વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • દીવાનખાનામાં રહેલો હાથી ન દેખાય તો શું કરવું?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    વિવિધ વન્ય તેમજ ઘરેલુ પશુપક્ષીઓનું માહાત્મ્ય આપણાં ધર્મગ્રંથો અને પુરાણોમાં કરેલું છે, પણ આટલા અનુભવે એ હકીકત પુરવાર થઈ ગઈ છે કે એ બધું છેવટે ‘પોથીમાંનાં રીંગણાં’ જેવું પુરવાર થયું છે. એનો અર્થ એટલો કે વાસ્તવમાં એ જીવોની આપણને કશી પરવા નથી, અને આપણે એના માહાત્મ્યને ગ્રંથનાં પાનાં પૂરતું મર્યાદિત કરી મૂક્યું છે.

    જેમ કે, હાથી વિશે વાત નીકળે એટલે આપણી સંસ્કૃતિમાં હાથીના માહાત્મ્ય વિશે પોપટપાઠ કરનારા અનેક મળી આવશે, પણ એ પુસ્તકિયું જ્ઞાન થયું. જ્ઞાન નહીં, માહિતી. વાસ્તવિકતા શી છે? આંકડા પર નજર કરવાથી ખ્યાલ આવશે.

    વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન ભારતમાં હાથીની શી સ્થિતિ છે? દર પાંચ વર્ષે ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઑફ ઈન્‍ડિયા’ (ડબલ્યૂ.આઈ.આઈ.) દ્વારા હાથીની વસતિગણતરી કરવામાં આવે છે. આ સંસ્થા પર્યાવરણ મંત્રાલય હેઠળ કાર્યરત છે. વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન હાથ ધરાયેલી હાથીઓની વસતિગણતરીનો અહેવાલ ફેબ્રુઆરી, ૨૦૨૪થી તૈયાર થયેલો પડ્યો છે, પણ હજી તે સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો નથી. સાત વિજ્ઞાનીઓ અને દહેરાદૂનસ્થિત ‘ડબલ્યૂ.આઈ.આઈ.’ના અધિકારીઓ દ્વારા સંયુક્ત રીતે એ તૈયાર કરાયેલો છે. ઈશાન ભારતમાં હાથીઓની ગણતરીમાં વિલંબ થઈ રહ્યો હોવાનું જણાવીને સરકારે આ અહેવાલ હજી સુધી પ્રકાશિત કર્યો નથી.

    અગ્રણી અંગ્રેજી દૈનિક ‘ઈન્‍ડિયન એક્સપ્રેસ’ દ્વારા આ અપ્રકાશિત અહેવાલની કેટલીક વિગતો પ્રકાશમાં લાવવામાં આવી છે. એ મુજબ, પાંચ વર્ષ પહેલાંની સરખામણીએ આ વખતે હાથીઓની સંખ્યામાં ૨૦ ટકાનો ઘટાડો છે. એમાંય મધ્ય ભારત અને પૂર્વ ઘાટના વિસ્તારમાં આ ઘટાડો અગાઉની સરખામણીએ ૪૧ ટકા જેટલો ખતરાસૂચક છે. સંખ્યામાં ઘટાડાની સાથોસાથ આ અહેવાલમાં બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસ પ્રકલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી આ પ્રજાતિને સીધો ખતરો છે.

    મંત્રાલયના જણાવ્યા અનુસાર આ અહેવાલ ‘વચગાળાનો’ છે. ઈશાન ભારતના હાથીઓની સંખ્યાને સમાવતો આખરી અહેવાલ જૂન, ૨૦૨૫ સુધીમાં પ્રકાશિત થશે.

    મધ્ય ભારત અને પૂર્વ ઘાટ વિસ્તારોમાં નોંધાયેલા સૌથી મોટા ઘટાડામાં પશ્ચિમ બંગાળના દક્ષિણ વિસ્તારમાં ૮૪ ટકા, ઝારખંડમાં ૬૮ ટકા અને ઓરિસ્સામાં ૫૪ ટકા જેટલો મહત્તમ કહી શકાય એવો ઘટાડો છે. આ ત્રણે વિસ્તારોમાં લગભગ ૧,૭૦૦ હાથીઓની સંખ્યા ઓછી થઈ છે, જેમાંના ૪૦૦ જેટલા હાથીઓ છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને આંધ્ર પ્રદેશ જેવાં અન્ય રાજ્યોમાં સ્થળાંતરિત થયા હોવાનો અંદાજ છે.

    તેની સરખામણીએ પશ્ચિમ ઘાટ વિસ્તારમાં થયેલો ઘટાડો ૧૮ ટકા જેટલો છે. એના મૂળમાં કેરળમાં ૨,૯૦૦ હાથીઓ (૫૧ ટકા) ઓછા થયા હોવાનું કારણ છે. શિવાલિક ગિરિમાળાના ઉત્તર ભાગે અને ગંગાનાં મેદાનોમાં ૨ ટકા જેટલા મામૂલી ઘટાડા સાથે હાથીઓની સંખ્યા લગભગ સ્થિર કહી શકાય એવી રહી છે.

    જે વિસ્તારના હાથીઓના આંકડા માટે આ અહેવાલનું પ્રકાશન વિલંબીત કરાયું છે એવા ઈશાન ભારતના આંકડાને અગાઉ, ૨૦૧૭ના આંકડા પરથી અંદાજિત કરી લેવામાં આવ્યા છે. એ અનુસાર આ વિસ્તારમાં કુલ ૧૦,૧૩૯ હાથીઓ છે. એટલે કે દેશના કુલ ૨૯,૯૬૪ હાથીઓની સંખ્યામાં આ વિસ્તારના  હાથીઓ ત્રીજા ભાગનો હિસ્સો ધરાવે છે.

    આ પ્રકલ્પ સાથે સંકળાયેલા એક વિજ્ઞાનીએ જણાવ્યું કે ઈશાન ભારતની ગણતરી માટે કોઈ સમયમર્યાદા નહોતી, અને પાંચ વર્ષના અંતરાલ અનુસાર અમે મોડા હતા. આથી ભારતના બાકીના ભાગના હાથીઓનો અહેવાલ પ્રકાશિત કરવાનું નક્કી કરાયેલું, પણ છેલ્લી ઘડીએ નિર્ણય બદલાયો. અમને ઈશાન ભારતના આંકડા માટે રાહ જોવા જણાવાયું.

    પર્યાવરણ મંત્રી ભૂપેન્‍દ્ર યાદવના જણાવ્યા અનુસાર હાથીઓની સંખ્યામાં થતા ઘટાડા પર મંત્રાલય વિવિધ સ્તરે દેખરેખ રાખી રહ્યું છે. અહેવાલમાં દર્શાવાયેલી વિગતો કશી કાપકૂપ વિના પ્રકાશિત કરવામાં આવશે તો તે ઘણાં તથ્યો ઉજાગર કરશે. જેમ કે, હાથીઓના ભ્રમણવિસ્તારમાં આકાર લઈ રહેલા વિવિધ વિકાસપ્રકલ્પોની અસર. એ શક્ય છે કે આવા પ્રકલ્પો અને તેની વિપરીત અસર અંગે પૂરેપૂરો અભ્યાસ રજૂ કરાયો હશે. પણ શું કેવળ અભ્યાસ પૂરતો છે? કોઈ પણ ભોગે પ્રકલ્પો આગળ વધવાના જ હોય તો એનો ભોગ હાથીઓએ બનવાનું આવશે. હાથીઓ કંઈ ઓછા પોતાને થતા નુકસાન વિશે બોલવા આવવાના છે?

    આવા વિકાસપ્રકલ્પોને લઈને રેલ અથડામણ, માનવ-પશુની અથડામણ, શિકાર, વીજપ્રવાહથી મૃત્યુ પામવું જેવા બનાવોમાં સતત વૃદ્ધિ થતી રહેવાની એ નિશ્ચિત છે. વ્યાપારી ધોરણે થતા વાવેતરને લઈને પણ જમીનમાં ઘટાડો થતો રહે છે.

    કેવળ હાથીઓ નહીં, વાઘ, દીપડા સહિત અન્ય વન્ય પશુઓને પણ આ બાબત લાગુ પડે છે. તેમના નામના દિવસોની ઉજવણી કરવાની, તેમની છબિઓ મૂકવાની, પણ તેમના રક્ષણ માટે ભાગ્યે જ કશું કરવાનું, બલકે તેમના ભોગે વિવિધ વિકાસકાર્યો કરવાનાં, જેનો લાભ કોને થતો હશે એ સંશોધન કરવું પડે.

    ભલે જૂન,૨૦૨૫માં હાથીઓની સંખ્યા દર્શાવતો આ અહેવાલ પ્રકાશિત થાય, પણ તેમાં દર્શાવાયેલી અને સૂચવાયેલી વિગતો અંગે કશું નક્કર થશે ખરું કે કેમ એ મુખ્ય સવાલ છે. બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા વિકાસપ્રકલ્પો કંઈ પોતાની મરજીથી અને ગેરકાયદે નથી ફૂટી નીકળતા. એને માટે જરૂરી સરકારી વિધિમાંથી પસાર થવું પડતું હોય છે. આવા પ્રકલ્પોને મંજૂરી મળે એ જ સૂચવે છે કે કશું અણઆયોજિત નથી, બલકે સુઆયોજિત રીતે થાય છે.

    અહેવાલ તૈયાર કરાય એ ભલે ઔપચારિકતા હોય, પણ એ ઔપચારિકતાય જરૂરી છે. ભલે એમાં સૂચવાયેલા નિર્દેશો અમલી બને કે ન બને, એ એટલું તો દર્શાવે છે કે અગાઉની સરખામણીએ વિવિધ પ્રાણીઓના રક્ષણમાં આપણે કેટલા પાછા હઠ્યા છીએ અને તેમના ભોગે કરાતાં વિકાસકાર્યોમાં કેટલા આગળ વધ્યા છીએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૭-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • નિ:સ્તબ્ધતા અને ચમચીનું ઠકઠક

    મંજૂષા

    વીનેશ અંતાણી

    જ્યૂસઅનેટી સ્પૂનનામની બે શોર્ટ ફિલ્મમાં પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીએ કેવી રીતે જીવવું પડે છે તે વિષય પર કલાત્મક રીતે અર્થપૂર્ણ પ્રકાશ પાડવામાં આવ્યો છે

     

    શોર્ટ ફિલ્મ અને સાહિત્યિક ટૂંકી વાર્તા કે લઘુ કથા વચ્ચે ઘણી સમાનતા રહેલી છે. જે રીતે ટૂંકી વાર્તા બિનજરૂરી પ્રસ્તાર વિના એના લક્ષ્યને સીધી તાકે છે તે રીતે ટૂંકી ફિલ્મ પણ આંરભ સાથે જ લક્ષ્યબિંદુ તરફ ગતિ કરે છે. તેમ છતાં તેમાં ફિલ્મનિર્માણ સાથે જોડાયેલી બધી ક્ષમતાનો ખ્યાલ રાખવો પડે છે, બલ્કે તેની અસરકારકતાને ધારદાર કરવા માટે અલગ પ્રકારની સભાનતા અને કૌશલની આવશ્યકતા રહે છે. ડિજીટલ ટેક્નોલોજીના આજના યુગમાં શોર્ટ ફિલ્મ્સનું ચલણ ધ્યાન ખેંચે તેટલી હદે વધી રહ્યું છે.

    એક શોર્ટ ફિલ્મ છે: ‘જ્યૂસ.’1 ચૌદ મિનિટની આ ફિલ્મમાં સુપ્રસિદ્ધ અભિનેત્રી શેફાલી શાહે મંજુના પાત્રમાં ઉત્તમ અભિનય આપ્યો છે. પુરુષપ્રધાન સમાજવ્યવસ્થામાં સ્ત્રીએ કેવી રીતે જીવવું પડે છે તે વિષય આજે પણ એટલો જ પ્રસ્તુત છે. મંજુ સિંહના ઘરમાં પાર્ટી છે. પતિના મિત્રો ડ્રોઇંગ રૂમમાં એરકૂલરની ઠંડી હવામાં ડ્રિન્ક્સ લઈ રહ્યા છે અને જગતભરની ફાલતુ વાતો કરી રહ્યા છે. મંજુ રસોડાની અસહ્ય ગરમીમાં તેમની બધી જ જરૂરિયાતોને પૂરી પાડવા મથી રહી છે. પતિ બહારથી એને કોઈ પણ નજીવા કામ માટે આદેશ આપતો રહે છે. રસોડામાં અસહ્ય ગરમી થતી હોવાથી મંજુ ટેબલ ફેન ચાલુ કરી આપવા માટે પતિને બોલાવે છે, પરંતુ ‘હમણાં આવું’ કહ્યા પછી પણ એ આવતો નથી. મંજુ અકળાયેલી છે, કામના દબાણ હેઠળ કચડાઈ ગઈ છે, પરંતુ પતિનું કે કોઈનું  એ તરફ ધ્યાન જતું નથી. પતિ ડિનર જલદી સર્વ કરવાનો હુકમ કરે છે ત્યારે મંજુની માનસિક સ્થિતિ જવાબ દઈ દે છે. એનો તનાવ પરાકાષ્ઠાએ પહોંચે છે. ત્યાર પછી મંજુ જે કરે છે તેમાં ફિલ્મની ‘પ્રેગનેન્ટ મોમેન્ટ’ આવે છે. એ કશું જ બોલ્યા વિના જ્યૂસનો ગ્લાસ ભરે છે, ડ્રોઈંગરૂમમાં આવે છે, એરકૂલર સામે બેસી જાય છે અને નિરાંતે જ્યૂસ પીતી રહે છે. બધા પુરુષો ડઘાઈ જાય છે, નિ:સ્તબ્ધતા છવાઈ જાય છે. એક પણ સંવાદ વિના શેફાલી શાહની આંખો, ચહેરાના ભાવો અને બોડી લેન્ગ્વેજ બધું વ્યક્ત કરી દે છે. આ ફિલ્મ મધ્યમ વર્ગની એક સ્ત્રીના મૌન, પરંતુ વેધક અને અત્યંત સ્પષ્ટ, બળવાનું પ્રતીક છે.

    એવી જ બીજી શોર્ટ ફિલ્મ છે ‘ટીસ્પૂન.’2 વીસ મિનિટની આ ફિલ્મમાં ત્રણ પાત્રો છે – પતિ રાજીવ, પત્ની કવિતા અને પક્ષાઘાતથી પથારીવશ વૃદ્ધ સસરો. રાજીવ તો આખો દિવસ ઘરની બહાર રહે છે, કવિતા ઘરમાંથી સેલ્સગર્લનું કામ કરે છે. સસરાની બધી જ જવાબદારી કવિતા પર આવી પડી છે. એમને કશાયની જરૂર પડે તો  એ પલંગની સાઈડ પર ચમચી ઠોકી કવિતાને બોલાવે. કવિતા પહોંચે નહીં ત્યાં સુધી એમનું ઠકઠક ચાલુ જ રહે. કવિતાએ એનું કામ પડતું મૂકી દોડી આવવું પડે. ચમચીનો ઠકઠક અવાજ કવિતાના માથા પર સતત ઠોકાતો રહે છે. આવી સ્થિતિને કારણે એ ઘરની બહાર નીકળી શકતી નથી, ટીવી સિરિયલ જોવા બેસી શકતી નથી, પોતાનું કોઈ પણ કામ નિરાંતજીવે કરી શકતી નથી. ચમચી ઠોકાવાનો અવાજ એના મગજ અને જ્ઞાનતંતુઓ પર હુમલો કરતો રહે છે. કરુણતા એ છે કે એનો પતિ કવિતાની પરિસ્થિતિ સમજવા તૈયાર જ નથી. એને પત્ની માટે સહાનુભૂતિ તો નથી જ, એ આક્ષેપ કરતો રહે છે કે કવિતા સસરાની હાજરી સહન કરવા તૈયાર નથી.

    એક દિવસ અત્યંત તંગ મનોદશામાં જીવતી કવિતાને એણે કરેલા વેચાણના હિસાબ વિશે એની સેલ્સ ઑફિસના એકાઉન્ટ સેક્શન સાથે ફોન પર ઉગ્ર ઝઘડો થાય છે. તે દરમિયાન બાજુના રૂમમાંથી ઠકઠક અવાજ સતત ચાલુ રહે છે. કવિતા ફોન પર બરાબર વાત કરી શકતી નથી. ઉશ્કેરાયેલી કવિતા મગજનો કાબૂ ગુમાવી બેસે છે અને સસરા પાસે જઈ એમના મોઢા પર ઝનૂનપૂર્વક ઓશીકું દાબી દે છે, શ્ર્વાસ રૂંધાવાથી સસરાનું મૃત્યુ થાય છે. વેદના અને અપરાધભાવને કારણે કવિતા સસરાના અવસાન પછી ઘણા દિવસ પછી પણ રુદન ખાળી શકતી નથી. અસંવેદનશીલ પતિ ટકોર કરે છે કે સસરા જીવતા હતા ત્યારે એ એમને ઘર બહાર મૂકી આવવા માગતી હતી અને હવે દુ;ખનું નાટક કરે છે. એક સવારે કવિતા પતિનું ટિફિન બનાવતી હોય છે ત્યાં એને ફરી ઠક..ઠક અવાજ સંભળાય છે. એ ચોંકી ઊઠે છે. પહેલાં તો લાગે છે કે એને ભ્રમ થયો છે, પરંતુ જુએ છે તો એનો પતિ છાપું વાંચી રહ્યો છે અને બેધ્યાનપણે ટિપાઈ પર ચમચી ઠોકી રહ્યો છે.

    સ્ત્રી માટે છુટકારો છે જ નહીં, એક પુરુષ પછી બીજો એના માથે ઠકઠકનું આક્રમણ કરવા તૈયાર જ હોય છે.  કોઈ ધારદાર ટૂંકી વાર્તાની જેમ ‘ટીસ્પૂન’ ફિલ્મનો અંત ઘણું સૂચવી જાય છે. શોર્ટ ફિલ્મોની આ જ મજા છે.


    1

    2


     

  • નાસિર કાઝમી – અતીતવન અને ઉદાસી એમનો કાયમી નિવાસ હતો

    સંવાદિતા

    નાસિર કાઝમીને સ્વતંત્ર પાકિસ્તાનના સૌથી મહત્વના શાયર માનવામાં આવે છે

    ભગવાન થાવરાણી

    વિભાજન વખતે સરહદની બન્ને બાજુએથી વતન છોડી પરાયા મુલકમાં જઈ વસેલા શાયરોની કૃતિઓમાં એક અલગ જ અવસાદ અને છટપટાહટ જોવા મળે છે. આવા એક શાયર એટલે પંજાબના અંબાલાથી પંજાબના જ લાહૌર જઈ વસેલા નાસિર કાઝમી. આમ તો આ બન્ને શહેરો એક જ ભાષા, સંસ્કૃતિ અને રહેણીકરણી ધરાવતા પણ વતનની માટી, મિત્રો, ગલી-મહોલ્લાઓ અને ત્યાંની ફોરમનું શું ? એમની કવિતાઓમાં એ જીવ્યા ત્યાં લગી ( અવસાન ૧૯૭૨ ) એ ટીસ, ઉદાસી અને અતીતવનની મહેક જળવાઈ રહી. એમનો શેર :
    મુજે તો મેરા વતન છોડ કે અમાં ન મિલી
    વતન ભી મુજ સે ગરીબ-ઉલ-વતન કો તરસેગા
    ( અમાં = શાંતિ, ગરીબ ઉલ વતન = પરદેસ જઈ વસેલો )
    નાસિર રઝા કાઝમીએ માત્ર ૨૨ વર્ષની વયે અંબાલા છોડવું પડ્યું. લાહૌર જઈ એમણે કવિતાઓ લખી, પત્રકારત્વ કર્યું, સ્ટાફ એડિટર તરીકે રેડિયો પાકિસ્તાનમાં નોકરી કરી, લાહૌરના સાહિત્યિક સામયિકો ઔરાક-એ-નૌ, ખયાલ અને હુમાયુંના તંત્રી રહ્યા પણ જીવ્યા ત્યાં લગી અંબાલાને ભૂલી શક્યા નહીં.

    એમની કવિતાઓમાં ચાંદ, રાત, બારિશ, મૌસમ, યાદ, તન્હાઈ, દરિયા જેવા શબ્દો વારંવાર સ્મૃતિરૂપે આવતા રહેતા. એ ‘ છોટી બહર ‘ ના બડા કવિ હતા. એમની કવિતાના પુસ્તકો બર્ગ-એ-નૈ, દીવાન, પહલી બારિશ, નિશાત-એ-ખ્વાબ ( નઝ્મો ), વો તેરા શાઈર વો તેરા નાસિર, હિજ્ર કી રાત કા સિતારા ( એમની કવિતાઓ વિષે અન્યો ) નામે પ્રકાશિત થયા. કવિતા ઉપરાંત સન સત્તાવન મેરી નઝર મેં ( ૧૮૫૭ ના બળવા વિષે ), સુર કી છાયા ( નાટક ), ખુશ્ક ચશ્મે કે કિનારે ( લેખ સંગ્રહ ) અને નાસિર કાઝમી કી ડાયરી – ચંદ પરેશાન કાગઝ સામેલ છે.

    ઉદાસી એમના શેરોમાં ઠાંસોઠાંસ મળતી. જૂઓ :

    હમારે ઘર કી દીવારોં પે નાસિર
    ઉદાસી બાલ ખોલે સો રહી હૈ

    આજ તો બેસબબ ઉદાસ હૈ જી
    ઇશ્ક હોતા તો કોઈ બાત ભી થી
    દિલ તો મેરા ઉદાસ હૈ નાસિર
    શહર ક્યોં સાંય સાંય કરતા હૈ
    પોતાની પ્રેયસીને પણ એ પોતાના જેવા ઉદાસ લોકો સાથે ન હળવા-મળવાની સલાહ આપતા !
    ન મિલા કર ઉદાસ લોગોં સે
    હુસ્ન તેરા બિખર ન જાએ કહીં
    ક્યારેક અપવાદરૂપે એ ખુશનુમા મૂડમાં હોય તો જાણે સામે ચાલી ઉદાસીને નિમંત્રણ આપતા !
    મુજે યે ડર હૈ તેરી આરઝુ ન મિટ જાએ
    બહુત દિનોં સે તબિયત મેરી ઉદાસ નહીં

    એ અખ્તર શીરાનીની રચનાઓથી પ્રભાવિત હતા. હફીઝ હોશિયારપુરી પાસેથી એ ગઝલની બારીકીઓ શીખ્યા પણ એમના આરાધ્ય તો ‘ખુદા એ સુખન ‘ ( કવિતાના ઈશ્વર ) કહેવાતા મીર તકી મીર જ. મીરની કવિતાઓમાંથી એ ત્રણ ચીજ શીખ્યા. પહેલી એ કે શાયરે આકાશને બદલે ધરતી પર ધ્યાન કેંદ્રિત કરવું જોઈએ. જે વાતાવરણમાં એ શ્વાસ લે છે એ એની કવિતામાં જીવંત થવું જોઈએ. બીજું, રોજિંદા સંવેદનોને કવિતામાં સરળ ભાષામાં મૂકવા જોઈએ. આપણા વ્યક્તિગત અનુભવો ભલે ભિન્ન હોય, મૂળભુત માનવીય ભાવનાઓ એક જ રહે છે. ત્રીજું, યોગ્ય શબ્દોનો ઉપયોગ. શબ્દો જ એ રંગ છે જેના વડે કવિ ચિત્ર સર્જે છે.

    નાસિર દીવાનખંડના નહીં, ગલી-મોહલ્લાના શાયર હતા. એ ગઝલની ખરબચડી જમીનને સમથળ કરી એવી ઊંચાઈએ લઈ ગયા જેને હજી લગી બહુ ઓછા શાયરો સ્પર્શી શક્યા છે. એમના પછી ગઝલમાં જે પ્રયોગો થયા એ ન થઈ શક્યા હોત જો એમણે આવું મજબૂત ધરાતલ બાંધી આપ્યું ન હોત. એમણે જે બિસાત બિછાવી એના પર અનેક મહોરાં આવ્યાં પણ નાસિર હજી બાદશાહની જેમ અવિચળ છે.

    અસગર વસાહતના વિભાજન આધારિત વિખ્યાત નાટક ‘ જેણે લાહૌર જોયું નથી ‘ ( ઉર્દૂમાંથી ગુજરાતી અનુવાદ : શરીફા વીજળીવાલા ) માં નાસિર કાઝમી વિભાજનનો ભોગ બનેલા એક ધર્મનિરપેક્ષ પાત્ર તરીકે આવે છે એટલું જ નહીં, એ નાટકના સર્વે દ્રશ્યોનાં અંતે નાસિરની એક ગઝલનું પઠન આવે છે.

    નાસિરના સ્થાયી ભાવ –  ઉદાસીને અનુમોદન આપતી એક ઘટના. એમના સમગ્ર કાવ્યોનો સંચય ‘ ધ્યાનયાત્રા ‘ નામે હિંદીમાં પ્રકાશિત થયેલો. આમેય એમની મોટા ભાગની રચનાઓ વિશુદ્ધ ઉર્દુ નહીં પણ હિંદુસ્તાનીમાં છે. આશ્ચર્ય અને આનંદની વાત એ કે એ સંગ્રહ એમણે આપણા મહાન કવિ શૈલેંદ્રને અર્પણ કરેલો, આ શબ્દો સાથે “ શૈલેંદ્ર કો – તુમ્હીને તો કહા થા – દિન કા હૈ દૂજા નામ ઉદાસી ! “ ( શૈલેંદ્ર લિખિત ફિલ્મ ‘ મેરી સૂરત તેરી આંખેં ‘ ના ગીત ‘ તેરે બિન સૂને નયન હમારે ‘ માં આ શબ્દો આવે છે )

    મૃત્યુના થોડાક દિવસ પહેલાં એક મુલાકાતમાં એમણે કહેલું ‘ ઘોડેસ્વારી, શિકાર, ગામમાં રઝળપાટ, નદી કાંઠે ભ્રમણ અને પર્વતો મને ગમતા. એ મારા મનનું પોષણ હતું. મારા બધા શોખ લલિત કળાઓ સંબંધિત છે. મેં કવિતા લખવાનું એટલે પસંદ કર્યું કે મને લાગતું કે હું કુદરતમાં જોઉં છું એ બધી સુંદર ચીજો મારા અંકુશમાં નથી. એ હાથમાંથી સરકી જાય છે. ગયેલો સમય પાછો આવતો નથી પણ એ બધું કવિતામાં જીવંત રાખી શકાય છે. ‘

    નાસિરનું વ્યક્તિત્વ એમના કવિતા કર્મનું જ વિસ્તરણ હતું. એ જે લખતા એ જ જીવતા. શિસ્તબદ્ધ જીવન સાથે એમને બાર ગાઉનું છેટું હતું. એમનું કવિતા વિશ્વ એક મ્યુઝિયમ છે. એમાં પ્રવેશનાર લાંબા સમય લગી એના સંમોહનમાં ખોવાયેલો રહે છે.

    એમની પ્રકૃતિનો વધુ એક ગુણ હતો નિરંતર વંચિતતાનો અહેસાસ. એને વતન ઝુરાપો પણ કહી શકાય. આ અહેસાસને મૂર્તિમંત કરતી એમની એક ગઝલ છે ‘ વો સાહિલોં પે ગાને વાલે ક્યા હુએ ‘ એ ગઝલનો એ જ લયમાં ગુજરાતી ભાવાનુવાદ :

    એ તટ સમાંતરે ગાનારાં ક્યાં ગયાં ?
    એ હોડલાં ચલાવનારાં ક્યાં ગયાં ?
    સવાર પડતાં-પડતાં ક્યાં થંભી ગઈ ?
    હતાં જે ટોળાં આવનારાં ક્યાં ગયાં ?
    હું રાહ જોયા કરું છું તમામ રાત
    દીવાથી રસ્તો ચીંધનારાં ક્યાં ગયાં ?
    આ મારી આસપાસ કોણ છે બધાં ?
    એ દોસ્તી નિભાવનારાં ક્યાં ગયાં ?
    એ દિલમાં ખૂંપનાર નજરો ક્યાં ગઈ ?
    એ હોઠ મરક-મરક થનારાં ક્યાં ગયાં ?
    ઇમારતો તો સળગી રાખ થઈ ગઈ
    હતાં જે એને બાંધનારાં ક્યાં ગયાં ?
    અટૂલા આંગણે પૂછે છે વિવશતા
    દીવો અહીં પેટાવનારાં ક્યાં ગયા ?
    તમે ને હું તો છીએ બોજ ધરતીનો
    ધરાનો બોજ ઉઠાવનારાં ક્યાં ગયાં ?

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ત્યાગીને ભોગવવાનો દીક્ષામંત્ર શીખવતી કૃતિ : ‘અન્ટુ ધિસ લાસ્ટ’

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    મહાત્મા ગાંધી ‘અન્ટુ ધિસ લાસ્ટ’ વિશે આત્મકથામાં લખે છે :

    પોલાક મને મૂકવા સ્ટેશન ઉપર આવેલા ને ‘આ પુસ્તક રસ્તામાં વાંચી શકાય તેમ છે. તે વાંચી જજો. તમને ગમશે.’ એમ કહી તેમણે રસ્કિનનું ‘અન્ટુ ધિસ લાસ્ટ’ મારા હાથમાં મૂક્યું. આ પુસ્તકને લીધા પછી હું છોડી જ ન શક્યો. તેણે મને પકડી લીધો. પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મૂકવાનો મેં ઈરાદો કર્યો. જે થોડાં પુસ્તકો મેં વાંચ્યાં છે તેને હું ઠીક પચાવી શક્યો છું એમ કહી શકાય એવાં પુસ્તકોમાં જેણે મારા જીવનમાં તત્કાળ મહત્વનો રચનાત્મક ફેરફાર કરાવ્યો, એવું તો આ એક જ પુસ્તક કહેવાય.’ (પૃ.૨૭૨)

    પ્રસ્તુત કૃતિમાંથી પસાર થતાં કોઈ પણ જીવનનિષ્ઠ સહૃદય ગાંધીજીના આ અભિપ્રાય સાથે તંતોતંત સહમત થાય એવી જીવનોપાસના અર્થશાસ્ત્રનાં સિદ્ધાંતોનું મૌલિક મૂલ્યાંકન કરતાં આ પુસ્તકમાં પડેલી છે.

    ૮ ફેબ્રુઆરી,૧૮૧૯ના રોજ લંડનમાં જન્મેલા જોન રસ્કિન એમનાં માતા પિતાનું એક માત્ર સંતાન હતા. ઊંડી વિદ્યાપ્રીતિ ધરાવતા રસ્કિને બાળપણથી બાઈબલથી માંડીને એમના યુગની ઉત્તમ કૃતિઓનો અભ્યાસ કરેલો. નાનપણથી જ રસ્કિને સમાજજીવનને પ્રેમ કર્યો. વિવિધ કલાઓ ને રમતોમાં રસ ધરાવવા છતાં તેમનું ચિત્ત સત્યની શોધ ભણી ઢળ્યું ને સામાજિક વ્યવસ્થામાં જીવનનો આદર થાય એવા આશયથી પ્રેરાઈને તેમણે ૧૮૬૨માં આ કૃતિ દ્વારા અર્થશાસ્ત્ર ઉપર આલોચનાત્મક નિબંધો લખ્યા. આ કૃતિનાં મૂળમાં ‘વેતનમાં ન્યાય પામવાનો હક્ક જેટલો પહેલોને ચી, તેટલો જ છેલ્લાને પણ છે,’ એ બાઈબલનું દ્રષ્ટાંત પડેલું છે.’

    આ કૃતિ વિશે રસ્કિન પોતે નોંધે છે તેમ.. આના વિશે વાચકોનો તીવ્ર પ્રત્યાઘાત રહ્યો છે તેમ છતાં રજમાત્ર શંકા વગર હું કહીશ કે આ ચાર નિબંધો મારાં આજ સુધીનાં તમામ લખાણમાં સૌથી વધુ ઉત્તમ છે. તેનો શબ્દેશબ્દ સાચો છે અને સર્વોત્કૃષ્ટ સત્યને જ આ નિબંધો રજૂ કરે છે. આના જેટલું પ્રસ્તુત અને સુસંગત મારે હાથે હજુ સુધી બીજું લખાયું નથી કે આની પાછળની મહેનત જોતાં તો હવે પછી ભાગ્યે જ ફરી કદી આવું મારાથી લખાશે, એમ કહું તો ખોટું નથી.

    આ લખાણનો પ્રથમ ઉદ્દેશ સંપત્તિની એક સ્પષ્ટ ને સ્થિર વ્યાખ્યા આપવાનો છે. બીજો હેતુ તે નીતિમત્તાનાં કેટલાંક ધોરણોનું પાલન કરીને જ સંપત્તિ પ્રાપ્ત કરી શકાય, એ બતાવવાનો છે. તે માટે પ્રમાણિકતા અનિવાર્ય છે. ચારિત્ર્યમાં પ્રમાણિકતા કેળવવી દરેક વ્યક્તિ માટે શક્ય છે તથા રોજના વ્યવહારમાં તેને અમલમાં અવશ્ય મૂકી શકાય, એવી દ્રઢ ખાતરી રાખીને તેનું સતત પાલન કરવું એ તેની સર્વપ્રથમ મહત્વની બાબત છે.

    પ્રસ્તુત કૃતિ અર્થશાસ્ત્રને પ્રગટ કરતા ચાર નિબંધોમાં વહેચાયેલી છે. જેનો પહેલો વિચાર છે સમાજનો આધાર પ્રેમમય જીવન છે. આ માર્ગ સ્વીકારીને ચાલતી વ્યક્તિઓ કે વ્યવસાયો અન્યની સંપત્તિ છીનવી લેવાની પાશવી વૃત્તિને ત્યજે છે અને એવી જ વ્યક્તિઓ સમાજમાં સન્માન પામે છે.

    રસ્કિન અવલોકે છે તેમ અર્થશાસ્ત્રમાં ગણાવેલ તમામ પ્રેરક – ચાલક પરિબળોની પૂર્વધારણાઓને અર્થશાસ્ત્રી ફગાવી દે નહીં ત્યાં સુધી પ્રેમભાવમાં રહેલી પ્રેરક-ચાલક શક્તિને તે પૂરેપૂરી સમજી પણ શકે તેમ નથી. કહ્યું છે ને, જે પોતાની જાતને બચાવવા જશે તે ખોશે અને જે ખોવા માટે તૈયાર હશે તે જ મેળવશે, એ જેમ બીજે સાચું છે તેમ અહીં પણ સાચું છે.

    બીજા નિબંધનો વિચાર છે સુખી જીવન સંપત્તિના કેન્દ્રમાં છે . આ વાત જે સમજતો નથી તેને માટે વ્યંગાત્મકભાષામાં રસ્કિન નોંધે છે. આજના અર્થશાસ્ત્રીની રીતે તમારી જાતને ધનવાન બનાવવાની જે કલા છે તે તમારા પડોશીને ગરીબ રાખવાની કલા પણ છે.

    ત્રીજા નિબંધનો વિચાર છે ન્યાયનો નૈતિક અમલ થવો જોઈએ તેમજ સંપત્તિની સમાનતા દર્શાવવી એમાંજ સમાજનું હિત રહેલું છે. અર્થાત આપણે જો કાયદેસર પૈસાદાર થઇ શકીએ તો તેની રીત પણ ન્યાયી હોવી જોઈએ. આ ન્યાય એટલે માણસે મારી –મચડીને બનાવેલો કાયદો નહીં પણ નિર્ભેળ ન્યાયનો, દિવ્યતાનો કાયદો. આ પ્રકારના ન્યાયના અમલ માટે કોઈ ન્યાયાધીશની જરૂર નથી પણ એ માટે સમાજની વ્યક્તિઓ એવી દ્રષ્ટિવાળી થાય એ જ જરૂરી છે. આ સિદ્ધાંતને વિગતે સમજાવતા રસ્કિન કોઈ અવતારી વ્યક્તિને છાજતી વાણી ઉચ્ચારતાં નોંધે છે. સુશાસન અને સહકારિતા એ સર્વ વાતે જીવનશાસ્ત્રના સોનેરી કાયદા છે, ત્યારે અરાજકતા અને હરીફાઈ એ મોતને નિયત કરનારા અફર નિયમ છે.

    આપણા ધર્મગ્રંથોના જે શબ્દેશબ્દને આપણે દિવ્યવાણી કહીએ છીએ, તેમાં તો પૈસા માટેના પ્રેમનો સરાસર ઇન્કાર કરવામાં આવેલો છે.તેમાં પૈસાને જ સઘળાં દુ:ખ – પાપનું મૂળ ગણાવેલ છે. પૈસો દેવો વડે તિરસ્કાર પામેલો જીવતો જાગતો અસુર છે એમ આ ધર્મગ્રંથોમાં પોકારી પોકારીને કહેવામાં આવેલું છે, તેમ છતાં આપણે તો ઈશ્વરને વિસારી દઈએ છીએ અને લાલસાના એ દૈત્યની ઉપાસનામાં ડૂબેલા રહીએ છીએ. પૈસાની વાત આવતાં આપણાં શાસ્ત્રોને પગલે આપણે પણ છે તેને પાપાસુર કહી ભાંડીશું તો ખરા અને વળી ગરીબાઈની પવિત્રતાનાં ગુણગાન પણ કરીશું, પણ પછી એ જ આપણે ટૂંકામાં ટૂંકા રસ્તે રાષ્ટ્રને ધનિક બનાવવાને સંપત્તિના વિજ્ઞાનની ખોજ પણ આદરી દઈશું. આમ કહેતા રસ્કિનને આવા સમાજજીવનની ભારે ચિંતા છે.

    ચોથા નિબંધનો મૂળ વિચાર છે વ્યાજ નહીં પણ જીવનલક્ષી સિદ્ધાંતના પાયાવાળું અર્થશાસ્ત્ર જ આવશ્યક છે. આ વિચારને દ્રઢાવતો રસ્કિન સમજાવે છે તેમ, આ રીતે સાચા અર્થશાસ્ત્રને હીન વર્ણસંકર જેવા આજના અર્થશાસ્ત્રથી જુદું તારવવાનું છે, જેમ વૈદકીય વિદ્યાને દોરાધાગાની કરામતથી, જેમ ખગોળવિજ્ઞાનને જયોતિષથી. સાચું શાસ્ત્ર તો રાષ્ટ્રને શીખ આપે કે જીવન જેથી બલવત્તર બને તેની ઝંખના કરો, તે માટે શ્રમ કરો, જાવનને જે વિનાશ તરફ ઢસરડી જાય છે અને જે નુકસાનકારી છે તેનો સદંતર નાશ કરો, તેને ધુત્કારી જ કાઢો.

    શ્રીમંતો પ્રત્યે કંઈક નારાજગીના સૂરમાં અભિવ્યકત થતા રસ્કિનનું મંતવ્ય છે તેમ કેટલાક લોકોને આપણે શ્રીમંત કહીએ છીએ પણ ખરેખર એ પોતાની તિજોરીને મારેલાં તેમનાં તાળાં કરતાં વધુ શ્રીમંત નથી.આવા લોકો શ્રીમંત હોઈ શકે જ નહીં અને તેમનાથી શ્રીમંતાઈ જીરવી શકાય પણ નહીં રાષ્ટ્રના હિતની દૃષ્ટિએ જોઈએ તો આ લોકો એક ખાબોચિયાના ગંધાતા સ્થગિત બંધિયાર પાણી જેવા છે.નદીનો પ્રવાહ જ્યાં સુધી ચાલુ છે ત્યાં સુધી આહલાદક છે, તેનો ઉપયોગ થઈ શકે છે.નદીનો પ્રવાહ રૂંધાઈ જતાં તેના વમળની ઘુમરીમાં ફસાઈને ડૂબી જવાય.

    રસ્કિનનો ભોગવાદી સમાજ પ્રત્યે પ્રશ્ન છે તેમ..ભૌતિક મૂલ્યોનો મોહ ઉમદા ચારિત્ર્યને નીચે ઉતારે છે, એ વળી તેની બીજી બાજુ છે, એટલે આપણો ઉદ્દેશ હવે એ તપાસવાનો રહ્યો કે સંપત્તિના ભોગવનારના ચિત્ત પર તેની શી અસર થાય છે? કેવા પ્રકારની વ્યક્તિ એ આકાંક્ષા સેવે છે? અને તેની સફળતા કોને મળે છે? આ દુનિયામાં થતી પ્રગતિ માટે, તેમાં થતી નવી શોધખોળ માટે, તેમાં ઉત્પન્ન થતા માલસામાન માટે, આ બધાં માટે આ જગત કોનું ઋણી છે? એક, જે ગરીબ છે તેનું કે એક, જે શ્રીમંત છે તેનું?

    સાચું અર્થશાસ્ત્ર ઘડતા સિદ્ધાંતો રસ્કિનને મતે આ છે.. કોઈ પણ ખરું અર્થશાસ્ત્ર ગૃહજીવનના કાયદાઓમાંથી નીપજતું શાસ્ત્ર છે. એના કાયદાઓના અનુશાસનને કડક બનાવો એના નિરૂપણને સરળ બનાવો, અને તેના કાર્યક્ષેત્રને ઉદાર બનાવો બગાડ અને દુર્વ્યય અટકાવી તથા અર્થહીન આગ્રહ કે ગ્રંથિ સેવો નહીં. પૈસો વધુ પેદા કરવાની ખેવના રાખો નહીં પણ તેનો પૂરેપૂરો સાર્થક ઉપયોગ કેમ થાય તે માટે જાગ્રત રહો.એક પાસે હોય તે બીજા પાસે હોવું જોઈએ એમ બનવાનું શક્ય નથી. જે કંઈ વાપરીએ છીએ તેનો કણેકણ અમોલા માનવજીવનની ક્ષણ ક્ષણ વડે નિર્માણ પામ્યો છે.તેનો વપરાશ એટલે તેટલા ભાગ પૂરતા માનવજીવનનો જ વપરાશ, તેનો જ ઉપભોગ અને તેનો જ વ્યય તે જો આપણી સામે રહેલા આ માનવજીવનને બચાવવા, સાચવવા કે સમૃદ્ધ કરવાના હેતુમાં કામ લાગે તેમ હોય તો તે વપરાશઉપભોગ ચગ્ય છે પણ તેવા કોઈ તંતુમાં તે વપરાશ-ઉપભોગ જો કામ લાગતાં ન હોય તો તેવા વપરાશ ઉપભોગને પરિણામે એમાં સમાયેલ માનવજીવન માટે સર્જાય છે યા તો ગૂંગળામણ યા તો વિનાશ

    સમાજને સર્વોદયનો સિદ્ધાંત શીખવતા ઋષિ રસ્કિનનો અંતિમ સંદેશ એમના ભાષાપ્રભુત્વનું ઉત્તમ દૃષ્ટાંત બની રહ્યું છે: “આંખ આડે આવી ગયેલાં આવાં પડળ હિંમતપૂર્વક દૂર કરો,ખુલ્લી આંખ રાખી પ્રકાશની સન્મુખ જુઓ. શરીર પરની મરણ-પછેડીના કફનનો કટકો દૂર કરી દો.આંખને આંસુથી ધોઈને આંખનું તેજ સતેજ કરો. પ્રભુ ઈશુએ કહ્યું છે તેમ સૌને સૌના ભાગનો રોટલાનો ટુકડો મળી ન રહે અને સૌથી નબળામાં નબળાને તેનો ભાગ મળે નહીં ત્યાં સુધી તને કે તેને શાંતિ મળે નહીં..”

    આજીવન મૂલ્યોની અખંડ ઉપાસના કરનાર રસ્કિને પોતાના સિદ્ધાંતોને સમજનાર ને ઝીલનાર વ્યકિતની અપેક્ષા કરતાં ૧૮૬૧માં ઉચ્ચારેલું શાંતિના નીરવ આહલાદને સમર્પિતટોચવાળા, આત્મગૌરવની કાંતિ વડે ઓપતા, આત્મસંયમની સર્વોપરી સંપત્તિમાં પરમ સમૃદ્ધિ માનનારા, ભારે મોટી ધનસંપત્તિઓના ખજાનાઓ પાછળ નહીં ભટકનારા પણ ચિત્તની નિર્મળ શાંતિના અખંડ આનંદની ખોજમાં રાચનારા, આલીશાન સંપત્તિઓની ભવ્યતાની ઝંખના નહીં સેવનારા પણ સરળ સાદગીભરેલી જીવનની તરેહવાર રોજિંદી વિવિધતાઓના આનંદમાં પ્રસન્ન રહેનારા, જગતને જીતીને મળતી મહાનતા મળે કે નહીં તે ઈશ્વરને આધીન છોડીને પોતે તો કેવળ તેના આ જગતમાં જીવન જીવવા મળેલ જિંદગીને પ્રભુનું વરદાન સમજીને તેના આનંદમાં મગ્ન રહેનારા, એવા, સ્વયં પોતાના જીવન વડે જગતને ઉદાહરણરૂપ બની રહેનારા લોકોની આજે આપણને ખાસ જરૂર છે.” જેની સાર્થકતા મહાત્મા ગાંધી દ્વારા સિદ્ધ થઈ ને આ પુસ્તકની ઉત્તમ ફલશ્રુતિ રસ્કિનને સાંપડી.

    આ પુસ્તકને ગુજરાતીના મૂર્ધન્ય સર્જક મનુભાઇએ એક જ વાકયમાં ઉત્તમ અર્ધ્ય આપતાં નોંધ્યું, “જે લાખ દેતાં ન મળે તેવાં પુસ્તકોમાં અન્ટુ ધિસ લાસ્ટ અક્ષયપાત્ર છે.


    (‘કોડિયું’ માટે તૈયાર કરેલ લેખ, થોડા ફેરફાર સાથે)


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ચિંદીમાંથી ચંદેરી શેલામાં રૂપાંતર

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
    તું ચમચી લઈને ઊભો છે દરિયા માગવા માટે ?
    કયો છે સ્વાદ કોના ભાગ્યમાં ના જાણતું કોઈ,
    બધાને ઈશ્વરે જીવન દીધું છે ચાખવા માટે.

    -અનિલ ચાવડા

    દસ વર્ષની એક નાનકડી, માસુમ છોકરી ૩૦ વર્ષના પતિને પોતાનું નસીબ સમજીને સ્વીકારી લે છે. જન્મથી જ પોતાના જ ઘરમાં અણગમતી એન્ટ્રીનો બોજ ઊંચકીને જીવતી  એક સ્ત્રી વિચારતી હશે કે કદાચ આ લગ્નરૂપી વળાંકથી એના જીવનમાં કોઈ બદલાવ આવે. પરંતુ અહીં પણ ‘હાય અબળા, તેરી યહી કહાની, આંચલ મેં દૂધ ઔર આંખો મેં પાની’. ફરી એક દબાયેલ, કચડાયેલ..તરછોડાયેલ સ્ત્રીની એ જ પીડાનું પુનરાવર્તન. વાત છે મહારાષ્ટ્રમાં જન્મેલા સિંધુતાઈ સપકાલની. જેને એક અનિચ્છનીય બાળક તરીકે ઘરમાં ‘ચિંદી’ કહીને બોલાવવામાં આવતા હતા. જેનો અર્થ થાય ફાટેલું કપડું-ચીંથરું. સગી જનેતા તરફથી બાળ ચિંદીની સતત અવહેલના થતી રહી. દુઃખની વાત તો એ છે કે સમાજના કુરિવાજો અને જડ માન્યતાઓને કારણે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન બને છે. આત્મનિર્ભર ન હોવાના કારણે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તેને સતત કોઈને કોઈ પુરુષના ઓશિયાળા રહેવું પડે છે. એ પિતા, ભાઈ, પતિ કે પુત્ર જેવા ગમે તે રૂપમાં હોય. આજે ૨૧મી સદીમાં પણ નારીવિકાસની દંભી ગુલબાંગો વચ્ચે સ્ત્રીનું શોષણ થતું જ રહે છે.

    ‘કૌન બનેગા કરોડપતિ’ સીઝન ૧૧માં ‘કર્મવીર સ્પેશિયલ’ એપિસોડમાં સમાજ સેવિકા સિંધુતાઈ સપકાલે ભાગ લીધો હતો. શોમાં ખુદ અમિતાભ બચ્ચને ઊભા થઈને તેમનું સ્વાગત કર્યું હતું અને તેમના ચરણસ્પર્શ કરી હોટસીટ પર બેસાડ્યા હતા. તાઈ એ સમયે અમિતાભ કરતા પણ ઊંચા દીસતા હતા. સિંધુતાઈએ જયારે કેબીસીનાં એપિસોડમાં પોતાના સંઘર્ષ વિષે વાત કરી ત્યારે બધાના જ રૂંવાડા ઊભા થઈ ગયા હતા. તેઓએ જણાવ્યું કે, ‘હું જ્યારે ૨૦ વર્ષની હતી અને મારી બાળકી મમતા ૧૦ દિવસની હતી. ત્યારે મારા સાસરાંવાળાઓએ મને ઘરમાંથી કાઢી મૂકી. મારી માએ પણ મને કાઢી મૂકી. ખાવાપીવાનું મારી પાસે કઈ બચ્યું ન હતું. હું રેલ્વે સ્ટેશન પર ટ્રેનમાં ફરતી. પેટ ભરવા માટે મેં ટ્રેનમાં ગીત ગાવાનું શરુ કરી દીધું. હું ભિખારીઓ સાથે બેસી ખાતી. મારી પાસે રહેવા માટે ઘર પણ ન હતું. દિવસ તો નીકળી જતો પણ સવાલ રાતનો હતો. હું માત્ર ૨૦ વર્ષની. મને પુરુષોથી ખૂબ ડર લાગતો. મને સમજ ન આવ્યું કે આટલી નાની બાળકીને લઈને હું ક્યાં જાઉં. આથી હું સ્મશાનમાં જઈને ઊંઘતી. કારણ કે રાતે ત્યાં કોઈ ન જતું. ક્યારેક કોઈ ત્યાં આવતું તો મને જોઈને ‘ભૂત-ભૂત’ કહી, ડરીને ભાગી જતું.’ એક રાત્રે કકડીને ભૂખ લાગી ત્યારે ભોંય પર પડેલો ચપટી લોટ એની નજરે ચડે છે. સ્મશાનમાં પડેલી તૂટેલી માટલી લે છે. કોઈની સળગતી ચિતા પર ચડાવી એમાં એ લોટ રાંધે છે. આત્મહત્યાના વિચારો વચ્ચે પહેલો કોળિયો મોંમાં ઓરે છે ત્યાં જ એક વિચાર આવે છે – જીવી જવાનો. ભૂખ્યા અનાથો માટે જીવી જવાનો અને અન્યોને જીવાડી દેવાનો વિચાર અને ત્યાંથી શરૂ થાય છે ચિંદી સાઠેથી સિંધુતાઈ સપકાલ બનવાની કહાની. જીવનમાં કોઈ એક ક્ષણ જ દ્રઢ નિર્ણયથી જીતી લેવાની હોય છે જે સમગ્ર જીવનને જબરદસ્ત વળાંક આપે છે. ગાંધીજીને આફ્રિકામાં ટ્રેનના ડબ્બામાંથી અપમાનિત કરી બહાર ફેંકવામાં આવ્યાં અને ગાંધીજીનો પૂનર્જન્મ થયો.

    આગળ તેણે કહ્યું કે, ‘હું ભૂખી હતી એટલે મને બીજાની ભૂખનો પણ અંદાજ હતો. આથી મારા હિસ્સાનું ખાવાનું વહેંચીને ખાધું અને અનાથોની મા બની ગઈ, જેનું કોઈ ન હોય એમની હું મા’. પછીથી સિંધુતાઈએ અનાથોને દત્તક લઈને એની દેખરેખનું કામ શરુ કરી દીધું. તેમણે જ્યારે અનાથોનો સહારો બનવાનું નક્કી કર્યુ ત્યારે સૌથી પહેલુ કામ પોતાની સગી પુત્રીને અનાથાશ્રમમાં મૂકવાનું કર્યુ. તેમનું માનવું હતું કે જો પુત્રી તેમની પાસે રહેત તો તેમનું ધ્યાન અને પ્રેમ તેના પ્રત્યે વધુ રહેત અને પોતાનું વાત્સલ્ય અનેક અનાથોમાં સરખું વહેંચી ન શકેત. પહેલો અનાથ દીપક નામનો છોકરો મળ્યો. જેના મા-બાપ શોધી આપવાનું તેમણે વચન આપેલુ. પણ પછી તો એના પર એમનું વાત્સલ્ય એવું વરસ્યું કે દીપકના મા-બાપ મળ્યા તો પણ તે કદી તેમની પાસે રહેવા ન ગયો. દીપક પણ આજે સિંધુતાઈની અનાથાશ્રમની એક શાખા ચલાવે છે. ગાંધીજી કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. હેલન કેલર ત્રેવડી અપંગાવસ્થા ભોગવતાં હોવા છતાં કદી નાસીપાસ થયા ન હતા. આવા શારીરિક પડકારો વચ્ચે જિંદગીનો જંગ સફળતાથી જીવી બતાવી તેઓએ લાખો વિકલાંગોને હિમતથી પોતાના જીવનનો રાહ સુપેરે કંડારવાની પ્રેરણા આપી હતી. જીવનનું મધુર સંગીત તો દુઃખ અને પીડામાંથી જ નીપજે છે.

    સિંધુતાઈ સપકાલ આજે ૧૪૦૦ અનાથોના પાલક માતા છે. તેને કોઈ બાળક એકલું રખડતું દેખાય તો તે તેને પોતાનું બનાવી લે છે. સિંધુતાઈની કર્મભૂમિ છે પુણે, મહારાષ્ટ્ર. એમના કેટલાય દીકરા-દીકરીઓ આજે ડોકટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે સરકારી અમલદારો બની ગયા છે. એક બાળક તો સિંધુતાઈના જીવન પર પી.એચ.ડી કરી રહ્યો છે. સિંધુતાઈ માત્ર બાળકોને દત્તક લેવાનું જ કામ નથી કરતા પરંતુ તેના અભ્યાસની બધી જ વ્યવસ્થા કરે છે. ઉંમર લાયક થાય ત્યારે દીકરા-દીકરીને  પરણાવે છે. આજે સિંધુતાઈને ૨૦૭ જમાઇ છે, ૩૬ પુત્રવધુઓ છે અને ૪૫૦થી પણ વધુ પૌત્ર- પૌત્રીઓ છે. તમામ અનાથ બાળકોને સાચવવા માટે હવે સિંધુતાઈ પ્રવચનો આપે છે અને એમાંથી જે કંઇ આવક થાય એ આવકમાંથી એમના દિકરા-દિકરીઓ માટે રહેવા-જમવા-ભણવાની બધી વ્યવસ્થા કરે છે. પહેલીવાર વર્ષ 2009માં વિશ્વ મરાઠી સાહિત્ય સંમેલનમાં અમેરિકામાં ભાષણ આપવા માટે સિંધુતાઈને આમંત્રણ આપવામા આવ્યું ‘માતા’ અને ‘જય મહારાષ્ટ્ર’ના જયજયકાર વચ્ચે સિંધુતાઈએ પોતાના ભાષણ દ્વારા ત્યાં હાજર દરેક વ્યક્તિનું મન જીતી લીધું.

    સિંધુતાઈ સપકાલને દેશના રાષ્ટ્રપતિના વરદ્દ હસ્તે દેશનો નારી માટેનો સર્વોચ્ચ એવોર્ડ “નારી શક્તિ એવોર્ડ” ૨૦૧૭માં મળી ચુક્યો છે. એટલું  જ નહીં પરંતુ બસવા ભુષણ પુરષ્કાર, મધર ટેરેસા એવોર્ડ, નેશનલ એવોર્ડ ફોર આઇકોનિક મધર, રીઅલ હીરો એવોર્ડ, અહલ્યાબાઈ હોલકર એવોર્ડ, વુમન ઓફ ધ યર એવોર્ડ, દત્તક માતા પુરષ્કાર, રાજાઈ પુરષ્કાર, શિવલીલા મહિલા પુરષ્કાર, હોંગકોંગમાં રોટરી ક્લબ દ્વારા અપાયેલા ‘ધ વન’ એવોર્ડ સહિત દેશવિદેશના બીજા ૭૫૦ જેટલા સન્માનો અને પુરસ્કારો મળી ચુક્યા છે. લોકો તેમને ‘અનાથોના માતા’ અને ‘માઈ’ ના હુલામણા નામથી બોલાવે છે. ડી.વાય.પાટીલ ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ રીસર્ચ દ્વારા તેમને ડોકટરેટ ઇન લીટરેચરનું સન્માન પણ આપવામાં આવેલું છે. અનાથો માટે સગી પુત્રીને અનાથઆશ્રમમાં મુકનારા સિંધુતાઈને અમદાવાદમાં પદ્મશ્રી રીમા નાણાવટીના હસ્તે નિરજા ભનોત એવોર્ડ એનાયત થયો ત્યારે ખુદ અમિતાભ બચ્ચને એક વીડિયો મેસેજથી તેમને શુભેચ્છા પાઠવી હતી. સિંધુતાઈએ ત્યારે એવોર્ડ પેટે મળેલા ૧ લાખ ૫૦ હજારથી મહારાષ્ટ્રના ચિખલધરામાં કુપોષણથી મોતના મોંમાં ધકેલાતા બાળકો માટે અન્નક્ષેત્ર શરૂ કરવાની જાહેરાત કરી હતી. તેઓ પુણેથી કાર્ય કરી રહ્યા છે. પરંતુ પુણે ઉપરાંત સાસવડ, અમરાવતી અને વર્ધા સહીત તેમની ૬ જેટલી વિવિધ સંસ્થાઓ છે, જ્યાંથી અવિરતપણે કાર્ય ચાલી રહ્યું છે. સિંધુતાઈ કહે છે, ‘હું ત્રણ વર્ષ પહેલા મારા પતિને પણ અમારી સંસ્થામાં લઈને આવી હતી. તેઓ રડતાં હતા પણ હું હસતી હતી. આજે હું જે કંઈ પણ છું તે મારા પતિના જાકારાના કારણે જ છું.’

    તેમના જીવન પર મરાઠી ભાષામાં ૨૦૧૦માં એક ફિલ્મ પણ બની ચુકી છે, જેનું નામ છે, ‘મી સિંધુતાઈ સપકાલ’. આ ફિલ્મને ૫૪મા લંડન ફિલ્મ ફેસ્ટિવલના વર્લ્ડ પ્રિમિયર માટે સિલેક્ટ કરવામાં આવી હતી. મરાઠી નિર્દેશક અનંત મહાદેવને જ્યારે સમાચારપત્રમાં સિંધુતાઈના વિશાળ પરિવાર અને તેમના જીવન વિષે વાંચ્યું તો તેમને તેમની વાર્તા એટલી લાગણીસભર લાગી કે તેમણે તેના પર ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. અનંત મહાદેવને પોતાની ફિલ્મમાં ખાસ કરીને દર્શાવ્યું છે કે જ્યારે તેમના પતિ ચિંદીમાંથી સિંધુતાઈ બનેલી પોતાની પત્ની પાસે આવીને તેને પોતાની શરણમાં લેવાની પ્રાર્થના કરે છે ત્યારે સિંધુતાઈ તેને પોતાના પતિ તરીકે નહીં પણ પોતાના સૌથી મોટા પુત્ર તરીકે સ્વીકાર કરી માતાની ઉદારતાની પરાકાષ્ટાને સ્થાપિત કરે છે. અવિનાશ વ્યાસનું ઉત્તમ ગીત યાદ આવી જાય…’

    ‘દયાના સાગર થઇને, કૃપા રે નિધાન થઈને,, છો ને ભગવાન કેવરાવો,
    પણ રામ, તમે સીતાજીની તોલે ન આવો’.

    સિંધુતાઈનું જીવન દર્શાવે છે કે અણીનો ચુક્યો સો વર્ષ જીવે એમ નહીં પણ અણીનો ચુક્યો ક્યારેક સેંકડોને જીવાડી પણ જાય. ‘ચિંદી’પાસેથી તેના પોતાના જ લોકોએ તેનું બધું જ છીનવી લીધું હતું પરંતુ વિષમ પરિસ્થિતિઓમાં પણ એક અજાણ્યા સાહસે એને પ્રકાશની કેડી ચીંધી. પોતાની સાથે થયેલા અન્યાયના કારણે જ ચિંદીને જીવવાનું નોખું સાધ્ય મળી ગયું. પોતાના જેવા અનેક નિસહાય બાળકો માટે ચિંદીએ પોતાનું જુનું નામ છોડી ‘સિંધુ’ તરીકે જાણે બીજો જન્મ લીધો અને સિંધુતાઈએ નિસહાય, અનાથ અને નસીબના માર્યા બાળકો માટે પોતાનો સ્નેહ પાથરી દીધો. શર્લી સીઝમ સરસ કહે છે કે ‘Service is the rent that you pay for room on this earth.  આપણે સૌએ તેમના જીવનમાંથી શીખવું જોઈએ કે સંઘર્ષ સામે લડીને, તેમાંથી નવી ઉર્જા પ્રાપ્ત કરીને કંઈક ઉત્તમ કેવી રીતે જીવવું. તેમણે મહારાષ્ટ્રના જંગલોમાં આવેલા ૮૪ ગામડાઓના પુનર્વસન માટે લડત આપેલી. એ કતલખાને જતી ગાયોને પણ બચાવે છે. મિડીયાની નજરમાં કરોડોના કૌભાંડ કરનારા બહુ આવે છે. છાપાઓમાં એના નામની હેડલાઇન હોય છે અને ટીવી ન્યુઝ ચેનલમાં બ્રેકીંગ ન્યુઝમાં વારંવાર એની વાતો થાય છે. આપણને કોઇને સિંધુતાઈ જેવી સંઘર્ષ કરનારી અને અદભૂત સેવા કરનારી સ્ત્રી વિશે આપણે જાણતા જ નથી. સો સો સલામ આ સાક્ષાત સેવામૂર્તિને…


    ઇતિ

    લોકો એવું કહે છે કે ટોચ પર હંમેશા એકાંત હોય છે. ખોટી વાત, ખરેખર તો ટોચ પર ભારે ધક્કામુક્કી હોય છે !

    -શાહરૂખ ખાન


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ઔર ઈશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !

    તુલા-સંજય

    ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !
    આજ વારિસ શાહ સે કહતી હૂં – અપની કબ્ર મેં સે બોલો
    ઔર ઇશ્ક કી કિતાબ કા કોઈ નયા પૃષ્ઠ ખોલો !

    પંજાબ કી એક બેટી રોઈ થી, તૂને એક લમ્બી દાસ્તાન લિખી,
    આજ લાખોં બેટિયાં રો રહી હૈ વારિસ શાહ ! તુમસે કહ રહી હૈ:
    ઐ દર્દમંદોં કે દોસ્ત, પંજાબ કી હાલત દેખો
    ચૌપાલ લાશોં સે અટા પડા હૈ, ચનાબ લહૂ સે ભર ગયા હૈ….

     વખતે આપણે જમ્મુ-કશ્મીરની ૨૫ દિવસની ‘સ્નેહ શિક્ષણ’ યાત્રામાં ૫૦ કલ્યાણ મિત્રો સાથે ચનાબ(ચિનાબ) વેલીનો પ્રદેશ એવા ડોડા જિલ્લામાં ગયા. ભર્યું ભર્યું કામ થયું એનો આછેરો ઉલ્લેખ માત્ર…

    ૧)            ૧૧૦થી વધુ શાળાઓમાં બાળકો-શિક્ષકો સાથે સર્જનાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સંવાદ (જેમાં પપેટ, સંગીત, નૃત્ય, વાર્તા, પેપરબેગ બનાવવી, કોર્ડ મેકિંગ, રમકડાં બનાવવાં, પેટી રેંટિયો, પેઇન્ટિંગ, રમત-ગમત, વિજ્ઞાનના પ્રયોગો વિ. જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ).

    ૨)            “સમગ્રતાનું શિક્ષણ ગાંધી માર્ગે” વિષયની આસપાસ ૧ દિવસીય એવી ૧૦ કાર્યશાળાઓ થઈ. પ્રત્યેક કાર્યશાળામાં સરેરાશ ૪૦ જેટલા શિક્ષકો રહેતા. આમ ૪૦૦ જેટલા શિક્ષકો સાથે સંવાદ થયો. મુ. ડંકેશભાઈ ઓઝા મુખ્ય સંવાદકર્તા હતા.

    ૩)           ચાર શાળાઓમાં મિહિરભાઈ અને નિરાલીબહેન દ્વારા ‘Train your Brain’ વિષય પર ચાર-પાંચ દિવસીય એવા સઘન Workshop થયા. પ્રત્યેકમાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓ હતા.

    ૪)           જાણીતાં લોકગાયિકા, હિંદી ફિલ્મોના પાર્શ્ર્વગાયિકા મેઘા ડાલ્ટન દ્વારા (૧૦૦ વર્ષ પહેલાં ઝારખંડના આદિવાસીઓ ગાંધીને ગાતા તે) ગાંધી ગીતોને રજૂ કરતો ‘ગાંધીગાન’ કાર્યક્રમ ડોડા જિલ્લામાં ૭ સ્થળે થયો.

    ૫)           ત્રણ કૉલેજ અને ચાર હાયર સેક્ધડરી શાળાઓમાં બે-બે દિવસીય કુલ ૭ ફિલ્મ-મેકિંગ વર્કશોપ આપણે યોજ્યા. જેમાં મોબાઈલ ફોન થકી એક મિનિટની સિંગલ શોટ ફિલ્મનું સર્જન, સિનેમાનો ઇતિહાસ – ફિલ્મ સર્જકોનો પરિચય, નાનીમોટી ફિલ્મકૃતિઓનું સ્ક્રિનિંગ વગેરે જય ખોલિયા થકી થયું.

    આ સઘળાં કામો દરમિયાન ત્યાંના લોકો સાથે પુષ્કળ સંવાદ થયો. ઘણા બધા વિચારો-સંવેદનોનું આદાનપ્રદાન થયું. એકબીજા સાથે બેસવાનું-એકબીજાને સમજવાનું-અનુભવવાનું, સાથે હસવાનું અને ક્યાંક-ક્યારેક ભાવવિભોર બની સાથે રડવાનું પણ થયું. આ એ પ્રદેશ છે કે જ્યાં ૧૯૯૦થી લઈને ૨૦૦૩ સુધી આતંકવાદે માઝા મૂકી હતી અને આ એ પ્રદેશ પણ છે કે જ્યાં આતંકવાદ સૌથી પહેલાં સમાપ્ત થયો.

    ત્યાંની એક શાળાના નાનાશા ચિનાર વૃક્ષની નીચે હું ત્યાંના ત્રણેક શિક્ષકો સાથે વાતો કરતો હતો ત્યારે ત્યાંના એક હિંદુ શિક્ષકે કહ્યું કે:  “ઉસ દૌર મેં મેરે મામા ઔર ઉનકે બેટે કો માર દિયા થા.” બીજા મુસ્લિમ શિક્ષક તરફ આંગળી ધરી કહે છે કે “ઉસકા છોટા ભાઈ એન્કાઉન્ટર કે વક્ત બીચમેં આ ગયા થા ઔર મારા ગયા થા. જો સિર્ફ સાત સાલ કા થા.” ત્રીજા શિક્ષક તરફ જોઈને કહે છે કે “ઉસકે દોનોં ચચરે ભાઈ કો ભી માર ડાલા થા !!!” હું વાત સાંભળી સ્તબ્ધ થઈ જાઉં છું. આ ત્રણેયના ઘરમાંથી… અને મને ડૉ. કરણસિંહે એમના ઘરે કહેલી : ‘બેટા કશ્મીર કા હર ગાંવ કબ્રસ્તાન બના હુઆ હૈ. હિલીંગ ટચ કી જરૂરત હૈ’ (વાળી) વાતનું સ્મરણ થાય છે અને થાય છે કે યહાં તો હર ઘર કબ્રસ્તાન બના હુઆ હૈ !!!

    એક વાર ‘ગાંધીગાન’ના કાર્યક્રમમાં અમને લઈ જતા ડ્રાઈવરની તેજસ્વીતાની આભા એની કારમાં પણ અનુભવાતી હતી, તેવા રફિક નામના ડ્રાઈવરને મેં પૂછ્યું કે આપ હોંશિયાર હો તો પઢે ક્યું નહીં ?! એનો જવાબ હતો : સર, વો મીલીટન્સ કે દૌર મેં મૈં તો આઠવી કક્ષા મેં થા ઔર મેરા બાપ મુજે જમ્મુ લે ગયા થા ઔર એક હોટલવાલે સે કહા થા કિ, “ઇસસે જો ભી કામ કરવાના હો કરવાના, મુજે પૈસે નહીં ચાહીએ. બસ ઉસે જિંદા રખના.” આઠ સાલ વહીં બીત ગયે. મૈં બડા તો હો ગયા લેકિન દેખો સર, જિંદગી કિતની છોટી હો ગઈ ! સિર્ફ ડ્રાઈવર બનકર રહ ગયા… લેકિન હાઁ મેઘાજી, આપ ગાંધી કે લીયે તો ગાતી હો પર હમ ડ્રાઈવરોં કે લીયે ભી કુછ જરૂર ગાના !

    ડોડા શહેરથી ૮૦ કિ.મી. દૂર ત્રણ કલાકના અંતરે આવેલા એક છેવાડાના ગામના શિક્ષકે કહેલું કે : ઉન દિનોં જૈસે હી શામ ઢલતી થી કિ હમેં ઘર મેં બિઠાકર ઘરકી ખીડકીયોં મેં પડદે ડાલ દિયે જાતે થે ઔર અંધેરા જલાયા જાતા થા તાકી દોનોં તરફ કે લોગોં મેં સે કોઈ હમેં ઉઠા લે ન જાયે ! વો ભી ક્યા દિન થે ?! હમને યાદ હી રખા નહીં હૈ વો સબ….

    સાડા છ હજાર ફૂટની ઊંચાઈ પર આવેલ એક સુંદર ગામની અંદર-બહારથી સુંદર એવી શિક્ષિકાબહેને એક વાત કહી : તબ મૈં સાત સાલ કી થી ઔર મેરે પાપા સરકારી મુલાજીમ થે – છોટી સી તનખા થી, ઔર ઉન લોગોં ને પાપા સે દો લાખ રૂપયે વસુલે થે. વો જબ પાપા કો ઉઠાને આયે તબ એક ઔરત કે કપડે પહનકર વેશ બદલકર પાપા જમ્મુ ભાગે થે !! પર હાં હમ છોટે બચ્ચે ઉનકો બહુત દેખતે રહેતે થે…. કંધે તક બડે બડે ઉડતે બાલ-લંબી સી દાઢી-કપડોં મેં છુપાઈ બંદુકે લેકર જબ વો ગાંવ સે ગુજરતે થે તબ હમ ઉસે દેખા કરતે થે- કભી કભી વો હમારે સાથ વૉલીબોલ ભી ખેલતે થે ઔર સુકામેવા ભી હમેં દેતે થે, એક રફભશક્ષફશિંજ્ઞક્ષ થા !!

    સૌમ્યતાની મૂર્તિ સમા એક આચાર્યાબહેને બહુ જ ભાવવિભોર બનીને મને કહેલું કે : ઉસ દૌર મેં મૈં મેરી ડિલિવરી પર જમ્મુ થી ઔર મેરે પતિ કો ઉન લોગોં ને ઉઠા લીયા, પર ઈશ્ર્વર કૃપા સે વો ભાગ નિકલનેમેં સફલ હુએ. ઉન દિનોં મેરા બડા બેટા તીન સાલ કા થા ઔર ઘર મેં અકેલા થા પર ઉસકી પુરી પરવરીશ ઉન દિનોં હમારે મુસ્લિમ પડોશીયોંને હી કી થી !

    ધર્મને આધારે ડોડા જિલ્લામાં ૬૦% મુસ્લિમ અને ૪૦% હિંદુ છે. પરંતુ એમના સાંસ્કૃતિક-સામાજિક અને પ્રાકૃતિક તાણાવાણાનું પારસ્પરિક પોત એટલું સઘન-પ્રબળ છે કે અહીંના Composite Cultureના સૌંદર્યની સુવાસ અમે આ દિવસોમાં રોજેરોજ અને ઠેરઠેર ચાખી અને એથી જ કદાચ સમગ્ર જમ્મુ કશ્મીરમાં સૌથી પહેલો આતંકવાદનો અંત અહીંયાં આવેલો !!

    એક હિંદુ શિક્ષિકાએ કહ્યું કે : મારા ગામમાં મોટેભાગે મુસ્લિમ પરિવારો વસે છે. પરંતુ હું નાની હતી ત્યારે મને શુકનવંતી માનવામાં આવતી ને એથી વાવણીના સમયે પહેલું બીજ રોપવા માટે મને બધા જ ખેડૂત પરિવારો વારાફરથી લઈ જતા. મેરી માં ભી ઉન દિનોં મુજે નયે કપડે પહનાતી થી ઔર મૈં પરી જૈસી લગતી થી…. ઇસ ખેત સે ઉસ ખેત મેં ઉડાઉડ કરતી થી ઔર જબ શામકો ઘર આતી થી તો મિટ્ટી કે રંગ મેં (પુરી કી પુરી) રંગી હુઈ આતી થી !!

    ગામની સ્કૂલમાં અઝીઝ અહમદ નામનો નવમા ધોરણમાં ભણતો ને ઊંઅજ KAS (Kashmir Administrative Service) બનવાની ઇચ્છા રાખતો છોકરો અમારા નવલદાદાને કહેતો સંભળાય છે કે : મૈં બહુત હી દૂર કે ગાંવ સે ઢાઈ ઘંટે ચલકર યહાં સ્કૂલ મેં આતા હું. મેરે બડે ભાઈ જૈસા એક હિંદુ લડકા મુજે સંભલ કે હરરોજ સ્કૂલમેં લાતા હૈ. હમારે બીચ બહુત હી ગહેરા તાલ્લુક હૈ… હિંદુ-મુસ્લિમ પહેચાન નહીં આતી હૈ યહાં હમારે બીચ, બહુત હી ગેહરા તાલ્લુક હૈ હમારા…. આ શબ્દો છે નવમા ધોરણમાં ભણતા છોકરાના !!!

    ‘ગાંધીગાન’ કાર્યક્રમ માટે અમારે ઘણું દૂર પોણા ત્રણ કલાકના અંતરે ખીલત્રાણ જવાનું હતું. કાર્યક્રમ પછી ત્યાંના શિક્ષણ અગ્રણીઓ, જઉખ વગેરે સાથે ભોજન લેવાનું હતું. અમને ગાડી લઈને લેવા આવેલ ડ્રાઈવરનું ઘર ખીલત્રાણથી છ-સાત કિલોમીટર જેટલું જ દૂર હતું. જમવાનું તમારે મારે ઘેર જ હોય ને, એવો એનો આગ્રહ એટલો હૃદયથી હતો કે અડધું ભોજન જઉખ સાથે લઈ અડધું પેટ ખાલી રાખી કાર્યક્રમ પછી અમે એના ઘરે જઈએ છીએ. અદ્ભુત સ્થળે એ ઘર હતું ! પણ એથી પણ વિશેષ તો એ પરિવારનો પ્રેમ હતો !! મીઠી મકાઈના મીઠા રોટલા. બે પ્રકારના સ્થાનિક શાકભાજી-અખરોટની ચટણી-ઘરની ગાયનું ઘી (સૌના માટે અલગ-અલગ કાચના બાઉલમાં) અને બીજું ઘણું બધું જાણે પ્રબળ પ્રેમ કે પાલે પડકર…

    એના પિતા હમણાં જ નિવૃત્ત થયેલા, ઉં। પોલીસમાં નાના અફસર હતા. વાત કરતા કહેલું કે ૧૦ પૈસે ભી ઈસ ચાલીસ સાલમેં હરામ કે નહીં લીયે હૈ. ઇસ લીયે હી દેખો હમ સબ આબાદ હૈં !

    ઉસ દૌર મેં ભી મૈં તો જમ્મુ યા શ્રીનગર થા, કભી કભી ૧૫-૧૫ દહેશતગર્ઝ આ જાતે થે, લેકિન ગાંવ કે સભી લોગ મિલકર-ડટકર ઉનકા સામના કરતે થે. દેખો મેરે ઘર કે ઇસ ઓર દો હિંદુઓંકે ઘર હૈ, મેરે ખેત કી દાંઈ ઔર બાંઈ ઓર હિંદુ હૈ !

    “માફ કરના લેકિન હમારા ભલેશા (ભલે લોગોં કા દેશ) આપકા ગુજરાત નહીં હૈ, હમ એક દૂસરે સે ઘીરે નહીં હૈ… હમ એક દૂસરે સે બને હૈં….”

    એક બુજુર્ગે પણ કહ્યાનું યાદ છે કે બહાર કી ઝહરીલી હવાએં હમને યહાઁ આને નહીં દી હૈ ! ક્યું કી યે ભલેશા-(ભલે લોગોં કા દેશ) હૈ.

    લેખના અંતમાં હું પાંચ વર્ષ પાછળ જાઉં છું.

    એ દિવસોમાં ત્યાં એક વ્યક્તિનું ખૂન થયેલું ને એ ઘટનાને હિંદુ-મુસ્લિમનો રંગ આપવાનો પ્રયત્ન થયેલો. એ જોતાં ત્યાંની મસ્જિદના ઈમામ અને ગઈ ના મોટા ગજાના નેતાએ રમજાન મહિનાની જુમાની નમાજની તકરીરમાં કહેલું કે : કલ જો હમારે યહાં હુઆ હૈ ઉસમેં ન મુસ્લિમ મરા હૈ – ન હિંદુ મરા હૈ. મગર વો એક ઇન્સાન મરા હૈ. ઔર સબ યાદ રખો કિ હમ હમારી ચિનાબ કો જલને ન દેંગે…..

    મારા દાદાનાં ફોઈ વહેલી સવારે એક ડોલ પાણીથી ખુલ્લી ચોકડીમાં નાહતાં ત્યારે ન્હાતાં-ન્હાતાં બોલતાં : ગંગામાં નાહ્યા – ગોદાવરીમાં નાહ્યા – નર્મદામાં નાહ્યા…

    આપણે ગંગા-જમના-ચિનાબ-બ્રહ્મપુત્રા-નર્મદા ને કાવેરીના જળથી નહાવાનું છે-જીવવાનું છે એમને માણસના લોહીથી નવડાવવાની નથી.

    બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી…

       – તુલા-સંજય

    વિશ્વગ્રામ, મો.: ૯૫૯૬૧૮૭૨૩૩


    સ્રોત સંદર્ભઃ ભૂમિપુત્ર : ૧૬ જુલાઈ, ૨૦૨૪

  • શિપ ઓફ થિસિયસ – ‘હું કોણ’નું દાર્શનિક વિવેચન

    દીપક ધોળકિયા

    સ્નેહી શ્રી ભગવાનભાઈ,

    વેબગુર્જરી પર તમારો ‘શિપ ઑફ થિસિયસ’ વિશેનો લેખ, શિપ ઓફ થિસિયસ – આપણી અસલિયતની ઓળખ, વાંચ્યો તે જ ઘડીથી આ વિષય પર લખવા મગતો હતો પણ એક યા બીજા કારણસર મુલતવી થતું ગયું.  આ વિષય ગહન છે અને ફિલ્મમાં કેટલાય પ્રશ્નો છે. તમે સંક્ષેપમાં  – પણ બરાબર – ન્યાય આપ્યો છે.  એક સ્પષ્ટતા કરી દઉં. આ ‘શિપ ઑફ થિસિયસ’ પાછળના દર્શન વિશે સ્વતંત્ર લેખ છે. તમારો લેખ નિમિત્ત બન્યો છે એટલે આભારની લાગણી વ્યક્ત કરવા આ લેખ તમને અર્પણ કરું છું.

    મૂળ સવાલ એ છે કે આપણી અંદર બધું બદલાઈ જાય તો આપણે ‘આપણે’ રહીએ?  અથવા બધાં અંગોના સમુચ્ચય સિવાય આપણામાં એવું શું છે જે આ સમુચ્ચયની ઉપર છે અને પોતાને ‘હું’ તરીકે ઓળખે છે અને બધાં અંગોને પોતાનાં અંગો તરીકે ઓળખાવે છે – મારો હાથ, મારું શરીર, મારું મન. આમ બોલનાર કોણ? કંઈક આવી જ એક પાકિસ્તાની વાર્તાનો મારો અનુવાદ વેબગુર્જરી અને ‘મારી બારી’ પર હતો, ૨૦૧૪માં આ અનુવાદ, નર-નારી[1], પ્રકાશિત થયો હતો.

    આ જટિલ સવાલના જવાબ ઘણા છે. શિપ ઑફ થિસિયસ વિશેની ચર્ચા આ દૃષ્ટિએ દાર્શનિક છે અને એમાંથી “‘હું’ કોણ?” જેવા સવાલોના જવાબ શોધવાના પ્રયાસ થાય છે.  તરત મનમાં આવે તેવો જવાબ એ છે કે ‘હું’ એટલે આત્મા. અને આપણે મૂળ આત્મા છીએ એટલે શરીરના સ્વામી તરીકે બોલીએ છીએ. મોટા ભાગે તો એના  આવા જવાબ તરત મળે છે, પણ મારી સમજ થોડી જુદી છે.

    “આપણે બદલાઈ જઈએ છીએ અને બીજી વ્યક્તિ છીએ” અથવા આપણે આત્મા છીએ – એવા જવાબોમાં હું નથી પડતો. શિપમાં બધું બદલાઈ ગયું તો પણ લોકોની નજરે એ થિસિયસનું જ શિપ રહ્યું.  મને તો એ જ મોટી ઘટના લાગે છે કે લોકો આમ શા માટે માનતા રહ્યા? એનાં કોઈ કારણ છે? આવું કેમ બને છે એમાં મને વધારે રસ છે.

    એ શિપ તદ્દન બદલાઈ ગયું હોવા છતાં કોણ એને થિસિયસનું શિપ જ માનતા હતા? જવાબ સહેલો છે. શહેરવાસીઓની સ્મૃતિમાં એ થિસિયસનું શિપ રહ્યું. એટલે જ, મારો ખ્યાલ છે કે મૂળ સવાલ એ નથી કે એને થિસિયસનું શિપ કહેવાય કે નહીં; મૂળ સવાલ એ છે કે એને થિસિયસનું શિપ માનતા રહેવા માટે લોકોને કયું પરિબળ પ્રેરિત કરતું હતું? જવાબ છે – એમની સ્મૃતિ. સ્મૃતિ દૈનિક અનુભવો, પરંપરાઓ અને માન્યતાઓ જેવી સૂક્ષ્મ ઘટનાઓના સંગ્રહમાંથી આકાર લે છે. સ્મૃતિ વારસામાં પણ મળે છે, જેને આપણે ‘ઇતિહાસ’ કહીએ છીએ.

    હવે આપણે આ વાતને ફિલોસોફીમાં લઈ જઈએ, જે શિપ ઑફ થિસિયસની મૂળ કથા (માત્ર ફિલ્મ નહીં)નો  ઉદ્દેશ એ જ છે. હું તદ્દન બદલાઈ ગયો તેમ છતાં હું મારા ભૂતકાળ અને વર્તમાનને કેમ એક નિરંતર ‘હું’ તરીકે ઓળખી શકું છું? અહીં પણ હું કહીશ કે હું બદલાઈ ગયો હોવા છતાં સ્મૃતિને જ કારણે મારી જાતને ‘હું’ તરીકે જ જોઉં છું, જેવું શિપ ઑફ થિસિયસ વિશે છે. હું ભૂત કે વર્તમાનનો ભેદ કરતો નથી. હું મારા ગઈકાલના ‘હું’ને ઓળખું છું. એ ‘હું’ તરીકેની મારી સ્મૃતિ આજે પણ ટકી રહી છે. બદલાવા માટે ધડ અને માથાને અલગ કરવાની જરૂર નથી. હું જીવતો જાગતો ‘શિપ ઑફ થિસિયસ’ છું. શૈશવ, કૈશોર્ય, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થા મેં અનુભવી છે અને દરેક અવસ્થામાં હું એવો બદલાયો છું કે એનાથી પહેલાંની અવસ્થા કે અવસ્થાઓમાં હું જે હતો તેની સાથે કશી જ લેવાદેવા નથી રહી. તેમ છતાં મારી સ્મૃતિ મને પાછલી બધી અવસ્થાઓ સાથે જોડી રાખે છે. “હું કરું છું” હવે “મેં કર્યું” માં પરિવર્તિત થઈ જાય છે પણ ‘હું’ વ્યાકરણના નવા રૂપે હાજર રહે છે.

    બીજું ઉદાહરણ લઈએ. આજે હું મારો બાળપણનો ફોટો જોઉં છું તો પણ હું એને ઓળખી લઉં છું કે આ હું છું. આમ જુઓ તો એ ફોટાનો ‘હું’ મારા આજના ‘હું’ કરતાં એટલો જુદો છે કે ઓળખી લેવાને માટે કોઈ કારણ નથી. આમ તો આપણે અરીસાની મદદ વિના કોઈ પણ અવસ્થામાં આપણો પોતાનો ચહેરો જોઈ શકતા નથી, તો આપણા ચહેરાને ઓળખી કેમ જઈએ છીએ?  ખાસ કરીને સાત વર્ષના બાળકનો ચહેરો સિત્તેર વર્ષના જઈફ્ના ચહેરા કરતાં જુદો જ છે. વાત એમ છે કે આપણે ચાર-પાંચ વર્ષની ઉંમરે અરીસામાં જોઈને પોતાના ચહેરાને ઓળખતા થઈ જઈએ છીએ. એ આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે એટલે ફોટો જોતાં એ સ્મૃતિ ઓળખાણમાં મદદ કરે છે. મારી સ્મૃતિ ‘હું’ રૂપે સતત મારી સાથે રહી છે. આવી સામુદાયિક સ્મૃતિએ જ શિપ ઑફ થિસિયસને ‘શિપ ઑફ થિસિયસ’ રહેવા દીધું. આપણી સાથે પણ એવું જ થાય છે.

    આમ છતાં આપણી ભૂતકાળની અવસ્થાથી કપાઈ ગયા હોઈએ છીએ. શિક્ષકે તમને ફુટપટ્ટીથી માર માર્યો હોય ત્યારે તમારા  એ ‘હું’ એ બહુ દુઃખ અનુભવ્યું હોય પણ એ ઘટનાની આજે વાત કરતી વખતે તમારો આજનો ‘હું’ એના પ્રત્યે તટસ્થ થઈને બોલી શકે છે, અથવા હસવાની વાત હોય તેમ બોલશે. એ વખતના દુઃખથી તમે કપાઈ ગયા છો. ફુટપટ્ટી મારનાર શિક્ષકનો ચહેરો યાદ આવી જશે તો પણ એ વખતની લાગણીઓ પેદા નહીં થાય. એનો અર્થ એ કે એ વખતનો ‘હું’ હવે નથી રહ્યો, આપણો આજનો ‘હું’ જુદો છે. આત્મા બદલાય ખરો? આ જ કારણે ‘હું’ આત્મા નથી, સ્મૃતિ છે.  એ આ જ શરીરમાં ગોઠવાયેલા મગજની કલા છે.

    મારો દાવો સાચો હોય તો એ સવાલ તો ઊભો જ રહે છે કે, આ સ્મૃતિને ‘હું’ તરીકે શા માટે ઓળખીએ છીએ? કોઈને એમ થાય કે સ્મૃતિને ‘હું’ તરીકે ઓળખાવવાનો મારો પ્રયાસ કાચો છે કારણ કે સ્મૃતિ સિવાયનાં કાર્યોમાં પણ ‘હું’ નું અસ્તિત્વ હોય છે. સવાલ વાજબી છે અને મારે એનો જવાબ આપવો જોઈએ.

    આપણે દરેક જણ પોતાને ‘હું’ તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે ‘અમે’ અને ‘આપણે’ તરીકે પણ ઓળખીએ છીએ. ‘હું’ સર્વનામ છે એટલે એ એક જગ્યાએ ચોટીને ન રહે. જેને ઠીક લાગે તે એનો ઉપયોગ કરી શકે. પણ ‘હું’  પ્રકૃતિમાં માત્ર માનવસમાજના એક જ એકમ દ્વારા પોતાની અસ્મિતાની જાહેરાત તરીકે વપરાય છે અને એ એકમ પોતાની આગવી સામુદાયિક પરંપરાઓ અને સ્મૃતિઓ દ્વારા બન્યું હોય છે. એનો અર્થ એ થયો કે જન્મ પછી બાળક આસપાસ ફરતાં લોકોને જોઈને કદાચ કંઈક અંશે ‘અમે’ અને ‘આપણે’ જેવી અનુભૂતિ સૌ પહેલાં કરે છે, ‘હું’ની નહીં. આપણે આવાં અલગ અલગ એકમો છીએ એટલે આપણે સૌ પોતાના શરીર માટે ‘હું’નો પ્રયોગ કરીએ છીએ. ‘હું’ દરેકનો અલગ છે કારણ કે એ  દરેકની પરંપરાઓમાંથી બન્યો એટલે એ એક સામુદાયિક ઘટનાનું એક પરિમાણ છે.  પહેલાં ‘અમે/આપણે’ની સજીવ અનુભૂતિ થાય છે તે પછી બધા સમાનોમાં અલગ હોવાની એટલે કે ‘હું’ની અનુભૂતિ થાય છે. જ્યાં સુધી બાળકને બીજાનો પરિચય નથી થતો ત્યાં સુધી એનો હું પણ પેદા નથી થતો. બાળક પોતાને ‘હું’ તરીકે ઓળખાવે તે પહેલાં એ તમે આપેલા નામથી જ પોતાને ઓળખે છે. “કીકુ ખાશે”, “કીકુને પાણી પીવું છે”, વગેરે. જેમ જેમ એની સામાજિકતા વધતી જાય છે તેમ તેમ ‘હું’ તરફ એની ગતિ પણ વધે છે અને એક દિવસ એ પોતાના માટે ‘હું’ નો પ્રયોગ પણ શરૂ કરી દે છે.

    સૌને અલગ અસ્મિતાનો બોધ પણ એટલો જલદી થતો હોય છે કે એ સ્મૃતિનો વિષય બને તે પહેલાં જ સ્થાયી થવા લાગે છે.  એના માટે સ્મૃતિની જરૂર પણ નથી.  સ્મૃતિ સિવાય અને સ્મૃતિથી અલગ આ અસ્મિતાબોધ વિકસ્યો હોય છે. બાળક ઘરમાં રહીને શુદ્ધ વ્યાકરણવાળી ભાષા શીખી લે છે તેમાં પણ સ્મૃતિની કોઈ ભૂમિકા નથી. એ અસ્મિતાના ભાગ તરીકે વિકસે છે. આ અસ્મિતાબોધ વ્યક્તિના જીવનનો આધાર છે એટલે ‘હું’માં કર્તાભાવ અને સાક્ષીભાવ પણ પ્રવેશે છે. એ જે કરે છે અથવા જૂએ છે તે એની પ્રતિક્રિયા છે, જે આપણે કદાચ સરિસૃપો (Raptiles) પાસેથી લીધી છે. પ્રતિક્રિયા સરિસૃપોનો ગુણધર્મ છે. અંગ્રેજીમાં એને fight or flight કહે છે. દુશ્મનને જુઓ, તે પછી બે જ વિકલ્પ છે – કાં તો લડો, કાં તો ભાગો. આપણી બધી પ્રતિક્રિયાઓ આનું જ વિકસિત રૂપ છે.

    પરંતુ પ્રતિક્રિયા  સ્મૃતિના માર્ગે નહીં, જિજીવિષામાંથી એટલે કે અલગ હોવા છતાં સમૂહનો ભાગ બની રહેવાની – સર્વાઇવલની – જરૂરિયાતમાંથી જન્મે છે. આપણી આ સમજણ એટલી અનાદિ છે કે બે વ્યક્તિઓ એક જ ક્ષણમાં પોતાના માટે ‘હું’નો પ્રયોગ કરે તો પણ એ સ્વાભાવિક લાગે છે. એક જણ કહે કે “હવે હું જઈશ” અને તે જ સમયે એનો મિત્ર કહે કે “હવે હું સુઈશ”. બન્ને ‘હું’ કહે છે પણ બેમાંથી કોઈ એવો દાવો નથી કરતો કે ‘હું’ બોલવાનો અધિકાર માત્ર મારો છે. આપણે અંતર્નિહિત જ્ઞાનથી જાણીએ છીએ કે બન્ને ‘હું’ બે અલગ એકમો માટે છે.  એટલું જ નહીં, ‘હું’નો પ્રયોગ માત્ર હું જ કરીશ, બીજું માનવએકમ મને ‘હું’ તરીકે નહીં સંબોધે; એના માટે હું “તું” અથવા “તમે” કે “એ” અથવા “તે” છું. આમ દરેક એકમ  એક બાજુથી બીજા એકમના ‘હું’ માટે લક્ષ્મણરેખા  દોરી આપે છે અને, બીજી બાજુથી પોતે પણ બીજાની લક્ષ્મણરેખા ન ઓળંગવાનું વચન પણ આપે છે. આવી લક્ષ્મણરેખા વિના કોઈ એકમની અલગ અસ્મિતા કેમ ટકી શકે?

    આ રીતે જોતાં ‘હું’ની કોઈ વિશિષ્ટતા નથી. એ સર્વસામાન્ય છે અને દરેક એકમમાં એ એકસરખું કામ કરે છે. એનું કામ માત્ર સમુદાયના એક એકમને અભિવ્યક્તિ આપવાનું છે, તે સિવાય કંઈ નહીં.  એ સતત હાજર રહે છે પણ દર વખતે નવા રૂપે. એ સ્મૃતિની મદદથી આપણી જુદી જુદી અવસ્થાઓના ‘હું’ઓને સાંકળીને નિરંતરતાનો ભાવ આપે છે. પણ વાસ્તવમાં પોતે નિરંતર નથી. ‘હું’નું સમાજની બહાર અસ્તિત્વ પણ નથી.  સમાજમાં ‘હું’ આપણને બીજાથી અલગ એકમ તરીકે ઓળખાણ આપે છે, પણ એક નિર્જન ટાપુ પર તમે એકલા હો તો ‘હું’નું કામ શું પડે? જ્યાં સુધી ‘અમે’ કે ‘આપણે’ બોલવાના સંયોગો પેદા ન થાય ત્યાં સુધી ‘હું’ બોલવાના સંયોગ પણ પેદા નથી થતા.

    ફિલ્મમાં અને મેં ઉપર આપેલી વાર્તામાં પણ સવાલ એ છે કે “આપણે કોણ છીએ?” અથવા “આપણે શું છીએ?” શરીરનું કોઈ અંગ બદલાઈ જાય તે પછી આપણે પહેલાં હતા તે જ રહી શકીએ? કે એવું કંઈક છે જે હજી પોતાને ‘હું’ કહી શકે છે?  એવું ‘કંઈક’ હોય તો બધાં અંગોના સમુચ્ચય કરતાં આપણે અલગ, ઉપર અથવા બહાર છીએ. એને બધાની સાથે જોડીને બોલીએ તો અંગ્રેજીમાં કહે છે તેમ, The Whole is greater than the sum total of its parts. (સમગ્ર એના ઘટકોના કુલ સરવાળા કરતાં મોટું છે).

    પરંતુ આ આપણી માત્ર ભ્રાંતિમૂલક પ્રતીતિ છે, જે આપણી ‘હું’ વિશેની અવાસ્તવિક ધારણામાંથી પેદા થાય છે. આપણે કંઈક અંશે ‘શરીર+” ના ખ્યાલથી બંધાયેલા છીએ. એટલે કદાચ એમ પણ કહીએ કે “મારું હૃદય બદલાવ્યું છે. આજે મારું  હૃદય ખરેખર બીજાનું છે. એટલે એટલા પૂરતો હું નથી”. આમાં ભાષા પણ આપણને થાપ ખવડાવે છે. જો ‘હું’ એટલે જન્મદત્ત શરીર હોય તો આજે  તમારી અંદર ધબકતું હૃદય તમારું નથી, એ સત્ય છે. પણ આપણે એવા નિષ્કર્ષ પર સહેલાઈથી પહોંચીએ છીએ કે આ ‘હું’ આત્મા છે જે આ બધાં અંગોનો સ્વામી છે. અને એ જ કારણે આપણે ‘મારું હૃદય’ ‘મારો હાથ’ વગેરે પ્રયોગો કરીએ છીએ. અહીં પણ ભાષા ભુલાવે છે. કારણ કે આપણે ‘મારો આત્મા’ પણ બોલીએ છીએ! તો ‘હું’ આત્માથી પણ ઉપર છે? “મારો આત્મા” કહેનાર કોણ છે?  શરીરને ‘હું’ માનવાથી કેટલીક સમસ્યાઓ ઉકેલી શકાય છે. મારો આત્મા કે મારો હાથ, મારું શરીર વગેરેમાં જે અકળ મનાય છે તેના ભેદ નથી રહેતા.

    ફરી એક સમસ્યા ઊભી થાય છે. આપણે ‘મારો આત્મા બોલીએ છીએ તેમ ‘મારું શરીર” પણ બોલીએ છીએ! તો “મારો આત્મા” કે “મારું શરીર” કહેનાર ‘હું’ કોણ?  ધ્યાનથી વિચારીએ તો સમજાઈ જશે કે આ સમસ્યા જ નથી. એ માત્ર ભાષાપ્રયોગો છે. જેમ એકસો રુપિયાની નોટ તમારી છે, તેમ એના ભાગ જેવી દસ રુપિયાની નોટ પણ તમારી જ છે. તમે “મારી દસ રુપિયાની નોટ” કહી શકો તે જ રીતે “મારી સો રુપિયાની નોટ” પણ બોલી શકો છો. આમાં કોઈ અંતર્વિરોધ નથી.  એ જ રીતે મારો હાથ, મારો પગ એમ કહેવાથી પણ  કોઈ અંતર્વિરોધ ઉત્પન્ન નથી થતો અથવા એનો કોઈ અલગ માલિક હોવાનો વિચાર પણ જરૂરી નથી. એ માત્ર ભાષા પ્રયોગ છે.

    પરંતુ એક વધારે મોટા અર્થમાં એ સાચું પણ છે કે ‘સમગ્ર’ એના ઘટકોના સમુચ્ચયની ઉપર છે.  આપણી ભૂલ એ છે કે આપણે શરીરને ‘સમગ્ર’ માનીએ છીએ. એટલે જ અટવાઈએ છીએ કે “મારું શરીર” કહેનાર કોણ છે, અને એને આત્માની સાબિતી માનીએ છીએ. ખરેખર પ્રકૃતિ ‘સમગ્ર’ છે, માનવશરીર પણ એનું એક અંગ છે. પ્રકૃતિના અર્થમાં ‘સમગ્ર’ હંમેશાં એના ઘટકો કરતાં મોટું જ રહેવાનું છે. એટલે જ એકના હૃદયને બીજામાં બેસાડવાનું શક્ય બન્યું છે. વિજ્ઞાને માત્ર એમ કરવાની ટેકનિક શોધી છે, પ્રકૃતિને એ ઠીક ન લાગતું હોત તો આવી ટેકનિક પણ ન મળી હોત. પ્રકૃતિને કોનું હૃદય કોનામાં ધડકે છે એનાથી કશો જ ફેર નથી પડતો. એટલે જ્યારે શિપ ઑફ થિસિયસ બન્યું તે પહેલાં એ શિપ ઑફ થિસિયસ નહોતું, એ માત્ર ઝાડ હતું. એ જ રીતે એના ભાગો બદલાઈ ગયા તે પછી લોકો એને શિપ ઑફ થિસિયસ કહેતા રહે અથવા કહેવાનું બંધ કરે, પ્રકૃતિને એની સાથે કંઈ લેવાદેવા નથી. આપણે ‘હું નથી પણ પ્રકૃતિનું નાનું, તુચ્છ અંગ છીએ એમ માનતા થશું ત્યારે ઘણા સવાલોના જવાબ મળી જશે.  તે પછી’હું’ની ખોજ પણ બંધ કરી દેશું. મુસીબત એ છે કે આપણા મગજમાં એવું ભરી દેવાયું છે કે આપણે પ્રકૃતિના સ્વામી છીએ અને માનવજાત ઉત્ક્રાંતિની શ્રેષ્ઠ અને અંતિમ રચના છે.


    [1] નર-નારી – ઇન્તઝાર હુસૈન – સંક્ષિપ્ત ભાવાનુવાદ – દીપક ધોળકિયા

    ૦૦૦

    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • મહેન્દ્ર શાહનાં ‘પેન્ટિંગ ઉપર પેન્ટિંગ ‘

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Painting on Painting

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

     

  • ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ? / એક છોકરીએ..

    ભાઈ રે, આપણા દુ:ખનું કેટલું જોર ?
    — કવિ શ્રી રાજેન્દ્ર શાહ
     
    ભાઈ રેઆપણા દુ:ખનું કેટલું જોર ?

    નાની એવી જાતક વાતનો મચવીએ નહિ શોર !

    ભારનુ વાહન કોણ બની રહેનહી અલૂણનું કામ,
    આપણ તો બડભાગીખમીરનું આજ ગવાય રે ગાન;
    સજલ મેઘની શાલપે સોહે રંગધનુષની કોર.

    જલભરી દગ સાગર પેખેહસતી કમળફૂલ,
    કોકડું છે પણ રેશમનુંએનું ઝીણું વણાય દુકૂલ;
    નિબિડ રાતના કાજળ પાછળ પ્રગટે અરુણ ભોર.

    આપણે ના કંઈ રંકભર્યોભર્યો માંહ્યલો કોશ અપાર;
    આવવા દો જેને આવવુંઆપણે મૂલવશું નિરધાર;
    આભ ઝરે ભલે આગહસી હસી ફૂલ ઝરે ગુલમ્હોર.


    એક છોકરીએ..

                     -રક્ષા શુક્લ

    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.
    છોકરીની આંખોને સોળમું સદી ગ્યું ‘ને ટેરવેથી તરસ્યુંનાં ટોળાં આવ્યાં.

    વાવડ તો ક્યાંય નથી વાવાઝોડાના તો ય છાતીએ કપોત કંઈ હાંફે,
    અળવંડા ખાતી એ છોકરીને જોઇને છોકરો યે બોલવામાં બાફે.
    છૂઈમૂઈ એ છોકરી સંતાડે આંખ પછી દર્પણને બહાનાઓ બાવન ફાવ્યાં.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     ભીંતને અઢેલીને ઊભેલી છોકરીએ ધરતી પર નામ એક ચીતર્યું,
    ટપ્ દઈ ટીપું, ‘ને ટીપામાં રેલાતું રૂપ આંખ મીંચીને નીતર્યું.
    અણિયાળી આંખ્યુંને ઉતારા માનીને છોકરાએ ઉંબર પર સાથિયા મૂકાવ્યા.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     મોભારે કાગડો બોલે ‘ને છોકરી તો સોળે શણગાર સજી દોડે,
    માળિયેથી ઉતારી કાચની અડાળી ‘ને ઝટ્ટ દઈ ફળિયામાં ફોડે.
    અમથું તો એને ના ખાવું ગમતું ‘ને આજ રોટલો સુકો ‘ને ડુંગળીયે ભાવ્યાં.
    ચોમાસા ચાર ચાર ભેગા કરીને એક છોકરીએ મુઠ્ઠીભર સપનાં વાવ્યાં.

     

     

    —- વે.ગુ. પદ્યસમિતિ.
  • ‘બાઈ’ – જીવનકથાઃ પુસ્તક પરિચય નહીં, વ્યક્તિ પરિચય

    આ મહિનેથી દર બીજા અને ચોથા રવિવારે કેપ્ટન નરેન્દ્ર ફણસે દ્વારા સંપાદિત જીવનકથા ‘બાઈ’ ધારાવાહિક સ્વરૂપે આપની સમક્ષ રજૂ કરીએ છીએ.
    તેમનાં આ પુસ્તકને વેબ ગુર્જરી પર પ્રકાશિત કરવા માટે કેપ્ટન નરેન્દ્ર ફણસે એ આપેલી સહમતિ બદલ આપણે તેમનાં આભારી છીએ.
    માત્ર એક જ અઠવાડીયાંથી  પણ ઓછા સમયમાં સુશ્રી રાજુલબેન કૌશિકે ખુબ જ અર્થસભર અને રસસભર તે બદલ આપણે તેમનાં પણ આભારી છીએ.
    સંપાદન મડળ, વેબ ગુર્જરી 


    વેબ ગુર્જરીના પાનાં પર ‘બાઈ’ -જીવનકથા મુકાઈ રહી છે તે પૂર્વે કેપ્ટ્ન શ્રી નરેન્દ્રભાઈ ફણસેએ પુસ્તક પરિચય લખાય એવી ઈચ્છા પ્રગટ કરી. કેપ્ટ્નસાહેબની ‘ઈચ્છા સર આંખો પર’ કહીને પુસ્તક પરિચય લખવા માટે હામી ભરી.

    સૌ પ્રથમ તો ‘બાઈ’ની જીવનકથા વાંચી જવી જરૂરી હતી. ‘બાઈ’ વાંચવાની શરૂઆત કરી ને થોડાં પાનાં પછી સમજાયું કે એ માત્ર હામી ભરવાની વાત નહોતી. ‘હામી ભરવા’ની સાથે હિંમત એકઠી કરવાનીયે વાત હતી.

    કારણ ?

    કારણ કે, ‘બાઈ’ પુસ્તકમાં આલેખાયેલ બાઈની જીવનકથા પુસ્તક પરિચયથી વિશેષ ‘વ્યક્તિ પરિચય’ છે.

    ક્યારેક ‘વ્યક્તિનું હોવું’ કરતાં એનું ‘ન હોવું’, ‘સદેહી હાજરી’ કરતાં ‘અદેહી હાજરી’ થી એ વધુ નજીક લાગે. ‘બાઈ’ આત્મકથા વાંચતાં વાંચતાં પ્રત્યેક શબ્દે બાઈની અદેહી હાજરીનો અનુભવ થયો.

    હવે જો માત્ર આત્મકથા વાંચતા આવી લાગણી થાય તો જે વ્યક્તિઓ બાઈના જીવનનું અવિભાજ્ય અંગ બનીને જીવી હશે એમના મન-હૃદયમાં બાઈના સ્વજન હોવાનો અને બાઈની સાથે જીવ્યાનો સંતોષભાવ જીવનભર ચિરંજીવ જ રહેવાનો જ ને !

    બાઈનું મૂળ વતન મહારાષ્ટ્રના મહાડ નજીકનું દેવળે ગામ, પણ જન્મ થયો વડોદરામાં. માતાપિતાએ નામ આપ્યું લીલા.

    ૧૯૧૫માં જન્મેલી લીલાએ દીકરી હોવાનો દંડ જીવનભર વેઠ્યો. બાપુજીની સારી નોકરી છતાં વ્યસનના લીધે ઉત્તરોત્તર પડતી થતી ગઈ અને નાનપણથી જ અપાર અસુવિધા અને અસુખમાં ઉછરેલ લીલા નામની છોકરીનું જીવન અસાધારણ રીતે સંઘર્ષમાં જ પસાર થયું.

    કિશોરાવસ્થા, તે પછી પરાણે પ્રીત જેવો પરિણય, જોકે એ લગ્ન નહીં એને છેતરપિંડી જ કહેવાય એવી અવસ્થાય જીરવી લીધી. આજીવન લગભગ વણજારાની જેમ સતત સ્થળાંતર કરતા રહેવું પડ્યું, સગાં એવાં જે વહાલા ન થયાં, જેમને સ્વજન માન્યા એમનું પરાયું વર્તન સહી લેવા મહદ અંશે સંત જેવી સમતા કેળવી લીધી હશે ત્યારે જ આટઆટલી ઉપેક્ષા સામે એ ટકી શક્યાં હશે ને ?

    નાનપણથી જ જેની ઈચ્છા-અનિચ્છા, મત કે મંતવ્યનો સ્વીકાર થયો જ નહીં એ લીલાએ ઘરમાં જાણે ચુપકીદી જ સેવી લીધી. પણ, એ પછી એમનું મૌન શબ્દોમાં મુખરિત થવા માંડ્યું અને વાચકોને મળી એક એવી આત્મકથા જેમાં બળબળતા રણમાં ખુલ્લા પગે ચાલ્યાની વેદના ઠલવાઈ છે.

    માત્ર ચાર ચોપડી સુધીનું ભણતર હોવા છતાં જીવનનો મર્મ જેમણે પામી લીધો હશે એવાં ‘બાઈ’ એ સરળ ભાષામાં એમના જીવન વિશે જે કંઈ આલેખ્યું એમાં ક્યાંય એમનાં નસીબને કોસ્યું નથી કે નથી કોઈનું ખરાબ ઈચ્છ્યું.

    ‘બાઈ’ ની આત્મકથા વાંચતાં વાંચતાં વિચાર આવ્યો કે, સતત સામા પ્રવાહે જીવેલાં, સંજોગોનો શિકાર બનેલાં ‘બાઈ’ એક સ્ત્રી થઈને આ લખવાનું સાહસ ક્યાંથી લાવ્યાં હશે.

    કોઈ એક સ્ત્રી લેખકે આત્મકથા લખી હોય તો એમાં અમૃતા પ્રિતમનું નામ યાદ આવે છે.

    અમૃતા પ્રિતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટેમ્પ’ માં માનવમનનાં તળમાં ઉદ્ભભવતા મનોવ્યાપારોનું આલેખન છે. જોકે અમૃતા પ્રિતમને જીવનમાં સુખ, સ્નેહ, સંપત્તિ, સિદ્ધિ, પ્રસિદ્ધિ પ્રાપ્ત થયાં જ્યારે બાઈને શું પ્રાપ્ત થયું? માત્ર ને માત્ર આપાર વિડંબણા.

    ‘બાઈ’ના બાપુજીનું બેવડું વ્યકતિત્વ, એ બેવડા વ્યક્તિત્વ (Double-personality)ને લીધે એમની બા તથા પરિવારને વેઠવી પડેલી તકલીફો, અસુવિધાભર્યું જીવન અને એવી જ રીતે લગ્ન પછી વેઠવી પડેલી એ જ બધી આપદાઓની અત્યંત અસુખભરી વાતો વાંચીએ તો મનમાં આક્રોશ ઊઠે કે, કેમ…કેમ..એક વ્યક્તિને, એના પરિવારને ઈશ્વરે આટઆટલી પીડાઓ કેમ આપી ?

    બાઈના માતાના અવસાન પછી સતત પરાધિનતા વચ્ચે એમનું જીવન પસાર થયું. ભાઈ-બહેનોના શીતળાના લીધે કે પિશાચીનીના વળગાડથી થયેલાં અકાળ અવસાન,  માસી તો મા સમાન હોય એનાં બદલે બાઈજીમાસીનોય એમની સાથે અનુચિત વ્યવહાર…ક્યાં જઈને કોની પાસે ઠલવે એ પોતાની પીડા ?

    ‘બાઈ’ની આત્મકથા એટલે એમ લાગે કે સતત એક શહેરથી બીજા શહેર વચ્ચે ફંગોળાતી જિંદગી અને પરિવારના સદસ્યોની સિલસિલાબંધ અવસાન નોંધ.

    પુસ્તકનું એક નવું પાનું શરૂ  થાય ને મન ફફડી ઊઠે, ‘ હે પ્રભુ, અહીં કોઈની જીવનલીલા સંકેલાઈ ન હોય એવું આ પાનું  હોય..’

    પણ ના.. એવું કશું બને એ પહેલાં બાઈની સામે કોઈ નવી આપત્તિ સામે ઊભી જ હોય.

    અને એ નવી આપત્તિ એટલે ‘બાઈ’ના એમનાથી ૨૫ વર્ષ મોટા, આઠ સંતાનોના પિતા સાથે લગ્ન. લગ્ન પછી પતિ, પતિના પૂર્વસંસારના આઠ સંતાનો, સંતાનોના પરિવારે આપેલો ત્રાસ.

    છતાં પણ ‘બાઈ’ એ સૌની અપરમા હોવાનો ભાવ મનમાં ક્યારેય ન કેળવ્યો. અન્યનાં સંતાનોના દુઃખ પણ એમના પાલવમાં સમેટવાનો જ સતત પ્રયાસ કર્યો. ‘બાઈ’નાં પોતાનાં સંતાનોનેય કેટલીય વિપદા ભોગવવી પડી, પણ લોખંડી મનોબળવાળા બાઈએ એનો પણ ઈશ્વર સામે કોઈ ફરિયાદ કર્યા વગર સામનો કર્યો.

    જીવનમાં વેઠવી પડેલી આપદા, બાળકોની માંદગીને લીધે ભલભલી વ્યક્તિ મનથી ભાંગી પડે. પતિ, પતિના પૂર્વ પરિવારના સંતાનોની સતત અવહેલનાને લઈને સીતાની જેમ ધરતી માર્ગ આપે તો સમાઈ જવાનું મન થાય એવી પરિસ્થિતિમાં પણ ‘બાઈ’એ મક્કમ મનથી ટકી રહેવા, પોતાની જાતને અડીખમ રાખવા કેવા કેવા પ્રયાસો કર્યા હશે ? એમની એ કથા વાચકને પણ વ્યથિત કરશે.

    પતિ તરફથી પ્રેમ ન મળ્યો. છતાં બાઈએ એમની આત્મકથામાં પતિની ખામીઓ વિશે જરૂરી વાત કરીને તટસ્થતાપૂર્વક પતિની ખૂબીઓનોય ઉલ્લેખ કર્યો છે. પતિની છત્રછાયા નીચે દરેક સારા-નરસા પ્રસંગને મધુર પ્રસાદ તરીકે સ્વીકારી લેવાની ભક્તિ કે શક્તિ બાઈમાં ક્યાંથી આવી હશે !

    આ પુસ્તકને આત્મવ્યથાની દૃષ્ટિએ મૂલવવા જેવી છે. વાંચવા માત્રથી જો મનને ધક્કો પહોંચે તો એ  સમય અને સંજોગો સહન કરવાનું ‘બાઈ’ માટે કેટલું કપરું રહ્યું હશે !

    કાળા ડીબાંગ જેવાં વાદળોથી ઘેરાયેલ આકાશમાં માંડ એક રૂપેરી કોર જોવા મળે, એ કોરનો એક છેડો માંડ હાથમાં આવે, વાચકને પણ ‘બાઈ’ની જેમ આશા બંધાય કે હવે એ પેલાં કાળા વાદળો ખસશે અને  રૂપેરી અજવાસ રેલાશે ત્યાં તો ફરી વધુ ઘેરા વાદળોથી આશાની રહી સહી  એ કોર પણ ઢંકાઈ જાય એમ માંડ કંઈક શુભ બનવાની આશા બંધાય તે પહેલાં સતત કોઈને કોઈ અણધારી, અણગમતી પરિસ્થિતિ બાઈના જીવનમાં સર્જાઈ છે છતાં ‘બાઈ’ જીવની સઘળી આકરી કસોટી પાર કરીને ‘સો ટચનું સોનું’ કહી શકાય એવી રીતે જીવ્યાં.

    શ્રેષ્ઠ સંસ્કાર આપીને સંતાનોને ઉછેર્યાં. દીકરીઓને સામાજિક સંસ્થામાં જોડાઈને પ્રવૃત્તિ અને પ્રગતિ કરવા સંમતિ આપી. ત્રણ દીકરીઓ પર એક જ દીકરો હોવા છતાં દીકરાને દેશની સેવા માટે સમર્પિત થવા સંમતિ આપી. જે વાતાવરણમાં બાઈ જન્મ્યાં, ઉછર્યાં એમાં મનની આટલી મોકળાશ એમને મુઠ્ઠી ઉંચેરા સાબિત કરે છે.

    ‘બાઈ’ પુસ્તક માટે કશું કહેવું હોય તો એટલું ચોક્કસ કહી શકાય કે આ પુસ્તક અંધકારમાં ઘેરાયેલ,  આપમેળે બહાર આવવા મથતી કોઈ પણ વ્યક્તિ માટે દીવાદાંડી છે.

    રાજુલ કૌશિક


    હવે પછી ૨૪ – ૧૧ -૨૦૨૪ના રોજ પુસ્તકની પૂર્વભૂમિકા વાંચીશું