વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કેન્દ્ર અને પરિઘ : સંસ્કારપુરુષની વિચારયાત્રા

    અમૃતાનુભવની ઉજાણી

    દર્શના ધોળકિયા

    ભારતીય પરંપરાની સમૃદ્ધ આચાર્ય – પરંપરાના કુળ સાથે નાળસંબંધે જોડાયેલા, સાંપ્રતકાળના અક્ષરદેહે વિદ્યમાન એવા આચાર્ય શ્રી યશવંત શુક્લ એમના વિદ્યાગુરુ શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ની પ્રસ્તાવનામાં નોંધે છે : ‘વિષ્ણુભાઈનો નિબંધસંગ્રહ ‘દ્રુમપર્ણ’ છપાઈ રહ્યો છે અને તેનો આમુખ તમારે લખી દેવાનો છે (એ) સાંભળીને હું અવાક થઈ ગયો. ગંગાને અવળી કેમ કરીને વહેવડાવાય?..એ તો નારી અનધિકાર ચેષ્ટા કરી કહેવાય.. પણ પછીથી ખુદ વિષ્ણુભાઈનો મારા પર પત્ર આવ્યો.. એટલે હવે આ અર્ધ્ય લઈને ઉપસ્થિત થયો છું.’ (‘દ્રુમપર્ણ’, આવૃત્તિ પ્રથમ, પ્રસ્તાવના, પૃ.૧૨)

    આચાર્ય યશવંત શુક્લની શતાબ્દીવંદના નિમિત્તે એમના ‘કેન્દ્ર અને પરિઘ’ નિબંધસંગ્રહ વિશે વક્તવ્ય આપવાનું નિમંત્રણ આપતો ડૉ. નીતિન વડગામાનો ફોન આવ્યો ત્યારે યશવંતભાઈએ અનુભવેલી આ મીઠી મૂંઝવણ ને ખચકાટનું સાદર સ્મરણ થઈ આવ્યું. યશવંતભાઈ મારા ગુરુજન ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતાના આદરણીય વિદ્યાગુરુ. મારા અભ્યાસ કે વક્તવ્યોના પ્રારંભિક કાળમાં સામે બેસીને મને ધ્યાનથી સાંભળતા યશવંતભાઈ ‘મારા વિદ્યાર્થીના વિદ્યાર્થીઓના અભ્યાસને ચકાસવો તો પડે ને ? કેવોક વારસો સચવાયો છે એ જોવા સ્તો !’ કહીને મને સત્કારતા એ ક્ષણોના સરવાળાએ એમનેય આ અર્ધ્ય ધરવાની ચેષ્ટા કરી બેસવાની હિંમત થઇ શકી છે.

    ‘કેન્દ્ર અને પરીઘ’ યશવંતભાઈનાં ત્રીસેક જેટલા નિબંધોનો સંગ્રહ ‘બુદ્ધિપ્રકાશ’, ‘સંસાર’, ‘નવચેતન’, ‘સંસ્કૃતિ’ જેવાં વિચારનિષ્ઠ સામયિકોમાં પ્રકાશિત થયેલા લેખો અહીં ગ્રંથસ્થ થયા છે, જેનો સમયગાળો છેક ઓક્ટોબર ’૬૪ થી ’૮૦ દરમિયાનનો છે. પુસ્તકરૂપે આપણને મળ્યો નવેમ્બર ૧૯૮૦માં. કેટકેટલા વિષયો પર યશવંતભાઈએ વિચારણા કરી પણ એમની વિદ્વત્તા જેટલી મંચસ્થ ને મનસ્થ થઈ એટલી ગ્રંથસ્થ ન થઈ જેનો વસવસો આ સંગ્રહની પ્રસ્તાવનામાં શ્રી રઘુવીર ચૌધરીએ પણ વ્યક્ત કર્યો જ છે : ‘એમણે આ શક્તિઓનો પૂરેપૂરો હિસાબ આપ્યો હોત તો? એક પૂરા સમયનો દ્રષ્ટિવંત સમીક્ષક સુલભ થાત.’(પ્રસ્તાવના)

    પણ તેમ છતાં આ સંગ્રહમાં યશવંતભાઈ પાસેથી જે સાંપડ્યું છે તે અમૂલ્ય સંપદા સમું છે. દરેક નિબંધનાં મથાળાં લેખકની વિચારસૃષ્ટિનો વ્યાપ સૂચવે તેવાં છે : ‘પહેલ અને પરંપરા’, ‘કાર્ય અને વિવેક’, ‘રાષ્ટ્રીય ચારિત્ર્ય અને સાંસ્કૃતિક પરિબળો’, ‘નારીનું સખી સ્વરૂપ’, ‘મૂલ્યોની કાયાપલટ’, ‘મૂલ્ય અને કવિધર્મ’, ‘લોકધર્મી પત્રકારત્વ’ અને સાહિત્ય પરિષદ, દિલ્હી અધિવેશનમાં અહેવાલરૂપે પ્રગટ થયેલ વ્યાખ્યાન ‘કેન્દ્ર અને પરિઘ. ૧૯૬૪ થી ૧૯૮૦ દરમિયાનની લેખકની આ વિચારયાત્રાનો નકશો એક બાજુથી એમનું ગજું પ્રગટ કરે છે તો બીજી બાજુથી એમની જીવન પ્રતિની નિસબત. પ્રકૃતિએ બૌદ્ધિક ગણાય ને જણાય એવા લેખકની અહીં પ્રગટ થયેલી વિચારયાત્રા એમની નિસબતને લઈને એમને આસ્તિકની પંગતમાં સ્થાન અપાવે એવી જણાય.

    પુસ્તકના આરંભે યેવતુશેન્કોનું આ વિધાન મુકાયું છે :

    ‘તારામાં જે કંઈ સુન્દર છે
    તેનું મૂલ્ય ચૂકવવા માટે
    અનિશ્ચિતતાઓ, પરાજયો, ગુમાવ્યાની વેદનાઓ
    -એ બધું શું વધારે પડતું કહેવાય ?’

    લેખકની જીવન પ્રત્યેની કૃતજ્ઞતા, જે આ નિબંધોમાં સતત વરતાયા કરે છે, તેનો આરંભ કદાચ અહીંથી થયો છે.

    પ્રસ્તુત નિબંધો પ્રધાનતઃ ચિંતનાત્મક છે. પણ લેખકનું ચિંતન નિરીક્ષણ, અનુભવ ને એ અનુભવના અર્થઘટનથી રસાઈને દર્શનમાં પરિવર્તિત થતું સહૃદયને અનુભવાય છે. આવાં અનેક દષ્ટાંતો અહીં જડે છે :

    “આ સહેલું ને સલામત બંને મનુષ્યને એકસાથે જોઈએ છે અને બંને એક સાથે બધાં ને ન મળે એવી વિધિઘટના છે… અનુભવે એને સમજાઈ રહ્યું છે કે વ્યવસ્થિતતા જો બંધન છે તો મુક્તિ અનુભવવા માટે એ અનિવાર્ય પણ છે, અર્થાત જે કંઈ અગાઉથી ગોઠવાયેલું છે તે બધુંયે ફેંદી નાખીને, ઊથલપાથલ કરીને, ફેંકી દેવા સરખું નથી.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

    જીવન પ્રત્યેની નિસબતે લેખકને આપ્યું છે સમ્યક દર્શન. આથી જ પહેલ અને પરંપરાને બંનેનો સ્વીકાર કરતાં ટી.એસ. એલિયેટનું સ્મરણ કરાવે એવું વિધાન કરતાં લેખક નોંધે છે :

    ‘જૂની પરંપરાઓ તૂટે છે, પણ તૂટતાં તૂટતાંય એના જે અંશોમાં જીવનનું સ્થાયી દૈવત પડેલું હોય છે તે નવી પરંપરા સાથે ગંઠાઈ જાય છે અને ભૂત વર્તમાનમાં પ્રવેશીને ભવિષ્યને અભિનવ ઝોક આપે છે. આમ પહેલ અને પરંપરા વચ્ચેના ઘમસાણ દ્વારા ત્રિકાલનું અનુસંધાન થાય છે.’(‘પહેલ અને પરંપરા’, પૃ.૩)

    ગંભીર અને ગહન વિષયની ચર્ચાની માંડણી કરતી વેળાએ યશવંતભાઈમાં રહેલો કેળવણીકાર ને ભાષાસ્વામી એની કેવી તો મદદે આવી છે તે જોવા જેવું છે. ‘ચાર વિચાર –બિંદુ’ની વાત માંડતાં ‘અભય’ પર લેખકે પહેલી પસંદગી ઉતારી છે . દૈવી સંપત્તિમાંની પ્રથમ એવા અભયને લેખક કેવી રીતે મૂલવે છે ? તેમને મને, ‘ભગવદગીતાકારે દૈવી સંપત્તિઓનું વર્ણન કરતાં અભયનો ઉલ્લેખ સૌથી પહેલો કર્યો તે કેવળ અનુષ્ટુપ છંદની આમન્યા પાળવા તો નહીં આમાન્યા પાડવા તો નહીં જ. એનું એક રહસ્ય છે, અને તે કદાચ એ છે કે સર્વ ગુણોમાં એ શ્રેષ્ઠ છે…’ તે પછી એમની મૌલિક અર્થઘટનશક્તિને ઉઘાડતાં જણાવે છે : ‘અભય એ જીવનની ઉપેક્ષા નથી, પણ જીવનનો સ્વીકાર છે. જીવનના જ વિજય માટે અસ્તિત્વલોપની બીજી ચિંતા છોડે તે નિર્ભય.’ (પૃ.૨૫)

    સામાન્યતઃ જેના વિશે વાત કરતાં વ્યક્તિગત આગ્રહો, અભિગ્રહો નડે ને શૈલી અભિનિવેશપૂર્ણ બની જાય એવા વિષયોને ચર્ચતી વેળાએ લેખકની સ્વસ્થતા ને સમતોલ દ્રષ્ટિકોણ અહીં પાને પાને પ્રગટ થઈને લેખકને માત્ર વિચારક નહીં પણ આચાર્ય ઠેરવતા રહે છે. ‘લોકશાહી અને ધર્મસહિષ્ણુતા’જેવા સંવદેનશીલ મુદ્દાને ચર્ચતા લેખક નોંધે છે : (લોકશાહીમાં) વિચાર કહેવાય છે અને વિચાર સહેવાય છે, તેથી જ વૈચારિક સંઘર્ષને અંતે સંમતિનું તત્ત્વ ઊપસી રહે છે.’(પૃ.૮૯)

    પણ લેખકને મતે આ વિચાર શું છે? “વિચાર એ પથ્થર નથી કે કોઈને વાગે. વિચારનું બળ ઘણું મોટું છે. પણ એ માનવચેતનામાં સરે છે અને ચેતનાનો અંશ બને છે. ચેતનાનો પ્રવાહ બદલવાનું સામર્થ્ય પણ તેજસ્વી અને સાચા વિચારોમાં રહેલું હોય છે…’(પૃ.૯૦)

    તો ‘મૂલ્યોની કાયાપલટ ‘ જેવા નાજુક વિષય વિશે વાત કરતાં જરાય ડગ્યા વિના લેખક નોંધે છે : ‘મૂલ્યોની કાયાપલટ કેવળ આજનું સત્ય નથી, એ ચિરકાલનું સત્ય છે.’(પૃ.૧૯૨) આખરે આ વિચારનો, આ મૂંઝવણનો નિષ્કર્ષ શું ? લેખકને એમની પ્રતિભામાંથી એ આમ સાંપડે છે :”.વ્યક્તિ જો સમષ્ટિ સાથે ભિન્નતા અનુભવતી હોય તો વિશ્વભાવ જખ મારે છે. આ દ્વૈતનો પરિહાર બુદ્ધે, મહાવીરે, ગાંધીએ મૈત્રી અને કરુણા દ્વારા કરવાની માનવજાતને શીખ દીધી હતી.તેઓ એ મૂલ્ય જીવી ગયા હતા. એ મૂલ્ય ગઈ કાલે પણ હતું, આજે પણ છે.. માનવપ્રેમનું આ મૂલ્ય આજનું સત્ય ખરું કે નહીં ?” (પૃ.૧૯૭) અત્યંત માર્દવ અને જીવતરના અનુભવના દોહનમાંથી સાંપડેલું દર્શન પ્રશ્નના રૂપમાં મૂકીને તે એમાં જ એનો ઉત્તર વીંટી આપીને લેખક ખસી ગયા છે. ક્રાન્તિકારી વિચારધારાનો સહૃદય પૂરો પરિચય કરાવ્યા છતાં અનાગ્રહિતાનું અહીં થતું દર્શન સહૃદયને એક જુદા પ્રકારના ભાવજગતની અનુભૂતિમાં મૂકી આપે છે.

    જોરશોરથી ચર્ચા માગી લે એવા વિષયોનું નિરાકરણ લેખકે ચપટી વગાડતાં કરી આપ્યું છે. ‘વિદ્વદભોગ્ય અને લોકભોગ્ય’ સાહિત્યની ચર્ચાને આરોપતું આ વિધાન એનું દ્રષ્ટાન્ત છે : ‘એ બે વચ્ચનો ભેદ સૌંદર્યલક્ષી નહીં, પપ્રત્યાયનલક્ષી છે. ભાવકના હૃદયને આંદોલિત કરવાની શક્તિ એ તો નોખી જ શક્તિ છે.’ (પૃ.૨૧૯)

    કાલિદાસે કથેલા નારીનાં સ્વરૂપોને પોતાના દ્રષ્ટિકોણથી મૂલવતાં લેખક નોંધે છે : ‘ગૃહિણી સ્વરૂપમાં સચિવ સ્વરૂપ ભળે તો નારીજીવનની એટલી વધુ કૃતાર્થતા..’ પણ લેખક કાલિદાસકથિત નારીનાં ચતુર્થ રૂપ-પ્રિય શિષ્યાનાં રૂપને મૌલિક અભિગમથી અજવાળતાં નોંધે છે :’…જો સ્ત્રી કોઈક કોઈક બાબતમાં પુરુષની પ્રિય શિષ્યા બની રહેતી હોય તો પુરુષ પણ ઘણી બાબતમાં સ્ત્રીનો પ્રિય શિષ્ય બની રહેતો હોય છે. મને લાગે છે કે આ એવો એક વિશિષ્ટ ગુરુશિષ્ય સંબંધ છે, જેમાં વખતોવખત ગુરુ અને શિષ્ય પોતાનાં સ્થાનોની અદલાબદલી કરી લેતા હોય છે.’(પૃ.૭૩)કવિ કુલગુરુ કાલિદાસની ચેતનાનો સાંપ્રત યુગમાં થયેલો, કવિનેય કૃતાર્થ કરી દેતો આ કેવો ચેતોવિસ્તાર !

    પત્રકારત્વ  અને એ સંદર્ભમાં દૈનિકો, ચર્ચાપત્રોની ચર્ચા કરતા અંતિમ નિબંધ ‘કેન્દ્ર અને પરિઘ’માં શીર્ષક અને લેખકની વિચારધારાનો અંતિમ પરિપાક નિષ્પન્ન થયો છે, જેમાં આવનારા ભવિષ્યનું સાફ દર્શન છે, એને કારણે જાગેલા વિષાદનો ધીમો સળવળાટ છે તે છતાં એમાંથી નીકળી શકતા માર્ગનું દર્શન પણ છે. “સમાજ વધારે ને વધારે વિશાળ થતો રહેવાનો છે, કેન્દ્ર અને પરિઘ વચ્ચેનું અંતર ઉત્તરોત્તર કપાતું રહેવાનું છે. રાજ્યસંસ્થાની પવિત્રતાનો ભાવ ઓસરતો જવાનો છે. અને લોકો સમાનતા સ્થાપીને જ જંપવાના છે. એ પરિસ્થિતિની ઇષ્ટાનિષ્ટતા વિશે આપણો ખ્યાલ ગમે તે હોય, પણ એની અનિવાર્યતા ફીટવાની નથી. તેથી જ વિચારશીલ સમાજનું નિર્માણ કરવામાં પત્રકારત્વે વ્યવસાય તરીકે નિશ્વયપૂર્વક ફાળો આપવો ઘટે છે અને વચગાળાની પ્રક્રિયાજન્ય વેદનાને સહ્ય બને એવી પરિસ્થિતિ સરજવી ઘટે છે. (પૃ.૨૮૩-૮૪)

    પોતાના આ નિબંધસંગ્રહની પ્રાકટ્યવેળાએ યશવંતભાઈએ ઋણસ્વીકાર કરતાં નોંધ્યું છે : “ઋણસ્વીકાર સિવાય આ નિબંધસંગ્રહ વિષે મારે જો કશું પણ કહેવાનું હોય તો તે આટલું જ કે ચાર દાયકા જેટલા સમયગાળા ઉપર પથરાયેલા આ લેખો ફરી વાંચી જતાં એમાં વ્યક્ત થયેલા વિચારો વિશેની મારી શ્રદ્ધા બદલાઈ નથી.’ લેખકની શતાબ્દી વેળાએ તો આ લેખોને લગભગ આઠ દાયકા થવા આવ્યા છતાંય સહૃદય યશવંતભીની આ અડોલ આત્મશ્રદ્ધા સાથે પૂરેપૂરો સંમત થાય એટલી  નક્કરતા, સચ્ચાઈ, મૌલિકતા ને શાશ્વતી એમાં સચવાયેલાં છે, જેનાં મૂળિયાં આગળ નોંધેલી લેખકની આસિકતા, જીવન પ્રત્યેની નિસબતમાં પડેલાં છે.

    જીવન, સાહિત્ય, સમાજ, સંસ્કૃતિ જેવાં પાસાંઓને ચર્ચતા યશવંતભાઈને નિરાશ કરે એવુંય ઘણું જોવા અનુભવવા મળ્યું જ હોય. પ્રસ્તાવનામાં રઘુવીર ચૌધરી આ અંગે ઈશારો કરતાં ઉચિત રીતે જણાવે છે તેમ, ‘ગાંધીજીના વાંદરાઓમાંથી ત્રણે ત્રણનો આદર્શ એમણે પાળ્યો નથી. ઘણું ખરાબ જોયું છે , સાંભળ્યું છે. એટલે કે તપોવનકાળથી આ ઉધાર જમાના સુધીની અવધિમાં ઉપવન અને રુગ્ણાલય સઘળાની હયાતીથી એ વાકેફ છે. તેથી એ ક્યારેય ભોળા આદર્શવાદી કે રુગ્ણ રોમાન્ટિક લાગતા નથી. એમની પાસેથી એક વ્યવહારુ, બૌદ્ધિકતા તાજા પ્રતિભાવ સતત મળતા રહ્યા છે.’ ને તેથી જ એમનું લગભગ અંતિમ મૂલ્યાંકન કરતાં રઘુવીરભાઈ નોંધે છે : ‘કશાય માટે નર્યો અહોભાવ નહીં, તેમ કશાયનો અભાવો પણ નહીં.. વૈજ્ઞાનિક દ્રષ્ટિથી શક્ય બનતો સમન્વય તાકીને એમણે ગમ્ધીયુગનો ઉત્તરાધિકાર શોભાવ્યો છે.’

    પોતાના વિદ્યાગુરુ વિષ્ણુપ્રસાદ માટે પ્રસ્તાવનાનો અર્ધ્ય ધરનાર યશવંતભાઈ ને ‘દ્ર્રુમપર્ણ’માંથી પસાર થતાં એમને સાંપડેલી પ્રાપ્તિ ‘કેન્દ્ર અને પરિઘ’માંથી પસાર થતાં મારા સહિતના સૌ અભિભાવકોનીય એવી જ પ્રાપ્તિ એવું જ વળતર, જે એમને એમના જ શબ્દોમાં અર્પણ કરવાનું મન થાય.(આ અર્ધ્યથી) પુણ્ય એ રળ્યો છું કે મારા વિદ્યાગુરુની સમગ્ર ભાવનાસૃષ્ટિની પરિશીલન કરવાની આ નિમિત્તે મને ઉત્તમ તક મળી છે.’ આ જ તો આચાર્ય પરંપરાના વાહક યશવંતભાઈની ઓળખ !


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • અરણ્યેર દિન રાત્રિ – જંગલમાં રહેતા લોકો જંગલી મુદ્દલ નથી હોતાં

    સંવાદિતા

    કેટલાક વિવેચકો ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ને સત્યજીત રાયની ‘ અપ્પુ ત્રયી ‘ સિવાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મ માને છે

    ભગવાન થાવરાણી

    પોતાની મોટા ભાગની ફિલ્મો સાહિત્યિક કૃતિઓ ઉપરથી સર્જનાર સત્યજીત રાયે બંગાળીનાં વિખ્યાત સાહિત્યકાર સુનીલ ગંગોપાધ્યાયની બે નવલકથાઓ ‘ પ્રતિદ્વંદી ‘ અને ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ઉપરથી એક જ વર્ષ ૧૯૭૦ માં એ જ નામની ફિલ્મો બનાવી. રાયની દરેક ફિલ્મની જેમ ‘ અરણ્યેર દિન રાત્રિ ‘ ( જંગલના રાત દિન ) પણ એક વિલક્ષણ ફિલ્મ છે. આ ફિલ્મ ઉપરછલ્લી રીતે દેખાય છે એક હલકી ફુલ્કી અને અલગારી પ્રવાસ – ગાથા પણ એની ભીતરના પ્રવાહો જુદા છે. એ છે માણસ, પ્રકૃતિ અને માણસની પ્રકૃતિનો અભ્યાસ !

    ચાર શહેરી યુવકો અશીમ, સંજય, હરિ અને શેખર શહેરની દોડધામભરી જિંદગીથી છુટકારો પામવા અને જંગલમાં મોજમસ્તી કરવા કલકત્તાથી અશીમની આગેવાની હેઠળ એની કારમાં નીકળે છે. એમનું લક્ષ્ય છે કલકત્તાથી દૂર પાલામાઉ ( ઝારખંડ ) ના જંગલો. ચારેય અપરિણિત છે અને પ્રકૃતિએ છેક જ ભિન્ન. એમને મોકળાશ ઉપરાંત મસ્તી, મદિરા અને મોહિનીની તલાશ છે. દેખીતી રીતે એમને શહેરથી મુક્તિ જોઈએ છે પરંતુ શહેર અને શહેરી જીવનનાં બધાં જ દૂષણો એ લોકો સાથે લઈ જાય છે. મંડળીમાં અશીમ અને સંજય પ્રતિષ્ઠિત અધિકારીઓ છે. હરિ વિષયાસક્ત નિષ્ફળ પ્રેમી છે અને શેખર બેકાર પણ વિદૂષક અને બધાની સારસંભાળ રાખનાર વડીલ ! ચારેયમાં ઈમાનદાર પણ એ જ છે. અશીમને પોતાની કારકિર્દી પોકળ અને કંટાળાજનક લાગે છે તો દંભી સંજય પોતાના માર્ક્સવાદી વિચારોની આડશમાં એનું મધ્યમવર્ગીય ડરપોકપણું સંતાડીને કંટાળ્યો છે.

    રસ્તામાં પેટ્રોલ ભરાવતી વખતનું પેટ્રોલ પંપના કર્મચારી સાથેનું એમનું તોછડાઈભર્યું વર્તન અને ડાકબંગલાનો રસ્તો ચીંધવા સાથે લીધેલા આદિવાસી સાથેની આભડછેટ જ એમનો જીવન અને જંગલ પ્રત્યેનો અભિગમ દર્શાવી દે છે.એ લોકોને જંગલના સરકારી ડાકબંગલામાં રહેવું છે પણ ‘ બધું અને બધાને ખરીદી શકાય છે ‘ એ શહેરી આત્મવિશ્વાસ પર મુસ્તાક રહી એમણે કોઈ બુકીંગ કરવાની તસ્દી લીધી નથી. અશીમ એમાં પારંગત છે. બંગલાના ચોકીદારને લાંચ આપી, ફોડી એ એમાં કામિયાબ થાય છે.

    ચારે જંગલ વચ્ચેના દેસી દારૂના અડ્ડે પહોંચે છે. શેખર સિવાયના ત્રણે દારૂ પીને છાકટા થાય છે. દારૂ પી રહેલી આદિવાસી સ્ત્રીઓના ઝૂંડને જોઈ હરિને થાય છે કે આમાંની કોઈને થોડાક પૈસા આપીને પટાવી લેવી તો સાવ આસાન ! આવ્યા છીએ તો ફેરો વસૂલ થવો જોઈએ.

    જંગલમાં જ એમનો ભેટો એક સુશિક્ષિત પરિવાર અને એની બે સ્ત્રીઓ અપર્ણા અને જયા સાથે થાય છે. એ પરિવાર વેકેશન કરવા પોતાના બંગલામાં આવીને રહ્યો છે. અપર્ણા પ્રગલ્ભ જાજરમાન નારી છે જે અશીમ જેવા યુવકોનો અહમ અને વૃતિ પિછાણે છે. જયા વિધવા છે પરંતુ બિંધાસ્ત છે.

    ફિલ્મમાં આ છયે પાત્રોને સાંકળતો એક અદભુત હળવો પ્રસંગ છે. રાયની નિર્દેશક અને કેમેરામેન તરીકેની એટલી બધી ખૂબીઓ એમાં નિહિત છે કે ફિલ્મકળાના વિદ્યાર્થીઓને એ પાઠ્યક્રમમાં શીખવવામાં આવે છે. ડાકબંગલાના પ્રાંગણમાં એ બધા ‘ મેમરી ગેમ ‘ તરીકે ઓળખાતી એક રમત રમે છે. કુંડાળામાં બેઠેલા ખેલાડીઓમાંનો એક પોતાના માનીતા કોઈ પણ પાત્રનું નામ બોલે. એના પછીનો એ પાત્ર ઉપરાંત પોતાની પસંદગીના ચરિત્ર એમ બે નામ બોલે. ત્રીજો એ જ ક્રમ બરકરાર રાખી ત્રણ નામ બોલે. જેનાથી બધાં નામ બોલવામાં અથવા એના ક્રમમાં ચૂક થાય એ રમતમાંથી બાકાત ! છેલ્લે જે બધાં નામ સાચા ક્રમમાં યાદ રાખી શકે એ વિજેતા ! રમત તો ઠીક, સમગ્ર દ્રષ્ય દરમિયાન વચ્ચે કેમેરા રાખી સર્જકે બધા પાત્રો, એમની માનસિકતા અને અવઢવ જે કુનેહથી ઝીલી છે એ બેમિસાલ છે.

    જંગલના રોકાણ દરમિયાન ચારેય મિત્રો અજાણપણે ઘણું બધું શીખે છે .પરત કલકત્તા પ્રયાણ કરે છે ત્યારે કોઇ બોલતું નથી પરંતુ દરેક જાણે છે કે એમની અહીં આવ્યા પહેલાંની માન્યતાઓ અને અભિગમમાં કશીક ત્રુટિ હતી. અશીમને અપર્ણાનો સંગ અને એની જંગલ અને સામાન્ય લોકો તરફની દ્રષ્ટિ કશુંક શીખવે છે. સંજય અપર્ણાની ભાભી જયાના દૈહિક નિમંત્રણને ડરપોક બની નકારે છે એ પશ્ચાતાપ પીડે છે. હરિને આદિવાસી સ્ત્રી દુલીનું આકર્ષણ અને સંસર્ગ ખતા ખવડાવે છે તો નિર્લેપ અને તટસ્થ શેખરને ત્રણે મિત્રોની દશા કશુંક શીખવે છે. વધારામાં આ દરેક શીખ્યા છે અનુકંપા, અન્યનો આદર, અન્યના દ્રષ્ટિકોણનું જગત જોવાની આવડત અને ગરીબ એટલે ઉતરતા એ માન્યતામાંથી મુક્તિ ! જંગલ એક રીતે એમને અરીસો દેખાડે છે, જાતને પ્રથમ નીરખવાનો પડકાર જાણે !

    હંમેશ મુજબ અહીં પણ રાયના બધાં પાત્રો પોતાની બધી ઊણપો સાથે હાજર છે. દરેકમાં ખામીઓ છે પણ કોઈ ખલનાયક નથી. બધાં હાડચામના મનુષ્યો છે. હંમેશની જેમ એમના સ્ત્રી પાત્રો મજબૂત છે. એ બધાં પોતાની જરૂરિયાતો અને ઈચ્છાઓ બાબતે જાગૃત છે અને એ અભિવ્યક્ત કરતાં ક્ષોભ અનુભવતાં નથી.

    ફિલ્મમાં આદિવાસીઓનો વ્યવસ્થા તરફનો – સભ્ય સમાજ તરફનો અસંતોષ ક્યાંકને ક્યાંક ડોકાય છે. ફિલ્મ ઉપર રાયના ગુરુ જ્યાં રેન્વારની ૧૯૩૬ ની ફિલ્મ ‘ અ ડે ઈન ધ કંટ્રી ‘ ની અસર વર્તાય છે.

    આ ફિલ્મ બન્યાના ૩૪ વર્ષ બાદ ૨૦૦૩ માં વિખ્યાત બંગાળી ફિલ્મકાર ગૌતમ ઘોષે એ જ કથાના અનુસંધાનમાં એક ફિલ્મ સર્જી ‘ આબાર અરણ્યે ‘ ( ફરી જંગલમાં ). ચાર મિત્રોમાંથી શેખર ( રબી ઘોષ ) અવસાન પામ્યા હતા. અશીમ ( સૌમિત્ર ચેટર્જી ), સંજય ( શુભેંદુ ચેટર્જી ), હરિ ( સમીત ભંજ ) અને અપર્ણા ( શર્મિલા ટાગોર ) હયાત હતાં. નવી કથામાં અશીમ અને અપર્ણા પરણી ચૂક્યા છે. જૂનું જીવન ફરી તાજું કરવા ત્રણે મિત્રો પોતાની પત્ની અને ઉંમરલાયક સંતાનો સહિત ફરી એ જ અરણ્યના એ જ વિસ્તારમાં જાય છે.

    એક દિવસ અશીમ – અપર્ણાની યુવાન પુત્રી અમૃતા ( તબુ ) ગુમ થઈ જાય છે. ખબર પડે છે કે એનું અપહરણ સ્થાનિક આદિવાસીઓના એક જૂથે કરેલ છે. એમને સ્થાનિક આદિવાસી બાળકોના ભણતર માટે પૈસા જોઈએ છે. એ પણ બહાર આવે છે કે અમૃતાને આ આદિવાસીઓની માંગ માટે સહાનુભૂતિ છે અને એ લોકોએ અપહરણ પછી એને બિલકુલ આદર અને પ્રેમપૂર્વક રાખી છે. ખંડણી મળતાં છોકરીને છોડી મૂકવામાં આવે છે પરંતુ એ પોતે આ છુટકારાથી ખુશ નથી !

    ગૌતમ ઘોષ સિદ્ધહસ્ત સર્જક છે ( સ્મિતા – નસીરની યાદગાર ફિલ્મ ‘ પાર ‘ એમની હતી ) પરંતુ આ ફિલ્મ ગુણવત્તામાં મૂળ ‘ અરણ્યેર ..’ની આસપાસ પણ ફરકી શકે તેમ નથી. ફિલ્મનું મુખ્ય આકર્ષણ એ જ જૂના પાત્રો અને કલાકારોને ત્રણ દાયકાના અંતરાલ બાદ જોવાં એ છે. બીજી રીતે જોઈએ તો જૂની ફિલ્મમાં તણખારૂપે ક્વચિત દેખાતો આદિવાસી અસંતોષ અહીં અગ્નિ બની પ્રગટ્યો છે.

    એક વધુ બંગાળી ફિલ્મ નામે ‘ આબાર અરણ્યેર દિન રાત્રિ ‘ ૨૦૨૪ માં આવી છે જેને અગાઉની બે ફિલ્મોના કથાનક સાથે કોઈ લેવાદેવા નથી.

    અંતમાં ‘ ન્યુયોર્ક ટાઈમ્સ ‘ દ્વારા લખાયેલી ‘ અરણ્યેર દિન રાત્રિ ‘વિષેની ટિપ્પણી. “ એક એવી વીરલ અને તૃપ્તિદાયક ફિલ્મ જે આપણને જીવતાં હોવાનો આનંદ બક્ષે છે ! ‘

    સાચ્ચે જ !


    સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મલાલાનું મહાભિનિષ્ક્રમણ

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    ક્યાં ખોવાયું બચપણ મારું ક્યાંકથી શોધી કાઢો,
    મીઠા મીઠા સપનાઓની દુનિયા પાછી લાવો.
    મોટર બંગલા લઈ લો મારા, લઈ લો વૈભવ પાછો,
    પેન લખોટી ચાકના ટુકડા મુજને પાછા આપો.

                                          -કૈલાસ પંડિત

    જ્યારે શાંતિનું નોબેલ પ્રાઈઝ પાકિસ્તાનના ફાળે જાય છે એવી જાહેરાત થઈ ત્યારે આખા જગતને વિસ્મય થયું હતું. જગત જમાદાર અમેરિકા સહિતના બધા દેશો જાણે છે કે આતંકવાદી છાવણીઓ આ નાપાક દેશમાં ફૂલે ફાલે છે. પરંતુ ૧૯૦૧થી અપાતું શાંતિ માટેનું નોબેલ પ્રાઈઝ ૨૦૧૪માં મલાલા યુસુફ્ઝઈ અને ભારતના કૈલાશ સત્યાર્થીને સંયુક્ત રીતે આપવામાં આવ્યું એવું સાંભળીને એક સ્ત્રી તરીકે ગર્વિષ્ઠ બની. મલાલાની આકા વર્સીસ અક્ષરની ફાઈટમાં અનેક વળાંકો છે. જ્યાં સ્ત્રીશિક્ષણનો લહેરાતો રાષ્ટ્રધ્વજ લઈ ઉભેલી એક નાનકડી બાળકી છે. જેની ઉંમર હજુ ઘરનો ઉંબર ઓળંગીને સહિયરો સાથે નદીની ઊછળકૂદ પગમાં ભરી ધમાલ-મસ્તી કરવાની હોય એ ઉંમરે લોહીની નદી વછૂટતી જોવા મળે ત્યારે આંખો પથ્થર થઈ જાય. જે ઉંમર પીપરમેન્ટની ગોળી ચગળતા આનંદના આઠમાં આસમાને વિહરવાની હોય એ ઉંમરે બંધૂકની ગોળી ખાવાની આવે ત્યારે માનવતા કોમામાં સરી ગઈ હોય એવું લાગે. ઊગીને ઊભી થતી ફૂલ જેવી એક છોકરી ખૂંખાર આતંકવાદીઓને તાબે ન થઈને એકલા હાથે પાઠ ભણાવે છે. કન્યાકેળવણીનો પ્રચાર કરતી આ છોકરીને આતંકવાદીઓ શસ્ત્રો વડે પણ હંફાવી શક્યા નથી. એ મર્દાની છે મલાલા યુસુફઝઈ. મલાલાને ગાંધીજીની અનોખી વારસદાર કહી શકાય. શાંતિ માટે નોબેલ પ્રાઇઝ મેળવનારાઓમાં મલાલા સર્વ‍શ્રેષ્ઠ છે. આ સન્માન મલાલાને આપવાથી નોબેલ પ્રાઈઝ કમિટીના પોતાના સન્માનમાં વધારો થયો છે. ‘સામાન્ય માનવીનું તપોબળ કોઈ તોપના બળ કરતા હજારગણું શક્તિશાળી છે. આત્મબળ તો દરેક માણસ ધરાવતો હોય છે પણ કેટલાક તેને ઓળખી લે છે અને કેટલાકને તેનો પરિચય કરાવવો પડે છે’. એવું ગાંધીજી કહેતા. એમણે કરોડો ભારતીયોનું આત્મબળ જગાડ્યું. એ આત્મબળમાં એટલી તાકાત છે કે એ ભલભલી વ્યવસ્થા કે સત્તાને ઉખેડી ફગાવી શકે.

    બે સદી પહેલાં મહિલા સશક્તિકરણ, વિમેન એમ્પાવરમેન્ટ, ફેમિનિઝમ કે જેન્ડર ઇક્વાલિટી જેવા શબ્દો સપનાંમાં પણ સંભળાતા ન હતા. સ્ત્રીશિક્ષણ તો બાજુએ રહ્યું, બાળલગ્ન જેવી કુપ્રથાએ પગપેસારો કર્યો હતો. પરંતુ રૂઢિચુસ્ત સમાજના વિચારોને અવગણી, મહિલાવર્ગને નવી પગદંડી બતાવનાર આનંદીબાઈ જોશી અને સાવિત્રીબાઈ ફૂલે જેવી નિર્ભય અને સાહસિક ભારતીય મહિલાઓએ વર્ષો પહેલા કન્યા કેળવણી અને શિક્ષણ માટે સંઘર્ષ કર્યો હતો. આજે નીતા અંબાણી તો ઘણા વખતથી કન્યાકેળવણી ક્ષેત્રે પ્રવૃત્ત છે. નરેન્દ્ર મોદી જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે તેઓ તેમને મળેલી ભેટોની હરાજી કરાવતા હતા અને તે હરાજી થકી આવતાં ભંડોળનો ઉપયોગ કન્યાકેળવણી પાછળ કરતા હતા. વર્ષ ૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી પણ આ ક્રમ તેમણે જાળવી રાખ્યો છે. મલાલા યુસુફઝઈ પણ કન્યાકેળવણીનો એક અદમ્ય અવાજ બની. પાકિસ્તાનના ફંડામેન્ટાલીસ્ટ ઇસ્લામીઓએ આદેશ જારી કર્યો હતો કે શરિયા મુજબ મુસલમાનોમાં કન્યાકેળવણી પ્રતિબંધિત છે. મલાલાએ તેમની આ વાતનો વિરોધ કર્યો હતો અને તે પોતાના ગામમાં છોકરીઓને સ્કૂલમાં જવા સમજાવતી હતી. તેને અનેકવાર જાનથી મારી નાખવાની ધમકી ઇસ્લામિસ્ટોએ આપી હતી, પરંતુ મલાલા પોતાની વાતમાં અડગ રહી હતી. મલાલાથી નારાજ ઉગ્રવાદીઓએ ૨૦૧૨માં આ પંદર વર્ષની નાની બાળકીના માથામાં ગોળી મારી દીધી. મલાલા ઘણા દિવસ કોમામાં રહી હતી અને જીવનમરણની લડાઈ લડી હતી. તેને વિદેશમાં સારવાર આપવામાં આવી હતી જેમાં તે બચી ગઈ હતી. ૨૦૧૨માં આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યાં સુધી તેનું નામ તેના ગામની બહાર કોઈએ સાંભળ્યું ય નહોતું. બ્રિટનમાં લાંબા સમય સુધી ઇલાજ કરાવ્યા બાદ મલાલા ઠીક થઈ શકી હતી. તાલિબાન એટેકને લીધે તે હારી જવાને બદલે હિમતવાન બની. જો કે ત્યાર પછીથી તે લાંબો સમય પાકિસ્તાનની બહાર જ રહી.

    પાકિસ્તાનના વાયવ્યમાં આવેલી સ્વાત ખીણમાં ૧૨ જુલાઈ, ૧૯૯૭ના રોજ મલાલાનો જન્મ થયો હતો. ૧૦ વર્ષની ઉંમરે તેણે ‘ગુલ મકઈ’ નામથી બીબીસી ઉર્દૂ માટે ડાયરી લખવાનું શરૂ કર્યું હતું. ત્યારે પહેલી વખત તેઓ ચર્ચાનું કેન્દ્ર ત્યારે બન્યાં હતાં. બહારની દુનિયામાં વસતા લોકો માટે આ ડાયરી એક બારી હતી જેનાથી દુનિયાને જાણ થઈ કે સ્વાત ઘાટીમાં તાલિબાનના પડછાયા હેઠળ લોકોનું જીવન કેવી યાતનામાં વીતી રહ્યું હતું.

    ઑગસ્ટ-૨૦૧૪માં મલાલાના સ્મરણો અને સંઘર્ષની કથા કહેતું પુસ્તક ‘આઈ એમ મલાલા’ પ્રસિદ્ધ થયું હતું અને આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલરની યાદીમાં આવી ગયું હતું. મલાલાને અનેક પારિતોષિકો અને સન્માનોથી નવાજવામાં આવેલા છે. જો કે પોતાના પુસ્તક ‘આઈ એમ મલાલા’ના ઉપસંહારમાં તે લખે છે કે ‘ગામ મિંગોરામાં જ્યારે ઇનામ મળતાં ત્યારે થતી એવી ઉત્તેજના હવે થતી નથી. દરેક પારિતોષક એક જવાબદારીનો અહેસાસ કરાવે છે કે હજી કેટલું કામ બાકી છે’. ૨૦૧૪માં મલાલાએ યુ.એન.માં આપેલા ભાષણમાં આ આખાય પુસ્તકનો સાર છે. મલાલા જણાવે છે કે આ પ્રવચન તેણે માત્ર યુ.એન.માં હાજર લોકો માટે નહીં પણ સમગ્ર વિશ્વ માટે લખ્યું હતું. એ કહે છે: ‘ચાલો આપણે આપણાં પુસ્તક અને કલમ ઉઠાવીએ. એ આપણાં સૌથી શકિતશાળી હથિયારો છે. એક બાળક, એક શિક્ષક, એક પુસ્તક, અને એક કલમ દુનિયા બદલી શકે છે.’

    યુનાઇટેડ નેશન્સે (UN) મલાલાને તેની ૧૬મી વર્ષગાંઠ નિમિત્તે બોલાવી હતી અને તેનું સન્માન કરવામાં આવ્યું હતું. મિડિયા લખે છે કે UN દ્વારા કરવામાં આવેલું મલાલાનું આ સન્માન ખરા અર્થમાં વિશ્વસમાજે કરેલું સન્માન હતું. સન્માનના ઉત્તરમાં મલાલાએ અસરકારક ભાષણ આપ્યું હતું. મલાલાએ આતંકવાદીઓને ભાઈઓ તરીકે ઓળખાવ્યા હતા. આ એની ઉદ્દાત વિચારસરણી દર્શાવે છે. તેના પર હુમલો કરનારા આતંકવાદીઓને તેણે માફ કરી દીધા હતા અને તેમને વિનંતી કરી હતી કે કન્યાઓને ભણતી રોકવામાં ન આવે. તેણે કન્યાકેળવણી માટે બાકીનું જીવન સમર્પિત કરવાની જાહેરાત કરી હતી. UNમાં મલાલાને સ્ટૅન્ડિંગ ઓવેશન આપવામાં આવ્યું હતું.

    છોકરીઓને શિક્ષણ લેવા માટે પ્રોત્સાહન આપવા માટે હાર્વર્ડ યુનિવર્સિટીએ મલાલા યુસુફઝઈને ૨૦૧૮નો ગ્લેટ્સ્મેન પુરસ્કાર આપી સન્માનિત કરી. ગ્લેટ્સ્મેન એવોર્ડ હેઠળ વિશ્વભરનાં લોકોના જીવનસ્તરમાં સુધારણા માટે કામ કરનાર વ્યક્તિને ૧,૨૫,૦૦૦ ડોલર પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. આગળ મીડિયા નોંધે છે કે વર્ષ ૨૦૧૩માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૨મી જુલાઈને મલાલા ડે જાહેર કરવામાં આવ્યો છે અને દર વર્ષે સમગ્ર વિશ્વમાં તેની ઉજવણી કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર ભાગ્યે જ કોઈ વ્યક્તિ માટે આવો વિશિષ્ટ દિવસ ઊજવે છે. ૨૦૧૩ના ઑક્ટરોબરમાં યુરોપિયન સંસદ દ્વારા મલાલાને ‘સેખરોવ પ્રાઇઝ ફોર ફ્રીડમ ઑફ થોટ’ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. ૨૦૧૪માં જ તેને અધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલરનું વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝ અપાયું હતું. વર્ષ ૨૦૧૭માં કેનેડાએ મલાલાને કેનેડાનું માનદ્ નાગરિકત્વ આપવા ઉપરાંત કેનેડાની સંસદમાં સંબોધન કરવા આમંત્રિત કરી હતી. માત્ર ૧૬ વર્ષની વયે મલાલાએ સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કર્યું હતું અને તેનું વક્તવ્ય ખૂબ જ પોંખાયું હતું. પાકિસ્તાન સરકારે તેણીને યુવા શાંતિ પુરસ્કાર એનાયત કરી તેણીનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત ત્યાંની સરકાર દ્વારા એક કન્યાશાળાને પણ તેણીનું નામ આપવામાં આવ્યું છે. જગતના મુખ્ય પ્રતિષ્ઠિત સામાયિક ‘ટાઈમ’ દ્વારા તેણીને ૨૦૧૩ના વર્ષમાં ‘પર્સન ઓફ ધ યર’ તરીકે નામાંકિત કરવામાં આવી હતી, જેમાં તેણી બરાક ઓબામા પછી બીજા ક્રમે રહી હતી. મહિલાઓના શિક્ષણ માટે અવાજ ઉઠાવવા બદલ તેને વીરતા પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવી છે. મલાલા યૂસૂફજઇને આ પુરસ્કાર ‘વર્લ્ડ પીસ એન્ડ પ્રોસ્પેરિટી ફાઉન્ડેશન’ના અધ્યક્ષ પ્રિન્સ અલી ખાને પ્રદાન કર્યો હતો.

    મલાલાના માથામાં તાલીબાની આતંકીઓએ ગોળી મારી હતી તેમ છતાં તેણે કિશોરીઓના શિક્ષણનું કામ ચાલુ રાખ્યું હતું. તેના આ યોગદાન બદલ UNએ વર્ષ ૨૦૧૭માં પોતાની શાંતિ દૂત તરીકે સન્માનિત કરી હતી. સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પ્રમાણે મલાલા યુસુફઝઈને ૨૧મી સદીની ‘મોસ્ટ ફેમસ ટીનેજર ઈન ધ વર્લ્ડ’ જાહેર કરી છે. મલાલા પર ‘He Named Me Malala’ નામની ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે ૨૦૧૫ના ઓસ્કર એવોર્ડમાં શોર્ટલિસ્ટ થઈ હતી. મલાલા પર બારેક જેટલાં પુસ્તકો પણ લખાયાં છે. તેના પર લખાયેલા અખબારી લેખોની સંખ્યા તો આંગળીના વેઢે ગણી ન શકાય તેટલી છે. આ યુવતીના ઉચ્ચ વિચારો અને બાળકોના શિક્ષણ માટેનું તેનું સંપૂર્ણ સમર્પણ કાબિલે દાદ છે. મલાલાએ પોતાની અધિકૃત વેબસાઇટમાં પોતાના સંઘર્ષની કથાવાળા પાના પર એક વાક્ય લખ્યું છે, ‘હું મારી વાર્તા એટલે નથી કહેતી કે તે અજોડ છે, પરંતુ એટલે કહું છું કે તે (અજોડ) નથી. આ તો ઘણી બધી બાળાઓની વાર્તા છે.’ કેટલી ઊંડી સમજ અને સંવેદના ! મલાલાએ પોતાના નામનું એક ફંડ ઊભું કર્યું છે, જેનો ઉપયોગ દુનિયાભરના દેશોનાં બાળકોના શિક્ષણ માટે કરવામાં આવે છે. વર્લ્ડ્સ ચિલ્ડ્રન્સ પ્રાઇઝના અધધધ ૫૦,૦૦૦ અમેરિકન ડૉલર્સ તેણે ગાઝા પટ્ટી પર પેલેસ્ટાઇનના વિસ્થાપિતોનાં બાળકો માટે શાળા ચલાવવા માટે દાનમાં આપી દીધા હતી. સીરિયામાં પણ તેણે શાળાઓ શરૂ કરાવી છે.

    એકવાર મલાલાએ જ્યારે કહેલું કે ‘પાકિસ્તાનને કાશ્મીર આપી દો’ ત્યારે ભારતીય શૂટર હિના સિદ્ધુએ કહ્યું’ પહેલા તમે તો પાકિસ્તાન જઈને બતાવો’ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની નોબેલ પ્રાઈઝ વિજેતા મલાલા યુસુફઝઇ દ્વારા અપાયેલા નિવેદનનો આ ભારતીય ખેલાડી દ્વારા યોગ્ય જવાબ અપાયો હતો. મલાલાએ સોશિયલ મીડિયા પર કાશ્મીરની છોકરીઓની હાલત વિશે લખ્યું હતું, જેના પર હિનાએ તેમને કાશ્મીરની ચિંતા છોડીને જાતે જ પાકિસ્તાન પાછા આવી બતાવવાની વાત કહી હતી.

    તાલિબાની આતંકવાદીઓ સામે લડનારી મલાલા યુસુફઝઈની કહાની પર એક ફિલ્મ બની છે. જે એક અદ્દભુત બાયોપિક છે. નામ છે ‘ગુલ મકઈ’. આ ફિલ્મનું ડાયરેક્શન અમઝદ ખાને કર્યું છે. ગુલ-મકઈ એટલે મકાઈનું ફુલ. બીબીસીની ઉર્દૂ શાખા માટે મલાલા ગુલ-મકાઈ નામ હેઠળ બ્લોગ લખતી હતી. એથી આ ફિલ્મનું નામ ગુલ મકઈ રાખવામાં આવ્યું છે. એમ તો કન્યાકેળવણી પર ભાર મુકતી ગુજરાતી ફિલ્મ ‘આઇ.એમ.બન્ની’ પણ બનેલી છે જે કચ્છ જેવા વિશાળ જિલ્લાના અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારની શિક્ષણની સ્થિતી અંગે જાગૃત કરે છે. મલાલાની લડાઈ હજુ પણ પુરી નથી થઈ. હવે ‘મલાલા કોણ છે?’ તે પ્રશ્નના જવાબ અનેક છે. મલાલા જાણે છે કે એની નાની જિંદગીમાં ઘણું ઘણું બદલાઈ ચૂક્યું છે. તેમ છતાં તેનું અંતરમન એ જ છે. પુસ્તકના અંતમાં એ કહે છે: ‘હું મલાલા છું. મારું જગત બદલાઈ ચૂક્યું છે, પણ હું નહીં.’


    ઇતિ

    ચિંતાના ઈલાજ તરીકે વ્હિસ્કી કરતા કર્મ બહેતર છે.

    થોમસ એડિસન


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ઈચ્છામૃત્યુના નિર્ણયનો અધિકાર કોને હોવો જોઈએ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારત સરકારના આરોગ્ય મંત્રાલયે એકાદ મહિના પહેલાં ઈચ્છામૃત્યુ અંગે માર્ગદર્શિકાનો મુસદ્દો જાહેર કર્યો હતો અને લોકોના સૂચનો માંગ્યા હતા. એટલે ઈચ્છામૃત્યુના કાનૂની, નૈતિક, તબીબી અને ભાવનાત્મક પાસાંની ફરી એકવાર ચર્ચા ઉઠી છે.

    ગ્રીક વાક્યાંશ યૂ થાનાટોસ પરથી યુથેનેશિયા (ઈચ્છામૃત્યુ) શબ્દ ઉતરી આવ્યાનું કહેવાય છે. જેમાં યૂ નો અર્થ સારું અને થાનાટોસનો અર્થ મૃત્યુ થાય છે. ઈચ્છામૃત્યુ એટલે આસાન, સરળ કે પોતાની મરજીથી મોત. સત્તરમી સદીમાં ફ્રાન્સિસ બેકને આ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ કર્યો હતો. ભારતસહિત આખી દુનિયામાં ઈચ્છામૃત્યુની અવારનવાર માંગ ઉઠે છે અને ચર્ચા થાય છે. વિશ્વના બહુ થોડા દેશોએ ઈચ્છામૃત્યુની શરતી કે બિનશરતી, પૂર્ણ કે અંશત: મંજૂરી આપી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    મુંબઈની એક હોસ્પિટલમાં વિનયભંગનો ભોગ બનેલાં નર્સ અરુણા શાનબાગ બેતાળીસ વરસો સુધી બેહોશીની અવસ્થામાં જીવતાં (?) હતાં. તેમનાં ઈચ્છામૃત્યુની માંગ દેશની સર્વોચ્ચ અદાલત સુધી કરવામાં આવી હતી. સંતાનવિહોણા વૃધ્ધ , અશક્ત અને બીમાર દંપતીઓ પણ આવી માંગ કરતા હોય છે. એક બુઝુર્ગ દંપતીએ અગિયાર વરસથી ગંભીર રીતે અચેત અને પથારીવશ પુત્રના ઈચ્છામૃત્યુની માંગણી કરી હતી. નળી વાટે ખોરાક અપાતો રહે અને દિવસો કાઢે તેવા દર્દીઓ પણ ઈચ્છામૃત્યુ ચાહે છે. ઉત્તરપ્રદેશની ટ્રાયલ કોર્ટના મહિલા જજ વર્કપ્લેસ પર યૌન શોષણથી એ હદે ત્રસ્ત હતાં કે તેમણે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસને પત્ર લખી  ઈચ્છામૃત્યુની  યાચના કરી હતી. અન્યાય અત્યાચારોનો ભોગ બનેલા દલિત-આદિવાસી ઘણીવાર સરકાર સમક્ષ ન્યાય આપો કે મોત આપોની માંગ કરે છે.  મારું શરીર અને મારી મરજી કે મારી ઈચ્છા મહત્વની કે સરકારનો કાયદો?  એવા તર્ક પણ  ઈચ્છામૃત્યુની ચાહત રાખનાર આપતા હોય છે.

    ભારતમાં ઈચ્છામૃત્યુની અનુમતિ આપતો કોઈ કાયદો નથી.સર્વોચ્ચ અદાલતે  ૨૦૧૮માં કેટલીક શરતો સાથે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. ૨૦૨૩માં તેમાં સુધારો કરી પ્રક્રિયાને વધુ સરળ બનાવી હતી. બંધારણના અનુચ્છેદ ૨૧નો હવાલો આપીને અદાલતે કહ્યું હતું કે  જીવનના અધિકારમાં ગરિમાપૂર્ણ મોતનો અધિકાર પણ સામેલ છે.એટલે તેણે ઈચ્છામૃત્યુની માંગ સ્વીકારીને તે અંગેના દિશાનિર્દેશો આપ્યા હતા.સુપ્રીમ કોર્ટે સરકારને આ અંગેનો કાયદો ઘડવા વિનંતી કરી હતી. કેન્દ્રે કાયદા પંચને કાયદાની વ્યવહાર્યતા પર વિચાર કરવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને લો કમિશને અસાધ્ય રીતે બીમાર માટે તબીબી ઉપચાર (દર્દી અને ડોકટરોનું સંરક્ષણ) વિધેયક, ૨૦૦૬ તૈયાર કર્યું હતું. પરંતુ હજુ તે ચર્ચામાં આવ્યું નથી.એટલે જ્યાં સુધી સંસદ આ અંગેનો કાયદો ના ઘડે ત્યાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય જ કાયદો છે.

    સક્રિય ઈચ્છામૃત્યુની ભારતમાં અનુમતિ નથી. તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિ કે અન્ય જાણીબૂઝીને સભાન રીતે દર્દીને ઘાતક ઈન્જેકશન આપે કે જેનાથી તેનું મરણ થાય તે સક્રિય ઈચ્છામૃત્યુનો પ્રકાર છે. જ્યારે સુપ્રીમ કોર્ટે  નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની જ મંજૂરી આપી છે. જેમાં ડોકટરને અને પરિવારને ખાતરી હોય કે દર્દીના રોગનો હવે કોઈ ઈલાજ નથી અને જીવન રક્ષક પ્રણાલીથી માત્ર દર્દીની પીડા વધી રહી છે કે જિંદગીના થોડા કલાકો કે દિવસો વધી રહ્યા છે પરંતુ તેમના જીવવાના જરાય ચાન્સ નથી. એટલે દર્દીની લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવી કે વધુ તબીબી સારવાર બંધ કરવી તે નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ છે . સુપ્રીમ કોર્ટે મંજૂરી આપતાં ચુકાદામાં કહ્યું હતું તેમ ડોકટર કોઈને સક્રિય બની મારી નાંખતા નથી પરંતુ તેને બચાવવાના પ્રયાસો અટકાવી દે છે.

    નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય મેડિકલ , પેથિકલ અને લીગલ બાબતોને ધ્યાનમાં રાખીને લેવાનો હોય છે. આ નિર્ણયને કારણે દર્દીને અસહ્ય દર્દ અને પીડાથી મુક્તિ મળી શકે છે. પરિવારના સભ્યોનો માનસિક તણાવ પણ તેનાથી ઘટે છે. આર્થિક બાબતોનો પણ ખ્યાલ રાખીને આ નિર્ણય કરવામાં આવે છે.એટલે દર્દીને દવા અને સારવારનો કોઈ જ ફાયદો ના થવાનો હોય તો બિનજરૂરી આર્થિક અને ભાવનાત્મક બોજો વધારવાની જરૂર નથી.  જે તબીબી ઉપચારો જીવનને થોડું લંબાવે પણ મોતને ટાળી ન શકે તો મોત શું ખોટું?  એવી તરફદારોની દલીલ છે. સંસાધનો કે રિસોર્સિસની દ્રષ્ટિએ પણ આ બાબતનો વિચાર કરવો ઘટે. મર્યાદિત હેલ્થ રિસોર્સ ધરાવતા દેશમાં તેના સર્વશ્રેષ્ઠ ઉપયોગનો મુદ્દો ધ્યાનમાં રાખવાનો છે. જો કોઈ દર્દીના બચવાની કોઈ ઉમ્મીદ જ ન હોય તો તેની પાછળ સંસાધનો રોકી રાખવાને બદલે જેના બચવાની તક રહેલ છે તે દર્દી માટે આ સંસાધનો વપરાય તે વધુ યોગ્ય ગણાશે.

    માનવ જીવન અમૂલ્ય છે અને આયુષ્યની દોરી આમ ટૂંકાવી ના દેવી જોઈએ તેવા નૈતિક અને ધાર્મિક તર્ક ઈચ્છામૃત્યુના વિરોધમાં આપવામાં આવે છે. વળી આવા નિર્ણયનો દુરપયોગ થવાની પણ શક્યતાઓ જણાવાય છે.ખાસ કરીને સંતાનો જેમને બોજારૂપ ગણતા હોય તેવા ઘરડા માતા-પિતાના કિસ્સામાં કે મિલકતના ઝઘડાના કિસ્સામાં આવું બની શકે છે. તબીબો તેમના મેડિકલ પ્રોફેશનના એથિક્સનો મુદ્દો આગળ ધરે છે.ડોકટરી વ્યવસાય લોકોની જિંદગી બચાવવાનો છે. આખરી ક્ષણ સુધી તે દર્દીને બચાવવા મથે છે અને શક્ય તે તમામ ઉપચારો અજમાવે છે. જેનો વ્યવસાય જ જિંદગી બચાવવાનો કે લંબાવવાનો છે તે જીવન ટૂંકાવે કે જિંદગીના અંત માટે હા ભણે તે યોગ્ય નથી તેમ તબીબોને લાગે છે. પ્રોફેશનલ એથિક્સની દ્રષ્ટિએ વિચારતાં તેમની વાતમાં દમ છે.પરંતુ નાઈલાજ બીમારીના કિસ્સામાં આ નિર્ણય તેમણે કરવાનો છે.

    કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ગાઈડલાઈન્સના ડ્રાફટમાં ઈચ્છામૃત્યુનો નિર્ણય લેવાની જવાબદારી ડોકટરોના શિરે મુકવામાં આવી છે. તેનાથી તબીબી આલમમાં અસંતોષ અને વિરોધ ઉભો થયો છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનને  લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવી લેવાના નિર્ણયની જવાબદારી ડોકટરોને આપી છે તેને અયોગ્ય ગણાવી છે. જોકે સરકારના મુસદ્દામાં દર્દીને બ્રેનસ્ટેમ ડેડ જાહેર કરાયો હોય, ડોકટરને પૂર્ણ તબીબી તપાસ પછી ખાતરી થાય કે વધુ ઈલાજનો કોઈ લાભ નથી, દર્દીના સગાવહાલા જીવન રક્ષક પ્રણાલી હઠાવવા કે સારવાર બંધ કરવા સંમત હોય અને લાઈફ સપોર્ટ સિસ્ટમ હઠાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન્સ મુજબની હોય તો જ ડોકટરો નિષ્ક્રિય ઈચ્છામૃત્યુનો નિર્ણય કરે તેમ સ્પષ્ટ કર્યું છે. વળી સરકારના ડ્રાફ્ટમાં પ્રાઈમરી અને સમીક્ષા માટે સેકન્ડરી મેડિકલ બોર્ડની રચના કરીને નિર્ણય કરવા અને તમામ બાબતોમાં દર્દીના કુટુંબીજનોની સંમતિ  આખરી ગણવા જણાવ્યું છે. સરકાર લોકોના સૂચનો સામેલ કરેલી માર્ગદર્શિકા જાહેર કરે તેની પ્રતીક્ષા છે.

    સરકાર પાસે માર્ગદર્શિકાની નહીં કાયદાની અપેક્ષા છે. ઈન્ડિયન પિનલ કોડની કલમ ૩૦૯માં આત્મહત્યાનો પ્રયાસ દંડનીય અપરાધ હતો પરંતુ નવી ભારતીય ન્યાય સંહિતા, ૨૦૨૩માં તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ઈચ્છામૃત્યુના કાયદાની દિશામાં આ બાબત નોંધપાત્ર છે. આધુનિક વિશ્વમાં  ઈચ્છામૃત્યુનો વિચાર પ્રાસંગિકતા પ્રાપ્ત  કરી રહ્યો હોય ત્યારે ભારત પણ તર્ક્સંગત અને માનવીય દ્રષ્ટિકોણ અપનાવે તે ઈચ્છનીય છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • માનવી : રઘુ અને રાજહંસીની મિત્રતા વર્ણવતી બાળનવલ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ગુજરાતી સાહિત્ય પરિષદના મહુવા જ્ઞાનસત્રમાં અતિથિ સર્જક તરીકે પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી આવી રહ્યાનું સાંભળ્યું ત્યારે સહસા દડી આવેલું સ્મરણ એમની સંસ્કૃત બાલનવલ ‘માનવી’નું હતું. સ્કૉલર તો એ છે જ, પણ એમની વિદ્ધભોગ્ય કામગીરી ચર્ચવાનો અહીં ન તો અધિકાર છે, કે નથી એવો કોઈ આશય પણ. વાત જોકે આપણે ‘માનવી’ની કરતા હતા.

    ૨૦૨૧માં આવેલી આ બાલનવલ તરફ મારું ધ્યાન હજુ થોડા મહિના પર જ ગયું હતું. શિક્ષણમર્મી કૃષ્ણકુમારે એમની એક્સપ્રેસ નુક્તેચીનીમાં કહ્યું હતું કે પર્યાવરણ ક્ષેત્રે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પુરસ્કૃત કિશોરયુવા પ્રતિભા ગ્રેટા ધુનબર્ગ અંગ્રેજી અનુવાદ માટે ‘માનવી’થી પરિચિત હોત તો એણે સુંડલા મોંઢે એની જાહેરાત કરવામાં ધન્યતા અનુભવી હોત. ‘માનવી’ એ નવલનામ સંજ્ઞાવાચક છે. આ નામની એક રાજહંસી માનસરોવર ભણી પાછા ફરી રહેલા હંસવૃંદથી છૂટી પડી ગઈ છે. વૃંદસંગાથ છૂટી ગયો એનું કારણ આગળ વધતાં વચમાં કરેલ મુકામ દરમ્યાન બાળ રઘુ સાથેની મૈત્રીનું છે. ‘આવજો’ કહેવા ગઈ તે લંબાયું અને, દરમ્યાન, તકાજાવશ મિત્ર હંસ અનંત સહિતના સમગ્ર હંસવૃંદે પાંખો ફફડાવી…

    આ ઘટનાસ્થળ બુંદેલખંડમાં નર્મદાતટે ભોપાલથી સાઠ કિલોમીટર છેટે વિદિશા કને વસેલું નાનું શું નંદનપુર છે. એક દિવસ ‘ઈન્ડિયા ન્યૂઝ’ અખબારમાં ચમક્યું કે અહીં લુપ્તપ્રાય પ્રજાતિવત રાજહંસ ખાસા ચાળીસેકની સંખ્યામાં ડેરો નાખી પડ્યા છે. સમાચારે સહજ ખેંચાયેલા પક્ષીવિદ સલીમ અલી ઊડતે વિમાને ને મારતી મોટરે નંદનપુર પહોંચે છે. પણ હંસવૃંદ તો ઊડી ગયું છે. રહી છે એકમાત્ર રાજહંસી માનવી.

    આખી વાર્તા તો હું અહીં ક્યાંથી માંડું. પણ રઘુ અને માનવીની દોસ્તીનો, એમની વચ્ચે સંવાદની અજાયબીનો, એનો બજારુ કસ કાઢવા સરકસ પ્રવેશનો અંતરો, વળતે વરસે ભરતપુરના સરકસડેરા વખતે ત્યાંના પક્ષીવિહારમાં પોતાના હંસટોળા સારુ રઘુની કુમકથી માનવીની ખોજ, એમાં નિરાશા: આગળ ચાલતાં સરકસના રશિયા-મુકામ દરમ્યાન પોતાના હંસ સમુદાય સાથે પુનર્મિલન. અહીં જે બધા ચડાવ-ઉતારનો ઉપરટપકે નિર્દેશ કર્યો છે એમાં મનુષ્ય અને પ્રકૃતિ વચ્ચેની વિખંડિત ને વિષમતુલા, બજારનાં બળો થકી મનુષ્ય ને પ્રકૃતિનું દોહન કહેતાં નિ:શેષ શોષણ, એ બધું એટલી સરળસોંસરી રીતે કહેવાયું છે કે કથિત બાલનવલ થકી એક આલા દરજ્જાની, ઉપદેશના મુદ્દલ મેદ વગરની બોધકથાનો સહજ સાક્ષાત્કાર થાય છે.

    થાય છે, સત્યજિત રાય વહેલા ગયા, બાકી- સંસ્કૃતપંડિત કહેતાં જે એક જમાતજુર્દી આકૃતિ ઊભા થાય છે એને મુકાબલે ‘રાધાવલ્લભ ત્રિપાઠી દેખીતા અભ્યાસબોજ વગરના મૂળગામી રસવિહારી તરીકે આપણી સામે આવે છે. એ તમને વાત વાતમાં સરળતાથી એમ પણ કહી નાખે કે ‘સંસ્કૃત સાહિત્ય એક હદ તક પિતૃસત્તાક સમાજ કી ઉપજ હૈ.’ બીજી બાજુ, સંસ્કૃત સાહિત્યને આધુનિકતાનો સંસ્કાર આપતા આ વિદ્વાનની આંગળીએ તમને સંસ્કૃત કવિતાની લોકધર્મી પરંપરાનોયે હૃર્દ્ય પરિચય મળી રહે. દેશવિદેશમાં ઊંચી પાયરીના વિદ્વાન અધ્યાપક તરીકે પોંખાયેલા ને ઊંચકાયેલા રાધાવલ્લભ ત્રિપાઠીના ભાવજગત ને સંવેદનવિશ્વમાંથી સમકાલીન વાસ્તવ વિશે જે કાવ્યપંક્તિઓ સહજ ઊતરી આવે છે એની લગાર જિકર કરું?

    એક રીતે આ નિર્દેશ ‘માનવી’માં વરતાયેલી પર્યાવરણ નિસબતની જ ફ્રિકવન્સી પરનો છે. રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દેહલી (સેન્ટ્રલ સંસ્કૃત યુનિવર્સિટી, ન્યૂ દિલ્હી)ના કુલપતિ તરીકે દિલ્હીમાં જે વર્ષો ગાળવાનાં બન્યાં ત્યારનું આ સંવેદન, નમૂના દાખલ:

    આગ કી તરહ જલા નહીં સકતા
    પાની કી તરહ ધારાઓ મેં નહીં બંટ પાતા
    ધરતી કી તરહ નહીં ઉઠા સકતા બોજ

    * * *

    આકાશ તો હૈ કેવલ આકાશ
    ગગનચુંબી ઈમારતોં કે જંગલ મેં
    વહ ભટકતા હૈ બદહવાસ

    ઉસે સબ ઔર સે પીસ રહી હૈં
    ઈમારતોં કી ઘની પાંતે
    ડરાતા હૈ ઉસે ધુઆં
    પાઈપોં સે ફૂટતા

    આકાશ ઢૂંઢતા ફિરતા હૈ
    અપના ખુદ કા આકાશ
    આકાશ કે લિયે કહીં નહીં હૈ
    અવકાશ ક્યા કરે
    બિચારા આકાશ?

    વેલ, ઓવર ટુ મહુવા!


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૪-૧૨– ૨૦૨૪ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મહેન્દ્ર શાહનાં સ્થાપત્ય કળાનાં રેખાચિત્રો

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Architecrural Sketches 122024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પૂર્વકથા

    સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

    પૂર્વભૂમિકાથી આગળ

    અમે મૂળ કોંકણના રહેવાસી. મારા જન્મ પહેલાં મારા દાદાજી – નારાયણદાદા અને તેમના પિતાજી લક્ષ્મણદાદા કોંકણમાં રહેતા હતા. અમારા પ્રપિતામહ લક્ષ્મણદાદાને કોંકણના માવળ પ્રદેશના દેવળે ગામમાં ઘણી જમીન વંશપરંપરાગત પ્રાપ્ત થઈ હતી. અમારા પૂર્વજો ત્યાંના “વતનદાર’ એટલે જાગીરદાર હતા. તે ઉપરાંત લક્ષ્મણદાદાએ આંબા અને ફણસીની વાડીઓ પણ ખરીદી હતી. ખેતીવાડીની દેખભાળ તેઓ જાતે જ કરતા, તેથી ઊપજ ઘણી સારી આવતી. અમારાં ખેતરોમાં ઘણી ઊંચી જાતની ડાંગર પાકતી. લક્ષ્મણદાદાએ બે મકાન કોંકણમાં બંધાવ્યાં હતાં. તેમણે કદી નોકરી નહોતી કરી. તે વખતે લોકો બહુધા ખેતીવાડી જ કરતા. ખેતરનું ઉત્પન્ન ભરપૂર પ્રમાણમાં આવતું હોવાથી ઘરમાં કશાની ઊણપ ભાસતી નહોતી તેથી ઘરમાં કોઈને નોકરી કરવાની જરૂર નહોતી પડતી. અમારું ઘર સારું એવું સંપન્ન ગણાતું.

    લક્ષ્મણદાદાને બે જ સંતતિ હતી. મારા દાદાજી અને તેમનાથી બે વર્ષે નાના ભાઈ – જેમને અમે દાદાકાકા કહેતા. બેઉ ભાઈઓને જનોઈ પહેરાવવાનો વિધિ કોંકણમાં જ થયો. બન્નેની ઉમર પાંચ-સાત વર્ષની થતાં તેમના શિક્ષણની વ્યવસ્થા કરવી જોઈએ એવો વિચાર લક્ષ્મણદાદા કરવા લાગ્યા. અમારા ગામડામાં નિશાળ નહોતી. તેથી તેમણે વિચાર કર્યો કે બન્ને પુત્રોને ભણવા માટે તાલુકાના ગામ મહાડ મોકલવા. આ વિચાર તેમણે પોતાનાં પત્નીને કહ્યો. તેમણે તરત સંમતિ આપી. પછી તો રોજ નોકરની સાથે સવારના પહોરમાં ભાઈઓને ગાડામાં બેસાડી નિશાળે મોકલવાની શરૂઆત થઈ. આમ અમારા નારાયણદાદા અને ગોવિંદદાદાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં થયું. તે વખતે અંગ્રેજી શીખવામાં કોઈને રસ નહોતો, તેથી તેમનું ભણતર ત્યાં જ રોકાઈ ગયું. થોડા ઉંમરલાયક થતાં બન્ને ભાઈઓ તેમના પિતાજીને ખેતીકામમાં મદદ કરવા લાગ્યા.

    મારાં વડદાદી ઘણાં જ પ્રેમાળ હતાં તેથી બન્ને પુત્રોનાં લાડ – કૌતુક કરતાં અને તેમની બધી હોંશ પૂરી કરતાં. દીકરાઓ પણ માતા-પિતાની ઇચ્છા અને સંમતિને માન આપીને વર્તતા, તેથી બધાંના દિવસ આનંદથી વ્યતીત થતા હતા.

    તે જમાનામાં છોકરાંનાં લગ્ન તેમના સોળમે વર્ષે કરવામાં આવતાં. અમારા લક્ષ્મણદાદાએ જોયું કે પુત્રો વયમાં આવ્યા છે તેથી તેમનાં લગ્ન કરવાં જોઈએ  એવું તેમને લાગ્યું. અમારો પરિવાર પરંપરાગત જાગીરદાર હોઈ અમારું ખાનદાન ઘણું ઉચ્ચ કક્ષાનું ગણાતું. તેથી મારા દાદા માટે વડોદરાના એક ઊંચા ઘરાણાની કન્યા તરફથી કહેણ આવ્યું. દાદાકાકા માટે પણ વડોદરાની કન્યા આવી તેથી બન્ને ભાઈઓનાં લગ્ન વડોદરા ખાતે ધામધૂમથી કરવામાં આવ્યાં. લક્ષ્મણદાદાના ઘરનું આ પહેલું જ શુભ કાર્ય હોવાથી લગ્નમાં કશી અડચણ ન આવી. ઠાઠમાઠથી લગ્નપ્રસંગ ઊજવી બન્ને પુત્રવધૂઓને લક્ષ્મણદાદા અમારે ગામ લઈ આવ્યા. તે વખતે મારાં દાદીમા બાર વર્ષનાં હતાં. મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવના હતાં તેથી બન્ને વહુઓને દીકરીઓની જેમ જ રાખતાં. તેમનાં લાડ ઘણા પ્રેમથી કરતાં, અને પૂજા તથા બધા વારતહેવાર પણ તેઓ ઘણા પ્રેમથી ઊજવતાં. તે જમાનામાં છોકરીઓને તેમનાં સાસરિયાંમાં ઘણો ત્રાસ આપવામાં આવતો, પણ અમારા ઘરનાં કુટુંબીજનો પ્રેમાળ હોવાથી વહુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન થઈ.

    દાદીમાના બાપુજી અને ભાઈ ગાયકવાડીમાં સારા હોદ્દા પર હતા. તેથી તેમનાં લાડકોડ પિયરમાં અને સાસરિયાંમાં ઘણી સારી રીતે થતાં. દાદીમા ૧૪ વર્ષની ઉમરે ગર્ભવતી થયાં તેથી તેમનાં મા તેમને વડોદરા લઈ ગયાં. દિવસ પૂર્ણ થતાં તેમને કન્યા અવતરી – મારાં મોટાં ફોઈ. તેમનું નામ યમુના રાખવામાં આવ્યું, યમુનાફોઈ ત્રણેક માસનાં થયા ત્યારે દાદીમા તેમને લઈ કોંકણ આવ્યાં.

    બે કે ત્રણ વર્ષ બાદ મારા પરમ પૂજ્ય પિતાજીનો જન્મ થયો. પછી તો ઘરમાં કેટલો આનંદ છવાયો હતો! તેમનું નામ શંકર રાખવામાં આવ્યું. બે વર્ષ બાદ મારા કાકાનો જન્મ થયો. તેમનું નામકરણ યશવંત થયું. ત્યાર બાદ દાદા-દાદીને બીજી દીકરી અને ત્રીજો પુત્ર થયો. કમભાગ્યે મારા સૌથી નાના કાકા ચાર વર્ષના થઈને ગુજરી ગયા.

    અમારા દાદાકાકા અને કાકીદાદીમાને હજી સુધી કોઈ સંતતિ ન થઈ. તેઓ ઘણાં ઉદાસ રહેવાં લાગ્યાં. તેમણે અને વડદાદીએ ઘણી બાધાઓ રાખી, વ્રત કર્યાં પણ કાંઈ ફાયદો. ન થયો. મારાં વડદાદી પણ ઘણાં ઝૂરવા લાગ્યાં. અંતે એક છેલ્લા ઉપાય તરીકે તેમણે જ્યોતિષીને ગ્રહ બતાવ્યા. જ્યારે તેણે કહ્યું કે તેમના નસીબમાં સંતતિ નથી ત્યારે બધાને ઘોર નિરાશા થઈ. અમારા વંશમાં શરૂઆતથી જ એવું થતું આવ્યું છે કે પરિવારમાં જન્મેલા ભાઈઓમાંથી એકનો જ વંશવેલો ચાલુ રહે, જ્યારે બીજાને દીકરીઓ જ જન્મે. દાદાકાકાને ત્યાં તો દીકરી પણ નહોતી અવતરી. આથી તેમણે પિતાની સંમતિથી એક નજીકના સગાનો છ મહિનાનો દીકરો દત્તક લીધો. તેનું નામ ગણેશ રાખ્યું. ઘરમાં ફરીથી આનંદનું વાતાવરણ આવ્યું અને દિવસ ખુશીમાં વ્યતીત થવા લાગ્યા. વડદાદી તો પૌત્રોનાં લાડકોડ કરવામાં મશગૂલ રહેવા લાગ્યાં!

    મારાં મોટાં ફોઈને થોડુંઘણું શિક્ષણ લક્ષ્મણદાદાએ ઘરમાં જ આપ્યું, કારણ કે તે વખતે છોકરીઓને ભાગ્યે જ કોઈ નિશાળમાં મોકલતું. લોકો કહેતા કે અંતે તો દીકરીએ કોઈકના ઘેર જઈને રોટલા જ શેકવાના હોય છે, તો તે ભણીને શું કરશે? યમુનાફોઈ નવેક વર્ષનાં થયાં ત્યારે ઘરના વડીલો તેમનાં લગ્ન લેવા અંગેનો વિચાર કરવા લાગ્યા. તે સમયમાં છોકરીઓનાં લગ્ન વહેલાં કરી લેવાની પ્રથા હંતી. તેથી યોગ્ય મુરતિયો શોધવા માટે અભિયાન શરૂ થયું. મારા બાપુજીના મામાએ. વડોદરામાં એક સારો મુરતિયો શોધ્યો. પૂર્વે છોકરાની ઘરની પરિસ્થિતિ અને પૈસા જ જોવામાં આવતા, કારણ કે તે ઉંમરના છોકરાઓ તો કાંઈ કમાતા નહોતા. બિચારા પંદર-સોળ વર્ષની ઉમરના છોકરાને લગ્નનાં બંધનમાં ધકેલવામાં આવતા. વળી છોકરો કેવો નીકળશે એનો વિચાર તે જમાનાના લોક કદી કરતા નહોતા. ખેર, યમુનાફોઈ માટે વડોદરાનો મુરતિયો જોયો. પ્રસ્‍તુત વેવાઈનું ઘર મોટું અને પોતાની માલિકીનું હતું, તે જોઈને અમારાં ફોઈને તેમને અર્પણ કરવાનો વિચાર દાદાજીએ કર્યો. આમ એક દીકરીનાં લગ્ન અને પરિવારના ત્રણ દીકરાઓની જનોઈનો ભવ્ય વિધિ કોંકણમાં સંપન્ન થયો, અને યમુનાફોઈ સાસરિયે ગયાં.

    અહીં અમારા ગામમાં મારા બાપુજી અને યશવંતકાકા તથા દાદાકાકાના દત્તકપુત્ર ગણેશની ઉમર નિશાળે જવા યોગ્ય થઈ. અમારા ગામમાં હજી નિશાળ ખૂલી નહોતી, તેથી મારા બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાને ગાડામાં બેસાડી નોકરની સાથે મહાડ મોકલવાનું શરૂ કરવામાં આવ્યું. સવારના પહોરમાં છોકરાં નિશાળે જાય અને બપોરે પાછા આવે. તે વખતે અમારી જાહોજલાલી સારી હતી અને નોકરચાકર પણ ઘણા હતા, કારણ કે અમારી જમીનો વિશાળ હતી અને ગાય-ભેંસ પણ હોવાથી સાથી રાખવા જ પડતા. દાદીમા અને વડદાદી એકલાં કેટલું જુએ?

    બાપુજી, યશવંતકાકા અને ગણેશકાકાનું પ્રાથમિક શિક્ષણ મહાડમાં પૂરું થયું. બાપુજી અને કાકાને વધુ ભણવાની ઇચ્છા હતી, તેથી તેમના આગળના અભ્યાસ માટે શું કરવું તેનો દાદાજી વિચાર કરવા લાગ્યા. તેમણે લક્ષ્મણદાદા સાથે આની વાત કરી, અને અંતે સૌએ. નક્કી કર્યું કે છોકરાઓને ખેતીવાડીમાં લગાડવાને બદલે તેમની ઇચ્છા મુજબ આગળ અભ્યાસ કરાવવો. તેમણે દાદીમાના મોસાળમાં વડોદરા પૃચ્છા કરાવતાં તેમણે જણાવ્યું કે ત્રણે છોકરાઓને લઈ દાદાજી અને દાદાકાકા વડોદરા આવે. વડોદરામાં શિક્ષણની ઘણી સારી વ્યવસ્થા હતી. મારી દાદીમાના ભાઈ રાજ્યમાં ઊંચા હોદ્દા પર હતા તેથી જરૂર પડતાં દાદાજી અને દાદાકાકા માટે સારી નોકરી પણ શોધી આપશે તેવું તેમણે જણાવ્યું. અંતે બધી વાતનો વિચાર કરી બધાંએ નક્કી કર્યું કે દાદાજી તથા દાદાકાકાએ સપરિવાર વડોદરા જવું. અમારા લક્ષ્મણદાદા અને વડદાદી એટલાં પ્રેમાળ હતાં કે પોતાનાં સંતાનોના શ્રેય માટે કોઈ પણ પ્રકારનો અંતરાય આવવા દેતાં નહિ. પોતાનો તેમણે કદી વિચાર ન કર્યો. તેમણે કહ્યું, “અમારું તો આખું આયુષ્ય ખેતીવાડી કરવામાં ગયું. હવે અમારા પૌત્રોએ તો ભણીગણીને આગળ આવવું જોઈએ એમાં અમે ખુશ છીએ.’ આમ લક્ષ્મણદાદા અને વડદાદી એકલાં કોંકણમાં રહ્યાં.

    ભારે મનથી જરૂર જેટલો સામાન લઈ બન્ને પરિવાર – નારાયણદાદા અને તેમના ભાઈ – વડોદરા આવ્યા. શરૂઆતના થોડા દિવસ અમારાં દાદીમાને પિયર રહી નારાયણદાદાએ એક ઘર વેચાતું લીધું અને પોતાના ભાઈ – પરિવાર સાથે ત્યાં રહેવા ગયા. મારા પિતરાઈ કાકાને ભણવામાં રસ નહોતો, તેથી મારા બાપુજી અને યશવંતકાકાને હાઈસ્કૂલમાં દાખલ કર્યા. મારા નાનાજી (દાદીમાના ભાઈ)એ મારા દાદાજીને અને દાદાકાકાને સરકારમાં નોકરીએ રખાવ્યા. વડોદરામાં ઉચ્ચ શિક્ષણની સગવડ ઘણી સારી હતી અને ઘણા લોકો કોંકણમાંથી અહીં આવવા લાગ્યા. વળી ચીજવસ્તુઓ પણ એટલી સસ્તી હતી કે ઘણા લોકોને વડોદરા આવવાની ઇચ્છા થવા લાગી હતી.

    મારા પિતરાઈ કાકા – ગણેશકાકાની નોકરી કરવા જેટલી ઉમર થતાં તેઓ પોલીસ ખાતામાં ભરતી થયા. મારા દાદાજીએ બીજું મકાન બાંધવા માટે જમીન લીધી. અમારી કોંકણની જમીનના વાર્ષિક ઉત્પન્નમાંથી ઊપજતા પૈસા લક્ષ્મણદાદા અમારા દાદાજીને મોકલી આપતા. ઘરખર્ચમાંથી જે રકમ બચતી તે નારાયણદાદા ઘર બાંધવા માટે બાજુએ રાખી મૂકતા. કેટલાક સમયમાં તો તેમણે બે મોટી હવેલીઓ બંધાવી. આ ઉપરાંત એક મધ્યમ આકારનું મકાન બનાવ્યું, જેમાં અમારાં બન્ને કુટુંબ – દાદાજી તથા દાદાકાકાનો પરિવાર સંયુક્ત રીતે રહેવા લાગ્યાં.

    દાદાજીએ ઘણી સાધન-સામગ્રી એકઠી કરી હતી. તેમણે બંધાવેલી હવેલીઓમાંની એક તો અમારા રહેઠાણની સામે જ હતી, અને તેમાં પાંચસો-સાતસો માણસોને ઉતારો, આપી શકાય એટલી જગ્યા હતી. બીજી હવેલી અમારા ઘરથી થોડે દૂર હતી. દાદાજી અને દાદાકાકાના પરિવારો હજી પણ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા. કોઈ પણ નવી ચીજવસ્તુ ઘરમાં આવે તો બન્ને પરિવારોમાં સરખી રીતે વહેંચાય.

    સમય જતાં બાપુજી અને યશવંતકાકા મેટ્રિકની પરીક્ષામાં પાસ થયા. અમારા ખાનદાનમાં આટલું શિક્ષણ પ્રાપ્ત કરનાર તેઓ પહેલા જ યુવાનો હતા તેથી લક્ષ્મણદાદા અને વડદાદીને ઘણો આનંદ થયો. પરિવારમાં વૃદ્ધિ થતી જોઈ લક્ષ્મણદાદા હવે કોંકણથી વડોદરા આવ્યા અને ગામમાંનો ખેતીવાડીનો વહીવટ સાથીઓ ઉપર છોડી દીધો. હવે અમારા દાદાકાકા જમીનની આવક લેવા દર વર્ષે કોંકણ જતા, પણ કાંઈ ને કાંઈ બહાનું બતાવી ઘરમાં ઓછા પૈસા આપવા લાગ્યા.

    એક તરફ ઘરમાં ઓછી આવક બતાવી પૈસા ન આપે, અને બીજી તરફ પુત્રવધૂ માટે નવાં ઘરેણાં ઘડાવીને લઈ આવે. દાદાજીની નજરથી આ છાનું નહોતું રહેતું, પણ તેમણે એક અક્ષરથી ભાઈને પૂછ્યું નહિ કે તે આવું શા માટે કરે છે, ન તો કદી તેમને કદી ટોક્યા. દાદાજી અને દાદીમાએ. બધી વહુવારુઓ માટે એક સરખી રીતે, ન્યાયથી ચીજ-જણસ બનાવડાવીને વહેંચી હતી. દાદાકાકાનો આ જાતનો ભેદભાવ, વહુ પ્રત્યેનો પક્ષપાત અને પૈસાનો હિસાબ ન આપવાની વૃત્તિને કારણે ઘરની સ્ત્રીઓમાં બોલાચાલી થવા લાગી. પરિવારમાં વૈમનસ્ય વધે તે પહેલાં નારાયણદાદાએ અને લક્ષ્મણદાદાએ. મળી બન્ને પરિવારોને જુદા કરવાનો નિર્ણય લીધો. આમ અમારો પરિવાર ખંડિત થયો.

    મારા બાપુજી અને કાકા સારા માર્કથી મૅટ્રિક પાસ થયા. મેટ્રિક થયા બાદ યશવંતકાકાએ પોલીસખાતાની પરીક્ષા આપી અને તેમાં પાસ થતાં તેમને પોલીસ જમાદારના પદ પર નીમવામાં આવ્યા. બાપુજીને મહારાજા સયાજીરાવના ખાનગી મહેકમમાં નોકરી મળી. નોકરીના પ્રથમ દિવસથી જ તેઓ કામે સૂટ પહેરીને જતા,

    અને પોતાની કાર્યકુશળતાથી તરત મહારાજની મહેર નજરમાં આવ્યા. મહારાજસાહેબે તેમને પ્રાઇવેટ સેક્રેટરી નીમ્યા. તેમના પર એટલો વિશ્વાસ બેઠો કે કોઈ પણ કામ કરતાં પહેલાં તેઓ બાપુજીની સલાહ માગતા. ત્યાર પછી તો મહારાજ ભોજન સમયે પણ તેમને પોતાની પંક્તિમાં બેસાડીને જમે, અને તેમને “રાજે’નો ઇલકાબ આપ્યો. બાપુજી મહારાજ સયાજીરાવ ગાયકવાડની સાથે ત્રણ વાર ઇંગ્લૅન્ડ જઈ આવ્યા. રાજ્યનો વહીવટ તેમના હાથ નીચે ચાલતો, અને પાઈએ પાઈનો હિસાબ રાખતા. ન તો તેમણે એક પાઈ પણ હરામની લીધી કે લેવાની કદી અપેક્ષા રાખી. તેમના આદર્શ અને પ્રામાણિક વહીવટને કારણે આટલી નાની ઉમરમાં તેમને મહારાજસાહેબ તરફથી માન મળતું હતું તે તેમના હાથ નીચેના લોકો સાંખી શકતા નહોતા. તેઓ તેમનો ઘણો દ્વેષ કરવા લાગ્યા.

    મારાં નાનાં ફોઈનું વય લગ્નજોગું થયું. દાદાજીએ નક્કી કર્યું કે બેઉ દીકરા અને દીકરીનાં લગ્ન સાથે જ લેવાં. ફોઈ માટે તેમણે મધ્યમ વર્ગનો હોશિયાર મુરતિયો નક્કી કર્યો, કારણ હવે લોકોના વિચારમાં ઘણો સુધારો આવ્યો હતો. છોકરો પોતે સારો હોય તો જ દીકરીનું ભાવિ સુધરશે, એવા વિચારથી તેના પરિવારની સંપત્તિ ન જોતાં છોકરાના ગુણ જોઈને ફોઈનાં લગ્ન નક્કી કર્યા. મારા યશવંતકાકાને મામાની દીકરી તરફથી માગું આવ્યું. અમારી જ્ઞાતિમાં મામા-ફોઈનાં બાળકો પરસ્પર વિવાહ કરી શકે તેવો શિરસ્તો. હતો. પ્રસ્તાવિત વધૂ ઘણાં રૂપાળાં હંતાં. તેમના પિતા મામલતદાર હતા અને સંપન્ન પરિવારના હતા. તેમણે યશવંતકાકાના ગુણ અને નોકરીમાં બઢતીની સુંદર તક જોઈ લગ્ન માટે આગ્રહ કર્યો, અને લગ્ન નક્કી થયાં. ગણેશકાકાનાં પણ લગ્ન નક્કી થયાં. બાપુજી માટે સારા પરિવારની પણ મધ્યમ વર્ગની કન્યા – મારી બા-ના પિતા તરફથી માગું આવ્યું. પાંચ બહેનો અને એક ભાઈમાં બા ત્રીજા નંબરની. ભાઈ – એટલે મારા મામા તો પાંચ વર્ષની ઉમરે જ ગુજરી ગયા હતા, તેથી આખા પરિવારનો ભાર મારા નાના પર જ હતો. બાનું ભણતર ત્રીજી કક્ષા સુધીનું જ. લગ્ન વખતે બાની ઉમર ફક્ત દસ વર્ષની હતી. મારાં કાકી પણ નાનાં જ હતાં. આમ તો ચારેય લગ્ન એકસાથે કરવાના હતાં, પણ મારાં કાકી હજી નાનાં હોવાથી યશવંતકાકાનાં લગ્ન બે વર્ષ માટે મોકૂફ રાખ્યાં. ફોઈબાનાં લગ્ન પહેલાં લેવાયાં. ત્યાર બાદ બાપુજી અને ગણેશકાકાનાં લગ્ન લેવાયાં. દાદાજીએ ત્રણે વહુઓને એકસરખાં ઘરેણાં આપ્યાં. બાને અમારા જેવો ખાનદાન પરિવાર મળવાથી મારા નાના ઘણા ખુશ હતા.

    બાપુજી વાને ગોરા અને દેખાવડા હતા. તેમના પ્રમાણમાં બા શ્યામ વર્ણની અને દેખાવમાં સામાન્ય. પણ તે જમાનામાં કન્યાના રૂપ કરતાં તે ઘરકામમાં સુજ્ઞ અને સાસુ-સસરાની સેવા કરે તેવી હોય તેને વધુ પસંદ કરતા. વળી છોકરી ઉમરમાં નાનકડી હોવાથી તેને “આશાંકિત’ થઈને વર્તવાનું સહેલું પડતું. કોઈ વાર વહુથી ભૂલ થઈ જાય તો કોઈ વાર સાસુના હાથે બેચાર ધબ્બા પણ ખાવા પડતા! પરંતુ મારાં વડદાદી ઘણાં પ્રેમાળ સ્વભાવનાં હતાં, તેથી પૌત્ર-વધૂને ઘણાં લાડ લડાવતાં અને સ્નેહથી વર્તતાં. બધા વારતહેવારમાં પૌત્ર-વધૂને શણગાર કરાવી પૂજા-અર્ચના વ્યવસ્થિત રીતે કરાવતાં. મારા લક્ષ્મણદાદા-દાદીની અંગકાઠી ઘણી મજબૂત હતી અને નીરોગી હોવાથી બન્નેમાંથી કોઈ વૃદ્ધ દેખાતું નહોતું. બધાંના દિવસ આમ આનંદમાં વ્યતીત થતા હતા.

    બાપુજીનાં લગ્ન બાદ બે વર્ષે મારા યશવંતકાકાનાં લગ્ન થયાં. નાનાં કાકી ખૂબ સુંદર હતાં. વળી પિયરની સ્થિતિ ઘણી સારી હતી, તેથી તેમનાં લગ્ન ઘણા ધામધૂમથી ઊજવાયાં. તેમને ચાર બહેનો હતી. આમ તો સગપણમાં તેઓ અમારાં ફોઈ પણ થતાં હતાં – તેઓ બાપુજીના સગા મામાની દીકરી હતાં. લગ્ન વખતે મામા-નાનાજી સિદ્ધપુરમાં મામલતદાર હતા, તેથી લગ્ન સિદ્ધપુર ખાતે લેવાયાં. યશવંતકાકા પાટણમાં નાયબ ફોજદાર હતા. લગ્ન બાદ થોડા દિવસ વડોદરા રહી, ધર્મ-કાર્ય પતાવી કાકા પાટણ ગયા. કાકીને તેમની સાથે બહુ રહેવા મળતું નહોતું,,કારણ કાકાની વારંવાર બદલી થતી, અને ડ્યૂટી પણ ચોવીસે કલાકની રહેતી.

    દાદીમા ઘણાં કડક સ્વભાવનાં હતાં. પોતે શ્રીમંત ઘરના હતાં. વળી તેમના મનમાં સામાજિક પાયરી વિશેના ખ્યાલ જૂનવાણી હતા. મારાં કાકીના પિયરિયાંના હિસાબે મારી બાનું પિયર સામાન્ય સ્થિતિનું હતું. નાનાજી સરકારી પેન્શન લેતા હતા – તે પણ સાવ ઓછું. તેમાં તેમનું ઘર ચાલે. એક વાર બાના હાથેથી પૂજાનું ચાંદીનું તરભાણું આડા હાથે ક્યાંક મુકાઈ ગયું. દાદીમા પૂજામાં બેઠાં અને તરભાણું ન જડ્યું. તેમને ખબર હતી કે પૂજાના સમય પહેલાં મારી બાએ તરભાણું લીધું હતું, તેથી તેમણે બૂમ પાડીને બાને કહ્યું, “કેમ અલી, મારી પૂજાનું તરભાણું તારા બાપના શ્રાદ્ધ માટે લઈ ગઈ છો કે શું?

    બા ચોધાર આંસુએ રડતી નાનાજી પાસે દોડી ગઈ, અને ફરિયાદ કરવા લાગી, “મારા બાપુજી જીવતા હોવા છતાં સાસુજીના મોઢેથી આવા શબ્દો નીકળે જ કેમ? હું હવે કદી સાસરિયે જવાની નથી.’  નાનાજીએ બાને ખૂબ સમજાવી અને પોતે તેને સાસરિયે પહોંચાડી આવ્યા. દાદીમાનો ક્રોધ પણ ક્ષણિક નીવડ્યો. પ્રસંગ ભુલાઈ ગયો હોય તેવું લાગ્યું, પણ બાના હૃદય પર એક વ્રણની જેમ કાયમ રહી ગયો.

    આમ અમારા પરિવારના દિવસ વીતતા હતા.

    દાદાકાકા અમારાથી જુદા થઈ ગયા હતા, પણ બધા કાર્યપ્રસંગે તેઓ અમારી સાથે જ રહેતા, અને પરિવારનાં બધાં કાર્ય એકબીજાની સંમતિથી જ ચાલતાં. નોકરીના સ્થાને બાપુજીના કામની ઘણી કદર થઈ અને તેમને કાર્યદક્ષતા અને પ્રામાણિકતાને લીધે ઉપરની જગ્યાઓ પર ત્વરિત રીતે બઢતી મળવા લાગી. આખો દિવસ તેમને રાજમહેલમાં રહેવું પડતું, કારણ સયાજીરાવ મહારાજને તેમના વગર એક મિનિટ પણ ચાલતું નહિ. દેશપરદેશ કોઈ પણ સ્થળે જવાનું થાય તો કહેતા, “રાજે, તમે તૈયાર રહો, આપણે બહારગામ જવાનું છે.’ બાપુજી હંમેશાં તૈયાર રહેતા.

    બા પ્રથમ પ્રસૂતિ માટે પિયર ગઈ હતી. તે યુગમાં હૉસ્પિટલ નહોતી તેથી પ્રસૂતિ કરાવવા ગામઠી સુયાણીઓને બોલાવવામાં આવતી. નસીબજોગે સારી, અનુભવી દાયણ હોય તો ઠીક, નહિ તો અનેક સ્ત્રીઓ પ્રસવ વખતે જ મરણ પામતી. બાનો પ્રસવનો સમય આવતાં જણાયું કે તેને જોડકું આવી રહ્યું છે. દાયણ ગભરાઈ ગઈ અને શું કરવું તેની ખબર ન પડવાથી તેણે અમારાં વડદાદીને બોલાવ્યાં. તેઓ બધા કામમાં હોશિયાર અને અનુભવી હતાં, તેથી તેમણે બાને તો બચાવી લીધી, પણ નવજાત બન્ને બાળકીઓ બે કલાકમાં મરણ પામી. બા માટે આ સમય કેવો કપરો હશે તેની કલ્પના કરવી મુશ્કેલ છે.

    બીજી તરફ મારા પિતરાઈ કાકીને દીકરો આવ્યો. કાકીદાદીમાને અત્યંત આનંદ થયો! તેમને પોતાનું સંતાન નહોતું, તેથી દત્તક-પુત્રને ત્યાં પહેલો દીકરો જન્મ્યો એટલે તેઓ તો રાજીના રેડ થઈ ગયાં. તેમણે પૌત્રનું નામ દ્વારકાનાથ રાખ્યું. મારાં નાનાં કાકીનાં સંતાનો જીવતાં નહોતાં. એક પછી એક બે દીકરા આવ્યા, પણ બે-ત્રણ મહિના બાદ જ તેઓ ગુજરી ગયા હતા, તેથી તેઓ ઘણા વ્યથિત હતા. એકાદ વર્ષ બાદ બાને દીકરી આવી, સુંદર અને પોયણી જેવી શ્વેત. બાએ અને વડદાદીએ. તેનું નામ કમલ રાખ્યું. પણ લાડમાં તેઓ તેને મનાબાઈ કહીને બોલાવવાં લાગ્યાં. બે વર્ષ બાદ બીજી દીકરી આવી અને તેનું નામ વત્સલાબાઈ રાખ્યું.

    એક દિવસ વડદાદીએ બાને કહ્યું, “પાર્વતી, આપણા ગણેશને ઘેર જઈ તેને મારો એક સંદેશો આપી આવ તો! બા ચિઠ્ઠીના ચાકરની જેમ ગણેશકાકાને ઘેર સંદેશો આપવા ગઈ. તે વખતે કાકા પૂજામાં બેઠા હતા.

    વડદાદીનો સંદેશો સાંભળી કાકાનો ગુસ્સો સાતમા આકાશે પહોંચી ગયો, પણ તે ઉતાર્યો મારી બા પર. તેમણે અગ્નિ-બાણ સમા શબ્દોનો પ્રહાર કર્યો, “હે દેવી કાલિકે, આ પાર્વતીભાભીને સાત-સાત દીકરીઓ થવા દેજો. આ મારો શાપ છે.’

    બાને માથે જાણે વજ પડયું. તે હતપ્રભ થઈ ગઈ અને એટલું જ બોલી શકી, “આપ આવું તે શીદ બોલ્યા હશો?’ બાને પણ ગુસ્સો આવ્યો હતો – નિઃસહાયતા ભર્યો ગુસ્સો, પણ તે જમાનાની વહુવારુ બીજું કરી પણ શું શકે? એ એટલું જ બોલી શકી, “વગર વાંકે શાપ આપે તેના ભાગ્યમાં પણ પથ્થર જ આવતા હોય છે તે ભૂલશો નહિ.”

    એ વેળા તો ટળી ગઈ, પણ બાના હૈયામાં ફાળ પડી ગઈ હતી, અને આ શાપની ધાસ્તી તેના જીવનમાં કાયમ માટે રહી ગઈ. આ કુવચન સાચાં પડતા હોય તેમ બાને પાંચમી દીકરી જન્મી. હું.

    ૧૯૧૫ની આ સાલ હતી.

    મારા જન્મ પછી કેટલાક મહિનામાં લક્ષ્મણદાદાનું અવસાન થયું. અમારો સુવર્ણયુગ વીતી ગયો.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ચાલ મજાની આંબાવાડી / ગઈ પાનખર પાનસોંસરી

    ચાલ મજાની આંબાવાડી

    – ગની દહીંવાલા

     

    સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
    ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

    બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
    પાછળ વહેતુ આવે જીવન, આગળ આગળ રમીએ.

    માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવીએ,
    બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

    તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં
    છળના રણમાં છાનામાના મૃગજળ મૃગજળ રમીએ.

    હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
    પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પેાકળ રમીએ.

    ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
    મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

    હું ય ‘ગની’ નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
    અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.

     

    ગઈ પાનખર પાનસોંસરી

    – અનિલ જોશી

    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ,
    મથ્યા રોકવા તોય આખરે ગઈ હવા પણ, નાકસોંસરી ગઈ.

    રણને દરિયો કરવા ચકલી રોજ સવારે તળાવમાંથી ટીપું લઈને રણમાં જઈને નાખે,
    દરિયો પૂરવા ખિસકોલીબાઈ રોજ સવારે રજકણ લઈને દરિયે જઈને નાખે.
    સૂરજ સામે તીર તાકતા ભીલ સમા અંધારા સામે ગઈ કાંકરી, કાનસોંસરી ગઈ.
    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.

    મૃગની પાછળ રામ ગયા તે દિવસે વનમાં રામસીતાનો મૃગજળ થયો મિલાપ,
    હવે મૃગજળ ઉપર પુલ બાંધવા બધા વાંદરા પથ્થર ઉપર રામ લખીને કરતા રહ્યા વિલાપ.
    અંતે અઘોરવનમાં કીડી ચટકે ફેણ પછાડી ગઈ કાચળી, સાપસોંસરી ગઈ.
    પીળા પાંદડે ખાઈ લથડિયાં ગઈ પાનખર, પાનસોંસરી ગઈ.

  • ફિલ્મી ગઝલો – ૮૦. શાતિર ગઝનવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    શાયર શાતિર ગઝનવીનું અસલ નામ હતું અમીન ઉલ હક ખાન. શાતિર ( ચાલાક ) એમનું તખલ્લુસ હતું અને એમના વડવાઓ અફઘાનિસ્તાનના ગઝનીથી હિંદુસ્તાન આવ્યા માટે ગઝનવી. અખંડ ભારતના પેશાવરમાં એમણે શરુઆત નાટ્યલેખનથી કરી. ઓલ ઈંડીયા રેડિયો માટે પણ નાટકો લખ્યા.

    ફિલ્મોમાં એમણે શરુઆત ૧૯૩૬ ની ફિલ્મ ‘ બાગી સિપાહી ‘ ના વાર્તા – સંવાદ લખીને કરી. એ આર કારદારની જ અન્ય ફિલ્મો મિલાપ, મંદિર, પૂજા અને સ્વામી પણ એમણે લખી.

    એમણે દિગ્દર્શિત કરેલી એકમાત્ર ફિલ્મ હતી ચંદ્રકાંતા ( ૧૯૪૬ ) જેમાં એમણે અભિનેત્રી ગીતા બાલીને ફિલ્મ પ્રવેશ કરાવ્યો. કમનસીબે એ ફિલ્મ રિલીઝ જ ન થઈ.

    કનીઝ, ભાઈ, સ્વામી, આંખમિચૌલી જેવી ફિલ્મોમાં એમણે કુલ ત્રીસેક ગીતો લખ્યાં. એમાંની આ બે ગઝલ –

    ઈસ દિલ કી હાલત ક્યા કહિયે બરબાદ ભી હૈ આબાદ ભી હૈ
    યે જીના કૈસા જીના હૈ નાશાદ ભી હૈ ઔર શાદ ભી હૈ

    વાદોં પે તુમ્હારે જીતે હૈં હમ ખૂને તમન્ના પીતે હૈં
    ક્યા ક્યા ન તસલ્લી દી તુમને, સબ ભૂલ ગએ કુછ યાદ ભી હૈ

    દિલ ચુપકે ચુપકે રોતા હૈ ચાહત મેં આંખેં હંસતી હૈં
    ઈસ ઉલઝન મેં જો પડતા હૈ, વો કૈદ ભી હૈ આઝાદ ભી હૈ..

    – ફિલ્મ : ભાઈ ૧૯૪૪
    – નસીમ અખ્તર
    – ગુલામ હૈદર

    અપની રૂઠી હુઈ કિસ્મત કો મના લું તો હંસું
    બાત બન બન કે જો બિગડી હૈ બના લું તો હંસું

    મુજ પે ઉલ્ફત મેં જો ગુઝરી હૈ બતા લું ઉનકો
    દિલ પે ફુરકત મેં જો બીતી હૈ સુના લું તો હંસું

    ઉનકો ગૈરોં સે છુડા લું તો મેરી બાત રહે
    અપને આંસૂ કે મૈં પરદે મેં છુપા લું તો હંસું..

    – ફિલ્મ : કનીઝ ૧૯૪૯
    – ઝીનત બેગમ
    – હંસરાજ બહલ, ગુલામ હૈદર


    શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • મહેન્દ્ર શાહનાં નવેમ્બર ૨૦૨૪નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations of November 2024

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com