કોલેજના મિત્રો
કોલેજમાં મારા ઘણા મિત્રો થયાં, એમાં રજનીભાઈએ મને ટ્યુશન કરીને થોડી ઘણી આવક કરવા પ્રેરિત કર્યો, તેમણે આજીવન મારી સાથે મિત્રતા નિભાવી. પ્રદીપ શાહ પહેલા સાયન્સ કોલેજમાં અને પછી એન્જિનિયરિંગ કોલેજમાં પણ મારી સાથે હતો. અને અત્યારે હ્યુસ્ટન, અમેરિકામાં પણ અમે ભેગા થઈ ગયાં. આજે પણ અમે બંને મિત્રો ભેગા થઈને અમારા તે સંસ્મરણો વાગોળીએ છીએ. એવી રીતે જ બીજા મિત્રોમાં મનહર રાઠોડ સાથે પણ ઘનિષ્ઠ સંબંધો હતાં. અમે બંને એકબીજાના ઘરે અવાર-નવાર આવતા જતાં.
કોલેજમાં મારી નજીક એક છોકરી બેસતી હતી, તેનો રોલ નંબર ૧૧૦ હતો, એટલે અમે મિત્રોએ એનું ઉપનામ ૧૧૦ રાખ્યું હતું. મને મનોમન એ ગમવા મંડી હતી. મનમાં ને મનમાં રમાયેલી અને આગળ ન વધેલી એ એક તરફી પ્રેમની અને મારા એકાકીપણાની વ્યથા મારા મનમાં કવિતા રૂપે પ્રગટ થઈ. ‘ક્ષોભ’ નામની એ મારી પ્રથમ કવિતા હતી.
ક્ષોભ
ક્યારેક મન થઈ શંકિત,
પૂછે પ્રશ્ન પોતાને,
શું નથી મંજૂર વિધાતાને,
તારું ને મારું મિલન?
ત્રણ વખત મળી તું,
જોઈ મેં તને, પરંતુ,
ન ચડ્યો હું તવ દ્રષ્ટિમાં,
ને હું ય કેમ બોલાવું તને,
જ્યારે હોય કો તુજ સાથમાં?
અવ જ્યારે મળશે તું,
કહેવા આતુર હૈયું આ,
વિચારી વિચારી ફરી
મિલન સમયે,
હોઠ બંધ થઈ જતાં
શાને?
‘ક્ષોભ’ માં મારી અવસ્થાનું વર્ણન કરતી છેલ્લી પંક્તિઓ “વિચારી વિચારી મિલન સમયે હોઠ બંધ થઈ જતાં શાને?” મોટાભાગના યુવાનોની વ્યથા અને અવસ્થાનો પ્રશ્ન છે કે પ્રેમનો એકરાર કરવો છે, શું કહેવું, શું ના કહેવું બધું જ વિચારી રાખ્યું છે, પણ પ્રેમિકા પ્રત્યક્ષ આવે ત્યારે મોંઢામાંથી એક શબ્દ નીકળે નહીં, સાવ મૂંગા થઈ જવાય, અને પછી એ પળ ચાલી જાય, એટલે હતાશા અને નિરાશા છવાઈ જાય. એક બે મહિના પછી પાછી બીજી કવિતા “અનિલ” લખી, તેની પણ છેલ્લી પંક્તિઓ “કળી કરમાય, કૂંપળ સુકાય, ડાળી બટકે, પાન ખરે, વૃક્ષ સુકાય, વિના વસંતે, મુખ કરમાય, હૈયું સુકાય, ભાવના તૂટે, આંસુ ખરે, મન દુભાય, જીવનસાથી વીના.” સગાં-વહાલાં અને આટ-આટલાં મિત્રો હોવા છતાં મારી એકાકીપણાની એ અવસ્થા હતી. પછી તો એ મારી પ્રેમની વ્યથા અને એકાકીપણાથી ચાલુ થયેલી કવિતાઓ રૂપી સફરમાં સમયની સાથે-સાથે, જીવનના તડકા-છાંયડાંમાં, સંવેદનાઓના વિરાટ સમુદ્રમાં હાલકડોલક થતી નાની હોડી જેવી મારા હ્રદયની ઘણી બધી ભાવનાઓને પાનાંઓ ઉપર ઉતારતો રહ્યો.
ઇન્ટર સાયન્સમાં સારા માર્કે પાસ થયો, અને મુંબઈની જ વી.જે.ટી.આઈ. (વિકટોરિયા જ્યુબિલી ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટ, માટુંગા) કોલેજમાં મિકેનિકલ એંજિનિયરિંગમા એડમિશન લીધું. અત્યાર સુધી માત્ર ચાર વિષયમાં સારા માર્ક લાવવા માટે ધ્યાન આપવું પડતું હતું, પણ એંજિનિયરિંગના પહેલા વર્ષમાં જ ૯ વિષયો હતાં એટલે પહેલા વર્ષની પરીક્ષામાં ૯ માથી ૬ વિષયોમાં પાસ થયો અને ૩માં નાપાસ થયો. આખું વર્ષ પાછું કરવું પડ્યું. મહેનત કરીને ઓક્ટોબરમાં બધા વિષયોની ફરી પરીક્ષા આપી. આખી યુનિવર્સિટિમાં ૩૦૦માંથી બીજે નંબરે પાસ થયો. બીજું વર્ષ જૂનમાં ચાલુ થવાનું હતું માટે છ મહિનાનો અવકાશ હતો. મારા એક મિત્રએ મને ફિનલે મિલ્સમાં સ્ટેટિસ્ટિક્સ વિભાગમાં નોકરી અપાવી. મહિને રૂપિયા ૨૪૦નો પગાર હતો. પહેલા મહિનાનો પગાર મેં મારા કાકાના હાથમાં મૂક્યો તો એ ખૂબ ખુશ થઈ ગયાં હતાં. બરાબર એ સમયે મારી શાળાનો મિત્ર સુરેશ દાણી ફરી મારા સંપર્કમાં આવ્યો. મારી જેમ તે પણ પહેલા વર્ષમાં નાપાસ થયો હતો. મોટાભાગના મારા શાળાના મિત્રો મારી સાથે મારી કોલેજમાં જ હતાં. સુરેશ દાણી અને હું બંને નાપાસ થયાં હતાં એટલે સાથે ભણતા. પણ સુરેશને મારું મિલમાં નોકરી કરવું નહોતું ગમતું. તેણે મને ઘણો સમજાવ્યો કે આપણે બંને ટ્યુશન કરીએ, એક-બે ટ્યૂશનમાં જ બસોથી અઢીસો રૂપિયા ક્માઈ લેશું, મિલમાં કામ કરવાની જરૂર નથી. અને થયું પણ એમજ, એણે મને ટ્યૂશનો અપાવ્યા અને હું મહિને ૭૦૦ થી ૮૦૦ રૂપિયા કમાતો થઈ ગયો.
હું મોટાભાગે સુરેશ દાણીને ઘરે જ સમય વિતાવતો. એક દિવસ એના પિતા પ્રાણજીવન કાકાએ મને કહ્યું, “મારે તારી જરૂર છે, આ તારો મિત્ર અમારા જ માળામાં રહેતી એક છોકરીના પ્રેમમાં પડ્યો છે અને એને લીધે જ નાપાસ થયો છે, એનું ધ્યાન ભણવામાં ઓછું ને એ છોકરીમાં વધારે રહે છે, તું એને સમજાવ કે ભણવામાં ધ્યાન આપે અને એ છોકરીથી દૂર રહે.” મેં કહ્યું,”ભલે કાકા હું પ્રયત્ન કરીશ.” ત્રણ-ચાર મહિના પછી મેં કાકાને કીધું કે,”મેં ખૂબ કોશિશ કરી પણ એને માટે એ છોકરીને ભૂલવાનું શક્ય નથી, એ બંને એક બીજાને ખૂબ પ્રેમ કરે છે.” તેમનાં મા-બાપે નિર્ણય લીધો અને લગ્ન નક્કી કરીને એમને પરણાવી દીધા. મારો મિત્ર સુરેશ દાણી એની પ્રેમિકા મંજુલા સાથે પરણી ગયો અને ૫૦ વર્ષથી દાંપત્ય જીવનનો આનંદ માણી રહ્યો છે. પરિવારની સહાયતાથી તે પોતાની મહત્વાકાંક્ષા રૂપે સફળ કોચિંગ વર્ગો સ્થાપી શક્યો. તેનું માનવું છે કે ભારતમાં જ કોઈ પણ યુવાન સફળ થઈ શકે છે અને વિદેશ જવાની જરૂર નથી. તેણે પોતાના ત્રણે પુત્રોને એંજિનિયરિંગમા સ્નાતક કર્યા અને વિદેશ મોકલવાને બદલે એના જ વ્યવસાયમાં સ્થાયી કર્યા.
એંજિનિયરિંગ કોલેજમાં ગુજરાતી મંડળ
વી.જે.ટી. આઈ.માં અમે ગુજરાતી સાહિત્ય મંડળની સ્થાપના કરી. હું પ્રમુખ અને મારો ખાસ મિત્ર પ્રવિણ પાઠક ઉપપ્રમુખ બન્યા. એક રંગસંધ્યાનું આયોજન કર્યું. ભવંસમાં સ્પર્ધામાં નાટક રજૂ કર્યું. નાટકમાં નારી પાત્ર ભજવવા માટે છોકરી ક્યાંથી લાવવી? પ્રવિણ પાઠકે રૂઈયા કોલેજમાં ભણતી નલિની ગોકળગાંધીને તૈયાર કરી. ગણિત, વિજ્ઞાન અને યાંત્રિક કોલેજને અમારા ગુજરાતી મંડળે સાહિત્ય રસિક અને કલાપ્રેમી બનાવી. પ્રમુખ તરીકે એક વસ્તુ શીખવા મળી. તમારી સમિતિમાં જે કાર્યકરો હોય તેમની નિષ્ઠા, સમર્પણ સફળતા લાવે છે.
મિત્રની સ્મૃતિ
૧૩ સપ્ટેંબર ૨૦૧૮ને દિવસે કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. કાકીનું ઋણ તો જન્મોજન્મ ચુકવી શકાય તેમ નથી તે છતાય કાકીને ૮૦ વર્ષ પૂરા થતા હતાં. તે નિમિત્તે એક ભોજન સમારોહનું આયોજન મેં મુંબઈમાં કર્યું. થોડા મિત્રો અને સગા વહાલાને બોલાવ્યા હતાં. તે વખતે મારા એક અંગત મિત્ર મનહર રાઠોડને આમંત્રણ આપવા હું તેના ઘરે ગયો ત્યારે તેણે જે વાત કરી તે ચોંકાવી નાખે તેવી હતી.
૧૯૭૧માં મનહરે અમેરિકા ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવ્યું. મુંબઈથી અમેરિકા જતા પહેલા મનહર વીરપુર જલારામ બાપાના દર્શને ગયો. વીરપુરની યાત્રાથી પાછા ફરતા તેની બસનો અકસ્માત થયો. બસ ઊંધી પડી ગઈ. મનહરને માથામાં ચોટ લાગી અને તે પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠો. મનહર બધા સામે જોયાં કરે પણ કોઈને ઓળખી ના શકે. લગભગ છ મહિનાની સારવાર પછી કુટુંબનાં માણસોને ઓળખતો થયો. મુંબઈ આવી મનહર ફરીથી કક્કો બારાખડી શિખ્યો. દરેક ધોરણનાં પુસ્તકોનો અભ્યાસ કર્યો. તેમાં તેનાં સગા અને મિત્રોએ ખૂબ સહકાર આપ્યો. પછી કોલેજનાં ૨ વર્ષ અને એંજિનિયરિંગના ૪ વર્ષનાં પુસ્તકોનો અભ્યાસ કરી પોતે સિવિલ એંજિનિયરિંગ ગ્રેજ્યુએટ છે એમ સાબિત કરી નોકરી મેળવી. મિત્રોના સહકારથી તેણે મકાન બાંધકામના ધંધામા ઝંપલાવ્યું અને ખૂબ કમાયો.
આ મનહર જ્યારે કાકીના ભોજન સમારોહમાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે તેને અમારા કોલેજનાં એ દિવસો યાદ છે જ્યારે તે એક દિવસ મારા ઘરે આવ્યો હતો. મેં તેના માટે ખિચડી શાક બનાવી જમાડ્યો હતો.
મને એમ કે મનહરની સ્મ્રુતિ પુસ્તકોનાં અભ્યાસથી પાછી આવી હતી. પણ ૧૯૬૪માં બનેલ ઘટના કોઈ પુસ્તકમાં નહોતી. હવે મને શ્રદ્ધા અને વિશ્વાસ બેસી ગયાં કે મનહરની સ્મ્રુતિ સંપૂર્ણપણે વાપસ લાવવા.માટે જલારામ બાપાનાં જ આશીર્વાદ છે.
નંદ યશોદા સ્વરૂપ કાકા કાકીઃ
કાકી મારા જીવનમાં હું ૧૨ વર્ષનો હતો ત્યારે આવ્યા. ત્યારે હું ખૂબ નાદાન અને જિદ્દી હતો. કાકા કાકીને મેં ઘણા તંગ કર્યાં. પરંતુ કાકાએ મારા માબાપને વચન આપેલ તે પાળીને મને મોટો કર્યો. અમારા દરજી કુટુંબમાં છોકરો ૧૪ વર્ષનો થાય એટલે તેને ધંધે લગાડી દે. દરજીનો દીકરો, જીવે ત્યાં સુધી સિવે. ભણવું હોય તો ભણો પણ સાથે સાથે દરજીકામ પણ શીખે. અન્ય સગાં વહાલા કાકા પર દબાણ લાવતા હતાં કે આ છોકરાને કામ શીખવો. એકલા ભણતરથી કંઈ વળવાનું નથી. પરંતુ કાકા અડગ રહ્યા. મને ભણાવ્યો, ગણાવ્યો. વર્ષો પછી મને સમજ આવી કે બંને કાકા કાકીએ મારા માટે કેટલો ભોગ અને ત્યાગ આપ્યો. મારી બાના અવસાન પછી મેં કાકીને ભેટી પડીને રડતે મુખે કબૂલ કર્યું કે કાકી, મેં તમને ઓળખવામાં ભૂલ કરી છે. તમે તો મારા યશોદા મા છો. મારી જન્મદાતા મા તો મારા મામાને ત્યાં જતી રહી હતી, પણ મને મોટો કરવાનો, સંસ્કારો આપવાનો અને ઉચ્ચ શિક્ષણ આપવાનો ખરો યશ તો તમને જ અપાય. એ એકરાર પછી કાકી અને મારા સંબંધોમાં સોનામાં સુગંધ પૂર્યા જેવું થયું.
કાકા કાકી અંધેરી જે રૂમમાં રહેતા હતાં તેમાં ૨૦૦૧ થી ૨૦૦૫ સુધીમાં ૪ વખત ૫ થી ૭ ફૂટ જેટલું પાણી ચોમાસા દરમ્યાન ભરાઈ જતું. ૨૦૦૭ માં તેમને માટે એક ફ્લેટ પહેલે માળે લીધો અને પાણીનો પ્રશ્ન ટળી ગયો. ૨૦૧૦માં કાકાના અવસાન પછી કાકી ૬ વર્ષ ત્યાં રહ્યાં. નિવૃત્તિમાં હું અવારનવાર મુંબઈ આવન જાવન કરતો. કાકી સાથે રહેતો. સુખ દુઃખની વાતો કરતા ભૂતકાળની સ્મ્રુતિ તાજી કરતા અને આનંદથી સમય પસાર કરતા. કાકીએ અમને ભાઈ-બહેનને સંપીને અને એકમેકની સાથે પ્રેમ આનંદથી રહેવાની શીખ અને પ્રેરણા આપી છે જે અમને જીવનભર યાદ રહેશે. તેમના પુત્ર ભરતભાઈ મારા કપડા માપસર બંધબેસતા સીવી આપે છે અને નાનો પુત્ર યોગેશ મારું મુંબઈને લગતું કાર્ય નિષ્ઠાથી કરી આપે છે.
વહાલના સ્રોત સમા એ કાકી પણ અમને સૌને રડતા મૂકી ફેબ્રુઆરી ૨૦૨૨માં દેવલોક સિધાવી ગયાં.
વિહંગાવલોકન
મારું જીવન નસિબવંતુ છે. બાળપણમાં દાદીમા, આઠ વરસ સગી જનેતા, પછી કાકી, અમેરિકામાં વહાલસોયી પત્ની, મારી બા, અને બે પુત્રીઓનો ભરપુર સ્નેહ મને મળ્યો છે. મારા જન્મ પછી ભારતને આઝાદી મળી. ૨0-૨૨ વર્ષો સોનેરી કાળ સમા હતાં. એવો જ સોનેરી કાળ અત્યારે હ્યુસ્ટનમાં પ્રતિત થાય છે. દરેક કોમનાં લોકો અહીં હળીમળી રહે છે. સાહિત્ય, ધર્મ, કલા અને સામાજિક કાર્યક્રમોમાં સમય સુંદર રીતે પસાર થાય છે. જનસેવા અને પ્રભુસેવાના અનેક મોકા મળતા રહે છે. ખરેખર, સૌનો પ્રેમ અને સહકાર પામી ૭૫ વર્ષ ક્યાં પસાર થઈ ગયા તે ખબર જ ન પડી.
આશા છે કે જન્મોજનમ મને આ સહકારની કેડી મળ્યા કરે અને જીવનને નવપલ્લવિત કર્યા કરે.
અસ્તુ.
સમાપ્ત
હવે પછી – સપના વિજાપુરા : જિંદગીકા સફર
