેમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. ૧૯૯૨ થી ૯૭ની આઠમી પંચવર્ષીય યોજનામાં પ્રવાસનમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારી વધારવા અંગેની યોજના ઘડાઈ હતી.૨૦૦૨ની નેશનલ ટુરિઝમ પોલિસીમાં પ્રવાસનને આર્થિક વિકાસના ચાલક બળ તરીકે જોવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. આ જ વરસે અતુલ્ય ભારત અભિયાન હેઠળ વિશ્વમાં ભારતના પ્રવાસનનો પ્રચાર કરવામાં આવ્યો.

    જો વીસમી સદીમાં પ્રવાસન વૈશ્વિક ઉધ્યોગ તરીકે સ્થાપિત થયું હતું તો એકવીસમી સદીમાં તેમાં ગતિ આવી છે. વિદેશી પર્યટકોને આકર્ષવા માટે દુનિયાના દેશોમાં રીતસરની હરીફાઈ ચાલે છે. વન્ય જીવન માટે પ્રખ્યાત કેન્યાએ આ વરસથી આખી દુનિયાનાપ્રવાસીઓને વીસામાંથી મુક્તિ આપી છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકાએ  ભારતીય પ્રવાસીઓને વીસા લેવામાંથી મુક્તિ આપી છે. જાપાને પણ પ્રવાસીઓ માટે વીસાની પ્રક્રિયા સરળ બનાવી છે. ભારતમાં ટુરિઝમ ક્ષેત્રે અપાર શક્યતાઓ રહેલી છે. હવે છેલ્લા એક દાયકાથી સરકારે પ્રવાસનના વિકાસને પ્રાથમિકતા આપી છે.

    દેશની અર્થવ્યવસ્થામાં પ્રવાસનનું મોટું યોગદાન છે. ભારતના જીડીપીમાં  તેનો હિસ્સો ૬.૨૩ ટકા છે. તો કુલ રોજગારમાંથી ૬.૭૮ ટકા રોજગાર પ્રવાસનથી ઉભા થાય છે. ૨૦૨૧માં ટુરિઝમથી ૩૨ મિલિયન રોજગાર પેદા થયા હતા. ભારતના પ્રવાસન ઉધ્યોગથી આઠ કરોડ લોકોને સીધી કે આડકતરી રોજી મળે છે. ભારતમાં સામાન્ય રીતે ધાર્મિક પ્રવાસો મોટા પાયે થાય છે. એટલે ધાર્મિક સ્થળોને પ્રવાસ ધામ તરીકે વિકસાવવાને પ્રાથમિકતા મળી છે. ગુજરાતમાં પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ બનાવ્યું છે. જોકે સરકારનું લક્ષ્ય શિક્ષણ અને આરોગ્યના ક્ષેત્રે પણ પ્રવાસનનો વિકાસ કરવાનો છે.

    ભારતના લોકો વિદેશ પ્રવાસ કરીને અન્ય દેશોને જે આવક રળી આપે છે તેટલી આવક ભારતને  વિદેશીઓના ભારત પ્રવાસથી થતી નથી.દુનિયાના કુલ વિદેશી પ્રવાસીઓના માંડ બે ટકા જ ભારતમાં આવે છે. ૨૦૨૨માં ૨ કરોડ ભારતીયોએ વિદેશોના પ્રવાસો કર્યા હતા તેની તુલનાએ ભારત આવનારા વિદેશી પ્રવાસીઓ પંચાસી લાખ જ હતા. ૨૦૨૨-૨૩માં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે આશરે ૧૩ અબજ ડોલર અને ૨૦૨૩-૨૪માં ૧૭ અબજ ડોલર ખર્ચ્યા હતા.  ભારતને વિદેશી પ્રવાસીઓથી થયેલી આવક કરતાં ભારતીયોએ વિદેશ પ્રવાસ માટે ખર્ચેલા નાણા અનેક ગણા વધારે છે.

    ગરીબી નાબૂદી અને વંચિતોના વિકાસની દ્રષ્ટિએ પણ પ્રવાસનના વિકાસનો વિચાર થવો જોઈએ. ઓછા ખર્ચનું રોકાણ અને વધુ નાણા રળી આપતા પ્રવાસન તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારોનું ધ્યાન ખેંચાયું છે અને તેના વિકાસને પ્રાધાન્ય મળ્યું છે .પરંતુ હજુ ઘણું કરવાનું બાકી છે.એક ગીતમાં કહેવાયું છે તેમ પાવલી લઈને પાવાગઢ જનારા ધાર્મિક યાત્રીઓ આપણે ત્યાં ઓછા નથી . રણુંજા, ચોટીલા, અંબાજી, ડાકોર નિયમિત જનારા પ્રવાસીઓ આપણી હાલની ટુરિઝમ પોલીસીમાં ક્યાં છે તેવો સવાલ રહે છે.

    પ્રવાસન ક્ષેત્રે સરકાર, સમાજ, સેવાભાવી સંસ્થાઓ અને ખાનગી ક્ષેત્રે ઘણું કામ કર્યું છે.પરંતુ હજુ ઘણું કરવાનું શેષ છે. પૈસાવાળાઓની સાથે જ સાધારણ પ્રવાસીઓને પણ પોસાય તેવી સગવડો પ્રવાસન સ્થળોએ ઉભી થવી જોઈએ. પ્રવાસન સ્થળો ગંદા-ગોબરા ના હોય તેમ તે અતિ ભીડભાડથી મુક્ત હોય તે પણ જરૂરી છે. પ્રવાસન સ્થળોએ મ્યુઝિયમ્સ અને સંગ્રહાયલોને યોગ્ય રીતે અને વ્યવસાયી ધોરણે સ્થાપવાની જરૂર જરાય ઓછી નથી. નિવાસ અને ભોજનની સગવડના અભાવે પ્રવાસીઓ આવતા બંધ ના થાય એટલે પ્રવાસીઓની રસરૂચિનું ભોજન તથા આરામદાયક,સ્વચ્છ અને સુરક્ષિત નિવાસની પૂરતી વ્યવસ્થા ઉભી થવી જોઈએ. ગુણવતાપૂર્ણ ભોજન અને નિવાસને પ્રવાસીઓને આકર્ષવાની ગુરુ ચાવી ગણવી જોઈએ. ખાનગી અને જાહેર પરિવહન પ્રવાસનના વિકાસની પ્રાથમિક શરત હોઈ રસ્તા, રેલ અને હવાઈ માર્ગે પ્રવાસન સ્થળને જોડવા પડશે. એ જ રીતે ઘણા પ્રવાસન સ્થળો પર ઋતુઓની અસર થાય છે અને વિપરિત ઋતુમાં પ્રવાસીઓ ઘટે છે તે  અડચણ દૂર કરવાની જરૂર છે.

    વર્તમાન દાયકાના અંતે ભારત ટુરિઝમ ઈકોનોમીને દ્રઢ કરી વિદેશી પ્રવાસીઓ પાસેથી ૫૬ અબજ ડોલર અને આઝાદીના શતાબ્દી વરસે ૨૦૪૭માં ૧ લાખ કરોડ ડોલર મેળવવાનું લક્ષ્ય ધરાવે છે. તેને સાકાર કરવા અનેક દિશાએથી પ્રયાસો કરવા પડશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – ૨

    સહિયારું સખ્ય..

    નીલમ  હરીશ દોશી

    મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
    શુભ થાઓ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે

     પ્રિય દોસ્ત,

    કેમ છો દોસ્ત ? ભકતનું સંબોધન તો હવે જૂનવાણી ગણાયને ? સમયની સાથે સંબોધન પણ બદલાય ને ?  પ્રિય ભક્ત કે પ્રિય માનવને બદલે, દોસ્ત  ?   આજના યુગને તમે મૈત્રીયુગ નામ આપ્યું છે ને ?  આજે તમે  અન્ય સૌ સંબંધો કરતા મિત્રતાના સંબંધને વધારે આવકાર્ય ગણો છો. પિતા, પુત્ર , મા દીકરી કે સાસુ વહુ જેવા સંબંધોમાં પણ તમે મિત્ર શોધો છો અને મૈત્રીના સંબંધને ઝંખો છો..એનાથી હું અજાણ નથી. અને એમાં કશું ખોટૂં પણ નથી. સમયની સાથે પરિવર્તન તો આવતું જ રહેવાનું અને એ મનથી સ્વીકારવું પણ જોઇએ. દરેક યુગની આગવી માગ, આગવી જરૂરિયાત હોય છે. સનાતન સત્યની સાથે સાથે દરેક સમયનું પોતાનું પણ એક આગવું સત્ય  હોય છે. તો પછી મારે પણ બદલાવું રહ્યું ને ?

    જેની સામે  મોકળા મને ઠલવાઇ શકાય, જેને ખભ્ભે માથું  મૂકીને હળવાશની  અનુભૂતિ પામી શકાય એવા દોસ્ત મેળવનાર નસીબદાર કહેવાય. જે વગર કહ્યે તમારી વ્યથા સમજી શકે એવી દોસ્તીની ગરજ કોને ન હોય ? તમારામાં પણ એવી અનેક દોસ્તી પાંગરી હોવાના દાખલા મેં જાણ્યા છે.

    સખાભાવને તો મેં પણ હમેશા સ્નેહથી સ્વીકાર્યો છે. સુદામા, અર્જુન કે દ્રૌપદી જેવા મારા અનેક પરમ મિત્રોની મિત્રતા હું કેમ વિસરી શકું ? મારા પરમ સખા માટે તો હું તેનો સારથિ બનીને રથ હાંકનાર પણ બની શકું કે પછી  સખા માટે હું બધું ભૂલીને અડવાણા પગે  પણ દોડી જાઉં અને વગર માગ્યે દોસ્તની અપેક્ષાઓ પૂરી કરી શકું.

    દોસ્તી બહું મોટી ચીજ છે. એનો અનાદર તો હું પણ નથી કરી શકતો. હા, એ માટે લાયક દોસ્ત મળવો જોઇએ. હે માનવ, તારામાં એક લાયક દોસ્ત બનવાની અપાર શકયતા છે. અને મને તારી દોસ્તીની ઝંખના છે. આજે મને પણ ભકતની નહીં, એક સંનિષ્ઠ મિત્રની જરૂર વરતાઇ રહી  છે. મને આશા છે મારી દોસ્તી તું કબૂલ કરીશ.  આજે  આ ઇ મેઇલથી  તારી તરફ દોસ્તીનો હાથ લંબાવવાની પહેલ હું કરું છું.

    મહાભારતના યુધ્ધ મધ્યે  મારા પરમ સખા અર્જુનને ગીતા સંભળાવીને મેં તેનો મોહ, તેનું અજ્ઞાન દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. દોસ્ત, આજે તું પણ અનેક જાળાઓમાં, વાડાઓમાં, ગ્રન્થિઓમાં, અટવાયેલો છે એવું મને લાગે છે.એક મિત્ર તરીકે મને એ ન જ ગમે ને ? પોતાનો મિત્ર ખોટી દિશાએ ચડી ગયો હોય એ એક સાચા મિત્રથી કેમ સહન થાય ? એથી  આ ઇમેઇલ તારા કુશળ મંગલ માટે..

    લિ. તારો જ ઇશ્વર..


    ચપટીક ઉજાસ..

    એક મીણબત્તીમાથી હજારો સળગી શકે. અને એથી મીણબત્તીની લાઇફ  ઘટતી  નથી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે