-
તે બેસે અહીં | સમજી જા
તે બેસે અહીં
– સ્નેહી પરમાર
કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.સમજી જા
ચિનુ મોદી
અધમણ અંધારું ઘેરાયું, સમજી જા
ચન્દ્રબિંબ જળમાં દેખાયું, સમજી જામુઠ્ઠી વાળી ભીંતો ભાગી શેરી વચ્ચે
માથા સાથે ધડ છેદાયું, સમજી જા.નભની આ ગેબી વાણી છે, સમજી જા
પળ પોતે પણ પટરાણી છે, સમજી જાદરિયા જેવો દરિયો લાગે આ બીધેલો
ગિરિવર ભેજ્યાં આ પાણી છે, સમજી જા.પડછાયાનું ટોળે વળતું ધણ છે, સમજી જા
સાંજ પડી પણ ધીખતું રણ છે, સમજી જામઝધારેથી તટ પર આવી તૂટી ગયું છે
મોજું ક્યાં છે, જીવતું જણ છે, સમજી જા. -
ત્રણ ગાયકો – कोई कहे कहता रहे कितना भी हमको दीवाना …. गायेंगे हम अपने दिलों का तराना
નિરંજન મહેતા
આ શ્રેણીમાં બીજા ભાગમાં ૧૯૯૪ પહેલાનાં ગીતોને આવરી લીધા હતાં. આ અંતિમ લેખમાં ૨૦૧૪ સુધીના ગીતોની નોંધ લીધી છે.
૧૯૯૪ની ફિલ્મ ‘કભી હા કભી ના’નું ગીત છે
क्यूँ ना हम मिल के प्यार करे
बाहों को गले का हार करेકલાકારો છે શાહરૂખ ખાન, દિપક તિજોરી અને સુચિત્રા કૃષ્ણમૂર્તિ. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીત આપ્યું છે જતિન લલિતે. સ્વર છે ઉદિત નારાયણ, અમિત કુમાર અને વિજેતા પંડિતનાં.
૧૯૯૪ની ફિલ્મ ‘અંદાઝ અપના અપના’નું ગીત છે
जाना तूने जाना नहीं
तू कोई बेगाना नहींઆમીર ખાન, સલમાન ખાન અને રવિના આ ગીતના કલાકારો. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના જેને સંગીત આપ્યું છે તુષાર ભાટિયાએ. ગાયકો છે અભિજિત, દેબાશીષ રોય અને બેહરોઝ ચેટરજી
ફક્ત ઓડીઓ
૧૯૯૭ની ફિલ્મ ‘પરદેસ’નું ગીત છે
दिल ये दिल
ये दिल दीवाना दीवाना है ये दिल
दीवाने ने मुझको भी आह कर डाला दीवानाઆ ગીત બે અલગ અલગ લોકેશન પર છે. પહેલામાં શાહરૂખ ખાન કાર ચલાવતા દર્શાવાયો છે જ્યારે અન્યમાં અપૂર્વ અગ્નિહોત્રી અને મહિમા ચૌધરી સાથે જતાં જોવા મળે છે. આનંદ બક્ષીનાં શબ્દોને સંગીત આપ્યું છે નદીમ શ્રવણે. જ્યારે સ્વર છે સોનુ નિગમ, શંકર મહાદેવન અને હેમા સરદેસાઈનાં.
૧૯૯૮ની ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’નું આ ગીત પ્રણય ત્રિકોણ આધારિત છે.
तुम पास आये यूँ मुस्कुराये
तुमने न जाने क्या सपने दिखाये
अब तो मेरा दिल, जागे न सोता है
क्या करूँ हाय, कुछ कुछ होता हैગીતના કલાકારો છે શાહરૂખ ખાન, રાની મુકરજી અને કાજોલ. ગીતકાર સમીર અને સંગીતકાર જતિન લલિત. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ ગીતના ગાયકો.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
कोई मिल गया
मुझको क्या हुआ है?
क्यूं मैं खो गया हूँ?
पागल था मैं पहले, या अब हो गया हूँ
बहकी है निगाहें और बिखरे हैं बाल
तुमने बनाया है क्या अपना ये हालવિગતો ઉપર મુજબ
૨૦૦૧ની ફિલ્મ ‘કભી ખુશી ખુશી કભી ગમ’ એક પારિવારિક ફિલ્મ છે. તેનું ગીત છે
ले जा ले जा सोणिये ले जा ले जा
बोले चूड़ियाँ बोले कंगना
हाय मैं हो गई तेरी साजणा
तेरे बिन जियो नईयो लगदा
मैं ते मर गईंय्या
ले जा ले जा सोणिये ले जा ले जा
दिल ले जा ले जा ओ ओકલાકારો છે શાહરૂખખાન, રીતિક રોશન, કાજોલ અને કરીના કપૂર, ફરી વાર સમીર અને જતિન લલિતની જોડી. ગાયકો છે ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ અને અમિત કુમાર.
૨૦૦૧ની ફિલ્મ ‘દિલ ચાહતા હૈ’ ત્રણ મિત્રોની કથા લઈને બનાવી છે.
कोई कहे कहता रहे कितना भी हमको दीवाना
हम लोगों की ठोकर में है ये ज़माना
जब साज़ है आवाज़ है फिर किस लिये हिचकिचाना
गायेंगे हम अपने दिलों का तरानाત્રણ મિત્રો છે આમીર ખાન, અક્ષય ખન્ના અને સૈફ અલી ખાન. શબ્દો છે સમીરનાં અને સંગીત છે શંકર એહસાન લોયનું. શાન, શંકર મહાદેવન અને કે.કે.એ ત્રણેય માટે સ્વર આપ્યો છે.
૨૦૦૪ની ફિલ્મ ‘મુજ સે શાદી કરોગી’નું ગીત છે
रब्बा मेरे रब्बा, ये क्या हो गया है
मेरा यार मुझ से जुदा हो गया है जुदा हो गया हैहो दिल अपना देना ख़ता हो गया है
तुझे प्यार करना सज़ा हो गया है सज़ा हो गया हैસલમાન ખાન, અક્ષયકુમાર અને કરીના કપૂર ગીતના કલાકારો જેનાં શબ્દો છે જલીસ શેરવાનીનાં. સંગીતકાર સાજીદ વાજીદ. અલકા યાજ્ઞિક, શાબાશ શાબરી અને સોનુ નિગમનાં સ્વર. આ ગીત પાર્શ્વગીત છે.
આ જ ફિલ્મનું અન્ય ગીત છે
हाँ कब तक जवानी छुपाओगी रानी
अरे कब तक जवानी छुपाओगी रानी
कंवारो को कितना सताओगी रानी
कभी तो किसी की दुल्हनिया बनोगी
मुझसे शादी करोगीઆ ગીતમાં સલમાન ખાન, અક્ષયકુમાર અને પ્રિયંકા ચોપરા જોવા મળશે. શબ્દો છે જલીસ શેરવાનીના જેને સંગીત આપ્યું છે સાજીદ વાજીદે. ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને સોનુ નિગમના સ્વર.
૨૦૦૪ની ફિલ્મ ‘મૈ હું ના’ કોલેજની પશ્ચાદભૂમિ પર આધારિત છે.
इश्क़ जैसे है एक आँधी इश्क़ है एक तूफ़ाँ
इश्क़ के आगे बेबस है दुनिया में हर इंसाँ
इश्क़ में सब दीवाने हैं इश्क़ में सब हैराँ
इश्क़ में सबकुछ मुश्किल है इश्क़ में सब आसाँदेखो प्यारे ये नज़ारे ये दीवाने, ये परवाने हैं इश्क़ में कैसे गुम
हाए तुमसे मिलके दिल का है जो हाल क्या कहें
हो गया है कैसा ये कमाल क्या कहेंકલાકરો છે શાહરૂખખાન, ઝાયેદખાન અને અમૃતા અરોરા. જાવેદ અખ્તરના શબ્દો અને અનુ મલિકનું સંગીત. ગાયકો છે સોનુ નિગમ, હાશિમ સાબરી અને આફતાબ સાબરી.
गोरी गोरी गोरी गोरी गोरी गोरी
कभी कभी कहीं कहीं चोरी चोरी
छुप छुप के तुम मिला करो
प्यारी प्यारी बातें वातें किया करो
पर यूँ ना मिलना किसी से कभी हमारे सिवाશાહરૂખખાન, ઝાયેદખાન, અમૃતા અરોરા અને સુસ્મિતા સેન પર રચાયેલ આ ગીતના શબ્દો છે જાવેદ અખ્તરના અને સંગીતકાર છે અનુ મલિક. સ્વર છે કે.કે., શ્રેયા ઘોસાલ અને સુનિધિ ચવ્હાણના.
૨૦૧૨ની ફિલ્મ ‘સ્ટુડંટ ઓફ ધ યર’માં એકથી વધુ ગીતો જોવા મળે છે.
सुर्ख़ वाला, सोज़ वाला फ़ैज़ वाला लव
होता है जो लव से ज़्यादा वैसे वाला लव
हुआ जो दर्द भी तो हमको आज कुछ ज़्यादा हुआ
ये क्या हुआ है? क्या ख़बर यही पता है ज़्यादा हुआ
अगर ये उसको भी हुआ है फिर भी मुझको ज़्यादा हुआ
इश्क़ वाला लवકલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. રચના છે અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની. જેને સંગીત આપ્યું છે વિશાલ શેખરે. ગાયકો છે શેખર રવજીઆની, સલીમ મર્ચન્ટ અને નીતિ મોહન.
બીજું ગીત છે
आ आ आ आ आ
गोपियों संग घुमे कन्हैया
रास रचैया राधा ना जाए रे
अब सावरा ना भाएઆમાં પણ તે જ કલાકારો છે આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રા. આ ગીત પણ અન્વિતા દત્ત ગુપ્તા અને વિશાલ દદલાનીની રચના છે. વિશાલ શેખરનું સંગીત છે અને ગાયકો છે શેખર રવજીઆની, વિશાલ દદલાની અને શ્રેયા ઘોસાલ
અન્ય ગીત છે
कोई ना जाने किथो आया है तू सब दे दिलो विच हो गई कुकडुकु
इन्ना सोना इन्ना कूल मुंडा इन्ना वंडरफुल
ओ मुंडा कुक्कड़ कमाल दा ओ मुंडा कुक्कड़ कमाल दाકલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો છે મારિયન દ ક્રુઝ, નિશા મસ્કરેહાંસ અને સાહીદ મલ્લ્યા.
વધુ એક ગીત પ્રસ્તુત છે
हो है ना मुझ पे नज़र तेरी
आँखों में बातें होती हैं
आजा बाहों में आ मेरी
ऐसी ही तो रातें शुरू होती हैंકલાકરો, ગીતકાર અને સંગીતકાર ઉપર મુજબ, ગાયકો સુનિધિ ચવ્હાણ, બેની દયાલ અને નાઝિયા હસન.
એકાદ-બે ગીતમાં ત્રણને બદલે ચાર ગાયકો છે પણ તેવા ગીતો મુકવાની છૂટ લીધી છે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૭૮ – મોહમ્મદ ઇકબાલ
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સર મોહમ્મદ ઈકબાલ ઉર્ફે અલ્લામા ઈકબાલ ( અલ્લામા એટલે વિદ્વાન ) પણ ઉર્દુ સાહિત્યની એવડી મોટી હસ્તી હતા કે એમને ફિલ્મી ગીતકાર જેવી સંકુચિત વ્યાખ્યામાં બાંધી શકાય નહીં. એક મહાન શાયર ઉપરાંત એ ઈસ્લામિક વિચારધારાના પ્રખર ચિંતક અને રાજનીતિજ્ઞ પણ હતા. એમની વિચારધારાએ જ કદાચ ભારતમાં મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રના વિચારને જન્મ આપેલો. જો કે એ વિચાર મૂર્તિમંત થાય એ પહેલાં જ ૧૯૩૮ માં એ જન્નતનશીન થયા. એમને પાકિસ્તાનના રાષ્ટ્રકવિનું બિરુદ મળેલ છે.અનેક ઉર્દુ પુસ્તકો ઉપરાંત એમના કેટલાંક પુસ્તકો અંગ્રેજી અને પંજાબીમાં પણ પ્રકાશિત થયાં છે.
એમણે બાર હજાર ઉપરાંત કાવ્યરચનાઓ કરી જેમાંની સાત હજાર ફારસીમાં છે. એમના જાણીતા શેર ટાંકીએ તો પણ સેંકડોમાં થાય. એમાંના કહેવતો બની ગયેલા કેટલાંક :
ખુદી કો કર બુલંદ ઈતના કે હર તકદીર સે પહલે
ખુદા બંદે સે ખુદ પૂછે બતા તેરી રઝા ક્યા હૈસિતારોં સે આગે જહાં ઔર ભી હૈ
અભી ઈશ્ક કે ઈમ્તેહાં ઔર ભી હૈંહઝારોં સાલ નર્ગિસ અપની બેસૂરી પે રોતી હૈ
બડી મુશ્કિલ સે હોતા હૈ ચમન મેં દીદાવર પૈદાદેશભરમાં જાણીતું એમનું ‘ સારે જહાં સે અચ્છા ‘ વસ્તુત: એક ગઝલ છે. ઘણી હિંદી ફિલ્મોમાં પણ એ રચનાના કેટલાક શેર લેવાયા છે. ફિલ્મ ‘ ભાઈ બહેન ‘ માં એ રચનાનો માત્ર મત્લો યથાવત રાખીને ગીતકાર રાજા મેંહદી અલી ખાને બાકીની પંક્તિઓમાં ફેરફાર કરી એને ગીત / નઝ્મનું સ્વરૂપ આપેલું.
એમની અન્ય એક ઉર્દુપ્રચૂર ગઝલ ‘ કભી ઐ હકીકતે મુંતઝર નઝર આ લિબાસે મજાઝ મેં ‘ નો અહીં જ એક સ્વતંત્ર લેખ દ્વારા આસ્વાદ કરાવેલો.1 એ રચનાના ચાર શેર ફિલ્મ ‘ દુલ્હન એક રાત કી ‘ માં લેવાયેલા.
બન્ને ગઝલ પેશ છે :
સારે જહાં સે અચ્છા હિંદોસ્તા હમારા
હમ બુલબુલે હૈં ઇસકી યે ગુલ્સિતાં હમારાગુરબત મેં હોં અગર હમ રહતા હૈ દિલ વતન મેં
સમઝો વહીં હમેં ભી દિલ હો જહાં હમારાપરબત વો સબ સે ઊંચા હમસાયા આસમાં કા
વો સંતરી હમારા વો પાસબાં હમારામઝહબ નહીં સિખાતા આપસ મેં બૈર રખના
હિન્દી હૈં હમ વતન હૈ હિંદોસ્તાં હમારા…– ફિલ્મ : હમારા ઘર ૧૯૬૪
– વિજયા મજૂમદાર
– જે પી કૌશિક
( આ રચના ઉપરોક્ત ફિલ્મ ઉપરાંત અપના ઘર ૧૯૬૦, આજ કી આવાઝ ૧૯૮૪, યે ગુલિસ્તાં હમારા ૧૯૭૨, હિંદોસ્તાં હમારા ૧૯૫૦ જેવી ફિલ્મોમાં પણ લેવાયેલી . અત્રે મૂળ નવ શેરની ગઝલના ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છે. )
કભી ઐ હકીકત-એ -મુંતઝર નઝર આ લિબાસ-એ-મજાઝ મેં
કિ હઝારોં સજદે તડપ રહે હૈં મેરી જબીન – એ – નિયાઝ મેંતૂ બચા – બચા કે ન રખ ઈસે તેરા આઈના હૈ વો આઈના
શિકસ્તા હો તો અઝીઝ-તર હૈ નિગાહ-એ-આઈનાસાઝ મેંન વો ઈશ્ક મેં રહીં ગર્મિયાં ન વો હુસ્ન મેં રહીં શોખિયાં
ન વો ગઝનવી મેં તડપ રહી ન વો ખમ હૈ ઝુલ્ફ-એ-અયાઝ મેંજો મૈં સર-બ-સજદા હુઆ કભી તો ઝમીં સે આને લગી સદા
તેરા દિલ તો હૈ સનમ – આશનાં તુજે ક્યા મિલેગા નમાઝ મેં…– ફિલ્મ : દુલ્હન એક રાત કી ૧૯૬૬
– લતા
– મદન મોહન( મૂળ ગઝલના આઠ શેરમાંથી અત્રે ફિલ્મમાં લેવાયેલા ચાર શેર આપ્યા છેં. )
1
ન વોહ ખમ હૈ ઝુલ્ફ- એ – અયાઝ મેં – મુહમ્મદ ઈકબાલ – ભગવાન થાવરાણી 30072021
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
વાદ્યવિશેષ (૧૭) – ફૂંકવાદ્યો (૧): ફ્લ્યુટ પ્રકારનાં ફૂંકવાદ્યો (૧)
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
કળ(ચાંપ)વાદ્યો અને તાર(તંતુ)વાદ્યોના હિન્દી ફિલ્મી ગીતોનાં વાદ્યવૃંદોમાં ઉપયોગ વિશે જાણ્યા પછી હવેની કડીઓમાં અલગ પ્રકારના વાદ્યસમૂહ વિશે ચર્ચા કરીશું, જે સમૂહ ‘ફૂંકવાદ્યો’ તરીકે ઓળખાય છે. નામ પરથી જ સમજી શકાય છે તેમ આ પ્રકારનાં વાદ્યો વડે અપેક્ષિત સ્વર નિષ્પન્ન કરવા માટે વાદક તેમાં પોતાના મોંએથી હવા દાખલ કરી અને પછી તે હવા વાદ્યની બહાર નીકળે તે પહેલાં તેને યોગ્ય પદ્ધતિથી નિયંત્રિત કરી, ધાર્યા સૂર ઉપજાવે છે. આ પ્રકારનાં અનેક વાદ્યો મળી આવે છે, પણ મૂળભૂત રીતે તેમને બે મુખ્ય વિભાગોમાં વહેંચી શકાય છે. કાષ્ટ ફૂંકવાદ્યો(વૂડવીન્ડ વાદ્યો) અને ધાત્વિય(બ્રાસ) ફૂંકવાદ્યો. અલબત્ત, તેમનાં નામ પ્રમાણે બધાં જ કાષ્ટ ફૂંકવાદ્યો લાકડાનાં જ બનેલાં હોય કે બ્રાસ ફૂંકવાદ્યો પીત્તળનાં જ બનેલાં હોય તે જરૂરી નથી. આ વર્ગીકરણ જે તે વાદ્યમાં ફૂંકવામાં આવતી હવા વડે નિષ્પન્ન થતા સ્વરને લક્ષ્યમાં લઈને કરવામાં આવે છે.
વૂડવીન્ડ પ્રકારનાં વાદ્યોમાં બે પ્રકાર જોવા મળે છે – ફ્લ્યુટ (Flute) અને સુષીર(Reed) વાદ્યો. ફ્લ્યુટ એક પોલી ભૂંગળી જેવી રચના ધરાવે છે. આ નળીમાં ઉપરના ભાગે ફૂંક લગાવી, હવા દાખલ કરવામાં આવે છે. વાદ્યની નળીનાં ચોક્કસ સ્થાનો પર છીદ્રો આવેલાં હોય છે. આ છીદ્રો વડે બહાર નીકળતી હવાના તરંગોને નિયંત્રિત કરી, અપેક્ષિત સ્વર ઉત્પન્ન કરી શકાય છે. ફ્લ્યુટ પણ બે પ્રકારની જોવા મળે છે, ખુલ્લી અને બંધ.
ખુલ્લી ફ્લ્યુટમાં વાદકે એક તિરાડમાંથી ફૂંક મારવાની હોય છે. તેને લઈને હવાનો પ્રવાહ વિભાજિત થાય છે. વિભાજન પામેલી આ હવા ફ્લ્યુટના પોલાણમાં રહેલા હવાસ્થંભને સક્રિય કરે છે અને કંપન પેદા કરીને સ્વર નિપજાવે છે. ખુલ્લી ફ્લ્યુટમાં બધાં છીદ્રો ખુલ્લાં હોય છે અને જરૂરત અનુસાર વાદકે ચોક્કસ છીદ્રોને આંગળી વડે બંધ કરી દે છે. પરિણામે ખુલ્લા છીદ્રમાંથી નીકલતી હવા યોગ્ય સ્વર ઉત્પન્ન કરે છે.
બંધ ફ્લ્યુટ્માં વાદકે નળીમાં ફૂંક મારવાની હોય છે. આ નળી હવામાર્ગ તરીકે કામ કરે છે. બંધ નળીમાંનો હવાસ્થંભ કંપન પામીને સ્વરને જન્મ આપે છે. આ પ્રકારની ફ્લ્યુટનાં છીદ્રો વાલ્વ વડે ઢંકાયેલાં હોય છે અને જે તે છીદ્ર પરના વાલ્વને આંગળી વડે ખોલી, વાદક અપેક્ષિત સ્વર નીપજાવે છે. અગાઉ જણાવ્યું તેમ, ફ્લ્યુટ માત્ર લાકડામાંથી જ નહીં પણ નિકલ, તાંબું, ચાંદી, સોનું વગેરે મિશ્ર ધાતુઓમાંથી પણ બનાવવામાં આવે છે. આવી ફ્લ્યુટ્સને પાઈપ પણ કહેવામાં આવે છે. અપવાદરૂપે કાચ વડે બનાવાયેલી ફ્લ્યુટ પણ જોવા મળે છે.
નીચે લાકડામાંથી બનેલી ફ્લ્યુટની તસવીર જોઈ શકાય છે.

ફ્લ્યુટ (વાંસળી) પહેલાં પંડીત હરીપ્રસાદ ચૌરસીયાનું વાંસળીવાદન સાંભળી, તે વાદ્યના સ્વરથી પરીચિત થઈએ.
પાઈપ ફ્લ્યુટ્સના કેટલાક પ્રકારો નીચેની તસવીરમાં જોવા મળે છે.

વિવિધ પ્રકારની પાઈપ ફ્લ્યુટ્સ ઉપરની છબીમાં જોઈ શકાય છે તેવી પાઈપ ફ્લ્યુટના વાદનનું એક ઉદાહરણ પ્રસ્તુત છે. વાદક સન્નારી પરદેશી છે, પણ વાદ્યના સ્વર અને ધ્વની ખાસ્સાં જાણીતાં લાગે છે.
હવે કેટલાંક ચુનંદાં ફિલ્મી ગીતો માણીએ, જેમાં વાંસળીવાદનનું પ્રાધાન્ય કાને પડતું રહે છે.
૧૯૪૮ની ફિલ્મ આગનું એક ગીત ‘ન આંખોં મેં આંસુ ન હોઠોં પે હાયેં’ સાંભળીએ, જેમાં શરૂઆતથી જ વાંસળી સાથ આપ્યા કરે છે. સ્વરનિયોજન રામ ગાંગુલીનું છે.
એ જ ફિલ્મનું અન્ય એક ગીત ‘કાહે કોયલ શોર મચાયે રે’ પણ વાંસળીના ટહુકાઓથી સજેલું છે.
ફિલ્મ દીલ્લગી (૧૯૪૯)ના ગીત ‘મુરલીવાલે મુરલી બજા’ સાંભળીએ. આ ગીતમાં વાંસળીવાદન કાનને જકડી રાખે તેવું છે. આ ફિલ્મનું સંગીત નૌશાદે તૈયાર કર્યું હતું.
ફિલ્મ આરઝૂ(૧૯૫૦)નું અનિલ બીશ્વાસના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મોરા નરમ કરજવા ડોલ ગયા’ વાંસળીના કર્ણમોહક અંશો ધરાવે છે.
https://www.youtube.com/watch?v=9kZtpSeUS9A
૧૯૫૦ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ આંસુનું ગીત ‘સુન મોરે સાજના દેખો જી મુઝ કો ભૂલ ના જાના’ આજે પણ લોકપ્રિય છે. સાદા વાદ્યવૃંદ અને ધીરી ગતીએ ચાલતા તાલનો સાથ ધરાવતા આ ગીતને વાંસળીવાદન ભર્યુંભર્યું બનાવે છે. સંગીત હૂશ્નલાલ-ભગતરામે તૈયાર કર્યું હતું.
શંકર-જયકિશનના સંગીતથી સજેલાં ફિલ્મ બૂટ પાલીશ(૧૯૫૪)નું એકે એક ગીત ભારે લોકપ્રિયતાને વર્યું હતું. આજે પણ ચાહકો એ ગીતોને ભૂલ્યા નથી. તે પૈકીનું ગીત ‘તુમ્હારે હૈ તુમ સે દયા માંગતે હૈ’ વાંસળીના અવિસ્મરણીય અંશોથી ભરેલું છે.
વિશ્વવિખ્યાત વાંસળીવાદક પંડીત પન્નાલાલ ઘોષે કેટલીક ફિલ્મોના વાદ્યવૃંદમાં વાંસળીવાદન કર્યું છે. તે પૈકીનું ફિલ્મ બસંત બહાર(૧૯૫૬)નું ગીત ‘મૈં પિયા તોરી તુ માને યા ના માને’ સાંભળીએ. સંગીત શંકર-જયકિશનનું છે.
૧૯૫૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ તાજમાં હેમંતકુમારનું સંગીતનિર્દેશન હતું. તેના ગીત ‘બાંસુરીયાં ફીર સે બજા ઓ કાન્હા’ના માધુર્યમાં વાંસળીના અંશો અનેરો રંગ ભરી દે છે.
ફિલ્મ મેરી સૂરત તેરી આંખેં (૧૯૬૩)ની સફળતામાં સચીનદેવ બર્મનના નિર્દેશનમાં બનેલાં તેનાં ગીતોનું બહુ મોટું પ્રદાન રહ્યું હતું. એમાં પણ ‘પૂછો ના કૈસે મૈં ને રૈન બિતાયી’ તો આજે છ દાયકા પછી પણ ચાહકોના મનોજગત/હ્રદયમાં પોતાનું અડગ સ્થાન જમાવીને બિરાજેલું છે. અત્યંત સાદગીસભર વાદ્યવૃંદમાં વાંસળીના સ્વરો અનોખો રંગ ભરી દે છે.
ફિલ્મ ખાનદાન (૧૯૬૫)નું વાંસળીના સ્વરો ધરાવતું ગીત ‘નીલ ગગન પર ઉડતે બાદલ’ સાંભળીએ. સ્વરનિયોજન રવિનું છે.
https://youtu.be/_HVXJ8BAJM8?si=sm2IAjyQxqdUx6te
આજની કડીમાં આટલું જ. આવતી કડીમાં વધુ ગીતો સાથે મળીએ.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો – ૪૨: વાત અમારા રોહનની
શૈલા મુન્શા
ચાર વર્ષનો રોહન પોલીસ ઓફીસરનો દીકરો. ઘરમાં સહુનો ખૂબ લાડકો. એને જોઈને કોઈને પણ લાડ કરવાનું મન થાય એવો મીઠડો. મમ્મી પપ્પા ખુબ લાડ લડાવે, પણ સાથે સાથે પોલિસ ઓફિસરનો દીકરો એટલે રીતભાત અને નિયમોનું પાલન કરવાનું વગેરે બાબતો વિશે મમ્મી પપ્પાની કાળજી દેખાઈ આવતી.
રોહન ખૂબ ચોક્ખો અને સુઘડ બાળક. પહેલા દિવસે મમ્મી ને પપ્પા બન્ને એને સ્કૂલમાં મુકવા આવ્યા. જાતજાતની સુચના મમ્મી તરફથી અમને મળી, એ શું ખાય છે, એને શું ભાવે છે વગેરે વગેરે. મમ્મી પપ્પા ગયા ને રોહનભાઈએ રડવાનું ચાલુ કરી દીધું. પહેલીવાર એ અજાણ્યા બાળકો વચ્ચે હતો. ધીરે ધીરે એ ટેવાતો ગયો અને એને મજા પડવા માંડી. રોહનને એક નાનકડી બહેન હતી, એનું નામ એમીલી. અમારા ક્લાસમાં પણ એક એમી હતી. રોહન જાણે એનો પણ મોટો ભાઈ હોય તેમ એમી કાંઈક ધમાલ કરે તો હજી અમે એમીને બેસવાનું કહીએ તે પહેલા રોહન કડક અવાજે કહે “એમી બેસી જા”.
એક દિવસ તો ખરી મજા આવી. ક્લાસમાં અમે જુદા જુદા વિભાગ પાડ્યા હતા, આર્ટ વિભાગ જ્યાં બાળકો કાતર કાગળ પેન્લસિલ લઈ કાંઈ ચિત્રકામ કરે. ડ્રામા વિભગ જ્યાં કોમ્યુનિટી હેલ્પરના કપડાં હોય જેમ કે ડોક્ટરનો કોટ, મેડિકલ કીટ વગેરે. આગબંબા વાળાનો ડ્રેસ, પોલિસ ઓફિસરનો ડ્રેસ.
બાળકો પોતાનું કામ પતાવીને એ વિભાગમાં પોતાને મનગમતો ડ્રેસ પહેરી મસ્તી કરે. જે ડોક્ટર બન્યું હોય એ અમને પણ આવી ઈન્જેક્શન આપી જાય. રોહન તો હમેશ પોલિસ ઓફિસરનો ડ્રેસ પહેરી બરાબર એના પપ્પાની નકલ કરે.
એક દિવસ બધા બાળકો પોતાની રમત પ્રવૃતિમાં મશગૂલ હતા પણ એમી બધાને હેરાન કરતી હતી, અચાનક રોહન જે પોલિસના ડ્રેસમાં હતો એ રમતા રમતા ઊભો થઈને બે હાથ કમ્મર પર રાખીને એકદમ પોતાના પપ્પાની જેમ નકલ કરતો કહેવા માંડ્યો “એમી ૧ ૨ ૩ જા જઈને પેલા ખૂણામાં બેસી જા, બિલકુલ ઊભા નથી થવાનું” હું ને મેરી તો જોતા જ રહી ગયા કે ક્યાં થોડા દિવસ પહેલા નો રોહન ને ક્યાં આજનો રોહન.
રોહનને લેવા મોટાભગે એના પપ્પા આવે કારણ મમ્મીને ઘરે નાની દીકરીને સાચવવાની હોય, અને સવારે રોહન સ્કૂલ બસમાં આવે.
એક દિવસ સવારે રોહન બસને બદલે એના પપ્પા સાથે પોલિસની ગાડીમાં આવ્યો. અમારો ક્લાસ એકદમ છેવાડે અને એની બારીમાંથી અમને કાર માં આવતાં બાળકોની જગ્યા દેખાય. અમારી ચબરાક એમીની નજર પડી અને એ બુમ પાડી ઉઠી ” મીસ મુન્શા પોલિસ કાર, પોલિસ કાર” અમે જોયું કે રોહન એમાંથી ઉતરતો હતો! બસ બધા બાળકોને પોલિસ કાર પાસે જઈ જોવાનો અભરખો જાગ્યો, શરુઆત એમીબેને કરી.
બસ પછી તો મજા જ મજા. બધા બાળકોને બહાર ગાડી પાસે લઈ ગયાને ફોટા પાડ્યા ને રોહનના પપ્પાના યુનિફોર્મને બધા નવાઈથી જોતા રહ્યા. પડછંદ પપ્પાની આસપાસ અમારા નાનકડાં બાળકોએ જાતજાતના ફોટા પડાવ્યા!
કેટલો નિર્દોષ આનંદ આ બાળકો નાની વાતમાં પણ મેળવી લે છે એ જો એમની પાસે શિખવા જેવું છે.
એ નિર્દોષતા ક્યારેય ઓછી ના થાય એ જ પ્રાર્થના.એ દિવસો અને એ દેવદૂતો ક્યારેય વિસરાય એમ નથી. એમની યાદ મને પણ હમેશ જીવવાની, દુઃખ ભુલી ખુશ રહેવાની હિંમત આપે છે!
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
પ્રભાતે મલદર્શનમ્ તથા મળની વ્યવસ્થા
નલિની નાવરેકર
આપણે બધા જ ભોજન કરીએ છીએ. માત્ર મનુષ્ય જ નહીં, બધા જ સજીવોને અન્નની જરૂરિયાત હોય છે. અન્ન ગ્રહણ કરનાર દરેક સજીવ માટે મળવિસર્જન એ એક સ્વાભાવિક ક્રિયા છે. ઘણાં કારણોસર મનુષ્યપ્રાણી માટે આ સાધારણ ક્રિયા વિશે કેટલું વિચારવું પડે છે !
માણસ જ્યારથી એક જગ્યાએ વસવાટ કરવા માંડ્યો, ગામડાં વસતાં ગયાં, શહેર વધવા માંડ્યાં ત્યારથી મળવિસર્જન, મળના વ્યવસ્થાપનની સમસ્યા સામે આવી. તેને માટે આંદોલન પણ થયાં. અભિયાનો ચાલ્યાં. તેને માટે કેટલી મોટી યોજનાઓ પણ બનાવવી પડી. આજે પણ તે ચાલુ જ છે. આ બાબતે ઘણાં અધ્યયન, સંશોધન પણ થયાં અને હજુ પણ થઈ રહ્યાં છે.
ભંગીમુક્તિ આંદોલન :
ગામડાં અથવા તો શહેરની બસ્તીઓ જ્યારે નાની હતી, છૂટી છવાઈ હતી ત્યારે લોકો વસ્તીથી દૂર ખુલ્લામાં શૌચ માટે જતા હતા. ત્યાં તેનું વિઘટન પ્રાકૃતિક પદ્ધતિથી પોતાની મેળે જ થઈ જતું હતું. આગળ જતાં ગામ વધતાં ગયાં, વસ્તી ગીચ થતી ગઈ અને મોગલો ભારતમાં આવ્યા, આ બંને કારણોથી બંધ ઓરડામાં એટલે કે પાયખાનામાં શૌચ જવાનું શરૂ થયું.
આગળ જતાં ધીમે ધીમે આપણાં બધાં જ શહેરોમાં આ પદ્ધતિની સ્થાપના થઈ. પરંતુ તેમાં મળની વ્યવસ્થા અંગે કશું વિચારવામાં આવ્યું ન હતું. નીચેના ખાડામાં એક ડોળ, ડબ્બો અથવા એક ટોપલી મૂકવામાં આવતી હતી, જેમાં મેલું એકત્ર થતું હતું. સાથે સાથે પાણી અને પેશાબ પણ હોવાથી પાતળા મળનો નિકાલ કરવાનો આવતો હતો. ડોલની આજુબાજુ પણ મળ પડતો હતો અને તે સાફ કરવાનું કામ એક વિશિષ્ટ જાતિના લોકો ઉપર લાદવામાં આવ્યું હતું. તેમની એક નવી જમાત જ બની ગઈ – ‘ભંગી જમાત’.
જ્યારે માણસને પોતાના મળની જ ચીતરી ચડે છે, તો પછી બીજાના સડેલા મળને ઉપાડવાનું કામ કેટલું ગંદકીભર્યું હશે ? આવા અમાનવીય કામની કલ્પના પણ કરવી અઘરી છે ! આ કામ ભંગીઓને કઈ પરિસ્થિતિમાં કરવું પડ્યું ? ઘરના પાછળના ભાગમાં નાનકડો દરવાજો રાખવામાં આવતો. ત્યાંથી મેલું ભરેલ ડબ્બો હાથથી ઊંચકવાનો, તેને માથા પર મૂકીને લઈ જવો પડતો. કામ કરતી વખતે આ મેલું શરીર પર પડે, દુર્ગંધની તો વાતો જ ના કરો ! આ રીતે અત્યંત ગંદું કામ આ મિત્રોને કરવું પડ્યું. અને આ કામ કરનારાઓ સાથે લોકોનો વ્યવહાર પશુથીયે નીચા દરજ્જાનો રહ્યો.
ગાંધીજીની પ્રેરણાથી દેશભરમાં સમર્પિત તેમજ નિષ્ઠાવાન ગાંધીજનોએ ભંગીમુક્તિનું મોટું તેમજ મહત્ત્વનું કામ કર્યું. તેના આધારે પાછળથી સરકારે કેટલીયે સમિતિઓ અને કાયદાઓ દ્વારા પોતાનું કામ કર્યું.
આજે શહેરોમાં મહદ્અંશે સેપ્ટીક ટેંક વાળાં શૌચાલયો છે, જેમાં રોજ ભંગીની જરૂર પડતી નથી. પરંતુ આ પણ કંઈ આદર્શ પદ્ધતિ નથી.
ઔદ્યોગિકીકરણ :
ઇંગ્લેન્ડમાં ઔદ્યોગિકીકરણની સાથે કારખાનાઓ ઊભાં થયાં. તેથી તેમાં કામ કરનારા લોકો મોટી સંખ્યામાં કારખાનાની આસપાસ આવીને વસ્યા. શહેરો વધવાની ગતિ વધી. અને ‘માનવમળ’ને કારણે પ્રશ્ર્નો ઊભા થયા. ગંદકી અને તેને કારણે રોગો ફેલાવા માંડ્યા. તેથી ત્યાંના માનવમળનો જલદીમાં જલદી નિકાલ કરવાનો વિચાર થવા લાગ્યો. બાળી નાંખો અથવા સમુદ્રમાં નાંખો અથવા જમીનમાં ઊંડે ધરબી દો.
આ જ સમયે ‘સેપ્ટીક ટેંક લેટ્રીન’ની શોધ થઈ. અંગ્રેજોને કારણે આ દુનિયાભરમાં પહોંચ્યું. આપણાં શહેરોમાં પણ મુખ્યત્વે સેપ્ટીક ટેંક શૌચાલયો જ છે. આજે આ પ્રકારનાં શૌચાલય સંપૂર્ણ રીતે નિર્દોષ સાબિત નથી થઈ રહ્યાં. પર્યાવરણ, સ્વાસ્થ્ય અને ખાતરની દૃષ્ટિએ સુધ્ધાં. તેમાંથી બહાર આવતી સ્લરીને ક્યાંક ખુલ્લામાં છોડી દેવાય છે. ક્યાંક ખુલ્લી ગટરોમાં વહેવડાવી દેવાય છે તો ક્યાંક મળ શુદ્ધિકરણ (સ્યુએજ) કેન્દ્ર પણ હોય છે. પરંતુ ઘણાં કારણોસર તે યોગ્ય રીતે કામ નથી કરી શકતાં, એકંદરે આ પ્રકારનાં શૌચાલયોથી હવાનું પ્રદૂષણ તેમજ નદીઓનું પણ પ્રદૂષણ થાય છે. નદીઓને ખૂબ જ મોટું નુકસાન આને કારણે થઈ રહ્યું છે.
સોનખત :
અહીં આપણા દેશમાં, ચીન, જાપાન જેવા કૃષિપ્રધાન દેશોનો અનુભવ હતો કે જમીન પર જ્યાં માનવમળ પડ્યો હોય ત્યાં પાક સારો આવે છે. પોતાની રીતે પારંપરિક પદ્ધતિઓ દ્વારા આ દેશો તેનો ઉપયોગ કરતા હતા.
ભારતમાં માનવમળમાંથી બનેલ ખાતરને સોનખત કહેવામાં આવે છે. ચીનમાં લાકડાની ડોલમાં મનુષ્યનો તાજો મળ લઈને લાકડાના ચમચા વડે છોડને આપવાની પદ્ધતિ અગાઉ હતી. જાપાનમાં શૌચાલય તથા તેમાંથી મળતા ખાતરનું ખૂબ મહત્ત્વ રહ્યું છે.
ગાંધીજીએ પોતાના રચનાત્મક કાર્યક્રમોમાં ‘સ્વચ્છતા કાર્ય’ને મહત્ત્વપૂર્ણનું સ્થાન આપ્યું હતું. મળની વ્યવસ્થા વૈજ્ઞાનિક પદ્ધતિથી થાય તેનો આગ્રહ રાખ્યો હતો. માનવમળની અવ્યવસ્થાને કારણે ગંદકી અને રોગચાળા ફેલાય છે. તો બીજી તરફ આની વ્યવસ્થા સુચારુરૂપે કરવામાં આવે તો ઉત્તમ ખાતર મળી શકે છે. જેનાથી આરોગ્ય પણ સચવાય, ગંદકી ન થાય અને ખાતર પણ મળે એના માટે ગાંધીજીએ પ્રયોગ કર્યા અને કરાવ્યા. ત્યારબાદ દેશ આખામાં અનેક ગાંધીજનોએ ખાતર આપનાર વૈજ્ઞાનિક શૌચાલયોનું નિર્માણ તેમજ પ્રસાર કર્યો.
જો દેશનાં તમામ મળમૂત્રમાંથી ખાતર બનાવવામાં આવે, તો આખા દેશની ખેતી માટે તે પૂરતું થઈ જાય. એક મનુષ્ય માટે અનાજ ઉગાડવા માટે જમીનની જેટલી ઊર્જા વપરાય તેની ક્ષતિપૂર્તિ તે જ વ્યક્તિના મળના ખાતરથી થઈ શકે, તેવું આંકડાઓ દ્વારા સાબિત થઈ ચૂકેલું છે. વિશ્ર્વભરમાં આજે આ રીતે ખાતર ઉત્પાદનના પ્રયોગો થઈ રહ્યા છે. ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, ખાનગી કંપનીઓ તેમજ સરકારોની યોજનાઓ આ દિશામાં પ્રયોગો કરી રહી છે.
ખાતર બન્યા પછી એક વિશેષ પ્રકારની વાસ આવે છે. જાપાનના યુવાનો તેને ગૌરવથી આ અમારી રાષ્ટ્રીય ગંધ (નેશનલ સ્મેલ) કહે છે. સ્વીડનમાં ‘પીપુ’ નામનો એક ઉદ્યોગ છે, જે માનવમળ એકત્ર કરીને તેનું ખાતર બનાવીને ખેડૂતોને વેચે છે. ફ્રાન્સમાં ‘ફ્યુલી’ એક પારંપરિક પદ્ધતિ છે, જેમાં ખેતરમાં જ મળવિસર્જન કરીને જગ્યા પર જ ખાતર બનાવતા જવાનું હોય છે. વિવિધ દેશોમાં આવા અનેક પ્રયોગ, પ્રયાસ, પ્રકલ્પ થઈ રહ્યા છે.
“પ્રભાતે મલદર્શનમ્”
વહેલી સવારે ઊઠીને સવારે જ મળવિસર્જન થવું એ સારા સ્વાસ્થ્યનું લક્ષણ છે અને તેનું કારણ પણ છે. પેથોલોજીસ્ટ ચેપ અથવા રોગની સમજણ માટે રોગીના મળની તપાસ કરાવે છે. આપણે પોતે પણ તે કરી શકીએ, ‘શું હું સ્વસ્થ છું ? – મારો મળ પાતળો તો નથી, અથવા વધુ પડતો કઠણ નથીને ? વધુ દુર્ગંધ તો નથી આવતી ને ? – અને જો તેમ હોય તો – મેં શું ખાધું હતું ? શું ખાવું જોઈએ ? – મન પર કાબૂ રાખવો જોઈએ ?’ – પોતાના મળદર્શનથી આ રીતે આરોગ્ય અને વૈરાગ્ય બંને સાધી શકાશે.
આપણે શું કરી શકીએ ?
આપણે જમીનમાંથી જે લઈએ છીએ, તે તેને પાછું આપવું. તેની જરૂરિયાત પૂરી કરવી એ ખરેખર તો આપણું કર્તવ્ય છે. માણસનો એક સ્વાભાવિક શરીરધર્મ અને સાધારણ ક્રિયા છે મળવિસર્જન ! તે જ સ્થાન પર તેનો નૈસર્ગિક રીતે નિવેડો થઈ જાય તે કેટલી સહેલી વાત છે, તેની ઘૃણા કેમ કરીએ ? એ સમજવું પણ કેટલું સહેલું છે કે આ નાની શી વાતને જટિલ કેમ બનાવવી જોઈએ ? તેને માટે મોટી મોટી યોજનાઓ બનાવવાની જરૂર નથી. આપણે જો મોટા શહેરમાં રહેતા હોઈએ તો આજે પણ એ સાવ અશક્ય નથી, થોડું મુશ્કેલ જરૂર છે. આ સિવાય આપણે આપણા વાડામાં, આંગણામાં કે ખેતરમાં જરૂર કંઈક તો વિચારી શકીએ.
- ખૂરપી શૌચાલયનો અર્થ છે કે ખૂરપીથી એક નાનો ખાડો કરવો, તેમાં શૌચ કરીને તેને માટીથી ઢાંકી દેવું.
- નાના નાના ખાડાઓ એક લાઈનમાં ખોદી રાખવા. તેની આજુ-બાજુ / આડશ માટે પડદો રાખવો જે રોજ આગળ ખસેડતા જઈ શકાય. ગાંધીજીએ આ પ્રયોગ સૂચવ્યો હતો.
- એક છે નાલી શૌચાલય. નીક બનાવીને તેમાં મળવિસર્જન કરીને તેના પર માટી ઢાંકી દેવાની હોય છે. આજુબાજુ આડશ કરી દેવી. આ અર્ધ-તાત્કાલિક છે. તેમાં જલદીથી સારું ખાતર બની શકે છે.
- દ્વિકૂપ શૌચાલય છે, જેની ટાંકી ઈંટ-સિમેંટથી બનાવાય છે. આમાંથી બે-ત્રણ વર્ષે અથવા દર વર્ષે પણ સહેલાઈથી ખાતર કાઢી શકાય છે.
- નાયગાવ ખાદઘર નામનું એક શૌચાલય છે. તેમાંથી આપણે વધુમાં વધુ પ્રમાણમાં ખાતર મેળવી શકીએ છીએ.
- બાયોગેસ પ્લાન્ટનો ઉપયોગ પણ મળવ્યવસ્થાની દૃષ્ટિથી કરી શકાય છે.
શૌચાલયોના ઘણા પ્રકાર છે. જે સસ્તું પણ હોય અને સ્વાસ્થ્યની રીતે પણ હાનિકારક ન હોય, પાણીની જરૂરિયાત પણ ઓછી હોય અને જે પાણી અને હવાનું પ્રદૂષણ પણ ન કરતાં હોય. જેમાંથી સારું ખાતર પણ મળી શકે અને છતાં ગંદું કામ ન કરવું પડે. જેની સારસંભાળ પણ સહેલાઈથી લઈ શકાય.
શું આપણે આમાંનો કોઈ વિકલ્પ પસંદ કરી શકીએ ? અને આપણે સાચા સર્વોદયી, સાચા ગાંધી-વિનોબા અનુયાયી અથવા સાચા સમાજસેવક, પર્યાવરણ રક્ષક છીએ એવું સાબિત કરી શકીએ ?
– નલિની નાવરેકર (મો.: ૭૫૮૮૩૧૬૧૩૭)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪
-
જીવો જલસેસે “જનરેશન ગેપ”માં
સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ
જેમ તબીબી વિજ્ઞાન આગળ વધે છ અને માણસ પોતે પણ પોતાની કાળજી વિશેષ રાખતો થ્યો છ એમ માણસનું આવરદા વધે છ; દા.ત. અગાઉનાં વરસોથી વધારે ૨૦૨૪માં ભારતમાં સ્ત્રીનું સરેરાસ આવરદા ૭૩.૮૬ વરસ, પુરુષનું ૭૦.૭૩ વરસ અને યુ.એસ.માં અનુક્રમે ૮૧.૯૮ વરસ અને ૭૭.૦૫ વરસ ડબ્લ્યુ.એચ.ઓ. નોંધે છે. વધુમાં, યુ.એસ.માં લાંબા સમયથી વસતી ભારતીય સ્ત્રીનું સરેરાસ આયુ ૮૦.૨ વરસ ને પુરુષનું ૭૪.૮ વરસ સી.ડી.સી. નોંધે છે. અલબત્ત આવરદા વધે એટલે “ક્વોલિટી ઓફ લાઈફ” વધે કે પે’લાં જેવી પણ રે’ ઈ જરૂરી નથી પણ બહુધા “જનરેશન ગેપ” તો વધે છે. બીજું, હાલમાં સાત જનરેશન્સને એના જનમના વરસો અનુસાર નામ દેવાણાં છે જેમા મારા જેવા બીજા વિશ્વયુદ્ધ બાદ જન્મેલા “બેબી બુમર” ને છેલ્લા દસ વરસમાં જન્મેલા “આલ્ફા” જનરેશન તરીકે ઓળખાય છે. આમ અમારો નાતો “એક્ક્ષ,” “મેલેનિયલ,” “ઝી,” અને “આલ્ફા” જનરેશન્સ હારે ને મનોવૈજ્ઞાનિકોના કે’વા મુજબ “બેબી બુમર્સ”ને “જનરેશન ગેપ” સૌથી ઓછો નડે છે. તો સૌ પ્રથમ મારી નજરે “જનરેશન ગેપ” શું છે યાંથી આજની વાત માંડી ને પછી આ બાબતે બે નિજી ઉદાહરણો દઈશ.
મારી ઉંમરનાને ખબર છે કે આજથી દસેક દાયકા પે’લાંનાં માબાપ ભાગ્યેજ દાદાદાદી કે નાનાનાની બનીને ત્રીજી પેઢી જોઈ સકતાં ત્યારે આજ ચોથી પેઢી જોવી ઈ સામાન્ય છે. પરિણામે ગત અને ચાલુ સદીમાં ભલે આજીવન નહીં તો પણ ત્રણચાર પેઢીનો સંયુક્ત વસવાટ એક છાપરા તળે મેં જોયો છે ને આ પરિસ્થિતિમાં બે પેઢી વચ્ચેની પેઢીને “સેન્ડવિચ જનરેશન” પણ ઘણા કે’છ. મારા પાડોસી અમેરિકનોમાં પણ વસવાટ નહીં તો પણ ચાર પેઢીનું વખતોવખત હળવુંમળવું, હારે મુસાફરી કરવી, વેકેસનો લેવાં, વ. પણ હું જોવું છું. હવે જયારે બે પેઢી હારે વસે ત્યારે ગૌણ વિચારોમાં તફાવતો હોવા ઈ સામાન્ય છે, પછી ઈ ૫૦મી વેડિંગ એનેવર્સરી ઉજવેલ દંપતી હોય ને કિશોર વયનાં એનાં પૌત્ર કે પૌત્રી હોય કે ત્રીસેક વટાવેલ માંબાપ ને મૂછનો દોરો ફૂટેલ એનો દીકરો હોય. પણ જયારે બે પેઢી વચ્ચે પ્રધાન વિચારોમાં અંતર, તફાવત કે ગાળો હોય એને જ હું “જનરેશન ગેપ” ગણું છ અને જયારે આ વિચાર તફાવતો ઉંડા અને વિસ્તૃત હોય છે અને એને ધ્યાન નથી દેવાતું ત્યારે ઉભયપક્ષે જીવનમાં ઝેર ઘોળાય છે.
મારું ઈ પણ નિરીક્ષણ છે કે બે પેઢી વચ્ચે પ્રમુખ વિચારોમાં ગાળો વધી જાય ત્યારે નવી પેઢીનો જ વાંક હોય એવું નથી હોતું પણ ઉંમરે મોટી વ્યક્તિ પણ જવાબદાર હોય છે ને ઇથી ઉલટું પણ બને છે કે જેના અગણિત દાખલાઓમાંના ગણીને:
મારા સાસરા પક્ષે બેય પગે સંપૂર્ણ અસ્થિર, ૯૦ વટાવી ગયેલ એક વૃદ્ધ બેન યુ.એસ.માં એના પરિવાર હારે રે’છ. કમનસીબે ઈ બેન એની ઉંમરનો સ્વીકાર ન કરવાને બદલે હજી એમ જ માને છે કે ઈ “સોળ વરસની સુંદરી” છે. છસાત વરસ પે’લાં દાક્તરની અને પરિવારની કડક સૂચના ન ગણકારીને “વોકર” વગર હાલતાં ખરાબ રીતે પડ્યાં ને લાંબો ખાટલો વેઠ્યા પછી હવે “વોકર” લઈને હાલતાં થ્યાં છ. એની માંદગી દરમ્યાન પરિવારે પૈસાનું પાણી તો કર્યું ને હારે અસહ્ય હાલાકી પણ ભોગવી. આટઆટલું થ્યું છતાં ઈ બેન હજી એમ જ કે’છ, “ના…રે…ના. આ દાકતરુ ખોટા મને વોકરે હલાવે છ બાકી હું તો હજી ત્રણ તાલીના ગરબાએ કરી સકું.”
રાજકોટમાં એક રૂઢિચુસ્ત સંયુક્ત પરિવારમાં સસરા, જેઠ અને પરિવારના આઘેરા વડીલોની ઘરની વહુઓએ નાક ઢાંકતી લાજ કાઢવાનો રિવાજ હતો. પરિવાર પૈસેટકે સુખી એટલે દરસાલ બસ બાંધીને ભારતભ્રમણ કરે પણ બધી વહુઓએ તો લાજના ઘૂમટામાંથી જ બધું જોવાનું. પરિણામે વહુઓની એક જ ફરિયાદ કે “અમે તાજમહાલ તો જોયો છ પણ ઈ ધોળો હતો ઈ અમારાં છોકરાંઉએ કીધું ત્યારે ખબર પડી.” વરસો સુધી ઘરના દીકરાઓએ વડીલોને લાજ મુકાવી દેવા કાગલુદી કરી પણ વડીલો “એકના બે ન થ્યા” ને અંતે પરિવાર વેરવિખેર થઇ ગ્યો.
બાળપણમાં જે કવિને હું મળેલો એને ૨૦૧૨માં મળવા ગ્યો ત્યારે ખબર પડી કે ઈ વિધુર હતા, એના બે સુખી દીકરા સહપરિવાર ગામમાં જ રે’તાતા ને કવિ પોતે એના આખરી દિવસોમાં ખુદના ઘરમાં ખોયાખાટલે સુતાતા. વાત કરતાં ખબર પડી કે કવિ દીકરાઓ ભેગા નો’તા રે’તા કારણ કે એને પૌત્રી-પૌત્રો વચ્ચે તદ્દન ગૌણ મતભેદ હતા કે જે દીકરાઓએ ઉકેલવા અથાગ પ્રયત્નો પણ કર્યાતા. સરવાળે કવિવરે અલગ રેવાનું પસંદ કર્યુંતું. ત્યાર બાદ ૨૦૧૮માં મને ખબર પડી કે ૨૦૧૬માં કવિશ્રી વૈકુંઠે વસ્યા કે જેની પે’લી ખબર પાડોસીને ત્રણ દી’એ પડી. પછી તો દીકરાઓ અને એના સમગ્ર પરિવારે કોઈ પણ જાતના રાગદ્વેષ વગર અંતિમ સંસ્કાર અને ક્રિયા કર્યાં.
એક પરિવારને હું પરોક્ષ રીતે ઓળખું કે જેમાં માંબાપ દીકરાવહુ હારે રે’તાં. જુવાન દીકરાને દારૂની લત પડી ગઈ ને ઈ ઘરમાં પીવા મંડ્યો ત્યારે માંબાપે દીકરાને દારૂ ન પીવાની શક્ય એટલી સલાહ આપી. દીકરો આ સલાહ ને માથાકૂટથી કંટાળ્યો એટલે “હું તમને હારે નહીં રાખું, આ ઉંમરે એકલા રે‘વું પડશે” એમ ડરાવીધમકાવીને બાપને પીવાનું દબાણ મુકવા મંડ્યો. કમનસીબે દીકરો છસાત વરસમાં “લીવર સિરોસિસ”માં ગુજરી ગ્યો.
મારા બાળપણમાં મેં સાંભળેલ કે મારા પિતૃપક્ષે એક વિધુર બાપ ભણેલગણેલ સુખી દીકરાવહુ ભેગા સંજોગવશ રે’વા ગ્યા. સમય જાતાં દીકરાવહુને ખબર પડી કે બાપ આગળ ઈ લોકોને વારસે દેવાય એટલી મિલ્કત નો’તી. પરિણામે, દીકરાની વહુએ ઈ વિધુર બાપને ખીચડીમાં માકડ મારવાની દવા ખવરાવી પણ સદ્દનસીબે બાપ બચી ગ્યા ને અન્ય એક સગાને ઘેર બાકીનું જીવન વ્યતીત કર્યું. આની વિરુદ્ધમાં, ભણેલગણેલ તવંગર માબાપ જયારે મુંબઇનો વસવાટ છોડી એકનાએક દીકરા ભેગાં વસ્યાં ત્યારે દીકરાએ માબાપની સંપત્તિ એના નામે કરાવી દીધી. ચારેક વરસમાં દીકરાવહુના ત્રાસે બિનઘર થયેલ માબાપ “દુઃખીના દાળિયા” થઈને મ્રૃત્યુ પામ્યાં.
મારા મતે “જનરેશન ગેપ” ઉભો કરતાં અનેક પરિબળો છે. જયારે વડીલો એના માટે જવાબદાર હોય છે ત્યારે મુખ્યત્વે ઈ લોકો એમ માનતા હોય છે કે “મને જાજો અનુભવ છે, હું જે વિચારું ઈ જ સાચું છે, નાનાને ગતાગમ નથી, અમે ઘર માંડીને જેમ રયા ને જે રીતરિવાજ પાળ્યા ઈ જ બધું ઉત્તમ ને સાચું હતું ને આજનો જમાનો વંઠી ગ્યો છે, વ.” જયારે પછીની પેઢીથી “જનરેશન ગેપ” ઉભો થાય છે ત્યારે મોટા ભાગે પોતાપણે, પોતીકા વિચારે, પારકાની જવાબદારી વિના “અમે બે ને અમારાં બે‘ એવા “ન્યુક્લિઅર ફેમિલી”માં સ્વતંત્ર જીવવાની એની મહેચ્છા છે. આ મહેચ્છાની આગને એની પૈસાની ઘેલછા અને “દુનિયાનાં તમામ સુખસગવડ મને અબઘડી જોયેં છ” ઈ ગાંડપણ ઉત્તેજે છે. બીજું, જેમજેમ સોસીયલ-મીડિયા અને એ.આઈ. યુગ વ્યાપક બનતો જાય છે એમએમ દુનિયા નાની થાતી જાય છે ને આવાં અનિચ્છનીય પરિબળો વધતાં જાય છે. એટલે સંજોગો વસાત પણ જો “જનરેશન ગેપ”માં સુખશાંતિથી લાંબો સમય જીવવું હોય તો મારી દ્રષ્ટિએ ઓછામાંઓછી નીચેની શરતોનું પાલન ઉભયપક્ષે આવશ્યક છે:
(૧) અલગ પડતા અગત્યના (ગૌણ નહીં) વિચારોની મોકળા મને આપ-લે; દા.ત., “હું આમ કરું છું કારણ કે…”
(૨) જો “કારણ” વજૂદ લાગે તો પરિણમતા વર્તનનો સ્વીકાર કરવો અને જો ન લાગે તો ખેલદિલીથી ઈ વિષે વિશેષ ચર્ચા કરવી. પછી પણ જો “કારણ” અસ્વીકાર્ય જ રે’ પણ વર્તુણક હાનિકારક ન હોય તો એની અવગણના કરી જીવતાં શીખવું.
(૩) જયારે પણ અસ્વીકાર્ય વર્તુણકની અવગણના કરી જીવીયેં ત્યારે સામી વ્યક્તિને ઈ યાદ ન કરાવવું કે જેથી “હાર્યો જુગારી બમણું રમે” પણ એને ખુદને જ એની પ્રતીતિ થાવા દેવી. હું માનું છું કે સામા માણસમાં જો મતિ અને સંસ્કારનો છાંટોયે હશે તો ઈ વારંવાર એવું વર્તન નહીં કરે કે જેથી બીજાને “આંખ આડા કાન” કરવા પડે.
(૪) જો વર્તુણક નુકસાનકારક હોય અને સમજાવ્યા છતાં પણ ઈ ચાલુ રે’ તો ઈ માણસ ખત્તા ખાઈને જાત અનુભવે શીખશે એવી આશા હારે જીવતાં શીખવું ને પરિણામ પરમાત્માને સોંપવું.
હું અને “જનરેશન ગેપ”
ઉદાહરણ ૧ – હું ૧૯૭૦માં યુ.એસ. પે’લી વખત આવ્યો ઈ પે’લાં ચારેક વરસથી પુનાપતી તમાકુ ખાતોતો એટલે પછીનાં બેએક વરસ તો પપ્પાએ તમાકુ, રોપારી, ચૂનો વી. મને મોકલ્યાં ને મેં બે મોઢાની ડબ્બી માંથી ખાધાં. પછી પપ્પાની નાદુરસ્ત તબિયત ને વધતી ઉંમરના લીધે એનાથી આ સરંજામ નિયમિત ન મોકલાતો એટલે મેં સ્મોકિંગ ચાલુ કર્યું. સાત વરસે પે’લી વાર હું ભારત આવ્યો ત્યારે મુંબઈથી ફ્લાય થઈને સાંજના છએક વાગે પોરબંદર કે જ્યાં ત્યારે અમે રે’તા પૂગ્યો. એરપોર્ટ સમગ્ર પરિવાર મને તેડવા આવેલ. અમે ઘેર પોંચ્યા બાદ ભાભીએ ઘરનો તાજો ચા-નાસ્તો કાઢ્યાં ને સૌને આપ્યાં. મેં ઇન્ડિયન ફૂડ ત્યારે સાત વરસે પે’લી વાર જોયો એટલે નાસ્તો તો જાણે ભાવ્યો પણ ચા ન પીધો. પપ્પા મારી પડખે જ સોફામાં બેઠાતા ને એને મારા ખમીસના ખીસામાં “વિન્સ્ટન” સિગરેટનું પાકીટ ને લાઈટર જોયાં એટલે એને તરતજ મારી બેનને કીધું કે “દિનેશને એશ-ટ્રે આપો” ને પપ્પા એ મને કીધું કે “લ્યો હવે ચા પીવો, ભાવશે.” ત્યાર પછી પપ્પાએ કોઈ વાર મને પૂછ્યું નો’તું કે “કેમ સ્મોકિંગ કરો છ” કે ઈ ન કરવાની સલાહ દીધી. મેં પણ ઈ ઘડીથી કોઈ દી’ માં-પપ્પા કે કુટુંબના વડીલો સામે મારી દેશની રોકત દરિમયાન સિગરેટ ન પીધી. લગ્ન પછી મેં સ્મોકિંગ પણ મૂકી દીધું ને તમાકુએ પાછો વળી ગ્યો.
મારો ઉપરના ઉદાહરણનું કારણ ઈ છે કે મારા અને મારા બાપ વચે આશરે પાંચ દાયકાનો ઉમર તફાવત છતાં પણ ત્યારે એની મારી સ્મોકિંગની નુકસાનકારક વર્તુણકની અને એનું પરિણામ મારે જ ભોગવવાનું છે ઈ સમજ અને “જનરેશન ગેપ” ઘટાડવાની કળા માટે મને માન છે. મારી ઉંમરના સૌને આ “ગેપ” પછીની પેઢી હારે હશે જ પણ એને કેમ ઘટાડવો ઈ ઉભયપક્ષી આવડત છે કે જે એકબીજામાંથી સહજ્તાથી શીખી શકાય, જો “ઈગો” બાજુએ મૂકીને સામાના વિચારને ખુલ્લા દિલે અને મગજે આવકરીયેં તો.
ઉદાહરણ ૨ – હું યુ.એસ. આવ્યો ઈ પે’લાં મેં બેચાર વખત દોયડાવાળા ફોન દેશમાં વાપરેલ ને પછી યુ.એસ.માં ઈ વધુ વાપરતો થ્યો. “ફાસ્ટ ફોરવર્ડ” ૨૦૦૧માં મેં પે’લો ત્યારે મળતો સેલફોન કે જે ફ્લિપફોન કે’વાતો ઈ ખરીદ્યો. ત્યારે સેલફોનથી સંપૂર્ણ વાકેફ મારા કોલેજમાં ભણતા દીકરાએ કીધું કે ઈ મને સેલફોન સેટ કરીને કેમ વાપરવો, વ. શીખવે. ઈ વખતે મારો એને જવાબ, “ના. હું પીએચ.ડી. છું, ઉંમરે બમણો મોટો છું ને મને આવડે છ.” ચારેક દી’ ઈ ફોન શીખવા હું મથ્યો ને છેલ્લે તોડ્યો. પછી બીજો એવો ફોન દીકરા આગળ શીખ્યો. જો કે હું આ ભૂલમાંથી ઈ શીખ્યો કે “જેહનાં કામ જેથી થાય” ને એટલે તો હવેનું અમારું પૂર્ણ આધુનિક ટી.વી. કેમ ચાલુ કરવું ઈ પણ મારી બાળક દોહિત્રી પાસેથી હું શીખ્યો.
આ વિષય આટોપતાં મારે નોંધવું છે કે છેલ્લા કેટલાક અરસાથી હું ટી.વી.માં જોવું છું ને વાંચું પણ છું કે પશ્ચિમના દેશો માફક ભારતમાં પણ આજકાલના વડીલો “જનરેશન ગેપ” હારે આજીવન રે’વાનું ઓછું પસંદ કરે છે કારણ કે ઈ લોકો પૈસેટકે સુખી છે ને એને નાનુંમોટું ફાયનાન્સિયલ પ્લાનિંગ કરેલું હોય છે. આવા વડીલો સમવડીયા અને સમકાલીન સાથીઓ હારે મનગમતી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રે’છે ને થોડા સમય માટે એના સંતાનો કે પછીની પેઢી હારે પણ આનંદકિલ્લોલે સાથે રે’છે. ઉપરાંત હવે તો ઘણાં સારાં “સિનિયર સીટીઝન હોમ્સ” પણ ભારતમાં બને છે કે જે પેલાના જમાનાના “વૃધ્ધાશ્રમોથી” વધુ મોંઘા પણ સગવડ અને સાધનસંમ્પન્ન હોય છે. સંજોગે જો મારે આજીવન આવા એકાદ “હોમ”માં રે’વું પડે તો હું ખુશીથી રહું ને સગવડે થોડો સમય મારાં સંતાનો હારે પણ રહું કે જે આજ પશ્ચિમી દેશોમાં વ્યાપક છે અને ભારતમાં એની શરૂઆત થઇ ચુકી છે.
ડૉ. દિનેશ વૈશ્નવનો સંપર્ક sribaba48@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
પ્રવાસીઓને કામચલાઉ ધોરણે સુધારવાનો પ્રયાસ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સ્પેનના બાર્સેલોના શહેરના રહેવાસીઓએ પ્રવાસીઓ વિરુદ્ધ દેખાવો કર્યા તેમજ એ જ દેશના મયોકા ટાપુના રહેવાસીઓએ પણ પ્રવાસીઓનો વિરોધ કર્યો હોવાની વિગતે વાત આ કટારમાં ત્રણ-ચાર મહિના અગાઉ ઉલ્લેખાઈ હતી. હવામાન પરિવર્તન, પ્રદૂષણ સહિત અનેક પરિબળો પ્રવાસનસ્થળને નડતાં હોય છે. પ્રવાસીઓને નારાજ કરવા એટલે પોતાની આવકના સ્રોત પર પાટુ મારવું. આમ છતાં, એ જોખમ વહોરીને પણ સ્પેનના કેટલાક સ્થળના રહીશોએ પ્રવાસીઓ સામે વિરોધ નોંધાવ્યો. એ દર્શાવે છે કે પ્રવાસીઓના ધસારાને કારણે આ સ્થળની શી દુર્દશા થતી હશે!
ડેન્માર્કની રાજધાની કોપનહેગનના સત્તાવાળાઓએ એક નવિન નુસખો અમલમાં મૂક્યો છે, જે પ્રશંસનીય છે. તેણે ‘કોપન પે’ નામના એક પાયલટ પ્રોજેક્ટનો અખતરો કરી જોયો. તેનો મૂળભૂત વિચાર ઘણો સારો છે. એ મુજબ અહીં આવતા પ્રવાસીઓ પર્યાવરણસુસંગત વર્તણૂંક કરે તો તેને વળતર થકી બિરદાવવી.
છએક લાખની વસતિ ધરાવતું આ શહેર વિશ્વનું સૌ પ્રથમ કાર્બનતટસ્થ પાટનગર બનવાનું લક્ષ્યાંક ધરાવે છે. ‘કાર્બન તટસ્થ’ એટલે ‘ગ્રીનહાઉસ વાયુઓ’ના ઉત્સર્જન અને વાતાવરણમાંથી તેના દૂર થવાના પ્રમાણ વચ્ચેનું સંતુલન. ૨૦૨૩માં કેન્તાર માર્કેટ રિસર્ચ ગૃપના ‘સસ્ટેનેબિલિટી અહેવાલ’માં જોવા મળેલાં તારણના આધારે ‘કોપન પે’ની યોજના વિકસાવવામાં આવી. શા હતાં એ તારણ?
ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા અને એ માટે જરૂરી આદતોમાં પરિવર્તન વચ્ચે ઘણો મોટો ફરક જોવા મળ્યો. ૮૨ ટકા નાગરિકોએ વધુ ને વધુ ટકાઉપણાના લક્ષ્યાંક લગી પહોંચવાની ઈચ્છા દર્શાવી, પણ કેવળ ૨૨ ટકા લોકોએ જ સ્વીકાર્યું કે પોતાની આદતોમાં તેમણે ધરમૂળથી ફેરફાર કર્યો છે. સ્થાનિકો આમ કરે, તો પ્રવાસીઓ પાસેથી શી અપેક્ષા રખાય? બસ, આ વિચારે ‘કોપન પે’ યોજના પર કામ શરૂ થયું. તેમાં કંઈક આવી વાત છે.
પ્રવાસ દરમિયાન આ શહેરમાં વસવાટ કરનાર પ્રવાસી પર્યાવરણને સુસંગત સુવિધાઓની પસંદગી કરે તો તેની કદર કરવી. સાયકલિંગ, જાહેર પરિવહન સુવિધાઓનો ઊપયોગ, શહેરી ખેતરો, નહેરો કે બગીચાઓના સફાઈકામમાં સ્વયંસેવક તરીકે સંકળાવું વગેરે જેવી બાબતોનો આમાં સમાવેશ થાય છે. બદલામાં તેની કદરરૂપે નિ:શુલ્ક ભોજનથી લઈને મ્યુઝીઅમનો પ્રવાસ, વાઈન ટેસ્ટિંગ જેવી વિવિધ બાબતોમાંથી કંઈ પણ હોઈ શકે. વીસેક વિકલ્પો શરૂઆતમાં રખાયા છે.

સાંદર્ભિક તસ્વીર: VisitCopenhagen આ યોજનાનું સૌથી આકર્ષક પાસું છે તેની સરળતા. પ્રવાસીએ કેવળ પોતે એવી કોઈ પ્રવૃત્તિ કર્યાનો પુરાવો જ રજૂ કરવાનો. જેમ કે, સાયકલભાડાની રસીદ, જાહેર પરિવહન સુવિધાની ટિકિટ, અથવા સ્વયંસેવક તરીકે સફાઈકામમાં જોડાયા હોય તો એની તસવીર પૂરતી થઈ રહે.
આમ, આ આખી યોજનાનો મુખ્ય આધાર પરસ્પર વિશ્વાસ છે. લોકો તેનો હેતુ સમજે અને પોતાની પસંદગી એ અનુસાર કરે એ મુખ્ય ધ્યેય છે. આ પ્રકારની યોજના વિચારાય, અમલી બને અને સુચારુ ઢબે ચાલે તો લાંબે ગાળે અહીં આવતા પ્રવાસીઓ પણ એ રીતે ટેવાતા જાય. અલબત્ત, ભારતીય પ્રવાસીઓ જાય તો કશું કર્યા વિના ટિકિટોનો જુગાડ કરવાનો વ્યવસાય પણ શરૂ થઈ જાય તો નવાઈ નહીં!
આ પ્રકારની નીતિ પ્રાયોગિક ધોરણે પણ વિચારવી એ લોકોમાં અળખામણા થવા જેવું છે. લોકોની વિચારણા પુખ્ત હોય તો જ એ થઈ શકે. વિકસીત દેશોમાં આવી પહેલ થાય એ આનંદની વાત છે, કેમ કે, ત્યાં કોઈ મોડેલ સફળ થાય તો એની નકલ ઘણા વિકાસશીલ દેશો કરતા થઈ જાય છે. જો કે, હેતુ શુદ્ધ ન હોય તો ગમે એવી પહેલ માત્ર કાગળ પર જ રહી જાય છે. આનું સચોટ ઉદાહરણ આપણા રાજ્યમાં અમલી ‘પોલ્યુશન અન્ડર કન્ટ્રોલ’ (પી.યુ.સી.) પ્રથા છે. વાહનનું ઉત્સર્જન નિયંત્રણમાં હોવું માત્ર કાગળ પર રહી ગયું છે એ સૌ કોઈ જાણે છે. વાહન નજર સામે ભલે ને ગમે એવા ધુમાડા કાઢતું હોય, ‘પી.યુ.સી.’ હોય એટલે પત્યું. બીજી કશી પડપૂછ નહીં. પર્યાવરણને કશો ફરક પડે કે ન પડે, ભ્રષ્ટાચાર માટેની એક બારી આ પ્રથાએ ખોલી આપી.
આપણા દેશનાં અનેક સ્થળોએ પ્રવાસીઓનો જબ્બર ધસારો જોવા મળે છે, પણ તેને નિયંત્રણમાં રાખવાની કોઈ વાત છે નહીં. પાવાગઢ જેવા સ્થળે એક જ દિવસમાં બે-અઢી લાખ લોકો ઉમટી પડે તો એ સ્થળની શી વલે થાય! લદાખ જેવા અતિ નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં અઢળક પ્રવાસીઓ ઠલવાય ત્યારે એ પ્રદેશની જૈવપ્રણાલિ પણ અમુક અંશે ખોરવાતી હોય છે. મોટા ભાગના પ્રવાસીઓ ગમે ત્યાં જાય તો પોતે ખર્ચેલા નાણાંનું પૂરતું વળતર મળી રહે એ આશય ધરાવે છે. જે તે સ્થળની પરિસ્થિતિને સુસંગત થવાને બદલે તેઓ વધુ સુવિધાઓની અપેક્ષા રાખે છે. આ વલણ લગભગ સાર્વત્રિક જોવા મળે છે. આથી પ્રવાસનસ્થળનું અર્થતંત્ર પણ ઊંચકાય છે. વધુ નાણાંની અપેક્ષાએ સ્થાનિકો પણ એ સુવિધાઓ પૂરી પાડવાની કોશિશ કરે છે.
હજી તો પ્રવાસીઓને આકર્ષવા માટે અવનવી વિકાસયોજનાઓ વિચારાઈ રહી છે, અમલી બની રહી છે, અને અમુક તો અમલમાં પણ આવી ગઈ છે. તેનાં વિપરીત પરિણામ મળવા લાગ્યાં છે, પણ એમાંથી કશો બોધપાઠ લેવામાં આવતો નથી.
આશા રાખીએ કે ‘કોપન પે’ જેવો પ્રયોગ વિવિધ પ્રવાસનસ્થળો અલગ અલગ રીતે અપનાવે અને સાવ ખાડે ગયેલી પર્યાવરણની પરિસ્થિતિને વધુ બગડતી અટકાવે. પ્રવાસીઓ પણ આ બાબતે વિચારતા થાય એ વર્તમાન સમયની તાતી જરૂરિયાત છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરફેક્ટ ડેઝ – પરિપૂર્ણ અને પ્રસન્ન જિંદગી જીવવા માટે તમારી આજીવિકા શું છે તે મહત્વનું નથી
સંવાદિતા
આ ફિલ્મ એક તાજી હવાની લહેરખી છે જે આપણને જીવનને નવેસરથી જોવા મજબૂર કરે છે
ભગવાન થાવરાણી
જીવનને સાવ નવા દ્રષ્ટિકોણથી જોવા મજબૂર કરતી ફિલ્મો દરેક દૌરમાં બનતી રહે છે઼. મહાન જર્મન ફિલ્મ સર્જક વિમ વેંડર્સની ગયા વર્ષે આવેલી ફિલ્મ ‘ પરફેક્ટ ડેઝ ‘ આનો જીવંત પુરાવો છે. પોતે જર્મન હોવા છતાં એમણે આ ફિલ્મ જાપાનીઝ કલાકારો અને કસબીઓને લઈને એ જ ભાષામાં સર્જી છે.

ફિલ્મ વાત કરે છે એક સામાન્ય સફાઈ કામદાર હીરાયામાની. પ્રૌઢ વયે પહોંચવા આવેલો હીરાયામા ટોક્યોના ઉપનગર શિબુયામાં જાહેર શૌચાલયો સાફ કરવાનું કામ કરે છે. એ એક રૂમના નાનકડા ફ્લેટમાં એકલો રહે છે. સાહિત્ય, સંગીત અને ફોટોગ્રાફીનો શોખીન છે પણ ફોટા માત્ર પ્રકૃતિ, વૃક્ષો અને એમના પર્ણોમાંથી સંતાકૂકડી રમતાં ચળાઈને આવતાં પ્રકાશ કિરણોના પાડે છે. ( આવી ક્રીડાને જાપાનીઝ ભાષામાં કોમોરેબી કહે છે. ) ફિલ્મમાં કોઈ નાટકીયતા, કોઈ વળાંક કે ઘટના જેવું ખાસ કંઈ નથી. એના કેંદ્રમાં હીરાયામાની દિનચર્યા માત્ર છે, જેમાં પ્રથમ દ્રષ્ટિએ બધું નિરસ અને કંટાળાજનક લાગે. હીરાયામાની ભીતર ધબકતાં જીવન પ્રત્યેના ઉત્સાહ અને પ્રત્યેક ક્ષણને માત્ર એ ક્ષણમાં જ જીવી લેવાની જિજીવિષાના કારણે આ દિનચર્યા જ આખી ફિલ્મનો પ્રાણ છે. આપણે એ જોઈએ .
એ વહેલી સવારનાં પ્રથમ કિરણો ફૂટતાં હોય ત્યારે પ્રસન્ન વદને જાગે છે. સામેની બારીમાંથી કમરામાં પ્રવેશતા પ્રકાશ ભણી કૃતજ્ઞ ભાવે જૂએ છે઼. ઊભો થઈ પથારીનો વીંટો વાળી એક ખૂણે મૂકે છે. રાતે વાંચીને ઊંધા મૂકેલા પુસ્તકનું પાનું વાળે છે. બ્રશ કરે છે. ચીવટપૂર્વક પહેલેથી વ્યવસ્થિત લાગતી મૂછને વધુ વ્યવસ્થિત કરે છે. દાઢી કરી, બાલ્કનીમાં મૂકેલાં છોડના કુંડાઓમાં પાણીનો છંટકાવ કરે છે. સફાઈ કામદારનો ગણવેશ પહેરે છે જેમાં પાછળ ‘ ટોકિયો ટોઈલેટ્સ ‘ લખ્યું છે. ખિસ્સામાં નાની – મોટી કામની ચીજો મૂકે છે. ફ્લેટનો દરવાજો ખોલે છે અને ચહેરા પર પડતા સૂર્ય કિરણોનું સસ્મિત અભિવાદન કરે છે. આ વર્ણન એટલા માટે કે હીરાયામા આ બધું પૂરેપૂરી તલ્લીનતા અને ઉત્સાહથી કરે છે અને એના ચહેરા પર કંટાળા કે યાંત્રિકતાની નાની એવી રેખા પણ પણ નથી.
આગળ. ઘરની બહાર જ મૂકેલા વેંડીંગ મશીનમાંથી એ કોફીનું કેન ખરીદે છે. બહાર પડેલી પોતાની વાનમાં બેસી કોફી પીએ છે. મનપસંદ ઓડિયો કેસેટ પ્લેયરમાં ચડાવે છે. વાનને ધીમે ધીમે સાંકડી શેરીમાંથી બહાર કાઢે છે અને પછી શહેરના વાંકાચૂંકા મહામાર્ગો પરથી ગંતવ્ય ભણી મારી મૂકે છે.
પહેલું શૌચાલય. એ પોતાનો સાફસૂફીનો સરંજામ બહાર કાઢી કામ શરૂ કરે છે. એ શૌચાલયની સાફસફાઈ એવી લગન અને એકાગ્રતાથી કરે છે જાણે કોઈ મા પોતાના શિશુને નવડાવતી હોય ! એ હદે કે પોખરાની નીચલી તરફના હિસ્સાને ચમકાવવા એ ખિસ્સામાંથી નાનો આયનો કાઢી, એને જોઈને સફાઈ કરે છે ! બહાર ‘ સફાઈ ચાલુ છે ‘ નું બોર્ડ મૂક્યું હોવા છતાં કોઈ ‘ જરૂરતમંદ ‘ અંદર આવી ચડે તો શાલીનતાપૂર્વક એને ટોઈલેટ ખાલી કરી આપે છે, સસ્મિત. એ વિરામ દરમિયાન એ વિસ્મયપૂર્વક બહાર વૃક્ષોને નીરખતો રહે છે. એનો સહાયક અને મિત્ર ટ્રાફિકની ફરિયાદ કરતો મોડો આવે અને આવા કંટાળાજનક કામને હળવાશથી લેવાની સલાહ આપે ( આ બધું થોડીક વારમાં પાછું ગંદું થઈ જવાનું ! ) ત્યારે એ કોઈ પ્રતિક્રિયા વિના માત્ર એને જોઈ રહે !
ભોજન વિરામમાં એ કાયમ એક બૌદ્ધ મંદિરના પ્રાંગણમાં જાય છે. હંમેશા નમન કરીને અંદર પ્રવેશે. ત્યાંના ઊંચા ઘટાદાર વૃક્ષોના ફોટા પોતાના જૂનવાણી કેમેરાથા પાડે. કોઈક છોડ મુરઝાઈ રહ્યો હોય તો એને કાળજીપૂર્વક એક કોથળીમાં મૂકે, ઘરે લઈ જઈને અન્ય તંદુરસ્ત છોડ જોડે એનું સંવર્ધન કરવા માટે !
ફરજ પૂરી થયા બાદ એ ઘેર આવી સાયકલ લઈ જાહેર સ્નાનાગારમાં નહાવા જાય. પછી એક રેસ્તરાં – કમ – બારમાં. ત્યાંની માલિકણ એની મિત્ર છે. ઓળખીતો વેઈટર કાયમ એનું અભિવાદન ‘ આકરા દિવસના અંતે ડ્રીંક લઈ હળવા થાઓ ‘ કહીને કરે.
ઘેર પરત આવી પોતાના પ્રિય લેખકો વિલિયમ ફોકનર અથવા પેટ્રિસિયા હાઈસ્મિથને વાંચે અને ઊંધમાં સરી પડે . સપનામાં એણે દિવસ દરમિયાન જે જોયું – અનુભવ્યું એની શ્વેત – શ્યામ પ્રતિછાયાઓ હોય.
આ દિનચર્યા જ એના જીવનને સઘનતા બક્ષે છે અને એ જ એને એક મુક્ત માનવી પુરવાર કરે છે. એ જે જીવે છે એનો એને ગર્વ છે કારણ કે એની પાસે આ એક જ જીવન છે !
અઠવાડિક રજાના દિવસે હીરાયામા જાહેર લોંડ્રીમાં પોતાનો યુનિફોર્મ ધોવા જાય છે. પોતે પાડેલા ફોટાનો રોલ ડેવલપ કરાવવા પણ એ જ દિવસ અને મનગમતું પુસ્તક ખરીદવા પણ એ ! ઘેર જઈ પોતે પાડેલા ફોટાને વર્ષ અને ક્રમાંક લખેલી પેટીઓમાં ગોઠવે. ફોટા પાડનાર અને જોનાર એકલો પોતે જ !
ક્યારેક ટોયલેટ સફાઈ દરમિયાન એને તિરાડમાં કોઈકે ભરાવેલી ચબરખી મળી આવે જેમાં કોઈક બેનામ વ્યક્તિએ શૂન – ચોકડીની રમત શરૂ કરી એને આગળ વધારવા જાણે ઈજન આપ્યું હોય. હીરાયામા એમાં એક શૂન્ય કે ચોકડી ઉમેરી ચબરખીને પાછી ત્યાં જ ભરાવે અને રમત રોજેરોજ આગળ વધે ! અજાણ્યા માણસો પણ કેવો આનંદ આપી શકે ! મજા મજા ! આપણને પેલું વાક્ય યાદ આવે :
જિંદગી ખૂબસુરત છે*
( *શરતો લાગુ )
એની કિશોર વયની ભાણેજ ઘરેથી ભાગીને થોડાક દિવસ એની સાથે વીતાવવા આવી ચડે છે. એ રાતે સપનામાં એને એનો નાનપણનો ચહેરો દેખાય છે. સવારે એ એને પણ સાથે કામ પર લઈ જાય છે. એને પેલાં ઝાડ દેખાડે છે. ‘ આ ઝાડ તમારા મિત્ર હોય એવું લાગે છે, નહીં ? ‘ બન્ને ટોકિયોની સડકો પર સાયકલ લઈને ફરે છે. છોકરીને લોભાવે છે આ સ્વતંત્ર જીવન . અચાનક વળતા દિવસે જ ભાણીની મા – હીરાયામાની શ્રીમંત બહેન દીકરીને શોધતી ધુંઆંફુઆં એના ઘરે આવી ચડે છે. એ રુક્ષતાપૂર્વક હીરાયામાને ‘ આવું હલકું કામ ‘ કરવા બદલ ટપારે છે પણ સાથોસાથ એની દીકરીને ‘ સાચવવા ‘ બદલ ચોકલેટનું પેકેટ ભેટ આપે છે. ન તો હીરાયામા એને ઘરમાં આવવાનું કહે છે ન તો બહેનની એવી ઈચ્છા છે. વાતચીતમાં એવો ઈશારો છે કે હીરાયામા સંપન્ન પરિવારમાંથી છે પરંતુ પિતા સાથે મતભેદ થતાં ઘર છોડી મરજી મૂજબની જિંદગી જીવે છે. એ દીકરીને પરાણે લઈ જાય છે. બન્નેની વિદાય વખતે હીરાયામા નતમસ્તક ઊભો છે. એમની કાર વિદાય થતાં એ ધ્રુસ્કે ધ્રુસ્કે રડે છે.

વધુ એક સવાર. હીરાયામા નીના સિમોને ગાયેલું ગીત વગાડે છે :
પંખીઓ ઊડે અનેમને કેવું – કેવું થાયઆકાશમાં સૂર્ય ઉગતો જોઉંપવનની લહેરખીઓ વાયઅને મને કેવું તો થાયનવી સવાર, નવો દિવસ, નવું જીવનકેવું સારું લાગે છે મને..હીરાયામા ગીતની ધુન અને શબ્દોમાં તરબતર બની ઘડીક હસે છે, ઘડીક રડે છે, ફરી હસે છે, ફરી રડે છે. એની આંખોમાંથી જાણે સાક્ષાત જિંદગી વહે છે !ફિલ્મમાં નાયકની અદ્ભુત ભૂમિકા નિભાવી છે જાપાનીઝ અભિનેતા કોજી યાકુશોએ. ફિલ્મના નિર્દેશક વિમ વેંડર્સ ૭૯ વર્ષની વયે આજે પણ સક્રિય છે. એમની આ ૨૩મી ફિલ્મ છે. ફિલ્મનું શૂટીંગ ટોકિયોમાં માત્ર ૧૭ દિવસમાં પૂરું કરવામાં આવેલું.
ફિલ્મનો મુખ્ય સંદેશ એ છે કે જીવનનાં નાનાં નાનાં પુનરાવર્તનો પણ આનંદદાયક હોઈ શકે, જો આપણને એ માણતાં આવડે તો ! પસાર થતી પણ આપણે બેધ્યાન હોઈએ એટલે હાથતાળી દઈ છટકી જતી સુખની ક્ષણો ફિલ્મના કેંદ્રમાં છે. એ એક ચરિત્રની એકલ-યાત્રાની વાત છે. ફિલ્મમાં હીરાયામાના મનપસંદ અંગ્રેજી અને જાપાનીઝ ગીતો વાગ્યા કરે છે. દરેક ગીતના શબ્દો બેમિસાલ છે. ફિલ્મમાં એક જગાએ હીરાયામા ભાણેજને કહે છે, ‘ આ એક જ દુનિયામાં અનેક દુનિયા છે. કેટલીક જોડાયેલી, કેટલીક વિખૂટી. પણ યાદ રાખજે, અત્યાર એ અત્યાર કહેવાય અને હવે પછી એ હવે પછી.’ બન્ને આ છેલ્લા શબ્દો દોહરાવીને ગીતરૂપે ગાય છે.
હીરાયામાનો જીવન મંત્ર એટલે :
હવે જાણ્યું કે કેવળ જીવતા હોવું પરમ સુખ છેવળી સાજા ય હો તો એ સવાયા સુખની વાત જ શી !
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કાર્ટૂનકથા (૨૧)
બીરેન કોઠારી
આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.
‘વારેવા’ના વીસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં.
વાર્તાવ્યંગ્ય

(વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)
