કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
કોઇ એક જગ્યાએ મેળો ભરાયેલો. તમાશા બતાવી રળી લેનારા ખેલાડીઓ તેવી જગ્યાએ પહોંચી જતાં હોય છે. ત્યાં એક તંબુની બહાર એક બોર્ડ મારેલું, “ અંદર ઘોડો ગાય છે !” અંદર જોવા જવાની ટીકીટ હતી માત્ર એક રૂપિયો. “ હેં ! આપણી જેમ ઘોડો ગીત ગાય છે ?” આવું જોવા જબરી ભીડ જામી હતી.
અંદર જોઇ આવેલા લોકો મનોમન હસતાં હસતાં બહાર નીકળતા, અને અંદર જવા ઉત્સુખ લોકોને એ જોઇ લેવા ખાસ આગ્રહ કરતા હતા એટલે અંદર જવાની પડાપડી વધતી હતી. જેટલા તંબુની અંદર જઇ,જોઇ આવ્યા હતા તે બધું જાણી ગયા હતા કે “ઘોડો કંઇ ગાતો ન હતો” પણ ઘોડા પાસે ગાય બાંધેલી જોવા મળતી હતી ! એટલે તંબુવાળાની વાતને ખોટીયે કેમ કહેવી ? પણ જે લોકો આ રીતે છેતરાયા હતા તેમ બધા છેતરાય તેમાં તેઓ ખુશ હતા. પોતાના અનુભવનો લાભ સૌ કોઇને મળે એવી વૃતિ આપણી રહેતી હોય તો છેતરનારાંના ગપ્પાં હાલતાં વહેલાસર બંધ થઇ જાય.
દુ:ખ વહેંચવાથી ઘટે =
જીવનમાં પછડાટો ખાધા વિના અનુભવ નથી મળતો. પણ અનુભવીઓ પોતાના સંચિત અનુભવો સૌ ને વહેંચતા રહે તો બધાએ પછડાટો નથી ખાવી પડતી. દુ:ખો તો જીવન સાથે જડાએલા જ છે. તેમાંથી રાહત મેળવવી હોય તો અનુભવીઓના ચરણ પકડવા પડે. સયુંક્ત કુટુંબમાં વૃધ્ધોની દોરવણી રહેતી હોય છે. અરે ! વૃધ્ધો વિનાનું ઘર સુકાની વિનાની નાવ જેવું છે. ભલે ઘરડા-બુઢ્ઢા પણ જ્યારે કુટુંબના આવા મોભીછત્રનું મૃત્યું થાય છે ત્યારે કુટુંબના સભ્યોને લાગતો આઘાત નાનો નથી હોતો. ન કરે નારાયણ ને કુટુંબનો કોઇ નાનો જણ મૃત્યુ પામે તો સ્વજનોને લાગતો આઘાત બેભાન બનાવી દે છે.જીંદગીભર એનો આઘાત ઓસરી શકતો નથી. આવા વખતે સૌ સગા-સ્નેહી, ઓળખીતા અને મિત્રો, અને એમાં પણ પાછા મોટી ઉંમરવાળા વડિલો કે જેઓ આવા કૈંક કારમા ઘા સહન કરીને ઘડાયા પિટાયા હોય તેવા આ દુ:ખી કુટુંબની મુલાકાતે આવતાહોય છે. અને તેમના દુ:ખમાં ભાગ પડાવી,ધીરજ બંધાવી, બે શબ્દો દિલાસાના કહી, ધીમે ધીમે દુ:ખના આઘાતમાંથી બહાર નીકળી ફરી દૈનિક વ્યવહારમાં જોડાઇ જવાની સમજણ આપતા હોય છે.
આપણો ખેડૂતોનો જમીન,પાણી,ઝાડવા,છોડવા અને જાનવર-જીવડા સાથેનો ધંધો છે.કુદરતી પરિબળો અને એમાં સર્જાતા આકસ્મિક સંજોગોનો પાર નથી. રાતદાડો જોયા વિના પંડ્ય તૂટી જાય તેટલી મહેનત,બાર મહિના ભગવાનના ભરોસે-કહોને ઉધારે રળતા રહ્યા પછીએ કુટુંબના રોટલા નીકળશે એવુંએ નક્કી નથી.છતાં આપણો બાપ-દાદાનો વ્યવસાય છે, પૂરો પ્રામાણિક ધંધો છે અનેવળી પાયાનોગણાય તેવો મહત્વનો હોઇઆપણે ચોકિયાબળદ જેટલું બળ કરતા હોઇએ છીએ
ખેતીના અનેકવિધ કામોમાં સ્થિતિ પ્રમાણે પધ્ધતિઓ કે રીતોને બદલવી પડતી હોય છે.કારખાના જેવું ખેતીમાં એકધારું કામ નથી હોતું.કેટલીકવાર એવું કામ થઇ જાય છે કે આપણે ભુંડીરીતે નુકશાની વેઠવાનો વારો આવી પડ્યો હોય ! આપણી કોઇ નાનકડી ભૂલના પરિણામે ક્યારેક આખેઆખી સીઝન ખોવી પડે તેવી કઠણાઇ બેસી જાય છે. ત્યારેતો આપણે એવી જ ગાંઠ વાળી લીધી હોય કે “આવી ભૂલ તો ફરીવાર ન જ કરવી !” આટલું અનુભવે શિખ્યાપછી બીજીવાર આ ભૂલનો ભોગ ન બનીએ એ ખરું, પણ માર ખાવામાંથી તો ન બચી શક્યાને ? કોઇ એકે કરેલી ભૂલની જાણ જો બીજા ધંધાર્થી ભાઇઓને કરી હોય તો આપણા અનુભવમાંથી તેઓ “ધડો” લઇ શકે, અને તેઓ આવી ભૂલ કરવામાંથી સમૂળગા બચીજાય, અને કોઇ એકે ભોગવેલા માઠાં પરિણામ સહન કરવાનો વારો અન્ય કોઇને ન આવે એવું ન થઇ શકે ? એટલે એવી ભૂલો બધાને કરતા અટકાવવા માટે થઇને પણ આપણને થયેલ માઠા અનુભવની આપલે એકબીજાને કરવી અત્યંત જરૂરી છે
“નાપાસ” થયાની જાણ =
થોડા વરસો પહેલાં એક ઉફાળો ખાસ કરીને મોટાફાર્મવાળા ખેડૂતોમાં સાગની ખેતી કરવા તરફ ઉઠ્યો હતો. એની આવકના હિસાબો કેલ્ક્યુલેટર નાનાં પડે એવા મુકાતાં હતાં નાના-મોટા સૌ ખેડૂતો સાગના પ્લાંટેશનમાં પૈસા રોકતા હતા. હું પણ એની સ્વતંત્ર જોખમવાળી દોડમાં જોડાયો હતો. મેં મારી વાડીમાં મારા પોતાના જ રોકાણથી ૧૦ એકરમાં સાગનું રોપાણ કરેલું. બધી જ જાતની સગવડો- સારામાંસારી જમીન,પાણી પીવા ટપક પધ્ધતિ, ગોવાળી કરવા ખડેપગે હાજર હું અને મારી આખી ટોળકી.. પાણી માગેત્યાં દૂધ હાજર કર્યું. ખેડૂત આલમમાં આની જહેરાત પણ સારી થયેલી. એથી કૈંક ટોળાં એને જોઇ વખાણી ગયેલાં. સાત વર્ષ ભગવાનને પ્રસન્ન કરવા જેટલું આ સાગને રીઝવવા તપ કર્યું પણ એ ન રીઝ્યો. મારું ગણિત ખોટું પડ્યું. આઠમે વર્ષે વિદાય કાર્યક્રમ ગોઠવવોપડ્યો. આ વાત હું સૌરાષ્ટ્રના ખેડૂતોને ન કહું તો ફરજ ચૂક્યો ગણાંઉ. પેલી “ઘોડો ગાય છે” વાળી વાત કીધે રાખું તો બીજા કંઇ કેટાલાયે અંટાઇ જાય. વધુ જણને તંબુમાં જતાં રોકવા તે મારી ફરજ ગણાય.
સુખ વહેંચવાથી વધે =
દીકરાના લગ્ન હોય અને “હું, તું અને રતનિયો” –મા-બાપ અને મુરતિયો ત્રણે હરખમાં ચડીએ તો હરખ વધી વધીને કેટલોક વધે ? પણ એ આનંદમાં જ્યારે બહોળા સ્નેહી-સંબંધી,ઓળખીતા, મિત્રો-મુરબ્બીઓ સૌ ભળે ત્યારે પ્રસંગ કેવો દીપી ઉઠે ? હોય લગ્ન કે લેવાણું હોય મકાનનું વાસ્તુ-પૂજન, નાના ભૂલકાનો જન્મ દિવસ હોય કે હોય સરખે સરખા મિત્રો વચ્ચેની મિજબાની ! એ બધા સામુહિક આનંદના રૂડા અવસરો ગણાય. એને ક્યારેય એકલા એકલા ઉજવતા નથી. યથાશક્તિ આમંત્રણો આપી આપણા આનંદ અને સુખમાં બીજાને ભાગીદાર બનાવીએ છીએ. જેમ દુ:ખ વહેંચવાથી ઘટે છે તેમ સુખ વહેંચવાથી વધે છે.
“લાભ” થયાની વાત =
ખેતીમાંયે એની આનુસંગિક બાબતો-પાણી,પોષણ,સંરક્ષણ કે બિયારણ જેવી કોઇપણ બાબતો, નવી વાત, તરીકો, પધ્ધતિ-આંખો ઉઘાડી રાખીએ તો જરૂર પકડાઇ જતી હોય છે. એનાથી જો ઉડીને આંખે વળગે એવો લાભ દેખાવા માંડ્યો હોય તો તેનો ફેલાવો કેમ ન કરાય ભૈ ? દા.ત. દૂધીના વેલામાં બરાબરનું નિરીક્ષણ કરી, ડુંખો કાપતા રહેવાથી મળતું અઢીગણું વધારે ઉત્પાદન, કપાસમાં ત્રણ-સાડાત્રણ ફૂટની ઉંચાઇ પછી તેનું માથું મોરી લીધા બાદ 20-25 દિવસ પછી બાજુની ડાળીઓની પણ ડુંખો મોરી લેવાથી ઉત્પાદનમાં મેળવાતો લાભ, હવે અમારે ત્યાં પ્રયોગ મટી વ્યવહાર બન્યો છે તે રૂબરૂ નજરે બતાવી જાણ ન કરું તો એ કંઇ બરાબર કહેવાય ?
એક દ્રષ્ટિવાન ખેડૂત એક કૃષિ વિજ્ઞાની જેવી સંશોધન શક્તિ ધરાવે છે. નિતનવા પ્રયોગો અને નુસ્ખાઓ તેની કોઠાસૂઝમાંથી નીકળ્યા કરતા હોય છે. ઘણીવાર નિષ્ફળતા પણ મળતી હોય છે, પણ એ જ નિષ્ફળતા નવી નવી તરકીબો સુઝાડે છે. અને છેવટે મળનારી સફળતા બધી નુકશાનીનું વટક વાળી દે છે. આવી સફળ વાતોનો સીધો લાભ, લેવા ઇચ્છે તેવા અન્ય ખેડૂતો પણ લઇ શકે તેવું કરવાની માત્ર “ફરજ” નહીં, પણ “નૈતિક જવાબદારી” એવા સંશોધક ખેડૂતની ગણાય મિત્રો !
અનુભવ આપ-લે ની પધ્ધતિઓ =
[1] વાતોના માધ્યમથી = મેં જોયું છે કે જ્યારે જ્યારે ખેડૂતોએ એકબીજાને મળવાનું થાય છે,ત્યારે સહેજે ખેતીની વાતો કરતા રહેતા હોય છે. આ રીતે મળનારાં સ્થળ અને પ્રસંગો ઓછાં નથી હોતાં.
ક્યારેક કોઇ કૌટુંબિક પ્રસંગોમાં ભેગા થઇ જતાં સહેજે વાત નીકળે ત્યારે, ક્યારેક આપણી વાડીએ અન્ય ખેડૂતોને જોવા-સમજવા આવવાનું થાય ત્યારે, આપણે બીજાની વાડીએ આવાકોઇ હેતુ માટે જવાનું થાય ત્યારે, કે કોઇ ચર્ચાસભા કે સેમિનારમાં ભાગ લેવાનું બને ત્યારે “વાતો” દ્વારા અનુભવની આપલે કરી શકતા હોઇએ છીએ.બહુ બળકટ અનુભવ હોય તો રેડિયો પ્રસારણ દ્વારા,કે કોઇ તાકીદના પ્રશ્નના નિવારણાર્થે આજેતો ટેલીફોનથી પણ એકબીજાના અનુભવઆપલે શક્ય છે
[2]નજરો નજર નિદર્શન કરીને = માત્ર કાનથી સાંભળવા કરતાં આંખથી જોયેલ ઘટના કે વાત વધુ અસર પહોંચાડતી હોય છે, કોઇ વધુ વજનદાર મુદ્દાની ધારી અસર પહોંચાડવા વાડીપર જીવંત નિદર્શન, કે જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો ભેળા થવાના હોય તેવા કૃષિમેળા કે સંમેલનોમાં સફળતાનું મોડેલ ઊભુ કરી, અગરતો એ પ્રયોગ કે પ્ધ્ધતિની દ્રશ્ય-શ્રાવ્ય સીડી તૈયાર કરી મોટા સમૂહને દેખાડી સારી વાતનું વિસ્તરણ કરી શકાતું હોય છે.
[3]લેખન-વાંચનથી = અંદરો અંદરની વાતચીત કે સમાચાર માટે મોબાઇલ-ફોન દ્વારા એક અદ્યતન સુવિધા ઊભી થઈ જતાં પત્રો-ટપાલનું વજન હળવું થઈ ગયું છે. છતાં કેટલીય વિગતો ખેડૂતો પત્રો લખીને એકબીજાને પૂછતા રહેતા હોય છે. પત્રો દ્વારા હું તો ઘણાબધાં ખેડૂતો સાથે ગોષ્ટિ કરતો રહેતો હોઉં છું. પત્રો એકબીજાના અનુભવની આપલે માટેનું ઉત્તમ માધ્યમ છે. અરે ! બહોળા સમાજને ઉપયોગી કોઇ અનુભવ આપણને થયો હોય તો “અખબાર” અને “કૃષિમેગેઝીનો” સામેથી આવા –સૌને લાભના સમાચારો, વિગતો, અનુભવો હોંશે હોંશે પ્રસિધ્ધ કરવા તંત્રી અને સંપાદકશ્રીઓ આતુર હોય છે. આપણે તેમને વ્યવસ્થિતરીતે લખી મોકલવા જોઇએ. અરે ! કોઇની પાસે વધુ અનુભવનો ખજાનો ભેગો થયો હોય તો ‘પુસ્તક” રૂપે પ્રસિધ્ધ કરી, બહોળા ખેડૂતવર્ગ માટે કાયમી ભાથારૂપ સંભારણું પણ બનાવી શકાય.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

સરસ, રસપ્રદ લેખ.
LikeLike