-
પરિવર્તન- ૧૦ : ઘરમાં ઘર
અવલોકન
– સુરેશ જાની
સવારમાં ચાલવા જતાં એક ઘરના આંગણાંમાં આ બીજું એક ઘર જોવા મળ્યું –
બાળકને રમવાનું ઘર જ તો! વાચક આને કદાચ મજાક સમજી અવગણે. પણ….વીતેલ જિંદગી પર નજર કરીએ તો આપણે રહેવાનાં કેટકેટલાં ઘર બદલાયાં? આ લખનારના જીવતરમાં પણ અંદાજે ૧૫ થી ૧૬ તો ખરાં જ.જિંદગી પૂરી થયા બાદ, પ્રચલિત માન્યતા મુજબ મૂળ ઘરમાં નિવાસ થશે !
—-શહેરમાંં આવેલું, એ રમકડા જેવું નાનું મકાન. એ શહેર પણ આપણા નિવાસી જિલ્લા કે રાજ્યમાં આવેલો એક સાવ નાનો ટૂકડો જ ને? અને એ આપણા સ્વદેશનો એક નાનો ભાગ. એ સ્વદેશ આપણા નિવાસી ગ્રહનો એક નાનકડો હિસ્સો.
કલ્પના આગળ વધારતા જાઓ !
આપણા ગ્રહના બાપ જેવો એ સૂર્ય આકાશગંગા નિહારીકામાં આવેલી એક રજકણ. બ્રહ્માંડની સરખામણીમાં એ નિહારિકા વળી એવી જ એક રજકણ.
ઘરમાં ઘર, એની અંદર ઘર. એની અંદર વળી બીજું ઘર અને આમ અનંત શ્રેણી.
શેને આપણે પોતીકું ઘર ગણીશું?
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : ત્રિવિક્રમ ભગવાન વિષ્ણુ
પ્રવાસી યુ. ધોળકિયા
ત્રિમૂર્તિના બીજા ક્રમના દેવતા એટલે ભગવાન વિષ્ણુ. તેઓ સૃષ્ટિના પાલનકર્તા છે. પુરાણોમાં વિષ્ણુનો ‘વિશમાં પ્રવેશ કરવો’ અથવા ‘સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત (वेवेष्टी इति विष्णु )’ એવો અર્થ કરાયો છે, જે વેદની ઉક્તિ – तद्श्रुष्टवा तदेवान प्रतिशवी – નો પડઘો છે. ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતાં જ ભાવિકના મનમાં સ્વાભાવિકપણે જ તેમનાં શાંતિ અને ઐશ્વર્યનાં સ્વરૂપની ઉત્કૃષ્ટ સ્તુતિ ધ્યાનમાં આવવા લાગે છે.
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं
विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम्
वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्॥ત્રણ પગલાં: ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય
વિષ્ણુ શેષનાગ પર અનંત શયન કરે છે, એટલે સતત વહેતા કાળ પર તેઓ શાશ્વત બિરાજે છે. અહીં શાંત અને અનંત એ એક મહાતત્ત્વનાં પાસાંઓ છે તેવો ભાવ છે. વિષ્ણુ ભગવાનનાં કાર્યો વર્ણવવાં ખુબ જ કઠણ છે. આમ છતાં, વેદો, પુરાણો અને મહાકાવ્યોમાં વામન અવતાર સ્વરૂપની વિષ્ણુની ત્રણ પગલાંની હૃદયંગમ કથા અચૂક જોવા મળે છે. ઋગ્વેદ કહે છે કે જે જે સ્થળોએથી વિષ્ણુનાં પગલાં પૃથ્વીનાં સાત ભુવનોમાં ફરી વળ્યાં ત્યાંના દેવો અમારી પર કૃપા કરે ! તેમનાં બીજાં પગલાંમાં જ વિષ્ણુ વિશ્વનાં બધાં સ્થળોનું અતિક્રમણ કરી ગયા હતા. તેમના પગની ધુળમાંથી જે સર્જાયું તે આપણું ભૌતિક વિશ્વ છે. આ ત્રણ પગલાં દ્વારા વિષ્ણુએ સૃષ્ટિમાં સત્વ, રજસ અને તમસની ત્રિગુણાત્મક વ્યવસ્થા સ્થાપી. બીજા અર્થમાં, આ ત્રણ પગલાં વિશ્વની નીચે મુજબની ત્રિપરિમાણાય વ્યવસ્થાનાં પર્યાય બની રહ્યાં.
(૧) ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ
(૨) ઉત્પત્તિ, સ્થિતિ, વિનાશ
(૩) ઈશ્વર, બ્રહ્મ, પ્રકૃતિ
(૪) કર્મ, ભક્તિ, જ્ઞાન
(૫) ધર્મ, અર્થ, કામ
(૬) દૈહિક, દૈવી, ભૌતિક
(૭) યોગ, યજ્ઞ, તપ
(૮) માતા, પિતા, સંતાનો
(૯) ભૂત, વર્તમાન, ભવિષ્ય
(૧૦) સત્, ચિત્, આનંદ
(૧૧) બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ
તેથી જ વિષ્ણુપુરાણ કહે છે કે સમગ્ર વિષ્ણુમાંથી પ્રગટ્યું છે, અને વિષ્ણુમાં જ ટકી રહ્યું છે. વિષ્ણુ જ તેનાં સાતત્ય અને લયનું કારણ છે. વેદનું પરમ તત્ત્વ બ્રહ્મ છે અને તેનું ગતિશીલ સ્વરૂપ ઈશ્વર છે. વિષ્ણુ એટલે પરમ બ્રહ્મ અને પરમ ઈશ્વર છે. બ્રહ્માજીની ઉત્પતિ વિષ્ણુનાં નાભિકમળમાંથી થઈ છે તે તો સર્વને સુવિદિત છે.
સૃષ્ટિનાં સ્થાપન અને સંવર્ધનમાં જે કંઈ ગતિશીલ અને વિધાયક છે તે વિધાયક તત્ત્વનાં વિરોધી અને નકારાત્મક બળ, વૃત્ર,નો ઈંન્દ્રએ વિષ્ણુની મદદથી સંહાર કર્યો હતો, એટલે વિષ્ણુનું બીજું સુંદર નામ ઉપેન્દ્ર છે.
અવતારોનું રહસ્ય
સૃષ્ટિનું સંવર્ધન કર્યા પછી ભગવાન વિષ્ણુનું બીજું ભગીરથ, અને સમગ્ર જૈવિક સૃષ્ટિ માટેનું મહાન, કાર્ય અવતાર ધારણ કરવાનું રહ્યું છે. વરાહ પુરાણ, બ્રહ્મ પુરાણ, અને મસ્ત્ય પુરાણ તેમજ દેવી પુરાણ મસ્ત્ય, કુર્મ, વરાહ, વૃશ્ચિક, વામન, પરશુરામ, રામ, શ્રીકૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ એમ વિષ્ણુના દસ અવતાર બતાવે છે.
વિષ્ણુના અવતારોનું રહસ્ય સમજાવતાં શ્રીમદ્ ભગવદ્ ગીતા કહે છે કે દુષ્ટોના સંહાર અને ધર્મનાં રક્ષણ અર્થે ભગવાન વિષ્ણુ અવતાર ધારણ કરે છે.
“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत ।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ।।
परित्राणाय साधूनाम् विनाशाय च दुष्कृताम् ।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे ।।”આ અવતારોને પરિણામે જ માનવ ઉત્ક્રાન્તિ શક્ય બની છે અને તમસમાંથી દિવ્યતા તરફ તેની કૂચ નિશ્ચિત બની છે. વળી શ્રીરામ અને કૃષ્ણના, અનુક્રમે સાતમા અને આઠમા, અવતારોને પ્રતાપે જ ભારતવર્ષમાં ધાર્મિક અને આધ્યાત્મિક ભવ્ય ક્રાન્તિઓ થઈ. સનાતન ધર્મની સરવાણી જ્યારે સુકાઈ જવા પર હતી ત્યારે પ્રભુભક્તિ અને ઈશ્વર શરણાગતિના ઉપદેશ સાથે વૈષ્ણ્વ સંપ્રદાયે ભારતીય ધર્મ અને અધ્યાત્મ ચેતનામાં પ્રાણ પુર્યા. મધ્યકાળમાં શંકરાચાર્ય, રામાનુજ વલ્લભાચાર્ય, ચૈતન્ય, મીરાંબાઈ અને નરસિંહ મહેતા અને આધુનિક સમયમાં સહજાનંદ સ્વામી, પ્રભુપાદ ભક્તિવેદાંત વગેરે એ આ ચેતનાને વધારે બુલંદ કરી. જ્યારે બુદ્ધ અવતારે કોરિયા, જાપાન, તિબેટ અને અગ્નિએશિયામાં ધર્મ અને અધ્યાત્મના પાયા નાખ્યા. એક પરંપરા પ્રમાણે જૈનોના પ્રથમ તિર્થંકર ઋષભદેવ વિષ્ણુનો અવતાર છે.
ટુંકમાં ભારતની, અને ખાસ કરીને તો ગુજરાતની, જે અસ્મિતા છે તેમાં વૈષ્ણવ અને જૈન ધર્મોનો ફાળો કોણ નકારી શકે ! મહામનવ મહાત્મા ગાંધી વૈષ્ણવ હતા.
સમુદ્રમંથન
ભગવાન વિષ્ણુનું અન્ય મહાન કાર્ય દેવો અને દાનવો દ્વારા સમુદ્રમંથનનું હતું. મહાભારત અને વિષ્ણુપુરાણની કથા પ્રમાણે શ્રમિત થયેલા દેવોને અમૃત પીવડાવીને ભગવાન નારાયણે નવી તાકાત અને સ્ફુર્તિ આપ્યાં હતાં વળી ધન્વંતરીના હાથમાંથી અમૃતકુંભ લઈને દાનવો નાસી રહ્યા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ લઈને દાનવોનો હેતુ સફળ થવા ન દીધો. પરિણામે દાનવોનો પરાજય થયો. આ રીતે આસુરી શક્તિને નિયંત્રિત કરી શકાઈ અને સમુદ્ર મંથનું કાર્ય સિદ્ધ થયું.
સમુદ્રમંથનમાંથી વિશ્વને નીચે મુજબની ભેટો મળીઃ
૧) કાલકૂટ વિષ – જેનું પાન કરવાથી શિવ નીલકંઠ કહેવાયા અને વિશ્વને નષ્ટ થતાં બચાવ્યું.
૨) સુરા
૩) ઉચ્ચૈશ્રવા – ઈંન્દ્રનો અશ્વ
૪) કૌસ્તુભ મણિ – વિષ્ણુનો શણગાર
૫) ચંદ્ર – શિવની જટાનો શણગાર
૬) ધન્વંતરી – આયુર્વેદ વિજ્ઞાનના પિતા
૭) શ્રી (લક્ષ્મી) – વિષ્ણુનાં પત્ની; માનવજાતની સુખાકારી અને કલ્યાણનાં માપદંડ
૮) કામધેનુ / સુરભી – દેવોની ગાય
૯) ઐરાવત – ઈંન્દ્રનો હાથી
૧૦) છત્ર – વરૂણનો શણગાર
૧૧) પારીજાત – સ્વર્ગનું વૃક્ષ
૧૨) અપ્સરા
૧૩) કર્ણફૂલ – ઈન્દ્રએ જેને માતા અદિતીને ભેટ ધરી હતી
૧૪) સૂર્યનો અશ્વ
સમુદ્રમંથન વખતે એક અદ્ભૂત ઘટના બની. દેવો અને દાનવોને પાનો ચડાવવા વિષ્ણુએ શંખધ્વનિ કર્યો, જેમાંથી સાત સ્વર નીકળ્યા. ચૌદ મન્વંતરો આ સાત સુરોમાંથી નીકળતા તરંગોને આધારે જ પોતાનો કાર્ય કાળ સમાપ્ત કરે છે અને મન્વંતરોનું કાર્ય સિદ્ધ થાય છે. માનવજાત માટે ઉપકારક સંગીતના સાત સ્વરો પણ આ શંખધ્વનિમાંથી જ પ્રગટ્યા.
સૂર્ય પણ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ લેખાય છે. તેથી શતપથ બ્રાહ્મણે તેની લક્ષણિક શૈલીમાં કહ્યું છે કે જ્યારે વિષ્ણુનો શિરચ્છેદ કરવામાં આવ્યો ત્યારે છૂટું પડેલું મસ્તક આપણો સૂર્ય બની ગયો.
વેદોમાં સોમરસનું મહત્ત્વ ગાવામાં આવ્યું છે. આ સોમ માનવજાતનો પોષક છે અને વિષ્ણુનું જ સ્વરૂપ છે.
એ જ રીતે વેદોમાં એક પ્રશ્ન સુંદર રીતે પુછાયો છેઃ આ પૃથ્વીની અંતિમ સીમા ક્યાં છે? પૃથ્વીની નાભિ કઈ છે? યજુર્વેદ આ પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે યજ્ઞની વેદી જ પૃથ્વીની પરમ સીમા છે અને તે જ પૃથ્વી નાભિ છે. આ યજ્ઞ પણ વિષ્ણુનું જ સ્વરૂપ છે.
ભગવાન વિષ્ણુની કેટલીક અન્ય અવનવી લાક્ષણિકતાઓ
ભગવાન વિષ્ણુનાં પત્ની બનવાનું સૌભાગ્ય શ્રીલક્ષ્મી અને ભૂમિને છે. તેનાં ઉગ્ર પ્રતિવ્રત અને પવિત્રતાને લીધે તુલસીને પણ વિષ્ણુનાં પ્રિય પાત્ર બનવાનું સન્માન મળ્યું.
ભૃગુઋષિએ જ્યારે ત્રિમૂર્તિની પરીક્ષા લીધી ત્યારે બ્રહ્મા પોતાના અભિમાનને કારણે અને શિવ તેમના પાર્વતી સાથેના પ્રેમાલાપને કારણે ભૃગુઋષિની પરીક્ષામાં નિષ્ફળ નીવડ્યા. વિષ્ણુ ભગવાનની પરીક્ષા કરવા ઋષિએ તેમને છાતીમાં લાત મારી. તેમ છતાં, ભગવાને બહુ સાહજિક ભાવથી ઋષિને પડેલાં કષ્ટ બદલ તેમની ક્ષમા માગી. આમ, ત્રિમૂર્તિના શ્રેષ્ઠ દેવનું બિરૂદ વિષ્ણુ જીતી ગયા.
લોકોમાં સામાન્યપણે એક ભ્રામક માન્યતા છે કે વિષ્ણુ અને શિવ વચ્ચે મનમેળ નહોતો. સત્ય તો એ છે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એક જ બ્રહ્મશક્તિનાં ગત્યાત્મક પાસાં છે. ભગવાન શિવે જાહેર કર્યં હતું કે જો મારા બે કકડા કરવામાં આવે તો મારા હૃદયમાં વિષ્ણુ જોવા મળશે. ભગવાન વિષ્ણુએ દેવો સમક્ષ સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે તમે જે શિવતત્ત્વની ખોજમાં છો તે મારામાં લિંગરૂપે છે. શિવના તાંડવ નૃત્ય વખતે વિષ્ણુએ જ મૃદંગથી સાથ કરેલો.
વિષ્ણુની મૂર્તિઓ
આ મહાન દેવની ચતુર્ભુજ અને અષ્ટભુજ મૂર્તિઓ બનાવવાની વિશદ ચર્ચા પુરાણો, સમરાંગણ સૂત્રધાર અને વૈખાનસ આગમ જેવા ગ્રંથોમાં મળે છે. વિષ્ણુની ઊભી મુદ્રા અને શયન મુદ્રામાં મૂર્તિઓ કંડારવાનું વિધાન છે. તેમાં યોગ સ્થાનક, ભોગ સ્થાનક, વીર સ્થાનક અને અભિકારિકા સ્થાનક પ્રકારની મૂર્તિઓ આવી જાય છે. ગરૂડાસન મૂર્તિઓ પણ એટલી જ પ્રચલિત છે. તેમના દસ અવતારોનાં સ્વરૂપોની મૂર્તિઓથી સમગ્ર હિન્દુસ્તાન પવિત્ર થયું છે.
વિષ્ણુની મૂર્તિઓના દરેક શણગાર અને આભુષણોનો આધ્યાત્મિક અને માનવજાત માટે કલ્યાણકારી અર્ઘ છે. વિષ્ણુનો શ્યામ રંગ ઈશ્વરનું નિરંકારી સ્વરૂપ છે, જ્યારે શ્વેત રંગ અદ્વૈત ભાવ દર્શાવે છે. ગરૂડ વિષ્ણુની રક્ષા અને કમળ અલિપ્તતાનાં પ્રતિક છે. સુદર્શન ચક્ર વિષ્ણુનું કાળ પરનું નિયંત્રણ છતું કરે છે. શંખ આયુષ્ય અને ગદા બુદ્ધિનાં પ્રતીક છે. કૌસ્તુભમણિ આત્માની જ્યોતિ છે. તો વૈજયંતીમાળા[1] પંચમહાભૂતની દ્યોતક છે. યજ્ઞોપવિત પ્રણવનું ચિહ્ન છે, જ્યારે શ્રીવત્સ પ્રકૃતિ, ઉપાધી અને સ્થિતિ દર્શાવે છે. ધનુષ પાંચ ઈન્દ્રિઓનો નિગ્રહ અને પીતવસ્ત્ર ત્યાગ બતાવે છે. શાલીગ્રામ પથ્થર શરીરનાં ઓજનું પ્રતીક છે.
સમાપનમાં …
દરેક વૈષ્ણવ ભક્ત વિષ્ણુના પરમ ભક્ત ધ્રુવ અને પ્રહલાદ બનવાની અદમ્ય આકાંક્ષા સેવે છે. તેઓનાં મુખે વિષ્ણુનાં સહસ્ત્ર નામોનું રટણ અવિરત ચાલતું રહે છે. આપણે પણ નારાયણને સ્મરીએઃ
करार विन्दे न पदार विन्दं , मुख़ार विन्दे विनये शयन्तम ||
वटस्य पत्रस्य पुटे शयानम, बालं मुकुन्दं मनसा स्मरामि ||
[1] આ માળામાં પંચમહાભૂત – પૃથ્વી, પાણી, તેજ, વાયુ, આકાશ – નાં પ્રતિનિધિ એવા, અનુક્રમે, નીલમ, મોતી, માણેક, પોખરાજ અને હીરો એ પાંચ મણિ હતાં.
હવે પછીના મણકામાં આપણે પંચદેવોમાંના ત્રિમૂર્તિના અધિનાયક – ભગવાન સદાશિવ ની વાત કરીશું
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
એકવીસમી સદી ચીનની છે? ના.
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
‘ખેલદિલી’ જેવો સુંદર શબ્દ રમતગમતમાંથી ઉદ્ભવ્યો છે, અને જીવનનાં અનેક ક્ષેત્રોમાં એ વ્યાપ્ત બની રહ્યો છે. એ સૂચવે છે કે રમતગમતમાં ખરું મહત્ત્વ ભાગ લેવાનું છે, નહીં કે હારજીતનું. રમત કોઈ પણ હોય, આ હકીકત બધે લાગુ પડે છે. અલબત્ત, રમતગમતનું વ્યાપારીકરણ થયા પછી તે હારજીત અને લોકરંજન પૂરતી જ મર્યાદિત બની રહી છે. રમતગમતના ક્ષેત્રનો એક અન્ય શબ્દ છે ‘ગાર્બેજ ટાઈમ’. કોઈ પણ રમતમાં જ્યારે પરિણામ નિશ્ચિત થઈ જાય, અને રમત પૂરી કરવાની ઔપચારિકતા બાકી રહી જાય ત્યારે કેવળ સમય પસાર કરવાનો હોય છે. આવા સમય માટે આ શબ્દ પ્રચલિત છે. ‘ગાર્બેજ’ એટલે નકામી ચીજવસ્તુ એટલે કે કચરો. આ શબ્દ છેલ્લા થોડા સમયથી રમતગમતની બહાર નીકળીને અન્ય ક્ષેત્રમાં ચલણી બનવા લાગ્યો છે. ખાસ કરીને ચીનના સામાજિક નેટવર્કિંગ માધ્યમના વપરાશકર્તાઓ દ્વારા ચીનના પ્રવર્તમાન સમયને ‘ગાર્બેજ ટાઈમ’ તરીકે ઓળખાવાઈ રહ્યો છે.

ચીનનો ‘ગાર્બેજ ટાઈમ – AI સર્જિત પ્રતિનિધિ આલેખન
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથીઆનું કારણ શું? ચીનના આ નાગરિકો માને છે કે પોતે દેશના એવા સમયમાં છે કે જ્યારે દેશનું અર્થતંત્ર સ્થગિત થઈ ગયું છે, બેરોજગારી વધી રહી છે, ખોરાકની કિંમતો આસમાનને આંબી રહી છે. એકવીસમી સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનો પ્રભાવ જે રીતે વધતો ગયો છે એ જોતાં ‘ચાઈનીઝ સેન્ચુરી’ જેવો શબ્દપ્રયોગ રૂઢ બન્યો છે. એ સૂચવે છે કે એકવીસમી સદી ચીનની હશે, એટલે કે આ સદીમાં વિવિધ ક્ષેત્રે ચીનનું પ્રભુત્વ રહેશે. આ અગાઉ વીસમી સદી માટે ‘અમેરિકન સેન્ચુરી’ શબ્દપ્રયોગ ચલણી હતો, તો અઢારમી અને ઓગણીસમી સદીને ‘બ્રિટીશ સેન્ચુરીઝ’ તરીકે ઓળખાવાઈ હતી. એ અગાઉ સત્તરમી અને અઢારમી સદીમાં ફ્રાન્સ તેમજ પંદરમી અને સોળમી સદીમાં સ્પેનનું વર્ચસ્વ રહેલું.
ચીનના વર્તમાન સમયના ઈન્ટરનેટ વપરાશકર્તાઓને લાગે છે કે ‘ચાઈનીઝ સેન્ચુરી’ તેની વાસ્તવિકતાથી અનેક ગણી દૂર છે. ‘ગાર્બેજ ટાઈમ’ શબ્દ અગાઉ ૧૯૭૯ પછી રશિયાના થયેલા સતત પતન દરમિયાન વપરાતો હતો. ચીન માટે આ શબ્દ પહેલવહેલો હુ વેન્હુઈ નામના જાણીતા ચીની લેખક દ્વારા તેમણે લખેલી એક બ્લૉગપોસ્ટમાં વપરાયો હતો. અન્ય એક અહેવાલ અનુસાર ગ્વાંગ્ઝો શહેરના એક દૈનિકના સંપાદક દ્વારા તે પહેલવહેલો ઉપયોગમાં લેવાયો હતો.
વેન્હુઈના બ્લૉગ પર ચાલેલી ચર્ચામાં અનેક લોકોએ તેની તરફેણમાં દલીલો કરી હતી. બ્લૉગ પરની ચર્ચામાં વિવિધ બાબતોની ચર્ચા થઈ. શી જી નામના એક બ્લૉગરે કહ્યું કે આવા સમયમાં શરીરને સ્વસ્થ રાખીને, તેમજ આશાવાદી અને ખુશમિજાજ રહીને, એ રીતે પરસ્પર સહાયજૂથ બનાવીને પોતાની ક્ષમતા અનુસાર પગલાં ભરીને અમુક અંશે સ્વતંત્રતા અનુભવી શકાય. કેટલાક લોકોએ આવો જ અન્ય એક શબ્દ ‘ઈન્વોલ્યુશન’ પ્રયોજ્યો. ચીન પૂરતો એનો અર્થ છે શ્રમિકોનું શોષણ અને ક્રૂર સ્પર્ધા.
એ તમામ દલીલોનો સાર એ હતો કે ઈતિહાસ જ્યારે ‘ગાર્બેજ ટાઈમ’માં પ્રવેશે ત્યારે સૌથી પહેલું પતન સાંસ્કૃતિક જગતના લોકો અને વિચારકોનું થાય છે. તીવ્રપણે થતી ટીકાની ગેરહાજરીને કારણે સાંસ્કૃતિક અધ:પતન ઈતિહાસમાં અનેક વાર થતું આવ્યું છે. આવા કાળમાં મૌન રહેવું બદઈરાદાવાળું મનાય છે, જ્યારે શાસકની અપૂરતી પ્રશંસા પાપ સમાન ગણાય છે. આખરે એક જ અવાજ વ્યાપ્ત બની રહે છે, અને એ છે જૂઠાણાંનો. એક અહેવાલ અનુસાર ચીનનાં વિવિધ દૈનિકોમાં પણ આ શબ્દ બાબતે ચર્ચા ચાલી રહી છે કે ખરેખર સ્થિતિ આવી છે કે કેમ.
દરમિયાન નેટના વધુ ને વધુ ચીની વપરાશકર્તાઓ આ શબ્દના સમર્થનમાં વિવિધ ઘટનાઓને ટાંકી રહ્યા છે, અને દૃઢપણે માને છે કે આ હકીકત છે.
આ શબ્દપ્રયોગ પ્રસરવા લાગ્યો એટલે ‘ચાઈનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી’ (સી.સી.પી.)ના નેતાઓ ચિત્રમાં પ્રવેશ્યા. અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અને રાજ્યની માલિકીના અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’ના કટારલેખક વેન્ગ વેને આ શબ્દ વાપરનારાઓની ઝાટકણી કાઢી અને તેને ‘જૂઠી શૈક્ષણિક વ્યાખ્યા’ ગણાવી.
આ હકીકત ચીનની છે. સ્વાભાવિકપણે જ તેમાંની ઘણી બાબતોનું સામ્ય આપણા દેશ સાથે જણાય છે. ‘ચાઈનીઝ સેન્ચુરી’ જેવી જ ગોળી ભારતને ‘વિશ્વગુરુ’ તરીકે સ્થાપિત કરવાની છે. સાંસ્કૃતિક ક્ષેત્રની પરિસ્થિતિ અધ:પતનથી ક્યાંય આગળ નીકળી ગઈ છે. સ્વસ્થ ટીકાનો માહોલ નથી. શાસકોની ખુશામતમાં સાંસ્કૃતિક જગતના મોટા ભાગના લોકો રાચેલા છે. જૂઠાણાંભર્યા સમાચારોનો વરસાદ એકધારો વરસી રહ્યો છે. શિક્ષણનું સ્તર સાવ પાતાળે ગયું છે. સ્વાસ્થ્યની સ્થિતિ એથીય બદતર છે. અવાજ ઉઠાવનારાઓને દેશદ્રોહીમાં ખપાવી દેવાનું કામ હવે સરકાર વતી બહુમતિ નાગરિકોએ ઊપાડી લીધું છે. હવે નાગરિકો ભાગ્યે જ બચ્યા છે. સૌ કોઈ એક પક્ષના સમર્થક છે, અને જે એના સમર્થક નથી એ તેના વિરોધી છે.
આમ છતાં, હજી ઘણા ભોળાઓ સાંસ્કૃતિક મજલમાં પીછેહઠ કરતા રહીને ‘વિશ્વગુરુ’ બનવાનું સપનું જુએ છે. તેમને નથી નાગરિક બનવું કે નથી ભારતીય બનવું, બસ, એક જ ધ્યેય છે કે ‘વિશ્વગુરુ’ બનવું. એથી પણ ભોળા નાગરિકો એમ માને છે કે ભારત હવે વિશ્વગુરુ બની ચૂક્યું છે.
આવા લોકોનું ભોળપણ એવું છે કે એની પર ન હસી શકાય, ન રડી શકાય. દયા પણ ન ખાઈ શકાય, કેમ કે, એવા લોકોની સંખ્યા ઘણી બધી છે, અને તેમની પડખે અનેકવિધ પ્રસારમાધ્યમો છે. અવનવા પ્રતિબંધો લાદવા શાસકોની પ્રિય રમત છે. કાયદા દ્વારા પ્રસાર માધ્યમો પર પ્રતિબંધ લાદી શકાય, પણ વિચારવા પર પ્રતિબંધ નાખી શકાતો નથી. એક નાગરિક તરીકે એ પ્રક્રિયા સતત ચાલતી રહે એ જરૂરી છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તનની સુનામી !
હરેશ ધોળકિયા
પરિવર્તન એ જગતનો નિયમ છે – આ વાક્ય જાણીતું છે અને નક્કર સત્ય છે. જગત ઉત્પન્ન થયું – જો ઉત્પન્ન થયું હોય તો – ત્યારથી સતત પરિવર્તનશીલ રહ્યું છે. લાખો કરોડો બદલાવ આજ સુધી આવ્યા છે. આજે પણ ચાલુ છે. પણ જો માનવ ઇતિહાસ તપાસીએ તો ગુફાવાસી માનવથી આજનો આધુનિક માનવ થવા સુધીનો મોટાભાગનો ઇતિહાસ ધીમાં પરિવર્તનનો કાળ રહ્યો છે. જેને આપણે ‘આધુનિક’ માનવ કહીએ છીએ, તે છેલ્લી ત્રણ સદીનો ઇતિહાસ છે. જ્યારથી વિજ્ઞાનની શોધો વધવા લાગી ત્યારથી આધુનિકતા શરૂ થઈ છે. વિસમી સદીના ઉત્તરાર્ધ સુધી તે પણ ધીમી રહી છે. પણ તેના છેલ્લા દાયકાથી તેની જે ઝડપ શરૂ થઈ છે તે ધ્યાન ખેંચે છે.
વર્તમાનમાં જો આ પરિવર્તનને જોઈએ, જોઈ શકીએ, તો સ્તબ્ધ જ થઈ જવાશે. આગળ જે નવું પરિવર્તન દસેક વર્ષે આવતું, તે આજે દસેક દિવસે આવે છે. દરરોજ સવારે જાગીએ છીએ અને જોઈએ છીએ તો દરેક ક્ષેત્રમાં કશુંક નવું જ પરિવર્તન આવી ગયું હોય છે. એની જે ગતિ છે, તે વાવાઝોડા જેવી છે. વાવાઝોડું જે ભયંકર ગતિથી ફરતું હોય છે અને તેના કેન્દ્ર નજીક જો કોઈ આવી ગયું, તો તે તેને પ્રકાશની ગતિથી ફેંકી દે છે. વ્યક્તિ સમજવાનો પ્રયાસ કરવા જાય ત્યાં તો તેનું મગજ બહેર મારી જાય છે. મોટાભાગે કોમામાં ચાલી જાય છે. આ જ સ્થિતિ વર્તમાન પેઢીની છે. આજે પરિવર્તન જે ભયંકર ગતિથી થઈ રહ્યું છે તેણે સમગ્ર માનવજાતને બૌદ્ધિક રીતે લગભગ લકવાગ્રસ્ત કરી નાખી છે. તે મૂઢ થઈ ગઈ છે. તેના પ્રભાવથી તે તદ્દન યાંત્રિક રીતે જીવે છે. “જીવે છે” શબ્દ પણ ખોટો છે. તેમાં જાગૃતિ નથી, કેવળ યાંત્રિકતા છે. આ ગતિ તપાસવા જેવી છે.
શા માટે આમ થયું છે ? – આ સવાલ પહેલાં તપાસીએ. તેનાં બે કારણો છે. એક તો ઔદ્યોગિક ક્રાંતિ પછી ‘મૂડીવાદ’નો ઉદય થયો. મૂડીવાદ બે જ શબ્દ પર કામ કરે છે : નફો અને પૈસો. તેણે માનવજાતને એકકેન્દ્રી કરી નાખી. તેણે ઠસાવી દીધું કે જીવનમાં કેવળ પૈસો હોવો જ મહત્ત્વનું છે. તે મેળવવા જ જીવવાનું છે. માનવજાત આ વાતથી હિપ્નોટાઈઝ્ડ થઈ ગઈ છે અને તે માટે દોડ્યા જ કરે છે. તેમાં ભળી છે ટેકનોલોજી. છેલ્લા બે દાયકામાં ટેકનોલોજીનો જે ક્લ્પનાતીત વિકાસ થયો છે, અને દર પળે વધતો જાય છે, તેણે આ પરિવર્તનને વાવાઝોડામાં ફેરવી નાખ્યું છે. આ વાવાઝોડાએ બધાનું શીર્ષાસન કરી નાખ્યું છે. સમગ્ર મૂલ્યવ્યવસ્થા ઊલટસુલટ થઈ ગઈ છે. બે ત્રણ બાબતો જોઈએ.
જબરો પ્રભાવ પડ્યો છે, કુટુંબ વ્યવસ્થા પર. સદીઓ સુધી ટકી રહેલી સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પાયાથી હચમચી ગઈ છે. ટેકનોલોજીએ રોજગાર વ્યવસ્થામાં જે ક્રાંતિ કરી છે, તેના પરિણામે મેગા સીટીઝ – મેટ્રો શહેરો ઊભાં થયાં છે અને મહત્તમ રોજગાર ત્યાં કેન્દ્રિત થયો છે. એટલે હવે નવી પેઢીને આ શહેરોમાં જવું ફરજિયાત બન્યું છે. વળી, રોજગાર પણ સ્થિર નથી. જે પણ કુશળ છે તેમની તકો વધતી જાય છે. એટલે કુશળ લોકો સતત રોજગાર બદલાવતા રહે છે. એટલે એકથી બીજાં શહેરોમાં કે વિદેશમાં કૂદકા માર્યા કરે છે. એટલે મોટાભાગનાં સંયુક્ત કુટુંબોનાં સંતાનો ભણવાનું પૂરું થાય કે તરત ઘર છોડી દે છે અને શહેરોમાં ચાલ્યાં જાય છે. વડીલો એકલાં થઈ જાય છે. સંતાનો લગ્ન કરીને પણ શહેરમાં જ રહે છે. એટલે હવે વિભક્ત કુટુંબોની સંખ્યા વધતી જાય છે. એની નોકરીઓ એવી તો ચુસ્ત છે, મહત્તમ સમય માંગે છે કે મોટાભાગના યુવાનો શાંતિથી ઘરમાં બેસી શકતા નથી. વહેલી સવારે નીકળી જાય છે અને છેક મોડી રાતે આવે છે. અને આવીને પણ શાંતિથી બેસતા નથી.
ટેકનોલોજીએ હાથમાં પૈસા મૂકી દીધા છે. સ્ત્રી પુરુષ બંને કમાય છે. બંને સ્વતંત્ર કામ કરે છે. એટલે બૌદ્ધિક સ્વતંત્રતા પણ ભોગવે છે. સદીઓ પછી સ્ત્રીઓને આ સ્વતંત્રતા મળી છે. તેઓ તેને જતી કરવા નથી માગતી. અને આટલી આધુનિકતા છતાં જ્ઞાતિ-જાતિ-ધર્મના પ્રભાવના કારણે કુટુંબની માનસિકતા આજે પણ બદલાઈ નથી. હજી પણ સ્ત્રી ભલે કમાય, પણ રસોઈ તો તેણે જ કરવાની છે. નોકરી સાથે ઘર પણ સંભાળવાનું છે. પતિ અને સાસુ સસરાને પણ સંભાળવાનાં છે. બધા રિવાજો તેણે જ પાળવાના છે. એટલે સ્ત્રી સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ ગુલામ જ છે. હવે તેને આ પસંદ નથી પડતું. એટલે તે એવો છોકરો ઇચ્છે છે જેનું કુટુંબ નાનું હોય અને તે પણ સ્વતંત્ર રહેવા તૈયાર હોય. આ બાબત પણ કુટુંબ પર ઘા કરે છે.
ચાલો, માની લઈએ કે આ બધી સગવડો મળી ગઈ. તો સમસ્યા પૂરી થઈ ? ના. બંને સ્વતંત્રતાનો એવો તો અનુભવ કરે છે કે હવે હમેશાં સાથે રહેવું અને એકને જ વફાદાર રહેવું તેમને અકળાવે છે. પરણ્યા પછી સાથીમાં મર્યાદાઓ દેખાય છે જે અકળાવે છે. એટલે હવે છૂટાછેડાનું પ્રમાણ વધે છે. અને હવે તો એ માનસિકતા વધતી જાય છે કે લગ્ન કરવાં જ શા માટે ? મુખ્યત્વે તો તે શારીરિક સંતોષ માટે જ ને ! હવેની પેઢી તે બાબતે પણ મુક્ત થઈ ગઈ છે. આ સંતોષ માટે લગ્ન સુધી રાહ જોવાની પણ તેના પાસે ધીરજ નથી. ‘વર્જીનીટી’ શબ્દ હાસ્યાસ્પદ બનતો જાય છે. એટલે હવે લગ્નને બદલે ‘લીવ ઈન’ વ્યવસ્થા શરૂ થઈ ગઈ છે. મજા આવે ત્યાં સુધી સાથે રહેવું. ન ફાવે તો છૂટા થઈ જવું. ફરી નવો સાથી. આ ઘટના પણ કુટુંબને હચમચાવે છે. અને લીવ ઈનને જ્ઞાતિ વગેરે સાથે સંબંધ નથી. એટલે જ્ઞાતિ, જાતિ, ધર્મ વગેરેનું પોત પણ પાતળું બનતું જાય છે. લગ્ન વ્યવસ્થા જ પાયાથી હચમચી ઊઠી છે.
હજી એક પગલું આગળ. જો લીવ ઈનમાં જ રહેવું હોય અને ગમે ત્યારે અલગ થઈ જવાનું હોય, તો પછી બાળકની જવાબદારી શા માટે લેવી ! સમાંતરે બંને લગભગ આખો દિવસ કામ કરતાં હોય અને થાક્યાં પાક્યાં રાત્રે ઘેર આવે. એટલે આખો દિવસ બાળક તો એકલું જ રહે. તેના માટે સમય ક્યાં છે ? એટલે પછી બાળકની શું જરૂર? એટલે આજ સુધી પોતાને બાળક વિના અધૂરી માનતી સ્ત્રી પણ હવે બાળક ટાળવાનો પ્રયાસ કરે છે. તે તેની કારકિર્દીમાં આડું આવે છે.
એટલે હવે, ખાસ કરીને શહેરેમાં, બાળકોની સંખ્યા ઘટવા લાગી છે. આગળ ન્યૂનતમ બે બાળકો તો હોય જ. નવી પેઢીએ તેને એકમાં નિયંત્રિત કરી નાખી છે. જેમ જેમ શિક્ષણ વધે છે, અને આવક વધે છે, તેમ તેમ એક જ બાળક રહે છે. અને જેમ જેમ કામની તાણ વધે છે, આરામનો સમય ઓછો થતો જાય છે, મોજમજા વધે છે, તેમ તેમ ઘરમાં રહેવાનો સમય ઓછો થતો જાય છે. તો પછી બાળકનું શું ? એટલે અત્યારની નવી પેઢી-જેને જનરેશન ઝેડ કહેવાય છે – તે તો “બાળક જ ન જોઈએ” માનવા લાગી છે. એટલે નવી પેઢીમાં એક નવો શબ્દ આવ્યો છે : “ડી.આઈ.એન.સી.” ડબલ ઈનકમ, નો ચાઈલ્ડ” બેવડી આવક, બાળક નહીં. આ વાત હવે વ્યાપક થતી જાય છે. સમગ્ર વિશ્ર્વમાં બાળકોની જન્મ સંખ્યા ઓછી થતી જાય છે. પશ્ર્ચિમના દેશોમાં તો આ પણ સમસ્યા બનવા લાગી છે. દેશના વહીવટકારો બાળક જન્માવવા માટે લાલચો આપે છે, છતાં દંપતીઓ નથી લલચાતાં. જે ચીન એક વાર ભયંકર વસ્તી વધારાથી પીડાતું હતું, તે હવે વસ્તી ઓછી થવાની સમસ્યા ભોગવી રહ્યું છે.
તાજેતરના સમાચારો કહે છે કે આ એક સમસ્યાએ ચીનમાં જ નવી સમસ્યા ખડી કરી છે. છાપાંઓમાં એક નવો શબ્દ વાંચવા મળે છે. તે છે ‘ઓબ્ટેસ્ટ્રીક વીન્ટર.’ ઓબ્ટેસ્ટ્રીક એટલે જન્મ સંબંધી. જન્મ ઘટતાં જાય છે. એટલે કે તેમાં શિયાળો -એટલે ઘટાડો- આવતો જાય છે. છેલ્લા વર્ષમાં ચીનમાં ગાયનેક હૉસ્પિટલોનું પ્રમાણ ઝડપથી ઘટતું જાય છે. હૉસ્પિટલો બંધ થતી જાય છે. જાપાનમાં તો આ સમસ્યા વિકરાળ થતી જાય છે. યુરોપ-અમેરિકામાં પણ તે વધે છે. આનો પ્રભાવ રોજગાર પર પડે છે. કામ કરનારાઓ ઘટતા જાય છે. ઉત્પાદન ઘટાડી શકાય તેમ નથી. એટલે વિદેશોમાંથી લોકોને આમંત્રણ આપવું પડે છે. તેની આડઅસર એ થાય છે કે વિદેશથી આવતા લોકો વધે છે તેમ તેમ મૂળ વતનીઓ ઓછા થતા જાય છે. તેનો રાજકીય જીવન પર પ્રભાવ પડે છે. ધાર્મિક અને સાંસ્કૃતિક સમસ્યાઓ ખડી થાય છે. પરિણામે હિંસા વધે છે. અશાંતિ વધે છે. સંકુચિતતા પણ વધે છે. આનો લાભ સામાન્ય નેતાઓ લે છે અને લોકોને ઉશ્કેરી સત્તા પર બેસી જાય છે. તે લોકશાહીને ખતરામાં મૂકે છે. પાયાના મુદ્દાઓની ચર્ચાને બદલે ઉશ્કેરાટભર્યા મુદ્દાઓ આગળ કરાય છે, જે દેશની શાંતિને જોખમાવે છે. આ બધાની અસર સમાજ, શિક્ષણ, વહીવટ બધા પર પડે છે. સમગ્ર વિશ્ર્વ અત્યારે ખળભળી રહ્યું છે. ચારે બાજુ તદ્દન સામાન્ય નેતાઓ ચૂંટાય છે જે ભવિષ્યમાં યુદ્ધનો ભય ઊભો કરશે.
આ તો એક નાનું ચિત્ર છે. પણ જો સમગ્ર રીતે અભ્યાસ કરવામાં આવે તો ગભરાઈ જવાય તેવું ચિત્ર છે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
શિલ્પ અને સ્થાપત્યવિષયક કુમારના લેખોની ❛ગાંસડી❜
પુસ્તક પરિચય

શિલ્પ સ્થાપત્યસંપદા ભાગ-૧ અને ૨ પરેશ પ્રજાપતિ
ગુજરાતનાં યુવાનોમાં ચારિત્ર્યઘડતર અને સંસ્કાર ઉપરાંત આપણા પ્રાચીન વારસા, સાહિત્ય તથા કલા વિષયક જ્ઞાન પીરસવાના ઇરાદા સાથે ૧૯૨૪માં કલાગુરુ રવિશંકર રાવળે ❛કુમાર❜ સામયિકની આરંભ કર્યો હતો. હાલ તેનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે. આ વર્ષોમાં વિવિધ કલાઓ, સંસ્કૃતિ, સાહિત્ય, વિજ્ઞાન, ગણિત, વૈજ્ઞાનિક અજાયબીઓ, હુન્નર ઉદ્યોગોના નુસખાઓ, રમતગમત, સંગીત, આરોગ્ય, હાસ્ય-વિનોદ એમ અનેક વિષયોને આવરી જ્ઞાન પીરસવાની પરંપરા ‘કુમારે’ ચાલુ રાખી છે. ‘કુમારે તેનો દર સોમો અંક વિશેષાંક તરીકે પ્રકાશિત કરવાની આગવી પરંપરા પણ જાળવી છે. આ બહુવિધ વિષયો પર સમયાંતરે પ્રકાશિત થતી રહેલી સામગ્રીમાંથી શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં લખાયેલા લેખોને અલગ તારવીને ❛કલાતીર્થ❜ ટ્રસ્ટે તેને પુસ્તક તરીકે એક સાથે પીરસવાનું શ્રેયકર કાર્ય કર્યું છે. પુસ્તકનો હેતુ છે ગુજરાતના અંતરિયાળ અને સાવ છેવાડાના ગામડા સુધી આ જ્ઞાનનો વિસ્તાર.
બે દળદાર ગ્રંથોના પહેલા ભાગમાં ❛હિંદનાં શિલ્પ સ્થાપત્ય❜ વિષય પર વિશદ છણાવટ કરતા હરિપ્રસાદ વ્રજરાય દેસાઇનાં કુલ દસ લેખો છે. છેક સમ્રાટ અશોકના વખતના સાંચી સ્તુપથી શરૂઆત કરીને કોણાર્ક, ભુવનેશ્વર, બેલુર, એમ વિવિધ સ્થાનો આવરતા રહીને લેખકે ગુજરાતનાં મોઢેરાનાં સૂર્યમંદિર અને અડાલજની વાવ જેવાં સ્થળો આવરી લીધા છે. તેમાં જે તે સ્થાપત્યોના ટૂંકા વર્ણનો ઉપરાંત જોડાયેલો ઇતિહાસ અને પડઘાતી ધાર્મિક કે સામાજિક કથાઓ અને લોકમાન્યતાઓ આવરી લેખોને સંપૂર્ણ આયામ આપતા લેખો છે.
કલકત્તા મહાવિદ્યાલયના વાગીશ્વરી કલાપદના આચાર્ય, ❛રૂપમ❜ના તંત્રી અને વિખ્યાત કલાવિવેચક અર્ધેન્દ્રકુમાર ગાંગુલીની કલમે લખાયેલા શિલ્પવિજ્ઞાનને લગતા લેખોનો અપર્ણાબહેન ત્રિવેદીએ કરેલા અનુવાદો પુસ્તકમાં સમાવિષ્ટ છે. તેમાં શિલ્પનાં અંગો અને અંગમરોડ તેમજ સ્થાપત્યો વિશે રોચક અભ્યાસ રજૂ થયો છે. તે સિવાય અમૃતલાલ પંડ્યાના બે લેખોમાં પણ મૂર્તિઓનો, તેનાં અંગો અને અદાઓનો પરિચય આપવામાં આવ્યો છે. આ સાથે મથુરાની શિલ્પકળા વિષય પર અન્ય લેખકના લેખ છે.
❛ગુજરાતની ગુપ્તકાળની શિલ્પસમૃદ્ધિ❜ વિષય પર પથ્થરનાં શિલ્પ અને ધાતુ મૂર્તિઓના ગહન અભ્યાસી ડૉ. ઉમાકાન્ત પ્રેમાનંદ શાહના સાત લેખો છે. તેમાં વિવિધ શિલ્પોનાં ચિત્રો સાથે તેની ખૂબી અને ખાસિયતોની વિશદ છણાવટ છે.
હિંદી કળાઓમાં ગુજરાતનું પ્રદાન દર્શાવતા આંતરરાષ્ટ્રિય ખ્યાતિ મેળવેલા ડૉ. ગોએટ્ઝના લેખોનો રમણલાલ નાગરજી મહેતાએ કરેલા અનુવાદ છે, આ ઉપરાંત ગુજરાતને કેન્દ્રમાં રાખીને લખાયેલા અન્ય લેખોમાં ગુજરાતનાં મુસ્લિમ સ્થાપત્યો અને મૂર્તિઓ ઉપરાંત સિદ્ધપુરના રુદ્રમહાલય, કલશેરી, પાટણ વગેરે સ્થળોનાં શિલ્પોવિષયક તલસ્પર્શી લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બીજા ભાગમાં શિલ્પ અને સ્થાપત્ય કળામાં જૈન પ્રભાવ દર્શાવતા કેટલાક અભ્યાસલેખ છે. તેમાં વિવિધ લેખકોએ લખેલાં જૈન ધાતુશિલ્પો, બેલુરનાં તથા ૬ઠી સદીનું નિર્માણ ધરાવતી બાદામીનાં વૈષ્ણવ શિલ્પોના લેખો તથા ભારતીય કલામાં જૈન કલાના પ્રદાન આધારિત રવિશંકર રાવળના લેખનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતમાં મૂર્તિકળાના ઉદભવ અને વિકાસ ધરાવતો એક લેખ છે. અન્ય લેખમાં ખજૂરાહોનાં શિલ્પોને આવરી લેવાયા છે.
પથ્થરનું જાળીકામ અને પથ્થરનાં તોરણદ્વાર એ ઉચ્ચ કક્ષાની હથોટી માંગી લેતી રચનાઓ છે. આ વિષયનાં વિવિધ પાસાં આવરી લેતા લેખો પુસ્તકના બીજા ભાગમાં સમાવવામાં આવ્યા છે. પુસ્તકના લેખોમાં કેટલાંક બહુ જાણીતાં એવા અજંતાના શિલ્પાંકનો કે કૈલાસ મંદિરનાં શોભાંકનો સાથે કપિલેશ્વર શિવાલય (વાવ), આરસનાં શિલ્પો (વડાવલ), ઘૂમલી (બરડા ડુંગરની તળેટીનું સ્થળ) જેવાં ઓછાં જાણીતાં કે અજાણ્યાં સ્થળોએ આવેલાં શિલ્પને લગતાં લખાણો આ પુસ્તકમાં છે.
આ ભાગમાં મંદિરસ્થાપત્યનો પરિચય આપતા વિવિધ લેખો છે. તેમાં મંદિરનાં સ્થાપકીય અંગો જેવાં કે જગતિ (ઓટલો), સ્તંભો, તોરણો, ઘૂમટ, શિખર, ગર્ભગૃહની બાહ્ય ભિત્તિની – મંડોવરોની રચના વગેરે પર શિલ્પશાસ્ત્રના પારંગત એવો હરિપ્રસાદ સોમપુરાના લખાયેલાં લેખો છે. હેમંતભાઇ વાળાનાં ગુફાસ્થાપત્યો, નાગર શૈલીનાં મંદિરો, મંદિરોમાં વાસ્તુશાસ્ત્ર અને દ.ભારતનાં મંદિરો એમ મંદિરોના વિવિધ પ્રકારોને આવરતા લેખો છે. એ ઉપરાંત ભારતનાં ગુફાસ્થાપત્યો ઉપરાંત મંદિરનિર્માણને લગતાં વિવિધ લેખકોનાં સમયાંતરે લખાયેલા લેખો તેમજ ખાસ કરીને ગુજરાત- સૌરાષ્ટ્રનાં મંદિરો, ગુફાઓ અને નાગદમન વિષયો પર આધારિત અલગ લેખો સમાયેલા છે.
‘કુમાર’ એક જમાનાથી પ્રતિષ્ઠિત સામયિક રહ્યું છે. અનેકવિધ વિષયના વિદ્વત્તાપૂર્ણ લેખો માટે તે જાણીતું છે. વિતેલાં સો વર્ષોમાં અનેક વિવિધ વિષયો પર અનેક ઉત્તમ લખાણો આવી ચૂક્યા છે, તેનો લાભ આગલી પેઢીના વાચકોએ મેળવ્યો છે. શિલ્પ અને સ્થાપત્યને લગતા આ સો વર્ષોમાં પ્રકાશિત લેખો આ પુસ્તકો થકી એક સાથે રજૂ કરી કલાતીર્થ ટ્રસ્ટે ખાસ કરીને આજની પેઢીના વાચકો માટે વિષયવાર વાંચન હાથવગું અને સુલભ બનાવ્યું છે. તે બદલ તે અભિનંદનને પાત્ર છે.
*** * ***
પુસ્તક અંગેની માહિતી:
પુસ્તકનું નામ: શિલ્પ સ્થાપત્ય સંપદા ભાગ- ૧ અને ૨
સંપાદક: નિસર્ગ આહીર
પૃષ્ઠસંખ્યા : ભાગ-1 : 331 ભાગ-2 : 354
કિંમત : ₹ અમૂલ્ય | આવૃત્તિ :2024
પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન : ❛રંગ❜ 18, રાજાનન સોસાયટી વિભાગ-3, ગજેરા સ્કૂલ સામે, કતાર ગામ, સુરત- 395 004.
વિજાણુસંપર્કઃ kalatirth2021@gmail.com ; ramnikgkp@gmail.com
મો.નં: + 91 98256 64161
પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com
-
એક દિન અચાનક – જેને કોઈ દેખીતું દુખ ન હોય એ ઘર છોડી ચાલ્યો જાય તો શું સમજવું ?
સંવાદિતા
જે અકારણ ને અમસ્તું લાગતુંકોઈ છાનું એનું કારણ હોય છેભગવાન થાવરાણીમૂળ બંગાળી ફિલ્મો સર્જતા ફિલ્મકારોમાંથી મૃણાલ સેને સૌથી વધુ હિંદી ફિલ્મો સર્જી. કુલ સત્યાવીસમાંથી સાત. એમણે એક – એક ઉડિયા અને તેલુગુ ફિલ્મ પણ આપી. એમની હિંદી ફિલ્મો એટલે ભુવન શોમ, એક અધૂરી કહાની, મૃગયા, ખંડહર, જેનેસીસ, એક દિન અચાનક અને એમની અંતિમ ફિલ્મ અંતરીન. એમણે એક ટીવી ફિલ્મ ‘ તસવીર અપની અપની ‘ અને દૂરદર્શન માટે બાર લઘુ ફિલ્મોની એક શ્રંખલા ‘ કભી દૂર કભી પાસ ‘ પણ હિંદીમાં બનાવી.
૧૯૮૦ થી ૧૯૮૯ ના દશક દરમિયાન એમણે બનાવેલી ત્રણ ફિલ્મોને એબસંટ ટ્રાઈલોજી – અનુપસ્થિતિ ત્રયી તરીકે ઓળખવામાં આવે છે. આ ત્રણેય ફિલ્મોમાં ફિલ્મનું મુખ્ય પાત્ર ફિલ્મના આરંભમાં જ અદ્રશ્ય થઈ જાય છે. પહેલી ફિલ્મ ‘ એક દિન પ્રતિદિન ‘ માં નોકરીએ ગયેલી અને જેની કમાણી પર ઘરનો કારોબાર ચાલતો હતો એ યુવાન સ્ત્રી સાંજે ઘરે પાછી ફરતી નથી ( પણ વહેલી સવારે પાછી ફરે છે ). બીજી ‘ ખારિજ ‘ માં ઘરનો બાળ – નોકર રસોડામાં ધૂમાડાથી ગૂંગળાઈને મૃત્યુ પામે છે તો છેલ્લી ‘ એક દિન અચાનક ‘ માં ઘરના મોભી નિવૃત પ્રોફેસર એક સાંજે ‘ હમણાં આવું છું ‘ કહીને નીકળે છે તે ફિલ્મના અંત લગી પાછા ફરતા નથી. ત્રણેય ફિલ્મનો મુખ્ય સુર આ પાત્રોનું ‘ જતા રહેવું ‘ નથી પણ એમની અનુપસ્થિતિમાં એમના કુટુંબીઓની જે વિચાર પ્રક્રિયા છે એ છે. આમાંની એક માત્ર હિન્દી ફિલ્મ ‘ એક દિન અચાનક ‘ ને થોડીક વિગતે જોઈએ.

ફિલ્મની સમગ્ર વાર્તા એક પ્રોફેસરના જીવનની છે. નિવૃતિ પછી એ પોતાની લાઇબ્રેરીના પુસ્તકોના વાંચન અને સંશોધનમાં વ્યસ્ત રહે છે. વધારાની કમાણીની ઘણી તકો છે પણ એમને એવી કોઈ વાતમાં દિલચસ્પી નથી. એમની એક ભૂતપૂર્વ અને એમનાથી ઉંમરમાં ઘણી નાની વિદ્યાર્થિની ( અપર્ણા સેન ) એમની પરમ પ્રશંસક છે. બન્નેના સંબંધો પ્રેમાળ કુટુંબની નજરમાં પણ નિખાલસ છે. સમગ્ર ફિલ્મ, એમના જતા રહ્યા પછી એમના કુટુંબીઓ, અન્ય સ્વજનો, પડોશીઓના એમના વિષેના અભિપ્રાય અને એમાં આવતા બદલાવ ઉપર કેંદ્રિત છે. આ કુટુંબીઓ એટલે એમના ગૃહિણી પત્ની ( ઉત્તરા બાવકર ), કમાતી મોટી દીકરી ( શબાના આઝમી ) કોલેજમાં ભણતી નાની દીકરી ( રૂપા ગાંગુલી ) અને નિષ્ફળ વ્યવસાયી દીકરો ( અર્જુન ચક્રવર્તી ) . પ્રોફેસર ( શ્રીરામ લાગુ ) નું ચરિત્રાંકન આ ચારેય ઉપરાંત એમની ખુદની ફલેશબેક દ્વારા ફિલ્મમાં આવનજાવનથી થતું રહે છે. બધા કુટુંબીજનો એમને હવે પોતપોતાની ફુટપટ્ટીથી મૂલવે છે. કદાચ પહેલાં કરતાં વધુ સારી અને સાચી રીતે સમજે છે. બધાં વચ્ચે સમજણનો સેતુ નહોતો એવું પણ નથી પણ એમની વિદાય પછી બધાને લાગે છે કે કશુંક તો હતું જે ખૂટતું હતું.
પ્રોફેસરની મોટી દીકરી એમની સૌથી વધુ નિકટ હતી. ફિલ્મના એક દ્રશ્યમાં વિદાય પછી પિતાનું વિશ્લેષણ કરતાં એ કહે છે ‘ કદાચ પપ્પા આપણે સૌ માનતા હતા એટલા મહાન નહોતા. કદાચ એ આપણા જેવા જ હતા. એક સાધારણ મનુષ્ય ! ‘ ફિલ્મના નિર્દેશક મૃણાલ સેને પણ એક મુલાકાતમાં કહેલું કે ‘ કદાચ પ્રોફેસર એટલા માટે ચાલ્યા ગયા કે એમને એમના સામાન્યપણાનો અહેસાસ થઈ ચૂકેલો છે. ‘
એમના પત્ની પણ હવે એમની પ્રિય વિદ્યાર્થિની સાથેના એમના સંબંધોને નવા પ્રકાશમાં જૂએ છે. નાની દીકરી અને દીકરો તો પહેલેથી એમને ઘમંડી અને અતડા માનતા હતા જ. સમાજમાં મોભાદાર સ્થાન ધરાવતા એમના સાળા એમને બેદરકાર ઠેરવે છે અને હવે એમના પાછા ફરવાની કોઈ શક્યતા ન જણાતાં એમના હજારો ગ્રંથોથી ‘ ખદબદતો ‘ એમનો અભ્યાસ – રૂમ ખાલી કરવાનું સૂચન કરે છે. એમની પ્રિય મોટી દીકરીને માઠું ન લાગે એટલે એ પુસ્તકો પસ્તીમાં કાઢવાને બદલે કોઈ પ્રતિષ્ઠિત કોલેજને દાનમાં આપવાનો વચલો રસ્તો કાઢી આપે છે. ‘ એમના નામની તક્તી પણ લગાવડાવીશું એ વિભાગમાં ‘ ! ફિલ્મના એ યાદગાર દ્રશ્યમાં, જ્યારે લાઈબ્રેરીમાં લઈ જવા માટે પુસ્તકો સમેટાઈ રહ્યા હોય છે ત્યારે દીકરી જાણે પિતાને અંતિમ વિદાય આપતી હોય એવું અનુભવાય છે !
એમના ગયા પછી કુટુંબના સભ્યો પોતાની સ્વાભાવિક જિંદગી ભણી ધીમે ધીમે પાછા ફરતા હોય એવું લાગે છે ખરું પણ એમને પહોંચેલી ઈજાઓ વર્તાઈ આવે છે. મોટી દીકરીને એક પુરુષ મિત્ર છે પણ એ સંબંધ જાણે સુષુપ્ત અવસ્થામાં છે. દીકરાનો વ્યવસાય થાળે પડ્યો હોય એવું વર્તાય છે પણ એની પ્રકૃતિમાં કડવાશ અને કઠોરતા પ્રવેશી ગઈ છે. પત્ની સતત પતિ અને એમની વાતોને યાદ કરતી હતાશાનો શિકાર બની ગઈ છે. દરેક સભ્ય પ્રોફેસરની મન:સ્થિતિ સમજવાના મરણિયા પ્રયત્નોમાંથી જવાબો કરતાં વધુ સવાલો નીપજાવે છે જાણે ! પહેલાં એ બધા હસતા – લડતા – ઝઘડતા – દલીલો કરતા પણ એમાં એક જીવંતતા હતી, હવે બધા સાથે બેઠા હોય પણ મૌન અને ઉદાસ. મૃત્યુ થયું હોય તો માણસ એક રીતે નિશ્ચિંત હોય, પણ આ તે કેવી અનિશ્ચિતતા ! પિતાનું બેંક બેલેંસ જાણવા ગયેલા દીકરાને પણ કહેવામાં આવે છે કે એમના ગુમ થયાને સાત વર્ષ ન થાય ત્યાં સુધી એમના પૈસાનું કંઈ ન થાય !
આવી ફિલ્મ બનાવવાનો સર્જકનો હેતુ દર્શક સ્વયંને સવાલો પૂછે એ છે. આપણી આસપાસ જે રોજિંદા બનાવો બને છે – બની રહ્યા છે એ વિષે પુનર્વિચાર કરવા મજબૂર કરે એ છે. બહુધા એવું બનતું હોય છે કે કુટુંબનો જે સદસ્ય ઘર માટે અનિવાર્ય હોય છે એને અપર્યાપ્ત રીતે સમજવામાં આવ્યો હોય છે. સાથોસાથ એ હકીકત પણ નકારી શકાય નહીં કે કોઈની ગેરહાજરી ભલે એક ખાલીપો સર્જે પણ એનાથી વિચારો, મૂલ્યો અને નૈતિકતાનો એક અવકાશ પૂરાય છે.
ફિલ્મનું અંતિમ દ્રશ્ય ચિરસ્મરણીય છે. પ્રોફેસરના જતા રહ્યાને બરાબર એક વર્ષ થયું છે. એ જતા રહેલા એવી જ વરસાદી સાંજ. મા, બન્ને દીકરી અને પુત્ર બાલકનીમાં. દરેક પિતા વિષે કશુંક કહે છે. મા કહે છે, ‘ હું તમારા સૌ જેટલું તો ન સમજું પણ એ એક વાત હંમેશા કહેતા કે જીવનની સૌથી મોટી કરૂણતા હોય તો એ છે કે આપણે માત્ર એક જ જિંદગી જીવવાની છે ! ‘
ઘણીવાર આપણે હકીકતથી સુપરિચિત હોઈએ છીએ. માત્ર એની સાથે આંખ મિલાવતાં ભય પામીએ છીએ. ‘ એક દિન અચાનક ‘ આપણને હકીકતનો સાક્ષાત્કાર કરાવે છે. એ એક સંકીર્ણ ફિલ્મ છે. એ માનવીય સ્વભાવ અને એના અનુભવોને સમજવાનો એક પ્રયત્ન છે. ફિલ્મનો અંત કદાચ સામાન્ય ફિલ્મ રસિકને અસંતોષકારક લાગે કારણ કે છેલ્લે ‘ ફિલ્મનું રહસ્ય ‘ તો ખૂલતું જ નથી ! ફિલ્મનો ઉદ્દેશ્ય એ છે જ નહીં. હકીકતમાં નાયકની પ્રકૃતિનું અલગ અલગ લોકો દ્વારા અર્થઘટન અને એ દરમિયાન એમના પોતાના પારસ્પરિક સંબંધોને નવેસરથી મૂલવવાની તક, એ જ આ ફિલ્મનો પ્રાણ છે.
ફિલ્મ બંગાળના વિખ્યાત લેખક રમાપદ ચૌધરીની ટૂંકી વાર્તા ‘ બીજ ‘ પર આધારિત છે. મૃણાલ સેને એમની જ ટૂંકી વાર્તા ‘ ખારિજ ‘ ઉપરથી પણ એ જ નામની ફિલ્મ બનાવી હતી.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
શાળા-કોલેજોમાં ભણાવાતા ઈતિહાસમાં થતા વિલોપન
નિસબત
ચંદુ મહેરિયા
ઈતિહાસ આમ તો લિબરલ આર્ટ્સનો વિષય છે પરંતુ કોઈપણ દેશકાળના રાજનેતાઓની અડફેટે તે ચડતો રહે છે અને પોલિટિકલ બની જાય છે. આપણા દેશના રાજનેતાઓ ઈતિહાસને તોડી મરોડીને ભણાવાય તેના ખેલ કરવામાં પહેલાં કે અપવારૂપ નથી. દુનિયાના ઘણા દેશોમાં ઈતિહાસના પાઠ્ય પુસ્તકો અને પાઠ્યક્રમમાં રાજકર્તાઓની મરજી મુજબના ફેરફારો કરવામાં આવે છે. શાળેય શિક્ષણમાં ઈતિહાસ એક મહત્વનો વિષય છે પરંતુ બાળકો-કિશોરોને ભણાવાતા ઈતિહાસમાંથી રાજનેતાઓની રાજકીય વિચારધારા, સમજ કે ઈચ્છા મુજબ વિલોપન થતા રહે છે. ઈતિહાસમાં ભૂતકાળની ઘટનાઓનું સાધાર આલેખન થતું હોય છે. જોકે કોઈનેય પોતાનો કલંકિત ભૂતકાળ મિન્સ ઈતિહાસ ગમતો નથી.સાચો-ખોટો ગૌરવાન્વિત ઈતિહાસ જ ગમે છે અને તે જ બીજાઓને કહેવો છે.
વિશ્વયુધ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા નગર પર અણુબોમ્બ ફેંકી વિનાશ વેર્યો હતો. જેની અસર હજુ ગઈ નથી. પણ અમેરિકાના ઈતિહાસમાંથી આ બાબતની હંમેશા બાદબાકી કરવામાં આવે છે. બ્રિટિશ સામ્રાજ્યનો ઈતિહાસ આક્રમક, વિસ્તારવાદી અને રંગભેદનો છે. જેણે વિશ્વના ઘણા દેશોમાં અન્યાય, અત્યાચાર, યુધ્ધ અપરાધ અને હિંસા આચરી હતી. બ્રિટિશ બાળકોને બ્રિટિશ સામાજ્યનો આ ઈતિહાસ ભણાવાતો નથી. બ્રિટનના પાઠ્યપુસ્તકોમાં ગાંધીજીનું આલેખન હંમેશા પડકારજનક અને કસોટી કરનારું રહ્યું છે.પાકિસ્તાનના શાળેય અભ્યાસક્રમના ઈતિહાસના પુસ્તકોમાં પાકિસ્તાનના ઈતિહાસનો આરંભ આઠમી સદીથી જ થાય છે. શાસકો પાકિસ્તાનનો ઈતિહાસ આઠમી સદીમાં મોહંમદ બિન કાસિમે સિંધ પર આક્રમણ કર્યું, તે જીત્યું અને તેનો શાસક બન્યો તેનાથી કરવામાં ગૌરવ સમજે છે. પાકિસ્તાનના વિદ્યાર્થીઓને જે ઈતિહાસ ભણાવાય છે તેમાં હિંદુ રાજાઓ અને હિંદુઓને એ હદે ખરાબ દર્શાવ્યા છે કે નાનપણથી જ બાળકોના મનમાં નફરતના બીજ રોપાય છે. રાજકારણીઓને આધાર-પુરાવા વિનાના પણ લોકો વાહવાહી કરે, અને તેનું ખરું-ખોટું ગૌરવ લેતા ફરે તેવો જ ઈતિહાસ ભણાવવો છે. આમ કરવા પાછળ તેમની રાજકીય ગણતરીઓ હોય છે. બાળ કે કિશોર વયે વિધ્યાર્થીઓ જો આ પ્રકારનો ઈતિહાસ ભણે તો મોટપણે નાગરિક કે મતદાતા તરીકે રાજકર્તાઓની રાજકીય વિચારધારાને અનુરૂપ વર્તે છે.
ભારતમાં પણ ૨૦૧૪થી એનસીઈઆરટીના ઈતિહાસના પાઠ્યક્રમ અને પાઠ્યપુસ્તકોમાં થતી બાદબાકી અને ઉમેરણ રાજકીય હોવાનો વિવાદ થતો રહ્યો છે. એ વિવાદમાં કેટલું તથ્ય છે તેની ચર્ચા ઘડીભર બાજુએ રાખીને ભણતરનો ભાર ઓછો કરવાના બહાને આપણે વિધ્યાર્થીઓને કઈ કઈ ઐતિહાસિક બાબતોથી અજાણ રાખવા માંગીએ છીએ તે જાણીએ તો આંચકો લાગે છે. લીલા ભેગુ સૂકું બળતું હશે કે ચોક્કસ ગણતરીસર હશે પણ ગયા વરસે એનસીઈઆરટીએ વિધ્યાર્થીઓ પરનો બોજો ઘટાડવા ઈતિહાસના પાઠ્યપુસ્તકમાંથી ઔધ્યોગિક ક્રાંતિ ભણાવવી રદ કરી હતી. છેલ્લી પચાસીના મહત્વના જનાદોલનોમાં દલિત પેન્થર, ચિપકો આંદોલન, માહિતી અધિકાર આંદોલન અને નર્મદા બચાવ આંદોલનને પણ પાઠવટો મળ્યો હતો.
ઈતિહાસ વિજેતાઓનો, વિજેતાઓ દ્વારા અને વિજેતાઓની નજરે લખાતો હોવાની છાપ છે. પરંતુ એમ કરવા જતાં તેમના પરાજયો પર સાવ જ ઢાંકપિછોડો કરવાનો ? ઈતિહાસનો એક અર્થ હિંદીમાં સાહિત્ય સંદર્ભે છે. તેનો અર્થ એ નહીં કે કવિતાઓ અને કિવદંતિઓ પરથી ઈતિહાસ લખવો. આ પ્રકારનું ઈતિહાસ લેખન મિથકોનું જાણે કે ઈતિહાસમાં રૂપાંતર કરે છે. આપણે આપણા પૂર્વજો અતીતમાં શું હતા તેનો ઈતિહાસ જાણવા, સમજવા,લખાવવાના બદલે આપણો ઈતિહાસ શું હોવો જોઈએ તે દ્રષ્ટિથી ઈતિહાસને જોઈએ છીએ.
સ્વતંત્રતા પછી ભારતમાં ઈતિહાસને તર્કસંગત, સાધાર અને વૈજ્ઞાનિક બનાવવાના ગંભીર પ્રયાસો થયા છે. જાણીતા ઈતિહાસકારો પાસેથી શાળા શિક્ષણના પુસ્તકો લખાવવામાં આવ્યા છે. પરંતુ હવે તેમાં રાજકીય વિચારધારાને અનુલક્ષીને ફેરફારો થઈ રહ્યા છે. ઘણાં ઈતિહાસકારો આ છેડછાડ અંગે અસંમત અને નારાજ છે પણ રાજનેતાઓ સામે લાચાર છે. એટલે વિધ્યાર્થીઓ પર બોજ ઘટાડવાના કારણ હેઠળ ઈતિહાસમાંથી અમુક પસંદગીની બાબતો રદ કરવામાં આવી છે.
રાજા-મહારાજાઓ, તેમના જયપરાજય અને સાલવારી એટલે ઈતિહાસ એવી વ્યાપક અને ઘણી સાચી છાપ છે. ઈતિહાસમાં સબાલ્ટન હિસ્ટ્રીના પ્રવેશ પછી લોકનો પ્રવેશ થયો છે. હવે રાજાઓ, નવાબો, અમીરો, રાણીઓ, યુધ્ધો, રાજદરબારો અને સાહ્યબીનો નહીં પણ જનસામાન્યના સુખ-દુખ ઈતિહાસનો ભાગ બન્યા છે કે જે વાસ્તવિક ઈતિહાસ છે.
ઈતિહાસને જોવાના, આલેખવાના અને મૂલવવાના કાટલાં પણ અગત્યના છે. જેવી દ્રષ્ટિ અને દ્રષ્ટિકોણ તેવો ઈતિહાસ. કાળનું મનહૂસ અને ભવ્ય ચિત્રપટ એ જો ઈતિહાસ છે તો માનવતા, કોમીસોહાર્દ, લોક વચ્ચેનો આપસી ભાઈચારો ઈતિહાસનો ભાગ બનવો જોઈએ. રાજાની સાથે રૈયતનો ઈતિહાસ જો ન લખાય તો તે અપૂર્ણ ઈતિહાસ ગણાવો જોઈએ. આપણે શાહજહાં-મુમતાઝના પ્રેમના પ્રતીક એવા તાજમહેલને ઈતિહાસ ગણીએ તો આ સંગેમરમરનો જાદુ સર્જનારા અનેક કારીગરો અને શિલ્પીઓનો ઈતિહાસ ક્યાં? તેવો સવાલ ઉઠવો જોઈએ.
ઐતિહાસિક પાત્રો અને ઘટનાઓનો ઈતિહાસ તેમાં રહેલા વિરોધાભાસો સાથે આલેખાવો જોઈએ. નમૂના દાખલ ઈંગ્લેન્ડને ફાસીવાદથી બચાવનાર ચર્ચિલે ભારતમાં બ્રિટિશ રાજવટ હેઠળના બંગાળના લોકોને દુકાળમાં મરવા દીધા હતા કે મારી નાંખ્યા હતા. સ્વતંત્રતાના રક્ષકનો દાવો કરનાર અમેરિકા મધ્યપૂર્વના દેશોના શાસકોની તાનાશાહીનું સમર્થક છે અને આ એવા શાસકો છે જે ધાર્મિક કટ્ટર છે, ઉદારવાદનો તેમનામાં છાંટો પણ નથી અને મહિલા અધિકારોના વિરોધી છે. ગાંધીજી ધાર્મિક સહિષ્ણુતા અને સમાનતાના સમર્થક હતા તેનો કોઈ ઈન્કાર કરી શકે નહીં પણ તેઓના દલિત અધિકારો માટે લડનારા ડો.આંબેડકર સાથેના મતભેદો અને વિવાદો કે તેમનું ખિલાફતને સમર્થનના વિરોધાભાસ વિના ગાંધીજીનું ઈતિહાસમાં આલેખન પૂર્ણ હોઈ શકે નહીં. ઈતિહાસના પુસ્તકોમાં વર્ણવ્યવસ્થા કે જ્ઞાતિ પ્રથાના આલેખનમાં જ્ઞાતિગત ક્રૂરતા અને સંસાધનો પર કોઈ એક જ જ્ઞાતિના આધિપત્ય અંગેના કુતર્ક ભણાવવામાં આવે છે. જ્ઞાતિવ્યવસ્થાનો પક્ષપાતપૂર્ણ ઈતિહાસ વિદ્યાર્થીઓને જ્ઞાતિગત ભેદભાવોથી મુક્ત રાખે તે રીતે લખાતો નથી.
ઈતિહાસનું જીવનમાં ખૂબ મહત્વ છે. ભૂતકાળની ઘટનાઓમાંથી સબક મેળવીને વર્તમાન અને ભવિષ્યને ઘડવાનું છે. શાળા કોલેજોના અભ્યાસક્રમ હેઠળ ભણાવવામાં આવતો ઈતિહાસ એકાંગી ન હોવો જોઈએ. પાઠ્ય પુસ્તકો તો સરકારનો સત્તાવાર સરકારી દસ્તાવેજ છે. તે ભેદભાવથી મુક્ત અને સરકારની સત્તા-શક્તિથી પર હોય તેવો ઈતિહાસ જો નહીં ભણાવાય તો વિદ્યાર્થીઓના મનમસ્તિષ્ક પર ભૂતકાળની ખોટી છાપ છોડશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ઐતિહાસિક આઈકોન અને મલ્લિકા-એ-હુસ્ન
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
चाँदी जैसा रंग है तेरा, सोने जैसे बाल
एक तू ही धनवान है गोरी, बाकी सब कंगाल.
जिस रस्ते से तु गुज़रे, वो फूलों से भर जाए
तेरे पैर की कोमल आहट सोते भाग जगाये
जो पत्थर छू ले गोरी तू हीरा बन जाए
तू जिसको मिल जाए वो, हो जाए मालामालजो बेरंग हो उस पर क्या-क्या रंग जमाते लोग
तू नादान ना जाने कैसे रूप चुराते लोग
नज़रें भर-भर देखें तुझको आते-जाते लोग
छैल छबीली रानी थोडा घूँघट और निकालधनक घटा कलिया और तारे सब हैं तेरे रूप
ग़ज़लें हों या गीत हों मेरे सब में तेरा रूप
यू ही चमकती रहे हमेशा तेरे हुस्न कि धूप
तुझे नज़र ना लगे किसी कि, जिए हज़ारों सालમુમતાઝ રાશીદે લખેલી અને પંકજ ઉધાસે ગાયેલી આ નઝમ સાંભળીને મનરો જ યાદ આવે. હોલીવૂડની પ્રખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો સૌદર્ય સામ્રાજ્ઞી અને રૂપની રાણી હતી. એના અદભુત અંગો સામે ચાંદ પણ શરમબ્હાવરો બની જતો.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી મલ્લિકા એ હુસ્ન મનરોની એક ઝલક જોવા લોકો પાગલ થતા.
માણસે અમરત્વ પામતા પહેલા એનું મૂલ્ય ચૂકવવું પડે છે, મૃત્યુ પહેલા અનેક વાર મરવું પડે છે. લોકો હંમેશા યાદ રાખે તેવો ભોગ આપવો પડે છે. એ ભોગ પ્રિય વ્યક્તિ, પરિવાર, પ્રેમ કે સપનાંનો પણ હોય. મેરેલીનના ચુંબકીય સૌદર્યને લીધે લોકો વરસો પછી આજે પણ એને યાદ કરે છે જેને અમરત્વ કહી શકાય. અનેક અભિનેત્રીઓ ન ભૂલી શકાય તેવું સૌદર્ય અને અનોખું વ્યક્તિત્વ ધરાવતી હોય, પરંતુ મેરેલીન જેવા સંકુલ વ્યક્તિત્વ સાથે અપ્રતિમ રૂપ ધરાવતી ભાગ્યે જ કોઈ વ્યક્તિ હોય શકે. મેરેલીનના મૃત્યુને વર્ષો વીતી ગયા પછી પણ એના વસ્ત્રોની લીલામીમાં લોકો લાખો ડોલર ખર્ચીને એના વસ્ત્રો ખરીદવા પડાપડી કરતા, ઘેલા થતા. પ્રેસિડેન્ટ જ્હોન એફ. કેનેડીના જન્મદિન પર મેરેલિન મનરોએ પહેરેલા ડ્રેસની કિંમત એક લીલામીમાં ૧૨,૦૦૦ ડૉલર આંકવામાં આવી હતી. લીલામી વખતે નક્કી કરેલી રકમ કરતા એના અનેક ગણા વધુ રૂપિયા ચૂકવાયા હતા – રૂપિયા ૮ કરોડ ! યે બાત !
રશિયામાં એક વાર પગરખાંનો દુષ્કાળ પડ્યો. બધું મળે પણ ચપ્પલ, જોડાં, બૂટ, મોજડી, સેન્ડલ કે સ્લીપર કશું ન મળે. આ અતિશયોક્તિ હોય તો રામ જાણે પણ ત્યારે મોસ્કોના ભીડભાડવાળા વિસ્તારમાં સૌદર્યની સામ્રાજ્ઞી મેરેલીન મનરો બિલકુલ નગ્નાવસ્થામાં પણ પગમાં સેન્ડલ પહેરીને વિચરણ કરવા નીકળી. લોકો બધા અવાક્ બની માત્ર એના સેન્ડલને જોઈ રહ્યા !
મેરેલીનનું મૂળ નામ નોર્મા જીન બેકર હતું. ૧લી જૂન, ૧૯૨૬માં લોસ એન્જલસમાં એક સામાન્ય પરિવારમાં તે જન્મી હતી. માત્ર ૧૬ વર્ષની ઉંમરે મેરેલીનને એવા માણસ સાથે પરણાવી દેવામાં આવી જે એને બિલકુલ ચાહતો ન હતો. એ લગ્ન એકાદ વર્ષ જ ટક્યું હતું. એ પછી ૧૯૪૭માં એક ફોટોગ્રાફરની નજર મેરેલીન પર પડી. નોર્માની કેટલીક તસવીરો અમુક મેગેઝિન્સમાં છપાઈ પણ ખરી. જે જોઇને કેટલીક કંપનીઓએ તેને મોડેલ ગર્લ તરીકે પસંદ કરી. તેની મોડેલિંગની તસવીરો જોઈને એક કંપનીએ તેને ફિલ્મ માટે સાઈન કરી લીધી. તેના સંઘર્ષના સમયમાં તેણે કોઈ કેલેન્ડર માટે ન્યુડ પોઝ પણ આપ્યા હતા. ૧૯૫૦માં મેરેલીનની પહેલી ફિલ્મ ‘ધ આસ્ફાલ્ટ જંગલ’ રજૂ થતા એને એક બાહુબલી બ્રેક મળ્યો. ત્યાં સુધી એના ન્યુડ પોઝ વિશે કોઈ જાણતું ન હતું. ફિલ્મ રજૂ થયા બાદ એ વાત બહાર આવતા મેરેલીને કબુલ કર્યું હતું કે તેણીને પૈસાની જરૂર હતી એટલે એ પોઝ આપ્યો હતો.
બોલીવૂડની અત્યંત સુંદર અભિનેત્રી મધુબાલાને ‘ઇન્ડિયન મેરેલીન મનરો’નું ઉપનામ મળેલું હતું. મેરેલીન હયાત હતી ત્યારે એક પ્રખ્યાત મેગેઝિનમાં મધુબાલાનો મોટો ફોટો મૂકીને હેડિંગમાં લખ્યું હતું કે ‘ધી બીગેસ્ટ સ્ટાર ઇન ધી વર્લ્ડ – એન્ડ શી ઇઝ નોટ ઇન બેવરલી હિલ્સ’. ‘બેવરલી હિલ્સ’ એ પોશ વિસ્તાર છે જ્યાં હોલિવુડના મોટા મોટા સ્ટાર્સ રહે છે. એ મેગેઝિનમાં એમ પણ લખેલું હતું કે ભારતના છેલ્લા દસ વર્ષનો ઈતિહાસ લખવામાં આવે તો તેમાં મધુબાલાનો ઉલ્લેખ અનિવાર્યપણે કરવો પડે. ‘સિર્ફ નામ હિ કાફી’.
મેરેલીન કહેતી “કીર્તિ તમને પૂર્ણતા આપતી નથી. એ તમને હૂંફ આપે છે ખરી, પણ માત્ર થોડો સમય. કીર્તિને લાંબો સમય ટકાવી રાખવા તમારે સખત ઉદ્યમ કરવો પડે અને સમય પણ આપવો પડે.” એ માનતી કે કોઈ પણ છોકરીને યોગ્ય માવજત કે સ્થાન આપવામાં આવે તો તે વિશ્વ પર વિજય મેળવશે. એના મતે માણસે વૃદ્ધ થાય એ પહેલા કોઈ પણ જાતનો ડર છોડી ને જીવવું જોઈએ. ડરવું એ મૂર્ખાઈભર્યું છે. જે ડરે છે એને જીવનમાં અફસોસ સિવાય કશું જ મળતું નથી. તે કોઈને ખુશ કરવા નહીં પરંતુ સફળતા મેળવવા જીવી. તેના હસતા અને મેઇકઅપ કરેલા ચહેરા પાછળ એક નાનકડી બાળકી છુપાયેલી હતી જે હંમેશા આખી દુનિયાને ઈચ્છતી હતી. પ્રેમ ઈચ્છતી હતી. એ કહેતી “I’m the type of person that tries to fall back asleep in the morning just to finish a dream,” એ એટલી સૌદર્યવાન અને લોકપ્રિય હતી કે તેના શરીર પરના નાના તલની પણ તેના ચાહકોને જાણ કરાતી. જો કે પ્રચાર માધ્યમોના આવા વાવાઝોડાંના કારણે એના દિલને તો કોઈએ વાંચ્યું જ નહીં. જોયું જ નહીં. મેરેલીનના જીવન પરથી પ્રેરણા લઈને ફિલ્મમેકર મધુર ભંડારકરે કરીના કપૂરને મુખ્ય પાત્ર તરીકે લઈને ‘હિરોઈન’ નામની ફિલ્મ પણ બનાવી હતી. એકવાર એક મુલાકાતમાં કેટરીના કેફને પૂછવામાં આવેલું કે ‘એવી કઈ ત્રણ હસ્તી છે કે જેની સાથે ડીનર લેવાની તને ઇચ્છા છે ?’ ત્યારે તેણે જે જવાબ આપ્યો તેમાં પી.એમ મોદી સાથે હોલીવુડની આ વિખ્યાત અભિનેત્રી મેરેલીન મનરો પણ સામેલ હતી.
પુરુષોને એક અલગ કલ્પનાલોક આપનારાં પ્લેબૉય મેગેઝીનના સ્થાપક હ્યુ હેફનરનું ૨૦૧૭માં અવસાન થયું. ૧૯૫૩માં ‘પ્લેબોય’નો પ્રથમ ઈશ્યુ બહાર પડ્યો ત્યારે એના કવર પેજના ફોટો માટે હેફનરે મેરેલીન પર પસંદગીનો કળશ ઢોળ્યો. પ્લેબોયની ઓળખ સમાન ન્યૂડ તસવીરો તો હંમેશા તેના દરેક અંકમાં છપાતી જ. પરંતુ પ્રથમ અંકમાં પ્રથમ ન્યૂડ તસવીર મેરેલીન મનરોની હતી. અને પહેલા અંકથી જ પ્લેબોયની લાખો નકલ ફટાફટ વેચાઈ ગઈ. આ પછીથી હેફનર મેરેલીનને હમેશ માટે લકી માનવા લાગ્યા. માત્ર ૩૬ વર્ષની નાની વયે મેરેલીનનું અવસાન થયું. પછીનાં ૩૦ વરસે લોસ એન્જલસના વેસ્ટવૂડ મેમોરિયલ પાર્કમાં કે જ્યાં મનરોની કબર છે ત્યાં હેફનરે પોતાની કબર માટે મોંઘો પ્લોટ ખરીદ્યો. હેફનરની ઇચ્છા મૂજબ એના મૃત્યુ પછી એમને ત્યાં જ દફનાવવામાં આવ્યા. આશ્ચર્યની વાત તો એ હતી કે જીવતા હતા ત્યારે મેરેલીન કે હેફનર ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. પણ હેફનર ઈચ્છતા હતા કે એમની કબર મેરેલીનની બાજુમાં જ કરવી. હવે મૃત્યુ પછી તેઓ હંમેશા સાથે જ છે.
મેરેલીન એ વખતના વિશ્વના સૌથી શક્તિશાળી એવા રાજકારણી અમેરિકન પ્રમુખ જ્હોન એફ. કેનેડીના પ્રેમમાં પાગલ હતી. ૧૯૫૪થી આરંભાયેલો આ પ્રણયસંબંધ ૧૯૬૨ સુધી ચાલ્યો. કેનેડી ત્યાં સુધી માત્ર સેનેટના સભ્ય હતા. ૧૯૬૨માં પ્રેસિડેન્ટ થયા પછી પોતાની પ્રતિષ્ઠા જાળવવા કેનેડી મેરેલીનને ટાળતા રહ્યા. મેરેલીન માટે કેનેડી વિના જીવવું અસહ્ય હતું. આથી ભગ્ન હૃદયી મેરેલીને ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને ઓગસ્ટ, ૧૯૬૨માં આત્મહત્યા કરી અને તેની સઘળી યાતનાઓનો અંત આવ્યો. મેરેલીન અત્યંત સંવેદનશીલ હોવાને લીધે વારે વારે પ્રેમમાં પડતી અને પીડાતી. જ્યારે ખૂબ દુઃખી થતી ત્યારે ઊંઘની ટેબ્લેટ લઈને દિવસો સુધી ઊંઘ્યા કરતી. કેટલાય દિવસો સુધી શુટિંગમાં ન જતી. સંજય દત્ત પણ ડ્રગ્ઝના આદી હતા ત્યારે એ પણ દિવસો સુધી ઊંઘ્યા કરતો. તેની કારકિર્દી ખૂબ ટૂંકી નીવડી. કરુણતા તો એ હતી કે એ મૃત્યુ પામી પછી એનો મૃતદેહ લેવા પણ કોઈ આવ્યું ન હતું. હંમેશા પોતાની ફિલ્મના અંતમાં સૌને ખુશ કરતી મનરોના જીવનનો અંત આવો હશે એવી કલ્પના ન કરી શકાય ! અનિલ જોશીના શબ્દો સાથે વિરમીએ ‘હું તો અંધારે મોર બેઠી ભરવા ને મોરલો અધૂરો રહ્યો….. હું તો ગૂંચભર્યા દોરાનો ઢગલો ને મોરલો અધૂરો રહ્યો.’
ઇતિ
ઈશુને ખીલે જડ્યો,
સોક્રેટીસને ઝેર પાયું
અને ગાંધીને ગોળીએ દીધો.
પરંતુ હું કાંઈ આમ કમોતે મરીશ નહીં,
કારણ હું સત્યનો આગ્રહી જ નથી !-વિપિન પરીખ
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
બાંગ્લાદેશ : ભાગિયા બનીશું કે અભાગિયા?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
વંચિતોના વાણોતર, કહો કે દીનબંધુ મુહમ્મદ યુનુસે બાંગ્લાદેશી પરિવર્તનના વડા સલાહકારની હેસિયતથી ઢાકેશ્વરી મંદિરની મુલાકાત લઇ આક્રાન્ત હિંદુ બહુમતીને હૂંફવાની કોશિશ કીધી તે પછી તરતના કલાકોમાં આ લખી રહ્યો છું.
કેટલી ઝડપથી બની ગયા આ બનાવો! ઓગસ્ટ બેસતે છાત્ર યુવા આંદોલને કથિત અનામતનાબૂદી આંદોલનને વટી જતા વ્યાપક લોકશાહી આંદોલનનું સ્વરૂપ લીધું અને સન ૧૯૭૧ની બાંગ્લા સ્વરાજેલડતનું કેમ જાણે પુન:આવાહન થયું! ભ્રષ્ટાચાર અને સોબતી મૂડીવાદ તેમજ નાગરિક અધિકારો પરની ભીંસથી ગ્રસ્ત લોકશાહી વાસ્તે જાણીતાં શેખ હસીના વાજેદે રાજીનામું આપવાની નોબત આવી. પાંચમી ઓગસ્ટે આ બન્યું તે સાથે યુવા આંદોલન અને એના નેતૃત્વને લગારે ઇષ્ટ નહીં એવો એક લઘુમતી વિરોધી ઉદ્રેક ને ઉત્પાત અનુભવાયો. બાંગ્લાદેશમાં મુખ્ય દૈનિક તરીકે સ્થિત પ્રતિષ્ઠ ‘ડેઇલી સ્ટાર’ના દસમી ઓગસ્ટના અંકને મથાળે ચીખીને હેવાલ પથરાયો કે હસીના વાજેદનાં ગયાં પછીની અનવસ્થામાં હિંદુ વસ્તી-મિલકત-મંદિર પર ૨૦૫ હુમલા નોંધાયા છે. (હિંદુ સંગઠનનો આંકડો પણ આ જ છે.) પણ બે જ દિવસમાં (બારમી ઓગસ્ટ લગીમાં) સ્થિતિ એ થઇ કે ‘ડેઇલી સ્ટાર’ કને આ બાબતે છાપવા જેવા કોઇ સમાચાર નહોતા. ઢાકાથી શુભજીત રોયનો હેવાલ બોલે છે કે પાંચમી ઓગસ્ટે અમે જ યુવજનોને વિરોધ કૂચનું નેતૃત્વ કરતા જોયા હતા તે પૈકી કેટલાકને આજે (દસમી ઓગસ્ટે) હું રાજમાર્ગો પર ટ્રાફિક નિયમનની સ્વૈચ્છિક કામગીરીમાં મચી પડેલા જોઉં છું.
જે બધી તસવીરો વાઇરલ થઇ ને વિશ્વભરમાં ચક્રવૃદ્ધિ ગતિએ ઊંચકાઇ તે પૈકી કેટલીક ભળતાસળતા સ્ત્રોતોમાંથી ખેંચાયેલી, જુદાં જ સ્થળકાળની હોવાનુંયે ફેક્ટ ચેક થકી માલૂમ પડ્યું છે. જેમ હુમલા એક દુર્દૈવ વાસ્તવ હશે તેમ વાઇરલ વિષવંટોળ પણ એક વાસ્તવ છે. બળાત્કારની વૈશ્વિક ચકરડીભમરડી રમી ગયેલી એક તસવીર પૂર્વે મણિપુર ને ઇન્ડોનેશિયામાંય વપરાયેલી છે અને એનું પગેરું ૨૦૨૧માં પૂર્વ બેંગ્લુરુના રામમૂર્તિ નગર વિસ્તારમાં થયેલી એક બળાત્કારની ઘટના સંબંધે ત્રણ મહિલા સહિતના કુલ બાર બાંગ્લાદેશી તેમાં પકડાયેલાં છે! ફેક્ટ ચેક દરમિયાન બહાર આવેલી ભળતીસળતી તસવીરોની આખી દાસ્તાંમાં નહીં જતાં અહીં જે કહેવું પ્રાપ્ત થાય છે તે એ છે કે હિંદુ-ખ્રિસ્તી લઘુમતીઓ પર હુમલાનો એક દોર જેમ દુર્દૈવ વાસ્તવ છે તેમ એક મોટા લોકઉઠાવને કોઇ કોમી કાંડમાં ખતવી નાખવા ખેંચાઇ જઇએ તો એ મહાદુર્દૈવ લેખાશે.
હમણાં વિભાજનને વિભીષિકા તરીકે જોવું કે કારુણિકા તરીકે, એની ચર્ચા કરતી વેળાએ સ્વાભાવિક જ ૧૯૪૭ની જેમ ૧૯૭૧ ને પણ સંભારવાનું થયું હતું. સન એકોતેરે બંગબંધુ મુજિબના નેતૃત્વ તળે ત્યાંની મુક્તિવાહિની અને હિંદની લશ્કરી કુમક (ડિસે. ૩થી ડિસે. ૧૬, ૧૯૭૧) થકી આઝાદ બાંગ્લાદેશને ઉદયને જોયો. બાંગ્લાદેશ એ પ્રયોગ, એમ તો વીસમી સદીનાં આરંભ વર્ષોમાં જ રવીન્દ્રનાથની રચના, ‘આજી બાંગ્લાદેશેર હ્યિદોય’ કે કાઝી નઝરુલ ઇસ્લામની ‘નમો નમો બાંગ્લાદેશ મોમો’ સરખી રચનાઓથી સહજ સ્વીકૃતિ પામવા લાગ્યો હતો. બંગભંગની બ્રિટિશ પેરવી સામેના લોકઆંદોલને બંગાળી અસ્મિતાની એક મનોવૈજ્ઞાનિક સરસાઇ હિંદુ વિ. મુસ્લિમ સામસામી પર સ્થાપી હતી. આખો ઇતિહાસ તો ક્યાં ઉલેચું પણ અંગ્રેજ પૂર્વ સૈકાઓમાં શમ્સુદ્દીનની સલ્તનતના વારામાં બાંગ્લાશાહ એ પ્રયોગ પણ થયેલો છે. આ વાંચતી વેળાએ મને એ પણ સહજ સાંભરતું હતું કે ‘ગુજરાતી’ ઓળખ પ્રયોગને વિશેષ માન્યતા અહમદશાહને આભારી છે. દિલ્હી સલ્તનતથી સ્વતંત્ર ઓળખ આગળ કરવા માટે એ આગ્રહપૂર્વક ‘ગુજરાતી’ એવો પ્રયોગ કરતા.
પાછો, તવારીખમાં નજીક આવું તો, ૧૯૪૭માં જ્યારે પાકિસ્તાન-હિંદુસ્તાન ચાલ્યું ત્યારે એક તબક્કે શરતચંદ્ર બોઝ (સુભાષચંદ્ર બોઝના ભાઇ) અને હસન સુહરાવર્દી (ભાગલા પૂર્વ બંગાળના મુખ્યપ્રધાન) વગેરેએ સ્વતંત્ર બંગાળની હિમાયત કરી હતી, જાણે બંગભંગ ચળવળનું પુન:આવાહન! ખેર. પાકિસ્તાનના ઉદય સાથે ઝીણા નેતૃત્વે ને પંજાબી લોબીઓ પૂર્વ પાકિસ્તાન પર ઉર્દૂ લાદવાની કોશિશ કરી ત્યારે છાત્રયુવા બલિદાન સાથે એક નવસંચાર શરૂ થયો. ૨૧મી ફેબ્રુઆરી જે ‘વિશ્વ માતૃભાષા દિવસ’ મનાવાય છે એના સગડ તમને તે તારીખે થયેલા છાત્ર બલિદાનમાં મળશે. આ દિવસે જેમ દેશભાષા સંભારાય છે તેમ, યુનેસ્કોએ એની સાથે મૂળભૂતપણે જોડેલો ખયાલ ભાષિક ને સાંસ્કૃતિક વિવિધતાઓના સંવર્ધનનો પણ છે. દુર્નિવાર એવા વૈશ્વિકીકરણ વચ્ચે માતૃભાષાઓને જાળવી લેવી એ પણ પોતપોતાનાં સાંસ્કૃતિક અસ્તિત્વ સારુ જરૂરી છે, જેમ વિવિધતાઓનું પારસ્પર્ય પણ!
‘મુસ્લિમ લીગ’ અને ‘અવામી લીગ’ એ મુખ્ય પક્ષો વચ્ચે ૧૯૭૦ની ચૂંટણીમાં નિર્ણાયક બહુમતી શેખ મુજિબૂર રહેમાનના નેતૃત્વ હેઠળની ‘અવામી લીગ’ને મળી. પણ લશ્કરી વડા યાહ્યા ખાન અને ભુટ્ટો ‘અવામી લીગ’ને સરકાર સોંપવા રાજી નહોતા. પરિણામે પ્રતિકાર અને દમનનો જે દોર શરૂ થયો એમાંથી મુજિબના નેતૃત્વ હેઠળના પૂર્વ પાકિસ્તાનને છૂટા પડવું અનિવાર્ય લાગ્યું. ઉપરાંત રાજકીય સત્તાથી વંચિતતા સાથે એક વાસ્તવિકતા પણ એ હતી કે પૂર્વ પાકિસ્તાન થકી પ્રાપ્ત રાષ્ટ્રીય આવકનો મોટો હિસ્સો સિંધ-પંજાબ ખાઇ જતા હતા. એટલે પાકિસ્તાન બન્યું પણ એમાં પૂર્વ બંગાળની હાલત એક શોષિત સંસ્થાન શી હતી. આ સંસ્થાનની સ્વરાજકથા ને રાષ્ટ્રવાર્તા વચમાં લોકશાહીને બદલે નાગરિક સ્વાતંત્ર્યના દમનરાજમાં ખોવાઇ ને ખોરવાઇ ગઇ હતી.
કથિત વિકાસવેગ અને સ્વરાજનું ને લોકતંત્રનું વિકસન-વિલસન બેઉ સાથેલગાં ચાલે એ યુગ પડકાર છે : એક જ ઉપખંડના, ખરું જોતા વ્યાપક અર્થમાં એક જ તહજીબના હોઇ શકતાં આપણે સ્વદેશહિતપૂર્વક આ યુગ-પડકારના ભાગિયા બનીશું કે અભાગિયા, કહો જોઉં.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૨-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ચિરંજીવી બાબાઓ, જ્યોતિષિઓ, ત્તાંત્રિકો અને ભગવાનો
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર
૧ જુલાઈ ૨૦૨૪ ના દિવસે હાથરસમાં એક સત્સંગ પછી થયેલી ભાગદોડમાં લગભગ ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં. આ સત્સંગમાં જનારા ‘ભોલે બાબા’ નામે જાણીતા થયેલા સુરજ પાલ નામના એક ભૂતપૂર્વ પોલીસ કોન્સ્ટેબલના અનુયયીઓ હતા. બનાવ પછી આ પ્રકારના બાબાઓ વિરુદ્ધ પ્રસાર માધ્યમોમાં, બુદ્ધિજીવીઓમાં અને ખાસ કરીને પોતાને રેશનાલિસ્ટ માને છે તેવા વર્ગમાં ખૂબ ચર્ચા ચાલી. આ ચર્ચા કરનારાઓમાં એક સમાનતા એ છે કે તેઓ મોટાભાગના ભદ્ર વર્ગના છે. તેઓ માને છે કે આવા બાબાઓના સત્સંગોમાં જનારા લોકો અંધશ્રદ્ધાળુઓ, મૂર્ખ કે ગમાર છે. તેમની વાતમાં તથ્યાંશ તો છે જ. પરંતુ લોકો આવા સત્સંગોમાં કે બાબાઓ પાસે શા માટે જાય છે, તેનો જવાબ શોધવા માટે આ ચર્ચા આગળ વધતી નથી.
હાથરસના બનાવની વાત કરીએ તો અહીં આવનારા લોકો દલિત સમાજના અને ઘણાખરા ગરીબ લોકો છે. ગરીબી, બેરોજગારી અને બીમારી જેવી તેમની ઘણીખરી સમસ્યાઓ એક સમાન છે. આ ઉપરાંત સામાજિક અને વ્યક્તિગત સમસ્યાઓ તો હોય જ. રાજ્ય કે સમાજ પાસે આ સમસ્યાઓનો કોઈ ઉકેલ તેમને દેખાતો નથી. વળી રાબેતા મુજબ આપણને ઉચ્ચ વર્ગના લોકોને તો તેમની સાથે કોઇ લેવાદેવા જ નથી.
માણસની ખાવાપીવા, પહેરવાઓઢવા ઉપરાંત પોતે સામાજિક પ્રાણી હોવાથી હળવામળવા જેવી પણ જરૂરિયાતો હોય છે. આપણે ત્યાં જેને ભીડ કહીએ છીએ તેવા સમૂહમાં ભેગા થવાનો આનંદ લોકોને કેમ આવે છે તેનો જવાબ કોઇ મનોવૈજ્ઞાનિક કે સમાજશાસ્ત્રીએ શોધવો રહ્યો. અમદાવાદના સી જી રોડ પર દર વર્ષે ૩૧ ડિસેમ્બરે મધ્યમ અને ઉચ્ચ વર્ગના લોકોઁ એટલી મોટી સંખ્યામાં ઉમટી પડે છે કે આ રોડ પર વાહનવ્યવહાર બંધ કરાવીને પોલીસ વ્યવસ્થા ગોઠવવી પડે છે. ક્રિકેટમાં મોટી જીત મેળવીને મુંબઈમાં આવેલા રમરવીરોની પરેડ જોવા માટે લાખોની ભીડ ભેગી થઈ હતી. અહીં જે આનંદ છે તે માત્ર ભીડનો જ છે.
રાજનેતા કે ધર્મનેતા કેટલી મોટી ભીડ ઉભી કરી શકે છે તેને આધારે તેના પદ અને પ્રતિષ્ઠા નક્કી થતાં હોય છે. કોઈ ને કોઈ નિમિત્ત ઊભું કરીને ધાર્મિક સંપ્રદાયો જેમાં વધુ ને વધુ લોકો ભેગા થાય તેવા ઉત્સવો ઉજવે છે. આ ઉત્સવોમાં લોકોને એવું લાગે છે કે તેઓ એક પ્રકારે મનોરંજન મેળવી રહ્યા છે. ગુજરાતના એક મોટા સંપ્રદાયમાં તો આજ્ઞા કરવામાં આવી છે કે વારેવારે સમૈયા(ઉત્સવો) કરવા. જે સંપ્રદાય સાધનસંપન્ન હોય તેની પાસે વ્યવસ્થાશક્તિ પણ આવી જાય છે, જેથી અકસ્માતો થવાની શક્યતા ઘટી જાય છે.
ઉજળિયાત અને આર્થિક રીતે સંપન્ન એવા લોકોના સંપ્રદાયોનાં ઉત્સવમાં દલિતોને નહિવત સ્થાન છે. સહજાનંદ સ્વામીએ સુથાર, દરજી, મોચી જેવા કારીગર વર્ગને પોતાના સંપ્રદાયમાં સ્થાન આપ્યું અને કદાચ તે સમયે તે એક ક્રાંતિ પણ ગણી શકાય. ‘ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના’ એ ભજનને ગાંધીજીએ આશ્રમ ભજનાવલિમાં સ્થાન આપ્યું છે. એ ભજનના રચયિતા નિષ્કુળાનંદ સ્વામી પૂર્વાશ્રમમાં સુથાર હતા. આમછતાં આઝાદી પછી પણ અમદાવાદના કાળુપુર સ્વામીનારાયણ મંદિરમાં વહીવટદારો દલિતોને પ્રવેશ આપવા ઇચ્છતા ન હતા. આથી દલિતોનો મંદિરપ્રવેશ અદાલતના હસ્તક્ષેપથી જ શક્ય બન્યો હતો. આજે પણ ગામડાઓમાં કેટલા દલિતો મંદિરમાં જઈ શકે છે તે આપણે સૌ જાણીએ છીએ.
ધર્મ કે આધ્યાત્મિકતાની ભૂખ જેને કહેવાય છે તે ઘણેઅંશે તો ઘેલછામાં જ પરિણમે છે. દલિત વર્ગ પણ તેમાંથી મુક્ત રહી શકે નહિ. આત્માનાં કલ્યાણ અર્થે પ્રગટ થયેલા ગુરુઓ પાસે જતા લોકોને આત્મકલ્યાણની વાત ભૂલાઈ જાય છે અને લૌકિક લાભો માટેની આશા ઊભી થાય છે. મોક્ષ માટે નહિ પરંતુ પોતાના ભૌતિક સુખ માટે સંપ્રદાયના વડા પાસે ધબ્બાનો લાભ મેળવીને ધન્ય થનારા અનુયાયીઓનો તોટો નથી. ભોલે બાબા પોતાને ભગવાન તરીકે ઓળખાવે તે અયોગ્ય જ છે પરંતુ વિદેશમાં જઈને ત્યાની પ્રગતિનું શ્રેય જે તે પ્રજાને આપવાને બદલે ત્યાંની વ્યવસ્થાનું સંચાલન પોતે જ કરે છે એવું ગુજરાતના મોટા સંપ્રદાયના વડાએ કરેલા નિવેદનની નોંધ લેવાતી નથી. વળી આ સંપ્રદાયના વડાને તેના ભણેલાગણેલા (ડોક્ટરો કે એન્જીનિયરો સુધ્ધાં [!]) અનુયાયીઓ પણ પ્રગટ બ્રહમસ્વરૂપ – એક અર્થમાં ઇશ્વર-માને છે.
કેદારનાથજીએ તેમના’ વિવેક અને સાધના’ નામના પુસ્તકમાં લખ્યું છે, “હાલ એકલા મહારાષ્ટ્રમાં જ 40 જેટલા (બની બેઠેલા) ભગવાનો વિચરણ કરે છે” કેદારનાથજીએ કહ્યાની પોણી સદી પછી દંતાળીવાળા સ્વામી સચ્ચિદાનંદ આવી જ વાત કરતા કહે છે કે ગુજરાતમાં હાલ અનેક ભગવાનો છે અને તેમનાં કેટલાક મારા મિત્રો પણ છે!
તાત્પર્ય એ છે કે પ્રજાના મોટા સમૂહને અનેક પ્રકારની સમસ્યાઓ હોય છે તથા જીવનમાં તેમને ખાલીપો લાગે છે. આનો કોઈ ઉકેલ ક્યાંય દેખાતો નથી. આથી તેઓ બાબાઓ, જ્યોતિષિઓ કે ભુવાઓ પાસે જાય છે. અહીં પણ કોઇ લાભ થતો નથી પરંતુ એક પ્રકારે કામચલાઉ સાંત્વનનો અનુભવ તેમને થાય છે. નવલકથા તેમજ વિવેચનમાં નવો વળાંક લાવનારા એક મોટા ગજાના ગુજરાતી સાહિત્યકારને અભણ ભુવાના પ્રભાવમાં આવેલા જાણ્યા છે.
ભોલે બાબાને ત્યાં એક્ઠી થયેલી ભીડની માનસિકતા અને ક્રિકેટની ટીમની પરેડ નિહાળવા ભેગી થયેલી લાખોની ભીડની માનસિકતામાં મને કોઇ ફરક દેખાતો નથી.
ટૂંકમાં લોકોને ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં એક્ઠા થવાથી પોતાની આધ્યાત્મિક જરૂરિયાતો સંતોષાશે એવો ભ્રમ થાય છે સાથે સાથે ભીડનો આનંદ પણ મળે છે. પરંતુ આ આધ્યાત્મિક્તા કે ભીડનો આનંદ અલ્પજીવી જ હોય છે. તેમની ખરી જરૂરિયાત તો સાંસ્કૃતિક છે. પરંતુ તેની પૂર્તિ કઈ રીતે થાય તેની જાણ ન હોવાથી જેમ વાંદરાઓ ચણોઠીથી તાપીને પોતે ઠંડી ઉડાડી રહ્યા છે તેમ માને છે તે જ રીતે લોકોને એમ લાગે છે કે પોતે કાંઈક મેળવી રહ્યા છે.
જેમ જેમ મૂડીવાદ આગળ વધતો જાય છે તેમ તેમ લોકોની ભૌતિક લાભ મેળવવાની અપેક્ષા વધતી જાય છે અને નોકરીધંધાની અસલામતી વધતી જાય છે. આ સમસ્યાનો ઉપાય રાજ્ય કે સમાજ પાસે નથી. આથી ડૂબતો તરણું ઝાલે તેમ લોકો ભૂવા, જ્યોતિષિઓ કે તાંત્રિકો પાસે જાય છે. આજે પરિસ્થિતિ શું છે તેના જાણ નથી, પરંતુ થોડા વર્ષો પહેલા નિર્મલબાબાને નામે જાણીતા બાબા પાસે લોકો જતા. આ બાબા સમસ્યાનો હાસ્યાસ્પદ ઉપાય બતાવતા છતાં ત્યાં આવેલા લોકો તેને ગંભીરતાથી લેતાં.
માણસની સાંકૃતિક જરૂરિયાત એટલે ચિત્ર, સંગીત, શિલ્પ, અભિનય, સાહિત્ય વગેરે અનેક કલાઓની અભિવ્યક્તિની તક. કચ્છી માલધારી બહેનોનાં ભરતકામે વ્યાપારી સ્વરૂપ તો પછીથી લીધું પરંતુ વર્ષો પહેલા તેઓ નિજાનંદ માટે જ ભરતકામ કરતાં. કચ્છ સિવાય અન્યત્ર પણ મહિલાઓ ભરતગૂંથણ કામ કરતાં. લગ્નગીતો માટે આજે ભાડે ક્લાકારોને બોલાવવમાં આવે છે પરંતુ હજુ થોડા જ વર્ષો પહેલા લગ્નગીતો મહિલાઓ જાતે જ ગાતી. ગામોગામ ભજનમંડળીના સભ્યો સંગીતનો આનંદ માણતા હોય છે. અગાઉ દલિત જાતિઓમાં તો ઘેરઘેર ભજનિકો હતા.
સંતોષીમા કે દશામાના વ્રત કરતી બહેનોનો આનંદ પણ ભેગા મળીને આરતી કે કીર્તન ગાવાનો હોય છે. કદાચ અગાઉના જમાના જેવો ત્રાસ મહિલાઓને ભોગવવો નહિ પડતો હોય, પરંતુ ગૃહિણીઓએ તો ઘરની બહાર નીકળવા માટે મંદિર, સત્સંગ કે વ્રતોનો જ આશરો લેવો પડે છે.
દલિતો અને અન્ય પછાત વર્ગ પ્રત્યેની માનસિકતા આજે પણ ખાસ બદલાઇ નથી, આથી દેશમાં દલિતો અને પછાત વર્ગોએ પોતાના અલગ ભગવાન કે માતાજી ઉભા કરવા પડ્યા. રામાપીર કે મેલડી માતા તેના ઉદાહરણો છે. અમદાવાદ જિલ્લાના ઝાંઝરકા ગામે સવૈયાનાથનાં મંદિરમાં જનારામાં લગભગ દલિતો જ હોય છે અને ત્યાંના ગાદીપતિ પણ દલિત હોય છે. આનું કારણ એ છે કે ઉચ્ચ વર્ગના લોકોના સત્સંગોમાં તેઓ આવકાર્ય નથી. આથી તેમણે પોતાની આગવી વ્યવસ્થા ઊભી કરવી પડે છે. જેમ દલિતો માટે અલગ રહેઠણો, પાણી માટે કૂવાઓ, અંતિમ સંસ્કાર માટે સ્મશાનો છે તે જ રીતે(કહેવાતું ભલે હોય કે આપણે સૌ એક પિતાનાં સંતાનો છીએ) તેમના માટે અલગ પૂજાસ્થાનો ઉભા થતા હોય છે. બાબા કે ધર્મોપદેશક પણ દલિત કે અન્ય પછાત હોય છે. ભોલે બાબા પોતે પણ દલિત જ છે.
ટૂંકમાં, સમાજ સવર્ણ હોય કે પછાત, દરેકને કેટલીક સામાન્ય કે વ્યક્તિગત સમસ્યા, જરૂરિયાતો અને અપેક્ષાઓ હોય છે. કેટલીક વખત આ સમસ્યાઓ માની લીધેલી ને જરૂરિયાતો તથા અપેક્ષાઓ ખોટી પણ હોય છે. તેનો ઉકેલ રાજ્ય,માનસશાસ્ત્રીઓ કે સમાજશાસ્ત્રીઓ સહિતના સમગ્ર સામાજ પાસેથી જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી પ્રજાના મોટા વર્ગનો મુકામ મંદિરો, સત્સંગ મંડળો, બાબાઓ, ભુવાઓ, ત્રાંતિકો કે જ્યોતિષિઓ જેવા વર્ગ પાસે જ રહેશે.
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
