-
સાત પગલાં સર્જનનાં આકાશમાં
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આવશે એ દિવસો કવિતાના
જેને મેં સા-વ બચપણમાં લખેલી
હું કવિ-
એવો અહેસાસ તો ક્યાંથી હોય ?
આવશે એ દિવસો
રોકેટના અંગાર અને ફુવારાથી
પથરાતી ધાર સરખી કવિતાના.
તડકો અને આળસના નશામાં ઝૂમતા
મંદિરે પહોંચેલા શિશુ દેવદૂતો જેવી,
યૌવન અને મૃત્યુની
એ કવિતાઓ-
જેનું પઠન કદી થયું નથી
આવશે તેનાયે દિવસો !
દુકાનની ધૂળમાં જળવાયેલી
ખરીદવામાં અસંભવ, મોંઘીદાટ, શરાબની જેમ
દિવસો ઊગશે
મારી કવિતાના !– મારિના ત્સ્વેતાયેવા
અનુવાદ: પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનારીક્રાંતિનું ઝળહળ લઈને આવતું ચોવીસ કેરેટનું કુંદન એટલે કુન્દનિકા કાપડિયા. કુન્દનિકા મૃત્યુ પામ્યા એવું કહેવા કરતા ‘paased away’ એવું કહેવું વધુ ગમે છે. કારણ કે સહજ રીતે એમના આત્માની એક ખૂબસૂરતી સાથે તેઓ અહીંથી પસાર થયા. જે પારદર્શક હતો. માણસ તૂટી પડે અને મૃત્યુ પામે. ઈશાજી જિંદગીભર વૃક્ષની જેમ ટટ્ટાર ઊભા રહ્યાં અને મૃત્યુ પામ્યા. કોઈ ઉત્તમ સર્જક કે કલાકારની વિદાયથી જ્યારે આપણે ખળભળી ઉઠીએ, મૃત્યુ સામે ‘Why ?’નો વંટોળ લઈ મન ચકરાવે ચડે ત્યારે સમજાય કે એમના સર્જનથી તેઓ આપણા અસ્તિત્વમાં સાવ ઓગળી ગયા હોય છે. આપણો અંતરંગ હિસ્સો બની ગયા હોય છે. એણે જ આપણી સારી-નરસી લાગણીઓને ઘડી હોય છે, ઉછેરી હોય છે, પંપાળી હોય છે..અરે, ક્યારેક છંછેડી પણ હોય છે. એટલે જ આપણી વાતો, સર્જન કે વિચારોમાં એ સર્જકના વિચારો પડઘાયા કરે છે. કદી ન ભરી શકાય તેવો ખાલીપો એ ભાવકની ભીતર મૂકી જાય છે. ઇશા કુન્દનિકા એક એવી જ એક હસ્તી, એવા જ ઘુસણખોર સર્જક જેણે સૌ વાચકોના હ્રદયમાં એક અલગ સ્થાન બનાવી અડીંગો જમાવ્યો. ગુજરાતી સાહિત્યને ‘સાત પગલાં આકાશમાં’ અને ‘પરમ સમીપે’ જેવી ઉત્તમ કૃતિઓ આપનારાં સર્જક કુન્દનિકાબહેનનું ૯૩ વર્ષે વલસાડસ્થિત નંદીગ્રામ આશ્રમમાં અવસાન થયું. સાહિત્યકાર વર્ષા અડાલજાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે “એક સ્ત્રી તરીકે, પોતાનાં સ્વપ્નો માટે જીવવું, પોતાના આદર્શોને અનુરૂપ એક સમાજનું નિર્માણ કરવું એ સૌથી મોટી વાત છે. આ કામ કુન્દનિકાબહેને આ જ સમાજની વચ્ચે રહીને કરી બતાવ્યું. તેઓ પોતાના કામ થકી અનેક જીવનને સ્પર્શ્યાં છે.”

કુન્દનિકા મુખ્યત્વે વાર્તાકાર અને નવલકથાકાર છે. નારીમુક્તિ અને પુરૂષ સમકક્ષ સામાજિક દરજ્જામાં માનનાર અને ખરા અર્થમાં જીવનવિકાસનાં સહપથયાત્રી તરીકે પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડનાર પોતાના જીવનમૂલ્યોને ઉદારભાવે ખુલ્લા મનથી સમજનાર વિચારશીલ એવું સુધારાવાદી પ્રબુધ્ધ પાત્ર મળે તો જ લગ્ન કરવું નહીતર કુંવારા રહીને સાચા અર્થમા કર્મશીલ જીવન વિતાવવું આવા દ્રઢ નિર્ધાર સાથે જીવન જીવતા કુન્દનિકા કાપડિયામાં જીવનમૂલ્યો પ્રત્યેની દ્રઢ આસ્થા અને ધૈર્ય સૌના માટે પ્રેરક બને એમ છે, આના જ પરિણામ સ્વરૂપે કદાચ ૧૯૬૮માં મોટી વયે મકરંદ દવે જેવા પ્રતિભસંપન્ન અને તત્વદર્શી પ્રબુધ્ધ કવિ સાથે એમનાં લગ્ન થયાં. કવિ શ્રી મકરંદ દવે સાથે લગ્ન સંબંધે જોડાયા પછી તેઓ ‘સ્નેહધન‘થી ઓળખાવા લાગ્યા. પહેલા તેમણે ફ્રિલાન્સ લેખિકા તરીકે કામ કર્યું. ૧૯૫૫ થી ૧૯૫૭ સુધી ‘યાત્રિક’ સામાયિકમાં અને ૧૯૬૨થી ૧૯૮૦ સુધી ‘નવનીત’માં સંપાદક તરીકે કામ કર્યું. તેમણે પતિ મકરંદ દવે સાથે વલસાડ પાસે ધરમપુર નજીક વાંકલ ગામે ‘નંદીગ્રામ’ નામનો આશ્રમ સ્થાપ્યો હતો. જ્યાં તેઓ છેલ્લા ઘણા વર્ષોથી રહેતા હતા. નંદીગ્રામ આશ્રમના પાયામાં કુન્દનિકાબહેન અને મકરંદ દવેના આદિવાસીઓને પગભર કરવાના આદર્શો છે. આ વિસ્તારમાં રહેતાં આદિવાસી લોકોને જે સામાજિક અને આર્થિક રીતે પછાત છે તેમને શિક્ષણ, સ્વાસ્થ્ય સુવિધાઓ અને સ્વાવલંબી બનાવવા નંદીગ્રામ કામ કરે છે. પોતાના અંગત મિત્રોમાં ‘કુંદન’ તરીકે અને નંદીગ્રામમાં અને સાહિત્યજગતમાં ‘ઈશામા’ તરીખે ઓળખાતા.
કુન્દનિકાજીના સર્જનમાં પ્રકૃતિ દ્વારા, મનુષ્યત્વ અને સ્નેહની પ્રતિષ્ઠા દ્વારા પરમતત્વને પામવાનો મહિમા છે. ગમે તેવા મુશ્કેલ સમયમાં પણ સામાન્ય માણસ જીવનના મુલ્યોને ત્યજતો નથી. એ વિપરીત સંજોગોમાં પણ લડે છે. ટકે છે અને જીતે છે. આ રીતે માનવ મૂલ્યોને એ કોઈ વ્યક્તિ કે ઘટના સંદર્ભે શોધવા કે સમજવા પ્રેરે છે. સાત્વિકતા તરફ દોરી જતું વિચારદોહન તેને ઉર્ધ્વ તરફ ગતિ કરાવે છે. વાસ્તવ સાથે નિસ્બત લઈને આવતી તેમની કૃતિઓ દર્શાવે છે કે તેઓ સમાજઘડતર માટે સતત પ્રયત્નશીલ છે. એથી જ એક ચિંતનશીલ સર્જક તરીકે તેઓનું પ્રદાન ખૂબ પ્રભાવશાળી અસરકારકતા ઉપજાવે તેવું છે. આપણા ઉત્તમ સર્જકો ધૂમકેતુ ,શરદબાબુ અને ટાગોર તેમજ શેક્સપિયર અને ઈબ્સનમાંથી તેમને પ્રેરણા મળેલી. આ ઉપરાંત તેમણે જે કાંઈ વાચ્યું એની અસર એમના પર થતી ગઈ અને તેમના રસ-રુચિ ઘડાતા ગયા અને સાહિત્ય દ્વારા સમાજને કશુંક આપવાની ભાવના પ્રબળ બનતી ગઈ.
અભ્યાસનિષ્ઠ સુશિક્ષિત સર્જક કુન્દનિકાજીના અહેસાસ અને અભિવ્યક્તિ વાચકોના ભીતરને સ્પર્શી, મન-હૃદય પર અંકિત થઈ ગયા છે. વાચકના અસ્તિત્વમાં એ એવા ભળી જાય છે કે જે પછી હયાતી હિલ્લોળા લેતી ઝૂલવા લાગે છે. સુકુનના ‘સ’માં ઝબકોળાઈને જિંદગી સાક્ષીભાવના સમ્યક ‘સ’ના સરનામે પહોંચી જાય છે. ‘પરોઢ થતા પહેલા’ જ એ જાણે ‘ચંદ્ર, તારાં, વૃક્ષ, વાદળ’ને સ્પર્શે છે. અંતરના ઉઘડતા દ્વારે ‘વધુ અને વધુ સુંદર’ને પામીને વાચકમાં ‘વસંત આવશે’ની શ્રદ્ધાને સીંચે છે. એટલે જ પછી ઝરુખે બળતા દીવાનું મંદ મંદ અજવાળું સતત રેલાયા કરે છે અને શાતા આપે છે. ભીતરમાં ભળી ગયેલી એક ગમતીલી હસ્તીની હાજરી આપણને આપણી જ ઓળખ ભણી દોરી જાય છે. આપણે આપણને જ જડી જઈએ છીએ. જાણે એનું સર્જન એ આપણા જ મનને વાચા આપતું હોય એવું અનુભવાય છે. એક નવો-નૂતન સંબંધ લેખકના પાત્રો સાથે જન્મ લે છે અને એ ભાવકને હસાવે છે, હરખાવે છે, રડાવે છે, મહેકાવે છે, ફણગાવે છે, ઝુલાવે છે, બેઠો કરે છે, સીંચે છે, સહેલાવે છે, સંકોરે છે…
તેઓની વિશેષ રસરુચિ ટૂંકીવાર્તા લેખનમાં હતી. તેઓ જે ઘટનાઓનું નિરૂપણ કરતા તેની પાછળના પરિબળો અને વૈચારિક ભૂમિકામાં એમને વધુ રસ પડતો. આ સંદર્ભે બહુ ગણ્યાગાંઠ્યા વાર્તાકારો જોવા મળે છે. એમના દ્રષ્ટિકોણમાં રસાળ શૈલી સાથેનું ચિંતન જોવા મળે છે. કુન્દનિકાજીએ પ્રકૃતિ અને ફિલસૂફી જેવા વિષયોને પણ વિશેષ રીતે પ્રયોજ્યા છે. ‘પરોઢ થતા પહેલા’ની એમની વાર્તાઓમાં વારંવાર એવું ફલિત થતું લાગે કે જીવનમાં આવી પડેલી વિપદાઓને, દુઃખના તત્વને અતિક્રમીને માણસે આનંદરૂપ અસલ સત્વ સાથે અનુસંધાન સાધવું જોઈએ. નવલકથા ‘અગનાપીપાસા’માં બૌદ્ધિક કરતા સ્નેહભીના હૃદય પર વધુ આસ્થા પ્રગટ કરે છે.
એમના અનેક કથાનકમાં સમાજના વિવિધ સ્તરમાંથી આવતી નારીને કુન્દનિકાજીએ બહુવિધ સ્વરૂપોમાં વર્ણવી છે. એ સમૃધ્ધ કે ગરીબ, શિક્ષિત કે અલ્પશિક્ષિત, ઉજળિયાત કે પછાત કોઈ પણ હોય શકે. નારીજીવનની જટિલ અને ગુઢ સમસ્યાઓમાંથી એ ઉપસી આવે છે. આપણા દંભી, સ્વાર્થી અને પુરુષપ્રધાન રૂઢિગત સામાજિક માળખામાં પીસાતી સ્ત્રીની પીડાને તે ઉજાગર કરે છે. બદલાતા સમયને અનુસરીને ક્યાંક વિચારોમાં પરિવર્તન આવ્યું છે ખરું. જેને લઈને સ્ત્રી સ્વતંત્ર રહીને વૈયક્તિક આદરસન્માન પામી છે. પરંતુ પુરુષ બરોબરીનો દરજ્જો હજુ એને નથી જ મળી શક્યો. અન્યાય, અત્યાચાર અને અપમાન જાણે એની નિયતિ છે. નારીમુક્તિ માટેનો પ્રબળ વિદ્રોહ કુન્દનિકાનાં લેખનમાં સતત તારસ્વરે પડઘાય છે.
દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત દીર્ઘનવલ ‘સાત પગલાં આકાશમાં’ બહુચર્ચિત થઇ છે. સમાજમાં વિવિધ પ્રકારે થતા સ્ત્રીના શોષણની વાત અહીં આલેખાઈ છે. ‘સાત પગલા આકાશમાં’ – લેખિકા ‘આદર્શ’ નહીં પરંતુ ‘સાચી’ સ્ત્રીનું ચિત્ર રજૂ કરે છે. સ્ત્રી અબળા નહીં પણ ‘અતિબળા’ એવી નારીશક્તિ છે. અહી મુખ્યત્વે વસુધાના પાત્ર દ્વારા સ્ત્રીનું અસ્તિત્વ અને તેની અસ્મિતા વચ્ચેના સંઘર્ષની કથા અહીં આલેખાયેલી છે. અંગ્રેજી ભાષાના જાણીતા નારીવાદી લેખિકા શશી દેશપાંડે પણ સ્ત્રીઓ ગૃહિણી તરીકે વૈતરું કરી પોતાની ઓળખ, સંવેદનશીલતા અને સર્જકતા ગુમાવી બેસે છે એનું ચિત્ર આલેખતા કહે છે કે ‘She has lost her name. She is known as somebody’s wife, somebody’s sister, somebody’s mother or daughter. Who is this ‘sombody’ ? નારીવાદના પ્રથમ પગરવ સમા ઇબ્સનના ‘ઢીંગલી ઘર’ નાટકમાં આપણને ગૃહત્યાગ માટે ઉંબર બહાર ડગ મૂકવા જતી નોરાના મુખે નારીવાદી સૂર સંભળાય છે. તેમ કુન્દનિકાજી પણ અણીદાર પ્રશ્ન પૂછી બેસે છે કે…
“કામ કરવા માટે પતિનું ઘર
આરામ કરવા માટે માનું ઘર,
તો પછી પોતાનું ઘર ક્યું ? “.સ્ત્રી હોવાથી સતત અવહેલનાનો અનુભવ થવો એ દુ:ખદ સત્ય છે. ‘એ રૂમ ઓફ વન્સ ઓન’માં વર્જિનિયા વૂલ્ફ મેરી બેટનના પાત્ર દ્વારા પોતાના મનમાં ઉઠતા પ્રશ્નોને વાચા આપે છે. મેરી બેટન કહે છે, ‘દરવાજા બહાર પુરાવું એ દુઃખદ છે તો એથી વધુ દુઃખદ દરવાજા અંદર પુરાવું છે.’
પરંતુ ઓશોથી પ્રભાવિત એવા નીડરપણે જીવનારા અમૃતા પ્રીતમ તો નારીશક્તિને ઝંઝોડતા કહે છે કે ‘No destiny is responsible, you have to creat yourself. Be your own effect. The total responsibility is yours. આવો, અંતમાં સાત પગલા આકાશમાં’ની નાયિકા વસુધાના મુક્તિના આકાશમાં ડોકિયું કરીએ.
”વસુધાએ રેતીથી મુઠ્ઠી ભરી અને પોલી આંગળીઓમાંથી સરવા દીધી.
થોડીક પળોમાં આખું જીવન નજર સામેથી પસાર થઇ ગયું….
બધું કાળના પ્રવાહોમાં વહી ગયું હતું.
હવે સામું હતું હિમાલયનું ઊંચું શિખર અને એની ઉપર
તારાઓથી ઝળક્તું આકાશ.”
ઇતિ
આળસથી કટાઈ જવા કરતા મહેનતથી ઘસાઈ જવું હું વધુ પસંદ કરું છું.
-એમર્સન
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સવેતનિક પાદરી અને નનની આવક આવકવેરાને પાત્ર છે!
નિસબત
ચંદુ મહેરિયા
વરસ ૨૦૨૫-૨૬ના કેન્દ્રીય અંદાજપત્રમાં આવકવેરાની મુક્તિ મર્યાદા વધારીને વાર્ષિક રૂ. બાર લાખ કરવામાં આવી છે. એટલે કે હવે વરસે બાર લાખ રૂપિયા કમાતી વ્યક્તિને કોઈ આવકવેરો ભરવો પડશે નહીં. સરકારના આ નિર્ણયને વ્યાપક આવકાર મળી રહ્યો છે. પરંતુ પંચ્યાસી વરસ પૂર્વેની એક બીજી આવકવેરાની મુક્તિ પરત લેવામાં આવી છે અને તેને દેશની સર્વોચ્ચ અદાલતની પણ મહોર લાગી છે તેની ખાસ ચર્ચા થતી નથી.
છેક અંગ્રેજોના જમાનામાં, ૧૯૪૪માં, સવેતન કામ કરતાં ખ્રિસ્તી પાદરીઓ અને સાધ્વીઓએ કોઈ આવકવેરો ભરવો નહીં તેવો આદેશ કરવામાં આવ્યો હતો. કારણ કે તેઓ તેમનું વેતન ધર્મસંસ્થાને અર્પણ કરી દે છે. આઝાદી બાદની સરકારોએ પણ આ નિર્ણય બરકરાર રાખ્યો હતો. સિત્તેર વરસ પછી ૨૦૧૪માં આવકવેરા વિભાગે આદેશ કર્યો કે જે પાદરી અને નન સરકારી તિજોરીમાંથી પગાર મેળવે છે તેમના ટીડીએસની પણ કપાત કરવાની રહેશે. આ નિર્ણયનો વિરોધ થયો અને તેને અદાલતમાં પડકારવામાં આવ્યો.
આકરી તાવણી પછી ખ્રિસ્તી ધર્મમાં નન કે પ્રિસ્ટનું પદ મળે છે. ખ્રિસ્તી સાધુ-સાધ્વીએ નિર્ધનતા, આજ્ઞાકારિતા અને શુધ્ધતા એ ત્રણ પ્રતિજ્ઞાઓ લેવાની હોય છે.તેમણે ઘર-પરિવારનો ત્યાગ કરી એકલા અને અલગ રહેવાનું હોય છે. તેઓ લગ્ન કરી શકતા નથી.તપસ્વીનું જીવન જીવવાનું હોય છે. નન અને પાદરી ધનહીનતાના શપથ ગ્રહણ કરે છે.એટલે તેમણે કોઈ ધન સ્વીકારવાનું હોતું નથી કે સંપત્તિ ભેગી કરી શકતા નથી. મિલકત વસાવી શકતા નથી. પોતાના જૂના પરિવારમાં આકસ્મિક સંજોગો સર્જાય અને કોઈ ઉત્તરાધિકારી ન હોય ત્યારે પણ તે કુટુંબનો વારસો પ્રાપ્ત કરી શકતા નથી.
તેમણે સમાજના ભલાનું, કલ્યાણનું કામ કરવાનું હોય છે. કેટલાંક સાધુ-સાધ્વી શાળા-કોલેજોમાં અધ્યાપક હોય છે તો કેટલાક આરોગ્ય ક્ષેત્રે કામ કરે છે. ગવર્નમેન્ટ ગ્રાન્ટ મેળવતી શાળા-કોલેજ અને હોસ્પિટલ કામ કરતા ફાધર કે નનના કિસ્સામાં તેઓને સરકારી તિજોરીમાંથી પગાર મળે છે. જોકે તેઓ તેમનું સંપૂર્ણ વેતન ચર્ચને દાનમાં આપી દે છે. જેનાથી લોકોના કલ્યાણના કામો થાય છે. અર્થાત તેઓ વેતન લે છે ખરા પરંતુ તેનો અંગત ઉપયોગ કરતા નથી પરંતુ લોકહિતાર્થે તે નાણાનું દાન કરી દે છે. સમાજ કલ્યાણના ઉમદા હેતુથી કામ કરતા સાધુ-સાધ્વીને તેમની આવક પર કોઈ ઈન્કમટેક્ષ ભરવો પડતો નથી તેવું છેક આઝાદી પૂર્વે ચાળીસના દસકથી નક્કી થયું હતું.
પરંતુ ૨૦૧૪માં જ્યારે આવકવેરા વિભાગે ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થામાં કાર્યરત ફાધર-નન પણ આવકવેરાને પાત્ર છે અને તેમના ટીડીએસની કપાત કરવી અનિવાર્ય છે તેવી સૂચના આપી અને અમલ થયો ત્યારે તેનો ભારે વિરોધ થયો હતો. ખ્રિસ્તી મિશનરી સંસ્થાઓએ આ નિર્ણયને અન્યાયકર્તા ગણાવી અદાલતમાં ધા નાંખી હતી. મદ્રાસ હાઈકોર્ટની એકલ પીઠે મિશનરીઓની અપીલની તરફેણમાં ચુકાદો આપ્યો પરંતુ સરકારે તે સામે અપીલ કરતા એકથી વધુ જજોની બેન્ચે અગાઉનો ચુકાદો ઉલટાવ્યો અને સરકારના નિર્ણયને માન્ય રાખ્યો. કેરળે હાઈકોર્ટે પણ નન અને પાદરીની આવક આવકવેરાને પાત્ર છે તેવો ચુકાદો આપ્યો હતો.
રાજ્યોની વડી અદાલતોના વિરુધ્ધના ચુકાદા સામે ૯૩ જેટલી પિટિશનો સર્વોચ્ચ અદાલતમાં કરવામાં આવી હતી. મિશનરીઓની દલીલ હતી કે જ્યારે કેથોલિક નન અને પાદરી સ્વૈચ્છિક ગરીબી, નિર્ધનતા કે ધનહીનતા ( vow of poverty ) અર્થાત કોઈ ધન ધારણ નહીં કરવાના શપથ લે છે ત્યારે તેમની સ્થતિ નાગરિક મૃત્યુ ( સિવિલ ડેથ) ની હોય છે. એટલે તેમણે કોઈ કરવેરા ચુકવવાના હોતા નથી.
નવેમ્બર ૨૦૨૪માં ત્ત્કાલીન ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા વાય.વી.ચંદ્રચૂડની આગેવાનીમાં ત્રણ જજોની બેન્ચે મિશનરીઓની તમામ અરજીઓ ફગાવી દીધી હતી. અદાલતનો ચુકાદો હતો કે આવક ધારણ કરતા દેશના તમામ નાગરિકો એ ધર્મના બાધ વિના સમાન રીતે કરવેરા ભરવાના હોય છે. આવકવેરા કે કરવેરાના કાયદા તમામ નાગરિકો માટે એક સમાન છે અને તેમાં કોઈ સાધુ-સાધ્વીને મુક્તિ મળી શકે નહીં.. જો નન અને પાદરી સરકારી અનુદાનમાંથી વેતન મેળવતા હોય તો તેમણે પણ આવકવેરો ભરવો પડે. બંધારણના અનુચ્છેદ ૨૫ મુજબ તેમાં કોઈના ધર્મ સ્વાતંત્ર્યના અધિકારનો ભંગ થતો નથી. કોઈ ધાર્મિક પ્રથાઓની પરવા કર્યા વિના નન અને ફાધરનો ટીડીએસ કાપવાનો સરકારી નિર્ણય સર્વથા ઉચિત છે. ધર્મને વચ્ચે લાવ્યા વિના કાયદાનો સમાન ધોરણે અમલ થવો જોઈએ. આજે ખ્રિસ્તી પાદરી તેમનું વેતન ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવે છે એટલે આવકવેરો લાગુ ના પડે તેવી દલીલ કરે તો કાલે બીજા ધર્મોના સાધુ-સંતો પણ આવી માંગણી કે દલીલ કરી શકે છે.એટલે સરકાર કે અદાલત ધર્મના ધોરણે કોઈ છૂટ આપી શકે નહીં તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું.
સુપ્રીમ કોર્ટે મિશનરીઓના વકીલની પાદરી કે નનની સિવિલ ડેથની સ્થિતિનો પણ સ્વીકાર કર્યો નથી. કોઈ વ્યક્તિની એવી કાયદાકીય સ્થિતિ કે જેમાં તે શારીરિક દ્રષ્ટિએ જીવિત છે પરંતુ નાગરિક કે સામાજિક સભ્યના રૂપમાં કોઈ અધિકારો કે વિશેષાધિકારોથી વંચિત હોય તેને સિવિલ ડેથ કે નાગરિક મૃત્યુ કહેવાય છે. અદાલતની દલીલ હતી કે જો સિવિલ ડેથની સ્થતિ હોય તો તે સવેતન નોકરી જેવી નિયમિત ગતિવિધિ પણ કરી શકે નહીં.. વળી તેમનું વેતન સરકાર ચર્ચમાં જમા કરાવતી નથી.પરંતુ વેતનધારક ખુદ તેના ધાર્મિક નિયમો અનુસાર જમા કરાવે છે. એટલે પગારધારક પગાર પોતાના અંગત ઉપયોગ માટે રાખતો નથી અને દાન કરી દે છે એટલા માત્રથી તેને આવકવેરામાંથી મુક્તિ મળી શકે નહી. નન અને પાદરીના ધર્મસંસ્થાને ચેરિટી માટે દાનથી તેમની કરદેયતા મટી જતી નથી. લોકોના કરવેરાથી એકત્ર થયેલા નાણા જેને પણ વેતનરૂપે ચુકવાય તેણે કાયદેસરનો ટીડીએસ કપાવવો જ પડે.
ધાર્મિક લઘુમતી એવા ખ્રિસ્તી સાધુ-સાધ્વીઓને આવકવેરો લાગુ પડે છે તેવો નિર્ણય કદાચ વહીવટી હોઈ શકે છે. પરંતુ ૨૦૧૪માં કેન્દ્રમાં રાજકીય સત્તાપલટા પછીનો આ નિર્ણય છે. એટલે તેમાં લઘુમતી તરફની રાજકીય કુદ્રષ્ટિનો સવાલ ઉઠી શકે છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સામયિક ‘ પાંચજન્ય’ એ આવકવેરાની આ છૂટને “ ધર્મનિરપેક્ષ દેશમાં ધર્મના આધારે વિશેષાધિકાર મેળવવાનું દુ:સાહસ “ ગણાવ્યું છે ત્યારે લઘુમતીના તુષ્ટિકરણ અને લઘુમતીની રંજાડની દલીલો પણ સામસામી થઈ શકે છે..
સમાજ કલ્યાણ માટે કામ કરતી ધાર્મિક સંસ્થાઓ સહિતના ચેરિટેબલ ટ્રસ્ટોને અપાતા દાનને આવકવેરાની ચોક્કસ કલમ હેઠળ આવકવેરામાંથી મુક્તિ આપવાનો નિયમ છે અને તેનો ભરપૂર લાભ લઈને આવકવેરાથી બચનારો એક વર્ગ પણ દેશમાં મોજુદ છે. એ સંજોગોમાં પોતાની સંપૂર્ણ આવક લોકકલ્યાણ માટે દાન કરી દેનાર ખ્રિસ્તી સાધુ-સાધ્વીની આવક કાયદેસર આવકવેરાને પાત્ર હોઈ શકે છે પરંતુ તે ચેરિટેબલ ટ્રસ્ટને મળેલી આવકવેરાની મુક્તિ મર્યાદા હેઠળ કદાચ મુક્તિને પાત્ર હોવાનું પ્રમાણપત્ર પણ તે મેળવી શકે છે. એટલે આ બાબતમાં એક હાથે આપવાનું અને બીજા હાથે લઈ લેવાનું પણ બની શકે તેમ છે. તેનાથી કોઈ ચોક્કસ રાજકીય વિચારધારા સંતોષાય અને વહીવટી કામ વધે તેમ પણ બનવા જોગ છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
દલિત પેન્થર : પોતાના અધિકારો માટે લડતું એક વિદ્રોહી સંગઠન
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
પંક્તિ દેસાઈની પહેલથી અમદાવાદમાં ‘નવજીવન’માં ગુજરાતમાં દલિત પેન્થર આસપાસ યોજાયેલી પ્રદર્શિની (જે હજુ ૨૪મી ફેબ્રુઆરી સુધી ચાલુ છે) ગુજરાતના જાહેર જીવનની એક સમાંતર ધારાને જાણવા, સમજવા અને સંભારવાનો (બને કે સંકોરવાનો પણ) અવસર લઈને આવે છે.
આ લખી રહ્યો છું ત્યારે સાંભરે છે કે ૧૯૭૪ની ૧૪મી એપ્રિલ ને આંબેડકર જયંતીનો જોગ સાધીને જે. વી. પવાર, રાજા ઢાલે, ભાઈ સંગારે અમદાવાદ આવ્યા હતા. એમનું આવવું ઐતિહાસિક હતું તે એ અર્થમાં કે ૧૯૭૨થી મુંબઈમાં જેનો સૂત્રપાત થઈ ગયો હતો તે ‘દલિત પેન્થર’નો નેજો લઈને એ આવ્યા હતા. મૂળે પવાર અને નામદેવ ઢસાળે આરંભેલ દલિત પેન્થર ચળવળમાં તરતના ગાળામાં રાજા ઢાલે જોડાયા હતા અને જોતજોતામાં એણે મુંબઈમાં કાઠું કાઢવા માંડ્યું હતું. બ્રાહ્મણ નેતાઓ ને દલિત શાખાપ્રમુખો પર કાઠું કાઢી ગયેલ હિંદુત્વનિષ્ઠ શિવસેનામાંથી બહાર એક જુદી ભૂમિકાએ આવવા સારુ દલિત પેન્થર ચળવળે અચ્છું આકર્ષણ પૂરું પાડ્યું. કોંગ્રેસ સિવાયનું એક નવું હૂંફઠેકાણું પણ દલિત તરુણો માટે એ હોઈ શકતી હતી.
એની પૂંઠે એક જે વિશ્વસંદર્ભ કામ કરી રહ્યો હતો તે પણ લક્ષમાં લેવા જોગ છે. પવારે સંભાર્યું છે કે એમણે વિશ્વવિશ્રુત અમેરિકી અઠવાડિક ‘ટાઈમ’માં બ્લેક પેન્થર વિશે વાંચ્યું ત્યારથી એમને એક નવો વિકલ્પ આવી મળ્યાનો તીવ્ર ધક્કો લાગ્યો હતો. અમેરિકાની બ્લેક પેન્થર પાર્ટી, વંશીય અને આર્થિક ભેદભાવો અને ત્યાંના આફ્રિકી-અમેરિકી સમુદાયનો જે ઉત્કટ અજંપો હતો એમાંથી આવી હતી. પવાર અને મિત્રોને સ્વાભાવિક જ એમાં આપણે ત્યાંના દલિતોને માર્ગદર્શક થઈ પડે એવો એક પેરેલલ વરતાયો હતો. આંબેડકરથી પ્રભાવિત પરિવર્તનવાંછુઓ માટે નાનામોટા ઝઘડા ને ગુટબંધીવાળી રિપબ્લિકન પાર્ટી કે પરંપરાગત કોંગ્રેસ રાજનીતિ અગર હિંદુવાદી શિવસેના સિવાયનું એક દ્વાર એનાથી ખૂલતું હતું.
વીસમી સદી અધવચ અમેરિકામાં ખીલી આવેલી સિવિલ રાઈટ્સ ચળવળ તેમજ સાઠનાં વર્ષો ઊતરતે વિયેટનામ યુદ્ધના વ્યાપક સંદર્ભમાં અમેરિકી કેમ્પસો પર વરતાયેલો વ્યાપક છાત્ર ઉદ્રેક, આ બધું જેમ બીજે તેમ હિંદમાં પણ પહોંચું પહોંચું હતું અને એની છાલકે ભીંજ્યા પવાર વગેરે સારુ દલિત પેન્થર શી કોઈ રચના કદાચ દુર્નિવાર હતી. યુવા અજંપાની વૈશ્વિક લહર ગુજરાતના છાત્ર સમુદાયમાં ૧૯૭૩ ઊતરતે ને ૧૯૭૪ બેસતે એની આગવી રીતે પ્રગટી, એને આપણે નવનિર્માણ આંદોલન તરીકે ઓળખીએ છીએ. છાત્ર ઉદ્રેક અને નાગરિક સંધાનનું એ પ્રગટીકરણ દેશની રાજનીતિમાં પરિવર્તનનું કારણ બની રહેનાર જેપી આંદોલન માટે જરૂર એક ઉદ્દીપક બળ હતું. એપ્રિલ ૧૯૭૪માં પવાર, સંગારે અને ઢાલે અમદાવાદમાં આવ્યા ત્યારે પેન્થર ચળવળ માટે એમને મળી રહેલા વડા સાથી રમેશચંદ્ર પરમાર હતા જે રિપબ્લિકન પાર્ટીથી ખસી રહ્યા હતા. નારણ વોરા કે ઝડપથી નેવું નાબાદ તરફ જઈ રહેલા વાલજીભાઈ પટેલ અને બીજાં પણ નામો પેન્થર સહિતની દલિત હિલચાલ સંદર્ભે લઈ શકાય, જેમ કાળક્રમે ભાજપ ભણી ઢળેલ જ્યોતિકર પરિવાર આદિયે ધ્યાનાર્હ છે.
સહેજ પોરો ખાઈ આ લંબાયેલ પ્રસ્તાવનાને લગીર વળ ને આમળો આપી આપણે પાછા પંક્તિ દેસાઈ તરફ વળીએ. અંગ્રેજીનાં આ આધ્યાપિકાનું એક પ્રમુખ શોધકાર્ય લઘુ સામયિકો અંગેનું છે. ‘સંજ્ઞા’ (૧૯૬૬-૬૭), ‘ડ્રાઉ ડ્રાઉં’ (૧૯૬૮-૭૦), ‘યાહોમ’ (૧૯૬૭-૭૦), ‘સંદર્ભ’ (૧૯૬૮-૭૦), ‘હું’ (૧૯૭૧-૭૪), ‘આક્રોશ’ (૧૯૭૮થી) અને ‘કાળો સૂરજ’ (૧૯૭૮થી) વ. જોતાં, ખાસ કરીને પાછલાં બેના પરિચયથી પંક્તિ ખેંચાયાં હશે કે કેમ, પણ એમને ‘પેન્થર’ સામયિક અને પેન્થર ચળવળ બેઉમાં રસ જાગ્યો. આ લઘુ સામયિકો, એક રીતે, સ્થાપિત નહીં પણ સમાંતર ધારાના વાહક ને ઉદઘોષક હતાં.‘પેન્થર’નું દાયિત્વ રમેશચંદ્ર પરમારનું હતું. મેં એમને પહેલવહેલા જોયાજાણ્યા તે જેપી આંદોલનના દિવસોમાં: ઓક્ટોબર ૧૯૭૪માં બિહાર આંદોલનના સમર્થનમાં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વમાં દિલ્હીમાં નાગરિક કૂચ યોજાઈ હતી. એને અંગેની અમદાવાદના કાર્યકરોની સભામાં રમેશચંદ્ર હાજર રહ્યા એટલું જ નહીં પણ બને એટલા વધુ મિત્રો દિલ્હી પહોંચે તે માટે ખરી દૂંટીની અપીલ પણ કરી હતી. ૧૯૮૧ અને ૧૯૮૫માં અનામતવિરોધી ઉત્પાતમાં નાગરિક દરમ્યાનગીરી માટે મારે ત્યાં યોજાયેલી એક બેઠકમાં એ સામેલ થયા હતા, બોડીગાર્ડ સમેતની એમની હાજરી એક જુદો જ અનુભવ હતો.
આ આંદોલનોમાં જે દલિત અસ્મિતાનો સાક્ષાત્કાર થયો એનો પ્રારંભિક ધક્કો આગલો દસકો ઊતરતે આવેલી અગનકૂલ શી પત્રિકા ‘આક્રોશ’માં પ્રકાશિત રચનાઓનો હતો. નીરવ પટેલ, દલપત ચૌહાણ, પ્રવીણ ગઢવી વગેરે તે લઈને આવ્યા હતા. એક અર્થમાં પેન્થર પ્રમુખ તરીકે એની પૂંઠે યોજકત્વ રમેશચંદ્રનું હશે એમ પણ તમે કહી શકો. વિદ્રોહનો અને ન્યાય માટેનો, રચના અને સંઘર્ષનો આ જે સ્વર એમાં ભાનુ અધ્વર્યુએ રુદ્રવીણાનો ઝંકાર નોંધ્યો હતો. પ્રદર્શિનીના ઉદઘાટન પછીની અનૌપચારિક વાતચીતમાં જે. વી. પવારે આઈડેન્ટિટી પોલિટિક્સના અતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. ક્યારેક પેન્થર પ્રકારની હિલચાલ સાથે હોઈ શકતા રામદાસ આઠવલેનાં તકવાદી જોડાણો બાબતે પણ એમની સમજ સાફ જણાતી હતી. ગમે તેમ પણ, આ અવસર દલિત હિલચાલને ઝકઝોરે અને કથિત મુખ્ય ધારા અને સમાંતર પ્રવાહો વચ્ચે સંવાદનો સુયોગ સંપડાવે તો એથી રૂડું શું.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૯-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
કરસનદાસ મૂળજીનો ઈંગ્લેન્ડ પ્રવાસ – પ્રકરણ ૪
સમાજદર્શનનો વિવેક
કિશોરચંદ્ર ઠાકર

(કરસનદાસ મૂળજી – ૧૮૩૧ થી ૧૮૭૨) (જ્યારે માણસ પોતાની મરજી પ્રમાણે ફરી હરી શકે નહીં ત્યારે તે ગુલામની સ્થિતિમાં કહેવાય છે.સ્વતંત્ર માણસ પોતાની મરજી પ્રમાણે છૂટથી ફરી શકે છે ન્યાત જાતની બિહિકથી પોતાના દેશના ખુણામાંથી બાહાર નિસરી ન શકાય અને સુધરેલા દેશમાં પ્રવાસ કરવા જઈ ન શકાય એને ગુલામગીરીની સ્થિતિ શિવાય બીજું શું નામ ઘટે? કોઇ જુલમી રાજા તમને તમારા ઘરમાં પુરી અને ઘરની બાહાર જવા ન દે ને જાઓ તો તમને શિક્ષા કરે તો તે જુલમ તમે કેમ સહન કરી શકશો? તમે એમ જ કહેશો કે એવી ગુલામી સ્થિતિમાં રહેવું, તે કરતાં મરવું બેહેતર. હવે એ જ પ્રકારે એક જુલમી રાજા તમને એમ કહેશે કે તમને હું મારા દેશની બાહાર જવા નહીં દઉં, તમે મારા દેશના ખુણામાં ચુડો પેહેરીને ભરાઈ બેસો, તો એ જુલમી રાજાના જુલમમાંથી છુટવાને શું તમે વિચાર નહીં કરશો? એ જુલમી રાજા તે કોણ તે તમે કહી શકશો, ન્યાતની બીક એ જ જુલમી રાજા છે. એ બીક કાહાડી નાખી હિંમતથી બાહાર પડશો તો એ જુલમી રાજા તમારા તાબામાં આવી જશે)
: :કરસનદસ મૂલજી તેમનાં પુસ્તક ‘ઇંગ્લેન્ડનો પ્રવાસ’ની પૂર્વભૂમિકા(પ્રસતાવના)માં
લેખકે અંગ્રેજ પ્રજાના સામાન્ય ગુણોની વાત તો કરી છે ઉપરાંત એ પ્રજાના જે વિશેષ ગુણો અને પરિસ્થિતિને કારણે દુનિયાભરમાં બ્રિટનનો વાવટો ઉંચો રહયો તે વિશે પણ લખ્યું છે .અંગ્રેજ પ્રજાની વિદ્યાપ્રીતિથી પ્રભાવિત થવા ઉપરાંત નવી નવી શોધો કરવાનો અને જુદી જુદી કળાઓમાં પારંગત થવાના ઉત્સાહને તેમની સર્વોપરિતા માટે જવાબદાર ગણ્યા છે. ત્યાંનું ઠંડુ હવામાન મહેનત કરવા માટે અનુકૂળ હોવાથી સખત પરિશ્રમ કરવા છતાં લોકોને થાક લાગતો નથી. આપણે જાણીએ છીએ કે સૌ પ્રથમ ઔદ્યોગિક ક્રાંતિ ઇંગ્લેન્ડમાં થઈ. યંત્રો અને કારખાનાઓ ચલાવવા માટે જરૂરી કોલસો ત્યાંની જમીનમાં વિપુલ પ્રમણમાં દટાયેલો છે અને એટલું જ જરૂરી લોખંડ પણ ત્યાં ધરબાયેલું છે. માલસામાન વહેવા માટે ખૂબ જ આવશ્યક એવી રેલ્વેલાઇનનો ત્યાં ઝડપથી વિકાસ થયો. કરસનદાસ લખે છે કે ૧૮૬૪ની આખર સુધીમાં ઇંગ્લેન્ડ અને તેની સાથે જોડાયેલા દેશોમાં 12,300 માઈલ સુધી રેલ્વેલાઇન પથરાઈ ચૂકી હતી જ્યારે તે સમયે ભારતમાં ૩૧૦૦ માઈલ રેલ્વેલાઇન હતી.
બ્રિટનનાં ભૌગોલિક સ્થાનને કારણે તે દેશને પોતાનું નૌકાદળ મજબૂત રાખવું પડેલું અને તેના સહારે અનેક યુદ્ધો જીતાયેલા.. મજબૂત નોકાદળનું રક્ષણ મળવાને કારણે તે દેશનો દરિયાઈ વેપાર પણ ખૂબ જ ખીલેલો. કરસનદાસ લખે છે, “ઇંગ્લેન્ડ દેશની પ્રજાનું મોટામાં મોટું પરાક્રમ તેની સમુદ્રની ફોજમાં છે અને તેથી એ દેશની મોટાઈ આખી પૃથ્વિમાં માલમ પડી છે. દરિયામાં મોટાં મોટાં વહાણો તથા મોટી મોટી આગબોટ ઉપર લશ્કર તથા તોપગોળા ને લડાઇનો સામાન રાખવો અને જરૂર પડે ત્યારે દરિયામાં વહાણ ઉપરથી જ લહડાઈ કરવી. આ કળામાં ઈંગ્રેજી પ્રજાની ચાલાકી જેવી માલમ પડી છે તેવી ચાલાકી બીજી કોઈક જ પ્રજાની જણાઇ હશે.”
લેખક વધારે સમય તો લંડનમાં જ રહેલા, તો પણ ઇંગ્લેડના અન્ય શહેરો અને ગામોની મુલાકાત પણ તેમણે લીધી જ હતી. હાર્ટફોર્ડ નામના એક ગામમાં તેમણે એક પ્રિન્ટિંગ પ્રેસ જોયો, જેમાં સંસ્કૃત અને ફારસી ભષામાં છપાયેલા પુસ્તકો જોયા. આ પુસ્તકો એટલી સરસ રીતે છપાયા હતા કે તેની છપાઇને કારણે પ્રિન્ટિંગ પ્રેસના માલિકને ઇંગ્લેન્ડની મહારાણી તરફથી ચંદ્રક મળેલો. ત્યાંથી તેમણે કાપડ ઉદ્યોગ માટે પ્રખ્યાત એવા માન્ચેસ્ટર શહેરની મુલાકાત લીધી, તેમને અહીંના કાપડનાં કારખાનાં અને મુંબઈના કાપડનાં કારખાનાં વચ્ચે કોઇ ફરક ન જણાયો. છતાં તેમના લખ્યા મુજબ માન્ચેસ્ટરમાં તે સમયે કાપડના લગભગ એક હજાર કારખાના હતાં. અહીં ગાલીચા બનાવવાનું એક કારખાનું પણ તેમણે જોયુ. આ કારખાનાના માલિક સાથેના એક પ્રસંગની વાત આપણે લેખકના શબ્દોમાં જ જાણીએ,
“આપણા દેશને લગતી કેટલીએક વાત સાંભળી આખા કુટુંબને ખુશી અને અચરતી ઉપજતી હતી. આપણા દેશના જ્ઞાતીભેદ સબંધી વાત નિકલી અને એક જ્ઞાતિના લોક બીજી જ્ઞાતિના હાથનું રાંધેલું કે અડકેલું જમી શકે નહી તે સાંભળી તેઓ બહુ જ અચરત પામ્યા.હતા. *[1]જનાવરના ખોરાક સબંધી વાત નિકળતા તેઓ અજબ થયા કે તમે એ વગર કેમ રહી શકતા હશો! મેં કહ્યું કે હું રહી શકું છું, મને એ ખોરાક મુદલ પસંદ નથી. કોઇ જનાવરનાં શરીરના જુદા જુદા ભાગ કાપીને ખાવા એ વિચારથી જ મને કંટાળો ઉપજે છે. તેઓએ કહ્યું કે એમાં કંટાળો શાનો? મેં જણાવ્યું કે ફ્રેન્ચ લોકો દેડકાને બાફીને ખાય છે પણ ઘણાખરા અંગ્રેજોને એ પકવાથી કંટાળો ઉપજે છે. દેડકાનું નામ જ સાંભળતાં એ કુટુંબની મુખ્ય ધણીઆણીને એટલો તો કંટાળો છુટ્યો કે તેનાથી પછી ખવાયું જ નહી.”
પછી લખે છે,
“હું મારા અવિવેકને માટે જરા દલગીર થયો પણ મારા કહેવાની સાબેતી તરત જ મળી તેથી આખું કુટુંબ મોટી ખુશીમાં આવીને હસવા માંડ્યું અને મને ‘બ્રેવો’ બ્રેવો’ કહીને સાબાસી આપી. લેડીનું મન કચવાયું હશે એમ સમજીને મેં માફ માગી. પણ તે ભલી સ્ત્રી બોલી કે તેની જરાય ચિંતા કરશો ના. મારું મન મુદલ કચવાયું નથી પણ હવે હું સમજી શકું છું કે તમને બચપણથી જનાવરના ખોરાક્નો કંટાળો હશે, તે કંટાળો ઘણો જ મજબુત હશે.” અહી કરસનદાસ અને અંગ્રેજ પરિવારનું ઉમદાપણુ તો આપણને જણાય છે જ ઉપરાંત તે પરિવારની અન્યના મત કે માન્યતાને સમજવાની ક્ષમતા અને તૈયારીનો પણ પરિચય થાય છે.
માન્ચેસ્ટરથી તેઓ લીવરપુલ ગયા. ત્યાં તેમણે 1500 મોટા વહાણોનો સમાવેશ થઈ શકે તેવી બંદરની ગોદી જોઈ. લીવરપુલથી એડિનબરોના રસ્તા પર આવેલા ‘સેન્ટહિલ’ નામનાં ગામમાં તેઓ કાચનું કારખાનું જોવા ઉતરેલા પરંતુ કોઇ કારણસર તે કારખાનું બંધ હતું, છતાં એક અજાણ્યા ગૃહસ્થે તેમને લોખંડ ગાળવાની ભઠ્ઠી જોવા લઈ ગયા અને ત્યાંની તમામ કામગીરી તેમને સમજાવી. અહીં આપણને ઇંગ્લેન્ડની પ્રજાના ઉમદાપણા અને કરસનદાસની જિજ્ઞસાવૃતિના એકી સાથે દર્શન થાય છે. સેંન્ટહિલથી તેઓ યુનાઈટેડ કિંગડમના સૌથી સુંદર શહેર એડિનબરો ગયેલા જ્યાં તેમણે પ્રિન્સેસ સ્ટ્રીટ નામે ઓળખાતા ત્યાંના સુંદર મોહલ્લામાં ઉતારો કર્યો. અહીં તેઁમણે વોલ્ટર સ્કોટ નામના પ્રખ્યાત કવિની સમાધિ માટે ઊભો કરાયેલો મિનારો જોયો. નેશનલ ગેલેરી અને રોયલ ઇન્સ્ટિટ્યુટની ઈમારતો અને તેની પછવાડે આવેલા ત્યાંના પ્રખ્યાત કિલ્લા ઉપર ચડીને તળેટીએ દેખાતા એડિનબરો શહેર તેમજ પ્રકૃતિનો નજારો માણ્યાપછી ઉપડ્યા ગ્લાસગો શહેર જ્યાં છીંટનું કાપડ અને તેની પર ડિઝાઇન બનાવવાનું કારખાનું તો જોયું, ઉપરાંત આપણા દેશમા પહેરવામાં આવતા ધોતિયા બનાવવાનું કારખાનું તેમજ એ ધોતિયાની કોર પર ભાત(ડિઝાઈન) કઈ રીતે વણાતી તે બારીકાઈથી નિહાળ્યું. ગ્લાસગો શહેરમાં જાય અને કાચનું કારખાનું જોવાનું કેમ બાકી રાખે? કાચના કારખાનાના ભલા માલિકે તેમને કાચની ભઠ્ઠી અને તેની બાજુમાં ઉકળતા કાચના રસમાંથી એક ભૂંગળી વડે કાચના જુદા જુદા આકાર બનતા તે દેખાડ્યું. કાચ પર ડિઝાઈન બનાવવાની પ્રક્રિયા પણ લેખકે જોઈ.
ઇંગ્લેન્ડના ગામો અને શહેરોની મુલાકાત લીધા બાદ તેમણે સ્કોટલેન્ડના માઈલોના વિસ્તારમાં પથરાયેલા લોમંડ(Lomand) અને ક્વાટ્રાઇન(Katrine) નામના બે મીઠા પાણીનાં સરોવરોમાં આગબોટવિહાર કરતા સરોવરોનું તેમજ આજુબાજુના પહાડોનું સૌંદર્ય માણ્યું. સરોવરને કાંઠે પહોંચ્યા પછી વરસતા વરસાદમાં પહાડો વચ્ચે આવેલા એક જંગલમાં પ્રવેશ્યા. ત્યાંનું સૌંદર્ય જોઈને એટલા પ્રભાવિત થયા કે ઈંગ્લેન્ડના કોઈ પ્રખ્યાત કવિની કાવ્યપંક્તિઓ તેમને યાદ આવી
“ So wondrous wild, the whole might seem
The scenery of a fairy dream”કુદરતનું આ સૌંદર્ય માણ્યા બાદ તેમણે સ્કોટલેન્ડના સ્ટર્લિન્ગ કેશલ નામના પ્રખ્યાત કિલ્લા પર આરોહણ કર્યું. ત્યાં એક મહિલા ગાઈડે કિલ્લામાં જન્મેલા રાજાઓના તથા કિંગ બીજા જેમ્સની કતલ કરીને મૃતદેહને કિલ્લા પરના એક રૂમની બારીમાંથી ફેંકી દેનારા ડેગ્લાસ નામાના અમીરની ઐતિહાસિક ઘટનાનું વર્ણન કર્યું.. કિલ્લા પરથી ખીણ અને તેની આસપાસનું સૌંદર્ય જોયા પછી તેઓ એડિનબરો પરત ફર્યા. છેલ્લે પ્રવાસકથા પુરી કરતા લખે છે,
“સ્કોટલેન્ડમાં ૧૫૦ માઇલની પ્રદક્ષણા કરીને બીજીવાર એડિનબરોમાં હું આવી પહોંચ્યો. ત્યાં એક દાહાડો વિસામો લઈ બીજે દીને સાંજના રેલ્વેમાં બેઠો, ને ત્રીજે દાહાડે દસ વાગતામાં ૪૦૦ માઈલની મજલ કરી લંડનમાં આવી પહોંચ્યો આ પ્રમાણે વિલાયતના ગામોમાં આવવા જવાની મળીને આસરે ૧૦૦૦ માઈલની મુસાફરી કરી. વધારે વખત અને જોગવાઈ હોત તો વધારે ગામોમાં જવાની અને તેમાંનાં બીજા કારખાનાં અને ખેતરો જોવાની વધારે હોંસ હતી. ઈશ્વર કરશે તો એ હોંસ તથા યુરોપનાં બીજા દેશો જોવાની તથા અમેરિકા જવાની હોંસ કોઈ વખત પુરી પડશે.”
આ રીતે નવા પ્રવાસ માટે સંકલ્પબદ્ધ એવા કરસનદાસને પેરીસ, માલ્ટા, કેરો અને એડન થઈને ઇ સ ૧૮૬૩ના સપટેમ્બરની આખરે સ્વદેશ પહોંચાડીને હું લેખમાળાની સમાપ્ત કરતા સુજ્ઞ વાચક મિત્રોને હું જણાવી દઉં કે પુસ્તક પરિચય એ તો એક બહાનું હતું, ખરેખર તો મારે બહુ ઓછા ગુજરાતીઓ જેમને જાણે છે એવા માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર દેશના જ્યોતિર્ધર એવા કરસનદાસ મૂળજીનો આછેરો પરિચય આપવો હતો. અહીં લખાયેલા ચારેય પ્રકરણના આરંભે મૂકાયેલા અવતરણો વાંચવાથી કરસનદાસની વિચારસરણી, તેમની હિંમત અને સાહસ અને કાંઇક અંશે તેમના વ્યક્તિત્વનો ખ્યાલ આવી શકે છે. કરસનદાસ જો જર્મનીમાં હોત તો માર્ટિંન લ્યુથરના બરોબરિયા હોત. પણ કમનસીબે વ્યાપક સમાજના ગુજરાતીઓ અને ભારતીયોને તેમનાં નામ સુધ્ધાની જાણ નથી. ભારતમાં ઓગણીસમી સદીમાં પાખંડ અને અંધશ્રદ્ધા જેટલા પ્રમાણમાં હતા તેટલા પ્રમાણમા અને કદાચ સ્વરૂપ ભેદે વધુ પ્રમાણમાં આજે પણ છે. કરસનદાસને તે સમયની રાજસત્તાનો ટેકો હતો, આજે પરિસ્થિતિ વિપરીત છે. મતનું રાજકરણ તો સમાજસુધારકો અને પાખંડનો વિરોધ કરનારાની સામે છે પાખંડ અને અંધશ્રધ્ધાનો વિરોધ કરવો કેટલો દુષ્કર છે તે સમજવા માટે ગોવિંદ પાનસરે કલબુર્ગિ, દાભોલકર અને ગૌરી લંકેશના ઉદાહરણો આપણી સમક્ષ છે જ. આ સમયે લેખકો, છાપાના કોલમીસ્ટો, સોશિયલ મિડિયાના સહારો લઈને લખતા લેખકોની ફરજ બની રહે છે કે કરસનદાસે હિંમતભેર લડેલા મહારાજ લાયબલ કેસની વિગત અને કરસનદાસના સુધારા અંગેના તેમજ અંધશ્રદ્ધા વિરોધના વિચારોનો વ્યાપક સમાજમાં પ્રસાર કરે. માત્ર ઓગણચાલીસ વર્ષના આયખામાં ધર્મસત્તા અને એ વખતની પ્રબળ જ્ઞાતિસંસ્થા સામે હિંમતભેર ઝઝુમનાર એ વીર પુરૂષનાં જીવન અને વિચારોને આજના સંદર્ભમાં મૂકીને વધારે ને વધારે ફેલાવવા એ જ તેમનો સાચો ઋણસ્વીકાર છે.
[1] માસાહાર
(નોંધ::આ લેખમાળા મૂળ શ્રી કરસનદાસ મૂળજીએ ઇ સ ૧૮૬૬માં લખેલા અને ત્યાર બાદ ગુજરાત સાહિત્ય અકાદમીએ ઇ. સ. ૨૦૦૧ માં પ્રગટ કરેલા શ્રી ભોળાભઈ પટેલ અને ર.લ. રાવલ દ્વારા સંપાદિત પુસ્તક ‘ઇંગ્લેન્ડમાં પ્રવાસ’ના આધારે લખાયેલ છે જે હું પ્રથમ પ્રકરણમાં જ જણાવી ગયો છું. ૨૦૦૧માં ગુજરાત સાહિત્ય અકાદમીએ પ્રસિદ્ધ કરેલ આ પુસ્તક કરસનદાસે લખેલા મૂળ પુસ્તકનો શબ્દેશબ્દ જેમનો તેમ રાખીને લખાયેલ છે. બીજી મહત્વની વાત એ છે કે ૧૮૬૬માં આ પુસ્તકની કિંમત રૂપિયા ૧૨ એ સમયે ઘણી જ વધારે ગણાય. સામાન્ય પ્રજાને તો પરવડે જ કઈ રીતે? આથી જ આ પુસ્તકના આગોતરા ગ્રાહકો કરવામાં આવેલા. આવા ૧૫૬ ગ્રાહકો જેમાં તે વખતના મુંબઈના ગવર્નર સર બાર્ટલ ફિચર સહિત અનેક વ્યક્તિઓ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી અને કેટલાક પુસ્તકાલયોનો સમાવેશ થાય છે. આગોતરા ગ્રાહકોમાં ૬૪ જેટલા તો પારસી મિત્રો હતા જેમાનાં કેટલાકે કરસનદાસ સામે મહારાજ જદુનાથે કરેલા બદનક્ષીના કેસમાં કરસનદાસને સહાય કરી હતી વળી. સૌથી વધુ -૧૦૦-નકલ ખરીદનારા બે વ્યક્તિઓમાંથી એક પારસી જમશેદજી જીજીભાઈ બેરોનેટ અને બીજા શેઠ પ્રેમચંદ રાયચંદ હતા. મુંબઈ અને કચ્છ-કાઠિયાવાડ- ગુજરાત ઉપરાંત પંજાબ અને સિંધ-કરાંચીના તેમજ દરિયાપાર એડનના કેટલાક લોકો પણ આગોતરા ગ્રાહક બનેલા).
શ્રી કિશોરચંદ્ર ઠાકરનો સંપર્ક kishor_thaker@yahoo.in વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે. -
યે બચ્ચા કિસકા બચ્ચા હૈ
ભગવાન થાવરાણી
હીં આપેલી આ લાંબી ઉર્દૂ નઝમ વિખ્યાત ઉર્દૂ શાયર ઇબ્ને ઇંશા ( ૧૯૨૭ – ૧૯૭૮ ) ની જગપ્રસિદ્ધ રચના છે. સાથે એ રચનાનો એ જ બહરમાં છંદોબદ્ધ અનુવાદ પણ સામેલ છે.
એમણે આ રચના આજથી ૬૦ વર્ષ પહેલાં આફ્રિકન દેશ એરિટ્રિયામાં ભૂખે મરતાં બાળકોને જોઈને લખેલી. રચનામાંથી પસાર થઈએ ત્યારે લાગ્યા વિના રહે નહીં કે વિશ્વના યુદ્ધગ્રસ્ત વિસ્તારોમાં આજે પણ બાળકોની આ જ હાલત છે !ये बच्चा किसका बच्चा है____________________1.ये बच्चा कैसा बच्चा हैये बच्चा काला काला साये काला सा मटियाला साये बच्चा भूका भूका साये बच्चा सूखा सूखा साये बच्चा किस का बच्चा हैये बच्चा कैसा बच्चा हैजो रेत पे तन्हा बैठा हैना इस के पेट में रोटी हैना इस के तन पर कपड़ा हैना इस के सर पर टोपी हैना इस के पैर में जूता हैना इस के पास खिलौनों मेंकोई भालू है, कोई घोड़ा हैना इस का जी बहलाने कोकोई लोरी है, कोई झूला हैना इस की जेब में धेला हैना इस के हाथ में पैसा हैना इस के अम्मी अब्बू हैंना इस की आपा ख़ाला हैये सारे जग में तन्हा हैये बच्चा कैसा बच्चा है2ये सहरा कैसा सहरा हैना इस सहरा में बादल हैना इस सहरा में बरखा हैना इस सहरा में बाली हैना इस सहरा में ख़ोशा हैना इस सहरा में सब्ज़ा हैना इस सहरा में साया हैये सहरा भूक का सहरा हैये सहरा मौत का सहरा है3ये बच्चा कैसे बैठा हैये बच्चा कब से बैठा हैये बच्चा क्या कुछ पूछता हैये बच्चा क्या कुछ कहता हैये दुनिया कैसी दुनिया हैये दुनिया किस की दुनिया है4इस दुनिया के कुछ टुकड़ों मेंकहीं फूल खिले कहीं सब्ज़ा हैकहीं बादल घिर घिर आते हैंकहीं चश्मा है कहीं दरिया हैकहीं ऊँचे महल अटारीयाँ हैंकहीं महफ़िल है कहीं मेला हैकहीं कपड़ों के बाज़ार सजेये रेशम है ये दीबा हैकहीं ग़ल्ले के अम्बार लगेसब गेहूँ धान मुहय्या हैकहीं दौलत के संदूक़ भरेहाँ ताँबा सोना रूपा हैतुम जो माँगो सो हाज़िर हैतुम जो चाहो सो मिलता हैइस भूक के दुख की दुनिया मेंये कैसा सुख का सपना हैवो किस धरती के टुकड़े हैंये किस दुनिया का हिस्सा है5हम जिस आदम के बेटे हैंये उस आदम का बेटा हैये आदम एक ही आदम हैये गोरा है या काला हैये धरती एक ही धरती हैये दुनिया एक ही दुनिया हैसब इक दाता के बंदे हैंसब बंदों का इक दाता हैकुछ पूरब पच्छम फ़र्क़ नहींइस धरती पर हक़ सब का है6ये तन्हा बच्चा बे-चाराये बच्चा जो यहाँ बैठा हैइस बच्चे की कहीं भूक मिटे(क्या मुश्किल है हो सकता है)इस बच्चे को कहीं दूध मिले(हाँ दूध यहाँ बहतेरा है)इस बच्चे का कोई तन ढाँके(क्या कपड़ों का यहाँ तोड़ा है)इस बच्चे को कोई गोद में ले(इंसान जो अब तक ज़िंदा है)फिर देखे कैसा बच्चा हैये कितना प्यारा बच्चा है7इस जग में सब कुछ रब का हैजो रब का है वो सब का हैसब अपने हैं कोई ग़ैर नहींहर चीज़ में सब का साझा हैजो बढ़ता है जो उगता हैवो दाना है या मेवा हैजो कपड़ा है जो कम्बल हैजो चाँदी है जो सोना हैवो सारा है इस बच्चे काजो तेरा है जो मेरा हैये बच्चा किस का बच्चा हैये बच्चा सब का बच्चा है!– इब्न ए इंशा
આ બાળક કોનું બાળક છે———————————૧.આ બાળક કેવું બાળક છેઆ બાળક કાળું – કાળું શુંઆ કાળો મેલો ઘેલો શોઆ બાળક ભૂખ્યો તરસ્યો શોઆ બાળક સુક્કી ડાળી શોઆ બાળક કોનું બાળક છેઆ બાળક કેવું બાળક છેજે ધૂળમાં એકલું બેઠું છેના એના પેટમાં ભોજન છેના એના તન પર કપડાં છેના એના માથે ટોપી છેના એના પગમાં જોડા છેના એની પાસ રમકડાંમાંકોઈ રીંછ ન કોઈ ઘોડો છેના એનું મન રીઝવવાનેકોઈ હાલરડું કે ઝૂલો છેના એના ખિસ્સે કાવડિયાના એના હાથમાં રોકડ છેના એના મમ્મી પપ્પા છેના એની બહેન કે માસી છેએ જગ આખામાં અટૂલો છેઆ બાળક કેવું બાળક છે૨.આ રણ કેવું સુક્કું રણ છેના આ રણમાં કોઈ વાદળ છેના આ રણમાં કોઈ વર્ષા છેના આ રણમાં કોઈ ડાળી છેના અહીં કોઈ હરિયાળી છેના આ રણમાં કોઈ લીલપ છેના આ રણમાં કોઈ છાંયો છેઆ રણ જે છે ભૂખ્યું રણ છેઆ રણ જાણે મૃત્યુ – રણ છે૩.આ બાળક કેવું બેઠું છેઆ બાળક ક્યારનું બેઠું છેઆ બાળક શું કંઈ પૂછે છેઆ બાળક શું કંઈ બોલે છેઆ દુનિયા કેવી દુનિયા છેઆ દુનિયા કોની દુનિયા છે૪.આ જગના અમુક હિસ્સાઓમાંછે ફૂલ કશે, કશે લીલપ છેકશે મેઘ બહુ ઘેરાયા છેકશે ઝરણું ક્યાંક સમંદર છેકશે ઉન્નત મહેલ, અટારી છેકશે જલસો છે કશે મેળો છેકશે ભર્યા બજાર છે કપડાંનાઆ રેશમ છે, આ મખમલ છેક્યાંક ધાન્યના ઢગલે ઢગલા છેઘઉં, જુવાર, બાજરી, ચોખા છેક્યાંક ભર્યા પટારા દોલતનાતાંબું છે, સોનું – રૂપું છેજે માગો તે અહીં હાજર છેજે ઈચ્છો તે ઉપલબ્ધ અહીંઆ ભૂખના દુઃખની દુનિયામાંઆ કેવું સુખનું સપનું છેએ કઈ ધરતીના ટુકડા છેઆ કઈ દુનિયાના હિસ્સા છે૫.જે મનુષ્યની ઓલાદ છીએઆ એ જ મનુનો બેટો છેઆ મનુષ્ય એક જ મનુષ્ય છેઆ ગોરો છે કે કાળો છેઆ ધરતી એક જ ધરતી છેઆ દુનિયા એક જ દુનિયા છેસૌ એક દાતારના બંદા છેસૌ બંદાનો એક જ દાતાકોઈ ફરક ન પૂર્વ કે પશ્ચિમમાંઆ ધરતી પર સૌનો હક છે૬.આ એકલું બાળક બિચારુંઆ બાળક જે અહીં બેઠું છેઆ બાળકની જો ભૂખ મટે( એ શક્ય જ છે – ક્યાં મુશ્કેલ છે ! )આ બાળકને જો દૂધ મળે( હા, દૂધની તો અહીં નદીઓ છે ! )કોઈ આ બાળકનું કોઈ તન ઢાંકે( શું કપડાંનો અહીં તોટો છે ! )આ બાળકને કોઈ ખોળે લે( એ માણસ છે ને જીવે છે ! )ને જુઓ પછી આ બાળકનેએ કેવું વહાલું બાળક છે૭.આ જગમાં બધું છે ઈશ્વરનુંજે ઈશ્વરનું તે સહુનું છેસૌ સ્વજન – પરાયું કોઈ નથીહર ચીજમાં સૌનો હિસ્સો છેજે વૃદ્ધિ કરે, જે ઉગે છેએ દાણો હો યા મેવો હોજે કાપડ છે જે કંબલ છેજે ચાંદી છે જે સોનું છેએ બધુંય છે આ બાળકનુંજે તારું છે, જે મારું છેઆ બાળક કોનું બાળક છેઆ બાળક સૌનું બાળક છે !– ઈબ્ન એ ઇન્શા– ઉર્દૂ પરથી મૂળ રચનાના લયમાં ભાવાનુવાદ :
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – પિયરને આખરી વિદાય, પણ ગંતવ્ય ક્યાં?
સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે
બાની ચિરવિદાય‘ થી આગળ
દમુનો લગ્નોત્સવ પતી ગયો. મારા બનેવી પોલીસખાતામાં હતા. દેખાવમાં પણ સારા હતા. જાનૈયાઓની સાથે દમુ સાસરે જવા નીકળી અને મહામહેનતે ખાળી રાખેલાં મારાં અશ્રુઓનો બંધ ભાંગી પડયો. હું ઘણું રડી. દમુ સાસરે ગઈ અને બાની દીકરી લીલા હવે એકલી થઈ ગઈ.
જાળિયામાં મારી સ્થિતિ ઘણી કફોડી થઈ ગઈ. ગામની છોકરીઓ સુધ્ધાં હવે મને ખીજવવા લાગી. “મોટી રહી ગઈ અને નાની પરણી ગઈ.’ કામવાળી બાઈએ. પણ મારી વિરુદ્ધ ઘરમાં બધાના કાન ભંભેરવાની શરૂઆત કરી. માણસ ગમે એટલો સારો હોય તો પણ તેની વિરુદ્ધ થતી વાતોની પરાકાષ્ઠા થાય ત્યારે તેના મન પર અસર થયા વગર રહે નહિ. આવો જ પ્રકાર અમારા ઘરમાં થવા લાગ્યો. કામવાળીની સતામણી મારા માટે અસહ્ય થવા લાગી. થયું, ક્યાંક નાસી જઉં. પરંતુ બીજી ક્ષણે વિચાર આવતો, મારા લગ્ન નથી થતા તેથી જ આ બધું મારા પર વીતી રહ્યું છે. આવી સ્થિતિમાં આવું નામોશીભર્યું પગલું ભરવા કરતાં થોડુંઘણું ભણીને પોતાના પગ ૫૨ ઊભા રહેવું સારું. ઘણો વિચાર કર્યા બાદ મેં નક્કી કર્યું કે લગ્ન માટે આવેલાં મારાં નાની હજી જાળિયા હતાં, તો તેમની સાથે વડોદરા જઈશ, અને આગળ શિક્ષણ મેળવીશ.
મેં મારો વિચાર બાબા અને કાકી સમક્ષ રજૂ કર્યો. તેઓ મને પોતાનાથી દૂર મોકલવા તેયાર ન હતાં. અંતે નાનીએ તેમને કહ્યું, “તમે વિચાર કરો, આ ગામડાગામમાં લીલા બીજું કરશે પણ શું?’ ઘણા વિચારને અંતે તેમણે મંજૂરી આપી.
મારી નાની બહેન કમા – બાબાની સૌથી નાની દીકરી મારી સાથે એટલી બધી હળી ગઈ હતી કે અમને એકબીજા વગર ચાલતું ન હતું. તેને છોડીને જવાનું મને જરાય ગમ્યું નહિ, પણ શું કરું? માની શીતળ છત્રછાયા ગયા બાદ મારું મન ઘણું અસ્વસ્થ રહેવા લાગ્યું હતું. દમુનાં લગ્ન થઈ ગયાને એક મહિનો થયો હતો અને હવે મેં તથા નાનીએ સૌની રજા માગી.
નાની સાથે હું એકલી વડોદરા જવાની હતી તેથી બાબા અને કાકીને અત્યંત દુઃખ થયું. તેમણે જેટલા પ્રેમથી મારું પાલનપોષણ કર્યું હતું તેનું ત્કણ આ જન્મે તો શું આવતા ભવે પણ ઉતારી શકીશ નહિ. મારા શરીરની ચામડીનાં જૂતાં બનાવીને મારાં પ્રેમાળ બાબા અને કાકીના પગમાં પહેરાવીશ તો પણ તેમનું પૂરું ઋણ હું ઉતારી શકીશ નહિ. મારા મનમાં અત્યંત દુઃખ ઊપજ્યું, પણ શું કરું? આ નાનકડા ગામમાં રહીને કોઈ હુન્નર શીખવા મળતો હોત તો મારા બાબા અને કાકીને છોડીને બાઈજીમાસીને ત્યાં કદાપિ ગઈ જ ન હોત. પરંતુ જાળિયા સાવ નાનું ગામ હતું, અને ત્યાં અમને સ્ત્રીઓને પડદો પાળવો પડતો હતો, તેથી ત્યાં રહીને મારાથી કશું પણ થઈ શકે તેમ હતું નહિ. અંતે મારાં માતા-પિતા સમાન કાકા અને કાકીને છોડી હું નાની સાથે વડોદરા જવા નીકળી.
ક્રમશઃ
કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com -
ફિલસુફીભર્યાં ગીતો – ૩૨ – चलते हुए जीवन की रफ़्तार में इक लय है
નિરંજન મહેતા
૧૯૭૫ની ફિલ્મ ‘રફતાર’નું ગીત જોઈએ
संसार है इक नदिया दुःख-सुख दो किनारे हैं
न जाने कहाँ जाएं हम बहते धारे हैं
चलते हुए जीवन की रफ़्तार में इक लय हैइक राग में इक सुर में सँसार की हर शय है
इक तार पे गर्दिश में, ये चाँद सितारे हैं
धरती पे अम्बर की आँखों से बरसती है
इक रोज़ यही बूँदें फिर बादल बनती हैं
इस बनने बिगड़ने के दस्तूर में सारे हैंकोई भी किसी के लिए अपना न पराया है
रिस्श्ते के उजाले में हर आदमी साया है
कुदरत के भी देखो तो ये खेल पुराने हैं
है कौन वो दुनिया में न पाप किया जिसने
बिन उलझे काँटो से हैं फूल चुने किसने
बे-दाग नहीं कोई, यहाँ पापी सारे हैंઅભિલાષના શબ્દોને સંગીત આપ્યું છે સોનિક ઓમીએ. કલાકારો છે મદનપુરી અને મૌસમી ચેટરજી.
આપણે જીવનને એક સાગર સમાન માનીએ છીએ (ભવસાગર). પણ અહી કવિ તેને નદી સાથે સરખાવે છે કારણ સાગરને એક કિનારો છે જ્યારે નદીને બે કિનારા છે અને આપણા જીવનમાં પણ સુખ અને દુઃખ જેવા બે વિભાજનો જોવા મળે છે. વળી જેમ નદી વહેતી વહેતી ક્યા જાય છે તે આપણને કિનારે ઊભા રહીને જણાતું નથી તેમ આપણું જીવન પણ એક વહેતી ધારા છે અને તેની ધારા ક્યા જશે તે કોણ કહી શકે છે? કહ્યું છે ને કે કાલ કોણે દીઠી?
વહેતા જીવનમાં પણ એક લય છે. સંસાર ચાલે છે એક રાગ અને એક સુરરૂપી બે પૈડાઓ ઉપર. જેમ આકાશમાં ચંદ્ર અને તારા એક તારથી બંધાયેલા છે.
આકાશમાંથી વાદળ દ્વારા ધરતી પર વરસતું પાણી ફરી તે વાદળના રૂપમાં ફેરવાઈ જાય છે તેમ આપણે પણ બનાવવામાં અને બગાડવામાં વ્યસ્ત રહીએ છીએ કારણ કોઈને આપણું ગણીએ છીએ ન પરાયું.
ભલે સંબંધ હોય પણ હરેક વ્યક્તિની એક કાળી બાજુ હોય છે જે કુદરતની એક જૂની રમત છે. આગળ કવિ કહે છે કે દુનિયામાં કોણ એવું હશે જેણે કોઈ પાપ ન કર્યું હોય. કોણ એવું છે જેણે ફૂલ ચૂંટતી વખતે કાંટા અનુભવ્યા નથી?
બસ એ જ રીતે અહી કોઈ નિર્મળ નથી બધા જ એક યા બીજી રીતે પાપી છે.
આ સંદર્ભમાં લૈલા મજનૂની કથાનો એક પ્રસંગ યાદ આવે છે જેમાં મજનુને મારવા જતાં ગામલોકોને લૈલા કહે છે કે ફક્ત એ જ વ્યક્તિ પત્થરમારે જેણે કોઈ પાપ ન કર્યું હોય. આ સાંભળી દરેકના હાથમાંથી પત્થર નીચે ફેંકાઈ જાય છે કારણ કોઈ એવું નથી જેણે કોઈ પાપ ન કર્યું હોય.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
મોહમ્મદ રફી – રાગ ગારા પર આધારિત હિંદી ફિલ્મ ગીતો
સુબોધ ચંદ્ર અગ્રવાલ
સંકલિત અનુવાદ: અશોક વૈષ્ણવ
(શ્રી સુબોધ અગ્રવાલ ઈંડિયન રેવન્યુ સર્વિસમાં વિવિધ ઉચ્ચ હોદાઓ પર સેવાઓ આપ્યા બાદ નિવૃત થયા બાદ હવે ચંદીગઢમાં સ્થાયી થયા છે. સંગીત તેમનો શોખ છે અને શાસ્ત્રીય સંગીત વિશે તેઓ સારૂં જ્ઞાન ધરાવે છે. સોંગ્સ ઑવ યોર પર તેઓએ ચૌદ શાસ્ત્રીય રાગ પર આધારિત ફિલ્મી ગીતોની ખુબ માહિતીપ્રદ લેખમાળા, Songs based on classical ragas, પણ કરી છે.)
હિંદી ફિલ્મોનાં રાગ ગારા પર આધારિત મોહમ્મદ રફીનાં ગીતોનો આસ્વાદ કરતાં પહેલાં રાગ વિષે થોડી વાત કરીએ.તેમની સાઈટ સ્વરલતા.બ્લોગસ્પોટ.કોમ પર રાગ ગારાની બારીકીઓ સમજાવતાં દીપક રાજા કહે છે કે:
રાગ ગારા બહુ જાણીતો રાગ નથી. એ રાગ પર આધારિત જુદી જુદી રચનાઓ સાંભળ્યા પછી પણ જલદી ઓળખવો મુશ્કેલ પડતો હોય છે.
આમ થવાનું સીધું કારણ તો એ ક આ રાગનું સ્વતંત્ર અસ્તિત્વ હોવા છતાં પોતાનું આગવું સ્વર બંધારણ નથી. આ રાગમાં બીજા રાગોની જે મેળવણી છે તે પણ બે અલગ અલગ સ્વરૂપોમાં કરાતી હોય છે. સંગીતકારો આ રાગ પ્રસ્તુત કરતી વખતે આ સ્વયંસ્પષ્ટ નામથી પરિચિત એવી બે પૈકી કોઈ એક સ્વરૂપમાં જ રાગને પ્રસ્તુત કરે છે . T
ગારા લોકસંગીતની સુરાવલીઓ પરથી ઉતરી આવેલ રાગ છે. સંગીત ક્ષેત્રે તેનો પ્રવેશ કાફી, પીલુ, જંગુલા, બર્વા અને ઝીલા જેવા અન્ય સાગોનાં કુલની ઠુમરી થાટનાં સ્વરૂપે થયો. (મેન્યુઅલ, પીટર, Thumree in historical and stylistic perspectives, પહેલી આવૃતિ, ૧૯૮૯, મોતીલાલ બનારસીદાસ, દિલ્હી). ૧૮મી સદી પછી શાસ્ત્રીય સંગીતમાં પારંગત સંગીતકારોએ આ રાગોનાં વ્યાકરણને સુગઠિત કર્યું તે પહેલાં આ રાગોનાં બંધારણ મુક્ત, બિનઔપચારિક સુરાવલીઓના સ્વરૂપમાંજ રહયાં હતાં. આજે પણ હજુ આ રાગો શાસ્ત્રીય કે અર્ધાશાસ્ત્રીય સ્વરૂપમાં ખાસ રજુ નથી થતા. તેમની જે કંઈ રજુઆતો પ્રચલ્ત છે તે તેનાં વિભિન્ન સ્વરૂપોમાંજ જોવા મળે છે.
રાગ ગારા સૌથી વધુ જયજવંતીને મળતો કહી શકાય. જોકે કેટલાક લેખકોના મતે (બી સુબ્બારાવ, Raga Nidhi, ચોથી આવૃતિ, ૧૯૯૬, સંગીત અકાદમી, મદ્રાસ) ગારા ખમાજ, પીલુ અને ઝિંઝોટીનું સંમિશ્રણ છે. રાગ ગારા કાફી થાટનો રાગ છે.
રજુઆત દરમ્યાન પ્રયોગો કરવાની બહુ મતાદિત સંભાવનાઓ અને વાંકીચુંકી સ્વરપ્રયોગ શૈળિ આ આગની ખાસિયતો બની રહે છે. આ બન્ને ખાસિયતો આ રાગને જયજયવંતીના ઓછાયામાં ઢંકાઈ જતાં બચાવે પણ છે. જોકે તેની સ્વરપ્રયોગની ગુંથણીને કારણે પૂર્વાંગમાં પીલુ અને દેસી તેમ ઉત્તરાંગમાં આગ્રા ઘરાનાના બર્વા જોડે ગુંચવાઈ શકવાનાં જોખમ ની શકયતાઓ ખુલ્લી કરે છે. જોકે રાગ ગારાની સર્વાંગી ગુચવણ રાગ જયજયવંતિના દેશ તેમજ બાગેશ્રી અંગ સાથે થાય છે.
રાગ ગારા વિશે શાસ્ત્રીય સંગીતના જાણકારોમાં પણ જો આટલી બધી ગુંચવણ પ્રવર્તતી હોય તો આપણા જેવા સામાન્ય શ્રોતાએ ઓછું લાવવાની જરૂર નથી. આ તબક્કે આપણે તો એટલી જ નોંધ લઈએ કે સમજવામાં રાગ ગારા સરળ નથી અને જયજયવંતી, પીલુ કે ઝીઝોટી સાથે તેની ભેળસેળ થવી અસ્વાભાવિક નથી.
ચંદ્રકાંતા.કોમ પર શોધ કરતાં રાગ ગારા પર ગણીને સાત ફિલ્મી ગીતો મળે છે. જે પૈકી પાંચ મોહમ્મદ રફીનાં સોલો ગીતો છે, બે યુગલ ગીતો છે અને એક છે, સામાન્યપણે રાગ ગારાનું નામ પડે એટલે આ રાગ પર આધારિત સૌથી વધારે જાણીતું ગીત, મોહે પનઘટ પે નંદલાલ છેડ ગયો રે (મુગ઼લ એ આઝમ, ૧૯૬૦ – લતા મંગેશકર અને સાથીઓ – ગીતકાર: શકીલ બદાયુની – સંગીત:: નૌષાદ).
તે ઉપરાંત જોવા મળશે પંડિત દત્તાત્રેય વિષ્ણુ દિગંબર (ડીવી) પલુસકર દ્વારા સૌ પ્રથમ વાર અર્ધશાસ્ત્રીય સ્વરૂપમાં, કહેરવા તાલમાં રજુ થયેલ ભજન, રઘુપતિ રાઘવ રાજારામ.
અન્ય સંગીતકારો પણ પોતપોતાની શેલીમાં આ રચના પ્રસ્તુત કરી છે:
ઉસ્તાદ બિસમિલ્લાહ ખાનની શરણાઈ પરની મંત્રમુગ્ધ કરતી રજુઆત
ઉસ્તાદ વિલાયત ખાનની સિતાર પર રાગ ગારાની રજૂઆત
એમ એસ સુબ્બુલક્ષ્મીએ પણ આ રચનાને તેનાં દૈવી સ્વરૂપમાં રજુ કરી છે.
મહેંદી હસને પણ રાગ ગારા પર મીર તકી મીરની રચના પત્તા પત્તા બુતા બુતા હાલ હમારા જાને હૈ રજુ કરી છે.
વિવિધ સ્વરૂપોમાં રજુ થયેલ આ રચનાઓથી રાગ ગારાનો પ્રાથમિક પરિચય કર્યા બાદ મોહમ્મદ રફીના સ્વરમાં થયેલા પ્રયોગોના મૂળ વિષય પર આવીએ.
મોહમ્મદ રફીના સ્વરમાં ગવાયેલ પાંચ સોલો અને બે યુગલ ગીતો સાભળતાં ધ્યાન પર આવશે કે આ ગીતોમાં મુળ પાત્ર તેનાં મિત્ર, પ્રેમી કે ખુદની પાસે પોતાનાં દિલની લાગણીઓને આત્મનિરીક્ષણના મનોભાવમાં રજુ કરે છે. એક જ ભાવનાં ગીતને રફી પોતાની આગવી ગાયન શૈલીના અનોખા અંદાજમાં રજુ કરવામાં તો મોહમ્મદ રફી કેટલા બેમિસાલ હતા તેનો પણ સહજ અંદાજ આ ગીતોને સાંભળતાં આવી રહે છે.
તો ચાલો શરૂ કરીએ મોહમ્મદ રફીના સ્વરમાં રાગ ગારાની હૃદયનાં ઊંડાણના તાગ લેતી આ સંમોહક યાત્રા …..
કભી ખુદ પે કભી હાલાત પે રોના આયા બાત નીકલી તો હરેક બાત પે રોના આયા – હમ દોનો (૧૯૬૧) – ગીતકારઃ સાહિર લુધિયાનવી – સંગીતઃ જયદેવ – તાલઃ દાદરા
દીવાના કહ કે આજ મુજ઼ે ફિર પુકારીએ – મુલ્ઝિમ (૧૯૬૩) – ગીતકારઃ શકીલ બદાયુની – સંગીતઃ રવિ – તાલઃ દાદરા
તેરે મેરે સપને અબ એક રંગ હૈ જહાં ભી જાએં હમ સંગ સંગ હૈ – ગાઈડ (૧૯૬૫) – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ એસ ડી બર્મન – તાલઃ દાદરા
ઐસે તો ન દેખો કે હમકો નશા હો જાએ – તીન દેવીયાં (૧૯૬૫) – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીત એસ ડી બર્મન – તાલઃ દાદરા
ઉનકે ખયાલ આયે તો આ કે ચલે ગયે – લાલ પત્થર (૧૯૭૧) – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ શંકર જયકિશન – તાલઃ કહેરવા
હમસફર સાથ અપના છોડ ચલે રિશ્તે નાતે વો સારે તોડ ચલે – આખરી દાવ (૧૯૫૮) – આશા ભોસલે સાથે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ મદન મોહન – તાલઃ દાદરા
જીવનમેં પિયા તોરા સાથ રહે હાથોમેં તેરે મેરા હાથ રહે – ગુજ ઊઠી શહનાઈ (૧૯૫૯) – ગીતકારઃ ભરત વ્યાસ – સંગીતઃ વસંત દેસાઈ – તાલઃ કહેરવા
સોંગ્સ ઑવ યોર પર શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલના લેખ, Classical Songs of Mohammad Rafi, With Some Thoughts on Gar,a નો આંશિક અનુવાદ
શ્રી સુબોધ ચંદ્ર અગ્રવાલનો સંપર્ક subowal@gmail.com વિજાણુ સરનામે કરી શકાય છે.
-
ફિલ્મી ગઝલો – ૯૧. નીલકંઠ તિવારી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
ગીતકાર નીલકંઠ તિવારી ગીત લેખક ઉપરાંત અભિનેતા, ગાયક, લેખક અને વિવેચક પણ હતા. ૪૦ અને ૫૦ ના દાયકામાં વિશેષ સક્રિય રહેલા નીલકંઠ તિવારીની એક ઓળખાણ એ કે ગાયક કિશોર કુમારે યોડેલિંગનો પ્રથમ પ્રયોગ એમણે લખેલા ફિલ્મ ‘ અધિકાર ‘ (૧૯૫૪ ) ના ગીત ‘ તિકડમબાઝી મિયાં રાઝી ‘ દ્વારા કરેલો. ( સંગીત અવિનાશ વ્યાસ ). એમણે લખેલાં ‘ ચુપકે ચુપકે જબ સે હુઆ પ્યાર ‘ ( માયા મછિન્દ્ર ૧૯૫૧ ) અને ‘ દિલ કો લગેલા મુહોબત કા ચસકા ‘ ( પુલિસ ૧૯૫૮ ) પણ ખાસ્સા લોકપ્રિય થયેલા. એમણે જે સંગીતકારો સાથે કામ કર્યું એમાં પ્રેમ નાથ ( અભિનેતા નહીં ! ), હેમંત કુમાર, અશોક ઘોષ અને શાંતિ કુમારના નામ ગણાવી શકાય. લાલાજી, અમાનત, વીર કુણાલ, કમલા, ખાનદાની, જલસા, કિનારા, દિલરૂબા, રામ જન્મ, રામ બાણ, ઇન્દ્રાસન, ભાગ્યવાન, રામાયણ, પોલીસ અને હમીર હઠ જેવી ફિલ્મોમાં એમણે સોથી વધુ ગીત લખ્યાં.
તેઓ ૧૯૭૬ માં અવસાન પામ્યા.
એમની લખેલી એકમાત્ર ગઝલ આ રહી :
વાદા વફા કા કર કે કિસીને ભુલા દિયા
દિલ ના મિલાયા ખાક મેં દિલ કો મિલા દિયાકશ્તી મેરી ડુબો કે કિનારે પે જા લગે
બરબાદ કરને કે લિયે હી આસરા દિયાદિલ કી લગી હુઈ ન કભી આગ કમ હુઈ
રો રો કે મૈંને આંખ સે દરિયા બહા દિયાબાદે સબા તૂ જા કે ઝરા ઉનસે ઇતના પૂછ
મેરી મુહોબતો કા મુજે યે સિલા દિયા..– ફિલ્મ : કમલા ૧૯૪૬
– અમીરબાઈ કર્ણાટકી
– જ્ઞાન દત્ત
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ગાંડો બાવળ કાઢીએ – ઉપયોગી વૃક્ષો વાવીએ
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
મૂળે તો આપણે એને વસવાટ કરાવ્યો હતો ખારી જમીનની સુધારણા માટે. ખારી જમીનમાંથી ખારાશ ઓછી કરવાના ઘણા પ્રયોગો માંહ્યલો ગાંડા બાવળના વાવેતરનો પ્ણ એક પ્રયોગ જ હતો. જ્યાં બીજા પાકો કે વૂક્ષો [ખારાશ સહન ન થવાથી ] નથી થઈ શકતા તે ખારી જમીનમાં ગાંડા બાવળ ઊછરી શકે છે. ધીરે ધીરે કરતાં ખૂબ સારી રીતે વકરી પણ શકે છે. પાંચ સાત વર્ષ ઉભો રહેવા દઈ તેને કાઢી નાખવામાં આવે તો તે જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટી ગયેલું હોય છે. અને તેમાં ખેતીના બીજા કેટલાક ખાસ પ્રકારના પાકો અને વૃક્ષો ઉછરવા લાગી જાય છે. એટલે ખારી જમીનમાં બીજા પાકોનો પ્રવેશ કરાવવા, આગળ આગળ લાઇન ક્લીયર કરાવવા આમંત્રણ આપેલું.

અને એવું જ બીજું કારણ કચ્છના રણને આગળ વધતું અટકાવવા – રક્ષણ કરવાનું કામ ગાંડા બાવળને વાવીને શરૂ કરેલું. પણ પછી તો એ બાવળની વૃદ્ધિ અને વિકાસે આપણી આંખો આંજી દીધી. તેને આપણે મહેમાન મટાડી ગ્રીનકાર્ડ જ ધરી દીધું ! તેમાં એનો ક્યાં દોષ જ છે ?
બધાં દર્દમાં એક જ દવા ! : શેઢે પાળે બહુ ઝડપથી વાડ કરવા ક્યુ વૃક્ષ પસંદ કરવું ? તો કહે કરો ગાંડો બાવળ ! ઊછેરી દ્યો એને શેઢે. સડકના કાંઠે.! બિયાં વાવો ફોરેસ્ટની નર્સરીમાં અને કરો રોપડા તૈયાર ! વરસાદ થયા ભેળા રોપી દ્યો સુવાળા વૃક્ષોનાં ખામણાની ફરતી ધારે આ ગાંડા બાવળના રોપડા ! વાડી માહ્યલા ફળઝાડોને પવન બહુ લાગે છે ? તો પવનની ગતિ મારી નાખે અને જલ્દી જલ્દી તૈયાર થાય તેવું વૃક્ષ ક્યુ ? તો કહે ગાંડો બાવળ ! લગાડી દ્યો વાડ્યે અને બનાવી દ્યો વિંડબ્રેક ! અને માળો ગાંડો બાવળ પણ એવો જ ગાંડિયો ! વધવામાંયે એવો જબરો કે ન પૂછો વાત ! બે ત્રણ વરસમાં તો એનો અડાબીડ વિકાસ. નાની એવી દાતણ જેવી સોટીને જો થડિયેથી કાપી ? તો જોઇ લ્યો એની મજા ! એને ખીજવ્યો એટલે વાત ગઈ, ઇંટનો જવાબ પથ્થરથી ! બમણા ને ત્રમણા જોરથી એકની જગ્યાએ નીકળે ત્રણ-ચાર પીલા ! રાજાના કુંવરની જેમ જોત જોતામાં પહોંચી જાય ક્યાંયના ક્યાંય ! અને એનો કાંટો પણ કેવો ખબર છે ને ? તીરખી સાથે દેશી બાવળની જેમ “વેલ્ડિંગ” થી લગાડેલ નહીં, પણ “મોલ્ડિંગ” કરી તીરખીની ભેળો જ બનાવેલો તારની ચૂંક જ જોઇ લ્યો ! તૂટવા-બૂટવાનું નામ લે એ બીજા ! જે ખારી જમીન પચાવી જાણે, તે મીઠી જમીનમાં શું કામ મોળો રહે? જમીનમાંથી પાણી પીવા ન મળે તો કંઇ વાંધો નહીં, હવામાંથીજ ભેજ પી લેતા આવડે બોલો !
ખેતર વાડીના શેઢે, સડકોની બાઉંડ્રી પર, તલાવડીની પાળે, ગામના ગોંદરે, વાડીની વાડ્યે, ગોચરની રાંગે, જ્યાં જગ્યા ભાળી ત્યાં આપણે મહેનત લઈને લગાડ્યા એને. પછી તો તેની પરડા-શીંગો ખાધી બધાં ગોચરમાં ભમતાં પશુઓએ. કઠ્ઠણ બિયાંને હોજરીની ગરમીમાં રાખી જલ્દી ઊગે એવું નરમ બનાવી દીધું. અરે ! વધારાની સગવડો તો એવી થઈ કે બધાં જ બિયાં પેટમાંથી બહાર નીકળ્યાં ફરતું છાણ-લીંડીનું આવરણ કરીને-ખાતરનું જ કવર પહેરીને ! ભેજ મળ્યા ભેળું માંડે ઊગવા ને વિકસવા. આડે વગડે આપમેળે જ વિસ્તરણ કામ આરંભાયું. એને તો ભાવતું હતું ને વૈદે કીધું ! “ખારી” ને બદલે “મીઠી” મળવા માંડી ! ખાડા-ટેકરા કે ઊંચાણ-નીચાણનો એને ક્યાં વાંધો હતો જ ! એને મન તો સબભૂમિ ગોપાલકી. સમય જતાં આજે હવે કોઇ જગ્યા બાકી નથી કે જ્યાં ગાંડો બાવળ હાજર ન હોય ! અરે, જો ધ્યાન ન રહે તો વાવેતરવાળી વાડીમાંયે કબજો જમાવી દે એવી છે એની દાદાગીરી !
જો કે તે છે ત્રેવડવાળો, તેમાં ના તો ન જ કહી શકાયને ? બીજાં વૃક્ષોની સરખામણીમાં જે કંઇ જમીન,પાણી, હવામાન મળે છે, તેમાંથી બધું પચાવી લઈ, બીજાથી સવાયો-દોઢો પોતાના દેહનો વિકાસ કરી જાણે છે. એટલે જ “બળિયાના બે ભાગ” કહેવત જેમ આજુબાજુમાંથી લોંટાઝોંટી કરી લે છે, એટલે બાજુવાળા દૂબળા રહે તે પણ સ્વાભાવિક જ છે ને ! ગાંડો બાવળ પણ છે તો વનસ્પતિનો જ જીવ, પણ બીજી વનસ્પતિઓ કરતા ચડિયાતી એક કળા એવી એ જાણે છે કે બીજા ન મેળવી રહે તે પહેલાં એ ઝડપથી મેળવી જાય છે. એટલે બીજાથી ઊંચેરો દેખાઇ શકે છે.
જંગલમાં ફરતાં પશુ-પ્રાણીઓને તેનાં હરિયાળાં પાંદડાં તથા સ્વાદિષ્ટ શીંગોથી કાયમ નીરણ-ખાણમાં ટેકો પૂર્યો છે. જમીનને સૂકા પાંદડાંનાં પાલાનું ખાતર સમર્પિત કરી, વૃક્ષ તરીકેના પર્યાવરણીય લાભો જેવાકે પાણી જમીનમાં પચાવવું અને જમીન ધોવાણ અટકાવવા જેવા તો મળે જ છે. ઉપરાંત માણસ માટે કોલસા અને લાકડા-ઇંધણરૂપે ખૂબ પૂરાં પાડ્યાં છે.
તો હવે શું ? : પણ આજે હવે આપણા ખ્યાલમાં આવ્યું છે કે જો પાછા નહીં વળીએ, કંઇક ફેર નહીં વિચારીએ તો આ ગાંડા બાવળ એટલી માઝા મૂકતા જાય છે કે બીજાં વૃક્ષોને દબાવી દબાવી ક્યારે નેવકા નષ્ટ કરી દેશે એની આપણનેય ખબર નહીં રહે ! અને જ્યાં બીજા પાકોની અને વૃક્ષોની ખેતી સારી રીતે થાય છે ત્યાં પણ તે કબજો જમાવી લેનારા એ માતેલ સાંઢને મનફાવે તેમ બધે જ રખડવાનું બંધ કરવા નાથવો પડશે અને જ્યાં બીજા વૃક્ષો કે ખેતીપાકો નથી થતાં ત્યાં ખારી, નબળી અને આછી-પાતળી ભોંયમાં પાછો ધકેલવો પડશે.
સરકારશ્રીના ધ્યાન પર મોડી મોડી પણ આ વાત આવી છે, અને અત્યાર સુધી તેના રોપા ઉછેરી ફોરેસ્ટ ખાતા દ્વારા એના વાવેતર કરવાના બજેટ બનતાં હતાં ત્યાં હવે તેને જડમૂળથી ઉખેડવાના પૈસા મંજૂર કરવામાં આવે છે. જો ગાંડા બાવળ કાઢવા જ હોય તો તેને સ્થાને કોઇ બીજા વૃક્ષોને આમંત્રણ દેવું જોઇશે ને ? કાર્યક્રમ ક્યાંક ધરતીને વૃક્ષ વિહોણી કરવાનો ન થઈ જાય તે પણ ધ્યાનમાં રાખવું જોઇશેને ? ગાંડો બાવળ જે સારી અને મીઠી જમીનમાં પગ પેસારો કરી ગયો છે ત્યાંથી ઓછો કરીએ, કોઇ કોઇ જગ્યાએથી નેવકો પણ કાઢીએ, પણ ડાહ્યા વૃક્ષો ઉછેરવાનું ન ભૂલીએ-તે પણ સાથોસાથ વિચારવું જોઇશે મિત્રો !
ડાહ્યા વૃક્ષો કોને કહેવા ? વગડે વાવવાનાં કેવા વૃક્ષો પસંદ કરવાં ?
બળતણ, ઘરવપરાશી લાકડકૂકડ, ચારો અને કંઇક અંશે ફળો કે પછી ઔષધીય ઉપયોગ આપી જાણે અને છતાં બધી જાતની વિષમ પરિસ્થિતિમાં ઊછરી જાણે એવાં વૃક્ષોનો આપણી પાસે તોટો નથી. એવી ત્રેવડવાળાં વૃક્ષો આપણા પર્યાવરણમાં આ રહ્યાં.
લીમડો : સારી, નરસી, ઉબડખાબડ, સાવ નબળી કે ગોરમટિયાળ જમીનમાં પણ લીમડો થઈ જાણે. તે સૌરાષ્ટ્રના પર્યાવરણમાં બડકંદાજ વૃક્ષ સાબિત થયું છે. તેનાં ફૂલ, છાલ, ગુંદર અને પાનનો માનવ આરોગ્યમાં મહત્વનો ઉપયોગ હોવા ઉપરાંત ફળ અને પાંદડાંનો ખેતીપાકોને જીવાતોથી રક્ષણ બક્ષવામાં બહુનામી ઉપયોગ સિદ્ધ થયો છે. લીમડાનાં લીલાં પાન દુષ્કાળમાં તો ઉત્તમ પણ કાયમ ખાતે એકાદી નીરણની ટેવ ઢોરને પાડી હોય તો પ્રેમથી ખાય છે. વાતાવરણ ચોખ્ખું રાખવું કે એવા બીજા ઘણા બધા હેતુ પોતે વૃક્ષ હોઇ, વૃક્ષ તરીકેના બધા લાભો આપી જાણે છે. કોઇપણ જગ્યાએ લીમડાનું વાવેતર આશિર્વાદરૂપ સાબિત થશે.
સુબાબુલ : “સુબાબુલ” જેવું સોહામણું નામ નહોતું મળ્યું ત્યારે સૌ આ વૃક્ષને ‘પરદેશી આવળ’ કહેતા. બહુજ ચીડવું અને નકટું વૃક્ષ છે આ. એક વખત થોડા છોડ ઊછરી ગયા, એટલે નાની ઉંમરમાં જ ઢગલાબંધ બીજ પેદા કરી ગમેતેવી વિકટ પરિસ્થિતિમાં પણ તેનો ફેલાવો કર્યે છૂટકો કરે ! વાડી-વગડામાં જો એક વૃક્ષ દાખલ થઈ ગયું, તો કોઇની દેન નથી કે તેને આગળની વસ્તી વધારતાં રોકી શકે. તેનાં પાન માલઢોર ખૂબ ખાય. જો વ્યવસ્થિત વાવેતર કરી વાઢ્યા કરીએ તો રજકાની ઝડપે વધે. રજકાથી પણ સ્વાદે સારું. પાંદડાં તો ખાય, પણ મોટા ઝાડને ઢગલાબંધ આવતી શીંગો તો ખૂબ જ ખાય. લાકડું સીધું થતું હોવાથી ખેડૂતોના ખેતી વપરાશ કામના હાથા, સાંતીના સાંબડા, છાપરા-માળણની વળી-ગેપટા, વાવાઝોડામાં પડી ગયેલ જાડું થડિયું હોય, એને બેંસે જઈ વેરાવો તો હળદરવાના રંગે ડેલાનાં પાટિયાં-વેણીધોકા પોલિશદાર બને ! દ્વિદળ વર્ગનું હોવાથી મૂળમાં હવામાંથી નાઇટ્રોજન ચૂસનારા બેક્ટેરિયાનો વાસ. પોતે જ પોતાને જરૂરી ખાતર હવામાંથી મેળવી લે તેવી સ્વયંભૂ તાકાતવાળું વૃક્ષ છે. રોડકાંઠે ઉત્તમ રીતે નીચાહામાં થઈ શકે તેવું ઝાડ છે આ.
બોરડી : સાવ ચણી બોરડી કરતાં ગોળ પારાબોર કે ઉમરાન જેવા કલમી બોર આપમેળે ઊગી નીકળેલી દેશી બોરડીના થડ ઉપર લગાડી દેવાથી ક્રાંતિકારી પરિણામ મળે છે. ઝાળું આખું શોષાઇને ઝાડ બની જાય છે. બોર મળે, બળતણ મળે અને પાંદડાં સીધાં ઊંટ-બકરાં-હરણાં તો ખાય પણ ખેરેવી ખેરવીને માલઢોરને ખવરાવવામાં આવે તો તેને પણ ચારો મળે તે વધારામાં. ગમે ત્યાં, ગમે તે ધરતીમાં વગર પાણીએ જ થાય. બહુ ઉપયોગી અને વિસ્તારનું જ ગણાય તેવું પોતીકું ઝાડ છે.
ગ્લીરીસિડિયા : આ પણ સુબાબુલથી થોડા મોટા કદનાં પાન ધરાવતું ઝાડ છે, અને આના પાંદ પણ ઢોર હોંશે હોંશે ખાય છે. પાન લે લે કરીએ તો નાનું રહે છે, નહીં તો છાંયો અને લાકડું આપે તેવું મોટું મસ ઝાડ થઈ જાય છે. મધ્યમ જમીનમાં સહેલાઈથી થઈ શકે તેવું ખડતલ હોવાથી થોડા નીચાહા-વહેણકાના કાંઠે-ખાળિયામાં લગાડવા જેવું ઝાડ છે. કઠોળવર્ગના પાકોની જેમ તેનાં પાંદડાંનો લીલો પડવાશ પણ થઈ શકશે.
ખીજડા-હરમા ; લાકડું બહુ મજબૂત નહીં પણ વધે બહુ ઝડપથી. વળી ગમે ત્યાં થાય. બાજુની મોલાતો કે ઝાડને નડતરરૂપ થવાનો એનો સ્વભાવ જ નહીં. આપમેળે જ ઊગી નીકળે, એની જો રોપણી કરી હોય તોતો ઓર મજા આવી જાય ! પાંદ ચારામાં હાલે, શીંગો – “સાંગરા” ઢોર-બકરાં તો ખાય પણ માણસોયે ખાય. છાંયો સરસ, પાણીની જરૂર જ નહીં. કુદરત સાથે પૂરા તાલમેળવાળું વૃક્ષ.
ખાટી-મીઠી આમલી : ખાટી આમલી કાંટા વિનાનું અને ઘણા વરસો સુધી જીવતું, પણ પ્રમાણમાં મધ્યમ પ્રકારની જમીનમાં થતું ઝાડ છે. તેના ફળ-કાતરા તો ઉત્તમ કમાણી કરી આપે છે. વધવામાં ધીમી પણ એકવાર ઊછરી ગઈ એટલે પછી જિંદગીભરનું સાટું ! છાંયો અને લાકડું ખૂબ સારાં આપે. લગાડ્યા જેવું ઝાડ છે. મીઠી આમલી [ગોરસ આમલી] પણ શેઢા, વાડ અને પાળા વગેરે પર થતું ઝાડ છે.ફળ પંખીઓ અને માણસો બધાંને ભાવે છે. કાંટા ભલે રહ્યા છતાં પાન,કૂણી ડાળીઓ પશુઓ ખૂબ ખાય છે
કેરડા : વાડમાં ઉપયોગી એવું ક્ષુપ ટાઇપનું અને કાયમ લીલું રહેતું રૂપાળું ઝાળું છે. પંખીઓ તો ખાય, ઘેટાં-બકરાંયે ખાય અને માણસો પણ અથાણાં કરી હોંશે હોંશે ખાય તેવા‘કેરડાં’-ફળ આપે.આડે વગડે, વિના પાણીએ, નહીં માવજતે જ્યાં-ત્યાં થતું ઝાડ છે
રતનજ્યોત : નેપાળાના નામથી ઓળખાતા ક્ષુપની સુધારેલી જાત એટલે રતનજ્યોત. સાવ નબળી અને ઉબડખાબડ તો શું પણ વાડીની વાડ્યમાંયે ઊછરવાનો એને વાંધો નથી. બિલકુલ ઓછા પાણીથી થાય. ન બકરું ખાય કે ન રોઝ રંજાડે ! વળી ફળો લાગે તે રાષ્ટ્રીય ઇંધણ એવા ડીઝલની અવેજી પૂરે તેવું તેલ પૂતું પાડે. સરકારશ્રીએ પણ સડકની બન્ને બાજુથી ગાંડા બાવળને વળાવી રતનજ્યોતને આવકારવાના કાર્યક્રમો આદરવા જોઇએ.
ઉપરાંત ગુંદા, કરમદાં, ખાખરો, ઇંગોરિયો, વિકળો, આંકડો, ફૂલે-રૂપાળા ગરમાળો, બુલમહોર, સોનમહોર, શીરીષ જેવા જંગલનાં ઝાડ જો એકવાર ધરતીને વળગી ગયાં તો બેડો પાર ! આવાં વૃક્ષોને યાદ કરીને ગાંડા બાવળની જગ્યાનો ચાર્જ સોંપીએ અને ધરતીને વૃક્ષ આચ્છાદિત હરિયાળી રાખવાના પ્રયત્નો કરીએ.
હવે તો સૌરાષ્ટ્રમાં પાણી રોકવાનાં જે જે કામો થયાં છે, ત્યાં બધે જ ચેકડેમ-તલાવડી અને આડબંધોની પાળીની બાજુમાં આવાં ચુનંદા, ખડતલ વૃક્ષો જતનથી ઊગાડવાનું અભિયાન ઉપાડીએ તો સોનામાં સુગંધ ભળે તેવું આપને નથી લાગતું ?
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
