-
ખોટે સિક્કે (૧૯૭૪)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
‘લોહા લોહે કો કાટતા હૈ’. આ જાણીતી કહેવત ‘શોલે’ના એક સંવાદ તરીકે વધુ પ્રચલિત બની રહી. એક અનિષ્ટને જેર કરવા બીજા અનિષ્ટનો સહારો લેવો પડે છે એમ એ સૂચવે છે. ‘શોલે’ના કથાનકમાં મુખ્ય બીજ આ જ હતું. અલબત્ત, આ અને આવા કથાનકવાળી બીજી અનેક અંગ્રેજી, હિન્દી કે અન્ય ભાષાની ફિલ્મોની ગંગોત્રી એટલે જાપાનના દિગ્દર્શક અકીરા કુરોસાવાની ફિલ્મ ‘સેવન સમુરાઈ’. ૧૯૫૪માં રજૂઆત પામેલી આ ફિલ્મનું કથાનક શાશ્વત કહી શકાય એવું છે, અને પોતપોતાના અર્થઘટન વડે વિવિધ ફિલ્મકાર એની પરથી ફિલ્મ બનાવતા રહ્યા છે.

૧૯૭૪માં રજૂઆત પામેલી, મેવાડ ફિલ્મ્સ નિર્મિત, નરીન્દર બેદી દિગ્દર્શીત ‘ખોટે સિક્કે’ પણ મૂળભૂત રીતે ‘સેવન સમુરાઈ’ના કથાનકથી પ્રેરિત હતી. એક ગામને રંજાડતા ડાકુ જંગા(અજિત) અને તેની સામે ઝીંક ઝીલવા માટે એકઠા કરાતા ચુનંદા લોકો. કોઈ એક કાર્યને અંજામ આપવા માટે વિવિધ પ્રતિભા ધરાવતા લોકોની ટીમ બનાવવાનું તેમજ મનથી હારી ચૂકેલા લોકોમાં હિંમતનો સંચાર કરવાનું કથાનક પણ ‘સેવન સમુરાઈ’ ફિલ્મની દેન છે, જે અનેક ફિલ્મોમાં વિવિધ સ્વરૂપે જોવા મળે છે.
આ ફિલ્મમાં ફિરોઝ ખાન, નરેન્દ્ર નાથ, ડેની, રણજિત, સુધીર, પેન્ટલ, રેહાના સુલતાન, મધુછંદા, અજિત જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી. આ ફિલ્મનાં કુલ ત્રણ ગીતો હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખ્યાં હતાં, જ્યારે સંગીત હતું રાહુલદેવ બર્મનનું. ‘પ્યારી પ્યારી સૂરતવાલે‘ (આશા ભોસલે, ઉષા મંગેશકર), ‘માર સૂટિયા‘ (આશા ભોસલે) ગીત પ્રમાણમાં ઓછાં જાણીતાં અને ઠીક કહી શકાય એવાં હતાં, પણ તેનું ટાઈટલ સોન્ગ યાદગાર કહી શકાય એવું હતું. હિન્દી ફિલ્મોનાં આવાં ઘણાં ગીતો લખાયાં હોય છે ફિલ્મના કથાનક કે ચોક્કસ પરિસ્થિતિ માટે, પણ તેમાં રહેલા ભાવને કારણે તે સર્વકાલીન પ્રસ્તુત બની રહે છે. આ ગીત આવી જ શ્રેણીમાં મૂકી શકાય.
‘ખોટે સિક્કે’ના ટાઈટલ સોન્ગના શબ્દો આ મુજબ છે:
जीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहींजीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहींतू है साथी अपना
कोई दूजा नहीं तेरा
अपनी हर मुश्किल में
तू अकेला ही मुस्कुरा
जग में तू सबसे बड़ा है
दिल छोटा करना नहीं
करना नहीं
करना नहीं
करना नहींजीना है तो प्यारे
तू लड़ना ज़िन्दगी से
आंधी हो या तूफाँ
ना दबना तू किसी से
जग में तू आगे ही बढ़ना
पीछे कदम धरना नहीं
धरना नहीं
धरना नहीं
धरना नहींजीवन में तू डरना नहीं
सर नीचा कभी करना नहीं
हिम्मतवाले को मरना नहीं
मरना नहीं
मरना नहीं
मरना नहींત્રણે અંતરા ધરાવતું આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(નોંધ: આ જ નામની પાર્થો ઘોષ દિગ્દર્શીત ફિલ્મ ૧૯૯૮માં રજૂઆત પામી હતી.)
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ફિલ્મી ગઝલો – ૭૬. અલી સરદાર જાફરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અલી સરદાર જાફરી ( ૧૯૧૩ – ૨૦૦૦ ) ઉર્દુ ભાષાના બહુ મોટા ગજાના લેખક, કવિ અને આલોચક હતા. એમને ૧૯૯૭માં જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત થયેલો. પોતાની યુદ્ધવિરોધી વિચારસરણીને કારણે એમને ૧૯૪૧માં જેલવાસ પણ ભોગવવો પડેલો.એમનો વાર્તાસંગ્રહ ‘ મંઝિલ ‘ નામે અને કવિતાઓનું દીવાન ‘ પરવાઝ ‘ નામે પ્રકાશિત થયેલાં. ૧૯૪૮થી ૧૯૭૮ દરમિયાન એમના આઠ કવિતાસંગ્રહો પ્રકાશિત થયાં. આપણા ત્યારના વડા પ્રધાન બાજપેયીજીએ એમનું પુસ્તક ‘ સરહદ ‘ રાષ્ટ્રીય ઉપહાર તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને લાહોર ટોચ મંત્રણા વખતે ૧૯૯૯માં ભેટ આપેલું.
ગાલિબના શેરોની મીમાંસા અને અર્થધટનનું એમનું પુસ્તક ગાલિબ પ્રેમીઓ માટે એક અણમોલ માર્ગદર્શિકા સમાન છે. આવા જ ગ્રંથો એમણે પોતે લખેલી પ્રસ્તાવનાઓ સાથે કબીર, મીર અને મીરાંબાઈ વિષે પણ પ્રકાશિત થયેલાં. વીસમી સદીના ઉર્દુ કવિઓ વિષેની એમણે લખેલી ૧૮ હપ્તાની સિરિયલ ‘ કહકશાં ‘ દૂરદર્શન પર ખાસ્સી લોકપ્રિય થયેલી.
ફિલ્મોમાં એમણે મર્યાદિત કામ કર્યું. ફુટપાથ, પરદેસી, આસમાન મહલ, ધરતી કે લાલ, શહર ઔર સપના, ઝલઝલા, હમારા ઘર, ધોબી ડોક્ટર, અન્નદાતા, નયા તરાના, ધ નક્સલાઈટ્સ જેવી ગણી ગાંઠી ફિલ્મોમાં માત્ર પચાસ આસપાસ ગીતો. ફિલ્મ ફુટપાથ માટે એમણે મજરૂહ સુલતાનપુરી સાથે સંયુક્ત રીતે લખેલું ‘ શામે ગમ કી કસમ આજ ગમગીં હૈં હમ ‘ ( તલત ) કોણ ભૂલી શકે ! જગજીત સિંગ જેવા દિગ્ગજ ગાયકોના ગઝલ આલ્બમમાં એમની કેટલીક ગઝલો સમાવિષ્ટ કરાયેલી.
એમની બે ફિલ્મી ગઝલો જોઈએ :
મુજે વો દેખ કર જબ મુસ્કુરાંએંગે તો ક્યા હોગા
મેરી દુનિયા પે બિજલી ફિર ગિરાએંગે તો ક્યા હોગામૈં ઉનકે સામને આઈ તો હું જી કો કડા કર કે
ઈશારોં સે જો પાસ અપને બુલાએંગે તો ક્યા હોગામેરી નઝરોં સે ગભરા કર વો નઝરેં ખુદ ઝુકા લેંગે
ઝુકા કર અપની નઝરેં ફિર ઉઠાએંગે તો ક્યા હોગાયે માના ઉનકે આગે અપના હાલે દિલ છુપા લૂંગી
જો વો અલ્હડ જવાની કો જગાએંગે તો ક્યા હોગાઉજાલા હૈ અંધેરી શબ મેં આંસુ કે ચરાગોં સે
અગર પલકોં સે આંસુ ટૂટ જાએંગે તો ક્યા હોગા..– ફિલ્મ : ઝલઝલા ૧૯૫૨
– ગીતા દત્ત
– પંકજ મલિકપ્યાર કો આજ નઈ તરહ નિભાના હોગા
હંસ કે હર દર્દ કો હર ગમ કો ભુલાના હોગાઆંસૂઓં સે જો બુઝે જાતે હૈં આંખોં કે ચિરાગ
ખૂને દિલ દે કે ઉન્હેં ફિર સે જલાના હોગાઅભી ખિલ જાએંગે મસલે હુએ કુચલે હુએ ફૂલ
શર્ત બસ યે હૈ કિ સીને સે લગાના હોગાવો જો ખો જાએં તો ખો જાએગી દુનિયા સારી
વો જો મિલ જાએં તો સાથ અપને ઝમાના હોગા…– ફિલ્મ : શહર ઔર સપના ૧૯૬૩
– મનમોહન કૃષ્ણ
– જે પી કૌશિક( આ ગઝલને પરદા ઉપર અને વાસ્તવમાં પણ વિખ્યાત ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણએ કોઈ વાદ્યવૃંદ વિના ગાયેલ છે . એ અભિનેતા ઉપરાંત અચ્છા ગાયક પણ હતા. )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ફિલસુફીભર્યાં ગીતો – ૨૮ – ये जीवन है इस जीवन का यही है, यही है, यही है रंग रूप
નિરંજન મહેતા
ये जीवन है इस जीवन का
यही है, यही है, यही है रंग रूप
थोड़े ग़म हैं, थोड़ी खुशियाँ
यही है यही है यही है छाँव धूप
ये जीवन हैये ना सोचो इसमें अपनी
हार है कि जीत है
उसे अपना लो जो भी
जीवन की रीत है
ये ज़िद छोड़ो यूँ ना तोड़ो
हर पल एक दर्पण है
ये जीवन हैधन से ना दुनिया से
घर से न द्वार से
साँसों की डोर बंधी है
प्रीतम के प्यार से
दुनिया छूटे पर ना टूटे
ये कैसा बंधन है
ये जीवन हैમધ્યમ વર્ગની પરિસ્થિતિ વર્ણવતી ૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નું આ ગીત નવપરણિત યુગલની મન:સ્થિતિનું નિરૂપણ કરે છે. એક રૂમમાં સાંકડે મોકળે રહેતા એક બહોળા કુટુંબમાં યુગલને જે એકાંત જોઈતું હોય પણ ન મળે ત્યારે બંનેના મનોભાવ કેવા હોય તે આ પાર્શ્વગીત દ્વારા વર્ણવાયું છે, બંનેને જુદા સુવું પડે ત્યારે તેમનું વર્તન કેવું થાય છે તે આ ગીતમાં દર્શાવાયું છે. પણ સાથે સાથે જીવનની એક પ્રકારની ફિલસુફી પણ તે દ્વારા દર્શાવાઈ છે
કહે છે કે જીવનનું આ જ રંગ અને રૂપ છે. જેમ તડકો અને છાયડો જોવા મળે છે એટલે કે ક્યારેક ખુશી તો ક્યારે દુઃખ. આ જીવનનો ક્રમ છે. આ જો સમજી શકો તો તમે ક્યારેક હાર કે જીતનો વિચાર નહિ કરો અને સુખનો હર્ષ અને દુઃખનો સંતાપ આ બધું સમજી વિચારીને અપનાવી શકશો.
તમારો શ્વાસ કોઈ દુન્યવી માયા એટલે કે ઘર, ધનથી બંધાયેલ નથી પણ તે પ્રીતમ એટલે કે ઈશ્વર સાથે સંધાયેલો છે. એટલે જ જ્યારે તમે દુનિયા છોડશો ત્યારે પણ ઈશ્વરનું બંધન બંધાયેલું રહેશે. આ બંધન જ સત્ય છે અને તેને અપનાવો.
આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક છે કિશોરકુમાર.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ત્યારે અને અત્યારે : લૅન્ડલાઇનનું અગનપંખી
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
રસોડાંથી માંડીને ઓફિસ સુધી જીવનમાં આધુનિક ઉપકરણો તો ઘણાં ઝડપથી દાખલ થયાં, પણ જેનો પ્રસાર અભૂતપૂર્વ થયો હોય તો તે મોબાઇલ ફોન.

૧૩૦ કરોડની વસતિમાં ૧૧૨ કરોડ ફોન ખિસ્સામાં ફરે છે! કોઈ પાસે તો વળીબે ફોન પણ હોય. ગયા લેખમાં વાંચ્યું તેમ ટપાલ ખાતાના મહત્ત્વને તેણે નહીંવત્ બનાવી દીધું. એ તો ઠીક, પણ એણે
પોતાની જ પૂર્વજ એવી લેન્ડલાઇનને અસંબદ્ધ (irrelevant) બનાવી દીધી છે. ૬૦ વર્ષથી ઉપરનાંની જે પેઢીના સંદર્ભમાં આપણે વાત કરીએ છીએ તેમને માટે તો આ બમણું આશ્ચર્ય છે. તેઓએ. જીવન શરૂ કર્યું ત્યારે એ ફોન પણ ન હતા, આખું ચક્ર પૂરું કરી પાછાં એ જ સ્થાને આવી ગયાં છીએ જ્યાં મોટા ભાગનાં ઘરોમાં મુશ્કેલીથી મેળવેલી લેન્ડલાઇન હવે નથી! એ “ડબલાં’ને મહામુશ્કેલીથી ઘરે લાવ્યાં હતાં પણ ચાલીસેક વર્ષમાં એને પાછું મૂકી આવ્યાં.ટ્રીન, ટ્રીનની ઘંટડી વગાડતી લેન્ડલાઇન આઝાદ ભારતની મધ્યભાગના પેઢી માટે સંસ્કૃતિનો એક ભાગ હતી. સારી અને નરસી યાદોને એનો સંદર્ભ છે. પિતાજીની ગંભીર બીમારીના સમાચાર કોના ફોન ઉપર આવ્યા કે મા ગુજરી જવાનો ફોન આવ્યો ત્યારે ક્યાં હતા તેની ઝીણી ઝીણી વિગતો દરેકને યાદ હશે. ચોવીસ કલાક વાગતા મોબાઇલમાં ક્ષણો સંઘરાતી નથી…
દુર્લભ સગવડ :
આઝાદીના ઉષાકાળમાં ટેલિફોન માત્ર ફિલ્મમાં જોયા હતા. “અનાડી” ફિલ્મમાં મોતીલાલે રિસીવર પકડ્યું હતું એ માન્યતા દઢ કરવા માટે કે એ અમીરોનું સાધન છે. ૩૩ કરોડની વસતિમાં ત્યારે માત્ર ૮૫,૦૦૦ ફોન હતા. થોડા સમય પછી એ સરકારી ઓફિસો અને દુકાનોમાં દેખાયા. મુંબઈ જેવાં મહાનગરોમાં એ ઉચ્ચ મધ્યમવર્ગ સુધી પહોંચી આવ્યો પણ નાનાં શહેરોમાં “લક્ઝરી’નાં સ્વપ્ન કરતાંય ઉપર હતો. મોટાં શહેરોમાં સુધ્ધાં તમને એ જોઈએ એટલે મળી ન જતો. એક્સ્ચેન્જની ક્ષમતા એની માંગ કરતાં ઓછી હતી એટલે નોંધાવ્યા પછી ભૂલી ગયા હો ત્યારે એનો “વર્ક ઓર્ડર’ આવતો.
આંગળી નાંખીને ફેરવીએ એવાં ડાયલ આજે જૂનાં લાગે છે, પરંતુ અમે જે સાધન પહેલી વાર જોયું તેમાં એ સગવડ પણ નહોતી. રિસીવર ઉપાડો, એટલે ઓપરેટર પૂછે, “નંબર પ્લી…ઝ’. જોઈતો નંબર કહો એટલે પોતે એ નંબર જોડી આપે. શક્ય છે કે જો નવરો હોય તો. તમારી બંનેની વાત પણ સાંભળે! (મહિલા ઓપરેટરો નાનાં શહેરોમાં હજુ નહોતી આવી). અમારા એક મિત્ર ઓપરેટરની નોકરીની સાથે કૉલેજ કરતા એટલે ગામની ટેલિફોન એક્સચેન્જ ઘણી વાર જોયેલી. બે માળના મોટા મકાનમાં નંબર જોડવાનું બોર્ડ માંડ ત્રણ ફૂટ બાય ત્રણ ફૂટનું! માંડ ચારસો સાધનો હશે. ખુરશી પર બેઠે ઓપરેટર આખું બોર્ડ જોઈ શકે. તમે રિસીવર ઊંચકો એટલે તમારા નંબર સામે લાઇટ થાય, તમારો કૅબલ ખેંચીને તમને જોઈતા નંબરના “સોકેટ’માં જોડી દે.ગામ બહાર ટ્રંકકૉલ કરવો હોય તો જુદી વ્યવસ્થા. ઓપરેટરને નંબર આપી રાખવાનો. એ ગામની લાઇન એને જ્યારે (બે, ચાર કે છ કલાકે!) મળે ત્યારે તમને ફોન કરે અને જોડી આપે. ક્રૉસ બાર પ્રકારની એક્સચેન્જ પછી ઓટોમેટિક એક્સ્ચેન્જો આવી ત્યારે ઘરેથી નંબર ડાયલ કરવાનું શક્ય બન્યું, તેમ બહારગામ ફોન પણ સીધા કરી શકાયા. તેને Subscriber Trunk Dialling કહેવાય, તેથી ટ્રંકકૉલનું નવું નામ STD. પ્રચલિત થયું.
ફોન લાઇનોની અછત હોવાથી મોટા ભાગના લોકોનો ફોન સંપર્ક “કેર ઓફ’ પાડોશી જ રહેતો. ઉદારદિલ પાડોશી બારીમાંથી કે બાલ્કનીમાંથી બૂમ મારી જેનો ફોન હોય તેને બોલાવે. “અરે અલકાબેન, પંકજને કહો ને એનો ફોન છે.” પહોંચો ત્યાં લગી ફોન કપાઈ ગયો હોય તો તમે પૂછો, “કોનો ફોન હતો?” ફોનધારક જો કંટાળ્યા હોય તો ચિડાઈને કહે કે એ પૂછ્યું નથી. એટલે તમને ખ્યાલ આવે કે કટાણે ફોન ન કરવાનું મિત્રોને કહી દેવું પડશે! પાડોશીઓ વચ્ચેના સંબંધો ફોનના કારણે બગડતા તો. સુધારી લેવા પડતા–ફોનના કારણે!
તારનાં જોડાણો
ફોન લાઇનો મર્યાદિત હોવાનું કારણ ટેક્નિકલ હતું. એ મોબાઇલ ફોનની જેમ “વાયરલેસ’ ન હતા. આપણે બોલીએ તો ભૂંગળાંથી શરૂ કરીને સામા છેડાની વ્યક્તિના રિસીવરના કાન તરફના ભૂંગળા સુધી શબ્દશઃ તાર જોડેલા હોય છે. અમુક શેરીમાં કેટલાં કનેકશન આપી શકાય તેનો આધાર શેરી સુધી આવતા કૅબલમાં તારની કેટલી જોડીઓ છે, તેના ઉપર રહે છે. શહેરો વચ્ચે પણ તાર નાંખેલા છે, જેના થાંભલા રેલવે લાઇનને સમાંતરે ચાલતા આપણે ટ્રેનની બારીમાંથી જોઈએ છીએ. આમ, જોડાણ વધારવા માટે સરકારને ખર્ચ થતો. અનેક જગ્યાએ તારનાં જોડાણ હોવાથી અવાજની ગુણવત્તા ઉપર પણ અસર પડતી. આ બધાં છતાં વર્ષ ૧૯૮૦ સુધી જેમ તેમ રપ લાખ ફોન કનેકશન અપાયાં. આવડા મોટા દેશમાં આ સંખ્યા ઘણી ઓછી છે. ગામડાંમાં તો બહુ જ ઓછા ફોન હતા.
મહાનગરોમાં ફોનની અગત્યના કારણે કેમ સામાજિક ઢાંચાએ મારગ કાઢી લીધો હતો તે આપણે જોયું. ફોન કરનાર અને મેળવનાર એ બંને મુશ્કેલી વેઠી લેતા. એક અંગત ઉદાહરણ લઈએ. આ લેખક મુંબઈ આવ્યો ત્યારે નજીકના સંબંધીઓમાંથી એક-બેને ઘરે જ ફોન હતા. બાકીનાને જરૂર પડે તો પાડોશીને ત્યાંથી કે દુકાનમાંથી ફોન કરે. આ તરફ ઓફિસમાં એક એક્સ્ટેન્શન નંબર ઉપર ૫-૬ જણા એટલે ક્યારેક ફોન કરનારને “એન્ગેજ’ મળે. એટલે પાડોશીના ઘરમાં નીચા મોઢે દશેક મિનિટ બેસી રહેવું પડે-વારંવાર પ્રયત્ન કરવા! ને પછી ખબર પડે કે આપણે જગ્યા ઉપર નથી તો શું કરવું? ક્યારેક સંદેશો મૂકી દે તો ક્યારેક બીજી વાર બીજા પાડોશીને ત્યાંથી પ્રયત્ન કરે. આવી જ પરિસ્થિતિ આપણે એમનો સંપર્ક કરવામાં. પાડોશીને ત્યાં સમય જોઈને જ ફોન થાય.
શહેરોમાં ક્યાંક વળી પબ્લિક ફોનના ડબ્બા મુકાયા ત્યારે આ સામાજિક દ્વિધામાંથી મુક્તિ મળી. પરંતુ જાહેર મિલકતને લોકો દુરુપયોગથી બગાડી નાંખે. ડાયલ ટોન ન આવે તો ડબ્બા ઉપર મુઠ્ઠીઓ પછાડે. અવાજ સ્પષ્ટ ન હોય તો રિસીવરના વાયરને ખેંચ ખેંચ કરે. કેટલાક તો એમાં એક રૂપિયાનો સિક્કો નાંખવાને બદલે પતરાનાં એ સાઇઝનાં ચકતાં નાંખી ફોન કરી જાય.કૉમેડી અને ટ્રેજેડીના આ ઝાટકાઓ વચ્ચે ૧૯૮૧માં ભારતના ભાગ્યમાં શ્રી સામ પિત્રોડા નામના સજ્જન અવતર્યા. પોતાના ઘરે અમેરિકા ફોન કરવામાં તેમને મુશ્કેલી થતી, તેમાંથી ભારતની સંદેશવ્યવહાર ક્રાન્તિનો જન્મ થયો. ભારત સરકારને તેમણે નવા વિચારો આપ્યા અને સરકારે તે ગંભીરતાથી લીધા (શ્રી પ્રભાકર દેવધર, પાછળથી જે ઇલેક્ટ્રોનિક કમિશનના ચેરમેન બન્યા તે અને તેના મિત્ર રાજીવ ગાંધીની મદદ લઈ પિત્રોડા શ્રીમતી ઇન્દિરા ગાંધી સુધી કેમ પહોંચ્યા તે બીજી રસભરી કહાણી છે). આ પ્રયત્નોથી ર૫ લાખ ટેલિફોનમાંથી ૧૯૯૯ સુધી અઢી કરોડ થયા. વધુ મહત્ત્વનું કે અવાજ સ્પષ્ટ આવવા લાગ્યો. વિદેશી ટ્રંકકૉલ પણ એવા સ્પષ્ટ બન્યા કે ત્યારે અમને વિશ્વાસ ન પડતો. ગામડાંઓને પંચાયત ઘરમાં કનેક્શન મળ્યાં.

નવી નીતિનું અગત્યનું અંગ હતું STD – PCO બૂથની સંસ્કૃતિ. મહાનગરની ફ્લેટ સિસ્ટમમાં પ્રચલિત પાડોશીનો ફોન વાપરવાની રીત નાનાં ગામ અને શહેરોનાં ડેલીબંધ ઘરો અને બંગલાઓમાં ન ચાલતી. એ લોકોએ જીવનમાં ફોન નથી એમ જ માની લીધેલું. ફોન લાઇનો વધી તેમાં ઘણાં ઘરમાં ફોન આવ્યા. તેથીય વધારે સગવડ STD બૂથની થઈ. રાત્રે ૧૦ વાગ્યા પછી તેનો ભાવ અરધો લાગતો એટલે રાતના સમયે બૂથ સામે લાઇન લાગતી. જાણે એ આધુનિક ચોરો (ચોપાલ) હોય. ઓફિસના કામે બહારગામ જવાનું થાય અને ઘરે સલામતીના સમાચાર આપવા હોય તો આ બૂથો થવાથી સરળ બન્યું. આ તબક્કો જોકે બહુ લાંબો ન ચાલ્યો. મોબાઇલ ફોન આવી જતાં આ બધી મુશ્કેલીઓને એવી ભૂતકાળમાં ધકેલી દીધી છે કે યાદ કરવા માટે આવા લેખો વાંચવા પડે છે!અગનપંખી
લેન્ડલાઇન કરતાં મોબાઇલનો, પ્રચાર જલદી થવાનું મુખ્ય કારણ કે એનું કનેક્શન લેવું સરળ હતું. એક નાનો-શો SIM કાર્ડ હાથમાં આવ્યો કે દુનિયાના દરવાજા ખૂલી જાય છે. વાયરિંગ કરવાની
જરૂર નથી. આ હરીફાઈના કારણે ટેલિફોન તંત્રે પોતાની કાર્યક્ષમતા સુધારી પરંતુ ટેક્નૉલૉજીના પ્રવાહ સામે એ પૂરતું ન હતું. લેન્ડલાઇન ફોનની સંખ્યા વધતી અટકી અને ઊલ્ટું ઘટવા લાગી. દંતકથાનું પેલું અગનપંખી પોતે સળગી જઈ નવા પંખીને જન્મ આપે તેમ લેન્ડલાઇન ફોને મોબાઇલને જન્મ આપ્યો. આ “હાથફોન” જ્યારે સ્માર્ટ બન્યો ત્યાર પછી તો તેણે બીજી પણ અનેક ચીજોને હટાવવાનું શરૂ કર્યું છે. એ જ કૅલ્ક્યુલેટર છે, ઘડિયાળ છે, એલાર્મ છે, રેડિયો છે, ટેપરેકૉર્ડર અને DVD પ્લેયર પણ છે. એમાંનું કમ્પ્યૂટર એક આખી લાઇબ્રેરી પણ છે અને “સેલ્ફી’ના મોડમાં ચલાવો તો અરીસો પણ એ જ છે!
સૌજન્યઃ નવનીત સમર્પણ * જુલાઈ ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
લૅન્ડ સ્કેઇપ (દૃશ્યભૂમિ)
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ
ભૂમિદૃશ્ય. તે કુદરતી દૃશ્યની સુંદરતા સાથે સંકળાયેલ છે. ઉદ્યાનમાં સપાટ ભૂમિ પર લૉન હોય તેના પ્રમાણમાં થોડો ઊંચો, આછા ઢાળવાળો અને મોટી જગા ખુલ્લી રહે તે રીતે લૉનનો ટેકરો કર્યો હોય તો તે સુંદર લાગે છે અને માનવ- ઉપયોગમાં પણ આવી શકે છે. સપાટ લૉનથી ઉદભવતી એકલતા આ દૃશ્યભૂમિ-આયોજનથી દૂર થઈ શકે છે.

દૃશ્યભૂમિ-ઉદ્યાન : તે આસપાસના કુદરતી પ્રદેશ સાથે વિરોધાભાસ દર્શાવે છે અને તેથી કુદરતી સૌંદર્યમાં ઓર વધારો થાય છે.
દૃશ્યભૂમિ-ઉદ્યાનિકી(gardening)માં સમગ્ર સૌંદર્યાત્મક (aesthetic) અસર નિપજાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે; જેથી રહેઠાણો, જાહેર ઇમારતો અને સ્મારકોના સૌંદર્યમાં વધારો થાય છે; ઉદ્યાનો, રમતનાં મેદાનો અને મેળાવડાનાં સ્થળોમાં પૂર્ણતા આવે છે અને સુંદર બને છે. ઔપચારિક (formal) દૃશ્યભૂમીકરણ- (landscaping)માં ભૂમિમાં કૃત્રિમ ફેરફારો કરી સંતુલિત વનસ્પતિરોપણ દ્વારા ભૌમિતિક (geometrical) ભાત (design) રચવામાં આવે છે. વનસ્પતિરોપણની આ પ્રાકૃતિક શૈલી કુદરતી સૌંદર્યમાં ઉમેરો કરે છે. દૃશ્યભૂમિ ઉદ્યાનિકી એક પુરાતન કલા ગણાય છે. રોમન લોકો (ઈ. પૂ. 400 વર્ષથી ઈ. સ. 400 વર્ષ) ઘરની આસપાસ વિશાળ ઉદ્યાન ધરાવતા હતા. પ્રાચીન ઈરાન (ઈ. સ. 200થી 600 વર્ષ) અને જાપાન(ઈ. સ. 500 વર્ષ)નાં ઉદ્યાનો પણ ઉપર્યુક્ત પ્રકારના છે. ઈ. સ. 1400થી 1500ના ગાળામાં ઇટાલિયનોએ પહાડોની બાજુઓમાં સુંદર સંપદાઓ (estates) અને નગર-ચોકઠાં (civic squares) બનાવ્યાં હતાં. ફ્રાન્સમાં પણ ઈ. સ. 1600 અને 1700માં વિશાળ મહેલો અને નગરઉદ્યાનોનું નિર્માણ થયું હતું.
દૃશ્યભૂમિના વિકાસથી માનવ આનંદ પ્રાપ્ત કરી શકે છે, તે ઉપરાંત તેનો ઉપયોગ થઈ શકે છે. આ ક્ષેત્રમાં વ્યાવસાયિક રીતે તાલીમ પામેલી વ્યક્તિઓને દૃશ્યભૂમિ-સ્થપતિ (landscape architect) કહે છે. દૃશ્યભૂમિની ભાત અને તેનું આયોજન એક વ્યવસાયમાં પરિણમેલ છે અને ઘણા કિસ્સાઓમાં તે ઉદ્યાનકૃષીય (horticultural) હોય છે. દૃશ્યભૂમિ-સ્થાપત્ય (landscape architecture) વ્યાપક સંદર્ભમાં માનવ માટે ભૂમિના ઉપયોગનાં બધાં પાસાં સાથે સંકળાયેલ છે. દૃશ્યભૂમિ-સ્થપતિ જીવંત વનસ્પતિઓ ઉપરાંત દૃશ્યભૂમિની ભાતનાં તત્ત્વો તરીકે પથ્થર, ચૂનાનો કોલ, કાષ્ઠ જેવાં દૃશ્યભૂમિ-દ્રવ્યોનો પણ ઉપયોગ કરે છે. ચિત્રકાર કે શિલ્પીની વિરુદ્ધ દૃશ્યભૂમિના વિકાસમાં વનસ્પતિઓ સ્થાયી નથી, પરંતુ સમય અને ઋતુ પ્રમાણે તે બદલાતી રહે છે. વનસ્પતિઓનાં રંગ, સ્વરૂપ, ગઠન અને તેમની હરોળનો દૃશ્યભૂમિમાં ભાતનાં તત્ત્વો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ભૂક્ષરણ(erosion)ના નિયંત્રણ માટે, પૃષ્ઠીય દ્રવ્ય (surface material) તરીકે અને સૂર્ય અને પવનથી રક્ષણ મેળવવા આવરણ તરીકેના કાર્યાત્મક (functional) તત્ત્વ રૂપે પણ વનસ્પતિઓનો ઉપયોગ થાય છે.
સંપદાઓ અને ગૃહ-દૃશ્યભૂમિ(home landscape)ની ભાતના વિકાસથી દૃશ્યભૂમિ-સ્થાપત્યનો ઉદભવ થયો છે. દૃશ્યભૂમિ- સ્થાપત્યમાં શહેર અને કસબાનું આયોજન, ઔપચારિક અને વન્ય (wild) ઉદ્યાનો, જાહેર ઇમારતો, ઔદ્યોગિક દૃશ્યભૂમીકરણ તથા રાજમાર્ગો અને તેમની બાજુઓના વિકાસનો પણ સમાવેશ કરવામાં આવે છે.
અલંકૃત ઉદ્યાનકૃષિ (ornamental horticulture) પુષ્પોદ્યાન કૃષિ (floriculture) અને દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિ એમ બે મુખ્ય ઘટકો તરીકે વર્ગીકૃત થાય છે. દૃશ્યભૂમિ-ઉદ્યાનકૃષિને ઉછેર, જાળવણી અને ભાત(design)માં વિભાજિત કરવામાં આવે છે. દૃશ્યભૂમિ માટે વનસ્પતિઓનો ઉછેર રોપણી (nursery) દ્વારા કરવામાં આવે છે. જોકે રોપણીમાં સ્થાયી રોપણ પહેલાં કોઈ પણ વનસ્પતિને ઉગાડી તેના તરુણ રોપને સ્થાપિત કરવામાં આવે છે. રોપણી-ઉદ્યોગમાં કાષ્ઠીય અને શાકીય વનસ્પતિઓ તથા અલંકૃત કંદ-પાકોનાં ઉત્પાદન અને વિતરણનો સમાવેશ થાય છે. મોટાભાગના રોપણી-પાકો શોભન-વનસ્પતિઓ છે. રોપણીના વ્યાપારમાં ફળ આપતી વનસ્પતિઓ, શતાવરી અને રેવંચી (રૂબાર્બ) જેવી ગૃહોદ્યાન(home garden)માં ઉપયોગી બહુવર્ષાયુ શાકભાજીઓ અને ક્રિસ્મસ ટ્રી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. જોકે વૃક્ષારોપણને વનવિદ્યાનો ભાગ ગણવામાં આવે છે.
કંદ-પાકોમાં ટ્યૂલિપ, હયસિન્થ (hyacinth), નરગિસ (narsissus), આઇરિશ, ડે લીલી અને ડહાલીઆનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કૂંડામાં ઉગાડાતા અસહિષ્ણુ (non-hardy) કંદો, અંત:કક્ષ વનસ્પતિઓ તેમજ ઍમેરેલિસ, એનિમોન, બિગોનીઆ, કૅલેડિયમ, કેના, ડહાલીઆ, ફ્રીસીઆ, ગ્લેડીઓલસ અને ટાઇગર ફ્લાવર જેવા બાહ્યકક્ષ (outdoor) કંદોને કંદ-પાક ગણવામાં આવે છે. શિયાળા દરમિયાન મૃદામાં ટકી જતી ક્રોક્સ, સ્નો ડ્રોપ, લીલી, ટ્યૂલિપ જેવી સહિષ્ણુ જાતિઓ ઉગાડવામાં આવે છે.
જૂની દુનિયાના ઉદભવવાળા ઘણા કંદ-પાકોનો ઉદ્યાનકૃષિમાં ઘણા સમય પહેલાં પ્રવેશ કરાવાયો છે અને ઘણાં વર્ષોની પસંદગી અને સંકરણો દ્વારા નવી અર્વાચીન જાતો અસ્તિત્વમાં આવી છે. ટ્યૂલિપ સૌથી જાણીતી જાતિઓમાંની એક ગણાય છે. ઉદ્યાનોમાં આ ટ્યૂલિપની અર્લી ટ્યૂલિપ, બ્રીડર્સ ટ્યૂલિપ, કૉટેજ ટ્યૂલિપ, લીલી-ફ્લાવર્ડ ટ્યૂલિપ, ડાર્વિન ટ્યૂલિપ, ટ્રાયમ્ફ ટ્યૂલિપ, મેંડેલ ટ્યૂલિપ, પેરટ ટ્યૂલિપ વગેરે જાતો અસ્તિત્વમાં છે. નેધરલડ્ઝ ટ્યૂલિપ કંદોનો યુરોપ અને ઉત્તર અમેરિકા માટે મુખ્ય સ્રોત છે. તે ઉપરાંત, નેધરલૅંડ્ઝ, હયસિન્થ, નરગિસ, ક્રૉક્સ અને અન્ય કંદની જાતોનું ઉત્પાદન કરે છે.
બહુવર્ષાયુ શાકીય જાતિઓ પુષ્પો માટે અને કેટલીક વાર ભૂમિની સપાટી પર વનસ્પતિ-આવરણ રચવા માટે ઉછેરવામાં આવે છે. વિશિષ્ટ બહુવર્ષાયુઓમાં હોલીહોક, કોલમ્બીન, બેલફ્લાવર્સ, ગુલદાઉદી (ક્રિસેન્થીમમ), ડેલ્ફિનિયમ, પિંક, કોરલબેલ, ફ્લોક્ષ પોપી, પ્રિમ રોઝ પીલીઆ, કોલીઅસ, ક્રોટોન વગેરેનો સમાવેશ થાય છે.
દૃશ્યભૂમીકરણમાં ઉપયોગમાં લેવાતી ક્ષુપ-જાતિઓમાં (1) શંકુદ્રુમની સદાહરિત જાતિઓ જેવી કે યૂ (yew), જ્યુનિપર, સ્પ્રૂસ અને પાઇન; (2) પહોળાં પર્ણોવાળી સદાહરિત જાતિઓ જેવી કે રહોડોન્ડ્રોન, કૅમેલીઆ, હોલી અને બૉક્સવૂડ; (3) પર્ણપાતી જાતિઓ જેવી કે ફોર્સીથીઆ, વાઇબર્નમ લિલિયેક અને દારૂહળદરની જાતિઓ; તેમજ બોગનવેલ જેવી પુષ્પનિર્માણ કરતી લતાઓ અને (4) ગુલાબનો સમાવેશ થાય છે. બધી અલંકૃત ક્ષુપ-જાતિઓમાં ગુલાબનું સ્થાન વિશિષ્ટ છે. કેટલીક વાર તો પ્રજનક (breeder) માત્ર ગુલાબ પર પોતાનો વ્યવસાય કેન્દ્રિત કરે છે. મોટેભાગે કલિકારોપણ દ્વારા ગુલાબમાં વાનસ્પતિક પ્રજનન કરાવવામાં આવે છે. વ્યાપારી જરૂરિયાતોને પહોંચી વળવા અને નવી પસંદગીમાં ઝડપી અને આર્થિક વધારો કરવા માટે માત્ર આ એક જ વિકલ્પ છે.
અલંકૃત છાયાવૃક્ષો પણ દૃશ્યભૂમિને સુંદર ઓપ આપે છે. આવાં વૃક્ષોમાં ફાઇક્સની જાતિઓ આસોપાલવ (Polyalthia), અશોક (Saraca), દેવકંચન (Bauhimia), શરુ (Casuarina), નીલગિરિ (Eucalyptus), રૉયલ બૉટલ પામ (Roystonea), ઑસ્ટ્રેલિયન બાવળ (Acacia auriculiformis) વગેરે વૃક્ષોને ચોક્કસ ભાતમાં વિકસાવવાથી દૃશ્યભૂમિ-ઉદ્યાનનું સૌંદર્ય નીખરી ઊઠે છે. દરિયાકિનારે ઊગતાં તાડ, નાળિયેરી કે તાડના કુળની અન્ય જાતિઓનાં વૃક્ષોનું કુદરતી દૃશ્ય પણ અનોખું હોય છે. દરિયાના પાણીને સ્પર્શતી ઢાળવાળી રેતીમાં આછી આછી ઓકળીઓ પડતી હોય છે; જે દૃશ્યભૂમિને ચોક્કસ સ્વરૂપ આપે છે.
મકાનને કે ઇમારતનું ચોક્કસ દૃશ્ય ખડું કરવા વૃક્ષોની પસંદગી એવી રીતે કરવામાં આવે છે, જેથી દૃશ્યભૂમિની દૃષ્ટિએ ક્ષિતિજ (skyline) લગભગ સરખા સમતલમાં રહે. ઉદ્યાનના આયોજનમાં પુષ્પ આપતી વિવિધ જાતિઓને ઋતુ પ્રમાણે ઉગાડવામાં આવે છે, જેથી બધી ઋતુઓમાં ઉદ્યાન રંગબેરંગી પુષ્પોથી છવાયેલો રહે. તેની ક્યારીઓ કે હરોળો કે ઉદ્યાનની સીમાઓને નિશ્ચિત ભૌમિતિક આકાર આપવામાં આવે છે. આમ, વિભિન્ન પાસાંઓને ધ્યાનમાં લઈ રચવામાં આવેલ દૃશ્યભૂમિના કુદરતી દૃશ્યને વધારે સુંદર બનાવી શકાય છે.
સંપાદકીય નોંધ:
૧. અહીં મૂકેલ તસવીર માત્ર સાંદર્ભિક પરિપ્રેક્ષ્ય માટે ઉમેરી છે.
૨. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘બાગ-બગીચા – Gardening’ વિષયમાંથી પસંદ કરેલ છે.
૩. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.
-
કિ ફલં કિ ફલં
હકારાત્મક અભિગમ
રાજુલ કૌશિક
સ્વામી ચિદાનંદજીથી કોણ અજાણ હશે? આજે સ્વામી ચિદાનંદજીના જીવનનો એક પ્રસંગ વાંચવા મળ્યો.
એક સમય તેમની સાથે ઋષિકેશમાં જતીન રામકૃષ્ણ આવીને રહ્યા. પુષ્પો અને શૃંગાર તેમના પ્રિય વિષય હતા એટલે દર બે-ચાર દિવસે આડોશ- પાડોશના આશ્રમો કે અન્ય સંસ્થાના ઉદ્યાનમાંથી ફુલો લાવીને સ્વામી ચિદાનંદજીના નિવાસસ્થાને સજાવીને મુકતા.
બે-ચાર અઠવાડીયા પછી સ્વામી ચિદાનંદજીએ એમને પછ્યું, “આટલા સુંદર ફુલો તમે ક્યાંથી લાવો છો?
જવાબ મળ્યો, “ કૈલાશ આશ્રમ, પરમાર્થનિકેતન, યોગનિકેતન, ટૂરીસ્ટ બંગલેથી.”
સ્વામી ચિદાનંદજીને આશ્ચર્ય થયું. “તમને ઋષિકેશ આવીને માત્ર મહિનો જ થયો છે, તો આ બધા લોકોને તમે કેવી રીતે ઓળખતા થયા?”
“હું કોઇને પણ ઓળખતો નથી, કથામાં સાંભળ્યુ હતું કે શ્રી કૃષ્ણ માખણ ચોરી કરતા ત્યારે ‘કિ ફલં-કિ ફલં’ બોલતા જેથી પકડાય નહીં. હું પણ એમ જ બોલું છું અને ફુલો તોડી લાવું છું.” (જો કે સ્વામી ચિદાનંદને જાણતા દરેક માટે આ શબ્દ ‘ કિ ફલં કિ ફલં’ જરાય જાણીતો નથી જ. એનો સંદર્ભ પણ ક્યાંય મળ્યો નથી પરંતુ આપણે અહીં શબ્દાર્થ શોધવાના બદલે વાતનો મર્મ જોઇશું.)
હવે સ્વામીજીને આઘાત લાગ્યો. “અરે! સાધુજીવનના આરંભમાં જ ફુલોની ચોરી! આજે બધા આશ્રમોના મહંત-મંડળેશ્વરને પગે લાગી આવજો-માફી માંગજો. પ્રાયશ્ચિત રૂપે દરેક બગીચામાં થોડા દિવસો સુધી પાણી પીવડાવજો અને જો અહીં ફુલો લાવવાનું ગમતું હોય તો જ્યાં રહ્યા છો ત્યાં બગીચો કરો, આમ તફડંચી મારેલ તો કદીયે લાવતા નહીં.”
સીધી વાત….. કદાચ આપણા સૌમાં પણ આવો એક દલા તરવાડી બેઠો જ હશે. “રીંગણા લેને દસ-બાર” વાળી સ્વ-ઉક્તિથી મન મેળે બારો-બાર મંજૂરી મેળવીને પછી જે મળે તે મેળવી લેવાની વૃત્તિ પણ ક્યાંક ઊંડે ધરબાયેલી હશે કે પછી મનોમન કિ ફલં કિ ફલં’ બોલીને પકડાઇ ના જવાય એની તકેદારી રાખીને જે મળ્યુ એ હાથમાં અને બાથમાં કરી લેતા હોવાની શક્યતા ઊંડે ઊંડે ખરી ?
ના હોય તો જ ઉત્તમ……………
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ખોરાકપસંદગીમાં પણ ભેદભાવ હોય? છે.
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
શ્રાવણ માસમાં આવતા અનેક છૂટાછવાયા તહેવારો પછી ગણેશોત્સવ, નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની શ્રેણી આરંભાય છે. તહેવારોનો મુખ્ય ખરેખર તો એકધારી ઢબે ચાલતી જીવનશૈલીમાં એકવિધતાનો ભંગ કરીને મનોરંજન માટેનો કહી શકાય, પણ હવે માહોલ એવો થતો ચાલ્યો છે કે તહેવારો જાણે કે બારે માસ ઊજવાતા રહેતા હોય એમ લાગે, અને તેની એકવિધતામાંથી છૂટકારો મેળવવા માટે ઊજવણી વિનાના દિવસો દોહ્યલા જણાય. આનું મુખ્ય કારણ રાજકારણનો રોજબરોજના ઉત્સવોમાં સહેતુક પ્રવેશ અને દેખાડાની વકરતી જતી મનોવૃત્તિ.
દેખાડાની મનોવૃત્તિ વકરાવવામાં મુખ્ય પ્રદાન સામાજિક નેટવર્કિંગનાં માધ્યમોનું છે, જે વ્યક્તિના મનમાં રહેલા ઈર્ષા અને સ્પર્ધાભાવને ઉત્તેજે છે. હવે લોકો પોતાના આનંદ માટે ક્યાંય ફરવા જાય, ભોજન કરવા જાય કે કોઈને મળવા જાય ત્યારે સૌ પહેલું કામ સામાજિક નેટવર્કિંગના માધ્યમ પર તેની જાણ કરવાનું કરે છે. સતત આ માધ્યમનો ઉપયોગ કરતા લોકો ઘણી વાર વાસ્તવિક જગતથી કપાઈને આભાસી વિશ્વમાં વિહરવા લાગે છે. તદુપરાંત આ માધ્યમોનું અલ્ગોરિધમ (માહિતી જોવાની કે શોધવાની તરાહ અનુસાર જરૂરી વિગતો આગોતરી દર્શાવતી પ્રક્રિયા) એવું છે કે વપરાશકર્તાને તે એ ચીજોનો નિર્દેશ વધુ અને વારંવાર કરે જે વપરાશકર્તાએ આ માધ્યમો પર જોઈ કે શોધી હોય.
તહેવારોની ઊજવણી સાથે નાણાં અને ખોરાકનો વેડફાટ અભિન્નપણે સંકળાયેલો છે, કેમ કે, પ્રત્યેક ઊજવણી સાથે ભોજન જોડાયેલું હોય છે. લોકો ભોજનની તૈયાર ડીશની છબિઓ મૂકે છે. આ માનસિકતા અને પ્રવૃત્તિને કારણે ભોજનમાં સ્વાદ કરતાં સજાવટનું મહત્ત્વ વધ્યું છે. આ બાબતની માનવસ્વાસ્થ્ય પર કેવી વિપરીત અસર થઈ રહી છે એ બાબતે નવેસરથી અભ્યાસ થવા લાગ્યા છે.
મોટા ભાગના દેશોમાં થયેલા અભ્યાસમાં એક હકીકત સામાન્ય જોવા મળે છે અને તે એ કે કેવળ દેખાવને કારણે ખોરાકનો ટનબંધ બગાડ થાય છે અને તેને નકામું ગણીને ફેંકી દેવામાં આવે છે. વિચિત્ર આકાર, ન ગમે એવો રંગ કે છાલ પરના ડાઘ જેવી બાબતો જે તે ખોરાકને નકામો ઠેરવવામાં મદદરૂપ બને છે. એમ પણ જણાયું છે કે પોષક તત્ત્વ અને સ્વાદમાં જરાય ઊતરતું ન હોવા છતાં માત્ર કુરૂપતાને કારણે દર પાંચમાંથી એક ફળ કચરાના ઢગને હવાલે કરાય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અમેરિકન લેખકો રિચર્ડ હોર્સી અને ટિમ વ્હાર્ટન દ્વારા લખાયેલા પુસ્તક ‘અગ્લી ફૂડ: ઓવરલૂક્ડ એન્ડ અન્ડરકૂક્ડ’માં કુરૂપ હોવાને કારણે કચરામાં ફેંકાતા તમામ પ્રકારના ખોરાકનો મહિમા કરવામાં આવ્યો છે. માંસાહારનો પણ તેમાં સમાવેશ છે, કેમ કે, ભોજનપસંદગી બન્ને પ્રકારનો આહાર લેનારને સરખી રીતે લાગુ પડે છે. અલબત્ત, આપણા દેશમાં કુરૂપ દેખાતું ભોજન સીધેસીધું કચરાને હવાલે કરવાને બદલે સસ્તામાં વેચી દેવાતું હોય એમ બને છે. તેને ખરીદનારાઓમાં નબળી આર્થિક સ્થિતિવાળા કે ઢાબા યા રેસ્તોરાંવાળાઓનો સમાવેશ થાય છે.
સરખામણી વિચિત્ર લાગે પણ જીવનશૈલીમાં પ્રવેશેલી ચમકદમક અને દેખાડાની વૃત્તિ ભોજનની કાચી સામગ્રીની ખરીદીમાંય પ્રતિબિંબીત થાય છે. સાથોસાથ ભોજનમાં વૈવિધ્યનું પ્રમાણ પણ ઘટતું જાય છે. આ જરા વિચિત્ર બાબત જણાય, કેમ કે, પહેલી દૃષ્ટિએ જોઈએ તો હવે પંજાબી કે ચાઈનીઝ તો ઠીક, થાઈ, મેક્સિકન, ઈટાલિયન, સ્પેનિશ કે એવી અન્ય વિદેશી વાનગીઓ લગભગ બધે સુલભ બની રહી છે. પણ આ વાનગીઓનું સ્થાનિક સ્વાદ અને જરૂરિયાત અનુસાર સહેલાઈથી પ્રાદેશિકીકરણ કરવામાં આવે છે. એક સાદા ઉદાહરણથી આ સમજવાની કોશિશ કરીએ. ઈટાલીયન મૂળની વાનગી પીત્ઝા આપણા દેશમાં ‘જન્ક ફૂડ’ ગણાય છે, જે સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓને વધારે છે. પણ ઈટાલીમાં એ રોજિંદો સ્થાનિક આહાર (સ્ટેપલ ફૂડ) છે. તો શું પીત્ઝા ખાવાથી ભારતીયોને સ્વાસ્થ્યની સમસ્યાઓ થાય એમાંથી ઈટાલિયનો બાકાત રહેતા હશે? આમ ન થવાનું કારણ એ કે ભારતમાં મળતો પીત્ઝા ઈટાલિયન નહીં, પણ સ્થાનિક બનાવટનો હોય છે. આથી તેનો સ્વાદ પણ સ્થાનિક લોકોની રુચિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવે છે. ‘જૈન પીત્ઝા’ જેવા સમુદાયવિશેષ સ્વાદની કદાચ ઈટાલિયનોએ કલ્પના સુદ્ધાં નહીં કરી હોય.
‘જંક ફૂડ’માં ખાંડ, મીઠું અને ખટાશનો અતિરેક કરવાથી સ્વાદેન્દ્રિયોને તેની આદત પડતી જાય છે, અને તે અન્ય સ્વાદને પારખવાની ક્ષમતા ગુમાવવા લાગે છે. સરવાળે એ સ્વાસ્થ્યને હાનિ નોંતરે છે.
તહેવારોના દિવસોમાં, એમાંય દિવાળીના તહેવારોમાં રસોડું બંધ રાખવાનું ચલણ વધવા લાગ્યું છે. એક પ્રગતિશીલ વર્ગ આ બાબતને ‘નારીની રોજિંદી ઘટમાળમાંથી મુક્તિ’ તરીકે જુએ છે. આ મુદ્દો સાચો છે, પણ સંપૂર્ણ નથી. બીજી અનેક એવી બાબતો છે કે જેમાં આ મુદ્દો લાગુ પાડવો વધુ જરૂરી છે. જેમ કે, મહિલાઓ પ્રત્યેનો સામાન્ય વ્યવહાર અને વર્તન, તેમની પર થતા અત્યાચારો, તેમના માટેની જાહેર સુવિધાઓનો અભાવ સહિત બીજા અનેક. પોતાની જીભના ચટાકા માટે, પોતાને પોસાણ છે માટે, અને પોતે અમુકતમુક સ્થળે ભોજન માટે ગયા હોવાની જાણ કરવાનો હેતુ સાધવા માટે બહાર ભોજન લેવા જવાની પ્રથાને ‘નારીમુક્તિ’સાથે સાંકળીને દલીલ કરનાર સામે શી દલીલ હોઈ શકે!
આપણે એટલું યાદ રાખવાનું છે કે ખોરાકનો બગાડ એ ગેરકાનૂની ભલે ન હોય, પણ એ ગુનાહિત કૃત્ય છે. ખોરાકને પણ દેખાવ સાથે સાંકળવો એ આપણી ભેદભાવલક્ષી માનસિકતાનું સૂચક છે. વિકસીત દેશોએ ખોરાક સાથે ચેડાં કરીને જે આધુનિક ગણાતી બજારલક્ષી સંસ્કૃતિ ઊભી કરી એ ભૂલ કરવામાંથી બચી શકીએ એવી તક હજી આપણી પાસે રહી છે. એમાં સરકાર કે કાયદો કશું નહીં કરી શકે. કેમ કે, આપણું સ્વાસ્થ્ય જાળવવાની જવાબદારી આપણી જ છે. તેના માટે સ્વસ્થ બુદ્ધિએ વિચારવું જ પૂરતું છે. સ્વાસ્થ્યવર્ધક ખોરાક કદાચ સ્વસ્થ બુદ્ધિને વિકસાવી શકે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧ -૧૦ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
કુદરતની કેડીએ – કેડી કંડારનારા –૫
લેખન-સંકલન : યાત્રી બક્ષી
કેપ્ટન જેમ્સ કૂકની સાહસિક સફરો અને પ્રકૃતિનું દસ્તાવેજીકરણ

જંબુદ્વિપ તરીકે ઓળખાતા પ્રાચીન ભારતની પ્રજાએ સમુદ્રોનું ખેડાણ સદીઓ પહેલાંથી શરૂ કરી દીધેલું. પૌરાણિક કથાઓ મુજબ પરશુરામે ક્ષત્રિય વિહોણી ભૂમિ કરવાના સંકલ્પને એક જ શરતે થંભાવેલો કે જો ક્ષત્રિયો હિંસા અને આધિપત્યનો માર્ગ છોડીને વેપારમાં પોતાનું બળ અજમાવે તેથી પ્રજા સામાન્યને લાભ મળે. આમ સમુદ્રનું જોખમી ખેડાણ કરનારા ક્ષત્રિયો સાર્થવાહો થયા. મુંબઈ નગરીની આસપાસ મળી આવતી ગુફાઓ જેને કાળક્રમે બૌદ્ધોએ આશ્રય સ્થાન તરીકે વાપર્યાં તે વાસ્તવમાં ખલાસી વેપારીઓના માલ સંગ્રહસ્થાનો અને બજારો હતાં તેવો એક મત છે. પશ્ર્ચિમી તટો ઉપર આવી અનેક વિશાળ ગુફાઓ મળી આવે છે, જ્યાંથી સમુદ્રી વેપાર ધમધમતો. ભારત મૌસમ વિજ્ઞાનમાં અત્યંત પાવરધું હતું. મૌસમી પવનોના અભ્યાસના આધારે આ વહાણવટું ખેડાતું.
જાવા-સુમાત્રા, દક્ષિણ એશિયા, મધ્ય એશિયા અને યુરોપ સુધી આ વેપાર ચાલતો. આ વેપારી વહાણવટાનો સમય ૫૦૦ એડીથી ૧૦૦ એડીનો મનાય છે. બૌદ્ધ પ્રવાસીઓએ ભારતના એ સમયનું દસ્તાવેજીકરણ કર્યું તે આજે પણ સમજવામાં ઉપયોગી થાય છે. સવાલ એ થાય કે ધમધોકાર ચાલતા સમુદ્રી આંતરરાષ્ટ્રીય વેપારમાં એક પણ એવી સફર કે દસ્તાવેજ નથી મળતો કે જે ખેડેલા પ્રાંતોની સભ્યતાઓ, પ્રકૃતિ કે દરિયાઈ જીવસૃષ્ટિ વિષે કોઈ અવલોકન પૂરાં પાડે.
તેનાથી વિપરીત પશ્ર્ચિમી જગતમાં બ્રિટિશ રાજે ખાસ એવી સફરો આદરી કે જેનો મુખ્ય હેતુ જે-તે ભૂમિ ભાગો ઉપર પોતાનું આધિપત્ય જમાવી ત્યાંનાં કુદરતી સંસાધનોનું દોહન કરવું હતો. આવી સફરોની મુખ્ય કે આડપેદાશ સ્વરૂપે જગતને અનેક દુર્લભ શોધખોળોના ખજાનાઓ મળ્યા. દસ્તાવેજીકરણના મુદ્દે યુરોપીય અભ્યાસુઓ ખરેખર અનુકરણીય કાર્ય કરી ગયા છે. આવા જ એક સાહસિક પ્રકૃતિપ્રેમી મારિયાના કીટક અભ્યાસ વિષે આપણે જાણ્યું. અને લિનિયેસે વનસ્પતિઓના વિશાળ અભ્યાસ માટે પણ દાયકાઓ વેરાન પ્રાંતોના પ્રવાસ ખેડ્યા.
દરિયાઈ જીવવિજ્ઞાનનો ઇતિહાસ ૧૨૦૦ બીસીની શરૂઆતમાં શરૂ થયો હશે જ્યારે ફોનિશિયનોએ આકાશી સંશોધકોનો ઉપયોગ કરીને સમુદ્રની સફર શરૂ કરી. સમુદ્ર અને તેનાં રહસ્યોના સંદર્ભો ગ્રીક પૌરાણિક કથાઓમાં વિપુલ પ્રમાણમાં છે. ખાસ કરીને હોમરિક કવિતાઓ ‘ધ ઇલિયડ’ અને ‘ધ ઓડીસી’. જોકે, પ્રાચીન ઇતિહાસના આ બે સ્રોતો મોટેભાગે સમુદ્રને પરિવહન અને ખોરાકના સ્રોત તરીકે ઓળખે છે. ૩૮૪-૩૨૨ બીસીનાં એરિસ્ટોટલનાં લખાણો સુધી દરિયાઈ જીવનના ચોક્કસ સંદર્ભો નોંધવામાં આવ્યા ન હતા. એરિસ્ટોટલે ક્રસ્ટેશિયન્સ, ઇચિનોડર્મ્સ, મોલસ્ક અને માછલી સહિતની વિવિધ પ્રજાતિઓની ઓળખ કરી હતી. તેણે એ પણ ઓળખ્યું કે ક્રિટેશિયન્સ કરોડરજ્જુ ધરાવતા એવા દરિયાઈ જીવો જે બે પ્રકારે પ્રજોત્પત્તિ કરે છે, એક ઓવિપેરસ જે ઈંડાં મૂકે છે અને બીજી વિવિપેરસ જે બચ્ચાંને જન્મ આપે છે. એરિસ્ટોટલને ઘણી વાર દરિયાઈ જીવવિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે દરિયાઈ જીવન પર અવલોકનો રેકોર્ડ કરનાર પ્રથમ વ્યક્તિ છે.
૧૫મી સદીના ઉત્તરાર્ધ અને ૨૦મી સદીની શરૂઆતની વચ્ચે, મનુષ્યોએ મહાસાગરોનું અન્વેષણ કર્યું હતું જેમ કે નવા નકશા અને ચાર્ટ બનાવ્યા અને સ્વદેશના બંદરો પર પાછા લાવવા માટે નમૂનાઓ એકત્રિત કર્યા. આ સમય દરમિયાન થયેલી મોટાભાગની શોધખોળ યુરોપિયન દેશો જેમ કે સ્પેન, પોર્ટુગલ, ફ્રાન્સ, ઈટાલી, સ્કોટલેન્ડ અને જર્મની દ્વારા કરવામાં આવી હતી. દરિયાઈ જીવવિજ્ઞાનના કેટલાક સીમાચિહ્ન સંશોધકોએ આ સમયગાળા દરમિયાન તેમનું પ્રખ્યાત કાર્ય કર્યું. કેપ્ટન જેમ્સ કૂક, ચાર્લ્સ ડાર્વિન અને વાયવિલે થોમસન જેવા સંશોધકોએ આ સમય દરમિયાન દરિયાઈ જીવવિજ્ઞાનના ઇતિહાસમાં ક્રાંતિકારી યોગદાન આપ્યું હતું.
મરીન બાયોલોજી અને કેપ્ટન જેમ્સ કૂક
જેમ્સ કૂક બ્રિટિશ નૌકાદળના કપ્તાન તેમની શોધખોળની સફર માટે જાણીતા છે. જેમાં તેમણે વિશ્ર્વની અગાધ-વણખેડી સામુદ્રિક જલરાશિનું મેપિંગ એટલે કે પૃથ્વી પરના સાતેય સમુદ્રોની માપણી કરી અને જગતને નવા ટાપુઓ, ભૂમિ ભાગો અને જળમાર્ગોના નકશાઓ આપ્યા. કૂકની શોધખોળ તેને વિશ્ર્વભરમાં બે વાર લઈ ગઈ અને અગાઉ અજાણ્યા છોડ અને પ્રાણીઓનાં અસંખ્ય વર્ણનો તરફ દોરી ગઈ. કૂકનાં સંશોધનોએ અન્ય ઘણા લોકોને પ્રભાવિત કર્યા અને સંખ્યાબંધ વિજ્ઞાનીઓને દરિયાઈ જીવનની વધુ નજીકથી તપાસ આદરવા પ્રેરિત કર્યા જેમાં પ્રભાવિત ચાર્લ્સ ડાર્વિન પણ હતા.
જીવવિજ્ઞાનના આધુનિક અભ્યાસની શરૂઆત ૧૮મી સદીના બ્રિટનમાં જેમ્સ કૂક દ્વારા કરવામાં આવેલી શોધ સાથે થઈ હતી. જેમ્સ કૂકનો જન્મ ૧૭૨૮માં યોર્કશાયર-ઇંગ્લેન્ડમાં થયેલો. તેઓ એક બ્રિટિશ નૌકા કપ્તાન, નેવિગેટર અને સંશોધક હતા જેમણે કેનેડાના દરિયાઈ માર્ગો અને દરિયાકિનારા પર સફર કરી હતી. (૧૭૫૯ અને ૧૭૬૩-૬૭) અને પેસિફિક મહાસાગર સુધી ત્રણ અભિયાનો (૧૭૬૮-૭૧, ૧૭૭૨-૭૫, અને ૧૭૭૬-૭૯) હાથ ધર્યાં હતા, જેમાં એન્ટાર્કટિક બરફનાં ક્ષેત્રોથી લઈને બેરિંગ સ્ટ્રેટ સુધી અને ઉત્તર અમેરિકાના દરિયાકિનારાથી ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સુધીનો સમાવેશ થાય છે.
કેપ્ટન કૂક બ્રિટિશ નૌકાદળ માટે શોધની તેમની વ્યાપક સફર માટે સૌથી જાણીતા છે, જે તે સમય દરમિયાન વિશ્ર્વની અજાણી જલરાશિને માપે છે. તેમણે તેમના જીવનકાળ દરમિયાન બે વાર વિશ્ર્વની પરિક્રમા કરી, જે દરમિયાન તેમણે અસંખ્ય છોડ અને પ્રાણીઓનાં વર્ણનો લૉગ કર્યાં જે મોટાભાગનાં માનવજાત માટે અજાણ હતાં.
૧૮ વર્ષની ઉંમરે, ૧૭૪૬માં, તે વ્હીટબીના જાણીતા ક્વેકર જહાજના માલિક જ્હોન વોકર પાસે એપ્રેન્ટિસ થયા હતા. અને ૨૧ વર્ષની ઉંમરે તેને વોકર કોલિયર – બાકર્સમાં સક્ષમ નાવિક તરીકે દરજ્જો આપવામાં આવ્યો હતો, મુખ્યત્વે ઉત્તર સમુદ્રના વેપારમાં. જ્યારે શિયાળાના સૌથી ખરાબ મહિનામાં વ્હીટબી ખાતે જહાજોના સમારકામ માટે મૂકવામાં આવતા. ત્યારે કૂક કિનારે રહેતા હતા અને રાત્રે ગણિતનો અભ્યાસ કરતા હતા. દરિયાકિનારે લાંગરેલાં જહાજો માટે જે કાંઠા ભયજનક સાબિત થતા ત્યાં વ્હીટબી બાર્ક-ઉત્તર સમુદ્રના પાણીમાં સતત કામ કરતા, આ જોખમી પડાવોએ કૂકને શાનદાર પ્રાયોગિક તાલીમ આપી, કે ખલાસીએ કોઈપણ સમુદ્રથી ડરવાની જરૂર નથી. ત્યારબાદ કૂકે રોયલ નેવીમાં સક્ષમ નાવિક તરીકે સ્વૈચ્છિક સેવા આપી હતી. તેને ખાતરી હતી કે, સક્ષમ વ્યાવસાયિક નાવિક માટે શઢવાળાં વહાણ કરતાં નૌકાદળ વધુ રસપ્રદ તકો આપશે. ૨૭ વર્ષની ઉંમરે તેઓ એબલ સીમેનના પદ સાથે રોયલ નેવીમાં જોડાયા. ફ્રાન્સ સાથેના યુદ્ધ દરમિયાન તેણે એટલાન્ટિક પર સફર કરી અને ખગોળશાસ્ત્ર અને ત્રિકોણમિતિનો ઉપયોગ કરીને સર્વેક્ષણની કળા શીખી.
૧૭૬૮માં, રોયલ સોસાયટી, એડમિરલ્ટી સાથે મળીને, પેસિફિકમાં પ્રથમ વૈજ્ઞાનિક અભિયાનનું આયોજન કરી રહી હતી, ૪૦ વર્ષીય જેમ્સ કૂકને આ અભિયાનના કમાન્ડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કૂકને ચાર વર્ષનું માત્ર ૩૬૮ ટન અને ૯૮ ફૂટ (૩૦ મીટર) કરતાં પણ ઓછું લાંબું ઇંખજ એન્ડેવર નામનું અત્યંત મજબૂત વ્હીટબી બાર્ક આપવામાં આવ્યું હતું. કૂકનો ઉદ્દેશ રોયલ સોસાયટીના સજ્જનો અને તેમના મદદનીશોને તાહીતીમાં શુક્ર ગ્રહના સૂર્યના સંક્રમણનું અવલોકન કરાવવાનો હતો. આ પ્રથમ સફરમાં કૂક પ્રારંભિક દરિયાઈ પંચાંગ અને બ્રાસ સેક્સ્ટન્ટ્સ લઈ ગયા હતા પરંતુ કોઈ ક્રોનોમીટર નહોતું.
તેઓ તાહિતીથી દક્ષિણ અને દક્ષિણ પશ્ર્ચિમ તરફ પ્રહાર કરતા પુરોગામી વેપારી પવનો સાથે પશ્ર્ચિમ અને પશ્ર્ચિમ-ઉત્તરપશ્ર્ચિમ તરફ ગયા અને કૂકે આખું ન્યુઝીલેન્ડ શોધી કાઢ્યું. પશ્ર્ચિમ તરફ તાસ્માન સમુદ્રને પાર કરવો પડકાર હતો જેમાં તેમણે સફળતા મેળવી. અને ૧૯ એપ્રિલ, ૧૭૭૦ના રોજ, ઓસ્ટ્રેલિયાના દક્ષિણપૂર્વ કિનારે આવ્યો. તેના ૨૦૦૦-માઈલ (૩,૨૦૦ કિ.મી.) પૂર્વી સર્વેક્ષણ કરતા, કૂકે ક્વીન્સલેન્ડના ગ્રેટ બેરિયર રીફને સફળતાપૂર્વક નેવિગેટ કર્યું. તેને કમાન્ડર તરીકે બઢતી આપવામાં આવી અને ટૂંક સમયમાં તેણે બીજી અને વધુ મહત્ત્વાકાંક્ષી સફરનું આયોજન કરવાનું શરૂ કર્યું. આ સફરમાંથી વૈજ્ઞાનિક રીતે એકત્રિત કરવામાં આવેલી સામગ્રીની સંપત્તિ અનન્ય હતી. કૂકને હવે એન્ટાર્કટિકામાં પ્રથમ પરિક્રમા કરવા અને પ્રવેશ કરવા માટે બે જહાજો સાથે મોકલવામાં આવ્યા હતા. તેમના વિજ્ઞાનીઓના અભિયાનની સફળતા માત્ર નવી જમીનોની શોધમાં જ નહીં પરંતુ અન્ય ઘણા વૈજ્ઞાનિક વિષયોમાં નવા જ્ઞાનમાં રસને ઉત્તેજિત કરે છે.
જુલાઈ ૧૭૭૨ અને જુલાઈ ૧૭૭૫ની વચ્ચે કૂકે એક નાનકડા ભૂતપૂર્વ વ્હીટબી જહાજ સાહસ સાથે, ફરી એક મહાન સઢવાળી જહાજની સફરમાં સ્થાન મેળવ્યું. તેણે એન્ટાર્કટિકામાં ૭૦૦ સે. અક્ષાંશથી આગળ સફર કરી, શિયાળા દરમિયાન ટોંગા અને ઇસ્ટર ટાપુને રેખાંકિત કર્યા અને ઊંચા અક્ષાંશોમાં પ્રથમ પશ્ર્ચિમ-પૂર્વ પરિક્રમા સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. પેસિફિક મહાસાગરમાં ન્યૂ કેલેડોનિયા અને એટલાન્ટિક મહાસાગરમાં દક્ષિણ સેન્ડવિચ ટાપુઓ અને દક્ષિણ જ્યોર્જિયા ટાપુ શોધ્યા હતા. તેણે બતાવ્યું કે વાસ્તવિક ટેરા ઑસ્ટ્રેલિસ માત્ર ઑસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડના લેન્ડમાસમાં જ અસ્તિત્વ ધરાવે છે અને એન્ટાર્કટિકાના બરફના કિનારાની બહાર ગમે તેટલી જમીન સ્થિર રહી શકે છે. ઇંગ્લેન્ડમાં અંતે તેમને કપ્તાન તરીકે બઢતી આપવામાં આવી, રોયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. કુકના જહાજ પર કામદારો અને અધિકારીઓનાં મૉત થતાં નહિ કારણ કે તેઓ સફાઈ અને ખાનપાનમાં સખત શિસ્તનો આગ્રહ રાખતા. આથી જ ખલાસીઓને થતી ચેપી મરડા જેવી જીવલેણ બીમારી-સ્કર્વી વિશેના તેમના પ્રાયોગિક કાર્યના લેખ માટે, સર્વોચ્ચ સન્માન, ગોલ્ડ કોપ્લી મેડલથી સન્માનિત કરવામાં આવ્યા.
કેનેડા અને અલાસ્કાની આસપાસ ઉત્તરપશ્ર્ચિમ માર્ગ અથવા એટલાન્ટિક અને પેસિફિક વચ્ચે સાઇબિરિયાની આસપાસનો ઉત્તરપૂર્વ માર્ગ અસ્તિત્વમાં છે કે કેમ એ રહસ્ય શોધવાનું બાકી હતું. એવું માનવામાં આવતું હતું કે ઉત્તર પેસિફિકમાંથી શોધ સફળ થઈ શકે છે. શોધ હાથ ધરનાર દેખીતી રીતે કૂક હતો. અને જુલાઈ ૧૭૭૬માં તે ફરીથી ડિસ્કવરી નામના બીજા વ્હીટબી જહાજ શોધ પર સફરે નીકળ્યા પરંતુ તે અસફળ અને આખરી સફર રહી કારણ કે નૌકાવિહાર વહાણો દ્વારા ઉપયોગમાં લઈ શકાય તેવો ઉત્તરપશ્ર્ચિમ કે ઉત્તરપૂર્વીય માર્ગ અસ્તિત્વમાં ન હતો, અને સફર કૂકના મૃત્યુ તરફ દોરી ગઈ. ચોરીને લઈને હવાઈ ટાપુઓના સ્થાનિકો સાથેની ટૂંકી તકરારમાં, પોલિનેશિયનો દ્વારા કૂકની કેલાકેકુઆ ખાતે બીચ પર હત્યા કરવામાં આવી હતી.
કેપ્ટન કૂકે શોધ અને નૌકાદળ, નેવિગેશન, કાર્ટગ્રાફી અને સમુદ્રી સફરમાં ખલાસીઓની સંભાળ, મૈત્રીપૂર્ણ અને પ્રતિકૂળ બંને સ્વદેશી લોકો સાથેના સંબંધોમાં અને સમુદ્રમાં વિજ્ઞાનના ઉપયોગમાં સંપૂર્ણતાનાં નવાં ધોરણો સ્થાપિત કર્યાં હતાં. વિશ્ર્વનો નકશો ઇતિહાસના અન્ય કોઈ એક માણસ કરતાં કેપ્ટન કૂકે વધુ બદલી નાખ્યો હતો.
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ, લંડને કેપ્ટન કૂકના દક્ષિણ પેસિફિકથી આર્ટસ્ટોર સુધીનાં અભિયાનો સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રીય અને પ્રાણીશાસ્ત્રીય ચિત્રોની આશરે ૧,૬૦૦ છબીઓનું યોગદાન આપ્યું છે. ધ એન્ડ્રુ ડબલ્યુ. મેલોન ફાઉન્ડેશનના સમર્થનથી, મ્યુઝિયમે વોટરકલર્સ અને ડ્રોઈંગ્સનું ડિજીટલાઈઝેશન કર્યું છે અને તેને આર્ટસ્ટોરમાં શિષ્યવૃત્તિ અને શિક્ષણ માટે ઉપલબ્ધ કરાવ્યું છે.
જ્યારે કૂકે ૧૭૬૮માં એચએમએસ એન્ડેવર પર સફર કરી ત્યારે તેની સાથે પ્રકૃતિવાદી જોસેફ બેંકસ જોડાયા હતા. જેમ જેમ એન્ડેવર તેના પશ્ર્ચિમ તરફના માર્ગને અનુસરે છે તેમ બેંક્સ અને વનસ્પતિશાસ્ત્રી ડેનિયલ સોલેન્ડરે પ્રાણીઓ અને છોડના નમૂનાઓ એકત્રિત કર્યા, જે સિડની પાર્કિન્સન દ્વારા દર્શાવવામાં આવ્યા હતા. ૧૭૭૦માં, વહાણ બોટની ખાડી (હવે સિડની) પહોંચ્યું. અભિયાન દરમિયાન, બેંકસ અને સોલેન્ડરે લગભગ ૫,૦૦૦ પ્રજાતિઓ એકત્રિત કરી, જેમાંથી ઘણી અગાઉ અજાણી હતી. કુકની પ્રથમ સફર આર્ટસ્ટોરમાં અંદાજે ૯૬૦ ચિત્રો દ્વારા દર્શાવવામાં આવી છે.
કૂકની બીજી સફર (૧૭૭૨-૧૭૭૫)
બીજી સરફ પર, કૂકે એચએમએસ રિઝોલ્યુશનને કમાન્ડ કર્યું અને ટોબિઆસ ફર્નોક્સે એક સાથી જહાજ, એચએમએસ એડવેન્ચરનું નેતૃત્વ કર્યું. કૂકની ટીમમાં વિદ્વાન જોહાન રેઈનહોલ્ડ ફોરસ્ટરનો સમાવેશ થાય છે. તેની સાથે તેમના પુત્ર, જોહાન જ્યોર્જ એડમ ફોર્સ્ટર, એક ચિત્રકાર, તેમજ અન્ય કલાકાર વિલિયમ હોજેસ હતા. ૧૭૭૩માં, જહાજો એન્ટાર્કટિક સર્કલને પાર કરનાર પ્રથમ યુરોપિયન જહાજો બન્યાં. કમનસીબે, તેઓ એન્ટાર્કટિક ખંડ પર લેન્ડફોલ ચૂકી ગયાં અને તેઓ અલગ થઈ ગયાં. દક્ષિણ પેસિફિકનું અન્વેષણ અને ચાર્ટ કરવાનું ચાલુ રાખ્યું. કુકની બીજી સરફ આર્ટસ્ટોરમાં લગભગ ૫૭૦ ડ્રોઈંગ્સ અને જોહાન જ્યોર્જ એડમ ફોર્સ્ટર દ્વારા સમગ્ર દક્ષિણ સમુદ્રમાં એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓ દ્વારા રજૂ કરવામાં આવી છે.
કૂકની ત્રીજી સફર (૧૭૭૬-૧૭૭૯)
કૂકે ત્રીજી અને અંતિમ સફર શરૂ કરી, જેનો હેતુ એટલાન્ટિક અને પેસિફિક મહાસાગરોને જોડતો કાલ્પનિક વેપાર માર્ગ, નોર્થવેસ્ટ પેસેજ શોધવાનો હતો. કૂકે રિઝોલ્યુશનનું નેતૃત્વ કર્યું અને ચાર્લ્સ ક્લાર્કે બીજા જહાજ, એચએમએસ ડિસ્કવરીનો કમાન્ડ કર્યો. જ્હોન વેબર સત્તાવાર કલાકાર હતા, જે લેન્ડસ્કેપ્સ અને એથનોગ્રાફિક ચિત્રોમાં વિશેષતા ધરાવતા હતા; વિલિયમ વેડ એલિસ, ડિસ્કવરી પર સર્જનના સહાયક, કુદરતી ઇતિહાસના ચિત્રકાર તરીકે બમણા થયા. ઉત્તર અમેરિકાના દરિયાકાંઠે જતા, કુકે પેસિફિક નોર્થવેસ્ટ અને અલાસ્કાના દરિયાકાંઠાને ચાર્ટ કરવા માટે ઉત્તર તરફ જતા પહેલાં હવાઈયન ટાપુઓનો સામનો કર્યો. કૂકે આર્કટિક મહાસગારમાં પ્રવેશ કર્યો અને ઠંડકની સ્થિતિની નોંધ લીધી જે કોઈપણ સંભવિત વેપાર માર્ગને અવરોધે છે. કમનસીબે, હવાઈયન ટાપુઓ પર પાછા ફર્યા પછી, કૂકની ૧૭૭૯માં હત્યા કરવામાં આવી હતી. કૂકની દુર્ભાગ્યપૂર્ણ ત્રીજી સફર આર્ટસ્ટોરમાં પ્રાણીઓ અને છોડને દર્શાવતા એલિસ દ્વારા અંદાજે ૧૦૦ રેખાંકનો દ્વારા રજૂ કરવામાં આવી છે.
નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમની સ્થાપના ૧૮૮૧માં કરવામાં આવી હતી, જોકે તેના સંગ્રહની ઉત્પત્તિ ૧૮મી સદીની છે. તેમના મૃત્યુ પછી, સર હેન્સ સ્લોને બ્રિટિશ મ્યુઝિયમના મુખ્ય ભાગની રચના કરીને, રાષ્ટ્રને કુદરતી નમૂનાઓ અને જિજ્ઞાસાઓનો તેમનો વ્યાપક સંગ્રહ આપ્યો. જેમ જેમ મ્યુઝિયમે વધારાનો સંગ્રહ મેળવ્યો, તેમ કુદરતી ઇતિહાસ માટે અલગ સુવિધા ઊભી કરવી જરૂરી બની ગઈ. આજે નેચર હિસ્ટ્રી મ્યુઝિયમમાં કુકની ત્રણેય સફરનાં ચિત્રો સહિત લાખો છોડ અને પ્રાણીઓના નમૂનાઓ છે.
કૂકે તેમના જર્નલમાં તેમના અનુભવો અને લોકો અને સ્થાનો વિશેનાં અવલોકનો નોંધ્યાં હતાં. પ્રથમ સફર અંગેના તેમના અહેવાલો તેમના વિચારો અને કાર્યોની સમજ આપે છે અને પોલિનેશિયા, ન્યુઝીલેન્ડ અને પૂર્વી ઓસ્ટ્રેલિયાના સ્વદેશી લોકોના પ્રારંભિક લેખિત રેકોર્ડ પૈકી એક છે.
૧૭૭૧માં ઇંગ્લેન્ડ પરત ફર્યા ત્યારે, કૂક એક સેલિબ્રિટી હતા અને તેમના માનમાં મૂર્તિઓ બનાવવામાં આવી હતી. યુરોપીયન નેવિગેશન, એક્સ્પ્લોરેશન અને વિજ્ઞાનમાં તેમના યોગદાનને કારણે તેમને કેપ્ટન તરીકે બઢતી આપવામાં આવી અને પછીનાં વર્ષોમાં તેમને વધુ બે સંશોધનની સફર સોંપવામાં આવી. ૧૭૭૯માં હવાઈમાં તેમના મૃત્યુ સમયે, તેમની પ્રતિષ્ઠા એટલી વધી ગઈ હતી કે લોકોમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.
કેપ્ટન જેમ્સ કૂકે પેસિફિક મહાસાગર અને વિશ્ર્વની પરિક્રમા કરતી ત્રણ મહાકાવ્ય સમી સફરનું નેતૃત્વ કર્યું હતું. તેમનાં અભિયાનોએ ભૌગોલિક, સમુદ્રશાસ્ત્ર અને ખગોળશાસ્ત્રના જ્ઞાનમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. કુકની સાથે આવેલા પ્રકૃતિવાદીઓ અને કલાકારોનું કાર્ય સમાન રીતે મહત્ત્વપૂર્ણ છે, જે આર્ટસ્ટોરમાં ઉપલબ્ધ કુદરતી ઇતિહાસનાં ચિત્રો દ્વારા રજૂ થાય છે. આધુનિક દરિયાઈ કેડીને કંડારનારા અને વિશ્ર્વને સમુદ્રી માર્ગોનાં પાક્કાં એંધાણો આપનારા કેપ્ટન કૂકની શોધખોળ બાદ, ચાર્લ્સ ડાર્વિન (૧૮૦૯-૧૮૮૨) સહિત સંખ્યાબંધ વિજ્ઞાનીઓએ દરિયાઈ જીવનનો ગાઢ અભ્યાસ શરૂ કર્યો.
યાત્રી બક્ષી : paryavaran.santri@gmail.com
સ્રોત સૌજન્ય: ભૂમિપુત્ર : ૧૬ જુલાઈ, ૨૦૨૪
-
નિર્મલ વર્મા – મનની અગોચર ગલીકુંચીઓના અનોખા મુસાફર અને પથપ્રદર્શક
સંવાદિતા
લેખક તરીકે નિર્મલ વર્મા શરુઆતમાં અઘરા પડે પણ ખંતથી એમને વાંચવાનું ચાલુ રાખીએ તો સમજાતા જાય.
ભગવાન થાવરાણી
લેખક – ચિંતક રિચાર્ડ બાક કહે છે
“ એક ઝીણેરો અવાજ મને કહે છે કે આ ગલીના નાકેથી જમણે કેમ નથી વળી જતો, ડાબાને બદલે, જ્યાંથી તું હંમેશા વળે છે ? એ સાંભળી, આશ્ચર્યચકિત છતાં સસ્મિત હું જમણે વળું છું અને મને દેખાય છે સંયોગની નદી, જે મને ઉઠાવીને લઈ જાય છે એ જગ્યાએ જ્યાં મારે હોવું જોઈતું હતું ! “
મીરદાદ કહે છે
“ વધુ પડતું શાને બોલો છો ? બોલાયેલા હજારો શબ્દોમાંથી એકાદ બે જ છે જે ખરેખર બોલાવાને લાયક હતાં. બાકીના મનને ધુંધળું કરે છે, કાનને પ્રદુષિત કરે છે,વાચાને અવરુદ્ધ કરે છે અને હૃદયને અંધ !
ઉપરોક્ત બન્ને ઉક્તિઓની સાર્થકતા સમજવી હોય એણે હિંદી લેખક નિર્મલ વર્માને વાંચવા જોઈએ. એમનું ગદ્ય એક નવી દિશા ચીંધે છે અને નિરર્થક શબ્દાળુતાથી છુટકારો અપાવે છે. એમની ભાષાનું સેવન ખરા સાહિત્યમાં રસ ધરાવતા દરેક પ્રબુદ્ધ ભાવકે કરવું ઘટે.

પાંચ નવલકથાઓ – લાલ ટીન કી છત, એક ચિથડા સુખ, વે દિન, રાત કા રિપોર્ટર અને અંતિમ અરણ્ય – આઠ વાર્તા સંગ્રહો, ત્રણ પ્રવાસ સંસ્મરણ, દસ નિબંધ સંગ્રહ, એક નાટક અને અનેક અનુવાદ આપનાર નિર્મલ વર્મા ૨૦૦૫ માં ૭૬ વર્ષની વયે અવસાન પામ્યા એ પહેલાં સાહિત્ય અકાદમીની આજીવન ફેલોશીપ, પદ્મભૂષણ અને જ્ઞાનપીઠ પુરસ્કાર અર્જિત કરી ચૂક્યા હતા. ભારત સરકાર દ્વારા એમનું નામ નોબેલ પારિતોષિક માટે પણ નામાંકિત કરવામાં આવેલું. એમના મરણોપરાંત એમના પત્ની ગગન ગિલ દ્વારા – જે પોતે હિંદીના લબ્ધપ્રતિષ્ઠિત લેખિકા અને કવયિત્રી છે – એમનું પત્ર સાહિત્ય, ઈંટરવ્યુ અને અધૂરી રહી ગયેલી નવલકથાઓના અંશ પુસ્તકરૂપે સંકલિત કરી પ્રકાશિત કરવામાં આવ્યાં છે.
એમની થોડીક વધુ ઓળખ. હિંદી સાહિત્યમાં ‘ નઈ કહાની ‘ ચળવળના એ પ્રણેતાઓમાંના એક છે. (બીજા લેખકોમાં રાજેંદ્ર યાદવ, કમલેશ્વર અને મોહન રાકેશ ગણાવી શકાય. ) ૧૯૬૦ ના દશકમાં એમની વાર્તાઓ ‘ પરિંદે ‘ અને ‘ જલતી ઝાડી ‘ થી હિંદી સાહિત્યમાં એક નોખો જ ચીલો પડેલો. એમને પહેલી વાર વાંચીએ ત્યારે એમની શૈલી આપણને વિસ્મયમાં મૂકી દે. એમનું દરેક પાત્ર નિતાંત એકલું હોય અને પોતાની મૂળ જગાએથી ઉખાડીને કોઈક ખોટી જગાએ રોપી દેવાયેલું. લગભગ એ બધાં અવસાદના ધુમ્મસથી ભીતરે ઠાંસોઠાંસ ભરેલાં હોય ! આ પાત્રોનાં માધ્યમથી નિર્મલ આપણને મનના અગોચર, અંધારિયા, અવાવરુ ખૂણાઓમાં આંગળી ઝાલીને લઈ જાય અને પછી આપણા ભરોસે છોડી દે !

આપણા મૂર્ધન્ય સાહિત્યકાર વિનેશ અંતાણી નિર્મલના પરમ પ્રશંસક છે. એમના ગદ્ય ઉપર નિર્મલની લેખનશૈલીની ઊંડી છાપ છે. એમની કેટલીક વાર્તાઓ ‘ માયા દર્પણ ‘ નામના પુસ્તક દ્વારા એમણે ગુજરાતીમાં અનુદિત કરી છે અને એમની નવલ ‘ એક ચિથડા સુખ ‘ પણ. એ નિર્મલ વર્મા વિષે કહે છે
‘ જ્યારે મેં એમને પહેલી વાર વાંચ્યા ત્યારે મને કલ્પના નહોતી કે એ મારી સાથે શું કરશે. કોઈ પુસ્તક ખોલતાં પહેલાં આપણા મનમાં એ કૃતિ કે એના સર્જક વિષે કોઈ દહેશત ન જ હોય. જે થાય એ અંદર પ્રવેશ્યા બાદ જ થાય. નિર્મલ જેમ જેમ મારી સામે ખૂલતા ગયા, મને અહેસાસ થતો ગયો કે આ સર્જક નિર્દયતાથી મને યાતનાનાં પ્રદેશમાં ઢસડી રહ્યા છે. એ મારામાં ગાઢ ધુમ્મસ ભરી રહ્યા છે. મારી ભીતર ચીડ અને દેવદારનાં પાન ખરી રહ્યાં છે અને એ પાંદડાં ઉપર કોઈ ચાલી રહ્યું છે. એ મારી ભીતર પહાડોનું એકાંત ઉઘાડી રહ્યા હતા, મારી અંદરના ખંડિયેરોમાં અણીદાર શબ્દો દ્વારા ઉઝરડા પાડી રહ્યા હતા ! એમની કોઈ પણ રચના વાંચ્યા બાદ એવું લાગે જાણે એમણે મને એકલો છોડી દીધો છે જ્યાં કેવળ હું હોઉં, એક વિચિત્ર રુંધામણ હોય અને વિક્ષિપ્ત કરતી બેચૈની ! એમને વાંચતી વખતે મને હંમેશા લાગ્યું છે કે મારી અંદર એક વ્યક્તિ અને સર્જક તરીકે જે કંઈ અવ્યક્ત રહી જાય છે એ બધું એ વ્યક્ત કરી શકે છે. ‘
નિર્મલ વર્માની કક્ષાનાં લેખકો આપણને તર્ક અને ચેતનાનાં અંતિમ છેડા સુધી લઈ જાય છે જ્યાંથી આગળ એક સાવ નવી દુનિયા શરુ થાય છે. એમનું લેખન એક પાસપોર્ટ છે એ સીમા ઓળંગવાનો અને એક વાર એ પ્રદેશમાં પ્રવેશી પાછા વળીને જોઈએ ત્યારે ખબર પડે પાછળ રહી ગયેલી દુનિયા નરી મૂર્ખામીભરી હતી !
એમની નવલકથા ‘ એક ચિથડા સુખ ‘ માંથી એમના ગદ્યનો એક નમૂનો આસ્વાદીએ.
‘ એને લાગતું કે સમય કોઈ ઊંચો પર્વત છે અને બધાં પોતપોતાના પોટલાં ઉપાડી ઉપર ચડી રહ્યાં છે – હાંફી રહ્યા છે, એ જાણ્યા વગર કે ટોચ ઉપર પહોંચતાં જ બધાં હવામાં અદ્રશ્ય થઈ જશે અને એમના ધૂલિધૂસરિત પોટલાં, જેમાં પ્રેમ, ઘૃણા, નિરાશાઓ, દુખ અને કોણ જાણે શું – શું ભર્યું છે એ બધા નીચેની તરફ ગબડી પડશે જેને અન્ય લોકો પકડી લેશે અને ફરીથી પીઠ પર લાદી ચઢાણ શરુ કરશે ! ‘
વિખ્યાત વિવેચક નામવર સિંહ એમની વાર્તાઓ વિષે લખે છે
‘ વાર્તા એના પ્રભાવ – પરિઘની દ્રષ્ટિએ સંગીતની સરહદોને સ્પર્શી શકે કે કેમ એ હું જાણતો નથી પણ એટલી ખબર છે કે નિર્મલની વાર્તાઓ સંગીત જેવો પ્રભાવ ઊભો કરવામાં સક્ષમ છે. ‘
નિર્મલ પોતે એક અઠંગ વાચક હતા. માર્સેલ પ્રુસ્ત, મિલાન કુંડેરા, કેથેરીન મેન્સફિલ્ડ, વર્જીનિયા વુલ્ફ, રિલ્કે, ચેખવ અને દોસ્તોએવસ્કી સમ લેખકો એમને પ્રિય હતા. રિલ્કેના પત્રો વિષે એ લખે છે ‘ હું એમના પત્રો વાંચું છું. એ મારું પીઠબળ અને સહારો છે. હું એ પાઠની જેમ દરરોજ વાંચું છું, જાણે કોઈ દર્દી સમયાનુસાર પોતાની દવાનો ડોઝ લેતો હોય ! પીડામાંથી છુટકારા માટે નહીં, એને સાફસુથરી રાખવા માટે ! જેમ આપણે જંગલમાં આવેલી કોઈ ઝૂંપડી વાળી-ઝૂડીને સાફ કરીએ, ત્યાં થોડાક દિવસ રહેવા, સહેવા, ત્યાંની દુનિયા જોવા માટે. ‘
માનવ સ્વભાવ વિષે એ કહે છે
‘ કેટલાક લોકો પારકાંઓને જે સહેલાઈથી પોતાની ગુપ્ત વાતો કહી શકે છે એટલું પોતીકાંને નહીં. આપણા પોતાના લોકોનું જજમેંટ હૃદયમાં શૂળ – શું વાગે છે. જે તમને ચાહે છે એ તમને ક્યારેય માફ નથી કરી શકતા. ‘
આપણા જીવન વિષે એ કહે છે
‘આ જ દુનિયામાં કેટલીય દુનિયાઓ ખાલી પડી રહે છે અને લોકો ખોટી જગ્યાએ રહીને જિંદગી વેડફી નાખે છે. ‘
‘ માયા દર્પણ ‘ સહિત એમની કેટલીક કૃતિઓ પરથી ફિલ્મો પણ બની છે.
એમના પત્ની ગગન ગિલે એમના મૃત્યુ બાદ એ બન્નેએ સાથે કરવા ધારેલી કૈલાસ – માનસરોવરની યાત્રા એકલાં કરેલી. એ યાત્રાના સંસ્મરણરૂપે એમણે લખેલા પુસ્તક ‘ અવાક્ ‘ માં ડગલે ને પગલે નિર્મલ વર્મા સુક્ષ્મ રૂપે દ્રષ્ટિગોચર થાય છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
જરા ઉઘડે આંખલડી રે, તો સન્મુખ તેહ સદા !
હરેશ ધોળકિયા
ભારતીય સંસ્કૃતિ ભારે ચતુર છે. અનેક પ્રોત્સાહનો પછી કશુંક એવું કહી દે કે ઉત્સાહ વચ્ચે માણસ ગંભીર થઈ જાય.
ભારતના બધા જ ઉત્સવોમાં સૌથી મહત્વનો અને પ્રથમ ઉત્સવ છે ” નવું વર્ષ.” વર્ષનો છેલ્લો ઉત્સવ “દીવાળી” ઉજવાઈ જાય કે બીજા જ દિવસે આ નવું વર્ષ શરુ થાય. આ ઉત્સવનો અર્થ છે કે આવનારું વર્ષ જેવું જાય તેવું, પણ તેની શરુઆત તો ઉત્સવથી જ થવી જોઈએ. અને આ દિવસે બધા પરિચિતોએ ફરજિયાત એકબીજાને મળવાનું અને સમગ્ર વર્ષની શુભેચ્છાઓ આપી-લઈ લેવાની. શુભેચ્છા સાથે નવું વર્ષ શરુ થાય તો વર્ષ દરમ્યાન કદાચે કંઈ તકલીફો આવે તો આ શુભેચ્છાઓને સહારે વ્યકિત વર્ષ પસાર કરી જાય. પણ આ શુભેચ્છાઓ પણ ઉત્સાહથી અને મીઠું મો કરીને લેવા-આપવાની હોય છે.
પણ આ ઉત્સાહ વચ્ચે સંસ્કૃતિ એક છૂપી આજ્ઞા કરે છે કે નવા વર્ષે કોઈ સંકલ્પ લઈ વર્ષ શરુ કરવું. આ સંકલ્પ એક જાતનું ” ટાઈમ મેનેજમેન્ટ” કહી શકાય. આખું વર્ષ ગમે તે પ્રવૃતિઓ કરી શકાય, પણ એ બધા વચ્ચે ”સ્વ-વિકાસ ” માટે કોઈ એક ચોકકસ પ્રવૃતિ તો કરતા જ રહેવાનું છે. ” ચા નહીં પીઉં” કે ” પ્રવાસ કરવા જઈશ” જેવા સંકલ્પો ઠીક છે, લઈ શકાય, પણ તે સ્વ-વિકાસના સંકલ્પ નથી. ચા ન પીવાથી કદાચ પેટ સ્વસ્થ રહે, પણ તેનાથી કોઈ વિકાસ ન થઈ શકે. કોઈ પ્રવાસ કરવાથી જ્ઞાન વધે, પણ મોટા ભાગે તે સ્વવિકાસમાં ખાસ મદદ નથી કરતું.
સંકલ્પ તો એવો કરાય જે વ્યકિતને આગળ વધવામાં મદદ કરે.
એવો શ્રેષ્ઠ કોઈ સંકલ્પ હોઈ શકે ?
ભારતીય સંસ્કૃતિ પાસે બધાના ઉતમ જવાબો છે. આનો પણ જવાબ છે. અને તે શાસ્ત્રીય છે. કઠોપનિષદમાં એક શ્લોક છે જે શ્રેષ્ઠ સંકલ્પ બની શકે તેમ છે. આપણને આ શ્લોકની જાણ છે, પણ તે ઉપનિષદનો છે એની કદાચ ખબર નથી. આપણે તો તેને સ્વામી વિવેકાનંદનું વાકય માનીએ છીએ. પણ વિવેકાનંદે પણ તેને કઠ ઉપનિષદમાંથી જ લીધું હતું.
આ વાકય છેઃ
” ઉતિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન્નિબોધત.”
એટલે કે ” ઉઠો, જાગો અને ધ્યેય માટે મંડ્યા રહો.”
આ વિધાન શ્રેષ્ઠ સંકલ્પ કહી શકાય.
શું છે તેનો અર્થ ? દેખાય સાદું વાકય છે, પણ તે ઊંડાણભર્યું છે. શબ્દે શબ્દ સમજવા જેવો છે. પ્રથમ કહે છે કે ‘ઉઠો.” જગતના નવ્વાણુ ટકા લોકો, મોટા ભાગે, ભલે જાગતા દેખાય, પણ સમગ્ર જીવન ઊંઘતા જ રહે છે. ઊંઘતા રહેવું એટલે અભાનપણે જીવવું. મનની વૃતિઓને વશ થઈ જીવવું. મન કહે તે કર્યા કરવું. તે યોગ્ય છે કે નહીં તે વિચાર ન કરવો. બસ, વૃતિ ઉઠી કે તેનો અમલ કરવાનો જ. ભલે પછી નુકસાન થાય. આના સામે શ્લોક કહે છે કે “ઉઠો. ઊંઘ ઉડાડો. ”
પણ માત્ર ઊંઘ ઊડે કે આંખ ઉઘડે તે પૂરતું નથી. સંભવ છે કે આંખ ઉઘડયા પછી પણ ઊંઘ તો ચાલુ જ રહે. મન ધૂંધળું જ રહે. તો ? એટલે બીજો શબ્દ વાપરે છે કે ” જાગો.” માત્ર ઉઠવાનું જ નથી કે આંખ જ ઉઘાડવાની નથી. સમાંતરે જાગૃત પણ થવાનું છે. સભાન થવાનું છે. એટલે કે મન કહે તે બધું જ કરવાનું નથી. મનની વૃતિઓ સામે પણ જાગૃત થવાનું છે. મનને વશ ન
થતાં તેને વશ કરવાનું છે. ગુલામમાંથી શેઠ થવાનું છે. તેને જ જાગૃતિ કહેવાય.માની લો કે ઉઠયા અને જાગી પણ ગયા. તો કામ પૂરું?
ના, જાગીને શું કરવાનું છે તે પણ વિચારવાનું છે. જાગીને પોતાના વિકાસમાં મદદરુપ થાય એવું કશુંક ઉપયોગી-જરુરી- કરવાનું છે. એ કામ એવું હોય જે સમગ્ર વર્ષ કરવાનું હોય અને જેના કારણે વ્યકિત સતત વિકાસ કરે. આવાં ચોકકસ કામને ” ધ્યેય” કહે છે. ઘ્ેય એટલે કોઈ ચોકકસ કામ કરવું. સતત કરવું જેનાથી વિકાસ ઝડપી બને. પણ મનુષ્ય અનેક બાબતો નકકી તો કરે છે. સંકલ્પો પણ લે છે. વારંવાર લે છે, પણ લીધા પછી ઝડપથી ભૂલી જાય છે અને પુનઃ રૂટિનમાં-સામાન્યતામાં- પડી જાય છે. સંકલ્પ તો ધૂમધામથી લે છે, આ ધ્યેય પાળવાની કઠોર પ્રતિજ્ઞા લે છે, પણ થોડા જ દિવસોમાં ફરી ભૂલી જાય છે અને ફરી અભાન બની જાય છે.
એવું ન થાય માટે આ વિધાનમાં વધારાના બે શબ્દો ઉમેરે કે ” મંડયા રહો.” માત્ર ધ્યેય લેવાનું જ નથી. તે પૂર્ણ થાય માટે મંડયા રહેવાનું છે. મંડયા રહેવું એટલે સતત કરતા રહેવું. કયારેય
છોડવું નહીં. જયાં સુધી ઘ્યેય સિધ્ધ ન થાય ત્યાં સુધી તેને સતત કરતા રહેવું. તો જ ધ્યેય સિધ્ધ થશે.એટલે નવા વર્ષે, કઠોપનિષદના મતે, સમગ્ર વર્ષ દરમ્યાન, ચાર કામ કરવાનાં છે. એક, ઉઠવાનું છે. બે, જાગવાનું છે. ત્રણ, ધ્યેય નકકી કરવાનું છે અને ચાર, તેને પૂરું કરવા મંડયા રહેવાનું છે. અને ફરી નવું વર્ષ આવે ત્યાં સુધી બને તેટલું ધ્યેય સિધ્ધ કરતા રહેવાનું છે.
પણ, ફરી વિચાર આવે કે, સ્વ-વિકાસ માટે ઉતમ ધ્યેય કયું?
આવાં અનેક ધ્યેયો છે. વર્તમાનમાં આપણે જે કરવા અશકિતમાન હોઈએ તે કરી શકીએ એવું ધ્યેય નકકી કરાય. વહેલા ન ઉઠી શકતા હોઈએ, તો વહેલા ઉઠવું. વાંચતા ન હોઈએ તો વાંચવું. નબળા હોઈએ તો સતત કસરત કરવી. આળસુ હોઈએ તો સક્રિય થઈએ. નિષ્ક્રિય હોઈએ તો સર્જનાત્મક થઈએ, વગેરે.
પણ આ બધાં ધ્યેય ઠીક છે, ચોકકસ લઈએ, પણ તે શ્રેષ્ઠતમ ધ્યેય નથી.
તો શ્રેષ્ઠતમ ધ્યેય કયું છે ?
જો સંકલ્પ વિવેકાનંદે આપ્યો છે, તો શ્રેષ્ઠતમ ધ્યેય પણ તેમના પાસેથી જ મેળવીએ.
શું કહે છે તે ? કયું શ્રેષ્ઠતમ ધ્યેય હોઈ શકે ?
વિવેકાનંદ કહે છે કે શ્રેષ્ઠતમ ધ્યેય છે ” મુકત થવું.”
લ્યો! આપણે તો મુકત જ છીએ. આપણે કોઈના ગુલામ નથી. નથી કોઈના નોકર. નથી કોઈએ આપણને બાંધી રાખ્યા. પરમ સ્વતંત્ર છીએ આપણે.
પણ વિવેકાનંદ કંઈ બોલવા ખાતર ન બોલે. એટલે આપણે તેમને સમજીએ.
વિવેકાનંદ કહે છે કે માણસ એટલે સુષુપ્ત ઈશ્વર. માણસ પાયામાં ઈશ્વર જ છે. તેણે કયાંય ઈશ્વર શોધવાનો નથી. તે પોતે જ ઈશ્વર છે. પણ ” સુષુપ્ત” ઈશ્વર છે. એટલે કે તેનામાં રહેલો ઈશ્વર છૂપાયેલો છે. માણસને ખબર નથી કે પોતે ઈશ્વર છે. તે તો પોતાને મર્યાદિત, સંકુચિત, શરીર-મનવાળો જ માને છે. એક દિવસ મરી જશે એમ માને છે. અને આવી મર્યાદિત, મરણશીલ વ્યકિત વળી ઈશ્વર કેમ હોઈ શકે ? એટલે, તે માને છે કે, પોતે ઈશ્વર નથી. સામાન્ય માણસ જ છે. અને તે સામાન્ય માણસ જેમ જ જીવે છે, નાનક કહે છે તેમ ” બચપન ખેલ મેં ખોયા, જવાની નિંદભર સોયા અને બુઢાપા પેટભર રોયા.”
પણ, વિવેકાનંદ કહે છે કે, હકીકતે એવું નથી. ” ખોયા-સોયા કે રોયા”ની જરુર નથી. ધારે તો હસતે હસતે જીવી શકાય છે. અને હકીકતે મનુષ્યને હસવા માટે જ જીવન મળ્યું છે.
પણ તો તે સતત રડે કેમ છે ?
કારણ કે તે સમગ્ર જીવન ખોટા ખ્યાલોમાં જીવે છે. કેવા ? તો કે, પોતે શરીર છે, મન છે, પુરુષ છે, સ્ત્રી છે, ભારતીય કે યુરોપીયન છે, સવર્ણ કે અવર્ણ છે, ફલાણી જ્ઞાતિનો કે ધર્મનો છે, ધોળો કે કાળો કે ઘઉંવર્ણો છે, હોશીયાર કે ઠોઠ છે, લાંબો કે ટૂંકો છે. વિદ્ધાન કે મૂર્ખ છે…વગેરે વગેરે. આવા હજારો ખ્યાલો મનમાં લઈ સમગ્ર જીવન તેને આધારે જીવ્યા કરે છે. પણ આ કેવળ ખ્યાલો છે, ભ્રમણાઓ છે, સત્ય નથી. સત્ય તો માત્ર એટલુંજ છે કે તે ઈશ્વર જ છે અથવા તો ઈશ્વરનો અંશ છે-શુધ્ધ, બુધ્ધ, અનંત, સર્વશકિતમાન. એટલે કે તે ઈચ્છે તેવું જીવી શકે એવી શકિત ધરાવનાર વ્યકિતત્વ.
પણ આ બધા ભ્રમણાત્મક ખ્યાલો તે જયાં સુધી તે ન છોડે ત્યાં સુધી તેનું મન ધૂંધળું રહે છે અને ધૂંધળું મન કયારે પોતામાં રહેલ એશ્વર્ય-ઈશ્વરત્વ-ને ઓળખી ન શકે. જયારે મન બધા જ ખ્યાલોમાંથી મુકત થઈ શુધ્ધ અને પારદર્શક બને, ત્યારે જ તે સ્વતંત્રતાનો અનુભવ કરી શકે, મુકિતનો અનુભવ કરી શકે. એટલે જયારે વિવેકાનંદ “મુકત થાવ” કહે છે ત્યારે તેના બે અર્થ છે કે
એક તો ભ્રમણાત્મક ખ્યાલોથી મુકત થાવ અને બે, પોતે ઈશ્વર છે એવું સ્વીકારો. પોતાના દિવ્યત્વ પર શ્રધ્ધા રાખો. તેની અનુભૂતિ કરો. જેવી ભ્રમણાઓ દૂર થતી જશે, તેમ તેમ પરમ સ્વતંત્રતાનો અનુભવ વધતો જશે. અને જો પૂર્ણ દૂર થઈ ગઈ તો અહાહા! પૂર્ણ સ્વતંત્રતાનો અનુભવ થશે.
આ માટે શું કરવાનું છે ? તેની પઘ્ધતિ કઈ?
એક છે દરેક બાબતનું વિશ્લેષણ કરવું. ” આ બાબત મારા દિવ્યત્વને ઉપયોગી છે ‘ એમ પૂછતા રહેવું. જે પણ સંકુચિત લાગે તેનો ત્યાગ કરતા જવું. માત્ર વિશાળતાને જ સ્વીકારવી. તો નવ્વાણુ ટકા ખ્યાલો અદશ્ય થઈ જશે અને મન શુધ્ધ થઈ જશે. અને આ શુધ્ધ મનમાં જ દિવ્યત્વ ઝળહળવા લાગશે.
પણ, ફરી, વિવેકાનંદ તો એક “ઈન્સ્ટંટ” ઉપાય બતાવે છે. અલબત, એ બહુ અઘરો છે, પણ કરી શકાય તો શ્રેષ્ઠ છે.
વિવેકાનંદ કહે છે, ” હું મુકત છું એમ જાહેર કરવાની તમે હિંમત કરી શકો તો આ પળે જ તમે મુકત છો.” દવા કે લેપ નહીં, સીધું ઈન્જેકશન ! આમાં ટુકડે ટુકડે વિચારવાનું નથી. અહીં તો ચોવીસે કલાક એક જ વિચાર કરવાનો છે કે ” હું ઈશ્વર જ છું. માટે મુકત જ છું. મને કોઈ જ મર્યાદા અસર ન કરી શકે. હું અનંત છું. વિરાટ છું. માટે મુકત છું. મારે મુકત થવાનું નથી, માત્ર
‘જાણવાનું’ છે કે હું મુકત છું. કેવળ જ્ઞાન જ મુકિત આપી દેશે.” આ વિચારને પળેપળ-સમગ્ર દિવસ અને રાત, જાગૃતિપૂર્વક ભમળાવતા રહેવાનો છે. એ સ્તરે મમળાવવાનો છે કે તે લોહીમાં ભળી જાય. લોહી આ વિચારમય થઈ જાય. સમગ્ર વ્યકિતત્વ આ વિચારમય થઈ જાય. તો વ્યકિતમાં ઈશ્વરત્વ પ્રગટ થતું જશે. શરત છે આ વિચારને સિધ્ધ કરવા ” મંડયા રહેવું.” એક જ ધ્યેય- પોતામાં રહેલ એશ્વર્યને પ્રગટ કરવું. પધ્ધતિ ચોવીસે કલાક પોતાના ઈશ્વરત્વનું રટણ. પરિણામ ભ્રમણાત્મક ખ્યાલોરૂપી સાંકળોનું ખરી પડવું. “મુકિત”ની અનુભૂતિ વધતી જવી. પરમ સ્વાતંત્ર્યનો આનંદ માણવો.તો, આ છે પરમ ધ્યેય. એક માત્ર ધ્યેય. બહાર જે પણ કરાય તે કરવું, પણ અંદર તો આ એક જ એશ્ચર્યનું રટણ કરવું.
આહા! તો પછીના નવા વર્ષે “સાચો અને પરમ” આનંદ મળશે. ખાતરી. આજીવન વોરંટી !
નવા વર્ષની આ જ શુભેચ્છા.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com
