વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલ્મી ગઝલો – ૧૦૦. સાગર નિઝામી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રુંખલામાં એવા અનેક ગઝલકારો સમાવિષ્ટ થયા છે જેમણે ફિલ્મોમાં જે પ્રદાન કર્યું એ એમની ઉર્દુ સાહિત્યની વાસ્તવિક ઊંચાઈની સરખામણીએ કોઈ વિસાતમાં નહોતું. ( આગા જાની કાશ્મીરી, અખ્તર ઉલ ઈમાન, અખ્તર શીરાની વગેરે ). આ શ્રેણીના આ સોમાં હપ્તામાં આજે આવા એક શાયર સાગર નિઝામીની વાત કરીએ. ( જેમની ફિલ્મી રચનાઓ એમના સમગ્ર સાહિત્યની સરખામણીએ હિમશિલાની ટોચ સમાન છે એવા સર્વોચ્ચ અને મહાન મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની ફિલ્મી ગઝલોથી આ શ્રૂંખલાનું સમાપન કરીશું, પણ એ માટે હજુ થોડાંક હપ્તાની પ્રતીક્ષા ! )

    સાગર નિઝામીનું અસલ નામ હતું સમદ યાર ખાન. એમની ગઝલો અને નઝ્મોના છ દીવાન પ્રસિદ્ધ થયેલા. એમના સમગ્ર સર્જનના લેખાંજોખાં ધરાવતું પુસ્તક ‘ સાગર નિઝામી – ફન ઔર શખ્સિયત ‘ વિવેચક ઝમીર અલી ખાન દ્વારા ૧૯૮૫ માં પ્રકાશિત થયેલું. ઉર્દુ સાહિત્યમાં એમના રુતબાનો અંદાજ એ હકીકતથી મળી રહે કે એમની સાહિત્ય સેવાઓ માટે ૧૯૬૯ માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયેલો.

    ગૈર ફિલ્મી ગઝલોના શોખીનોએ માસ્ટર મદનની ગાયેલી બે સુવિખ્યાત ગઝલ ‘ યૂં ન રહ રહ કર હમેં તરસાઈયે ‘ અને ‘ હૈરત સે તક રહા હૈ જહાને વફા મુજે ‘ જરૂર સાંભળી હશે. એના રચયિતા હતા સાગર નિઝામી સાહેબ.

    તેઓ ૧૯૮૩ માં અવસાન પામ્યા.

    બાનો, મેંહદી, ખેલ, લાજ, સૂરત જેવી ગણીગાંઠી ફિલ્મોમાં એમણે ત્રીસેક ગીત લખ્યા. એમાં ગઝલ માત્ર આ એક જ –

    વો હમસે જો  રૂઠે હૈં નારાઝ ઝમાના હૈ
    દેખો ઉનકો મનાના ક્યા દુનિયા કો મનાના હૈ

    દેખો વો કિધર જાએં ઉલ્ફત કે દોરાહે મેં
    એક સમ્ત મુહબ્બત હૈ એક સમ્ત ઝમાના હૈ

    તૂફાં કા ભરોસા ક્યા કશ્તી કી શિકાયત ક્યા
    મૌજોં સે કિનારે તક તુજે ડૂબ કે જાના હૈ

     દુનિયા તો મેરી તુમ હો, કિસ્મત તો મેરી તુમ હો
    કિસ્મત સે ગિલા તુમ હો, કિસ્મત તો બહાના હૈ..

    – ફિલ્મ : લાજ ૧૯૪૬
    – એસ ડી બાતિશ
    – રામચંદ્ર પાલ

    ( ગઝલના શબ્દોમાં ચૂક સંભવ છે કારણ કે વિડીયો સંસ્કરણમાં અવાજ સાવ અસ્પષ્ટ છે જે સાંભળીને આ ગઝલ લખી છે. )


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૪ – आनेवाला पल जानेवाला है

    નિરંજન મહેતા

    ૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નું આ ગીત બહુ જાણીતી ફિલસુફી પર આધારિત છે.

    आनेवाला पल जानेवाला है
    आनेवाला पल जानेवाला है
    हो सके तो इसमें जिंदगी बिता दो
    पल जो ये जानेवाला है

    एक बार यूँ मिली, मासूम सी कली
    एक बार यूँ मिली, मासूम सी कली
    हो खिलते हुए कहा, खुशबाश मैं चली
    देखा तो यहीं है, ढूंढा तो नहीं है
    पल जो ये जानेवाला है

    एक बार वक्त से, लम्हा गिरा कहीं
    एक बार वक्त से, लम्हा गिरा कहीं
    वहाँ दास्ताँ मिली, लम्हा कहीं नहीं
    थोडा सा हँसा के, थोडा सा रुला के
    पल ये भी जानेवाला है

     

    કહે છે કે દરેક પળ ક્ષણજીવી હોય છે. આવેલી ક્ષણ થોડાક જ સમયમાં જતી રહે છે. આ જનારી પળને તમે ભોગવી શકો તો ભોગવી લો. કારણ ક્યારે તે જતી રહી તેની તમને જાણ પણ નહી રહે.

    જેમ ફૂલની કળી નાજુક હોય છે પણ જોતજોતામાં તે કળીમાંથી ફૂલમાં પરિવર્તિત થઇ જાય છે તેનો ખયાલ આવતો નથી. એક પળ તે કળી હોય છે તો બીજી પળે તે ફૂલ બની જાય છે. ત્યારબાદ શોધશો તો પણ તે કળી મળશે નહી. તેવું જ હાથમાં આવેલી પળનું છે. લાગે કે તે છે પણ તે હકીકતમાં તરત જ વીતી જાય છે અને શોધશો તો પણ તે પળ ફરી મળશે નહી. તેથી હાથમાં આવેલી પળનો સમજી વિચારીને ઉપયોગ કરી લો.

    જેમ સમયથી દૂર ગયેલી ક્ષણ ફરી મળતી નથી તેમ હાલની પળ થોડું સુખ અને થોડું દુઃખ આપીને જતી રહેવાની છે તે સમજશો તો તમને તેનો અફસોસ નહી રહે.

    અમોલ પાલેકર પર રચાયેલ આ ગીતના રચયિતા છે ગુલઝાર જેણે સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે  કિશોરકુમારનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ઋતુના રંગ : ૧ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર

    તા. ૨-૧-૩૬

    વહાલાં બાળકો !

    ‘ બુધવારિયા ‘માં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે.

    જુઓ, હમણાં શિયાળો ચાલે છે.

    શિયાળે શીતળ વા વાય,
    પાન ખરે, ઘ‌ઉં પેદા થાય.

    આ કવિતા તમે પહેલાં કોઈ દિવસ વાંચી છે ? આપણા કવિ દલપતરામ ડાહ્યાભાઈએ એ લખેલી છે.

    શિયાળામાં અનાજમાં ચણા ને ઘ‌ઉં થશે. શાકમાં રીંગણાં થશે; કોબી, પાપડી, મૂળા, મોગરી, સરગવો, વગેરે થશે.

    લોકો ઘરમાં પાક કરશે : મેથીપાક, અડદિયો પાક, ગોળપાપડી ને એવા પાકો.

    સૌને ટાઢ વાશે એટલે ગરમ કપડાં પહેરશે, સગડીએ તાપશે અને તડકે બેસશે.

    શિયાળામાં હાથપગ ફાટી જશે ને તડિયાં પડશે. લોકો કોકમનું ઘી, વેસેલીન, ઝાંબુક ને એવું ચોપડશે.

    જુઓ, આ શિયાળો છે. મેં લખ્યું એમ જ બધું છે ને ?”

    તમારા

    ગિજુભાઈના આશીર્વાદ


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • અમેરિકન મહેમાન

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક નાનકડું વન હતું. એમાં ઘણા બધા વૃક્ષો હતાં. કોઈ નાના તો કોઈ મોટા. નાના વૃક્ષો ઉપર પોપટ, કાબર, હોલા, કાગડા જેવા નાના પક્ષીઓ રહે અને મોટા વૃક્ષો ઉપર સમડી અને ઘુવડ જેવા મોટા પક્ષીઓ રહે. જાતજાતની બધી ચકલીઓ વળી ત્યાંથી થોડેક દૂર એક સાવ નાના ઝાડ ઉપર પોતાના માળા બનાવીને રહેતી હતી. ચકલીઓ સતત વાતો બહુ કર્યા કરતી. એટલે બધાએ એમને જુદી રહેવા મોકલી દીધી હતી. બધાં પક્ષીઓ પોતપોતાની રીતે દિવસે કે રાત્રે ખોરાકની શોધમાં નીકળે. નાના પક્ષીઓ સવારમાં ગીતો ગાય અને આનંદ કરે. કોઈ કોઈને હેરાન કરે નહીં. એવું લાગે જાણે કે એ પક્ષીઓનું જ વન હતું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ વનમાં એક દિવસ એક નવું, નાનકડું પંખી આવ્યું. એ ઊડતું ઊડતું આવ્યું અને એક નાના વૃક્ષ ઉપર બેઠું. એનો ઉપરનો ભાગ ભૂખરો અને પેટનો ભાગ ઘેરા નારંગી રંગનો હતો. એ ખૂબ થાકેલું હોય એવું લાગતું હતું. બધા પંખીઓ એની સામે જોઈ રહ્યાં. થોડી વાર પછી બધા પંખીઓનો પ્રશ્ન લઈને પોપટ એની પાસે ગયો અને પૂછ્યું, ‘એ નાનાં પંખી, તું કોણ છે? ક્યાંથી આવ્યું છે? અમે તારા જેવું પંખી પહેલા જોયું નથી.’

    પેલું પંખી થોડું ગભરાઈ ગયેલું હતું. પણ પોપટ એની સાથે સરસ રીતે બોલ્યો એટલે એનો ગભરાટ થોડો ઓછો થયો. એણે કહ્યું, “મારું નામ રોબીન છે. હું અમેરિકાથી આવ્યું છું.’

    “અમેરિકાથી? ઓહોહો. એ તો બહુ દૂર છે. તું ત્યાંથી આટલે દૂર કેવી રીતે આવ્યું? થોડે દૂર બેસીને રોબીનની વાત સાંભળતો કાગડો બોલ્યો.

    “અરે એક વાર હું મારા ઘર નજીકના એરપોર્ટ નજીકના ઘાસમાં જીવડાં ખાવા ગયું હતું. ત્યાં મેં એક એરોપ્લેન જોયું. એને નજીકથી જોવા માટે હું એની ઉપર બેઠું અને એ તો ઊડ્યું. હું કંઈ વિચારું એ પહેલાં તો એ બહુ ઉપર પહોંચી ગયું હતું. હું તો આંખ બંધ કરીને બેસી જ રહ્યું. ઉપર ઠંડી બહુ હતી પણ મને ઠંડીની ટેવ છે એટલે વાંધો ન આવ્યો. એરોપ્લેન અહીંથી થોડે દૂર ઊભું રહ્યું. મેં ત્યાંથી અહીં આટલા બધાં ઝાડ જોયા એટલે હું અહીં આવ્યું. રોબીને લાંબો જવાબ આપ્યો.

    રોબીન દૂરદૂરથી આવ્યું છે એ જાણીને બધા પંખીઓ એને વીંટળાઈ વળ્યાં. કાબરો એને માટે થોડા જીવડાં લઇ આવી. રોબીન બહુ ભૂખ્યું હતું. એણે કાબરોનો આભાર માનીને જીવડાં ખાઈ લીધા.

    થોડી વાર પછી કબૂતરે એને પૂછ્યું, ‘હવે તું તારે ઘેર પાછું કેવી રીતે જઈશ?”

    હું એને કાલે સવારે એરપોર્ટ ઉપર મૂકી આવીશ.’ કાગડો બોલ્યો. એણે આજુબાજુના બધા  વિસ્તાર જોયેલા હતા.

    રોબીનનો અવાજ બહુ મીઠો હતો. એણે આ બધાં પંખીઓ સાથે એના દેશની ઘણી વાતો કરી. સાંજ પડવા આવી એટલે એણે પૂછ્યું, “હવે આજે રાત્રે હું સૂઇશ ક્યાં? તમે બધા તો મારાથી અલગ છો. અહીં મારા જેવા રંગનું કોઈ પક્ષી હોય તો હું એની સાથે સૂઈ જઈશ.’

    આ સાંભળીને બધાં પંખી વિચારમાં પડ્યા. (હમમ. એની વાત તો સાચી છે. એને એના જેવા પંખી સાથે જ ફાવે.”

    કાગડો કહે “ચલ હું તને તારા જેવા રંગના અહીંના પંખી બતાવું. તારે જેની સાથે રહેવું હોય એની સાથે રહેજે.”

    રોબીન ખુશ થયું. કાગડો તો રોબીનને સાથે લઈને ઊડ્યો અને ગયો પેલા વૃક્ષ તરફ જ્યાં મોટા પક્ષીઓ રહેતાં હતાં. એણે એ ઝાડની ડાળોની વચ્ચે એક ઘુવડને સૂતેલું જોયું. એણે રોબીનને એ બતાવતા કહ્યું, “જો, આ પક્ષીનો રંગ તારા રંગથી મળતો આવે છે. એનું નામ ઘુવડ છે. એ દિવસે સૂઈ જાય અને રાત્રે ફરવા નીકળે. રાત્રે એની જગ્યા ખાલી હશે. તારે ત્યાં સૂઈ જવું છે?

    રોબીને ઘુવડને જોયું અને બોલ્યું, “ના,ના. રાત્રે મારે એકલા નથી સૂઈ જવું. મને ડર લાગે. અમે તો બધા સાથે જ રહીએ. હું એકલું નહીં સૂઈ જાઉં.”

    કાગડો કહે, ‘સારું. કંઈ વાંધો નહીં.’ પછી એણે એ ઝાડની સહુથી ઉપરની ડાળ પર એક સમડીને બેઠેલી જોઈ. એણે રોબીનને કહ્યું, “જો, આ સમડી. એનો રંગ તારાથી મળતો આવે છે. બોલ, તારે એની સાથે રહેવું છે?’

    એટલામાં તો સમડી ત્યાંથી ઊડી અને હવામાં તરતી હોય એવી રીતે ચકરાવા મારવા માંડી. સાથે સાથે એ તીણા અવાજે ચીસો પાડતી હોય એવું બોલતી પણ હતી. રોબીન તો એ બધું જોઇને ગભરાઈ જ ગયું.

    કાગડાની સોડમાં લપાતા એ ધીમા અવાજે બોલ્યું, “ના, મને આની તો બીક લાગે છે. મને જલ્દી અહીંથી લઇ જાઓ.’

    હવે કાગડો વિચારમાં પડ્યો. એણે કહ્યું, ‘અહીંથી થોડેક દૂર રેતીનું મેદાન છે. ત્યાં તારા જેવા રંગનું ગીધ પણ જોવા મળે છે. પણ એની વળેલી ચાંચ અને પગના નખ જોઇને તો હું પણ ડરી જાઉં છું. એટલે તને તો બતાવીશ જ નહીં. દૂર દૂર એક બહુ ઊંચા ઝાડ ઉપર તારા જેવા રંગનું એક ગરુડ ક્યારેક આવે છે. પણ એ તો બહુ મોટું પક્ષી. અને ક્યારેક જ દેખાય. હવે તને ક્યાં લઈ જાઉં?’

    કાગડાની વાત સાંભળીને રોબીન તો રડવા જેવું થઇ ગયું. હવે ધીરે ધીરે અંધારું પણ થવા માંડ્યું હતું.
    ત્યાં તો પેલા નાના વૃક્ષ ઉપરથી આવતો ચકલીઓનો કલબલાટ કાગડાના કાને પડ્યો. એ તો પોતાની ચાંચ પહોળી કરીને ખડખડ હસી પડ્યો અને કહે, “ધત તેરીકી. આ મને કેમ સૂઝ્યું નહીં! ચલ ચલ.”

    કાગડો તો રોબીનને લઈને ગયો ચકલીઓ પાસે અને એમને બધી વાત કરી. ચકલીઓ તો લગભગ પોતાના જેવા જ દેખાતા આ અમેરિકન મહેમાનને જોઈને ઘણી ખુશ થઇ. એમણે એક મોટા માળામાં એને માટે જગ્યા કરી આપી. ચકલીઓએ રોબીનને થોડા કીડા પણ ખાવા માટે આપ્યા. રોબીનને પણ અહીં બહુ ગમ્યું. એ લોકોએ ખાસી વાર સુધી વાતો કરી અને પછી ઊંઘી ગયા.

    સવારે કાગડો રોબીનને લેવા આવી ગયો. રોબીને બધાનો ખૂબ આભાર માન્યો. કાગડો એને એરપોર્ટ સુધી મૂકી આવ્યો. એરોપ્લેન ઉપર બેસીને રોબીન પાછું પહોંચી ગયું એને ઘેર.

    હજુ એ ભારતમાં મળેલા એના દોસ્તોને બહુ યાદ કરે છે. એ બધાને કહે છે, “ભારતમાં મહેમાન બનીને જવાની બહુ મજા આવે. ત્યાંના પંખીઓ બહુ સારાં છે.’


    ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯

  • મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ જેવી વિભાવના ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણી ચર્ચાતી રહી. આ સદીમાં અનેક યુદ્ધ થયાં, સમગ્ર વિશ્વનાં ઈતિહાસ અને ભૂગોળ બદલાતાં રહ્યાં, દૂર રહ્યે રહ્યે વાર કરી શકાય એવાં શસ્ત્રોનો ઊપયોગ જોવા મળ્યો. આ બધાની સીધી અસર માનવજીવન પર થતી રહી. કળાનાં અનેક સ્વરૂપો પણ આ ગાળામાં વિકસતાં ગયાં, વધુ વ્યાખ્યાયિત થતાં ગયાં. કળા એક એવા સમૂહમાધ્યમ તરીકે ઊભરતું ગયું કે જે જનસામાન્યને પ્રભાવિત કરી શકે. કળાકારો વખતોવખત પોતાની કળા દ્વારા કોઈ મુદ્દે લોકોનું ધ્યાન આકર્ષવા પ્રયત્ન કરતા આવ્યા છે. ઘણા કિસ્સામાં લોકોની સંવેદનાઓને ઝંઝોડવામાં તેઓ સફળ નીવડે છે, તો મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ પ્રસારમાધ્યમનાં મથાળાંમાં ચમકવાથી વિશેષ રીતે ધ્યાન આકર્ષી શકતા નથી.

    આવો વધુ એક કિસ્સો માર્ચ,૨૦૨૫ના પ્રથમ સપ્તાહમાં બન્યો. લ્યુસિઆ, સાયમન અને બેન્‍જામિનની ચોરી થઈ. આ નામ ડુક્કરનાં ત્રણ બચ્ચાનાં છે. ચોરી થઈ એ સ્થળ છે ડેન્માર્કના શહેર કોપનહેગનમાં યોજાયેલું એક ચિત્રપ્રદર્શન. આટલું જાણીને સવાલ થયા વિના રહે નહીં કે ડુક્કરનાં બચ્ચાં આર્ટ ગેલરીમાં શું કરતાં હતાં.

    મામલો જાણવા જેવો છે. ડેનીશ કલાકાર માર્કો ઈવેરીસ્તીએ એક પ્રદર્શન યોજ્યું હતું, જેમાં તેમણે વિવિધ ઈન્‍સ્ટોલેશન પ્રદર્શિત કર્યાં હતાં. ઈન્‍સ્ટોલેશનને સ્થાપનકળા તરીકે ઓળખાવવામાં આવે છે. એ ત્રિપરિમાણીય અને વિવિધ સામગ્રીના ઊપયોગથી બનાવી શકાય છે. માર્કોએ બીજી અનેક કળાકૃતિઓની સાથોસાથ ડુક્કરનાં ત્રણ બચ્ચાંને પ્ર્રયોજીને એક કૃતિ તૈયાર કરી. સમગ્ર પ્રદર્શનનું નામ રાખ્યું, ‘એન્‍ડ નાઉ યુ કેર?’ એટલે કે ‘છેક હમણાં તમને દરકાર લેવાનું સૂઝ્યું?’ તેમનું આ શિર્ષક બહુ સૂચક હતું. ડેન્માર્કમાં ફાલેલા ડુક્કરના માંસના ઉદ્યોગને કારણે થતી ડુક્કરની બદહાલી તરફ ધ્યાન દોરવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. બદતર સ્થિતિમાં ઉછરી રહેલાં હજારો ડુક્કરો મરણને શરણ થાય છે. આ હકીકત બાબતે ડેનિશ લોકોને ‘જાગ્રત કરવાનો’ તેમનો હેતુ હતો.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    બે શોપિંગ કાર્ટને આડી પાડીને તેનાથી બનતી પાંજરા જેવી જગ્યામાં પરાળ મૂકીને તેની પર ડુક્કરનાં ત્રણ બચ્ચાંને કૃતિ તરીકે પ્રદર્શિત કરાયાં હતાં. વધુમાં આ પ્રદર્શન કલાકારે એક ભૂતપૂર્વ કસાઈના વેરહાઉસમાં યોજેલું. દિવાલ પર વિશાળ કદનો ડેન્માર્કનો ધ્વજ તેમજ કતલ કરાયેલાં ડુક્કરનાં ચિત્રો ટાંગવામાં આવેલાં. આશય એ હતો કે તેમને માત્ર પાણી પર જ રાખવામાં આવે અને કશો ખોરાક ન અપાય. આ રીતે તેઓ પાંચ દિવસ સુધી ટકી શકે, અને છેલ્લે મૃત્યુ પામે. આ પાંચ દિવસ દરમિયાન કલાકાર માર્કો પોતે પણ કશો ખોરાક લેવાના ન હતા. આમ કરવાનો હેતુ એ દર્શાવવાનો હતો કે પ્રદર્શિત કરાયેલાં ડુક્કરનાં બચ્ચાં સાથે થાય છે એવો જ વહેવાર બહાર બીજાં હજારો ડુક્કર અને તેનાં બચ્ચાં સાથે કરવામાં આવે છે, પણ એનાથી કોઈના પેટનું પાણી સુદ્ધાં હાલતું નથી. આ જોઈને તેમને એટલો તો ખ્યાલ આવે કે પોતે જેનું માંસ આરોગે છે એ પ્રાણી સાથે કેવો વહેવાર કરવામાં આવે છે!

    આ પ્રદર્શન થકી લોકોનું ધ્યાન દોરાય ન દોરાય ત્યાં પ્રાણીઓના હિત માટે કામ કરતા કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. જે ક્રૂરતાનો પોતે વિરોધ કરી રહ્યા છે એ જ ક્રૂરતા તેઓ પોતે જ આચરી રહ્યા હોવાનો તેમની પર આક્ષેપ મૂકાયો. કાર્યકર્તાઓ સ્થળતપાસ માટે આવ્યા અને તેઓ નીકળ્યા એ પછી ગણતરીની મિનીટોમાં જ ડુક્કરનાં બચ્ચાં અદૃશ્ય થઈ ગયાં. પછી એમ પણ જણાયું કે માર્કોના એક મિત્રે જ આ કામમાં સહાય કરી હતી.

    ‘ડેનિશ એગ્રીકલ્ચર એન્‍ડ ફૂડ કાઉન્સિલ’ના આંકડા અનુસાર ડેન્માર્કમાં ડુક્કરનો ઉછેર કરતાં પાંચેક હજાર ફાર્મ છે, જેમાં વરસેદહાડે ૨.૮ કરોડ ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. એમાંના ઘણાની કતલ કરવામાં આવે છે, જેમાંના ૭૦ ટકાથી વધુ માંસનો જથ્થો યુરોપિયન યુનિયનમાં નિકાસ કરવામાં આવે છે. એનિમલ પ્રોટેક્શન ડેન્માર્કના ફાર્મ એનિમલ્સ એન્‍ડ મીન્‍કનાં મુખ્ય સલાહકાર બર્જટ ડેમના જણાવ્યા મુજબ રોજેરોજ ડેન્માર્કના ફાર્મોમાં પચીસેક હજાર જેટલાં ડુક્કરનાં બચ્ચાં મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ ભૂખમરો છે, કેમ કે, ડેન્માર્કની માદા ડુક્કર વીસ બચ્ચાંને જન્મ આપી શકે એવી રીતે તેની જાતને તૈયાર કરવામાં આવી છે, પણ તેને ફક્ત ચૌદ જ સ્તનાગ્ર હોય છે, જેથી તમામ બચ્ચાંને પૂરતું દૂધ મળી શકતું નથી. ડેમે કહ્યું, ‘ડેનિશ ડુક્કર ઉદ્યોગ ક્ષેત્રે લાખો ડુક્કર પ્રત્યે સેવાતી બેદરકારી અને તેના માટે વ્યાપેલા ગુસ્સો તથા હતાશાને અમે બરાબર સમજીએ છીએ. દાયકાઓથી આ ચાલી રહ્યું છે, અને એ તદ્દન અસ્વીકાર્ય બાબત છે. આમ છતાં, પોતાનો મુદ્દો પુરવાર કરવા માટે ત્રણ બચ્ચાંને આ રીતે મરવા દેવાની મંજૂરી આપી શકાય નહીં.’

    બચ્ચાં ચોરાઈ જવાની ઘટના બનતાં જ માર્કોએ પ્રદર્શન અટકાવી દીધું.

    પ્રદર્શિત કરાયેલાં ત્રણ બચ્ચાંનો જીવ બચ્યો હોવાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ જે મુદ્દો ઉઠાવવા માટે માર્કોએ આ કર્યું એનું શું? બર્જટ ડેમે સુદ્ધાં વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે એનો અર્થ એ કે આ પરિસ્થિતિ કંઈ અજાણી કે અણધારી નથી. પણ એ દિશામાં ભાગ્યે જ કશાં નક્કર પગલાં લેવાશે એમ લાગે છે.

    માર્કો જેવા કલાકારો ‘જીવન ખાતર કળા’ કરવા જાય ત્યારે તેમની અભિવ્યક્તિમાં રહેલી આત્યંતિકતાને કારણે વગોવાય છે, પણ એથી અનેક ગણી આત્યંતિકતા સૌને કોઠે પડી ગઈ છે, અને રોજિંદા જીવનમાં સહજસ્વીકૃત બની રહી છે. એ બાબતે ભાગ્યે જ વિચારાય છે.


    (શિર્ષકપંક્તિ: દુષ્યંતકુમાર)


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭- ૦૪– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંસ્પર્શ-૧૦

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    સમુદ્રાન્તિકે જ્યારે હું વાંચું છું ,ત્યારે તેમાં બધાંની જેમ મને ધ્રુવદાદાની નવલકથામાં અનુભવકથા, આત્મકથા કે પ્રવાસવર્ણન તો જણાય જ છે, પણ મને સૌથી વધુ દેખાય છે ભારતનાં જ જુદાજુદા પ્રાંતમાં રહેતાં લોકોનો સંસ્કૃતિભેદ. બે સાવ વિભિન્ન સંસ્કૃતિ – એક શહેરી ભણેલી ગણેલી સંસ્કૃતિ -જે પોતાની જાતને, પોતાના વિચારોને, પોતાની માન્યતાઓને, પોતાની સમૃદ્ધિ અને જ્ઞાનને વિશેષ સમજી, અહંકારમાં મસ્ત છે.

    તો બીજી દરિયાનાં ખારાપાટની અભણ, ગરીબ પ્રજા જે અંદ્ધશ્રદ્ધા સાથે પોતાની પરંપરાગત માન્યતાથી પોતાની મસ્તીમાં જીવતી પછાત પ્રજા છે, પરતું તેની સચ્ચાઈ અને પ્રેમસભર માનવતાવાદી નિર્મળ સંસ્કૃતિ કાબિલેદાદ છે.

    નવલકથાનો નાયક કેમિકલની ફેક્ટરી નાંખવાના સરકારી પ્રોજેક્ટનાં કામે થોડા સમય માટે દરિયાકિનારાનાં લોકો સાથે રહે છે. બહારથી અભણ, અજ્ઞાન, ગરીબ અંધશ્રદ્ધાથી ભરપૂર લાગતાં લોકોનાં, ભીતરથી ચળકતાં હીરા જેવા હૃદય, સંતોને શરમાવે તેવો પ્રેમથી ભરપૂર માનવતાવાદી વ્યવહાર, નાયકને પોતાની અંદર ઝાંખવાં પ્રેરે છે.

    અવલ જેવી દરિયા કાંઠે રહેતી સામાન્ય સ્ત્રીનાં અસામાન્ય અદના વ્યક્તિત્વથી નાયક બેઘડી વિચારનાં વંટોળમાં ખોવાઈ જાય છે. એક અભણ સ્ત્રીનું વ્યક્તિત્વ આટલું સબળ? દરિયાકાંઠાનાં એક એક પાત્રો, અવલ, નુરભાઈ, ક્રિષ્ના, બંગાળીબાબુ, દરિયે નહાવા આવનાર માજી- દરેકે દરેકનાં નોખા વ્યક્તિત્વોની સાથે રહી નાયક છેવાડાનાં માણસોની જીવનરીતી અને વિચારોની ઊંચાઈથી અભિભૂત થઈ જાય છે. નાની બાળકીઓ દેવકી અને જાનકીનાં એક એક વાક્યમાં જાણે એકએક ઉપનિષદનાં વાક્યો અને શાસ્ત્રોનું ગર્ભિત જ્ઞાન નાયકને દેખાય છે. તેમનાં વાણી અને વર્તનની સચ્ચાઈ, મેલાં હૃદયનાં શહેરી સમૃદ્ધ અને સાવ શુષ્ક હૃદયનાં માનવ-માનવ વચ્ચેનાં વેર-ઝેર ઈર્ષા અને દેખાડાથી ભરપૂર લોકો કરતાં સાવ જ જુદાં છે તે સમજાઈ જાય છે અને તેના ઉરમા એક તોફાન ઊઠે છે.

    અફાટ સમુદ્રનાં ભરતીનાં મોજાંનું પાણી, વિચારોનું એક ધસમસતું ટોળું બનીને આવી નાયકના મનને આમથી તેમ ફંગોળી વિચલિત કરી મૂકે છે. નાયકની શહેરી સંસ્કૃતિના વામણા વિચારોનાં અંધકાર પર ખારાપાટનાં અભણ,પરતું નિર્મળ હૃદયનાં લોકોનાં અભિભૂત કરી નાંખતાં વિચારોનો અજવાસ કબજો કરી લે છે. શહેરી સંસ્કૃતિમાં મિલકત માટે સગી માનાં પેટે જન્મેલ દીકરાઓ પણ કોર્ટે જાય છે, અંદરોઅંદર મારામારી કરે છે
    જ્યારે અહીં તો હાદા ભટ્ટ તેના ભાઈનાં દીકરા કેશા ભટ્ટને, જેને મરતાં સમયે તેના ભાઈએ હાદાની પત્ની ઉમાગોરાણીને સોંપેલો એ કેશોને હાદાએ પત્ની ઉમાગોરાણીની વાત સાંભળી સુલતાને આપેલ હવેલી, કૂવા સાથેની વાડીઓ, વજીફાં, જમીનો, ખેતરો બધું જ આપી દે છે.

    આવા ઈલમી આદમી, નાયકે શહેરમાં સપનામાં પણ ક્યાં જોયા હોય ! બંગાળીબાબુનું કાંકરાં હાથમાં લઈ કહેવું,’ તેરી યા મેરી કિંમત ઈસે જ્યાદા નહીં હૈ’

    સાંભળી કબીરવાણી યાદ આવી જાય,

    “ મત કર માયા કા અહંકાર ,મતકર કાયા કા અહંકાર ,કાયા ગારસે કાચી”

    આખા જગતને જીતવા નીકળેલ સિકંદર છેવટે ખાલી હાથે નનામી પર ચડે છે અને માટીમાં ભળે છે. આટલી સાવ સાદીસીધી વાત નાના માણસો જેટલી સરસ રીતે જાણે છે એટલી ,ભણેલા દંભી લોકો, એ વાત જાણવા છતાં નાસમજની જેમ જીવન જીવે છે. આ છે એક જ પૃથ્વી પર વસતાં જુદાજુદાં લોકોનાં વિચારભેદ.

    દરિયાને માત્ર દરિયો નહીં પણ દેવ સમજનાર આ અભણ લોકોનું ગણિત તો જુઓ ,”લાખો કરોડો જીવોને પોતાના પેટાળમાં પોસનાર દરિયો દેવ નહીં તો બીજું શું? “તેમનાં આવા ડગલે અને પગલે રજૂ થતાં વિચારો બેઘડી આપણને વિચારતાં કરી મૂકે છે !

    આમ સમુદ્રાન્તિકેનાં એક એક પાત્ર દ્વારા બોલાએલ સંવાદો તેમની ભીતરની નિર્મળતા ,વિચારોની ઉચ્ચતા અને ચારિત્ર્યની સ્વચ્છતાથી નાયકના દિલોદિમાગની જેમ આપણને પણ પલાળી દે છે. શહેરી અને છેવાડાનાં લોકોની સાંસ્કૃતિક ભેદરેખાનાં છેદ ઉડાડતાં હું શહેરી સંસ્કૃતિની વામણાઈથી શરમિંદગી અનુભવું છું અને નાયકની જેમ જ દરિયાને અને તેના પટ પર રહેતા ભોળાં માનવીઓને સલામ કરું છું.

    અને એટલે જ તો, દરિયાકાંઠાંનાં લોકોની આવી આવી વાતો કરતાં ધ્રુવદાદા ગાઈ ઉઠે છે.

    દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે,
    સમંદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યાં નામ છીએ આપણે.

    હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત એની ધરતીને સાંપડી સુગંધ,
    આપણો તો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ.

    સમંદરની છોળ જેમ સમંદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે,
    યાયાવર ગાન છીએ આપણે.

    પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ,
    ભાંગતાં કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ.

    માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકાં રોકાણ છીએ આપણે
    યાયાવર ગાન છીએ આપણે

    ધ્રુવદાદાએ આ ધ્રુવગીતમાં માનવજાતને દરિયાની છાતી પર ઢોળાતાં યાયાવર પક્ષીનાં ગાન સાથે સરખાવ્યાં છે. યાયાવર પક્ષી એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ ખેડતાં, ટોળાંમાં ચિચિયારીઓ કરીને દરિયા પર ઊડતાં પક્ષીઓ છે. આપણે પણ ટોળાંમાં રહીને જીવન પસાર કરી એક જન્મથી બીજા જન્મનાં ૮૪૦૦૦૦ લાખ ફેરાઓની ભવાટવીમાં પ્રવાસમાં મોજથી ફરી રહ્યાં છીએ. આપણાં જીવનસમંદરની પારનાં સરનામાં આપણી પાસે નથી. આપણે કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? ક્યાં જવાનાં છીએ ? એની કોઈ સાચી જાણ આપણને નથી કે નથી આપણી પાસે ક્યાં જવાનાં છીએ તેનાં સાચાં સરનામાં કે સાચાં નામઠામ.

    સમંદરની છોળો જેમ સમંદરમાં જ સમાઈ જાય છે તેમ આપણે આપણો મુકામ આપણી અંદર જ શોધવાનો છે. આપણું આ પૃથ્વી પરનું રોકાણ ,આપણો પ્રવાસ સાવ ટૂંકો છે તો જીવન આનંદનાં પ્રેમભરેલ આકાશને પાંખમાં ભરીને ચાલવાનું દાદા કહે છે. આ જીવન સાવ ટૂંકો પ્રવાસ છે તો તેના કિનારે બેસી મૌનનાં એકાંતને મોજનાં કલબલાટ થકી, ટૂંકા રોકાણને યાદગાર બનાવી ,યાયાવર પક્ષીઓની જેમ દરિયાનાં પાણીની મસ્તી માણતાં માણતાં જીવનપ્રવાસ ઉજાળીએ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મોર્નિંગ વૉક

    શાહબુદ્દીન રાઠોડ

    જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.

    જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું. થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી. જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.

    જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો?’

    યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’

    જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.

    ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
    ઐસી જગહ બૈઠ,   કોઈ કહે ના ઉઠ.

    આમ કબીરસાહેબે કહ્યું છે. આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.

    વિદ્યાર્થી મિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ. હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શકતો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું: ‘થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.’ હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.

    નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
    કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.

    મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો? પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ.

    મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી.

    મેં પૂછ્યું, ‘એલા, શું સપનું જોતો હતો?’

    મથુર કહે : ‘તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.’

    મેં કહ્યું : ‘હાલ ફરવા.’

    મથુર કહે : ‘ના, મારે નથી ફરવું. તું જઈ આવ.’ આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.

    હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવ-ઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.’ દા.ત. વ્યાયામ. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.’ દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.’

    You can make your living  by what you earn,
    But you can make your life by what you give.

    ‘જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.’ આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. ‘જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.’ ‘ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.’ આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શેએ લખ્યું છે.

    ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, ‘ચાલો ભિખુ, ચાલો.’

    હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.

    હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, ‘ભલા માણસ, ધ્યાન રાખતા હો તો?’

    મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓની ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનની ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ મેં નિર્ણય કરી લીધો, ‘સંઘર્ષ શક્ય નથી.’

    પાછળ કાકીએ મને કહ્યું, ‘ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.’ મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : ‘અજ્ઞાનીના ઓરતા ન હોય.’

    હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવક યુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આધેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં:

    મદમસ્ત યુવાનીની શિક્ષા ઘણપણને મળે એ ન્યાય નથી
    તોફાન થયું  છે   મધદરિયે,   સપડાય કિનારો શા માટે ?

    ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં હતા. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.

    જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો. એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, ‘સાહેબ, એક અડધી ચા પાવ.’ હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : ‘ચા સાથે નાસ્તો કરશો?’

    એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઠિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું?

    હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, ‘મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.’

    ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાના પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.

    મેં તેને કહ્યું, ‘ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.’

    ભિક્ષુક કહે, ‘સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.’

    મેં કહ્યું, ‘ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.’

    ભિક્ષુક કહે, ‘કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે?’ મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો.

    હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, ‘જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે?’


    માવજીભાઈનો વર્ડપ્રેસ બ્લોગ / ગદ્યસંગ્રહ માંથી સાભાર

  • ઉનાળામાં બરફનું તાપણું કેમ ના કરી શકાય?

    ચેતન પગી

    પર્યાવરણશાસ્ત્રીઓ અતિશય ગરમી, વરસાદ કે ઠંડી માટે ભલે આબોહવા પરિવર્તનને જવાબદાર ગણતા હોય પણ એક થિયરી એવી પણ છે કે ભારે વરસાદ એ ભજિયાં-દાળવડાંવાળાઓનું, અતિશય ઠંડી ચાવાળાઓનું અને સખત ગરમી આઇસક્રીમ-કોલ્ડ્રિંક્સવાળાઓનું કારસ્તાન છે. ગરમીના કેસમાં તો હવે એસી-કુલરવાળાઓ પણ કાવતરામાં સામેલ થઈ ગયા છે. અત્યાર સુધી કામધંધામાં વ્યસ્ત લોકોને ગરમી કેટલી ઓછી કે વધારે છે એની જાણ રહેતી નહોતી પણ હવે મોબાઇલ ફોનના સ્ક્રીન પર તાપમાનનો આંકડો દેખાતો થયા બાદ કોણ જાણે કેમ ગરમી વધારે લાગવા માંડી છે! ઘણીવાર એસી વસાવવા જેટલા પૈસાની વ્યવસ્થા થયા પછી પણ અચાનક ગરમી વધારે લાગવા માંડે છે. આપણે ત્યાં ગરમી વધારે પડે છે એટલા માટે એસી નથી ખરીદવામાં આવતું પણ આજુબાજુના બધા પડોશીઓને ત્યાં એસી આવી ગયું હોવાથી તે ખરીદવામાં આવે છે. ટૂંકમાં, ઉનાળો આવી ગયો છે. ત્યારે વાંચો ઉનાળામાં પ્રગટેલી કેટલીક છૂટક રમૂજો…

    ઉનાળાનો એક ફાયદો એ છે કે માર્ચ-એપ્રિલમાં થતા પગારને ખરા અર્થમાં પરસેવાની કમાણી કહી શકાય છે.

    ગ્લોબલ વોર્મિંગની સાદી સમજ એ રીતે પણ આપી શકાય કે પહેલાં ઉનાળામાં પંખા વગર ચાલતું નહોતું. હવે એસી વગર નથી ચાલતું. ગ્લોબલ વોર્મિંગમાં એસીની ઠંડકમાં પંખો ટાઢક અનુભવે.

    ખરી ગરમી તો ત્યારે લાગે જ્યારે મોબાઇલ સ્ક્રીન પર તાપમાનનો આંકડો ૪૦ ડિગ્રીનો આંકડો પાર કરે અથવા છાપાના મથાળામાં ગરમી ‘કાળઝાળ’ સ્વરૂપ ધારણ કરે.

    ઉનાળો એકમાત્ર એવી ઋતુ છે જેમાં તપેલી રસોડા સિવાય પણ હોઈ શકે છે. તફાવત એટલો જ કે રસોડાની તપેલીને સાણસીથી પકડી શકાય છે.

    ઉનાળાને આમ તો ગરીબપરસ્ત ઋતુ પણ કહી શકાય. ચાલુ દિવસોમાં ‘સાહેબ આજકાલ ગરમ છે’ એવું સાંભળવા મળે જ્યારે ઉનાળામાં ગરીબ માણસને પણ ‘ગરમ થવાની’ તક મળે છે, અલબત્ત કામ કરીને. ઉનાળામાં લીંબુ શરબત સારો કે કેરીનો રસ? જવાબ લીંબુ શરબત હોઈ શકે. કારણ કે લીંબુને પકવવા કાર્બાઇડની જરૂર પડતી નથી.

    દિવસે આકાશમાંથી અગનગોળા અને સાંજ પડે શેરીઓમાં બરફના ગોળા વરસે એનું નામ ઉનાળો. બરફ પીગળાવી દેતા ગ્લોબલ વોર્મિંગના કારણે જ આજે બરફના ગોળા માટે બસો રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો છે.

    ભરબપોર પછીની સાંજે બે ઘટના બને છે. આઇસક્રીમ જોઈને માણસ પીગળે છે અને પછી આઇસક્રીમ પીગળે છે.

    ઉનાળાની ધોમધખતી ગરમીમાં રિલિઝ થતી ફિલ્મને હિટ બનાવવામાં સિનેમાઘરોના એરકન્ડિશનરનો ફાળો પણ નાનોસૂનો નથી.

    એ. ટી. એમ.ની શોધ કરનાર ખરેખર જીવદયા પ્રેમી હશે. આજે એના કારણે જ શેરીનાં કૂતરાં એ. ટી. એમ.ની ઠંડક અનુભવી શકે છે.

    જગતમાં બે પ્રકારના લોકો છે. એક શિયાળામાં ગરમાવો અને ઉનાળામાં ઠંડક શોધે છે. બીજા પ્રકારના લોકોની સંખ્યા હવે વધી રહી છે. તેઓ ઉનાળામાં એસીની ઠંડકમાં ધાબળા તળે ગરમાવો અનુભવે છે.

    મિડલ ક્લાસ માટે ઉનાળો આશીર્વાદરૂપ ઋતુ છે. આ દિવસોમાં તેમના બાથરૂમના નળમાં વગર ગીઝરે ગરમ પાણી આવે છે.

    શિયાળામાં લાકડા બાળીને તાપણું કરી શકાય તો ઉનાળામાં બરફનું તાપણું કેમ ના કરી શકાય?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ  ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ

  • હાથ મેળવતાં હૈયું હરી લેનાર

    વનિતાવિશેષ

    રક્ષા શુક્લ

    બીજા માટે જીવવું,  ત્રીજા  માટે  શ્વાસ,
    એવા જણ કાજ તો સમય લખે ઈતિહાસ.

                                      -હરદ્વાર ગોસ્વામી

    એકવાર ખલીલ જિબ્રાન એક ખેતર પાસેથી પસાર થઇ રહ્યા હતા. ત્યાં એમની નજર ચાડિયા પર પડી. આમ માણસ જેવો પણ તેમ માણસ જેવો નહીં. અર્થાત દેખાવે માણસ જેવો પણ સ્વભાવે માણસ જેવો નહીં. ફાટેલા-તૂટેલા કપડા પહેર્યા હતા પણ ચોકી કરવાની નિષ્ઠા નવીનક્કોર હતી. ચાડિયો નિર્જીવ હોવા છતાં તેની જીવંતતા સ્પર્શી ગઈ. તેમણે મનોમન ચાડિયાને સવાલ કર્યો. ‘તને એક જ અવસ્થામાં અવિરત ઊભા રહેવાનો થાક નથી લાગતો ?’

    ત્યારે ચાડિયો જવાબ આપતો હોય એવું લાગ્યું. ‘પ્રકૃતિના પરિસરમાં રહેવાની મને મજા આવે છે. સૂર્ય-ચંદ્રની આવ-જા, ઉષા-સંધ્યાના મનમોહક રંગો અને રાતનું તારા ભરેલું આકાશ મને મોહે છે. પંખીઓનો ટહુકાર અને ઝરમર ઝરતો વરસાદ મને સતત આકર્ષે છે. એથી ય વધુ સેવા કરવાની મને તક મળી છે એનો આનંદ ઓર છે.

    આપણે ત્યાં કહેવાય છે કે ‘માનવસેવા એ જ પ્રભુસેવા છે’ ઈશ્વરે જ્યારે માણસનો દેહ આપી અહીં ધરતી પર મોકલ્યા છે ત્યારે કોઈ નિસ્વાર્થ સેવા કરી ઈશ્વર તરફનું ઋણ અદા કરવું જોઈએ. આવી જ સેવાની મહેક ફેલાવી જીવી જનાર મધર ટેરેસા જુદી જ માટીના માનવી હતા. મોરારિબાપુ જેમ સત્ય, પ્રેમ અને કરુણાની વાત સતત કરતા રહે છે તેમ મધર ટેરેસાનો જીવનમંત્ર પણ પ્રેમ અને કરુણા હતા. તેમના માનવસેવાના કાર્યો અને સમગ્ર જીવન ઈશુને ચરણે સમર્પિત હતા. કુષ્ઠરોગીઓ, સમાજથી બહિષ્કૃત એવા દર્દીઓ, એઈડ્સ જેવા અસાધ્ય રોગથી પીડાતા મનુષ્યો આદિની આજીવન સેવા કરવી તે જ મધર ટેરેસાનો જીવનનો એકમાત્ર ધર્મ બની રહ્યો. તેમની સેવા દયાથી નહીં પણ કરુણાથી પ્રેરાયેલી હતી. ધર્મ કે સંપ્રદાયથી ઉપર ઉઠીને પ્રેમ અને સેવાના સનાતન મૂલ્યોનો મહિમા કરે તે મહામાનવ તો આપોઆપ વિશ્વવિભૂતિ બની જાય છે. લગભગ પોણી સદી જેવા દીર્ઘકાળ સુધી ‘બ્લેસેડ ટેરેસા ઓફ કલકત્તા’ના હુલામણા નામે વિશ્વભરમાં આદરપૂર્ણ સ્થાન પામેલ. મધર ટેરેસા હંમશા કહેતા ‘મનુષ્યજાતને રોટલાની ભૂખ કરતાં પ્રેમ માટેની ભૂખ ઘણી વધુ છે અને તેને તૃપ્ત કરવાનું કામ ઘણું મોટું છે.’

    બાળપણથી ધાર્મિક એવા મધર ટેરેસાએ ૧૮ વર્ષની ઉંમરે  સિસ્ટર થઈ મિશનરી બનવા માટે ઘર છોડયું. મધર ટેરેસા ભારતીય નાગરિકત્વ ધરાવતાં એક આલબેલિયન રોમન કેથેલિક નન હતાં. તેઓએ કલકત્તામાં ઠેક-ઠેકાણે ચેરિટી મિશનરીની સ્થાપના કરી હતી. ૪૫ વર્ષ સુધી તેઓએ અવિરત સેવા કરી. ગાંધીજી હંમેશા કહેતા કે ‘Man can never be a woman’s equal in the spirit of selfless service with which nature has endowed her’. મધરે પ્રથમ ભારતભરમાં અને ત્યાર બાદ અન્ય દેશોમાં ચેરિટી મિશનરીના વિસ્તરણ માટે માર્ગદર્શન પૂરું પાડયું. ૧૯૭૦ના દાયકા સુધીમાં તો તેઓ ગરીબ, બીમાર, તરછોડાયેલા અને અસહાય લોકોનાં બેલી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામી ચૂક્યાં હતાં. તેમના જીવન પર એક દસ્તાવેજી ચિત્ર પણ બન્યું. પુસ્તકો પણ લખાયા. તેમના મૃત્યુ સમયે ૧૨૩ દેશોમાં આવા ૬૧૦ મિશન ચાલતાં હતાં. પ્રમુખસ્વામીના દેદીપ્યમાન ચહેરાને નીરખીએ તો આપણામાં અનોખી ચેતનાનો સંચાર થતો હતો તેવી રીતે મધર ટેરેસાને નજીકથી જાણનારા કહે છે કે તેમની સાથે હેન્ડશેક કરવાથી એવી ઉષ્માનો અનુભવ થતો હતો કે તેમની સાથે જોડાયા વિના છૂટકો જ ના થાય. તેમની સાથે હાથ મેળવતા જ જાણે કશુંક થઈ જતું હતું.

    પોતાના જીવનના અંતિમ દિવસો સુધી તેઓ ગરીબ લોકોના શૌચાલય સ્વંય સાફ કરતાં હતાં. તેમની વાદળી રંગની કોરવાળી સાડી પણ તેઓ હંમેશા જાતે જ ધોતાં હતાં. મધર ટેરેસાએ નન(સન્યાસીની)ના વસ્ત્રોનો ત્યાગ કરી અને ભારતીય સાડી અપનાવી લીધી હતી. આ સાડી તેમની ખાસ ઓળખ એટલે બની કેમ કે આ સાડી રંગબેરંગી નહીં પણ સફેદ કલરની હતી અને તેની ચારેબાજુ વાદળી રંગની બોર્ડર રહેતી. તેઓ હંમેશાં આ જ સાડીમાં જોવા મળતાં. મધરે માત્ર પહેરવેશ જ નહીં પણ પોતાની રહેણીકરણી પણ ભારતીય જ કરી નાખી હતી. તેમનું ભોજન બહુ સાદું રહેતું હતું… ખીચડી, દાળ અને દસ-વીસ દિવસે એકવાર મચ્છી. મચ્છી એટલે કે બંગાળમાં તે સામાન્ય ખોરાક ગણાય છે. મધરને ચોકલેટ બહુ ભાવતી હતી. તેમનું અવસાન થયું ત્યારે તેમના ટેબલના ખાનામાં પણ કેડબરી ચોકલેટ પડેલી હતી. એટલે જ કદાચ એમની જીભમાં  કદી કડવાશ જોવા મળતી ન હતી. ઢીંચણ વાળીને જમીન પર બેસવાનું, દાળ, ભાત, શાક વગેરેને થાળીમાં લઇને હાથથી ખાવાનું, કપડાંને જાતે ભારતીય રીત પ્રમાણે ધોવાનાં, આ બધું જ મધર જાતે કરતાં. તેમને ભારતીય નાગરીક્તવ ભલે ૧૯૫૧માં પ્રાપ્ત થયું પણ ભારતીય સંસ્કૃતિ તો તેમણે ક્યારની ય અપનાવી લીધી હતી.

    ૧૯૬૨માં મધર ટેરેસાને પદ્મશ્રી એનાયત કરીને ભારતે તેમનું પ્રથમ બહુમાન કર્યું હતું. ૧૯૭૯ના સમયમાં તેમને નોબલ પારિતોષિક આપવામાં આવ્યું હતું. વિશ્વ બૅન્કના પ્રમુખ રૉબર્ટ મેક્નામારાએ કહ્યું કે, “મધર ટેરેસા નોબેલ શાંતિ પુરસ્કાર માટે સૌથી લાયક છે, કેમ કે તેઓ માનવીય મર્યાદાઓનો ભંગ કર્યા વિના શાંતિ સ્થાપનામાં માનતાં હતાં.” ૧૯૭૨માં તેમને આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ અને ૧૯૮૦માં ભારતનું સર્વોચ્ચ નાગરિક બહુમાન ભારત રત્ન તેમને એનાયત કરી નવાજવામાં આવ્યા હતા. ઇન્ડિયન ઍરલાઈન તથા ઍર ઇન્ડિયાએ મધર ટેરેસાની સેવાઓની કદર રૂપે તથા ભારતીય સમાજ પરના તેમના પ્રભાવને પારખીને તેમને ભારતમાં કે વિશ્વમાં ગમે ત્યાં નિ:શુલ્ક વિમાન મુસાફરીની સગવડ કરી આપી હતી. ભારતીય રેલવે દ્વારા પણ આવી જ સવલત મધરને પૂરી પડાઈ હતી.

    ભારતના ભૂતપૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નવીન ચાવલાએ મધર ટેરેસાની જીવનકથા લખી છે. મધર ટેરેસાને તેઓ  ૧૯૭૫માં પ્રથમવાર મળ્યા હતા. નવીન ચાવલાએ બીબીસીને જણાવ્યું કે, “મેં એક બાબત નોંધી હતી કે મધર ટેરેસાની સાડી એકદમ સ્વચ્છ હતી, પણ તેમાં ઘણી જગ્યાએ રફુ કરવામાં આવેલું હતું, જેથી તે ફાટેલી ન દેખાય.”

    મેં કોઈ સિસ્ટરને પૂછ્યું હતું કે ‘મધરની સાડીમાં આટલા બધા રફુ કેમ કરેલા છે ?

    તો તેમણે કહ્યું કે ‘નિયમ અનુસાર અમારી પાસે માત્ર ત્રણ જ સાડી હોવી જોઈએ. એક પહેરવા માટે, એક ધોવા માટે અને એક ખાસ પ્રસંગોએ પહેરવા માટે.’

    મધર ટેરેસા પાસે પણ ત્રણ જ સાડી હતી. તેમણે પોતાની મરજીથી આવી રીતે ગરીબીને અપનાવી હતી, તેમની કોઈ મજબૂરી નહોતી.’ સત્ય, પ્રેમ અને કરુણાનું ઓઢણ મન માટે હતું.

    નવીન ચાવલા કહે છે કે આટલું ગંભીર કાર્ય કરવા છતાં અને સતત દુઃખી અને પરેશાન લોકોની વચ્ચે રહેવાં છતાં તેમનામાં સેન્સ ઑફ હ્યુમર અકબંધ રહી હતી. તેઓ કહે છે, ‘બહુ ગંભીર સ્થિતિને પણ તેઓ હળવાશથી લેતાં હતાં. તેઓ કોઈ સિસ્ટરની નિમણૂક કરતા, ત્યારે એક જ શરત રાખતાં કે તેનામાં સેન્સ ઑફ હ્યુમર હોવી જોઈએ. તેઓ હંમેશા રમૂજ કરતાં રહેતાં હતાં.’

    ‘કોઈ વાત બહુ હસવા જેવી લાગે ત્યારે પોતાના કમરે હાથ રાખીને હસી હસીને બેવડ વળી જતાં હતાં.’

    નવીન ચાવલા કહે છે, “મેં તેમને પૂછ્યું પણ હતું કે તમે આટલું ગંભીર કામ કરો છો તો પણ કઈ રીતે હસી શકો છો? કઈ રીતે સદાય હસતા રહો છો અને જોક્સ સંભળાવી શકો છો?”

    ‘તેમનો જવાબ હતો કે હું ગરીબ લોકો પાસે ઉદાસ ચહેરો લઈને ના જઈ શકું. મારે તેમની પાસે ખુશખુશાલ ચહેરા સાથે જ જવું પડે.’ મધર ટેરેસાની હંમેશા કહેતા ‘આ દુનિયા પર આપણે મોત અને દુઃખ નહીં, બલકે, શાંતિ અને આનંદ ફેલાવીએ’.

    માનવતાલક્ષી પ્રવૃતિ કરવા છતાં ક્યારેક તેમણે વિવિધ પ્રકારની ટીકા-ટિપ્પણીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. મધર ટેરેસા દ્વારા કરવામાં આવતા સેવાકિય કામકાજોને ક્યારેક નિંદાનો પણ ભોગ બનવુ પડ્યુ હતુ. એવું કહેવાતું કે મીડિયામાં સિફતપૂર્વક મધર ટેરેસાની એવી જ છબી ઉપસાવવામાં આવી કે એ ગરીબોના મસીહા અને સેવાની મૂર્તિ છે. પરંતુ તેમના કારણે દેશમાં ખૂબ ધર્માંતરણ થયું. મધર માટે કોઈ પણ વ્યક્તિને માન થાય કેમ કે તેઓ આલ્બેનિયન પરિવારમાંથી આવતા હતા અને પોતાનો દેશ છોડીને છેક અહીં કલકત્તામાં સેવા કરવા આવ્યા હતા. આ માટે તેમને શત શત વંદન પરંતુ તેમણે જે પ્રવૃત્તિ કરી તેમાં ધર્માંતરણનો હેતુ હતો તેને કોઈ નકારી શકે તેમ નથી. ભારત પાસે સૌથી મોટી આશા તમને શું છે એવા પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું, ‘બધાને જિસસ સુધી પહોંચાડવા’. તેમણે આ ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું હતું કે જો હિન્દુઓ શાંતિ ઈચ્છતા હોય, સુખ ઈચ્છતા હોય તો તેમણે જિસસને શોધવા જોઈએ.

    સંઘના વડા મોહન ભાગવતે મધર ટેરેસા વિશે ટીકા કરી હતી કે તેમની સેવા હિન્દુઓને ખ્રિસ્તી બનાવવા માટે હતી. એમાં આપણાં માધ્યમો ઉકળી ઉઠ્યાં. મધર સામેના ધર્માંતરના આક્ષેપો સામે કોઈ ચોક્કસ દાખલો એ આક્ષેપકારો પાસે નથી. અરોપ ચેટર્જી દ્વારા લખાયેલ પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં મધર ટેરેસાના જુઠ્ઠાણા અને તેના ધર્માદાના કાર્યો વિશેની અતિશયોક્તિ વિશે વાતો કરેલી છે. મધર ટેરેસા અને તેના સેવાકાર્યો વિશે જે પ્રચાર કરવામાં આવ્યો હતો તે માત્ર આંશિક રીતે સાચું હતું. પત્રકાર અને લેખક ક્રિસ્ટોફર હિચેન્સે ૧૯૯૪માં ‘હેલ્સ એન્જલ’ નામની એક ડોક્યુમેન્ટરી બનાવી હતી જેમાં ટેરેસાના ચેરિટી કાર્યની ખૂબ ટીકા કરી હતી. એવું કહેવાતું કે મધરને પૈસાના રંગની પડી ન હતી. એ ભલે પછી ગુનાહિત કામમાંથી કે ગુનેગાર પાસેથી આવ્યા હોય. એ વિશે કોઈ પારદર્શિતા પણ નહોતી. મધર ટેરેસા અસંખ્ય વિદેશ પ્રવાસ પર ગયા હતા અને કોઈ દુર્ઘટના સમયે ભારતમાં ભાગ્યે જ ઉપલબ્ધ રહેતા, જેમ કે સપ્ટેમ્બર ૧૯૯૩માં લાતૂર ભૂકંપ અથવા કલકત્તામાં પૂર વખતે બનેલું તેમ.

    રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કાર મેળવનાર અને સર્જનક્ષેત્રે અત્યંત પ્રવૃત્ત એવા ફાધર વર્ગીસ પૉલે એમના પુસ્તક ‘વિશ્વવિભૂતિ: મધર ટેરેસા’માં મધર વિશે અનોખી અને પ્રભાવક રજૂઆત કરી છે. મધર ટેરેસાને નિકટતાથી જાણીને મૂલવ્યા છે અને કદર કરી છે. મધર વિશેના લેખોના આ સંગ્રહમાં તેઓ કહે છે કે ‘મને આ વિશ્વવિભૂતિને મળવાની તેમજ તેમને નજીકથી ઓળખવાની તક મળી છે. મારા અભ્યાસ અને અનુભવથી લખાયેલ આ પુસ્તકમાંથી મને આશા છે કે, મધર ટેરેસાની ટીકા કરનારાઓ તેમજ કદર કરનારાઓને તેમના વિશે કંઈક નવું પાસું જાણવા મળશે; કંઈક નવી દ્રષ્ટિ જોવા મળશે.’ પણ નિસ્વાર્થ સેવા કરનારે ‘કુછ તો લોગ કહેંગે…’ ગીત યાદ કરી હંમેશા કામ કરવું પડે એ નક્કી.


    ઇતિ

    મારી સફળતાનું રહસ્ય એ હતું કે હું મારા કામ કરવાના ખંડમાં કદી ઘડિયાળ રાખતો ન હતો.

    -થોમસ આલ્વા એડિસન


    સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • મહાબોધિ મંદિર નિયંત્રણના જૂના વિવાદનો નવો અધ્યાય

    નિસબત

    ચંદુ મહેરિયા

    બિહારની રાજધાની પટણાથી આશરે સવાસો  અને બોધગયાના મહાબોધિ મંદિર કે મહા વિહારથી બેએક કિલોમીટર દૂરનું ગામ દોમુહાં. પંચશીલ ધ્વજથી ઢંકાયેલા કામચલાઉ માંડવા નીચે ચીવર ધારણ કરેલા ઘણાં બૌધ્ધ ભિખ્ખુઓ અને લોકો બેઠેલા છે. ગરમ લૂ ને આવતી અટકાવે તેવી કોઈ આડશ નથી. આ જગ્યાએ છેલ્લા બે મહિનાથી ધરણા ઉપવાસ  આંદોલન ચાલે છે. મંડપ નીચે શાંત અને અહિંસક રીતે બેઠેલા ભિખ્ખુઓના હાથમાં પ્લે કાર્ડ છે. બેનર્સ અને પોસ્ટર્સ ઉપરાંત ગૌતમ બુધ્ધ, ડો. આંબેડકર અને ભારતીય બંધારણના ફોટા પણ નજરે ચઢે છે. બુધ્ધને ‘સમ્મા સંબોધિ’ કહેતાં બોધિ જ્ઞાન જ્યાં પ્રાપ્ત થયું હતું તે મહાબોધિ મંદિરના વહીવટમાં બૌધ્ધોની પૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા  માટે અડચણરૂપ બિહાર સરકારનો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ રદ કરવાની તેમની માંગ છે. મહાબોધિ મંદિર બૌધ્ધોને સોંપવાના છેક ઓગણીસમી સદીના અંત ભાગથી આરંભાયેલા આંદોલનનો આ નિર્ણાયક અધ્યાય છે.

    બૌધ્ધો માટે ચાર મહત્વના તીર્થસ્થાનો છે : ગૌતમ બુધ્ધનું જન્મ સ્થળ લુમ્બિની(નેપાળ), તેમને જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે મહાબોધિ મહાવિહાર (બિહાર), પ્રથમ ઉપદેશ સ્થાન સારનાથ( ઉત્તરપ્રદેશ) અને નિર્વાણ સ્થળ કુશીનગર (યુ.પી.). બુધ્ધના જન્મ સ્થળ લુમ્બિની જેટલું જ મહાબોધિ મંદિર બૌધ્ધો માટે મહત્વનું આસ્થાસ્થાન છે. જો લુમ્બિની રાજકુમાર સિધ્ધાર્થનું જન્મસ્થળ છે તો રાજકુમાર સિધ્ધાર્થનો બુધ્ધ રૂપે અવતાર બિહારના બોધગયા સ્થિત મહાબોધિમાં થયો હતો. એટલે તે પણ તેમના જન્મસ્થળ જેટલું જ અગત્યનું છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આશરે અઢી હજાર વરસો પહેલાં બોધગયાના પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ  સિધ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બુધ્ધ બન્યા હતા.સમ્રાટ અશોકે ઈ.સ પૂર્વેની ત્રીજી સદીમાં ત્યાં એક મહા વિહાર બંધાવ્યું હતું. તેરમી સદી સુધી તેનું નિયંત્રણ અને સંચાલન બૌધ્ધો કરતા હતા. ઈ.સ ૧૫૯૦માં એક હિંદુ મહંતે  ત્યાં મઠ સ્થાપતાં તે હિંદુ મઠ બની ગયું. હિંદુ મહાબોધિને હિંદુ ધાર્મિક સ્થળ કહેતા હતા. બુધ્ધને વિષ્ણુનો નવમો અવતાર, મંદિરમાં આવેલી મૂર્તિઓને પાંચ પાંડવ ગણાવતા હતા. ત્યાં હિંદુ વિધિથી હોમ હવન અને પિંડદાન થાય છે અને બૌધ્ધ તીર્થ સ્થળ તરીકે તેનો એકડો ભૂંસી નાંખવાના પ્રયાસો થતા હોવાનો બૌધ્ધોનો આરોપ છે.

    બૌધ્ધો જેને મહાવિહાર કહે છે તે મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌધ્ધો હસ્તક હોવું જોઈએ તેવી માંગણી દાયકાઓ પહેલાં શ્રીલંક્ન બૌધ્ધ સાધુ અનાગારિક ધમ્મપાલે સૌ પ્રથમ વખત કરી હતી. ૧૯૨૨માં કોંગ્રેસના ગયા અધિવેશનમાં પણ આ માંગ ઉઠી હતી.એટલે સ્વતંત્રતા પછી ૧૯૪૯માં બિહાર સરકારે બોધગયા મંદિર અધિનિયમ ઘડ્યો હતો. આ કાયદા હેઠળ સરકારે સૌ પ્રથમ ૧૯૫૩માં બોધગયા મંદિર વહીવટી સમિતિની રચના કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ ગયાના કલેકટર હોદ્દાની રૂએ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ  અને કમિટીમાં ચાર હિંદુ અને ચાર બૌધ્ધ મેમ્બર છે.  સરકારે મહાબોધિ મંદિરના વહીવટ માટે બૌધ્ધો અને હિંદુઓની સંયુક્ત સમિતિ એટલે બનાવી હતી કે તે આ તીર્થને સાંઝી વિરાસત કે બૌધ્ધો અને હિંદુઓનો મઝિયારો ધાર્મિક વારસો ગણી કોઈને નારાજ કરવા માંગતી નહોતી.વળી ૧૯૪૯ના એકટમાં ગયાના કલેકટર હિંદુ ન હોય તો સમિતિના અધ્યક્ષ સભ્યોમાંથી કોઈ હિંદુ જ હોય તેવી જોગવાઈ કરી હતી!

    બૌધ્ધો માટે આ મહત્વનું બુધ્ધ તીર્થ સ્થળ હિંદુ બની રહ્યું હતું તે અસહ્ય હતું.તેમણે સમયે સમયે લોકશાહી ઢબે  રજૂઆતો અને શાંત અહિંસક આંદોલનો  પણ કર્યા છે. ૧૯૯૫માં પંચ્યાસી દિવસ ચાલેલા આંદોલનના અંતે તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કાયદામાં સુધારો કરીને હિંદુ બહુમતીની શરત કાઢી નાંખી પણ બૌધ્ધોને વહીવટ ન સોંપ્યો. આંદોલનકારી પૈકીના એકાદ બૌધ્ધ ભિખ્ખુને મેનેજમેન્ટ કમિટીમાં સમાવી લેવાયા ખરા.

    મહાબોધિ મંદિરના પ્રબંધનમાં બૌધ્ધોની કોઈ અસરકારક ભાગીદારી નથી એટલે બૌધ્ધો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ જ રદ કરવા માંગણી કરી રહ્યા છે. ગૌતમ બુધ્ધે આ સ્થળે જ્ઞાન પ્રાપ્તિ કરી હતી તેને અનુલક્ષીને યુનેસ્કોએ ૨૦૦૨માં મહાબોધિ મંદિરને  વલ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બૌધ્ધ અને હિંદુ બંનેના મિશ્રણથી બૌધ્ધો નારાજ છે. બૌધ્ધો આ સ્થાને ધ્યાન અને તપસ્યા માટે આવે છે પરંતુ હિંદુઓના ઢોલ-નગારાના ઘોંઘાટ તેમને ત્રાસરૂપ છે. વિશ્વ ધરોહર બન્યા પછી મહાબોધિ મંદિરમાં કેમેરા પણ લઈ જઈ શકાતા નથી પરંતુ હિંદુઓ પિંડદાનની સામગ્રી લઈ જઈ શકે છે. બૌધ્ધ વિચાર અને આચારનું પાલન આ સાંઝી વિરાસતમાં થતું નથી. મંદિરને મળેલ દાનનો ઉપયોગ બૌધ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે થઈ શકતો નથી તેવી પણ બૌધ્ધોની ફરિયાદ છે.

    ગઈ તારીખ બારમી ફેબ્રુઆરીએ  મહાબોધિ મંદિરમાં આરંભાયેલા અનુષ્ઠાન સામે મંદિર પરિસરમાં જ બૌધ્ધ ભિખ્ખુઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહાબોધિ મંદિર પર નિયંત્રન માટે  નિર્ણાયક આંદોલન તેમણે છેડ્યું છે. ગયાના કલેકટરે  આ નીતિ વિષયક નિર્ણય છે અને તેના ઉકેલ માટે તેઓ કંઈ કરી શકે તેમ  નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પંદરેક દિવસ પછી બિહાર સરકારના અધિકારીઓએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી પણ તેનું કોઈ પરિણામ ન આવતાં શાંત અને અહિંસક આંદોલનને અટકાવવા મહાબોધિ મંદિર પરિસરથી ધરણા સ્થળને  રાતોરાત બે કિલોમીટર દૂરના દોમુહાં ગામે ખસેડી નાંખ્યું. જોકે આંદોલનને સમગ્ર દેશના દલિતો અને નવબૌધ્ધોનું સમર્થન મળી રહ્યું છે. તેમના ટેકામાં દેશવિદેશમાં ધરણા આંદોલનો પછી બારમી મેના રોજ બોધગયામાં લાખો દલિતોની વિશાળ રેલી યોજાવાની છે.

    ધાર્મિક વિવિધતા ધરાવતા આપણા દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા પણ એટલી જ છે. અનેક ધર્મોના લોકો અહીં વસે છે પણ તેઓ એક બીજાના ધર્મોના આદર સાથે સહજીવન વિતાવી શકે છે ખરા? દેશની મસ્જિદો નીચે મંદિરો અને શિવલિંગો શોધાય છે.બહુમતીના ધર્મની લાગણી લઘુમતી ધર્માવલંબીઓ સમજે તેવું ધાર્મિક જ્ઞાન પિરસાય છે. પરંતુ હળીમળીને સાથે રહેવાનું બનતું નથી.

    યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ , એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૫ના વિરોધમાં થતી એક દલીલ સરકાર દ્વારા વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈથી વકફ બોર્ડમાં મુસ્લિમોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોખમાવાની છે. મહાબોધિનો વર્તમાન વિવાદ જોતાં લાગે છે કે વકફ કાનૂનના વિરોધની આ દલીલમાં વજૂદ છે.

    બોધગયાના મઠ પાસે લાખો એકર જમીનો હતી અને તેના જમીનદાર મહંત ગ્રામીણ દલિત ખેતમજૂરોના શોષક હતા તે તો નજીકનો ભૂતકાળ છે. જયપ્રકાશ નારાયણ અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીએ બોધગયાના ગરીબ દલિત ખેતકામદારોને મઠની જમીન અપાવવા લાંબી લડતો કરી હતી. એ સમયે બૌધ્ધ ભિખ્ખુઓની ભૂમિકા શું હતી તે સવાલ છે.

    મહાબોધિ મહાવિહાર આંદોલન સામે પણ તે નાગપુર-દાર્જિલિંગના બૌધ્ધ ભિખ્ખુઓનું આંદોલન હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે .સ્થાનિક દલિતો અને મેનેજમેન્ટ કમિટીના બૌધ્ધ મેમ્બર્સનો પણ તેમને સાથ નથી.બોધગયા વિસ્તારના ઘણાં ગામોમાં ૬૦ ટકા કરતાં વધુ વસ્તી દલિતોની છે પરંતુ દોઢસો ગામોના દલિતોને સંગઠિત કરી આંદોલનના માર્ગે વાળી બોધગયા મઠના મહંતના કબજામાં થી જમીનો અપાવવાનું મુશ્કેલ કામ ગાંધી સર્વોદયવાદીઓએ કર્યું હતું. બૌધ્ધ ભિખ્ખુઓ નવ બૌધ્ધોને માત્ર ધર્મ જ આપશે કે તેમના રોજિંદા જીવનના સવાલોના હલમાં પણ કંઈક કામ લાગશે?

    બાબાસાહેબ આંબેડકરની એક ઓર જન્મ જયંતીની ઉજવણીના શોરગુલમાંથી મુક્ત થયા પછી જાતને પૂછવાનું છે તે તો એ છે કે  બૌધ્ધ વિહારો ઠાલા ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં જ મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.