વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૬૧. જી. એલ. રાવલ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    માત્ર પોતાના ભાઈઓ નિર્માતા બી.એલ રાવલ અને નિર્દેશક સી.એલ રાવલ ની છત્રછાયામાં રહી રાવલ ફિલ્મ્સની જ ફિલ્મોમાં ગીત લખનાર જી એલ રાવલ ઉર્ફે ગુલઝારીલાલ રાવલ ની ગીત રચનાઓની ગુણવત્તા જોતાં આપણને લાગે કે એમણે વધુ ગીતો લખ્યા હોત તો કેટલું સારું !

    રાવલ ફિલ્મ્સની મિસ ઈન્ડિયા (૧૯૫૭) થી લેખક તરીકે શરૂઆત કરી. એમની જ એ પછીની ‘દિલ હી તો હૈ ‘ ( રાજ કપૂર- નૂતન – રોશન – સાહિર) ફિલ્મની કથા, પટકથા  અને સંવાદો લખ્યા. રાવલ બંધુઓની એ પછીની દિલને ફિર યાદ કિયા (૧૯૬૬) , આબરૂ ( ૧૯૬૮ )લડકી પસંદ હૈ ( ૧૯૭૧ ) અને ચોર મંડલી ( અપ્રદર્શિત ૧૯૮૩ )માં એમણે ગીતો લખ્યા. એમણે લખેલા ફિલ્મ ‘દિલ ને ફીર યાદ કિયા’ ના બધા જ દસ ગીતો ઝળહળતી સફળતાને વરેલા. ઉપરોક્ત ચાર ફિલ્મોમાં એમણે લખેલા પચીસેક ગીતોમાંથી આ બે જાણીતી ગઝલ વાંચીને લાગ્યા વગર રહે નહીં કે એમનું સર્જકત્વ બિનજરૂરી રીતે મર્યાદિત રહી ગયું !

    યે દિલ હૈ મોહબ્બત કા પ્યાસા ઇસ દિલ કા તડપના ક્યા કહીએ
    માયુસ હૈં હમ મગરૂર હો તુમ ઔર તુમ પે હી મિટના ક્યા કહીએ

    યે શૌક હમે કે ઉઠા લેં ઉન્હેં વો શર્મ- ઓ – હયા કે મારે હૈં
    યે હદ સે ગુઝર જાના અપના ઔર ઉનકા સિમટના ક્યા કહીએ

    કિસ સોચ મેં હો કુછ હોશ નહીં યે ગભરાહટ ભી કૈસી હૈ
    બલ ખા કે હમી સે હટ જાના ફિર હમ સે લિપટના ક્યા કહીએ

    આ જાઓ હમારી બાહોં મેં હાએ યે હૈ કૈસી મજબૂરી
    હમ આપકે હૈં કોઈ ગૈર નહીં અપનો સે ઉલઝના ક્યા કહીએ..

     

    https://youtu.be/s4GReRFGQSA?feature=shared

    – ફિલ્મ : દિલ ને ફિર યાદ કિયા ૧૯૬૬
    – મુકેશ
    – સોનિક ઓમી

     

    જિન્હેં હમ ભૂલના ચાહેં વો અક્સર યાદ આતે હૈં
    બુરા હો ઇસ મોહબ્બત કા વો ક્યોં કર યાદ આતે હૈં

    ભુલાએં કિસ તરહ ઉનકો કભી પી થી ઉન આંખોં સે
    છલક જાતે હૈં જબ આંસુ તો સાગર યાદ આતે હૈં

    કિસી કે સુર્ખ લબ થે યા દિયે કી લૌ મચલતી થી
    જહાં કી થી કભી પૂજા વો મંદર યાદ આતે હૈં

    રહે ઐ શમા તુ રૌશન દુઆ દેતા હૈ પરવાના
    જિન્હેં કિસ્મત મેં જલના હો વો જલ કર યાદ આતે હૈં..

     

    –  ફિલ્મ : આબરૂ ૧૯૬૮
    – મુકેશ
    – સોનિક ઓમી


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • વાદ્યવિશેષ : (૧૪) – તંતુવાદ્યો (૧૦) : ટાઈશોકોટો

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    મૂળે જાપાનમાં ઉદભવેલું આ તંતુવાદ્ય સામાન્ય રીતે ટાઈસોકોટો અથવા તાઈશોગોતો જેવાં નામો વડે પણ ઓળખાય છે. આપણા દેશમાં તે પંજાબમાં પ્રવેશ્યું અને સમય જતાં અન્ય પ્રાંતોમાં પણ ખાસ્સું પ્રચલિત બની રહ્યું છે. અહીં તે બુલબુલતરંગ નામથી પણ જાણીતું છે. ઘણા લોકો તેને બેન્જો પણ કહે છે, પણ હકિકતે બેન્જો એક અલગ વાદ્ય છે, જે રબાબને મળતું આવે છે. નીચે જોઈ શકાય છે તેમ આ બન્ને વાદ્યો રચના અને પરિણામે વાદનની પદ્ધતિથી ખાસ્સાં અલગ પડે છે. આપણો ઉપક્રમ એવાં ફિલ્મી ગીતો માણવાનો છે, જેના વાદ્યવૃંદમાં  ટાઈશોકોટોના અંશોનો સમાવેશ થયો હોય.

    ઉપર જોઈ શકાય છે તેમ આ વાદ્ય લાકડાની બનેલી એક લંબઘન રચના છે. તેમાં સામસામેના છેડે ચોક્કસ સંખ્યામાં તાર બાંધેલા હોય છે. એક છેડા પાસે નખલી તરીકે ઓળખાતા સાધન વડે પ્રહાર કરી ને ધ્વનિ ઉત્પન્ન કરવામાં આવે છે,  તે જ સમયે ઉપરના ભાગે આવેલી છાજલી જેવી રચના સાથે જોડાયેલી ચાવીઓ વડે તે ધ્વનિને નિયંત્રિત કરી, અપેક્ષિત સૂર નિપજાવવામાં આવે છે. આ થઈ એક લાક્ષણિક ટાઈશોકોટોની રચના. કાળક્રમે તેના સ્વરૂપમાં અને વાદનશૈલીમાં ખાસ્સા ફેરફારો થતા રહ્યા છે, જેની ચર્ચા અત્રે અપ્રસ્તુત છે. પ્રસ્તુત ક્લિપમાં એક શિખાઉ બાળક લાક્ષણિક ટાઈશોકોટો વગાડી રહ્યો છે તે જોતાં/સાંભળતાં આ વાદ્યની રચના, વાદનશૈલી તેમ જ તેના સ્વરનો ખ્યાલ આવશે.

     

    હવે કેટલાંક ફિલ્મી ગીતો માણીએ, જેમાં ટાઈશોકોટોના અંશોનો સમાવેશ થયો હોય.

    ૧૯૫૪માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બૂટ પાલીશ’ના ગીત જોન ચાચા તુમ કિતને અચ્છેમાં આ વાદ્યના ખુબ જ પ્રભાવક અંશો છે. વિશેષમાં અદાકાર ડેવીડ તેને વગાડતા જોઈ શકાય છે. સંગીત શંકર-જયકિશનનું છે.

    https://www.youtube.com/watch?v=SB_lBd6hz2c

    તે જ ફિલ્મના અન્ય ગીત ચલી કૌન સે દેસમાં પણ ટાઈશોકોટો સાંભળવા મળે છે. અહીં એક અજ્ઞાત કલાકાર આ વાદ્ય છેડી રહેલા નજરે પડે છે.

     

    ફિલ્મ ‘નાગીન’ (૧૯૫૪)ના હેમંતકુમારના સંગીતદિગ્દર્શનમાં બનેલા ગીત જાદૂગર સૈયાં છોડો મોરી બૈયાંમાં ટાઈશોકોટોના મધુર અંશો કાને પડે છે.

     

    ૧૯૫૭ની ફિલ્મ ‘એક ગાંવ કી કહાની’માં સલિલ ચૌધરીનુ સંગીત હતું તે ફિલ્મના ગીત રાત ને ક્યા ક્યા ખ્વાબ દિખાયેના મધ્યાલાપમાં મુખ્ય વાદ્યની સમાંતરે ટાઈશોકોટોના અંશો સંભળાતા રહે છે.

    ૧૯૬૩ની ફિલ્મ ‘રૂસ્તમ સોહરાબ’નાં સજ્જાદ હુસૈનનાં સ્વરબધ્ધ કરેલાં ગીતો તે સમયે તો ખુબ જ લોકપ્રિય થયાં જ હતાં, પણ આજે છ દાયકા પછી સુદ્ધાં તેમની લોકપ્રિયતા બરકરાર છે. તે પૈકીની એક કવ્વાલી પ્રકારની રચના ફીર તુમ્હારી યાદ આયી હૈ સનમમાં એક કલાકાર ટાઈશોકોટો વગાડતા જોઈ શકાય છે. વાદ્યવૃંદમાં અલબત્ત, તેના સ્વરો એકદમ પ્રચ્છન્ન જણાય છે.

    ફિલ્મ ‘અમર અકબર એન્થની’ (૧૯૭૭)ની સફળતામાં લક્ષ્મીકાંત-પ્યારેલાલના નિર્દેશનમાં બનેલાં ગીતોનો મોટો ફાળો રહ્યો છે. તેની એક કવ્વાલી પરદા હૈ પરદાના પૂર્વાલાપમાં ટાઈશોકોટોના અંશો સંભળાય છે. પરદા ઉપર પણ એક કલાકાર આ વાદ્ય વગાડતા જોઈ શકાય છે.

    ફિલ્મ ‘કર્મા’(૧૯૮૬)ના પ્રસ્તુત ગીત દિલ દિયા હૈ જાં ભી દેંગેના મધ્યાલાપમાં તેમ જ ગાયકીને સમાંતર ટાઈશોકોટોના સ્વર કાને પડતા રહે છે. સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું છે.

    આ કડીના સમાપનમાં ટાઈશોકોટોનું આધુનિક સ્વરૂપ જોઈએ અને તેના સ્વર માણીએ. આ માટે પ્રસ્તુત છે ૨૦૧૬માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘બેન્જો’ના ગીત ઓમ ગણપતયે નમ:. સંગીત વિશાલ-શેખરનું છે.

     

    આવતી કડીમાં નવા વાદ્ય સાથે મળીશું.

     

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • બાળકોએ ગાયેલા ગીતો – मास्टरजी की आई चिट्ठी

    નિરંજન મહેતા

    ૧૯૭૦ પહેલાના બાળગીતો તા. ૨૨.૦૬.૨૦૨૪નાં દિવસે અહીં મુકાયા હતાં. ત્યાર પછીના કેટલાક ગીતો આ લેખમાં સમાવાયા છે.

     

    સૌ પ્રથમ છે ૧૯૭૦ની ફિલ્મ ‘મસ્તાના’નુ

     

    मैंने माँ को देखा है
    देखा है माँ को देखा है
    माँ का प्यार नहीं देखा
    मैंने माँ को देखा है
    माँ का प्यार नहीं देखा

     

    શાળાના એક કાર્યક્રમમાં બાળકલાકાર (બોબી?) માની યાદમાં આ ગીત ગાય છે. ગીતમાં મેહમુદને પણ દર્શાવાયો છે. ગીતકાર છે આનદ બક્ષી, સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ અને ગાયિકા છે લતાજી.

    https://youtu.be/H2QcSQ4ZmQ

     

    ૧૯૭૦ની અન્ય ફિલ્મ ‘સમાજ કો બદલ ડાલો’નુ આ ગીત ભીખ માંગતા બે બાળકો પર રચાયું છે.

    अम्मा एक रोटी दे बाबा एक रोटी दे
    भूखे बच्चे मांग रहे है
    कबसे हाथ पसार के
    अम्मा एक रोटी दे बाबा एक रोटी दे

    સાહિર લુધિયાનવીનાં શબ્દોને સંગીત આપ્યું છે રવિએ. ગાનાર કલાકારો છે લતાજી અને ઉષા મંગેશકર.

    https://youtu.be/cijAc1zW3w8

    ૧૯૭૧ની ફિલ્મ ‘અંદાઝ’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે.

    है ना बोलो बोलो
    पापा को मम्मी से
    मम्मी को पापा से
    प्यार है, प्यार है

    બે બાળકો પોતપોતાના માતા પિતા કે જે વિધવા વિધુર છે તેમને ભેગા કરવા પ્રયત્ન કરે છે ત્યારે આ ગીત મુકાયું છે. કલાકારો છે હેમા માલિની, શમ્મી કપૂર, અલંકાર જોશી અને અન્ય. શબ્દો છે હસરત જય્પુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. ચાર કલાકારો માટે સ્વર આપ્યો છે ચાર જુદા જુદા ગાયકોએ. તે છે રફીસાહેબ, સુમન કલ્યાણપુર, પ્રતિભા અને સુષમાં શ્રેષ્ઠા.

    https://youtu.be/GUr4lOI87zE

    ૧૯૭૧ની અન્ય ફિલ્મ ‘ગુડ્ડી’ જે એક કિશોરવયની શાળામાં ભણતી કન્યાના ફિલ્મ કલાકારો પ્રત્યેના આકર્ષણને ઉજાગર કરે છે. શાળામાં ગવાતું આ પ્રાર્થનાગીત છે.

    हम को मन की शक्ति देना,
    मन विजय करें ।
    दूसरों की जय से पहले,
    खुद को जय करें ।

    જયા ભાદુરી કલાકાર છે. ગીતના શબ્દો છે ગુલઝારના અને સંગીત આપ્યું છે વસંત દેસાઈએ. ગાયિકા છે વાણી જયરામ.

     

    ૧૯૭૧ વધુ એક ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’માં એક બાળક ભવિષ્યમાં એક્ટર બનવાને લગતી વાત કરે છે

    ऐसा बनूँगा एक्टर मै यारो
    हाय ऐसा बनूँगा एक्टर मैं यारो
    रंग जमके छोडूंगाचूना लगाने वालोंको
    आय हाय मेंचुना लगाके छोड़ूँगा

    કલાકાર છે જુનીઅર મહેમુદ. ગીતના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ. સ્વર છે હેમલતાનો.

    ૧૯૭૨ની ફિલ ‘પરિચય’ અંગ્રેજી ફિલ્મ ‘SOUND OF MUSIC’ પર આધારિત છે જેમાં બાળકોને કારમાં ફરવા લઇ જતી વખતે આ ગીત ગવાય છે.

    सा रे के सा रे गमा
    को लेकर गाते चले
    सा रे के सा रे गमा
    को लेकर गाते चले
    पापा नहीं है धनि सी दीदी
    दीदी के साथ है सरे

    જીતેન્દ્ર અને જયા ભાદુરી સાથે જે બાળકલાકારો છે તે છે રાજુ શ્રેષ્ઠા, બેબી પિંકી, માસ્ટર રવિ અને અન્ય. ગીતકાર ગુલઝાર, સંગીતકાર આર.ડી.બર્મન અને ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

    https://youtu.be/7UjFArm0HMo

    ૧૯૭૨ની અન્ય ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’નુ આ ગીત બે ભાઈ બહેનોના પ્યારભર્યા સંબંધને દર્શાવે છે. રિસાયેલી બહેનને સંબોધીને આ ગીત ગવાયું છે.

    फूलों का तारों का सबका कहना हैएक हज़ारों में मेरी बहना हैसारी उमर हमें संग रहना है ये न जाना दुनिया ने तू है क्यूँ उदास, तेरी प्यासी आँखों में प्यार की है प्यास, आ मेरे पास आ कह जो कहना है, બાળકલાકારો છે સત્યજીત અને મીના. આનંદ બક્ષીના શબ્દોને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને અને ગાયિકા છે લતાજી.

    ૧૯૭૬ની ફિલ્મ ‘કાલીચરણ’નુ આ ગીત શાળાના એક કાર્યક્રમમાં ગવાય છે.

    एक बटा दो
    दो बटे चार
    छोटी छोटी बातो में
    बट गया संसार

    બાળકલાકારો કોણ છે તે જણાતું નથી.  ગીતકાર છે ઇન્દ્રજીત તુલસી, સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ અને ગાયિકાઓ છે કાંચન અને અનુરાધા પૌડવાલ.

    ૧૯૭૭ની  ફિલ્મ ‘અપનાપન’નુ આ ગીત શાળામાં ‘પેરન્ટસ ડે’ ને અનુલક્ષીના ગવાયું છે.

    एक दिन मै सौ बार करती हूँ
    मै डेडी से प्यार करती हूँ

    બાળકોના આ સમુંહગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયિકાઓ છે દિલરાજ કૌર અને અનુરાધા પૌડવાલ.

    ૧૯૭૭ની ફિલ્મ ‘કિતાબ’નું  આ ગીત ક્લાસમાં મસ્તી કરતાં વિદ્યાર્થીઓ પર રચાયું છે.

    मास्टरजी की आई चिट्ठी

    चिठ्ठी में से निकली बिल्ली

    માસ્ટર રાજુ, માસ્ટર ટીટો અને અન્ય બાળકલાકારો આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો ગુલઝારના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. સ્વર આપ્યો છે શિવાંગી કોલ્હાપુરે

    ૧૯૮૧ની ફિલ્મ ‘ યારાના’નુ ગીત છે

    बिशन चाचा कुछ गाओ
    अरे रे रे ऐसा तराना झूम के गाऊं
    संग संग दुनिया झुमे

    સ્ટીમર પર સફર માણતાં બાળકો અમજદખાનને ગીત ગાવાનું કહે છે અને તેમાં સાથ પુરાવે છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત આપ્યું છે રાજેશ રોશને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૮૧ની ફિલ્મ ‘એક હી ભૂલ’નુ ગીત એક પિતા અને પુત્ર વચ્ચે થતાં સંવાદનું કાવ્ય સ્વરૂપ છે.

    ओ राजु ओ डेडी
    मम्मी से तुम मेरी सुलह करा दो
    इक पप्पी से सारा झगड़ा मिटा दो
    मैं तुम से कल मुलाक़ात करूँगा
    अच्छा मैं मम्मी से बात करूँगा

    પોતાની રિસાયેલી પત્નીને મનાવવા જીતેન્દ્ર બેબી પિંકીને વિનવે છે. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. સ્વર છે એસ.પી. બાલાસુબ્રમણ્યમ અને રાજેશ્વરીના.

    https://youtu.be/VQDoEUk7oQc

    ૧૯૮૨ની ફિલ્મ ‘ડિસ્કો ડાન્સર’નુ ગીત છે

    गोरों की ना कालों की
    दुनियां है दिलवालों की
    हसके जियें हसके मरें
    हम जैसे दिलवालो की

    જાહેરમાં ખેલ કરતાં રાજેશ ખન્ના અને બેબી પિંકી આ ગીતના કલાકારો છે. ગીતના શબ્દો છે અનજાનના અને સંગીત છે બપ્પી લાહીરીનું. સ્વર છે સુરેશ વાડકરનો.

    ૧૯૮૨ની ફિલ્મ ‘અનોખા બંધન’નુ આ ગીત રિસાયેલી માને મનાવવા દીકરો ગાય છે.

    तू इतनी दूर क्यों है माँ
    बता नाराज़ क्यों है माँ
    मैं तेरा हूँ बुला ले तू
    गले फिर से लगा ले तू
    ओ माँ प्यारी माँ

    શબાના આઝમી અને માસ્ટર બીટુ આ ગીતના કલાકારો છે. ગીતકાર નિદા ફાઝલી અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. ગાયિકા અલકા યાજ્ઞિક.

     

    ૧૯૮૩ની ફિલ્મ ‘માસુમ’નુ આ ગીત આજે પણ પ્રચલિત છે.

    लकड़ी की काठी काठी पे घोड़ा
    घोडे की दुम पे जो मारा हथौड़ा
    दौड़ा दौड़ा दौड़ा घोड़ा दुम उठा के दौड़ा

    ત્રણ બાળકલાકારો પર રચાયેલ આ ગીતના બાળકો છે જુગલ કિશોર, ઉર્મિલા માતોંડકર અને અન્ય. ગીતકાર ગુલઝાર અને સંગીતકાર આર.ડી.બર્મન. ગાયિકાઓ છે ગૌરી બાપટ, ગુરપ્રિત કૌર અને વનિતા મિશ્રા.

    આ ગીત આપણું ગુજરાતી બાળગીત ‘દાદાજીનો ડંગોરો લીધો, તેનો તો મેં ઘોડો કીધો’ની યાદ અપાવે છે.

    ૧૯૮૫ની ફિલ્મ ‘પ્યાર ઝુકતા નહિ’નુ ગીત માથી જુદા પડેલા પુત્રના મનોભાવને દર્શાવે છે.

    तुमसे मिलकर ना जाने क्यूं और भी कुछ याद आता है
    आज का अपना ये प्यार नहीं है जन्मों का ये नाता है

    કલાકાર છે માસ્ટર વીકી અને પદ્મિની કોલ્હાપુરે, એસ.એચ. બિહારીના શબ્દો છે અને લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત. ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિ.

    ૧૯૮૭ની ફિલ્મ ‘મિ. ઇન્ડિયા’નુ આ ગીત એક પેરેડી ગીત છે જે ફિલ્મ ‘બોબી’ના ગીત ‘ના માંગુ સોના ચાંદી’ પર આધારિત છે.

    ना मांगे सोना चांदी
    हम मांगे माफ़ी दीदी
    लो पकड़े हम कान रे

    અનિલ કપૂર, શ્રીદેવી અને બાળકલાકારો પર રચાયેલ આ ગીતના ગીતકાર છે જાવેદ અખ્તર જેને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયકો છે અનુરાધા પૌડવાલ અને શબ્બીરકુમાર.

     

    ૧૯૮૮ની ફિલ્મ ‘ઘર ઘર કી કહાની’નુ આ ગીત પણ બાળકો રિસાયેલી દાદીમાને સંબોધે છે.

    दादी माँ दादी माँ
    प्यारी प्यारी दादी माँ
    देखो ज़रा इधर देखो
    गुस्सा छोडो दादी माँ

    શશીકલા દાદીમાના પાત્રમાં છે. ગીતકારનું નામ જણાવાયું નથી પણ સંગીતકાર છે બપ્પી લાહિરી અને ગાયકો છે શબ્બીરકુમાર અને અલકા યાજ્ઞિક.

     

    ૧૯૯૪ની ફિલ્મ ‘આ ગલે લગ જા’નુ ગીત એક પાર્ટી ગીત છે.

    मुझसे है पहले का नाता कोई
    यूँ ही नहीं दिल लुभाता कोई
    जाने तू या जाने ना, माने तू या माने ना

     

    અપાહિજ પુત્ર માસ્ટર ટીટો બે પ્રેમીઓ શશીકપૂર અને શર્મિલા ટાગોરને ઉદ્દેશીને આ ગીત ગાય છે જે તે બંનેને અતીતની યાદ અપાવે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત છે આર.ડી.બર્મનનુ. ગાયકો છે કિશોરકુમાર અને સુષમા શ્રેષ્ઠા.

     

    હજી કદાચ ગીતો રહી ગયા હોય તો સુજ્ઞ મિત્રોને તે જણાવવા વિનંતી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • બાળ ગગન વિહાર – મણકો – ૩૮ – પહેલો દિવસ બાળકો સાથે

    શૈલા મુન્શા

    આજે મારે વાત કરવી છે મારા દિવ્યાંગ બાળકોનો પહેલો દિવસ સ્કૂલમાં. મને યાદ આવી ગયું ૨૦૧૩નું વર્ષ કારણ એ વર્ષે મારા ક્લાસમાં ઘણા ફેરફાર થયાં હતાં.

    નવું વર્ષ શરૂ થાય ત્યારે અમેરિકામાં બધા શિક્ષકો માટે તો બે અઠવાડિયા પહેલાં જ સ્કૂલ શરૂ થઈ જાય કારણ ક્લાસમાં બધી તૈયારી ધોરણ અનુસાર કરવાની હોય, અને સ્કૂલ શરૂ થાય તે પહેલાં બધાં માતા પિતા બાળકને લઈ શિક્ષકને મળવા આવે, સ્કૂલમાં ગણવેશ અને જોઈતી વસ્તુનું લિસ્ટ આપવામાં આવે. આમ બાળક અને શિક્ષકનો પરિચય પણ થઈ જાય.

    પહેલો દિવસ બાળકો માટે અને ખાસ કરીને પહેલીવાર સ્કૂલમાં આવતાં નાનાં ચાર વર્ષનાં બાળકો થોડા ઘભરાઈ જાય એ સ્વાભાવિક છે. પહેલો દિવસ તો સ્કૂલના બધા શિક્ષકો અને પ્રિંસિપાલથી માંડી ઓફિસ સ્ટાફ માટે રઘવાટભર્યો હોય. ચારેબાજુ માતા પિતા નાના બાળકો સાથે અને શિક્ષકોની દોડાદોડી. Pre-K ના બાળકો પહેલીવાર સ્કૂલમાં આવતા હોય એટલે રડવાનો અવાજ ચરેબાજુ અને ઘણા બાળકો તો પોતાના માતા પિતાને છોડવા તૈયાર નહિ.
    આ તો આખી સ્કૂલનો ચિતાર પણ અમારા બાળકો (PPCD- pre-Primary children with disability) તો જુના અને નવાનું મિશ્રણ હોય, કારણ અમારા ક્લાસમાં ત્રણ વર્ષે આવતું બાળક છ વર્ષનું થાય ત્યાં સુધી અમારા ક્લાસમાં જ હોય. છ વર્ષ પછી પહેલા ધોરણમાં જાય. જેમ જેમ બાળકો આગળના ક્લાસમાં જાય તેમ નવા બાળકો પણ આવતાં જાય, એટલે થોડા જુના અને થોડા નવા. એ વર્ષે ટીચર પણ નવી અને ચારેક બાળકો પણ નવા આવ્યાં.

    ડેનિયલ અને ડુલસે તો જેવા બસમાંથી ઉતર્યા કે મને બાઝી પડ્યા. બે મહિના ઘરે રહીને ડેનિયલભાઈ તો બધું ભુલી ગયા હતા. આગલ વર્ષે શીખવાડેલું અંગ્રેજી બધું ભુંસાઈ ગયું હતું અને કડકડાટ સ્પેનિશ ચાલુ થઈ ગયું હતું. ખરી મઝા સવારના નાસ્તા વખતે આવી. સીરીયલને દુધને બદલે ડેનિયલને ટાકો જોઈતો હતો. (મેક્સિકન લોકો મકાઈની રોટલીમાં ચિકન ને સાલસા બધું ભરી ગોળ વીંટો વાળી ને ખાય.) વેકેશનની મજા શરીર પર દેખાતી હતી. આમ પણ ડેનિયલ ગોળમટોળ હતો અને હવે થોડો લાંબો અને ગાલ ભરાયા હતા. તોફાન થોડા ઓછા થયા હતા.

    એ.જે ઘણું બોલતા શીખી ગયો હતો. મારૂ નામ બરાબર બોલતો હતો. “હલ્લો મુન્શા” અને નવા ટિચરને “હલ્લો ટિચર” કહી બોલાવતો. “help me” કહેતા પણ શીખી ગયો હતો.. ફક્ત તકલીફ એક જ હતી, વારંવાર એ એકની એક વાત કહ્યા કરતો. જમવાના સમયે જ્યારે એક એક કોળિયે “Thank you” કહેવા માંડ્યો અને એ કહેવાની રીત એટલી સરસ હતી કે ત્યારે મને “ઈન્ડિયન આઈડોલ” ની નાનકડી હસતી સુગંધા દાતે, (જેના બે દાંત નહોતા) એ યાદ આવી ગઈ હતી.
    ડુલસે જેવી જ બીજી નાનકડી નવી છોકરી બ્રીટ્ની આવી હતી. જસ્ટીન અને તઝનીન જેવા નવા બાળકો જોડાયા હતાં. પાણીની ધારને “Rain bow” કહેવાવાળો મીકેલ એ વર્ષથી એની કાબેલિયતને લીધે સામાન્ય વિધ્યાર્થીઓના ક્લાસમાં ભરતી કરવામાં આવ્યો હતો, પણ હજી સ્પેસિઅલ નીડ બસમાં જ આવતો કારણ હજી એને Autistic બાળકનું લેબલ હતું.

    જેવો એ બસમાંથી ઉતર્યો તેવો હમેશની આદત પ્રમાણે અમારા ક્લાસમાં જઈ પોતાનું દફતર લટકાવવા માંડ્યો. મારે એને સમજાવીને એના નવા ક્લાસમાં લઈ જવો પડ્યો, ત્યાં પહોંચતા સુધીમાં તો એ કેટકેટલું બોલી ગયો. બે મહિનાના વેકેશન દરમિયાન વધુ ડાહ્યો અને સમજુ થઈ ગયો હતો.

    મારી સાથે એ વર્ષે જે નવી ટીચર આવી, મીસ સમન્થા એનું વલણ ઘણું સકારાત્મક અને દિવ્યાંગ બાળકોને સંભાળવાની ઘણી કુનેહ હતી. પહેલે દિવસે જ મને કહેવા માંડી, ”મીસ મુન્શા પ્રિન્સીપાલ થી માંડી જે ટીચરને હું મળી એ બધા એ મને કહ્યું તું જરાય ચિંતા ના કરીશ. મીસ મુન્શા તારી સાથે છે અને એ આ બાળકો સાથે ઘણા સમયથી કામ કરે છે માટે તને જરાય વાંધો નહિ આવે” સમન્થાએ મારા અનુભવોનુ હંમેશા માન રાખ્યું અને નવું કામ શરૂ કરતાં અચૂક મારા મતને ધ્યાનમાં લીધો.

    ભગવાનની મારા પર અસીમ કૃપા રહી છે કે મારા જીવનનાં એ સોનેરી વર્ષો જે મેં આ દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું એ બધાનો ખૂબ પ્રેમ પામી અને જે શિક્ષકો સાથે કામ કર્યું એ બધાએ મને એક અનુભવી શિક્ષિકા, એક માતા અને એક ભારતીય નારીના દેશી નુસ્ખા જે મેં કહ્યા એને મારૂં માની અપનાવ્યા અને મને ભરપૂર આદર આપ્યો.

    મારા જીવનનાં એ અણમોલ વર્ષો છે જે આજે પણ મને હર તકલીફ કે મુસીબતમાં લડવાની શક્તિ આપે છે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

     

  • મનના બે ચહેરા!

    હરેશ ધોળકિયા

    માત્ર ભારત જ નહીં, સમગ્ર જગત આકાશમાં વિસ્મયથી જોતું હતું કે કયારે ભારતનું ચન્દ્રાયન-૩ ચન્દ્ર પર ઉતરે છે. અવકાશ ક્ષેત્રમાં દાદુ મનાતું રશિયાનું ચન્દ્રયાન અચાનક છેલ્લી ઘડીએ નિષ્ફળ ગયું, પણ અવકાશમાં હજી પાપા પગલી ભરતાં,ભારતનું ચન્દ્રયાન-૩, એટલે કે ત્રીજું યાન ધીમે ધીમે પણ મકકમતાથી ચન્દ્રની સપાટી નજીક જતું હતું. આજ સુધી ઘણાં યાનો ચન્દ્રની સપાટી પર ઉતર્યાં છે, પણ આ યાન પહેલી વાર ચન્દ્રની દક્ષિણ બાજુ તરફ ઉતરવા માગતું હતું. આ ઉતરાણ ખૂબ જ વિશિષ્ટ અને સૂક્ષ્મ ટેકનીકલ ક્ષમતા માગે છે જે આ યાન કરવાનું હતું. અમેરિકા, ચીન, રશિયા, ફાન્સ- બધા અધ્ધર શ્વાસે આ ઘટનાને જોતા હતા.

    ભલે આ ઘટના પૂરી સફળ ન થઈ, પણ આ ઘટના નાની સૂની નથી. તે સૂક્ષ્મતમ બુધ્ધિ- પ્રજ્ઞા જ કહો- માગે છે. યાન બનાવવાથી લઈ તે અવકાશમાં જવાની શરુઆત કરે ત્યાંથી ચન્દ્ર પર ઉતરે, ત્યાં પળેપળ કામ કરે અને પૃથ્વી પર સતત સંદેશાઓ અને માહિતી મોકલતું રહે-આ બધાની જે તૈયારી કરવાની હોય છે તેનો વિચાર આપણને ગુંચવી નાખે છે. જયાં સાઈકલની ચેઈન ચડાવવી પણ મુશ્કેલ લાગતી હોય કે સ્કૂટરનો પ્લગ બદલાવવો પણ તકલીફ રુપ હોય, ત્યાં આ સૂક્ષ્મતમ કામગીરી કેમ થતી હશે તેની કલ્પના કરવી પણ લગભગ અશકય છે. દરેક પળના લાખમા ભાગમાં યાને કઈ કામગીરી કરવાની છે- ચાલુ રહે ત્યાં સુધી-તે બધું જ કમ્પ્યુટરમાં ફીડ કરવાનું છે. તેના પ્રોગ્રામ બનાવવાના હોય છે. આ પ્રોગ્રામ પાછા કોઈ પણ અડચણ વિના સતત ચાલુ રહે એ પણ જોવાનું હોય છે. અવકાશમાં કયાં વળાંક લેવાનો છે, કયારે લેવાનો છે, કઈ રીતે લેવાનો છે,

    આ બધું પણ પહેલેથી જ તૈયાર હોય છે. એક સેકન્ડની ગરબડ પણ ન ચાલી શકે. બીજી પળે યાન ખલાસ થઈ જાય.

    અને આ બધું વિજ્ઞાનીઓ કરે છે. તો વિચાર આવે કે આ વિજ્ઞાનીઓનાં ભેજાં કેવાં હશે! શું તાકાત હશે આ બુધ્ધિઓમાં !

    કઈ રીતે વિચારતા હશે તેઓ ! અને આ બધું જેણે પહેલી વાર શોઘ્યું હશે અને પ્રયોગો કર્યા હશે અને સફળતા મેળવી હશે તેનું

    ભેજું તો વળી કેવું જ હશે ! ! સ્તબ્ધ, ચકિત, બાઘા થઈ જવાય છે આ વિચારો કરવાથી. આ અદભુત યાન જે અદભુત રીતે કામ

    કરે છે અને તે કામ કરે માટે તેની જે અદભુત તૈયારી હોય છે, તો આ બધું કરનાર આ લોકોનાં મન કેવાં હશે ? શું તાકાત હશે આ મનોમાં ! કયા સ્તરની બુધ્ધિ હશે તેમની ? પ્રાચીન ત્રદષપિઓ, અવતારો કે જ્ઞાનીઓ જેવી બુધ્ધિ હશે તેમની ! એક પળમાં આદર થઈ જાય છે તેમના વિશે વિચારીએ છીએ ત્યારે. આવી પ્રજ્ઞાઓ સામે આપણે તો લઘુતાર્ગ્રાંથે જ અનુભવીએ.

    થોભો ! એવું ન વિચારો. મનોવિજ્ઞાન અને યોગ કહે છે કે જગતના બધા લોકો પાસે આવી જ બુધ્ધિ છે. ઈચ્છે તો બધા આવાં કલ્પનાતીત કામો કરી શકે છે. ધારે તો માત્ર ચન્દ્ર પર જ નહીં, બધા ગ્રહો પર જઈ શકે છે.

    ધારે તો !

    પણ જગત પર નજર પડે છે તો મોટા ભાગના લોકો બહુ જ સામાન્ય જીવન જીવતા જોવા મળે છે ! એંસી ટકા લોકો તો ખૂબ જ મઘ્યમ સ્થિતિમાં જીવે છે. નથી તેમના પાસે જરુરી સગવડો, નથી પૂરતા પૈસા, નથી આરોગ્ય, નથી તેમની ઈચ્છાઓ પૂરી થતી. આ બધા જ લોકો અભાવોમાં જ જીવન પસાર કરી નાખે છે. જો એમ કહેવાતું હોય કે બધા પાસે આ અદભુત લોકો

    જેવી જ બુધ્ધિ છે, તો આ બધા હેરાન કેમ થયા કરે છે ? સામાન્ય જીવન કેમ જીવે છે ? અવકાશમાં જવું તો ઘેર ગયું, પણ તેઓ તો પોતાની સામાન્ય ઈચ્છાઓ પણ પૂરી કરી શકતા નથી. તો પછી કેમ કહી શકાય કે ” બધા” પાસે આવી જ પ્રજ્ઞા છે ! હા, કેટલાક પાસે હોઈ શકે, અથવા તો છે, પણ બધા પાસે ? શકય જ નથી.

    ફરી થોભો ! આકોશ કાઢવાની છૂટ છે, પણ આ આક્રોશ સાચો નથી. માણસ વિશે જે અભિપ્રાય અપાયો છે તે સંપૂર્ણ સાચો છે. હા, ” બધા” જ આવી પ્રજ્ઞા ધરાવે છે. બધા !

    પણ દેખાતું તો નથી ?

    દેખાય નહીં માટે હોય નહીં એમ માનવું તો અતાર્કિક મનાય. સવારે તારા નથી દેખાતા, તો શું આકાશમાં તારા નથી હોતા ? ઈશ્વર નથી દેખાતો, તો શું ઈશ્વર નથી ? હું ન અનુભવું માટે બધું અસત્ય ?

    પણ પોણી દુનિયા તો સામાન્ય છે જ ને!

    દુનિયા સામાન્ય છે એ વાત સાચી, પણ સામાન્ય રહેવું ફરજિયાત નથી. પ્રજ્ઞાવાન બની શકાય છે.

    પણ એ કેમ શકય છે?

    શકયનો સવાલ જ નથી. પ્રજ્ઞાવાન છે જ બધા. જન્મથી. પળેપળ. મુદો એ નથી કે બધા પ્રજ્ઞાવાન છે કે નહીં, સમસ્યા એ છે કે તેમને તેની જાણ નથી.

    પણ કેમ ખબર નથી ?

    હા, તેનો જવાબ મળતો નથી. પણ સાદો જવાબ છે અજ્ઞાન. પોતા વિશેનું અજ્ઞાન. કદાચ પૂછાય કે આ અજ્ઞાન કયાંથી આવ્યું ? તો જવાબ છે તાલીમનો અભાવ. ખોટું અથવા અધૂરું શિક્ષણ.સમાજને આ ભાન માત્રને માત્ર સમાજમાંના પ્રજ્ઞાશીલ લોકો જ કરાવી શકે. એટલે કે શિક્ષણમાં માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ હોવા જોઈએ. આવા લોકો જ તેમાં દાખલ થાય તે જરુરી છે. સમાજ અને સરકારનું કામ જ એ છે કે તે શિક્ષણમાં દેશનાં શ્રેષ્ઠ વ્યકિતત્વોને જ નીમે. તેમાં જાતિ, જ્ઞાતિ, ધર્મ, રિઝર્વેશન, પક્ષવાદ-કશું જ ન ચાલે. કદાચ એમ કહી શકાય કે આવા વ્યર્થ મુદાઓ સમાજમાં ચાલે કે ટકે છે તેનું કારણ જ એ છે કે સમાજ પ્રજ્ઞાશીલ લોકોને આગળ નથી કરતો. સમાજ પક્ષપાતી છે માટે જ પછાતપણું ટકી રહ્યું છે. ભેદભાવ ચાલુ રહી શકયો છે. કેવળ સંકુચિત સમાજમાં જ આવી નકામી અને વ્યર્થ બાબતો ટકી શકતી હોય છે. કદાચ બીજાં ક્ષેત્રોમાં હોય તો વાંધો ન હોય, પણ જ્ઞાનના ક્ષેત્રમાં તો માત્રને માત્ર પ્રજ્ઞાશીલ લોકો જ ચાલે. તેઓ જ હોવા જોઈએ.

    ચન્દ્રયાનો કેમ સફળ જાય છે ? ફિલ્મો ઉતમ કેમ બને છે ? વિશ્વ કપ કેમ જીતી શકીએ છીએ ? ઈન્ફર્મેશન ટેકનોલોજીમાં કેમ સતત પ્રગતિ થાય છે ? ઉદ્યોગો કેમ સફળ થાય છે?

    કારણ કે આ ક્ષેત્રોમાં કેવળ ઉતમ, પ્રજ્ઞાશીલ, શ્રેષ્ઠ લોકોનો જ આગ્રહ રખાય છે. ત્યાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, પક્ષપાત વગેરે જોવાતાં નથી. જયારે પણ તેમાં ભૂલ થાય છે ત્યારે આ બધાં પણ નબળાં પડે છે. પણ મોટા ભાગે તેમાં સજાગ રીતે કામ થતું હોવાથી ઓછા બનાવો બને છે.

    પણ જ્ઞાન ક્ષેત્રમાં આવો આગ્રહ રખાતો નથી. તેમાં બધા જ ભેદભાવો ચાલે છે. તેમાં સાદા શિક્ષક હોય તો ચાલે, ગુરુનો આગ્રહ રખાતો નથી. પણ જ્ઞાન ક્ષેત્ર પણ કેવળને કેવળ ગુરુઓનો જ આગ્રહ રાખે છે. કેવળ ગુરુ જ શિષ્યની, વિદ્યાર્થીની પ્રજ્ઞાને પ્રગટાવવા સક્ષમ હોઈ શકે. જેની પ્રજ્ઞા પ્રગટ થઈ હોય, તે જ બીજાની પ્રજ્ઞાને પ્રગટાવી શકે. એક દીવો જ બીજા દીવાને પ્રગટાવી શકે. અંધારું પ્રકાશ ન આપી શકે. જે પોતે જ અંધારામાં, અજ્ઞાનમાં ગોથાં ખાતું હોય, તેના પાસેથી શ્રેષ્ઠની કેમ અપેક્ષા રાખી શકાય?

    હકીકતે જગતના કે દેશના બધા જ લોકો જન્મથી જ શ્રેષ્ઠ છે, પૂર્ણ છે, પણ આ પૂર્ણતા કે શ્રેષ્ઠતા સુષુપ્ત છે. તેને બહાર લાવવી પડે છે. પ્રગટાવવી પડે છે. તેને વ્યકત કરતાં શીખવું પડે છે. તેની તાલીમ લેવી પડે છે. તેની સાધના કરવી પડે છે. આ તાલીમ કેવળને કેવળ પ્રજ્ઞાશીલ લોકો જ આપી શકે. કૃષ્ણ તો બધા છે, પણ કૃષ્ણનું કૃષ્ણત્વ માત્ર સાંદીપની જ પ્રગટાવવી શકે.. રામનું રામત્વ માત્ર વશિષ્ઠ જ પ્રગટાવી શકે. નરેન્દ્રનું વિવેકાનંદત્વ માત્ર રામકૃષ્ણ જ પ્રગટાવી શકે.

    તે સમાજ શ્રેષ્ઠ છે જે રામકૃષ્ણ કે સાંદીપની કે વશિષ્ઠોને કામ કરવાની તક આપે છે. અલબત, આ બધાને સમાજના ટેકાની જરા પણ જરુર નથી હોતી. તેઓ જાતે જ શ્રેષ્ઠ હોય છે, પણ સમાજે તેનો ઉપયોગ કરવાનો કરવાની ક્ષમતા કેળવવાની છે. સમાજે તેને કામ કરવા માટે સ્વતંત્રતા આપવાની છે. પોતાની સંકુચિતતા તેમના પર ઢોળવાની નથી. માત્ર આવા લોકોને જ સહાય કરવાની છે. તો જ, માત્ર તો જ, સમાજને સતત પ્રજ્ઞાવાન લોકો મળતા રહેશે.

    જે સમાજ શ્રેષ્ઠને જ સન્માને છે, આદર આપે છે, કેવળ તે જ સમાજ પોતે શ્રેષ્ઠ બની શકે છે.

    કોઈ પણ વ્યકિત, કહેવાતી સામાન્ય કે નબળી વ્યકિત પણ, ચન્દ્રયાન બનાવી શકે છે, ગ્રહો પર જઈ શકે છે. એટલે કે બધા જ શ્રેષ્ઠત્વ સાથે જન્મે છે, તે જ સત્ય છે. પણ તેને પ્રગટાવવાની જવાબદારી તત્કાલીન સમાજ પર હોય છે. જેટલો સમાજ ઉદાર, ગ્રંથિસુકત, વિશાળ મગજ ધરાવતો, તેટલા વધારે પ્રજ્ઞાશીલ લોકો મળવાના. ઈતિહાસ સાક્ષી છે.


    શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
    નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
    ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com

  • ગાય ભાંભરી? ભરો વેરો!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પ્રદૂષણ માટે માનવજાતે ભારે કિંમત ચૂકવવી પડશે એમ અવારનવાર કહેવાતું આવ્યું છે. આનો અર્થ આપણને થતા વિવિધ નુકસાનરૂપી કિંમતનો છે. પણ હવે આમાં એનો શાબ્દિક અર્થ એટલે કે નાણાંકીય કિંમતનો સમાવેશ પણ થશે.

    ડેન્‍માર્ક દેશમાં ઈ.સ.૨૦૩૦થી ખેડૂતો પર નવા જ પ્રકારનો વેરો લાદવાની ઘોષણા કરવામાં આવી છે અને આવો વેરો લાદવાનો પ્રસ્તાવ લાવનાર એ વિશ્વનો સહુ પ્રથમ દેશ છે. ગાય, ડુક્કર, ઘેટાં જેવું પશુધન ધરાવનાર ખેડૂતોને એ લાગુ પડશે. કારણ? આ પશુઓ મિથેનવાયુનો ઉત્સર્ગ કરે છે. મિથેન વૈશ્વિક તાપમાનમાં વૃદ્ધિ માટે સૌથી વધુ જવાબદાર વાયુઓ પૈકીનો એક છે. ડેન્માર્કના કરવેરા મંત્રી યેપ્પે બ્રુસે જણાવ્યું છે કે ડેન્માર્કમાં મિથેન ઉત્સર્જનનું જે પ્રમાણ ૧૯૯૦માં હતું તેમાં ૨૦૩૦ સુધી ૭૦ ટકા જેટલો ઘટાડો કરવાનું લક્ષ્ય છે. પશુધન ધરાવતા ખેડૂતોએ અંગારવાયુના પ્રતિ ટન ત્રણ સો ક્રોનર એટલે કે આશરે ૪૩ યુ.એસ.ડોલર જેટલો વેરો ભરવાનો આવશે, જે ૨૦૩૫ સુધીમાં વધીને ૭૫૦ ક્રોનર એટલે કે આશરે ૧૦૮ યુ.એસ.ડોલર થશે. અલબત્ત, આવકવેરામાં મળતા ૬૦ ટકા વળતરને કારણે ખેડૂતોએ પ્રતિ ટન ૧૨૦ ક્રોનર એટલે કે ૧૭.૩  યુ.એસ.ડોલર ચૂકવવાના થશે, જે વધીને ૨૦૩૫ સુધીમાં ૩૦૦ ક્રોનરે પહોંચશે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    લૅન્ડફીલ તરીકે ઓળખાતી ઘન કચરો ઠાલવવાની ખુલ્લી જગ્યાઓ, તેલ અને કુદરતી વાયુપ્રણાલિઓ તેમજ પશુધન દ્વારા છોડવામાં આવતા મિથેનનું પ્રમાણ ૨૦૨૦થી ઝડપભેર વધી રહ્યું છે. યુનાઈટેડ નેશન્‍સ એન્વાયર્ન્મેન્ટ પ્રોગ્રામના જણાવ્યા અનુસાર ઉત્સર્જિત મિથેન વાયુમાંથી ૩૨ ટકા પશુધન દ્વારા કરવામાં આવે છે. મંત્રી બ્રુસના અનુસાર ૨૦૪૫ સુધીમાં ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ બનવા તરફનું આ મોટું પગલું તેઓ ભરી રહ્યા છે. ‘ક્લાઈમેટ ન્યુટ્રલ’ એટલે ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય કરી દેવું. કૃષિ પર વાસ્તવિક અંગારવાયુનો વેરો લગાવવાનો આરંભ કરનાર પહેલવહેલો દેશ ડેન્‍માર્ક હશે અને અન્ય દેશો પણ તેને અનુસરશે એમ તેમણે ઊમેર્યું હતું.

    ન્યુઝીલેન્‍ડે પણ લગભગ આવો જ કાયદો તૈયાર કરેલો છે, જેનો અમલ ૨૦૨૫થી થવાનો છે. જો કે, એ બાબતે ખાસ્સો ઊહાપોહ થતાં હમણાં કૃષિક્ષેત્રને તેમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવાયો છે.

    યુરોપભરના ખેડૂતો પોતપોતાના દેશની કૃષિનીતિ, ખાસ કરીને હવામાન સુધારણા અંગે લેવાતાં પગલાં  બાબતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કેમ કે છેવટે તે રાહતમાં ઘટાડો કરે છે, અને ખેડૂતોને વધુ દેવાદાર બનાવે છે.

    આ વેરા થકી ઊભી થતી આવકનો ઊપયોગ સરકાર વૃક્ષો ઉછેરવામાં કરશે એમ કહેવાયું છે. બ્રિટીશ વડાપ્રધાન વિન્‍સ્ટન ચર્ચીલે કહેલું, ‘તેઓ હવા અને પાણી પર પણ વેરો લાદશે.’ અલબત્ત, આ વિધાન તેમણે સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ભારતના નેતાઓ સંદર્ભે કહેલું. પણ એ સાચું પુરવાર થઈ રહ્યું છે, અને કેવળ ભારતના નહીં, મોટા ભાગના દેશના નેતાઓ બાબતે.

    ગાય દ્વારા ઉત્સર્જિત મિથેન પર વેરો લાદીને આવક ઊભી કરવાનો જ મુખ્ય આશય હોય એમ જણાય છે, કેમ કે, વનીકરણ માટેનાં નાણાં સરકાર પાસે ન હોય એમ બને નહીં. ગાય, ઘેટું કે ડુક્કર કોઈ ઔદ્યોગિક એકમ નથી કે એના દ્વારા કરાતા વાયુના ઉત્સર્જનને નિયંત્રણમાં લાવી શકાય કે એ સદંતર બંધ કરી શકાય. એ

    આ પશુઓ પાળેલાં હોય કે ન હોય, તેમના શરીરતંત્રની પ્રણાલિ અનુસાર વાયુ ઉત્સર્જન તેઓ કરવાના જ છે. ખેડૂતોએ તેના માટે વેરો ભરવાનો આવે એ વાત પહેલી નજરે ગળે ઊતરે એમ નથી. જો કે, ગળે ન ઊતરી શકે એવી બાબતોનો અમલ કરવામાં શાસકો બહુ પાવરધા હોય છે, ચાહે એ ગમે તે દેશના કેમ ન હોય!

    શાસકોને કોઈ પણ પ્રકારના વેરાથી આવક ઊભી કરવી હોય એમ સતત લાગ્યા કરે છે. એ ઊભી કરવા માટે ઓઠું ગમે તે આગળ ધરવામાં આવે છે. ખરી જરૂર વાતાવરણને મોટા પાયે પ્રદૂષિત કરી રહેલા ઔદ્યોગિક એકમો પર નિયંત્રણ લાદવાની છે. ઉદ્યોગો અલબત્ત, જરૂરી છે, પણ તેના થકી ફેલાતું પ્રદૂષણ કંઈ માત્ર વેરામાં વધારો કરવાથી રોકી ન શકાય. ઉત્સર્જિત ઘન, પ્રવાહી અને વાયુની યોગ્ય ટ્રીટમેન્‍ટ થવી જોઈએ અને તે નિર્ધારીત માત્રામાં લવાય ત્યાર પછી જ તે બહાર છોડી શકાય એવો કાયદો મોટે ભાગે બનાવાયેલો હોય છે. નાણાં આ કાયદો, ઉત્સર્જિત ચીજોની માત્રાની મર્યાદા સહિત બધાને કોરાણે મૂકી દે છે. ઉદ્યોગોને આખી પ્રણાલિ ઊભી કરવાનો ખર્ચ લાગે છે, અને તેઓ તેને ટાળે છે. બીજી તરફ શાસકો માત્ર વેરા લાદીને આવક ઊભી કરે છે અને ‘કંઈક’ કર્યાનો સંતોષ લે છે. તદુપરાંત, ભ્રષ્ટાચાર માટેની બારી પણ તે ખોલી આપે છે.

    સરવાળે ભોગવવાનું સહુ કોઈના ભાગે આવે છે. પર્યાવરણને થતા નુકસાનનું વળતર ગમે એટલા નાણાંના વળતરથી સરભર કરી શકાય નહીં એ હકીકત છે. છેવટે જાળમાં આવે છે નાનાં માછલાં જેવા નાગરિકો. નાગરિકોની જવાબદારી અલબત્ત, ઓછી થતી નથી, પણ સમગ્રપણે જોઈએ તો તેમનું પ્રદૂષણ વધારવામાં પ્રદાન મોટા ઉદ્યોગોની સરખામણીએ ‘ઊંટના મોંમાં જીરાના વઘાર’થી વધુ હોતું નથી.

    ડેન્‍માર્કે પશુધન દ્વારા થતા વાયુઓના ઉત્સર્જન પર વેરો લાદવાની ઘોષણા કરી છે, તેને બીજા દેશો ન અનુસરે તો જ નવાઈ! કોને ખબર, પચીસ-પચાસ વરસ પછી મનુષ્ય દ્વારા ઉચ્છવાસમાં કઢાતા અંગારવાયુ પર પણ વેરો નખાય! અને પછી તેનું આવકવેરામાંથી વળતર અપાશે કે રાહત અપાશે. પ્રદૂષણમાં ઘટાડો થવો હોય તો થાય, ને ન થવો હોય તો ન થાય!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૮ – ૦૭ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

     

  • સંસ્પર્શ : ૨

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

     

    ‘ગાય તેના ગીત’ આવું નામ આપી, ક્યારેક વાદળને વરસાદ સાથે વાત કરતા તો ક્યારેક પ્રેમની પરિભાષા શીખવતા ગીત ધ્રુવદાદાએ લખ્યાં છે. ક્યારેક માછલીની આંખની ભીનાશને વર્ણવતાં, લય અને શબ્દોનાં સાયુજ્ય સાથે દરિયો, ડુંગરા,અને ગાઢ જંગલોમાં અનહદનો અનાહત નાદ સંભળાવતાં ધ્રુવદાદાનાં ગીતો તેમણે ગાનારનાં કરી દીધાં છે. આજનાં કલિયુગમાં લેખકો, કવિઓ અને સાહિત્યકારો પોતાની લખેલ એક લીટી કે શબ્દ માટે પણ પોતાના નામની માંગણી કરે છે, ત્યારે દાદાએ તો પોતાની લય સાથે વહાવેલી લાગણીઓને ગીત ગાનારાને નામે કરી દીધી છે.

    ધ્રુવદાદા તેમના ગીતો ગાનાર સાથે પ્રેમથી વહેંચતા કહે છે,

    ‘તમે ગાયાં આકાશ ભરી પ્રીતે
    તે ગીત કહો મારા કહેવાય કઈરીતે?

    ગીતને તો અવતરવું ઇચ્છાથી હોય છે કે ચાલ જઈ કંઠ કંઠ મ્હાલીએ
    આપણે તે એવડાં તો કેવડાં કે મારું છે ચાલ કહી ગજવામાં ઘાલીએ

    જે પ્રેમ કરી પામે તે જીતે
    તે ગીત હવે મારાં કહેવાય કઈ રીતે..’

    આમ ગીતને સૌ ગાનારનાં કરી દેનાર ધ્રુવદાદા પર એક દિવસ કલક્ત્તાનાં એક બાઉલનો (baul)ફોન આવ્યો કે ‘ધ્રુવદાદા મને તમારું એક ગીત મોકલો મારે તમારું ગીત ગાવું છે.’

    આ બાઉલને તેમણે ગીત લખીને મોકલ્યું અને બાઉલ એટલે કોણ અને તે લોકોની શરુઆત કરનાર લાલોનની સુંદર વાત દાદાએ કરી હતી તે કહું.

    “બંગાળ અને કલકત્તાની એવી એક જાતિના લોકો છે જે તંત્ર, વૈષ્ણવ, સુફીઝમ, બૌદ્ધિઝમ જેવા ધર્મોને ભેગા કરી બનાવેલ જુદા ધર્મમાં માને છે અને ગાઈ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે.  બાઉલ લોકો ભગવા કપડાં પહેરી ભજનો પોતાની મસ્તીમાં મસ્ત થઈ ગાય છે. બાઉલ શબ્દ Vtula પરથી આવ્યો છે. Vtula means Vyakula. બાઉલને લોકો પાગલ ગણે છે, પણ બાઉલ લોકો પોતાના ગીત-સંગીત અને ભજનોમાં મસ્ત બની ભગવાન સાથે જોડાઈ જવા માંગે છે. તેમને નાતજાત, ધર્મના વાડા નથી હોતા. દાદાએ આ બાઉલ પ્રથાની શરુઆત કેવી રીતે થઈ તેની પણ વાત સરસ રીતે સમજાવી હતી.

    લાલોન નામનો એક છોકરો હતો. તે તેના શેઠ સાથે કામ કરતો હતો. શેઠને જગન્નાથપુરી જવાનું થયું તો આ લાલન પણ શેઠની પાલખી સાથે ચાલે અને શેઠને પાણી કે જે વસ્તુ જોઈએ તે લાવી આપી, પાલખી જોડે ચાલતાં ચાલતાં શેઠની સેવા કરે. રસ્તામાં હતાં ત્યાં જ લાલોનને શીતળા નીકળ્યા એટલે શેઠ તેને રસ્તામાં છોડીને આગળ નીકળી ગયાં. લાલોનને બેભાન અવસ્થામાં જોઈ એક મુસ્લિમ દંપતી લાલોનને પોતાને ઘેર લઈ ગયાં અને તેની સેવા કરીને સાજો કર્યો. સાજા થઈ ગયાં પછી લાલોન તેના ઘેર પાછો ગયો તો તેના માતા-પિતાએ અને ગામનાં લોકોએ ‘તું વટલાઈ ગયો છે’ કહી, ઘરમાંથી કાઢી મૂક્યો. લાલોનને કંઈ સમજાયું નહીં કે ‘હું કેવીરીતે વટલાઈ ગયો? ‘આ ધર્મ અને નાત-જાતનાં ભેદભાવ પર તેને ખૂબ ગુસ્સો આવ્યો અને તે ગામને છેવાડે જઈ, ફકીર બની તંબૂરા સાથે ભજન ગાઈ રહેવા લાગ્યો. આ લાલનની સાથે જે લોકો જોડાયા તે બાઉલ લોકો ગામનાં છેવાડે ભજન ગાઈને પોતાનો જીવન નિર્વાહ કરે અને આ લોકો બાઉલ તરીકે બંગાળ અને કલકત્તામાં ઓળખાય છે. બાઉલ ફકીરો ભગવા કપડાં પહેરી ભજનો ગાય છે અને કોઈ નાત-જાતનાં કે ધર્મનાં વાડામાં માનતા નથી.

    જે નાતજાત અને ધર્મનાં વાડામાં પોતે પણ નથી માનતા અને પોતાનાં ગીત ગાઈને પ્રકૃતિ સાથે જોડાઈ પરમ સાથે જોડાવવાનો આનંદ લે છે તે બાઉલ માટે ધ્રુવદાદાએ “અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું“ જેવું સરસ ગીત લખીને મોકલ્યું .આ ગીત તેમનાં “ગાય તેનાં ગીત” પુસ્તકની પ્રસ્તાવનાનું ગીત છે.

    હમણાં જ ક્યાંક સાંભળ્યું હતું કે અંતરમાં અજવાળા પાથરવા અજવાળાનાં સાત મેઘધનુષ રંગોની જરુર પડે. તે રંગો છે જ્ઞાન, સત્ય, પ્રેમ, સર્જન, સેવા, શ્રદ્ધા અને આનંદનાં..આ સાત રંગો તમે પામી શકો તો તમે જીવનમાં અજવાળું પ્રાપ્ત કરી શકો. સ્વપ્નવત્ જીવનમાંથી જ્ઞાનનાં પ્રકાશને પાથરી ભીતરને જગાડવાનું છે. ધ્રુવદાદાએ કેટલી સરસ વાત કરી કે ‘નીંદર ઓઢી તું આંખો ખોલ.’ પ્રેમ અને સત્યનાં જ્ઞાનથી કરાએલ આ સર્જનનો સ્પર્શ મને કોઈ અનોખા આનંદ તરફ ખેંચી જાય છે. આગળનાં શબ્દો તો જુઓ,

    અમે પરોઢિયે વહી આવ્યો ટહુકો સાંભળ્યો,
    વૃક્ષોને પૂછ્યું કોનો આ બોલ

    પાને-પાન ઊછળતી ચમકી ચાંદની
    શબદ કહે તું સાતે સાંકળ તોડ

    શબદની સાંકળ ખોલી બોલવાનું નથી પણ મૌનનો મહિમા કરવાનું આપણને ધ્રુવદાદા શીખવે છે. માણસ સૌથી ખુશ ક્યારે થાય છે? જ્યારે તે પોતાની જાતને ભૂલી પ્રકૃતિનાં સર્જનમાં ખોવાઈ જાય છે. હિમાલયનાં બરફાચ્છાદિત પહાડોની વાદીઓમાં, ખળખળ વહેતી નદીનાં પ્રવાહ પાસે, કૈલાસની પરિક્રમા કરતાં ,૨૧૦૦૦ ફૂટની ઊંચાઈએ પૂનમની રાતે, નભમંડળનાં ચમકતાં તારલાઓની રજાઈ નીચે ઊભા રહી, ખુદને ભૂલી ચાંદની રાતમાં ખોવાઈ જાવ તે જ શું મોક્ષ નથી?

    સત્ ચિત્ આનંદ એટલે સ્વ ને ભૂલી જવું. એ અનુભવ જ રુચિકર,અદ્વિતીય,અનોખો અને અદ્ભૂત હોય છે. પ્રકૃતિ પાસે જવા માણસ પ્રેરાય છે કે તેની પાસે જઈ માણસ એવો આનંદ મેળવે છે કે તે મેળવ્યા પછી તે બધું ભૂલી એમાં ખોવાઈ જાય છે. બધું ભૂલી, તમારી જાતને પણ ભૂલી, ખોવાઈ જવું તે જ મોક્ષ અને તે જ ધ્યાન નથી શું?

    અજવાળાની યાત્રા સહેલી નથી પણ ધ્રુવદાદાની આંગળી પકડી ચાલીશું તો જરૂર સફરમાં આગળ વધાશે ખરું.  દાદા આપણને રસ્તો બતાવવા દીવો તો ધરશે જ. શબદને છોડી, અક્ષરને ગ્રંથોમાં વાંચી રટવા કે ઓળખવાનો બદલે દાદા શું કરવાનું કહે છે તે તો સાંભળો,

    અમે ગ્રંથોને ખોલ્યા ને કોરા સાંભળ્યા
    અક્ષર બોલ્યા ઓળખવાનું છોડ

    અમે
    ‘નહીં ગુરુ’ ‘નહીં જ્ઞાન ‘લઈ નીકળ્યા
    ડુંગર માથે રણકી ઊઠ્યા ઢોલ.

    અને મને યાદ આવે છે કોઈ અજ્ઞાત કવિની પંક્તિઓ ,

    ‘તું રાખ ભરોસો ખુદપર, તું શાને શોધે છે ફરીસ્તાઓ,
    સમંદરનાં પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
    તોય શોધી લે છે રસ્તાઓ…..’

    આપણે ત્યાં કવિવર ટાગોરની, શરદબાબુ અને બંકીમચંદ્રની કવિતાઓ અને વાર્તાઓના બંગાળીમાંથી ગુજરાતીમાં અનુવાદ થયા છે અને આપણે વાંચ્યાં છે.

    પણ ધ્રુવદાદાનું આ બાઉલ લોકોને માટે લખીને મોકલેલું ગીત

    ‘અમે જળને ઝંકાર્યા તો વાદળ થઈ ગયું, માટી ફંફોસી તો મહોર્યા મોલ’ નો  તે લોકોએ બંગાળીમાં અનુવાદ કરીને ભાવથી ગાયું.

    ધ્રુવદાદાનાં ગીતો તેમણે પાઠ્યપુસ્તકનાં ઇતિહાસને ચાતરીને મનુષ્યનાં નૈસર્ગિક ઇતિહાસને સમજવા મથતાં માનવબાળને અર્પણ કર્યા છે. શબનમ વિરમાણી, વિપુલ રીખી, રાસબિહારી દેસાઈ, જન્મેજય વૈધ, ક્ષેમુભાઈ દિવેટીયા,અમર ભટ્ટ જેવા ખૂબ ઊંચાં ગજાનાં અને હવે તો નીલા ફિલ્મ્સનાં અનેક સુંદર ગાયકોએ ધ્રુવગીત ગાઈ ઘ્રુવગીતને પોતાનાં સ્વર આપી આપણા સુધી પહોંચાડ્યાં છે.

    ધ્રુવદાદાનાં આવા જ મનને પ્રફુલ્લિત કરી મોજ કરાવતાં અને જીવનની સાચી ફિલસુફી સહજતાથી સમજાવતાં બીજા ગીતની વાત કરતાં મળીશું આવતા અંકે.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • લક્ષ્ય કે એનું મસમોટું નામ ગૌણ છે. એ તમને દોડતા રાખે છે અને એના કારણે જે મુસાફરી થાય એનું મહત્વ છે.

    સંવાદિતા

    મેં જે કંઈ કહ્યું અથવા કર્યું એના પરથી હું કોણ હતો એ નક્કી કરવાની કોશિશ ન કરતા.

    – કેવેફી

    ભગવાન થાવરાણી

    કોન્સ્ટન્ટટાઈન પી કેવેફી ( ૧૮૬૩ – ૧૯૩૩ ) વીસમી સદીના ગ્રીસ અને યુરોપના શ્રેષ્ઠ કવિઓમાંના એક ગણાય છે . ગ્રીક હોવા છતાં જીવન આખું એમણે એલેક્ઝાન્ડ્રિયા ( ઈજીપ્ત ), ઇંગ્લેન્ડ અને કોન્સ્ટેનટીનોપોલ ( ઇસ્તંબુલ – તુર્કી ) માં વિતાવ્યું અને એલેક્ઝાન્ડ્રિયામાં જ બરાબર પોતાની 70 મી જન્મતિથિએ કેન્સરથી અવસાન પામ્યા. એમની કવિતાઓ એમના હયાતીકાળ દરમિયાન માત્ર ચોપાનિયા અને હસ્તપ્રતો રૂપે એમના અંગત મિત્રોમાં ફરતી રહી.એ જગત સમક્ષ ગ્રીકમાંથી અંગ્રેજી અનુવાદરૂપે આવી એમના મૃત્યુના બે વર્ષ બાદ.
    એમની કુલ ૧૫૪ કવિતાઓ ના વિષયો મુખ્યત્વે ઇતિહાસ અને શૃંગાર (સમલૈંગિકતા )છે. મજાની વાત એ કે કવિતાના આ બંને પ્રકારોને આ કવિ અભિન્ન રીતે એક જ પરિઘમાં આવરી લે છે. લોકો સુધી પોતાની કવિતાઓ પહોંચાડવા પ્રત્યે એ ઘોર ઉદાસીન હતા. કદાચ એટલા માટે કે પહેલા વાંચને એમની કોઈ રચના ભાગે જ ભાવક સમક્ષ ઉઘડી શકતી.  એ વર્તમાનના નહીં, ‘વીતેલી અને ભાવિ પેઢીઓના’ કવિ હતા. એમની સૌથી અગત્યની કવિતાઓ એમની જિંદગીના પાછલા વર્ષોમાં રચાઈ.
    પોતાની કવિતાઓમાં એ જે જાતિય ચિત્રણો કરે છે એ અલ્પકાલીન સંબંધોના છે. એમની કવિતાઓમાં પ્રેમ એ શારીરિક ઉત્તેજનાથી વિશેષ કશું જ નથી અને એ એવો દંભ પણ કરતા નથી કે ઇન્દ્રિઓના ઉપભોગમાં કોઈ અપરાધ-ભાવ છે. ‘એ પેસેજ ટુ ઇન્ડિયા ‘ નવલકથા લખનાર વિખ્યાત અંગ્રેજ લેખક ઇ એમ ફોર્સ્ટર એમના પરમ પ્રશંસક હતા. એ કેવેફી વિશે લખે છે, ‘ આવા લેખક લોકપ્રિય ક્યારેય ન બની શકે. કેવેફી ધીમે અને બહુ ઊંચે ઉડનારા સર્જક છે. એમનામાં વિતરાગીનું બળ છે, જેને વિશ્વનો ભય નથી. એ અવિચળ અને વિશ્વથી સહેજ ત્રાંસા ખૂણે ઊભા રહે છે. એ નશ્વરતા, સૌંદર્ય કે નિરાશા વિશે લખે તો પણ એની ભાષા અને પદ્ધતિ આગવી જ.
    કેવેફી એલેક્ઝાન્ડ્રિયાના પોતાના નિવાસસ્થાન વિશે લખે છે, ‘ આનાથી સુંદર કઈ જગ્યા હોય !  મારા ઘરની નીચે જ વેશ્યાલય,  એનાથી થોડેક દૂર સર્વે ગુનાઓની માફી આપવું ચર્ચ અને અને ત્યાંથી સ્હેજ આગળ મૃત્યુને પામી શકીએ એવી હોસ્પિટલ ! ‘
    એમની સૌથી જાણીતી અને ચર્ચિત કેટલીક કવિતાઓના શીર્ષક છે બપોરનો સૂર્ય, શહેર, દુશ્મનો, પગલાં, બર્બર સેનાની પ્રતિક્ષામાં અને ઈથાકા. તેમની એક મહાન કવિતા ‘ઇથાકા’નો ભાવાનુવાદ જોઈએ એ પહેલા ઈથાકા વિશે થોડુંક.
    ઈથાકા એ ગ્રીક કવિ હોમરના મહાકાવ્ય ઓડિસીમાં દર્શાવાયેલો એક કાલ્પનિક ટાપુ છે જે એના નાયક ઓડિશિયસનું વતન છે. લાંબા યુદ્ધ પછી એને ત્યાં પાછા ફરવું છે. એક રીતે એ પ્રતીક છે જીવનભર જેના માટે પ્રયત્નશીલ હોઈએ એવી કોઈક ઝંખનાનું, મુસાફરીના અંતનું, અંતિમ લક્ષ્યનું !
                           : ઈ થા કા :
    તમે ઈથાકા માટે નીકળો
    ત્યારે આશા એવી રાખજો
    કે પ્રવાસ સુદીર્ઘ હોય
    સાહસ અને નવી શોધોથી ભરપૂર
    માણસખાઉ રાક્ષસો, એક-આંખાળા પિશાચો અને ક્રોધિત ભૂકંપ-દેવ રસ્તામાં મળે તો
    મૂંઝાશો નહીં
    જ્યાં સુધી વિચારો ઉન્નત રાખશો
    જ્યાં સુધી કોઈ વીરલ ઉત્તેજના
    તમારા સત્વ-તત્વને ચલાયમાન રાખશે
    ત્યાં સુધી એ બધા તમને નહીં મળે
    સિવાય કે એ બધાંને તમારી ભીતરે જીવવા દો
    સિવાય કે
    તમારો માંહ્યલો એમને સાથેને સાથે રાખે
    એવી અસંખ્ય ઉનાળુ સવારો તમારી મુસાફરીમાં આવશે
    જ્યારે તમે આનંદવિભોર બની
    પ્રથમ વાર જોયા હોય
    એવા નવા બંદરોએ પહોંચશો
    તમે ફિનીશીયાની બજારોમાં 
    અણમોલ મોતી, પરવાળા, અંબર, અબનૂસ
    અને ઊંચા અત્તરોના સોદા કરશો મન ભરીને
    તમે મિસરના નગરોમાં પહોંચી
    ત્યાંના વિદ્વજ્જનો પાસેથી 
    જ્ઞાનના ભંડારો હાંસલ કરશો
     મનમાં હમેશાં ઈથાકા રાખશો
    તમારું પ્રારબ્ધ તમને ત્યાં જ પહોંચાડશે
    પણ મુસાફરીમાં ઉતાવળ બિલકુલ નહીં
    બેહતર છે એ લાંબી ચાલે
    જેથી તમે એ ટાપુ ઉપર પહોંચો
    ત્યાં સુધીમાં વૃદ્ધ થઈ જાઓ
    અને રસ્તામાં જે મેળવ્યું એનાથી સંપત્તિવાન પણ
    એવી અપેક્ષારહિત
    કે ઈથાકા તમને ધનવાન બનાવશે
    ઈથાકાએ  જ તો તમને આ અદ્ભુત પ્રવાસ કરાવ્યો
    એના વિના
    તમે નીકળ્યા જ ન હોત
    ઈથાકા પહોંચો ત્યારે
    કદાચ ઈથાકા પાસે
     તમને આપવા જેવું કશું જ ન બચ્યું હોય
    એ જો તમને નિર્ધન લાગે
    તો એનો અર્થ એવો નહીં કે
    એણે તમને છેતર્યા
    જો આ દરમિયાન
    ડહાપણ અને અનુભવ પામ્યા હશો
    તો સમજી જ ગયા હશો
    ઈથાકા એટલે શું ? ….
    અંગ્રેજી અનુવાદ : એડમન્ડ કીલી અને ફિલિપ શેરાર્ડ
    ગુજરાતી ભાવાનુવાદ : ભગવાન થાવરાણી

    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.


  • નકારનો મત ‘નોટા’ અમલના એક દાયકે સાર્થક કે નિરર્થક ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    પીપલ્સ યુનિયન ફોર સિવિલ લિબર્ટીઝની જાહેર હિતની અરજી પરના સર્વોચ્ચ અદાલતના ૨૦૧૩ના આદેશથી ઈલેકશન કમિશને નકારનો મત નોટા દાખલ કર્યો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયામાં નોટાના અમલના એક દાયકા પછી તેની સાર્થકતા કેટલી છે તે વિચારણીય બાબત છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    પીયુસીએલની મૂળે ૨૦૦૪ની પીઆઈએલમાં જે મતદારોને મતદાન કરવું છે પરંતુ તેમને એક પણ ઉમેદવાર પસંદ નથી તો તેમને વિકલ્પ આપવાની માંગ  હતી. ૨૦૦૯માં સુપ્રીમ કોર્ટે  ચૂંટણી પંચને નોટાનો વિકલ્પ ઉપલબ્ધ કરાવવાની તેમની ઈચ્છાની જાણ કરી અને ૨૦૧૩માં તે અંગે ચુકાદો આપ્યો. નોટા(NOTA) અર્થાત નન ઓફ અબોવ કે આમાંથી કોઈ નહીંનું બટન ઈવીએમમાં ઉમેદવારોના નામોના અંતે દાખલ કરવામાં આવ્યું. ૨૦૧૩ની દિલ્હી, રાજસ્થાન, મિજોરમ, છત્તીસગઢ અને મધ્યપ્રદેશ એ પાંચ રાજ્યોની વિધાનસભા  ચૂંટણીમાં નોટાના બટનનો પ્રવેશ થયો તેને આજે દસ વરસો વીતી ચૂક્યાં છે. આજે તો તે ભારતની ચૂંટણીનું મહત્વનું અંગ છે. ૨૦૧૮થી ૨૦૨૨ની છેલ્લા પાંચ વરસોની લોકસભા અને વિધાનસભાઓની ચૂંટણીઓમાં ભારતીય મતદારોએ ૧.૨૯ કરોડ મત નોટાને આપ્યા છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં કુલ મતદાનમાંથી ૧.૦૮ ટકા , ૨૦૧૯માં ૧.૦૬ ટકા અને ૨૦૨૪માં ૦.૯૯ ટકા મતદારોએ નકારના મત નોટાનું બટન દબાવીને તેમના મતદાન વિસ્તારના તમામ ઉમેદવારોને નકાર્યા હતા. ટકાવારી અને મતની દ્રષ્ટિએ એમાં વધારો ઘટાડો થતો રહ્યો છે. ૨૦૧૪માં ૬૦,૦૦,૧૯૭,  ૨૦૧૯માં ૬૫,૨૩,૯૭૫ અને ૨૦૨૪માં ૬૩,૪૭,૫૦૯ મતદારોએ નકારના મત નોટાનો ઉપયોગ કર્યો હતો.

    ૨૦૨૪ની છેલ્લી લોકસભા ચૂંટણીમાં અગાઉના કરતા નોટાના મત અને ટકા ઘટ્યા છતાં તેની ઉપયોગિતા અને તેના ઉદ્દેશની સાર્થકતા ચર્ચાઈ રહી છે. અગાઉ કોઈ એક મતવિસ્તારમાં ક્યારેય નહોતા પડ્યા એટલા નોટામાં મત આ વખતે મધ્યપ્રદેશના ઈન્દોર મતવિસ્તારમાં પડ્યા છે. ઈન્દોરના કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમ છેલ્લી ઘડીએ ચૂંટણીમાંથી ખસી ગયા અને બીજેપીમાં સામેલ થઈ ગયા.તેથી ચૂંટણી એકતરફી અને બીજેપીની તરફેણની બની ગઈ. કોંગ્રેસે ઈન્દોરમાં તેના ઉમેદવારની ગેરહાજરીમાં નકારનો મત નોટાનો ઉપયોગ કરવા મતદારોમાં અભિયાન ચલાવ્યું. મતદારોને પણ ભાજપની ચાલ ના ગમી. એટલે ૨,૧૮,૬૭૪ મતદારોએ નોટાનું બટન પસંદ કરી તેમને એકેય ઉમેદવાર પસંદ ન હોવાનું જણાવ્યું. નોટાના અમલ પછી પહેલીવાર તેને આટલા વિક્રમજનક વોટ એક જ મતવિસ્તારમાં મળ્યા. ઈન્દોરમાં કુલ મતના ૧૬.૭૮ ટકા વોટ નોટાને મળતાં રાજકીય પક્ષોને પણ તેની નોંધ લેવી પડી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસી(ઉત્તરપ્રદેશ)માં ૮૪૭૮ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીના મતવિસ્તારો વાયનાડ (કેરળ)અને રાયબરેલી(યુ.પી.) માં અનુક્રમે ૬૯૯૯ અને ૭૮૭૨ મત નોટાને મળ્યા તે પણ નોંધનીય છે.

    મતદારો કોઈ પણ ઉમેદવારને તેના પ્રતિનિધિ તરીકે લાયક ન માને, નાપસંદ કરે કે તેને અપાત્ર, અવિશ્વસનીય અને અયોગ્ય માને તે માટે નોટાની વ્યવસ્થા છે. મતદારોને પંચાયતથી પાર્લામેન્ટ સુધી તેના પ્રતિનિધિ ચૂંટવાનો અધિકાર છે પરંતુ આ પ્રતિનિધિની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે પસંદગી તો રાજકીય પક્ષો કરે છે અને ઉમેદવાર પસંદગીમાં લોકોનો કોઈ અવાજ હોતો નથી.એટલે રાજકીય પક્ષોએ  પસંદ  કરેલા ઉમેદવારો સામેની તેની નાપસંદગી તે નકારના મતથી વ્યક્ત કરે છે. મતદારો રાજકીય પક્ષોને નોટા મારફત એવો સંદેશ આપે છે કે અમે કોઈ કરિશ્માઈ રાજકીય નેતાના નામે મત નહીં આપીએ. તમે વીજળીના થાંભલાને ઉમેદવાર ઘોષિત કરશો, કલંકિત, અપરાધી  અને બાહુબલીને ટિકિટ આપશો અને અમે આંખો મીંચીને તેને સ્વીકારી લઈશું તેવું માનશો નહીં. નેગિટિવ કે વિરોધના મત નોટા દ્વારા મતદારો ગુપ્ત મતદાનથી ધાક-ધમકી કે ડર વગર પોતાની પસંદગી કરે છે.

    નોટાની સાર્થકતા અને નિરર્થકતાની ચર્ચા પણ થવી જોઈએ. એક દાયકાના અનુભવે જણાયું છે કે નોટાને સરેરાશ ૦.૫ થી ૧.૫ ટકા મત મળે છે. એટલે તેની વ્યાપક અસર થતી નથી. નોટાના અમલ પછી અપરાધી, બાહુબલી, ભ્રષ્ટ અને કલંકિત ઉમેદવારો ઘટ્યા નથી. ૨૦૦૯ની લોકસભા ચૂંટણીમાં ૩૦ ટકા  ઉમેદવારો સામે અપરાધિક કેસો નોંધાયેલા હતા . જ્યારે ૧૪ ટકા સામે ગંભીર ગુના હતા. ૨૦૧૯માં આ બંને પ્રકારના ઉમેદવારો વધીને ૪૩ અને ૨૯ ટકા થયા છે. એટલે નોટાનો કલંકિત ઉમેદવાર સામેના વિરોધનો ઉદ્દેશ ફળીભૂત થયો નથી.

    પ્રવર્તતમાન ચૂંટણી કાયદા અને નિયમો પણ નોટાની નિષ્ફળતા માટે જવાબદાર છે. હાલના નિયમ પ્રમાણે ૧૦૦ મતમાંથી જો નોટાને ૯૯ મત મળે અને એક જ મત કોઈ ઉમેદવારને મળે તો પણ નોટા નહીં ઉમેદવાર વિજેતા ગણાય છે. ઈન્દોરમાં ભાજપના ઉમેદવાર પછી સૌથી વધુ મત નોટાને મળ્યા હતા .પરંતુ વિજેતા ઉમેદવારની જીતનું અંતર નોટાના મતથી નહીં ત્રીજા ક્રમના મત મેળવનાર ઉમેદવારથી ગણવામાં આવ્યું છે! તેને લીધે પણ નોટાને મતની બરબાદી ગણવામાં આવે છે.

    સુપ્રીમ કોર્ટમાં પડતર મોટીવેશનલ સ્પીકર શિવ ખેડાની જાહેર હિતની અરજીમાં નોટાને કાલ્પનિક મતદારા માનવાની માંગ સ્વીકારાય તો નોટાની સાર્થકતા આપોઆપ ઉભી થઈ શકે છે. જો એમ થાય તો સુરતની જેમ એક જ ઉમેદવારના કિસ્સામાં તેને બિનહરીફ જાહેર કરવાના બદલે નોટા સામે તેણે ચૂંટણી લડવી પડે. જો નોટાને સૌથી વધુ મત મળે તો પણ તે પછીના ક્રમે મત મેળવનાર ઉમેદવાર વિજેતા બને છે તે અટકી શકે અને લોકોની નોટાની પસંદગી સાર્થક બની રહે.

    નોટા અપનાવનાર ભારત વિશ્વનો ચૌદમો દેશ છે. કેનેડા, ફ્રાન્સ, ઈન્ડોનેશિયા, નોર્વે, પેરુ, કોલંબિયા, સ્વીડન, નેપાળ યુક્રેન, બાંગ્લાદેશ, બેલારુસ અને રશિયામાં નકારના મતની જોગવાઈ છે. તે વિભિન્ન નામે ઓળખાય છે. નન ઓફ કેન્ડિડેટ, બ્લેન્ક વોટ, અગેઈન્સ્ટ ઓલ અને નન ઓફ અબોવ જેવા નામે બેલેટ પેપર કે ઈવીએમાં નકારના મતની વ્યવસ્થા છે.

    નોટા મતનો વેડફાટ, મામૂલી ચીજ કે નિરર્થક નથી. બંધારણીય રાહે મળેલા અભિવ્યક્તિના અધિકારનું તે અંગ છે. અસહમતિના અધિકારને વ્યક્ત કરે છે. તેની અસર ધીરે ધીરે વધતી રહેવાની છે અને તે ભારતના લોકતંત્રને મજબૂત કરશે. મતદાનથી વેગળો રહેતો મતદાર આળસુ, હતાશ, બેજવાબદાર અને વ્યસ્ત હોઈ શકે છે પરંતુ નકારનો મત આપનાર મતદાર તે મતદાન નહીં કરીને રાજકારણથી નિરાશ-હતાશ થયેલા મતદાર કરતાં ઘણો જૂદો છે. નોટાને મત આપનારા લોકતંત્રમાં, રાજનીતિમાં અને ચૂંટણી પ્રક્રિયામાં વિશ્વાસ ધરાવે છે. તેની નાપસંદગીને જ્યારે રાજકીય પક્ષો સ્વીકારશે ત્યારે નોટાની સાર્થકતા સમજાશે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અષાઢી અવાજની અલકનંદા

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    મન ન માને  એ જગાઓ પર જવાનું છોડીએ,
    કોઈના  દરબારમાં   હાજર   થવાનું  છોડીએ.
    કંઠમાં  શોભે  તો શોભે  માત્ર પોતાનો અવાજ,
    પારકી   રૂપાળી    કંઠી   બાંધવાનું    છોડીએ.

    હેમેન શાહ

    પક્ષીઅભ્યારણમાં  વિદેશી પક્ષીઓનો જમાવડો અને  સહેલાણીઓની ભીડ હોય ત્યારે પત્રકાર હેડીંગ બાંધે ‘પંછી, નદિયા, પવન કે ઝોંકે, કોઈ સરહદ ના ઉન્હેં રોકે’. જાવેદ અખ્તરનું ‘રેફ્યુજી’ ફિલ્મનું આ ગીત અલકા યાજ્ઞિક અને સોનુ નિગમના કંઠે સાંભળીએ એટલે શ્વાસોમાં સુકુન પથરાય છે અને મનમાં મહેક. મનોરંજન સાથે મનોમંથન પણ આપે છે. સાચી કલા અંતરને આનંદ આપે અને આંખને ખોલે પણ છે. અલકાની ગાયકીની સરહદ દેશ વિદેશ સુધી વિસ્તરી છે.

    એવો કોઈ ગુજરાતી ભાગ્યે જ હશે જે ‘ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય’ ગીત પર ઝૂમી ન ઉઠ્યો હોય. અલકા યાજ્ઞિક અને પ્રફુલ્લ દવે દ્વારા ગવાયેલ આ ગીત ખૂબ પ્રસિદ્ધિ પામ્યું. અલકાનું પ્રથમ ફિલ્મી ગીત ગુજરાતી ફિલ્મ ‘સીતા ત્યાગ’નું છે. ‘મેરે અંગને મેં તુમ્હારા ક્યા કામ હૈ…’ ગીતથી અલકાના પાર્શ્વગાયનને ચાર વત્તા ચાર એમ આઠ ચાંદ લાગી ગયા. ફિલ્મ ‘લાવારિસ’થી પ્લેબેક સિંગિંગના તેઓ વારિસ બન્યા. પછી તો તેણે પાછા વાળીને જોયું જ નહીં અને એક કે બાદ એક સોલીડ સુપરહિટ ગીતોની હારમાળા સર્જી દીધી.

    ૨૦૨૦માં ‘સા રે ગા મા – લિટલ ચેમ્પ’ કે ‘સુપરસ્ટાર સિંગર’ જેવા રિયાલિટી શોમાં અલકા યાજ્ઞિક નવા અંદાઝમાં જોવા મળ્યા હતા. શોને જજ કરવા ઉપરાંત અલકા તેમાં ભાગ લેતા બાળકોની મેન્ટર પણ બની હતી. અલકા પાસે સંગીતની શિક્ષા મળે એનાથી રૂડું શું ! ગુરુ અલકા યાજ્ઞિક ગીત સાંભળતી વખતે કાનસેન બને છે. ગીતના ભાવ તેના ચહેરા પર ઉડાઉડ કરતા હોય છે. એ સમયે આંખના પલકારા પણ સૂરમાં હોય છે.

    કારકિર્દીના શરૂઆતના દિવસો બધા માટે આકરા અને અવઢવભર્યા સંઘર્ષના હોય છે. પ્રારંભિક તબક્કામાં અમિતાભના અવાજને આકાશવાણીએ રીજેક્ટ કર્યો હતો. આજે તો એમના પ્રભાવશાળી અવાજ અને અંદાઝ સૌના દિલોદિમાગ પર છવાયેલા છે. એવી જ રીતે અલકા યાજ્ઞિકને પણ એના પાતળા અવાજને કારણે નકારવામાં આવી હતી. પરંતુ પછીથી સંગીતકાર રાજકમલે તેની પાસે એક શાસ્ત્રીય ગીત ગવડાવ્યું ત્યારે સાંભળનારા સૌ તેને પામી ગયા કે અલકામાં પ્રતિભાની કમી નથી. તેનો અવાજ ભલે પાતળો હતો. જો કે એ આરંભિક તબક્કામાં ગીતના ભાવ પ્રગટ કરવામાં હજુ પૌઢત્વ પ્રગટ્યું ન હતું. એ પછી તો અલકાનો અવાજ અષાઢી વાદળોની જેમ ચોતરફ મેઘાડંબર બની ગૂંજી ઉઠ્યો.

    કલકત્તામાં ૧૯૬૬માં જન્મેલા અલકા યાજ્ઞિક એક મધ્યમ વર્ગીય ગુજરાતી પરિવારમાંથી આવે છે. પિતા કલકત્તાની હુગલી રીવર સંસ્થામાં શિપિંગ પાઈલોટ હતા. માતા શુભા યાજ્ઞિક શાસ્ત્રીય સંગીતના ગાયિકા હોવાથી એમની પાસે અલકાએ શાસ્ત્રીય સંગીતનો અભ્યાસ કર્યો. ઘરમાં સંગીતનું વાતાવરણ હોવાને કારણે અલકાનો પણ સંગીતમાં રસ વધતો ગયો. માત્ર ૬ વર્ષની ઉંમરમાં તેણે આકાશવાણી કલકત્તા માટે ગાવાની શરુઆત કરી. 10 વર્ષની ઉંમરમાં અલકા પોતાના માતા સાથે મુંબઈ આવી અને ફિલ્મમેકર રાજ કપૂરને મળી. રાજ કપૂરને અલકાનો અવાજ ગમ્યો અને એમણે અલકાની મુલાકાત લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે કરાવી. એક વાત એવી પણ છે કે અલકા ચાર વર્ષની ઉંમરથી સ્ટેજ પર ગાતી હતી. એને એેક પ્રોગ્રામમાં સાંભળીને સંગીતકાર કલ્યાણજી આણંદજીએ એને મુંબઇ તેડાવી અને ફિલ્મ પ્લેબેક સિંગિંગ માટે તૈયાર કરી. કલ્યાણજી આણંદજીએ ગાયન અને પાર્શ્વગાયન વચ્ચેના ભેદ સમજાવી અલકાની સજજતામાં વધારો કર્યો. ૧૯૮૮માં આવેલી ફિલ્મ તેજાબના ગીત ‘એક દો તીન’ પછી અલકાને પ્લેબેક સિંગર તરીકે વધુ ઓળખ મળી. પછી એણે ૧,૨,૩ નહીં પરંતુ ૧૦૦ જેટલા હીટ ગીતોનો ગુચ્છ ચાહકો સમક્ષ ધરી દીધો. તેજાબના આ ગીતે તેને પહેલો ફિલ્મફેર એવોર્ડ પણ અપાવ્યો. ત્યાર પછી અલકાએ લગભગ ૭૦૦થી વધારે ફિલ્મોમાં ૨,૦૦૦ કરતાં વધુ ગીતો ગાયાં છે.

    ૧૯૮૦ – ‘૮૫ પછી લતાજી અને આશાજીની પ્રવૃત્તિ થોડી મર્યાદિત થવા લાગી અને પાર્શ્વગાયન ક્ષેત્રે જ્યારે થોડું શૂન્યાવકાશ સર્જાયું ત્યારે વિકલ્પ રૂપે પૂર્ણિમા, અનુરાધા પોંડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ અને સાધના સરગમના નામો તરી આવ્યા. પરંતુ એ અઢી-ત્રણ દાયકાની ગાયિકાઓમાં લોકપ્રિયતા, શ્રેષ્ઠતા અને સાતત્ય સાથે ટકી જનાર કોઇનું નામ લેવાનું હોય તો ગુજરાતણ અલકા યાજ્ઞિકનું જ નામ મોખરે આવે. હિન્દી ફિલ્મોના પાર્શ્વગાયનમાં ગુજરાતીઓ ઓછા મળે પરંતુ અલકા યાજ્ઞિકને ગૌરવપૂર્વક યાદ કરી શકાય. આતંકી ઓસામા બીન લાદેનને ગાયિકા અલકા યાજ્ઞિકનાં ગીતો બહુ પસંદ હતા પણ અલકાજીને રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરનાર વ્યક્તિઓ કદી પસંદ ન હતા.

    અલકાએ હિન્દી ફિલ્મોમાં એવું વર્ચસ્વ જમાવી દીધું કે દરેક સંગીતકાર પ્રથમ તેને યાદ કરે પછી બીજી પાર્શ્વગાયિકાને. નવી પેઢીના સંગીતકારો માટે પણ અલકા અનિવાર્ય બનતી ગઈ. કોઈ પણ ગીતની ધૂન તે બહુ ઝડપથી પકડી શકતી એટલે સંગીતકારોને ય રાહત અનુભવાતી. એના કારણમાં એની શાસ્ત્રીય સંગીતની સઘન તાલીમ. પોતાના સમયની માતબર અભિનેત્રીઓ રાખી, રેખા, હેમા માલિની અને અન્યો માટે સંખ્યાબંધ હિટ ગીતો ગાયાં છે. એ અભિનેત્રીઓ સામેથી સંગીતકારને  કહેતી કે અલકા અમારા ગીતો માટે માટે કંઠ. હિન્દી ફિલ્મોમાં સૌથી વધુ ગીતો ગાનાર પ્લેબેક સિંગર્સમાં અલકા અગ્ર ક્રમે આવે છે. તેમણે સિંગર ઉદિત નારાયણ અને કુમાર સાનૂ સાથે સૌથી વધારે રોમેન્ટિક ગીતો ગાયા છે. અલકામાં રહેલું શૈલી અને ભાવનું વૈવિધ્ય જુદા જુદા પ્રકારનાં ગીતો સાથે આભમાં પીંછું ફરે એમ વિસ્તર્યું છે.

    બોલિવૂડમાં અલકાએ અનેક સુપરહિટ ગીતો આપ્યાં છે અને એની કદર પણ યોગ્ય સમયે થઇ છે. બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગર કેટેગરીમાં અલકા યાજ્ઞિકનું નામ ફિલ્મફેરમાં ૩૫ વાર નોમિનેટ કરવામાં આવ્યું, જેમાંથી ૭ વાર અવોર્ડ મેળવ્યો. આ સિવાય બે નેશનલ એવોર્ડ્સ પણ પોતાના નામે કર્યા છે. તેના જેટલા એવોર્ડ્સ તેની સમકાલીન ગાયિકાઓમાં કોઇને મળ્યા નથી. ઓગસ્ટ, ૨૦૧૯ના વર્ષમાં જ અલકા યાજ્ઞિકને ભારત સરકારના પ્રતિષ્ઠિત એવોર્ડ અટલ મિથિલા એવોર્ડથી સન્માનવામાં આવ્યા છે. આશા ભોંસલેને તેમની કારકિર્દીમાં સાત ફિલ્મફેર મળ્યા છે. અલકાને પણ એટલા મળી ચૂક્યા છે. અલકા યાજ્ઞિકના અવાજમાં એક યૌવન છે, કસક ભરી મસ્તી પણ છે અને ‘પંછી નદીયાં…’ ‘જાને ક્યૂ… (દિલ ચાહતા હૈ), ‘કભી અલવિદા ના કહેના’ ગીતો સાંભળતા વેદનાભરી ગંભીરતાનો ય અહેસાસ થાય છે. ફિલ્મ ‘હમ દિલ દે ચૂકે સનમ’માં ‘ચાંદ છૂપા બાદલ મેં’ ગીતમાં સલમાન ખાન અને ઐશ્ર્વર્યા રાય વચ્ચેની કેમેસ્ટ્રી જોરદાર દેખાય છે. પણ ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકનો સ્વર આ સ્વરાંકનને એક પગથિયું વધુ ઉપર લઈ જાય છે.

    સમય સાથે તાલ મિલાવતી અલકાને ‘તાલ’માં એ. આર. રહેમાને ‘તાલ સે તાલ મિલા’ ગવડાવ્યું ત્યારે તે ચોથા ફિલ્મફેર માટે લાયક સાબિત થઈ. વાતની મજા એ હતી કે ‘તેજાબ’ પછી ‘ચોલી કે પીછે’ (ખલનાયક) અને ‘જરા તસવીર સે તું’ (પરદેશ) ગીતોએ એને ફિલ્મફેર અપાવ્યો ત્યારે તે સુભાષ ઘાઇની જ ફિલ્મ હતી, જેમ ‘તાલ’ ઘાઇની હતી. એક સમયે અલકા યાજ્ઞિકના સ્વરના એવા સિક્કા પડતા હતા કે એના  વિના કોઇ મોટા બેનરની ફિલ્મનું સંગીત જાણે વેચી શકાતું નહોતું. તેને ૧૯૯૩ની ‘હમ હૈ રાહી પ્યાર કે’નાં ‘ઘૂંઘટ કી આડસે દિલબરકા’ ગીત માટે ફિલ્મફેર ન મળ્યો તો નેશનલ એવોર્ડ મળ્યો. જો કે એવું ૧૯૯૮ની ‘કુછ કુછ હોતા હૈ’ના ટાઇટલ ગીત માટે ય થયું હતું.

    આમિર ખાન સાથેનો એક રમૂજી  કિસ્સો યાદ આવતા આજે પણ અલકા યાજ્ઞિક હસી પડે છે. બનેલું એવું કે અલકા ‘કયામત સે કયામત તક’ માટે ગીત રેકોર્ડ કરી રહી હતી. ત્યારે આમિર ખાન એની સામે આવી બેસી ગયા. આમીર તે વખતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવા હતા. અલકાએ ગુસ્સાથી એને સ્ટુડિયોની બહાર જવા કહ્યું કારણ કે આમીર વારંવાર અલકાજીને તાકી રહ્યા હતા. એમ કરવાને કારણે અલકાને વિચિત્ર લાગતું હતું અને એ ક્ષોભ અનુભવતી હતી. રેકોર્ડીંગ પૂરું થતા સ્ટાર કાસ્ટ સાથે ઓળખાણ કરાવતા અલકાને ખ્યાલ આવ્યો કે આમીર મેઈન હીરો છે. પછી તો અલકાએ હસતા હસતા માફી પણ માગી. આમીરે પણ માફી આપી. જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.

    જો કે આજે તો અમીર ખાનને સ્ટુડીઓ તો શું પણ બોલીવુડમાંથી પણ બહાર કાઢી શકે એમ નથી. આમીરખાને એક કે બાદ એક એવી ઘણી વિચારપ્રધાન ફિલ્મો આપી.

    એક ગીત માટે લાખો રૂપિયા ચાર્જ લેતા નવા ગાયકોને ખ્યાલ પણ નહીં હોય કે લીજેંડ ગણાતા આપણા લતાજીને આટલી ઊંચાઈ પર પહોંચતા કેટલો સંઘર્ષ કરવો પડ્યો છે. એક જાણીતા હાસ્યલેખક વિનોદ ભટ્ટ લખે છે કે ‘લતાનું ‘મહલ’ માટે ગાયેલું ગીત ‘આયેગા આયેગા’ સાંભળીને આજેય આપણે ડોલી ઉઠીએ છીએ એ ગીતનું રિહર્સલ પાંચ દિવસ સુધી ચાલ્યું હતું અને ત્યાર પછી જ ઓ.કે. થયું હતું. લતાને એ વાતનો રંજ છે કે તેમના ગળાએ પાંચ પાંચ દિવસની કાળી મજૂરી કરી હોવા છતાં એ ગીત ગાવાનો એક કાંણિયો પૈસોય તેમને હજી સુધી મળ્યો નથી, એટલું જ નહીં, એ ગીતની રેકર્ડ પર તેમનું નામ પણ નથી. ટૂંકમાં આવું સુંદર ગીત ગાવાના પૈસા તેમજ પ્રતિષ્ઠા તે પામ્યા નથી’.

    અલકાએ ૧૯૮૯માં નીરજ કપૂર સાથે લગ્ન કર્યા, પરંતુ તે પાછલા 25 વર્ષથી પતિથી અલગ રહે છે. બન્ને વચ્ચે કોઈ મતભેદ કે ઝઘડો નથી. બન્ને અલગ અલગ ફીલ્ડના છે, માટે તેમણે નિર્ણય કર્યો કે અલગ અલગ રહીને પોતાના કામ પર ફોકસ કરશે. તેમની એક દીકરી છે સાયશા. સિંગર અલકા યાજ્ઞિકે એકલા હાથે દીકરીના લગ્ન કર્યા. પોતાની દીકરીનાં લગ્નમાં એક ઇમોશનલ સિંગિંગ પરફૉર્મેન્સ પણ આપ્યું હતું. અલકાનું આભિજાત્યપણું એ વાતમાં દેખાઈ આવે કે એણે લતા, આશા કે બીજા કોઈ વિશે પણ કદી ટીકાત્મક ભાષામાં વાત નથી કરી બલકે, તે સૌનો સતત આદર કરે છે. કોઇ સારું ગીત અન્ય ગાયિકા પાસે ચાલી જાય તોય તેણે કદી કોઈ ઈર્ષા કે બળાપો પ્રગટ નથી કર્યો. ગાયકીની શ્રેષ્ઠતા જેવું જ અલકાનું આભિજાત્ય છે. એનો કોઈ  ફિલ્મફેર એવોર્ડ મળતો હોત તો ચોક્કસ એમને જ મળે…!

    ઇતિ

    નાનું સરખું જુઠ્ઠાણું પણ માણસનો નાશ કરી શકે છે, જેમ ઝેરનું એક ટીપું પણ દૂધનો નાશ કરે છે.

    -ગાંધીજી


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.