-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – આષાઢમાં આકાશ તૂટ્યું
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
‘ પૂર્વાષાઢા ‘થી આગળ
હું વડોદરા આવી ત્યારે થોડી આશા હતી કે હું નિશાળે ફરીથી જઈ શકીશ. પણ માસી તો પોતાના કામમાં અને બાળકોમાં મશગૂલ હતાં. તેમને મારી જરા પણ પડી નહોતી. તેમને ત્યાં ગયા બાદ ન તો તેમણે મારા શિક્ષણનો વિચાર કર્યો કે ન તો નિશાળમાં દાખલ કરાવી. દરરોજ સવારે હું મામાને ઘેર મામીને મદદ કરવા જતી, અને સાંજે પાછી માસીને ત્યાં. મારા દિવસ આમ વ્યતીત થવા લાગ્યા. આમ ને આમ છએક મહિના કાઢયા બાદ મને બા, વેસુબાબા અને કાકીને ત્યાં પાછા જવા મળ્યું. થોડા દિવસ બાદ કાકીને બીજો દીકરો જન્મ્યો. તેનું નામ રજનીકાંત રાખ્યું. રમાકાંત અને રજનીકાંત એવા રૂપાળા હતા, જાણે રામલક્ષ્મણની જોડી જોઈ લો!
મારા બાબા ફોજદાર હતા. તે જમાનામાં એવો રિવાજ હતો કે દિવાળી જેવા તહેવારે ગામના મોભાદાર લોકો એકબીજાને ત્યાં મીઠાઈના થાળ અને ખોખાં ભરીને ફટાકડા મોકલતા. અમારે ત્યાં પણ એટલા પ્રમાણમાં મીઠાઈ આવતી કે ઘરમાંના મોટા મોટા ડબા છલોછલ ભરાઈ જતા. અહીં અમને ખાવા-પીવાનું ઘણું સુખ હતું, પણ અમારા આનંદના દિવસોનું ખરું કારણ અમારાં કાકી હતાં. તેમનો સ્વભાવ અત્યંત સુંદર અને પ્રેમાળ હતો તેથી અમારો તેમને ત્યાં નિભાવ થયો. બાનું વય કાકી કરતાં ઘણું મોટું હતું, તેથી બા તેમને પોતાની દીકરીની જેમ સાચવતી. કાકી પણ મહત્ત્વનાં બધાં કામ બાને પૂછીને જ કરતાં. રમાકાંત મારી બા સાથે એટલો હળી ગયો હતો કે ન પૂછો વાત. આખો દિવસ તે બા પાસે જ રહે. પ્રસંગવશાત્ બાને વડોદરા જવું પડે તો તે પણ બાની સાથે જતો. હવે અમારા સુખના દિવસ આવ્યા હતા. મને ગુજરાતી માધ્યમની શાળામાં દાખલ કરી, પણ થોડા દિવસ બાદ મારે પાછા વડોદરા જવું પડયું. બાઈજીમાસીની દીકરી – મારી મોટી મસિયાઈ બહેનને મુંબઈ જવાનું થયું, તેથી તેના સથવારા તરીકે મને બોલાવી લીધી. છ મહિના મુંબઈ રહીને પાછી વડોદરા આવી, અને ત્યાંથી પાટણ. ભણતર એક બાજુએ. રહી ગયું, પણ તે વખતે શિક્ષણ કરતાં કૌટુંબિક કાર્યમાં છોકરીઓ મદદે જાય તે વધારે મહત્ત્વનું ગણાતું.
બાબાની બદલીનો સમય થઈ ગયો હતો અને તેમની બદલી પાછી વિજાપુર થઈ. અમને વિજાપુર વધારે ગમતું. ઘરકામ કરવા માટે બે ઓર્ડરલી હતા. વિજાપુરમાં પાણીના નળ ન હોવાથી કૂવેથી પાણી ભરી લાવવું પડતું. આ કામ માટે પણ બાબાએ એક માણસ રખાવ્યો હતો.
અમે હવે વેસુબાબાને પિતા સમાન માનવા લાગ્યાં હતાં, અને હવે તેમને જ બાબા કહીને બોલાવવા લાગ્યાં હતાં.
બાબાએ મને ફરીથી નિશાળમાં દાખલ કરાવી. કાકી દરરોજ મારા વાળ ઓળી આપતાં, અંબોડામાં વેણી બાંધી આપતાં અને ઘણું વાત્સલ્ય આપ્યું. પ્રદેશ ફળદુપ હોવાથી દરેક સીઝનમાં થતાં ફળ બાબા ભરપૂર પ્રમાણમાં મંગાવતા. અમને ઘણી મજા આવતી. અમે ગમે ત્યારે કંઈ પણ ખાઈએ, ગમે તેટલું ખાઈએ. તો પણ કાકી કદી. નારાજ નહોતાં થતાં. ઘરમાં કશાને તાળું નહોતું લગાડતાં. અમે તો ધરાઈને ખાતાં હતાં, પણ કાકી તો આડોશીપાડોશીને ત્યાં પણ વસ્તુઓ મોકલતાં. બાબા તો ઘડો ભરીને દૂધ-ઘી મંગાવતા. બાપુજીના રાજમાં અમને ખાવા-પીવાનું સુખ કદી લાધ્યું નહોતું, તે હવે અમને બાબાના રાજ્યમાં મળવા લાગ્યું.
બાબા અમારી બાને ઘણું માન આપતા. બા અત્યંત પ્રેમાળ હતી અને કામઢી પણ એટલી જ. ઘરનું બધું કામ સહારય વદનથી કરતી અને સ્નેહથી બધાંનાં મન તેણે જીતી લીધાં હતાં. મારાં કાકી વયમાં નાનાં હોવાથી ઘરનાં સૂત્રો બાના હાથમાં સોંપી દીધાં હતાં. આજના યુગમાં વહુઓ સાસુને પણ ગણકારતી નથી, તો જેઠાણીની કોણ પરવા કરે? મારાં કાકી સાવ જુદી માટીનાં ઘડાયેલાં હતાં. તેઓ ઘણાં સમજુ અને ખાનદાન વૃત્તિનાં હતાં. નાનપણમાં તેમનાં મા સ્વર્ગવાસી થયાં હતાં. બાને તેનો ખ્યાલ હતો, તેથી બાએ તેમને એક માતાનો સ્નેહ આપ્યો. હવે તો તેઓ પણ અમારી બાને ‘બા’ કહીને બોલાવવા લાગ્યાં હતાં.
બાબાએ અમને ઘણો સ્નેહ આપ્યો, પણ તેમના વિચાર થોડા જૂની ઘરેડના હતા. આથી “ચોથી ચોપડી’ પાસ કર્યા બાદ અમે ઘેર બેસી ગયાં. છોકરીઓ બહાર જાય તે બાબાને ગમતું નહિ. કાકીને પણ કદી બહાર જવા મળતું નહિ. વરસેદહાડે ગામમાં કોઈ નાટકકંપની આવે ત્યારે અમને પાસ આવતા, અને. કંપનીનો મૅનેજર અમને પરાણે લેવા આવે ત્યારે અમે નાટક જોવા જતાં. આમ અમારા દિવસ આનંદથી વહેવા લાગ્યા.
અમારાં એક મોટાં ફોઈ વડોદરામાં રહેતાં હતાં. તેમની દીકરીને બાળક આવવાનું હતું તેથી ફોઈબાએ મારાં મોટાં બહેન વત્સલાબાઈને મદદ માટે બોલાવ્યાં. બહેન બે મહિના વડોદરા રહ્યાં અને સખત માંદાં પડ્યાં. બાબા તેમના માટે સારો વર શોધી રહ્યા હતા ત્યાં બીમાર હાલતમાં જ ફોઈબાએ વત્સલાબાઈને વિજાપુર પાછા મોકલી આપ્યાં. બે મહિનાની માંદગીમાં તો મારાં અઢાર વર્ષનાં પ્રેમાળ વત્સલાબાઈ પરલોક સિધાવી ગયાં. આમ બાની પાંચ દીકરીઓ તેની નજર સામે જ અવસાન પામી. બાના વિદીર્ણ થયેલા મન પર શી વીતી હશે તેની હું કલ્પના નથી કરી શકતી.
આમ સુખ અને દુઃખના ચક્રમાં અમારા દિવસો વ્યતીત થતા હતા.
મને હવે સોળમું વર્ષ બેઠું. બાબા મારા માટે “સ્થળ’ શોધવા લાગ્યા. તેઓ કહેતા, “જ્યાં સુધી હું અમલદાર છું ત્યાં સુધીમાં લીલાનાં લગ્ન નક્કી થાય તો તેનાં લગ્ન ઘણી હોંશથી ઊજવીશું.’
વડોદરાથી બાઈજીમાસી ખબર મોકલે કે તેમની નજરમાં કોઈ છોકરો છે કે અમે ત્યાં પહોંચી જતાં. ત્યાર બાદ મારી “વધૂ-પરીક્ષા’ થાય, વરપક્ષ તરફથી મને જોવા આવેલા લોકો મિજબાની જમે અને “નકાર’ આપીને જતા રહે. આમ દસેક જગ્યાએથી નકાર આવ્યા. બાબા વરપક્ષવાળા જેટલો માગે એટલો દાયજો અને રોકડા પૈસા આપવા તેયાર હતા, પણ ક્યાંય ઠેકાણું પડયું નહિ.
લોકો પણ કેવા સ્વાર્થી અને વિઘ્નસંતોષી હોય છે! એક વાર મને જોવા માટે વડોદરાથી કેટલાક લોકો વિજાપુર આવ્યા. અમારા ઉતારા પર બે દિવસ રહ્યા, મિજબાની જમ્યા અને કર્યું, વડોદરા જઈને અમે નિર્ણય જણાવીશું.’ તેમને નીકળવાને વાર હતી ત્યાં મારા નજીકના સગામાં એક માસી વિજાપુરમાં જ રહેતાં હતા. તેમણે કહ્યું, તમારા મહેમાન અમારા સગા થાય છે, તો તેમને અમે ચા-નાસ્તા માટે બોલાવવા આવ્યા છીએ.” મારી બા તો સરળ સ્વભાવની હતી, તેણે પોતાની માસીની દીકરી બહેનને કહ્યું, ઊ’એમાં પૂછવા જેવું શું છે? હું જ તેમને કહું છું.’ કહી તેમને આ નિમંત્રણ આપ્યું.
મહેમાનને ચા પીવાના બહાને લઈ જઈને મારાં આ મસિયાઈ માસીએ પોતાની લગ્નલાયક દીકરીની “વધૂ પરીક્ષા’ કરાવી નાખી! છોકરી વાને ગોરી હતી અને માસીએ. મીઠી મીઠી વાતો કરી તેમને પટાવી લીધા. આ વાતની અમને ગંધ પણ આવવા દીધી નહિ અને માસીએ. ચૂપચાપ સગાઈની તેયારી કરી નાખી.
અહીં અમે રોજ અમારા આ “મહેમાન’ના જવાબની રાહ જોતાં હતાં. આઠેક દિવસ બાદ આ જ લોકો વિજાપુર સગાઈ માટે આવ્યા ત્યારે અમને આ ષડ્યંત્રની જાણ થઈ. હદ તો ત્યારે થઈ કે વિજાપુરમાં તેમનાં લગ્ન લેવાયા ત્યારે અમને તેનું વિધિપુરઃસરનું આમંત્રણ આવ્યું, અને સંબંધને કારણે મારે તેમાં હાજરી આપવી પડી. મને તો થયું હતું કે આવાં સગાંનું મોં પણ ન જોવું, પણ બાની સગી માસીની દીકરીને ત્યાં લગ્ન હતાં, ત્યાં ન જઈએ તો અમારી ખાનદાની અને શિષ્ટતા લજાય. કમનસીબે. આગળ જતાં આવું ચાર-પાંચ વાર થયું. જ્યાં મારી વાત ચાલતી હોય ત્યાં મારી ફોઈની દીકરી માટે કે તેની બહેનપણી માટે મુરતિયો ઝડપી લેવામાં આવતો, અને પોતાનો સ્વાર્થ સાધી લેવાતો. આખરે કંટાળીને મારા માટે મુરતિયો શોધવાની મોહિમ સ્થગિત કરવામાં આવી.
મારાં કાકીને ત્રીજી દીકરી આવી. તે એક વર્ષની થઈ ત્યારે વિજાપુરમાં શીતળાનો ચેપ ફાટી નીકળ્યો. અમારા ઘરમાં પહેલો ભોગ બન્યો તે અમારો પાંચ વર્ષનો ભાઈ રજનીકાંત. ચોથા દિવસે એક વર્ષની નાની બહેનને. બાબા ડિસ્ટરિક્ટમાં ગયા હતા. દવાદારૂને બદલે ઘરમાં શીતળામાતાની પૂજા અને શાંતિ શરૂ થયાં.
ઠેઠ અમદાવાદથી પૂજા માટે કેટલો બધો. સામાન મંગાવ્યો અને જાપ શરૂ થયા. અમારો પાંચ વર્ષનો ભાઈ ઘણું સમજતો હતો. વારંવાર કહેતો હતો, “બેબીને મારી પાસે લાવતા નહિ. મને બીજા કોઈ ઘરમાં લઈ જાવ.’ ઘરમાં બધાં વિચાર કરવા લાગ્યા, બાબાના શરીરે માતા નીકળ્યાં છે, તેવામાં બીજા કોઈના ઘરમાં કેવી રીતે લઈ જવાય? ચોથા દિવસે બહેનની હાલત વણસી ગઈ. પ્રથમ તો તેની આંખો ગઈ, અને રાત પડતાં સુધીમાં તો તે ગુજરી ગઈ.
રજનીકાંતનો તાવ વધવા લાગ્યો. માતાને શાંત કરવા માટે સુવાસિનીઓ (સૌભાગ્યવતી સ્ત્રીઓ)ને ભોજન કરાવ્યું, પણ કશો ફાયદો થયો નહિ. બાબા હજી ડિસ્ટ્રિક્ટમાં જ હતા. નવમા દિવસે રજનીની તબિયત ગંભીર થઈ. એક સરખો પૂછતો હતો, “બાબા આવ્યા?’ સાંજે પાંચ વાગ્યાના સુમારે તેણે પ્રાણ ત્યજ્યા.
બે દિવસમાં અમારા પરિવારનાં બે બાળકો ગયાં. માતાજી ઘરમાં હોય ત્યારે રડવું અશુભ ગણાય તેથી દીકરી ગઈ ત્યારે કાકી રડી પણ શક્યાં નહોતાં, કારણ કે તે વખતે માતાજી પુત્ર રજનીકાંતના દેહમાં હાજર હતાં! જેમ તેમ કરીને અશ્રુનાં પૂરને અમે રોકી રાખ્યાં હતાં. મન રુદન કરી રહ્યું હતું, અને અમે તેને ગમે તેમ કરી શાંત રાખવાનો પ્રવત્ન કર્યો હતો. શ્રદ્ધા કહો કે અંધશ્રદ્ધા – અમે ઘણી પ્રાર્થના કરી, પણ આ ભાઈલાએ અમને ધોખો આપ્યો. આટલા રૂપાળા, ગભરુ બાળને ભગવાન અમારી પાસેથી લઈ ગયા.
થોડી વારે બહાર રમવા ગયેલો તેનો મોટો ભાઈ રમાકાંત આવ્યો અને પૂછવા લાગ્યો, “બા, રજુ ક્યાં ગયો?”
રમાકાંતને સમજાવવાનો અમે ઘણો પ્રયત્ન કર્યો, પણ આટલા નાના બાળકને જીવન-મૃત્યુની સમજણ કેવી રીતે પાડી શકાય?
તેવામાં બાબા ડિસ્ટ્રિક્ટનું કામ પતાવી ઘેર પાછા આવ્યા. ઘરમાં વાતાવરણ એટલું દુ:ખપૂર્ણ હતું કે તેનું વર્ણન કરવું અશક્ય છે. બાબા ભાંગી પડ્યા. બાએ તેમને અને કાકીને ઘણું સાંત્વન આપ્યું. વિધિના લેખ કોણ ટાળી શકે છે? દિવસો વીતતા ગયા. અમે બધાં રમાકાંતને જોઈ દુઃખ વીસરવાનો પ્રયત્ન કરતા હતા.
છ મહિના બાદ દિવાળી આવી. રમાકાંતને ખાતર અમે દિવાળીની થોડીવસ્તુઓ ખરીદી. કાળી ચૌદશના દિવસે અમે બહેનોએ. મળી અમારા નાનકડા ભાઈલાને ઉબટન અને સુગંધી તેલ લગાડીને સ્નાન કરાવ્યું અને સુંદર કપડાં પહેરાવ્યાં. ભાઈ તૈયાર થઈને બાબા સાથે બહાર ફરવા ગયો.
બપોરના બારેકના સુમારે તેઓ ઘેર પાછા ફરતા હતા. જે રસ્તા પરથી તેઓ આવતા હતા, તેનો કોણ જાણે કેમ, લોકો ભાગ્યે જ ઉપયોગ કરતા. ભરબપોરનો સમય હતો. રસ્તામાં એક તરફ કૂવો હતો. અચાનક રમાકાંતે બાબાને કહ્યું, બાબા, જુઓ, કૂવાના કાંઠલા પર બેઠેલી પેલી બાઈએ કૂવામાં ભૂસકો માર્યો!
બાબાએ કહ્યું, ‘એક શબ્દ પણ બોલીશ મા, અને ચૂપચાપ મારી સાથે ચાલવા લાગ.’ પણ પેલું પિશાચ રમાકાંતની પાછળ પાછળ આવ્યું, કારણ ઘરમાં પેસતાંવેત રમાકાંતને સખત તાવ ચઢયો. દિવાળીના દિવસે તેની સ્થિતિ ભયંકર થઈ અને બોલવા લાગ્યો, “બાબા, જુઓ તો! પેલી કૂવામાંની બોબડી મારી પડખે બેઠી છે!’
અમને ત્યારે ખબર પડી કે આગલા દિવસે શી બીના બની હતી. વર્ષો પહેલાં એક સ્ત્રીએ પેલા કૂવામાં પડીને આપઘાત કર્યો હતો, અને લોકવાયકા હતી કે તેનું ભૂત ત્યાં હંમેશાં દેખાતું હોઈ કોઈ તે રસ્તાનો ઉપયોગ કરતું નહોતું. જે આ ભૂતને જોઈ જાય તેનો જીવ આ પિશાચીની લીધા વગર રહેતી નહિ, અને તેણે ઘણા લોકોના પ્રાણ લીધા હતા.
બેસતા વર્ષની પરોઢે અમારો સાત ખોટનો રૂપાળો ભાઈ પ્રભુદ્વારે ગયો. હજી તો એ સાત જ વર્ષનો થયો હતો.
દેવતાસ્વરૂપ બાબાને આ વયે રત્ન જેવા પુત્રના અવસાનનું દુઃખ ભોગવવું પડ્યું તેનો શોક આખા ગામને થયો. અરે, છ મહિનાની અંદર ત્રણ સંતાનો ગુમાવવાં એ કાંઈ નાનીસૂની ઘટના ન હતી. અમે બધાં શોકસાગરમાં ડૂબી ગયા. એટલો રૂપાળો અમારો ભાઈ હતો, અને અમે તેનાં કેટલાં લાડ લડાવતાં હતાં!
બે ટ્રંક ભરીને તો તેના માટે કપડાં સિવડાવ્યાં હતાં. કાળે રમાકાંતને લઈ જઈ અમારા કાળજાને ડામ આપ્યા. કાકીને નાની ઉમરે આટલું બધું દુઃખ ઝીલવું પડયું.
આમ અમારા દિવસો વહેવા લાગ્યા. સુખેદુઃખે દિવસો જતા હતા. બાબાના પહેલા ઘરની મોટી દીકરી હતી. રમાકાંત ગયા પછી કાકીને એક પછી એક ત્રણ દીકરીઓ આવી. સમય વીત્યા બાદ અમને થોડી કળ વળી હતી. હવે મારા માટે વર સંશોધનનું કામ ફરી હાથ પર લેવાયું. કમનસીબે જ્યાં જઈએ ત્યાંથી નકાર આવતો. વળી વધૂપરીક્ષા લેવા આવનારા “વડીલો’ મારી ખરેખર પરીક્ષા લેતા હોય તેમ મારી પાસેથી પુસ્તક વંચાવતા. છોકરીને ગાતાં તો આવડવું જ જોઈએ, તેથી મને ગીત ગાવાનું કહેતા. ત્યાર પછી મિજબાની જમી, ઘેર પાછા જઈ નનૈયો મોકલાવે! આમ જોવા જઈએ તો હું કુરૂપ નહોતી કે નહોતી. મને કોઈ ખોડખાંપણ. તેમ છતાં મારું કોઈ ઠેકાણું પડ્યું નહિ. આ મારા ભાગ્યનો દોષ, નહિ તો શું!
મારી બધી બહેનપણીઓનાં લગ્ન થઈ ગયાં હતાં, અને સાસરિયે પહોંચી ગઈ હતી. મારા મનમાં દુઃખનો પાર નહોતો. રૂઢિચુસ્ત વિચારોને કારણે બહાર આવવા-જવાની બંધી હતી તેથી આગળનું શિક્ષણ સુધ્ધાં બંધ થઈ ગયું હતું.
બાબાની ફરીથી બદલી થઈ. હવે અમે મહેસાણા આવ્યાં. અહીં પણ અમને સારો મજાનો બંગલો મળ્યો હતો. ઓર્ડરલી પણ ભલો માણસ હતો. પણ વિજાપુર જેવી અહીં મજા નહોતી. ગામડાગામમાં જે માનપાન મળતું તે આ મોટા શહેરમાં ક્યાંથી મળે? અહીં તો બધા જ મોટા અમલદાર હતા.
થોડા દિવસ એમ જ ગયા અને ફરીથી એક આઘાત લાગ્યો. બાબાના પહેલાં ઘરની દીકરી હતી તે હવે બાર વર્ષની થઈ હતી. તેને પોતાની જનેતાની સ્મૃતિ હતી અને તેમના પર અત્યંત સ્નેહ હતો. માતા ગયા પછી કોણ જાણે તેમની પાછળ ઝૂરતી હતી કે કેમ, પણ હંમેશાં બીમાર રહેતી. બા અને બાબાએ તેને એટલી સાચવી હતી કે ન પૂછો વાત. મા વગરની છોકરીને નાનાં કાકી અને અમે બહેનો ખૂબ સંભાળતાં, પણ અમારું વહાલ તેને કોઠે પડ્યું નહિ. બીમાર અવસ્થામાં જ તેનું નિધન થયું. અહીં એક વાત કહું. તેને લેવા ખુદ યમરાજ આવ્યા હતા. અમે બધા તેની અંતિમ ઘડીએ. તેની નજીક બેઠા હતા, તેણે બાબા તરફ મુખ કરી કહ્યું, “બાબા, જુઓ તો, પાડા પર બેસીને આ માણસ આવ્યો છે, અને મને કહે છે, મારી સાથે ચાલ.’
બાબાએ. અશ્રુમય સ્વરે કહ્યું, “દીકરી, ભગવાનનું નામ લે! તે જ વખતે તેણે પ્રાણ ત્યાગ્યા.
બાબા ફરીથી શોકસાગરમાં ડૂબી ગયા. તેમના દુઃખની સામે અમારા દુઃખની કોઈ વિસાત ન હતી.
અમારા માટે છેલ્લા કેટલાક મહિના કેવળ આષાઢની વાદળી સમા નહોતા. આષાઢ અને ભાદ્રપદ એકસાથે વરસ્યા હતા. તેમાં ફક્ત શ્રાવણ નહોતો. અશ્વિન શું લાવશે તેનો વિચાર કરવો વ્યર્થ હતો.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
નવા વર્ષને આવકાર
દેવિકા ધ્રુવ
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
કાળની પીંછી ક્ષણના રંગે યુગને ચીતરી આપતી જશે.ચાલને ભેરુ સંગેસંગે નવું વરસ સત્કારી લઈએ.
નભે નીતરતા રંગોથી આજે બેઉ નયન છલકાવી દઈએ.
નહિ તો નોખા માપથી એ તો, માપતી જશે, નાથતી જશે.
કાલ હતી તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.નવા સમયનો રંગ છે જુદો, માણે તે ખરો જાણી શકે.
પાનખરે ખરી છટા દેખાશે, વાસંતી છાંટ છંટાઈ જશે.
પળની પીંછી હળવે હળવે ખરતી જઈને ઊડતી જશે.
કાલ હતી, તે આજ છે ને વળી કાલમાં ઢળી ચાલતી થશે.
Devika Dhruva: ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
ફિલસુફીભર્યાં ગીતો – ૩૦ – ज़िंदगी के सफ़र में गुज़र जाते हैं जो मक़ाम वो फिर नहीं आते
નિરંજન મહેતા
જિંદગીમાં આવતા ઉતાર ચઢાવને લગતા ગીતો અનેક આવ્યા છે જેમાં વધુ એક છે ૧૯૭૪ણી ફિલ્મ ‘આપ કી કસમ’નું આ ગીત
ज़िंदगी के सफ़र में गुज़र जाते हैं जो मक़ाम
वो फिर नहीं आते, वो फिर नहीं आतेफूल खिलते हैं, लोग मिलते हैं
फूल खिलते हैं, लोग मिलते हैं मगर
पतझड़ में जो फूल मुरझा जाते हैं
वो बहारों के आने से खिलते नहींकुछ लोग जो सफ़र में बिछड़ जाते हैं
वो हज़ारों के आने से मिलते नहीं
उम्र भर चाहे कोई पुकारा करे उनका नाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …आंख धोखा है, क्या भरोसा है
आंख धोखा है, क्या भरोसा है सुनो
दोस्तों शक़ दोस्ती का दुश्मन है
अपने दिल में इसे घर बनाने न दो
कल तड़पना पड़े याद में जिनकी
रोक लो रूठ कर उनको जाने न दो
बाद में प्यार के चाहे भेजो हज़ारों सलाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …सुबह आती है, शाम जाती है
सुबह आती है, शाम जाती है यूंही
वक़्त चलता ही रहता है रुकता नहीं
एक पल में ये आगे निकल जाता है
आदमी ठीक से देख पाता नहीं
और परदे पे मंज़र बदल जाता है
एक बार चले जाते हैं जो दिन\-रात सुबह\-ओ\-शाम
वो फिर नहीं आते, वो फिर नहीं आते
ज़िन्दगी के सफ़र में …કહે છે કે જિંદગીની સફર દરમિયાન કંઈ કેટલાય મુકામ આવે છે અને જાય છે પણ એકવાર તેના ગયા પછી તે પાછા નથી આવતા, જેમ કે ફૂલ ખીલે છે પણ પાનખર આવતા જે ફૂલો કરમાઈ જાય છે તે જ ફૂલો વસંત આવે ત્યારે ફરી નથી ઉગતા એટલે કે તેને સ્થાને નવા ફૂલો આવે છે. તે જ રીતે કેટલાક લોકો એવા છે જેનો એકવાર સાથ છૂટી જાય પછી મળતા નથી ભલેને બીજા હજારો લોકો આપણને મળે! તમે તેમને યાદ કર્યા કરો પણ તેમનો મેળાપ થતો નથી.
આગળ કહેવાયું છે કે આંખો દેખી વાત પર ભરોસો ન કરો. તેને કારણે થતી શંકા મિત્રતાની દુશ્મન છે. ભલભલા મિત્રો એક શંકાને કારણે દુશ્મન બની જાય છે. એટલે જ શંકાને તમારી અંદર સ્થાઈ થવા ન દો કારણ આગળ જતા તે મિત્રની યાદ આવતા પસ્તાવું પણ પડે. જે રિસાઈ ગયા છે તેને રોકો જવા ન દો નહી તો પાછળથી હજારવાર પ્રયત્ન કરશો તો પણ તે કદાચ પાછા ન પણ આવે.
સવાર પડે છે અને સાંજ પણ ચાલી જાય છે. સમય કોઈના માટે અટકતો નથી બીજી જ મિનિટે તે આગળ નીકળી જાય છે. પણ માનવીને તેની સમજ નથી. તે જોઈ સમજી શકે તે પહેલા તો દ્રશ્ય બદલાઈ જાય છે.
એકવાર જે સવાર, સાંજ, દિવસ, રાત પસાર થઇ જાય પછી તે જ સવાર, સાંજ, દિવસ, રાત પાછા નથી આવતા. તે જ રીતે તમારી જિંદગીમાં જે સમય આવે છે તેનો યોગ્ય ઉપયોગ કરો. સમય વર્તે સાવધાન જે કહેવાયું છે તેનો મર્મ સમજશો તો પાછળથી પસ્તાવાનો વખત નહી આવે.
ગીત રાજેશ ખન્ના પર રચાયું છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત છે આર.ડી.બર્મનનું. ગાયક કિશોરકુમાર.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૮૫. રાની મલિક
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
સ્ત્રી ગીતકારો અને સંગીતકારોનો હિંદી ફિલ્મોમાં પહેલેથી દુકાળ હતો અને છે. આ લેખમાળાને જે સમયગાળાના ફિલ્મી ગઝલકારો પૂરતી મર્યાદિત રાખવાનો નિર્ણય કર્યો છે એ ૭૦ – ૭૫ ના દશક સુધીમાં ફિલ્મોમાં જે સ્ત્રી સર્જકોના ગીતો આવ્યાં એ ગણ્યા ગાંઠ્યા સ્ત્રી સર્જકો – અમૃતા પ્રીતમ, પ્રભા ઠાકુર, ઈંદુ જૈન, પદ્મા સચદેવ, માયા ગોવિંદ વગેરેએ આંગળીના વેઢે ગણાય એટલા ગીતો આપ્યા અને મારી જાણ પ્રમાણે એમાં કોઈ ગઝલ નથી.
અહીં સામેલ કર્યા છે ( બલ્કે કરવા પડ્યા છે ) એ ગીતકાર રાની મલિક હિંદી ફિલ્મોમાં છેક ૧૯૯૦ માં પ્રવેશ્યા. લેખમાળા સ્ત્રી ગઝલકાર વિહોણી રહે એ પણ બરાબર ન લાગ્યું એટલે અને એમણે ગઝલો પણ આપી છે એટલે એમને સમાવિષ્ટ કર્યા.રાની મલિકને શરુઆતી ખ્યાતિ મળી એમના આશિકી ( ૧૯૯૦ ) ના ગીત ‘ ધીરે ધીરે મેરી ઝિંદગી મેં આના ‘ થી. એ પછી પણ ‘ તુમસે મિલને કો દિલ કરતા હૈ ‘ ( ફૂલ ઔર કાંટે ) ‘ છુપાના ભી નહીં આતા ‘ ( બાઝીગર ) અને ‘ ચુરા કે દિલ મેરા ગોરિયા ચલી ‘ ( મૈં ખિલાડી તૂ અનાડી ) ખૂબ ચાલ્યાં.
એમણે પચાસ જેટલી ફિલ્મોમાં બસો ઉપરાંત ગીતો લખ્યાં. એમણે લખેલી બે ગઝલો :
દેખિયે કલિયોં કે ખિલ જાને કા મૌસમ આ ગયા
યું સમજિયે અબ કરીબ આને કા મૌસમ આ ગયાહમને કબ સોચા થા યું તકદીર હોગી મેહરબાં
બેકરારી મેં કરાર આને કા મૌસમ આ ગયાશોખિયોં મેં ધુલ ગઈ જબ પ્યાર કી શર્મો હયા
યું લગા, રંગીં ગઝલ ગાને કા મૌસમ આ ગયાઆપ સે કુછ નૂર લેકર ઝિલમિલાયા આસ્માં
ચાંદ કે ઘૂંઘટ કો સરકાને કા મૌસમ આ ગયા..– ફિલ્મ : એક હી રાસ્તા ૧૯૯૩
– બેલા સુલાખે, ઉદિત નારાયણ
– મહેશ કિશોરઉતરા ન દિલ મેં કોઈ ઈસ દિલરુબા કે બાદ
લબ પે ઈસી કા નામ હૈ આતા ખુદા કા બાદદેખે હૈં ફૂલ, તારે, હવાએં, ઘટા, ચમન
ફીકે લગે હૈં રંગ યે તેરી હર અદા કે બાદતેરે પ્યાર સે સજે હોં મેરે દિલ કે રાસ્તે
ઉઠેં ન હાથ મેરે અબ ઈસ દુઆ કે બાદ..– ફિલ્મ : ઉફ સે મુહબ્બત ૧૯૯૬
– કુમાર શાનુ
– નિખિલ વિજય
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ત્યારે અને અત્યારે : સંગીત અને તેને શૅર કરવાની ટેકનૉલોજી
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
+ + +

વાત ૧૯૫૮-૫૯ના વર્ષની છે. મિડલ સ્કૂલના છઠ્ઠા કે સાતમા ધોરણમાં અમારા એક સંગીતશિક્ષક હતા, શ્રી મેઘનાનીસાહેબ. દેશના ભાગલાના કારણે સિંધથી કચ્છ આવેલા એટલે પ્રોઢ ઉંમરે શાળામાં આવેલા. સંગીતના પિરિયડમાં બીજી વાતો પણ કરતા રહેતા. એક વાર કહે કે ગઈ કાલે મેં શહેરના નિવૃત્ત ન્યાયાધીશના ઘરે એક આશ્ચર્યકારક યંત્ર જોયું. તમે બોલો એ અવાજ તેમાં ઝિલાઈ જાય અને પછી તેનેફરીથી વગાડી શકો! તેઓ ટેપ-રેકૉર્ડરની વાત કરતા હતા. સાત ઈંચ વ્યાસના વર્તુળાકાર “સ્પૂલ’ રીલ)માં ચુંબકીય ટેપ વીંટળાઈને આવતી. તેને વગાડતું યંત્ર તે સ્પૂલ ટેપ-રેકોર્ડર. અમને બાળકોને નહીં, કોઈ મોટાંને પણ એ વાત ચમત્કાર જેવી જ લાગી હોત. એ યંત્ર સંવાદ સાચવવા માટે નહીં પણ સંગીત સાચવવા માટે હતું. આકાશવાણીએ આ વાત પછી અમુક વરસે પોતાના કાર્યક્રમ આ યંત્રમાં સંઘરવાનું શરૂ કર્યું. ત્યાં લગી કાર્યક્રમનું જીવંત પ્રસારણ થતું, નહીં તો મોટા કલાકારોની ગ્રામોફોન રેકૉર્ડ વગાડીને.
સંગીતક્ષેત્રે ત્યારે જે પ્રાપ્ય હતું તેમાં આ રેકૉર્ડર ક્રાન્તિકારી શોધ હતી. અને. ભવિષ્યની વધુ ક્રાન્તિકારી શોધોનું, બીજ એમાં હતું જેનાં વૃક્ષ આપણી આસપાસ દેખાય છે. સંગીત સાંભળવા માટે ત્યારે એક હતો રેડિયો, જે થોડાં વર્ષો પહેલાં જ દેશમાં આવેલો. બીજું હતું ગ્રામોફોન અથવા થાળીવાજું. તેના ઉપર લાખની બનેલી રેકૉર્ડ વગાડવામાં આવતી. રેડિયોએ હજુ ફિલ્મનાં ગીતો આપવાનું શરૂ નહોતું કર્યુ, તેથી શોખીનો માટે ત્યારના પ્રખ્યાત કુંદનલાલ સાયગલ, પંકજ મલિક કે કાનનબાળાને સાંભળવાનું એકમાત્ર સાધન આ “વાજું’ હતું. મોટાં ભૂંગળાંવાળાં લાઉડ સ્પીકરની સામે બેસી સાંભળી રહેલા કહ્યાગરા કૂતરાનું ચિત્ર. એ HMV/ (હિઝ માસ્ટર્સ વૉઇસ) કંપનીનું તો ચિહન હતું, પણ સાથે સાથે શોખીનો માટે સંગીતનું પ્રતીક પણ હતું.
થોમસ એડિસન અને એમિલ બર્લિનરના બમણા પ્રયત્નોથી મળેલ આ વાજું સંગીતનો સંગ્રહ કરવાને ક્ષેત્રે પ્રથમ પગથિયું હતું. કરાઓકે ઉપર ગીત ગાનારી આજના પેઢીને એ માનવું પણ મુશ્કેલ લાગશે કે એ ઇલેક્ટ્રિસિટી વિના જ ચાલતું! માનવની શોધખોળ પ્રવૃત્તિનું એ પ્રતીક હતું. એવાં પણ કેટલાંક ઘર ત્યારે હતાં જ્યાં આ વાજું તો હતું પણ હજુ લાઇટ નહોતી આવી.
કાર્યરચના
લાખ જેવા મૃદુ પદાર્થ ઉપર વલયાકાર ટ્રૅક’ બનેલો હોય. કહો કે એ ખાડો છે, જેની ઊંડાઈ અવાજની તીવ્રતા મુજબ વધ-ઘટ થાય. તેને વગાડવા માટે ઝીણી પિન વાળું રિસીવર એના ઉપર બેસાડેલું હોય. પિનને એક પાતળા પડદા સાથે એવી રીતે જોડી હોય કે પિન ઊંચી-નીચી થાય તો પડદો આગળપાછળ થાય. એ કંપનના સૂક્ષ્મ અવાજને મોટો કરવા માટે લાકડાના બૉક્સની ખાસ રચના કરેલી હતી, જેને સાઉન્ડ બૉક્સ કહેવાતું. રેકોર્ડને ગોળગોળ ફરવાની ઊર્જા ક્યાંથી આવે? ચાવીવાળા રમકડા અને મોટા ઘડિયાળમાં હોય તેવી લોખંડની સ્પ્રિંગ જેવી કમાન દ્વારા હાથેથી ચાવી ભરવાથી કમાન વીંટાઈ જાય અને એ. ખૂલવા માંડે ત્યારે તમારા હાથની ઊર્જા પાછી મળે, દાંતાચક્રો (ગીઅર)ની મદદથી તેનું પરિવર્તન ગોળગોળ ગતિમાં થાય.
આ રેકોર્ડ મિનિટનાં 78 ચક્ર ફરે તો અવાજ વ્યવસ્થિત આવે. એ પરથી કલ્પના આવે કે આખું યંત્ર કેટલી ચોકસાઈથી બન્યું હશે, કમાન પૂરી ખૂલવામાં હોય અને ગાયકનો અવાજ લંબાઈ જાય કે તરત ઘરમાં બાળકો બોલે, “એ… ચાવી ઊતરી ગઈ! ગ્રામોફોન ઘણી મહેનતથી પિતાજી લાવ્યા હોય અને પાછો અવાજ ધીમો, એટલે એ વગાડાય ત્યારે આખું ઘર એની ફરતે બેસી જાય. ઇલેક્ટ્રિસિટી આવી અને ગ્રામોફોનનું ટર્નટેબલ મોટરથી ફરવા લાગ્યું. વૉલ્યુમ ઉપર કાબૂ આવ્યો અને આ ઉત્સવની મજા ચાલી ગઈ!

વીજળીના કારણે અવાજ ઉત્પન્ન કરવાની રચના બદલી ગઈ. લોખંડની પિનની જગ્યાએ કૃત્રિમ સિરામિકનો કાર્ટિજ આવ્યો. લાખને બદલે રેકોર્ડ વિનાઇલ નામના સિન્થેટિક દ્રવ્યમાંથી બનવા લાગી. એક બાજુ સાડા ત્રણ મિનિટનું ગીત સમાતું, તેને બદલે ૪૫ મિનિટનું સંગીત પીરસી શકે તેવી LP (લોંગ પ્લે) અને EP (એક્સ્ટેન્ડેડ પ્લે) રેકોર્ડ આવી. શાસ્ત્રીય સંગીતનાં લાંબાં વાદન માટે એ વધુ યોગ્ય પણ હતી. એકસાથે ઘણી રેકૉર્ડ મૂકીને સતત સાંભળી શકાય તેવાં “ચેન્જર’ આવ્યાં. સંગીતના શોખીનો માટે સારો જ સમય ચાલી રહ્યો હતો.
ચુંબકીય ટેપ
આમ છતાં મેધનાનીસાહેબવાળું ટેપ રેકોર્ડર અને તેના પાછળ કેસેટ ટેપ આવ્યા જ. ટેક્નોલોજી ક્યારેક ફૅશન જેમ વર્તે છે. ચાલી રહેલ સ્ટાઇલમાં કશી ઊણપ હોય તેથી ફૅશન બદલે છે તેવું નથી. એ અમસ્તી જ બદલે છે. કદાચ રેડીમેડ ગારમેન્ટ ઉદ્યોગને નવું કરવાની ઇચ્છા થાય ત્યારે બદલે છે, તેવી જ રીતે થાળી-રેકૉર્ડના જમાનામાં ચુંબકત્વના સિદ્ધાંત પર કામ કરતી ટેપ સંગીતનો સંગ્રહ કરવા માટે આવી
પડી. સ્પૂલ પ્રકારનાં રેકોર્ડર તો બહુ ન ચાલ્યાં પરંતુ ઓછી પહોળાઈની કૅસેટ ટેપે આકર્ષણ જમાવ્યું. એ “કન્ઝ્યુમર પ્રોડક્ટ’ બની ગઈ. વિનાઇલ રેકોર્ડ અને સ્પૂલ રેકૉર્ડરમાં રેકોર્ડિંગ કરવું હોય તો વિશેષ વ્યવસ્થા અને સ્ટુડિયોની જરૂર પડે. કેસેટમાં રેકૉર્ડિંગ કરવું સહેલું હતું. ‘ટુ-ઈન-વન’ પ્રકારના રેડિયોની સાથે આવતા ટેપ-રેકૉર્ડરમાં તો રેડિયોમાંથી સીધું જ રેકૉર્ડિગ થઈ શકતું. એટલે શહેરના શોખીનો ઉપરાંત ગ્રામીણ પ્રજાએ પણ આ સસ્તી સગવડને હાથોહાથ ઉપાડી. સંગીત સિવાય પણ એના ઘણા ઉપયોગ થયા. ભોજપુરી ગીતો અને સદેવંત સાવળીંગાની કથાની કેસેટો ૨૦-૨૦ રૂપિયામાં વેચાવા લાગી.
ગીતોના શોખીન લોકોએ ગીતો ઉપરાંત ગઝલો અને વાજિંત્ર (ઇન્સ્ટૂમેન્ટ) સંગીતની દોઢસો-બસ્સો કેસેટો ઘરમાં વસાવી. સમાન રસ ધરાવનારા મિત્રો કેસેટની આપલે કરતા. એ વિનિમય પેલાં થાળીવાજાં જેવો મુશ્કેલ ન હતો! શર્ટના ખિસ્સામાં લઈ જઈને એ મિત્રને આપી શકાતી! એના નાના કદે એક બીજી નવાઈનું સાધન બજારમાં આણ્યું. ‘સોની’ કંપનીએ “વૉકમેન’ નામનું એવું ટચૂકડું ‘ટેપ-પ્લેયર’ બનાવ્યું જેને હાથમાં લઈ ને હાલતાંચાલતાં સાંભળી શકાય. યુવાનોમાં એ “સ્ટાઇલ સ્ટેટમેન્ટ’ જેમ વપરાયું.
ફેશન ફરી પલટી
ચુંબકીય ટેપનો વિચાર કમ્પ્યૂટર ટેકનૉલોજી પરથી આવેલો. પ્લાસ્ટિક અથવા પોલિસ્ટરની પટ્ટી ઉપર આયર્ન (લોહ) અને કૉમિયમના ઓક્સાઇડનું પાતળું પડ ચડાવવામાં આવ્યું હોય છે. સ્પૂલમાં ભરેલી ટેપ કમ્પ્યૂટરમાં ‘મેમરી’ સંઘરવા માટે વપરાતી હતી, ત્યાંથી સંગીતમાં આવી. ખાડાટેકરાને બદલે બદલાતાં ચુંબકત્વરૂપે અવાજ તેમાં કેદ થાય. પટ્ટી જ્યારે ટેપ-રેકોર્ડરના હેડની સામેથી પસાર થાય ત્યારે ચુંબકત્વની વધઘટ પ્રમાણે ‘હેડ’માં સૂક્ષ્મ વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે. તેનું સ્પીકર અવાજમાં રૂપાંતર કરે છે. આવી સરળ પ્રક્રિયાને કારણે જ કેસેટ પ્રચલિત બની હતી. તે છતાં કૉમ્પેક્ટ ડિસ્ક (સી.ડી.)એ આવીને અચાનક તેને ખસેડી મૂકી.
રૂપાળી કૉમ્પેક્ટ ડિસ્કની કાર્યપદ્ધતિ પેલી કાળી રેકોર્ડ જેવી જ હતી. સી.ડી. ઉપર ગોળ ફરતા “ટ્રેક’માં સૂક્ષ્મ ખાડા અને ટેકરા હોય છે. અવાજના ગુણધર્મ મુજબ એ બનાવવામાં આવ્યા હોય છે. ડિસ્કને વગાડતી વેળા એક સૂક્ષ્મ લેઝર કિરણ એ માહિતી “વાંચે’ છે અને અવાજમાં તેનું પરિવર્તન કરાય છે. રેકોર્ડને હટાવીને જેમ કેસેટ વણમાગી આવી, તે જ રીતે કૅસેટને હટાવીને સી.ડી.એ પ્રવેશ કર્યો. જેમ જૂની ફેશન પાછી આવે તેમ ખાડા-ટેકરામાં સંગીતને સંઘરવાની રીત પણ પાછી આવી, લોખંડની પિનને બદલે આધુનિક લેઝરનો ઉપયોગ કરીને! ફિલિપ્સ અને સોનીએ મળીને કમ્પ્યૂટરના ડેટા સાચવવાની રીતને સંગીતની સેવામાં આણી.
ડિજિટલીકરણ
કૉમ્પેક્ટ ડિસ્કના પગલે પગલે સંગીતમાં ડિજિટલ યુગ હળવેથી દાખલ થઈ ગયો. ડિજિટ – એટલે આંકડા અથવા સંખ્યા. અવાજને લગતી માહિતી હવે અમુકતમુક સંખ્યાના રૂપમાં સચવાઈ. એનો મુખ્ય ફાયદો એ કે અવાજ જેવો રેકોર્ડ થાય તેવો જ વગાડતી વખતે “પ્લેબૅક’ થાય. એનેલોગ (Analog) પદ્ધતિથી વંચાતી ટેપ અને વિનાઇલ રેકોર્ડમાં એવી ખાતરી નથી હોતી. ટેપ જૂની થાય તો અવાજ ધીમો થતો જાય. જો એ હેડ જોડે ઘસાય તો ગીતમાં ઘસારાનો અવાજ આવે. રેકૉર્ડમાં ખાડો હોય તો એ જ શબ્દો વારંવાર બોલાયા કરે. સી.ડી.માં લેઝર કિરણ દૂરથી જ ‘વાંચતું’ હોવાને કારણે તેનું આયુષ્ય વારંવાર વગાડવાથી ઘટતું નથી અને અવાજ સ્પષ્ટ જ રહે છે.
આજે આપણે એવી પરિસ્થિતિમાં છીએ કે તમે જે કંઈ સાંભળો છો અને કોઈ પણ માધ્યમથી સાંભળો છો, તે બધું જ ડિજિટલ સ્વરૂપે સંઘરાયેલ તેમ જ વગાડાયેલ છે. હા, તમારી પાસે જૂનું ટેપ-રેકૉર્ડર હોય તો એનેલોગ સંગીત સાંભળવાની એ એકમાત્ર જગ્યા રહી ગઈ છે. તમારો રેડિયો ભલે જૂનો હોય
પરંતુ રેડિયો સ્ટેશન પાસે કાર્યક્રમનો સંગ્રહ કમ્પ્યૂટરમાં જ છે અને તેના દ્વારા જ વગાડીને બ્રોડકાસ્ટ કરે છે! બીજી તરફ મોબાઇલ ફોનમાં કમ્પ્યૂટર સમાઈ ગયું હોવાથી પ્રજાનો મોટો ભાગ પોતાની પસંદનું સંગીત હવે ફોનમાં જ સાંભળી લે છે. પોતાનો સંગ્રહ, યુ-ટયૂબમાં ફિલ્મી ગીતો, અને છેવટે “સ્પોટીફાઇ’ જેવી એપ્લિકેશન (App) પણ ડિજિટલ જ છે ને? મોબાઇલને કારણે હવે સંગીત વૈયક્તિત અનુભવ બનીને રહી ગયું છે. શક્ય છે કે માતા અને દીકરો એ જ ગીત સાંભળી રહ્યાં હોય, પરંતુ પોતપોતાનાં સાધનમાં – એકલાં એકલાં.

ગુણવત્તા સુધરી ?
ડિજિટલીકરણ પછી મનોરંજનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. સામાન્ય રીતે મનાય છે કે ડિજિટલ સંગીત ઉચ્ચ કક્ષાનું હોય, કારણ કે, તે સ્પષ્ટ હોય છે. તેને કમ્પ્યૂટર વાપરીને પ્રોસેસ પણ કરી શકાય. પરંતુ જે લોકોના કાન સંવેદનશીલ છે તેવા જાણકારો આ સંગીતને એનેલૉગ પ્રકાર કરતાં ચઢિયાતું નથી માનતા. ડિજિટલીકરણ ઉપરાંત આધુનિક વીજાણુ સર્કિટો કંઈક અંશે કૃત્રિમ અવાજ પેદા કરે છે. થોડો તીક્ષ્ણ-મૅટાલિક અવાજ. ચંદ્ર સપ્તકના ઓછી આવૃત્તિના સ્વરોમાં ઊંડાણ અને ગાંભીર્ય નીપજતું નથી. ડિજિટલીકરણની પ્રક્રિયા જ એવી છે કે આ વાતમાં વજૂદ હોઈ શકે.

ડિજિટલ સી.ડી. ઉપર એક મિનિટનું સંગીત ૧૦ મેગાબાઇટ (MB) જેટલા ડેટા પૉઇન્ટ અથવા મેમરી માગી લે છે. પરંતુ તેનું જ MP3માં પરિવર્તન કરો તો એક MBમાં સમાઈ જાય છે. તો આ પ્રક્રિયામાં કશુંક તો ધરબાઈ જ જતું હશે ને? બહુજન જેને માણે તેવાં હળવાં મનોરંજનમાં એ ચાલી જાય પરંતુ હળવેથી સ્વરોનું રસપાન કરનારાઓને એમાં સંતોષ નથી થતો.
છેવટે...
પોણી સદીમાં ઘણાં ઘણાં પરિવર્તનો આવ્યાં અને ગયાં સુધ્ધાં. પરંતુ એક વાત નથી બદલાઈ. સભામાં કે સ્કૂલનાં મિલનોમાં પોતાની છાપ છોડી જવા ગાયકો શાસ્રીય રાગો ૫ર આધારિત ૧૯૫૦-૬૦-૭૦ના સમયનાં જે ગીતો ગાતા હતા એ જ ગીતો આજે ટી.વી.ના રિયાલિટી શોમાં યુવાન સ્પર્ધકો સ્પર્ધા જીતવા માટેગાય છે! એ વાત ‘ત્યાર’ની સિદ્ધિ અને “અત્યાર’ના સંગીતની ગુણવત્તાની ચાડી ખાય છે!
સૌજન્યઃ નવનીત સમર્પણ * સપ્ટેમ્બર ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કૃત્રિમ બુદ્ધિ(AI) : લોકશાહી માટે ખતરો
આનંદ મઝગાંવકર

લોકશાહી એ કોઈ ‘પરફેક્ટ’ પૂર્ણપણે દોષમુક્ત વ્યવસ્થા છે એમ તો ન કહી શકાય. પણ આ વિશ્ર્વમાં સૈન્ય શાસન હોય કે સરમુખત્યારશાહી હોય, એવાં ઘણે ઠેકાણે લોકો લોકશાહી માટે તડપે છે, લડે છે, જેલમાં જાય છે, યાતનાઓ ભોગવે છે, શહીદ થાય છે. અલબત્ત કેટલાક લોકોને લોકશાહી જન્મના અકસ્માતને લીધે મફતમાં, વારસામાં મળે છે અને તેથી જ તેમને તેની કદાચ ઓછી કિંમત છે. લોકશાહી એ એક સ્થિર, નિયમ-નિયંત્રિત વ્યવસ્થાને બદલે સતત પરિવર્તનશીલ, ક્રમશ: સુધરતી-વિકાસ પામતી વ્યવસ્થા હોવી જોઈએ.
લોકશાહીની વિભાવના : સ્વસ્થ લોકશાહીના પાયામાં લોકોની ભાગીદારી, પારદર્શિતા, જવાબદેહીતા, જાહેર ટીકા-ટિપ્પણીને અવકાશ- આ બધું હોવું જોઈએ. પણ તેથી આગળ વધીને એમ કહી શકાય કે:
- લોકશાહી એટલે માત્ર નિયમો, વ્યવસ્થા, તંત્ર, પોલીસ, કાયદાના પાલન માટે ચોકી પહેરો અને ન્યાય માત્ર જ નહીં પણ સ્વસ્થ, જવાબદાર નાગરિક અને તેમની સામૂહિક માલિકી (કલેક્ટીવ ઓનરશિપ)વાળી વ્યવસ્થા.
- નાગરિક ઉત્તરોત્તર વધારે જાગૃત, સક્રિય, જવાબદારી લેનાર, જાહેર નિર્ણય પ્રક્રિયામાં ભાગ લેતા થાય, તેમનો અવાજ સંભળાય.
- રાજ્ય વધુ પારદર્શી અને જવાબદેહ બનતું જાય.
- જ્યાં નાગરિક અને રાજ્ય વચ્ચે કોઈ પ્રશ્ર્ન ઊભો થાય ત્યારે તટસ્થ અને સ્વતંત્ર ન્યાય વ્યવસ્થા હોય જેના પર રાજ્યની સત્તાનું દબાણ પ્રભાવી ન થાય. નાગરિકોની સંગઠિત શક્તિના આધારે રાજ્યની શક્તિ મપાય, નહીં કે શાસનની શક્તિના આધારે નાગરિકોની શક્તિ.
- લોકશાહીની એ પૂર્વ શરત હોય કે નાગરિક સાથેના સંબંધમાં રાજ્ય વધુ ને વધુ મજબૂત થતું જાય અને નાગરિકની શક્તિ ક્ષીણ થતી જાય એવું હરગિજ ન બને, એ ન જ ચલાવી લેવાય. એમ થતું હોય તો તેને લોકશાહી વ્યવસ્થા ન કહી શકાય પરંતુ રાજ્યે લોકશાહીની વિરુદ્ધ દિશા પકડેલી કહેવાય.
આ છે આશરે ૨૫૦૦ વર્ષમાં વિકસેલી લોકશાહીની વિભાવના! ગાંધી અને વિનોબા દુનિયામાં રાજકીય વિચારક (પોલિટિકલ ફિલોસોફર) તરીકે બહુ જાણીતા નથી પણ એમણે લોકશક્તિ વિકસે તે માટે અદ્ભુત પ્રયોગો કર્યા. પરંતુ દુનિયામાં ક્યાંય આવી આદર્શ લોકશાહી છે ખરી? ગયાં ૨૫૦ – ૩૫૦ વર્ષની લોકશાહીની યાત્રામાં રાજાશાહી, સરમુખત્યારશાહી અને લોકશાહી વચ્ચેનો મુખ્ય તફાવત માત્ર ચૂંટણી છે. બાકી ઘણી રીતે વ્યવસ્થા ગમે તે હોય રાજ્ય વધુ ને વધુ બળવત્તર થતું જાય છે, નીતિ ઘડવામાં નાનકડા વર્ગનું જ ધ્યાન રખાય છે. એક નાનકડો વર્ગ વધુ શ્રીમંત અને મજબૂત થતો જાય છે. નીતિ નિર્ધારણ પર બજાર, પૈસો અને સત્તા હાવી થતાં જાય છે.
રાજનીતિ શાસ્ત્રના જાણકાર વિચારકોના સિદ્ધાંત પ્રમાણે લોકશાહીની યાત્રા એટલે ભાગીદારી, પારદર્શિતા અને સત્તાનું વિકેન્દ્રીકરણ. પરંતુ વાસ્તવિકતા એ છે કે જે વ્યવહાર થાય છે તે રાજ્યને કેન્દ્રીકરણની દિશામાં લઈ જાય છે. કારણ કે રાજ્યના મોટાભાગના વ્યવહારોને બજાર નિયંત્રિત અને નિર્ધારિત કરે છે; જેમ કે, મૂડી રોકાણ શેમાં કરાય, વિજ્ઞાન કઈ દિશામાં જાય, કેવી ટેક્નોલોજી વિકસે વગેરે. બજારને મૂડી અને નફા સાથે નિસ્બત છે, લોકશાહી સાથે કંઈ લેવા-દેવા નથી. (ટેક્નોલોજીએ બજારને જન્મ આપ્યો કે બજારે ટેક્નોલોજીને એ વળી ચર્ચાનો જુદો વિષય છે).
ટેક્નોલોજીનું ચરિત્ર : ટેક્નોલોજીનું પાયાનું ચરિત્ર એ છે કે તે ગ્રાહક માટે કોઈ પણ વસ્તુને નાની-નાની ક્રિયાઓમાં રૂપાંતરિત કરે છે. દા.ત. ગાડી ચલાવનારનો સંબંધ એન્જિન (ડિઝાઇન, એન્જિન કામ કેવી રીતે કરે છે) સાથે ઓછો હોય પણ સ્ટીયરીંગ વ્હીલ, ક્લચ, બ્રેક અને એક્સીલરેટર સાથે વધારે હોય અથવા ગ્રાહકનો સંબંધ વીજ ઉત્પાદન કેવી રીતે થાય તેના કરતાં સ્વિચ પડે તો ગોળો સળગે છે કે નહીં તેની સાથે વધુ હોય છે. તે જ રીતે ચૂંટણીમાં લોકો મુદ્દા સમજીને, ચર્ચા કરીને, વિકલ્પોનો વિચાર કરીને કે લાંબું જોઈને મત નથી આપતા પરંતુ કોઈ નેતાની સમાચાર માધ્યમો સમેતના પ્રચારતંત્ર દ્વારા ઊભી થયેલી તેની છબીને આધારે વોટિંગ મશીનનું બટન દબાવે છે. ગઈ કાલના સંચાર માધ્યમો (Mass Media) જેમ કે છાપાં, રેડિયો, ટી.વી. માહિતી આપી, વિશ્ર્લેષણ કરી ભાગીદારીનો ભ્રમ ભલે ઊભો કરે પણ હકીકતમાં તો તે પોતે જ લોકમત બનાવે, તૈયાર કરે, ઉપજાવી કાઢે અને ઉત્પન્ન (Manufacture)) કરે છે. આપણે જોઈએ છીએ કે આખી દુનિયામાં સમાચાર માધ્યમો સ્વતંત્ર, તટસ્થ અને સંતુલિત રહેવાને બદલે પોતાના માલિકનો, સત્તાનો, પૈસાનો અજેન્ડા આગળ વધારવાનું જ કામ કરતાં હોય છે.
દા.ત. સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન વગેરેની સરકારો ઇરાક પાસે સંહારક શસ્ત્રો છે એવો પ્રચાર કરવા માગતી હતી. આખી દુનિયાની મુખ્ય ધારાનાં સમાચાર માધ્યમોએ એ વાત ફેલાવી, યુદ્ધ થયું, લાખો લોકો મર્યા પણ શસ્ત્રો મળ્યાં નહીં ! પણ પાછળથી એ વાત બહાર આવી ગઈ કે સરકારોને પહેલેથી ખબર જ હતી કે ઇરાક પાસે શસ્ત્રો નથી પણ તેને ઇરાક પર કબજો જમાવવા યુદ્ધ કરવું હતું તેથી જુઠ્ઠાણું ફેલાવેલું. સંયુક્ત રાજ્ય અમેરિકા તેમજ બ્રિટન વગેરે દેશોમાં સાચી લોકશાહી હોત તો યુદ્ધ કદી થયું જ ન હોત કારણ કે કરોડો લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
ટેક્નોલોજી, કૃત્રિમ બુદ્ધિ (AI), ગોપનીયતા અને લોકતંત્ર:
ગઈ કાલનું માસ મીડિયા જે કરતું હતું તે જ આજનું ઇન્ટરનેટ આધારિત મીડિયા, નવી ટેક્નોલોજી આધારિત સોશ્યલ મીડિયા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યૂટ્યૂબ વગેરે કરે છે! એટલું જ નહીં, તે વધુ ખતરનાક રીતે કરે છે. ટ્વિટર, ફેસબુક જેવાં નવાં માધ્યમો ભાગીદારીનો ભ્રમ ઊભો કરે છે પણ હકીકતમાં તો તેના પર અનેક નિયંત્રણો લદાયેલાં હોય છે. ટીકા સહન ન કરી શકનારી સરકારો આ મીડિયાને પોતાના પ્લેટફોર્મ પર શું ચાલવા દેવું અને શું ન ચાલવા દેવું તેના આદેશ આપે છે, જે કંપનીઓને માનવા પડે છે. દા.ત. હાલમાં જ ટ્વિટરના ભૂતપૂર્વ વડા જેક ડોર્સીએ કહ્યું કે અમારે સરકારોના આદેશ પાળવા પડે છે.
ઇન્ટરનેટ અને તેના પર આધારિત સોશ્યલ મીડિયા વિષે એક એવી છાપ છે કે, તે વાપરનારા બધા સભ્યો સરખા ભાગીદાર છે, તેના પર કોઈની માલિકી નથી અને તેથી તે સંબંધોનું, વહેવારોનું, બજારનું અને સમાજનું લોકતંત્રીકરણ કરે છે. આજે હવે સમજાય છે કે આ વાત બિલકુલ સાચી નથી. આ એક ભ્રમ માત્ર છે.
એટલું જ નહીં, અલ્ગોરિધમ, મશીન લર્નિંગ અને ઓટોમેશનના આધારે ચાલતાં માધ્યમ એવાં છે કે તે વાપરનાર વિષે બધી માહિતી ભેગી કરે છે. સોશ્યલ મીડિયા વાપરનાર દરેક ઉપભોગતા પોતે અને તેને વિષેની બધી માહિતી એક વેચાણની વસ્તુ બની ગઈ છે. તેના પર વૈશ્ર્વિક સ્તરની મહાકાય કંપનીઓનું નિયંત્રણ છે. આજે સોશ્યલ મીડિયા મુક્ત વિચારોના આદાન-પ્રદાનનું મંચ રહ્યું નથી. તેના પર સેન્સરશીપ છે, સાથોસાથ તે મહદ્ અંશે બળૂકા લોકો, પૈસા ખર્ચે તેવા લોકોની વાતને જ ધ્વનિવર્ધિત કરે છે. આ બધું લોકતંત્રનાં મૂળિયાં ઉખાડનારું છે.
AI જેવી ટેક્નોલોજીના ખતરનાક ઉપયોગો અને પરિણામો :
(૧) ખોટા સમાચાર, ફેક ન્યુઝ, અફવા, સમાચારથી ઉત્તેજના ઊભી કરવાની ક્ષમતા હવે ભયંકર પ્રમાણમાં વધી ગઈ છે. પહેલાં જુઠ્ઠાણાં અને અફવાઓ ફેલાતાં નહોતાં એવું નથી, પણ તેની પહોંચ ઘણી મર્યાદિત હતી. અઈંને કારણે કોઈ લિખિત સમાચાર, ફોટા, વિડિઓ, કોઈનો સ્વર વગેરે બધું મેસેજમાં પરિવર્તિત કરીને આખી દુનિયામાં ફેલાઈ શકે છે. ટેક્નોલોજી એટલી વિકસી છે કે વિડિઓ-ફોટા-સ્વર ખરેખર કોઈ હયાત વ્યક્તિના છે કે તે અઈંથી તૈયાર કરેલા છે તે સામાન્ય વ્યક્તિને ખબર પણ ન પડે. એમ કહેવાય છે કે સત્ય પથારીમાંથી ઊભું થાય તે પહેલાં અસત્ય અડધી દુનિયા ફરી ચૂક્યું હોય છે! આ જ કારણે વર્ષ ૨૦૨૦માં સંયુક્ત રાજ્ય અમેરિકાની ચૂંટણી ટ્રમ્પ જીત્યા કે બાઈડન જીત્યા એ વિવાદ આજે ય જીવિત છે!
(૨) ધિક્કારની ખેતી : સોશ્યલ મીડિયાને કારણે આજે સમાજમાં અને રાજકારણમાં ઘોંઘાટ, ધૃવીકરણ અને અસહિષ્ણુતા અમર્યાદપણે વધ્યાં છે અને તેને કારણે હિંસા પણ વધી છે. આવું ભારતમાં, અમેરિકામાં, બ્રિટનમાં બધે જ જોવા મળે છે.
(૩) વ્યક્તિ વિષે માહિતી (ડેટા) ભેગી થાય છે, વ્યક્તિનું પૂરે-પૂરું profiling (સંપૂર્ણ માહિતી) થાય છે. વ્યક્તિના વ્યક્ત-અવ્યક્ત વિચારોનું અનુમાન થાય છે. કોઈ વ્યક્તિ પોતાની જાતને જેટલી ઓળખે એના કરતાં વધારે સારી રીતે AI તેને ઓળખી બતાવે છે. વ્યક્તિની ચામડી નીચે, શરીરમાં, મનમાં શું ચાલી રહ્યું છે તેનું આકલન કરી શકે છે. વ્યક્તિના રસ-રુચિના વિષય, ઉપભોગની વસ્તુઓ, હરવા-ફરવાની જગ્યાઓ, તે કઈ વાતથી ખુશ કે નારાજ થાય છે વગેરે બધું જાણવાની ક્ષમતા તે ધરાવે છે અને તે માહિતી રાજ્યને, ચીજ-વસ્તુઓ બનાવનારી કંપનીઓને, બેન્કોને, પોલીસને, રાજ્યને, ગુનેગાર ટોળકીને – ગમે તેને વેચી શકે છે, વેચે છે.
આપણે ત્યાં પહેલાં આધાર કાર્ડ બનાવવાની ફરજ પાડવામાં આવી, પછી તેને પાન કાર્ડ સાથે જોડવાની ફરજ પાડવામાં આવી, પછી બેન્કના ખાતાને આધાર સાથે જોડવાની, મોબાઈલ સિમ કાર્ડને આધાર કાર્ડ સાથે જોડવાની અને હવે ફાસ્ટેગ વાપરવાની ફરજ. આને ચહેરાની ઓળખ (Face Recognition) વગેરે સાથે જોડીએ તો વ્યક્તિના જીવનમાં કોઈ જ જાતની ગોપનીયતા ન રહે !
(૪) જાસૂસીની ક્ષમતા : આ ટેક્નોલોજીથી માત્ર ગુનેગાર જ નહીં પરંતુ દરેક નાગરિક જાસૂસીનો ભોગ બને છે. કોઈ એવી દલીલ કરી શકે કે જો કોઈ ગુનો ન કર્યો હોય તો ડરવાની જરૂર શી? પણ વાત એમ છે કે રાજ્ય પાસે પહેલેથી જ ખૂબ સત્તા રહેલી છે. દરેક વ્યક્તિ રાજ્ય અને આ મહાકાય કંપનીઓ સામે ઉઘાડી હોય છે. શું રાજ્ય પાસે દરેક નાગરિકના અંગત જીવનમાં પ્રવેશવાની સત્તા હોવી જોઈએ ખરી? દુનિયામાં આ બાબતે અમર્યાદિત સત્તાને કારણે માઠાં પરિણામો આવ્યાનાં અનેક ઉદાહરણ મોજૂદ છે કારણ કે રાજ્ય પોતે જ દૂધનું ધોયું નથી હોતું!
પોતાની મંજૂરી વગર કઈ વ્યક્તિ પોતાને વિષેની બધી માહિતી કોઈ સંબંધ ન હોય તેવી વ્યક્તિને આપવા તૈયાર થાય? ચહેરો ઓળખનારી ટેક્નોલોજી, બેંકે વ્યક્તિનું કરેલું આર્થિક આકલન (ક્રેડિટ રેટિંગ/ક્રેડિટ સ્કોર) વગેરે વ્યક્તિની મંજૂરી વિના અપાય તે ચાલે? આ વિગતોને સરમુખત્યારોએ, એકહથ્થુ સતાધારીઓએ અને સૈન્યશાસને વ્યક્તિના અધિકાર છીનવવા, બદલો લેવા, તેને સજા કરવા વગેરે માટે વાપરી છે.
કહેવાય કે ટેક્નોલોજી ગુનેગારને પકડવા વપરાશે, પણ ઘણી વાર તે વપરાય છે જાસૂસી માટે, સામાન્ય નાગરિક પર નિયંત્રણ રાખવા, તેના પર દેખરેખ રાખવા માટે. જે વ્યક્તિની સ્વતંત્રતા પર મોટું આક્રમણ હોઈ શકે. દા.ત. થોડાંક વર્ષ પહેલાં એવો ઘટસ્ફોટ થયો કે ન્યુયોર્કમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યા પછી અમેરિકાની સરકારે જાસૂસી ફક્ત ગુનેગારો પર કરી એટલું જ નહીં, આમ નાગરિકો પર પણ કરી, આ ઉપરાંત અન્ય દેશોના રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને અન્ય આગેવાનો પર પણ જાસૂસી કરવામાં આવી હતી.
(૫) ટેક્નોલોજી અને દમન : હોંગકોંગમાં લોકશાહી માટે લડનારા કર્મશીલોની સતામણીમાં ચહેરાની ઓળખની ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આવું જ ચીનમાં વિઘર લઘુમતી સાથે થાય છે અને હજારો વિગર લોકો જેલ અને દમનનો ભોગ આજેય બની રહ્યા છે.
વર્ષ ૨૦૧૦ના દાયકામાં, બ્રિટિશ કન્સલ્ટિંગ પેઢી કેમ્બ્રિજ એનાલિટિકા દ્વારા ફેસબુકના લાખો વપરાશકર્તાઓનો વ્યક્તિગત ડેટા તેમની સંમતિ વિના એકત્રિત કરવામાં આવ્યો હતો. જેનો ઉપયોગ મુખ્યત્વે રાજકીય જાહેરાતો માટે કરવામાં થયો. જેમ કે, બ્રિટને યુરોપિયન યુનિયનમાં રહેવું કે તેમાંથી નીકળી જવું તેનો જનમત (Brexit) લેવાવાનો હતો ત્યારે. એમ પણ કહેવાય છે કે સંયુક્ત રાજ્ય અમેરિકાની વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાએ ટ્રમ્પની તરફેણમાં હસ્તક્ષેપ કર્યો હતો.
અલબત્ત, એવા ય જૂજ કિસ્સા જોવા મળશે જેમાં આવી ટેક્નોલોજીથી કર્મશીલોએ આંદોલનને મજબૂત બનાવ્યું હોય, તેને લોકશિક્ષણ કરવામાં અને પ્રજાના અવાજને મજબૂત કરવામાં વાપરી હોય, સરકારની નીતિઓને યોગ્ય દિશા આપી હોય! AI ટેક્નોલોજી એક પ્રકારનું કેન્દ્રીકરણ કરે છે. જે સત્તાધીશોને માફક આવે છે. કારણ કે તેનાથી મેનીપ્યુલેશન (Manipulation) કરવું સરળ બને છે. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું AI ટેક્નોલોજીથી લોકશાહીને બચાવવી હશે તો માત્ર નિયમનો (Regulations)થી કામ થશે ખરું?
સાભાર સૌજન્યઃ ભૂમિપુત્ર, ૯ ઓગસ્ટ ૨૦૨૩
-
માહિતીનાં સત્ય, માહિતીનાં જૂઠ
મંજૂષા
વીનેશ અંતાણી
ઇસરાયલના સુપ્રસિદ્ધ ઇતિહાસકાર યુવલ નોઆ હરારીએ થોડાં વર્ષ પહેલાં ‘સેપિયન્સ’ નામનું મહત્ત્વનું પુસ્તક આપ્યું. એમાં એમણે પાષાણયુગથી આજ સુધી માનવજાતે કરેલા વિકાસની વિગતો આપી છે. હવે એમનું નવું પુસ્તક ‘નેક્સસ’ તાજેતરમાં પ્રકાશિત થયું છે. એમાં એમણે છેક પ્રાચીન સમયથી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સુધીના સમયમાં વિકસેલાં માહિતીના પ્રસારણ માટેનાં માધ્યમોનો ઊંડાણથી અભ્યાસ કર્યો છે. સાથેસાથે ચારે બાજુ પ્રવર્તમાન માહિતીના પ્રવાહોનાં સારાં અને માઠાં પરિણામોની વિશદ ચર્ચા કરી છે.

એ વાત જાણીતી છે કે કોઈ પણ નવી ટેક્નોલોજીની શોધ પાછળ માનવોની સુખાકારીનો ઉદ્દેશ હોય છે, પરંતુ એનો ઉપયોગ આપણા બદઈરાદા માટે કરીએ ત્યારે એ દૂષણ બની જાય છે. માહિતીઓનાં આદાનપ્રદાનનું નેટવર્ક પણ એમાંથી બાકાત રહ્યું નથી. યુવલ નોઆ હરારીએ ‘નેક્સસ’ લખવા પાછળની ભૂમિકા સમજાવતાં કહ્યું છે કે અઢળક માહિતી એકઠી કરીને આપણે ખરેખર બુદ્ધિશાળી બન્યા હોઈએ તો આટલાં બધાં વિનાશકારી કામો શા માટે કરીએ છીએ? માહિતીઓના ધોધથી માનવોને અઢળક તાકાત પ્રાપ્ત થઈ છે, પરંતુ એ તાકાત આપણને કઈ દિશામાં લઈ જાય છે તે સમજવું બહુ જરૂરી છે.
‘નેક્સસ’ પુસ્તકના પાછલા કવર પર આવા મતલબનું લખ્યું છે – મૌખિક પરંપરાની વાર્તાઓ માનવસંસ્કૃતિના વિકાસ માટે આપણને નજીક લાવી, પુસ્તકોએ નવા વિચાર આપ્યા, ઇન્ટરનેટ દ્વારા અસીમ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વચન આપવામાં આવ્યું. ઓનલાઇન પ્રવૃત્તિઓથી આપણા અંગત ડેટા ખાનગી રહ્યા નથી અને આપણે એકબીજાની સામે ઊભાં રહી ગયાં છીએ. અને હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એનાં શાં પરિણામો આવશે એ જાણવાનું હજી બાકી છે. જૂના સમયમાં સંદેશાવ્યવહાર માટે કે માહિતીઓનાં આદાનપ્રદાન માટે આજ જેવાં સાધનો કે નેટવર્ક ઉપલબ્ધ નહોતાં. વાણી અને ભાષાનો ઉપયોગ થવા લાગ્યો તે પહેલાં માનવો સાંકેતિક ઇશારાથી વાતચીત કરતા હતા. દૂર સુધી માહિતી પહોંચાડવા માટે તેઓ ધુમાડો કરતા, ઢોલ વગાડીને સંદેશો પહોંચાડતા, અમુક પ્રકારે સીટી વગાડી સંદેશા મોકલતા. કબૂતરો દ્વારા માહિતી પહોંચાડવાની પદ્ધતિ ઘણી પ્રચલિત હતી. એનો ઉપયોગ પ્રેમીઓથી માંડી યુદ્ધમાં લશ્કર દ્વારા પણ કરવામાં આવતો. ટેક્નોલોજીની હરણફાળથી વર્તમાનમાં માહિતીનાં આદાનપ્રદાનનાં અનેક માધ્યમો હાથવગાં થઈ ગયાં છે. એમાં ઇન્ટરનેટનું પ્રદાન સવિશેષ છે. આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં પળનાય વિલંબ વગર જોઈતી માહિતી મેળવી શકીએ છીએ. આપણે માની લીધું છે એ માહિતીઓ હંમેશાં સાચી જ હોય છે. માહિતીનો ખજાનો પ્રાપ્ત કરી માનવ વધારે શક્તિશાળી બન્યો હશે, પરંતુ એ તાકાત આપણને ક્યાં લઈ જશે તે આપણે જાણતા નથી.
હરારી કહે છે તેમ માનવોએ હજી ઘણું જાણવાનું બાકી છે. પ્રકૃતિ અને માનવચિત્તનાં અનેક રહસ્યોને આપણે હજી ભેદી શક્યા નથી. એમનો પ્રશ્ન છે કે આજે માનવો આટલી બધી માહિતી મેળવી શકે છે છતાં એ જાતજાતના ભ્રમમાં શા માટે ભટકે છે? હકીકતમાં માહિતીનાં માધ્યમો સાચી માહિતીની સાથે જૂઠી માહિતીઓ આપણા સુધી પહોંચાડે છે. લોકોએ જાતે ઊપજાવી કાઢેલી જૂઠી માહિતીઓનો ધોધ વહેવા લાગ્યો છે. ગેરમાહિતી ફેલાવતાં માધ્યમો આજના સમયમાં વધારે સક્રિય જણાય છે. જૂઠી માહિતીઓનો સામનો કરવા માટે એથીય વધારે જૂઠી માહિતીઓ ફેલાવવામાં આવી રહી છે. ચારિત્ર્યહનન જાણે મનોરંજન બની ગયું છે. એમાં ભોગ લેવાયો છે માહિતીની પ્રમાણભૂતતાનો. ચારેકોર પ્રવર્તતા વાતાવરણમાંથી જૂઠાં સત્યોની ગંધ આવવા લાગી છે. એક અસત્યના અનેક પડઘા પડે છે અને લોકો જૂઠને સાચું માનવા લાગે છે.
માહિતીનાં માધ્યમો મહાનાયક બની ગયાં છે. એ ધારે તે કરી શકે છે. આપણાં મગજ ખોખલાં કરી એમાં બિનજરૂરી અને જૂઠી માહિતીઓનો કચરો ઠાલવવામાં આવી રહ્યો છે. પ્રશ્ન એ છે કે માહિતી આપણને ઉચ્ચ વૈચારિક કક્ષાએ લઈ જાય છે કે સ્વતંત્રપણે વિચારવાની આપણી શક્તિ બુઠ્ઠી કરી નાખે છે? આજે આપણે એકબીજાથી વિરોધી માહિતી પ્રવૃત્તિમાં ફસાઈ ગયા છીએ. લોકો માહિતીનો વિનાશક શસ્ત્રની જેમ ઉપયોગ કરવા લાગ્યા છે. આપણે પ્રાપ્ત કરેલી માહિતી પર ઊંડો વિચાર કરી એમાં સમાયેલાં સત્ય અને જૂઠને અલગ કરવાની આવડત કેળવીએ તો કદાચ તથ્યોની નજીક પહોંચી શકાય.
વર્તમાન સમયમાં લોકો માહિતીઓના ઢગલા હેઠળ કચડાઈ ગયા છે અને ઉપલક, અધૂરી, અધકચરી અને જૂઠી માહિતીને જ્ઞાન માની લેવાની હદ સુધી નીચે ઊતરી ગયા છે. જે માહિતી આપણી વિચારધારા અને માન્યતાઓને જ ટેકો આપતી હોય એનો સ્વીકાર કરવાનું પસંદ કરીએ છીએ, અન્ય પ્રકારની માહિતીનો અસ્વીકાર જ નથી કરતા, એનો તિરસ્કાર પણ કરીએ છીએ. કોઈએ બહુ સાચી વાત કહી છે કે કશી જ મહેનત વિના બારોબાર મેળવેલી માહિતીનું પોત બહુ પાતળું હોય છે. એમાં આપણો જાતઅનુભવ ઉમેરાય તો જ એ સઘન બને છે.
કહેવાતી માહિતીઓના ધોધમાં આપણે ડહાપણ ગુમાવી દીધું હોય એવો વહેમ જાય છે. સામાન્ય માણસ કઈ માહિતીને સાચી માનવી અને કઈ માહિતીને ખોટી માનવી એમાં ગૂંચવાઈ ગયો છે. એ કારણે જૂઠા અને બનાવટી સમાચારો ફેલાવવાનો ભ્રષ્ટાચાર વધ્યો છે. અફવાઓ સત્ય બની ગઈ છે. જૂઠી માહિતીઓનો પ્રચાર માનવમૂલ્યો પર કુઠારાઘાત સમાન છે. આજનો સમય ‘માહિતીનો યુગ’ કહેવાય છે, પરંતુ એક વિચારકે કહ્યું છે તેમ ‘વાસ્તવમાં આજનો સમય માહિતીનો યુગ નથી, માહિતીને ‘મેનેજ’ કરવાનો યુગ છે.’ આજે આપણે બદઈરાદાઓને અનુકૂળ આવે એવી માહિતીઓને આપણી ઇચ્છા મુજબ ઢાળવાના સમયમાં જીવી રહ્યા છીએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
અહેવાલના આંકડાની શરમ પર્યાવરણ નથી ભરતું
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન અત્યંત સંવેદનશીલ મુદ્દા છે. તેની વિપરીત અસરોએ પરચો દેખાડવાનો શરૂ કરી દીધો છે. આ કારણે કેવળ આપણા દેશમાં જ નહીં, વિશ્વભરમાં પર્યાવરણની, ઘટતા જતા વનવિસ્તારની ફિકર થઈ રહી છે. જળવાયુ પરિવર્તનની અસરોને ઘટાડવા માટે વિવિધ તરીકા વિચારાઈ રહ્યા છે, જેની અસર લાંબે ગાળે કદાચ થાય તો થાય. અત્યારે તો કોઈને સહેજ થોભીને પાછું જોવાનો કે વિચારવાનો સમય નથી.
આવા માહોલમાં વર્ષ ૨૦૨૩નો ‘ઈન્ડિયા સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ’ (આઈ.એસ.એફ.આર.) બહાર પાડવામાં આવ્યો છે, જેમાં પ્રકાશિત આંકડા અનેક રીતે આનંદદાયક અને આશ્વાસનજનક છે. પહેલાં એ આંકડાની વાત. અહેવાલ મુજબ દેશનો કુલ પચીસ ટકા ભૌગોલિક વિસ્તાર વનથી આવરિત છે. વૃક્ષોના આચ્છાદનમાં બે વર્ષમાં ૧,૪૪૫ ચો.કિ.મી.નો વધારો થયો છે. આ આંકડા ખાસા પ્રોત્સાહક કહી શકાય. એક તરફ આપણે વિકાસની આંધળી દોટ અને તેને લઈને નીકળતા જતા વૃક્ષો કે વનોના નિકંદનના સમાચાર સાંભળતા રહેતા હોઈએ ત્યારે આ જાણીને અવશ્ય આનંદ થાય. પણ બહુ હરખાતાં પહેલાં કેટલીક વિગતો જાણવા જેવી છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ‘ફોરેસ્ટ સર્વે ઑફ ઈન્ડિયા’ (એફ.એસ.આઈ.) અનુસાર કોઈ પણ જમીનને વન ત્યારે ગણાવાય જ્યારે તે ઓછામાં ઓછું એક હેક્ટર એટલે કે દસ હજાર ચોરસ મીટર વિસ્તારમાં પથરાયેલું હોય અને તેના દસ ટકા વિસ્તારમાં વૃક્ષોનું આચ્છાદન હોય. આ વ્યાખ્યા અનેક અર્થઘટનને પાત્ર છે. કેમ કે, એ મુજબ જોઈએ તો અનેક સ્થાને કરાયેલાં વાવેતર વન તરીકે ગણાવાઈ શકે. એક હેક્ટર કરતાં
ઓછા વિસ્તારમાં હોય એવાં વૃક્ષોને પણ ‘એફ.એસ.આઈ.’ વૃક્ષાચ્છાદન તરીકે ગણનામાં લે છે. એ મુજબ વાંસનાં આચ્છાદનો પણ વૃક્ષના આચ્છાદન તરીકે ગણનામાં લેવાય છે. વૃક્ષોના વાવેતરને વનમાં ગણવાં કે કેમ એ મોટો સવાલ છે. કેમ કે, વાસ્તવિક વનમાં હોય એવું વૈવિધ્ય તેમાં હોતું નથી, એમ તેમાં સૂકાં, મૃત લાકડાં કે બાયોમાસ હોતાં નથી.
એનો અર્થ એ થયો કે આ અહેવાલમાં વન તરીકે જે વિસ્તાર ગણાવાયો છે એ બધો વિસ્તાર વનનો ન હોઈ શકે. પર્યાવરણવાદીઓના જણાવ્યા મુજબ પેરિસ હવામાન કરાર અનુસાર ભારત કાર્બનના ઉત્સર્જનને નાથીને પોતાની પ્રતિબદ્ધતા દાખવી રહ્યું હોવાનો દેખાડો કરવાનો આ પ્રયાસ છે. કાગળ પરના આ આંકડા ખરેખર જળવાયુ પરિવર્તન કે પર્યાવરણની વિપરીત અસર સામેની લડતમાં કારગર બનશે ખરા?
અહેવાલમાં બીજું પણ ઘણું છે. અનેક વિસ્તારોના વનવિસ્તારમાં નોંધપાત્ર ઘટાડો જણાયો છે, આગ લાગવાના બનાવો વધ્યા છે અને વન્યવિસ્તારનો ઊપયોગ બિનવન્ય પ્રવૃત્તિઓ માટે કરવાથી કાર્બનને દૂર કરવાની તક ઘટે છે. પશ્ચિમ ઘાટ અને ઈશાન ભારતમાં વન્યવિસ્તાર દેખીતી રીતે ઘટ્યો છે. છેલ્લા બે વર્ષમાં કર્ણાટક રાજ્યમાં જ ૪૫૯ ચો.કિ.મી. વનવિસ્તાર ઘટ્યો છે. ઘાટ પ્રદેશના જિલ્લા પૈકીના શિવમોગા જિલ્લાના વનવિસ્તારમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે. ઘાટ પ્રદેશમાંની જૈવવિવિધતાનો નાશ અન્ય વિસ્તારમાં કરાયેલા વાવેતરથી ભરપાઈ કરી શકાય એમ નથી. ગાઢ વનવિસ્તાર અને જૈવવિવિધતા માટે જાણીતાં ઈશાન ભારતનાં રાજ્યોમાં ઘણું નુકસાન અને ઘટાડો થયો છે. આનું કારણ છે વન સંવર્ધન અધિનિયમ, ૧૯૮૦માં કરાયેલો ફેરફાર. દબાણ, રબર અને પામ તેલનાં વૃક્ષોનું વાવેતર તેમજ કાનૂની ટેકો ધરાવતા માળખાકીય વિકાસના પ્રકલ્પો આના માટે જવાબદાર છે.
તટીય વિસ્તારમાંના મેન્ગ્રોવ પર પણ ખતરો છે. અનેક શહેરોમાં હરિત આવરણ ચિંતાજનક રીતે ઘટ્યું છે. આ બધાની સાથોસાથ વનની ગીચતામાં થયેલો ઘટાડો પણ ગણવો રહ્યો. અનેક સ્થળે ગાઢ જંગલો ઝાડીઓમાં ફેરવાઈ ગયાં છે. આગ જેવાં કુદરતી અને બીજાં અનેક માનવસર્જિત પરિબળોને લઈને વનવિસ્તાર પર ખતરો તોળાઈ રહ્યો છે.
આમ, દેખીતી રીતે વનવિસ્તાર અનેક ખતરાઓથી ગ્રસ્ત છે. એ પણ હકીકત છે કે ગાઢ વન ધરાવતા વિસ્તાર ઘટી રહ્યા છે. છતાં સરકારી અહેવાલમાં વનવિસ્તારમાં વૃદ્ધિ દર્શાવાઈ છે. આ આંકડા ખોટા નથી, પણ મૂળ સમસ્યા વનવિસ્તાર શેને ગણવો એની છે. એટલે કે અહેવાલમાં દર્શાવાયેલા પચીસ ટકા વનવિસ્તારમાં પશ્ચિમ ઘાટ, નીલગીરી અને ઈશાન ભારતના ઘટતા વનવિસ્તારને ગણવામાં નથી આવ્યો. કચ્છ અને આંદામાનમાં ઘટતા જતા મેન્ગ્રોવને પણ ગણનામાં લેવાયા નથી. આથી દેખીતી રીતે, કાગળ પર વનવિસ્તારમાં વૃદ્ધિ થયેલી દેખાય ખરી, પણ વાસ્તવિકતા સાવ અલગ હોય.
આ અહેવાલની વિગતો પ્રસારમાધ્યમોમાં વિવિધ રીતે ચર્ચાઈ રહી છે અને મોટા ભાગનાએ આ આંકડાને, અહેવાલને ખોટો ભલે નથી ઠેરવ્યો, પણ તેને વિશ્વાસપાત્ર ગણ્યો નથી. એટલે કે દાવો સાચો, પણ એમાં જે નુકસાન થયું છે એનો ઊલ્લેખ નથી એટલે એને અર્ધસત્ય ગણાવી શકાય. સવાલ એ છે કે પર્યાવરણ કે જળવાયુ પરિવર્તન આવા અહેવાલથી પ્રેરિત થાય છે ખરું? તેને જે નુકસાન થયું છે, થતું રહે છે અને હજી થતું રહેવાનું છે એની અસર સરવાળે આપણે સૌએ જ ભોગવવાની છે. એ આપણે ભોગવી પણ રહ્યા છીએ. છતાં એમાંથી કશો ધડો લેવાતો નથી. રાજ્ય વધુ ને વધુ વિકાસની યોજનાઓ ઘડતું રહે છે, એનો અમલ કરતું રહે છે અને પર્યાવરણનો ખો નીકળતો રહે છે.
રાજ્યોની આવકમાં કદાચ વૃદ્ધિ થતી રહેશે, પણ એ આવક પર્યાવરણને થયેલા નુકસાનની ભરપાઈ કરી શકશે નહીં. આંકડા ગમે એ કહે, પર્યાવરણ તેને ગાંઠવાનું નથી એ હકીકત છે. વ્યક્તિગત સ્તરે ભાગ્યે જ કશું કરી શકતા આપણા જેવા નાગરિકોએ કાં આ વિપરીત અસરનો ભોગ બનવાનું છે કે બીજાઓને ભોગ બનતા જોતા રહેવાનું છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨-૧– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
લોકશાહી અને લીલવાની કચોરીમાં કશું કોમન હોઈ શકે?
ચેતન પગી
સવાલ આઇએમપી છે, પણ બોર્ડના વિદ્યાર્થીઓ માટે નહીં એમનાં મમ્મી-પપ્પાઓ માટે. લોકશાહી અને લીલવાની કચોરીમાં સામ્યતા હોઈ શકે ખરી? જવાબ હા છે.

લોકશાહીમાં અધિકાર કે હકો બધાંને માણવા હોય છે પણ મતદાન કરવાની કે ટેક્સ ચૂકવવા જેવી ફરજો નિભાવવાની વાત આવે ત્યારે ઘણાં લોકોનાં પેટમાં ચૂંક આવતી હોય છે. લીલવાની કચોરીના કેસમાં પણ આવું જ છે. ખાવી બધાંને હોય છે, પણ લીલી તુવેર ફોલવાની વાત આવે ત્યારે બધાંને અર્જન્ટ કામ યાદ આવી જાય છે.
ઈતિહાસ સાક્ષી છે કે તુવેરની કચોરી કોણે ખાવી છે એવું પૂછાય ત્યારે સેકન્ડના સોમા ભાગમાં બધી આંગળીઓ ઊંચી થઈ જાય છે પણ તુવેર કોણ ફોલશે એ સવાલના જવાબમાં લોકો ભૂલથી આંગળી ઊંચી ન થઈ જાય એ બીકે હાથ ખિસ્સામાં ખોસી દેતા હોય છે. લીલવાની કચોરી ખાતાં હોય એવો ફોટો સોશિયલ મીડિયા પર અનેક લોકો પોસ્ટ કરશે પણ તુવેર ફોલતાં હોય એવો ફોટો પોસ્ટ કરનાર વીરલા ભાગ્યે જ જડશે.
તુવેર ફોલવી એ ઢીલાપોચા હૃદયના માણસોનું કામ નથી – શાકની લારીવાળાઓએ આ ‘વૈધાનિક ચેતવણી‘ સ્પષ્ટ રીતે વંચાય એ મુજબ દર્શાવવી જોઈએ. શર્ટનું પહેલું બટન ખુલ્લું રાખી, આંખે કાળા ગોગલ્સ ચઢાવીને પાનના ગલ્લા ભણી બુલેટ હંકારતા દ્વિચક્રવર્તી સમ્રાટો ઘરમાં પલાંઠી વાળીને તુવેર ફોલી બતાવશે ત્યારે તેમની બહાદુરીની ખરી કસોટી થશે.
તુવેર ફોલવાના કામમાં હિંમત અને ધીરજની ખરી કસોટી થતી હોય છે (જેમનાં નામ હિંમત અને ધીરજ હોય એમને પણ આ વાત એટલી જ લાગુ પડે છે). તુવેર ફોલતી વખતે તમે મોબાઇલ ફોન મંતરી શકતા નથી, સારા દાણા ભેગા ક્યાંક સડી ગયેલો દાણો ભળી ન જાય એનું ધ્યાન રાખવાનું હોવાથી તમે તુવેર ફોલતાં ફોલતાં ટીવી પણ સારી રીતે માણી શકતા નથી.
મધ્યમ વર્ગના પરિવારોમાં આવક કરતાં જાવક વધારે હોય એવી જ સ્થિતિ તુવેર ફોલી લીધા પછી સર્જાય છે. ફોલેલી તુવેરના છોડાનો મોટો ઢગલો સર્જાય છે પણ દાણા તો માંડ વાટકો ભરાય એટલા જ નીકળે છે. કેટલાક શાક નિષ્ણાતોના મતે મેથી સમારતી વખતે પણ મહદઅંશે આવી જ સ્થિતિનું નિર્માણ થાય છે.
જોકે, લીલી તુવેર જેવી પડકારજનક સ્થિતિનો સામનો વટાણા ફોલતી વખતે નથી થતો. વટાણાનું કુદરતી પેકિંગ એટલું સરસ હોય છે કે કિનારી પર હળવો હાથ અડાડવાથી જ ફાડમાં છુપાયેલા (જાણે ફેસિયલ કરાવીને આવ્યા હોય એવા સુંદર) દાણા વોટ્સએપના સ્માઇલીની જેમ હસું હસું કરતાં તમારી સામે પ્રગટ થઈ જાય છે. તુવેર ફોલતી વખતે આંગળીઓ પર કાળા ડાઘ પડી જાય છે પણ વટાણામાં આવી કોઈ સમસ્યા થતી નથી.
જોકે, વટાણાના કેસમાં આટલી બધી સાનુકૂળ સ્થિતિ હોવા છતાં લીલવાની કચોરી તો તમારે તુવેરમાંથી જ બનાવવી પડે છે. એટલે જ એને ફોલવાનું કામ ભલે કંટાળાજનક હોય તો પણ પરિવારમાં કોઈએ તો કુરબાની આપવી જ પડે છે. વાત જ્યારે તુવેર ફોલવાની આવે ત્યારે વિજ્ઞાન પણ આપણી મદદે આવી શકતું નથી. આઝાદીનાં આટલાં વર્ષો પછી પણ આપણે તુવેર ફોલવાનું મશીન બનાવી શક્યા નથી એ વિચારવા જેવી વાત છે. ખરી આઝાદી ત્યારે મળશે જ્યારે લીલી તુવેર ફોલવાનું મશીન આવી જશે.
શિયાળાની ઋતુ તુવેર અને બોરની સીઝન માનવામાં આવે છે. ના, માત્ર ખાવાનાં બોર નહીં. તુવેર ફોલીને બોર થવાની સીઝન. ઠાકુર બલદેવસિંહ પણ મનોમન ગબ્બરસિંહનો આભાર માને એવું કંટાળાજનક આ કામ છે. મહાન પત્રકાર, વાર્તાકાર હરકિસન મહેતાને જો તુવેર ફોલવાની ફરજ પાડવામાં આવી હોત તો તેમણે ‘વેરના વળામણાં’ને બદલે ‘તુવેરના વળામણાં’ લખી હોત એ નક્કી છે. જેમાં તુવેર ફોલવાનું કામ આવી પડ્યું હોવાથી જગ્ગા ડાકુ વેળાસર વેર લઈ શક્યો નહીં એવું કથાનક હોત.
હરકિસનસાહેબને યાદ કરીએ તો અશ્વિની ભટ્ટ કેમ બાકાત રહે? અશ્વિની ભટ્ટ નવલકથા લખતાં પહેલાં રખડી-ભટકીને જાત અનુભવો લેવામાં માનતા. એમના રસ્તે ચાલીને લીલી તુવેરનો આ લેખ પણ દોઢ કિલો ફોલ્યા પછી લખાયો છે.
તુવેર ફોલવી એ કંઈ નાનું અમથું કમઠાણ થોડી છે?
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૫-૦૧– ૨૦૨૫ ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
મુલાયમ હથેળીમાં વિરાટની પગલીઓ
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
તણખલાં’ રવીન્દ્રનાથનાં લઘુકાવ્યોનો – જેને ટાગોરે લાડપૂર્વક ‘કબિતિકા’ જેવું નામાભિધાન અર્પીને સન્માન્યાં છે – એનો સંચય છે. પોતાના જીવનના ઉત્તરાર્ધમાં ટાગોરની કલમમાંથી નીતરેલાં આ પ્રકારનાં લઘુ કાવ્યોના ‘સ્ટ્રે બર્ડઝ’, ‘ફાયર ફ્લાઈઝ’, ‘કમિકા’, ‘સ્ટુલિંગ’ અને ‘લેખન’ એવા પાંચ સંગ્રહો થયા. એમાંના પહેલા બે અંગ્રેજીમાં, બીજા બે બંગાળીમાં અને છેલ્લો દ્વિભાષી છે. બધાં મળીને આવાં ૧૧૦૦ જેટલાં મૌક્તિકોમાંથી અહીં જયંત મેઘાણીએ ૩૦૦ જેટલાં પસંદ કરીને અનુવાદિત કર્યા છે.

અહીં પસંદ થયેલાં મૌક્તિકોમાંથી એકસાથે (રવીન્દ્રનાથ ને જયંતભાઈની) જીવનાભિમુખતા, આસ્તિકતા ને સૌદર્યરાગિતાનું સાથે લાગું દર્શન થાય છે. ‘મોટા માણસનાં પગલાં પક્ષી જેવાં હોય છે.’ એવું નિરીક્ષતા મહાત્મા લાઓત્સેની લગોલગ વિચારતાં રવીન્દ્રનાથે ‘અમારી જાત પંખીની છે’ એમ કહીને એક બાજુથી પોતાની ઉડાનની પ્રિયતા દર્શાવી દીધી છે બીજી બાજુથી ખૂણે બેસીને ઝીણું કાંતતા, બનતાં સુધી અદ્રશ્ય રહેવા મથતા ને તેથી જ કંઈ કાચું ન રાખતા લાઓત્સેકથિત સુજ્ઞજનની ઓળખ પણ આપી દીધી છે. ‘તણખલાં’ને ચાહતા અનુવાદક પણ સર્જકનાં આંતરજગતને પ્રમાણી શકવામાં, અનુવાદની ભૂમિકાએ, સફળ થયા છે.
‘તણખલાં’માં પસંદ થયેલાં મૌક્તિકોમાં એક બાજુ ટાગોરની પર્યુત્સુક સૌંદર્યરાગિતા ડોકાય છે, બીજી બાજુ એમની તત્ત્વનિષ્ઠાને જીવનપ્રીતિનો ધીમો સૂર છેડાયો છે. પ્રકૃતિમાં એકેએક તત્ત્વને કવિએ કેવું તો આશ્લેષમાં લીધું છે ! ને કદાચ એનો પ્રારંભ અમાન્ય રીતે ઉપેક્ષા પામેલ ઘાસની થયો છે :
જીવનને ફળેફૂલે લાદી દેનાર
ઊંચા-રૂપાળાં વૃક્ષોને હું ભલે સન્માનું,
પણ જીવનને નિત્ય હરિયાળું રાખનાર
તરણાંને કાં વીસરી જાઉ? (પૃ.૩૧)લઘુ રૂપ ધરીને છુપાયેલા અનંતને પ્રાપ્ત કરવાનું કવિએ જાણે બીડું ઝડપ્યું છે તેથી જ સૌંદર્યના સાધક કવિ ઉપેક્ષિતોને આરાધે છે :
‘ફળની સેવા મહામૂલી છે, ફૂલની સેવા મધુર છે,
પણ હું તો સમર્પણભાવથી છાંયડો પાથરતું
પાંદડું બનીને તારું સેવકપદ વાંછીશ.’(પૃ.૧૦૭)રવીન્દ્રનાથે એક ચિત્રકારની હેસિયતથી, લસકરો કરી કેટલાંક અદભુત ચિત્રો દોરી આપ્યાં છે તે એના અનુવાદમાં કેવાં તો લયાત્મકતાથી, શબ્દસૂઝથી ઝિલાયાં છે એ નીચેનાં મુક્તકોમાં દેખાય છે :
Night’s darkness is a bag
that bursts with the gold of the dawn.‘રાત્રિના અંધકારની ગાંસડી
પરોઢના સુવર્ણપુંજથી ફસકી પડે છે.’The bird wishes it were a cloud,
The cloud wishes it were a bird.પંખીને થતું, ‘વાદળ બનું’,
વાદળ ઝંખે પંખીનો અવતારThe torrential glory of the cloud is over.
It emptily nervously peeps from the sky’s border.મેઘનો વૃષ્ટિવૈભવ વિરમ્યો છે,
અને એ ક્ષિતિજના ઝરૂખેથી
ધરતી પર ડોકિયું કરે છે.’Clouds are hills in,
hills are clouds in stone,
a phantasy in times dream.વાદળોઝાકળની ટેકરીઓ છે,
ટેકરીઓ વાદળાંની શિલાઓ છે
કાળદેવતાની રમ્ય સ્વપ્ન –કથા જાણે !અહીં ‘bag’ માટે ‘ગાંસડી’ ‘bursts’. માટે ફસકી પડવું’, ‘Sky’s border’નું ક્ષિતિજના ઝરુખેથી જેવું રૂપાંતર જેટલાં ટાગોરનાં ચિત્રોને તેટલાં જ જયંતભાઈનાં અનુવાદની મીનાકારીને વ્યક્ત કરે છે.
જીવનપ્રેમીઅને એ અર્થમાં આસ્તિક રવીન્દ્રનાથનું જીવનદર્શન ક્યાંક વેદનાસક્તિ હોવા છતાંય એમાં રહેલી વેદનાની સમજદાર સ્વીકૃતિને કારણે સહૃદયના માર્ગમાં અજવાળું પાથરે છે :
ચન્દ્ર નભને આંગણે અજવાળાં રેલાવે છે,
પણ પોતાનાં શ્યામ કલંક તો
ખુદ –ભીતરમાં જ સમાવેલાં રાખે છે. (પૃ.૧૨)જીવનઅખૂટ છે એ જાણવા માટે
હું વારંવાર મૃત્યુ ઇચ્છીશ. (પૃ.૨૦)‘જીવનનાં ઊંડા છાયાતલમાં અકથ્ય
વેદનાઓનો એકલવાયો આવાસ છે. (પૃ.૫૩)આ પ્રકારનું જ એક મૌક્તિક, કદાચ આખા સંગ્રહમાં લગભગ શબ્દશઃ સીધો અનુવાદ પામ્યું છે :
I can not choose the best
The best chooses me.હું શ્રેષ્ઠની પસંદગી નથી કરી શકતો,
શ્રેષ્ઠ જ મને પસંદ કરે છે.(પૃ.૬૭)ક્યાંક આમલોકની અણસમજ વિષાદના આછા સ્પર્શની આલેખાઈ છે :
પ્રભુ, જેમની પાસે તારા સિવાય બધું છે એ લોકો,
જેમની પાસે તારા સિવાય કશું નથી એની હાંસી કરે છે.
ક્યાંય ફરિયાદ નહીં – માત્ર વેદનાની આછી લકીર !જીવનને સાધકની શૈલીથી જીવી ગયેલા રવીન્દ્રનાથ સમજદારીએ ને જીવનના નિરીક્ષણે આપેલી ઝીણી વેદનાઓથી કેવા તો ઉપર ઉઠીને જીવનને અભિવાદી શક્યા છે એનાંય ઉદાહરણો, તેમના અંતિમ ઉદગાર શાં, એમના તરફથી મળેલા અમૂલ્ય ઉપહાર –શાં અહીં મળે છે :
મને તારું પાત્ર બનવા દે :
તારા માટે અને જે તારા છે એમને માટે હું છલકાઈશ.
સાંભળ, દોસ્ત,
મારો પ્રેમ પામીને તું મારો દેણદાર નથી બન્યો.
પ્રેમ પોતે જ મારો પરિતોષ છે.નાવડીને ઉપાડી જતા વાયરાની પાછળ
સાગર –કિનારાનાં રુદન મિથ્યા છે.
મારા મૌનમાં તારે કાજે જે ઋણભાવ સંચિત છે
તેને મારી આભારવાણી ઝાંખપ ન આપો.રવીન્દ્રનાથનો પ્રભુ કવિનો પ્રભુ છે. એનો ભાવ, એની ઓળખ એમને હોય એટલી બીજા કોને હોય ? કવિના પ્રભુપ્રેમમાં એક પ્રકારની આધુનિકતા, આગવાપણું છે.
હું મારા ભગવાનને ચાહી શકું છું.
કારણકે તેના અસ્વીકારનું તેણે મને સ્વાતંત્ર્ય આપ્યું છે.(પૃ.૩૯)બંનેનું સખ્ય આપવાની બાબતમાં હોડમાં ઊતરે તેવું છે. પ્રભુએ કવિને સભર કરી દીધા તો કવિય કંઈ પાછા પડે તેમ નથી :
હું તને એક પુષ્પ ધરવા આવેલો,
પણ તેં તો મારું સકલ ઉદ્યાન માગી લીધું.
તો ભલે, તને એ અર્પણ છે. (પૃ.૩૯)પ્રભુ શા માટે કવિનો યાચક બન્યો હશે એવા સહૃદયને સહેજે થતા પ્રશ્નનો ઉત્તર કવિએ પૃથ્વીપટે ફેલાવેલા પોતાના આજાનબાહુઓના વ્યાપમાં મળે છે :
હે પૃથિવી, હું તારા રળિયામણા તટ
ઉપર ઊતર્યો ત્યારે આગંતુક હતો ;
તારા સદનમાં રોકાયો અતિથિ બનીને,
આજે તારું સખ્ય પામીને વિદાય લઉં છું.(પૃ.૧૯)પુર્થ્વી પર તૃણની હળવાશથી, તેને જરાય વજન આપ્યા વિના વસેલા કવિએમની હળવાશથી જ પ્રભુને, પૃથ્વીને આલિંગી શક્યા. તેમના પ્રાણરૂપ બની બેઠા. તૃણની નરમાશને કવિએ અહીં કેટકેટલાં રૂપે વ્યક્ત કરી છે ! પૃથ્વીતટ પર ને જગતમાંય જે આ તત્ત્વો નિર્ભર રહીને જીવ્યાં તેનો જ ટાગોરને મહિમા કરવો છે:
‘સોને મઢ્યાં વાદળાં આભ-સીમાડે
નિરંતર ચિતરામણ કરે છે,
પણ પોતાનાં નામઠામ કદી લખતાં નથી.’ (પૃ.૫૪)ગીત ગાતા પંખીને ખબર નથી કે
એ સૂર્યોદયની છડી પોકારે છે,
વનરાવનમાં હસતાં ફૂલને જાણ નથી કે
એ પૂજાનાં અર્ધ્ય અર્થે છે.(પૃ.૬૨)કવિનાં વિદાયવચનમાંય ઘાસના નિર્ભારપણાનું મૂલ્ય ઝિલાયું છે. સાથોસાથ જીવન જીવવાની અનાયાસ સાંપડેલી ચાવી અન્યનેય સંપડાવી છે !
મારા હળવાફૂલ શબ્દો કાળના પ્રવાહમાં
ગાતા –નાચતા વિહરતા રહેશે,
અને મારાં ભારેખમ સર્જનો લુપ્ત થશે.(પૃ.૧૩૨)ટાગોરનાં ૧૧૦૦માંથી પસંદ થયેલાં ઉત્તમ મૌક્તિકોનો મૂળ અંગ્રેજી સાથે અહીં મુકાયેલો અનુવાદ બંને ભાષાનાં ગજાંને ચીંધે છે. આપોઆપ ગુજરાતી અનુવાદકની શબ્દસૂઝ, મૂળના વિચાર સાથેનું ભાવાનુંસંધન, ને કવિની નિરીક્ષણ -શક્તિ સાથે સધાયેલા લયસંવાદને પણ તાકે છે. એકાદ –બે જગાએ અનુવાદ ખૂંચે છે જેમ કે,
‘મારા મારગ પર નિજ પડછાયો પાથરું છું.’ (પૃ.૯૮)માં ‘my own shadow’ માટે ‘નિજ’ થોડું ઉભડક લાગે છે; એ જ રીતે આ મુક્તકમાં :
‘પ્રભાતનાં પુષ્પો દિવસની પ્રભાને ત્યજીને જતાં રહ્યાં છે; ગોરજટાણે બની –સજીને પાછાં આવે છે.’
અહીં સજી –ધજી’ને કદાચ વધારે ઉપયુક્ત લાગત, પણ આવાં સ્થળો જૂજ જ સાંપડે છે.
કૃતિમાં ટાગોર, નંદલાલ બસુ, યામિની રાય, નારાયણ બેન્દ્રે, પ્રદ્યુમ્ન તન્ના, જગદીપ સ્માર્ત, ભરત માલીનાં રેખાંકનો ચિત્રો, જે-તે મૌકિતકને અનુરૂપ કલાત્મક સૂઝથી મુકાયા હોઈ જે-તે મૌક્તિકને અનુરૂપ કલાત્મક સૂઝથી મુકાયા હોઈ જે-તે જાગે રહેલાં મૌક્તિકોનું પ્રત્યાયન સાધવામાં સાર્થક બન્યાં છે. રવીન્દ્રનાથના હસ્તાક્ષરોમાં મુકાયેલાં કેટલાંક મૌક્તિકો કવિની ઉપસ્થિતિનો જાણે અહેસાસ કરાવે છે.
ચીન-જાપાન ના પ્રવાસે ગયેલા રવીન્દ્રનાથે હસ્તાક્ષર વાંછુંઓને સંતોષવા આવાં લઘુકાવ્યો રચ્યા. પછીથી એનો વ્યાપ વિસ્તરતો રહ્યો. આ ‘કબિતિકાઓ’ એની જ ઉત્તમ ફલશ્રુતિ ! ને તેમાંથીય ચયન પામેલાં આ ત્રણસો મુક્તકોને જોતો ભાવક દમયંતીના સતીત્વના પ્રતાપે હરિએ વસાવેલાં સ્વર્ગીય મોતીઓને જોતાં. ‘એક એક પે અધિકાં મોતી, રાજમાતા ટગટગ જોતી. ‘નાં ‘નળાખ્યાન’ કથિત વિસ્મયરસમાં મુકાય છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
