-
ઓળખવા જેવું વ્યક્તિત્વ: કવિ અને મનોવિશ્લેષક સલમાન અખ્તર – ૨
૧૬ નવેમ્બર ૨૦૨૪ના મણકામાં આપણે સલમાન અખ્તરનાં વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓનો પરિચય કર્યો. આજના બીજા અને અંતિમ મણકામાં તેમનાં વ્યક્તિત્વનાં હજુ પણ રસપ્રદ પાસાંઓ વિષે જાણીએ…..
નરેશ પ્ર. માંકડ
હું લખું છું શા માટે? સલમાન કહે છે,ગાલિબના શબ્દોમાં :
आते हैं ग़ैब से ये मज़ामीं ख़याल में
‘ग़ालिब’ सरीर-ए-ख़ामा नवा-ए-सरोश है*मज़ामीं= લેખ, વિષય
*सरीर-ए-ख़ामा = કલમનો અવાજ
* नवा-ए-सरोश = દેવદૂતનો અવાજ
સલમાન કહે છે કે કવિતા લખવાનું સવારના ત્રણ કે ચાર વાગ્યે જ વધુ બને છે. દારૂ પીને શાયરી લખાય એ વાત બકવાસ છે. એ કામ તંગ દોરડાં પર ચાલવા જેવું મુશ્કેલ છે, એમાં સખત શિસ્ત જરૂરી છે. મેં જ્યારે ડ્રીંક લઈને લખ્યું છે ત્યારે બીજા દિવસે ધ્યાન પર આવે છે કે બહુ ખરાબ કામ થયું છે.લખવાની ભાષા કઈ હોઇ શકે – હિન્દી, અંગ્રેજી કે માતૃભાષા? કેટલા મહાન કવિઓ – મારા જેવા બી ગ્રેડના નહિ પણ મહાન કવિઓએ પોતાની માતૃભાષા ન હોય એમાં લખ્યું છે? કેટલા મહાન નવલકથાકાર છે જેમણે પોતાની માતૃભાષા ન હોય એવી ભાષામાં લખ્યું છે? તો નવલકથા લેખક વીસ પચીસ મળી આવે પણ કવિ એક પણ ન મળે.
મુક્ત રીતે વિષયો વચ્ચે વિહરતા સલમાન ગાલિબની વાત કરે છે. લોકો માને છે કે એ અવ્વલ દરજ્જાના શરાબી હતા પણ એવું કંઈ નહોતું. ગાલિબ નિયમિત રીતે શરાબ પીતા હતા, પણ રમ કે વ્હિસ્કી નહિ, જીન. જ્યારે પોસાય ત્યારે તેઓ ઓલ્ડ ટોમ નામની બ્રાન્ડ વાપરતા. એ પણ કાચના ગ્લાસમાં નહિ, માટીની કુલડીમાં પીતા. કમાલની વાત એ છે કે જીનને ગુલાબજળ સાથે મિશ્રણ કરીને દિવસમાં ચાર વાર લેતા. કાશ્મીરી ગેટ પાસે એક દારૂની દુકાન હતી ત્યાંથી એ ખરીદતા હતા.
સલમાનને પ્રશ્નોની ઝડી વચ્ચે આ શેર સૂઝે છે:
समझ सके तो समझ ज़िंदगी की उलझन को
सवाल उतने नहीं है जवाब जितने हैं।એક રસપ્રદ કિસ્સો સાઈકોએનાલિસ્ટનો.
સલમાનના પિતા નિરીશ્વરવાદી હતા, જાવેદની જેમ, પણ નાના ધાર્મિક મુસલમાન હતા અને બાળકોને કહેતા કે આપણે મુસલમાન છીએ એટલે સુવરનું માંસ આપણાથી ન ખવાય. આનું પરિણામ એ આવ્યું કે કિશોર અવસ્થાની બળવાખોર માનસિકતાને કારણે સલમાન તો સુવરનુ માંસ ખાતા રહ્યા. આશ્ચર્યની વાત એ હતી કે જ્યારે પણ એ માંસ ખાય ત્યારે એવું લાગતું કે તે નાનાની કબર પરથી કૂદી જાય છે. એમને થોડી મૂંઝવણ થતી. પછી વિચાર્યું કે આ સારો માણસ હતો, મારા માટે પણ મદદરૂપ હતો, એ અહીં સૂતો છે તો હું એને કેમ મારવા નથી દેતો, શાંતિથી સૂવા નથી દેતો? એને શાંતિથી સૂવા દો એમ વિચારીને મેં પૉર્ક ખાવાનું છોડી દીધું અને એ મરણ પામ્યા, મને એના વિચાર આવતા બંધ થયા. પછી ઉમેરે છે, ભગવાનનો પાડ માનું છું કે એમણે મને શરાબ ન પીવાનું નહોતું કહ્યું.
એમના મામા ખ્યાતનામ શાયર અસરાર – ઉલ – હક મજાઝ નું મૃત્યુ ૪૪ ની ઉંમરે થયું, કોઈ દેખીતા કારણ વિના. એ સમય અને સંજોગોને જોતા વધુ રહસ્યમય હતું. રાતે દારૂ પીને સૂતા, સવારે મૃત્યુ પામ્યા હતા. સલમાનના મતે એમણે મૃત્યુ વહોરી લીધું હતું, એક રીતે એ આપઘાત જ હતો. ડિસેમ્બરની ઠંડી રાતે, અગાસીમાં ચિકનનો ઝભ્ભો અને પાયજામો પહેરીને આખી રાત, લગભગ ત્રણ વાગ્યા સુધી દારૂ પીતા રહ્યા! ” આ અકસ્માત નહિ આપઘાત હતો,” સલમાન કહે છે.
મજાઝ પરિવારમાં પુષ્કળ પ્રેમ પામ્યા હતા, દુઃખ દેખીતી રીતે કંઈ ન હતું છતાં એમની શાયરીમાં મૃત્યુનો પડછાયો દેખાયા કરતો. એમનો શેર જુઓ:
वक़्त की सई-ए-मुसलसल कारगर होती गई
ज़िंदगी लहज़ा-ब-लहज़ा मुख़्तसर होती गईसाँस के पर्दों में बजता ही रहा साज़-ए-हयात
मौत के क़दमों की आहट तेज़-तर होती गई*सई-ए-मुसलसल = લગાતાર પ્રયાસ
*लहज़ा-ब-लहज़ा = ક્ષણ ક્ષણ
*मुख़्तसर = ખુલાસો, સ્પષ્ટતા
ज़िंदगी साज़ दे रही है मुझे
सेहर-ओ-एजाज़ दे रही है मुझेऔर बहुत दूर आसमानों से
मौत आवाज़ दे रही है मुझे*सेहर-ओ-एजाज़ = કરિશ્મા અને ચમત્કાર
સલમાન શેરોનો વરસાદ વરસાવે છે:
छोड़ कर जिस को चले आए हैं बेरहमी से
हाय, उस शहरमे थे अपने ठिकाने क्या क्याकर के लोगों से वो एक शख्स बहाने क्या क्या
पूछता रहेगा मेरे बारे में जाने क्या क्याहम को उससे शिकवा क्या था अब तो ये भी याद नहीं है
कैसे उसने दिल तोड़ा अब तो ये भी याद नहीं हैआज तो उस की हर कमज़ोरी साफ दिखाई देती है
पहले उस में क्या देखा था अब तो ये भी याद नहीं हैउसको हम पहचान गए हैं, अंदर क्या है जान गए हैं
फिर भी धोखा क्यों खाया था अब तो ये भी याद नहीं હૈआज की रात कोई सच न कहो
आज बस वक्त को टल जाने दोભારત છોડીને એકાવન વર્ષ પહેલાં અમેરિકા ગયા એ બાબત તેઓ કહે છે કે શરૂઆતમાં એમ લાગતું કે ભારત વધારે સારું છે, અમેરિકા કરતાં. પછી એમ લાગ્યું કે અમેરિકા વધુ સારું છે. વર્ષો પછી હવે સમજાય છે કે બંનેના સારાં અને ખરાબ પાસાં છે.
” હું સો ટકા હિન્દુસ્તાની છું, અને હું સો ટકા અમેરિકન છું. હું અમુક રીતે હિન્દુ અમેરિકન છું, તો અમુક રીતે હું અમેરીકો ઇન્ડિયન છું અને અમુક રીતે બેમાંથી કંઈ નથી. હવે સમજાય છે કે માનવીની સમસ્યાઓ અને જરૂરતો સરખી છે, પણ ઉપાયો અને ઈચ્છાઓ અલગ છે.
इफ़्तिख़ार आरिफ़ ના શેર
तमाम ख़ाना-ब-दोशों में मुश्तरक है ये बात
सब अपने अपने घरों को पलट के देखते हैंએ સંદર્ભમાં ઇફ્તિખારનો જ શેર સલમાન કહે છે:
अज़ाब ये भी किसी और पर नहीं आया
कि एक उम्र चले और घर नहीं आयाએમનો બીજો શેર:
मिरे ख़ुदा मुझे इतना तो मो’तबर कर दे
मैं जिस मकान में रहता हूँ उस को घर कर देપોતાનો જ શેર કહે છે:
मेरे शहर में घर नहीं कोई मेरा
जहां घर है वहां का नहीं हूं।વયસ્ક વ્યક્તિઓ વચ્ચે બિનશરતી પ્રેમ જેવું કંઈ હોય શકે જ નહિ એમ સાઈકોએનાલિસ્ટ સલમાન અખ્તર કહે છે.
એકાવન વર્ષથી અમેરિકામાં વસતા સલમાન તેના મજબૂત સમર્થક છે. તેઓ માને છે કે મૂડીવાદના અનેક દૂષણો છે, તો તેના ફાયદાઓ પણ છે એનું ઉદાહરણ અમેરિકા છે. ઉચ્ચ કક્ષાના ચિત્રકારો, નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિકો અને સાહિત્યકારો અમેરિકામાં છે. એમનું સંશોધન અને સર્જનાત્મકતા ને કારણે અમેરિકા વિશ્વમાં મોખરે છે.
તબીબના કાર્ય વિશે તેઓ કહે છે કે કોઈ કહે કે મને માથું દુખે છે કે પેટમાં દુખે છે તો તેને કંઇક દવા આપવી પડે છે પણ ડોકટરનું કામ છે રોગના લક્ષણ નહિ, કારણ જાણવાનું. મને આ દુખાવામાં રસ નથી, એ દુખાવો શાને કારણે થાય છે એ જાણવામાં રસ છે. ડોકટરને પેથોલોજીમાં રસ હોવો જોઈએ, રોગના લક્ષણો નહિ.
આપણે ટેલિપથી વિશે સાંભળતા હોઇએ છીએ પણ વાસ્તવમાં એવું કંઈ હોઇ શકે એ અંગે શંકા રહે છે. સલમાનના મતે ટેલિપથી ખરેખર હોય છે.
ફ્રોઇડે કોઈ અજાણ્યા સ્ત્રોતને ટાંકીને કહ્યું છે કે પત્થર ફેંકવાની બદલે ગાળનો જે માણસે પ્રથમ ઉપયોગ કર્યો એ માનવસંસ્કૃતિનો સ્થાપક છે! જ્યારે ભાષા હતી જ નહિ ત્યારે પણ લોકો કોઈક રીતે સંવાદ તો કરતા જ હશે અને એ જે રીતે કરતા હતા એ અપની અંદર હશે જ. મારા ભાઈ સાથે મારે વાત નથી થઈ પણ અંદરથી અને સંકળાયેલા છીએ. અમને intuitively એક બીજા વિશે ખ્યાલ છે. એ ટેલીપથી છે.
“હું જ્યારે સારી ફિલ્મ જોઉં છું કે કવિતા વાંચું છું ત્યારે થોડા સમય માટે સાઇકોએનાલિસ્ટનો સંશયવાદ (skepticism) છોડી દઉં છું. શાયરી વધુ અક્કલથી લખાય તો શાયરી નથી રહેતી, તેમ જ વધુ અક્કલથી સાંભળવામાં આવે તો પણ શાયરી નથી રહેતી, એ વચ્ચેની જગ્યાએ છે.”
રુમી કહે છે, Listen to presences in poems. આનો અર્થ શું, આ કોને કહ્યું છે એનો અંદાજ લગાવવો પડે.
માણસનું અજબ છે, એ કંઈ પણ વિચારી શકે છે, એમાં કંઈ જ અશક્ય નથી. એક માણસ પાસે બિલાડી હતી, જેને એ ખૂબ ચાહતો હતો. એક વાર એને વિચાર આવ્યો કે બિલાડીને જમીનમાં દાટી અને માથું બહાર રાખીએ પછી લોન મોવર ફેરવીએ તો માથું કપાઈ જાય? એને એમ કર્યું અને માથું કપાઈ ગયું. આ બની ગયેલો બનાવ છે. એના પરથી માણસના મનનો તાગ લગાવવો મુશ્કેલ છે એનો ખ્યાલ આવે છે.
ઘણા લેખકો કે કવિઓ સવારના ત્રણ કે ચાર વાગે ઊઠીને લખે છે. એનું શું કારણ હોઈ શકે? સલમાન કહે છે એનો સંબંધ મગજના શરીરશાસ્ત્ર સાથે હોય શકે. સપનામાં સમસ્યા આવે પછી બીજું અને ત્રીજું સપનું આવે પછી એ સમસ્યા હલ થઇ જાય એવું બને. એટલે પછી તેને કવિતામાં વ્યક્ત કરવાનું સંચલનક્ષમ manageable થઈ જાય. સલમાન ઉદાહરણ આપે છે. હિન્દુસ્તાનના ભાગલા વખતે એ ભયાનક ઘટના વિશે ઘણું લખાયું, પછી લગભગ પચાસ વર્ષ સુધી એ વિષય પાછળ ધકેલાઈ ગયો. પચાસ વરસે ફરી એન વિશે લખ્યું, ફિલ્મો બની. લોકોને એ પચાસ વર્ષનો સમય વધુ મજબૂત બનવા, દુઃખ ઓછું થવા માટે જરૂરી હતો; વધારે પડતું દુઃખ હોય ત્યારે શાયરી ન થઈ શકે, દુઃખ થોડું manageable થવું જોઈએ.
ઉપરાંત, દરેક માટે અલગ બાબતો પણ ભાગ ભજવતી હોય છે. મારી મા નું મૃત્યુ ત્રણ વાગ્યે થયું હતું તેથી મારા માટે એ સમયનું મહત્વ છે. આવી ideosyncratic બાબત પણ હોય છે.
સલમાન એમની રમૂજી શૈલી માં એક વાર્તા કહે છે ને સૂચવે છે કે પત્ની સાથે શોપિંગમાં ન જવું. પુરુષ ખરીદે છે, સ્ત્રી શૉપિંગ કરે છે. એક યુગલ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં વાઇન ગ્લાસ ખરીદવા જાય છે. પુરુષ જતાં વેંત પૂછે છે, વાઇન ગ્લાસ ક્યાં મળશે? જવાબ મળે છે, ચોથા માળ પર. પુરુષ જુએ છે કે એની પત્ની ક્યાંક અટકી છે, એ સ્વેટર જુએ છે. પુરુષ પૂછે છે, ડાર્લિંગ, સ્વેટર લેવું છે? સ્ત્રી કહે છે, ના ના, અમસ્તું જોઉં છું. પુરુષ ગ્લાસ લઈને કહે છે, હવે ઘરે જઈએ, હું થાકી ગયો છું. એ દરમ્યાન પત્ની ઘડિયાળના વિભાગમાં રોકાય છે, માત્ર જોવા માટે. ગ્લાસ લઈને પાછાં ફરે છે. ત્રણ માસ પછી એક રવિવારે બપોરે કપૂર અંકલનો ફોન આવે છે કે મારો પુત્ર તમારાં શહેરમાંથી પસાર થાય છે તો તમને બે કલાક મળવા આવશે. પતિ વિચારે છે કે ઘરમાં કોઈ એવી વસ્તુ નથી જે એને ભેટ આપી શકાય પણ પત્ની મદદે આવે છે. “અરે, તે દિવસે સ્વેટર જોયેલા ને એ હું ફરીથી જઈને લઇ આવી હતી, એ એમને આપી દઈશું!” આ જ ફર્ક છે સ્ત્રી અને પુરુષમાં. અત્યારે ફેશન છે બંનેને સરખાં બતાવવાની. સલમાન કહે છે બધાં સમાન છે પણ અલગ પણ છે.
સલમાન એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે જેનાથી બે મહારથીઓની શક્તિ વિશે પણ આપણને કંઈક નવું જાણવા મળે છે.
એક વાર ફ્રેન્ડ્સ કોલોનીમાં એક શ્રીમંત મહિલાનાં ઘરમાં પચીસેક એવાં જ ફેન્સી લોકોની એક પ્રાઇવેટ બેઠક ગોઠવી હતી જેમાં મલ્લિકા – એ – ગઝલ બેગમ અખ્તર ગાઈ રહ્યાં હતાં. એ સમયે બેઠકમાં સલમાનના પિતા, ખ્યાતનામ ગઝલકાર જાં નિસાર અખ્તર પ્રવેશ્યા. તેઓ મુંબઈથી આવ્યા હતા. તેઓ શાંતિથી એક બાજુ બેસી ગયા. બેગમ અખ્તરે યજમાનને એક મધ્યાંતર (ઇન્ટર્વલ) પાડવાનું સૂચવ્યું, યજમાને કહ્યું, થોડી વાર પછી રાખીએ. બેગમ અખ્તરે ઇન્ટરવલ માટે આગ્રહ કર્યો. યજમાને મધ્યાંતર રાખી દીધો. બેગમ અખ્તરે એમને કાનમાં કહ્યું, મેં જાં નિસાર અખ્તરની કોઈ ગઝલ નથી ગાઈ. મારી આદત છે કે પહેલાં શાયરનું નામ લઈને પછી એમની ગઝલ ગાઉં. જો એમ નહિ કરું તો મારા અને એમના માટે મૂંઝવણભરી સ્થિતિ થશે. તમારા પાસે એમની ગઝલનું કોઈ પુસ્તક હોય તો તમે જઈને એ તમારા બેડરૂમમાં મૂકી આવો, હું ત્યાં જઈને એમની એક ગઝલના ત્રણ અંતરા વાંચીને ગાઈ લઈશ.
પેલી મહિલાએ જાં નિસાર અખ્તરને કહ્યું કે તમારાં પુસ્તકો મારી પાસે છે, એમાંથી કઇ ગઝલ હું પસંદ કરું? એમણે જવાબ આપ્યો કે બેગમને આટલો આત્મવિશ્વાસ હોય કે તે ગઝલ જોઈ, યાદ રાખી અને પછી એને ટ્યુંન કરીને ગઈ શકશે તો હું એના માટે અત્યારે જ નવી ગઝલ લખી આપીશ. એ નવી ગઝલના ચાર અંતરા યાદ રાખીને બેગમ અખ્તરે હાથમાં કાગળ રાખ્યા વગર ગાયા. એની સીડીમાં જાં નિસાર અખ્તરની આ એક જ ગઝલ તેમણે ગાઈ છે એ જોવા મળશે:
सुब्ह के दर्द को रातों की जलन को भूलें
किस के घर जाएँ कि इस वा’दा-शिकन को भूलेंહમણાં એક નવો પ્રયોગ રજૂ કરતું પુસ્તક એમણે બહાર પાડ્યું છે. એની ગઝલો મીર તકી મીરના માનમાં લખાયેલી છે. ગાલિબથી સો – દોઢ સો વર્ષ પહેલાં થઈ ગયેલ એ મહાન શાયરને સંબોધીને લખેલી, અથવા મીર વિશે કે એની શૈલિમાં એ લખાયેલી છે અને બધામાં મીરનું નામ આવે છે.
अश्कों से दामन भर लिया, लो फिर से तुमने मीरजी
घाटे का सौदा कर लिया, लो फिर से तुमने मीरजीचाल नई और धुन मतवाली सुनते मीर तो क्या क्या कहते
हिंदी फिल्मों की कव्वाली सुनते मीर तो क्या क्या कहतेरस्मे सताइस याद नहीं है, वाह नहीं है, दाद नहीं है
अच्छे शेर पे बजती ताली सुनते मीर तो क्या क्या कहते*सताइश = तारीफ़
સલમાન અખ્તરે એક પુસ્તક લખ્યું છે ‘ઘર કા ભેદી’, એમાં આ કિસ્સો અને પરિવારજનો વિશે પણ લખ્યું છે અને જાવેદ અખ્તર ઉપર તો એક આખું પ્રકરણ છે. એ પુસ્તક વિશે ભવિષ્યમાં ક્યારેક..
પિતા જાં નિસાર અખ્તર વિશે સલમાન એમ બોલી ગયા કે શાયર બહોત અચ્છે થે, અગર બાપ ભી ઉતને અચ્છે હોતે તો મજા હી આ જાતા. પિતાનો આ શેર એમણે કહ્યો:
न कोई ख्वाब, न कोई ख़लिश, न कोई खुमार
ये आदमी तो अधूरा दिखाई पड़ता है।એક વધુ વાંચવા જેવો એમનો શેર સલમાન રજૂ કરે છે:
अब ये नेकी भी हमें जुर्म नज़र आती है
सब के ऐबो को छुपाया है बहुत दिन हमने।અંતમાં એમની યુવાન મિત્રોને સલાહ સાંભળીએ.
વિશ્વાસ (faith) હોવો જોઈએ. Faith એટલે ધર્મ નહિ, બલ્કે ધર્મ તો faith ની વિરુદ્ધ છે. Faith હોવી જોઇએ કે જો સમય આપો, મહેનત કરો અને રાહ જુઓ તો સારું જ પરિણામ આવશે.
અમેરિકાના ધનિકોમાં આઠ કે દસમું સ્થાન ધરાવતા માર્ક ક્યુબન કહે છે કે જે આ છ શબ્દો હૃદયપૂર્વક બોલી શકે એ જરૂર મોટો માણસ બની શકે છે:
I will do whatever it takes.
કંઈ પણ થાય, હું આ કરીશ.
****
સલમાન ઉવાચ :
હિન્દુસ્તાનમાં ઉર્દૂનું એ સ્થાન છે જે બિમલ રોયની ફિલ્મોમાં સુજાતાનું છે.
શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૭૯. બહાર અજમેરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર બહાર અજમેરી વિષે ( પણ ) ખાસ ઔપચારિક માહિતી ઉપલબ્ધ નથી. હવે પછીના લગભગ દરેક શાયર માટે આ લખનારને રાજેંદ્ર શુક્લનો આ શેર યાદ આવે છે :
આખરી અઘરાં ચઢાણો મૌનનાં
શબ્દ જેવો શબ્દ પણ સંકટ બને..અહીં જે ફિલ્મની ગઝલ આપી છે એ ૧૯૫૧ ની ફિલ્મ ‘ દામાદ ‘ ની કથા – પટકથા એમણે લખેલી. એ ફિલ્મ ઉપરાંત ડોલતી નૈયા ( ૧૯૫૦ ), જાસૂસ ( ૧૯૫૫ ) અને બ્લેકમેઈલર ( ૧૯૫૯ ) એ ફિલ્મોમાં કુલ તેર ગીત લખ્યાં. એમાં આ બે ગઝલોનો પણ સમાવેશ થાય છે :
ચુપકે ચુપકે હાએ હમ પર થા રહા હૈ આજ કૌન
દિલ કો યે બેચૈનિયાં દિખલા રહા હૈ આજ કૌનનીચી નઝરોં સે હમારે છીન કર હોશો હવાસ
સામને યું બૈઠ કર શરમા રહા હૈ આજ કૌનદિલ કે તારોં કો મેરે તીરે નઝર સે છેડ કર
ઈસ કદર બેચેન નગમા ગા રહા હૈ આજ કૌનમુસ્કુરા ઉઠીં ઉમીદેં ભી સિતારોં કી તરહ
ચાંદની રાતોં મેં યાદ આ રહા હૈ આજ કૌન..– ફિલ્મ : ડોલતી નૈયા ૧૯૫૦
– પ્રેમલતા
– રામપ્રસાદઝાલિમ યે ઝમાને વાલે
ઈસ દિલ કા તડપના ક્યા જાનેજબ દર્દ ઉઠે દિલ મેં તો આંસૂ ન બહાના
રોએગી તો હંસ દેગા યે બેદર્દ ઝમાનાદુનિયા મેં તેરા કોઈ ભી હમદર્દ નહીં હૈ
ટૂટા હુઆ દિલ અપના કિસી કો ન દિખાનાતકદીર ને અરમાનોં મેં વો આગ લગાઈ
મુશ્કિલ હૈ જિસે ઐ દિલે નાશાદ બુઝાના..– ફિલ્મ : દામાદ ૧૯૫૧
– વિશની લાલ
– ઈંદ્રવદન ભટ્ટ, રામ પંજવાણી, શ્યામલ( કાફિયો જ રદીફ હોય એવી આ પ્રકારની ગઝલોને હમકાફિયા – હમરદીફ ગઝલ કહે છે.
પહેલી બન્ને પંક્તિઓ ગીતની સાખી છે જે મૂળ ગઝલથી સ્વતંત્ર છે. )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
અણધાર્યાં ઊતરાણ
નીતિન વ્યાસ
ભાવનગરની “યંગ ક્લબ” થી વેબગુર્જરીનાં વાચકો અજાણ નથી. ૧૯૫૦ ના વર્ષ માં પૃથ્વીરાજ કપૂર તેની નાટ્ય મંડળી સાથે ભવનગર આવેલા. ત્યારે તેમની મંડળી ને પોતાનાં નાટકો બતાવવાની પહેલ આ ગ્રુપ નાં મિત્રો એ કરેલી. તે અંગ નો એક વિસ્તૃત લેખ ત્રણેક વર્ષ પહેલા વેબગુર્જરી ની વેબસાઈટ પર પ્રગટ થયેલો.
નિજાનંદ માટે કઈ નવું કરવાની આ ગ્રુપની ધગશ જોરદાર હતી. પોતાની હાથે સ્ક્રીપટ તૈયાર કરી આજુબાજુ થી મળતા સાધનો ભેગા કરી નાટક ભજવવું,. અને તે પણ ટિકિટ વિના. નાટક પૂરું થાત ખાલી ઘોષણાં કરે કે આ નાટક ની ભજવણી પાછળ અમારો ખર્ચ રૂપિયા ૩૦૦ થયો છે. આપને ગમ્યું હોય તો તમને મન ફાવે તે રકમ અમારા સ્વયંસેવકો ને પહોંચાડશો. અને સાહેબ, એ સમય નું ભાવનગર નું ઓડિયન્સ એટલી રકમ ભેગી કરી આપે.
ભાવનગર માટે યંગક્લબ એક સાંસ્કૃતિક અને સામાજીક ઘટના હતી. આ બાબતે ઘણું લખાયું છે. પ્રસ્તુત લેખ એક નાટકની તૈયારી બાબતનો છે.

“અણધાર્યાં ઊતરાણ” એક નાટક ભજવવાની ધગશ
રચયિતા – શ્રી બાબુભાઇ વ્યાસ, શ્રી શશીકાંત પટ્ટણી
૧૧, ૧૨, ૧૩, ડીસેમ્બર, ૧૯૫૨માં યંગકલબે ભજવ્યું.
સ્થળઃ એ.વી. સ્કૂલ નો મધ્યસ્થ ખંડ, ભાવનગર
આ નાટક વિષે થોડું:
સાત દાયકા પહેલા આ નાટક યંગ ક્લબ નામની શોખ થઇ નાટક કરતા મિત્રોની સંસ્થાએ ભાવનગરમાં ભજવાયું.
યંગ ક્લબનો એક અભિગમ એવો રહ્યો કે નાટકમાં નાટ્યતત્ત્વ સાથે ટેકનીક ની દૃષ્ટિએ કંઈક નવું હોય તેવું પ્રેક્ષકોને આપવું. સીનેમા, અંગ્રેજી નાટકો, વિવિધ ભાષામાં લખાયેલી વાર્તાઓ કે જીવન નાં અનુભવો વગેરે માંથી પસંદ કરી તેનું નાટ્ય રૂપાંતર કરી રજુ કરવું યંગ ક્લબ માટે આ એક પ્રણાલી હતી.
શ્રી શશીભાઈ પટ્ટણી તે સમયે અમેરીકાથી અભ્યાસ પૂરો કરીને પાછા આવેલા. તેમણે ત્યાં ‘ફાઈવ કેમ બેક’ નામની એક ફિલ્મ જોયેલી. ફિલ્મ ને કંઈ એવોર્ડ્સ નહોતા મળ્યા કે ન તો એક ક્લાસિકલ કહી શકાય એવું કઈ તેમાં હતું. તેની વાર્તા માં રહેલું નાટ્યતત્ત્વ પ્રસંશનીય હતું. તેની વાર્તા શશીભાઈ ને રજેરજ યાદ રહી ગયેલી.
સાહિત્ય, કલા, સંગીત, રખડપટ્ટી, પ્રાકૃતિ પ્રેમ, સીનેમા, રમત-ગમત, વગેરે વિષયો બંને એટલેકે શશીભાઈ અને બાબુભાઇ શોખ એક સરખા હતા. બટાકા પૌવા સાથે ચા બંને નો ગમતો નાસ્તો.
શશીભાઈએ બાબુભાઈને ‘ફાઈવ કેમ બેક’ ની વાર્તા કહી. આમાંથી ‘અણધાર્યાં ઊતરાણ’ લખવાનો પ્રારંભ થયો. પહેલાં તો બંનેએ ભેગા થઈ સીન બાઈ સીન આખું માળખું તૈયાર કર્યું. તે પ્રમાણે જુદા જુદા પાત્રો ઘડાયાં.
તે સમયનાં એરક્રાફ્ટનો વિચાર કરીએ તો જેટ કક્ષાનાં વિમાન હજી નાગરિક ઉડ્ડયન માટે ઉપયોગ માં નહોતા લેવાતાં. પ્રોપેલરવાળાં નાના વિમાનો ટૂંકી ઉડાનથી એક દેશથી બીજા દેશ જતાં. લગેજ ચેક, સિક્યુરિટી ચેક, બોર્ડીંગપાસ અને ઈમીગ્રેશન સીસ્ટમ વગેરે હજી અમલમાં આવ્યાં હોય તો પણ નાટક જે વાત કહેવાની છે તેમાં તે બધા નો ઉલ્લેખ નાટ્યકરોને જરૂરી નહીં લાગ્યો હોય એટલે અહીં તેનો સમાવેશ કર્યો નથી.
નાટક લખાયા મોટી ચેલેંજ તેને સ્ટેજ ઉપર કેમ અસરકારક રીતે રજુ કરવું તે હતું. ધ્વનિ અને પ્રકાશ નિયોજન નાં કેવાં સાધનો જરૂરી છે અને ક્યાંથી મેળવી શકાય આ બધા માટે યંગ ક્લબ ની પુરી ટીમ કામે વળગી. તે સમયમાં ટેપ રેકોર્ડર કે સ્ટીરીઓ પ્લેયર હતાં નહીં. અને તે પણ ભાવનગરમાં કોની પાસે હોય?
ઘણી બધી લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટસ વિષે વિચારી, યોગ્ય યોજના મુજબ ગોતી અને ભેગી કરવાનો, એરોપ્લેનનાં વિવિધ અવાજો, જંગલનાં પ્રાણીઓ-પક્ષીના અવાજો, એરોડ્રોમ નાં કંટ્રોલરૂમનાં વાર્તાલાપ, રેડીયો એનાઉન્સમેન્ટ,– દરેક દૃશ્ય ને અનુરૂપ પ્રકાશ નિયોજન વગેરે બધું જ પ્રેક્ષકો કન્વીન્સ થાય તેવું તખ્તા પર રજુ કરવું તે એક અત્યંત રસપ્રદ ચેલેન્જ હતી. આ બધાં કાર્યો માટે યંગકલબનાં સભ્યો અને મિત્રોની જુદી જુદી ટીમો તૈયાર કરવામાં આવી. દરેકમાં કંઈ નવું કરવાના ઉત્સાહ અને ઉત્કૃષ્ટ સંઘબળે ઉત્તમ કાર્ય કર્યું. પણ કોઈ કાર્ય નાનુસુનું ન હતું.
સ્ટેજ ઉપર જંગલમાં રાત્રીનું દ્રશ્ય, વચ્ચે તાપણું છે, તેની પાસે બે પાત્રો બેસીને વાતચીત કરેછે, આઠમની ચાંદની જેવો પ્રકાશ પર છે. તમરાં અને ક્યારેક નિશાચર પ્રણીઓનાં અવાજ સંભળાય છે. ક્યારેક ઘૂવડ નો અવાજ સંભળાય છે. આ ઘૂવડ ના અવાજ માટે ભાવનગરમાં રહેતા પક્ષીવિશારદઃ શ્રી પ્રદ્યુમનભાઈ દવે ને ખાસ આમંત્રણ આપી બોલાવેલા. અને પછી એવું જોરદાર વાતાવરણ રચાયું કે એ દ્રશ્યને પ્રેક્ષકોએ તાળીઓથી વધાવ્યું હતું.
એરોપ્લેન ટેઈકઑફ. ઉડાન, હવામાન ની અસર ને લીધે ઝટકા લાગવા,, એક બાજુનાં એન્જીનમાં ગડબડ, ક્રેશ લેન્ડીંગ વગેરે ની સાઉન્ડ ઈફેક્ટસ – આ બધું કેમ ભેગું કરવું? એક વસ્તુ આખી ટીમ નાં મનમાં એ હતી કે ગમે તેવી મહેનત કરી આ નાટક તો ભજવવું જ. અને તે પણ એક રૂપિયાના બજેટ વિના.
સાલ ૧૯૪૮માં મુંબઈમાં ચર્ચગેટ પાસે USIS Library શરુ થઇ.
સાઉન્ડ ઈફેક્ટસ, માટે શોધ કરતાં મુંબઈની યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્ફોરમેશન સર્વિસ U.S.I.S.ની લાયબ્રેરીએ ઘણીજ નોંધપાત્ર મદદ કરી. મુખ્યતઃ સ્કાઉટીંગની પ્રવૃત્તિ કરતી ‘પંચવટી’ નામની સંસ્થામાંથી ‘યંગ ક્લબ’ની રચના થઈ. નાટકો તૈયાર કરી વિના મૂલ્યે પ્રેક્ષકો પાસે રજુ કરતી સંસ્થાને U.S.I.S.ના અધિકારીઓએ પૂરેપૂરી મદદ કરવા તૈયારી બતાવી. શશીભાઈનાં લઘુબંધુ જયકાન્તભાઈએ આ જવાબદારી સ્વીકારી, U.S.I.S. ની રેકોર્ડ – લાયબ્રેરીમાં નાટકના વસ્તુને અનુરૂપ અનેક રેકોર્ડ સાંભળી તેમાંથી વીસેક જેટલી પસંદ કરી. U.S.I.S.એ વિનામુલ્યે કંઈ પણ ડીપોઝીટ વિના એ રેકોર્ડો આપી.
તખ્તા ઉપર નાટકનો બીજો પ્રવેશ જંગલમાં ભજવાય છે.
પડદો ખુલતાં જંગલ – આખાએ રંગમંચને સમાવી લેતું દ્રશ્ય નજરે પડેછે. છે આ સેટ ઉભોકરવામાં ખુબ જહેમત ઉઠાવેલી. આગળ લીલીટરી, સૂકાં પાંદડા અને વેરવીકેર પડેલા કરગઠીયા સાથે બે ત્રણ ઝાડ અને પાછળ જંગલ અને પર્વતો. આ સેટ તૈયાર કરવામાટે લગભગ 30 ફૂટ ઊંચી અને 50 ફૂટ જેટલી પહોળી એ. વી. સ્કૂલ નાં હોલનાં હોલમાં સ્ટેજ પાછળની દીવાલ આખી ઢાંકી દેતા કેનવાસનો પડદો તૈય્યાર કરેલો. કદાચ ભાવનગરમાં તે સમયનું સહુ થી મોટું પેઇન્ટિંગ હશે.
સંતોષની વાત તો એ હતી કે પડતો ખુલતા અને સ્ટેજ પાર પ્રક્ષ ફેલાતાં પૂરો હૉલ પ્રેક્ષકોની તાળીઓથી ગુંજી હતો.
દિવસનું અજવાળું, રાત્રિની અણધાર્યાં ઊતરાણ ચાંદની, તાપણાનો પ્રકાશ વગેરે માટે વિવિધ લાઈટ અને સાઉન્ડ ઈફેક્ટની ઉભી કરી. એરોપ્લેન રનવે ઉપરથી દોડી હવામાં ઊંચે ઊડે અને પછી સારાયે પ્રેક્ષકગૃહ ઉપર થઈ રવાના થાય આવી ઈફેક્ટ રજુ કરવા માટે એ.વી.સ્કુલના હોલનાં છત પાસે તથા આજુબાજુની દિવાલો અને સ્ટેજની પાછળનાં ભાગમાં માઈક્રોફોન્સ ગોઠવ્યાં. જુદાં જુદાં એમ્પ્લીફાયરો અને રેકોર્ડ પ્લેયરો દ્વારા બધીજ ઈફેક્ટસ બરાબર ઊભી થઈ શકી. માણેકશા ઉમરીગરે પંખાનાં રેગ્યુલેટરમાં વાયર જોડી ડીમર બનાવેલું. બિપિન વૈદ્ય, જીતુભાઈ અંધારીયા, કાન્તિભાઈ ભટ્ટ, કાનજીભાઈ, માણેકશા વગેરેની ટીમે આ કાર્ય પાર પાડેલું. સાઉન્ડ ઈફેક્ટસનું કોઓર્ડિનેશન શશીભાઈ પટ્ટણીએ કરેલું. જંગલનાં દૃશ્ય માટે, સ્ટેજ પાછળથી પૂરી દીવાલ ઢંકાય તેવો મોટો પડદો ખ્યાતનામ ચિત્રકાર શ્રી વનરાજભાઈ માળીએ ચીતરી આપેલો. ઝાડવાં,ઠૂંઠાં, છોડવા, પથરા, તૂટેલું થડીયું વગેરે ચીજ વસ્તુઓ ભેગી કરી જંગલનું દૃશ્ય આબેહૂબ તે વખતનાં પંચવટીનાં સ્કાઉટોએ તૈયાર કરેલું તેમાં પશુ પંખીનાં અવાજોએ ધારી ઈફેક્ટ ઊભી કરેલી. એવો જ મોટો ફાળો સમયસર રેડીયો એનાઉન્સમેન્ટ, વાર્તાકારનો સાથ, અને છેવટના ભાગના ડ્રમ વાગવાના અવાજોમાં ચિનુભાઈ જોશી, જગદીપભાઈ વિરાણી અને તેમની ટીમે કાર્ય કરેલું. નાટ્યતત્ત્વ બરાબર જળવાઈ રહે, અસરકારક સંવાદો, હાવભાવ, ટાઈમીંગ વગેરે માટે દરેક કલાકારે કરેલી મહેનત પણ ઘણી નોંધપાત્ર રહી. સંખ્યાબંધ રિહર્સલ્સ અને લાઈટ સાઉન્ડ ઈફેક્ટસ સાથે સ્ટેજ ઉપર અસરકારક રજુઆત બાબુભાઈ વ્યાસના દિગ્દર્શન હેઠળ થયેલી. નાટકની હસ્તલિખિત પ્રતો જીતુભાઈ અંધારીયા, વિનુભાઈ શાહ, અને બકુલ લા. ભટ્ટે તૈયાર કરેલી. સંવાદો શ્રી શશીભાઈ પટ્ટણી અને બાબુભાઈ વ્યાસે લખ્યા છે. આ નાટક લખવાની શરૂઆત સ્વ.શ્રી મુકુંદરાય શિવપ્રસાદ ભટ્ટ ના નિવાસસ્થાન ‘જીવન કોટેજ’ માં થયેલી.
ક્રાન્તિકારીના પાત્રમાં એક નોંધ લેવા જેવી બિના એ છે કે સન ૧૯૫૨ના સમયમાં ‘નક્ષલવાદી’ કે ‘આતંકવાદી’ શબ્દો પ્રચલિત ન હતા. પર્યાય હતો ‘વિપ્લવવાદી’. પણ ‘ક્રાંતિકારી’ લેખકોને યોગ્ય લાગેલો. આમ સુંદર આયોજન સાથે ઉત્કૃષ્ટ ટીમવર્ક અને દિગ્દર્શકની સરસ માવજતથી ૧૯૫૨માં ભજવાયેલ આ નાટક હજી પણ યંગ કલબનાં માનવંતા પ્રેક્ષકો યાદ કરે છે.
નાટક “અણધાર્યાં ઊતરાણ”
ભાગ લેનાર કલાકારો
પ્રોફેસર ઃ શ્રી કુમાર ભટ્ટ
સરોજબેન: કુ. હંસા શેઠ
શેઠ પૂનમચંદઃ શ્રી નરહરિ ભટ્ટ
સુમિત્રા (સેક્રેટરી): કુ. સુરેખા ત્રીવેદી
ચીફ પાયલોટ / કેપ્ટન : શ્રી જયકાંત પટ્ટણી
સેકન્ડ પાયલોટ / શેખર: શ્રી રસિક દવે
ચરણદાસ: શ્રી રજનીકાંત મહેતા
સરદાર: શ્રી ભુપતભાઇ વ્યાસ
મંજુ : કુ. પારસ અ. ભટ્ટ
કાન્તિકારી: શ્રી કાન્તિ ભટ્ટ
પોલીસ: શ્રી સુમન ભટ્ટ
પોલીસ ઓફિસરઃ શ્રી મુકુન્દભાઈ ભટ્ટ
એરોડ્રોમ ઓફિસરઃ શ્રી રાય – શ્રી હરિભાઈ ચૌહાણ
એરોડ્રોમ ઓફિસરઃ શ્રી મનુભાઈ: શ્રી મનુભાઈ શેઠ
બુકિંગ ક્લાર્ક: શ્રી માર્કંડ જોષી
રેડિયો ઓપરેટર: શ્રી ચંદ્રકાન્ત શેઠ
રિપોર્ટર (૧) : શ્રી એરેચશા ઉમરીગર
રિપોર્ટર (૨) : શ્રી રણજીત ત્રિવેદી
સંપર્કઃ
નીતિન વ્યાસ: ndvyas2@gmail.com
-
એસ ધમ્મો સનંતનો – વિશ્વની રચના અને પંચદેવોનું મહાત્મ્ય : : જગતનો આત્માઃ સૂર્ય દેવતા
પ્રવાસી યુ. ધોળકિયા
સૂર્યના દેવતા – ઈશ્વર – ની પૂજા છેક આદિમકાળથી થતી આવી છે. તેથી જ આદિ માનવે તેમને ભીંત – ગૂફા ચિત્રોમાં અને સંસ્કૃત માનવે ઉતુ, શમાશ, ઈન્તિ, વીરાકોચા, મિથ્રાસ અને એમેન – રે જેવાં ભિન્ન ભિન્ન નામોથી તેમની પૂજા કરી છે. દક્ષિણ અમેરિકાના ઈન્કા લોકોમાં ભારતના ચાર યુગો જેવી પરંપરા છે. દરેક યુગનો અંત જૂના સૂર્યના વિનાશથી થાય છે. અત્યારે પાંચમા સૂર્યનો યુગ ચાલી રહ્યો છે. ઈરાનના મગલોકો પ્રખર સૂર્યપૂજકો હતા.

ભારતમાં સૂર્યને પંચમદેવનું સ્થાન મળેલ છે. ઋગ્વેદ એક જ વાક્યમાં સૂર્યની સર્વોચ્ચતા સ્થાપતાં કહે છે કે, सूर्य आत्मा जगतस्तस्थुषश्च. ઋગ્વેદમાં સૂર્યના જનક તરીકે ઈન્દ્ર, વિષ્ણુ, સોમ અને પુરુષનાં નામ આવે છે. પુરાણો પ્રમાણે સૂર્યનાં માતા અદિતિ અને પિતા કશ્યપ છે. સૂર્યના શ્વસુર વિશ્વકર્મા અને પત્નીઓ ઉષા, સંજ્ઞા (રાજ્ઞી), નિક્ષુભા અને સુવર્ચલા છે. મનુ, યમ, સાવર્ણી, શનિ, તપતી અને અશ્વિની સૂર્યના પુત્રો છે. દંડનાયક અને પિંગળ સૂર્યના મુખ્ય અનુચરો છે.
સૂર્ય શબ્દ सू અથવા તો सृ માંથી આવ્યો છે. તેનો અર્થ અંતરીક્ષમાં નિરંતર ગતિશીલ એવો થાય છે. इर તરીકે તે સર્વપ્રેરક અને શોભનીય છે. સવિતા સ્વરૂપે સૂર્ય વિશ્વની ચેતના અને પ્રેરણાનું કારણ છે.
ભારતીય ગ્રંથોમાં સૂર્યના ૧૦૮થી વધારે નામો ગણાવાયાં છે. ઈન્દ્ર, મિત્ર, વરુણ, દિવ્ય, સુપર્ણ, ગુરુત્માન, પૂષા, ભગ, અર્યમાન, અજ, એડપાદ, વિશ્વનર, આદિત્ય, મિહિર, દિવાકર, ભાનુ અને રવિ વગેરે જાણીતાં નામો છે.
સૂર્ય પ્રત્યક્ષ દેવતા છે. તે સર્વવ્યાપી છે. જ્યોતિઓમાં તે સૌથી વધારે પ્રકાશમાન છે. તેથી, સૂર્યગીતા કહે છે કે सर्वेषां ज्योतिषां ज्योति प्रकाशन प्रकाशक છે. તે સાચા અર્થમાં હિરણ્યમાન છે. સૂર્ય અંધકારનાશક અને કામના ફળદાયક છે. તેમની કરૂણામયી દૃષ્ટિ સર્વ માટે છે. તે દયાનંદ છે. સજીવ સૃષ્ટિને જળરૂપ વૃષ્ટિ આપીને તેને ટકાવે છે. સૂર્ય રસપ્રદાતા છે. વિશ્વની તે આંખ – સર્વદૃષ્ટા – છે. તે લોકનાયક છે. સૂર્ય સર્વ ભૂતોમાં વ્યાપ્ત, ઈષ્ટપ્રદાતા, અનિષ્ટ નિવારક, દુઃખ દારિદ્ર્ય દૂર કરનાર છે. તે આપણા રક્ષક અને રોગ, વિષ નિવારક છે. સૂર્ય જીવમાત્રને બળ, ઓજ અને તેજથી વિભૂષિત કરે છે. સૂર્ય વિના જીવસૃષ્ટિ સમેટાઈ જાત.
બ્રહ્માના ચાર યુગ અને મનવન્તરોના નિયંત્રક સૂર્ય છે. સૂર્ય કાળચક્ર છે, તેના પ્રતાપે જ દિવસ, રાત, માસ, ઋતુ પરિવર્તન અને સંવત્સર શક્ય બને છે. તે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળરૂપ ત્રણ નેમિવાળો છે. વેદમાં છ ઋતુ, ૧૨ મહિના અને ૧૨ રાશિઓના સંદર્ભમાં સૂર્યને છ અથવા તો બાર આરાવાળા અજર ચક્ર તરીકે ઓળખાવાયેલ છે. સૂર્યના સાત મુખ્ય કિરણો છે. તેથી આપણા પ્રાચીન ગ્રંથો સૂર્યને સાત અશ્વવાળા રથ પર આરૂઢ દર્શાવે છે. સૂર્યનાં આ સાત કિરણો – સાત છંદમાંથી ગાયત્રી છંદ મુખ્ય છે. આ છંદો વડે જીવસૃષ્ટિનું સંચાલન થઈ રહ્યું છે. આપણા ઋષિમુનિઓએ ॐ भूर्भुव: स्व: એવા ગાયત્રી મહામંત્રથી આપણા કર્મ અને ધર્મના દરેક કાર્યમાં સુબુદ્ધિ પ્રેરિત કરતી રહે તેવી મહાપ્રાર્થના દરેક માનવના કલ્યાણ અર્થે રચી છે. ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ અને શંકરનું સૂર્ય એકીકૃત સાકાર રૂપ છે. પરબ્રહ્મનું સગુણરૂપ તેના પ્રત્યક્ષ દેવતા રૂપે અને નિર્ગુણ રૂપ સૂર્યના આત્મત્વમાં પ્રગટ્યું છે.
સૂર્યનું નાદ સ્વરૂપ ૐકાર છે અને મંગળ, કલ્યાણકારી ચિહ્ન સ્વસ્તિક છે. ભારતનો ચત્તો સ્વસ્તિક અને દક્ષિણ અમેરિકાનો ઉલટો સ્વસ્તિક સૂર્યના વાર્ષિક પથને પૃથ્વીના વિવિધ ગોળાર્ધમાંથી નિહાળવાને કારણે છે.

યજ્ઞનો પ્રેરક સૂર્ય છે. પૃથ્વીને તે ગન્ધર્વ તરીકે ધારણ કરે છે. નવ ગ્રહોમાં સૂર્ય અધિનાયક છે. તેમનાં કર્મનો મોક્ષ ન થાય ત્યાં સુધી માનવોને ફળ આપતો રહે છે. સર્વ વેદોનું જ્ઞાન સૂર્યને આભારી છે.
સૂર્યની મહાનતા એટલી છે કે પદ્મપુરાણ પ્રમાણે તે પ્રારંભમાં તેના વર્તમાન કદ કરતાં સોળ ગણો મોટો અને તેજ અને અગ્નિત્વમાં હજાર ગણો વધારે હતો. આપણા કલ્યાણ અર્થે વિશ્વકર્મા પાસે તેણે પોતાના પંદર ભાગો દૂર કરાવડાવ્યા અને વર્તમાન માર્તંડ સ્વરૂપ સ્વીકાર્યું. આ પંદર ભાગોમાંથી વિશ્વને વિષ્ણુનું સુદર્શન ચક્ર, શિવજીનું ત્રિશૂળ, યમનો દંડ, કાળનો ખડગ અને ચંડિકા – કાલિનાં શસ્ત્રોની ભેટ મળી. સૂર્યની આવી મહાનતા જોઈને બ્રહ્માએ તેને ‘સ્તુતરૂપ’ પૂજનીય ગણાવ્યો.
ભગવાન શ્રી રામે રાવણવધ પહેલાં સનાતન ગુહ્ય સૂર્યસ્તોત્રનું પારાયણ કર્યું હતું. કુમાર લવને બાણ અને કર્ણને કવચ-કુંડળ સૂર્ય પાસેથી પ્રાપ્ત થયાં હતાં. વનવાસ દરમ્યાન ધૌમ્ય ઋષિની પ્રેરણાથી યુધિષ્ઠિરે સૂર્યપૂજા કરી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પુત્ર સામ્બ મહાસૂર્ય ઉપાસક હતા. મુલતાન અને કોણાર્કનાં સૂર્યમંદિરોની સ્થાપના સામ્બે કરી હતી. ગુજરાતના મોઢેરા અને ખજુરાહોનાં સૂર્યંમંદિરો પણ એટલાં જ ભવ્ય છે. ભારતના રાજપૂત રાજવી શાસકો પણ સૂર્ય ઉપાસકો હતા. પુરાણોએ સૂર્યની પૂજાવિધિમૂર્તિ વિધાન અને મંદિરોની સ્થાપના અંગે સુંદર વિશ્લેષણ કરેલ છે.
ડેવિડ ફ્રાઉલે નામના વેદ નિષ્ણાતે સૂર્યપૂજાનું આધ્યાત્મિક રહસ્ય સુંદર રીતે સમજાવતાં કહ્યું છે કે વેદના ઋષિઓનું ધ્યેય પુરુષ સુધીમાં વર્ણિત પરમ પુરુષનાં પદને પહોંચવાનું છે. આ પરમ પુરુષનાં સાત ચરણ છે. વૈશ્વિક સ્તરે અને વ્યક્તિના સંદર્ભમાં પુરાણો તેને નીચે પ્રમાણે વર્ણવે છે.
વિશ્વસ્તર વ્યક્તિસ્તર ૧. ભુરલોક ૧. સ્થુળ શરીર – અન્નમય કોષ (Being) ૨. ભુર્વલોક ૨. પ્રાણમય શરીર (Becoming) ૩. સુર્વલોક ૩. મનોમય કોષ ૫. મહરલોક (સૂર્યલોક) ૪. વિજ્ઞાનમય કોષ – અતિમાનવસ્તર (સૂર્યરૂપ આત્મા) ૫. જ્ઞાનલોક ૫. દેવપુત્ર (ક્રાઇસ્ટ), આનંદમય કોષ ૬. તપલોક ૬. ચિત્ત ૭. સત્યલોક ૭. સત્ત માનવે યોગ દ્વારા જો સ્થૂળ શરીરથી સત્ત, ચિત્ત, આનંદ સ્વરૂપ પામવું હોય તો તેનાં ચોથાં ચરણ આત્મસૂર્યને પહેલાં પામવું પડે, તેથી જ વેદ કહે છે કે સૂર્યમાં રહેલો આત્મા તે હું જ છું. આ રીતે વેદમાં સૂર્યયોગનું પ્રાધાન્ય છે. સૂર્યયોગમાં જ્ઞાન – ભક્તિ -કર્મ અને કુડલિની યોગનાં મૂળ છે. ઉપનિષદ સતત પ્રાર્થે છે કે અમને અંધકારમાંથી પ્રકાશમાં લઈ જાઓ.
આપણી સૂર્ય પરંપરા આજે એટલી જ જીવંત છે. એટલે જ પ્હો ફાટતાં જ ભારતનાં લગભગ તમામ નગરો અને ગામડાંઓમાં લોકોને સૂર્યને જળની અંજલિ આપતાં નિહાળી શકાય છે. ત્રિસંધ્યા પણ સૂર્યની સાધના છે. ઉત્તરાયણમાં સૂર્યસ્નાન અને પતંગ પર્વ એ પણ નવા સૂર્યનાં સ્વાગતનાં પ્રતીક છે.
માવ જીવનની વિટંબણાઓને અતિક્રમવા માટે સૂર્યની આદિત્ય હૃદય સ્તોત્ર[1] અને સૂર્યોપનિષદ[2] પ્રાર્થનાઓ તરીકે બહુ જ અસરકારક ગણાય છે.
આપણે ભગવાન શ્રી કૃષ્ણની સૂર્યપૂજા – હે સૂર્યદેવ ! ભૂત તમારા જેવું કોઈ મહાન હતું નહીં અને ભવિષ્યમાં થશે પણ નહીં. વેદો પણ તમારી પરમાત્મા તરીકે સ્તુતિ કરી છેઃ
तस्मादत परं नास्ति न भूतं न भविष्यति।
यो व वेदेषु सर्वेषु परमात्मते गीयते॥
હવે પછીના મણકામાં આપણે ‘શ્રી ગણપતિ કથા’ ની વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પાડી એણે ચીસ ‘બચાવો પાણી’, લોક સૌ વિચારતું કે પાગલ છે શું?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પીવાનું પાણી, તેનો વિવેકપૂર્ણ ઊપયોગ, જળપ્રદૂષણ, જળસંચય વગેરે જેવા પાણી સાથે સંકળાયેલા મુદ્દા એવા છે કે અવારનવાર ચર્ચામાં આવતા રહે. હજી મોટા ભાગના લોકો માને છે કે જળસંચય કરવાનું કામ સરકારનું છે. એ સાચું કે મોટા પાયે જળસંચયનું કામ સરકાર કરી શકે. એનો અર્થ એવો નથી કે વ્યક્તિગત સ્તરે એ ન કરી શકાય. હજી પાણીનો વેડફાટ ઘટાડવાનું ખાસ કોઈને સૂઝતું નથી. ઘરોમાં પણ ‘સરકારી’ પાણી નિયત સમયે આવે ત્યારે જરૂર હોય કે ન હોય, નળને ખુલ્લા રાખીને પાણીને વહી જવા દેવામાં આવે છે. શું લોકોને એમ હશે કે પોતાની પાસે નાણાં છે એટલે પાણી ગમે એટલું મોંઘું થાય તોય પોતે ખરીદી શકશે?
નેધરલેન્ડ્સ દ્વારા ૨૦૨૨માં સ્થપાયેલા ‘ગ્લોબલ કમિશન ઑન ધ ઈકોનોમિક્સ ઑફ વૉટર’ દ્વારા ઑક્ટોબર, ૨૦૨૪ની મધ્યમાં એક અહેવાલ તૈયાર કરાયો છે, જેમાં કોઈ એકલદોકલ દેશ કે દેશસમૂહનાં નહીં, પણ વિશ્વભરનાં જળાશયોના વ્યવસ્થાપન બાબતે અગ્રણી વિજ્ઞાનીઓ અને નિષ્ણાતોએ મહત્ત્વની વાત નોંધી છે.

The Economics of Water – Valuing the Hydrological Cycle : ઑક્ટોબર ૨૦૨૪નો અહેવાલ એ વિશે વાત કરતાં પહેલાં આ સંસ્થા પાણી અંગે કેટલાંક પાયાનાં તથ્યો જણાવે છે. એ અનુસાર પાણીનું વહન આપણી આસપાસ બહુ સંકુલ અને મોટા ભાગે અદૃશ્ય રીતે થાય છે. હવામાંથી નીચે પડવા દરમિયાન પાણી પૃથ્વી પરનાં તમામ જીવોને સાંકળે છે. જમીન પરના તાજા પાણી એટલે કે બિનસમુદ્રી પાણીને બે મુખ્ય ભાગમાં વિભાજીત કરવામાં આવે છે: બ્લૂ (ભૂરું) પાણી અને ગ્રીન (લીલું) પાણી. નદી, સરોવર અને જળાશયોમાંના પાણીને ‘બ્લૂ’ પાણી કહે છે, જ્યારે આપણા પગ નીચે એટલે કે જમીનના તળિયામાં, વનસ્પતિને વિકસાવવા માટે જે ભેજનો સંગ્રહ થાય છે તેને ‘ગ્રીન’ પાણી કહે છે. આ વનસ્પતિ વાતાવરણમાં ‘ગ્રીન’ બાષ્પને મુક્ત કરે છે. આમ, સાદી ભાષામાં કહીએ તો આપણને નજરે દેખાતું બિનસમુદ્રી જળ એટલે ‘બ્લૂ’ પાણી, અને જમીનના તળિયે ભેજરૂપે સંઘરાયેલું અદૃશ્ય રહેતું પાણી એટલે ‘ગ્રીન’ પાણી. વનસ્પતિમાં વહન થતું ‘ગ્રીન’ પાણી, અને જમીન, જળાશયો તથા સાગરમાંથી બાષ્પીભવન પામતું પાણી વરસાદ કે હીમરૂપે જમીન પર વરસે છે, અને નદી, સરોવર તેમજ સમુદ્રમાં ઠલવાય છે. આ સમગ્ર ચક્ર એટલે જળવિજ્ઞાન ચક્ર, જે પૃથ્વી પર અવિરત ચાલતું રહે છે. ‘ગ્રીન’ પાણીની ગતિવિધિ વરસાદના ઉદ્ગમસ્થાન અને તેના વરસવાના સ્થાન વચ્ચે એક જાતનું જોડાણ બનાવે છે. વક્રતા એ છે કે ‘ગ્રીન’ પાણીને મોટા ભાગના કિસ્સામાં નજરઅંદાજ કરવામાં આવે છે.
જળવિજ્ઞાન ચક્ર થકી પાણીના આંતરજોડાણનો અર્થ એટલો કે એક સ્થાને થઈ રહેલી વનનાબૂદી, કૃષિ કે શહેરી ક્ષેત્રનું વિસ્તરણ બીજા સ્થાને વરસતા વરસાદને ખોરવી શકે. કેમ કે, જમીન પર વરસતા વરસાદમાંથી અડધોઅડધ વરસાદ ‘ગ્રીન’ પાણીને કારણે, એટલે કે પૃથ્વી પરની પર્યાવરણ પ્રણાલિઓને કારણે વરસે છે. હજી વિગતે સમજવું હોય તો કહી શકાય કે પાણી ભેજસ્વરૂપે લાંબું અંતર કાપે છે. તેને રાષ્ટ્રના કોઈ સીમાડા નડતા નથી. ખરા અર્થમાં તે લોકોને, રાષ્ટ્રોને કે પ્રદેશોને જોડે છે. અનેક નદીઓના તટપ્રદેશ, જળાશયોની જેમ વાતાવરણમાં રહેલો ભેજ સમુદ્રપાર, દેશપાર કે ખંડપાર પાણીનું વહન કરે છે.
ટૂંકમાં વાત એટલી કે જળપ્રણાલિ કોઈ એકલદોકલ કે સીમિત વિસ્તાર પૂરતી મર્યાદિત નથી, પણ તે સમગ્ર વૈશ્વિક જળપ્રણાલિનો જ એક હિસ્સો છે. ફરી પાછા અહેવાલની વાત પર આવીએ તો તેમાં ચેતવણી અપાઈ છે કે જળ સંસાધનોનું વ્યવસ્થાપન વિવિધ દેશો દ્વારા યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો અડધાઅડધ વિશ્વમાં ખોરાક ઉત્પાદન ખોરવાઈ શકે છે. આ દાયકાના અંત સુધીમાં તાજા પાણીના પુરવઠાની માગ ૪૦ ટકા કરતાંય વધી જશે. અહેવાલમાં જણાવાયા અનુસાર ત્રીજા વિશ્વના મોટા ભાગના દેશો જળતંગીની સમસ્યાથી પીડિત છે. રોજેરોજ એક હજારથી વધુ બાળકો મોતને ભેટે છે, જેમાંના મોટા ભાગના ગરીબ, અને શુદ્ધ પાણીથી વંચિત દેશોના હોય છે. અહેવાલમાં એ બાબત પર ખાસ ભાર મૂકાયો છે કે પાણી અંગે હવે નવેસરથી વિચારવાની જરૂર છે. અત્યાર સુધી તેને અનંત માત્રામાં સુલભ એવા નૈસર્ગિક સ્રોત તરીકે જોવાતું હતું તેને બદલે હવે તેને વિશ્વભરનું કલ્યાણ કરનારા પરિબળ તરીકે જોવું રહ્યું.
જળસંકટની, જળપ્રદૂષણની, જળજાળવણીની વાતો જોરશોરથી થાય છે, પણ એ દિશામાં નક્કર પગલાં ભરવાની રાજકીય ઉદાસીનતા ઊડીને આંખે વળગે એવી છે. કોઈ દેશની સરકારે નક્કર નીતિઓ ઘડી હોય એવું જણાતું નથી. હા, પ્રદૂષણ અંગે આકરા કાનૂન છે, તેના ભંગ બદલ ભારે દંડ છે, પણ એટલું પૂરતું નથી. ઉદ્યોગો દ્વારા ઠલવાતા પ્રદૂષિત પાણીમાંથી ૮૦ ટકા પાણીનો પુન:ઉપયોગ થતો નહીં હોવાનું આ અહેવાલમાં નોંધાયું છે. એ હકીકત તરફ પણ આંગળી ચીંધવામાં આવી છે કે જળપ્રણાલિઓનું આંતરજોડાણ હોવા છતાં વૈશ્વિક સ્તરે તેના સંચાલન કે વ્યવસ્થાપન માટે કોઈ વ્યવસ્થા ઊભી કરાઈ નથી.
સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે પર્યાવરણને લગતી નીતિઓમાં નિયંત્રણો અવિકસીત દેશો પર લદાતા હોય છે. વિકસીત દેશોએ નૈસર્ગિક સંસાધનોનો ઉપયોગ અને ઉપભોગ સૌથી વહેલો શરૂ કરી દીધો હોવાથી તેઓ ઉપદેશકારની ભૂમિકામાં આવી જાય છે. અવિકસીત દેશોમાં યોગ્ય વ્યવસ્થાપનનો તેમજ લાંબા ગાળાની નીતિઓનો અભાવ જોવા મળે છે, કેમ કે, ત્યાં નજર સામે દેખાતી સમસ્યાઓનો નિવેડો તાત્કાલિક ધોરણે લાવવાનું દબાણ હોય છે. આ ઉપરાંત સ્થાનિક રાજકારણ પણ તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.
આ વિરાટ ચિત્રમાં આપણું વ્યક્તિગત સ્થાન એક ટપકાંથી વિશેષ નથી. આમ છતાં, વ્યક્તિગત સ્તરે આપણે પાણીનો વેડફાટ અટકાવી શકીએ તો એનું પ્રદાન નાનુંસૂનું નથી. એના માટે સરકારી નીતિની કે આયોજનની રાહ જોવાની જરૂર નથી.
(શિર્ષકપંક્તિ: એન.ગોપી, અનુવાદ:રમણીક સોમેશ્વર)
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧-૧૧– ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પરિવર્તન – ૧૩ – પરપોટા અને ડબડબ – બે અવલોકનો
અવલોકન
– સુરેશ જાની

– ૧ –
કાલે હોટ ટબમાં બે ચાર મોટા પરપોટા જોયા. નાના પરપોટામાંથી ધીમે ધીમે મોટા થતા હતા. ટબમાં ચારેક આંટા મારીને એ ફૂટી જતા હતા.
આપણું જીવન પણ આમ જ …..બાલ્યાવસ્થામાંથી યુવાન, વયસ્ક અને અંતે શૂન્ય! સામાજિક રીતે પણ શૂન્યમાંથી ધીમે ધીમે કે હરણફાળે વિકાસ થાય. વિકાસનો કોઈ પણ માઈલ સ્ટોન પણ પરપોટાની જેમ ફૂલે અને છેવટે એ ફુગ્ગો ફૂટી જાય. નવો જન્મ લે. હમણાં અમેરિકાના વિકાસની યાત્રાના એક માઈલ સ્ટોન જેવા કાળ ‘roaring twenties‘ અંગે વાંચવામાં આવ્યું. પહેલા વિશ્વ યુદ્ધ બાદ, દસેક વર્ષ માટે આખો અમેરિકન સમાજ ઝૂમી ઊઠ્યો. રોક સંગીત, પાકા રસ્તાઓ, હજારો સસ્તી કારો, મોટલો, પ્રવાસન, વિમાન મુસાફરી, મદમસ્ત પાડા જેવા શેર / સ્ટોકના ભાવો વિ. ઘણી બધી બાબતો.
પણ ૧૯૨૮ ના એક કાળઝાળ દિવસે આખો અમેરિકન સમાજ ભયાનક મંદીમાં સરી પડ્યો અને એમાંથી બહાર આવતાં એને આખો એક દસકો લાગ્યો. આખું વિશ્વ પણ આજે કદી ન ફૂલ્યા હોય એવા ફૂલકા/ પરપોટાની જેમ સર્વનાશની ઊંડી ખાઈ તરફ પૂરપાટ ધસી રહ્યું છે.
શું એ પરપોટો પણ ફૂટી જશે?
– ૨ –
ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….
થોડી થોડી વારે આ અવાજ આવતો રહ્યો. ક્યાંથી આવે છે – આ અવાજ ? સ્વીમીંગ પુલના જેકુઝીમાં કોઈ દિવસ આ અવાજ સાંભળ્યો ન હતો. એટલે તરત એની તરફ ધ્યાન ખેંચાયું. વાત એમ છે કે, તે દિવસે પુલના જેકુઝીમાં bubbler – પરપોટાકાર (જેકુઝીમાં હવા ફેંકતું સાધન) કોઈક કારણસર બંધ હતું. રોજ તો એના અવાજમાં આ ડબડબ સંભળાતી ન હતી.
થોડીક વારે ખબર પડી કે, જેકુઝીની સપાટી એકસરખી રહે તે માટે વધારાનાં આવતાં પાણીનો નિકાલ કરવાના રસ્તા પર આડશ માટેનો એક ફ્લેપ બેસાડેલો હતો, પાણીમાં મારા પગના હલનચલનને કારણે એ ખોલ-બંધ થતું હતું અને દિવાલ સાથે અથડાતું હતું. એનો આ અવાજ હતો. પરપોટાકારના અવાજમાં એ ડબડબ દબાઈ જતી હતી.
જીવનમાં પણ આમ જ બનતું હોય છે. જાતજાતના અવાજોમાં અંતરનો અવાજ દબાઈ જતો હોય છે! એ કરૂણતા છે કે, આપણને બહારની વૈખરી અને મનના વિચારોના હુલ્લડના કારણે આપણી પોતાની ‘ અંતરની વાણી’ સંભળાતી જ નથી હોતી!
જો કેમ ડબડબ શબ્દ એ વૈખરી માટે પણ વપરાતો હોય છે. આપણી ઘણી વાતચીત મોટા ભાગે આવી ડબડબ જ હોય છે. કાથા કબલા, કોણં સારું અને કોણ ખરાબ? એમાં એક માત્ર અ-ડબડબ
‘ હું જ સાચો કે સાચી !’
એમાં તો અંતરનો એ અવાજ પણ
ડબડબ……ડબડબ…..ડબડબ…….ડબડબ…….
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સંસ્પર્શ- ૫
ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી
જિગીષા દિલીપ
ધ્રુવદાદાની નવલકથાને નવલકથા કહેવી કે પ્રવાસકથા, અનુભવકથા, ચિંતનાત્મક કથા કે પ્રકૃતિનાં પ્રેમની પરિભાષાની કથા કહેવી કે પૃથ્વી પર જીવતા જીવોની સત્યકથા ?
કોઈ પણ સુજ્ઞ વાચકને તેમનાં પુસ્તકોમાં આ બધા જ અનુભવો થશે અને એટલે જ સાહિત્યકારો પણ તેમના પુસ્તકનું વિવેચન કરી એમને પારિતોષક આપી નવાજે છે અને એટલે જ એક જ પુસ્તકને બે જુદી કેટેગરીમાં એવોર્ડ મળે છે. તેમનું ‘ઊંધું વિચારવાની કળા’ એટલે કે બીજા કરતાં અલગ વિચારવાનો નજરિયો એમને બીજાથી ઊફરા લેખક તરીકે ઓળખ આપે છે.
તેમનાં પુસ્તકોનાં નામ પણ ખૂબ ગૂઢાર્થ ધરાવતાં, સામાન્ય પુસ્તકો કે નવલકથાઓ કરતાં એકદમ જુદાં જ છે. અકૂપાર, તત્વમસિ, ન ઈતિ, અતરાપી, તિમિરપંથી, લવલી પાન હાઉસ, પ્રતિશ્રુતિ – બધાં જ નામમાં એક ગૂઢાર્થ છે જે નવલકથાનો નિચોડ પીરસે છે. તેમજ તેમાંથી પણ જીવન જીવવાનો એક જરૂરી સિદ્ધાંત તેની આધ્યાત્મિકતા સાથે દર્શાવાતો હોય છે.
ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીએ ‘અકૂપાર’ની.

અકૂપાર એટલે જે કૂપ ભાવને પામતો નથી તે. જે કૂવા જેવો નથી, વિશાળ છે. અકૂપાર એટલે જ સમુદ્ર. અકૂપાર નામનો કાચબો છે. જૂની માન્યતા મુજબ પૃથ્વી એ અકૂપાર નામના કાચબા પર સ્થિત છે. જેમ અકૂપાર કાચબો ચિરંજીવ છે તેવી જ રીતે ગીર પણ ચિરંજીવ છે.
અકૂપાર કાચબાની મહાભારતમાં આવતી સુંદર કથાને આવરી લઈ ધ્રુવદાદાએ ચિરંજીવતાની સુંદર વાત અકૂપાર પુસ્તકનાં છેલ્લા પ્રકરણમાં કહી અકૂપારનો અર્થ શાસ્ત્રોક્ત રીતે સમજાવી દીધો છે.
મહાભારતનાં વનપર્વમાં જ્યારે માર્કણ્ડેય ઋષિ યુધિષ્ઠિરને ઈન્દ્રધુમ્ન રાજાની કથા સંભળાવે છે ત્યારે કહે છે કે, ઈન્દ્રધુમ્ન રાજાને દેવદૂતો તેમનાં પુણ્યનો ક્ષય થયો હોવાથી સ્વર્ગમાંથી પૃથ્વી પર મોકલે છે. રાજાએ પોતાના પુણ્યોની પુરાંત હોવાનું જણાવ્યું પણ તેની સાબિતી કોણ આપે ? તે સમયે રાજા પૃથ્વી પર આવે છે. હિમાલય નિવાસી પ્રાવારકર્ણ ઘુવડ અને નાડીજંઘ બગલો તેની સાબિતી નથી આપી શકતા ત્યારે ચક્રમણ સરોવર એટલે કે ગાયોની ખરીઓથી ખોદાએલ સરોવરમાં રહેતો ચિરંજીવ કાચબો અકૂપાર ભાવવિભોર થઈને રાજાનાં પુણ્યોની સાબિતી આપે છે.
આમ અકૂપાર કાચબા જેટલું જ ગીર પણ ચિરંજીવ રહેશે અને આપણી સંસ્કૃતિની રક્ષા કરતું રહેશે તેમ તેમની નવલકથાનાં નામ થકી જ આપણને ધ્રુવદાદા સમજાવી દે છે.
બીજું, અકૂપાર નવલકથાનાં બધાં જ પાત્રો આઈમા, સાંસાઈ, લાજો, મુસ્તફા, આબીદા, ધાનુ હોય કે પછી રતનબા, બધાંના સંવાદોમાં તેમનાં જીવનમાં અંતરની અને અનંત વિશાળતાની ઝાંખી થાય છે. તેમના વિચારોમાં કે વર્તનમાં ક્યાંય સંકુચિત માનસિકતા દેખાતી નથી.
ગીરને જોવા આવનાર પ્રવાસી કિરણને બચાવવા ધાનુ સિંહની તરાપની વચ્ચે ઊભો રહી ખુદ સિંહના પંજાનો શિકાર બને છે. કિરણને બચાવવા ધાનુ ઘવાઈને લોહીલુહાણ પડ્યો હોય તેને દવાખાને લઈ જઈ બચાવવાને બદલે કિરણ અને દોશીસાહેબ ગાડી ભગાવી ભાગી જાય છે ત્યારે પણ વિશાળ દિલનાં ગીરવાસી ધાનુની મા રતનબા કહે છે, ‘જીનેં જી પરમાણ.’ એટલે જેના જેવા વિચારો તેવી રીતે તે વર્તે અને વળતો જવાબ આપતા વેદનાભર્યું હસીને કહે છે, ‘સિકારી તો ટુરિસને બસાવે જ ને ! આવે ટાણે સિકારી પાસો પડે તો તો કાસબો હલી જાય.’
અને તેનો અર્થ સમજાવતાં કહે છે, ‘જી નું જી કામ ,ઈં ને ઈ પરમાણ. પ્રથવી જીની ઢાલ માથે ઊભી સે ઈ કાસબાને આવડો બધો ભાર ઉપાડવાનું કંઈ કારણ? તો યે તે ઈ ભોગવે સે. ઈ કાસબો ખહી જાય તો તારું ને મારું સ્હું થાય ?’ તેમના સંવાદોમાં નરી નિ:સ્વાર્થતા અને હૃદયની સચ્ચાઈ સાથે વિશાળતા નીતરે છે.
તો સંધ્યાટાણાંનાં આછા અજવાસમાં રાજકોટનાં પ્રદર્શન માટે જૈફ ઉંમરે પોતાની દૃષ્ટિની કે આંખોની ચિંતા કર્યા વગર કેટલા બધાં લોકોની આંખો તેમનાં ચિત્રોને જોઈને ખુશ થશે એ વિચારી આઈમા કહે છે, ‘હજાર આંખને જોવું જડે એમાં મારી એકની આંખ દુ:ખાડું તોય સ્હું? કીધું સે ને કે જોણું સે તો આંખ્યું સે. આંખ છે તો જોવાનું છે તેમ નહીં.’
આઈમાની વાતને અનુલક્ષીને જ જાણે ધ્રુવદાદા અનંત અકૂપારનાં એક પછી એક ઘસી આવતાં મોજાંની જેમ શબ્દાવલિ રચે છે,
‘દૃશ્ય છે તો દૃષ્ટિ છે’
‘શબ્દ છે તો વાચા છે’
‘નાદ છે તો શ્રવણ છે’
‘રસ છે તો સ્વાદ છે.’
‘સ્પર્શ છે તો સ્વાદ છે’
‘સૌરભ છે તો…..આઈમા સંધ્યા ટાણે બહાર બેસીને ચિત્ર કરતાં હતાં ત્યારે તેમને પૂછ્યું કે, ‘મા રાત્રે બહાર બેસીને કામ કરો છો તો કોઈકને ચોકી કરવા બોલાવી લ્યો, રાતના બહાર સિંહ-બિંહ આવશે તો !’
ત્યારે પણ આઈમા હસીને કહે છે, ‘કોયને બરક્યા નથ્ય, સ્હાવજ મને કાંઈ નંઈ કરે, ઈય જાણે કે આ ડોહી આપડી વૈડ નંઈ. મારી હારે બાધીને સ્હાવજની આબરૂ જાય, ઈનાં ભાયબંધું ખીજવે કે તને કોય તારી વૈડનું મળ્યું નંઈ? મારી મારીને એક ડોસીને મારી? ભલે સારપગો, પણ હંધુંય સ્હમજે.”
આમ ગીરનાં સાવજની સમજ પર ગીરનાં લોકોને અભૂતપૂર્વ વિશ્વાસ છે. ધ્રુવદાદાએ અકૂપારમાં ગીરવાસીઓનો સાવજપ્રેમ અને પ્રાણીપ્રેમ પણ ઠેરઠેર દર્શાવ્યો છે.
જીવનનાં અણમોલ સિદ્ધાંતો સમજાવતાં અકૂપારનાં સંવાદો દ્વારા લેખક શ્રી ધ્રુવ ભટ્ટે અંતરની વિશાળતા, પ્રેમની પરિભાષા જ સમજાવી છે. દાદાનું જ એક સરસ ગીત વાંચો,”
‘ક્યાં કહું છું હું ને તું એક હોવા જોઈએ.
માત્ર કહું છું કે પરસ્પર નેક હોવા જોઈએ.
એમ ઠાલો શબ્દ કંઈ તાકાતવર હોતો નથી.
શબ્દના અવતાર અંદર છેક હોવા જોઈએ.
સાવ પોતાને વિસારો એમ કહેવું દંભ છે
પણ બધાંની દૃષ્ટિમાં પ્રત્યેક હોવા જોઈએ.
સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
જોન એલિયા – અલગારી મિજાજના અલબેલા શાયર
સંવાદિતા
જોન એલિયા એ રીતે અપવાદ હતા કે એ સત્વશીલ પણ હતા અને લોકપ્રિય પણ !
ભગવાન થાવરાણી
ઝિંદગી એક ફન હૈ લમ્હોં કો
અપને અંદાઝ સે ગંવાને કા( જીવન એટલે ક્ષણોને આપણી મરજી મૂજબ વેડફી નાંખવાની કળા ! )
આ વિલક્ષણ શેરના રચયિતા છે ઉર્દુના વિદ્રોહી અને ખૂબ લોકપ્રિય શાયર જોન એલિયા. એ વાંચીએ એટલે આપણા મરીઝનો આ શેર અચૂક યાદ આવે :પુરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા !
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએએમને અરાજકતાવાદી, શૂન્યવાદી જેવાં વિશેષણો પણ અપાયાં છે. ખ્રિસ્તી જેવું લાગતું એમનું નામ એ વસ્તુત: એમણે અપનાવેલું તખલ્લુસ છે. એ ઉત્તર પ્રદેશના અમરોહાના સુશિક્ષિત મુસ્લિમ ખાનદાનનાં ફરજંદ અને પ્રખર વિદ્વાન પિતા શફીક એલિયાના સૌથી નાના પુત્ર હતા. મૂળ નામ સૈયદ સિબ્તે અસગર નક્વી.
કવિ ઉપરાંત એક અનોખા તત્વચિંતક, જીવનકથાકાર અને અનુવાદક એવા જોન ઉર્દુ ઉપરાંત અરબી, સિંધી, ઈંગ્લીશ, ફારસી, સંસ્કૃત અને હિબ્રુ ભાષાઓ પર પ્રભુત્વ ધરાવતા હતા. ‘ પાકીઝા ‘ ના ફિલ્મકાર કમાલ અમરોહી એમના પિતરાઈ ભાઈ હતા. એમણે વિખ્યાત કટાર લેખિકા ઝાહિદા હિના સાથે લગ્ન કરેલા જેમણે વર્ષો લગી ‘ દૈનિક ભાસ્કર ‘ માં પાકિસ્તાન ડાયરી નામે કટાર લખી. એ ૧૯૫૭ માં પાકિસ્તાન ચાલ્યા ગયેલા જ્યાં ૨૦૦૨ માં એમનું અવસાન થયું.
એમનું પહેલું દીવાન છેક ૬૦ વર્ષની ઉંમરે ‘ શાયદ ‘ નામે ૧૯૯૧ માં પ્રસિદ્ધ થયું. એમના જીવનકાળમાં પ્રકાશિત થયેલો એ એમનો એકમાત્ર સંગ્રહ. એ સંગ્રહની રચનાઓ તો ખરી જ, એમણે લખેલી એની પ્રસ્તાવના પણ ઉર્દુ ગદ્યનો ઉત્તમ નમૂનો લેખાય છે. મરણોપરાંત એમના અન્ય પુસ્તકો યાની, લેકિન, ગોયા, ગુમાન, ફરનૂદ વગેરે પણ પ્રકાશિત થયાં. પત્ની ઝાહિદાને એમણે લખેલાં પત્રો પણ સંગ્રહિત થયાં છે.
વિચારસરણીએ એ ઘોર સામ્યવાદી અને દેશ વિભાજનના પ્રખર વિરોધી હતા. ભાષા અને એના ઉચ્ચારણોની શુદ્ધતાના એ ચુસ્ત હિમાયતી. ઇતિહાસ, તત્વજ્ઞાન અને જગતભરના ધર્મોમાં એમને ઊંડો રસ પણ ધાર્મિક જડતાના વિરોધી. એમની આ માન્યતાઓના કારણે એમનું વ્યક્તિત્વ અને કવિતા એક અનોખી અનન્યતા ધરાવતાં. એમની અનેક રચનાઓમાં પોતાના વતન અમરોહા પાછા ન ફરી શકવાની વેદના વર્તાય છે.
જો ગુઝારી ન જા સકી હમ સે
હમને વો ઝિંદગી ગુઝારી હૈઅને
ક્યા પૂછતે હો નામો નિશાને મુસાફિરાં
હિંદોસ્તાં સે આએ હૈં, હિંદોસ્તાં કે થેએમની બેપરવા જીવનપદ્ધતિ, શરાબ અને ધૂમ્રપાનનો શોખ એમને ક્ષયનો શિકાર બનાવી ચૂક્યા હતા. મૃત્યુ પ્રત્યે જાણે એમને દુર્નિવાર આકર્ષણ હતું જે એમના શેરોમાં વ્યક્ત થતું રહેતું. મીર તકી મીર એમના પસંદીદા શાયર હતા પણ ગાલિબને એ ‘ માત્ર પચીસ શેરોના શાયર ‘ માનતા ! આ અને આવા બેબાક, વિવાદાસ્પદ વિધાનો માટે એ નિરંતર ચર્ચામાં રહેતા. એમના મોટા ભાગના સમકાલીન શાયરો માટે એ એવું માનતા કે એ લોકો ક્ષમતાવિહીન છે. મુશાયરાઓમાં છાતી પર હાથ પછાડીને વાત કહેવી એ એમની આગવી લાક્ષણિકતા હતી. એમનો અહમ ( અથવા બહુ ઊંચી કક્ષાનું સ્વાભિમાન ! ) એમના અનેક શેરોમાં પણ ઉતરી આવતું. કેટલાક નમૂના :
ઈલાજ યે હૈ કિ મજબૂર કર દિયા જાઉં
વગરના યૂં તો કિસી કી નહીં સુની મૈંનેક્યા તકલ્લુફ કરેં યે કહને મેં
જો ભી ખુશ હૈ હમ ઉસસે જલતે હૈંકોઈ મુજ તક પહુંચ નહીં પાતા
ઈતના આસાન હૈ પતા મેરાકામ કી બાત મૈંને કી હી નહીં
યે મેરા તૌરે ઝિંદગી હી નહીંજુર્મ મેં હમ કમી કરેં ભી તો ક્યું
તુમ સઝા ભી તો કમ નહીં કરતેઠીક હૈ ખુદ કો હમ બદલતે હૈં
શુક્રિયા મશ્વરત કા – ચલતે હૈંદાદ – ઓ – તહસીન કા યે શોર હૈ ક્યું
હમ તો ખુદ સે કલામ કર રહે હૈંએ પોતે જાણે નિરંતર પોતાના સમકક્ષ સર્જકની તલાશમાં રહ્યા. એવો કોઈ ક્યારેય મળ્યો નહીં એટલે પોતાની જાતના જ પ્રેમમાં આજીવન ગળાબૂડ રહ્યા. જીવનની ક્ષણભંગુરતા વિષે એમની એક ખૂબ જાણીતી ગઝલ અને એનો અલગ બહરમાં ભાવાનુવાદ :
બેદિલી ક્યા યૂં હી દિન ગુઝર જાએંગે
સિર્ફ ઝિંદા રહે હમ તો મર જાએંગેરક્સ હૈ રંગ પર રંગ હમરક્સ હૈ
સબ બિછડ જાએંગે, સબ બિખર જાએંગેયે ખરાબાતિયાં – એ – ખિરદ – બાખ્તા
સુબહ હોતે હી સબ કામ પર જાએંગેકિતની દિલકશ હો તુમ, કિતના દિલ-જૂ હું મૈં
ક્યા સિતમ હૈ કિ હમ લોગ મર જાએંગેહૈ ગનીમત કે અસરાર – એ – હસ્તી સે હમ
બેખબર આએ હૈં, બેખબર જાએંગેગુજરાતી :
ઉદાસી ! આમ શું બેચાર દિન ખીલી ખરી જઈશું
જો કેવળ જીવીશું તો પાણીના મૂલે મરી જઈશુંહજી તો નૃત્ય છે પુરજોશમાં, રંગોનું નર્તન છે
પલકમાં થઈ જશું અળગા, ધડીભરમાં ખરી જઈશુંઆ મદહોશી, આ મસ્તી, તર્કથી પર આ જલદ જલસા
જરી પો ફાટતાં સુધી બધાં સાવ જ ઠરી જઈશુંજો કેવી ખૂબસુરત તું ને કેવો મનલુભાવન હું
છતાં યે સત્ય તો બસ એટલું – બન્ને મરી જઈશું !રહસ્યો હસ્તીના છો ને રહ્યાં આખર લગી અકબંધ
ઊંડા અંધારથી આવ્યાં, અગમ શૂન્યે સરી જઈશુંએમના વિષે એમના મિત્રો, પરિચિતો અને સાહિત્યિક પ્રતિભાઓએ અંજલિરૂપે લખેલા લેખનો સંગ્રહ ‘ મૈં યા મૈં ‘ શીર્ષકથી પુસ્તકરૂપે એમના મરણોપરાંત પ્રકાશિત થયો છે. એમનું વ્યક્તિત્વ જાણવા ઈચ્છતા રસિકો માટે એ એક અણમોલ કિતાબ છે.
એમની અનેક ગઝલો હૈદર ઇકબાલ, તૌસીફ અખ્તર, સલમાન અલવી, કવિતા સેઠ અને રેહમત હુસૈન જેવા કલાકારોએ ગાઈ છે.
સાભાર સ્વીકારઃ ‘ફૂલછાબ’ની બુધવારની ‘પંચામૃત’ પૂર્તિમાં પ્રકાશિત થતી લેખકની કોલમ ‘સંવાદિતા’
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
યે દુનિયા ગોલ હૈ, અંદર સે….!
હરેશ ધોળકિયા
નવું વર્ષ ( કે નવો દિવસ) કેમ શરુ કરવું?
આમ તો કહેવાતું નવું વર્ષ કેવું જશે તેની ખાસ કોઈને, જયોતિષીને પણ, ખબર નથી હોતી. પ્રત્યેક દિવસ પૂર્ણ અનિશ્ચિત હોય છે. સવાર કેવી હશે અને સાંજ કેવી પડશે તેની કોઈને પણ ખબર નથી હોતી. વર્ષ દરમ્યાન ઉત્તમ દિવસો આવશે કે કોરોના જેવા રોગો કે તોફાનો કે વાવાઝોડાં આવશે તે બાબતે બધા જ અનિશ્ચિત હોય છે. હકીકતે સવારે આંખ ઉઘડે છે ત્યારે, જો વ્યકિત વિચાર કરતી હોય તો, તેને ડર લાગે છે કે આજે દિવસ કેવો જશે ! આ તો સમાજોએ માણસોને સરસ તાલીમ આપી છે કે કયારેય વિચાર ન કરવો, એટલે બધા શાંતિથી જાગે છે અને મૂઢ રીતે દિવસ પસાર કરે છે. પણ ભૂલથી પણ વિચારે તો માનસિક અસ્વસ્થ થઈ જાય તેવી ભારે શકયતા હોય છે.
તો વર્ષની શરુઆત કેમ કરવી ?
ઉત્તમ જવાબ છે ” હસીને.” આખો દિવસ કેવો જશે તેની તો ખબર નથી, પણ, ઈચ્છીએ તો, આંખ ઉઘડે ત્યારે થોડી પળો હસી લેવાય તો દિવસ, કદાચે, ગમે તેવો તકલીફ ભર્યો જાય, પણ આ સ્મિત ચોકકસ બ્રેકનું કામ કરશે. થોડી પળોનું સ્મિત સમગ્ર દિવસને હળવો રાખશે. એટલે રોજ સવારે સ્મિત સાથે જગાશે અને ઉઠાશે, તો સમગ્ર વર્ષ હળવું જવાની ખાતરી છે. બહારના બનાવોની કોઈ ખાતરી ન આપી શકાય, પણ એ વચ્ચે મન હળવું રહેશે તેની તો ખાતરી આપી શકાય.
સ્મિત, રમુજ…એ ઈશ્વરે અથવા તો કુદરતે માણસ જાતને આપેલ શ્રેષ્ઠ ભેટ છે. જો માણસને હસતાં આવડે, તો તે સમગ્ર જીવન મસ્તીથી જીવી શકશે. હસવું (અંગ્રેજીમાં હ્યુમર) વિશે અનેક વિધાનો છે. નોર્મન કઝીન્સ કહે છે કે ‘ રમુજ એ આંતરિક જોગિંગ છે.” અને તે દરેક સ્થળેથી મળશે. એટલે જ જુલે બર્નાર્ડ કહે છે, ” દરેક જગ્યાએ હાસ્યાસ્પદ બાબતને જુઓ, તે મળવાની ખાતરી છે.” અને રમુજનું શું મહત્વ છે ? મહાત્મા ગાંધી કહે છે, ” મારામાં જો રમુજવૃતિ ન હોત તો મેં કયારેય આપઘાત કરી નાખ્યો હોત.” અને કોઈમાં રમુજવૃતિ ન હોય તો ? તેનો જવાબ આપતાં હેનરી બીચર કહે છે, ” રમુજવૃતિ વિનાનો માણસ સ્પ્રિંગ વિનાના વેગન જેવો છે. તે રસ્તામાં સતત આંચકા ખાધા કરે છે.” ….ટટૂંકમાં, વર્ષની – અને દિવસની- શરુઆત રમુજથી થાય તો વ્યકિત સ્વસ્થ રહેશે. આવનારી તકલીફોનો સામનો કરવાની હિંમત રહેશે.
પણ આ રમુજ શોધવી કયાંથી ?
લ્યો ! કયાંથી નથી મળતી રમુજ ? દર પળે, દરેક સ્થળે, દરેક વ્યકિત પાસેથી રમુજ મળશે જ, ઝીણવટથી તપાસ કરાશે તો. અને હવે તો જયારે આ ” સોશિયલ મીડિયા” આવ્યું છે ત્યાર પછી તો તેના પર પળે પળે રમુજો જ જોવા મળે છે. લોકોની અભિપ્રાય આપવાની હોંશ રમુજ જન્માવે છે એટલું જ નહીં, તેમને પણ હાસ્યાસ્પદ બનાવે છે. બીજું, આપણા નેતાઓનાં ભાષણો સાંભળશું તો તો તેમના વાકયે વાકયમાં રમુજ ડોકાતી જોવા મળશે. વર્તમાન નેતાઓનું ‘ જ્ઞાન ” (? ) એટલું અદભુત છે કે ભલભલા હાસ્યકારો પણ તેમના સામે હારી જાય. એટલે છાપામાં આવતાં તેમનાં ભાષણો જરુર વાંચવાં. હા, તેને ગંભીરતાથી ન લેવાં, નહીં તો ગુસ્સો ચડશે અને હાર્ટઅટેક આવવાનો સંભવ રહેશે.
થોડા વખત પહેલાં એક છાપામાં એક નેતાનું પ્રવચન આવેલ. અદભુત પ્રવચન હતું તે. તે નેતાનું સામાન્ય જ્ઞાન જોઈ-વાંચી ખડખડાટ હાસ્ય જન્મે. સાંભળવા આવેલ ( ભાડુતી) શ્રોતાઓને પૈસા સાથે ભરપૂર મનોરંજન મળ્યું જ હશે. શુંબોલ્યા નેતા ? નેતાએ અમેરિકાની શોધ કોણે કરી તેની વાત કરી હતી. તેમણે કહ્યું કેજગત ભ્રમણામાં માને છે કે અમેરિકાની શોધ કોલંબસે કરી છે. પણ આ વાત તદન ખોટી છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું. તે સો ટકા ખાતરીથી માનતા હતા કે દુનિયાની દરેક શોધ માત્ર ભારતે જ કરી છે. દુષ્ટ પશ્ચિમે તેની કદર નથી કરી અને બધી શોધો પોતાના નામે ચડાવી ભારતનું અપમાન કર્યું છે. પ્રધાને ગૌરવપૂર્વક કહ્યું કે હકીકતે આપણા પ્રાચીન વડવાઓએ જ કોલંબસ જન્મ્યો તે પહેલાં સેંકડો વર્ષો પહેલાં અમેરિકાની શોધ કરી હતી. કોલંબસનાં સાન્ટા કલોઝ વહાણને ભૂલી જવું. તેના કરતાં તો પ્રાચીન ભારતીયો ઉત્તમ વહાણો બનાવતા હતા. આ વહાણો સરળતાથી એટલાંટિક મહાસાગરમાં ફરતાં હતાં. અને તેને શકિત-પાવર- કોણ આપતું હતું ? લ્યો, કોણ હોય વળી- યોગ અને આયુર્વેદ ! આયુર્વેદિક વનસ્પતિઓની તાકાતથી વહાણો ચાલતાં હતાં.
અને આ પ્રધાન અહીંથી જ ન અટકયા. તેમણે પોતાના અદભુત જ્ઞાનને વહેંચતાં આગળ કહ્યું કે ચીનનું પાટનગર પેકીંગ પણ રામની મૂર્તિઓ બનાવનાર એક મહાન ભારતીય સ્થાપત્યકારે બાંધ્યું હતું.અને જેમણે ત્દગ્વેદ લખ્યો છે તેમણે ઈતિહાસમાં પહેલી વાર જાહેર કર્યું કે પૃથ્વી સૂર્ય આસપાસ ફરે છે. આવાં તો એક એકથી અદભુત સત્યો તેમણે આ ભાષણમાં પ્રકાશિત કર્યા હતાં. સંભવ છે તે થોડા સમય પછી તે ભારતીય ઈતિહાસ પરિષદના પ્રમુખ બને.
ગુસ્સો આવ્યો ? ના, તે રાષ્ટ્રદ્રોહ કહેવાય. હસો અને આનંદો !
અને આસપાસના લોકો પણ દરેક પળે રમુજો પૂરી પાડે છે. એક પતિ પત્ની ડોકટર પાસે તપાસ કરાવવા ગયાં હતાં. પતિને કોઈ તકલીફ હતી. પતિના ચેકઅપ પછી ડોકટરે પત્નીને બોલાવી કહ્યું, ” મને તમારા પતિની માનસિક હાલત વિશે થોડી ચિંતા થાય છે.” ” કેમ ? પત્નીએ ચિંતાતુર થઈ પૂછયું. તેમણે કહ્યું કે દરરોજ રાતે તે બાથરુમમાં જાય છે અને તેનો દરવાજો ખોલે છે, તો ઈશ્વર તેના માટે આપોઆપ પ્રકાશ કરી દે. અને જયારે તે પોતાનું કામ પૂરું કરી દરવાજો બંધ કરે છે કે ભગવાન જ લાઈટ બંધ કરી દે છે.” ” ઓહ !” પત્ની બોલી, ‘ આનો અર્થ એવો થાય છે કે તેણે ફરી રેફ્જિરેટરમાં જવાનું શરુ કર્યું છે !
બે કૂતરાના માલિકો વાત કરતા હતા અને પોતાના કૂતરાઓની ચતુરાઈ વિશે વાત કરતા હતા. પોતાનો ફૂતરો વધારે ચતુર છે એ સાબિત કરવા મથતા હતા. એકે કહ્યું, ‘ દરરોજ સવારે મારો ફૂતરો દોડીને બહાર જાય છે. નકકી કરેલ ફૂડ લઈ આવે છે અને દુકાનદારને ટીપ પણ આપી આવે છે અને વસ્તુને ઘેર લઈ આવે છે.” બીજા માલિક કહ્યું, ‘ મને ખબર છે.” પેલાએ નવાઈથી પૂછયું, ‘ તને કેમ ખબર છે?” બીજાએ જવાબ આપ્યો, ‘ મારા કૂતરાએ જ મને કહ્યું છે.
એક યુવતીએ પોતાની કાર રિપેર શોપમાં મૂકી. જતી હતી કે મેકેનિકે તેના સામે હાથ લંબાવ્યો. યુવતી તો મેકેનિકની તેને ફ્લર્ટ કરવાની રીત જોઈ રમુજ થઈ. તેણે પણ તેના સાથે હાથ મેળવ્યો અને ખોટે ખોટે હસી. મેકેનિક પણ સહાનુભૂતિપૂર્વક હસ્યો અને બોલ્યો, ” મને તો તમારી કારની ચાવીની જરુર છે.”
શબ્દોના ગોટાળા પણ કયારેક રમુજ આપે છે.
એક છાપામાં સમાચાર એ હતા કે ફલાણા સ્થળે ઘાસની તંગી છે. પણ છપાયું કે “ફલાણા સ્થાને છાસની તંગી છે.”
એક પુસ્તકનું શીર્ષક હતું ” મૌનનું મહત્વ.” ભૂલથી છપાયું ” યૌનનું મહત્વ.” પુસ્તક ચપોચપ વેંચાઈ ગયું હતું એવા સમાચાર છે.
એક ભાઈને પહેલો અક્ષર હમેશાં ” હ ” બોલવાની જ ટેવ હતી. એક વાર સાબુ લેવા દુકાનમાં ગયા. બોલ્યા,” હમામ આપ.” ( કહેવું હતું તમામ.) પેલાએ હમામ બતાવ્યો. તે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, ‘ હાંડો લાગે છે સાવ.” ( ગાંડો લાગે છે સાવ.) એક રાષ્ટ્રીય તહેવારે તે ધ્વજવંદનમાં ગયા હતા અને બહેનોને આવતી જોઈ સ્ત્રીદાક્ષિણ્યથી તેમને જગ્યા આપવા આસપાસ ઊભેલાઓને બોલ્યા, ‘ ………… કરો.”
એક દુકાન બહાર લખવાનું હતું કે ” અંગત સંયોગોના (સર્કમસ્ટંટસીસ) કારણોસર દુકાન બંધ રહેશે. તેના કારણે ગ્રાહકોને તકલીફ પડશે તે બદલ ક્ષમા.” તેને બદલે છપાયો શબ્દ ” સર્કમસીસન” તેનો અર્થ છે ” સુન્નત.”
આઈન્સ્ટાઈન કહે છે તેમ જેમ ઈશ્વર સર્વવ્યાપક છે, તેમ મૂર્ખતા અને મૂઢતા પણ સર્વવ્યાપક છે. તેની અભિવ્યકિત પળેપળ રમુજ જન્માવે છે.
નિશ્ચિંત રહેવું, આખું વર્ષ હસતાં હસતાં નીકળી જશે.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
પ્રખર સંઘર્ષના અંતે પ્રથમ ડૉક્ટર
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈ ને,
જગત સામે જ ઊભું હતું દર્દો નવા લઈ ને.હું રજકણથી ય હલકો છું તો પર્વતથી ય ભારે છું,
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઇને.બરકત વિરાણી ‘બેફામ’
પૂ.રવિશંકર મહારાજે સ્ત્રી શક્તિને હંમેશા આવકારી છે. તેઓ વ્યર્થ શબ્દોમાં નવો અર્થ સમાવી તેને સાર્થક કરી આપે છે. એ સ્ત્રીને ‘અબળા’ નહિ પણ ‘અતિબળા’ માનતા. સ્રીની અધોગતિ તો અઢારમી સદી પછી શરુ થઈ. ‘ન સ્ત્રી સ્વાતંત્ર્યમ્’ એવું કહેવાઈ ગયું…બસ. પરંતુ હેમરસ્ટેઇન અને રોજર્સ નામની ગીતકાર જોડીએ સાથે મળીને ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’નું એક સુંદર ગીત લખ્યું. જેની અવિસ્મરણીય પંક્તિઓમાં કહેવાયું છે કે…
A dream that will need
All the love you can give
Every day of your life
For as long as you live
પોતાનું સ્વપ્ન સાચું પાડવા માણસે ‘યેન કેન પ્રકારેણ’ જીવનની અંતિમ ક્ષણ સુધી મથવું જોઈએ. એને ચાહવું જોઈએ. ડૉ. આનંદીબાઈ જોશી(૧૮૬૫-૧૮૮૭) એ રૂઢિચુસ્ત વાતાવરણમાં અમેરિકા જઈને ડૉક્ટર બન્યા જે સમયે આપણે ત્યાં સ્ત્રીઓનું સ્થાન રસોડામાં જ ગણવામાં આવતું અને એક સ્ત્રી માટે વિદેશ જવું તો પાપ જ માનવામાં આવતું. ૯ વર્ષની ઉંમર તો રમવા-કૂદવાની ! પણ આટલી નાની આનંદીના એનાથી ૨૦ વર્ષ મોટા વિધુર ગોપાળરાવ સાથે લગ્ન થયા. જાણીતા સમાજ સુધારક ગોપાલ હરિ દેશમુખનો ગોપાલરાવ પર અત્યંત પ્રભાવ હતો. સામાન્ય કારકુન હોવા છતાં તેઓ સુધારાવાદી હતા. તેમણે સમાજના ઉગ્ર વિરોધ વચ્ચે પણ પત્ની આનંદીબાઈને ઘરે જાતે ભણાવવા માંડ્યું. તેઓ આનંદીબાઈને ઉચ્ચ અભ્યાસ માટે સતત પ્રેરણા આપતા. તેઓ પોતે પણ સંસ્કૃતના વિદ્વાન હતા. અંગ્રેજી પણ શીખતા હતા.૧૪ વર્ષે માતા બનેલી આનંદીબાઈનું સંતાન યોગ્ય સારવાર ન મળતા દસેક દિવસમાં જ મૃત્યુ પામ્યું. ત્યારે અર્ધદગ્ધ દાયણો કે મીડવાઇફ પ્રસૂતિ કરાવતી. તેથી બાળમરણ અને પ્રસૂતાના મૃત્યુના આંક માની ન શકાય તેટલા ઊંચાં રહેતાં. આ દુર્ઘટનાએ પતિ-પત્ની બંનેને હચમચાવી દીધા. આનંદીબાઈને ઉચ્ચ તબીબી અભ્યાસ કરવો મહત્વનો લાગ્યો. એ સમયે બંગાળમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના ફેલાવા અને પ્રભાવ સાથે સમાજ પરિવર્તનનો જુવાળ ઉઠ્યો. વળી પંડિતા રમાબાઈ સરસ્વતીએ પોતાની તિક્ષ્ણ બુદ્ધિશક્તિથી બંગાળના આગેવાનો પર અનોખો જાદુ કર્યો હતો. વીસ વર્ષની યુવા વયે દક્ષિણ હિંદુસ્તાનમાંથી બંગાળ પહોંચી, સંસ્કૃત ગ્રંથોના અગાધ જ્ઞાન અને વિચક્ષણ વાકચાતુર્યથી એમણે કલકત્તાના સમાજસુધારક કેશવચંદ્ર સેન સહિતના અનેક બૌદ્ધિકોને પ્રભાવિત કર્યા હતા.
આનંદીબાઈએ પંડિતા રમાબાઈના જીવનમાંથી પદાર્થપાઠ લીધો. આનંદીબાઈ અને ગોપાલરાવને ઉચ્ચ શિક્ષણ માટે પ્રેરણા મળી ગઈ. પત્નીની ઈચ્છાને માન આપી ગોપાલરાવે એને ડોક્ટર બનાવવાનું નક્કી કર્યું. જે વિદેશ જાય તો જ શક્ય હતું. સ્ત્રીઓ માટેની મેડીકલ કોલેજ અમેરિકામાં ચાલતી હતી. એ માટે અંગ્રેજી ભાષા શીખવી જરૂરી હતી. આથી આનંદીબાઈને મિશનરી શાળામાં દાખલ કર્યા. આનંદીબાઈના રસને ધ્યાનમાં રાખીને ગોપાળરાવે તેને અંગ્રેજી શીખવામાં પૂરી સહાય કરી. જોશી દંપતીએ અમેરિકા જવાની તૈયારી શરુ કરી દીધી. આ વાત સાંભળી મરાઠા સમાજના રૂઢિચુસ્ત આગેવાનોએ જોશી દંપતિનો સખત વિરોધ કર્યો. આ સ્થિતિને સંભાળી લેવા આનંદીબાઈએ ફક્ત ૧૯ વર્ષની ઉંમરે પશ્ચિમ બંગાળની સેરામપોર કોલેજના હોલમાં એક ભાષણ કરીને લોકોને સમજાવવા પ્રયત્ન કર્યો કે અત્યારે ભારતને મહિલા તબીબોની ખૂબ જરૂર છે. આ પ્રવચનની ધારી અસર થઇ અને સમગ્ર ભારતમાંથી આનંદીબાઈને અમેરિકા અભ્યાસ માટે જવા પૈસા મળવા લાગ્યા. એ વખતના વાઈસરોયે પણ રૂ. ૨૦૦ની ભેટ મોકલાવી હતી. અમેરિકામાં અભ્યાસ કરવા પાદરીએ મદદરૂપ થવાની ખાતરી તો આપી પરંતુ શરત મૂકી કે ખ્રિસ્તી ધર્મ સ્વીકારવો પડશે. પણ આ વાત ગોપાલરાવ કે આનંદીબાઈને મંજૂર ન હતી. અંતે મેરી કાર્પેન્ટર (થિયોડિસિયા કાર્પેન્ટર) નામની એક દયાળુ અમેરિકન સ્ત્રી મદદ કરવા આગળ આવી. મિસિસ કાર્પેન્ટરે મદદનો ભરોસો આપી આનંદીબાઈને અમેરિકા આવવા પ્રેમથી આમંત્રણ આપ્યું. લાંબા પત્રવ્યવહાર બાદ બંને સખી બની ગયા. એકવાર મેરીએ ચિત્રનું એક પુસ્તક આનંદીને મોકલ્યું જેમાં થોડા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. આનંદીબાઈએ એ પ્રશ્નોના ખુબ સુંદર અને ઉત્તમ જવાબો આપ્યા. જે વાંચીને મેરી કાર્પેન્ટર ખૂબ ખુશ થઈ ગયા. તેમણે આનંદીબાઈને અમેરિકા આવવા આમંત્રણ આપ્યું. પોતાનું ભોજન પોતે જ બનાવશે એવી શરત મૂકી. આનંદીબાઈ પુત્રીની જેમ રહેશે એમ નક્કી થયું. તે સમયના રિપોર્ટ્સ અનુસાર માત્ર અઢાર વર્ષની ઉંમરે અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પ્રથમ ભારતીય નારી આનંદી ગોપાલ જોશી હતા.
આનંદીના વર્તન અને વિચારોથી પ્રભાવિત થઈને શ્રીમતી કાર્પેન્ટર એના આચારવિચાર અપનાવવા લાગ્યા. ફિલાડેલ્ફિયાની મેડીકલ કોલેજમાં પ્રવેશ મળતા ન્યુજર્સી છોડ્યું ત્યારે તેમના માનમાં જે પાર્ટી યોજાઈ તેમાં હાજર સૌએ ભારતીય રિવાજ પ્રમાણે હાથ વડે ભોજન લીધું. મેરી પણ તેમને મુકવા છેક ફિલાડેલ્ફિયા ગયા અને આનંદીબાઈની રહેવા-જમવાની વ્યવસ્થા કર્યા પછી જ પાછા ફર્યા. આનંદીના શબ્દોમાં કહીએ તો એનાથી છૂટા પડતી વખતે મિસિસ કાર્પેન્ટર બચ્ચાંની જેમ રડતાં હતાં.
ત્યાં સરળતાથી પ્રવેશ મેળવ્યા પછી કોલેજના કારભારીએ આનંદીની ધગશ અને મેધાથી પ્રભાવિત થઇને શિક્ષણના ત્રણેય વર્ષની શિષ્યવૃત્તિ આપી. ડોક્ટર રેચલ બોડલીએ આનંદીબાઈને પુત્રીની જેમ રાખી. આનંદીબાઈ પર ઈસાઈ ધર્મ સ્વીકારવા ખૂબ દબાણ કરાયું પણ આનંદી મક્કમ હતા. એ સમયમાં વોટ્સએપ નહોતું છતાં ભારતમાં અફવા ફેલાણી કે આનંદીબાઈએ ધર્મપરિવર્તન કર્યું. એટલે ગોપાલ્રરાવે આનંદીબાઈ પર કઠોર ભાષામાં પત્રો લખ્યા. પણ આનંદીએ એના વિનમ્રતાપૂર્વક અને કરુણાથી છલોછલ જવાબો આપ્યા. પણ ગોપાળરાવની શંકાનું સમાધાન ન થતા એમણે અમેરિકા જાતે જઈ તપાસ કરવાનું નક્કી કર્યું. એ માટે તેઓ નોકરી છોડવા પણ તૈયાર થઈ ગયા.
અભ્યાસમાં સખત મહેનત અને રસોઈ વગેરેના શ્રમ અને પ્રતિકૂળ આબોહવાને કારણે આનંદીની તબિયત બગડી. ડિપ્થેરિયા થયો. રોગ એટલી હદે વધી ગયો કે બચવાની આશા ન રહી. પણ સાથી મિત્રોની સારવારથી તેઓ સ્વસ્થ બન્યા. ૧૮૮૫માં ગોપાલરાવ આનંદીબાઈને જાણ કર્યા વિના અમેરિકા પહોંચ્યા. કોઈ સૂચના વિના આનંદીબાઈ રહેતા હતા ત્યાં પહોંચ્યા. સાંજે આનંદીએ પતિને ઘરે જોયા અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. આનંદીબાઈને જોતા જ ગોપાળરાવની શંકાનું સમાધાન થઇ ગયું કે એ જરા પણ બદલાયા ન હતા. આનંદીબાઈએ પણ કોઈ ચર્ચા કરી નહીં. મુસાફરીની હાલાકીથી ગોપાલરાવ ત્યાં બીમાર પડ્યા તો આનંદીની પ્રેમાળ સારવારથી થોડા જ સમયમાં સ્વસ્થ થઈ ગયા. પણ એના રહેણાકનો ફાયર પ્લેસ ધુમાડિયો હતો, જેના કારણે આનંદીને સતત તાવ, ઉધરસ રહેતાં. આનંદીબાઈ ફરી ડિપ્થેરિયાના રોગમાં સપડાયા. ડૉક્ટર બનવાની અદમ્ય ઈચ્છાને લીધે બીમારી વચ્ચે પણ એમણે અભ્યાસ ચાલુ રાખ્યો.
આનંદીબાઈએ ‘હિંદુ આર્યોમાં પ્રસુતિશાસ્ત્ર’ પર થિસિસ લખી. એમને એમ.ડી.ની સર્વશ્રેષ્ઠ ડિગ્રી પ્રાપ્ત થઈ. પદવીદાન વખતે સમાજસુધારક પંડિતા રમાબાઈ પણ ત્યાં હાજર હતા. જેની બીમાર પુત્રીની સારવાર પણ આનંદીબાઈએ કરી. ૧૧માર્ચ ૧૮૮૬ના દિવસે પોતાના પતિ ગોપાલરાવ અને પ્રેરણામૂર્તિ પંડિતા રમાબાઈની ઉપસ્થિતિમાં આનંદીબાઈ જોશીએ એમ.ડી.ની ડિગ્રી મેળવી. ગોપાલરાવ યુરોપ થઈ ભારત પહોંચ્યા. પણ આનંદીબાઈ હજુ અમેરિકામાં જ હતા. એના ડૉક્ટર બન્યાની ખબર પડતા કોલ્હાપુરના રાજાએ આનંદીબાઈને નોકરીની ઓફર કરી પોતાના રાજ્યની આલ્બર્ટ એડવર્ડ હોસ્પીટલમાં સ્ત્રી-વિભાગના વડા તરીકે નિયુક્ત કર્યા અને સાથે સ્વદેશ પરત ફરવાનો ખર્ચ પણ મોકલી આપ્યો.
પાછા ફરવાની તૈયારી કરતા હતા ત્યાં જ એક ગરીબ સ્ત્રીને પ્રસુતિની તકલીફમાં હોવાના સમાચાર મળતા સૌની ના હોવા છતાં સારવાર કરી એને બચાવી. પણ ખુદ પોતે રોગનો ભોગ બન્યા. ડૉક્ટર પોતે જ દર્દી બન્યા. બગડેલા સ્વાસ્થ્ય સાથે લાંબી મુસાફરી કરવાથી આનંદીબાઈ વધુ બીમાર થયા. ૧૬ ડીસેમ્બર, ૧૮૮૬નાં રોજ તેઓ ભારત પહોચ્યા ત્યારે એમનું ભવ્યાતિભવ્ય સ્વાગત થયું. ગોપાલરાવ આનંદીને લઈને પૂણે આવ્યા પરંતુ સ્વાસ્થ્ય વધુ ખરાબ થયું. ૨૮ ફેબ્રુઆરી, ૧૮૮૭ના રોજ તેઓએ આ દુનિયામાંથી વિદાય લીધી. મરાઠા સમાજ પણ શોકાતુર થઈ ગયો.
સંસ્કૃત ભાષાના મહાજ્ઞાની અને ભારતીય વેદ-ઉપનીષદના વિદ્વાન અભ્યાસી જર્મન સ્કૉલર મેક્સ મૂલર દ્વારા લિખિત પુસ્તક ‘માય ઇન્ડિયન ફ્રેન્ડ્ઝ’માં પંડિતા રમાબાઈ તથા ડૉક્ટર આનંદીબાઈ જોશી પર વિસ્તૃત લેખો છે. મેક્સ મૂલરને પંડિતા રમાબાઈ તથા આનંદીબાઈ જોશી પ્રત્યે ખૂબ માન હતું. ૧૮૮૮માં કેરોલીન હેલી ડોલ નામના નારીવાદી લેખિકાએ આનંદીબાઈનું જીવનચરિત્ર પ્રકાશિત કર્યું હતું. તેમાં આનંદીબાઈના જીવનની અનેક અજાણી હકીકતો બહાર આવી. દૂરદર્શન પર કમલકર સારંગ વડે દિગ્દર્શિત ‘આનંદી ગોપાલ’ નામની હિંદી ધારાવાહિક પ્રસારિત થઇ હતી. શ્રીક્રિશ્ના જોશીએ આનંદીબાઈના જીવન પરથી ‘આનંદી ગોપાલ’ નામે એક નવલકથા લખી હતી. તેનું અંગ્રેજી ભાષાંતર આશા દામલે અને નાટ્ય રૂપાંતર રામ જોગલેકર દ્વારા કરવામાં આવ્યું છે. મરાઠી લેખિકા અંજલિ કીર્તનેએ આનંદીબાઈના જીવન પર ઊંડું સંશોધન કરીને ‘ડો.આનંદીબાઈ જોશી: કાલ આની કર્તુત્વ’ નામનું મરાઠી પુસ્તક પણ લખ્યું છે.
તેમના મૃત્યુ પછી સંશોધનમાં એવું પણ બ્હાર આવ્યું કે તેમના મૃત્યુ માટે પતિ ગોપાલરાવની મહત્વકાંક્ષાઓ પણ જવાબદાર હતી. આનંદીના અભ્યાસને લઈને તેઓ ઘણા સ્ટ્રીક્ટ હતા. આ સિવાય મરાઠી અને હિન્દીમાં તેમના જીવન પર ઘણી શોર્ટ ફિલ્મ પણ બની છે. આનંદીબાઈનાં સંઘર્ષમય અને પ્રેરણાદાયી જીવનને વણી લઈને ડિરેક્ટર સમીર વિદ્વાંસે એક મરાઠી ફિલ્મ પણ બનાવી છે. અનેક વિઘ્નો પાર કરીને ભારતના પ્રથમ મહિલા તબીબ બનવાની સિદ્ધિ મેળવનાર ડૉ. આનંદીબાઈ જોષીની વાત લઈને આવતું દિગ્દર્શક મનોજ શાહનું નાટક ‘ડૉ. આનંદીબાઈ – લાઈક, કમેન્ટ, શેર’ એમના ડૉક્ટર બનવાની વાતને બખૂબી પ્રસ્તુત કરે છે.
સૌરમંડળમાં ચંદ્ર પછી બીજા નંબરના સૌથી તેજસ્વી એવા શુક્ર ગ્રહ પર પૂર્વ દિશામાં ૩૪.૩ કિ.મી.નો વ્યાસ ધરાવતો મહાકાય ખાડો આવેલો છે. આ ખાડાને આનંદીબાઈ જોશીના નામ પરથી ‘Joshee’ (જોશી) નામ અપાયું છે. અમેરિકાની વિનસ મેગનલ ક્રેટર ડેટાબેઝ નામની સંસ્થા જુદા જુદા ક્ષેત્રની મહિલાઓને સન્માન આપવાના હેતુથી શુક્રના વિવિધ ખાડાને આ રીતે નામ આપે છે. આનંદીબાઈએ મેડિકલમાં ડિગ્રી મેળવી ત્યારે રાણી વિક્ટોરિયાએ પણ મેડિકલ કોલેજના ડીન ડૉક્ટર રેચલ બોડલીને પત્ર લખીને બ્રિટીશ હિંદુસ્તાનની પ્રથમ મહિલા ડૉક્ટર આનંદીબાઈ જોશીની સિદ્ધિને બિરદાવી હતી અને તેમને શુભેચ્છા સંદેશ મોકલ્યો હતો.
આનંદીબાઈએ ૧૩૧ વર્ષ પહેલા એમ.ડી.ની ડિગ્રી લઈને ભારતના પહેલા મહિલા ડૉક્ટર બનવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તેમ ૧૨૮ વર્ષ પહેલા મોતીબાઈ કાપડિયા નામની મહિલાએ પણ આવી જ સિદ્ધિ મેડીકલ ક્ષેત્રે મેળવીને ગુજરાતના પહેલા મહિલા ડૉક્ટર બનવાનું બહુમાન મેળવ્યું હતું. ગૂગલે ડૂડલ બનાવીને ભારતના પ્રથમ મહિલા ડોકટર આનંદી ગોપાલ જોશીના ૧પ૩માં જન્મદિને તેમના સંસ્મરણો વાગોળ્યા હતા અને તેમને સ્મરણાંજલિ પાઠવી હતી. ડો. જોશીનું ડૂડલ બેંગ્લૂરની આર્ટિસ્ટ કાશ્મીરા સરોડેએ બનાવ્યું હતું જેમાં તેમને મેડિકલ ડિગ્રી સાથે બતાવવામાં આવ્યાં છે. ગૂગલે પોતાના બ્લોગમાં લખ્યું છે કે ડીગ્રી મેળવ્યાં પછી તેમનો ભારત પરત આવવાનો હેતુ મહિલાઓ માટે મેડિકલ કોલેજ બનાવવાનો હતો. ફક્ત ૨૨ વર્ષની ઉંમરે ટીબીથી મૃત્યુ થતા તેઓ તબીબી સેવામાં પ્રેક્ટીસ કરી જ ન શક્યા. દેશવાસીઓની સેવા કરવાની એમની ઉદ્દાત્ત ભાવના અધૂરી જ રહી ગઈ. તેમના અંતિમ શબ્દો હતા, ‘મારાથી બન્યું તે બધું મેં કર્યું છે’. આનંદીબાઈના પરિવારે તેમના અસ્થિફુલ અમેરિકા મોકલ્યા હતા જે આજે પણ કાર્પેન્ટર પરિવારના સ્મશાનમાં તૈયાર કરાયેલી આનંદીબાઈની સમાધિમાં સચવાયેલા છે.
ઇતિ
ખરાબ સમાચાર માટે આપણે ટપાલીને દોષ ન દેવો જોઈએ. એ જ રીતે જો આપણે જ ખરાબ સમાચારોનું સર્જન કર્યું હોય તો પછી અખબારોને શા માટે દોષ દેવો જોઈએ ?
અમિતાભ બચ્ચન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
