વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલસુફીભર્યાં ગીતો – ૨૧ – ज़माने वालो किताब-ए-ग़म में खुशी का कोई फ़साना ढूँढो

    નિરંજન મહેતા

    ૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નું આ ગીત એક પાર્ટીમાં જીતેન્દ્ર ગાય છે જે દ્વારા આપણને સૌને જીવવાનો માર્ગ સૂચવે છે.

    एक बंजारा गाए, जीवन के गीत सुनाए
    हम सब जीने वालों को जीने की राह बताए

    ज़माने वालो किताब-ए-ग़म में
    खुशी का कोई फ़साना ढूँढो
    हो ओ ओ ओ … आँखों में आँसू भी आए
    वो आकर मुस्काए

    सभी को देखो नहीं होता है
    नसीबा रौशन सितारों जैसा
    सयाना वो है जो पतझड़ में भी
    सजा ले गुलशन बहारों जैसा
    ओ ओ ओ … कागज़ के फूलों को भी
    जो महका कर दिखलाए

     

    જીવનમાં દુઃખ તો સૌ કોઈને આવવાનું પણ તેમાંથી કોઈ ખુશી શોધી લેશો તો તે દુઃખની પીડા ઓછી જણાશે. તે જ રીતે મુશ્કેલીઓને કારણે આંખમાં આંસુ પણ આવે તો તેને હસ્તે મુખે સ્વીકારી લો.

    આગળ તે કહે છે કે બધાને તારાઓ જેવી રોશની ન પણ મળે તો તેનો અફસોસ ન કરવો કારણ બધાના નસીબમાં તેવું લખાયું નથી હોતું. એટલે જે પરિસ્થિતિ છે તેનો સ્વીકાર કરી લો.

    વળી આગળ તે કહે છે કે તે વ્યક્તિ સમજદાર છે જે પાનખરમાં એટલે કે દુઃખમાં પણ બહાર એટલે કે સુખ પ્રાપ્ત કરી શકે છે અને કાગળના ફૂલો એટલે કે દુઃખને પણ અપનાવીને જીવન સુધારી શકે છે.

    ગીતના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે રફીસાહેબનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૪૬. અંજુમ પિલિભીતી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ૧૯૪૮ ની સંગીતકાર નૌશાદની ૧૧ ગીતો ધરાવતી સંગીતમય ફિલ્મ ‘અનોખી અદા’ માં શકીલ બદાયુનીએ લખેલા નવ લોકપ્રિય ગીતોની સાથે બે ઓછા જાણીતા જે ગીતો હતા ( ‘ જલે ન ક્યોં પરવાના ‘ અને ‘ બડે ભોલે ભાલે હૈં ‘ – સુરેન્દ્ર ) તે લખ્યા હતા અંજુમ પિલિભીતીએ. ૧૯૪૩ થી ૧૯૫૮ દરમિયાન આ અંજુમ સાહેબે ઉપરોક્ત ફિલ્મ ઉપરાંત વિદ્યા, હુમાયું, હમજોલી, મેરી કહાની, નજમા, ઉષા કિરન, બડી માં અને તકદીર જેવી બે એક ડઝન ફિલ્મોમાં પચાસ થી યે વધુ ગીતો લખ્યા હતા. ગાયિકા શમશાદ બેગમનું પહેલું હિન્દી ફિલ્મી ગીત ‘ બાબુ દરોગાજી કૌન કસૂર પે ધર લે બૈયાં મોરી ‘  ( તકદીર ૧૯૪૩ ) એમણે જ લખેલું.

    એમના લખેલા દેશભક્તિના ફિલ્મી ગીત ‘ દિલ્હી તેરે કિલે પર હોંગે નિશાન હમારે ‘  અને ‘ યે દેશ હમારા પ્યારા હિન્દુસ્તાન ‘  (નૂરજહાં ) પણ ઘણા લોકપ્રિય થયેલા.

    એમની કલમે લખાયેલી બે ગઝલ પ્રસ્તુત છે :

    નઝર સે મિલી હૈ નઝર પહલે પહલે
    સંભાલા હૈ દર્દે જીગર પહલે પહલે

    યે જી ચાહતા હૈ ઉધર હી કો ચલીયે
    લુટા આયે થે દિલ જીધર પહલે પહલે

    વો હૈં જિનકે દિલ કો તસલ્લી ન હોગી
    હમે થી ને દિલ કી ખબર પહલે પહલે

    ઝિઝક કિસ લિયે ઉનસે હોતી હૈ ફૂલો
    મોહબ્બત મેં હોતા હૈ ડર પહેલે પહેલે..

     

    – ફિલ્મ :  તૂટે તારે ( ૧૯૪૮ )

    – ગીતા દત્ત

    – નાશાદ

     

     

    કિસી તરહ સે મોહબ્બત મેં ચૈન પા ન સકે
    લગી વો આગ હૈ સીને મેં જો બુઝા ન શકે

    જુબાન ચુપ રહી મેરી તો આંસૂ બોલ ઉઠે
    છુપાઈ લાખ મુહોબ્બત મગર છુપા ન સકે

    ન જાને કિસકી હૈ તસવીર આંસૂ આંસૂ મેં
    કે અપની આંખ સે આંસૂ ભી હમ ગિરા ન સકે

    તબાહી પૂછ ન દિલ કી તુ હમસે એ દુનિયા
    કુછ એસી ઉજડી હૈ બસ્તી કે હમ બસા ન સકે..

     

    – ફિલ્મ : બડી માં

    – નૂરજહાં

    – દત્તા કોરેગાંવકર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વનવૃક્ષો : ખીજડો

    ગિજુભાઈ બધેકા

    ખીજડો સીમમાં તેમ જ ગામની અંદર ઊગે છે.

    અમારી શેરીના એક દવેના ફળિયામાં ખીજડો ઊગ્યો હતો.

    નાનપણમાં છોકરીઓ લોકગીતો ગાતી હતી તેમાં નીચેની લીટી આવતી હતી :–

    “ખીજડે ચડીને વાટ જોઈશ
    મોરી સંગલાલ.”

    છોકરાઓ ખીજડે ચડવાના શોખીન હોય છે. ખીજડા ઉપર શીંગો થાય છે તેને સાંગરો કહે છે; સાંગરો ખાવામાં ફિક્કીગળી લાગે છે.

    છોકરીઓ છાણ વીણવા જાય છે ત્યારે ખીજડા નીચે છાણના સૂંડલા મૂકી ખીજડે ચડી સાંગરો ખાય છે. નાની છોકરીઓ ખીજડો હલાવીને નીચે પડેલી સાંગરો વીણે છે; ઉપર ચડેલી છોકરીઓ ખોળો ભરી સાંગરો નીચે લાવે છે. અને ભાંડરડાં માટે ઘરે લઈ જાય છે.

    દિશાએ જવા નીકળેલા છોકરાઓ સાંગરો ખાવા ચડી જાય છે, તેમ નિશાળમાંથી નાસી આવેલા છોકરાઓ પણ સાંગર ઉડાવવા આવે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ખીજડાનું ઝાડ બહુ આકર્ષક કે રળિયામણું નથી. પાંદડાં ઝીણાં અને લીલાં ભૂખરાં હોય છે. ડાળો બટકણી હોય છે. થડની છાલ થોડાં થોડાં તડિયાં તડિયાંવાળી હોય છે. ખીજડાનું બીજું નામ શમીવૃક્ષ છે. મહાભારતના પાંડવોએ વનવાસમાં જતી વખતે પોતાનાં હથિયારો ખીજડા પર સંતાડ્યાં હતાં. આજે પણ ક્ષત્રિયો દશેરાને દિવસે શમીપૂજન કરે છે; ઝાડને સિંદૂરનું ત્રિશૂળ કરે છે અને તેને પગે લાગે છે. કેટલાએક રાજાઓ સવારી કાઢી દશેરાને દિવસે શમી પૂજવા જાય છે.

    વાઘરીનું માનીતું ઝાડ બાવળ, ચમારનું આવળ, બ્રાહ્મણનું પીપળો, કુંભારનું આંબલી, જોગીઓનો વડ, એમ રજપૂતનું શમીવૃક્ષ કહેવાય. એમ કહીએ તોપણ ચાલે કે પીપળો પવિત્ર ઝાડ અને ખીજડો બહાદુર ઝાડ.


    માહિતી સ્રોત : વિકિસ્રોત
  • એડેનિયમ નો છોડ અને સાથે શક્કર ખોરો/ પર્પલ સન બર્ડ નું સહઅસ્તિત્તવ

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    કુદરતની રચના અપરંપાર છે! પૃથ્વી ઉપરના દરેક જીવનું  બીજા જીવો સાથે જીવન ચક્રમાં યોગદાન રચાયેલું છે. એકબીજા ઉપર નભતા હોય છે અને ખોરાક તેમજ જીવન ચક્રમાં એકબીજાની જરૂરત એકબીજાને પડતી હોય છે.

    કુદરતની પાસેથી ઘણું બધું શીખવાનું હોય છે અને અચંબિત કરી દે તેવી એકએકથી ચઢિયાતી અજાયબી જોવા મળે છે. એક બીજા ઉપર નિર્ભિત ચોક્કસ સમયની એકની જરૂરિયાત પુરી થાય અને બીજાની તેની ઉપરની નિર્ભિત પ્રક્રિયા કુદરતમાં દરેક ક્ષણે કૈંક અને કૈંક ચાલ્યા કરતી જોવા મળે છે. આવી એક નયનરમ્ય રચનાના અનુભવની અહીં રજૂઆત વર્ણવી છે જે એક જીવના બીજા જીવ સાથેના સહઅસ્તિત્વ જીવનની ગૂંથણી જોવાનો લ્હાવો બની રહ્યો! જુઓ તો મોસમ મોહક થઇ જાય છે!

    ખુબજ સુંદર પક્ષી શક્કર ખોરો/ Purple Sunbird ની પ્રજનનની ઋતુ શરુ થઇ, ગર્ભ ધારણ કર્યો અને માદાને માળામાં ઈંડા મુકતા પહેલાં નર શક્કર ખોરોએ બનાવેલા માળામાં નાની ડાળીઓ અને ઘાસ ઉપર પોચી ચાદર પાથરવાની જવાબદારી માદા ઉપર હોઈ તેણે તેના માટે પોચું અને સુંવાળું ઘાસ કે રેસા શોધી લાવવા પડે.

    તેવી ઘડીએ કુદરતમાં એક બીજા એડેનિયમ નામના છોડની વાતાવરણ પ્રમાણે ફૂલનું જીવન પૂર્ણ થઇ, ફળી એટલેકે બીજની શિંગ બની, બીજ પાક્યા, બીજ પવનથી ઉડ્યા અને બીજે ફેલાયા. હવે શિંગમાં રહી ગયેલા બીજ સિવાય છોડ માટે સીંગ નો કોઈ ઉપયોગ ન રહ્યો. તે સમયે તે શિંગના સુંદર મુલાયમ રહી ગયેલા રેસા/ ફાઈબર પક્ષીઓ માટે માળામાં સુંદર મુલાયમ ચાદર પાથરવા માટે કામ આવે.

    અગાઉ શક્કરખોરો જેવા પક્ષી ફૂલમાંથી પોતાની ચાંચની મદદથી ફૂલના પરાગ/ પુષ્પરાગ અને નાના જંતુ ખાતા હતા અને હવે તેમને રેસા મળ્યા! શક્કરખોરોએ પરાગ ખાતાખાતા તેના પોતાની પાંખ ઉપર ચોંટેલા પરાગ  બીજા ફૂલ ઉપર છાંટ્યા જેને કારણે  પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ થયું અને બીજ બન્યા જેમાંથી બીજા છોડની  સંખ્યા વધશે!

    કુદરતમાં દરેક જીવની વસ્તી કાબુમાં રાખવાની રચના પણ છે! પક્ષીની ચાંચની એક વિશિષ્ટ રચના હોય તેને કારણે પક્ષી ખાઈ શકે છે. શક્કરખોરોની ચાંચની રચનાને કારણે એડેનિયમના ફૂલની ઊંડાણ સુધી જઈ શકે છે અને  લિજ્જત માણી શકેછે

    રેસા તોડવાનું કામ પણ પોતાની ચાંચથી એટલી નાજુક રીતે કરે છે કે છોડને કોઈ નુકશાન ન થાય. તે ઉપરાંત રેસા તોડવાની પ્રક્રિયા દરમ્યાન શિંગમાં રહી ગયેલા બીજ રેસા હાલવાના કારણે ખરી જાય છે અને તેમાંથી બીજા છોડ ઉગે છે. જુઓ તો જાણે શક્કરખોર છોડનો આભાર માને છે અને બદલામાં તેના રહી ગયેલા બીજને ફેલાવામાં આભારવશ ટેકો આપી, એકબીજાના પૂરક બને છે!

    બીજ ફેલાઈને તેમાંથી ઘણાં નવા છોડ બનશે અને શક્કરખોરોની સંખ્યા વધશે તેટલે વાતાવરણ પક્ષીઓના ટહુકાથી મોહક બનશે. કેટલાક બચ્ચા બીજા શિકારી પક્ષીનો ખોરાક બની જશે અને જીવશ્રુષ્ટિ ના જીવો એકબીજા ઉપર નભીને  પોતપોતાનું જીવન જીવશે.

    સર્વેને જાણે જીવન જીવવાની રીત શીખવે છે! કુદરત ઘણાં ઉપકારક અને શીખવા લાયક પાઠ શીખવે છે!


    સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો

    Love – Learn  – Conserve


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • લદાખનો ચૂંટણીઢંઢેરો એટલે અગસ્ત્યના વાયદા? ના

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    એક સમયે ‘વિવિધતામાં એકતા’ આપણા દેશની ઓળખ ગણાતી, જેમાં ભૌગોલિક અને તેને કારણે સામાજિક વૈવિધ્યનો સમાવેશ થતો હતો. ભૌગોલિક વૈવિધ્ય કુદરતી છે, અને તે પ્રાપ્ત કરવામાં કશા પ્રયત્નની જરૂર નથી, જ્યારે સામાજિક વૈવિધ્ય હોવા છતાં એકતા જાળવવી પ્રયત્ન માગી લેતું કામ છે. ‘વિવિધતામાં એકતા’નું સૂત્ર બોલવામાં લાગે એટલું સરળ અને આકર્ષક નથી. એક વાર રાજકારણ અને રાજકારણીઓ આ ક્ષેત્રમાં પ્રવેશ કરે એટલે વિશેષતા ગણાતી આ બાબત શૂળ બની રહે છે.

    લેહમાં એકવીસ દિવસના ઉપવાસ સંપન્ન કરનાર સોનમ વાંગ્ચૂકે પાંચેક વર્ષ અગાઉ લદાખને જમ્મુ અને કાશ્મીરથી અલગ પાડીને કેન્‍દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અપાયો ત્યારે સરકારના આ નિર્ણયની પ્રશંસા કરી હતી. અલબત્ત, આટલા સમયમાં તેમનું ભ્રમનિરસન થઈ ગયું, અને સરકારને પોતાના વાયદા યાદ અપાવવા માટે તેમણે અત્યંત વિપરીત વાતાવરણમાં ઉપવાસ આદર્યા.

    તેમની માગણી સમજવા જેવી છે. અગાઉ સરકારે લદાખમાં અનુસૂચિ ૬ને અમલી બનાવવાનો વાયદો કર્યો હતો. સરકાર પોતાના આ વાયદાનો અમલ કરે એટલી જ સોનમ સહિત સૌ લદાખવાસીઓની માગણી છે. પોતે જ આપેલા વાયદાનો અમલ કરવામાં સરકાર શા માટે પાછીપાની કરી રહી છે એ સમજવા માટે અનુસૂચિ ૬ની જોગવાઈ જાણવી જરૂરી છે.

    બંધારણની છઠ્ઠી અનુસૂચિ અંતર્ગત કેટલાંક રાજ્યોની જનજાતિઓના અધિકારોના રક્ષણની જોગવાઈ કરવામાં આવેલી છે. આ રાજ્યોમાં હાલ આસામ, મેઘાલય, ત્રિપુરા અને મિઝોરમનો સમાવેશ છે. આ રાજ્યોમાં જનજાતીય વિસ્તારોને સ્વાયત્ત જિલ્લાનું સ્વરૂપ અપાયું છે અને પ્રત્યેક સ્વાયત્ત જિલ્લામાં એક જિલ્લા પરિષદની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ત્રીસથી વધુ સભ્ય હોતા નથી. આ જિલ્લા પરિષદોને કાનૂન બનાવવાનો અધિકાર અપાયેલો છે. ખાસ કરીને જમીન, જંગલ, નહેરનું પાણી, ખેતી, ગ્રામ પ્રશાસન, સંપત્તિનો વારસો, લગ્ન અને છૂટાછેડા, સામાજિક રીતરિવાજ વગેરે અંગેના કાનૂન તે બનાવી શકે છે. અલબત્ત, રાજ્યપાલની અનુમતિ વિના આ કાનૂન અમલી બની શકતા નથી. જિલ્લા પરિષદ અને ક્ષેત્રીય પરિષદને જિલ્લામાં પ્રાથમિક વિદ્યાલય, ઔષધાલય, બજાર, તળાવ, મત્સ્ય પાલન, સડકમાર્ગ, સડક પરિવહન તેમજ જળમાર્ગની સ્થાપના, નિર્માણ કે સારસંભાળની સત્તા પણ આપવામાં આવેલી છે.

    પાન્ગોગ સરોવર – સ્પાનગ્મિક ગામ
     
    નૈસર્ગિક પર્યાવરણ જાળવીને વિકાસ શક્ય છે?
    સાંદર્ભિક તસવીર નેટ પરથી

    આવી સ્વાયત્તતાની જોગવાઈ જે તે પ્રદેશની આદિજાતિ અને તેની સંસ્કૃતિની જાળવણી માટે ખાસ કરવામાં આવી છે. સમુદ્રતટથી અગિયારેક હજાર ફીટની ઊંચાઈએ વસેલો લદાખ પ્રદેશ સાવ અલાયદી સંસ્કૃતિ ધરાવે છે. આ પ્રદેશની જૈવપ્રણાલિ અતિ વિશિષ્ટ છે. સાવ સૂકા અને રેતાળ પર્વતો વચ્ચેથી ફૂંકાતો હિમપવન ગાત્રો થિજાવી દે એવો હોય છે. અહીંના પર્વતો અનેક પ્રકારનાં ખનીજોને સાચવીને સદીઓથી ઊભેલા છે. અલબત્ત, અહીંનું ભૂપૃષ્ઠ અતિ નાજુક અને સંવેદનશીલ કહી શકાય એવું છે. સ્વાભાવિકપણે જ સ્થાનિકોને મન તેનું આગવું મૂલ્ય છે, તેની જાણકારી છે, અને એટલે જ એ અંગેની ફિકર છે.

    સોનમ વાંગ્ચૂક સહિત અનેક સ્થાનિકોને ડર છે કે આ પ્રદેશમાં એક વાર ખાનગી ઉદ્યોગસાહસિકો પ્રવેશ કરશે એટલે તેમનું એક માત્ર લક્ષ્ય માત્ર ને માત્ર નાણાં ઉસેટવાનું હશે. હાલ આમ પણ વધુ પડતા પ્રવાસનને કારણે લદાખ પ્રદેશ પર, ખાસ કરીને તેના લેહ જેવા મુખ્ય શહેર પર વિપરીત અસર થઈ રહી છે. તેને લઈને આર્થિક તકો ઊભી થઈ છે, પણ સામે પર્યાવરણનો ભોગ લેવાઈ રહ્યો છે, જે કોઈ પણ રીતે ભરપાઈ થઈ શકે એમ નથી. વાંગ્ચૂકે એમ પણ કહ્યું છે કે લદાખને કેન્‍દ્રશાસિત પ્રદેશ ઘોષિત કરીને અહીંના પર્વતોને ઔદ્યોગિક લૉબી અને ખનન કંપનીઓને વેચી મારવાની ચાલ હતી એમ લદાખવાસીઓને લાગી રહ્યું છે.

    ‘વિકલ્પ સંગમ’ નામના હિમાલયના પર્યાવરણને સમર્પિત જૂથના જણાવ્યા અનુસાર કોર્પોરેટ દૈત્યોએ વ્યાવસાયિક તકો માટે આ વિસ્તારને ખૂંદવાનું શરૂ કરી દીધું છે, જેમાં ખનીજો અને અન્ય પ્રાકૃતિક સ્રોતના ખનન ઉપરાંત પ્રવાસનનો સમાવેશ પણ થાય છે. કેટલાક રોડ તેમજ અન્ય આવશ્યક માળખાકીય સવલતો જરૂરી છે, પણ જે રીતે વિશાળ સ્તરે આ કાર્યવાહી થઈ રહી છે એ જોતાં જાણાય છે કે તે લદાખના લોકોના લાભ માટે ઓછું, અને વ્યાવસાયિકોના લાભાર્થે વધુ છે. જેમ કે, અહીં વીસ લાખ મુલાકાતીઓની ક્ષમતા ધરાવતું હવાઈમથક નિર્માણાધીન છે. લદાખની વસતિ કરતાં આ સંખ્યા છએક ગણી છે. એક મહાકાય સૌર ઉર્જા પ્રકલ્પ અતિ સંવેદનશીલ ગણાતા ચંગથાંગનાં ગોચરની વીસ હજાર જમીનને હડપી જશે. આ વિસ્તાર ભૌગોલિક રીતે એટલે કે અહીંની જૈવપ્રણાલિની દૃષ્ટિએ અતિ સંવેદનશીલ છે. આ રીતે સૌ કોઈ વ્યાવસાયિકો માટે લદાખના દરવાજા ખુલ્લા મૂકી દેવાયા તો લદાખને જે નુકસાન થશે એ કદી ભરપાઈ નહીં થઈ શકે.

    આ તમામ ઘટનાઓથી કેટલીક બાબતો નીચેની લીટી વધુ ગાઢ થાય છે. એક તો એ કે ચૂંટણીઢંઢેરામાં અપાયેલા વચનનું કશું મૂલ્ય નથી. એને ‘અગસ્ત્યનો વાયદો’ ગણાવી શકાય. અલબત્ત, અગસ્ત્યે પોતાનો વાયદો ન પાળવાનું કારણ તેમના હૈયે વસેલી જનહિતની વ્યાપક ભાવના હતી. પોતે જ અનેક વાર આપેલા વાયદાનું પોતે જ પાલન ન કરવું, એટલું જ નહીં, તેના વિશે હરફ સુદ્ધાં ન ઉચ્ચારવો એ સૂચવે છે કે દાળમાં કંઈ કાળું નથી, પણ આખેઆખી દાળ જ કાળી છે. દેશના વિવિધ ભાગને કેવળ ‘મતબૅન્‍ક’ તરીકે જોવામાં આવે છે, અને ત્યાં પોતાના પક્ષની સરકાર રચાય એ જ મુખ્ય હેતુ હોય છે. નક્કર કામ કરવાનો દેખાડો કરવામાં આવે ત્યાં કામ થતું દેખાય છે ખરું, પણ તે કોના હિતાર્થે થઈ રહ્યું છે એ સત્ય ઢંકાઈ જાય છે. આથી જ વ્યાપક દેશહિતની વાત સત્તાપક્ષ દ્વારા કરવામાં આવે ત્યારે એમ જ લાગે છે કે એ લોકોનું ધ્યાન બીજી તરફ આકર્ષી રાખવાની પુરવાર થયેલી પદ્ધતિ છે.

    લદાખમાં યોગ્ય પગલાં વેળાસર લેવામાં નહીં આવે તો એ કદી સુધારી ન શકાય એવી માનવસર્જિત ભૂલ બની રહેશે, જેનાં માઠાં પરિણામ ભોગવવાનાં આવશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૪– ૦૪ –  ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પૈસા તો માત્ર બાય પ્રોડક્ટ છે

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જિંદગીને સાચી રીતે ઓળખીને જીવનની નાનામાં નાની ગતિવિધિમાં સક્રિય રસ ન લઈ શકીએ તો તે આપણી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.

    તસ્વીર: નેટ પરથી

    સિંગાપુરનિવાસી અદમ ખૂ છવ્વીસ વર્ષની નાની વયે સ્વપ્રયાસોથી આગળ વધીને કરોડાધિપતિ બનનાર એક સફળ ઉદ્યોગપતિ, લેખક, ટ્રેઇનર અને સ્ટોક માર્કેટના નિષ્ણાત છે. તેઓ એશિયાની એક મોટી પ્રાઇવેટ એજ્યુકેશનલ ઇનસ્ટિટ્યૂશન ‘અદમ ખૂ ટેકનોલોજી ગ્રુપ’ના એક્ઝિક્યૂટિવ ચેરમેન છે. તેઓ એડવર્ટાઇઝિન્ગ, કોર્પોરેટ ટ્રેનિન્ગ જેવા વ્યવસાયમાં અગ્રિમ ભૂમિકા નિભાવી રહ્યા છે. ૧૯૭૪માં જન્મેલા આ મહાનુભાવ ૨૦૦૮ના વર્ષમાં સિંગાપુરના ચાલીસ વર્ષથી નાના ધનાઢ્ય લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા.

    આ બધી ભૌતિક લાગે તેવી ઓળખાણ એટલા માટે જરૂરી છે કે તેઓ એ જ વ્યક્તિ છે, જેમણે એમની બાલ્યાવસ્થામાં પ્રાથમિક શાળામાં ભણવામાં કશું ઉકાળ્યું નહોતું. આઠ વર્ષની ઉંમરે એમને, તેઓ ભણવામાં ઢ હોવાથી, શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એમની વર્તણૂંકના પણ પ્રશ્ર્નો હતા. તેઓ છ જેટલી સેકન્ડરી સ્કૂલમાં પ્રવેશપાત્ર ઠર્યા નહોતા. એમને ભણવામાં રસ જ નહોતો. આળસુ સ્વભાવ અને આખો દિવસ ટેલિવિઝન જોવામાં જ રસ એમની સૌથી મોટી મર્યાદાઓ હતી. એમનામાં કોઈ પણ જાતનું મોટિવેશન નહોતું.

    એ જ વ્યક્તિ છવ્વીસ વર્ષની ઉંમરે કરોડાધિપતિ બની જાય અને દુનિયાભરના જુદા જુદા દેશોમાં પ્રવાસ કરીને લોકોને સફળતાની દિશા સૂચવતી તાલીમ આપે, તે વિષય પર ખૂબ જ વેચાતાં પુસ્તકો લખે તે વાત આમ તો ચમત્કાર જેવી લાગે, પરંતુ એવું ન હતું. તેઓ એમનામાં રહેલી શક્તિઓ વિશે સભાન બન્યા અને તેને ખીલવવાની દિશા શોધી શક્યા ત્યાર પછી એમની સફળતાને આડે કોઈ પણ અવરોધ રહ્યો નહીં. જે અવરોધ આવ્યા તેને એમણે સકારાત્મક અભિગમથી દૂર કર્યા. એમણે જિંદગી પ્રત્યેનો અભિગમ જ બદલી નાખ્યો. એમણે કહ્યું છે: ‘જિંદગીને સાચી રીતે ઓળખીને જીવનની નાનામાં નાની ગતિવિધિમાં સક્રિય રસ ન લઈ શકીએ તો તે આપણી જિંદગીની સૌથી મોટી નિષ્ફળતા છે.’ હવે તેઓ દરેક દિવસને કોઈ પણ પ્રકારની પૂર્ણતાનો માપદંડ માને છે. સફળ થવા માગતી વ્યક્તિ એક પણ દિવસ ગુમાવી શકે નહીં. રાત પડે ત્યારે વીતેલા દિવસ દરમિયાન આપણે શું સિદ્ધ કર્યું તેનો હિસાબ રાખવાથી જ એક એક પગથિયું ઉપર ચઢી શકાય. એમણે બીજી પણ એક વાત કહી છે કે બહારની દુનિયામાં બનતા બનાવો કે બાહ્ય સંજોગો પર આપણે કાબૂ ધરાવી શકતા નથી, પરંતુ આપણી અંદરની દુનિયામાં જન્મતા વિચારો, લાગણીઓ અને નિર્ણયો પર કાબૂ ધરાવીને ઇચ્છિત પરિણામ મેળવી જ શકીએ.

    મારા એક સમયના સહાધ્યાયી અને મિત્ર કૃષ્ણકાન્ત વ્યાસે અદમ ખૂએ બ્લોગ પર મૂકેલી એક બહુ જ મહત્ત્વની પોસ્ટ તરફ મારું ધ્યાન ખેંચ્યું હતું. તે બ્લોગમાં અદમ ખૂએ લખ્યું હતું તેનો સારાંશ આ મુજબ છે: ‘મારે મારાં કામ માટે વારંવાર જુદા જુદા દેશોમાં જવાનું થાય છે. હું દર અઠવાડિયે એરપોર્ટ પર હોઉં છું. ત્યાં મારા સેમિનારમાં ભાગ લઈ ચૂકેલા લોકો કે મારા વાંચકોને મળવાનું બને છે. તાજેતરમાં હું કુઆલાલમ્પુર જતો હતો ત્યારે વિમાનમાં એક પરિચિત મળ્યા. એમણે આશ્ર્ચર્યથી પૂછ્યું: ‘તમારા જેવી ધનાઢ્ય વ્યક્તિ ઇકોનોમી ક્લાસમાં પ્રવાસ કરે છે?’ મારો જવાબ હતો: ‘તે જ કારણે તો હું કરોડાધિપતિ છું.’ એમનો પ્રશ્ર્ન સાબિત કરે છે કે આપણે ધન વિશે કેવી ખોટી માન્યતા ધરાવીએ છીએ. ઘણા લોકોનું બ્રેઇનવૉશ કરવામાં આવ્યું છે કે ધનાઢ્ય લોકોએ મોંઘામાં મોંઘાં કપડાં, ઘડિયાળ અને અન્ય ચીજો જ વાપરવાં જોઈએ અને ફર્સ્ટ ક્લાસમાં જ મુસાફરી કરવી જોઈએ. એ જ કારણે તેઓ પૈસાદાર બની શકતા નથી. તેઓ વધારે પૈસા કમાવા લાગે તે સાથે જ વિચારે છે કે એમણે સ્વાભાવિક રીતે વધારે પૈસા ખરચવા જોઈએ. આ પ્રકારની માન્યતાને લીધે તેઓ આર્થિક રીતે જ્યાં હતા ત્યાં જ ફરી પહોંચી જાય છે. વાસ્તવિકતા એ છે કે આપકમાઈથી ધનાઢ્ય થયેલા લોકો કરકસરિયા હોય છે અને આવશ્યકતા પ્રમાણે જ ખર્ચ કરે છે. એવા લોકો પૈસા કમાઈને મૂડીમાં વધારો કરી શકે છે. હું બિનજરૂરી રીતે પૈસા ખરચતો નથી, પરંતુ આવશ્યકતા હોય ત્યારે પૈસા ખરચતાં અચકાતો પણ નથી. હું વિમાનમાં ફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરતો નથી અને ત્રણસો ડોલરનો મોંઘો બ્રાન્ડેડ શર્ટ ખરીદતો નથી. જ્યારે મારી દીકરીને વક્તૃત્વ કે ડાન્સના ક્લાસમાં મોકલવા માટે તેરસો ડોલર રાજીખુશીથી ખરચું છું.

    ‘કેટલાક લોકો મને પૂછે છે કે જો હું ધનથી મળતો આનંદ મેળવી શકું નહીં તો પૈસા કમાવાનો અર્થ જ શું છે? એ ળોકો ઐક વાત ભૂલી જાય છે કે ભૌતિક સુખ લાંબું ટકતું નથી. અંતે તો એ જિંદગીમાં અભાવ જ જન્માવે છે. એની સામે મને મારાં સંતાનોને હસતાં, રમતાં, ઝડપથી નવું શીખતાં જોવામાં સાચો આનંદ મળે છે. મારી કંપનીમાં કામ કરતા કર્મચારીઓના સુખ-સંતોષથી મને વધારે આનંદ મળે છે. મારાં પુસ્તકો વાંચીને વાંચકોએ આપેલા અભિપ્રાયો મને વધારે ખુશી આપે છે. આ આનંદ મને રોલૅક્સ જેવાં મોંઘાદાટ ઘડિયાળથી મળતા આનંદથી વધારે સમય ટકે છે. આપણાં વિવિધ કામોમાંથી મળતો આનંદ જ બહુમૂલ્ય છે, પૈસા તો માત્ર બાય-પ્રોડક્ટ છે.’


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • સગુણ ઉપાસના ધારામાં કાવ્યતત્ત્વ : નરસિંહ મહેતાના સંદર્ભમાં

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    જીવનની ઘટમાળમાં વહેતો મનુષ્ય કોઈક ને કોઈક રીતે પોતાનું જીવનધ્યેય શોધવા મથતો રહેતો હોય છે. જીવનધ્યેયની આ શોધને જયારે આધ્યાત્મિક સંદર્ભ સાંપડે છે ત્યારે મનુષ્ય કાં તો ભક્ત બને છે, અથવા જ્ઞાની. ઈશ્વરને પામવાનું સૌથી સુલભ સાધન ભક્તિ છે. ઈશ્વરને પ્રપત્તિભાવે ભજતો મનુષ્ય નિઃશેષ બનવાની સાથે નિશ્ચિંતતાને પણ પામતો હોય છે.

    ભારતીય સંસ્કૃતિમાં ભક્તિવિચારનાં મૂળ ઊંડા છે. વેદ, ઉપનિષદ બને ગીતાએ ભક્તિનું ભરપૂર માહાત્મ્ય ગાયું છે, પણ સમગ્ર ભારતમાં મધ્યકાળમાં ભક્તિવિચારનો જે રીતે પ્રસાર થયો એ જુદો વિચાર માગી લે તેવી ઘટના છે. ઉમાશંકર જોશીએ મધ્યકાળના જુદા તરી આવતા ભક્તિવિચારની સમીક્ષા કરતાં નોંધ્યું છે : ‘જૂની ભાષાઓ, સંસ્કૃત અને તમિળ, ભક્તિની વાત કરે છે; વેદની ઋચાઓમાં અને ઉપનિષદોમાં ભક્તિનો તાર ગુંજે છે; ગીતા ભક્તિનો મહિમા કરતાં થાકતી નથી; ભક્તિનાં મત્ત આવેશની વાત નારદનાં ભક્તિસૂત્રો જેવામાં થઈ છે; બાલકૃષ્ણની લીલા પણ હરિવંશ અને પુરાણ, સાહિત્ય વગેરેમાં વર્ણવાઈ છે.. પણ જે પ્રચુર સંસ્કૃત સાહિત્ય સુલભ છે તેમાં ક્યાંય મધ્યકાલમાં વિકસેલી અર્વાચીન ભારતીય ભાષાઓમાં ભક્તિનો જેવો એકાન્તિક આદર થાય છે અને ભક્તિ સાહિત્ય સર્જનની મુખ્ય પ્રેરણા બની રહે છે એવું દ્રશ્ય જોવા મળતું નથી.’

    સમગ્ર મધ્યકાળમાં ફરી વળેલાં ભક્તિનાં આ મોજાંએ(ઉમાશંકર જેને બૌદ્ધ ધર્મથી પણ વધારે પ્રભાવિત ગણે છે) ગુજરાતી સાહિત્યને પણ પ્રભાવિત કર્યું છે, સ્થૂળ રીતે જોવા જતાં આ ભક્તિ આંદોલનના પ્રમુખ ઉદગાતા નરસિંહ મહેતા રહ્યા છે. સ્વાભાવિક રીતે જ, નરસિંહે એક સર્જકની હેસિયતથી કવિતા રચવાનો ઉપક્રમ માંડ્યો નથી. નરસિંહ એક સંત છે, ભક્ત છે. મધ્યકાળના અન્ય સંતોની જેમ કવિતા રચવી એ એમને મન ગૌણ ઘટના છે, કવિતા એમનું સાધ્ય નથી, સાધન છે. સાધ્ય તો છે પરમતત્ત્વની આરાધના ને અનુભૂતિ. એ અનુભૂતિની ફલશ્રુતિ રૂપે સહજ રીતે નીપજતો આનંદ, બલકે રસ. નરસિંહની અનુભૂતિ જ એટલી તો બળકટ છે કે એનું ગાન કરતાં કરતાં કવિતા તો સહજમાં, નરસિંહનો જ શબ્દ વાપરીને કહેવું હોય તો ‘લટકા’માં થઈ ગઈ છે. નરસિંહની અનુભૂતિની ચરમ ક્ષણે વાલ્મીકિનો શોક જેમ શ્લોકત્વ પામેલો તેમ આનંદનાભૂતિની ચરમ ક્ષણે નરસિંહ ગાઈ ઉઠ્યા છે. પણ એ કબૂલ કરવું રહ્યું કે અનાયાસે પ્રગટેલા નરસિંહના આનંદગીતમાં કવિતા અવતરી છે એના પૂર્ણ રૂપમાં, ખીલેલા – નિખરેલા સ્વરૂપે. ઉલ્લાસના લલકારરૂપે પ્રગટેલી નરસિંહની કવિતામાં ભવ્યતાને લાલિત્ય, લયહિલ્લોળ, શબ્દપસંદગી, ચિત્રાત્મકતા, રણકતો પ્રાસ, કલ્પનાવૈચિત્ર્ય, શૈલીની છટાઓ જેવાં તત્ત્વોનું એટલું તો પ્રાબલ્ય છે કે નરસિંહમાં આનુષંગિક રહેલું – ગણાવાયેલું કવિત્વ ઉપર ઉઠે છે ને ભક્ત નરસિંહની બરોબરી કરે છે.

    નરસિંહની કવિતામાં વિષય વૈવિધ્યનો તો સવાલ જ ઉઠતો નથી. એનો વર્ણ્યવિષય એક જ છે : ‘નંદ તણો સુત કહાન’. કૃષ્ણના સંદર્ભમાં જ નરસિંહની કવિતા રચાઈ છે. માતા યશોદા સાથેની બાલકૃષ્ણની ચેષ્ટાઓ, ગોપીઓનાં લાડ ને વાત્સલ્યની સાથોસાથ વ્યક્ત થતો કૃષ્ણ પ્રત્યેનો તેમનો કૃતક ગુસ્સો ને અંતે ઓગળતી કૃતકતા ; ગોપીઓએ કૃષ્ણ સાથે માણેલી રંગરેલીનું દ્વૈત ને એમાંથી સધાતું અદ્વૈત – આટલા નરસિંહના વર્ણ્યવિષયો છે.

    કવિ નરસિંહ પહેલી જ નજરે સહૃદયને આકર્ષે છે તેમના લયથી :

    ‘હળવે હળવે હળવે હરજી માટે મંદિર આવ્યા રે’ – માં એક જ શબ્દનું ત્રણ વાર થતું આવર્તન દબ્યે પગે આવતા કૃષ્ણને લયની મદદથી કેવા તો મૂર્ત કરી દે છે ! હરિ આવ્યા તો છાનામાના પણ તેને જોઇને ભક્તહૃદય પોતાનો આનંદ મુખર રીતે વ્યક્ત કર્યા વિના રહી ન શક્યું :

    ‘મોટે મોટે મોટે મે તો મોતીડે વધાવ્યા રે.’

    આજ રીતે કૃષ્ણને જોવા દોડતી ગોપીઓનાં આ ચિત્રના લયમાં ગતિ છે :

    ‘ચાલો હરજીને જોવા બેલ બેલ
    પટકૂળ ભીનાં સહુ તેલ તેલ.’

    વસંતઋતુને વધાવતા કવિ મસ્તીમાં આવી જઈને પોતાના આનંદને વ્યક્ત કરવા લયનો આશ્રય લે છે :

    ચાલને સહી, મેલ મથવું મહી,
    વસંત આવ્યો, વનવેલ ફૂલી;
    મ્હોરિયા અંબ, કોકિલા લાવે કદંબ,
    કુસુમ કુસુમ રહ્યા ભ્રમર ઝૂલી.

    વસંતના વધામણાં પડ્યાં હોય ત્યારે મહી મથવાનું હોય ? આથી ‘મેલને’ એવા વિનંતીના ભાવમાં આજ્ઞાનો ગર્ભિત ભાવ છે. ને હા, ‘ને’ પ્રત્યેમાં વ્યક્ત થતો મૈત્રીનો, પોતાપણાંનો ભાવ તો વળી લટકામાં !

    નિરંજન ભગત કહે છે તેમ કવિતા કાનથી વાંચવાની મજા લેવા જેવી છે. નરસિંહની કવિતામાં આ અનુભવ સહૃદય વારંવાર કરે છે. ગોપીઓનાં ઝાંઝરના ઝણકારને નરસિંહના કાન ક્યાંયથી પકડી પાડે છે :

    ‘મોરલીના નાદમાં, શ્રવણના સાદમાં, ઝાંઝરી ઝાલરી ઝમક વાજે;

    તાલ મૃદંગ ને ચંગ ઉપમા ઘણી, ભેરી શરણાઈમાં બ્રહ્મ ગાજે.’

    ક્યાંક આ કૃષ્ણનાં ઝાંઝરનો ઝણકાર, ‘ઝીણો’ છે. તેને નરસિંહના કાન જ સંવેદી શકે :

    ‘ઝીણલાં ઝાંઝર વાજે વૃંદાવને, ગોપીઓને આનંદ ન માય.’

    મરમીના કાનનું જ એ ભોજન. ક્યાંક આ ઝાંઝર વેરી થઈને મિત્ર બન્યાં છે :

    ગોરી તારાં નેપૂર રમઝમ વાજણાં રે,
    વાજ્યાં કાંઈ માઝમ રાત;
    સૂનું નગર બાધું જગાડિયું,
    તે તો તારાં ઝાંઝરનો ઝમકાર.

    નરસિંહની કવિતામાં આલેખાતાં ચિત્રોમાં એક બાજુ દ્ર્શ્યાત્મકતા છે તો બીજી બાજુ એટલી જ ગત્યાત્મકતા. ચિત્રોનો તો જાણે એક લોક ખડો થયો છે. એ ચિત્રો પાછાં ગત્યાત્મક છે:

    રસિક મુખ ચુંબીએ, વળગીએ ઝુંબીએ, આજતો લાજની દુહાઈ છૂટી.

    પ્રાતઃકાળે પથારીમાંથી ઊભી થતી ગોપીનું આ ચિત્ર ગતિ ને સૌદર્યનું સાથે લાગું દર્શન કરાવે છે :

    સેજેથી ઉઠી રે શ્યામા, શીશ અંબોડો વાળે રે
    વદન સુધાકર બાલીને ઉદિયો, દિનકરને અજવાળે રે.

    કૃષ્ણની રાહ જોતી ગોપીના ચિત્રમાં અધીરતા છે:

    ‘ક્ષણુ આંગણે ક્ષણુ મંદિર માંહે, ક્ષણુ ક્ષણુ આવું દ્વાર રે.’

    તો દધિમંથનના ચિત્રમાં ઉન્મત્ત ગતિ છે :

    ગાજે ગાજે ગોરસ ગોળી,
    શિરથી ચીર ખસી ગયું રે ચતુરાની ચળકે ચોળી,

    બાલકૃષ્ણની માતા યશોદા ને ગોપીઓ સાથેની વિવિધ ચેષ્ટાઓમાં વાત્સલ્ય, ભક્તિ ને ચિત્રાત્મકતાનો સુભગ સમન્વય છે:

    જશોદાજી જમવાને તેડે, નાચંતા હરિ આવે રે,
    બોલે મીઠા બોલડિયા ને અંગોઅંગ નચાવે રે.

    મુખની શોભા શી કહું ? જાણે પૂનમચંદ બિરાજે રે;
    નેત્રકમલના ચાળા જોઈને મન્મથ મનમાં લાજે રે.

    ગોપીઓની કૃષ્ણ વિશેની ફરિયાદમાં વ્યક્ત થતી શબ્દ પસંદગીમાં નરસિંહની સૂઝ દાદ માગી લે  છે  :

    ‘ખાંખાખોળાં કરતો હીંડે બીએ નહીં લગાર રે.’

    તો ગોપી પાસે કૃષ્ણે કરેલાં લાડ ભારે નજાકતથી કવિ આલેખે છે :

    કો વેળા વહાલો માથું ઓળાવે, લાંબી વેણી ગૂંથાવે રે.
    સેંથા માંહે સિંદૂર ભરાવે, નિલવટ ટીલડી સોહાવે રે.

    ક્યાંક વિરોધ દ્વારા નરસિંહે કામ લીધું છે :

    જેને મોટા મુનિવરે નવ જાણ્યો,
    તેને કામિનીએ કર ગ્રહી તાણ્યો.

    પરિબ્રહ્મ ગોવાળ –શું રમે,
    જેને જોવા જોગેશ્વર દેહ દમે.

    *

    નરસિંહ કવિની સાથે જ્ઞાની પણ છે તેથી શબ્દ સાથે એ સાવધાનીથી કામ લે છે. જીવન પ્રત્યે અભિમુખ એવા નરસિંહ સંસારની નિંદા તો ન જ કરે. એટલે સંસારના સુખ વિશે પોતાનો અભિપ્રાય આપતા એ આમ કહે છે :

    ‘સુખ સંસારી મિથ્યા કરી માનજો, કૃષ્ણ વિના બીજું સર્વ કાચું.’

    ‘કાચું’ શબ્દ નરસિંહનો જીવન પ્રત્યેનો નરવો અભિગમ વ્યક્ત કરે છે.

    નરસિંહના પ્રિયતમ કૃષ્ણ ભક્તો માટે કેવા છે ? :

    ‘નરસૈયાચો સ્વામી ઢળકણો’

    નરસિંહનું ‘વૈષ્ણવજન’ પદ એની ભાષાની પ્રાસાદિકતાથી અને એમાં રહેલા મર્મની વ્યંજનાથી સમજવા જેવું છે.

    પહેલી જ પંકિતમાં રહેલા ‘તો’ નો કાકુ જોયો ? ગમે તેને નહીં, પણ પોતે જે માને છે એ જ છે સાચો વૈષ્ણવ એવો ભાવ અહીં છે. નરસિંહે અહીં વૈષ્ણવત્વનો આલેખ આપી દીધો. જેને આ લક્ષણો બંધ બેસે એ આપોઆપ વૈષ્ણવ પ્રમાણિત થાય. ન બેસે એ અવૈષ્ણવ છે એવું ભક્ત નરસિંહ ન કહે. એ તો અવૈષ્ણવે સમજી લેવાનું. આ અર્થમાં આ આખાય કાવ્યનો વિધેયાત્મક અભિગમ સહૃદયને ધન્ય કરે એ રીતે પ્રગટ થયો છે.

    નરસિંહની કવિતામાં માનવગુરુને છાજતી મૈત્રીની ભાવના છે, ઋષિનું કારુણ્ય છે. ભક્તની મુદિતા છે અને જ્ઞાનીનું દર્શન છે. આ સઘળું પ્રગટ્યું છે તેમની અનન્ય અનુભૂતિમાંથી એટલે જ એમની કવિતા શાશ્વત બની છે.


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • વળાંક પાછળ વિશ્વામિત્રી : પોતાની લાજ સાચવવા વળાંક પાછળ સંતાઈ જવા મથતી આ નદી ખરેખર તો આપણા સૌની શરમ છે.

    સંવાદિતા

    પોતાના સ્વાર્થ ખાતર આપણે સૌએ ભેગા મળી નદીઓની જે ઘોર ખોદી છે એ  આપણી જ કબર છે.

    ભગવાન થાવરાણી

    સમગ્ર માનવજાતે અવિચારીપણે પર્યાવરણની જે દુર્દશા કરી છે એ વિષે વાત કરવી પણ હવે તો નર્યું અરણ્યરુદન લાગે છે. જ્યાં નજર નાખો ત્યાં પૃથ્વીભરના જંગલો, વનસ્પતિ, પર્વતો નદીઓ જાણે આયોજનપૂર્વક અદ્રષ્ય કરાઈ રહ્યા છે અને એમની જગ્યા લઈ રહ્યા છે કોંક્રીટ વસાહતો, બહુમાળી ઈમારતો, વિરાટ કારખાના, તોતિંગ બંધ અને નવા શહેરો. આપણે એને વિકાસનું નામ આપી રાજી થઈએ છીએ.

    વડોદરા પાસેના પાવાગઢ ડુંગરમાંથી નીકળી મુખ્યત: વડોદરા શહેર મધ્યેથી પસાર થઈ ખંભાતના અખાતમાં વિલીન થઈ જતી નાનકડી એવી વિશ્વામિત્રી નદીની કરુણ હાલત વિષે, વડોદરા શહેરના જ નિવાસી એવા આપણી ભાષાના મૂર્ધન્ય કવિ સિતાંશુ યશશ્ચંદ્રજીએ એક કાવ્ય રચ્યું છે ‘ વળાંક પાછળ વિશ્વામિત્રી ‘ નામે. એ અદ્ભુત રચનાનું આચમન કરીએ :

    દુનિયા આખીને પોતાની દોસ્તી આપવા જે દોડ્યા
    અને
    પોતાની જેને ગતાગમ નહોતી જરીકે
    તેવી ગણતરીઓ કરવામાં પડેલા જગતે
    જેમની ઉપર ઠાલવ્યા
    અવહેલનાઓના ગંધાતા ગંજાવર ઢગના ઢગ
    એવા કોઈ વિશ્વામિત્રની નિમાણી કન્યા
    – આ મારી વિશ્વામિત્રી .
    એને કોઈ એવા ઓવારા નથી,
    જ્યાં પનિહારીઓ પાણી ભરવાને જાય
    એને કોઈ એવા ઘાટ નથી,
    જ્યાં પ્રવાસે નીકળેલા વહાણ પોરો ખાવા લાંગરે
    એને કોઈ એવા કાંઠા નથી,
    જ્યાં લોકો સાંજુકના ટહેલવા નીકળે.
    એનાં પાણીમાં કમર સુધી બૂડી અર્ઘ્ય આપતા બ્રાહ્મણ
    કે બાપતિસ્તા થાપતા પાદરી,
    કોઈ કરતાં કોઈ ન મળે.
    એમાં પાણી કહેવાય એવું પાણી જ ન મળે.
    ઝૂમાં જીવનભર પૂરેલા પશુઓ અને
    બાગમાં બે ઘડી ફરતા લોકોની વચ્ચેથી
    એ તો ચુપચાપ સરકી જાય છે
    ખબર નહીં કયું પ્રવાહી લઈને,
    જૂના રગતપીતવાળી કોઈ બાઈ જેવી,
    શરીર સંકોડીને.
    આ નદીને પરવડે નહીં
    લાજ, વેદના, આશા કે આછું હસવા જેવી એકે સાહ્યબી
    મેં જ્યારે – જ્યારે એની આંખો તરફ નજર કરી છે
    ત્યારે – ત્યારે ગરદન ઢાળીને એ જતી રહી છે વળાંક પાછળ.
    જો કે આ યે હતી એક નદી.
    જેમ ગંગા, સ્યેન, વોલ્ગા, ટેઈમ્સ, હોઆંગહો, એમેઝોન, નીલ અને મિસીસિપી
    એ બધી નદીઓ છે
    એમ આ યે હતી
    ભલે ને ઘણી નાની એમનાથી.
    તો ય નદી.
    વહેતું પાણી, જેમાં જળચર જીવતાં હોય,
    ચંદ્રનું પ્રતિબિંબ પડતું હોય,
    વહેલી સવારે શિંગાળાં સાબર ને મોડી સાંજે ચળકતા દીપડા
    જેની સામે વિનયથી માથું નમાવી પાણી પી શકતા હોય,
    ને ભરબપોરે બચબચ બચ્ચાં જેવાં ધાવી શકતા હોય જેને
    ઊનાળુ તડકાએ તરસ્યાં તરસ્યાં કરી મૂકેલાં
    એની અડખે પડખે પડેલાં વીઘાંના વીઘાં ખેતરો,
    એવી નદી.
    આવું આવું જ્યારે એના ઉપરના પુલમાં ઊભો રહીને બોલું છું
    માત્ર આ વિશ્વામિત્રીને જ સંભળાય એ રીતે
    ત્યારે
    સાંભળ્યું – ન સાંભળ્યું કરી,
    આંખો જોરથી મીંચી,
    મેલો સાડલો શરીરે થોડો વધારે વીંટાળતી
    એ ઉતાવળી ઉતાવળી ચાલી જાય છે,
    તરતા કચરાના પાલવમાં મોં ઢાંકતી,
    વળાંક પાછળ.
    છેવટ
    ક્યારેક
    ન રહેવાય ત્યારે
    ચોમાસાની રાતે
    અંધારામાં
    ઉભરાઈ ઊઠે છે આ નદી
    આંધળી છોકરીની આંખો જેવી, ચુપચાપ
    વળતી સવારે, વહેલી વહેલી, એ પહોંચે છે,
    કાંઠા ઓળંગી, પુલ પર થઈ,
    ઉતાવળી ઉતાવળી,
    પગના પહોંચા ઉપર ઊંચી થઈ થઈ,
    આવે છે,
    કાળે ઘોડે બેઠેલા, કાળો પોશાક પહેરેલા, પથ્થર થઈ ગયેલા,
    એના એક વારના હેતાળ રાજાના પગ સુધી છેક,
    પછી
    એકદમ અચકાઈ, અટકી, ખમચાઈ, જરીક જીભ કચડી, હોઠ બીડી,
    આંસુ જાતે લૂંછી નાંખી, ઓસરી, અવાજ કર્યા વિના ચાલી જાય છે,
    મૂંગીમંતર, કાદવ ખૂંદતી
    પેલા વળાંક પાછળ.
    અહીં કથક સ્વયં કવિ છે જ્યારે કથ્ય વિશ્વામિત્રી નદી. કવિતાના પ્રારંભે જ કવિ વિશ્વામિત્રીના પિતા એવા ઋષિ વિશ્વામિત્રની આપણે સૌએ કરેલી અવહેલનાનો હવાલો આપી, આપણી આદત મૂજબ એવું જ વર્તન એમની પુત્રી સાથે કર્યાની વાત કરે છે. વિશ્વની જાણીતી નદીઓની સરખામણીએ આ ‘ નિમાણી ‘ નદીનું કદ અને વ્યાપ કોઈ વિસાતમાં નથી. અરે ! બહુધા તો એમાં પાણી પણ નહીં, અને હોય તો કોણ જાણે કયું ગંધાતું પ્રવાહી ! વડોદરાના પ્રતિષ્ઠાવાન મહારાજના નામ પરથી નામાભિધાન કરાયેલા સયાજી બાગમાં પૂરાયેલા પ્રાણીઓ અને ત્યાં મોજમજા કરવા આવેલા સહેલાણીઓની ઉપેક્ષા સહન કરતી આ નદી, કોઈ ભારોભાર શરમિંદગી અનુભવતી ચીંથરેહાલ ગરીબડીની જેમ, જાણે પોતાની લાજ બચાવતી દોડીને સંતાઈ જાય છે ‘ વળાંક પાછળ ‘ ! અહીં વળાંક એક પ્રતીક છે આડશનું જેની પાછળ સંતાઈ કોઈ અકિંચના પોતાની રહી – સહી લાજ છુપાવે છે.

    નદીના ભૂતકાળની ભવ્યતાને સ્મરી કવિ એને વહાલપૂર્વક ‘ મારી વિશ્વામિત્રી ‘ કહી સંબોધે ત્યારે આપણને સૌને ‘ આપણી ‘ પોતપોતાની ભાદર કે ભોગાવો કે ઓઝત કે શેત્રુંજી યાદ આવ્યા વગર રહે નહીં. એમની અવદશા વિશ્વામિત્રીથી ખાસ જૂદી નથી. કવિ જાણે છે કે એમની આ વ્યથા કેવળ આત્મ – પ્રલાપ છે જે એ માત્ર ‘ પોતાની ‘ વિશ્વામિત્રીને સંભળાવે છે પણ એમને ઊંડો ઊંડો વિશ્વાસ પણ હશે કે એ એમની નદી ઉપરાંત નદી જેવું હૃદય ધરાવતા થોડાક ભાવકો લગી પણ પહોંચશે જ.

    અને કવિની ઉપમાઓ પણ કેવી અનોખી ! જૂના રગતપીતવાળી બાઈ જેવી નદી, તરતા કચરાનો એનો પાલવ, આંધળી છોકરીની આંખો જેવો એનો ઊભરો !

    કવિતાનો અંત તો વળી કેવો ! થોડા થોડા વર્ષે આ નદી અણધારી ઊભરાય છે પણ ખરી. આવું થાય ત્યારનું ચિત્ર જૂઓ. ત્યારે આ ( માત્ર કવિની નહીં ,આપણી પણ ! ) વિશ્વામિત્રી ચોકની વચ્ચોવચ કાળા ઘોડે બેઠેલા, હવે પથ્થર થઈ ચૂકેલા રાજાના પગ પખાળી, પછી તુરંત વાસ્તવિકતાનું ભાન થતાં, જેને ખૂંદીને આવી હતી એ જ કાદવ વચાળે થઈ, એના જૂના પરિચિત અને પોતીકા વળાંક પાછળ લપાઈ જાય છે.

    સાક્ષાત ચિત્કાર જેવી સિતાંશુ યશશ્ચંદ્રની આ ધારદાર કવિતા સંવેદનશીલોના અંત:સ્તલને હચમચાવે છે.


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • જામીન નિયમ અને જેલ અપવાદ હોય તો અમલ કેમ થતો નથી ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    લગભગ દોઢેક વરસથી જેલમાં બંધ મોરબી ઝૂલતા પુલ કાંડના કથિત મુખ્ય આરોપી જયસુખ પટેલના જામીન સર્વોચ્ચ અદાલતે મંજૂર કર્યા છે. દેશની જેલોમાં ૮૦ ટકા કેદીઓ અન્ડર ટ્રાયલ કહેતાં જામીનના હકદાર છે. ઘણા કાચા કામના ગરીબ કેદીઓના  જામીન કોર્ટે મંજૂર કર્યા છે પરંતુ  બેલબોન્ડની વ્યવસ્થા ના થઈ હોવાથી પણ તે જેલોમાં છે. જ્યાં સુધી ગુનો સાબિત ના થાય ત્યાં સુધી કોઈ વ્યક્તિને ગુનેગાર કહી શકાય નહીં. પ્રખર કાયદાવિદ અને દિગ્ગજ ન્યાયાધીશ જસ્ટિસ વી.આર.કૃષ્ણ અય્યરે ૧૯૭૭માં બાલચંદ પ્રકરણમાં એવું ઐતિહાસિક  કથન ઉચ્ચારેલું કે જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બંધારણના અનુચ્છેદ ૨૧ પ્રમાણે વ્યક્તિગત સ્વતંત્રતાના મૂળભૂત અધિકારની રૂએ કોઈ પણ વ્યક્તિ એક દિવસ માટે પણ  વગર સજાએ જેલમાં ના હોવો જોઈએ.  પરંતુ આપણી પોલીસ તપાસની પધ્ધતિ અને ન્યાય વ્યવસ્થાની બલિહારી છે કે ઘણા આરોપીઓને તો ગુનાની સજા જેટલો કે ક્યારેક તો એથી પણ વધુ સમય જેલમાં ગુજારવો પડે છે.

    ડી.કે.બસુ કેસમાં સુપ્રીમ કોર્ટે જાણાવ્યું હતું કે ધરપકડ કરવી અને ધરપકડને વાજબી ઠેરવવી તે બંને અલગ બાબતો છે. પરંતુ ભારતનું પોલીસતંત્ર ધરપકડને પોતાનો હક અને ફરજ માને છે. કેટલાક જામીનપાત્ર ગુનાઓ માટે પોલીસ મથકમાં જ જામીન આપી આરોપીને છોડી શકાય છે પરંતુ ઘણીવાર તેનો પણ અમલ થતો નથી. અનાવશ્યક ધરપકડો ટાળવામાં આવે તેવું વારંવાર કહ્યા છતાં  ધરપકડો થતી રહે છે  અને જામીન માટે પણ લોકોને છેક હાઈકોર્ટ –સુપ્રીમ કોર્ટ સુધી જવું પડે છે.

    જ્યારે કોઈ વ્યક્તિ બિનજામીનપાત્ર ગંભીર ગુનો કરે છે ત્યારે પોલીસ તેને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે છે. કથિત આરોપી તેને જામીન મળે તે માટે અરજી કરી શકે છે અને અદાલત જામીન  અંગે યોગ્ય નિર્ણય કરે છે. જામીન મેળવવાનો આરોપીને કાયદેસરનો અધિકાર છે. જામીન આરોપીની સશર્ત મુક્તિ છે અને તેણે અદાલતની જરૂરિયાત મુજબ હાજર થવાનું હોય છે. ધરપકડ થઈ ન હોય પણ તેની આશંકા હોય તો પણ વ્યક્તિ આગોતરા જામીન મેળવી શકે છે.  તે ઉપરાંત પ્રિ.ટ્રાયલ અને પોસ્ટ ટ્રાયલ જામીન મળે છે. પ્રિ ટ્રાયલ બેલમાં બિન જામીનપાત્ર આરોપીને તેના કેસની કોર્ટમાં સુનાવણી ચાલુ ના થઈ હોય ( ટ્રાયલ  પેન્ડસી) તે દરમિયાન જામીન પર મુક્તિ મળે છે. ટ્રાયલ કોર્ટ કોઈને દોષી ઠેરવે  તે પછી વ્યક્તિને તે સજા સામે ઉપલી અદાલતમાં અપીલ કરવાનો અધિકાર હોય છે. અપીલ કોર્ટ અપીલ વિચારણાના સમય દરમિયાન જે જામીન આપે તે પોસ્ટ ટ્રાયલ બેલ કહેવાય છે.

    જામીન ટૂંકી મુદતના હોય છે તેમ નિયમિત પણ હોય છે. ટ્રાયલ કોર્ટ કે હાઈકોર્ટ સીમિત અવધિના જામીન આપે તેને સુપ્રીમ કોર્ટ જો કેસ પડતર હોય ,  હમણાં ચાલવાનો જ ના હોય તો લાંબા ગાળાના જામીન આપે છે. કથિત આરોપી સામેના આરોપ ગંભીર છે એટલા જ કારણસર તેના જામીન નકારી શકાય નહીં તેવું પણ સર્વોચ્ચ અદાલતે કહ્યું છે. ભીમા કોરેગાંવ અલ્ગાર પરિષદના આરોપીઓને આ પ્રકારની ટિપ્પણી સાથે જામીન મળ્યા છે.મુકદ્દમા પૂર્વે વ્યક્તિને લાંબો સમય જેલમાં રાખવા  સામે સુપ્રીમને વાંધો છે અને તે જામીન મંજૂર કરે છે.

    જ્યારે કથિત આરોપીના જામીન મંજૂર થાય તે પછી તુરત તેની જેલમુક્તિ થતી નથી. કારણમાં  જેલ સત્તાવાળાઓને હજુ બીડુ મળ્યું નથી તેમ કહેવામાં આવે છે. જ્યારે સુપ્રીમ કોર્ટના ધ્યાને આ બાબત આવી તો તેણે ૨૦૨૨માં માર્ગદર્શિકા પ્રગટ કરી હતી અને તુરત મુક્તિની કાર્યવાહી કરવા જણાવ્યું હતું. વર્તમાન સમય ઉન્નત ટેકનોલોજીનો છે ત્યારે આરોપીને જામીન મળ્યા પછી જેલમાં ગોંધી રાખવો વાજબી નથી. ૨૦૨૨માં ફાસ્ટ એન્ડ સિક્યોર ટ્રાન્સ મિશન ઓફ ઈલેક્ટ્રોનિક રેકોર્ડ્સ (ફાસ્ટર) સોફ્ટવેર અદાલતોમાં લોન્ચ કરવામાં આવ્યું છે. જામીનના આદેશ રોજ ઈમેલ થી મોકલવા અને ટ્રાયલ કોર્ટને રોજ સવાર સાંજ ઈમેલ ચેક કરી જામીન મુક્તિની કામગીરી કરવા જણાવ્યું છે.

    જો જામીન વ્યક્તિનો કાયદેસરનો હક હોય અને તે માટેનું કાનૂની તંત્ર હોય તો તેનો અમલ કેમ  થતો નથી? જેમ જામીન મુક્તિમાં તેમ જામીન અરજીઓ સાંભળવામાં પણ અસહ્ય વિલંબ થાય છે. આગોતરા જામીનની એક અરજી ચાર વરસથી પેન્ડીંગ હોવાનું ધ્યાને આવતાં સુપ્રીમ કોર્ટે જામીન અરજી અંગે બે અને આગોતરા અંગે છ અઠવાડિયામાં નિર્ણય લેવા આદેશ કર્યો છે. ૨૦૨૩ના વરસમાં જામીન અંગેની અપીલ કોર્ટ તરીકે ઉભરેલી સર્વોચ્ચ અદાલતના વર્તમાન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયાએ પ્રત્યેક બેન્ચને રોજ દસ જામીન અરજીઓની સુનાવણી હાથ ધરવા સૂચના આપી છે.

    એક તરફ સર્વોચ અદાલત અને વડી અદાલતો જામીન અંગે ઘણા હકારાત્મ્ક નિર્ણયો લઈ રહી છે પરંતુ ટ્રાયલ કોર્ટ તેમ કરતી નથી. જામીન આપવાની અનિચ્છાના તેના વલણને કારણે અપીલ કોર્ટનું ભારણ વધે છે. ટ્રાયલ કોર્ટ ડર કે બીક્ની ભાવનાથી ગ્રસ્ત હોવાથી પણ તે જામીન આપતી નથી. કાયદેસરના અને ઉચિત કારણો વિના જામીનનો નકાર કરવો યોગ્ય નથી તે સ્પષ્ટ હોવા છતાં તેમ થતું નથી. પત્રકારો, કર્મશીલો અને સરકાર સાથે અસંમત એવા નાગરિકોને જામીન મેળવવામાં નવા નેજાં પાણી આવી જાય છે તે કડવી વાસ્તવિકતા છે. એટલે પણ સુપ્રીમે હવે સરકારને જામીન અંગેનો અલગ કાયદો બનાવવા જણાવવું પડ્યું છે.

    આરોપીને જામીનથી વંચિત રાખવા પોલીસ અને તપાસ એજન્સી કેવા ખેલ ખેલે છે તે પણ સમજવા જેવું છે. એન્ફોર્સમેન્ટ ડિપાર્ટમેન્ટ મની લોન્ડરિંગના એક કેસમાં આરોપીને જામીન ન મળે તે માટે વારંવાર સપ્લીમેન્ટરી ચાર્જશીટ રજૂ કરતું હતું. ઈડીનું આ વલણ આરોપીને જામીનથી વંચિત રાખવાનું જણાતાં સુપ્રીમે તેની આકરી ટીકા કરી હતી. આરોપી લાંબા સમયથી જેલમાં હોય અને ટ્રાયલ શરૂ થવાની ન હોય તો  મની લોન્ડરિંગ કેસ હોય , યુએપીએ હોય કે અન્ય ગંભીર ગુનો હોય તે જામીનનો હકદાર છે. આ પ્રકારે અવરોધ ઉભા કરીને જામીનના અધિકારથી વંચિત રાખવા તે વ્યક્તિના સ્વતંત્રતાના અધિકારને રુંધે છે.

    ટ્રાયલ કોર્ટ જેમના જામીન નકારે છે તેને ઉપલી કોર્ટ જામીન આપે છે. જ્યારે કોઈ આરોપીને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ જામીન આપે છે ત્યારે તેને ન્યાય મળ્યો છે એમ લાગે છે પણ તે ન્યાયનો ઉપહાસ પણ છે . જે પ્રક્રિયા અને કાનૂન હેઠળ તેને ટ્રાયલ કોર્ટ જામીન આપતી ન હોય તેને હાઈકોર્ટ/સુપ્રીમ કોર્ટ કેમ જામીન આપી શકે ? અથવા જો હાઈહોર્ટ /સુપ્રીમ કોર્ટ જામીન આપી શકે છે તો ટ્રાયલ કોર્ટને ક્યો કાયદો જામીન આપવામાં નડે છે ?  તે સવાલ ઉદ્દભવે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૬ :અંશ ૨#

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    હસ્તાંતરણ કે સખાવત દ્વારા મિલકતની વહેંચણી

    અંશ ૧ થી આગળ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    મિલકતની વહેંચણી

    મિલકત એકઠી કર્યે રાખવી  કે સંતાનો માટે મુકી જવી એ બે વિકલ્પ ઉપરાંત જેમને નાણાની કે નાણાકીય અથવા બિનનાણાકીય મદદની જરૂર છે તેમને નાણા ફાળવી શકવાનો એક અન્ય વિકલ્પ પણ છે.

    આપણે કમાયેલ, બચાવેલ કે રોકાણ કરેલ નાણાને પોતા પર ખર્ચ કરવાને બદલે જરૂરિયાતવાળાં લોકો  માટે નાણાં ફાળવવાથી સમાજે આપણને જે આપ્યું છે તે તેને જ પરત કરવાની આપણી ફરજ બજાવી રહ્યાં છીએ.  આપણી સંપત્તિ પર આપણો અને આપણા સંતાનોનો કાયદાની રૂએ હક્ક છે તો સમાજનો નૈતિક રૂપે હક્ક કહી શકાય. આપણી મિલકત કોને ફાળવવી એ આપણી ફરજ પણ છે અને હક્ક પણ છે. મિલકતમાંથી કોને શું, શી રીતે, ક્યારે અને કેટલું વહેંચવું એ નિર્ણય આપણે કરવાનો રહે છે, આપણે કરવો જોઈએ.

    આપણી મિલકતની ફાળવણી માટે આપણી પાસે શું શું વિકલ્પો છે તેની સમાલોચના કરીએ.

    વહેંચણી  – કેટલી અને ક્યારે?

    મિલકતની વહેંચણી કરવી જોઈએ એમ કહેવામાં આવે ત્યારે તેનો અર્થ એમ નથી કે આપણે આપણા, કે આપણાં સંતાનોનાં ભવિષ્ય વિશે ધ્યાન જ ન આપવું; આપણાં કુટુંબની ભવિષ્યની બધી જ સંભાવિત જરૂરિયાતો માટે પુરતી વ્યવસ્થા તો કરવી જ જોઈએ.  આપણાં, અને આપણા કુટુંબનાં જીવનના બધાજ તબક્કાઓ દરમ્યાન જે જીવનશૈલી જાળવી રાખવી આવશ્યક છે તે અંગેની જરૂરિયાતોને પહોંચી વળાય એટલી બચત અને રોકાણો કરવાં જ જોઈએ  તદુપરાંત,  જીવનના દરેક તબક્કે, જરૂરિયાત મુજબ તેમનો ઉપયોગ પણ કરતાં જ રહેવું જોઈએ.

    મિલકતની વહેંચણીની જે વાત છે તે ભવિષ્યની આ બધી જ જરૂરિયાતો માટેની પર્યાપ્ત વ્યવસ્થા કર્યાં પછી પણ જે રોકાણ ફાજલ રહે તેના સંદર્ભમાં છે.

    એટલે કે આપણાં જીવનની એવી અર્થવ્યવસ્થા આપણે ગોઠવવી જોઈએ કે આપણી  કે આપણા પરિવારની જરૂરિયાત ઓછામાં ઓછી હોય અને વધારાની મિલકત આપણે જે સમાજમાં રહીએ છીએ તે સમાજને ઉપયોગી નીવડે તેવી વ્યવસ્થા કરીએ. એ વ્યવસ્થા બે પ્રકારે કરી શકાય  – એક તો આપણા જીવનકાળ દરમ્યાન મિલકતની વહેંચણી થતી રહે, અથવા તો આપણા મૃત્યુ પછી આપણી ઈચ્છા મુજબ એ મિલકતનો ઉપયોગ થાય. આ બન્ને ઉપાયોનું આપણને ઉચિત લાગે તેવું સંમિશ્રણ કરવાનો  ત્રીજો વિકલ્પ પણ છે. આપણા મૃત્યુ પછીની મિલકતની વહેંચણીની વ્યવસ્થામાં કોઈ ગુંચવાડા ન પડે એ માટે બધી જ વ્યવસ્થા સ્પષ્ટ કરતું વસિયતનામું બનાવી લેવું જોઈએ.

    આવી વ્યવસ્થા કરવાથી આપણા પોતાના જીવનકાળને, તેમ જ આપણાં સંતાનોનાં ભવિષ્યને, સુરક્ષિત કરવાની સાથે સાથે આપણી હયાતી બાદ પણ  આપણી ઈચ્છા અનુસાર જ આપણી મિલકત વપરાશે એ વાતનો સંતોષ પણ રહેશે.

    આપણી મિલ્કતના ત્રણ ભાગ કરવાના રહે. એક ભાગ આપણા પોતાના જીવનકાળમાં ઉપયોગી નીવડે તે મુજબ હોય. બીજો ભાગ આપણા કુટુંબ અને સંતાનોની વર્તમાન તેમ જ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા પર્યાપ્ત જોગવાઈ મુજબ હોય, અને ત્રીજો ભાગ આપણી ઇચ્છા મુજબની વર્તમાન, કે ભવિષ્યની, સામાજિક ફરજો પુરી કરી શકાય તે મુજબ હોય.  આ અંગેના નિર્ણયો કરવા માટેનો સૌથી ઉચિત સમય અત્યારે જ છે પણ  આ નિર્ણયોનો અમલ જરૂરિયાતના પ્રકાર મુજબ, આપણી હયાતી દરમ્યાન વર્તમાનમાં અને ભવિષ્યમાં, તેમ જ આપણી હયાતી બાદ એમ અલગ અલગ તબક્કામાં થશે.

    વહેંચણીના બદલામાં કમાણી 

    પોતા માટે, કે પોતાનાં કુટુંબ કે સંતાનો માટે, નાણાની જાળવણી બેંકો કે નાણાં વ્યવસ્થાપકોને સોંપી જવા કરતાં પોતાની મિલકત વડે બીજાંને જીવનને સમૃદ્ધ કરવું વધારે માનવીય, વધારે સંતોષકારક અને વધારે ઉત્પાદક અને નૈતિક દૃષ્ટિએ સમર્થન યોગ્ય છે.

    બીજાં લોકો પોતાની જરૂરિયાતો પુરી કરી શકે તે રીતની આપણી મિલકતની ફાળવણી એ માત્ર નૈતિક ફરજ કે સખાવત જ નથી. પોતાનાં સંસાધનો બીજાંની સાથે વહેંચવાથી આ પ્રકારનાં વહેંચણી પાત્રમાં અન્ય લોકો દ્વારા પણ યોગદાનો ઉમેરાવાનાં સ્વરૂપે સુપ્રતિભાવ મળે છે. તે ઉપરાંત, બીજાં લોકો તરફથી પ્રત્યક્ષ કે પરોક્ષ મદદ મળવાની સાથે સાથે આપણને સન્માન અને યશ પણ મળે છે.

    આપણી મિલકતની વહેંચણી : આપણો હક્ક 

    આપણી મહેનત અને આવડતથી જે કમાણી આપણે કરી છે, અને તેમાંથી બચત અને રોકાણ કરીને જે મિલકત ઊભી કરી છે, તેને કેમ ખર્ચવી, વહેંચવી કે સખાવતમાં આપી દેવી એ નિર્ણય કરવાનો હક્ક માત્ર આપણને જ છે. સાચા માર્ગે કરેલી કમાણીમાંથી પેદા કરેલી આપણી મિલકત પર આપણાં સંતાનોનો પણ કોઈ હક્ક કે દાવો ન હોઈ શકે. કેમ બચત કરવી કે રોકાણ કરવું કે ઉપાડ કરવો એ વિશેના નિર્ણયો લેવાનો જેમ આપણને જ માત્ર સુવાંગ હક્ક છે તેમ આપણી મિલકતની કેમ વહેંચણી કરવી એ નક્કી કરવાનો હક્ક પણ માત્ર આપણને જ છે.

    હવે પછીના મણકામાં, મિલકતની વહેંચણી કરવી કે ન કરવી તે અંગેનો નિર્ણય અને મિલ્કત ફાળવણીના ત્રણ વિક્લ્પ એ બે પાસાંઓની વાત કરીને મિલ્કતની વહેંચની ચર્ચા તેમ જ જીવનની આર્થિક વ્યવસ્થાના વ્યાવહારિક અમલનું પ્રકરણ પુરૂં કરીશું..


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.