-
તું વરસે છે ત્યારે | સ્માઇલ પ્લીઝ
તું વરસે છે ત્યારે
જન્મદિને
તું વરસે છે ત્યારેએક કે બે પંખી
દૂર કે નજીકથી ગાય છે.
કોઈક વટેમારગુ અજાણતાં ભીંજાય છે.વાદળ સ્થિર થાય છે ત્યાં
વૃક્ષો ચાલીને
તો ક્યારેક ઊડીને
એમની પાસે જાય છે.આ બાજુ
બાળકો અને શેરી
એક સાથે નહાય છે.તું વરસે છે ત્યારે
સૂની બારી પર ટકોરા થાય છે,અગાઉની રજ ભીના અવાજમાં
વહી જાય છે.તું વરસે છે ત્યારે
અંદરના ઓરડે પ્રકાશ થાય છે.– રઘુવીર ચૌધરી
સ્માઇલ પ્લીઝ
પળભર ભૂલી જાઓ રૂદનને- સ્માઇલ પ્લીઝ,
ક્યાં કહું છું આખાય જીવનને- સ્માઇલ પ્લીઝ ?તરત પછી તો સરસ મજાની સુગંધ આવી,
જરા અમસ્તું કહ્યું પવનને- સ્માઇલ પ્લીઝ.મેકઅપ બેકઅપ આભૂષણ બાભૂષણ છોડો,
પહેરાવી દો સ્મિત વદનને- સ્માઇલ પ્લીઝ.ફ્રેમ થયેલી એ ક્ષણ આજે આંસુ લાવે,
કહ્યું હતું જે ક્ષણે સ્વજનને- સ્માઇલ પ્લીઝ.સ્મિત કરી લેશે ચહેરા તો કરવા ખાતર,
કઈ રીતે કહેશો મનને- સ્માઇલ પ્લીઝ ?– શ્યામલ મુનશી
-
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક સાતમો: પ્રવેશ ૨ જો

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક સાતમો: પ્રવેશ ૧ થી આગળ
અંક સાતમો : પ્રવેશ ૨ જો
સ્થળ : કિસલવાડીમાંનું ઘર
[ખાટલા પર મોટે તકિયે અઢેલીને બેઠેલી અમૃતદેવી અને ખાટલા પાસે આસને બેઠેલાં જગદીપ, દુર્ગેશ અને કમલા પ્રવેશ કરે છે.]
અમૃતદેવી : કમલાએ જેવી મારી ચાકરી કરી છે, તેવી જગદીપ ! તારાથી પણ ન થાત. ઈશ્વરે મને કમલા જેવી એક પુત્રી આપી હોત તો મારા હૃદયને કેવો વિસામો મળત ! પણ હું એક પુત્રને સુખી કરી શકી નથી, તે બે સંતાનોને તો કેવાયે દુઃખમાં મૂકત !
જગદીપ : મને સુખી કરવા તેં કયો પ્રયત્ન બાકી રાખ્યો ? અને તેમ છતાં હુ સુખી ન થાઉં તો મારી જ સુખ પામવાની અશક્તિ.
અમૃતદેવી : પણ, મારો કયો પ્રયત્ન સફળ થયો કે તને સુખ પામવાનો વખત આવે ?
જગદીપ : પ્રયત્ન સફળ થવાની જરૂર છે ? મારી માતાએ મને સુખી કરવા પ્રયત્ન કર્યા છે એ વાત જ પરમ સુખ ઉદ્ભૂત કરવાને સમર્થ નથી ?
અમૃતદેવી : જગદીપ ! તને એટલું સુખસાધન પ્રાપ્ત થયું છે તો મારા અન્ત પહેલાં એટલો મને સંતોષ થયો. બીજા કોઇ પણ સંતોષ વિના મારે મરવાનું છે. પ્રભુ ! જેવી તારી ઇચ્છા !
[તકિયા પર માથું ફેરવી નાખે છે.]
કમલા : બા સાહેબ ! આવા સંતાપથી આપની તબિયત બગડી છે, અને વધારે બગડે છે. વૈદ્યરાજે તો આટલું બધું બોલવાની પણ ના કહી છે.
અમૃતદેવી : (માથું ફેરવીને) જે શરીર સુધરવાનું નથી તે વહેલું બગડે કે મોડું બગડે એમાં શો ફેર ?
જગદીપ : મા ! તું તારા મનને નિરાશાથી કેમ ઘેરાવા દે છે ? તારા આશાવન્તપણામાં આખા યુગને પ્રોત્સાહિત કરવાનું સામર્થ્ય હતું તે ક્યાં ગયું ?
અમૃતદેવી : કચડાઈ ગયું, છુંદાઈ ગયું. હવે મને સમજાયું છે કે,
(અનુષ્ટુપ)
આવે કાલતણો ભાર એવો સખ્ત અસહ્ય કે
આશાવન્તનું સામર્થ્ય ટકે એક જ સત્ત્વથી. ૯૩પણ એ સામર્થ્ય ભાંગી ગયા પછી એ સત્ત્વનું ભાન થયું તે શા કામનું ?
દુર્ગેશ : બા સાહેબ ! પ્રશ્ન પૂછું તે માટે ક્ષમા કરશો. એ સત્ત્વ તે કયું ?
અમૃતદેવી : ઈશ્વરશ્રધ્ધા.
કમલા : ઈશ્વરશ્રધ્ધાની આપનામાં શી ન્યૂનતા છે ?
અમૃતદેવી : કમલા ! તને આ મંદવાડ વખતનો જ મારો પરિચય છે. પણ..હા ! મનુષ્યોની સ્મૃતિઓ પર થોડે થોડે અન્તરે પ્રલય ફરી વળતો હોય તો કેવું ?
જગદીપ : માનવસ્મ્રુતિઓમાં ડુબાડી દેવા કરતાં તરતું રાખવા જેવું ઘણું વધારે હોય છે.
અમૃતદેવી : એકંદર સરવાળે તેમ હશે, પરન્તુ પર્વતરાયનું મૃત્યુ થયું તે દુર્ભાગ્ય-દિવસના મારા સંકલ્પોની સ્મૃતિ તરતી રહી ન હોત તો મારા અન્ત સમયની વેદના કેટલી ઓછી થાત !
જગદીપ : મેં એ સંકલ્પોમાં સામેલ થઈ તારી અડધી જવાબદારી મારે માથે લીધી છે.
અમૃતદેવી : મારા અધર્મ્ય સંકલ્પોમાં તને સામેલ કરવાથી મારી જવાબદારી અડધી થયેલી લાગતી નથી, પણ બેવડી થયેલી લાગે છે.
જગદીપ : ગમે તેમ હોય, પણ ભૂતકાળ બદલાય તેમ નથી.
અમૃતદેવી : તેથી જ સ્મૃતિઓનો હુમલો હું પાછો હઠાવી શકતી નથી.
કમલા : ભૂતકાળની સ્મૃતિઓ પડતી મૂકી ભવિષ્યકાળની આશાઓનું મનન કેમ ન કરવું ?
અમૃતદેવી : એવો વિશ્લેષ થઇ શકતો હોય તોપણ કઈ આશાઓનું હું મનન કરું ?
કમલા : જગદીપદેવના રાજ્યારોહણની આશાઓનું.
દુર્ગેશ : અને, એ માત્ર આશાનો વિષય નથી. જગદીપદેવ ગાદીએ બેસશે એ નિશ્ચય છે.
જગદીપ : શીતલસિંહ પોતાના પુત્રને દત્તક નહિ લેવડાવી શકે ?
દુર્ગેશ : ભગવન્ત આજ સવારે જ કહેતા હતા કે શીતલસિંહ કદી ફાવવાનો નથી.
અમૃતદેવી : શીતલસિંહનું ગજું કેટલું ! એક કૂદકો માર્યા પછી બીજો કૂદકો તો શું, પણ બીજું ડગલું ભરવાની એનામાં ગતિ નથી. મને એની બીક નથી.
જગદીપ : ત્યારે શાની બીક છે ?
અમૃતદેવી : લીલાવતીનાં વચન ખરાં પડવાની. એણે મારો તિરસ્કાર કરી મને કહ્યું હતું કે ‘તું મરતા સુધી માલણ જ રહેવાની છે.’ મારું મરણ આણવાની કે મને માલણ રાખવાની લીલાવતીને સત્તા નથી, પણ એ વચન સાંભળ્યાં તે જ વેળા મને ભાન થયું કે એ શિક્ષા મને ઘટે છે, અને તે ક્ષણથી મારું હૃદય ભાંગી ગયું છે અને મારી આશાઓ શૂન્ય થઈ ગઈ છે.
દુર્ગેશ : જગદીપદેવને ગાદીએ બેઠેલા જોશો એટલે આપ રાજમાતા થશો અને રાણી લીલાવતીનાં વચન ખોટાં પડશે.
અમૃતદેવી : જગદીપ ગાદીએ બેસશે કે કેમ એ ક્લ્પના કરવી મેં મૂકી દીધી છે. એવો દિવસ હું જોવાની નથી, એમ મારું અન્તઃકરણ સાક્ષી પૂરે છે.
જગદીપ : મા ! મારી મા ! તારો સન્તાપ મને આપ, અને મારી જે કાંઈ શાન્તિ છે તે તું લઇ લે.
અમૃતદેવી : એ અશક્ય છે. શી રીતે અદલોબદલો થાય ? જે કારણોથી મને સન્તાપ થયો છે, અને જે કારણોથી તને શાન્તિ પ્રાપ્ત થઈ છે તે તો થયાં અને ગયાં. તેની આપલે કેમ થાય ?
જગદીપ : એવો આપણા બે વચ્ચે શો ફેર પડી ગયો છે ?
અમૃતદેવી : મારી આજ્ઞાથી તેં મારા અધર્મ્ય સંકલ્પો ગ્રહણ કર્યા, પણ તું આગળ જતાં અટક્યો, અને હું એ માર્ગે આગળ ને આગળ ચાલી. એ જ ફેર. પરન્તુ, એ પરિતાપની કથા હવે પડતી મૂકો.
જગદીપ : તને કંઇ આનન્દ થાય એવી કથા હું કહું.
અમૃતદેવી : હવે આ જીર્ણ કલેવરમાં આનન્દનો ઉદય થઈ શકે તેમ નથી. ભાંગેલું હૈયું ફરી સંધાતું નથી, પરંતુ તને આનન્દ થતો હશે તો તે જોઈ મને સંતોષ થશે.
જગદીપ : મારા જીવનની સહચારિણી મને મળી આવી છે.
અમૃતદેવી : સુખી થજો.
જગદીપ : તને જિજ્ઞાસા થતી જણાતી નથી, તોપણ કહું છું કે જેનુ પાણિગ્રહણ કરી હું ધન્ય થવાનો છું તે પર્વતરાયની પુત્રી વીણાવતી છે.
કમલા : પર્વતરાયનાં પુત્રી વીણાવતી તો બાલ્યાવ્સ્થામાં વિધવા થઈને ગુજરી ગયાં છે !
જગદીપ : ગુજરી ગયાં છે એ વાત ખોટી છે. વિધવા થયેલાં એ વાત ખરી. પણ એ વૈધવ્યમાં અન્યાય ને ક્રૂરતા હતાં, અને લગ્નથી એ ન્યાય અને ક્રૂરતા દૂર થતાં હોય અને પ્રેમનો ઉલ્લાસ થતો હોય તો તે કર્ત્તવ્ય નથી ?
અમૃતદેવી : પુત્ર ! તને એ કર્ત્તવ્ય લાગતું હોય તો બેશક કરજે. મારી સહાયતા વિના હવે તારે કર્ત્તવ્યનિર્ણય કરવાનો છે, અને જ્યાં તને કર્ત્તવ્યપ્રતીતિ થઇ ત્યાં તે પાર પાડવા સારુ તારામાં આત્મબળની ખામી નહિ જણાય એવી મારી ખાતરી છે. હવે ઐહિક વિષયોમાંથી મારું મન ખસેડી લેતાં પહેલાં એક વાત મારે કહેવાની છે. તે કહેવી રહી ન જાય તે માટે મને ઘણી ઉત્સુકતા છે.
દુર્ગેશ : હું અને કમલા બહાર જઈએ ?
અમૃતદેવી : ના. મારાં વચન તમારે પણ સાંભળવા સરખાં છે, અને જે એક વેળા જાલકા હતી તે એ વચન કહી ગઈ છે એમ જગત્ ન માને તો તમે સાક્ષી પુરાવા લાગશો. (ટટાર બેસીને) જગદીપ ! તને પર્વતરાય બનાવવાની યોજના મેં કરી તે દિવસે એ છલની શિક્ષા ભોગવવાનું મેં માથે લીધું હતું, અને મારા આગ્રહ ઉપરથી તેં પણ તેમ કર્યું હતું, પરંતુ હવે મને ભાન થયું છે કે ઈશ્વરનું નીતિવિધાન તો એવું છે કે મનુષ્યે છલ ન કરવું અને છલની શિક્ષા વહોરી ન લેવી. અનીતિની શિક્ષાને પાત્ર થવાનું કબૂલ કરી અનીતિ કરવી એ નીતિવ્યવસ્થા નથી, એ મનુષ્યધર્મ નથી.
(ઉપજાતિ)
નીતિવ્યવસ્થા કરી ઈશ્વરે જે,
છે માત્ર તેને અનુકૂલ વિશ્વ;
નવી વ્યવસ્થા કરવાની શક્તિ,
નથી મનુષ્યત્વ વિશે રહેલી. ૯૪જગદીપ : અને, વિશ્વની નીતિવ્યવસ્થા સામે ઝઘડવાનો પ્રયત્ન વ્યર્થ જતાં હું તારા પ્રત્યેના પ્રેમમાં ન્યૂન રહ્યો તે માટે ક્ષમા કરજે.
અમૃતદેવી : એમાં તારો શો અપરાધ હતો?
(અનુષ્ટુપ)
વિરોધી સત્યનો એવો પ્રેમ વિશ્વે અશક્ય છે;
જ્યાં સત્ય ત્યાં જ છે પ્રેમ, જ્યાં પ્રેમ ત્યાં જ સત્ય છે. ૯૫(આઘે નજર કરતાં વિહ્વલ થઈને) અરે ! આ બારીમાંથી એ કારમી જગા દેખાય છે, એ તો હું આજ આમ બેઠી થઈ ત્યારે ખબર પડી !}}
જગદીપ : કઈ જગા ?
અમૃતદેવી : (ભયભીત ચહેરે આંગળી બતાવીને) તે જ જગા, જગદીપ ! તે જ જગા. (તકિયા પર પડીને) તે જ એ જગા છે કે જ્યાં પર્વતરાયનું શબ દાટ્યું છે. દાટતી વેળા એના હૃદયમાં ચોટેલું બાણ મેં ખેંચી કાઢ્યું હતું, પણ મારા હૃદયમાં ચોટેલું બાણ કોણ ખેંચી કાઢશે ? મને અહીંથી લઈ જાઓ. આ ખંડમાં હું સૂઈ નહિ શકું. કૃપાલુ પ્રભુ ! કદાચ તારા શાન્તિધામમાં કોઈ ખંડ…
[બેભાન થઈ જાય છે. જગદીપ, દુર્ગેશ અને કમલા અમૃતદેવીનો ખાટલો ઊંચકીને લઈ જાય છે].
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
ફિલ્મી ગઝલો – ૬૩. ચંદ્રશેખર પાંડે
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ ગીતકારનું નામ પણ પ્રથમ દ્રષ્ટિએ અજાણ્યું લાગે પણ એમણે રચેલી ગૈર ફિલ્મી રચનાઓ ના મુખડા જાણીને પણ આ પ્રકારના ગીતોના શોખીનોના દિલ બાગ બાગ થઈ જાય ! યાદ કરો મન્ના ડેએ ગાયેલી આ રચનાઓ. ‘ નઝારોં મેં હો તુમ ખયાલો મેં હો તુમ ‘ અને ‘ યાદ ફિર આઇ દર્દ સંગ લાઈ ‘. આ બંને રચનાઓના રચયિતા છે ચંદ્રશેખર પાંડે. આમાં એમણે લખેલું મદનમોહનની ફિલ્મ ‘ છોટે બાબુ ‘ નું હેમંતકુમારે ગાયેલું ગીત ‘ લે લે દર્દ પરાયા કર દે દૂર ગમ કા સાયા ‘ ઉમેરીએ તો તો સોનામાં સુગંધ ભળે!
ચોર, લાડલી, મહાત્મા કબીર, ગવૈયા, ભક્ત પુંડલિક જેવી છ ફિલ્મોમાં માત્ર તેર ગીતો લખ્યાં. એમાં આ બે ગઝલો પણ શામેલ છે :
જિંદગી કી રોશની તો ખો ગઈ
એક અંધેરી રાત બસ મૈં હો ગઈખ્વાબ લે આંખો મેં બસને આઈની
આંખ કી દો બુંદ મેં ખુદ સો ગઈદેને ઠંડક પહોંચી મસ્તાની હવા
આંખ દિલ કી લગતે હી લૂ હો ગઈસાથી બસ વો તારા થા ઉસકે લિયે
મેરી કિસ્મત કાલી બદરી હો ગઈકોઈ તો બતલાયે કબ પાઉંગી મૈં
ટુટે દિલ કી રોશની જો ખો ગઈ ..– ફિલ્મ : લાડલી ૧૯૪૯
– લતા
– અનિલ વિશ્વાસહમારી આંખો સે દિલ કે ટુકડે અબ આંસુ બન કર નિકલ રહે હૈં
કે આજ તેરે કરીબ રહ કર તેરી જુદાઈ મેં જલ રહે હૈંહમારી કિસ્મત સે જિંદગી કી કોઈ તમન્ના હુઈ ન પૂરી
હમારે ઇસ નામુરાદ દિલ કે હઝારોં અરમાં મચલ રહે હૈંયહી તમન્ના હૈ અબ હમારી કે આખરી બાર તુમકો દેખેં
તુમ્હારી સુરત કે દેખને કો ચરાગ આંખોં કે જલ રહે હૈં ..– ફિલ્મ : ગવૈયા ૧૯૫૪
– સુરેન્દ્ર
– રામ ગાંગુલી
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૫. ज़िन्दगी कैसी है पहेली हाय कभी तो हँसाए कभी ये रुलाये
નિરંજન મહેતા
૧૯૭૧ની ફિલ્મ ‘આનંદ’માં બહુ ઓછા ગીતો છે પણ જેટલા છે તે સર્વે સલીલ ચૌધરીના સંગીતે દીપી ઉઠ્યા છે. તેમાંય નીચેનું ગીત જીવનની ફિલસુફીને સારી રીતે ઉજાગર કરે છે
ज़िन्दगी कैसी है पहेली हाय
कभी तो हँसाए कभी ये रुलायेतो भी देखो मन नहीं जागे
पीछे-पीछे सपनों के भागेएक दिन सपनों का राही
चला जाए सपनों से आगे कहाँजिन्होंने सजाए यहाँ मेले
सुख-दुःख संग-संग झेलेवो ही चुनकर खामोशी
यूँ चले जाए अकेले कहाँ?જીવનમાં સુખ અને દુઃખ બંને વારાફરતી આવતા રહે છે. સુખ આવે ત્યાર માનવી હસે છે અને દુઃખ આવે ત્યારે તે રડે છે. આમ જિંદગી ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે. પણ સુખ અને દુઃખ ક્યારે આવશે તેની જાણ ન હોવાથી જિંદગી એક કોયડો બની રહે છે અને આપને તેને કોયડારૂપ સમજી અનુભવ કરીએ છીએ..
આ જાણવા છતાં પણ મનુષ્ય તે નથી સમજતો અને મૃગજળ સમાન સપનાઓ પાછળ દોટ મૂકી જીવનને બરબાદ કરે છે. તે જાને છે કે અંતે તો દરેકે આ જગત છોડી એકલા જવાનું છે પણ જવાના સમયે તેના સપનાઓ અધૂરા રહે છે અને તે તેને છોડીને ક્યાંક આગળ નીકળી જાય છે.
પણ જે મનુષ્ય સમજદાર છે તે સુખ અને દુઃખ બન્નેને સહન કરે છે અને ચુપચાપ એકલો જ આ જગત છોડી ચાલી જાય છે. આ જ સમજદારની વ્યાખ્યા છે.
યોગેશના શબ્દોને સ્વર આપ્યો છે મન્નાડેએ.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
વનવૃક્ષો : શીમળો

આપણી સંસ્કૃત ભાષામાં એક બહુ સુંદર કથા છે. તમે મોટાં થઈને જો સંસ્કૃત ભણો તો જરૂર એ કથા વાંચજો. એનું નામ ‘કાદંબરી’ છે, અને બાણ નામના ભટ્ટે એ કથા લખેલી છે.
એ કથામાં શાલ્મલી નામના ઝાડનું વર્ણન છે: “એક વનમાં એક મોટું, બસો ત્રણસો વર્ષનું જૂનું ઝાડ હતું. એના ઉપર હજારો પંખીઓના માળા હતા. રાત્રે હજારો પંખીઓ રાત રહેવા ત્યાં આવતાં, ને સવારે ત્યાંથી ઊડી ઊડીને ચણવા જતાં. ત્યાં એક પોપટનો માળો હતો. એ પોપટના માળામાંથી કોઈ પારધી પોપટના બચ્ચ્ચાને લઈ ગયો.” વગેરે વગેરે વાત એમાં આવે છે. તમારા બાપાને કે શિક્ષકને એ વાત આવડતી હોય તો તેમને કહેજો કે એ કહી સંભળાવે.
શાલ્મલીનું ઝાડ એટલે શીમળાનું ઝાડ.
ગુજરાતમાં આ શીમળાનું ઝાડ થાય છે. સીમમાં ફરવા નીકળો ત્યારે કોઈને પૂછીને એ ઝાડ ઓળખી લેજો.
એનાં સૂકાં ફળોમાંથી જ્યારે રૂ ઉડતું હશે ત્યારે તો ઝાડની આસપાસ ઊડતા રૂ ઉપરથી પણ તમે જાણી શકશો કે આ જ ઝાડ શીમળો.
ગામડાનાં છોકરાં તો એ રૂથી રમતાં પણ હશે. રૂમાં આવેલા બીને પકડીને રૂને ફૂંક મારીને ઉડાડવાની રમત ગામડાનાં છોકરાંને બહુ વહાલી છે. ગામડાનાં છોકરાં રૂને ઉડાડે ને મજા કરે ત્યારે પૈસાદારનાં છોકરાં એ રૂના ગાદીતકિયા ઉપર બેસીને ચોપડી વાંચે !
આ શીમળાનું રૂ કપાસના રૂની પેઠે પીંજવું પડતું નથી; એ તો એમ ને એમ જ ભરાય છે. જેઓએ આકડાનાં આકોલિયાંનું રૂ જોયું હશે તેમને આ શીમળાના રૂનો ખ્યાલ સહેજે આવશે.
શીમળાનું રૂ એટલું બધું સુંદર ને સુંવાળું છે કે તમે તેના ઉપર હાથ ફેરવ્યા જ કરો, ગાલ ઉપર તેને લગાડ્યા જ રો ! અને હળવું તો એટલું બધું કે ફૂલ કરતાં ય હળવું.
માહિતી સ્રોત : વિકિસ્રોત
વધારે માહીતી માટે: શીમળો – ગુજરાતી વિશ્વકોશ
-
ઉદ્યાન
મ. ઝ. શાહ
કુદરતી સૌંદર્યને માણવા માટે તૈયાર કરવામાં આવેલો ભૂમિવિસ્તાર. તે માટે માનવી અનાદિકાળથી પ્રયત્ન કરી રહ્યો છે. ગામ અને નગરો વસ્યાં ન હતાં ત્યાં સુધી તો તેને પ્રકૃતિસૌંદર્ય સહજ જ પ્રાપ્ય હતું, પરંતુ ગામ અને નગરોની પ્રસ્થાપનાથી નૈસર્ગિક સૌંદર્ય તેનાથી દૂર સરકતું ગયું. તેથી માનવીએ કુદરતી સૌંદર્યના ઉપભોગ માટે ગામ અને નગરોની નજીક જ ઉદ્યાનોનું નિર્માણ કર્યું.
કેટલાક નિષ્ણાતોની માન્યતા મુજબ, ઈ. પૂ. લગભગ ૨૩૦૦ વર્ષ દરમિયાન મેસોપોટેમિયા(ઇરાક)ના સુમેરિયનોએ સૌપ્રથમ ઉદ્યાનોનું સર્જન કર્યું. પ્રાચીન પર્શિયનોના પ્રારંભિક ઉદ્યાનો શિકાર માટેના વિસ્તારો કે વિશાળ ઉદ્યાનો ધરાવતા હતા. મોટાભાગના આ ઉદ્યાનો ધનિક રાજવીઓ કે જમીનદારોના આનંદ-પ્રમોદ માટે બનાવવામાં આવતા હતા. પ્રથમ સાર્વજનિક (public) ઉદ્યાનોનું નિર્માણ ગ્રીસમાં થયું હતું. એથેન્સમાં આવેલ અગોરા પ્રથમ શહેરી ઉદ્યાનનું ઉદાહરણ લેખાય છે. તેનો ઉપયોગ જાહેર ભાષણો, રાજકીય ચર્ચાઓ અને શારીરિક વ્યાયામ માટે થતો હતો.
યુરોપનાં નગરોમાં ઈ. સ. ૧૨૦૦ની આસપાસ નાના સાર્વજનિક ઉદ્યાનો પ્રચલિત બનતા ગયા. ઈ.સ. ૧૫૦૦થી મોટી ઇમારતોની ફરતે ઉદ્યાનોનું ર્દશ્યભૂમિ-સ્થપતિઓ (landscape architects) દ્વારા નિર્માણ શરૂ થયું. ઘણા ઉદ્યાનો વૃક્ષો અને વીથિઓ (vistas) તેમજ પક્ષીઓ અને વન્ય પ્રાણીઓ માટે પાંજરાઓ અને સુરક્ષિત વાડ ધરાવતા હતા. ૧૬૦૦થી સાર્વજનિક ઉદ્યાનો સુંદર લીલાંછમ સ્થળો (જ્યાં લોકો વિશ્રાંતિ અનુભવી શકે.) બની રહ્યા. મૂળભૂત રીતે આ ખુલ્લા વિસ્તારોમાં આવેલ વૃક્ષ-વીથિઓ અને ફુવારાઓ શહેરના આકર્ષણ-રૂપ બની ગયાં. 1650માં વૉક્સહૉલ, દક્ષિણ લંડનમાં આનંદ-પ્રમોદ માટેના ઉદ્યાનો બનાવવામાં આવ્યા હતા અને અમેરિકામાં ‘બૉસ્ટન કૉમન’ નામના સૌપ્રથમ સાર્વજનિક ઉદ્યાનનું નિર્માણ બૉસ્ટન, મૅસેચ્યુસેટ્સમાં ૧૬૬૪માં થયું. 18મી અને 19મી સદીઓમાં ઉદ્યાનો શહેરોની યાતાયાત (traffic) અને અવાજથી બચવા માટેનાં તેમજ શાંતિ મેળવવા માટેનાં સ્થાન બની રહ્યાં. 18મી સદીના પ્રસિદ્ધ ઉદ્યાનોમાં જહૉન નૅશ દ્વારા અભિકલ્પિત (designed) લંડનનો રિયૅજન્ટ્સ પાર્ક, ફ્રેડરિક લૉ ઓલ્મસ્ટેડ અને કૅલ્વર્ટ વૉક્સ દ્વારા અભિકલ્પિત ન્યૂયૉર્ક શહેરનો સેન્ટ્રલ પાર્ક અને મેલ્બૉર્નના રૉયલ બૉટેનિક ગાર્ડનનો સમાવેશ થાય છે.
લંડન તેના રૉયલ પાર્ક્સ, ગ્રીન પાર્ક, હાઇડ પાર્ક (જે સર્પેન્ટિનિન નામનું જાણીતું સરોવર પણ ધરાવે છે), કેન્સિંગ્ટન ગાર્ડન અને સેંટ જેમ્સના પાર્ક માટે વિખ્યાત છે.
ઉદ્યાનની રચનામાં ત્રણ મુખ્ય મુદ્દાઓ લક્ષમાં લેવામાં આવે છે :
(૧) જમીન, પહાડ, પાણી, રેતી વગેરેનું સૌંદર્ય કે તેમની વિશિષ્ટતા અન્યત્ર ભાગ્યે જ જોવા મળે એવી હોય છે. તેથી તેમની રચનાને યથાવત્ સાચવી રાખવા માટે અમુક વિસ્તારને રક્ષિત કર્યો હોય છે. આ જાતના ઉદ્યાનોમાં ડેથવેલી નૅશનલ મૉન્યુમેન્ટ, કૅલિફૉર્નિયા અને નેવાડા (યુ.એસ.) જાણીતા ઉદ્યાન છે. કુદરતી રીતે ખડકો અને ખીણ અત્યંત આકર્ષક લાગે છે. લગભગ ૨૦૦ ચોકિમી.ના વિસ્તારમાં તે પથરાયેલો છે. પૃથ્વીના પશ્ચિમ ગોળાર્ધમાં સૌથી નીચું બિંદુ આ પાર્કમાં આવેલું છે. તેના માટે રુક્ષ ભૂમિર્દશ્ય (harsh landscape) એવો અર્થસૂચક શબ્દપ્રયોગ કરવામાં આવેલ છે.
ન્યૂ મેક્સિકોમાં લગભગ ૭૦૦ ચોકિમી.ના વિસ્તારમાં ફેલાયેલો વ્હાઇટ સૅન્ડ્સ નૅશનલ મૉન્યુમેન્ટ નામનો ઉદ્યાન છે. આ ઉદ્યાનનું રેતી અને ચિરોડી(gypsum)ના ઢગલાઓથી સૌંદર્યનિર્માણ થયેલું છે. અન્યથા તે રણ જેવો દેખાય છે. તેમાંના ચમકતી રેતીના ઢગલા અને એના કુદરતી ઢોળાવ ચિત્તને હર્યા વગર રહેતા નથી.
બ્રિટનના મોટાભાગના અને અમેરિકા તથા જાપાનના કેટલાક ઉદ્યાનો આ પ્રકારના છે.
(૨) કુદરતી રીતે ઊછરેલી કે તેવી દેખાતી જે તે સ્થળની વનરાજિને, વિનાશ ન થાય તે માટે સાચવવી અથવા ઉગાડવી કે જેથી ભવિષ્યની પ્રજાને આવી વનરાજિનો પૂરો ખ્યાલ આવે. આવા પ્રયોજનથી તૈયાર થયેલા પાર્ક તે પાર્કનો આ બીજો પ્રકાર છે.
આવા ઉદ્યાનોમાં ઑર્ગન પાઇપ કૅક્ટસ નૅશનલ મૉન્યુમેન્ટ; જે યુ.એસ.માં એરિઝોના સ્ટેટમાં આવેલો છે તેને ગણાવી શકાય. તે લગભગ ૧,૩૦૦ ચોકિમી. વિસ્તારમાં પથરાયેલો છે. આ ઉદ્યાનમાં થૉર અને બીજી એવી રણમાં થતી વનસ્પતિ ભરપૂર જોવા મળે છે. અહીં 15 મીટર ઊંચા થતા થૉર ધ્યાન ખેંચ્યા વગર રહેતા નથી. અહીં રણને અનુરૂપ કેટલાંક પક્ષીઓ અને પ્રાણીઓ પણ જોવાં મળે છે.
(૩) કુદરતી વનરાજિમાં મળી આવતાં જંગલી પ્રાણીઓ અને પક્ષીઓની કુદરતી વાતાવરણમાં જ સંભાળ રાખવી તથા તેમની વસ્તી વધારી સ્થળને આકર્ષક બનાવવું એ પણ એક હેતુ કેટલાક ઉદ્યાનોની રચના પાછળ હોય છે.
ભારત અને આફ્રિકાના ઉદ્યાનો મહદ્અંશે આ હેતુથી બનાવેલા છે. ભારતમાં ગીર અભયારણ્ય/વેળાવદર કાળિયાર નૅશનલ પાર્ક, નળસરોવર/પક્ષી અભયારણ્ય વગેરેનો સમાવેશ આ વર્ગમાં કરી શકાય. તેમાં અનુક્રમે સિંહ, કાળિયાર તથા આંતરરાષ્ટ્રીય પક્ષીના સંરક્ષણ તથા સંવર્ધનનો મુખ્ય હેતુ જોવા મળે છે.
ઉપરના ત્રણ મુદ્દાઓ પૈકીના એક કે વધુ મુદ્દાઓને અનુલક્ષીને ઉદ્યાનોની રચના કરવામાં આવે છે. કોઈ ઉદ્યાન એવા હોય જે, રાષ્ટ્રની ર્દષ્ટિએ ભવિષ્યની પેઢી માટે ઉપયોગી લાગે ત્યારે એને જે તે રાષ્ટ્ર રાષ્ટ્રીય ઉદ્યાન (national park) તરીકે જાહેર કરે છે.
સ્વતંત્ર ભારતમાં આ માટેનો કાયદો ઈ.સ. 1972માં પસાર કરવામાં આવ્યો છે અને તે આધારે ઈ. સ. ૧૯૮૦ સુધીમાં ૧૯ રાષ્ટ્રીય ઉદ્યાનો અને ૨૦૨ અભયારણ્યો જાહેર કરવામાં આવ્યાં છે. જોકે આની શરૂઆત તો છેક ઈ.સ. ૧૯૩૪થી થઈ ગણાય, કારણ કે ત્યારે ઉત્તરપ્રદેશમાં તે વખતના ગવર્નર સર માલકોમ હેઈલીના પ્રયત્નથી નૅશનલ પાર્ક માટેનો કાયદો ઘડી હેઈલી પાર્કની રચના કરવામાં આવી હતી.

મોગલ ગાર્ડન (શાલિમાર ઉદ્યાન), શ્રીનગર આવા ઉદ્યાનો જ્યારે કોઈ ઐતિહાસિક સ્થળ કે બનાવોની સાથે સંકળાયેલા હોય છે ત્યારે એનું મહત્વ ઓર વધી જાય છે.
મુંબઈમાં બોરીવલી નજીક એક હજાર વર્ષથી પણ વધુ જૂની એવી કૃષ્ણગિરિ (કન્હેરી) ગુફાઓ સાથે સંકળાયેલો લગભગ ૫,૦૦૦ એકરના વિસ્તારવાળો કૃષ્ણગિરિ ઉદ્યાન, આવા પ્રકારનો ઉદ્યાન છે.
અબ્રાહમ લિંકનના જન્મસ્થળ સાથે સંકળાયેલો અબ્રાહમ લિંકન નૅશનલ હિસ્ટૉરિક પાર્ક (કેન્ટકી, યુ.એસ.) પણ આવા ઉદ્યાનો પૈકીનો એક ગણાવી શકાય. એનો વિસ્તાર લગભગ ૧૦૦ એકર જેટલો છે.
ઉપર જણાવ્યા તેવા કોઈ પણ પ્રકારના ઉદ્યાનોનો માનવી વધારેમાં વધારે લાભ લઈ શકે તે માટે તેમાં હરવાફરવાના રસ્તા, વાહનો, રહેવા માટેની હોટલો વગેરે અને ભોમિયા કે પ્રવાસગોઠવણ વગેરેની વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જ્યાં વન્ય પ્રાણીઓનું સંરક્ષણ અને સંવર્ધન મુખ્ય હેતુ હોય છે ત્યાં એવા ઉદ્યાનનો અમુક જ ભાગ જાહેર જનતા માટે ખુલ્લો રાખવામાં આવે છે અને બાકીના ભાગમાં પ્રાણીઓ મુક્ત રીતે વિચરી શકે તેવી વ્યવસ્થા હોય છે.
સામાન્ય રીતે ઉદ્યાનો ઘણા મોટા વિસ્તારને આવરી લેતા હોય છે. તે એટલે સુધી કે ક્યારેક તે નજીક નજીકનાં બે કે વધુ રાજ્યમાં ફેલાયેલા હોય છે.
વિશ્વના ઉદ્યાનો :
સૌપ્રથમ અમેરિકામાં આવેલો યલો સ્ટોન ઉદ્યાન ધ્યાન ખેંચે છે. ઈ.સ. ૧૮૭૨માં સ્થપાયેલો અને વિશ્વનો પ્રથમ આ રાષ્ટ્રીય ઉદ્યાન ઇડાહો, મોન્ટાના અને વાયોમિંગ નામનાં ત્રણ રાજ્યોમાં ફેલાયેલો છે. એનો વિસ્તાર લગભગ ૨૨ લાખ એકર એટલે કે આશરે ૮,૯૦૦ ચોકિમી.નો છે. યલો સ્ટોન નામની નદી પર્વતાળ પ્રદેશમાંથી પસાર થતાં જે ર્દશ્ય રચે છે તે અદભુત છે. ખાસ કરીને એમાં આવેલા ઊના પાણીના ઝરા અને ફુવારા, ગંધક-તળાવ, શાંત થયેલો જ્વાળામુખી, અનેક જાતની વનરાજિઓ અને જાતજાતનાં વન્ય પશુ-પક્ષી તેનાં મુખ્ય આકર્ષણો છે.
યુ.એસ.માં કૅલિફૉર્નિયામાં આવેલ ‘રેડવૂડ નૅશનલ પાર્ક’ ૪૪૦ ચોકિમી.માં ફેલાયેલો છે. દરિયાકિનારે આવેલા આ ઉદ્યાનમાં મોટી મોટી ભેખડો અને ખડકો ધ્યાન ખેંચ્યા વગર રહેતાં નથી. એનું ખરું આકર્ષણ તો રેડવૂડનાં તોતિંગ વૃક્ષો (sequoia sempervirens) છે. દુનિયાનાં સૌથી ઊંચાં વૃક્ષો લગભગ ૧૧૨ મીટરનાં – અહીં જોવા મળે છે. એના થડનો વ્યાસ પાંચેક મીટર જેટલો હોય છે. એની ઉંમર 3થી ચાર હજાર વર્ષની આંકવામાં આવે છે. વળી આ ઉદ્યાનમાં રુઝવેલ્ટ એલ્ડ નામના પશુની ખાસ જાત છે, જે વિશ્વમાં અન્યત્ર ભાગ્યે જ જોવા મળે છે.
યુ.એસ.ના અલાસ્કા ટાપુમાં આવેલ માઉન્ટ મેકીન્લી નૅશનલ પાર્ક દુનિયાનો સૌથી વધુ ઊંચાઈએ (આશરે ૪,૦૦૦ મી.) આવેલો ઉદ્યાન છે. આ ઉદ્યાનમાં હિમનદ (glacier) ખૂબ જ આકર્ષક અને રમણીય ર્દશ્ય ઊભું કરે છે.
યુ.એસ.ના એરીઝોના સ્ટેટમાં ગ્રાન્ડ કૅન્યન નૅશનલ પાર્કમાં કોલારાડો નદીએ પર્વતને કોરીને પોતાનો માર્ગ બનાવ્યો છે, જેને લીધે કોઈ કોઈ ઠેકાણે એકાદ માઈલ ઊંચી પર્વતની ભેખડો સર્જાઈ છે. આ પર્વતો જાતજાતનાં ખનિજોને લીધે રંગબેરંગી દેખાવાથી ચિત્તાકર્ષક છે.
કૅનેડામાં સૌપ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન બફ નૅશનલ પાર્ક ઈ.સ. ૧૮૮૫માં અસ્તિત્વમાં આવ્યો. એનો વિસ્તાર લગભગ ૬,૬૦૦ ચોકિમી. છે. એ ઊના પાણીના ઝરા માટે જાણીતો છે.
મેક્સિકોમાં આવેલો કેરીસ્બાડ કેવર્ન્સ નૅશનલ પાર્ક, જે લગભગ ૧૯૦ ચોકિમી.માં પથરાયેલો છે તે વળી બીજી જ વિશિષ્ટતા ધરાવે છે. તેમાં મોટા પ્રમાણમાં નાની-મોટી ગુફાઓ આવેલી છે. આ ગુફાઓમાંથી સાંજના સમયે લાખોની સંખ્યામાં ચામાચીડિયાં ઊડે છે અને સવારે પાછાં ફરે છે. એ દેખાવ તો ફક્ત કલ્પવો જ રહ્યો !
આ સિવાય અમેરિકામાં બ્રાઝિલ, ચીલી, વેનેઝુએલા, પેરુ વગેરે દેશોમાં પણ ઘણા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
લગભગ ૧૯ હજાર ચોકિમી.માં પથરાયેલો ક્રુગર નૅશનલ પાર્ક ટ્રાન્સવાલમાં આવેલો છે અને તે સફેદ ગેંડા તથા અન્ય ઘણી જાતનાં વન્ય પ્રાણીઓ માટે જાણીતો છે.
ઇથિયોપિયાનો અવાશ નૅશનલ પાર્ક (૭૦૦ ચોકિમી.), બોટ્સ્વાનાનો ચોબે નૅશનલ પાર્ક (૧૦,૦૦૦ ચોકિમી.), મોઝામ્બિકનાં ગોરાંગોસા નૅશનલ પાર્ક (૩,૭૦૦ ચોકિમી.), યુગાન્ડાનો કેબેલેગા નૅશનલ પાર્ક (૩,૮૦૦ચોકિમી.), ઝામ્બિયાનો કેફ્યુ નૅશનલ પાર્ક (૨૨,000 ચોકિમી.), દક્ષિણ આફ્રિકાનો કલહરી જેમ્સબોક નૅશનલ પાર્ક (૯,૫૦૦ ચોકિમી.) અને આફ્રિકાના બીજા ઘણા પાર્ક ગેંડા (રહાઇનૉસરસ), હાથી, હિપોપૉટેમસ, સિંહ વગેરે વન્ય પ્રાણીઓ માટે જાણીતા છે.
એશિયાખંડમાં ભારત, જાપાન, તુર્કસ્તાન, થાઇલૅન્ડ, સોવિયેત યુનિયન, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં સંખ્યાબંધ રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
ભારતમાં ઉત્તરપ્રદેશમાં આવેલો કૉર્બેટ નૅશનલ પાર્ક વાઘની જાતો માટે, ગુજરાતમાં ગીર નૅશનલ પાર્ક સિંહો માટે, આસામનો નૅશનલ પાર્ક ગેંડા માટે તથા માઇસોરનો નૅશનલ પાર્ક જંગલી હાથીઓ માટે જાણીતો છે. કેરળમાં આવેલ પેરિયાર પાર્ક પેરિયાર સરોવરની ફરતે આવેલો છે. તે એક હજાર મીટર ઊંચાઈએ આવેલો છે અને તેમાં હાથી, વાઘ, ચિત્તા વગેરે જોવા મળે છે. સરોવરને કાંઠે પ્રવાસીઓને રહેવા માટે હોટલ વગેરેની પણ સગવડ છે.

પેરિયાર પાર્ક જાપાનના ડેઝેટ્સુઝન નૅશનલ પાર્ક (૨,૩૦૦ ચોકિમી.) અને ફ્યુઝી-હેકોનઇઝુ નૅશનલ પાર્ક (૧,૨૦૦ ચોકિમી.) એ જ્વાળામુખી પર્વતોની ટોચ માટે જાણીતા છે.
થાઇલૅન્ડનો ખાઓ આઈ નૅશનલ પાર્ક (૨,૦૦૦ ચો કિમી.) વાઘ, હાથી વગેરે વન્ય પ્રાણીઓ તથા પાણીના અસંખ્ય નાના-મોટા ધોધ માટે જાણીતો છે.
સોવિયેત યુનિયનનો બેલોવેઝસ્કાય પુશા પાર્ક (૮૦૦ ચોકિમી.) ઘણાં જૂનાં-સેંકડો વર્ષની ઉંમર ધરાવતાં વૃક્ષો માટે જાણીતો છે.
યુરોપમાં ઇંગ્લૅન્ડ, સ્વીડન, ઇટાલી, પોલૅન્ડ, ડેન્માર્ક, ઑસ્ટ્રિયા, જર્મની, યુગોસ્લાવિયા, ફ્રાન્સ, નૉર્વે, સ્પેન વગેરે દેશોમાં પણ રાષ્ટ્રીય ઉદ્યાનની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.
ઇંગ્લૅન્ડનો લેક ડિસ્ટ્રિક્ટ નૅશનલ પાર્ક (૨,૨૦૦ ચોકિમી.) પર્વતીય સૌંદર્ય તથા ઇંગ્લૅન્ડના સૌથી મોટા સરોવર માટે જાણીતો છે.
ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ વગેરે દેશોમાં પણ ઘણા નૅશનલ પાર્ક વિકસવા લાગ્યા છે. આમાં ન્યૂઝીલૅન્ડના માઉન્ટ એસ્પિરિંગ નૅશનલ પાર્ક (૨,૮૦૦ ચોકિમી.) અને માઉન્ટ કુક નૅશનલ પાર્ક (૭૦૦ ચોકિમી.) હિમનદ તથા ઊંચાં પર્વતીય શિખરો માટે જાણીતા છે. ઑસ્ટ્રેલિયાનો ઉલુરૂ નૅશનલ પાર્ક (૧,૨૦૦ ચોકિમી.) સૅન્ડસ્ટોન પથ્થરના મોટા મોટા ખડકો અને કાંગારુ પ્રાણી માટે જાણીતો છે.
ઉદ્યાનોની સાચવણી, તેમના પ્રશ્નો અને તેમનો વિકાસ :
ઉદ્યાનોમાં પ્રેક્ષકોને છૂટથી હરવાફરવા દેવામાં આવે છે, જેથી વધારેમાં વધારે લોકો આ કુદરતી સૌંદર્યનો લાભ લઈ શકે. આ માટે રસ્તાઓ, હોટલો, વિશ્રાંતિસ્થાનો, માહિતીપત્રો, પ્રચાર, ભોમિયા, પ્રવાસો વગેરેની વ્યવસ્થા કરવા પ્રયત્ન કરવામાં આવે છે. મોસમી આકર્ષણો માટે વર્તમાનપત્રો, રેડિયો, ટી.વી. વગેરે દ્વારા જનતાનું ધ્યાન દોરવામાં આવે છે.
આવા પ્રવાસીઓ તેમજ પાર્કમાં રહેતા આદિવાસી લોકો દ્વારા ઉદ્યાનના સૌંદર્યને, વનસ્પતિને કે પ્રાણીઓને કોઈ નુકસાન ન પહોંચે તે માટે વ્યવસ્થાપકોએ ખૂબ ચાંપતી નજર રાખવી પડે છે.
જ્યાં પ્રાણીઓ, પક્ષીઓ વગેરે હોય છે ત્યાં એનો કોઈ શિકાર ન કરે અથવા મનુષ્યોની અવરજવરથી તે બહુ દૂર ન જતાં રહે તે માટે પ્રવાસીઓના હરવાફરવા ઉપર મર્યાદા મૂકવી જરૂરી બને છે. જ્યાં કુદરતી સંવર્ધન માટે એકાંતની જરૂર હોય ત્યાં અમુક ચોક્કસ વિસ્તારમાં પ્રવાસીઓને પ્રવેશવાની મનાઈ હોય છે.
પ્રવાસીઓ હિંસક પશુઓનો ભોગ ન બને તે માટે પણ જરૂરી માર્ગદર્શન, ભોમિયા, રક્ષક, વગેરેની વ્યવસ્થા પણ રખાય છે.
કેટલીક જગ્યાએ વન્ય હિંસક પ્રાણીઓ આજુબાજુમાં વસવાટવાળાં ગામોમાં જઈને ત્રાસ ફેલાવે છે અને અમુક પ્રાણીઓ ખેતીના પાકને નુકસાન કરે છે ત્યારે સ્થાનિક પ્રજાનો સાથ જતો રહે છે. આ માટે વ્યવસ્થાપકોએ અમુક ‘બફર’ વિસ્તાર જાહેર કરીને કે આડશો ઊભી કરીને આ પ્રશ્નને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે.
ઉદ્યાનો શિક્ષણ અને સંશોધન માટે ખૂબ ઉપયોગી છે.
ઉદ્યાનો હવે ફક્ત મોજશોખ કે માત્ર આનંદપ્રમોદનાં સાધન રહ્યા નથી, પરંતુ એ રાષ્ટ્રની એક મહામૂલી મિલકત ગણાય છે. સમસ્ત વિશ્વની ર્દષ્ટિએ જોઈએ તો છેલ્લા એક સૈકામાં નહિ નહિ તોય બે હજાર જેટલા ઉદ્યાનો અસ્તિત્વમાં આવ્યા છે. ભવિષ્યમાં પણ જેમ જેમ શહેરીકરણ વધતું જશે તેમ તેમ ઉદ્યાનોની સંખ્યા વધતી જ જવાની. આ માટે પોતપોતાની ભૌગોલિક પરિસ્થિતિને લક્ષમાં રાખીને જરૂરી તાલીમ પામેલો વ્યવસ્થાપક વર્ગ ઊભો કરવાની વ્યવસ્થા અમુક પ્રગતિશીલ દેશોમાં શરૂ થઈ ગઈ છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
ડહાપણ સામે ચાલીને આવતું નથી
મંજૂષા
વીનેશ અંતાણી

મોરારજીભાઈ દેસાઈ ભારતના વડાપ્રધાન હતા ત્યારે એક વિદેશી મહિલા પત્રકારે એમનો ઇન્ટરવ્યૂ લીધો હતો. એણે મોરારજીભાઈને પૂછ્યું કે ભારતમાં સાક્ષરતાનું પ્રમાણ ઘણું નીચું છે. લોકોને વાંચતાં-લખતાં આવડતું નથી તો તેઓ લોકશાહી અને રાષ્ટ્રહિત માટે આવશ્યક સાચા નિર્ણયો કઈ રીતે લઈ શકે? ટૂંકમાં, પત્રકાર-બહેન કહેવા માગતાં હતાં કે નિરક્ષરતા તમારા દેશની બહુ મોટી સમસ્યા છે. અભણ લોકોમાં જ્ઞાન અને માહિતીનો અભાવ હોય ત્યારે તેઓ દેશની લોકશાહી માટે ખતરો બની શકે છે.
મોરારજીભાઈએ જવાબ આપ્યો કે કોઈ માણસ નિરક્ષર હોય એનો અર્થ એમ નથી કે એનામાં બુદ્ધિ નથી. અમારા દેશના લોકોને ડહાપણ પેઢી દર પેઢી વારસામાં મળે છે, એ એમના લોહીમાં વહે છે. ‘મારા દેશનો નિરક્ષર માણસ પશ્ચિમના દેશોના ભણેલા લોકોની સરખામણીમાં જીવનનાં સત્યો વધારે સારી રીતે સમજી શકે છે.’
મોરારજીભાઈનો આ જવાબ ભારતમાં અક્ષરજ્ઞાન ન ધરાવતા લોકોમાં રહેલી કોઠાસૂઝનો નિર્દેશ કરે છે. પ્રજા શિક્ષિત હોય એ ખૂબ જરૂરી અને અનિવાર્ય છે, પરંતુ બુદ્ધિ–ડહાપણનો આધાર માત્ર ભણતર પર જ નથી હોતો. સાક્ષરતાનું ઘણું મહત્ત્વ છે અને એનો આંક ઊંચો લાવવા માટે આઝાદી પછી આપણા દેશમાં ભગીરથ પ્રયત્નો કરવામાં આવ્યા છે. એનાં સારાં પરિણામ આવ્યાં છે. તેમ છતાં જીવનમાં યોગ્ય નિર્ણય લેવા માટે માત્ર ભણેલા હોવું પૂરતું નથી.
ઘણા નિરક્ષર લોકો એમની આંતરસૂઝથી સમજદારીપૂર્વક અને વ્યાવહારિક નિર્ણયો લઈ શકે છે. કોઈએ હળવાશથી સરસ વાત કરી છે કે બુદ્ધિશાળી હોવાનો અર્થ ‘વધારે નંબરવાળાં ચશ્માં કે ગંભીર ચહેરો’ નથી. માણસમાં રહેલું જન્મજાત ડહાપણ પુસ્તકિયા જ્ઞાનથી વિશેષ હોય છે. ઘણા લોકોમાં અલગ રીતે વિચારવાની કુદરતી આવડત હોય છે અને તેઓ ઉચ્ચ ડિગ્રીધારી લોકોથી વધારે સારી રીતે સમસ્યાઓનો હલ કાઢી શકે છે.
એક વાર નહાવાના સાબુ બનાવતી વિદેશની ખૂબ જાણીતી કંપનીના સંચાલકો સામે અણધારી સમસ્યા ઊભી થઈ. કંપનીના સાબુનો માલ બજારમાં પહોંચી ગયો ત્યારે ખબર પડી કે બૉક્સમાં સાબુ જ નહોતા, ખાલી ખોખાં હતાં. કંપનીની શાખ જોખમમાં મુકાઈ ગઈ. એમની કંપનીમાં સાબુ બનાવવાથી માંડીને બૉક્સમાં પેક કરવા સુધીની સમગ્ર પ્રક્રિયા યંત્ર આધારિત સ્વયંસંચાલિત હતી. બૉક્સમાં સાબુ ભરવાના સ્ટેજ પર કશીક ટેક્નિકલ ગરબડ થઈ હતી. ભવિષ્યમાં આવી ભૂલ નિવારવા માટે નિષ્ણાતોએ સિસ્ટમમાં સુધારો કરવા ઘણા કલાકો ચર્ચાવિચારણા કરી પણ કોઈ ઉકેલ મળ્યો નહીં. છેવટે કંપનીના નીચી પાયરીના એક ‘અભણ’ કર્મચારીએ સરળ ઉપાય સૂચવ્યો – સાબુનું પેકિંગ થતું હોય તે જગ્યાએ મોટા પેડેસ્ટલ ફેન મૂકો. બૉક્સ ખાલી હશે તો પવનમાં ઊડી જશે, એમાં સાબુ હશે તો ભરેલાં બૉક્સ પસાર થઈ જશે.
બહારથી સામાન્ય લાગતા લોકોમાં અકલ્પ્ય બુદ્ધિ હોય છે. અભ્યાસીઓએ એવા લોકોનાં કેટલાંક લક્ષણો તારવ્યાં છે. એમનામાં અદભુત નિરીક્ષણશક્તિ હોય છે. તેઓ એમની આજુબાજુની ઘટનાઓ અને લોકોનું એનું ખૂબ ઝીણવટથી પૃથક્કરણ કરતા રહે છે. તેઓ સાદા પરંતુ વ્યાવહારિક નિર્ણયો લેવાની ક્ષમતા ધરાવે છે, કોઈ પણ સૂચન પર વિચાર કરવા તેઓ હોય છે અને તંગ પરિસ્થિતિમાં પણ હળવા રહી શકે છે. એમનામાં નાનામાં નાની બાબત વિશે જાણકારી મેળવવાની જિજ્ઞાસા હોય છે. તેઓ પ્રશ્નો પૂછે છે અને એમાંથી યોગ્ય જવાબો શોધે છે. એ લોકો વધારે પડતું બોલતા નથી, ચૂપચાપ ઊંડા વિચાર કરે છે અને પછી જ આગળ પગલું ભરે છે. તેઓ કોઈ પણ ઉંમરે નવું જાણવા ઉત્સુક હોય છે.
‘બુદ્ધિ’ અને ‘ડહાપણ’ વચ્ચે સૂક્ષ્મ ભેદ છે. ડહાપણ ભણતરનું મોહતાજ નથી. જીવનના અનુભવો લોકોને શાણા બનાવે છે, સારા-નરસા અનુભવોથી લોકોની આંતરસૂઝ ઘડાય છે. એટલે તો આપણામાં ‘ઘરડા ગાડાં વાળે’ જેવાં ઓઠાં પ્રચલિત છે. આપણો સમાજ જ્ઞાનવૃદ્ધ વડીલોને માન આપે છે, જોકે બદલાયેલી સામાજિક અને આર્થિક પરિસ્થિતિ અને ટેક્નોલોજીના વિકાસને લીધે લોકોમાં વડીલો પ્રત્યેના અભિગમમાં ઝાંખપ આવી છે.
વિભક્ત કુટુંબોની સંખ્યા વધવાથી ઘરના વડીલો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. તેમ છતાં દરેક જગ્યાએ એવું જોવા મળતું નથી. બે ચિત્રો મળે છે. સિત્તેર વર્ષની એક નિવૃત્ત શિક્ષિકાએ કહ્યું હતું કે એની પુત્રવધૂ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. પહેલું સંતાન દીકરી જન્મી પછી એ બાળઉછેરનાં અંગ્રેજી પુસ્તકો વાંચતી હતી, પણ દીકરી માંદી પડે ત્યારે ઘરગથ્થુ ઉપચાર માટે હંમેશાં સાસુની સલાહ લેતી હતી અને એ પ્રમાણે કરતી હતી, એનાથી વિપરિત ઉદાહરણ – એક વયોવૃદ્ધ પિતાની ફરિયાદ છે કે એનાં સંતાનોએ એને ‘ડેડ સ્ટોક’ માનીને જાણે માળિયામાં ચઢાવી દીધો છે! એના માર્ગદર્શનની એમને જરૂર રહી નથી.
વૃદ્ધ લોકો ખરચાઈ ગયેલી મૂડી નથી. એમની પાસે જીવતરના અનુભવોમાંથી મળેલા ડહાપણનું ભાથું હોય છે. આજના સતત પરિવર્તનશીલ સમયમાં જીવનમૂલ્યોના ઝડપથી બદલાતાં જાય છે ત્યારે અનુભવસિદ્ધ વડીલોના ડહાપણનું મહત્ત્વ ઘટવા લાગ્યું છે, પરંતુ આજે નહીં તો આવતીકાલે સમાજને જન્મજાત કોઠાસૂઝ ધરાવતા વડીલોની જરૂર પડવાની જ છે.
મોરારજીભાઈએ વિદેશી મહિલાને કહ્યું હતું તેમ વારસામાં મળતા પરંપરાગત ડહાપણને લીધે જ ભારતીય સમાજ યુગોથી અડીખમ ઊભો રહ્યો છે. મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈની આ વાત યાદ કરીએ – ડહાપણ સામે ચાલીને તમારી પાસે આવતું નથી, એની પાસે પહોંચવા માટે તમારે આખી જિંદગીનો પંથ કાપવો પડે છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
પ્રવાસીઓ! પાછા જાવ
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
નવાઈ પમાડે એવી વાત તો છે! જે શહેરના અર્થતંત્રનો ચૌદ ટકા જેટલો નોંધપાત્ર હિસ્સો પ્રવાસન પર અવલંબિત હોય અને નવ ટકા રોજગાર પણ આ ક્ષેત્રે હોય એ શહેરના રહીશો એકઠા થઈને પ્રવાસીઓ સામે દેખાવ કરે એ જાણીને નવાઈ લાગ્યા વિના રહે નહીં. પણ આમ બન્યું છે.
એક સવા મહિના અગાઉ આ કટારમાં સ્પેનના મયોકા ટાપુના રહીશોએ પ્રવાસીઓ સામે કરેલા વિરોધ પ્રદર્શન વિશે જણાવવામાં આવ્યું હતું. સવા નવેક લાખની વસતિ ધરાવતો આ ટાપુ સહેલાણીઓમાં અતિ પ્રિય બની રહ્યો છે. વરસેદહાડે અહીં દસથી બાર લાખ સહેલાણીઓની અવરજવર રહે છે. આમ છતાં, સહેલાણીઓના ધસારાથી, તેને લઈને શહેરને થતા નુકસાનથી ત્રાસીને મયોકાવાસીઓએ નક્કી કર્યું કે આ વરસે તેઓ પ્રવાસીઓ સામે દેખાવ કરીને તેમનો વિરોધ કરશે.
સ્પેનના બાર્સેલોના શહેરમાં આ જ ઘટનાનું પુનરાવર્તન થયું. છઠ્ઠી જુલાઈ, ૨૦૨૪ને શનિવારે બાર્સેલોનાના અનેક રહીશો એકઠા થઈને શહેરનાં જાણીતાં પ્રવાસન સ્થળોએ ફર્યા. ‘બાર્સેલોના વેચાણ માટે નથી’ જેવાં સૂત્ર લખેલાં પાટિયાં પકડીને તેમણે ‘પ્રવાસીઓ પાછા જાવ’નો સૂત્રોચ્ચાર કર્યો. આટલું ઓછું હોય એમ તેમણે પ્રવાસીઓ પર પીચકારીઓ વડે પાણીનો છંટકાવ કર્યો. અપરાધસ્થળે લગાવાય છે એવી લાલ રંગની પટ્ટીઓ તેમણે હોટેલો ફરતે વીંટાળી. અલબત્ત, આ આખો કાર્યક્રમ ધાર્યા મુજબ સફળ ન રહ્યો, પણ પ્રસાર માધ્યમોમાં આ ઘટના ચમકી ખરી.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી કોવિડની મહામારીથી પહેલાં બાર્સેલોનાના રહીશો ફરિયાદ કરતા રહ્યા છે કે તેમનું સુંદર શહેર ગીચતા, આકાશી મકાનભાડાં અને જીવનધોરણના અતિશય ઊંચા દરને લઈને રહેવા માટે અસહ્ય બનતું ચાલ્યું છે. સોળેક લાખની વસતિમાંથી દોઢેક લાખ લોકોને રોજગાર પૂરો પાડતા આ ક્ષેત્ર સામે વિરોધનો આવો પ્રચંડ જુવાળ ફાટી નીકળે એ બતાવે છે કે સ્થાનિક રહીશો કઈ હદે ત્રસ્ત થયા હશે.
આ ઘટનાને કારણે એવા સવાલ પણ પૂછાતા થયા છે કે આ પરિસ્થિતિ માટે શું પ્રવાસીઓ એકલા જ જવાબદાર છે? સ્થાનિક સત્તાવાળાઓ યોગ્ય પગલાં લેવામાં નિષ્ફળ નીવડ્યા છે એટલે ખરો આક્રોશ તેમની સામે હોવો જોઈએ.
બાર્સેલોનાના મેયર જૉમ કોલ્બોનીએ પ્રવાસીઓના ધસારાને ખાળવા માટે અનેક પગલાંની ઘોષણા કરી છે, જેમાં પ્રવાસીઓ પરના રાત્રિવેરામાં વધારો તેમજ ક્રૂઝ જહાજમાં મુસાફરોની સંખ્યાને મર્યાદિત કરવાનો પણ સમાવેશ થાય છે. તેમણે વધુમાં જાહેર કર્યું કે ૨૦૨૮ સુધીમાં તેઓ દસ હજારથી વધુ એપાર્ટમેન્ટના ટૂંકા ગાળાનાં ભાડાપટા નાબૂદ કરીને પ્રવાસીઓ માટે ભાડે એપાર્ટમેન્ટ રાખવાની જોગવાઈને નાબૂદ કરશે. એને કારણે લાંબા અરસા સુધી અહીં વસનારા એટલે કે રહીશો માટે આવાસની કિંમત પોસાય એવી થશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા દસેક વર્ષમાં બાર્સેલોનામાં મકાનનાં ભાડામાં ૬૮ ટકા જેટલો અને મકાનની કિંમતમાં ૩૮ ટકા જેટલો વધારો થયો છે.
પ્રવાસીઓને કારણે વિવિધ ચીજોની કિંમતમાં વધારો થાય છે અને જાહેર સેવાઓ પર દબાણ આવે છે. સાથોસાથ પ્રવાસન થકી થતા નફાની અસમાન વહેંચણી થાય છે અને સામાજિક અસમાનતા વધે છે.
બાર્સેલોનાના રહીશોએ કદાચ અત્યાર સુધી પ્રવાસન થકી થતી આવકનાં ફળ ચાખ્યાં હશે, તેની સામે પોતાને થતા નુકસાનને નજરઅંદાજ કર્યું હશે, પણ હવે તેમનો વિરોધ ચરમસીમાએ છે. અને આ કેવળ બાર્સેલોનાના રહીશોની વાત નથી. સ્પેનમાં અન્યત્ર તેમજ યુરોપના કેટલાક દેશોમાં સ્થાનિકોએ ત્રાસીને પ્રવાસીઓનો વિરોધ શરૂ કર્યો છે. પોતાને થતા દેખીતા લાભને પણ તેમણે જોખમમાં મૂક્યો છે એમ કહી શકાય.
આ બાબત વિચાર માગી લે એવી છે. સૌથી પહેલો વિચાર એ કરવાનો છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પ્રવાસી બનીને અન્ય સ્થળે જાય ત્યારે તે કેવી રીતે વર્તે છે? વર્તણૂક કોઈ વ્યક્તિ સાથે નહીં, પણ એક પ્રવાસી તરીકે પોતે કેટલો જવાબદારીપૂર્વક વર્તે છે એ મહત્ત્વનું છે. આ બાબત એકલા યુરોપમાં નહીં, સમગ્ર વિશ્વના પ્રવાસીઓને સાર્વત્રિકપણે લાગુ પડે છે.
યુરોપના વિકસીત ગણાતા દેશોમાં આ હાલત છે, જ્યારે આપણે ત્યાં ઘરઆંગણે હજી અનેક સ્થળોને પ્રવાસનધામ તરીકે વિકસાવવાનું આયોજન પૂરજોશથી થઈ રહ્યું છે. વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે કરાતા આ વિકાસને કારણે જે તે સ્થળની શી વલે થશે એ કલ્પના કરવી મુશ્કેલ નથી. એમાં પણ હિમાલયના નાજુક ભૂપૃષ્ઠ ધરાવતા પ્રદેશમાં જે રીતે વિકાસના નામે છેડછાડ થઈ રહી છે, અને એનાં વિપરીત પરિણામ દર વરસે નિયમીતપણે જોવા મળી રહ્યાં છે. છતાં એ વિકાસયોજનાઓ આગળ ધપી રહી છે. પ્રવાસીઓનો ત્યાં ધસારો શરૂ થશે પછી એની જે હાલત થવાની હશે એ થશે, એ અગાઉ એ વિસ્તારના પર્યાવરણનો ખો વળી રહ્યો છે અને એ કૃત્યને ગૌરવભેર આગળ કરવામાં આવી રહ્યું છે. એ તો સરકારના પક્ષની વાત થઈ.
નાગરિક તરીકે આપણી જવાબદારી ઓછી નથી. પ્રવાસી તરીકે પ્રત્યેક સ્થળ, સંસ્કૃતિને યોગ્ય સન્માન આપવું એ લઘુત્તમ અપેક્ષા હોય છે, પણ એથી આગળ વધીને પ્રવાસના સ્થળે ગંદકી કરવી તો અપરાધ જ છે.
કોવિડ પછીનો સમયગાળો એવો છે કે વૈશ્વિક સ્તરે સૌ વધુ ને વધુ પ્રવાસ કરતા થયા છે. તેને કારણે આ ક્ષેત્રે નાણાંનો પ્રવાહ વધ્યો છે. જે તે સ્થળને થઈ રહેલા નુકસાન, ત્યાં કરાઈ રહેલી ગંદકી અને પર્યાવરણને થતું નુકસાન ગમે એટલા નાણાંથી ભરપાઈ કરી શકાય એવું નથી હોતું.
એમ લાગે છે કે વાનરમાંથી ઉત્ક્રાંત થઈને માનવ બન્યા પછી માનવમાંથી નાગરિક બનવા માટે હજી લાંબી મજલ કાપવાની છે.
ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૧ – ૦૮ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કુદરતની કેડીએ – કેડી કંડારનારા : ૨
સંકલન : યાત્રી બક્ષી
વિશ્વની મોટાભાગની સભ્યતાઓમાં પ્રકૃતિના જતન બાબતે પીઢ જ્ઞાની વ્યક્તિઓએ કેટલીક પાયાની સમજ વિકસે એવા સંદેશાઓ વહેતા મૂક્યા છે. આ સભ્યતાઓમાં ભૌગોલિક રીતે જોઈએ તો ભારતીય દ્વીપકલ્પમાં વિકસેલી સભ્યતાઓએ કમાલ કરી છે.

એક પછી એક એવા દ્રષ્ટાઓ, જ્ઞાતાઓ અને સામાજિક વ્યક્તિત્વો આવ્યાં જેઓએ પેઢી દર પેઢી સર્વસમાવેશક જીવનશૈલી વિકસે એવા સંદેશાઓ અને પ્રચલનો આપ્યાં. મોટાભાગની સભ્યતાઓએ પોતાના દેવ-દેવી કે આસ્થાના પ્રતીકોમાં જીવસૃષ્ટિને સમાવી હોવાનું જાણવા મળે છે, પરંતુ ભારત સિવાયની સભ્યતાઓમાં ભય અને માન્યતાઓ બહુ પ્રારંભિક અવસ્થાઓથી જોવા મળે છે. જ્યારે ભારતીય સભ્યતાઓમાં તે દૈવીય તત્ત્વોને વાહન તરીકે પરિકલ્પિત કરેલા જોવાય છે. તે દર્શાવે છે કે વિવિધ જીવોને એ ઈશ્ર્વરી તત્ત્વો-શુભ અને લાભના વાહન તરીકે પ્રસ્થાપિત કરી તેને સન્માનવાનો પ્રયત્ન થયો છે. આ વિષય પ્રચારપ્રસારનાં માધ્યમોના અત્યંત પ્રારંભિક તબક્કાને દર્શાવે છે, અને તેની પાછળ લોકોને જીવો પરત્વે ભયના બદલે અહોભાવ વિકસાવવા તરફ દોરે છે, તેવું માની શકીએ. પરંતુ એથી આગળ જઈ વેદ-ઉપનિષદ, સંહિતાઓ પ્રકૃતિની જીવસૃષ્ટિથી આગળ જઈ ખગોળ, ભૂમિ, વર્ષા અને પાણીના સ્રોતોને મહત્ત્વ બાબતે પણ શિક્ષણ આપે છે. એ બાબતના અનેક શ્ર્લોકો મળી આવે છે.
આ પરંપરામાં અનેક ધર્મોના વિકાસને વિશિષ્ટ જ્ઞાન તરીકે જોઈએ ત્યારે આ સમગ્ર વિષય, માનવવિકાસમાં મનોવિજ્ઞાન અને સામૂહિક મનોવિજ્ઞાનની શાખા તરીકે વિકસતી જણાય છે. કેડી કંડારનારાઓને જાણવાના આ પ્રયત્નોમાં હાલમાં પ્રચલિત ધર્મ સંપ્રદાય લક્ષ્યમાં છે જ નહિ, પરંતુ તેમ છતાં વિશ્ર્વભરના ધર્મ સંપ્રદાયો પ્રકૃતિ-જતન બાબતે શું કહે છે એ ટૂંકમાં જોઈએ તો વિશ્ર્વની તમામ ફિલોસોફીકલ શાખાઓ એક સામાન્ય માર્ગદર્શન શોધવા તરફ પ્રેરે છે. જે પૃથ્વીના માનવસમુદાયની પ્રકૃતિ ઉપર અસર બાબતે વૈશ્ર્વિક સમાજને એક સૂત્રમાં બાંધે એવી શીખ આપે છે. સદીઓ પહેલાં જે ધર્મોએ આદેશો દ્વારા સામૂહિક આચરણ બાબતે દિશાઓ આપેલી તે એક થતું નવું વિશ્ર્વ પણ યાદ કરે, એ આશા યુ.એન.ના પ્રયાસોમાં પ્રતિબિંબિત થાય છે. વિજ્ઞાન, ધર્મના આદેશોના વાહનમાં બેસી સમુદાયોને શિક્ષિત કરે એ બહુ જૂની પદ્ધતિ છે. ફરી બહાઈ, બુદ્ધ, જૈન, હિન્દુ, ઇસ્લામ, ઈસાઈ, જ્યુડાઈઝમ, શીખ, તાઓ વગેરેના સંદેશાઓને ચકાસીએ તો તે તમામમાં પૃથ્વીનાં પરમ પોષક તત્ત્વોને જાળવવા બાબતે એક સૂર ગવાતો જોવાયો. અથર્વવેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું.

સર્વ વિદિતનું પુનરાવર્તન કરું તો હિન્દુ પંચતત્ત્વોને પૂજે છે – વન્યજીવોમાં શક્તિ જુએ છે, જૈન માઈક્રોબાયોલોજી શાખાને વિકસાવી સૂક્ષ્મ જીવહિંસાને સમજાવે છે, બૌદ્ધ કર્મકાંડથી વિમુખ રહી સર્વને સ્વીકારવા કહે છે, ઈસાઈ કરુણા અને ઇસ્લામ નીતિમત્તાથી જીવન જીવવા પ્રેરે છે. ઋગ્વેદનું પૃથ્વી સૂક્ત અને તેનું વિસ્તરણ અથર્વ વેદનું ભૂમિસૂક્ત જાણે આ તમામ ધર્મોના સંદેશાઓમાં વણાયેલું અનુભવાયું. એટલે કે કાળક્રમે શું કરવું, શું ના કરવું તેવા યમ અને નિયમોની શીખ દ્વારા પોતાની સામૂહિક પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ અને સંવર્ધન કરવાનાં પ્રચલન, સભ્યતાઓ કે સમુદાયોમાં ધર્મ સ્વરૂપે સ્થાપિત કરવામાં આવ્યાં.
પાંચમી સદીના અફાટ રણમાં થઈ ગયેલા સંત-ગુરુ જામભેશવરજી

જામભેશવરનો જન્મ ૧૪૫૧માં નાગૌરના દૂરના ગામ પીપાસરમાં પંવર કુળના રાજપૂત પરિવારમાં થયો હતો. તેઓ લોહત પંવાર અને હંસાદેવીના એકમાત્ર સંતાન હતા. તેમના જીવનનાં પ્રથમ સાત વર્ષ સુધી, ગુરુ જામભેશવરને મૌન અને અંતર્મુખ માનવામાં આવતા હતા. તેમણે તેમના જીવનનાં ૨૭ વર્ષ પશુપાલક તરીકે વિતાવ્યાં હતાં. ૩૪ વર્ષની વયે, ગુરુ જામભેશવરે સમરાથલ ધોરા ખાતે વૈષ્ણવ ધર્મના પેટા સંપ્રદાય-બિશ્ર્નોઈની સ્થાપના કરી. તેમના ઉપદેશો શબ્દવાણી તરીકે ઓળખાતા કાવ્યાત્મક સ્વરૂપમાં હતા. તેઓ કબીર (૧૪૪૦-૧૫૧૮), સુરદાસ (૧૪૮૩-૧૫૬૩), અને નાનક જેવા અન્ય ભક્તિ સંતોના સમકાલીન (૧૪૬૯-૧૫૩૮) હોવા છતાં એકબીજાને મળવાનો કોઈ ઐતિહાસિક રેકોર્ડ નથી, તેમણે ૫૧ વર્ષ સુધી પોતાના આદેશો-નિયમોના પાલનનો પ્રચાર કર્યો. તેમણે શબ્દવાણીના ૧૨૦ શબ્દ અથવા શ્ર્લોકોની રચના કરી હોવાનું મનાય છે, જે મોટાભાગે લોકોક્તિ રૂપે જ સચવાયેલી છે. ૧૪૮૫માં રાજસ્થાનમાં મોટા ભયંકર દુષ્કાળ પછી તેઓએ બિશ્ર્નોઈ સંપ્રદાયની સ્થાપના કરી હતી.
બિશ્ર્નોઈ શબ્દ – બીસ એટલે કે વીસ અને નોઈ એટલે કે નવ પરથી આવ્યો છે. જ્યારે બંને ઉમેરવામાં આવે છે, ત્યારે સરવાળો બિશ્ર્નોઈ થાય છે. બિશ્ર્નોઈ સમુદાયના આ ગુરુએ આપેલા નિયમોના આધારે એક આંદોલન શરૂ થયું એ જાણવું રસપ્રદ છે.

તેમણે સંપ્રદાય દ્વારા અનુસરવા માટે ૨૯ સિદ્ધાંતો નક્કી કર્યા હતા. તેના ૨૯ નિયમોમાંથી આઠ જૈવવિવિધતાને જાળવવા અને સારા પશુપાલનને પ્રોત્સાહિત કરવા, સાત સ્વસ્થ સામાજિક વર્તણૂક માટે દિશાઓ પ્રદાન કરે છે, અને દસ વ્યક્તિગત સ્વચ્છતા અને મૂળભૂત પ્રામાણિક સામૂહિક જીવન માટે નિર્દેશિત છે. અન્ય ચાર આજ્ઞાઓ દરરોજ વિષ્ણુની ઉપાસના માટે માર્ગદર્શિકા પૂરી પાડે છે. આપણે જાણીએ છીએ કે હિન્દુ પૌરાણિક ગાથાઓ મુજબ વિષ્ણુ એ પૃથ્વીના સંતુલનના દેવતા છે, જેઓ તત્ત્વો અને જીવોના સંયોજનને સંંભાળે છે.
બિશ્ર્નોઈ સમુદાયના પંથકમાં પ્રાણીઓની હત્યા અને લીલાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ અને તમામ જીવન સ્વરૂપોને રક્ષણ આપવાના નિયમોનો સમાવેશ થાય છે. સમુદાયને એ જોવા માટે પણ નિર્દેશિત કરવામાં આવે છે કે તેઓ જે લાકડાનો ઉપયોગ કરે છે તે નાના જંતુઓથી વંચિત છે. વાદળી કપડાં પહેરવા પર પ્રતિબંધ છે કારણ કે તે રંગ મેળવવા માટે મોટા પ્રમાણમાં વૃક્ષોને કાપવામાં આવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવા અને પર્યાવરણના રક્ષણમાં સક્રિય અભિગમને કારણે તેઓને પ્રથમ ઈકો યોદ્ધા કહેવામાં આવે છે. ખેજરી વૃક્ષ (પ્રોસોપીસ સિનેરિયા),એ પ્રતિજ્ઞાઓ મુજબ આજે પણ બિશ્ર્નોઈઓ દ્વારા પવિત્ર માનવામાં આવે છે.
૨૯ નિયમો/સિદ્ધાન્તો ઉપરાંત જામભેશવરજીએ શબ્દમાં પોતાની ટીકા વર્ણવી છે. તેઓએ પ્રાણીઓ અને પર્યાવરણને પોતાની આદતો અને રીતરિવાજોમાં રહેલી બદીઓના કારણે કરાતી હિંસા અને વિનાશ બાબતે મધ્ય પૂર્વ પ્રાંતોમાંથી આવેલા મુસ્લિમ અને સ્થાનિક હિન્દુ બંનેની આકરા શબ્દોમાં ટીકા કરી છે, એમના દસમા શબ્દમાં તેઓ રહેમાનને માનનારાઓને રહેમ કરવા સમજાવે છે, તેઓ પ્રત્યેક જીવમાં એ જ રહેમાન વસતા હોવાનું કહી, હિંદુઓને તાંત્રિક કુપ્રથાઓમાં કરાતી હિંસાને અને તાંત્રિક-દંભી ગુરુઓને પણ વખોડે છે. જાણે કે વન્યજીવ સંરક્ષણ ધારો ૧૫-૧૬મી શતાબ્દીમાં લોક નીતિરીતિમાં પ્રવેશ કરે છે.
ઇકોલોજિકલી બેલેન્સ્ડ લાઈફ સ્ટાઇલ-સંતુલિત જીવન દ્વારા પ્રકૃતિના જતનના પાયાના સિદ્ધાન્તોને અમલમાં મુકાવી એક સમુદાય ઊભો કરી શકાય તેનું વિશ્ર્વભરમાં પ્રથમ ઉદાહરણ આ બિશ્ર્નોઈ સમુદાય કહેવાય. એક ગુરુ-સાચો નેતા પોતાની પ્રજાને આવી પ્રેરણા આપે એ અનુપમ કેડી કંડારનારા ગુરુ જામભેશવરને નમન એટલે પણ કરવાનું મન થાય કે એમના સમુદાયે સૈકાઓ અને દાયકાઓ પછી પણ નિયમોના પાલન વડે કેટલાંક ઊજળાં ઉદાહરણો આપી ગુરુએ આપેલા માર્ગને સતત પ્રશસ્ત કર્યો છે.
ખેજરી બલિદાન – પર્યાવરણ કાજે વિશ્ર્વનું પ્રથમ અહિંસક આંદોલન
બિશ્ર્નોઈ સમુદાય ગુરુ જામભેશવરે ૧૫૦૦ની આસપાસ સ્થાપિત કર્યો હતો. પ્રકૃતિનું રક્ષણ હંમેશાં બિશ્ર્નોઈ સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યો છે. ૧૭૩૦ માં જોધપુરના તત્કાલિન મહારાજા અભયસિંહ મારવાડ રાજ્ય પર શાસન કરી રહ્યા હતા, તેઓને એક નવો મહેલ બનાવવા માટે ચૂનો રાંધવા માટે લાકડાંની જરૂર હતી. તેમણે રાજ્યના રાજકુમાર ગિરધારીદાસ ભંડારીની આગેવાની હેઠળ કર્મચારીઓને ખેજરીને કાપીને લાવવા મોકલ્યા. ખેજલડી ગામમાં પુષ્કળ ખેજડીઓ હતી. તે એક બિશ્ર્નોઈ પ્રભુત્વ ધરાવતું ગામ હતું. જોઈતાં લાકડાં મેળવવાં સૈનિકો ખેજલડી ગામ મોકલવામાં આવ્યા. અમૃતાદેવી નામના બિશ્ર્નોઈ મહિલા જોધપુર પંથકના આ ગામમાં રહેતાં હતાં, ખેજડી કપાઈ રહી છે જાણતાં અમૃતાદેવી નિર્ભયપણે દોડી જઈ સૈનિકોની કુહાડીથી ઝાડને બચાવવા વળગી પડ્યાં. સામંત પક્ષે વિચાર્યું કે મહિલાને બચાવવા અને વૃક્ષો કાપવા માટે લાલચ કામ કરશે પણ અમૃતાદેવી વૃક્ષ હત્યાનો વિરોધ કરતાં રહ્યાં, અંતે જાન ગુમાવવાની ધમકી આપવામાં આવી પરંતુ બિશ્ર્નોઈ મહિલા અડગ રહ્યાં. ધાર્મિક આસ્થાના પાલન માટે તેઓ લીલાં વૃક્ષોને બચાવવા માટે પોતાનો જીવ આપવા તત્પર રહ્યાં. તેઓએ સૈનિકને કહ્યું “सर सान्टे रुख रहे तो भी सस्तो जाण ! એક વૃક્ષ કાજે માથું પણ સસ્તું જાણ” કારણ કે બિશ્ર્નોઈ તરીકે તેનું રક્ષણ કરવું તેની ફરજ છે. મહારાજના ફરમાનની અવગણના ગણી સૈનિકોએ ઝાડ કાપવા માટે લાવવામાં આવેલી કુહાડી વડે અમૃતાદેવીનું માથું ધડથી અલગ કરી નાખ્યું. માતા સાથે આવેલી ત્રણ દીકરીઓ આસુ, રતની અને ભગુએ પણ બલિદાન આપ્યું. જોતજોતાંમાં બિશ્ર્નોઈ ગામોમાં વાત ફેલાઈ અને લોકો વૃક્ષોને વળગવા મંડ્યા. આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. બિશ્ર્નોઈઓ ભેગા થયા અને ૮૩ બિશ્ર્નોઈ ગામોને સમાચાર મોકલાયા. ચારેયના સર્વોચ્ચ બલિદાનને અવગણી લીલાં વૃક્ષોને કાપવાનું ચાલુ રાખવામાં આવ્યું હતું, તેથી નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક લીલા વૃક્ષને બચાવવા માટે, એક બિશ્ર્નોઈ તેના જીવનનું બલિદાન આપશે. ટૂંક સમયમાં જ ગામના અન્ય લોકોએ પણ અમૃતદેવીના બલિદાનનું અનુસરણ ચાલુ કર્યું અને સૈનિકોએ તેમને મારવાનું શરૂ કર્યું. એવું માનવામાં આવે છે કે મહારાજાએ તેમના નિર્ણય પર પસ્તાવો કર્યો અને સૈનિકોને પાછા બોલાવ્યા તે પહેલાં ૩૬૩ (૬૯ મહિલા, ૨૯૪ પુરુષ) લોકોએ ખેજરી વૃક્ષોની સુરક્ષા માટે પોતાનો જીવ આપ્યો.
ખેજરી બલિદાન સર્વ પ્રથમ પ્રકૃતિ કાજે થયેલું અહિંસક લોક- આંદોલન છે, જેને બિશ્ર્નોઈઓ પોતાના ધર્મનું ફરજપાલન માત્ર માને છે. તેમના માટે દરેક છોડ અથવા પ્રાણી, મનુષ્યની જેમ જ એક જીવંત પ્રાણી છે અને તેથી તે સુરક્ષિત થવાને પાત્ર છે. આ એ ધર્મ છે જે મનુષ્યો, તેમના પર્યાવરણ, તેમની ધાર્મિક માન્યતાઓ અને એકબીજા વચ્ચે વધુ સારા સંબંધને ઉત્તેજન આપે છે, બધાને સુમેળથી જીવવા દે છે. આજે નિષ્ણાતો આને ‘ટકાઉપણું’ કહે છે, અને બિશ્ર્નોઈને ‘ભારતના પ્રથમ પર્યાવરણવાદી’ તરીકે ઓળખાવે છે પરંતુ સદીઓ સુધી એક સમુદાય તેને માત્ર પોતાની ફરજ ગણે છે.
ગુરુ જામભેશવર અને તેમના અનુયાયીઓએ પ્રકૃતિને સહાયક કાર્યો કરેલાં તેની વાત પણ મળી આવે છે. જેમ કે જેસલમેરના માર્ગે આવતા નંદેલુ ગામમાં બાંધેલું તળાવ કે જ્યાં વન્યજીવોનો પહેલો હક રહે છે. બિશ્ર્નોઈના ગામોમાં એવાં કેટલાંય જીવતાં મંદિરો છે જ્યાં નાનાં નાનાં વનો ઊભાં કરવામાં આવ્યાં છે અને ત્યાં રોજ પશુ પંખીઓને ચારો નાખવામાં આવે છે. અહીંનાં વૃક્ષોનાં સૂકાં પાંદડાઓ અને પક્ષીઓની હગારને ખાતર માટે વાપરવામાં આવે છે. આવા દર્શનીય સ્થળને સાથરી કહે છે, જે લોહવાટ અને લાલસાર ગામે જોવા મળે છે. અહીં જામભેશવરનાં વ્રતોને પથ્થરમાં કંડારી મૂકવામાં આવ્યા છે.
ખેજલડી એ સ્થાન છે જ્યાંથી ભારતમાં ચિપકો ચળવળની શરૂઆત થઈ હતી. ખેજડલીમાં તે મંગળવાર, કાળો મંગળવાર હતો. ૧૭૩૦ એ.ડી.માં ભાદ્ર (ભારતીય ચંદ્ર કેલેન્ડર) મહિનાના તેજસ્વી પખવાડિયાનો ૧૦મો દિવસ યાદ કરી આજે પણ મેળો ભરાય છે. અહીં ખેજલડી સ્મારક પણ બનાવવામાં આવ્યું છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં, બિશ્ર્નોઈ સમુદાય હજી પણ અહીં એકઠા થાય છે.
વન્યજીવ સંરક્ષણ માટેનો પ્રથમ અમૃતાદેવી બિશ્ર્નોઈ રાષ્ટ્રીય પુરસ્કાર ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના રોજ કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી દ્વારા રાજસ્થાનના જોધપુરના ચિરઈ ગામના ગંગારામ બિશ્ર્નોઈને મરણોત્તર એનાયત કરવામાં આવ્યો હતો. ગંગારામ કેટલાક શિકારીનો પીછો કરી રહ્યા હતા જેમણે એક હરણને મારી નાખ્યું હતું અને શિકારીઓની ગોળીથી તેનું મૃત્યુ થયું હતું. ૧૧ સપ્ટેમ્બરને રાષ્ટ્રીય વન શહીદ દિવસ તરીકે ઊજવવામાં આવે છે.
લગભગ ૨૩૦ વર્ષ પછી, ૧૯૭૩માં, ઉત્તરાખંડમાં તેહરી-ગઢવાલમાં ચિપકો આંદોલન આ ખેજરી શહીદોથી પ્રેરિત હતું. ૨૦૦૧માં, પર્યાવરણ સંરક્ષણમાં યોગદાન આપનારા લોકોને ઓળખવા માટે, તેમના સન્માનમાં એક રાષ્ટ્રીય પુરસ્કાર (અમૃતાદેવી બિશ્ર્નોઈ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એવોર્ડ) બનાવવામાં આવ્યો હતો. આના પરિણામે, બિહાર અને ઝારખંડમાં જંગલ બચાવો આંદોલન (૧૯૮૨), કર્ણાટકના પશ્ર્ચિમ ઘાટમાં અપ્પીકો ચાલુવલી (૧૯૮૩), અને અન્ય સમાન વિરોધનો જન્મ થયો. આ બધાનો ઉદ્દેશ્ય પ્રાકૃતિક પર્યાવરણની જાળવણી અને રક્ષણ કરવાનો હતો અને પરિણામે જાહેર નીતિઓ બદલાઈ. ચિપકો આંદોલનની ‘ટ્રી-હગિંગ’ યુક્તિ અને તેના સંદેશાઓએ ભારતની સરહદોની બહારના ઘણા દેશોમાં લોકપ્રિયતા મેળવી, જેના કારણે સ્વિટ્ઝર્લેન્ડ, જાપાન, મલેશિયા, ફિલિપાઇન્સ, ઇન્ડોનેશિયા અને થાઇલેન્ડમાં આ રીતે અહિંસક આંદોલનો થયાં છે.
ખેજરીને પશ્ર્ચિમ ભારત તેમજ પશ્ર્ચિમ એશિયાના ઘણા ભાગમાં એક મહત્ત્વપૂર્ણ પ્રજાતિ માનવામાં આવે છે કારણ કે તે ગરમ, શુષ્ક પ્રદેશોમાં સારી રીતે ઊગે છે અને તે લોકો અને પ્રાણીઓ બંને માટે ઉપયોગી છે. દાખલા તરીકે, પાકી ન ગયેલી શીંગોનો ઉપયોગ કેર-સાંગરીનું શાક બનાવવા માટે થાય છે જે કોઈપણ રાજસ્થાની થાળીનો મહત્ત્વનો ભાગ છે, દુકાળ દરમિયાન લોકો છાલનો ખાવામાં ઉપયોગ કરે છે. તેનો ઉપયોગ ચામડીના રોગોની સારવાર માટે પણ થઈ શકે છે, તેનાં મૂળ નાઈટ્રોજનનું સંતુલન કરે છે અને જમીનની ફળદ્રુપતા પુન:સ્થાપિત કરીને, ભૂમિ સુધારણા સાથે ગાય અને બકરા માટે સારા ચારાનો લાભ આપે છે.
(Source: Wikipedia)
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧ જૂન, ૨૦૨૪
-
ઘણી પરંપરાઓ પાછળ મજબૂત સામાજિક અને આર્થિક કારણો હોય છે
સંવાદિતા
કોરોના વાવાઝોડાંમાં પણ આપણે સામાજિક સંબંધોનો એક અત્યંત વરવો અને બિહામણો ચહેરો જોયો
ભગવાન થાવરાણી
ઘણી સામાજિક પ્રથાઓ કુરુચિપૂર્ણ લાગે છે તો ઘણી અરેરાટી ઉપજાવે એવી પણ. દેશે-દેશે અને સમાજે – સમાજે આવી પ્રથાઓના વ્યાપ પાછળ કોઈને કોઈ સામાજિક અને વિશેષ તો આર્થિક કારણ જવાબદાર હોય છે. આવી ઘણી પ્રથાઓ કાળે ક્રમે અને પરિસ્થિતિઓ બદલાતાં વિલય પણ પામે છે.
જાપાનનાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં છેક ઓગણીસમી સદી લગી એક ક્રૂર લાગે તેવી પ્રથા અમલમાં હતી. એ પ્રથાનું જાપાનીઝ નામ ઉબાસૂતે અથવા ઓયાસૂતે. એનો વાચ્યાર્થ થાય ‘ વડીલોને છોડી દેવાં ‘. આ પ્રથા હેઠળ મોટી ઉંમરના માબાપ કે વૃદ્ધ સગાંઓને એમના જ સંતાનોએ કોઈક પર્વત અથવા સુદૂરની વેરાન જગ્યાએ મૂકી આવવાનું રહેતું જ્યાં એ લોકો ભૂખ, તરસ અને અન્ય કારણોથી થોડાક દિવસોમાં મૃત્યુ પામતાં. સ્વાભાવિક છે, આ કુરિવાજના કારણમાં ઘરની પહેલેથી દયનીય આર્થિક હાલતમાં વૃદ્ધોના પેટ ભરવાનો ‘ બિનજરૂરી ‘ બોજો કારણભૂત હતો. આ ક્રિયાને અંગ્રેજીમાં SENICIDE ( સેનીસાઈડ ) કહેવાય છે.
યુરોપ અને એશિયાના અન્ય કેટલાક દેશોમાં પણ આ રિવાજ અલગ અલગ સમયમાં અલગ અલગ નામે પ્રચલિત હતો. ક્યાંક એની પાછળ અંધશ્રદ્ધા પણ જવાબદાર રહેતી પણ મહદંશે તો આર્થિક પશ્ચાદભૂ જ. જૂનું યુગોસ્લાવિયા અને હાલ જે સર્બિયા કહેવાય છે એ દેશના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રથા LAPOT ( લેપોટ ) નામે અસ્તિત્વમાં હતી. ત્યાં ધરના વયોવૃદ્ધ વડીલો, જે ઘરની અર્થવ્યવસ્થા ઉપર બોજ હોય એમને ગામના ચોકમાં લઈ જવાતા. ગામ આખાને નોતરું દેવાતું અને બધાંની હાજરીમાં એમને કુહાડી કે લાકડીથી મારી નાંખવામાં આવતાં.
જાપાનીઝ લેખક શિચીરો ફુકાઝાવાએ આ પ્રથાને કેંદ્રમાં રાખી એક નવલકથા ‘ ધી બેલેડ ઓફ નારાયામા ‘ ( નારાયામા પર્વતની ગાથા ) ૧૯૫૬ માં લખી. આ નવલ ઉપરથી પ્રથમ ફિલ્મ સર્જક કેસૂકે કિનોશિતાએ ૧૯૫૮ માં અને ત્યાર બાદ અન્ય એક પ્રતિષ્ઠિત સર્જક શોહેઈ ઈમામૂરાએ ૧૯૮૩ માં એ જ નામની ફિલ્મો બનાવી. બન્ને ફિલ્મનું કથાવસ્તુ મૂળ નવલકથાને વફાદાર રહીને ફિલ્માવાયું છે પરંતુ કિનોશિતાની ૧૯૫૮ ની ફિલ્મ જાપાનીઝ નાટ્ય પ્રકાર કાબૂકી શૈલીમાં છે જેમાં એક સૂત્રધાર હોય અને ગાયન – નર્તન પણ હોય. એ દરમિયાન તખ્તા પર મૂળ કથાનું નિરૂપણ પણ થતું રહે.
આપણે વાત કરીએ ૧૯૮૩ ની ફિલ્મની. ઓગણીસમી શતાબ્દીના જાપાનમાં નારાયામા પર્વતની તળેટીમાં વસેલા એક અત્યંત ગરીબ અને બારે માસ દુષ્કાળગ્રસ્ત એવા નાનકડા ગામમાં એવી પ્રથા હતી કે ગામનો કોઈ પણ માણસ કુદરતી મૃત્યુ પામ્યા વિના સિત્તેરની ઉંમરે પહોંચે તો એના પોતાના જ સંતાનો એને ઉપાડીને નારાયામાની ટોચે મૂકી આવે. ત્યાં જો એ ભૂખ-તરસથી ન મરે તો અસહ્ય ઠંડી અને બરફ વર્ષાથી મરી જ જાય ! નિયમોમાં પાછું એવું કે આવા વૃદ્ધને એનો જ્યેષ્ઠ પુત્ર જ પોતાના ખભે ઉપાડી જાય, વળી એ માટે એવી રીતે નીકળવાનું કે ગામનું કોઈ પણ એમને જોઈ ન જાય. કઠિન ચઢાણ દરમિયાન બન્નેમાંથી કોઈએ એક હરફ પણ ઉચ્ચારવાનો નહીં અને સ્હેજે પાછું વાળીને જોવાનું પણ નહીં.

ગામની વિધવા વૃદ્ધા ઓરીનને હજી ૬૯ થયા છે. એ દરેક રીતે કડેધડે છે. ધરનું બધું કામ એ પોતે કરે છે. એના બત્રીસેય દાંત સાબૂત છે પણ રિવાજની આમન્યા તો રાખવી જ પડે. એનો મોટો દીકરો તાત્સુહેઈ પોતે વિધુર છે અને માને દિલોજાનથી ચાહે છે. એ લેશમાત્ર રાજી નથી કે માને નારાયામા મૂકી આવવી. નાનો તો સાવ માથે પડેલો ગામનો ઉતાર છે. ઓરીન નારાયામાની અંતિમ મુસાફરી માટે તૈયાર છે પણ એ પહેલાં એની ખ્વાહેશ છે કે બન્ને દીકરાને ઠેકાણે પાડવા. મોટા માટે તો એણે બાજુના ગામની એક વિધવા સ્ત્રી શોધી પણ રાખી છે, પોતાના ગયા પછી થોડીક આસાની રહે એટલા માટે એ આ ભાવિ વહુને દૂર પર્વતોની આડશમાં આવેલા એક ગુપ્ત ઝરણાં પાસે લઈ જઈ ત્યાં ટ્રોટ માછલીઓ કેમ પકડવી એનો હુન્નર પણ શીખવે છે.
ભયાનક ભૂખમરાએ ગામમાં બીજી એક કુપ્રથાને જન્મ આપ્યો હતો. ગામમાં જો કોઈને પુરુષ બાળક જન્મે તો એને મારીને એનું મૃત શરીર ગામ પાસે આવેલા ડાંગરના ખેતરમાં નાંખી આવવાનું. ખાતરનું ખાતર અને એક વધુ પેટ ભરવામાંથી છુટકારો ! સ્ત્રી બાળકને જિવાડવાનો કારણ કે એ ભાવિ માતા છે !
ઓરીન પોતાની પાડોશમાં જ રહેતા એક વૃદ્ધને એનો દીકરો બાંધીને બળજબરીપૂર્વક નારાયામા લઈ જાય છે એ જૂએ છે અને મનોમન પોતાની આવી હાલત નહીં થવા દે એ નિશ્ચય કરે છે. પોતે અશક્ત અને બિચારી લાગે એટલા ખાતર એ પોતાના જ સાબૂત દાંત ક્રૂરતાપૂર્વક તોડી નાંખે છે!
ફિલ્મના કેટલાક દ્રશ્યો જુગુપ્સાપ્રેરક છે અને કેટલાક અમાનવીય અને ભારતીય માનસિકતા માટે અસહ્ય , એટલે એનો ઉલ્લેખ ટાળીએ. ફિલ્મમા થોડા ઘણાં જે ખુશનુમા દ્રશ્યો છે એમાં કુદરતના વિવિધ રંગો, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિની અવનવી મુદ્રાઓ, પક્ષીઓ – સર્પો – દેડકાંનું સાહચર્ય વગેરે થોડો થોડા અંતરે મૂક્યા છે.
અલબત્ત, ફિલ્મના અંત ભાગમાં પુત્ર કાત્સુહેઈ કમને પણ માની મક્કમતા આગળ ઝુકીને એને નારાયામાને હવાલે કરી પાછો ફરે છે.
વૃદ્ધા ઓરીનનું પાત્ર ભજવતી અભિનેત્રી સુમીકો સાકામોટોની ઉંમર એ વખતે એના પુત્ર તાત્સુહેઈની ભૂમિકા ભજવતા અભિનેતા કેન ઓગાટા જેટલી જ પચાસની આસપાસ હતી. ફિલ્મને ૧૯૮૩ ના કાન ફિલ્મોત્સવમાં શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર મળેલો. ફિલ્મનું શીર્ષક એક લોકપ્રિય જાપાની લોકગીતની ધ્રુવ પંક્તિ છે જે ૧૯૫૮ વાળી ફિલ્મમાં લેવાયું છે.
વૃદ્ધોને પરાણે મૃત્યુ તરફ ધકેલવાનો ફિલ્ર્મનો વિચાર પ્રથમ દ્રષ્ટિએ ક્રૂર ભલે લાગે, એનો ઉદ્ભવ મજબૂર કરતી આર્થિક પરિસ્થિતિઓમાંથી નીપજ્યો છે એનો ઈન્કાર થઈ શકે નહીં. જરા સરખામણી કરીએ હમણાં થોડાક વર્ષો પહેલાંની કોરોના મહામારી વાળી એ દારુણ પરિસ્સાથિતિ સાથે જ્યારે વિકસિત રાષ્ટ્રોમાં પણ હોસ્પીટલોએ વૃદ્ધોને સારવાર આપવાનો ઈન્કાર કરવો પડેલો જેથી નાની ઉંમરના લોકોને બચાવી શકાય ! એ પણ એક પ્રકારનું ‘ ઉબાસૂતે ‘ જ હતું.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
