વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કુંવારો કે બ્રહ્મચારી ?

    ન્હાનાલાલ કવિ

    જો ! પેલો પ્રમોદ : બ્રહ્મચારી છે.’ બે ત્રણ વિદ્યાર્થિણીઓ સંગાથે પ્રમોદને જતો જોઇને મ્હેં મ્હારા મિત્રને ઓળખાવ્યો.

    ⁠અમારી કોલેજમાં આજ Inter-Collegiate Ladies’ Tennis Tournament ની છેલ્લી રમત હતી; એટલે કોલેજીયનોનો જાણે મેળો ભરાયો હતો.

    ⁠‘હશે’ : મ્હારા મિત્રે કહ્યું. ‘અમારી કોલેજમાં તો ઉઘાડા માથાની બ્રહ્મચારિણીઓ સંગાથે ઉઘાડા માથાના બ્રહ્મચારીઓ હોડીઓ તરાવવા જાય છે. એમનામાંના કોકને પૂછી જોજે એમની વાતો.’

    ⁠‘ખરૂં કહું છું : પ્રમોદે તો ન પરણવાનું વ્રત લીધું છે.’

    ⁠‘ભણે એટલા બ્રહ્મચારી’ એ વ્યાખ્યા તે સાચી પાડતો હશે. આ જોને એના અંગનો અલસગમના સમો મરોડ, ને પંખીની પાંખ સમો નેણાંનો નાચ; ને—’

    ⁠‘તું નથી માનતો. હરતાં ને ફરતાં એ તો કહે છે કે કલાકાર કલાને જ પરણેલો છે.’

    ⁠અમારી કોલેજમાં પ્રમોદ કલાકાર ગણાતો. એ કહેતો કે કલાને શૉક હોય નહિ.

    ⁠પ્રમોદને કાંડે સોનાઓપનું ઘડિયાળ હતું, ને હાથમાં અલકાની સુંન્દરીને કર કમળ લટકતું એમ, એક વિદ્યાર્થિણીનું રેકેટ લટકતું. ફૂલછોડની ડાળખી ડોલે એવી છટાથી એ રેકેટ ડોલતું. એનો રૂમાલ કોટના કોલરને આચ્છાદાઇને ગળા ફરતો કેસરીની ધોળી કેસર જેવો ઉડતો.

    ⁠એની આંખમાં ચમક હતી, એના અંગમાં લાલિત્ય હતું. કોલેજમાં સહુ જાણતું કે જીવનભર ન પરણવાનું એણે વ્રત લીધું છે.

    ⁠અમારી કોલેજનો પ્રમોદ કલાકાર હતો. એનો કંઠ ઘેરો, પણ હલક મીઠી હતી. તાલબદ્ધ તે ગાતો ને સંગીતનો ઉસ્તાદ ગણાતો; એટલે કોલેજના ઉત્સવપ્રસંગોએ યુવતિઓને અભિનય શીખવવાનું એને સોંપાતું. કેટલાક છાની છાની વાતો કરતા કે ધુરન્ધરે એને Model તરીકે ન્હોતર્યો હતો: ‘સુન્દરી’ કે બાલગાન્ધર્વની-એકની એણે અભિનયની ભૂલ સુધારી હતી.

    ⁠પ્રમોદ જતો-આવતો ત્ય્હારે સહુ માગ આપતા ને જોઈ રહેતા. એના કેશકલાપની કલા નિત્ય નિત્ય અવનવી છાજતી. તાઝે બ તાઝે, નૌ બનૌ-એ હાફીઝની ગઝલ બેન્જોમાં રણકતાં શ્રોતાઓનાં પાય ને અંગ ડોલી ઉઠે છે એવી અખંડ ડોલનગતિએ એ ચાલતો.

    ⁠ટેનિસની રમતનો એ પારંગત નહોતો; પણ સર્વિસ વેળાનો એનો રૂઆબ આંજી નાંખે એવો હતો. ‘રિટર્ન ભૂલાય તો ભલે, પણ છટા ન ભૂલવી’ એ એનું ખેલનું સૂત્ર હતું.

    ⁠આજે ઇન્ટરકોલેજીયેટ ટૂર્નામેન્ટ હતું એટલે વિદ્યાર્થિણીઓને લઈને પ્રમોદ ટેનિસ કોર્ટ ઉપર જતો હતો. એના વિરોધીઓ કહેતા કે વિદ્યાર્થિણીઓ સંગાથે જવાથી સન્માન ને સારૂં સ્થાન પમાય; માટે એ યુવતિઓનો સંગાથ શોધતો.

    ⁠કોલેજનો નિયમ પાળીને નહિ, નિયમ ભંગ કરીને એ છાપ પાડતો. કોઈપણ નિયમભંગને એ કલાકારની સ્વતન્ત્રતા કહેતો, કોઈપણ નિયમપાલનને એ કલાકારની પરતન્ત્રતા કહી ઉપહાસતો.

    ⁠જ્ય્હાં જવાનો અધિકાર ન હોય ત્ય્હાં તે જાય ત્યહારે ત્‍હેને કળ વળતી. ખાનગીમાં પ્રોફેસરોની ખુશામત કરતો એટલે જાહેરમાંની એની કેટલીક ઉદ્ધતાઈ તેઓ નિભાવી લેતા.

    ⁠સોશિયલ ગેધરિંગમાં ગાંડાનો કે વિદૂષકનો ભાગ એ ભજવતો. ચિત્રકલા ઉપરના એના ભાષણે તો કમાલ કરી હતી; કારણ કે નાનાવિધનાં પચાસેક પાંદડાંઓ વીણી લાવી ત્‍હેમનું પ્રદર્શન કરીને એણે સિદ્ધ કીધું હતું કે કોલેજમાંની એક ચિત્રકારિણી સરજનહાર કરતાં યે મ્હોટી કલાધીશ્વરી હતી.

    ⁠કોલેજમાંના ઉગતા કવિઓનો પ્રમોદ Patron હતો. એમનાં વીણેલાં કાવ્યોનો સંગ્રહ ઉપોદ્‍ઘાત ને વિદ્વદ્‍ટીકા સાથે, છપાવવાની પ્રમોદ પ્રવૃત્તિમાં હતો.

    ⁠પ્રમોદ કહેતો કે સહુ વખાણે એને વખાણવામાં આપણી વ્યક્તિવિશેષતા શી ? પછી પ્રમોદની ગુણગાથાની ગઝલો ચકલાંનાં પીછાં જેવી કોલેજમાં ઉડતી થઈ.

    ⁠ક્રીકેટ રમતાં આવડે નહિ, છતાં ક્રીકેટના આચાર્ય હોય એવા ઘમંડીઓ તો દીઠા છે ને ? એમ વગર લખ્યે સાક્ષરત્વની છાપ એણે કોલેજમાં પાડી હતી.

    ⁠સિનેમાઓની બધી નટીઓની પડદા પાછળની વાતો એ જાણતો, ને કહેતો, ને સહુને કુતૂહલ જગાડતો.

    ⁠બેડબીંગ્ટન રમવામાં એ ઉસ્તાદ હતો. ત્રણ ત્રણ કલાક પીછાં ઉછાળતો; ને કહેતો કે ઉડતા પંખી ઉછાળવામાં પ્રભુને આનન્દ પડે છે એવો આનન્દ એને પડતો.

    ⁠પોતાને એ Rationalist કહેતો; ને હાલતાં ચાલતાં, ગમે તો પ્રભુને ઉપહાસવાને કે નિજ મહિમા વધારવાને, પ્રભુનાં દૃષ્ટાંતો આપતો.

    ⁠યુવકસંઘોમાં જાય ત્ય્હારે એ ખાદી પહેરતો, ને ટેનિસ કોર્ટ ઉપર હેટ પહેરતો. એનું સૂત્ર એમ સ્‍હમજાવતો કે Do in Rome as the Romans do.

    ⁠યુવકસંઘનો એને એક ઉપપ્રમુખ ચૂંટ્યો હતો, પણ એણે સાભાર એ પદવી નકારી હતી. વર્ણાન્તર લગ્નોની ચર્ચાપ્રસંગે પ્રમોદ ખૂબ ખીલ્યો હતો. ‘અમારી નાતના શેઠ સનાતનતાના સ્થંભ છે. એમને હું પૂછું છું કે વેશ્યાવાડે જાઓ છો ત્ય્હાં વર્ણાન્તર લગ્ન ત્‍હમે કરો છો ? કે સવર્ણ ?’ એ દલીલને પ્રમોદ હાસ્યરસનો ભંડાર માનતો, ને એને મિત્રમંડળમાં ફરી ફરી કહેવામાં પ્રમોદ પુનરૂક્તિદોષ નહોતો સ્‍હમજતો.

    ⁠પખવાડિયે એકાદ વાર પ્રમોદ વ્હાઈટવેમાં જતો; સસ્તી શોભાળી નવીન વસ્તુઓ ખરીદી લાવતો; કોઈક પ્રોફેસરોને આપતો ને કોઈક સ્ત્રીમિત્રોને આપતો.

    ⁠એ લગ્નને ધિક્કારતો ને મૈત્રીને માનતો.

    ⁠ટેનિસ કોર્ટ ઉપર આજ સ્ત્રીવિદ્યાર્થિણીઓની ટુર્નામેન્ટ હતી એટલે ભીડ ઝાઝી હતી. અમે બે મિત્રો ભીડમાં ગયા નહોતા, પણ આઘેથી ભીડને જોતા હતા ને કોલેજના કલાકારની વાતોમાં લીન હતા; કારણે કે કલા અને સૌન્દર્ય આજ કોલેજના વાતાવરણમાં ઉછળતાં ગટાપર્ચાના બોલ ને મોરપીંછ જેવાં સર્વવ્યાપી છે ને ?

    ⁠એવે ટેનિસ કોર્ટ ઉપરથી ગર્જના સંભળાઈ: હુર્‍રે; હિપ હિપ હુર્‍રે.

    ⁠વિદ્યાર્થીઓનું ટોળું વિખરાયું: જાણે યુદ્ધમાં કો કિલ્લો પડ્યો ને પથરા વિખેરાયા. ને દુર્ગમાંથી દુર્ગપાલ આવે એવો પ્રમોદ આવતો હતો.

    ⁠અમને દીઠા ને તે ઉભો.

    ⁠‘ફાઈવ-લવ કરીને થાકી જવાયું, એટલે પહેલા સેટમાં આપણી કોલેજ હારી. પરસેવાનાં ટીપાં તો જાણે મોતીનાં ઝૂમખાં ! પણ બીજા સેટમાં-બીજા સેટમાં એવો સંગ્રામ જામ્યો’તો ! Greek Girls at Game of Balls નામનું આલ્મા ટેડીમાનું ચિત્ર તો જોયું છે ને ? ફટાફટ, ફટાફટ-એમ ફાઈવ ઓલ થયા. પછી એઈટ ઓલ અને ડ્યૂસ. છૂટી ઉડતી અલકલટો તો જાણે ઉડતી પાંખિણીઓની કલગીઓ ! પછી બે પોઈન્ટે ત્‍હમારી કોલેજ જીતી ગઈ. મ્હારે તો પરણવું નથી. પણ એક ડઝન જણાઓએ ‘પરણવું તો આને જ પરણવું’ એવા માનસનિર્ધાર આજ કરી લીધા છે.’

    ⁠‘ત્‍હમારા બ્રહ્મચર્યનાં વ્રતને માટે ત્‍હમને ધન્યવાદ ઘટે છે. એ વિરલ વ્રત વિરલા જ પાર ઉતારે. ભીષ્મ તો કુરૂક્ષેત્રમાં એક જ હતા.’

    ⁠અનિમિષ આંખે પ્રમોદ મ્હારા સ્‍હામું જોઈ રહ્યો હતો; જાણે દૃષ્ટિની કટારે મ્હારૂં દિલ ઉઘાડીને એ જોવા માગતો હોય ને કે મ્હારી તે વ્યાજસ્તુતિ હતી કે સાચો ધન્યવાદ ? બન્ધૂકમાં ગોળી ભરે એમ અન્તરમાં ઉત્તરને પણ એ ભરતો હતો.

    ⁠‘જૂવો, મિસ્તર ! લગ્નમાં હું માનતો નથી, મૈત્રીમાં હું માનું છું. કલાકારે પરણવું ન જોઈએ એ મ્હારૂં કલાસૂત્ર છે. કલાકાર કોને પરણે ? પરણીને શું આંખ મીંચી દે ? એ તો આજ જૂવે એને કાલ ભૂલે, ને કાલ જૂવે એને પરમે ભૂલે. જીંદગીભર પરણવું નહિ એવા મ્હેં સોગન્દ ખાધા છે.’

    ⁠‘જો, હું કહેતો ન્હોતો : આજીવન બ્રહ્મચર્ય.’ મ્હારા મિત્રને કહ્યું.

    ⁠`એ શું ભરડો છો ? ભાઈ ! સંસારમાં યે કુંવારો સુખિયો છે કે ઘેરઘેરથી ઈજન મળે જમવાનાં ને ગમ્મતનાં.’ પ્રમોદ બોલ્યો.

    ⁠‘ખરૂં; ત્‍હમારા કોલેજના અનુભવોનો એ સાર લાગે છે.’ મિત્રે કહ્યું.

    ⁠‘કોલેજમો મ્હોટામાં મ્હોટો મ્હારો અનુભવ તો એ છે કે આજ છે સૌન્દર્યનાં રાજ્ય : એટલે આપણે પરણવું નહિ. પત્નીના પુરૂષમિત્રને સહી લેવાની શહનશીલતા જેનામાં હોય ત્‍હેમણે જ અમારી કેટલીક સહાધ્યાયિનીઓમાંથી કોઈકને પરણવી.’

    ⁠‘ત્‍હમારૂં બ્રહ્મચર્ય અખંડ તપો.’

    ⁠‘મિસ્તર ! આશીર્વાદ દ્યો છો કે ગાળ ? એ શી લવરી-પેલા ન્હાનાલાલે ચીતરી માર્યુ છે એવી ? હું જો સિન્ડીકેટમાં હોઉં તો જયા-જયન્ત બી.એ. માં ભણાવાય શેનું ? પ્રીવિયસની કાયમની ટેક્ષ્ટ બૂક હોય પૃથ્વીવલ્લભ. પૃથ્વીવલ્લભ ક્ય્હાં પરણતો’તો ? આપણે તો વ્રત લીધું છે કે જીંદગીભર પરણવું નહિ. બાકી પુરૂષ વિના સ્ત્રીને કે સ્ત્રી વિના પુરૂષને કિયાં જમાનામાં ચાલ્યું છે કે વીસમી સદીમાં ચાલે ? એ ખરૂં કે કલાધીશની કલાને શૉક ન હોય.’

    ⁠મ્હારા મિત્રની કોલેજ આજની ટુર્નામેન્ટ જીતી હતી એટલે એ તો આનન્દહિન્ડોળે ચ્‍હડ્યો હતો. એની દૃષ્ટિ ભમરડીચક્કરડી ખાતી હતી.

    ⁠પ્રમોદ ગયો, પણ મ્હને મૂંઝવણમાં મૂકતો ગયો. એનું છેલ્લું ભાષણ છટાદાર હતું, રાજમન્ત્રણાના કો કાગળ સમુ અગમ્ય હતું, પૂરૂં સ્‍હમજાયું ન્હોતું, મિત્રને મ્હેં પૂછ્યું :

    ⁠‘હેં ! ત્યહારે શું ન પરણેલો-કુંવારો એટલે બ્રહ્મચારી નહિ ?’

    ⁠મિત્રે સ્‍હામો પ્રશ્ન પૂછ્યો : ત્‍હને ખબર છે કે દીકરા એ બધા પુત્રો નથી ?

    ⁠નવું જ્ઞાન ઉગતું હોય, નવો ઉગતો ધૂમકેતુ નિરખતો હોય એમ હું મિત્રની સ્‍હામું જોઈ રહ્યો હતો. મ્હારી આખી યે મુદ્રા પ્રશ્ન પૂછતી હતી.

    ⁠મિત્રે કહ્યું : ‘જો સાંભળ. મ્હને તો મુંબઈના એક શેઠિયાએ ભણાવ્યું છે કે ‘દીકરા એટલા પુત્ર નહિ’ એ તો શાસ્ત્રીય સૂત્ર છે. પુ નામના નરકમાંથી શ્રાદ્ધ કરીને પિતાને તારે એ પુત્ર. અને શ્રાદ્ધનો અધિકાર છે જેષ્ટને કે કનિષ્ટને. એટલે કોઈને ચાર દીકરા હોય તો પહેલો ને ચોથો એ પુત્રો, ને બીજો ને ત્રીજો એ દીકરા. ખોટું હોય તો કોક શાસ્ત્રીને પૂછી જોજે.’

    ⁠‘આ તો વ્યાખ્યાઓના વમળમાં પડ્યા. ડૂબશું કે તરશું ?’

    ⁠મિત્રે કહ્યું : ‘દુનિયા તરવાનો મ્હોટો સાગર છે. તારાઓ તરે છે ને વણતારાઓ ડૂબે છે. પણ એટલું આજ ભણતો જા કે દીકરા એટલા પુત્રો નહિ, ને કુંવારા એટલા બ્રહ્મચારીઓ નહિ.’


    સ્રોતઃ લેખકનો વાર્તા સંગ્રહપાંખડીઓ(પ્રકાશન વર્ષઃ૧૯૩૦)

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો : પ્રવેશ ૩ જો

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક સાતમો : પ્રવેશ ૨ જો થી આગળ

    પ્રવેશ ૩ જો

    સ્થળ: શીતલસિંહનું ઘર.

    [શીતલસિંહ વિચારમાં ફરતો પ્રવેશ કરે છે.]

    શીતલસિંહ :      (સ્વગત) મને જે મોટી બીક હતી તે તો પતી ગઈ. એ જાલકાનો બુદ્ધિપ્રભાવ એવો હતો કે મારી બધી યુક્તિઓને તે ઊંધી વાળી નાખત, પણ એ તો આ દુનિયામાંથી ગઈ એટલે એક નિરાંત થઈ. પણ એમાં મારા કાર્યની સિદ્ધિ આગળ શી રીતે વધી ?

    [નોકર પ્રવેશ કરે છે.]

    નોકર :  જી, બારણે કોઇ બ્રાહ્મણ આવ્યો છે. તે કહે છે કે આપને મળવું છે.

    શીતલસિંહ :      કોણ છે ?

    નોકર :  ડોસો છે ને મોટી દાઢી છે.

    શીતલસિંહ :      શું કામ છે ?

    નોકર :  તે કહે છે કે કાશી જાઉં છું ને વાટમાં ખરચી ખૂટી છે, માટે મદદ માગવા આવ્યો છું.

    શીતલસિંહ :      એને અહીં મોકલ, અને એ જાય ત્યાં સુધી તું ઓટલે બેસજે.

    [નોકર જાય છે.]

    શીતલસિંહ :      સંજ્ઞા તો મળી, પણ તે વખતે બીજું કોઇ એ સંજ્ઞા જાણી ગયું હોય અને તેનો ઉપયોગ કરી મને છેતરવા આવ્યો હોય તો ? એમ હોય તો તે વસમું થાય. જોઉં છું. એકદમ વાત નહિ છેડું તો.

    [લાંબા છૂટા કેશ અને લાંબી દાઢીવાળો, કામળી ઓઢેલો, અને હાથમાં લાકડી લીધેલો, એવો બ્રાહ્મણ પ્રવેશ કરે છે.]

    બ્રાહ્મણ : જજમાન રાજા ! કલ્યાણ થાઓ.

    (ચોપાઈ)

    મનના સઘળા ફળજો કામ,
    માગ્યા પૂરા મળજો દામ;
    ગાદીવારસ ઉગજો કૂખે,
    દિકરા દિકરી પરણો સૂખે. ૯૬

    શીતલસિંહ :      (સ્વગત) નિશાની તો એ જ. (મોટેથી) આવો મહારાજ! તમે કોણ છો?

    બ્રાહ્મણ : કોણ છું તે ખબર ના પડી?

    (બારણું અંદરથી બંધ કરીને સાંકળ વાસે છે અને ખોટા કેશ ને ખોટી દાઢી કાઢી નાંખે છે, કામળીને લાકડી ફેંકી દે છે, અને સ્ત્રીને વેશે પ્રકટ થાય છે.)

    ખરે! સંજ્ઞા કહ્યા છતાં તમે મને ના ઓળખી ?

    શીતલસિંહ :      મંજરી ! સંજ્ઞા તો મેં પારખી, પણ મને એમ થયું કે વખતે બીજું કોઇ સંજ્ઞા જાણી ગયું હોય, અને તે હોય તો?

    મંજરી : થોડા વખતમાં ઘણું કરવાનું, અને તેમાં આમ બીતા અને અચકાતા ફરશો તો કામ કેમ પાર પાડશો ?

    શીતલસિંહ :      કામ એવું જોખમનું છે કે આખરે ફાવીએ નહિ તો માર્યા જવાનો વખત આવે, પણ તારી હિમ્મત જોઉં છું ત્યારે કોઇ કોઇ વાર મને પણ હિમ્મત આવે છે. વારુ, હવે કહે લીલાવતી રાણીસાહેબ આગળ દત્તક લેવાની વાત બીજા કોઇ પાસે કરાવવાનું તારાથી બન્યું છે કે નથી બન્યું ?

    મંજરી : જેને પૂછું છું તે કહે છે કે મારાથી એ નહિ બને ?

    શીતલસિંહ :      એનું શું કારણ ?

    મંજરી : સહુ જાણે છે કે ભગવન્ત આ દત્તવિધાનની વિરુધ્ધ છે.

    શીતલસિંહ :      ભગવન્ત વિરુધ્ધ હોય તો તેથી શું થઈ ગયું ? રાણીસાહેબ પોતાની ઈચ્છાથી દત્તક લેવા મુખત્યાર છે.

    મંજરી : મુખત્યાર તો છે, પણ હવે તો રાણીસાહેબને ભગવન્ત પર એવી શ્રધ્ધા બેસી ગઈ છે કે એમને પૂછ્યા વિના સ્વપ્નાવસ્થામાં પણ પગલું ન ભરે.

    શીતલસિંહ :      પહેલાં તો રાણી સાહેબ ભગવન્તથી કાંઈક નારાજ રહેતાં.

    મંજરી : પણ, જાલકા સાથે તકરાર થઇ અને રાણી સાહેબની તબિયત બગડી ત્યારે શ્રીમતી તેમની પાસે હતાં. અને, તેમના આશ્વાસનથી એવી શાન્તિ મળી કે રાણી સાહેબ તેમને ઘડી ઘડી બોલાવવા લાગ્યાં. અને રાણીસાહેબનો

    મંદવાડ વધ્યો ને રાજનો મામલો ગુંચવાયો, તેમ શ્રીમતી સાથે ભગવન્તને પણ રાણીસાહેબ સલાહ માટે બોલાવવા લાગ્યાં. અને એ રીતે તેમના તરફ બહુ આદરભાવ થયો.

    શીતલસિંહ :      તેં પોતે રાણીસાહેબને મોઢે ફરી દત્તક્ની વાત છેડી હતી ?

    મંજરી : છેડી હતી, પણ બહુ ગુસ્સે થાય છે અને એ વિશે એક અક્ષર પણ સાંભળાવાની ના પાડે છે. મંદવાડમાં બેચેની વધે એ બીકે વધારે કહેવાતું નથી.

    શીતલસિંહ :      ભગવન્ત શાથી દત્તવિધાનની વિરુધ્ધ છે ?

    મંજરી : એમને અને શ્રીમતીને કોણ જાણે શાથી જગદીપ પ્રત્યે બહુ માનવૃત્તિ બંધાયેલી છે. એ જ ગાદીને લાયક છે એમ બંને માને છે.

    શીતલસિંહ :      પુષ્પસેનની કંઈ સમજણ પડી ?

    મંજરી : સમજણ શી પડવાની હતી ? દુર્ગેશ અને જગદીપ વચ્ચે ગાઢી મૈત્રી છે, અને જ્યાં કમલાદેવી ત્યાં પુષ્પસેન. પુષ્પસેન કદાચ તટસ્થ રહેવા ઇચ્છા કરે તોપણ કમલાદેવીનો પ્રભાવ જેવો તેવો છે ?

    શીતલસિંહ :      સૈન્યની મદદ વગર તો દત્તવિધાન થયા પછી પણ આપણે નિષ્ફળ થઇએ.

    મંજરી : પણ, રાણીસાહેબ દત્તક લે તો પર્વતરાય મહારાજનો દત્તક પુત્ર ગાદીએ કેમ ન આવે એ ગૂંચવણ ઊભી થાય ખરી. મારે બ્રાહ્મણ જમાડવો છે એમ કહીને વંજુલને મેં મારી પાસે બોલાવ્યો હતો. એને વાતમાં નાખતાં એ બોલી ગયો કે જગદીપ પોતે એમ કહે છે કે લીલાવતી રાણીને દત્તક લેવાનો હક છે. અને એ દત્તક લે તો દત્તકપુત્ર પર્વતરાયનો વારસ ગણાય એની ના ન કહેવાય. એ પ્રશ્નનો નિર્ણય થતાં સુધી પોતાના રાજ્યાભિષેકની જગદીપ ના પાડે છે.

    શીતલસિંહ :      જગદીપ ભણ્યો છે પણ ગણ્યો નથી, અને ન્યાયનું પૂતળું છે એટલો આપણને ફાયદો છે.

    [બહારથી કોઇ બારણું ઠોકે છે.]

    (ગભરાઈને) એ શું ! કોણ આવ્યું હશે ? એણે બારણે રહી આપણી વાત સાંભળી હશે ?

    મંજરી : રાજાના બાપ થવું હોય તો જરા કઠણ થવું પડે. (બ્રાહ્મણનો વેશ ધારણ કરીને) હવે બારણું ઉઘાડો.

    [શીતલસિંહ બારણું ઉઘાડે છે એટલે નોકર પ્રવેશ કરે છે.]

    શીતલસિંહ :      (ગુસ્સે થઇને) મેં તને ઓટલે બેસી રહેવાનું નહોતું કહ્યું ?

    નોકર :  જી, હા. પણ આ મહારાજનો કોઈ સાથી દોડતો આવ્યો છે. તે કહે છે કે આપણે ઉતર્યા છીએ તે ધરમશાળામાં આગ લાગી છે, માટે એકદમ ચાલો. એ બહુ આકળો થયો એટલે હું કહેવા આવ્યો.

    મંજરી : એને અહીં મોકલ ભાઈ.

    શીતલસિંહ :      અને, તું પાછો ઓટલે બેસ.

    [નોકર જાય છે.]

    એ તારો સાથી આવશે તો કંઈ અટકળ ક્રરશે ને બીજાને વાત કરશે તો ભરમ ફૂટી જશે. આગ લાગી છે, ત્યાં તારે જવું હોય તો જા.

    મંજરી : એ મારો સાથીયે નથી અને આગેય નથી લાગી. પૂર્વમંડળની સરહદ પાસેના રાજાને સૈન્યની મદદ માટે પુછાવવામાં આપણે દૂત મોકલ્યો હતો, તે આજે આવે એમ વકી હતી. તેથી હું મારા વિશ્વાસુ માણસને કહેતી આવી હતી કે મારા ગયા પછી એ આવે તો આગની સંજ્ઞા આપી એને અહીં બોલાવજે. હું બ્રાહ્મણ વેશે હઇશ તે પણ એને કહ્યું છે.

    [દૂત પ્રવેશ કરે છે અને મંજરીના હાથમાં કાગળ આપે છે.]

    (કાગળ વાંચીને) તું જા. આપણો સામાન કાઢી લીધો છે તે બસ છે. ધરમશાળા છો બળી જતી.

    [દૂત જાય છે.]

    કાગળમાં લખ્યું છે કે એ રાજા સૈન્ય મોકલવા ખુશી છે પણ એવી શરત કરે છે કે એને એક કરોડ દામ આપવા અને પૂર્વમંડળનો આખો પ્રદેશ આપી દેવો.

    શીતલસિંહ :      એક કરોડ દામ તો મારઝૂડ કરીને લોકો પાસેથી ઉઘરાવીને આપીએ, પણ પૂર્વમંડળ આપી દેતાં તો મારા પુત્રને મળવાની ગાદી નાની થઇ જાય.

    મંજરી : ગાદી મળવાના જ વાંધા છે ત્યાં નાની મોટી ક્યાં કરો છો ?

    શીતલસિંહ :      તને લાગતું હોય તો હું ના કહી શકવાનો છું ?

    મંજરી : સૈન્યની મદદનું તો આમ નક્કી થયું. દત્તવિધાન થાય તે પછી તરત સૈન્ય બોલાવાય. માટે, ગમે તેમ કરીને દત્તવિધાન કરવાનો માર્ગ લેવો જોઇએ.

    શીતલસિંહ :      રાણીસાહેબ હઠ લઇને બેસે ત્યાં શો ઉપાય ?

    મંજરી : મેં એક ઉપાય શોધી કાઢ્યો છે. રાણી લીલાવતીના પિયેરનો પુરોહિત અત્રે આવેલો છે. એના પર રાણીસાહેબની કૃપા છે. એ પુરોહિતને દાનદક્ષિણાથી રાજી કરી તમે એની મારફત રાણી સાહેબ પાસે આટલું કબૂલ કરાવો. એની રૂબરૂ રાણીસાહેબ એક વાર તમારી મુલાકાત લે.

    શીતલસિંહ :      અને, એવી મુલાકાત થાય તો તે વખતે શું કરવું ?

    મંજરી : તમે અને પુરોહિત રાણીસાહેબને બે વાતનો આગ્રહ કરીને કહેજો. એક તો એમ કહેજો કે જાલકાએ રાણીસાહેબ તરફ આવો દગો કરેલો અને આવો દુરાચાર કરવા

    ધારેલો તેનો પુત્ર ગાદીએ બેસે ? અને બીજું એમ કહેજો કે જગદીપ વીણાવતી સાથે લગ્ન કરવા તૈયાર થયો છે. ક્ષત્રિયમાં વિધવા ફરી પરણે – અને તે વળી ગુજરાતના રાજાની પુત્રી- તે તો ભારે અનર્થ થાય; અને, એવો અનર્થ કરનાર અને પર્વતરાયના કુલને કલંક લગાડનાર ગુજરાતની ગાદીએ બેસે ?

    શીતલસિંહ :      તારા જેવી વાચાલતાથી કહેતાં મને આવડે તો તો રાણીનું મન જરૂર ફરે અને મારો પુત્ર ગુજરાતની ગાદીએ આવે.

    મંજરી : અને, મને પાંચ લાખ દામ મળે, અને મારી પુત્રી તમારા પુત્ર સાથે પરણી ગુજરાતની રાણી થાય, એ આપણો કરાર ભૂલવાનો નથી.

    શીતલસિંહ :      એ ભૂલું ત્યારે તો શ્વાસોચ્છ્‌વાસ લેવાનું ના ભૂલું ?

    મંજરી : હવે શ્વાસોચ્છ્‍વાસ જલદી ચલાવી તમે પુરોહિત પાસે જાઓ. હું ફરી આવીશ ત્યારે અત્તર વેચનારને વેશે આવીશ. અને બહારથી માણસ જોડે અત્તરનાં ત્રણ પૂમડાં મોકલાવીશ. વળી છેવટે એક ઉપાય તો છે જ. આવો તમારા કાનમાં કહું.

    [શીતલસિંહના કાનમાં મંજરી વાત કહે છે. શીતલસિંહ ચમકે છે. મંજરી આંગળી ઊંચી કરી તેને ચુપ રહેવા નિશાની કરે છે.]

    [બંને જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત

     

  • વિશ્વગુજરાતી દિન. ૨૪ ઑગષ્ટ

    સંકલન કર્તાઃ  દેવિકા ધ્રુવ

    વિડીયો સૌજન્યઃ ભૌમિન મહેતા

    કોમ્પ્યુટરના આકાશમાં ‘વેબ’ની રંગબેરંગી પાંખો લઈને વિશ્વભરમાં ઊડતાં, ઝુમતાં, નાચતાં, ગાતાં,

    એકમેકની સાથે સંધાતાં અને બંધાતાં  ગુજરાતી ભાઈ-બહેનોનો  મહામૂલો દિવસ છેઃ ૨૪  ઑગષ્ટ 

    વિશ્વગુજરાતી દિન માટે ખાસ….ગુજરાતી તરીકે ગૌરવભેર….

    માત્ર ગુજરાત કે ગુજરાતી વિશેની જ  પદ્ય-પંક્તિ કે શેરની અંતાક્ષરી…

    ભાગ લેનારઃ

    પ્રકાશ મજમુદાર,નીતિન વ્યાસ, મનોજ મહેતા,
    ફતેહ અલી ચતુર,દેવિકા ધ્રુવ, ભાવના દેસાઇ અને રિદ્ધિ દેસાઈ.. 

     

    https://youtu.be/_OR61LTsVII?si=LshWxSpzgorb6dwZ

    ૧.
    ગુર્જરવાણી,ગુર્જર લ્હાણી,ગુર્જર શાણી રીત.
    જંગલમાં પણ મંગલ કરતી,ગુર્જર ઉદ્યમ પ્રીત. ખબરદાર

    ૨.
    તૂટી ધજાઓ ને તૂટ્યા મિનારા
    પણ તૂટ્યું ના કોઇ’દી ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશાં ગુજરાત. મનીષ ભટ્ટ

    ૩.
    તું વિશ્વગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર.
    નવા યુગોના રંગથી નવી નવી તું ભાત કર. રસિક મેઘાણી

    ૪.
    રઢિયાળી ગુજરાત, અમારી રઢિયાળી ગુજરાત!
    વીરનરોની માત, અમારી રઢિયાળી ગુજરાત! માધવ ચૌધરી

    ૫.
    તારામઢી સપના સજી આ રાત છે,ગુજરાત છે,
    એ આંગણું પાવન થયાની વાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી

    ૬.
    છોછ કશો ના નડે મને, એ મારું સ્વાભિમાન
    ધર્મ-કર્મના ભ્રમો ભેદી, ઉન્નત કરૂં ઉડાન
    ગુર્જર ગાથા થશે પછીથી, દેશ-વિદેશે ગવાતી,
    હું ગ્લોબલ ગુજરાતી. યોસેફ મેકવાન

    ૭.
    તવ તીર સિંધુતરંગ મંડિત, ગાનથી ઘરકુંજ રી
    તવ શસ્ય પલ્લવ પુંજ રી, જય હે જયતુ, જયગુર્જરી. રાજેન્દ્ર શાહ

    ૮.
    રમે અન્ય સખીઓ થકી દઇ તાળી,
    સુધા કર્ણ સીંચે ગુણાળી રસાળી.
    કરે બોલતા જે ભર્યા ભાવ છાતી,
    રમો માતૃભાષા મુખે ગુજરાતી. ઉ.જોશી

    ૯.
    તૈયાર થઈ જજો, તૈયાર થઈ જજો,
    નાત-જાત-ભાત તારી કોઈ પણ હજો,
    ખભેખભા મિલાવીને, ફંદ સૌ ફગાવીને
    માદરે વતનને કાજ, જંગમાં ખપી જજો. ઉ.જોશી

    ૧૦.
    જય સોમનાથ, જય દ્વારકેશ,જય બોલો વિશ્વના નાથની
    સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની… રમેશ ગુપ્તા

    ૧૧.
    નરસી ભગતનું ઝૂલતું પરભાત છે, ગુજરાત છે,
    જીંદાદિલીથી છલછલોછલ જાત છે,ગુજરાત છે. હરદ્વાર ગોસ્વામી

    ૧૨.
    છે વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત..
    ને વેશભૂષા વિદેશી પણ ગૌરવ આ ગુજરાત.. દેવિકા ધ્રુવ

    ૧૩.
    તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત –
    ઊંચી તુજ સુંદર જાત,જય જય ગરવી ગુજરાત. નર્મદ

    ૧૪.
    તારે ક્યારે કૈંક દુલારે દિલના શોણિત પાયાં.
    પુત્રવિજોગી માતાઓનાં નયન-ઝરણ ઠલવાયાં.
    ઝંડા અજર અમર રે’જે, વધ વધ આકાશે જાજે. ઝવેરચન્દ મેઘાણી.

    ૧૫.
    જ્યાં જ્યાં વસે એક ગુજરાતી,
    ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત.
    જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી,
    ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત. ખબરદાર

    ૧૬.
    તું વિદ્યા છે, તું જ ધર્મ છે,
    તું અમ હ્રદય અને તું મર્મ છે.
    તું અમ દેહ તણો છે પ્રાણ,
    વંદન કરું તુજને હે માત. ગોવર્ધન દવે

    ૧૭.
    તમે ગુજરાતી અમે ગુજરાતી, આપણે સૌ ગુજરાતી,
    બાર ગામે બોલી બદલે, તોય બધા ગુજરાતી. હર્ષદ રવેશિયા

    ૧૮.
    તન છોટું પણ મન મોટું છે ખમીરવંતી જાતી
    ભલે લાગતો ભોળો હું તો, છેલ છબીલો ગુજરાતી..
    હું છેલ છબીલો ગુજરાતી.. અવિનાશ વ્યાસ

    ૧૯.
    તુજને ગોદ લઈ સૂનારાં મેં દીઠા ટાબરિયાં
    તારા ગીત તણી મસ્તીમાં ભૂખ તરસ વિસરિયાં
    ઝંડા કામણ શા કરિયાં,
    ફિદા થઈ તુજ પાછળ ફરિયાં……….. ઝવેરચંદ મેઘાણી
    ય… ય નો અ કરવાની છૂટ છે..

    ૨૦.
    એકવાર સત્યના ચરખાને કાંતી તો જો,
    અહિંસાને કાજ શિર ઝુકાવી તો જો.
    સાબરનો આરો ને તાપી કિનારો,
    ગુજરાતની ગરિમાને ગાઇ તો જો. દેવિકા ધ્રુવ

    ૨૧.
    તો હવે ‘જ’ નો ‘ઝ’ થાય ને? !!
    ઝૂક્યા પહાડો ને ઝૂકી આ નદીયું
    પણ ઝૂક્યું ના કોઇ’દી ગુજરાત
    હો રાજ મારું જીત્યું હમેશા ગુજરાત. મનીષ ભટ્ટ

    ૨૨.
    તું પ્રેમ-દીપ બાળવા વદન વદનથી વાત કર.
    તું નફરતોને ટાળવા નયન નયનથી વાત કર.
    તું વિશ્વ-ગુર્જરી છે આજ, ગુર્જરીની વાત કર . રસિક મેઘાણી.

    ૨૩.
    રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
    અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
    જય દયાનંદ જય પ્રેમાનંદ, જય બોલો બહુચરમાતની
    સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …યશગાથા ગુજરાતની.. રમેશ ગુપ્તા

    ૨૪.
    નથી જાણ્યું અમારે પંથ શી આફત ખડી છે.
    ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. ઝવેરચંદ મેઘાણી

    ૨૫.
    છલકાતી એક-એક અગાસી,ઉપર જામ્યો રંગ
    આજ ગગનમાં પતંગ ઊડે, મનમાં ઉમટે ઉમંગ
    ઊડે ઊડે રે પતંગ ગુજરાતનો, ઊડે રે પતંગ ગુજરાતનો. રઈશ મણીઆર

    ૨૬.
    નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
    નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
    નવી સવારે નવું કિરણ લઇ આવ્યું નવલી વાત
    અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત કૃષ્ણ દવે.

    ૨૭.
    તું ને બદલે ટટ્ટુનો ટું, જ્યારે બોલે ત્યારે તોતડું
    તપેલી ને એ કહે પતેલી , પછી હોય શેઠ કે ચાકર…
    ગુજરાતી થઇ, ગુજરાતી કોઇ, બોલે નહીં બરાબર, અવિનાશ વ્યાસ.

    ૨૮.
    રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
    કેસરવર્ણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે,
    ઘાયલ મરતાં મરતાં રે માતની આઝાદી ગાવે. ઝ.મે.

    ૨૯.
    વિશ્વને રોશન કરી ગઈ દીપિકા ગુજરાતની
    સૂર્ય પણ જોતો રહ્યો જ્યોતિકલા ગુજરાતની. શૂન્ય પાલનપૂરી.

    ૩૦.
    નક્કી એક દિન આવશે એવો, જહાં જ્યારે ચકિત થાશે
    અમારી કિર્તીગાથાઓ તણાં ગૌરવ ગીતો ગાશે.
    અમારી આત્મશ્રદ્ધાથી જગાવીશું નવો પલ્ટો,
    જહાંના પંથથી ન્યારો નવો રસ્તો રચાવીશું. કવિ રવિ ઉપાધ્યાય

    ૩૧.
    શૂન્ય, મારી જિંદગીને તો જ લેખું ધન્ય હું,
    મૃત્યુ ટાણે પણ મળે જો ગોદ ‘મા’ ગુજરાતની. શૂન્ય પાલનપુરી

    ૩૨.
    ન તો હું કહું છું, ન ગુજરાત કે’છે, સૌ દેશવાસીનો છે આ અવાજ,
    ભારતની અર્થ વ્યવસ્થાનું સુકાન, ગુજરાતીને હાથ, કે’છે આ અવાજ,
    દરિયા ખેડી, દરિયા તરી, અવકાશે યાત્રા કરે છે એ આ પ્રજા,
    ‘સહુના સાથ સહુના વિકાસ’ માટે, ગુજરાતીનો રણકે છે આ અવાજ.
    -મનોજ મહેતા

    ૩૩.
    જય હે જય ગુજરાત! તને હો વંદન અપરંપાર
    મુક્તિદૂત ગાંધીનો આપ્યો તેં અનુપમ ઉપહાર
    તને હો વંદન અપરંપાર,જય હે જય ગુજરાત. વિનોદ જોશી

    ૩૪.
    તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
    શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
    જન ઘૂમે નર્મદા સાથ,જય જય ગરવી ગુજરાત. નર્મદ

    ૩૫.
    તને નમુ,તને જપું,તારા અહર્નિશ ગાન ગાઉં.
    હર પળે, ને હર જગે, આ શિર નમે તુજને ગુજરાત. શૈલા મુનશા

    ૩૬.

    ત્યાં લોખંડી નર એક સૂત્રમાં ગૂંથે પ્રાંતેપ્રાંત..
    ત્યાં એક વૈશ્વજન કહેવાયા, સમગ્ર રાષ્ટ્રના તાત
    અહો, તે તો છે ગુજરાત.. તે તો છે ગુજરાત.. પ્રીતિબહેન સેનગુપ્તા

    તે તો છે ગુજરાત.. અમારી ગુણવંતી ગુજરાત.
    અમારી ગુણવંતી ગુજરાત, અમારી ગુણવંતી ગુજરાત. અમારી ગુણવંતી ગુજરાત.

  • શુભેચ્છાઓ – खुश रहे तू सदा, ये दुआ है मेरी

    નિરંજન મહેતા

    ફિલ્મોમાં જુદા જુદા પ્રસંગે શુભેચ્છા આપતા ગીતો મુકાયા હોય છે, પછી તે લગ્ન પ્રસંગ હોય, કોઈ જન્મદિવસની ઉજવણી હોય કે અન્ય કોઈ પાર્ટી હોય. આવા કેટલાક ગીતો આ લેખમાં નોંધ્યા છે પણ મર્યાદિતતાને કારણે બધા ગીતોની નોંધ ન લેવાઈ હોય તો દરગુજર.

    ૧૯૫૩ની ફિલ્મ ‘અનારકલી’ જે એક પ્રેમકહાનીનું પ્રતિક છે તેમાં માંદગીને કારણે પથારીવશ પ્રદીપકુમારને સંબોધીને આ ગીત ગવાયું છે જેમાં બીનારોય તેની લાંબી ઉમરની કામના કરે છે, સાથે સાથે તે માટે પોતાની ઉમર આપવા તૈયાર છે.

    दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
    वफ़ाओं का मजबूर दामन बिछा कर
    दुआ कर ग़म-ए-दिल, खुदा से दुआ कर
    जो बिजली चमकती है उनके महल पर
    वो कर ले तसल्ली, मेरा घर जला कर

    બીનારોય પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શૈલેન્દ્ર અને સંગીતકાર છે સી. રામચંદ્ર. સુમધુર કંઠ છે લતાજીનો.

    ૧૯૫૯ની ફિલ્મ ‘સુજાતા’નુ આ ગીત જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે.

    तुम जियो हज़ारों साल
    साल के दिन हों पचास हज़ार
    सूरज रोज़ आता रहे रोज़ गाता रहे
    लेके किरणों के मेले
    पलछिन कलियाँ गिन गिन तेरा हर दिन
    तब तक रँगों से खेलें
    रँग जब तक बाकी है बहारों में

    શશીકલા અને સાથે સાથે નૂતનના જન્મદિવસના સંદર્ભમાં રચાયેલ આ ગીતના ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયિકા આશા ભોસલે.

    ૧૯૬૧ની ફિલ્મ ‘સ્ત્રી’. જે શાંતારામની જ જૂની ફિલ્મ ‘શકુંતલા’ની રીમેક છે તેમાં કન્યા વિદાય વખતે ઋષિ કણ્વ શકુંતલાને આશીર્વાદના આ વચનો કહે છે

    आओ बिटिया आज तुमे
    ……………
    जाओ लाडली पति के घर तुम सुखी रहो

    ભરત વ્યાસના શબ્દોને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. સ્વર છે મન્નાડેનો.

    ૧૯૬૩ની ફિલ્મ ‘પારસમણિ’નુ ગીત એક પ્રેમીના ભાવોને દર્શાવે છે જેમાં તે તેના રૂપની પ્રશંસાનાં ફૂલ પાથરે છે પણ સાથે સાથે તેની સલામતીની ઈચ્છા પણ દર્શાવે છે.

    रोशन तुम्हीं से दुनिया रौनक़ तुम्हीं जहाँ की
    फूलों में पलने वाली रानी हो गुलसिताँ की
    सलामत रहो, सलामत रहो

    આ ફૂલો ગીતાંજલી માટે મહિપાલ વરસાવે છે જેના રચયિતા છે ઇન્દીવર, સ્વર છે રફીસાહેબનો. લક્ષ્મીકાંત પ્યારેલાલ આ ગીતના સંગીતકાર છે. આ તેમની પ્રથમ સ્વતંત્ર ફિલ્મ હતી અને તેના સંગીતને લઈને તેમનું ફિલ્મ જગતમાં નામ બન્યું.

    ૧૯૬૩ની ફિલ્મ ‘દિલ એક મંદિર’નુ આ ગીત દીકરીનાં જન્મદિવસે ગવાયું છે. સ્વાભાવિક છે કે એક માના મુખે શુભેચ્છાજ નીકળવાની.

    जूही की कली मेरी लाडलीनाज़ों की पली मेरी लाडली
    ओ आस-किरन जुग-जुग तू जीए
    नन्ही सी परी मेरी लाडली, ओ मेरी लाडली

    મીનાકુમારી પર રચાયેલ આ ગીતના શબ્દો છે શૈલેન્દ્રના અને સંગીતકાર છે શંકર જયકિસન. સ્વર સુમન કલ્યાણપુર

    ૧૯૬૪ની ફિલ્મ ‘દૂર કી આવાઝ’નુ આ ગીત જન્મદિવસના ઉપલક્ષમાં છે.

    हम भी अगर बच्चे होते
    नाम हमारा होता गबलू बबलू
    खाने को मिलते लड्डू
    और दुनिया कहती

    Happy birthday to you

    બાળ કલાકારનું નામ દર્શાવ્યું નથી પણ જોની વોકર, સાઈરાબાનુ અને જોય મુકરજી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે શકીલ બદાયુનીના અને સંગીતકાર છે રવિ. ગાયકો છે આશા ભોસલે, મન્નાડે અને રફીસાહેબ.

    https://youtu.be/EIpAUx73rME

     

    ૧૯૬૪ની ફિલ્મ ‘ઉપકાર’નુ આ ગીત એક દુઆના રૂપમાં છે.

    हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
    हर ख़ुशी हो वहाँ, तू जहाँ भी रहे
    ज़िंदगी हो वहाँ, तू जहाँ भी रहे

    જેલમાં કેદ પ્રેમ ચોપરા(?)ને અનુલક્ષીને આશા પારેખ આ ગીત ગાય છે જેમાં તેને જેલમાં કોઈ તકલીફ ન પડે તેમ ઈચ્છે છે. શબ્દો છે ગુલશન બાવરાના, સંગીત છે કલ્યાણજી આણંદજીનું અને સ્વર છે લતાજીનો.

    https://youtu.be/tjjcoLtCN2M

     

    ૧૯૬૪ની ફિલ્મ ‘આઈ મિલન કી બેલા’નુ આ ગીત પણ એક જન્મદિવસની ઉજવણી પર રચાયું છે.

    तुम्हें और क्या दूँ मैं दिल के सिवा

    तुमको हमारी उमर लग जाए
    मुरादें हों पूरी सजे हर तमन्ना
    मुहब्बत की दुनिया के तुम चाँद बनना
    बहारों की मंज़िल पे हँसना-हँसाना
    ख़ुशी में हमारी भी आवाज़ सुनना
    कभी ज़िन्दगी में कोई ग़म न आए

    રાજેન્દ્રકુમારને શુભેચ્છા આપનાર છે સાઈરાબાનુ. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત છે શંકર જયકિસનનુ. સ્વર છે લતાજીનો.

    https://youtu.be/69nr52oCTgU

    ૧૯૬૭ની ફિલ્મ ‘ફર્ઝ’નુ આ ગીત પણ જન્મદિવસના પ્રસંગે શુભેચ્છાઓ આપતું ગીત છે.

    बार बार दिल ये गाये
    तू जिये हजारों साल
    ये मेरी है आरजू

    Happy birthday to you

    બબીતાના જન્મદિવસે જીતેન્દ્ર આ નૃત્યગીત રજુ કરે છે. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. સ્વર છે રફીસાહેબનો.

    https://youtu.be/Jn9_6yINCy4?list=TLGGsflSrQntqJ0xNTA4MjAyNA

     

    ૧૯૬૭ની ફિલ્મ ‘મેરા મુન્ના’નુ આ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીને અનુલક્ષીને છે. આ ગીત બાળકો પર રચાયું છે.

     

    बधाई हो बधाई, जनमदिन की तुमको
    जनमदिन तुम्हारा मिलेंगे लड्डू हमको
    बधाई हो बधाई, जनमदिन की तुमको

    सदा दिल लगा के तू मेहनत से पढ़ना
    मेहनत से पढ़ना पढ़ाई में आगे से आगे ही बढ़ना

    બબલુના જન્મદિવસે જુનિયર મેહમુદ વધાઈ આપતા બાળમાનસને પણ ઉજાગર કરે છે. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું. સ્વર આપ્યો છે લતાજીએ.

    https://youtu.be/oPUTfEph1kk?list=TLGGkV5atyK_CXcxNTA4MjAyNA

     

    ૧૯૬૯ની ફિલ્મ ‘અનોખી રાત’નુ આ ગીત પણ દીકરી માટે એક માની શુભેચ્છા દર્શાવે છે.

     

    महलों का राजा मिला के रानी बेटी राज करेगी
    खुशी-खुशी कर दो बिदा तुम्हारी बेटी राज करेगी

     

    આ શુભેચ્છાઓ આપનાર છે ઝાહીદા. ગીતકાર ઇન્દીવર અને સંગીતકાર રોશન. સ્વર લતાજીનો.

    https://youtu.be/9H6m056i-tU

     

    ૧૯૬૯ની ફિલ્મ ‘સુહાગરાત’નુ ગીત એક જુદા પ્રકારનું ગીત છે જેમાં પોતાની પ્રેયસીને અન્ય સાથે લગ્ન થતાં પ્રેમી તેને આ પ્રકારની શુભેચ્છાઓ આપે છે

     

    ख़ुश रहो हर ख़ुशी है तुम्हारे लिये<
    छोड़ दो आँसुओं को हमारे लिये

     

    કલાકારો છે જીતેન્દ્ર અને રાજશ્રી. ગીતના શબ્દો છે ઇન્દીવરના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે મુકેશનો.

    https://youtu.be/esGanSNVKwE

     

    ૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ ટાઈટલ ગીત પાર્શ્વગીત તરીકે નિરાશ થયેલી નાયિકાને ઉદ્દેશીને મુકાયું છે.

     

    बनेगी आशा एक दिन तेरी ये निराशा
    काहे को रोये चाहे जो होए
    सफल होगी तेरी आराधना

     

    ગીતમાં દેખાતા કલાકારો છે પહાડી સન્યાલ અને શર્મિલા ટાગોર. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર અને ગાયક છે સચિન દેવ બર્મન.

    https://youtu.be/1y23s6lQ5iM

    ૧૯૭૦ની ફિલ્મ ‘ખીલોના’નુ ગીત પણ પોતાની પ્રેયસીના અન્ય સાથે લગ્ન થતાં સંજીવકુમાર આ ગીત ગાય છે.

    तेरी शादी पे दूँ तुझको तोहफ़ा मैं क्या
    पेश करता हूँ दिल एक टूटा हुआ
    खुश रहे तू सदा, ये दुआ है मेरी
    वफ़ा ही सही, दिलरुबा है मेरी

    અન્ય કલાકારો છે શત્રુઘ્ન સિંહા અને મુમતાઝ. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે મુકેશ.

    ૧૯૭૧ની ફિલ્મ ’આપ આયે બહાર આઈ’નુ ગીત ફરી એકવાર જન્મદિવસની ઉજવણીના ભાગ રૂપે છે.

    तारे तारे कितने नील गगन पे तारे
    तेरी उमर हो इतने साल जीतने नील गगन पे तारे
    तारे तारे कितने नील गगन पे तारे

    કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને સાધના. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે હેમલતા અને રફીસાહેબ.

    ૧૯૮૩ની ફિલ્મ ‘નાસ્તિક’નુ આ ગીત લગ્ન પ્રસંગે ગવાયું છે.

    हो दिल पे दिलबर की यारो हकुमत रहे
    गाती हस्ती सदा ये मोहब्बत रहे
    मेरे अल्लाह की तुज पे इनायत रहे
    दूल्हा दुल्हन की जोड़ी सलामत रहे

    ગીત જોતા જણાય છે કે અમિતાભ બચ્ચન છૂપા વેશમાં નવવધુને આશીર્વાદ આપવા આવ્યો છે. સાથે હેમા માલિની, પ્રાણ વગેરે કલાકારો પણ સામેલ છે. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયક છે કિશોરકુમાર.

    આશા છે ઉપર મુકેલા ગીતો સુજ્ઞ વાચકોને પસંદ પડ્યા હશે,


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૬૫ – અર્શ હૈદરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અર્શ હૈદરી સાહેબ પણ ગુમનામ ગીતકાર. બિંદિયા, રાસ્તા અને દિલ નામની ત્રણ ફિલ્મો માટે કુલ તેર ગીતો લખ્યાં. ‘ ડાકુ કી લડકી ‘ (૧૯૫૨) ના સંવાદો પણ લખ્યા. ( આ ફિલ્મનું હેમંત – લતાનું યુગલ ગીત ‘ ચાંદ સે પૂછો સિતારો સે પૂછો મુજે તુમ સે પ્યાર હૈ ‘ સાંભળી કાન અને અંતર પવિત્ર કરવા જેવાં છે ! )

    અર્શ સાહેબની લખેલી એક જ ફિલ્મની યુગલ ગીત સ્વરૂપની બે ગઝલ :

    આ જા તુઝે એક બાર મૈં સીને સે લગા લું
    તુજ સે હી તેરે દર્દે મુહબ્બત કો મિટા લું

    ઐ મેરી તમન્ના મુઝે ઇતના તો બતા દે
    અરમાન જો દિલ મેં હૈં ઉન્હેં કૈસે નિકાલું

    મૈં આ ગઈ દિલ ખોલ કે બાતેં કરો દિલ કી
    મૈં ભી જો મેરે દિલ મેં હૈ જી ભર કે સુના લું

    ઐ પ્યાર કે રાહી તેરી આવાઝ કે સદકે
    મૈં રાગિની બન જાઉં તુઝે રાગ બના લું..

    – ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
    – હબીબ વલી મોહમ્મદ / આશા ભોંસલે
    – સ્નેહલ ભાટકર

    ( આ ફિલ્મમાં વિખ્યાત ગઝલ ગાયક હબીબ વલી મોહમ્મદે ‘ કમલ ‘ નામથી ગાયું હતું કારણ કે એમના પ્રતિષ્ઠિત પરિવારને એ ફિલ્મમાં ગાય એ મંજૂર નહોતું ! )

    હો તુજકો મુબારક અબ તેરી તકદીર બદલને વાલી હૈ
    જો દિલ મેં હૈ ઉસસે મિલને કી ઉમ્મીદ નિકલને વાલી હૈ

    ઉમ્મીદ કે ફૂલોં કો દુનિયા ચુટકી મેં મસલને વાલી હૈ
    દુનિયા કે સિતમ કી તેઝ છુરી અરમાનો પે ચલને વાલી હૈ

    અરમાનો કે દિન ભી જાગ ગએ તુમ પ્યાર કી બાઝી જીત ગએ
    દોનોં કે લિયે ફુરકત કી ઘડી દો રોઝ મેં ટલને વાલી હૈ

    દો રોઝ મેં દો દિલ ટુટેંગે દો પ્રેમ કે સાથી છૂટેંગે
    પાઈ થી મુહબ્બત મેં જો ખુશી વો ગમ મેં બદલને વાલી હૈ..

    – ફિલ્મ : બિંદિયા ૧૯૫૫
    – રાજકુમારી / આશા ભોંસલે
    – સ્નેહલ ભાટકર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • બાળ ગગન વિહાર – મણકો – ૩૯ – વાત અમારી ડેસ્ટીની અને સેરીનીટીની

    શૈલા મુન્શા

    થોડા વર્ષો પહેલાં મારા ક્લાસમાં ડેસ્ટીની અને સેરીનીટી બે બહેનોને દાખલ કરવામાં આવ્યાં ચાર વર્ષની જોડિયા બહેનો પણ બંનેના સ્વભાવ વચ્ચે આસમાન જમીનનો ફરક. એ વર્ષે અમારા ક્લાસમાં જ્યારે બંને બહેનો આવી તો શરૂઆતમાં અમે પણ ભૂલ કરી બેસતાં એટલો દેખાવ સરખો. પહેલે દિવસે મમ્મી અને માસી બંને આ બાળકીઓને લઈને આવ્યાં. મમ્મીને જોઈ એવું લાગ્યું કદાચ એમનુ માનસિક સંતુલન પણ બરાબર નહીં હોય. એ પોતે જ એટલાં રઘવાયા અને દરેક વાત બે વાર બોલે, અમે જે વાત કહીએ એ સમજતા વાર લાગે અને કાંઈક વિચિત્ર સવાલ પુછે. રોજ મમ્મીને માસી બંને સાથે મુકવા આવે. અમને તરત ખ્યાલ આવી ગયો કે માસી જ મુખ્ય કર્તાહર્તા છે.

    બાળકીઓના પિતા વિશે પુછ્યું તો મમ્મીને જ જાણ નહોતી કે એ ક્યાં હશે? લગભગ પહેલું અઠવાડિયું મમ્મીને માસી સાથે આવ્યાં અને બાર વાગે બંનેને સાથે આવી ડેસ્ટીની અને સેરીનીટીને લઈ જાય. થોડા સમય પછી એમની ફાઇલ પણ આવી ગઈ.

    ડેસ્ટીની અને સેરીનીટી ભલે જોડિયા બહેનો, દેખાવ સમાન પણ સ્વભાવ એકદમ વિરોધાભાસી. શારીરિક અવસ્થામાં પણ ફરક, જમવામાં ફરક. જન્મ એમનો સમય કરતાં વહેલો થયો હતો એટલે મગજ અને શરીર બંને પર અસર થઈ હતી. પગમાં પૂરી તાકાત નહીં એટલે બંનેને પગ મજબૂત રાખવા કૃત્રિમ બુટ પહેરાવવા પડે. વજનદાર બુટ સાથે પણ બંને બહેનો દડબડ દડબડ દોડે. રમવાના મેદાનમાં પણ લસરપટ્ટીના પગથિયા ચઢે. સેરીનીટીને લિવરમાં કાંઈક તકલીફ, પેટ પર કોઈ નાની નળી જેવું મુકેલું એટલે દરરોજ બાર વાગ્યે મમ્મી કે માસી આવીને એને લઈ જતાં, પણ ડેસ્ટીની બીજા અઠવાડિયાથી આખો દિવસ સ્કૂલમાં રહેવા માંડી. તકલીફ હોવા છતાં સેરીનીટી હંમેશ હસતી અને બધા સાથે સહજતાથી ભળી જતી.

    સ્કૂલબસના ડ્રાઈવરને એમની બહુ ચિંતા! એટલા સંભાળીને બસમાંથી ઉતારે, હાથ પકડીને અંદર મુકવા આવે. મને કહે “મીસ મુન્શા તું બીજા બાળકોને લઈ અંદર જા, હું ડેસ્ટીની, સેરીનીટીને લઈ આવું છું.”

    થોડા દિવસ તો હું કાંઈ બોલી નહીં પણ પછી મેં બસ ડ્રાઈવરને કહ્યું, “તમે બે મિનિટ અહીંયા ક્લાસના દરવાજા પાસે ઊભા રહો અને જુઓ શું થાય છે?” ડેસ્ટીની સેરીનીટિને દોડતાં અને બીજા બાળકો સાથે રમતાં જોઈ એમની નવાઈનો પાર ના રહ્યો.

    ડેસ્ટીની ફક્ત પ્રોટીનવાળા દૂધ પર જ જીવે. બસમાંથી ઉતરે ત્યારે દૂધની બોટલ એના મોઢામાં હોય. સેરીનીટી આમ તો બધું ખાઈ શકે પણ ડૈરી પ્રોડક્ટ બહુ ના અપાય, નહિ તો ઝાડા થઈ જાય. ડેસ્ટીનીનો ગુસ્સો ગજબનો. ક્લાસમાં આવતાની સાથે જો એનું ગમતું રમકડું બીજા કોઈ બાળકના હાથમાં હોય તો એં એં કરીને ઝડપ મારી એ રમકડું બીજાના હાથમાંથી ઝુંટવવાની કોશિશ કરે અને જો ના મળે તો એક ઠુંસો, એક ધક્કો કે એક થપ્પડ મારી દે. અરે! જો એનુ ધાર્યું ના થાય તો અમારી સામે પણ હુંકાર કરે. દિવસમાં એને ત્રણ વાર દૂધની બોટલ આપવાની હોય, પણ એ બેનને તો આખો દિવસ મોઢામાં બોટલ રાખી મુકવાની આદત. ઘરે કદાચ મમ્મી એમ કરતી હશે પણ અમારે તો એની તબિયતની કાળજી અને ડોક્ટરની સુચનાનુ પાલન કરવાનુ હોય એટલે આખો દિવસ બોટલ ન આપીએ તો અમારી સામે પણ એટલો ગુસ્સો દેખાડે.

    આ બધું પેલા ડ્રાઈવરને બતાડ્યું અને કહ્યું “આ બાળકીઓને વધારે પડતી દેખભાળની જરૂર નથી”

    બંને બહેનોમાં ડેસ્ટીની આળસુ,એને ક્લાસની બીજી પ્રવૃતિમાં બહુ રસ નહિ, બાળગીતો ચાલતા હોય, સ્માર્ટ બોર્ડ પર એ, બી,સી, ડી કે બાળકોને ગમતા કાર્ટુન કાંઈ પણ હોય ડેસ્ટીનીને જરાય રસ નહિ. જો એને આઈપેડ આપો તો આખો દિવસ એમાં મગન પોતાને જોવી હોય એ જ ગીતોની વેબસાઈટ આખો દિવસ જોયા કરે. જ્યારે સેરીનીટી બધા સાથે ગીતો ગાવામાં ભાગ લે, ક્લાસની પ્રવૃતિમાં ભાગ લે, હંમેશાં હસતી અને પરાણે વહાલી લાગે એવી. સેરીનીટી ઝડપથી બીજા બાળકોના નામ શીખવા માંડી અને એ બધાને એમના નામથી બોલાવવા માંડી. અમે કોઈ બાળકને બોલાવીએ તો અમારી સાથે એ પણ નામ લઈને બૂમ પાડે, અને પછી ખિલખિલ કરી હસી પડે. તમે જ કહો આવા બાળકો પર કોને વહાલ ના આવે??

    સેરીનીટીની આવડત અને ધગશ જોઈ અમને ખાત્રી હતી કે એ ઝડપથી આગળ વધશે પણ ડેસ્ટીની અમારી બરાબર કસોટી કરતી. એની પાસે કાંઈ પણ કરાવવું એ લોઢાના ચણા ચવવા જેટલું મુશ્કેલ હતું, પણ એમાં જ તો મઝા છે જ્યારે આ બાળકોના જીવનમાં, એમને પ્રોત્સાહિત કરવામાં, એમને પ્રગતિના પંથે આગળ વધારવામાં અમારો પણ કાંઈક ફાળો હોય અને એ વાતની નોંધ એમના માતા પિતાની નજરે ચઢે, ત્યારે એમના ચહેરા પર અહોભાવની લાગણી જ તો હોય એ જ અમારૂં સહુથી મોટું ઈનામ હોય છે.

    અમને સહુથી વધુ ખુશી એ વાતની હતી કે ડેસ્ટીની ને સેરીનીટીને મમ્મી સાથે મા તુલ્ય માસી મળી હતી જે અમારી બધી સુચનાને અમલમાં મુકવા હંમેશ તત્પર રહેતી.

    ઈશ્વર કરે ને એક દિવસ આ બંને બહેનો પણ જીવનપથ પર સાચું માર્ગદર્શન પામે અને જરૂર નીલગગનની ચમકતી તારલી બની રહે!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

     

     

  • હું હરદમ તને પ્રેમ કરતી રહીશ : ડૉલી પોર્ટન

    સાલ ૧૯૯૨માં એક ફિલ્મ આવી “The Bodyguard”- A Warner Brothers Production.

    એક સફળ ગાયિકા અને તેના અંગરક્ષકની પ્રેમ કથા. તેમાં એક લાગણી સભર  અને એક અદ્ભુત કલાકાર પ્રતિભાને  અભિવ્યક્ત કરતુ ગીત ખુબ લોકપ્રિય થયું, શરૂઆત કરીએ એ ગીતથી અને પછી જાણીયે એ ગીત નો રોમાંચક ઈતિહાસ

    I Will Always Love You…” વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં, આ ગીત દિલને સ્પર્શી ગયું. ગહન પ્રેમ અને મીઠો સંગાથ અનુભવ્યા પછી, પોતાના પ્રાણપ્રિય પાત્રને અંતરમાં રાખી…અળગો કરવો. તેવો નિસ્વાર્થ પ્રેમ સહજ, સરળ અને અવિનાશી છે. આ લાગણીને શબ્દરૂપ આપનારની તપાસ કરતાં, ડોલી પાર્ટનનો રસિક ઈતિહાસ મળી આવ્યો.

    સાંભળીએ વ્હીટની હ્યુસ્ટનના અવાજમાં: I Will always love you

    અઢારમી સદીમાં યુરોપથી અમેરિકા આવેલા હિજરતીઓ પોતાની સાથે પોતીકું સંગીત લાવ્યાં. તેમાં મૂળ રહેવાસીઓનું સંગીત ભળ્યું અને આ સંગીત હિલ-બિલી, જરા તોછડા નામે ઓળખવામાં આવ્યું. છેક સાલ 1948  પછી, રેકોર્ડિંગ કંપનીઓએ આ  હિલ-બિલીને, પશ્ચિમી સંગીત કે દેશી સંગીત Western Music or Country Music, માનભર્યું નામ આપ્યું.

    અમેરિકામાં નદીઓ-તળાવોથી રસાળ રાજ્ય ટેનેસી, અને તેનું મુખ્ય શહેર નેશવિલ. આ વિસ્તારને American Country Musicનું જન્મસ્થળ કહેવાય છે. અનેક ગાયકોની સંગીત કારકિર્દીનાં શ્રીગણેશ આ ગામમાં મંડાયા. વિશ્વ પ્રસિદ્ધ ગાયિકા, ટેલર સ્વીફ્ટના મા-બાપને કુમળી વયની દીકરીમાં કંઈક વિશિષ્ટ કુશળતા છે તેનો ખ્યાલ આવતા, ફિલાડેલ્ફિયાથી નેશવિલ આવી રહ્યાં હતાં. મેમ્ફિસમાં વડીલોપાર્જિત ઘર છોડી એલ્વિસ પ્રેસ્લી નેશવિલ આવીને રહ્યો હતો. તેનું પહેલું પ્રખ્યાત ગીત “Love me tender” અહીં રેકોર્ડ થયેલું.

    અસંખ્ય એવોર્ડ્સથી સન્માનિત ગીત  “I Will Always Love You”ની લખનાર અમેરિકન country musicની મશહૂર ગાયિકા, Dolly Partonની વાત અનેક માધ્યમ દ્વારા કહેવાતી રહી છે.

    તમાકુના ખેતરમાં મજૂરી કરતા માતા-પિતા સાથે કેબિનમાં રહેતાં 12 બાળકોમાં, ચોથા નંબરની દીકરી ડોલી – એક ૠજુહ્રદયી મસ્તીખોર જીવ, અને સાથે ગાવાની શોખીન પણ હતી. તેમની આર્થિક પરિસ્થિતિથી વાકેફ, બીજા ભાંડુઓની જેમ ડોલીની નાનપણથી જ કામ શોધવાની વૃત્તિ હતી. રેડિયો પર ગાવા જવાની તક મળતા, નાનીશી આવક થઈ. ડોલીની મહેનત જોઈ તેના કાકાએ ભત્રીજીને એક ગિટાર ભેટ આપ્યો.

    નવા ગિટાર સાથે પહેલી વખત TV કેન્દ્ર પર ગાવા આવી ત્યારે ડોલીની ઉંમર આઠ વર્ષની હતી. બાદ, અનિયમિતતાને કારણે, શાળામાંથી એક ટર્મ માટે બરતરફ કરવામાં આવી. આર્થિક મુશ્કેલીઓ સામે  લડવા જતાં ભણતરની તક ગુમાવી. બીજી તરફ, TV કેન્દ્ર પર ડોલીનાં ગીતોની ફરમાઈશ આવવા લાગી ત્યારે, તે પ્રોગ્રામ પ્રયોજકોએ  ડોલીને પૂછયું,

    “તું જે ગીતો ગાય છે તે કોના લખેલાં છે? ”

    ડોલીએ થેલીમાંથી નોટબુક કાઢીને બતાવી અને કહે, “આ ગીતો મારા લખેલા છે.”

    સ્મોકી માઉંટન્સની આજુબાજુ રહેતી પહાડી જાતિઓ નાં રીતરિવાજો અને આસપાસના અનુભવોની વાતો ડૉલીનાં ગીતો કહેતાં. તેની માતાએ જુદા કપડાં કટકામાંથી બનાવેલ કોટ વિશે નું ગીત અત્યંત લાગણીભર્યું છે. ગરીબીને સંતાડવી નહીં પણ બિરદાવવી તે Coat of Many Colors માં  દેખાય છે.

    Coat of…Dolly Parton

    …But I wore it so proudly
    Although we had no money
    I was rich as I could be
    In my coat of many colors
    My momma made for me… Dolly Parton.

    ડૉલીની પહેલી ગ્રામોફોન રેકર્ડ “Puppy Love” સાલ 1959માં બહાર પડી. નવતર આકર્ષણ, અમેરિકન TV Channel ઉપર કોઈ પ્રસંગ અથવા સમારોહ નું પ્રસારણ બતાવવાનો શીરસ્તો શરૂ થયો. તેમાં સંગીતનાં કાર્યક્રમનું જીવંત પ્રસારણ ખુબ લોકપ્રિય સાબિત થતું ચાલ્યું. તે સમયમાં ખાસ કરીને Country Music માં નેશવિલ થી ટેલિકાસ્ટ થતો  “Porter Wagoner & Norma Jean Show” ખાસ્સો પ્રસિધ્ધ હતો. નોર્મા જીન તે શો માંથી છૂટી થતાં…૨૧ વર્ષની ડૉલી પોર્ટન માટે એક તક ઊભી થઈ.

    અને આમ,  “Porter Wagoner & Dolly Parton Show” શરૂ થયો. ડૉલી અને પોર્ટર વેગનર નાં યુગલ ગીતોએ ધૂમ મચાવી. ઘણાંખરાં ગીતો ડોલીએ લખેલાં હતાં. Pop-Musicનાં જમાનામાં, આ Country Musicની રેકર્ડ, સંગીતની લોકપ્રિયતાની પારાશીશી જેવા Billboard Chart ઉપર તેમનું યુગલ ગીત ચોથા સ્થાન  સુધી પહોંચ્યું. આ શોના માધ્યમે ડોલીને  “મોસ્ટ પોપ્યુલર કંટ્રી સિંગર” બનાવી લગભગ આઠેક વર્ષની ભાગીદારી પછી ડોલીએ શૉ છોડી પોતાની Solo Career ઉપર ધ્યાન આપવાનું નક્કી કર્યું. વેગનરને આ મંજૂર ન હતું, પણ ડૉલી  એ બાબતમાં મક્કમ હતી. અને ડોલીએ પોતાનો શો શરૂ કર્યો.

    પોતાની વેગનર સાથેની ગહેરી દોસ્તીને અંજલિ આપતું તેણે એક ગીત લખ્યું, “I will always love you.” 1974માં પોતાના TV Show માં, આ સ્વરચિત ગીત રજુ કર્યું. સાંભળીયે ડોલી પાર્ટનના સ્વરમાં

    “I will always love you.”

    “I will always love you”…Dolly Parton…..આ ગીત લોકપ્રિયતાની ચરમસીમાએ પહોંચ્યું. ડૉલી એક ગીતકાર, ગાયક, જાજરમાન અદાકારા અને પરગજુ વ્યક્તિ તરીકે દુનિયામાં જાણીતા છે. ડૉલી એ અનેક સેવાકાર્યો, શાળા ના વિદ્યાર્થીઓ થી માંડી Black community, corona virus vaccine research માટે Millions of Dolars આપેલા છે. પતિ કાર્લ થોમસ ડિન નો ૧૯૬૪થી સાથ છે.

    સાલ ૧૯૯૨, ગાયિકા અને અદાકારા વ્હીટની હ્યુસ્ટન અને કેવિન કોસનરની મોટા બજેટવાળી Warner Brothersની ફિલ્મ “The Bodyguard” આવી. વ્હીટનીએ આ ગીત ફિલ્મ માટે ગાવાની તત્પરતા દર્શાવી. ડોલી પાર્ટનને દસ મિલિયન ડોલર રોયલ્ટી રૂપે આપી આ ગીત ખરીદ્યું. ડોલીએ આ ડોલર્સ ગરીબ વિસ્તારના વિકાસ માટે વાપર્યા હતા.

    આવા સરસ ગીતની… શ્રીમતી સરયૂબેન પરીખ દ્વારા ગુજરાતીમાં સુંદર અને નજાકતભરી રજુઆત:

    I Will Always Love You                                હું હરદમ તને પ્રેમ કરતી રહીશ.

    If I should stay                                                           જો હું આજે રોકાઈશ,
    I would only be in your way                                 હું અમસ્તી જ તારો અવરોધ બની જઈશ.
    So I’ll go, but I know                                                તેથી, હું જઈશ, પણ હું જાણું છું
    I’ll think of you every step of the way              દરેક પગલે હું તારો જ વિચાર કરતી રહીશ.
    And I will always love you                                    અને હું તને હંમેશા પ્રેમ કરતી રહીશ
    I will always love you॰                                           હું તને પ્રેમ કરતી રહીશ.

    My darling, you, mm, mm                                    મારા પ્રિયતમ, તું…
    Bittersweet memories                                           ખટમીઠ્ઠી યાદો,
    That is all I’m taking with me                              બસ, એ જ મારી સાથે લઈ જાઉં છું
    So goodbye, please don’t cry                             તેથી અલવિદા, પ્રાર્થુ કે તું ના રડીશ.
    We both know I’m not what you, you need બેઉ જાણીએ છીએ, એ હું નથી, જેની તને જરૂર છે
    And I will always love you                                    અને હું હરદમ તને પ્રેમ કરતી રહીશ

    I hope, life treats you kind                                    હું આશા કરું, જીવન તારી સાથે દયાળુ વર્તન કરે
    And I hope you have all you’ve dreamed of                અને હું આશા કરું કે, તારા સર્વસ્વપ્નો સિદ્ધ થાય
    And I wish you joy and happiness                    અને શુભેચ્છા કે, તને આનંદ અને સુખ મળે
    But above all this, I wish you love                    પરંતુ, આ સર્વોપરાંત, તને પ્રેમ મળે તે અભ્યર્થના
    And I will always love you                                    અને હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
    Darling, I love you                                                    પ્રિયતમ, હું તને સદૈવ પ્રેમ કરતી રહીશ.
    I’ll always, I’ll always love you.                          હું તને હરદમ, હું તને હરદમ પ્રેમ કરતી રહીશ.  

    લેખિકાઃ ડૉલી પોર્ટન                             ભાવાનુવાદઃ સરયૂ પરીખ.

    અગ્યાર ગ્રેમી તેમજ અનેક રાષ્ટ્રિય સન્માન ડૉલી પોર્ટન ને મળેલા છે.

    સન્માનિત ડૉલી પોર્ટન. ૨૦૦૬.

    President George W. Bush and First Lady Laura Bush, with the John F. Kennedy Center for the Performing Arts honorees in the Blue Room of the White House during a 2006 reception. From left: singer-songwriter William “Smokey” Robinson; composer Andrew Lloyd Webber; Dolly Parton; film director Steven Spielberg; and conductor Zubin Mehta.


    સંપર્કઃ 

    સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

    નીતિન વ્યાસ:   ndvyas2@gmail.com

  • સંસ્પર્શ – ૩

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    ધ્રુવદાદાની નવલકથાની જે વાતે મારાં મનની અંદર અદકેરાં સ્પંદન જગાડી, મને  અનેરા આનંદથી પ્રકૃતિ સાથે પ્રેમ કરતાં શીખવ્યું છે, તેની વાત આજે મારે તમારી સાથે વહેંચવી છે. સામાન્ય રીતે આપણે  કોઈ નવલકથા વાંચીએ તો તેમાં સ્ત્રી-પુરુષ,  પ્રાણીપ્રેમ  કે  પરમ  સાથે  પ્રેમની  નવલકથા હોય.

    પણ જે પરમે આ સૃષ્ટિની રચના કરી છે તેનાં એકે એક સર્જન પવન, આકાશ, દરિયો, વાદળ, અગ્નિ, વૃક્ષ, પર્વત, તેમજ સર્જનહારે સર્જન કરેલાં દરેક પ્રાણીઓ અને માનવ-માનવ  વચ્ચેનાં  અજાણ  પ્રેમની  ઓળખ  ખૂબ  સહજતાથી,  દિલને  સ્પર્શી  જાય  તેમ  ધ્રુવદાદાએ  આપણને  કરાવી  છે.  ક્યાંક  તે  પ્રેમ  પોતે  અનુભવ્યો  છે,  તો  ક્યાંક  દરિયા  કિનારે  કે  ગીરનાં  અડાબીડ  જંગલોમાં  ફરતાં, ત્યાંનાં  સાવ  નિર્દોષ  માણસો  પાસેથી  સહજતા  સાથે  તેમને  સાંપડ્યો  છે. તેનો  ઉઘાડ  આપણને  નવલકથાઓમાં  અને  તેમનાં  ગીતો  થકી  આપણને  કરાવ્યો  છે.  તેમની  ખૂબ  ખ્યાતિ  પામનાર  નવલકથા  અકૂપારની અહોભાવ થઈ જાય તેવી અભિવ્યક્તિ તો જુઓ,

    “ઘંટલો પયણે ઘંટલીને ‘ને અણવર વાંહાઢોર
    હીરણ, મેઘલ જાનડિયું ને ગયરમાં ઝાકમઝોળ “
    આ વાત છે ઘંટલો અને ઘંટલી ડુંગરનાં લગ્નની અને તેમાં અણવર કોણ છે ખબર છે ? હીરણ અને મેઘલ બે જોતાં ન ધરાવ એવી બે રૂપાળી નદીઓ અને આ વાંહાઢોર એટલે એવો ઢોરનાં વાંહાં જેવો (બરડા જેવો) લાંબો ડુંગર. આ વાંહોઢોર ડુંગર ઘંટલાનો અણવર. આવી કલ્પના જે ગીરનાં માણસો સહજતાથી કરીને ગાતાં હોય તે ગીરમાં ઝાકમઝોળ ન હોય તો બીજું શું હોય? અકૂપારનાં નાયક અને મુસ્તફા સાથેનાં સંવાદમાં રજૂ થયેલ વાત સાંભળીને તમે પણ તે ધંટલા -ઘંટલીનાં   લગ્નમંડપમાં  ગોઠવાઈ  જાઓ  તો નવાઈ નહીં! તો આવો,જોડાવા આ લગ્નમંડપમાં, ધ્રુવદાદાનાં અકૂપારનાં નાયક અને મુસ્તફાની વાતચીત થકી,

    “મુસ્તફા કહે છે તે અધોડિયાની રમ્ય ,પારદર્શક હીરણ, લીલા રંગની અગણિત છટા દર્શાવતી ઝાડીઓથી ઢંકાએલી, તેને કાંઠે, પાસેના નાનકડા ડુંગરોએ મળીને સર્જેલી અબોલ રમ્ય શાંતિ ,ઉપર ભૂરા આકાશનો ચંદરવો કલ્પીને ભવ્ય લગ્નમંડપની રચના વિચારી શકનાર , કેવી કેવી સૃષ્ટિની કલ્પના કરવા સમર્થ હશે!”

    ઘંટલા-ઘંટલી  ડુંગરાંનાં  લગ્ન  એમાં  રમતિયાળ  રુપાળી  નદીઓ  જાનડીઓ,  પડોશી  ડુંગરો  વાંહોઢોર  અણવર  અને  લીલી  ઝાડીઓથી  થયેલ  મંડપની  સજાવટ  અને  આકાશનો ચંદરવો મને  તો  જાણે  હું  પણ  ત્યાં  પ્રકૃતિના  લગ્નમંડપમાં  બેસી  લગ્નમાં  મ્હાલતી  હોઉં  તેવું  મહેસુસ  થયું.  પ્રકૃતિને  પ્રેમ કરવાની  આ  અદકેરી રીત જોઈ  આપણે પણ  તેને  પ્રેમ  કરતાં  શીખી  જઈએ  છીએ  ખરું  ને?

    દાદા આટલેથી અટકતા નથી.

    આવા લગ્નમાં મહાલતાં મહાલતાં જાપાન અને ભારતીય સંસ્કૃતિની સામ્યતા દર્શાવવાનો પ્રયત્ન પણ કરે છે..

    જાપાનનાં બે ડુંગરોના હાર પહેરેલા ,લગ્નની ચોરીમાં બેઠાં હોય તેવા ફોટા અકૂપારનાં પાના નંબર-૩૪ પર  મૂકીને પ્રકૃતિપ્રેમીઓ જગતમાં ક્યાંય પણ હોય એકસરખાં જ હોય તે દર્શાવ્યું છે. ભલે તે  જાપાનમાં  હોય  કે  ગીરમાં  પણ  “વસુધૈવ કુટુમ્બકમ્’ની  ભાવના  અને  માણસ તો  બધે  એક સરખો માણસ  જ છે,  તેની  કલ્પનાઓ  પણ  બધે  જ એક સરખી, તે દર્શન કરાવ્યું છે.

    મુસ્તફા જ્યારે આંબલા ડુંગરને ‘રૂપાળો’ અને હીરણ નદીને ‘રૂપાળી’ કહે છે,આઈમા ,ગીરને ‘ખમા’ કહે છે અને સાંસાંઈ સિંહણને  ‘જણી’ કહે છે ત્યારે ગીરમાં રહેનાર તળનાં લોકો પાસેથી પ્રેરણા લઈને જ શું આપણાં વેદોની રચના દેવોએ કરી હશે, તેવો પ્રશ્ન અચૂક ઊઠે જ ! અને એટલે જ ધ્રુવદાદા કહે છે,” બધું ઉપરથી નીચે નથી આવ્યું, પણ  નીચેથી (તળથી)  ઉપર  ગયું  છે.  અને  મને  યાદ  આવે  છે  ગીતાના ૧૫મા  અધ્યાયનો પહેલો શ્લોક,

    ઉર્ધમૂલમધ: શાખમશ્વત્થં પ્રાહુરવ્યયમ્।
    છન્દાંસિ યસ્ય પર્ણાનિ યસ્તં વેદ સ વેદવિત્ ॥

    આજના રોબોટનાં જમાનામાં અને ટેકનોલોજી જ્યારે દરેક રીતે માનવજીવનને અતિક્રમી ગઈ છે ત્યારે પણ પ્રકૃતિને ખૂબ સહજતાથી પ્રેમ કરતાં તળનાં લોકોની સહજતાથી વ્યક્ત થતી લાગણીઓ અને સંવેદનાઓ સાંભળીને ઘડીભર આખા શરીરમાં એક અનોખી લાગણીનું લખલખું અનુભવાય છે.

    ધ્રુવદાદાનાં એક પુસ્તકમાં જોયેલો એક ફોટો યાદ આવે છે.

    PHOTO: DR VINOD/ COVER ASIA PRESS
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ ફોટામાં એક અનાથ હરણનાં બચ્ચાંને પોતાનાં બાળકની સાથે જ સ્તનપાન કરાવતી એક બિશ્નોઈ સ્ત્રીને જોઈને એક જ વિચાર આવ્યો હતો કે,  આ  સ્ત્રી  ભણેલી  ગણેલી હશે કે ખબર નહીં પણ એને કોઈ ગીતા, વેદ કે ઉપનિષદોને ભણવા કે જાણવાની જરુર નથી. કોઈ વ્યક્તિ આટલું પ્રેમ અને કરુણાસભર હોય, એનામાં જ ઈશ્વરનો વાસ મને દેખાય છે અને યાદ આવે છે આ સ્ત્રીનાં ફોટાને જોઈ વિદ્વાન ભરતઋષિ  જે એક મહાન જ્ઞાની ઋષિ હોવા છતાં એક ગર્ભવતી હરણી પોતાનો જાન બચાવવા પાણીનુંઝરણું કૂદવા જતાં તેને ત્યાં જ બચ્ચું અવતરે છે અને તે પોતાનો જાન ગુમાવે છે અને ભરતમુનિ એ અનાથ હરણનાં બચ્ચાંને પોતાને આશ્રમ લઈ જાય છે.અને પછી ઋષિ  તેની માયામાં અને પ્રેમમાં પડી જાય છે.આ વાત સૌ જાણે છે. તેનો અર્થ એ પણ ખરો ને કે, એક મહાન જ્ઞાની ઋષિ અને એક ગામડાની સામાન્ય સ્ત્રીનાં વિચારો  અને  વર્તન  સાવ સરખા !

     એકવાર એક ગામડાંનો સીધો સાદો માણસ દિવાળીનું બોનસ લઈને ઘેર પાછો ફરી રહ્યો હતો. બસમાંથી ગામને પાદર ઉતર્યો. ગામને પાદર પોતાની નિશાળની બહાર એક આંબલીનું જૂનું ઝાડ હતું. તેને એક કઠિયારો કાપી રહ્યો હતો. પેલા માણસે બસમાંથી ઉતરીને પોતાની નિશાળની બહારનાં પોતાનાં ખૂબ વહાલા ઝાડને કોઈ કાપતું હતું તે જોયું ને તેનો જીવ કપાઈ ગયો. તેને થયું કે જે ઝાડ પર ચડીને,હું આંબલી -પીપળી બચપણમાં રમ્યો છું. જેની છાયામાં બેસીને મિત્રો સાથે ગિલ્લી-દંડા અને લખોટીઓ રમ્યો છું, તેને આ કાપી નાંખે છે??? ઝાડ કપાઈ જવાની વાતથી તેનો જીવ કપાઈ ગયો. તેને થયું ઝાડ કપાવવાની સાથે જાણે તેનું બાળપણ ભુંસાઈ જશે. એ કેવી રીતે ચાલે ?

    તે પેલા ઝાડ કાપવાવાળા પાસે જાય છે અને પોતાની વરસની દિવાળી બોનસની કમાણીનાં આઠસો રૂપિયા તેને આપી દે છે અને પોતાનાં વહાલાં ઝાડને કપાતું રોકી લે છે. એક ગરીબ માણસને મન તેનાં આખા વરસની મહેનતની કમાણી તેના વહાલા ઝાડથી વધારે નથી. તળનાં માનવીઓની આ સંવેદના જોઈને ધ્રુવદાદાનાં શબ્દો સરી પડે છે,

    ‘આપણે એ દંતકથા જાણવી શું કામ જેમાં ઝાડવું મરે તો ગામ રોતાં
    એકાદી ડાળ કોઈ એમનેમ કાપે તો દાદાજી સાનભાન ખોતા,
    ગામની નિશાળ એમાં ભણવામાં ઝાડવું ને ગણવાનાં આવતાં’તાં દેરાં
    આગળના પાઠ પછી સોટી સંભળાતી ને માસ્તરનાં કાન થતાં બેરાં

    આપણે એ જાણીને કરવાનું શું કે એક ઝાડવું ઊભુ’તું તે સૂતું
    શું એવી વાર્તાઓ સાંભળવા બેસવું કે ઝાડવાનાં નામ હોય હું-તું
    આપણી નિશાળ હવે નદીઓથી દૂર અને ભણવામાં કેટલાંય થોથાં..’

    હવે ભણવામાં થોથાં તો ખૂબ વધી ગયાં છે ,પણ નદીઓ અને વૃક્ષો સાથેની સમગ્ર સૃષ્ટિ સાથે જોડેલી આપણી સંસ્કૃતિની ધરોહર સમ સંવેદનાનાં સબડકા ક્યાં છે? આ ખૂબ સુંદર વાત દાદા એમની નવલકથાનાં પાત્રો દ્વારા અને તેમનાં ગીતો દ્વારા સમજાવે છે.

    ધ્રુવદાદાની આવી જ સંવેદનાસભર વાત સાથે આવતા અંકે મળીશું.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • એનાં અઢાર હશે, આપણાં છત્રીસ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    શાળાના અભ્યાસકાળ દરમિયાન અનેક વૈજ્ઞાનિક, ઐતિહાસિક, ભૌગોલિક તથ્યો ભણવામાં આવતાં હોય છે, જે ભણતી વખતે મોટે ભાગે યાંત્રિક ઢબે વિદ્યાર્થીઓ યાદ રાખી લેતા હોય છે. તેનો મુખ્ય હેતુ પરીક્ષા પૂરતો જ હોય છે. આવું એક ભૌગોલિક સત્ય એટલે ‘ઊંટને રણનું જહાજ કહે છે’.

    ઊંટની શારિરીક રચના એવી છે કે તે રેતાળ પ્રદેશમાં સહેલાઈથી અનુકૂલન સાધી શકે છે. સ્વાભાવિકપણે જ રણપ્રદેશમાં તેનો ઉપયોગ બહુવિધ હોય. ઊંટને ‘રણનું જહાજ’ ગણવાનું આ જ કારણ. રણપ્રદેશના રહેવાસીઓ માટે તેનું જે મહત્ત્વ છે, તેને ધ્યાનમાં લઈને સરકારી સ્તરે ઊંટના સંરક્ષણ માટે વિવિધ નીતિઓ પણ ઘડાતી આવી છે. આમ છતાં, ચિંતાજનક બાબત એ છે કે રાજસ્થાનના પશુપાલન વિભાગના આંકડા અનુસાર આ પ્રદેશમાં ઊંટની સંખ્યા ઘટી રહી છે.

    નવાઈ લાગે એવી વાત છે કે છેલ્લા બે દશકમાં ઊંટના સંરક્ષણ માટે જે કામ થતું આવ્યું છે તેનાં પરિણામ સાવ વિપરીત અને આશ્ચર્યજનક મળ્યાં છે. ઊંટની સંખ્યામાં ચાલીસેક  ટકા જેટલો ઘટાડો થયો છે, જેનું મુખ્ય કારણ છે ઊંટપાલનમાં પશુપપલાકોની ઘટતી જતી રુચિ.

    ઈ.સ.૨૦૧૪થી ઊંટને રાજસ્થાનના ‘રાજ્ય પશુ’  તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે. ઊંટપાલન માટે પશુપાલકોને સરકારી સ્તરે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. રાજસ્થાનમાં પ્રવાસન સાથે સંકળાયેલાં પ્રત્યેક પાસાંમાં ઊંટોનો સમાવેશ કરાયેલો છે. આ બધા પ્રયત્નો છતાં ઊંટની સંખ્યા ઘટી રહી છે. આ બાબત ચિંતાપ્રેરક છે.

    ભારતનાં, ખાસ કરીને રાજસ્થાનનાં ઊંટો બાબતે અધિકૃત અભ્યાસ કરનારાં જર્મન વિજ્ઞાની, વિદૂષી ઈલ્સે કોહ્‍લર રોલેફ્સનના જણાવ્યા અનુસાર પાકિસ્તાન, મધ્ય એશિયા, આફ્રિકા કે વિશ્વભરમાં અન્યત્ર બધે જ ઊંટોની વસતિ વધતી રહી છે, પણ ભારતમાં એ ઘટી રહી છે એ ચિંતાનો અને અમુક અંશે વક્રતાનો વિષય કહી શકાય. ૨૦૨૪ના વર્ષને યુનાઈટેડ નેશન્‍સ ફૂડ એન્‍ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (એફ.એ.ઓ.) દ્વારા ‘યર ઑફ કેમલીડ્સ’ તરીકે ઘોષિત કરવામાં આવ્યું હોય ત્યારે તો ખાસ.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    રોલેફ્સને આ ઘટાડા માટે અનેક કારણો ટાંક્યાં છે. એ મુજબ ભારતના કાયદા અનુસાર હવે રાજ્યની સરહદ બહાર તેમજ દેશ બહાર ઊંટોની નિકાસને પ્રતિબંધિત કરે છે. આને કારણે ઊંટનું મૂલ્ય સાવ ઘટી ગયું છે. તેમનો ચરાણવિસ્તાર નષ્ટ થઈ ગયો છે. ઊંટની પેદાશોના વેચાણ માટે યોગ્ય કડીનો અભાવ છે. રોલેફ્સને ‘કેમલ કરિશ્મા’ નામનું એક સામાજિક સાહસ આરંભ્યું છે, જે પશુપાલકોને બજાર સાથે સાંકળવાનું અને એ રીતે ઊંટના સંવર્ધનમાં સહાયરૂપ થવાનું લક્ષ્ય ધરાવે છે, જેથી સાંસ્કૃતિક પૃષ્ઠભૂમિમાં ઊંટનું જે સ્થાન છે એ ટકી રહે.

    ઊંટની જેમ ગધેડાં જેવાં અન્ય ભારવાહક પશુઓની વસતિ ભારતમાં ઘટતી ચાલી છે. યાંત્રિકીકરણ આ માટેનું મુખ્ય પરિબળ ખરું, પણ રોલેફ્સનના જણાવ્યા અનુસાર પશુધનનું ઔદ્યોગિકરણ વધુ જવાબદાર છે. વિશ્વભરમાં પશુપાલકો ઊંટ તેમજ અન્ય પશુઓને પોતાના પરિવારનો હિસ્સો જ ગણે છે. તેનાથી આ બાબત સાવ વિપરીત છે. એકવીસમી સદીના આરંભથી વિશ્વભરના વિચરતા પશુપાલકો જોખમગ્રસ્ત બન્યા છે, કેમ કે, તેમની ગણના પછાતમાં થાય છે. ખનનકામ, સિંચાઈકામ કે અન્ય ઊર્જા પ્રકલ્પો થકી ‘વિકાસ’ના નામે તેમનાં વડવાઓના સમયથી ઉપયોગમાં લેવાતાં ગોચરો તેઓ ગુમાવી રહ્યા છે. રોલેફ્સને ભારતનાં ઊંટો પર પુષ્કળ અભ્યાસ કર્યો છે. તેમણે ઊંટના પર્યાવરણ પર પડતા પ્રભાવ બાબતે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે આવાં પશુઓ સતત ફરતાં રહે તો તેનો પ્રભાવ પર્યાવરણ પર સકારાત્મક પડે છે. અન્ય જંગલી શાકાહારી પશુઓની જેમ જ તે બીજને પ્રસરાવે છે, એના અંકુરણને સહાય કરે છે, સેન્દ્રિય સામગ્રીને જમીનમાં ઊતારે છે, કાર્બનચક્રને ટકાવે છે, જમીનનાં સૂક્ષ્મ જીવાણુઓને પોષણ આપે છે તેમજ પક્ષીઓના આહાર એવાં જંતુઓના પ્રજનન માટે અનુકૂળતા ઊભી કરે છે.

    ‘એફ.એ.ઓ.’ દ્વારા ઘોષિત ‘યર ઑફ કેમલીડ્સ’ દરમિયાન નિર્ધારીત લક્ષ્યાંકને પાર પાડવાં હોય તો ઊંટના ચરાણવિસ્તારનું રક્ષણ કરવું જરૂરી છે. તેની પેદાશો માટે વિકેન્‍દ્રિત માળખાકીય સુવિધાઓમાં રોકાણ કરીને તેને બજાર સાથે સાંકળવી જરૂરી છે.

    રાજસ્થાન સરકાર પણ આ સમસ્યાના ઊકેલ માટે વિવિધ પગલાં લઈ રહી છે. નવા જન્મેલા બોતડા દીઠ દસ હજાર રૂપિયાની સબસીડી તેના માલિકને આપવામાં આવે છે. રાજસ્થાનની ‘સરસ ડેરી’ દ્વારા ઊંટના દૂધનો વ્યાપાર આરંભાયો છે. રાજસ્થાન સરકારે વર્તમાન વર્ષના બજેટમાં ઊંટની જાળવણીના મિશનની ઘોષણા કરી છે, અને બોતડાને ઊછેરવા માટે વીસ હજારની પ્રોત્સાહક રકમ આપવાનું નક્કી કર્યું છે. આમ છતાં, આ પગલાં પૂરતાં નથી. ઊંટની જાળવણી માટે વધુ વ્યાપક સ્તરે, લાંબા ગાળાનાં પગલાં લેવાં જરૂરી છે.

    ઊંટ એક વિશિષ્ટ પ્રાણી છે, જે અતિ વિશિષ્ટ ભૌગોલિક પ્રદેશ માટે સર્જાયું છે. માનવ પોતાના સ્વાર્થ માટે તેને તદ્દન વિપરીત ભૌગોલિક વિસ્તારમાં પણ સ્થળાંતરિત કરે છે. એ હકીકત છે કે કોઈ પણ ચીજ આપણી પાસે સુલભ હોય ત્યારે આપણે ભાગ્યે જ એની જાળવણી બાબતે ફિકર કરતા હોઈએ છીએ. એમાં ને એમાં તે જોખમગ્રસ્ત બને ત્યારે આપણે સફાળા જાગીએ છીએ. સફાળા જાગ્યા પછી પણ જો યોગ્ય પગલાં ન ભરાય તો જોતજોતાંમાં એ ચીજ નષ્ટ થવાને આરે આવી જાય છે.

    ઊંટ હોય કે પર્યાવરણ સાથે સંકળાયેલાં અન્ય પરિબળો, સરકારી રાહે તેને બચાવવાના કાર્યક્રમ ભલે થતા રહે, પણ વ્યક્તિગત સ્તરે તેની જાગૃતિ ન આવે તો એનો કશો અર્થ નથી રહેતો.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૫ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કાર્ટૂનકથા (૧૮)

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના અઢારમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.

    વાર્તાવ્યંગ્ય


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)