હુસ્ન ગ઼મ્જ઼ે કી કશાકશ સે છુટા મેરે બા’દ
(શેર ૬ થી ૮)થી આગળ
(શેર ૯ થી ૧૧)
આએ હૈ બેકસી-એ-ઇશ્ક઼ પે રોના ‘ગ઼ાલિબ‘
કિસ કે ઘર જાએગા સૈલાબ-એ-બલા મેરે બા‘દ (૯)
[બેકસી= એકલતા, અસહાયતા; સૈલાબ= પૂર; બલા= આફત; સૈલાબ-એ-બલા= આફતનું પૂર (સંક્રમણ)]
રસદર્શન :
અહીં આપણને ગ઼ાલિબનો એક વધુ રસપ્રદ મક્તા શેર મળે છે અલંકારશાસ્ત્રના વિપ્રલંભ શૃંગાર રસનું આ ઉત્તમ ઉદાહરણ છે. જ્યારે માશૂક માશૂકાના ઇશ્કને ગુમાવી બેસે છે, ત્યારે તે એવી એકલતા અનુભવે છે કે તે એકલા એકલા એવા તો રડી પડતા હોય છે કે તેમના રૂદન ઉપર કાબૂ મેળવી શકાતો નથી. માશૂક માટે તેમની આ ગમગીની એક આફત બની રહે છે. માશૂકાના સાન્નિધ્યમાં જે લુત્ફ મળતો હતો તે છીનવાઈ જતાં દિલને જે વેદના થાય છે તેને આફત જ ગણવી રહી. બીજા મિસરામાં આ આફતની માત્રા માટે સૈલાબ (પૂર) શબ્દ પ્રયોજાયો છે; જેનાથી સમજાય છે કે જેમ કોઈ મહાનદીમાં ઓચિતું પૂર આવી ચઢે તો સર્વત્ર જળબંબાકાર છવાઈ જઈને સઘળું તહસનહસ થઈ જાય, તેમ કપરા વિયોગથી માશૂકની દુનિયા લુંટાઈ જાય છે. અહીં માશૂકની એકલતા માટે કારણભૂત છે માશૂકાનો વિયોગ અને એ વિયોગ એવો તો અસહ્ય છે કે માશૂક તેને જીરવી શકવા અસમર્થ હોઈ તે જીવિત નહિ જ રહી શકે. આમ માશૂક કહે છે કે વિયોગનો આ સૈલાબ તેમના મૃત્યુ પછી તેમના જેવા અન્ય પ્રેમીઓમાંથી કોના ઘરે જશે, અર્થાત્ તેમના જેવા એવા અન્ય કોઈક કમભાગીને પણ આવી મહા આફતનો ભોગ બનવું પડશે. વિયોગની આવી વિકરાળ આફત તો કોઈકનો અને કોઈકનો ભોગ લેવા માટે હંમેશાં તત્પર જ હોય છે અને તેથી જ કોઈ વિરહી પ્રેમીઓ જીવલેણ એવી આવી આફતથી બચી શકશે નહિ.
શેરના બીજા મિસરાના અર્થઘટનના એક પર્યાય મુજબ માશૂક માને છે કે માશૂકાના વિયોગની આફત તેમના માટે એવી તો ભયાનક નીવડી છે કે એ આફતને તેમના મૃત્યુ પછી બીજા કોઈના ઘરે જવાની જરૂર રહેશે નહિ, કેમ કે એ આફતને એકલા માશૂકને જ પરેશાન કરવામાં પરિતૃપ્તિ થઈ ગઈ હશે.
* * *
પૂરક શેર :-
થી નિગહ મેરી નિહાઁ-ખ઼ાના-એ-દિલ કી નક઼્ક઼ાબ
બે-ખ઼તર જીતે હૈં અરબાબ-એ-રિયા મેરે બા‘દ (૧૦)
[નિહાઁ= ગુપ્ત; નિહાઁ-ખ઼ાના-એ-દિલ= હૃદયનો ગુપ્ત ખૂણો (ભાગ); નક઼્ક઼ાબ= ઓઝલ, પડદો; બે-ખ઼તર= નિર્ભય; અરબાબ= માલિક, ઠેકેદાર; રિયા= છળકપટ, પાખંડ, દેખાડો]
રસદર્શન :
આ શેરના ઉલા મિસરામાં આપણને ગ઼ાલિબની ‘જરા હટકે’ કલ્પનાનાં દર્શન થાય છે. માશૂક તેમની માશૂકા પરત્વેની મહોબ્બતનો કોઈ જાહેરી દેખાડો નથી કરતા, પણ તેને પોતાના દિલના એક ગુપ્ત ખાનામાં સંતાડી રાખી છે. વળી એટલું જ નહિ તે ગુપ્ત ખાનાને તેમણે પડદાથી ઢાંકી પણ દીધું છે અને તેની તરફ તેમની માત્ર નજર જ મંડાયેલી રહે છે. દુશ્મનોથી પોતાના ઇશ્કને સલામતી બક્ષવા માશૂક કેટલી બધી સાવધાનીઓ વર્તે છે અને છતાંય તેમને અહર્નિશ ડર તો રહ્યા જ કરે છે કે રખે ને કદાચ એ ઈશ્ક જાહેર ન થઈ જાય! આમ આ મિસરામાં માશૂકની માનસિક હાલત ભયભીત છે, જેના વિરોધાભાસમાં બીજા મિસરામાં આપણને તેમના જાની દુશ્મનોની નિર્ભયતા જાણવા મળે છે.
બીજા સાની મિસરામાં પહેલા મિસરામાંના માશૂકના ભયની વિરુદ્ધ છળકપટ કરનારા અને દ્વેષીલા ખલનાયકોની નિર્ભયતા દર્શાવાઈ છે. માશૂક કહે છે કે એ પાંખંડીઓ તેમના મૃત્યુ બાદ નિર્ભયતાથી જીવ્યે જશે. આ ખલનાયકોને છળકપટના ઠેકેદારો (માલિકો) ગણાવાયા છે, જેનો મતલબ એ છે કે છળકપટ કરવું એ તેમનો ઈજારો છે અને તેમની આ દુષ્ટતાના મુકાબલામાં કોઈ આવી શકે નહિ. વળી આ દુશ્મનોને માશૂક પરત્વેની દુશ્મનાવટને જાળવી રાખવા તેમના અવસાનથી એવું તો મોકળું મેદાન મળી રહેશે કે તેઓ તેમની નીચ હરકતો કોઈપણ જાતની રોકટોક વગર નિર્ભયપણે ચાલુ જ રાખશે.
* * *
થા મૈં ગુલદસ્તા-એ-અહબાબ કી બંદિશ કી ગિયાહ
મુતફ઼ર્રિક઼ હુએ મેરે રુફ઼ક઼ા મેરે બા‘દ (૧૧)
[ગુલદસ્તા= ફૂલોનો ગોટો, (અહીં) મિત્રોની ટોળી, મહેફિલ; હબીબ (અરબી)= મિત્ર; અહબાબ (બ.વ.)= મિત્રો; બંદિશ= પ્રતિબંધ, રુકાવટ, ષડયંત્ર, પેંતરો, (અહીં) બંધન; ગિયાહ (ફા.)= ઘાસ; મુતફ઼ર્રિક઼= વેરવિખેર, જુદા પડી જવું; રફ઼ીક઼= મિત્ર; રુફ઼ક઼ા (‘રફ઼ીક઼’નું બ.વ.)= સાથીઓ, મિત્રો]
રસદર્શન :
‘મેરે બા’દ’ રદીફને અગાઉના શેર જેટલો જ ન્યાય આપતો આ ગ઼ઝલનો આખરી શેર મિત્રાચારીને ઉજાગર કરે છે. ગ઼ાલિબ હંમેશાં મિત્રો વચ્ચે ઘેરાયેલા જ રહેતા અને શેર-ઓ-શાયરીની મહેફિલ જામતી. તેઓ પોતાનો કોઈ નવીન શેર મિત્રો સમક્ષ મૂકતા અને તેમની દાદ મેળવતા. પહેલા મિસરામાં ગ઼ાલિબ મિત્રો સાથેની એ મહેફિલોની મધુર યાદોને વાગોળતાં જણાવે છે કે મારી હયાતી દરમિયાન જેમ જમીન ઉપર ઉગેલા ઘાસના તંતુઓ એકબીજા સાથે જોડાયેલા રહીને રમણીય લીલી ચાદર સમા બની રહે તેમ હું મિત્રો વચ્ચે દાંડીઓ સાથેનાં ફૂલોનો ગલગોટો બની રહેતો હતો.
બીજા મિસરામાં ગ઼ાલિબ પોતે હયાત નહિ હોય તેવા સમયની કલ્પના કરતાં જણાવે છે કે એ ટાણે અમારો મિત્રોરૂપી ફૂલોનો ગોટો વેરવિખેર થઈ ગયો હશે. અહીં ઇંગિત અર્થ એ સમજાય છે મિત્રોને જોડી રાખવાની મુખ્ય ભૂમિકા ગ઼ાલિબ જ નિભાવતા હતા. તેમના અવસાન બાદ બાકીના મિત્રોને ગ઼ાલિબની હાજરી વગરની મહેફિલ શુષ્ક અને ગમગીન લાગતી હોઈ હવે તેઓ એકત્ર થતા નથી.
(સંપૂર્ણ)
નોંધ :-
ગ઼ઝલના સમાપને નીચે હું મીર તકી મીરની ‘મેરે બાદ’ રદીફવાળી આખી ગ઼ઝલ અભ્યાસુઓની ઉત્સુકતાને સંતોષવા માટે આપું છું.
આ કે સજ્જાદા-નશીં ક઼ૈસ હુઆ મેરે બાદ
ન રહી દશ્ત મેં ખ઼ાલી કોઈ જા મેરે બાદ (૧)
ચાક કરના હૈ ઇસી ગ઼મ સે ગિરેબાન-એ-કફ઼ન
કૌન ખોલેગા તેરે બંદ-એ-ક઼બા મેરે બાદ (૨)
વો હવા-ખાહ-એ-ચમન હૂઁ કી ચમન મેં હર સુબ્હ
પહલે મૈં જાતા થા ઔર બાદ-એ-સબા મેરે બાદ (૩)
તેજ઼ રખના સર-એ-હર ખ઼ાર કો ઐ દશ્ત-એ-જૂનૂન
શાયદ આ જાયે કોઈ આબ્લા-પા મેરે બાદ (૪)
મુઁહ પે રખ દામન-એ-ગુલ રોએંગે મુર્ગાન-એ-ચમન
હર રવિશ ખ઼ાક ઉડાએગી સબા મેરે બાદ (૫)
બાદ મરને કે મેરી કબ્ર પે આયા વો મીર
યાદ આઈ મેરે ઈસા કો દવા મેરે બાદ (૬)
* * *
– મિર્ઝા ગ઼ાલિબ (ગ઼ઝલકાર)
– વલીભાઈ મુસા (સંકલનકાર અને રસદર્શનકાર)
(ગ઼ઝલ ક્રમાંક –58)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો | | હળવા મિજાજે