વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સમવ્હેર સ્ટ્રીટ – શેરી ભલે અજાણી હોય, જીવન તો ત્યાં પણ ધબકે છે

    સંવાદિતા

    જે દેશોને ત્રાસવાદી, ચાંચિયા, બદમાશ કે અસલામત જેવાં નામ અપાયા છે ત્યાં પણ સામાન્યજન જ બહુમતીમાં છે

    ભગવાન થાવરાણી

    ટલાંયને મન ફરવું, પ્રવાસ, ભ્રમણ એટલે માત્ર જે તે દેશ કે શહેરના ‘ જોવા લાયક સ્થળો ‘ નું સાઈટ સીઇંગ અને ઈતિશ્રી ! કેટલાક એવું ય માને કે કોઈ દેશ જોવો એટલે ત્યાંના અંતરિયાળ સ્થળો અને જાણીતાં શહેરોની અજાણી ગલીઓમાં જીવાતા જીવનને નજીકથી જોવું એ છે. મૂળ જર્મન ભાષાનો શબ્દ ‘ વોંડરલસ્ટ ‘ કદાચ આ ભાવનું પ્રતીક છે.

    ઘણા યાત્રિક આત્માઓ એવું માને કે પ્રવાસ એટલે પગપાળા અને એ પણ એકલાં ઘૂમવું. રસિક ઝવેરીની ભાષામાં ‘ અલગારી રખડપટ્ટી ‘. આવું ભ્રમણ દરેક માટે, દરેક ઉંમરે અને દરેક પરિસ્થિતિઓમાં મુશ્કેલ છે પણ ઈંટરનેટની દુનિયાએ આવી તરસ ધરાવનારાઓ માટે એક બારી ખોલી આપી છે. ભલે અસલ યાત્રાની સમકક્ષ નહીં પરંતુ યુટ્યૂબ જેવી ચેનલો[1] પર હવે હજારો ‘ વોકીંગ ટૂર ‘ ઉપલબ્ધ છે. થોડીક મિનિટોથી માંડીને કલાકોના કલાકો ચાલતી આ ટૂરમાં એક અદ્રશ્ય કેમેરાધારક કોઈ જાણ્યા-અજાણ્યા નગરની સડકો પર ચાલતો જાય અને અહેસાસ આપણને થતો રહે કે આપણે ચાલીએ છીએ. કોઈ કોમેંટ્રી નહીં, અવાજો માત્ર પસાર થતા લોકોના અને આજુબાજુની ચહલપહલના. નગરના અંતરિયાળ વિસ્તારોમાં ચાલતાં ત્રિભેટે એકથી વધુ રસ્તા કે ગલીઓ આવે ત્યારે એ અદ્રશ્ય સૂત્રધાર થોડીક ક્ષણો વિચારતો ઊભો રહે ( આપણી જેમ ! ) અને પછી નિર્ણય લઈ કોઈ એક શેરીમાં પ્રવેશે. આજુબાજુનો માહોલ પોતાની નજરે જોતો અને આપણને પણ દેખાડતો જાય. એ દ્રશ્યોમાં ઘણાને જોવા જેવું કશું જ ન લાગે કારણ કે એ સીધું સપાટ જીવન હોય, સાઈટસીઈંગ નહીં !

    જાપાનની એન.એચ.આર વર્લ્ડ નામની કંપનીએ એક અદ્ભુત શ્રુંખલાનું સર્જન કર્યું છે જેનું નામ છે ‘ સમવ્હેર સ્ટ્રીટ ‘ એટલે કે અજાણી શેરી. એ વિશ્વના પ્રમાણમાં અજાણ્યા, નાના નાના નગરોનું એક દિવસીય દર્શન કરાવે છે અને એ પણ ચાલતાં – ચાલતાં ! અહીં પણ સૂત્રધાર અદ્રશ્ય રહે છે . એનો સ્ટેડીકેમ કેમેરા આગળ વધતો રહે.

    આ ટૂરની એક નક્કી શિસ્ત. મોટા ભાગે અઠવાડિક પ્રસારણ ( જે મૂળ જાપાનીઝ ભાષામાં અને પછીથી અંગ્રેજીમાં ડબ કરી યૂટ્યુબ જેવી ચેનલો પર મૂકવામાં આવે ) . દરેક હપ્તો ૪૯ મિનિટનો. નગર પ્રવાસની શરુઆત ત્યાંની તાસીર પ્રમાણે સવારના આઠ કે નવ વાગ્યે થાય. સૂત્રધાર નગરની સડકો પર ચાલવાનું શરુ કરે. એ ખુલ્લા દિલે સામે મળતાં રાહદારીઓ, ફેરિયા, સાયકલ સવારો અને લારી-ગલ્લાવાળાઓનું અભિવાદન કરતી જાય. રિક્ષા – ટેક્સી, ઘોડાગાડી, ગધેડાગાડી, છાપાંવાળા પણ મળે જેમની સાથે સ્થાનિક ભાષામાં થયેલી વાતચીત આપણને અંગ્રેજીમાં સંભળાય. વિડિયોમાં એ સંવાદો અંગ્રેજીમાં વાંચવાનો વિકલ્પ પણ ખરો. થોડી થોડી વારે એ કોઈકને વિનંતી કરીને રોકે અને એની રોજીરોટી, દિનચર્યા અને સામાન્ય જીવનની વાતો કુતુહલપૂર્વક પૂછે. એમાં ક્યારેક શાકભાજી લેવા નીકળેલી કોઈ ગૃહિણી હોય, કોઈક મોર્નીંગ વોકમાં નીકળેલું વૃદ્ધ દંપતિ હોય અને કોઈ છાપાંનો ફેરિયો પણ હોય.

    પછીના ક્રમે શહેરનો કોઈક સ્થાનિક ભોમિયો આપણને શહેરના જાણીતા અને જોવાલાયક સ્થળોની ટૂંકી મુલાકાત કરાવે પણ એ માત્ર થોડીક મિનિટોમાં જ.

    બપોર ઢળવા આવે અને સૂત્રધાર આપણને ગામના રહેણાંક વિસ્તારોમાં લઈ જાય . અહીં શેરીઓ અને મહોલ્લાઓમાં બાળકો રમતાં હોય, ક્યાંક ફુવારાઓ કે નળ હેઠળ નહાતા હોય, સ્ત્રીઓ ધરના ઓટલે બેસી સીવણ, ગૂંથણ કે શાકભાજી સમારતી હોય. એમાંનુ કોઈક વળી સૂત્રધારના અવાજમાં રહેલો મૈત્રીભાવ ભાળી એને ઘરની અંદર આમંત્રે. ઘરના સભ્યો સાથે મુલાકાત કરાવે, ઘરમાં ચાલતી ગતિવિધિઓથી અવગત કરાવે. રસોડામાં એ સમયે બની રહેલી કોઈ સ્થાનિક વાનગીનો આસ્વાદ પણ કરાવે અને એ બનાવવાની પદ્ધતિથી વાકેફ કરાવે. કોઈક ઘરમાં કોઈક વૃદ્ધ દંપતિ સંતાનોથી અલગ રહેતું હોય તો ક્યાંક ઘરમાં અસંખ્ય રોપા ઉછેરાતા હોય, કોઈક ઘરમાં ગૃહ ઉદ્યોગ ચાલતો હોય અને માલિક સૂત્રધાર સહિત આપણને અંદર લઈ જઈ સમગ્ર વિધિ સમજાવે,  કોઈક સેવાભાવી યુવક ગામના ઊંચાણવાળા વિસ્તારોમાં ચડઉતર કરી અશક્તોને દૂધ, શાકભાજી કે બ્રેડ પહોંચાડતો હોય, ક્યાંક કોઈ એકલવાયા વૃદ્ધના ખોરડાંને પડોશીઓ સેવા ભાવે ધોળી આપતાં હોય. ટૂંકમાં નકરું અને નિર્ભેળ જીવન, જીવન અને જીવન !

    શેરીમાંથી બહાર નીકળીએ અને વિષય બદલે. હવે જઠરાગ્નિ માટે કશુંક. આપણો મેળાપ થાય નગરના કોઈ સ્વાદપ્રિય અને ખાઉધરા શોખીન સાથે. એ આપણને નગરની સૌથી જાણીતી ત્રણ વાનગીઓનો પરિચય કરાવે. એ પોતે આરોગતો ( કે આરોગતી ) જાય અને એ વ્યંજન બનાવવાની વિધિ આપણી સમક્ષ પસાર થતી જાય ( ચેતવણી : મોટા ભાગની વાનગીઓ સામિષ હોય જેમાં ડુક્કર, ઘોડા, ઓક્ટોપસ અને કૂતરા સુદ્ધાંના માંસનો ઉપયોગ થયો હોય ! )

    એ પછી બસ કે ટ્રેનમાં બેસી નગરની આજુબાજુના બે’ક સ્થળોનો ઝડપી પ્રવાસ અને પરત.

    સાંજના પાંચેક વાગ્યે નગરની સાંસ્કૃતિક પ્રવૃતિઓ, નૃત્ય – સંગીત, રમતગમત, કસરતો અને સ્થાનિક લોકોના શોખની ગતિવિધિઓ.

    આખરે દિવસ આથમવાનું અને અંધકાર ઘેરાવાનું શરુ થાય ત્યારે સૂત્રધાર અનિવાર્યપણે આપણને લઈ જાય નગરની ભાગોળે વહેતી નદી કે સમુદ્ર કને. ત્યાં દૂર જળ સમાધિ લેતા સૂર્યને નમન કરીને આપણે નગરની વિદાય લેવાની, ફરી કોઈ નવલા નગરમાં એક આખો દિવસ ગાળવાનાં સ્વપ્ન સેવતાં !

    કેવા કેવા નગર અને દેશને સેંકડો હપ્તા વાળી આ  શ્રુંખલા હેઠળ આવરી લેવાયા છે એની સંક્ષિપ્ત ઝાંખી :

    ગોર્દેસ ( ફ્રાંસ )ડ્રેસડન ( જર્મની )આલબેરોબેલ્લો ( ઈટાલિ )ગ્વાડાલાજારા ( મેક્સિકો )કાનાઝાવા ( જાપાન)ઉતરેખ્ત ( નેધરલેંડ્સ )ડુનેડીન ( ન્યુઝીલેન્ડ )લિસ્બન ( પોર્ટુગલ )દુનહુઆંગ ( ચીન )લા પાઝ ( બોલીવિઆ )ગ્રાઝ ( ઓસ્ટ્રીયા )સાન મેરીનો ( સાન મેરીનો )જિઓંજુ ( દક્ષિણ કોરિયા )જીરોકાસ્તરા ( આલ્બેનિયા )કોટરો ( મોંટેનેગરો )વિયેનતિયેન ( લાઓસ ) અને વેલેટ્ટા ( માલ્ટા ).


    [1] https://www.youtube.com/playlist?list=PLMGrCYM_ZSd0-9deXotCi35YjIp93uRcr


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • અનામતનીતિને તળેઉપર કરતો સુપ્રીમ કોર્ટનો ચુકાદો

    નિસબત

    ચંદુ મહેરિયા

    ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી.વાય ચંદ્રચૂડના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટની સાત ન્યાયાધીશોની બંધારણીય પીઠના અનામત નીતિ અંગેના હમણાંના ચુકાદાએ ભારે વિવાદ જગવ્યોછે. છ વિરુધ્ધ એકની બહુમતીના આ ચુકાદામાં અનુસૂચિત જાતિ અને જનજાતિની અનામત બેઠકોમાં સબકેટેગરીને બંધારણીય ઠેરવી છે. એથી આગળ વધીને ચાર જજોએ તો દલિત આદિવાસી અનામતમાં પણ ઓબીસીની માફક ક્રીમી લેયર દાખલ કરવા જણાવ્યું છે. દલિત આદિવાસીઓ માટેની અનામત નીતિને આ ચુકાદાએ હચમચાવી દીધી છે.  તેના વિરોધમાં ભારત બંધનું એલાન સુધ્ધાં અપાઈ ચૂક્યું છે. ઐતિહાસિક ગણાતો અને સારી-નરસી દૂરોગામી અસરો જન્માવનારો આ ચુકાદો સામાજિક ન્યાય અને સમાનતાના બંધારણીય ખ્યાલ અંગે પણ સવાલો ઉભા કરે છે.

    ભારતીય બંધારણના અનુચ્છેદ ૩૪૧થી અનુસૂચિત જાતિ અને ૩૪૨થી  અનુસૂચિત જનજાતિની યાદી , સંસદની મંજૂરીથી રાષ્ટ્રપતિએ નોટિફેકશન દ્વારા  જાહેર કરી છે. આ યાદીના દલિતો- આદિવાસીઓને શિક્ષણ, સરકારી નોકરી અને રાજકારણમાં અનામત બેઠકો મળે છે. અનામતનો ઉદ્દેશ સામાજિક-સાંસ્કૃતિક ભેદભાવ, આભડછેટ, જ્ઞાતિભેદનો ભોગ બનેલા સમૂહોને પ્રતિનિધિત્વ આપવાનો, સમાનતા આણવાનો અને અંતે જ્ઞાતિ નિર્મૂલનનો છે. આર્ટિકલ ૩૪૧ અને ૩૪૨ હેઠળની યાદીના તમામ લોકો એકસરખા ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા છે. પરંતુ આ સૂચિની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓને જ અનામતનો લાભ મળે છે અને અ.જા. કે અ.જ.જાની અન્ય નબળી જ્ઞાતિઓ સુધી અનામતનો લાભ પહોંચ્યો નથી કે સરકારી નોકરીઓમાં તેમનું અલ્પ પ્રતિનિધિત્વ છે. આ સ્થિતિના ઉકેલ માટે કેટલાક રાજ્યોએ અનામતમાં અનામતની નીતિ અખત્યાર કરી છે.

    દેશના કોઈ એક રાજ્યની વસ્તીમાં દલિત વસ્તીનું પ્રમાણ સૌથી વધુ હોય તો તે પંજાબ છે. આખા દેશમાં સૌ પ્રથમ પંજાબે ૧૯૭૫થી દલિતોની બે સૌથી નબળી પેટા જ્ઞાતિઓ વાલ્મીકિ અને મજહબી શિખો માટે અ.જાતિની કુલ અનામતમાંથી જ પચાસ ટકા અનામતની જોગવાઈ કરી છે. અવિભાજિત આંધ્રપ્રદેશની ૫૭ અનુસૂચિત જાતિઓને ૧૫ ટકા અનામત મળતી હતી. ૨૦૦૦માં રાજ્ય સરકારે તેમાં વિભાગીકરણ કર્યું અને માડિગાની સબકેટેગરી માટે અનામતની જોગવાઈ કરી હતી. આ પ્રકારના વિભાગીકરણનો વિરોધ થયો અને અનામતમાં અનામત કાનૂની અને રાજકીય મુદ્દો બન્યો. ૨૦૦૪માં સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ ૩૪૧ને સમરૂપ, સમાન સમૂહ ગણી તેમાં કોઈ વિભાગીકરણ કરી શકાય નહીં તેમ ઠરાવી સબકેટેગરી માટેની અનામતને ગેરબંધારણીય ઠેરવતો ચુકાદો આપ્યો હતો. ઈ.વી. ચિન્નેયા વર્સિસ આંધ્ર રાજ્યના આ ચુકાદાની અસર પંજાબની અનામત નીતિ પર પણ પડી હતી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પંજાબમાં મજહબી શિખો અને વાલ્મીકિ માટેની અનામતને રદ કરી હતી. એટલે પંજાબે ૨૦૦૬માં તે ચુકાદાની ઉપરવટ જઈને નવો કાયદો ઘડ્યો. પંજાબ અનુ.જાતિ અને પછાતવર્ગ( સેવાઓમાં અનામત ) અધિનિયમ, ૨૦૦૬ની કલમ ૪(૫)માં વાલ્મીકિ અને મજહબી શિખોને અનામતમાં પ્રાથમિકતા આપવાની જોગવાઈ કરી હતી.૨૦૧૦માં હાઈકોર્ટે આ કાયદાને અને કોટામાં  કોટાને ફરી રદ કરતો ચુકાદો આપ્યો એટલે પંજાબ સરકારે સુપ્રીમ કોર્ટમાં ધા નાંખી કે અનામતમાં અનામત બંધારણીય અને કાયદેસર છે. એટલે ઈ.વી. ચિન્નેયા ચુકાદાની સમીક્ષા કરી તેને રદ કરવામાં આવે.

    સિવિલ એપ્લિકેશન નંબર ૨૩૧૭ ઓફ ૨૦૧૧માં પંજાબ સરકાર અપીલકર્તા હતી. તો દવિંદર સિંઘ અને અન્ય પ્રતિવાદી હતા. અન્ય બે પ્રતિવાદી ચમાર મહાસભા અને લછમન સિંઘ હતા. અન્ય ૨૨ કેસો સાથેના આ કેસનો અંતિમ ચુકાદો આ મહિનાની પહેલી તારીખે આવ્યો છે. તે પૂર્વે પાંચ જજોની બેન્ચે  સબક્લાસિફિકેશને  માન્ય રાખ્યું હતું પરંતુ આંધ્રનો ચુકાદો પાંચ જજની બેન્ચનો હતો એટલે આ કેસ સાત જજોની બેન્ચને સોંપવામાં આવ્યો. સાત જજોની બંધારણીય બેન્ચે ઈ.વી. ચિન્નેયા ચુકાદા બાબતે પુનર્વિચાર, રાજ્યોને અનામતનું વિભાગીકરણ કરવાનો અધિકાર , અને સબકેટેગરાઈઝેશન સમાનતાના અધિકારનો ભંગ કરે છે કે નહીં તે નક્કી કરવાનું હતું.

    સી.જે.આઈ ડી.વાય ચંદ્ર્ચૂડ, બી.આર ગવઈ, વિક્રમનાથ, બેલા ત્રિવેદી, પંકજ મિત્તલ , મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માની બંધારણીય બેન્ચના બેલા ત્રિવેદી સિવાયના છ જજિસે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને એક્લ, સમાન અને સમરૂપ માનવાનો ઈન્કાર કર્યો. તેમણે ઐતિહાસિક અને અનુભવજન્ય સાક્ષ્યના સંકેતો પરથી તારવ્યું કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ એકરૂપ અને સમાન નથી. એટલે અનામતના લાભથી વંચિત માટે વિભાગીકરણ કરવું જોઈએ.આ પ્રકારની સબકેટેગરીનો રાજ્યોને હક છે, તે બંધારણીય છે અને સમાનતાના અધિકારનો ભંગ થતો.બેન્ચના એક માત્ર દલિત ન્યાયાધીશ ગવઈએ અનામતમાં ક્રીમી લેયર દાખલ કરવાનું જણાવ્યું હતું. જેને બીજા ત્રણ જજોએ સમર્થન આપ્યું હતું. જસ્ટિસ પંક્જ મિત્તલે અનામતનો લાભ એક જ પેઢી સુધી આપવા જણાવ્યું હતું..

    જસ્ટિસ બેલા ત્રિવેદી બહુમતી ચુકાદા સાથે સંમત નહોતા. તેમણે અલગ ચુકાદામાં જણાવ્યું હતું કે રાજ્ય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સૂચિમાં કોઈ જ્ઞાતિને અલગ તારવી તેને પ્રાયોરિટી આપી શકે નહીં. રાજ્યનું આવું પગલું સૂચિ સાથે છેડછાડ છે. અનામતનો લાભ  પૂર્ણતયા આખી સૂચિને મળે છે એટલે રાજ્યો રાષ્ટ્રપતિએ મંજૂર કરેલ સૂચિમાં ફેરફાર કરી શકે નહીં. આ અસંમત ચુકાદો અગાઉના ઈ.વી. ચિન્નેયા  ચુકાદાનું સમર્થન  કરે છે અને અનામતમાં અનામતનો વિરોધ કરે છે.

    અનામતનો લાભ લેવામાં પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિઓ આગળ હોય છે તે વાસ્તવિકતા સ્વીકારીને તેનો ઉકેલ અનામતમાં અનામત છે કે અન્ય તે  વિચારવાનું છે. વળી આંધ્ર, પંજાબ અને તમિલનાડુમાં સબકેટેગરી બનાવી છે. તેનો અનુભવ પણ લક્ષમાં લેવાયો નથી. પંજાબમાં જે બે જ્ઞાતિઓને લગભગ ચાળીસ વરસથી સબકેટેગરીથી કેટલો ફાયદો થયો છે તેનો કોઈ અભ્યાસ આ ચુકાદામાં જોવા મળતો નથી. જો સૂચિ સમરૂપ ન હોય તો તેમના પ્રત્યેનો સામાજિક ભેદભાવ પણ ચડતો ઉતરતો હોવો જોઈએ. પરંતુ દલિતોની તમામ જ્ઞાતિઓને અસ્પૃશ્યતા અને સામાજિક ભેદભાવનો એક સરખો લાભ મળે છે. તો માત્ર અનામતનો લાભ જુદો કેમ ? અલગ સબકેટેગરી કરવામાં આવે અને હાલના રોસ્ટરક્રમ પ્રમાણે ભરતી કે બઢતી થાય તો અનામત લગભગ નાશ પામે અને કોઈને તેનો લાભ ન મળે તેવું બની શકે છે.

    અનામતનો આધાર સામાજિક ભેદ હોવા છતાં દલિત જજ ગવઈ ક્રીમી લેયરની વાત કરે અને આર્થિક માપદંડની વાત જોડે તે સમજ બહારનું છે. આ બેન્ચે જેમ અનુસૂચિત જાતિ માટે વિચારણા કરવાની હતી તેમ છતાં તેમાં અનુસૂચિત જનજાતિને સામેલ કરી તેમ ક્રીમીલેયરનો સવાલ પણ બેન્ચની વિચારણા બહારનો અને સુનાવણી દરમિયાન ઉપસ્થિત નહીં થયેલો છે.

    લગભગ ત્રણ હજાર વરસોથી વર્ણ વ્યવસ્થાનો ભોગ બનેલા દલિતો એક જ પેઢી અનામતનો લાભ મેળવી સક્ષમ અને સમાન થઈ જશે તેમ કહેવું સાવ વાહિયાત છે.અત્યાર સુધી મધ્યમ વર્ગના ડ્રોઈંગ રૂમમાં જે સંભળાતું હતું તે સુપ્રીમ  કોર્ટના જજે ચુકાદામાં લખ્યું છે. મોરારજી દેસાઈ જ્યારે વડાપ્રધાન હતા  ત્યારે પત્રકારના અનામતો ક્યાં સુધી એવા સવાલનો સ્પષ્ટ જવાબ આભડછેટ છે ત્યાં સુધી હતો.સર્વોચ્ચ અદાલતે ઈન્દ્રા સહાની કેસમાં જણાવ્યું હતું કે કોઈ જ્ઞાતિને કેવળ આર્થિક આધારે અનામતની બહાર કાઢી ન શકાય. આર્થિક ઊન્નતિનો અર્થ સામાજિક ઉન્નતિ ના હોઈ શકે. સર્વોચ્ચ અદાલતના માનનીય ન્યાયાધીશો તેમના પૂર્વસૂરિઓના ચુકાદા પણ વિસરી જશે?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈશ્વરને ઇ મેઇલ – 3

    તારી વાત..મારી વાત..

    નીલમ  હરીશ દોશી

    કર્મકી શાખા કો હિલાના હોગા,
    ન હોગા કુછ કોસને સે અંધેરે કો,
    અપને હિસ્સે કા દિયા ખુદ હી જલાના હોગા

    પ્રિય સખા,

    કાલે તારો ઇ મેઇલ મને મળ્યો. દોસ્ત, તારી ફરિયાદ મારા સર આંખો પર.તેં તારા ઇ મેઇલમાં મને ફરિયાદ કરી છે કે હું રોજ રોજ પ્રાર્થના કરું છું. પણ તું મારી વાત સાંભળતો જ નથી. મારી કોઇ માગણી તું પૂરી કરતો જ નથી. તું શું બહેરો છે ?

    તારો આક્રોશ કદાચ તારી દ્રષ્ટિએ વ્યાજબી હશે. પણ દોસ્ત, તું જરા મારો વિચાર કરીશ તો તને સાચી વાત સમજાશે.

    દોસ્ત, મને એક વાતનો જવાબ આપ. રોજ રોજ તારે ઘેર અનેક લોકો આવે, જાતજાતની વાતો કરે તો  દોસ્ત,  સાચું કહે તને એમાંથી શું અને કેટલું યાદ રહે ?

    દોસ્ત, તને ખબર છે જ કે મારી પાસે પણ રોજ હજારો લોકો જાતજાતની માગણી લઇને આવે છે.દરેકની ઇ્ચ્છાઓને યાદ રાખવી ન પડે  એથી હું તમારા દરેકની ભીતરમાં જ અડ્ડો જમાવીને બેઠો છું. પણ દોસ્ત, તું એ વાત તો સમૂળગી ભૂલી જ ગયો છે અને મને ખોટી જગ્યાએ શોધતો ફર્યા કરે છે. જયાં હું હૌઉ જ નહીં ત્યાં તું પ્રાર્થના કરે, કોઇ માગણી કરે તો એ મારા સુધી કેવી રીતે પહોંચી શકે ? હું તારી ભીતર જ છું પણ તું તારી ભીતર ઝાંકવાની તકલીફ તો લેતો જ નથી. હું કદીક ઝીણા રવે તને કહેવાનો પ્રયાસ કરું છું પણ તેં તારી આસપાસ કેટલો કોલાહલ જમા કર્યો છે કે મારો સાદ દોસ્ત, તને સંભળાતો જ નથી. બોલ, હવે દોષ કોનો ? ફરિયાદ કોણે કરવી જોઇએ ?

    જો  તું તારા પોતાના આત્માનું સાંભળે, સમજે  અને સાચી દિશામાં પ્રયત્ન કરે તો ચોક્કસ તારી બધી માગણીઓ પૂરી થશે જ. બની શકે તારી માગણીઓનો પ્રકાર પણ બદલાઇ જાય. બાકી જે જગ્યાએ હું છું જ નહીં, એવા તેં બનાવેલા ભવ્ય મંદિરોમાં તું કલાકો બેસી રહે અને પ્રાર્થના કરે કે મારા પરિવારનું દુઃખ દૂર કરો તો કંઈ થશે નહિ.  હકીકતે તારા દુઃખ માટે  તારે પોતે જ કાર્યરત થવું પડશે અને તું જયારે સાચા દિલથી, પૂરી પ્રામાણિકતાથી થાકયા સિવાય  પ્રયત્ન, પરિશ્રમ કરતો રહીશ ત્યારે તારી ભીતરમાં બેસેલો હું તને જરૂર મદદ કરતો રહીશ. દોસ્ત, જે સ્વયંને મદદ નથી કરી શકતો એને હું પણ મદદ નથી કરી શકતો. દોસ્ત, આશા રાખું છું તું મારી વાત સમજી શકીશ. અને  ભીતરનો અવાજ સાંભળવા માટે બહારનો કોલાહલ થોડો ઓછો કરવો પડશે. દ્રષ્ટિ થોડી ભીતર તરફ વાળવી પડશે.ત્યારે જ તું અંદરનો અવાજ સાંભળી શકશે.

    લિ. ઇશ્વરના સ્નેહ સ્મરણ

    ચપટી ઉજાસ…

    સહુથી મહાન ઇરાદા કરતા સહુથી નાનું  શુભ કાર્ય વધારે મહત્વનું છે.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

     

  • ભાગલાની સ્મૃતિને રાજકીય રંગ આપવાની શી જરૂર?

    તવારીખની તેજછાયા

    પાર્ટિશન મ્યુઝિયમ – અમૃતસર

    પ્રકાશ ન. શાહ

    કટોકટી દરમ્યાન ૧૯૭૬માં અમે સૌ મિસાબંદીઓનું જે રૂડું રાવણું જામ્યું હતું, વડોદરા જેલમાં, એમાં જનસંઘના રામદયાલ વિશ્વકર્મા પણ હતા. ભાગલા પછી સિંધથી જેઓ અહીં આવ્યા તે પૈકીના એક એ પણ હતા અને પહેલ ને પુરુષાર્થથી વડોદરા પંથકમાં ‘પ્રતાપ’ પેનના નિર્માણથી એમણે આગવી ઓળખ પણ જમાવી હતી. આગળ ચાલતાં એ વડોદરાના ડેપ્યુટી મેયર પણ થયા હતા. આઝાદી દિવસના ઉંબર કલાકો માટે આ લખી રહ્યો છું, અને આ ઉંબર કલાકો- ૧૪મી ઓગસ્ટનો દિવસ- સત્તાવાર રીતે ‘ભાગલાના ત્રાસ ને હિંસાના સ્મૃતિ દિવસ’ તરીકે મનાવવાનું એલાન થયેલું છે તેનો મને ખયાલ છે.

    જેલમાં વાંચવાનું ઠીક ઠીક બનતું. મહેન્દ્ર મેઘાણી તરફથી ‘મિલાપ’ના અંકો અને બીજું સાહિત્ય નિયમિત મળતું રહેતું. ‘મિલાપ’નો એક અંક ગુજરાતી લિપિમાં છાપેલી હિંદુસ્તાની રચના લઈને આવ્યો. જલાવતન જિંદગી બસર કરતો કવિ પોતે જ્યાંથી નિર્વાસન પામેલો છે એ વતનને યાદ કરતા કોઈ મુલાકાતીને પૂછે છે, કેવું છે આપણું ગામ ને એની ગલીઓ, હજુ એ જ કૂવે પનિહારીઓ પાણી ભરે છે… અને હા, પેલું મંદિર ને ઘંટારવ. ઊતરતી આવતી રાતે અમારા વોર્ડમાં અમે સહજ બેઠા હતા અને આ રચના એક મિત્ર પ્રગટપણે વાંચતા હતા. એ વાંચતા જાય ને લીટીએ લીટીએ રામદયાલ વિશ્વકર્માનું ડૂસકું સંભળાય. દેખીતી રીતે જ, પોતે ભાગલા વખતે જે ધરતી પાછળ મૂકી એનો સાદ એમને સંભળાતો હતો ને ડુમાયેલ ડૂસકાં વિના એ ક્ષણે કદાચ કોઈ મોક્ષ પણ નહોતો.

    મુદ્દે, ઐતિહાસિક કારણોસર આપણા પ્રજાજીવનના એક હિસ્સાને સારુ હિંદુ વિ. મુસ્લિમ એ મુખ્ય વિમર્શ મુદ્દો બની રહેલ છે. વિભાજનની સ્મૃતિ આપણને પજવે એ તો સમજી શકાય એમ છે, પણ એને એક રાજકીય વિચારધારાનો માંજો પાઈને ઉછેરવાના વલણને સ્વીકારી શકાતું નથી. એ દિવસો સંભારીએ ત્યારે વિભીષિકા ન સાંભરે એવું તો નહીં જ કહી શકાય. પણ એ વિભીષિકાને કેન્દ્રમાં રાખીને પ્રજાજીવન ઘડી શકાય? લાખો માણસો સરહદની એક બાજુએથી બીજી બાજુએ ગયા. બંને બાજુએ લોકોએ વેઠ્યું જ વેઠ્યું. જે લોકો આ બાજુએથી ત્યાં ગયા એ પણ પોતે છોડેલ વતનની યાદે ઝૂરતા નહીં હોય એમ તો કહી શકાતું નથી. ઈતિહાસવસ્તુ તરીકે વિભીષિકા એક વાસ્તવિકતા છે, પણ આખા ઘટનાક્રમ પરત્વે અને આગળ ચાલવાની રીતે તો જે બન્યું એને કારુણિકા તરીકે જોઈએ એમાં કદાચ વિશેષ ઔચિત્ય છે.

    વિભીષિકાથી બને કે વિક્ટમહુડ અને વેરઝેરનું એક વ્યાકરણ રચાતું આવે. કારુણિકાનો અભિગમ આત્મખોજ અને રચનાનું કાવ્ય બનીને વિલસે. હમણાં હમણાં જે સત્તાવાર એલાન થયું છે, ૨૬મી જૂનને ‘બંધારણ હત્યા દિવસ’ તરીકે મનાવવાનું, એને પણ આ રીતે જોઈ તો શકાય. કટોકટીકાળે દેશના અંતરાત્મા તરીકે ઉભરેલું વ્યક્તિત્વ જયપ્રકાશ નારાયણનું હતું. કટોકટી ઊતર્યા પછી જનતા પર્વ બેઠું ત્યારે જયપ્રકાશ છાત્ર યુવા સંઘર્ષ વાહિનીના સાથીઓને ૨૬મી જૂનને ‘લોકચેતના દિવસ’ તરીકે મનાવવાનું સૂચવ્યું હતું. પ્રતિકારનો મહિમા પણ પ્રતિશોધની નહીં, પરંતુ નિર્માણની રાજનીતિનો પુરસ્કાર. આખી વાતને ધોરણસર પરિપ્રેક્ષ્યમાં મૂકી જોવા-તપાસવા અને સમજવાની રીતે, બને કે, અમૃતસરમાં તાજેતરનાં વરસોમાં ઊભું થયેલું પાર્ટિશન મ્યુઝિયમ અને એ પ્રકારના બીજા ઉપક્રમો ઉપયોગી થઈ શકે.

    એક આવકાર્ય બિનસરકારી પહેલ, એમ તો, સુદૂર અમેરિકાના બર્કલી કેમ્પસ પરથી પાછલાં વર્ષોમાં થઈ છે. ગુનીતા સિંઘ ભલ્લાએ વિભાજન પછી ૧૨-૧૩ દેશમાં પથરાયેલા ભારતીયો કનેથી પ્રથમ વ્યક્તિ એકવચનમાં દસ્તાવેજી દાસ્તાન મેળવવાનો આખો એક મૌખિક ઈતિહાસ પ્રકલ્પ, કેટલાક પગારદાર ને સંખ્યાબંધ સ્વૈચ્છિક લોકોની સંકલનાથી ઊભો કર્યો છે. દસ હજારથી વધુ લોકોની જુબાની સાથે, અને હજુ ઉમેરાતી જુબાનીઓ સાથે, ગુનીતા સિંઘે ‘પાર્ટિશન આર્કાઈ‌વ્ઝ’[1]ની દિશામાં મોટું કામ હાથ ધર્યું છે. ગુનીતા સિંઘ કહે છે કે કોઈ સંસ્થાગત કે રાજકીય જુબાનીઓથી ઉફરાટે આ વ્યક્તિગત નિવેદનો કંઈક જુદું જ કહે છે. ભારત-પાકિસ્તાન સત્તાવર્તુળોની પોતપોતાની તરેહની ‘રાષ્ટ્રવાદી રજૂઆત’માં નહીં બંધાતી ઘણી વાતો સમજવાની રીતે સામે આવે છે.

    સહેજ આઘોપાછો થતો લાગું, પણ સંભારું કે એક અર્થમાં આપણે બબ્બે વિભાજન જોયાં છે. પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશનું એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે બહાર આવવું, એ પણ આમ તો વિભાજન છે ને! ૧૯૦૫માં બંગભંગ એ પહેલો અનુભવ હતો, પછી ભારત-પાક ભાગલા, અને તે પછી પાકિસ્તાનના ભાગલા… સ્વતંત્ર વિષય છે, પણ આપણી ચર્ચામાં ઉપયોગી એવું સ્મરણ તસલીમા નસરીનનું કરી જ લઉં. અયોધ્યા ઘટના પછી બાંગ્લાદેશમાં મુસ્લિમ કટ્ટરવાદીઓએ હિંદુઓને નિશાન બનાવ્યાં ત્યારે કોમી ગાંડપણ સામેના નિર્ભીક ને નક્કુર અવાજ લેખે તસલીમા ‘લજ્જા’ નવલકથા લઈને ઉભર્યાં હતાં. પરિણામે એ નિર્વાસન પામ્યાં ને યુરોપમાં, અંતે, ભારતમાં નિવાસ પામ્યાં છે. આપણે એમને એમની નાગરિક ને માનવીય ભૂમિકાવશ સ્વાભાવિક જ પોંખીએ પણ છીએ. આ જ તસલીમાએ એમનાં ભારતવર્ષોમાં જે જોયું, અનુભવ્યું એ પછી તે ‘લજ્જા’ની અનુનવલ ‘બેશરમ’ (‘શેઈમલેરસ’) લઈને આવ્યાં છે. બાંગ્લાદેશમાં રંજાડ પામેલું હિંદુ કુટુંબ ભારતમાં આશરો લે છે. આખો વાર્તાસાર તો નથી આપતો, પણ બાંગ્લા રંજાડવશ આ સમુદાર સેક્યુલર પરિવાર અહીં એક તબક્કે હિંદુત્વ રાજનીતિમાં પનાહ શોધવા કરે છે. પણ દિલનો કરાર ક્યાં. ઠેકાણું પડતું નથી. ક્યાંથી પડે?

    પાકિસ્તાનની નિર્વાસન પામી ફહમિદા રિયાઝ અમૃતા પ્રીતમની ભલામણથી ઈંદિરાજીના કાળમાં આપણે ત્યાં સાત વરસ રહી ગયાં હતાં. પણ, પછી આપણી બદલાયેલી હવામાં માર્ચ ૨૦૨૪માં એમણે લખ્યું: ‘તુમ બિલકુલ હમ જૈસે નિકલે, વો મૂર્ખતા, વો ગંવારપન, જિસમેં હમને સદી ગંવાઈ, આખિર પહોંચી દ્વાર તુમ્હારે, અરે બધાઈ, બહોત બધાઈ…’


    [1] https://in.1947partitionarchive.org/


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૫-૦૮– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • કોઈનો લાડકવાયો – (૫૪) માસ્ટરદાની આગેવાની હેઠળ ચિત્તાગોંગના શસ્ત્રાગાર પર હુમલો (૧)

    દીપક ધોળકિયા

     એક બાજુ, ભગતસિંઘ, રાજગુરુ અને સુખદેવ પર ખટલો ચાલતો હતો, ગાંધીજીની દાંડી યાત્રા હજી સમાપ્ત જ થઈ હતી એ જ અરસામાં ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦ના રોજ માસ્ટરદા સૂર્ય સેનની સરદારી હેઠળ કૉલેજ અને સ્કૂલના છોકરાઓએ ચિત્તાગોંગમાં શસ્ત્રાગાર પર હુમલો કરીને દેશભરમાં ખળભળાટ મચાવી દીધો.

    સૂર્ય સેન એક સ્કૂલમાં શિક્ષક હતા. પહેલાં તો એ કોંગ્રેસમાં જોડાયા હતા અને ૧૯૨૦માં ગાંધીજીના અસહકાર આંદોલનમાં સક્રિય હતા પણ ચૌરીચૌરાના બનાવ પછી ગાંધીજીએ આંદોલન રોકી દીધું  તે એમને  ન ગમ્યું અને માત્ર શસ્ત્રોને માર્ગે જ આઝાદી મળશે એમ માનતા થઈ ગયા. તે પછી એમણે અંગ્રેજો વિરુદ્ધ એમણે સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓને સંગઠિત કરવાનું શરૂ કર્યું અને ઇંડિયન રીપબ્લિકન આર્મીની રચના કરી. એમણે એલાન કર્યું: ભારતના યુવાનોને માથે ક્રાન્તિનું એક મહાન કાર્ય આવી પડ્યું છે. આપણા રાષ્ટ્રનાં અરમાન અને અપેક્ષાઓને સંતોષવાનું દેશભક્તિપૂર્ણ કાર્ય કરવાની જવાબદારી પાર પાડવાનું ગૌરવ આપણને ચિત્તાગોંગવાસીઓને મળે છે.”

    માસ્ટરદાએ એકઠા કરેલા યુવાનોમાં ગણેશ ઘોષ, લોકનાથ બાલ, નિર્મલ સેન, અંબિકા ચક્રવર્તી, નરેશ રાય, વિનોદ બિહારી ચૌધરી, તારકેશ્વર દસ્તીદાર, શશાંક દત્તા, અર્ધેન્દુ દસ્તીદાર, હરિગોપાલ બાલ (ટેગરા), અનંતા સિંઘ, જીવન ગોસ્વામી. આનંદ પ્રસાદ ગુપ્ત, પ્રીતિલતા વોડેદાર, કલ્પના દત્તા, સુબોધ રાય, દેવી પ્રસાદ ગુપ્ત અને બીજા ઘણા યુવાનો હતા.

    માસ્ટરદા અને એમના ભાઈ તારકેશ્વર દસ્તીદારનું સાહસિક કૃત્ય કાકોરીમાં ટ્રેન લૂંટવાના નિષ્ફળ બનાવ પછીની આ એક બહુ જ સફળ કાર્યવાહી હતી. ઇંડિયન રીપબ્લિક આર્મીની વ્યૂહરચના એ હતી કે બૅંકો લૂંટવી, સરકારી તિજોરી લૂંટવી, ચિત્તાગોંગને કલકતાથી વીખૂટું પાડી દેવા માટે રેલવે સેવાઓ ખોરવી નાખવી, તાર-ટપાલ ઑફિસો પર હુમલા કરવા અને શસ્ત્રાગારો પર હુમલા કરવા.

    ***

    રાજશાહી ડિવીઝનનો કમિશનર સર રૉબર્ટ રીડ વાઘના શિકારે જવાની તૈયારી કરતો હતો ત્યારે એને સમાચાર મળ્યા કે ચિત્તાગોંગ આર્મરી પર વિદ્રોહીઓએ હુમલો કર્યો છે. રૉબર્ટ રીડનો રિપોર્ટ જોઈએઃ ૧૮મી ઍપ્રિલ ૧૯૩૦, ગૂડ ફ્રાઇડેના દિવસે લાંબા વખતથી બંગાળ પ્રાંતમાં સુષુપ્ત પડેલું બંગાળી ત્રાસવાદી આંદોલન ખૂબ તીવ્રતાથી સક્રિય થયું. અત્યાચાર લગભગ ગાંધીએ મુંબઈના કાંઠે દાંડીમાં મીઠાનો કાયદો તોડવા સાથે શરૂ કરેલા સવિનય કાનૂનભંગને પગલે શરૂ થયોઆર્મરી પરનો છાપો બંગાળમાં ત્રાસવાદી પાર્ટીએ કરેલો સૌથી મોટો બળવો હતો અને બહુ કાળજીથી એની યોજના બની હતી.”

    રીડના જણાવ્યા પ્રમાણે વિદ્રોહીઓએ ચાર ટુકડીઓ બનાવી હતી. એ બધા એ રાતે કોંગ્રેસ પાર્ટીની ઑફિસે એકઠા થયા. ગણેશ ઘોષના નેતૃત્વ હેઠળ છ વિદ્રોહીઓની એક ટુકડીએ પોલીસના શસ્ત્રાગાર (આર્મરી) પર હુમલો કરવાનો હતો. બીજી ટૂકડીની જવાબદારી લોકનાથ બાલને સોંપાઈ હતી, એમની સાથે દસ જણ હતા. એમણે સહાયક લશ્કરી દળના શસ્ત્રાગાર પર હુમલો કરવાનો હતો. ત્રીજી ટુકડીએ યુરોપિયનોની ક્લબ પર છાપો મારવાનો હતો અને ચોથી ટુકડીએ ટેલીફોન એક્સચેન્જ અને ટેલીગ્રાફ ઑફિસને નષ્ટ કરવાનાં હતાં.

    ક્લબ પર હુમલો કરનારી ટુકડી ત્યાં પહોંચી ત્યારે ક્લબ ખાલી હતી એટલે એ ટુકડી બીજી કોઈ ટુકડી સાથે ભળી ગઈ. પોલીસ આર્મરી પર પચાસ માણસોએ હુમલો કર્યો. એમણે ત્યાંના સંત્રીને ગોળીએ દીધો અને તલવારો, પિસ્તોલો પોતાના કબ્જામાં લઈ લીધી. એ જ વખતે એકાદ માઇલ દૂર બીજી ટુકડીએ આર્મરીના સહાયક દળના શસ્ત્રાગાર પર હુમલો કર્યો. આમાં એક સાર્જન્ટ-મેજર અને બે સિપાઈ માર્યા ગયા. તે પછી વિદ્રોહીઓએ આર્મરીનો દરવાજો તોડી નાખ્યો અને રાઇફલો, પિસ્તોલો અને કારતુસો લઈ લીધાં. પણ બન્ને હુમલામાં કોઈ મોટો જથ્થો હાથ ન લાગ્યો.

    ટેલિગ્રાફ ઑફિસ પર ગયેલી ટુકડીએ ઑફિસને ધ્વસ્ત કરી નાખી. તે પછી એમણે ચિત્તાગોંગને ‘સ્વતંત્ર’ જાહેર કર્યું અને બધા પોલીસ લાઇનમાં એકઠા થયા. અહીં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ જે. સી. ફાર્મરને સમાચાર મળી ગયા હતા એટલે એણે બંદર પરની નાની હથિયારબંધ ટુકડીને એક તોપ સાથ બોલાવી લીધી હતી. એના તોપમારા પછી વિદ્રોહીઓ શહેરની બહાર જલાલાબાદની ટેકરીઓના જંગલમાં સંતાઈ ગયા.

    અહીં એ ત્રણ દિવસથી થાક્યાપાક્યા, ખાધાપીધા વગર પડ્યા હતા. પ્રભાષ પાલને એમણે પહેરા માટે રાખ્યો હતો. ત્યાંથી એક ટ્રેન પસાર થતી. એનું ત્યાં સ્ટેશન નહોતું પણ એ ઊભી રહી. પ્રભાષને કંઈક વિચિત્ર લાગ્યું. એણે જોયું કે ટ્રેનમાંથી ઇન્ફન્ટ્રીના સૈનિકો ઊતર્યા. પ્રભાષે બીજા બધાને સાવધાન કરી દીધા.  આ જોઈને માસ્ટરદાએ  તરત લોકનાથ બાલને ‘સર્વાધિનાયક” બનાવ્યા અને પોતે નિર્મલ સેન અને પ્રીતિલતા વોડેદાર સાથે ત્યાંથી નીકળી ગયા.

    ટેકરીઓ પર હવે ક્રાન્તિકારીઓ અને ઇન્ફન્ટ્રીના ગોરખા સૈનિકો વચ્ચે ઘમસાણ યુદ્ધ ખેલાયું. ક્રાન્તિકારીઓ મચક આપતા નહોતા. પણ એમની બંદુકો હવે જામ થવા માંડી હતી. તેલ તો હતું નહીં. એટલે એમણે પોતાના ઘાયલ સાથીઓના લોહીનો ઉપયોગ ઊંઝણ તરીકે કર્યો. પોલીસ દળ પણ થાકવા લાગ્યું હતું. એંસી ગોરખા સૈનિકો માર્યા ગયા હતા અને ક્રાન્તિકારીઓને રાતના અંધારામાં પકડી શકાય તેમ નહોતું એટલે સાંજ પડતાં, રીડના શબ્દોમાં શહેરની ભયભીત વસ્તીના રક્ષણ માટે ટુકડીને પાછી બોલાવી લેવાઈ.

    તે પછી ક્રાન્તિકારીઓ ટેકરીઓ પરથી નીચે આવ્યા. એમના ૧૨ સાથીઓ વીરમૃત્યુને ભેટ્યા હતા. વળી બીજી સવારે પોલીસ પાર્ટીએ હુમલો કરતાં કેટલાયે વિદ્રોહીઓના જાન ગયા કે પકડાઈ ગયા. આ હુમલામાં કુલ ૬૫ ક્રાન્તિકારીઓ હતા.

    આ બાજુ, પ્રીતિલતા અને નિર્મલ સેન ઢાલગટ ગામમાં છુપાઈ ગયાં અને બે પોલીસ અધિકારીઓ અહેસાનુલ્લાહ ખાન અને ચાર્લ્સ જ્‍હોનસનને મારી નાખવાની યોજના બનાવતાં હતાં પણ અહેસાનુલ્લાહને ખબર મળી ગયા.. પોલીસે એમના છુપાવાના સ્થળ પર હુમલો કર્યો. નિર્મલ ઝપાઝપી માટે તૈયાર હતા પણ કંઈ કરે તે પહેલાં જ એ ગોળીનો શિકાર બની ગયા. એ માસ્ટરદાના નાના ભાઈ હતા. એમના મૃત્યુ પછી પ્રીતિલતા એકલાં જ ભાગી છૂટ્યાં. ચિત્તાગોંગના પોલીસ શસ્ત્રાગાર પર હુમલો કરવાની યોજનામાં માસ્ટરદાને પ્રીતિલતાની બહુ મદદ મળી હતી.

    ક્રાન્તિકારીઓમાંથી કેટલાક ચંદ્રનગર પહોંચી ગયા હતા. ચંદ્રનગર અને પોંડીચેરી એ વખતે ફ્રેન્ચ નિયંત્રણમાં હતાં. પરંતુ કલકત્તાનો પોલીસ કમિશનર ટેગર્ટ ફ્રાન્સના વહીવટદારનો મિત્ર હતો એટલે ટેગર્ટ ચંદ્રનગર જઈ શક્યો અને ત્યાં બધા ક્રાન્તિકારીઓને ફ્રાન્સની મદદથી શોધીને મારી નાખ્યા.

    ચાર મહિના પછી, ઑગસ્ટમાં ટેગર્ટ કલકત્તાના ડલહૌઝી ચોકમાંથી જતો હતો ત્યારે એના પર બોંબ ફેંકાયો પણ એ બચી ગયો. એ જ મહિનાના અંતમાં કલકત્તાના બે પોલીસ ઑફિસરો લૉસન અને હૉડસન ઢાકામાં કોઈ પોલીસ ઑફિસરને મળવા ગયા ત્યારે એમના પર ક્રાન્તિકારીઓએ હુમલો કર્યો. લૉસન માર્યો ગયો પણ હૉડસન લાંબા વખત સુધી પથારી ભેગો થઈ ગયો. લૉસનના મૃત્યુ પછી ક્રેગ ઇન્સ્પેક્ટર જનરલ બન્યો. એના પર પણ હુમલો કરવાની ક્રાન્તિકારીઓની યોજના હતી, એમણે હુમલો કર્યો પણ ક્રેગને બદલે એક બંગાળી પોલીસ ઑફિસર છટકાની જગ્યાએ આવ્યો અને ક્રાન્તિકારીઓની બંદૂકોનું નિશાન બની ગયો.

    ચિત્તાગોંગના વીરોની ગાથા હજી આગળ ચાલશે.

    ૦૦૦

    સંદર્ભઃ

    ૧.Years of Change in Bengal and Assam. સર રૉબર્ટ રીડ, ૧૯૬૬. (archive.org પરથી ૧૪ દિવસ માટે વાંચવા માટે લઈ શકાશે).

    ૨.culturalindia.net

    1. indiafacts.org

    ૪. thebetterindia.com/155824/

    ૫. mythicalindia.com/features-page/

    ૬. thedailystar.net

    ૭. myind.net

    ૮. self.gutenberg.org

    ૯. historica.fandom.com


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

     

  • ઉન્માદ અને ઉદાસી

    સરયૂ પરીખ

    એ દિવસે, અમારી ટેક્સાસની સેવા-સંસ્થામાં એક ભદ્ર મહિલા આવી…ગોરો વાન અને ભરાવદાર બાંધાવાળી, આદર્શ ગૃહિણી સમી લાગતી હતી. હિન્દીભાષામાં તેણે મારી સાથે વાતચીત શરૂ કરી.

    “મારું નામ શોભા. મારા પતિને છૂટાછેડા લેવા છે. તેની ફરિયાદ છે કે હું થોડી ગાંડી છું અને મારા કારણે અમારી દીકરી બગડી ગઈ છે. નાનપણથી મારો સ્વભાવ અસ્થિર કહેવાતો. પણ આપણા જૂના રીત રિવાજ પ્રમાણે કેળવાયેલી છોકરીની જાત…નમ્રતા સ્વભાવમાં વણાયેલી હોવાથી મારું જીવન ઠીક જઈ રહ્યું હતું. પરંતુ મારી અમેરિકામાં ઊછરેલી કિશોરવયની દીકરીની શું વાત કરું? …તેનામાં ઉન્માદ અને ઉદાસીનો અતિરેક જોતા અમે તેને મનોચિકિત્સક પાસે લઈ ગયા ત્યારે આ સ્વભાવને નામ મળ્યું, ‘બાયપોલાર’ અને મારા પતિને ખાત્રી છે કે, મારી દીકરી મારે લીધે, વારસાગત બાયપોલાર છે.”

    “તમારા પતિ અત્યારે ક્યાં રહે છે?” મેં સવાલ પછ્યો.

    “અમે એક જ ઘરમાં રહિયે છીએ. અમારા વચ્ચે કડવાહટ નથી પણ ગમગીની છે, નિરુત્સાહી સહજીવનથી તે દૂર જવા માંગે છે. મુશ્કેલી એ છે કે, તેમણે નક્કી કરેલા વકીલ પાસે જ જવાનું અને તેની વિચારણા પ્રમાણે જ ભાગલા પડે, એવી તેમની જોહુકમી છે, અને તે વાત મને માન્ય નથી. તેથી મારે તમારી સંસ્થાની મદદની જરૂર છે, તમારા તરફથી માનસિક સહારાની જરૂર છે.” શોભા વ્યથિત ભાવે બોલી, “અમારા છૂટાછેડા બાબત કોર્ટની તારીખ નજીક આવી રહી છે.”

    “તમારી દીકરી હાઈસ્કૂલમાં ભણે છે અને તમારી સંભાળમાં છે, ખરું?” મેં સવાલ પૂછ્યો.

    “અમે ત્રણ જણા એક જ ઘરમાં – પણ જાણે એકલા છીએ. અમારો નોકરિયાત દીકરો સ્વતંત્ર રહે છે અને ક્યારેક જ મળવા આવે છે. એને અમારા જીવનમાં રસ નથી,” શોભા ઉદાસી સાથે બોલી.

    ચાર દિવસ પછી મળવાનું નક્કી કરી શોભા વિદાય થઈ. શોભાની વાત સાંભળ્યા પછી મેં બાયપોલાર વિશે વાંચ્યું… “બાયપોલાર ડિસઓર્ડર. આ બીમારીના પ્રમુખ લક્ષણો વ્યવહારમાં બદલાવ આવવો છે. દર્દી જેમાં અતિશય ઉત્સાહ અને અતિશય નિરાશા જેવા; બે અંતિમો વચ્ચે ઝોલાં ખાધા કરે. થોડા લોકો સ્વભાવથી અસ્થિર હોય છે, જેનો અર્થ એવો નથી કે તેઓ બીમાર છે. સામાન્ય રીતે બાયપોલાર ડિસઓર્ડરના પ્રાથમિક લક્ષણો કિશોરાવસ્થા અને યુવાનીના પ્રથમ ચરણમાં જ જોવા મળી જાય છે. નિરાશામાં વ્યક્તિ ખૂબ જ નિષ્ક્રિય થઇ જાય છે અને ઉન્માદમાં ખૂબ જ સક્રિય થઇ જાય છે. થોડા મુખ્ય લક્ષણોમાં જોઈએ તો…

    • ઉત્કટ ઉદાસી અથવા ઉન્માદની લાગણી
    • શંકા-સંશયગ્રસ્ત. ઊંઘ બહુ ઓછી.
    • બેચેન અને ઉશ્કેરાયેલી માનસિક અવસ્થા.
    • ફોકસ…ધ્યાન એકત્રિત કરવાની મુશ્કેલી
    • મૃત્યુ અથવા આત્મહત્યાના વિચારો

    લગભગ ૫0 ટકા દરદીઓમાં આ વિકાર વારસાગત હોય છે. બંને પ્રકારના એપિસોડ્સની દવાઓ પણ અલગ-અલગ હોય છે. અનેકવાર આ વિકાર આપમેળે પણ ઠીક થઇ જાય છે પરંતુ સાવધાની માટે મનોચિકિત્સક પાસે સલાહ લેવી જરૂરી છે. ઘણા કલાકારો જેવા કે, મહાન સંગીતકાર બિથોવન, નારીવાદની પ્રણેતા વર્જિનિયા વુલ્ફ, મહાન પેઇન્ટર વાન ગોગ, વગેરે પણ આ રોગના શિકાર હતા.

    એ દિવસે, મળવાના સમય કરતાં શોભા થોડી મોડી આવી. “મોડું થઈ ગયું, માફ કરજો… પણ ગઈ રાતના નવેક વાગે, મારી દીકરી, અમને ન ગમે તેવા કપડા પહેરી, બહાર જવા નીકળી. એક તો ચાલુ સ્કૂલના દિવસો, અને તેના મિત્રો સામે મને અણગમો હોવાથી મેં તેને જવાની ના પાડી. મને ગાંઠતી નહોતી તેથી મારા પતિ વચ્ચે પડ્યા અને પરાણે તેના રૂમમાં ધકેલી… કકળાટ થઈ ગયો. અમારા ત્રણે માટે રાત અને સવાર બહુ ખરાબ હતી.” શોભા ચિડાઈને બોલી, “છોકરીનો ગુસ્સો તેનો બાપ મારા પર ઉતારે છે.”

    મેં તેને ઠંડુ પાણી આપી શાંત થવાનો સમય આપ્યો. પછી મેં કહ્યું કે, “અમે એક સેવાભાવી વકીલની સલાહ લીધી છે. તેની સાથે તમારી મુલાકાત ગોઠવી તમારો મુકદ્દમો તૈયાર કરી શકશો.”

    આ વાતથી શોભાના ચહેરા પર ચમક આવી. “મારી દીકરી છે અને મને વ્હાલી છે. હું એને નોધારી છોડીશ નહીં. ભલે ગમે તે થાય.” થોડા દિવસોમાં તૈયારી થઈ ગઈ અને કોર્ટનો દિવસ આવી ગયો. છૂટાછેડા પહેલા, સમજાવટ-સુલેહ mediation, કરાવવા માટેની કાર્યવાહી મહિનાઓ પહેલા થઈ ગઈ હતી તેથી હવે કોર્ટનો ફેંસલો છેલ્લો હતો. એ દિવસે, હું અને મદદગાર વકીલ, શોભાની રાહ જોતા ઉભાં હતાં.

    અમારા આશ્ચર્ય વચ્ચે, શોભા, તેનો પતિ અને વકીલ સાથે આવ્યાં. મેં શોભાને પ્રશ્ન કર્યો તો એ કહે, “એક ઘરમાંથી નીકળી… એક જ કોર્ટમાં જવાનું હતું, તેથી અમે સાથે આવ્યાં.” મને આ સરળ જવાબથી આનંદ થયો.

    જજની સામે પણ શોભા અને તેનો પતિ યોગ્ય રીતે વર્તતાં હતાં. શોભાને અમારા વકીલની મદદથી થોડો વધારે ફાયદો થયો અને છૂટાછેડા થઈ ગયા. પતિનો ચહેરો ઉદાસ હતો અને શોભાની આંખો ભીની હતી. પતિ ઘર છોડીને જતો રહેવાનો હતો. પરંતુ શોભાની આંખોમાં પતિની વાપસીનો ઇંતઝાર-એતબાર ઝળકતો હતો.

    શોભા બોલી, “હવે મારે છોકરીને કેમ સંભાળવી એ વાતથી ગભરામણ થાય છે. એમને, બોલાવીશ તો મદદમાં આવશે, પણ અત્યારે તો એક પગની આગળ બીજો પગ કેમ મૂકું…તેની મૂંઝવણ છે.”

    શોભાને પોતાની અવ્યવસ્થિત હાલત અને તેમાં વળી દીકરીની માનસિક બીમારી, ભવિષ્યની મુશ્કેલીઓની કલ્પનાથી જ ડર લાગતો હતો. તે દિવસે તો હું તેને સહારો આપી શકું પણ પછી શું! એટલું જરૂર કરી શક્યા કે, તેને Bipolar Support Group and Bipolar Treatment Optionsની માહિતી આપી અને તેને સાથે લઈ જઈને સંવેદનશીલ સભ્યોની ઓળખાણ કરાવી.

    વેરવિખેર

    ગૂંથેલા માળાના કુંજન ને ગુંજન,
    ઓસરતા ભીને અવસાદે.
    ખુલ્લા ખાલીપાના ખોખાંને આજ
    સૌ ધીરે ધીરે કરતાં નોખાં.

    વેગે વિખરાતી નાની શી દુનિયા
    ને કેટલાં દૂર જઈ પંહોચ્યાં!
    ઓળંગી અવધી તણાયે પ્રવાહમાં
    પાંદડીઓ અળગી વહેણમાં.

    સંધ્યાના ઓળાઓ પોકારે વાળવાં
    પણ, મારગ ભાસે છે મૃગજળ સમા.
    ગાણાં સમાઈ ગયાં સૂના સન્નાટામાં
    વિહ્વળ રે વ્હાલપ લિસોટા.


    સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com

  • સર્વેસર્વા

    વાર્તાઃ અલકમલકની

    ભાવાનુવાદઃ રાજુલ કૌશિક

    સાવ ભોળો, ગોરોચીટ્ટો બબલુ ઘરમાં સૌને વહાલો. બબલુની મા શશિ તો એને જોઈને કેટલી ખુશ થતી ! એમ તો બબલુથી મોટી નીલુ પણ એને એટલી જ વહાલી હતી. જીવથીય વહાલા સંતાનો પ્રત્યે શશિ આવી બેદરકાર કેમ થઈ શકી?

    આજે તો હદ જ થઈ ગઈ. એ નોકરી પર જવા નીકળતી હતી ને બબલુ એના પગે વળગી પડ્યો. પ્રેમથી છોડાવા પ્રયાસ કર્યો. અંતે ધીરજ ન રહેતાં એને ધમકાવી તો નાખ્યો, સાથે ગાલ પર એટલા જોરથી એક તમાચો ચોઢી દીધો કે બબલુના ગાલ પર સોળ ઊઠી આવ્યા.. બબલુના રડવાનો અવાજ સાંભળીને દાદાજી-દાદી બહાર આવી ગયાં. દાદીએ તો જે નજરે શશિ સામે જોયું એ સહેમી ગઈ. પણ મોડું થવાની ચિંતામાં ઘરની બહાર ચાલવા માંડી. નીકળતાં દાદાજીનો અવાજ સંભળાયો.

    “પહોંચી નથી વળાતું તો નોકરી કરવાની જરૂર જ શી છે? ઘરમાં ખાવાનું ક્યાં ખૂટી ગયું છે?”

    એ સ્કૂલે ગઈ પણ, આખો દિવસ કામમાં મન ન લાગ્યું. એક વાર મન થયું કે રજા લઈને ઘેર પાછી જાય પણ, નોકરીને હજુ માંડ દોઢ મહિનો થયો હતો. હિંમત ન ચાલી. સ્કૂલ પૂરી થઈ ને ઘેર જવા ઑટોરિક્ષા પકડી. ઘર પાસે આવતું ગયું એમ સવારની ઘટના યાદ આવવા માંડી. સાસુ-સસરાની નજરનો સામનો કેવી રીતે કરશે એ વિચારે બેચેન થઈ ગઈ. સવારે તો પતિદેવ ઘેર નહોતા પણ હવે તો પતિદેવને એટલે કે અજયનેય સમાચાર મળી જ ગયા હશે !

    ઘેર પહોંચી તો રોજની જેમ બબલુ એને વળગવા દોડી ના આવ્યો.  અંદર ગઈ તો નીલુ પણ એની સામે નજર કર્યા વગર અંદર ચાલી ગઈ.

    રૂમમાં જઈને શશિ રડી પડી. કેટલાય વિચારોથી મન વિચલિત થઈ ગયું. સમય થતાં સાસુમાએ જમવા બોલાવી. સાસુમાની વહાલભરી કાળજીથી સંકોચ થઈ આવ્યો.

    પરવારીને રૂમમાં આવી. રોજે રાત્રે બબલુ અને નીલુ આખા દિવસની વાતો કરતાં. શશિ એમને વાર્તા કહેતી. પણ, આજે તો એની રાહ જોયા વગર બબલુ ઊંઘી ગયો હતો. નીલુ હજુ ચૂપ જ હતી. શશિને એવું લાગ્યું કે, સવારની એક ઘટના માત્રથી બાળકોએ એને પરાઈ કરી દીધી.

    ******

    પહેલી વાર ઈંદુને મળી એ દિવસ યાદ આવ્યો. કેવો ઝંઝાવાત લઈને આવ્યો એ દિવસ કે જેના લીધે એ મૂળસોતી ઉખડી ગઈ હતી ! જ્યારથી ઈંદુના ઘેર જઈને આવી ત્યારથી ઈંદુની વાતો, એના ઘરનો ઠાઠ જોઈને શશિને અચાનક પોતાની જાત વામણી લાગવા માંડી. કેવી સુખ-સાહ્યબી ! પોતાનું ઘર આવા ઠાઠમાઠથી શોભવું જોઈએ એ વિચારીને એણે સ્કૂલની નોકરી શરૂ કરી દીધી.

    અજય અને ઈંદુનો પતિ મિત્રો હતા. રસ્તામાં અચાનક મળી ગયેલાં ઈંદુ અને મનોજે  શશિ અને અજયને એમનાં ઘેર આવવા આમંત્રણ આપ્યું હતું.

    ઈંદુનું ઘર જોઈને શશિ આભી બની ગઈ. એનો તો ડ્રોઇંગરૂમ હતો કે કોઈ મ્યુઝિયમ ! અતિ મોંઘી લાગતી ક્રોકરીમાં નાસ્તો આવ્યો. અજય અને મનોજ વર્ષો પહેલાંની વાતોમાં ખોવાઈ ગયા.

    શશિ અને ઈંદુ વાતોએ વળગ્યાં. પણ એ વાતો નહોતી, એકતરફી સંવાદ હતો. ઈંદુ સતત એના વૈભવ વિશે કંઈક બોલ્યા કરતી હતી.

    આજ સુધી શશિને વકીલાત કરતા અજયની કમાણીથી સંતોષ હતો. સુખશાંતિવાળો એનો પરિવાર હતો પણ મનોજ-ઈંદુના ઘેરની રોનક જોઈને એ ઓઝપાઈ ગઈ.

    ઈંદુના રૂમમાં એલઈડી ટીવી, કંપ્યૂટર, ચમકતું ફર્નિચર, ઓહોહો શું નહોતું ઈંદુ પાસે ! એકદમ ફિલ્મી સ્ટાઇલ ડબલબેડ. એની પર મોંઘી રેશમની ચાદર. પોતે અજય સાથે એ બેડ પર હોય એવી કલ્પનામાં એ ખોવાઈ ગઈ.

    ઈંદુની વાતોમાં મોટપનું પ્રદર્શન હતું. ગર્વથી કહેતી હતી કે, આ બધું એની મહેનતની આભારી હતું. ઘરની અને સંતાનની સંભાળ માટે મનમાં મદ હતો. દસ વર્ષનાં એક માત્ર સંતાનને એણે શિષ્ટાચાર શીખવવા હોસ્ટેલમાં મૂકી દીધો હતો.

    “આ બધું મારા પ્રતાપે છે હોં. વિકીને હોસ્ટેલમાં ન મૂક્યો હોત તો શું હું નોકરી કરી શકી હોત ! ઘરમાં રાખું તો એને સાચવવા આયા, નોકર રાખો, પાછું એમની ચોકી કરો. હવે મને કોઈ ચિંતા નથી. વિકીને હોસ્ટેલમાં મૂકીને મલ્ટિનૅશનલ કંપનીમાં કંસલ્ટન્ટ તરીકે જોડાઈ. મહિને ૭૦ હજાર રૂપિયા કમાઉં છું. મોટી કંપનીમાં કામ કરીએ એટલે અપટુડેટ તો રહેવું જ પડે.”

    હજુ ઈંદુ કંઈક બોલતી હતી. ઘરનો વૈભવ દર્શાવતા એના અવાજમાં અભિમાન છલકાતું હતું. શશિનું મન ભારે થઈ ગયું.

    “અરે ચલો શશિ. ઘેર જવું છે એકે અહીંયા જ રહેવાનો ઈરાદો છે?” બહારથી અજયનો અવાજ સાંભળીને એ ચમકી.

    આખી રાત સપનામાં ઈંદુનું ઘર દેખાયા કર્યું. સાડીઓનાં ઇંદ્રધનુષી રંગોથી શોભતું કબાટ દેખાયું. બાપરે, કેટલી સાડીઓ ! એકની એક સાડીનો વારો તો વર્ષમાં માંડ ત્રણ કે ચાર વાર આવતો હશે. એક કાર હતી, બીજી હવે આવવાની છે.

    આજ સુધી શશિને પતિની બરોબરીના મિત્રોને મળવાનું થતું. આજે પહેલી વાર અજય કરતા વધુ શ્રીમંત મિત્રને મળી હતી. એણે ઈંદુના સમોવડિયા બનવા નોકરી કરવાનો નિર્ણય કર્યો.

    આ નિર્ણય લેતાં પહેલાં અઢી વર્ષના બબલુ, વયસ્ક સાસુમાને કોણ સંભાળશે એની મૂંઝવણેય હતી. અજયથી માંડીને સૌની સલાહ હતી કે, સંજોગવશાત નોકરી કરવી પડે એ વાત જુદી પણ અંતે સૌએ નિર્ણય શશિ પર છોડ્યો.

    શશિએ નિર્ણય લઈ લીધો હતો.

    નોકરી શરૂ કરી દીધી. શરૂઆતમાં સ્કૂલમાં બબલુની યાદ આવતી. ઘેર પાછી આવતી તો ઘરની અવ્યવસ્થા ખટકતી. નીલુ હવે અસ્તવ્યસ્ત રહેતી. શશિને સૌની પર ગુસ્સો આવતો કે, બધાએ જાણી જોઈને એને હેરાન કરવા મોરચો માંડ્યો છે.

    પહેલાં તો એ ઘરમાં અજયથી માંડીને બબલુ, નીલુ, સાસુસસરા સૌનું પ્રેમથી ધ્યાન રાખતી. નાનીમોટી બાબતની જરૂર ઊભી થાય એ પહેલાં સાચવી લેતી. દાદીનાં પૂરતાં ધ્યાન છતાં આ દોઢ મહિનામાં બબલુનું વજન ઘટી ગયું હતું. દાદા-દાદી ગમે એટલું વહાલ કરે પણ માતાની તોલે ઓછું  પડતું.

    આમ તો એની કમાણીનો અર્થ જ રહ્યો નહતો. ઘરખર્ચ વધી ગયો હતો. ધોબીથી માંડીને નોકરનું કામ વધતા પૈસા વધારે માંગતા હતા. પોતાનો ઑટોરિક્ષાનો ખર્ચો તો ખરો જ. સાસુમા આખો દિવસ કામ કરે ત્યારે માંડ પહોંચી વળતાં. થાકે એટલે એમનોય બબડાટ શરૂ થઈ જતો. એણે વિચાર્યું હતું એમ કોઈ નવું રાચરચીલું એ વસાવી શકી નહીં, વધારામાં ઘર, છોકરાંઓ રઝળી પડ્યાં હતાં. આખા ઘરની શાંતિ હણાઈ ગઈ હતી. તોબા આ નોકરીથી !

    આજે એણે ફરી એક નિર્ણય લીધો.

    સવારે ઊઠીને એક મહિનાની નોટિસ સાથે રાજીનામાનો પત્ર મોકલી આપ્યો. સાંજે શશિને ઘેર જોઈને અજયને નવાઈ લાગી.

    “કેમ સ્કૂલે નથી ગઈ? તબીયત ઠીક નથી કે શું ? કેટલા દિવસની રજા રાખી છે?”

    “કાયમ માટે.”

    “સાચે શશિ હવે તું સ્કૂલે નથી જવાની? હાશ, ચાલો હવે મારે શર્ટ-પેન્ટને જાતે બટન ટાંકવા નહીં પડે. ધોબીને ધમકાવવાનું કામ પણ તું જ સંભાળી લઈશ, રાત પડે થાકી ગયાની બૂમ પણ નહીં મારે ને? હવે એ તો કહે, નોકરી છોડી કેમ દીધી ?” અજયના અવાજમાં રાહતનો સૂર હતો.

    પતિદેવની વાત સાંભળીને શશિને રમૂજની સાથે દયા આવી.

    “સાચે મારે નોકરી નહોતી છોડવી જોઈતી નહીં? જનાબને દરજીકામ તો આવડી જાત. અજબ માણસ છો. કમ સે કમ એક વાર તો કહેવું જોઈને ને કે શશિ તારા સ્કૂલે જવાથી કેટલી પરેશાની થાય છે.”

    “ડીયર, હું તો શરૂઆતથી જ કહેવાનો હતો પણ મારી વાત તને ગમી ના હોત. વિચાર્યું કે થોડા દિવસ મનની ઇચ્છા પૂરી કરી લેવા દો. જ્યારે ઘરના હાલ સામે આવશે તો જાતે જ સમજી જશે. આટલી જલદી તું સમજી એ ગમ્યું. સાચું કહું શશિ, ખરેખર તો સારી ગૃહિણી બનવું વધુ કપરું છે. તું જ્યારે તારી જવાબદારી સરસ રીતે સાચવતી ત્યારે મને તારા પર ગર્વ થતો. એનો અર્થ એ ના સમજતી કે, તને ઘરના બંધનમાં જકડઈ રહેવા કહું છું. તું કંઈ નવું કરે, આગળ ભણે તો મારા તરફથી પૂરી છૂટ છે.”

    “ઈંદુને જોઈને તમને એમ નથી લાગતું કે, એ કેટલી કુશળ સ્ત્રી છે? એનું ઘર એણે કેવી રીતે સજાવ્યું છે! એને જોઈને તમને મારામાં કમી નથી લાગતી?”

    અજય ખડખડાટ હસી પડ્યો. “ તું એમ માને છે કે મનોજ ખુશ છે? એ શું કહેતો હતો સાંભળવું છે? એ કહેતો હતો કે, ઘરના ખાવાનાનો સ્વાદ ભુલાઈ ગયો છે. મનપસંદ ચીજો ખાધે કેટલો સમય થયો યાદ નથી. બસ, શ્રીમતીજી ઑફિસથી આવીને પરાઠાં શેકી લે છે. રવિવારે છુટ્ટીનો મૂડ હોય એટલે મોડાં ઊઠવાનું. હોટલમાં જમવાનું, પિક્ચર જોવાનું. તું સુખી છું ભાઈ. માબાપ પ્રત્યે કોઈ ફરજ હોય કે નહીં? અહીં તો માબાપને ઘેર પૈસા મોકલવામાંય સાંભળવું પડે છે.”

    શશિ આભી બનીને જોઈ રહી.

    “હજુ વધારે જાણવું છે? એ દિવસે બબલુ અને નીલુને જોઈને એટલો ખુશ થયો હતો. એને ઈંદુને કહેવાનું મન થયું હતું કે, બાળકો શિષ્ટાચાર પબ્લિક સ્કૂલમાં નહીં મા પાસેથી શીખે છે. હવે તું  વિચાર કે આ સાંભળીને મને કેટલો આનંદ થયો હશે! એ તારી જીત હતી અને તારી જીત એ મારી જીત. મનોજ કહેતો હતો કે, ઈંદુની અડધી કમાણી સાડી, મેકઅપ, હોટલ, સેરસપાટામાં પૂરી થઈ જાય છે. દીકરાને હોસ્ટેલમાં રાખવાનો ખર્ચ અલગ. ઈંદુને એવો અહમ છે કે એનાથી ઘર ચાલે છે. પણ ચાલ શશિ, બહુ દૂર આવી ગયાં. પાછા વળીએ.

    શશિના મનની બેચેની દૂર થઈ. એનાચહેરા પર પતિદેવ પ્રત્યે આદરભાવ છલકાયો.


    મંગલા રામચંદ્રન લિખિત વાર્તા પર આધારિત ભાવાનુવાદ


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ફિલ્મી ગઝલો – ૬૪. આઈ. સી. કપૂર

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આઈ સી કપૂર અર્થાત ઈશ્વર ચંદ કપૂર પણ એક એવા ગીતકાર જેમનું નામ કાળની ગર્તામાં વિલીન થઈ ચુક્યું છે. મારા પ્રિય સંગીતકાર ચિત્રગુપ્તની ફિલ્મ ‘ ચાંદ મેરે આજા ‘  નું શીર્ષક ગીત ( રફી – લતા ) ‘ ચાંદ કો દેખો જી ‘ એમણે લખ્યું છે એ મને મોડી મોડી ખબર પડી.  કેટલીક ફિલ્મોની કથા- પટકથા – સંવાદ પણ એમણે લખ્યા.  એક સિંધી પ્રેમ કથાના અમર પાત્રો ઉપર આધારિત ફિલ્મ ‘ સસ્સી પુનું ‘  એમણે પોતે બનાવી.  ૧૯૫૨ ની ફિલ્મ ‘ તરંગ ‘  નું નિર્દેશન પણ એમણે કર્યું.  ઘર કી ઈજ્જત, દુસરી શાદી, ભોલી, ચહેરા, ચાંદ સિતારે, માનસરોવર, માં કા પ્યાર, અમર રાજ, ભાઈ બહેન, બેદર્દી, બચપન, મુસ્કુરાહટ, ફાઈટિંગ હીરો, એટમ બોમ્બ, યે હૈ દુનિયા, રોનક, નસીબ, રત્નાવલી, પીયા ઘર આજા, મધુબાલા, છોટી બહેન, અને સાવન જેવી ફિલ્મોમાં ૫૦ આસપાસ ગીતો લખ્યાં.

    એમણે લખેલી બે ખુબસુરત ગઝલ :

    આંખો મેં આંસુઓ કો પીયે જા રહી હું મૈં
    ઔર દિલ કો તાર તાર કિયે જા રહી હું મૈં

    બન બન કે આશિયાં મેરા ઉજડા બહાર મેં
    ઇસ પર ભી ઐતબાર કીયે જા રહી હું મૈં

    યે કશ્મકશ હે જિંદગી કી ઉનસે ક્યા ગિલા
    અબ મૌત સે ભી પ્યાર કિયે રહી હું મૈં ..

    ( નૌશાદ સાહેબે પોતાની ફિલ્મ ‘ દુલારી ‘  માં લતાએ ગાયેલ ગીત ‘ ઐ દિલ તુજે કસમ હૈ તુ હિંમત ન હારના ‘ ની પ્રેરણા આ ગઝલની ધૂનમાંથી લીધી હોવી જોઈએ ! )

    –  ફિલ્મ : ચેહરા ૧૯૪૬
    – શમશાદ બેગમ
    – એમ એ મુખ્તાર

     

    કભી ખુશીયો કે નગમે હૈ કભી ગમ કા તરાના હૈ
    યહી દસ્તુરે દુનિયા હૈ યહી દર્દે ઝમાના હૈ

    સમજ કુછ ભી નહીં આતા બસ ઇતના હમ સમજતે હૈં
    બહાના ભી હકીકત હૈ હકીકત ભી બહાના હૈ

    સુનો ઇસ  ઝિંદગી કી દાસ્તાં  તુમકો સુનાતે હૈં
    હૈ દિલ મેં દર્દ કા તુફાં લબોં કો મુસ્કુરાના હૈ

    મૈં મેહમાં હી સહી લેકિન મુજે ઉલ્ફત હૈ
    ઇસ ઘર સે મુજે હર એક કીમત પર તેરે ઘર કો બસાના હૈ..

    –  ફિલ્મ : તરંગ ૧૯૫૨
    –  રાજકુમારી દુબે
    –  ચિત્રગુપ્ત


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

     

  • કહાની કિસ્મત કી (૧૯૭૩)

    ટાઈટલ સોન્‍ગ

    (આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)

    બીરેન કોઠારી

    ફિલ્મક્ષેત્રે શુકન-અપશુકન અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં જોવા મળે છે એ જોતાં એની નવાઈ ન લાગવી જોઈએ, કેમ કે, ફિલ્મ સફળ થવાનું નથી કોઈ ગણિત કે નથી કશી ફોર્મ્યુલા. અંકશાસ્ત્ર અને અક્ષરશાસ્ત્રથી લઈને અનેકવિધ ‘શાસ્ત્રો’માં શ્રદ્ધા રાખતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો બીજું તો ઠીક, પણ આ ‘શાસ્ત્ર’ પર નભતા લોકોને રોજગાર અવશ્ય પૂરો પાડે છે. ક્યાંક પોતાના નામમાં એકાદો અક્ષર ઉમેરાવવો કે ઓછો કરવો, ફિલ્મનું નામ અમુક જ અક્ષરથી રાખવું વગેરે બહુ જાણીતી અને પ્રચલિત માન્યતાઓ છે.

    અગાઉ અનેક ફિલ્મો કર્યા પછી એક તબક્કે નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતે પોતાની ફિલ્મોનાં નામ ‘અ’થી રાખવાનું શરૂ કરેલું. જેમ કે, આરાધના, અમર પ્રેમ, અનુરાગ, અજનબી, અમાનુષ, અનુરોધ, આનંદ આશ્રમ વગેરે…અલબત્ત, આ સિવાયના અક્ષરથી શરૂ થતી ફિલ્મો પણ તેમણે બનાવી જ છે. નિર્માતા- દિગ્દર્શક જે. ઓમપ્રકાશ પોતાની ફિલ્મોનાં નામ ‘આ’થી રાખતા. જેમ કે, આસ કા પંછી, આઈ મિલન કી બેલા, આયા સાવન ઝૂમ કે, આયે દિન બહાર કે, આયે દિન બહાર કે, આંખો આંખોં મેં, આપ કી કસમ, આક્રમણ, આશિક હૂં બહારોં કા , આશા, આસપાસ, આખિર ક્યોં?, આદમી ખિલૌના હૈ વગેરે..તેમણે પણ અપવાદરૂપ અન્ય અક્ષરથી કેટલીક ફિલ્મ બનાવી છે.

    રાકેશ રોશન નિર્માતા- દિગ્દર્શક બન્યા એટલે એમનો પ્રિય અક્ષર બન્યો ‘ક’. જેમ કે, ખૂન ભરી માંગ, કરણ અર્જુન, કિશન કન્હૈયા, ખુદગર્ઝ, કિંગ અંકલ, કોઈ મિલ ગયા, કોયલા, કહો ના પ્યાર હૈ, ક્રિશ વગેરે…

    અન્ય એક નિર્માતા-દિગ્દર્શક-અભિનેતા અર્જુન હીંગોરાણીનો પણ પ્રિય અક્ષર ‘ક’ હતો, પણ તેઓ પોતાની ફિલ્મના નામમાં એક નહીં, ત્રણ ‘ક’ રાખતા. જેમ કે, કબ, ક્યું ઔર કહાં, કહાની કિસ્મત કી, ખેલ ખિલાડી કા, કાતિલોં કે કાતિલ, કરિશ્મા કુદરત કા, કૌન કરે કુરબાની, કૈસે કહું કિ…પ્યાર હૈ વગેરે. તેમની મોટા ભાગની ફિલ્મોમાં કલ્યાણજી-આણંદજીનું સંગીત રહેતું. ‘કૈસે કહું કિ…’માં કલ્યાણજીના પુત્ર વીજુ શાહ સંગીતકાર હતા. તેમની ફિલ્મો મોટા ભાગે થ્રીલર પ્રકારની રહેતી, જેમાં મુખ્ય ભૂમિકા ધર્મેન્‍દ્રની રહેતી. ધર્મેન્દ્ર સાથે મારામારીમાં ઝીંક ઝીલી શકે એવા ફાઈટ માસ્ટર શેટ્ટી પણ દેખાતા.

    ૧૯૭૩માં રજૂઆત પામેલી, કપલેશ્વર ફિલ્મ્સ નિર્મિત, અર્જુન હીંગોરાણી દિગ્દર્શીત ‘કહાની કિસ્મત કી’માં પણ ધર્મેન્દ્રની મુખ્ય ભૂમિકા હતી. એ ઉપરાંત રેખા, અજિત, રાજેન્દ્ર નાથ, ભારતભૂષણ સહિત અનેક કલાકારો હતા. આ ફિલ્મનું કિશોરકુમારે ગાયેલું ગીત ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ અતિશય લોકપ્રિય થયેલું. એમાં પણ ગીતની વચ્ચે રેખા દ્વારા બોલાતું ‘મૈંને ઐસા તો નહીં કહા થા’ તો હજી એ પેઢીના લોકો જુદા જુદા સંદર્ભે બોલતા રહ્યા છે.

    આ ફિલ્મનાં કુલ પાંચ ગીતો હતાં, જે રાજેન્દ્ર કૃષ્ણે લખેલાં. ‘કબ તક ન દોગી દિલ’ (આશા ભોંસલે અને સાથીઓ), ‘દુનિયા મુઝસે કહતી હૈ તૂ પીના છોડ દે’ (કિશોરકુમાર), ‘તૂ યાર હૈ મેરા, દિલદાર હૈ મેરા’ (આશા ભોંસલે), ‘અરે રફ્તા રફ્તા દેખો આંખ મેરી લડી હૈ’ (કિશોરકુમાર અને રેખા) તેમજ ‘ઈન્‍સાન હંસે યા રોયે’ (મુકેશ અને સાથીઓ).

    આ પાંચ ગીતો પૈકી મુકેશ અને સાથીઓના સ્વરે ગવાયેલું ગીત ‘ઈન્‍સાન હંસે યા રોયે, જો હોના હૈ સો હોએ, કહાની કિસ્મત કી’ ફિલ્મના ટાઈટલ સોન્‍ગ તરીકે લેવાયું હતું. આ ગીતના શબ્દો ફિલ્મના કથાનકના મૂળભૂત વિચાર અનુસાર છે, પણ સ્વતંત્ર ગીત તરીકેય એ પ્રસ્તુત છે. ફિલ્મના ટાઈટલમાં તે એક ફકીર દ્વારા ગવાતું બતાવાયું છે, અને અન્યત્ર તે પાર્શ્વગાન તરીકે સંભળાય છે.

    ગીતના કુલ છ અંતરા છે, જે પૈકીના ત્રણ ટાઈટલ દરમિયાન છે, અને બાકીના ત્રણ અલગ અલગ સમયે ફિલ્મમાં પરિસ્થિતિ અનુસાર સાંભળી શકાય છે.

     

    इंसान हँसे या रोये
    जो होना है सो होए
    इंसान हँसे या रोये
    जो होना है सो होए
    क्या होना है,
    कब होना है लिखनेवाला जाने
    कहानी…
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    मन ही मन नादान ज़माना
    समझे कि तदबीर बड़ी है
    यह ना सोचे कदम कदम पर
    रस्ते में तकदीर खड़ी है
    हार है किसकी
    जित है किसकी लिखनेवाला जाने
    कहानी…
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    जीवन के जितने दिन होंगे
    उसमें इक दिन कम न होगा
    उसमें इक दिन कम न होगा
    जिसने राझ यह जान लिया है
    फिर उसको कोई गम न होगा
    फिर उसको कोई गम न होगा
    कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
    कहानी…
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    અહીં ટાઈટલ પૂરાં થાય છે, અને ગીત પણ. એ પછી આ અંતરો ફિલ્મમાં વચ્ચે આવે છે.

    कभी अर्श है कभी फर्श है
    दुनिया की ये रीत पुरानी
    कहीं पे सरगम, कहीं पे मातम
    हर इक शय है आनीजानी
    क्यूँ सुखदुःख के मौसम बदले लिखनेवाला जाने
    कहानी….
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    ગીતનો પાંચમો અંતરો આ મુજબ છે.

    जीवन के जितने दिन होंगे
    उसमें इक दिन कम न होगा
    उसमें इक दिन कम न होगा
    जिसने राझ यह जान लिया है
    फिर उसको कोई गम न होगा
    फिर उसको कोई गम न होगा
    कब तक लगा रहे ये मेला लिखनेवाला जाने
    कहानी…
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    ગીતનો છઠ્ઠો અને છેલ્લો અંતરો ઝડપી લયમાં છે, જેના શબ્દો આ મુજબ છે.

    होते होते भी अनहोनी
    बात कोई ऐसी हो जाये
    मंजिल पर राही जब पहुंचे
    देखे तो मंजिल खो जाये
    अभी हकीकत, अभी है सपना
    लिखनेवाला जाने
    कहानी…
    कहानी किस्मत की
    कहानी किस्मत की

    ફિલ્મમાં અલગ અલગ રીતે આવતા આ ગીતના તમામ અંતરા આ લીન્‍ક પર એક સાથે સાંભળી શકાશે.

     


    (તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મોહમ્મદ રફી – ૧૯૫૦ સુધી પદાર્પણ કરેલાં સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતો

    મોહમ્મદ રફી – જન્મ શતાબ્દી વર્ષ યાદોની સફર તેમનાં ગીતોને સહારે

    સંકલન: અશોક વૈષ્ણવ

    મોહમ્મદ રફીની સમગ્ર ગાયકીની સફરના રગપટમાં અલગ અલગ મુડ, ગીતના પ્રકારો જેવા અનેક રંગોનું અનોખું મિશ્રણ સમાયેલું છે. એક જ પ્રકારનાં ગીતોના એક જ રંગના  કહેવાતાં ગીતો પણ અનેક ભાવમાં ઉભરતાં રહેતાં હોય છે. વળી, કોઈ પણ ઇતિહાસકાર, કોઈ પણ વિવેચક, કોઈ પણ ચાહક કે કોઈ પણ શ્રોતા આ ગીતોને પોતપોતાના દૃષ્ટિકોણથી, કે સંદર્ભમાં, મુલવતાં હોય. પરિણામે, મોહમ્મદ રફીનાં ગીતો હંમેશાં કલઈડસ્કોપ હેઠળ દેખાતા ભાતીગળ રંગોવાળી ડિઝાઈન જેવાં બહુરસાળ જ રહ્યાં છે. કદાચ એમ કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં લાગે કે જ્યારે માનવ (કે પછી ભવિષ્યમાં AIની પણ 😊) કલ્પના અને રસદૃષ્ટિની ક્ષિતિજને પહોંચી શકાશે, ત્યારે કદાચ મોહમ્મદ રફીનાં ગીતોનો રસાસ્વાદ ઉતરી ગયેલો લાગશે.  તેમાં પણ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દીની આ મોસમમાં તેમનાં ગીતો વધુ સૂક્ષ્મ નજરે જોવાય છે, અને એટલે ગીતોનો રસાસ્વાદ વધુ ને વધું ઘુંટાય છે, અને તેથી અનેક ગણો રસપ્રદ પણ બનતો રહે છે.

    પ્રસ્તુત લેખમાં આપણો ઉપક્રમ મોહમ્મદ રફીનાં ‘સદાબહાર’ અને બહુ સારાં’ ગીતોમાંથી આવાં ઢંકાઈ ગયેલાં સૉલો ગીતો રૂપી રત્નોને ફરી બહાર લાવવાનો છે. ગીતોની અંતિમ પસંદગીમાં આ રોમેન્ટીક સૉલો ગીતોમાં પણ વધારેમાં વધારે વૈવિધ્ય શક્ય બને એ માટે  એક સંગીતકારનું એક જ ગીત લેવું  એવો નિયમ પાળવાનું નક્કી કર્યું છે. જોકે, જ્યારે ખજાનાની શોધખોળ ચાલુ કરી ત્યારે તો આવાં એકથી વધારે ગીતો તો મળે જ. એટલે અંતિમ પસંદગી માટેની મારાં ‘મારાં’ કારણો પણ રજૂ કર્યાં છે.

    મોહમ્મદ રફી માટે ૫૦નો દાયકો તેની કારકિર્દીનો શ્રેષ્ઠ સમય ગણાય છે. આ સમયમાં તેમણે તલત મહ્મુદ, મુકેશ કે મન્ના ડે તેવા પોતાના જ સમકક્ષ સમકાલીનો સામે પોતાનું અગ્રીમ સ્થાન સ્થાપિત કર્યું. ‘૬૦ના દાયકામાં ગીતોની સંખ્યા વધતી જવાનાં અને લોકચાહના તરફ વધારે ઢળતાં ગીતો રચાવાના ફિલ્મ સંગીતના બદલતાં જતાં કલેવરમાં મોહમ્મદ રફીનાં સામાન્ય શ્રોતા તરફથી મળતી લોકપ્રિયતા અને સંગીતના ગુણીલોકોની સ્વીકૃતિના માપદંડે પણ રફી ટોચ પર રહ્યા. એવામાં ૧૯૬૯માં ‘આરાધના’ આવી અને કિશોર કુમારના ભાવ રાતોરાત આકાશ આંબવા લાગ્યા. મોહમ્મદ રફીની આગવી ગુણવત્તામાં ક્યાંય ઝાંખપ ન આવી હોવા છતાં હવે તેઓ ‘બીજાં સ્થાન ‘ પર ગણાવા લાગ્યા. આ પરિપ્રેક્ષ્યમાં આજના લેખ માટેનાં ગીતોનો સમય કાળ ૧૯૫૦થી ૧૯૬૯ સુધી મર્યાદિત કરેલ છે.

    hઆજના લેખમાં ગીતોની ગોઠવણી મોહમ્મદ રફીએ એ સંગીતકાર માટે પહેલવહેલું ગીત જે વર્ષમાં ગાયું (દરેક ગીતમાં સંગીતકારનાં નામ પઃછી એ વર્ષ મુક્યું છે) તે વર્ષના ચડતા ક્રમ મુજબ કરેલ છે.

    ઈશ્ક઼ દિવાના હુસ્ન ભી ઘાયલ દોનોં તરફ એક દર્દ-એ-જીગર હૈ – સંઘર્ષ (૧૯૬૮) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ નૌશાદ (૧૯૪૬)

    દીદાર (૧૯૫૧) મોહમ્મદ રફીની કારકિર્દીનું એક મહત્ત્વનું સોપાન કહી શકાય. દિલીપ કુમારના પાર્શ્વસ્વર તરીકે તેમનું સ્થાન સુનિશ્ચિત થવાની સાથે એ સમયના ખુબ જ શક્તિશાળી અને પ્રતિભાવાન ગાયકોની સ્પર્ધામાં હવે પછીનાં વર્ષોમાં તેમનાં આદિપત્યનાં પણ અંડાણ થયાં.

    તેમની કારકિર્દી દરમ્યાન નૌશાદે દિલીપ કુમાર સિવાય અન્ય અભિનેતાઓની ફિલ્મો માટે પણ સંગીત આપ્યું છે. ભારત ભુcષણની ફિલ્મો બૈજુ બાવરા (૧૯૫૩) અને શબાબ (૧૯૫૪) ખુબ સફળ થઈ તો સોહિની મહિવાલ (૧૯૫૮)  પણ સારી એવી સ્વીકૃતિ પામી. રાજેન્દ્ર કુમારની મેરે મહેબુબ (૧૯૬૩) જેટલી સફળ રહી એટલી પાલકી (૧૯૬૭) અસફળ રહી. સાથી (૧૯૬૮)માં તો તેમણે મુકેશનો જ સ્વર ઉપયોગમાં લીધો. જોય મુખર્જી સાથેની સાઝ ઔર આવાઝ (૧૯૬૬)નાં ગીતો પણ મહદ અંશે સ્વીકાર્ય રહ્યાં.

    દિલીપ કુમાર સાથેની દરેક ફિલ્મોનાં ગીતો અમુક ખાસ ઢાંચામાં જ રચાયાં હોવા છતાં છેક સુધી ગણ્યાં ગાઠ્યાં ગીતો સિવાય મોટા ભાગનાં ગીતો ‘સરેરાશથી વધારે’થી લઈને ‘નોંધપાત્ર’ સફળતાને વરતાં રહ્યાં. મારી શોધની સોઈ સંઘર્ષ (૧૯૬૮) નાં ગીતો પર અવશપણે અટકી ગઈ.

    ફિલ્મની વાર્તા અને દરેક કલાકારની પોતપોતાનાં પાત્રોની ખુબ જ દમદાર રજુઆતને પરિણામે ફિલ્મમાં ગીતો થોડે ઘણે અંશે ઢંકાઈ જતાં હોય એવું લાગે. ફિલ્મનાં મોહમ્મદ રફીનાં બે રોમેન્ટીક ગીતોમાંથી જબ દિલસે દિલ ટકરાતા હૈ મત પુછીએ ક્યા હો જાતા હૈ‘ પણ અહીં છેલ્લી પસંદગી પામેલ ગીતને ઢાંકી દેતું હોય એવું મને લાગ્યું.

    દિલમેં એક જાન-એ-તમન્નાને જગહ પાયી હૈ, આજ ગુલશનમેં નહીં ઘરમેં બહાર આઈ હૈ – બેનઝીર (૧૯૬૪) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ એસ ડી બર્મન (૧૯૪૭)

    મોહમ્મદ રફી માટે પહેલવહેલું ગીત એસ ડી બર્મને દો ભાઈ (૧૯૪૭) માટે રેકોર્ડ કર્યું. તે પછી છેક પ્યાસા (૧૯૫૭) સુધી રફી તેમને માટે પહેલી પસંદ નહોતા. જોકે તે પછી ગાઈડ (૧૯૬૫) સુધીમાં તો એસ ડી બર્મને મોહમદ રફીનાં એક પછી એક એવાં સદાબહાર ગીતો આપ્યાં કે એક સાંભળીએ ત્યારે બીજાં બધાં ગીતો ઝાંખાં પડતાં લાગે. એસ ડી બર્મને જો કોઈ અભિનેતા માટે સૌથી વધારે રચ્યાં હોય તો તે બેશક દેવ આનંદ છે. એટલે મારી નજર પહેલાં તો ત્યાં જ દોડી. બાત એક રાતકી (૧૯૬૨)નું હેમંત કુમારનાં ગીત – ન તુમ હમે જાનો -ની પાછળ ઢંકાઇ  જતું – અકેલા હું મૈં ઈસ દુનિયામેં (ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી) મારી પસંદગીમાં  ઉતર્યું પણ ખરૂં.

    જોકે એ પાટે ચડી ગયેલી મારી શોધને અતિક્રમીને અહીં મુકેલું ગીત મને પોતાની હાજરી પુરાવ્યા કરતું હતું એમ લાગતું હતું. બેનઝીર (૧૯૬૪) આમ તો સ્વાભાવિક રીતે મીના કુમારીનાં પાત્રને કેંદ્રમાં રાખીને રચાયેલ ફિલ્મ છે. એટલે ફિલ્મમાં સ્ત્રી સ્વરનાં ગીતો જ પહેલું સ્થાન ધરાવે એ પણ સ્વાભાવિક છે. તેમાં વળી, એ પાત્રના પ્રેમી તરીકે અશોક કુમારનાં પાત્રની ભૂમિકા પણ કથાનકને સહાયક જ હતી. એટલે શશી કપુર અને તનુજાને ભાગે તો જાણે હાજરી પુરાવાનું આવ્યું હોય એમ લાગે. દિગ્દર્શક્ને ક્યાંકથી શશી કપુરનાં પાત્ર માટે પણ ગીત મુકવું જોઈએ એવું સુઝ્યું હશે. પરિણામે જે ગીત એસ ડી બર્મને તૈયાર કર્યું એ બધી જ રીતે એટલું અનોખું બન્યું કે એ ગીતને ઢાંકી દેતાં એકોએક પરિબળોની સામે પણ તે અદકેરૂં બની રહ્યું.

    તેરી પસંદ ક્યા હૈ યે મુઝકો નહીં ખબર, મેરી પસંદ યે હૈ કે મુઝકો હૈ તુ પસંદ – એક દિનકા બાદશાહ (૧૯૬૪) – ગીતકારઃ જુગલ કિશોર – સંગીતઃ હંસરાજ બહલ (૧૯૪૮)

    હિંદી ફિલ્મોમાં જે બી અને સી કક્ષાની ફિલ્મો ગણાય છે તે સામાન્યતઃ બહું ટુંકા બજેટમાં, ફિલ્મોના વિશાળ દર્શક વર્ગમાંના અમુક ચોક્કસ વર્ગ માટે જ, બને. તેમ છતાં આ ફિલ્મોમાં ન સમજાય તેવી ખુબીની એક બાબત બનતી રહી અવશ્ય જોવા મળશે. બહુ જ પ્રતિભાવાન, પણ ક્યાંતો સફળતા જેમની સાથે કાયમ સંતાકુકડી જ રમતી હોય, કે હવે જેના નબળા દહાડા ચાલતા હોય એવાં સંગીતકારો જ સંગીત વિભાગ સંહાળતા હોય એવું લગભગ, સામાન્યપણે જોવા મળે. પરિણામે ફિલ્મનું એકાદ ગીત તો જરૂર એ ફિલ્મનાં સિનેમા હૉલમાં પ્રદર્શનનાં સ્થળ અને સમયની મર્યાદાની બહાર રહીને વ્યાપક શ્રોતા વર્ગને પણ ખુબ જ ગમે એવું હોય. આવાં ગીતો જ એક અલગ લેખનો વિષય બની રહી શકે એવો ચીંથરે વીંટ્યો ખજાનો છે..

    બી અને સી વર્ગની ફિલ્મોનાં વાદળ પાછળ છુપાયેલું મોહમ્મદ રફીનું પ્રસ્તુત સૉલો ગીત એવાં ગીતો પૈકીનું એક ગીત છે.

    આ લેખ માટે એક જ સંગીતકારનું કોઈ એક જ ગીત લેવું એવો નિયમ મેં રાખ્યો છે. પરંતુ, હસરત જયપુરી અને શૈલેન્દ્ર સાથે શંકર જયકિશને જે સહકાર્ય કર્યું છે તેને અવગણવાનું મને યોગ્ય ન લાગ્યું એટલે શંકર જયકિશન રચિત એક ગીત હસરત જયપુરીનું અને એક શૈલેન્દ્રનું એમ અલગ અલગ ગીત લેવાનો અપવાદ કર્યો છે.

    ચાર દિનોંકી છુટ્ટી હૈ ઔર ઉનસે જા કે મિલના હૈ, જિસ માંગને હમકો માંગ લિયા ઉસ માંગમેં તારે ભરના હૈ – આસ કા પછી (૧૯૬૧) – ગીતકારઃ હસરત જયપુરી- સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯)

    આમ તો રફીને ફાળે આવેલું ફિલ્મનું એક માત્ર ગીત  ફૂલ સા ચેહરા ચાંદ સી રંગત ચાલ ક઼યામત ક્યા કહીએ (રાત ઔર દિન, ૧૯૬૭, ગીતકારઃ હસરત જયપુરી – સંગીતકારઃ શંકર જયકિશન) સીધે સીધી પસંદ હતી.

    પરંતુ પ્રસ્તુત ગીત ખાસ યાદ કરો તો જ યાદ એવું છે, અને વળી એક નહીં અનેક પરિબળો પાછળ છુપાયેલું છે એટલે તેને અહીં સ્થાન આપવાનું નક્કી કર્યું.

    રાજેન્દ્ર કુમારની શરૂની કારકિર્દી પર છવાયેલું ગ્રહણ હટવાનું નામ જ નહોતું લેતું એવામાં ૧૯૬૧ની ઘરાના અને સસુરાલ જેવી બે ફિલ્મોએ જાણે જાદુ કર્યો હોય એમ રાજેન્દ્ર કુમાર રાતોરાત ‘સિલ્વર જ્યુબિલી સ્ટાર’ની કક્ષામાં પહોંચી ગયા. બન્ને ફિલ્મો એકાદ માસનાં અતરે જ પ્રદર્શિત થયેલી.

    બન્ને ફિલ્મો દક્ષિણનાં માતબર નિર્માણ ગૃહોએ બનાવી હતી. એટલું જ નહીં, બન્ને ફિલ્મો રાજેન્દ્ર કુમારનાં પાત્રો, અભિનય શૈલી, ફિલ્મમાં ગીતોની ગોઠવણી જેવી અનેક બાબતોમાં રાજેન્દ્ર કુમારની હવે પછીની સફળ ફિલ્મોનાં બીબાંની જાહેરાતની છડી પોકારતી હોય તેવી હતી.

    આસ કા પંછી આ બન્ને ફિલ્મોની રીલીઝના એકાદ મહિનામાં જ રીલીઝ થઈ હતી, પણ તે આ ફિલ્મોનાં ઢાંચામાં નહોતી.  રાજેન્દ્ર કુમાર માટે શંકર જયકિશને ત્રણ ત્રણ પાર્શ્વગાયકો પ્રયોજ્યા હતા. તેમાં પ્રસ્તુત ગીત તો વળી શંકર જયકિશનની શૈલી માટે પણ બિનપરંપ્રાગત બાંધણીનું હતું.

    આમ પ્રસ્તુત ગીત રાજેન્દ્ર કુમારની સફળતાના ઢાંચાના અને તેને અનુરૂપ શંકર જયકિશનનાં ગીતોની બાંધણીના ઓછાયામાં ઢંકાઈ ગયું.

    કહાં જા રહે થે કહાં આ ગયે હમ, કિસીકી નિગાહોંસે ટકરા ગયે હમ – લવ મેરેજ (૧૯૫૯) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ શંકર જયકિશન (૧૯૪૯)

    આ ગીતની અનોખી ખુબી એ છે કે એ જેટલું શૈલેન્દ્ર અને શંકર જયકિશનની ઓળખ સમી શૈલીનું ગીત છે એટલું જ દેવ આનંદની અભિનય શૈલી માટે જ અદ્દલોઅદ્દલ બનેલું ગીત છે. અને એ જ કારણ્સર અનોખી ભાત પણ પાડે છે.

    પરંતુ આ જ ફિલ્મનાં બે યુગલ ગીતો – ધીરે ધીરે ચલ ચાંદ ગગનમેં (રફી, લતા  – ગીતકારઃ હસરત જયપુરી) અને કહે ઝુમ ઝુમ રાત યે સુહાની (રફી, લતા  – ગીતકારઃ શૈલેન્દ્ર) ની પહાડ જેવડાં ઉછળતાં મોજાંઓ જેવી  સફળતાની પાછળ આ ગીતનાં અનોખાપણાંની સાદગીની લહેર છુપાઈ ગઈ.

    મસ્તીમેં છેડ કે તરાના કોઈ દિલકા આજ લુટાયેગા ખજાના કોઈ દિલકા – હક઼ીક઼ત (૧૯૬૪) –  ગીતકારઃ કૈફી આઝમી – સંગીતઃ મદન મોહન (૧૯૫૦)

    મદન મોહનની કારકિર્દી દરમ્યાન રચાયેલાં ગીતોમાં તેમની લતા મંગેશકરની રચનાઓનો પ્રભાવ એટલો બધો રહ્યો છે કે તેમણે રચેલાં મોહમ્મદ રફીનાં બધાં જ ગીતો તેમાં છંકાઈ જતાં લાગે. જોકે, મદન મોહને રચેલાં મોહમ્મદ રફીનાં ગીતો પણ અનેક રંગોનો રંગપટ છે એ વાત ત્તો તેના પર અલગ અલગ લેખો થાય છે ત્યારે જ તેની યાદ તાજી થાય છે.

    મદન મોહનનાં આવાં કેટલાંય યાદગાર ગીતોમાં જ સંતાઈ રહેલાં કહી શકાય એવાં ગીતોની મારી કાચી યાદી પણ બે એક લેખો માટેની સામગ્રી જેટળી બની રહી. મૈં નિગાહેં તેરે ચેહરે સે હટાઉં કૈસે (આપકી પરછાઈયાં, ૧૯૬૪ – ગીતકારઃ રાજા મહેંદી અલી ખાન), મેરી મહેબુબ કહીં ઔર મિલાકર મુઝકો (ગ઼ઝલ, ૧૯૬૪ – ગીતકરઃ સાહિર લિદિયાનવી)  તુ મેરે સામને હૈ (સુહાગ, ૧૯૬૫ – ગીતકારઃ હસરત જયપુરી) કુછ ઐસી પ્યારી શક્લ મેરે દિલરૂબાકી હૈ (નયા કાનુન, ૧૯૬૫ – ગીતકારઃ હસરત જયપુરી), તેરે કુચેમેં તેરા દીવાના (હીર રાંઝા, ૧૯૭૦ – ગીતકારઃ કેફી આઝમી) જેવાં ગીતો સુધી પહોંચતાં જ મદન મોહન – રફીનાં છુપાયેલાં રત્નોમાંથી કોઈ એકની પસંદગી કેટલી મુશ્કેલ બની રહી શકે તે વિચાર મને મુંઝવવા લાગ્યો હતો.

    પરંતુ, પ્રસ્તુત ગીતે એ બધી મુશ્કેલીઓને સહેજ વારમાં પીગળાવી નાખી.

    હક઼ીક઼ત (૧૯૬૪ નાં જ અન્ય ગીતોએ આ ગીતને એટલી હદે ઢાંકી દીધું છે કે તેને સાંભળવા માટે તેને ખાસ યાદ કરવું પડે. અધુરામાં પુરૂં, ગીતનું ફિલ્માંકન વિજય આનંદ પર થયું છે, જે પોતે ગીતોને પરદા પર રજુ કરવાની કળાના જાદુગર મનાતા હતા, પ્ણ પોતે પરદા પર જે જે ગીતો ગાયાં તે જરા પણ જામ્યાં નહી.

    અને હા, પ્રસ્તુત લેખ માટે અહીં પસંદ કરેલાં ગીતોમાં આ ગીત ટોચ પર આવે !

    અભી ન ફેરો નજ઼ર જિંદગી સંવાર તો લેં દિલ કે શિશેમેં આપકો ઉતાર તો લેં – બીરાદરી (૧૯૬૮) – ગીતકારઃ પ્રેમ ધવન – સંગીતઃ ચિત્રગુપ્ત (૧૯૫૦)

    એસ એન ત્રિપાઠીના સહાયક રહ્યા પછી સ્વતંત્ર સંગીતકાર તરીકેની ચિત્રગુપ્તની કારકિર્દી બી અને સી ગ્રેડની ફિલ્મોમાં જ પુરી થઈ જશે એમ લાગતું હતું. એવામાં ભાભી (૧૯૫૭) ની સફળતાએ ચિત્રગુપ્તના સંગીતની આડે પડેલું પાંદડું પણ ખસેડી નાખ્યું. એ પછી ચિત્રગુપ્ત સામાજિક ફિલ્મો માટે નિયમિત સંગીત આપતા થઈ ગયા અને સારી એવી સફળતા પણ અંકે કરી શક્યા. જોકે, દક્ષિણનાં નિર્માણ ગૃહો સિવાય તેમને અન્ય ‘મોટાં’ નિર્માણ ગૃહોના ‘રેગ્યુલર’,  ‘સફળ’, સંગીતકારોની પંગતમાં જરા ઉતરતું સ્થાન મળ્યું ગણી શકાય. ચિત્રગુપ્તનાં લતા મંગેશકરનાં વધારે ગીતો લોકપ્રિયતા પામ્યાં, તો મોહમ્મદ રફીનાં પણ સારી એવી સંખ્યામાં ગીતો રફીનાં સદાબહાર ગીતોમાં સ્થાન પામ્યાં છે.

    ચિત્રગુપ્ત – મોહમ્મદ રફીનાં સદાબહાર સૉલો ગીતોમાં એવાં પણ ઘણાં ગીતો છે જે સંગીત, કે ગીત,ની ગુણવત્તા સિવાયનાં કારણોસર ઢંકાયેલાં રહ્યાં.

    હવે પછી ૧૯૫૦ પછી પદાર્પણ કરેલા સંગીતકારોએ રચેલાં, પણ ઢંકાઈ ગયેલાં, રોમેન્ટીક મુડનાં કેટલાંક સૉલો ગીતોની વાત કરીશું.