-
પાછા ફરવું એ નિવૃત્તિ નથી
મંજૂષા
વીનેશ અંતાણી
રોહિત શર્મા અને વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો ત્યારથી ક્રિકેટજગતમાં શૂન્યાવકાશ છવાઈ ગયો છે. એમણે અચાનક અને કેટલાકના મતે થોડી વહેલી નિવૃત્તિ શા માટે લીધી એની ચર્ચા ચાલતી રહેવાની છે. અન્ય ક્ષેત્રોના પ્રતિભાશાળી લોકો પણ ક્ષેત્રસંન્યાસ લે ત્યારે આ જ પ્રકારનું આશ્ચર્ય થાય છે.
પોતાના કામમાં આનંદ આવતો હોય, જાત અને અન્ય લોકો માટે નવા માપદંડ ઊભા કર્યા હોય, તેઓ પોતે પણ એ માપદંડથી આગળ જવા કટિબદ્ધ હોય, છતાં એક સમયે એમને લાગે છે કે અટકવું પડશે. ધ્યેયપ્રાપ્તિ માટે દિવસ-રાત જોયા વિના વર્ષો સુધી કઠોર પરિશ્રમ કરતા લોકો પોતાને કે પરિવારના સભ્યોને પૂરતો સમય આપી શકતા નથી. એક તબક્કે એમને સમજાય છે કે જીવનમાં આનંદ માણવા માટે અન્ય માર્ગો પણ છે અને એ વિકલ્પોને એમણે અવગણ્યા છે. એ બધું સંચિત થતું થતું માનસિક દ્વંદ્વની પરાકાષ્ઠાએ પહોંચે છે, શરીર અને મન હિસાબ માગવા લાગે છે ત્યારે એમણે ખુદને ‘રુક જાઓ’ જેવો આદેશ આપવો અનિવાર્ય બની જાય છે.

અમેરિકાના મહાન તરવૈયા માઇકલ ફેલ્પ્સે ઓલિમ્પિકના ઈતિહાસમાં સ્વિમિંગની સ્પર્ધામાં અઠાવીસ સુવર્ણચંદ્રકો સહિત સૌથી વધારે ચંદ્રકો જીતવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે. એની આ સિદ્ધિ વર્ષોની કઠોર સાધનાનું પરિણામ છે. એ વર્ષોમાં એ પોતાના શરીર અને મન, પરિવાર કે અન્ય કોઈ બાબત પર ધ્યાન આપી શક્યા નહોતા. માણસ માત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા જ જન્મતો નથી. ક્યારેક સફળતાનો આનંદ પણ કોરવા લાગે છે. એના કામમાં એકનિષ્ઠ માઇકલે એક દિવસ પોતાનું મન ખોલ્યું હતું: ‘મારી સમગ્ર કારકિર્દીમાં મારા શરીરની સંભાળ લેનાર ઘણા લોકોની ટીમ હતી, પરંતુ મારા મનની સંભાળ લેનાર કોઈ નહોતું.’ એ ઘણીવાર હતાશા અને ડિપ્રેશનમાં સરી પડ્યો હતો. કલ્પના પણ ન આવે કે એને આપઘાત કરવા સુધીના નકારાત્મક વિચારો પણ આવ્યા હતા. આ સ્થિતિ વધારે કપરી થવા લાગી ત્યારે એણે શરીરની સાથે માનસિક સ્વસ્થતાની સંભાળ લેવાનું શરૂ કર્યું. માઇકલે કહ્યું છે: ‘તમે ઉચ્ચતમ શિખરો સર કરી લીધાં હોય ત્યારે સવાલ થાય કે હું આ શું કરી રહ્યો છું? કોના ભોગે આ બધું હાંસલ કર માગું છું? હું કોણ છું?’ હું કોણ છું અને શા માટે છું એવા સવાલ જાગવા માંડે એ ઘડી કોઈ પણ વ્યક્તિના જીવનમાં નિર્ણાયક બને છે. માઇકલને પણ સમજાયું કે એ પોતાને અને એની સાથે જોડાયેલા લોકોને અન્યાય કરી રહ્યો છે. ‘એથી મને થયું, મારે આ બધું છોડી દેવાનો સમય આવી ગયો છે અને મેં મારા જીવનમાં બીજા માર્ગે આગળ વધવાનો નિર્ણય લીધો. એ નિર્ણય લીધા પછી મને લાગ્યું કે હું મને અને મારી આસપાસના લોકોને પ્રેમ કરી શકું છું. અત્યાર સુધી હું મને કોઈ માનવની જેમ નહીં, એક તરવૈયા તરીકે જ જોતો હોતો.’ માઇકલની સારવાર કરનાર સાઇકોથેરપિસ્ટ એરિકા વિકેટે કહ્યું હતું: ‘બ્રેકિંગ પોઇન્ટ પર પહોંચેલા લોકોને ક્યારેક લાગે છે કે તેઓ અત્યાર સુધી કરતા હતા એનો હવે કોઈ અર્થ રહ્યો નથી, એમને જીવનમાં ફરીથી નવો અર્થ અને આનંદ મેળવવાની ઇચ્છા તીવ્ર બનવા લાગે છે.’
ધ્યેયસિદ્ધિ ઘણું માગી લે છે. પોતાના ક્ષેત્રમાં ચોક્કસ ધ્યેય સાથે નિષ્ઠાપૂર્વક આગળ વધતી વ્યક્તિને એના ભાગે આવેલું કાર્ય કરવામાં અપૂર્વ આનંદ મળે છે. બધા લોકોમાં એવી નિષ્ઠા નથી હોતી કે એવા સંજોગો પણ નથી હોતા. મોટા ભાગના લોકો ચોક્કસ હેતુ વિના ફક્ત આર્થિક ઉપાર્જન માટે કામ કરે છે. એ ખોટું પણ નથી. દરેક લોકોના જીવનમાં ઉચ્ચ સફળતા મેળવવાના યોગ હોતા નથી, છતાં તેઓ આનંદથી જીવે છે. પોતાનું કામ કરવામાં આનંદ તો આવવો જ જોઈએ. ઘણા તો એમને કરવાં પડતાં કામને ધિક્કારે છે. એ સ્થિતિ રગશિયા ગાડાની જેમ જીવન ઘસડવા જેવી છે. કામમાં આનંદ આવતો ન હોય તો પરાણે ખેંચાતી સ્થિતિથી અસંતોષ જન્મે છે. એમાં આગળ વધવાની કોઈ દિશા હોતી નથી.
સામાન્ય માણસને લાગુ પડતી આ બાબત ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારી વ્યક્તિને પણ લાગુ પડે છે. એવી સ્થિતિ ઊભી થાય ત્યારે શક્ય હોય તો માણસ એના જીવનનો રાહ બદલી આનંદ મળે તેવી બીજા પ્રકારની પ્રવૃત્તિ તરફ ધ્યાન આપવા પ્રેરાય છે. એક સાઇકોલોજિસ્ટ કહે છે, ‘તમને લાગે કે તમને તમારા કામમાં આનંદ મળતો બંધ થયો છે કે એમાં કોઈ ચોક્કસ હેતુ રહ્યો નથી ત્યારે તમે જીવનનો માર્ગ બદલી શકો. આનંદ અને સંતોષનાં સ્મિતથી જીવન વધારે શોભે છે.’ જીવનમાં આનંદ માણવાનો અધિકાર કેવળ સફળતાના કેન્દ્રમાં રહેલી વ્યક્તિઓનો જ નથી, એના પરિવારનો પણ છે. પત્ની ચોવીસે કલાક ઘરમાં બેસીને રાહ જોયા કરતી હોય, પતિ-સાથીદારની જરૂર હોય ત્યારે એ એની પાસે ન હોય, સંતાનો મોટાં થવા લાગ્યાં હોય, પરિવારનાં બીજા સભ્યોને પણ તમારી હૂંફની જરૂર હોય અને તમે ગેરહાજર હો એવી સ્થિતિનું વજન વધવા લાગે તો એ સમય પાછા ફરવાનો છે.
સફળતાની પણ એક સીમા હોય છે અને એની સામે પાર એક ઘર આવેલું હોય છે, જ્યાં એક દીવો ટમટમતો હોય છે. એ દીવાનું અજવાળું આંખો આંજી નાખતા પ્રસિદ્ધિના પ્રકાશથી વધારે શાતા આપે છે. ઘરનો રસ્તો ભૂલી જવાય તે પહેલાં પાછા ફરવું એ નિવૃત્તિ નથી, ઉચ્ચતમ આનંદ, હૂંફ અને સંતોષનો આરંભ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
કેપ્ચા એટલે શું? શા માટે જરૂરી છે?
કેવલ ઉમરેટિયા
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે, ટિકિટ બુક કરતા સમયે કે પછી કોઇ વેબસાઇટ પર લોગઇન કરતી વખતે i am not a robot લખેલા બોક્સ પર ક્લિક કર્યુ છે? ૮ – ૧૦ ફોટોમાંથી ટ્રાફિક લાઇટ સિલેક્ટ કરી છે? કે પછી 9+8 કેટલા થાય તેનો જવાબ લખ્યો છે? લખ્યો જ હશે અને એ સિવાય પણ આવું ઘણુંબધું કર્યુ હશે. આ બધું જ કેપ્ચા માં આવે. ઘણી વખત તેમાં મજા આવે તો વળી ક્યારેક કેપ્ચા માથાનો દુખાવો લાગે. કોઇ ઓનલાઇન પ્રોસેસ કરતી વખતે જો ચારથી પાંચ વખત કેપ્ચા ભરવાના આવે તો કમ્પ્યુટરની સ્ક્રીન તોડી નાંખવાનું મન થાય.

જો કે સવાલ એ છે કે આ કેપ્ચા એટલે શું? તેની શું જરુર છે? કેપ્ચા એટલે શું? આપણે જેને ‘કેપ્ચા’ કહીએ છીએ તે ટૂંકું નામ છે. તેનું આખું નામ છે, Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. એટલે કે એક એવો ટેસ્ટ જે નક્કી કરે છે કે સામે માણસ છે કે મશીન (બોટ-કમ્પ્યુટર). કેપ્ચા સુરક્ષા પદ્ધતિ છે. તે ખરાઇ કરે છે કે વેબસાઇટ પર અસલી માણસ જ કામ કરી રહ્યો છે, ઓટોમેટેડ સોફ્ટવેર નહીં. તેનો હેતુ વેબસાઇટ્સને હેકર્સ, સ્પૈમર્સ અને ઓટોમેટેડ બોટ્સથી સુરક્ષિત રાખવાનો છે.
કેપ્ચા શા માટે જરૂરી છે? અત્યારે ડિજિટલ યુગમાં આપણે બધું જ ઓનલાઈન કરીએ છીએ – શોપિંગ, બેંકિંગ, ટિકિટ બુકિંગ, સોશિયલ મીડિયા અને ઘણું બધું. ડિજિટલ દુનિયામાં ખાલી માણસો નથી પણ બોટ્સ પણ છે, એવા ઓટોમેટિક પ્રોગ્રામ જે અનેક રીતે નુકસાનકારક અને જોખમી છે. આ બોટ્સને રોકવા માટે કેપ્ચા સરળ અને અસરકારક રીત છે. કેપ્ચા ભલે તમને સાવ સામાન્ય લાગે, પરંતુ તે સાઇબર સુરક્ષાની પહેલી દીવાલ છે. સ્પૈમ – બોટ્સ ઘણીવાર વેબસાઇટ્સ પર નકામી કોમેન્ટ્સ, લિંક્સ અથવા જાહેરાતો પોસ્ટ કરે છે. કેપ્ચા તેને અટકાવે છે અને વેબસાઇટને સ્વચ્છ અને સુરક્ષિત રાખે છે. ફેક એકાઉન્ટ બોટ્સ સોશિયલ મીડિયા અથવા ઇ-મેલ જેવી વેબસાઇટ્સ પર હજારો નકલી એકાઉન્ટ બનાવી શકે છે. કેપ્ચા તેમને આમ કરતા અટકાવે છે. ઓટોમેટિક ટિકિટ બુકિંગ બોટ્સ ઘણીવાર એકસાથે અનેક ટ્રેન, મૂવી અથવા ઇવેન્ટ ટિકિટો બુક કરે છે અને પછી તેને ઊંચા ભાવે વેચે છે. કેપ્ચા આવું થતું રોકવામાં મદદ કરે છે. વેબસાઇટ હેકિંગ બોટ્સ પાસવર્ડ અનુમાન લગાવવા માટે લાખો વખત પ્રયત્નો કરી શકે છે. આમ કરતા પહેલા કેપ્ચા ટેસ્ટ લે છે, જેમાં બોટ્સ નિષ્ફળ જાય છે. ડેટા ચોરી બોટ્સ વારંવાર ઓનલાઈન ફોર્મ જેમ કે કોન્ટેક્ટ ફોર્મ, ઈમેલ સબ્સ્ક્રિપ્શન વગેરે ભરીને વેબસાઇટ સર્વર પર લોડ લાવે છે. કેપ્ચા આ દુરુપયોગને અટકાવે છે.
બોટ્સ એટલે શું? બોટ્સ કે જેને રોબોટ પ્રોગ્રામ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ઓટોમેટેડ કોમ્પ્યુટર સોફ્ટવેર છે જે ઇન્ટરનેટ પર માણસોની જેમ જ કામ કરી શકે છે, અને તે પણ અનેક ગણી ઝડપે. આ બોટ્સ થાક્યા વિના કે અટક્યા વિના, દર સેકન્ડે લાખો કામ કરી શકે છે. કેટલાક બોટ્સ સારું કામ કરે છે, પરંતુ કેટલાક બોટ્સનો ઉપયોગ ખરાબ કામ માટે થાય છે. એ કહેવાની જરૂર નથી કે ઇન્ટરનેટ પર સારાં કરતાં ખરાબ બોટ્સની સંખ્યા વધારે હોય છે.
કેપ્ચા કઇ રીતે કામ કરે છે? કેપ્ચાનું કામ એ સાબિત કરવાનું છે કે તમે માણસ છો. તે સામાન્ય રીતે એક નાની ટાસ્ક આપે છે, જે માણસો માટે સરળ હોય છે પણ મશીનો માટે મુશ્કેલ હોય છે. જેમ કે વાંકાચૂકા અક્ષરો વાંચવા અને લખવા, કેટલાક ફોટોમાંથી ટ્રાફિક લાઇટ કે બસને ઓળખો, i am not a robot ચેકબોક્સ પર ક્લિક કરો. માણસો આ પ્રકારનાં કામ એકદમ સરળતાથી પૂરાં કરી શકે છે કારણ કે આપણું મગજ અને આંખો વસ્તુઓને બુદ્ધિપૂર્વક ઓળખે છે. જો કે બોટ્સ (કમ્પ્યુટર પ્રોગ્રામ્સ) આ કાર્યોમાં નિષ્ફળ જાય છે કારણ કે તેમની પાસે સ્માર્ટ સેન્સ નથી હોતી અથવા તો ખૂબ જ ઓછી હોય છે. કેટલાક કેપ્ચા તમારા માઉસની હિલચાલ, ટાઇપિંગની સ્ટાઇલ અને વેબસાઇટ પર તમે કેટલો સમય વિતાવો છો તે પણ ટ્રેક કરે છે. તેનો ઉપયોગ કરીને તમે માણસ છો કે નહીં તે નક્કી કરે છે.
કેપ્ચાની શરૂઆત કઇ રીતે થઇ? કેપ્ચાનો વિચાર સૌપ્રથમ સાલ ૨૦૦૦ માં અમેરિકાની ‘કાર્નેગી મેલન યુનવર્સિટી ના વૈજ્ઞાનિકો લુઈસ વોન આહ્ન (Luis von Ahn) અને તેના સાથીદાર મેન્યુઅલ બ્લમ (Manuel Blum) તેમજ નિકોલસ હોપર (Nicholas Hopper)ને આવ્યો હતો. તેમનો ઉદ્દેશ નકલી એકાઉન્ટ બનાવનારા અથવા સ્પેમ ફેલાવતા ઓટોમેટેડ બોટ્સથી વેબસાઇટ્સને સુરક્ષિત રાખવાનો ઉપાય શોધવાનો હતો. તે સમયે ‘યાહૂ’ જેવી કંપનીઓ ઓનલાઈન ફોર્મ્સ અને એકાઉન્ટ્સ સાથે સંઘર્ષ કરી રહી હતી કારણ કે બોટ્સ હજારો નકલી એકાઉન્ટ્સ બનાવતાં હતાં. લુઈસ વોન આહ્ન અને તેમની ટીમે એક ઓટોમેટેડ ટેસ્ટ બનાવ્યો જે ફક્ત માણસો જ પાસ કરી શકે, બોટ્સ નહીં. આ ટેસ્ટનું નામ હતું કેપ્ચા – Completely Automated Public Turing test to tell Computers and Humans Apart. રસપ્રદ વાત એ છે કે કેપ્ચાનો વિચાર એલન ટ્યુરિંગના ‘ટ્યુરિંગ ટેસ્ટ’ થી પ્રેરિત હતો, એક એવો ટેસ્ટ જે કમ્પ્યુટર માણસની જેમ વિચારી શકે છે કે કેમ તે નક્કી કરવા માટે બનાવવામાં આવ્યો હતો. કેપ્ચા પણ એ જ વિચાર સાથે બનાવવામાં આવ્યું, પરંતુ તેનો ઉપયોગ તેનાથી વિપરિત કામ માટે કરવામાં આવ્યો – માણસ અને કમ્પ્યુટરને અલગ પાડવા માટે. ત્યારબાદ કેપ્ચાનું વધુ આધુનિક સ્વરૂપ સામે આવ્યું, જે reકેપ્ચા તરીકે ઓળખાયું. તેને ૨૦૦૯ માં ‘ગૂગલ’એ ખરીદી લીધું. શરૂઆતમાં તે માત્ર સુરક્ષા પૂરતું સીમિત નહોતું પણ દુર્લભ પુસ્તકો અને જૂના દસ્તાવેજોને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરવામાં મદદ કરવાનો પણ હતો. આજનું reકેપ્ચા I am not a robot ચેકબોક્સથી લઈને માઉસની એક્ટિવિટી, ટાઇપિંગ અને બ્રાઉઝિંગ હેબિટના આધારે સામેની વ્યક્તિ માનવ છે કે બોટ છે તે નક્કી કરે છે.
શું કેપ્ચાને મૂર્ખ બનાવી શકાય? હા, ક્યારેક કેપ્ચાને પણ મૂર્ખ બનાવી શકાય છે. આજકાલ AI અને મશીન લર્નિંગ એટલા ઝડપી બની ગયા છે કે બોટ્સ પણ કેટલાંક કેપ્ચા, ખાસ કરીને જૂનાં ટેક્સ્ટ કેપ્ચા ઉકેલી શકે છે. કેટલાક બોટ્સે ટેક્સ્ટ ઓળખવાનું શીખી લીધું છે, ઇમેજ રિકગ્નિશન ટેકનોલોજી ફોટો ઓળખી શકે છે. કેટલાક હેકર્સ ‘કેપ્ચા ફાર્મ્સ’ નો ઉપયોગ કરે છે, જ્યાં માણસો પૈસાના બદલામાં કેપ્ચા ઉકેલે છે. જો કે આનો અર્થ એ નથી કે કેપ્ચા નકામા છે. અત્યારે AI ના સમયમાં પણ કેપ્ચા સુરક્ષા માટે મજબૂત ટૂલ છે, કંપનીઓ પણ તેને વધુ મજબૂત બનાવવા કામ કરે છે. કેપ્ચા એ નાનકડું પણ અત્યંત મહત્ત્વનુ સિકયૂરિટી ટૂલ છે. તે આપણને બોટ્સ, સ્પેમ અને સાઇબર હુમલાઓથી બચાવવા માટે ચુપચાપ કામ કરે છે. ભવિષ્યમાં, જ્યારે કેપ્ચા વધુ સ્માર્ટ બનશે, ત્યારે તમારે કંઈપણ ક્લિક કરવાની જરૂર પણ નહીં પડે – અને સુરક્ષા પહેલાં કરતાં વધુ સારી થશે.
કેપ્ચાના પ્રકાર સમયની સાથે કેપ્ચાનો પણ વિકાસ થતો ગયો. સાવ સાદા ટેક્સ્ટ તરીકે શરૂ થયેલા કેપ્ચાના આજે ઘણાબધા પ્રકાર છે.
૧ ટેક્સ્ટ કેપ્ચા: આડાઅવળા તેમજ નાના મોટા અક્ષરો અને નંબર દેખાય છે. જેને ઓળખીને તમારે બોક્સની અંદર લખવાના હોય છે. આ સૌથી જૂનો અને સૌથી વધારે ઉપયોગી કેપ્ચાનો પ્રકાર છે.
૨ ઇમેજ કેપ્ચા: ફોટોની એક ગ્રિડ એટલે કે ૮-૯ નાના ફોટો આવે છે, જેનીઅ ઉપર લખેલું હોય છે કે ‘ટ્રાફિક સિગ્નલવાળા ફોટો સિલેક્ટ કરો’ અથવા તો ‘બસ દેખાતી હોય તે ફોટો સિલેક્ટ કરો’ વગેરે. આ સિવાય ફોટોમાં કોઇ વસ્તુની દિશા નક્કી કરવાનું પણ પૂછવામાં આવે છે.
૩ ઓડિયો કેપ્ચા: આ રીત ખાસ કરીને દૃષ્ટિહીન લોકો માટે ઉપયોગી છે. જેમાં ઓડિયો સ્વરૂપે નંબર અથવા શબ્દ બોલવામાં આવે છે, જેને ટાઇપ કરવાનો હોય છે.
૪ મેથ કેપ્ચા: આમાં ગણિતનો કોઇ સવાલ પૂછેલો હોય છે, જેમ કે 9+8=? એવા સવાલ હોય છે કે જેમાં તર્ક લગાવવાની જરૂર પડે છે.
૫ બીહેવિયરલ કેપ્ચા: કોઈ સવાલ નથી પુછાતો, વેબસાઇટ તમારી એક્ટિવિટી જોઈને નક્કી કરે છે કે તમે માણસ છો કે બોટ્સ. તમારી એક્ટિવિટીના આધારે નિર્ણયો લે છે. i am not a robot કેપ્ચાનો સમાવેશ બીહેવિયરલ કેપ્ચામાં થાય છે. તમે જે રીતે ચેકબોક્સની અંદર ક્લિક કરો ત્યારે તમારા કર્સરની એક્ટિવિટી ટ્રેક કરવામાં આવે છે.
દિવ્ય ભાસ્કરની ‘રસરંગ’ પૂર્તિની ‘અપડેટ’ કોલમમાંથી સાભાર
-
ખરીદી ખુશીની
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
ઓમુ આજે ખૂબ ખુશ હતો.
ઑફિસના કોઈ કામને લીધે દહેરાદૂનથી કાકા આવ્યા હતા અને ઓમુના ઘેર રોકાયા હતા. ઓમુએ કાકાની ખૂબ સેવાચાકરી કરી. કાકાને ગામમાં ફેરવ્યા અને નાનાં મોટાં કામ માટે સમયસર મદદ કરતો રહ્યો. આજે દહેરાદૂન પાછા જવાના સમયે કાકાએ ઓમુના હાથમાં દસ રૂપિયા મૂક્યા.
કાકાને ઓમુ ખૂબ વહાલો હતો. કાકા સુખી હતા, પણ એમને કોઈ સંતાન નહોતાં. કાકાની ઈચ્છા હતી કે, ઓમુને પોતાની સાથે દહેરાદૂન લઈ જાય. ત્યાં એને સારી સ્કૂલ અને પછી કૉલેજમાં ભણાવે.
ઓમુના બાપુ ગામની પાઠશાળાના ચોકીદાર હતા. એ કાકા જેટલા સંપન્ન નહોતા, પણ ઓમુની હાજરી જ એમના માટે સૌથી મોટું સુખ હતું. ઓમુ વગર ઘરમાં ક્યાં કોઈને ગમે?
નમ્ર અવાજે પણ પૂરી મક્કમતાથી ઓમુને મોકલવાની અનિચ્છા પ્રગટ કરી જ દીધી.
ઓમુને આજ સુધી ક્યારેય એક સામટા દસ રૂપિયા મળ્યા નહોતા. કાકાએ આપેલા દસ રૂપિયા જોઈને એ તો રાજીના રેડ. શું કરે? શું ખરીદે? એને સમજણ જ નહોતી પડતી.
“રવિવારે તારા બાપુ તને બજાર લઈ જશે. તારે જે લેવું હોય એ લેવામાં મદદ કરશે.” અંતે માએ ઉકેલ આણ્યો.
“અરે એવું શું કામ! પૈસા એના છે, એની મનમરજી હોય એ જાતે જ નક્કી કરે.” બાપુએ ઓમુના માથે જવાબદારી નાખી.
આ તો બહુ મઝાની વાત. ઓમુ વધુ ખુશ થઈ ગયો. દસ રૂપિયા તો મોટી રકમ. હવે એમાંથી જીતુ પાસે છે એવી એક પેન્સિલ, એક રબર અને જેની ખાસ જરૂર હતી એવું એક ફૂટપટ્ટી ખરીદી શકશે. ફૂટપટ્ટી વગર સીધી લીટી ખેંચવાનું અઘરું હતું. ફૂટપટ્ટી તો એ જરૂર લેશે.
બાપુ જોડે બજાર જવા નીકળ્યો ત્યારે આખા રસ્તે એટલો તો આનંદમાં હતો કે અનાયાસે ફિલ્મી ગીત ગાતો રહ્યો. બાપુ ફિલ્મી ગીત નહીં, પણ ભજન ગાવું જોઈએ એમ હંમેશાં કહેતા. પણ આજે તો એને મળેલી દસ રૂપિયાની અમીરીને લીધે ઓમુ ખુમારીમાં હતો.
******
“ભગવાનના નામે આ ગરીબને કંઈક આપો. બે દિવસથી ભૂખ્યો છું. ભગવાન તમારું ભલું કરશે.” ચાર રસ્તા પર બેઠેલો એક વૃદ્ધ આજીજી કરતો હતો.
ગરીબ વૃદ્ધની આંખોમાં આંસુ હતાં.
ઓમુને એ દિવસ યાદ આવ્યો જ્યારે એના બીમાર બાપુને હોસ્પિટલ લઈ જવા પડે એમ હતા. એમના માટેની દવાઓ, અલગ જાતના ભોજનની વ્યવસ્થા કરવી પડે એમ હતી. મા ભારે ચિંતામાં હતી. ઘરમાં પૈસા તો દૂરની વાત ખાવાનું સુદ્ધાં નહોતું.
માની વ્યથા જોઈને ઓમુએ કહ્યું હતું, “મા મને જરાય ભૂખ નથી. બપોરે રાજુની માએ અમને બંનેને બહુ બધું ખાવાનું આપ્યું હતું. હવે મારાથી તો જરાય ખવાશે નહીં. એક ગ્લાસ પાણી પી લઈશ, બસ. અને હા, પૈસાની વ્યવસ્થા થઈ જશે. તું ચિંતા ના કરતી.” કહીને એ પથારીમાં પડ્યો. ઊંઘવાની બહુ મથામણ કરી, પણ ભૂખના લીધે ઊંઘ આવી નહોતી.
ફરી ઓમુને એ ગરીબ વૃદ્ધનો અવાજ સંભળાયો. ભૂતકાળની ભૂતાવળમાંથી એ પાછો ફર્યો.
આરામથી ગરીબ વ્યક્તિને બે રૂપિયા આપી શકાય એમ હતા. બે રૂપિયા આપતાંય આઠ રૂપિયા એની પાસે રહેવાના હતા જેમાંથી એ ઘણી વસ્તુ લઈ શકે એમ હતો. એણે વૃદ્ધને બે રૂપિયા આપ્યા.
“બાબા, આમાંથી કંઈક ખાવાનું લઈ લેજો. ભૂખ લાગે ત્યારે પેટમાં કેવું દુઃખે એની મને ખબર છે.”
“ભગવાન તને રાજી રાખે બેટા. ભારે ભૂખથી મને પેટમાં દુઃખે છે. પણ કમજોરીના લીધે હું ક્યાં લેવા જઉં, તું લાવી આપીશ?”
ઓમુ દોડતો બજારમાં જઈને દોઢ રૂપિયાની પૂરી-ભાજી લઈ આવ્યો. આઠ આના હજુ વધતા હતા. બાજુની દુકાને જલેબી તળાતી જોઈ. પચાસ પૈસાની જલેબી લીધી.
બાબા તો ખુશ ખુશ.
“ઘણું જીવજે બેટા, ભગવાન તને લાંબી ઉંમર આપે. મોટો માણસ બને અને ખૂબ ધન કમાય એવી પ્રભુને પ્રાર્થના.”ભૂખથી પીડાતા એ માણસે ઝટપટ ખાવા માંડ્યું. નગરપાલિકાના નળ પરથી ઓમુએ પાણી લાવી આપ્યું. બાબા તો ભારે રાજી.
ફરી ફિલ્મી ગીત ગણગણતા ઓમુએ બાકીના આઠ રૂપિયામાંથી પેન્સિલ, રબર, ફૂટપટ્ટી લેવા બજાર તરફ ચાલવા માંડ્યું.
હજુ તો માંડ આગળ વધ્યો ત્યાં એનો દોસ્ત રાજુ સામે મળ્યો. આંખમાંથી લગાતાર આંસુ વહેતાં હતાં.
રાજુનો નાનો ભાઈ બીમાર હતો. માએ પાંચ રૂપિયા આપીને દવા લેવા મોકલ્યો હતો. લાંબી ભીડમાં ઊભા રહ્યા પછી જ્યારે એનો વારો આવ્યો ત્યારે ખબર પડી કે ખીસ્સામાંથી કોઈએ રૂપિયા સેરવી લીધા હતા. દુકાનદારને હાથ-પગ જોડ્યા, પણ દુકાનદારે દાદ ન આપી. ભાઈને ભયંકર તાવ અને અનહદ પીડા થતી હતી. ભાઈને કંઈ થઈ ગયું તો? ભાઈ મરી જશે તો?
‘તો’ નામનો રાક્ષસ જડબું ફાડીને ઊભો હતો.
ઓમુની નજર સામે ફરી બાપુ તરી આવ્યા. એ દિવસે જો પાઠશાળાના પ્રિન્સિપાલે મદદ ન કરી હોત તો? આગળ વિચાર્યા વગર ઓમુએ બચેલા આઠ રૂપિયામાંથી દવા લેવા પાંચ રૂપિયા રાજુને આપ્યા.
“ઓમુ, મારી મા પાસે તને પાછા વાળવા પૈસા નહીં હોય તો?”
“ચિંતા ના કર દોસ્ત. તું દવા લઈને ઝટ ઘેર જા. તારો ભાઈ જરૂર સાજો થઈ જશે.”
હવે ફક્ત ત્રણ રૂપિયા બચ્યા. ક્ષણભર ઓમુ થોડો ઉદાસ થઈ ગયો. એના બાપુ ક્યારેય એને એક સામટા દસ રૂપિયા આપી શકે એમ નહોતા.
જોકે હજુ ત્રણ રૂપિયામાંથી કંઈક તો મળી જ જશે એ વિચારે ઓમુની ચાલમાં તેજી આવી.
આહાહા…બજારમાં જાતજાતની પેન્સિલ, રબર અને એને જોઈતી હતી એવી જ ફૂટપટ્ટી હતી.
ત્યાં ઓમુની નજર બાજુની દુકાનમાં ગોઠવેલી કાચની રંગબેરંગી બંગડીઓ પર પડી. માના અડવા હાથ યાદ આવ્યા. કામ કરતાં કરતાં બંગડીઓ તૂટી ગઈ પછી પૈસાના અભાવે બીજી બંગડી લઈ શકી નહોતી. બંગડીઓથી ભરેલા માના હાથની ઓમુએ કેટલીય વાર કલ્પના કરી હતી?
ત્રણ રૂપિયામાં મીનાકારીવાળી બે ડઝન બંગડીઓ લીધી અને માને આપી. બરાબર માના હાથના માપની હતી. મા ખુશ.
બંગડીઓ પહેરેલા હાથ કેવા શોભતા હતા? ઓમુ પણ ખુશ.
“અરે, પણ તું તારા માટે શું લાવ્યો?” માએ પૂછ્યું.
“હું…..?” એકાદ પળ અટકીને ઓમુ એકદમ ખુશહાલ ચહેરે બોલ્યો, મેં મારા માટે ખુશી ખરીદી.”
ફરી એની ગમતી ધૂન ગણગણતો રમવા દોડી ગયો.
ડૉ. શોભા ઘોષ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
SMS
નલિની રાવલ
“મેસેજ આયા મેસેજ આયા મેસેજ આયા…” ની કોલર ટ્યુન સુમિત્રાબેનના મોબાઇલ પર ગાજી. સાંજના સાતેક વાગ્યે સુમિત્રાબેન રસોડામાં રસોઈ કરી રહ્યા હતા અને મોબાઇલ હંમેશની જેમ તેમનાથી ઘણે દૂર ડ્રોઈંગરૂમમાં પડ્યો હતો. ટ્રાન્ઝિસ્ટર રેડિયો પર રેડિયો મિર્ચી સાંભળતા કામ કરી રહેલા સુમિત્રાબેનને ફોન ન સંભળાયો. તેમના પતિ કાંતિભાઈએ ડોરબેલ વગાડી ત્યારે તે દરવાજો ખોલવા ગયા, અને મોબાઈલ ચેક કર્યો, તો 2 મિસકોલ ને મેસેજ હતો.
“હશે… નવરી પડીશ,ત્યારે જોઈશ…” વિચારી સુમિત્રાબેને કાંતિભાઈ માટે હાથ મોઢું ધોવા ગેસ પર પાણી મૂક્યું. “સાંભળો છો? આ વખતે ઠંડી પણ ખૂબ આકરી પડી… ઠંડા પાણીમાં તો હાથ નથી નખાતો. તમારા માટે ગરમ પાણી મૂક્યું છે, ઠંડા પાણીએ પાછા હાથ પગ મોઢું ન ધોઈ લેતા…” કહેતા સાડલાના છેડે હાથ લૂછીને તેમણે ભાખરી કરવી શરૂ કરી. કાંતિભાઈ હાથ મોઢું ગરમ પાણીએ ધોઈને ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. સુમિત્રાબેને ગરમ ગરમ ભાખરી પીરસી. નિયમ મુજબ જમતી વખતે કાંતિભાઈએ વાતનો દોર ચાલુ રાખ્યો.
“આજે તો મનસુખભાઈ પરીખ રજા પર હતા…. એમની દીકરીને સાસરે ખૂબ દુઃખ હતું. સાસરિયાના દબાણમાં એ પાછી ઘેર ન આવી, તો જીવતી બાળી નાખી. એનો નાનકડો દીકરો ન’માયો થઈ ગયો. સાંજે ઓફિસ છૂટ્યા પછી આખો સ્ટાફ તેમને ત્યાં ગયો હતો. બંને પતિ-પત્નીની તો હાલત બહુજ ખરાબ હતી એના મિસિસ તો બેભાન થઈ ગયા હતા.”
“અરેરેરે…! માણસો આવું કેમ કરતા હશે? વાજતે ગાજતે લગ્ન કરીને વહુ લઈ આવતા લોકો, કેમ વહુના દુશ્મન થઈ જતા હશે ?અને… મનસુખભાઈ પણ કેવા..! દુઃખી દીકરીને સાસરે રહેવા જ કેમ દીધી? દીકરી પરણાવી દીધી એટલે સંબંધ થોડા જ પૂરા થઇ જાય છે? ”
“પણ, મનસુખભાઈને તો આવી કશી જાણ જ નહોતી ને ! દીકરીએ પાંચ વર્ષના લગ્ન જીવનમાં અણસાર સુદ્ધાં માબાપને આવવા દીધો નહોતો. એટલે તો મનસુખભાઈને વધારે દુઃખ થતું હતું કે દીકરી કંઈ બોલી કેમ નહીં… ”
કાંતિભાઈએ દુઃખી અવાજમાં કહ્યું. બંનું મન ઉદાસ થઈ ગયું. રોજની જેમ જમીને ટીવી પર સમાચાર જોવાનો નિયમ પણ કાંતિભાઈ ભૂલી ગયા, અને બેઠા બેઠા મેગેઝીનના પાનાં ફેરવવા લાગ્યા. રસોડું આટોપીને સુમિત્રાબેન ડ્રોઈંગરૂમમાં સાડીના પાલવે હાથ લુછતાં લુછતાં આવ્યા અને અચાનક તેમને મોબાઇલ યાદ આવ્યો. “કોનો એસએમએસ હશે? કોનો મિસ કોલ હશે?” વિચારતા તેમણે ફોન ઉપાડ્યો, ને આમતેમ ચશ્માની શોધખોળ શરૂ કરી.
“શું કરે છે? ” કાંતિભાઈ એ પૂછ્યું.
“આ જુઓને, ચશ્મા મૂકીને ભૂલી જવાય છે અને જોઈએ ત્યારે જડતા નથી.”
કાંતિભાઈએ કહ્યું, ” એક જગ્યા નક્કી કરી રાખો તો આવું ન થાય. પણ અત્યારે ચશ્મા શું કરવા છે? ”
“મૂકોને..! નથી જોઈતા ચશ્મા આ મોબાઇલમાં મિસકોલ છે, અને એસએમએસ આવ્યા છે તે તમે જોઈ આપો, લ્યો…!”કહી સુમિત્રાબહેને મોબાઈલ કાંતિભાઈના હાથમાં મુક્યો. કાંતિભાઈએ મોબાઇલ લીધો અને બોલ્યા. “એક મિસ કોલ તો વિદ્યાનગરથી આપણા યતીનનો છે બીજો મિસકોલ તારી બેન પ્રવીણાનો છે. પ્રવીણા પણ ખરી છે હો… આપણા કરતાં તો એ પૈસાવાળી છે.. તો પણ એક કોલ નથી કરી શકતી”.
“એ તો એક નંબરની લોભણી છે. એનું કામ હોય અને પાછો ફોન પણ આપણે જ કરવાનો. હું તો કરતી જ નથી ને… કામ હોય તો કરે ફોન” સુમિત્રાબેન બોલ્યા.એ દરમ્યાનમાં કાંતિભાઈએ એસએમએસ ઓપન કરી લીધો હતો. આ એસએમએસ એમની દીકરી સુનિધિનો હતો…..”
મમ્મી.. પપ્પા… મને માફ કરજો, હું તમારા આપેલા જીવનને સાચવી ન શકી, હું મારું જીવન ટૂંકાવું છું, મારા મોત માટે કોઈ જ જવાબદાર નથી. મારી દીકરીનું સુનિધિ માનીને પાલનપોષણ કરજો… ”
એસએમએસ વાંચતા વાંચતા તો કાંતિભાઈના પગ નીચેથી જાણે ધરતી જ ખસી ગઈ.
“ના… ના.. આવું ન બને… હજુ સાંજે તો ફોન પર તેની સાથે વાત થઈ છે…ના… ના.. આવું ન બને. કેટલી ખુશ હતી, એના પતિ સુકેતુ અને દીકરી અંશુ સાથે દરિયે ફરવા જવાનું કહેતી હતી…. ”
‘શું છે? શું બબડો છો? કોનો એસએમએસ છે? ” સુમિત્રાબેન ને ફાળ પડી. એસએમએસની વિગત જાણવા તે અધીરા થઈ ગયા. કાંતિભાઈએ કંઈ પણ બોલ્યા વગર મોબાઈલ સુમિત્રાબેનના હાથમાં પકડાવી દીધો, અને પોતાના ચશ્મા ધ્રુજતા હાથે તેમના હાથમાં પકડાવ્યા. સુમિત્રાબેનને કાંતિભાઈનો ચહેરો જોઈને કંઈક અજુગતું થયાનો અણસાર આવી ગયો, પણ મન મક્કમ કરી એસએમએસ વાંચ્યો અને ત્યાં જ સોફા પર ફસડાઈ પડ્યા.
“તું આમ હિમ્મત ન હાર…આ કોઈકની મજાક છે, આપણી સુનિધિ…!ના…ના..!” જે વાત એમના મનને ઢંઢોળતી હતી અને માનવા ન માનવાની અવઢવમાં અટવાતી હતી તે વાત ન માનવા કાંતિભાઈ સુમિત્રાબેનને સમજાવી રહ્યા હતા. તેમણે તરત સુનિધિના સાસરે ફોન જોડ્યો. ફોન સુનીધિની સાસુએ ઉપાડ્યો.
” જય શ્રીકૃષ્ણ બેન! હું કાંતિભાઈ.. કેમ છો? ”
” જય શ્રીકૃષ્ણ કાંતિભાઈ મજામાં ને? શું કરે છે સુમિત્રાબેન? ”
“એ મજામાં છે સુમંતભાઈની તબિયત કેમ છે? સુકેતુકુમાર, સુનિધિ,બાળકો બધા મજામાં ને?”
મનના ફફડાટ પર કાબુ રાખતા કાંતિભાઈ બોલ્યા. પણ, સામે છેડેથી વેવાણના અવાજ પરથી એવું ન લાગ્યું કે, કંઈ અજુગતું બન્યું છે.
“અરે..! બધા મજામાં.. અત્યારે વેકેશન છે એટલે શુચિને લઈને બંને ફરવા ગયા છે. બીજું ફરમાવો…..!” કાંતિભાઈના મનમાં હાશકારો થયો. તેમણે કહ્યું બસ બેન, ફરમાવાનું શું?આ તો અમસ્તો જ ફોન કર્યો. તમારા બધાની યાદ આવીને એટલે…. લ્યો સુમિત્રાને આપુ.”
સુમિત્રાબેન કાંતિભાઈનો વાર્તાલાપ સાંભળી સ્વસ્થ થઈ ગયા હતા. તેમણે પણ વેવાણ સાથે સુખાકારીની આડીઅવળી વાતો કરી ફોન મૂકી દીધો, અને સુવાની તૈયારી કરવા લાગ્યા. કાંતિભાઈએ ન્યુઝ ચેનલ ચાલુ કરી, અને દસેક મિનિટ ટીવી જોઈ હળવાશ અનુભવીને બેડરૂમમાં સુવા ગયા. રાતના લગભગ પોણા બાર થયા હશે.કાંતિભાઈનો મોબાઇલ રણક્યો. પહેલી બે ત્રણ રિંગ તો સાંભળી ન સાંભળી થઈ, ઘડિયાળમાં જોયું તો પોણા બાર થયા હતા. “અત્યારે કોણ હશે…?”તે બબડયા. નંબર જોયો તો સુકેતુકુમારનો નંબર હતો. મનમાં શંકાઓનો સમુદ્ર ફરી વળ્યો. તેમણે તરત ફોન ઉપાડ્યો.
“હેલો… બોલો સુકેતુ કેમ છો?”
“પપ્પા… પપ્પા…” સુકેતુ ધ્રુસ્કે ચડ્યો હતો.
” શું થયું?..કંઈ કહો તો ખરા? ”
” પપ્પા… સુનિધિ.. ” તે આગળ ન બોલી શક્યો.
“શું થયું સુનિધીને?”….. કાંતિભાઈ લગભગ બરાડી પડ્યા. સુમિત્રાબેન સફાળા બેઠા થઈ ગયા.
‘પપ્પા….” સુકેતુએ રડતા રડતા કહ્યું, “પપ્પા… સુનિધિએ દરિયામાં ઝંપલાવી દીધું…” અને તેનું ડૂસકું કાંતિભાઈને સંભળાયુ. કાંતિભાઈને તરત પેલો એસએમએસ યાદ આવી ગયો. તો શું તે મેસેજ સાચો હતો? અને તેમના હાથમાંથી ફોન પડી ગયો. સુમિત્રાબેને તેમને ઢંઢોળ્યા. હં.. હં… કરતા કાંતિભાઈ વર્તમાનમાં આવ્યા અને સુમિત્રાબેનનો હાથ પકડી બોલ્યા, “આપણે સુનિધિના ઘેર જવાનું છે….”
“પણ શું કામ?.. અડધી રાત્રે….? શું થયું? હાફળાંફાંફળાં થયેલા સુમિત્રાબેને પ્રશ્નોની ઝડી વરસાવી દીધી.
“તું ઊઠ તો ખરી… ચાલ જલ્દી…!”
“પેલો એસએમએસ…!” સુમિત્રાબેનનો પ્રશ્ન અધૂરો રહ્યો. બંને સુનિધિનાં ઘરે પહોંચ્યા. ચાર પાડોશી ને ઘરના સિવાય કોઈ નહોતું. વેવાણ સુમતિબહેન રડતાં હતાં અને વેવાઈ સુમંતભાઈ.. નાની શુચિને ખોળામાં પંપાળતા હતા. તેમની આંખોમાં પણ આંસુ હતા.
સુમિત્રાબેને સુનિધીને ન જોઈ, માનું કાળજુ કંપી ગયું. મગજમાં મેસેજ આયા, મેસેજ આયા… ની રિંગટોન ઘુમરાવા લાગી.તેમણે લગભગ દોટ જ મૂકી. સુમતિબહેન પાસે જઈ પૂછ્યું, “શું થયું સુમતિબેન…? સુકેતુકુમાર સુનિધિ ક્યાં..?” સુમતિબેન ધ્રુસકે ચડ્યા. સુનિધિ તો તેમની લાડકી દીકરી હતી. વહુની જેમ તેમણે ક્યારેય કોઈ દિવસ તેને રાખી ન હતી.તેમના પાડોશી શીલાબેને વાત પકડી લીધી.
“બેન… શાંતિથી સાંભળો..! જે થવાનું હતું, તે થઈ ગયું. થવા કાળને કોણ રોકી શકે? કાળ માથે ચડી બેઠો, ને દીકરી હતી ન હતી થઈ ગઈ…. ”
“શું છે? આવી ગોળ ગોળ વાત કેમ કરો છો? કોની દીકરી હતી ન હતી થઈ ગઈ?”
સુમિત્રાબેન તાડુક્યાં. ત્યાં જ સુનિધિની નાની નણંદ આવી, અને સુમિત્રાબહેનના ખોળામાં માથું નાખી રડવા લાગી,
“માસી… ભાભીએ આવું કેમ કર્યું? ભાભીને આપઘાત કરવાની શું જરૂર હતી?”
આ સાંભળી સુમિત્રાબેને કાંતિભાઈની સામે જોયું, કાંતિભાઈએ હા માં માથું ધુણાવ્યું… અને પછી તો સુમિત્રાબહેનના બધા જ બંધ છૂટી પડ્યા. તે સુમતિબહેનને વળગીને પોકે પોકે રડી પડ્યાં. સુમતિબહેનનું પણ રુદન હૈયાફાટ બની ગયું હતું. નાની શુચી પણ રડતી હતી. પડોશીઓએ બધાને પાણી આપ્યું પણ પાણી પીવાની ઈચ્છા જ ક્યાં કોઈનામાં હતી ! કલાક દોઢ કલાક બાદ રડવાનું બંધ થયું, પણ ડૂસકાં તો ચાલુ જ હતા. કાંતિભાઈએ શુચિના માથે હાથ ફેરવતા ફેરવતા સુમંતભાઈ તરફ પ્રશ્નાર્થની નજરે જોયું.
“આજે સાંજે તો હસતા આનંદ કરતા સુકેતુ સુનિધિ શુચીને લઈને દરિયે ફરવા ગયાં હતાં. તેઓ બહાર જ જમવાના હતા. આજે રવિવાર હતો, એટલે સુનિધિએ શીરો પણ બનાવ્યો હતો. એના વર્તન પરથી કોઈ રીતે નહોતું લાગતું કે તે આવું પગલું ભરશે! તમને તો ખબર છે, સુનિધિ તો અમારી તો લાડકી હતી…..”
સુમંતભાઈ બોલ્યા. સુકેતુએ પણ ટાપસી પુરી.
“હા પપ્પા… આજે તો હું સ્કૂટર પણ નહોતો લઈ ગયો. સુનિધિની ઈચ્છા હતી, ટેક્સીમાં જવું છે. કેમ શુચિ….!” શુચિ કઈ ન બોલી, તેની સામે તાકી રહી અને દાદાના ખોળામાં વધુ લપાઈ ગઈ. સુમંતભાઈએ પોલીસમાં ફરિયાદ કરી દીધી હતી. મળસ્કે પોલીસ આવી પહોંચી.
“રાત ભર લાશ કી તલાશ કી, પર અબ તક લાશ નહીં મિલી ખોજ અભિ જારી હૈ. સુકેતુ કૌન હૈ ભાઈ, આપ લોગો મેં…?” ઇન્સ્પેક્ટરના પ્રશ્ન પર સુકેતુ આગળ આવ્યો. “તેરી બીવી થી?” ” જી હા…” પગથી માથા સુધી નજરમાં જ માપતા ઇન્સ્પેક્ટર એ કહ્યું, “૧૦ બજે આ જાના થાને પર પૂછતાછ કરની હૈ. ” અને ડંડા ફટકારતી પોલીસ જતી રહી.બધા એમને એમ પથ્થર બની બેસી રહ્યા. કાંતિભાઈ અને સુમંતભાઈ બધા સગા સંબંધીઓને ફોન કરવા નામ અને ફોન નંબર લખતા ગયા. પડોશી મયંકભાઈ કે જે ઘરના સદસ્ય જેવા હતા તેમણે ફોન કરવા શરૂ કર્યા. મયંકભાઈના મિસિસ શીલાબેન ઘરે બધા માટે ચા બનાવવા ગયા. જેમ જેમ ખબર પડતી ગઈ તેમ તેમ સગા સંબંધી મિત્રો આવવા લાગ્યા.
સુકેતુ પોતાના મિત્ર સાથે પોલીસ સ્ટેશને જવા નીકળી ગયો હતો. પોલીસ સ્ટેશને પૂછતાછમાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા સુકેતુએ ઘટનાનું વિવરણ આપ્યું અને કહ્યું,
“સાહેબ… હજુ તો હું કંઈ સમજુ ત્યાં તો તેણે દરિયામાં ઝંપલાવી જ દીધું.” વારંવાર એકની એક વાત પૂછાતા તે અકળાયો અને ગુસ્સે થઈને બોલી ઉઠ્યો,
“જનાર જતી રહી.. હવે શું છે મારો જીવ લેશો કે શું…?” સુકેતુના આ વાક્યથી દૂર બેઠેલા ઇન્સ્પેક્ટરના કાન ચમક્યા. ટાચણીથી દાંત ખોતરતા ટેબલ પર લાંબા પગ કરી બેઠેલા ઇન્સ્પેક્ટરે ટાંચણી ફેંકી દીધી. હાથમાં તેનો દંડુકો લઈને સાથળ પર પછાડતો પછાડતો તે સુકેતુ નજીક આવ્યો. દાઢીએથી પકડીને એનું મોઢું પોતાના તરફ ફેરવી, નેણ ઉલાળી તેની સામે તીખી આંખોથી જોયું. આ દૃષ્ટિ સુકેતુના હૈયા સોસરવી નીકળી ગઈ.
“ક્યોં..બે..! બહોત ચરબી ચડ ગઈ છે ક્યા? બીવી કો સમંદર મેં ધક્કા દે કે, ઉસીકે ફોન સે ઉસકે હી બાપ કો જુઠા એસએમએસ કર દિયા હૈ, ઔર અબ જૂઠ બોલતા હૈ સા….લા..! પોલીસ કો ઘુમાતા હૈ..?”
” શું કહો છો સાહેબ..? હું. હું.. હું…એવું કરું? ” સુકેતુની જીભે તેનો સાથ છોડી દીધો અને તે તતબબ કરવા લાગ્યો. “ક્યા બોલા બે….!તેરી તો….!” કહી ઇન્સ્પેક્ટરે જેવો હાથ ઉપાડ્યો કે તેણે ચહેરા આડા બે હાથ ધરી દીધા.
“કહું છું… .. કહું છું…. સાહેબ… તમને કેવી રીતે ખબર પડી કે મેં……?”
“તેરે જેસે સૌ શાતિર રોજ યહાં આતે હૈ…. સમજા ક્યા…? ક્યોં મારા બીવી કો? કોઈ દૂસરા લફડા થા…? ”
અને….. સુકેતુ પોપટની જેમ સાચું બોલવા લાગ્યો સુકેતુ અને શ્યામલી બંને સાથે નોકરી કરતા હતા. બંનેને પરણવું હતું અને આ લગ્ન વચ્ચે અવરોધ હતી સુનિધિ.. બંનેના ઝઘડા વધતા ચાલ્યા. શ્યામલી પણ ઝઘડે સુનિધિ પણ ઝઘડે. અંતે કંટાળીને સુનિધિનું કાટલું કાઢી નાખ્યું. સુનિધીનાજ મોબાઈલથી આત્મહત્યાનો મેસેજ કરી દીધો, જેથી આ હત્યા આત્મહત્યામાં ખપી જાય. પોલીસે હત્યાનો મામલો ચોપડે નોંધી લીધો અને સુકેતુને હવાલાત ભેગો કરી તેના ઘરે ખબર આપ્યા.
સુકેતુના માતા પિતા સુમંતભાઈ અને સુમતિબહેને તો તરત જ દીકરાના નામનું નાહી નાખ્યું કારણ કે, તે પણ સુનિધીને દીકરીની જેમ રાખતા હતા. એમને તો સ્વપ્નમાં પણ ખ્યાલ નહોતો કે દીકરો આવો નપાવટ નીકળશે. સુમંતભાઈ ભગવાનને પ્રાર્થી રહ્યા,
“ભગવાન સુકેતુને ફાંસીની સજા કરજો, અને સાત જન્મે આવો કપાતર ન આપજો.”
સુમિત્રાબહેન અને કાંતિભાઈના તો પગ જ ભાંગી ગયા છે. કાંતિભાઈ પુરુષ છે હૈયું કાઠું કરીને બેઠાનો ડોળ કરે છે…. પણ સુમિત્રાબહેનતો સૂનમૂન થઈ ગયા છે. બારણે પથરાયેલી આંખોને છે, દીકરીના અંતિમ દર્શનની પ્રતીક્ષા….
******સમાપ્ત******
નલિની રાવલ
સરનામું : 28 હરિ કૃપા સોસાયટી,
જી બી ટ્રેનિંગ સેન્ટર પાસે
ઇસ્કોન હાઇટ્સની સામે
ગોત્રી રોડ વડોદરા 390021
મોબાઈલ : 962472 1529 -
વાદ્યવિશેષ (૩૧) : ફૂંકવાદ્યો (૭) : ક્લેરીનેટ
ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી
પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી
ક્લેરીનેટ (ઘણા લોકો ક્લેરીઓનેટ પણ કહે છે) ફૂંકવાદ્યો તરીકે જાણીતાં વાદ્યોમાંનું એક છે. ઉપરની તસવીરમાં જોઈ સ્શકાય છે તેમ તેની રચનામાં મુખ્યત્વે લગભગ દોઢથી બે ફીટ લંબાઈનો અને ૧૫ સેન્ટીમીટર વ્યાસ ધરાવતો ધાતુનો પોલો નળાકાર જોવા મળે છે. તેના બહારી છેડે એક ભુંગળ જેવી રચના હોય છે, જ્યારે નળાકારના સામેના છેડે જેના વડે વાદ્યમાં ફૂંક મારી શકાય તેવી માઉથ પીસ કહેવાતી પાતળી રચના જોડાયેલી હોય છે. માઉથપીસમાં રીડ તરીકે જાણીતી એક પાતળી પટ્ટી હોય છે, જેની મદદથી વાદ્યમાં ભરાતી હવા ચોક્કસ માત્રામાં કંપી, નળાકારની બહાર નીકળતી વખતે ખાસ સ્વર નીપજાવે છે. બહાર નીકળતી હવાને નળાકાર ઉપર નિયત અંતરે ગોઠવાયેલ ચાંપો વડે નિયંત્રીત કરી, અપેક્ષિત ધૂન વગાડવામાં આવે છે.

ક્લેરીનેટ વિવિધ આકારોમાં અને પ્રકારોમાં મળી આવે છે. જો કે તમામ પ્રકારોની મૂળ રચના તો સમાન જ હોય છે. સામાન્ય રીતે વરઘોડામાં અને સરઘસો સાથે વાગતાં બેન્ડમાં આ વાદ્ય અચૂક જોવા મળે છે. આ કારણથી તેને સાદું વાદ્ય ગણી લેવાય છે. પણ, સંગીતના જાણકારો તેને એક સંપૂર્ણ વાદ્ય તરીકે ઓળખાવે છે. ભારતીય તેમ જ પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતના કલાકારોએ ક્લેરીનેટ પર બહુ યાદગાર રચનાઓ છેડી છે. ઉદાહરણ તરીકે મીઠાલાલ વર્મા નામેરી કલાકાર આ વાદ્ય પર પહાડી ઠૂમરી રજૂ કરી રહ્યા છે. આ ધૂન સાંભળવાથી ક્લેરીનેટના સ્વરનો પરિચય થઈ શકશે.
હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો સારો એવો ઉપયોગ થયો છે. આપણે કેટલાંક ચુનંદાં ઉદાહરણો માણીએ.
૧૯૪૧ની ફિલ્મ ખજાનચીના ગીત ‘લૌટ ગયી પાપન અંધિયારી’ના વાદ્યવૃંદમાં સંગીતકાર ગુલામ હૈદરે ક્લેરીનેટનો સુપેરે ઉપયોગ કર્યો છે.
ફિલ્મ મહલ(૧૯૪૯) માટે સંગીતકાર ખેમચંદ પ્રકાશે તૈયાર કરેલાં ગીતો હિન્દી ફિલ્મી સંગીત માટે સીમા ચિહ્ન્રરૂપ બની રહ્યાં છે. અહીં તે પૈકીનું એક ‘મુશ્કિલ હૈ બહોત મુશ્કિલ, ચાહત કા ભૂલા દેના’ સાંભળતાં ખ્યાલ આવશે કે ગાયકી સાથે ક્લેરીનેટ કાને પડતું રહે છે.
સચીનદેવ બર્મનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ફિલ્મ અફસર(૧૯૫૦)નાં ગીતો આજે સાડાસાત દાયકા પછી પણ ચાહકોમાં ભારે પ્રિય બની રહ્યાં છે. તે પૈકીના એક ‘નૈના દિવાને કુછ નહીં માને’ સાથે ક્લેરીનેટની મધુર સંગત માણીએ.
ફિલ્મ આરામ(૧૯૫૧)ના સંગીતકાર હતા અનિલ બિશ્વાસ. તેમણે આ ફિલ્મના યાદગાર ગીત ‘મીલ મીલ કે બીછડ ગયે નૈન’ના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો પ્રભાવક ઉપયોગ કર્યો છે.
૧૯૫૨માં પ્રદર્શિત થયેલી ફિલ્મ બૈજુ બાવરાની સફળતામાં નૌશાદની ધૂનો પર બનેલાં ગીતોનું મોટું પ્રદાન હતું. તે પૈકીના એક ગીત ‘ઝૂલે મેં પવન કે આયી બહાર’માં ક્લેરીનેટના ધ્યાનાકર્ષક અંશો કાને પડતા રહે છે.
બહોત દિન હુએ(૧૯૫૪) નામની પ્રમાણમાં અજાણી ફિલ્મનું ગીત, ‘હીલ મીલ પૂજીયે નાગદેવતા’ માણીએ. એના વાદ્યવૃંદમાં ક્લેરીનેટના ટૂકડા આસાનીથી પારખી શકાય છે. આ ફિલ્મનું સંગીત પણ અજાણ્યા કહી શકાય સંગીતકારો શંકર શાસ્ત્રી અને બાલકૃષ્ણ કલ્લા દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.
ફિલ્મ ઝનક ઝનક પાયલ બાજે(૧૯૫૫) ના ગીત ‘સૂનો સૂનો મોરે રસીયા’ના વાદ્યવૃંદમાં ક્લેરીનેટનો અસરકારક પ્રયોગ થયેલો માણી શકાય છે. સંગીતકાર હતા વસંત દેસાઈ.
૧૯૫૬ની ફિલ્મ ઢાકે કી મલમલનું એક ગીત ‘જાદૂગર સાંવરીયા’ ક્લેરીનેટના કર્ણપ્રિય અંશોથી મઢેલું છે. આ ફિલ્મનું સંગીત ઓ.પી.નૈયરે તૈયાર કર્યું હતું.
હવે માણીએ ફિલ્મ સચ્ચા જૂઠાનું ક્લેરીનેટપ્રધાન ગીત ‘મેરી પ્યારી બહનીયાં બનેગી દુલ્હનીયાં’. સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું, પ્રસ્તુત ક્લીપમાં નાયક એક વરઘોડામાં વિવિધ વાદ્યો વગાડે છે, જ્યાં 0.59 થી 1.7 દરમિયાન તે ક્લેરીનેટ છેડી રહેલો જોઈ શકાય છે.
વરઘોડાને સંલગ્ન વધુ એક ગીત માણીએ. ૧૯૭૩ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ ગુલામ બેગમ બાદશાહ માટે સંગીત કલ્યાણજી-આણંદજીએ તૈયાર કર્યું હતું. તે ફિલ્મનું ગીત ‘ઘોડી પે હો કર સવાર’ ક્લેરીનેટના પ્રભાવક અંશોથી સજેલું છે.
https://www.youtube.com/watch?v=ofCjicIg_Bg
ફિલ્મ ફાઈવ રાઈફલ્સ(૧૯૭૪)માં કલ્યાણજી-આણંદજીનું સંગીતનિર્દેશન હતું. ઉક્ત ફિલ્મના ગીત ‘જબ સે સરકાર ને ‘નશાબંદી તોડ દી’માં ગાયકીની સાથે સાથે ક્લેરીનેટના સૂરો વહેતા રહે છે.
https://www.youtube.com/watch?v=nVwZzXK_buI
પ્રસ્તુત ગીત ‘મેરી કિસ્મત મેં તૂ નહીં શાયદ’માં કરુણ ભાવ ઉપજાવવા માટે ક્લેરીનેટના સૂરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલનું સંગીત ધરાવતી ફિલ્મ પ્રેમરોગ(૧૯૮૨)નાં ગીતો આજે પણ ખાસ્સાં લોકપ્રિય છે.
https://www.youtube.com/watch?v=F9EI6cz_ff4
આજની કડીની આખરમાં ૧૯૮૩ની ફિલ્મ મવાલીનું ક્લેરીનેટના કર્ણપ્રિય અંશો ધરાવતું ગીત ‘રામા રામા રામા રામા રામા રામા’ સાંભળીએ. સંગીત નિર્દેશન બપ્પી લાહીરીનું છે.
https://www.youtube.com/watch?v=RYO2y6fVfaU
અહીં અટકીએ. હવે પછીની કડીમાં અન્ય એક ફૂંકવાદ્ય સાથે મળીશું.
નોંધ :
૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.
૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.
૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.
સંપર્ક સૂત્રો :
શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com -
ફિલ્મી ગઝલો – ૧૦૫. કુમાર શર્મા બનવાસી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
નામ પરથી એવું લાગે છે કે કુમાર શર્મા આ ગીતકારનું નામ અને બનવાસી તખલ્લુસ હશે. જો કે એમણે લખેલા ગીતોમાંના કોઈમાં એ તખલ્લુસનો ઉપયોગ થયો હોય એવું ભળાતું નથી. એમણે લખેલા કુલ વીસ ગીતોમાંથી ૬ મેનેજર ( ૧૯૪૭ ) ના, ૬ કિસ કી જીત ( ૧૯૪૮ ) ના, ૫ આફ્રિકા ( ૧૯૫૪ ) ના અને એક – એક ગીત વનરાજ ( ૧૯૫૨ ), બિહારી ( ૧૯૪૮ ) અને સિપૈયા ( ૧૯૪૯ ) નું છે.
એમની એક માત્ર ગઝલ –
દિલ કી દુનિયા પે છા ગયા કોઈ
મુજકો અપના બના ગયા કોઈમૈને અબ તક ન કુછ ભી સીખા થા
પ્યાર કરના સિખા ગયા કોઈમસ્ત આંખોં કે એક ઈશારે સે
આગ દિલ મેં લગા ગયા કોઈચૈન તબ સે હી હો ગયા રુખસદ
આંખ જબ સે લડા ગયા કોઈપ્યાર મેં મૈં તો હો ગઈ પાગલ
મુજ પે જાદૂ ચલા ગયા કોઈ..– ફિલ્મ : આફ્રિકા ૧૯૫૪
– મુબારક બેગમ
– રોબિન ચેટર્જી
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
એસ ધમ્મો સનંતનો – બે મહાકાવ્યો: શ્રીમદ્ રામાયણ અને મહાભારત [૩]
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.
અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.
બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના પ્રથમ ભાગમાં આપણે કથા પ્રારંભ, રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?, રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ, તેમજ રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં વિવિધ પાસાંઓની વાત કરી.
તે પછી બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિનાં આ બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણતરી, વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, કુરુ વંશવૃક્ષ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, તેમજ આ મણકા માટે આધાર લીધેલા અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ વગેરે બાબતોની વાત કરી.
આજે હવે ત્રીજા અને છેલ્લા મણકામાં આપણે રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ તેમજ અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની વાત કરીશું.
રામાયણ-મહાભારત કાળની સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ
રામાયણ અને મહાભારત વચ્ચે ત્રેતા યુગ અને દ્વાપર યુગનાં વચ્ચેનું, એક યુગ જેટલું, સમયકાળનું અંતર છે. આમ છતાં, બન્ને મહાકાવ્યોના વ્યક્તિસમુહો અને ઘટનાઓમાં જે કેટલીક નોંધપાત્ર સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓ રહેલી છે તેની સંક્ષિપ્ત ચર્ચા અસ્થાને નહીં ગણાય.
૧) વાલ્મીકી રામાયણ અને તેના પછી લખાયેલાં અનેક સંસ્કરણોમાં શ્રીરામ અને તેમના બહુખ્યાત ત્રણ ભાઈઓ લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન કેન્દ્રસ્થાને છે. મહાભારતમાં યુધિષ્ઠિર, ભીમ, અર્જુન, નકુળ અને સહદેવ એમ પાંચ ભાઈઓ છે. રામાયણમાંની પાંચમા ભાઈની ખોટ રામના અનન્ય ભક્ત હનુમાનના પાત્રથી પુરી થતી અનુભવી શકાય છે.
૨) રામાયણના મુળ નાયક અવતાર પુરુષ શ્રીરામ છે. મહાભારતમાં શ્રીકૃષ્ણ અવતાર પુરુષ હોવા છતાં કથા નાયક નથી, પરંતુ સમગ્ર મહાભારત કથામાં છવાયેલા રહે છે. શ્રીકૃષ્ણની કૂટનીતિ અને દીર્ઘદૃષ્ટિને કારણે કૌરવો કરતાં પાંડવો ઓછી સંખ્યામાં હોવા છતાં પણ યુદ્ધમાં ભીષ્મને મરણતોલ હાલતમાં ઘાયલ કરવાને અને દ્રોણાચાર્ય, કર્ણ અને દુર્યોધન જેવા મહાપ્રરાક્રમી યોદ્ધાઓનો વધ કરી શકવાને સમર્થ બની શકે છે. બીજી દૃષ્ટિ જોઈએ તો ધર્મની રક્ષા કરવા મર્યાદાપુરુષોત્તમ એવા રામ સ્વયં ધર્મ અનુપાલન આચરણ કરીને પોતાની પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણને વિકટ ધર્મસંકટમાં મુકે છે. જ્યારે શ્રીકૃષ્ણ ધર્મની સ્થાપના માટે વ્યવહારુ ધર્મ અપનાવીને કૌરવો અને તેમના સાથીઓ દ્વારા આચરતા અધર્મને પરાજિત કરે છે.
૩) પુત્રેષ્ઠિ યજ્ઞનો આશરો લઈને સૂર્યવંશની ઓગણચાલીસમી પેઢીના વંશજ માટે દશરથ પોતાની ત્રણ પત્નીઓ દ્વારા શ્રીરામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન એમ ચાર પુત્ર સંતાનો પ્રાપ્ત કરે છે.
મહાભારત ચંદ્ર વંશની કથા છે. એક તબક્કે આ વંશનું સાતત્ય જાળવવું જોખમમાં આવી પડે છે. એ સમયે ભારદ્વાજ ઋષિની સહાયથી નિયોગપ્રાપ્તિનો માર્ગ અપનાવીને વંશનો વિલોપ થતો અટકે છે.
આપણી ગાંધર્વ પરંપરા અનુસાર રાજા દુષ્યંત શંકુતલાથી દેહસંબંધ બાંધી ભરત નામના પુત્રને પ્રાપ્ત કરે છે. પ્રારંભમાં દુષ્યંત ભરતને પોતાના પુત્ર તરીકે સ્વીકારતા નથી. પરંતુ નાટકીય ઘટનાક્રમ પછી ભરતનો પુત્ર તરીકે તેઓ સ્વીકાર કરે છે તેથી ચંદ્રવંશ ટકી જાય છે. આ વંશમાં છ – સાત પેઢી પછી કુરુ રાજ્યધુરા સંભાળે છે. તેના નામથી હવે ચંદ્રવંશ કુરુવંશ તરીકે ઓળખાય છે.
એ વંશમાં આગળ જતાં શાંતનુ રાજા બને છે. તેને ગંગાથી એક પુત્ર દેવવ્રત પ્રાપ્ત થાય છે. દેવવ્રત એટલે મહાભારતની કથાના ભીષ્મ પિતામહ. શાંતનુ સાથે લગ્ન થાય તે પહેલાં શાંતનુનાં બીજાં પત્ની સત્યવતીને ઋષિ પરાશરથી વેદવ્યાસ નામના પુત્ર છે. શાંતનુ સાથે લગ્નસંબંધથી સત્યવતીને ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય એમ બે પુત્રો થાય છે. ચિત્રાંગદ પુત્રપ્રાપ્તિ પહેલાં જ યુદ્ધમાં મૃત્યુ પામે છે. દેવવ્રતે આ જન્મ બ્રહ્મચર્યનું પાલન કરવાનું પણ લીધું છે. આ સંજોગોમાં કુરુવંશને ચાલુ રાખવા માટે આજની પેઢીને પણ આંચકો લાગે એવા નિર્ણય દ્વારા સત્યવતી ભીષ્મને કાશીનરેશની ત્રણ પુત્રીઓ અંબા, અંબિકા અને અંબાલિકાનું અપહરણ કરીને વિચિત્રવીર્ય સાથે લગ્ન કરવા ફરજ પાડે છે.
અંબા તો કોઈ અન્ય સાથે પ્રેમમાં હોવાને કારણે આ વાત નથી માનતી પણ અંબિકા અને અંબાલિકા વિચિત્રવીર્ય વેરે લગ્ન કરે છે. વિચિત્રવીર્ય સંતાનપ્રાપ્તિ માટે અસમર્થ છે. તેથી નિયોગ પદ્ધતિથી વેદવ્યાસ દ્વારા અંબિકાને ધૃતરાષ્ટ્ર અને અંબાલિકાને પાંડુ એમ પુત્રો પ્રાપ્ત થાય છે. તદુપરાંત ધૃતરાષ્ટ્રની દાસીથી વેદવ્યાસ દ્વારા વિદુરની પણ પ્રાપ્તિ થાય છે. અંબા પોતાના પર કરાયેલા અત્યાચારથી રોષે ભરાઈને ભીષ્મને શ્રાપ આપે છે કે બીજા જન્મમાં તે જાતિ પરિવર્તન કરીને શિખંડી તરીકે પુરુષનો અવતાર લઈને ભીષ્મનાં મૃત્યુનું કારણ બનશે.
ધૃતરાષ્ટ્રનાં લગ્ન ગાંધારી સાથે થયાં. એ લગ્નથી તેમને દુર્યોધન સહિત ૧૦૦ દીકરાઓ અને દુશાલા નામની એક દીકરી હતાં. તે ઉપરાંત એક વૈશ્ય કન્યાથી ધૃતરાષ્ટ્રને યુયુત્સુ નામનો પણ એક પુત્ર હતો. સત્યવતીએ પાંડુનાં લગ્ન કુંતી અને માદ્રી સાથે કરાવ્યાં. કુંતિને પુત્રપ્રાપ્તિનું મંત્રશક્તિનું વરદાન હતું. તે વરદાનની મંત્રશક્તિને ચકાસવા જતાં કુંતીને લગ્ન પહેલાં સૂર્યદેવથી કર્ણ પ્રાપ્ત થયો હતો. લગ્ન પછી કુંતીને અન્ય ત્રણ પુત્રો – (ધર્મદેવથી) યુધિષ્ઠિર, (વાયુદેવથી) ભીમ અને (ઇન્દ્રથી) અર્જુન – થયા હતા. એ જ મંત્રશક્તિની મદદથી માદ્રીને (અશ્વિની કુમારોથી) સહદેવ અને નકુળ એમ બે પુત્રો થયા હતા.
આમ સૂર્યવંશ લગ્નની શાત્રોક્ત વિધિપૂર્વક સંતાનોની પ્રાપ્તિ કરે છે, જ્યારે ચંદ્રવંશ લગ્નેતર નિયોગ પદ્ધતિથી આગળ વધે છે.
૪) રામાયણમાં સૂર્યવંશના રાજા દશરથને બહુ જાણીતી શ્રવણ કથામાં શ્રાપ મળે છે. એ કથા મુજબ, એક સમયે દશરથ જંગલમાં મૃગયા નિમિત્તે નીકળ્યા હોય છે. તે સમયે શ્રવણ પોતાના અંધ મા – બાપ માટે નદીમાંથી ઘડા વાટે પાણી ભરવા આવ્યો હોય છે. ઘડામાં પાણી ભરાવાના અવાજને દશરથ હરણ પાણી પીવા આવ્યું છે એમ માનીને તીર છોડે છે, જેને કારણે શ્રવણનો વધ થાય છે. શ્રવણનાં અંધ મા – બાપ પાસે દશરથ પોતાના અપરાધનો સ્વીકાર કરે છે. શ્રવણનાં મા – બાપ દશરથને શ્રાપ આપે છે કે તેને પણ આ જ રીતે સંતાન વિયોગ થશે અને પોતાના અપરાધના બોજ હેઠળ દબાઈને તે મૃત્યુ પામશે. રામાયણની કથામાં જણાવ્યા મુજબ પાટવી કુંવર રામના રાજ્યાભિષેક સમયે દશરથનાં ત્રીજાં પત્ની દશરથ પાસે તેણે આપેલા બે વચનો પુરાં કરવાની માગણી કરે છે. એ વચનોના પાલન રૂપે કૈકેયી રામને ચૌદ વર્ષનો વનવાસ અને પોતાના પુત્ર ભરતને અયોધ્યાનો રાજ્યકારભાર માગે છે. આ વચનોના આઘાતથી બીમાર પડેલ રામ – સીતા અને લક્ષ્મણના વનવાસની વ્યથામાં જ એક પણ પુત્રની હાજરી વગર અવસાન પામે છે.
મહાભારત કથામાં પાંડુ એક વાર શિકાર માટે નીકળ્યા હોય છે ત્યારે સંભોગગ્રસ્ત હરણ અને હરણીનો વધ કરે છે. આ હરણ અને હરણી આમ તો શ્રાપિત ઋષિ અને તેનાં પત્ની હતાં. તેઓ પાંડુને શ્રાપ આપે છે કે ભવિષ્યમાં પાંડુ જ્યારે પણ કામગ્રસ્ત થશે ત્યારે તેનું મૃત્યુ થશે. પાંડુ તે પછી બહુ જ સંયમ પાળતા હતા. પરંતુ એક વાર મૃગયા વિહાર સમયે તે માદ્રી સાથે કામવશ થાય છે તેવું જ તેમનું મૃત્યુ થાય છે.
આમ બન્ને મહાકાવ્યોમાં બન્ને વંશના જે તે સમયના રાજાઓનાં મૃત્યુની ઘટનાઓમાં શ્રાપને કારણે થતાં મૃત્યુની ઘટનાઓમાં સમાંતરતા જળવાતી જોવા મળે છે.
૫. વર્તમાન સમયમાં કોઈ પણ સામાજિક કે કૌટુંબીક ઝઘડાના મૂળમાં, તળપદી ભાષામાં, જર, જમીન અને જોરૂ માનવામાં આવે છે.
રામયણમાં રામનાં પત્ની સીતા (સ્ત્રી / પત્ની)નું રાવણ દ્વારા અપહરણ યુદ્ધને નોતરે છે. એ યુદ્ધમાં રાવણનો વધ થાય છે. તે સાથે, અમુક અપવાદોને બાદ કરતાં, સમગ્ર રાક્ષસકુળનો પણ નાશ થાય છે.
મહાભારતનાં યુદ્ધનું કારણ રાજ્ય (જમીન) માટે પાંડવો અને કૌરવો વચ્ચે વારસાઈ હક્કનો વિવાદ છે. રાજયનો અર્ધો ભાગ તો શું પણ કૃષ્ણે વિવાદની સુલેહ માટે માત્ર પાંચ ગામ આપવાની સલાહ માનવાની બાબતે પણ કૌરવોની આડોડાઈના ભાગ રૂપે દુર્યોધન ધરાર ના પાડે છે. જેને કારણે થયેલાં મહા યુદ્ધને અંતે કૃષ્ણની મદદથી પાંડવો ભરત વંશના રાજવી તરીકે પ્રસ્થાપિત થાય છે. પરંતુ એ યુદ્ધમાં લાખો લોકોનો સંહાર થાય છે. એ પછીથી કળિયુગની શરૂઆત થયેલી મનાય છે.
આજે જ્યારે ઘોર કળિયુગની સંધિ ચાલી રહી છે ત્યારે જર (નાણાં/ સંપતિ)નું પ્રાધાન્ય જમીન અને જોરૂ કરતાં પણ વિશેષ બની રહ્યું છે. આજે હવે એમ જ માનવામાંઆવે છે કે જો ધન હશે તો જમીન અને જોરૂ બન્ને મળી શકે છે.
૬) રામાયણમાં વિભિષણ રાક્ષસ કુળ છોડી રામ, એટલે કે ધર્મ અને સત્ય,ને સાથ આપે છે. જો વિભિષણ ન હોત તો રામને રાક્ષસ કુળ પર સરળતાથી વિજય પ્રાપ્ત થયો હોત કે કેમ સવાલ છે. મહાભારતમાં વિભિષણની ભૂમિકા દુર્યોધનનો સાવકો ભાઈ યુયુત્સુ ભજવે છે. યુદ્ધમાં તેણે પાંડવોના પક્ષે રહીને તેમને ખુબ મદદ કરી હતી. યુદ્ધની સમાપ્તિ પછી, યુધિષ્ઠિર પ્રાંરભમાં યુયુત્સુને પોતાના સલાહકાર તરીકે અને પછીથી એક સ્વતંત્ર રાજવી તરીકે આદર આપે છે.
૭) રામયણમાં રાવણને તેના ભાઈઓ કુંભકર્ણ, વિભિષણ તેમજ અન્ય સલાહકારો રામ સાથે યુદ્ધ નોતરી લેવાને બદલે સીતાજીને આદર સન્માનપૂર્વક પરત કરવાનો આગ્રહ કરે છે. પરંતુ, રાવણપુત્ર મેઘનાદ (ઇન્દ્રજીત) પોતાના પિતાને આવું કોઈ પગલું ન ભરવાનો દુરાગ્રહ સેવે છે. પરિણામે, જે યુદ્ધ થાય છે તેમાં મેઘનાદનો લક્ષ્મણના હાથે અને રાવણ અને કુંભકર્ણનો રામના હાથે નાશ થાય છે.
મહાભારતમાં શ્રીકૃષ્ણ, વિદુર અને અન્ય સલાહકારો દુર્યોધનને પાંડવોને તેમના હિસ્સાનું રાજ્ય સોંપી દઈને યુદ્ધ ટાળવાની સાચી સલાહ આપે છે. પરંતુ અહીં કર્ણ દુર્યોધનને આવી કોઈ સુલેહ કરવાની ના પાડે છે. એમ માની શકાય કે જો કર્ણ ન હોત તો કદાચ મહાભારતનું યુદ્ધ ન થયું હોત અને લાખો લોકોનો સંહાર રોકી શકાયો હોત !
૮) રામાયણમાં રામના સ્વર્ગારોહણ વિશેની આધારભૂત માહિતી મળતી નથી. જો સાતમા ઉત્તરકાંડને આપણે પ્રક્ષિપ્ત ન માનીએ તો રામે રાવણ્વિજય બાદ અયોધ્યા પર ૧૧ વર્ષ રાજ્ય કર્યું. તે પ્છીથી સીતાજી અને લક્ષ્મણની વિદાય બાદ તેમણે સરયુમાં જળસમાધિ લઈને પરમતત્ત્વમાં ભળી ગયા. મહાભારત કથા પ્રમાણે યુધિષ્ઠિરનાં ૩૬ વર્ષના શાસનકાળ પછીથી જરા નામના પારધીના હાથે શ્રીકૃષ્ણે પણ દેહત્યાગ કર્યો અને બ્રહ્મમાં વિલીન થઈ ગયા.
આપણા ધર્મગ્રંથો પ્રમાણે રામ અને લક્ષ્મણની અંતિમ વિદાય પછી સૂર્યવંશના વંશજો તરીકે લવકુશ અને લક્ષ્મણના પુત્રો અંગદ અને ચંદ્રકેતુ, ભરતના પુત્ર ભૌમન્યુ અને શત્રુઘ્નના પુત્રો શત્રુગતિ અને સુબાહુએ જુદા જુદા પ્રદેશો પર શાંતિપૂર્વક રાજ્ય કર્યું.
મહાભારતનાં યુદ્ધ પછીના ૩૬ વર્ષના શાસનકાળ બાદ, પાંચ પાંડવો અને દ્રૌપદીએ સુમેરૂ પર્વત પર જઈને હિમગાળામાં પોતાના દેહત્યાગ કર્યા. અભિમન્યુ અને ઉત્તરાના ગર્ભસ્થ સંતાનને મારી નાખવાના અશ્વત્થામાના પ્રયત્નને શ્રીકૃષ્ણએ નિષ્ફળ બનાવ્યો. પરિણામે યુધિષ્ઠિર પછી કુરુ વંશનું રાજ્ય પરીક્ષિતે નિભાવ્યું. દુર્ભાગ્યે, પરીક્ષિત વડે શમિક ઋષિનું અપમાન થયું, તેથી, ઋષિપુત્રના શ્રાપને લઈને પરિક્ષિતનું મૃત્યુ થયું. તેના પછી તેના પુત્ર જન્મેજયે પાંડવો અને કૌરવોનું રાજ્ય સંભાળ્યું અને ચંદ્રવંશને આગળ વધાર્યો. પુરાણોની યાદી પ્રમાણે સૂર્યવંશના પ્રમાણમાં ચંદ્રવંશે વધારે પ્રતાપી રાજાઓ આપવા છતાં આ વંશ પ્રમાણમાં વહેલો લુપ્ત થઈ ગયો.
૯) રામાયણમાં જોઈ શકાય છે કે વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ગુરુઓ રામ અને અન્ય સૂર્યવંશીઓને ઓછી સલાહ આપે છે. જ્યારે મહાભારતમાં મૃત્યુશય્યા પર પોઢેલા ભીષ્મ પિતામહ યુધિષ્ઠિર અને પાંડવોને રાજ્યધર્મ વિશે અને જીવનનાં અનેક પાસાંઓ બાબતે વિગતે ઉપદેશ આપે છે. યક્ષ અને યુધિષ્ઠિરના પ્રખ્યાત સંવાદમાં પણ માનવ સમાજને સ્પર્શતા અનેક ઉપદેશો છે. શ્રીમદ્ ભગવદ્ગીતામાં અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા અપાયેલ ઉપદેશ વિશ્વનો શ્રેષ્ઠ ઉપદેશ મનાય છે. એ આદેશોમાં યુદ્ધ પણ એક ધર્મ શી રીતે બની રહી શકે એવું પણ શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ્યું છે. તે ઉપરાંત, માત્ર ૭૦૦ શ્લોકોમાં વેદજ્ઞાન અને વેદાન્તનું દોહન કરીને શ્રીકૃષ્ણે ભારતીય ઋષિ પ્રજ્ઞાને બચાવી લીધી છે. એમ કહેવાય છે કે ઉપનિષદો ભૂતકાળમાં અને બીજા બે કાળમાં પણ એટલાં જ પ્રાસંગિક છે અને આજના આધુનિક યુગમાં પણ આ વેદાન્ત દર્શન એટલું જ આધારભૂત છે. તે જ પ્રમાણે ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે મોડર્ન મૅનેજમૅન્ટ ગુરુની ભૂમિકામાં અદ્ભૂત નાયક તરીકે ભાગ ભજવ્યો છે. પરિણામે, ભગવદ્ગીતા માત્ર આધ્યાત્મિક ઉપદેશ ગ્રંથ બની રહેવાને બદલે મૅનેજમૅન્ટ કાર્યપ્રણાલીનાં આધુનિક વિજ્ઞાનનું એક સીમાચિહ્ન બની રહેલ છે.
૧૦) આપણા ધર્મગ્રંથો લક્ષ્મણને શેષાવતાર માને છે. આથી લક્ષ્મણે જળસમાધિ લીધી ત્યારે તેઓ શેષનાગ બનીને સરયૂ નદીના જળમાં સમાઈ જાય છે.
મહાભારતમાં શ્રીકૃષ્ણના મોટાભાઈ, બલરામ, પણ આવું જ વિશિષ્ટ પાત્ર છે, જેને પણ શેષાવતાર ગણવામાં આવે છે. કૌરવો અને પાંડવો વચેની બલરામની તટસ્થ નીતિ કૃષ્ણને પસંદ નથી હોતી. તેથી, જ્યારે કૃષ્ણને વિદિત થઈ જાય છે કે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ હવે અનિવાર્ય છે, ત્યારે તેઓ બલરામને ૪૨ દિવસનાં તીર્થાટન પર મોકલી દે છે. બલરામ મહાભારતના યુદ્ધના અંતિમ દિવસે પાછા ફરે છે. તે સમયે તેઓ યુદ્ધ સંહાર નિહાળીને અત્યંત નારાજ થાય છે. તે પછી તેઓ તરત જ જળસમાધિ લે છે. ત્યારે પણ તેમનું સ્વરૂપ શેષાવતારનું હોય છે.
૧૧) રામાયણમાં રાવણપુત્ર મેઘનાદને એક મહાન તાંત્રિક દર્શાવાયો છે. રામ – રાવણનું યુદ્ધ જ્યારે અંતિમ તબક્કામાં હોય છે ત્યારે મેઘનાદે દેવીતંત્રની સહાયથી રામ અને લક્ષ્મણના વધનો પ્રયાસ કર્યો હતો. તે એ પ્રયાસમાં નિષ્ફળ રહે છે અને લક્ષ્મણના હાથે તેનું મૃત્ય નિપજે છે.
તાંત્રિક વિદ્યાની સહાય લેવાની ભૂમિકા મહાભારતમાં દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાએ ભજવી છે. પોતાના પિતા દ્રોણાચાર્યનું મૃત્યુ તે પાંડવોને હાથે છળકપટથી થતું જુએ છે. તે પછી બધા કૌરવોને પણ યુદ્ધભૂમિમાં હણાયેલા જોઈને તેનામાં પ્રગટેલો ક્રોધાગ્નિ તેને બધો વિવેક ભુલાવી દે છે. શિવતંત્રનો તે મહાન ઉપાસક હતો. તેથી શિવતંત્રનો દુરુપયોગ કરીને પાંડવોથી થયેલા દ્રૌપદીના પાંચ પુત્રો, ધૃષ્ટદ્યુમ્ન અને પાંડવ સેનાના બચી ગયેલ અનેક વીરનાયકોનો સંહાર કરી નાખે છે. આમ છતાં પણ તેનો ક્રોધાગ્નિ શાંત થતો નથી, એટલે તે બ્રહ્માસ્ત્ર છોડીને ઉત્તરાના ગર્ભમાં રહેલ પુત્રને મારવાનો પ્રયાસ કરે છે. શ્રીકૃષ્ણ તેનો પ્રયાસ અસફળ કરે છે અને શ્રાપ આપે છે કે અશ્વત્થામાએ કળિયુગના અંત સુધી પૃથ્વી પર ભટકતા રહેવું પડશે.
૧૩) રામાયણમાં દશરથની ત્રણ પત્નીઓ – કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી- ના મૃત્યુ વિશે ચોક્કસ માહિતી મળતી નથી. જ્યારે મહાભારતમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને કુંતી સાથે યુદ્ધ પતી ગયાના થોડાં વર્ષો બાદ વનપસ્થાન કરે છે અને ગંગાદ્વાર નજીક દાવાનલમાં દેહત્યાગ કરે છે. માદ્રી પાંડુનાં અવસાન સાથે જ સતી થયાં છે.
૧૪) રામાયણમાં પ્રારંભમાં ખલનાયકની ભૂમિકા કૈકેયીની દાસી ભજવે છે. પછીથી એ ભૂમિકામાં રાવણની બહેન શુપર્ણખા ભજવે છે. મંથરાને કુબ્જા તરીકે વર્ણવાઈ છે. શુપર્ણખાનું નાક કાપી નાખીને લક્ષ્મણ તેને કદરૂપી બનાવે છે.
મહાભારતમાં ખલનાયકની ભૂમિકા પ્રારંભમાં ગાંધારીનો ભાઈ શકુનિ ભજવે છે. દ્યુતમાં છળકપટથી યુધિષ્ઠિરને હરાવીને પાંડવો અને દ્રૌપદીને વનવાસ અપાવે છે. તે ઉપરાંત ભરી સભામાં દૌપદીનું ઘૃણાસ્પદ રીતે અપમાન પણ પ્રયોજે છે. એ કાર્યમાં દુર્યોધનની સાથે કર્ણ અને દુઃશાસન પણ વરવી ભૂમિકા ભજવે છે. અગ્નિમાંથી પેદા થયેલાં હોવાથી પોતાના અપમાનને દ્રૌપદી ભુલી નથી શકતાં અને મહાભારતનું યુદ્ધ કરાવીને બદલો વાળે છે.
૧૫) જો સાતમા ઉત્તરકાંડને ધ્યાનમાં ન લઈએ તો રામ સીતા સાથે અયોધ્યા પાછા આવીને રામરાજ્યની સ્થાપના કરે છે. પરંતુ મહાભારતમાં જ્યારે ગાંધારીને વિદિત થાય છે કે પોતાના પુત્રોને હણી નાખવામાં શ્રીકૃષ્ણની ભૂમિકા મુખ્ય છે ત્યારે ક્રોધિત થઈને તે શ્રીકૃષ્ણનો તેમના કુળ સાથે વિનાશ થઈ જશે એવો શ્રાપ આપે છે. ક્દાચ શ્રીકૃષ્ણને પોતાના કુળના આ રીતે થનાર નાશની નિયતિ અને કારણ જાણ હશે એટલે કોઈ પણ જાતના પ્રતિકાર વિના એ શ્રાપનો સ્વીકાર કરે છે. છેવટે યાદવાસ્થળીમાં સમગ્ર યાદવ કુળનો નાશ થાય છે.
૧૬) ભારત પરનાં બ્રિટિશ શાસન કાળ દરમ્યાન કેટલાક અંગ્રેજ અમલદારો ભારતના પ્રાચીન જ્ઞાનથી ભારે પ્રભાવિત થયા હતા. ૧૯મી સદીમાં આવા એક અમલદાર જે. એફ. હ્યુઈટ હતા. તેઓએ આપણા પ્રાચીન જ્ઞાનને કંઠસ્થ કર્યું. આટલેથી ન અટકતાં તેઓએ વિશ્વ સમક્ષ એવું સંશોધન રજુ કર્યું કે ભારતના ઋષિઓએ ગ્રહ નક્ષત્રોની ગણતરીને આધારે વિશ્વને સાચાં કેલેન્ડરની ભેટ આપી છે.
હ્યુઈટે પ્રતિપાદિત કર્યું કે ક્રમાનુસાર પહેલાં બે ઋતુ, પછી ત્રણ ઋતુ,પછી ૧૧ મહિના, ૧૩, ૧૫ અને ૧૭ મહિનાનું વર્ષ અસ્તિત્વમાં આવ્યું. આજથી ૧૬,૦૦૦ વર્ષ પૂર્વે જ્યારે શ્રીરામનું રાજ્ય હતું ત્યારે વિશ્વભરમાં ૧૦-૧૦ મહિનાના ચાર એવાં ત્રણ વર્ષનાં ચક્રનું પણ પ્રચલન હતું. તેનું સૂત્ર આ પ્રમાણે છેઃ
૧. ૨૭ નક્ષત્રો x ૪૦ = ૧૦૮૦ દિવસ
૨. ૩૬૦ દિવસ x ૩ વર્ષ = ૧૦૮૦ દિવસ
સામાન્ય પ્રજાને આ સંખ્યા યાદ રહી રહી જાય એટલે રાજાઓનાં નામ પણ દશરથ, દશાનન રાવણ વગેરે હતાં. રામે લંકામાં યુદ્ધ કર્યું ત્યારે પણ આ ગાળો દશ મહિનાનો હતો. ચારના આંકડાને પ્રતિપાદિત કરવા દશરથના પુત્રોની સંખ્યા ચાર લખી અને ત્રણની સંખ્યા દર્શાવવા દશરથની રાણીઓની સંખ્યા ત્રણની દર્શાવી.
મહાભારતના સમયમાં ૧૮ મહિનાનું વર્ષ હતું અને મહિનો ૨૦ દિવસનો હતો. સામાન્ય લોકોને ૧૮ની સંખ્યા યાદ રહી જાય એટલે મહાભારતમાં ૧૮ પર્વો છે. કૌરવોની સેનાની સંખ્યા ૧૮ અક્ષૌહિણી છે. યુદ્ધનો સમયગાળો ૧૮ દિવસનો છે. ભગવદ્ગીતાના અધ્યાય પણ ૧૮ છે.
હ્યુઈટ લખે છે કે યુદ્ધની સમાપ્તિ પછી જ્યારે પરીક્ષિત રાજા બને છે ત્યારે ભારતમાં સૂર્યની ગતિ આધારિત ૧૨ મહિનાના વર્ષનું પ્રચલન થાય છે. હ્યુઈટ જણાવે છે કે વિશ્વ આ માટે ભારતનું ઋણી છે.
અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિ
કૃતિ
કર્તા
રામાયણ
૧ વાલ્મિકી રામાયણ (ગુજરાતી) ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ ૨ વાલ્મિકી રામાયણ (હિન્દી અને ગુજરાતી) ગીતા પ્રેસ, ગોરખપુર ૩ વાલ્મિકી રામાયણ (અંગ્રેજી) રોબર્ટ અને સેલી ગોલ્ડમેન ૪ વાલ્મિકી રામાયણ (ગુજરાતી) વિજયભાઈ પંડ્યા ૫ રામાયણ (સંસ્કૃત અને અંગ્રેજી) ક્લે સંસ્કૃત લાયબ્રેરી ૬ The Ramayana Unravelled અમી ગણાત્રા ૭ રામાયણ (અંગ્રેજી) રાજ ગોપાલાચારી મહાભારત
૧ મહાભારત (અંગ્રેજી) Johannes Adrianus Bernardus van Buitenen ૨ મહાભારત (અંગ્રેજી) પી. લાલ ૩ મહાભારત (સંસ્કૃત અને અંગ્રેજી) ક્લે સંસ્કૃત લાયબ્રેરી ૪ મહાભારત (હિન્દી) ગીતા પ્રેસ, ગોરખપુર ૫ The Mahabharat Unravelled અમી ગણાત્રા ૬ મહાભારત (અંગ્રેજી) રાજ ગોપાલાચારી રામાયણમાં અમરત્વને વરેલ રામના અનન્ય ભક્ત હનુમાનની છબી ભક્તોના હૃદયમાં રામ, સીતા, લક્ષ્મણ, ભરતની સમકક્ષ ગણાય છે. સંત તુલસીદાસે રામચરિત માનસમાં હનુમાન ચાલીસાની રચના કરીને આપણને ધન્ય કર્યાં છે.
હવે પછી આપણે એક બીજા મહાન પ્રાચીન ગ્રંથ, ભગવદ્ ગીતા, વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
ઉંમરનું રહસ્ય
દેવિકા રાહુલ ધ્રુવ
જેમ સમયનું વિસ્મય છે તેમ ‘ઉંમર’ શબ્દનું વિસ્મય પણ છે અને રહસ્ય પણ છે. એક નહિ પણ એના ઘણાં બધાં રહસ્યો છે અને અનેક અર્થછાયાઓ છે. પહેલાં તો વિચાર એમ આવે કે ઉંમર એટલે ઉંમર. એમાં વળી શું રહસ્યો? સાચી વાત છે. પણ ગુજરાતી ભાષાના શબ્દોને સમૃદ્ધિની દેન છે. એટલે કે, શબ્દોમાં, એના અર્થોમાં, ભાવોમાં, સૌંદર્યમાં અનોખી તાકાત છે. જરાક ઊંડા ઉતરીને છણાવટ કરવા બેસીએ તો એમાંથી રસપ્રદ મઝાની વાતો મળતી જશે.
પહેલો સવાલ એ કે, ઉંમર શબ્દ આવ્યો ક્યાંથી? તો એ મૂળ અરબી શબ્દ उम्र પરથી ઉતરી આવેલો સ્ત્રીલિંગ શબ્દ છે. શબ્દકોષ મુજબ એનો અર્થ વય, વર્ષ, જીવનકાલ, આયુષ્ય વગેરે કરવામાં આવે છે તે તો સર્વવિદિત છે. અંગ્રેજી ડિક્ષનેરી પણ કહે છે કે, the length of time that a person has lived or a thing has existed. એટલે કે, સજીવ વ્યક્તિ, નિર્જિવ વસ્તુ કે ઘટનાના સમયનું માપ એટલે ઉંમર. પણ એનાયે વિભાગો કેટલા બધા? જો માનવજાતની વાત કરીએ તો બાલ્યાવસ્થા, યુવાવસ્થા, પ્રૌઢાવસ્થા, વયોવસ્થા વગેરે. જો જીવનની વાત કરીએ તો દશકો, શતકો/સદીઓ, યુગો વગેરે. દિવસનું પણ કલાકો, મિનિટો અને સેકંડમાં વિભાજન. કુદરતની વાત કરીએ તો ૠતુઓના ભાગ. હવે આ દરેક વિભાગો એક યા બીજી રીતે કશાકની સાથે જોડાયેલા છે.
હવે વાત વિચારીશું માણસની ઉંમરની કે એ કોની સાથે જોડાયેલી છે. દરેક વ્યક્તિની ઉંમર મન સાથે જોડાયેલી છે અને તન સાથે તો જરૂર જોડાયેલી છે. આપણે ભલે કહીએ કે, ઉંમર એ માત્ર નંબરો છે. સરસ વાત છે અને એ જીવનને હકારાત્મક રસ્તે રાખવાનું એક જરૂરી મનોબળ પણ આપે છે; પણ હકીકતે ઉંમર મુજબ દરેકનાં તન અને મન, બંનેના આવેગો સંકળાયેલા હોય છે. એટલે કે, દરેકની ઉંમર પ્રમાણે કાર્ય, કર્મ, ક્રિયાઓ, ગતિ, વિચારશક્તિ, સ્વભાવ વગેરે અલગ અલગ બનતાં જતાં હોય છે. એટલે ઉંમરનું આ એક પહેલું રહસ્ય છે. મા,પા,બા, બોલતા, ભાખોડિયાં ભરતા,પા પા પગલી માંડતા બાળકથી માંડીને જીવનની સંધ્યાએ પહોંચેલ, લાકડીને ટેકે ચાલતી અને સૂના બાંકડે બેઠેલ પ્રત્યેક વ્યક્તિની ગતિ-વિધિ, ઉંમર મુજબ બદલાતી રહેતી હોય છે. બીજું, ઉંમર પ્રમાણે બોલી બદલાય છે, રમકડાં બદલાય છે, ટેવો બદલાય છે, વર્તન બદલાય છે. જ્યારે આપણે ૧૦ની ઉંમરના હોઈએ ત્યારે આઈસ્ક્રીમ, ચોકલેટમાં રસ હોય, ૨૦ વર્ષની ઉંમરે ભણવામાં, કેરિયરમાં અથવા યૌવન સહજ ઊર્મિઓમાં રસ જાગે, ૩૦ની ઉંમરે પરિવાર, ઘર વગેરેમાં રસ હોય અને પછી તો જેમજેમ ઉંમર વધે તેમતેમ જરૂરિયાતો, શોખ અને ઘણું બધું બદલાતું જાય છે.
હવે ઉંમરની આ બધી વિવિધતાને કારણે ભાષામાં એના ઉપરથી કેટકેટલી મઝાની કહેવતો, રુઢિપ્રયોગો વગેરે રચાયાં? બીજા શબ્દોમાં ઉંમર, તેની આ અલગ અલગ ગતિ-વિધિ મુજબ સાહિત્યના ખજાના સાથે સંકળાઈ એ પણ એક રસપ્રદ વાત જ ને?
જુઓઃ
ઉંમરમાં આવવું.
પરણવાની ઉંમરે પહોંચવું.ઉંમરે પહોંચવું.
અંતિમ પડાવે આવવું.અવસ્થાએ પહોંચવું.
વાળ ધોળા થયા. વગેરે વગેરે.
આટલી વાત પછી આ બધી કહેવતોના અર્થ ભાગ્યે જ સમજાવવાની જરૂર રહે છે.
હવે મુદ્દો તનનો વિચારીએ તો, ચહેરાની રેખાઓથી માંડીને ચામડી,ચાલ અને કદ પણ બદલાય છે એ તો સૌ કોઈ જાણે છે. પ્રત્યેક જીવ માત્રને માટે થતી રહેતી એ અનિવાર્ય સ્થિતિઓ છે અને છતાં નવાઈની અને રહસ્યની વાત તો એ છે કે, આપણે આપણને રોજેરોજ દર્પણમાં જોઈએ છીએ પણ ક્યારે અને કેવી રીતે આ બદલાવ થયો એ કોઈને ખબર પડતી નથી. બોલો, આ ઉંમરનો જ તકાજો નહિ તો બીજું શું?
રોજ રોજ નજરોની સામે જ દિવસ ને રાત, કેવું હરતું ને ફરતું .
સાવ કાચી માટીનું સજેલું આ પુતળું, ક્યારે કાયાને બદલતું.
પૂછો તો પૂછો, કોઈ કોને કે કેવી રીતે ને કોણ કરતું?
કોની કરામત ને કેવા યે તારથી જાદૂઈ ખેલ બધા રચતું…..કુદરતમાં પણ આ જ છે ને?
હવે આટલી વાત અને આ સમજણ તો બધાંને જ છે. તો ઉંમર વિશે બીજી જે ખાસ વાત છે તે એની હળવી હળવી અને મસ્તીભરી ઘટનાઓ. કેટલાક લોકો એવા હોય છે કે તેમને ઉંમર વધવાની સાથે કેટલીક અસમર્થતાઓ ઊભી થતી હોય છતાં તેઓ એ સ્વીકારવા તૈયાર હોતા નથી. આમ તો એ સારી વાત કહેવાય. પણ એમાંથી કેટલીક વાર છબરડાઓ ઊભા થતા હોય છે. ખાસ કરીને આંખ અને કાનની તકલીફને કારણે. આ લખતાંની સાથે- ઓહો, અનાયાસે જ દલપતરામનું એક વર્ષો જૂનું પાત્ર જીવરામ ભટ્ટ સાંભરે છે. એમને રાત્રે દેખાતું નથી અને છુપાવવા જાય છે. પણ પછી તો રાતના જમવાના સમયે કંસાર પીરસતા સાસુને, પાડી સમજીને લાત મારે છે અને પછી પોકળ બહાર પડે ત્યારે કેવું હાસ્ય નીપજે છે! એટલે ઉંમર ન સ્વીકારવાનું મિથ્યાભિમાન આવા ખેલો ઊભા કરે છે.
આવી રીતે કાનની તકલીફને કારણે ઉભા થતા હજારો દાખલાઓ મળી આવે છે. એના ઉપરથી તોઃ
“ મારી સાસુએ એમ કહ્યું કે ગોખમાં દીવો મેલ.
મે ભોળીએ એમ જાણ્યું કે, સોડમાં દીવો મેલ’ જેવાં ગીતો પણ રચાતાં અને રમૂજી ટુચકા તો અસંખ્ય મળી આવે.એક માણસ તો વળી ઉંમરને કારણે સાંભળે ઓછું પણ પોતે બહેરો છે તે વાત માને જ નહિ. એની સાથે વાત કરનાર વ્યક્તિ મોટેથી બોલે તો એ તરત તાડૂકેઃ ધીમે બોલ ને, હું કોઈ બહેરો નથી!
અહીં સુરેશ દલાલની એક મઝાની પંક્તિઓ યાદ આવે છે.
આંખ તો મારી આથમી રહી ને કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે: હમણાં હું તો ચાલી.આ છે ઉંમરની વાસ્તવિકતા.
કેટલાકને વળી ખરેખર ઉંમર જણાતી નથી હોતી. તંદુરસ્તી એવી જાળવી રાખી હોય કે ૮૦ની ઉંમરે પણ ગરબા ફરી શકે અને નૃત્ય પણ કરી શકે. પણ ખુબી તો એ છે કે, તેમને જોનાર પ્રશંસા કર્યા પછી એક વાત તો જરૂર ઉમેરે કે, વાહ… આ ઉંમરે પણ તમે સરસ નાચી શકો છો! દેખાવ સુંદર લાગે તો પણ વખાણ કરતાં પેલું વાક્ય તો ઉમેરે જ , “આ ઉંમરે પણ..” એટલે આ ઉંમરનો ઉલ્લેખ કર્યા વગર તો કોઈ વાત કરે જ નહિ. જો વધુ યાદ કરીશું તો આપણે પણ દાદીમા માટે એમ કહેતા કે બાને “આ ઉંમરે” પણ કેટલું બધું હજી યાદ છે! અને નવાઈ તો એ છે કે આપણને આપણી “એ ઉંમરે” એવી સમજણ નથી હોતી પણ છેક દાદીની ઉંમરે પહોંચીએ છીએ ત્યારે જ સમજાય છે! એટલે ઉંમર સમજણ સાથે પણ કેવી સંકળાયેલી છે?
સાચે જ, કહેવાયું છે ને કે, “ઉંમરનો સૂરજ આસમાને જેમજેમ ચડતો જાય તેમતેમ આપણા અહંનો પડછાયો અને સકલ બ્રહ્માંડમાં આપણો પોતાનો આપણે જ કાઢેલો ક્યાસ નાનો ને વાસ્તવિક થતો જાય છે.”
આમ, ઉંમર શબ્દને વિસ્તારથી આ રીતે વિચાર્યા પછી કહેવાનું તો એટલું જ રહે કે, ઉંમર ઉંમરનું કામ કરે અને આપણે આપણું. કારણ કે, Age is a matter of mind over matter. If you don’t mind it doesn’t matter.
દરેક ઉંમરને એનું સૌંદર્ય છે. ચહેરાની દરેક રેખા, દરેક કરચલી કે ઉંમરના દરેક સળની પાછળ એક અણકહી વાર્તા છુપાયેલી છે. ઇંગ્રિડ બર્ગ્મેનનું એક સરસ વાક્ય છે જેનો ભાવ એવો છે કે, ઉંમર એ એક પર્વત પરનું ચઢાણ છે. છેક ટોચ પર પહોંચીને પાછું વળી જોઈએ તો દૃશ્ય ખૂબ રળિયામણું લાગે. અબ્રાહમ લિંકને પણ એ જ કહ્યું છે ને કે, It is not years in your life that count. It’s the life in your years.
શારીરિક ઉંમર ભલે વધે, માનસિક ઉંમર વધવા ન દેવી. સફળતાની અને સુખની એ એક જ ચાવી. અમેરિકન એક કવયિત્રી પૅટ્રિસિયા ફ્લેમિન્ગની ઘણી કવિતાઓમાંથી ઉંમરના વર્ણન હોય છે અને તેમાંથી પ્રેરણાત્મક સંદેશાઓ મળે છે. તેમની એક લાંબી કવિતા I’m still hereના થોડા મને ગમતા અંશ સાથે આ લેખનું સમાપન કરું.
My looks are nothing special,
My face reveals my age,
My body shows some wear and tear,
And my energy’s not the same.Too often my memory fails me,
And I lose things all the time.
One minute I know what I plan to do,
And the next it may just slip my mind.I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.I’m still here and want so much to live,
And I know that there’s no one in this world quite like me,
And no one who has more to give.ઉંમરનાં સૌંદર્યની કેવી સરસ વાત!
I’m still quite aware of the beauty inside,
And my value should not be dismissed.
Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
તે નુકસાનકારક છે, પણ તેના વિના ચાલે એમ નથી
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
હવે તો શાળામાં ભણતાં બચ્ચાં પણ જાણે છે કે પ્લાસ્ટિક એટલે પર્યાવરણનો દુશ્મન. તેનો ઊપયોગ ઘટાડવો જોઈએ, તેને રિસાયકલ કરવું જોઈએ વગેરે…પર્યાવરણને લગતી વિવિધ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ આ વિષય પર વક્તવ્ય આપે, ચિત્ર દોરે કે નિબંધ લખે એટલે પત્યું. આયોજકોને અને સ્પર્ધકોને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ થઈ જાય.
શાળાઓમાં પણ રિસાયકલીંગ એક પ્રોજેક્ટ લેખે હાથ પર લેવામાં આવે છે, અને તત્પૂરતા વિદ્યાર્થીઓને તેનાથી જાગ્રત બનાવવાનો પ્રયત્ન કરાય છે. આ બધું તેને સ્થાને બરાબર છે, પણ એ કોઈ નક્કર ઊકેલ તરફ ભાગ્યે જ દોરી જાય છે. પ્લાસ્ટિક હવે આપણા જીવનનું એવું અભિન્ન અંગ બની ગયું છે કે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ, આપણાં ઘરોમાં તે પ્રવેશી જાય છે. પ્લાસ્ટિકના ઊપયોગને ઘટાડવાની જાહેરખબરો વિવિધ પ્રસાર-પ્રચાર માધ્યમોમાં જોરશોરથી કરવામાં આવે છે, પણ એનું પરિણામ શું? પ્લાસ્ટિકનો ઊપયોગ હવે એક હદથી વધુ ઘટાડવો શક્ય નથી, પણ તેના રિસાયકલીંગની યોગ્ય વ્યવસ્થા ગોઠવી શકાય તો સમસ્યા કંઈક હળવી બની શકે.
છેલ્લા કેટલાક દાયકાઓમાં પ્લાસ્ટિકનું ઉત્પાદન અનેકગણું વધ્યું છે. તે સસ્તું, સુયોગ્ય અને સક્ષમ હોવાથી અનેક ઠેકાણે તેનો ઊપયોગ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ પચાસ વર્ષ પહેલાંની સરખામણીએ પ્લાસ્ટિકનો આપણો ઊપયોગ વીસ ગણો વધ્યો છે, એમ પ્લાસ્ટિકનો 90 ટકા કચરો લૅન્ડફીલમાં કે સમુદ્રમાં ઠલવાય છે અને સરવાળે અનેક સમસ્યાઓ ખડી કરે છે. પ્લાસ્ટિકના રિસાયકલીંગ માટે પર્યાવરણને સાનુકૂળ હોય એવા વિકલ્પ વિચારવા રહ્યા, એમ તેના નિકાલની અને નિકાલ ટાણે જ વિભાજનની સુયોગ્ય વ્યવસ્થા ગોઠવવી રહી.
પ્લાસ્ટિકના તેના બંધારણ અનુસાર વિવિધ પ્રકાર હોય છે અને તમામ પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકે એવાં નથી હોતાં. આથી સૌ પ્રથમ એ જાણી લેવું જરૂરી છે કે કયાં કયાં પ્લાસ્ટિક રિસાયકલ કરી શકાય એમ છે.
પોલિઈથીલીન ટર્ફ્થેલેટ (પી.ઈ.ટી.- પૅટ) તરીકે ઓળખાતું આ પ્લાસ્ટિક મોટે ભાગે ખોરાકી અને પીણાંનાં પેકેજિંગ માટે ઊપયોગમાં લેવાય છે. એ મજબૂત, હલકું અને સોંઘું છે. સીંગલ-યુઝ પ્લાસ્ટિક તરીકે તે સામાન્ય રીતે વપરાય છે અને તે સંપૂર્ણપણે રિસાયકલ કરી શકાય છે.
બીજા પ્રકારનું પ્લાસ્ટિક છે એચ.ડી.પી.ઈ. એટલે કે હાઈ ડેન્સિટી પોલિઈથીલીન. તે મજબૂત અને ભારે તેમજ કાટરોધક છે. દૂધ, ડિટરજન્ટ, બ્લીચ, શેમ્પૂ જેવાં ઉત્પાદનો માટે તે વધુ ઉપયોગમાં લેવાય છે. એચ.ડી.પી.ઈ.ને પણ રિસાયકલ કરી શકાય છે.
એચ.ડી.પી.ઈ.ની જેમ એલ.ડી.પી.ઈ. એટલે કે લો ડેન્સિટી પોલિઈથીલીન મોટે ભાગે કડક અને લવચીક હોવાથી ટૂથપેસ્ટ, બ્રેડની કોથળીઓ વગેરેમાં ઊપયોગમાં લેવાય છે. તેને પણ રિસાયકલ કરી શકાય છે.
પોલિપ્રોપીલીન એટલે કે પી.પી. તરીકે ઓળખાતું પ્લાસ્ટિક સૌથી વધુ રિસાયકલ થાય છે. તેના ઊંચા ગલનબિંદુને કારણે પી.પી.નો ઊપયોગ ઉષ્ણ પ્રવાહી ભરવા માટેનાં કે અન્ય પ્રકારનાં પાત્રો બનાવવા માટે થાય છે.
આમ, આ ચાર પ્રકારનાં પ્લાસ્ટિકને રિસાયકલ કરીને તેમાંથી વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે. એ જ રીતે અમુક પ્રકારનાં પ્લાસ્ટિક રિસાયકલ થઈ શકતાં નથી. તેને પણ જાણી લેવાં જરૂરી છે.
પી.વી.સી. તરીકે ઓળખાતું પોલિવિનાઈલ ક્લોરાઈડ તેમજ વિનાઈલ રિસાયકલ કરી શકાતું નથી, કેમ કે, રિસાયકલ દરમિયાન તેમાંથી ક્લોરિન ઝેરી સામગ્રી છોડે છે. આ પ્લાસ્ટિક મજબૂત અને ટકાઊ હોવાથી તેનો ઊપયોગ ખાદ્ય તેલ, શેમ્પૂ વગેરેની શીશીઓ, હોઝપાઈપ વગેરેમાં કરવામાં આવે છે.
સ્ટાયરોફોમ તરીકે જાણીતું પોલિસ્ટાયરીન તમામ પ્રકારનાં પ્લાસ્ટિકમાં સૌથી મોટું પ્રદૂષક કહી શકાય. અનેક કંપનીઓએ હવે બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ શરૂ કર્યો છે, છતાં ખોરાક લઈ જવા વપરાતાં મોટા ભાગનાં પાત્રો અને પેકેજિંગ પોલિસ્ટાયરીનનાં હોય છે. તે રિસાયકલ થઈ શકતું નથી.
આ ઊપરાંત #7 તેમજ ‘Other’ છપાયેલું હોય એવી પ્લાસ્ટિક સામગ્રી કોઈ શ્રેણીમાં આવતી નથી, તેમજ તે રિસાયકલ પણ થઈ શકતી નથી. પોલિકાર્બોનેટ તેમજ પોલિલેક્ટિક એસિડનો આમાં સમાવેશ થાય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ટૂંકમાં કહીએ તો નાગરિકો કે દુકાનદારો પર આકરો દંડ ફટકારી દેવાથી આ સમસ્યા ઊકેલી શકાશે નહીં. એનાથી કદાચ રાજ્યની તિજોરીમાં આવક થશે, પણ સમસ્યા ઠેરની ઠેર રહેશે. પ્લાસ્ટિકના રિસાયકલનું આયોજન યોગ્ય રીતે વિચારીને કરવામાં આવે તો સરવાળે સમસ્યાને હળવી કરવાની દિશામાં કંઈક નક્કર કામ થઈ શકે, કેમ કે, એ હકીકત હવે સ્વીકારવા સિવાય છૂટકો નથી કે પ્લાસ્ટિક વિના જીવન શક્ય નથી. પ્લાસ્ટિકના ઊપયોગ અંગે જાગૃતિ જરૂરી છે, પણ એકલી જાગૃતિથી કશું ન થાય. તેના રિસાયકલની વ્યવસ્થા અને એ માટેનું યોગ્ય તંત્ર ઊભું કરવું જરૂરી છે. આમ કરવામાં જેટલું મોડું થશે એટલું નુકસાન છે, કેમ કે, પ્લાસ્ટિકનો ઊપયોગ દિન બ દિન એ હદે વધતો જાય છે કે તેની પર નિયંત્રણ મુશ્કેલ છે.
માત્ર જાહેરાતો, પ્રચારપ્રસાર કે સ્પર્ધાઓ યા સૂત્રોને બદલે કંઈક નક્કર પગલાં ભરાય એ હવે અનિવાર્ય બની રહ્યું છે. પ્લાસ્ટિક રિસાયકલની વ્યવસ્થા ઠેરઠેર ઊભી કરી શકાય તો એ બહુ કારગર નીવડી શકે એમ છે. નાગરિકોને પ્રદૂષણ માટે જવાબદાર ઠેરવીને કામ પૂરું થઈ જતું નથી. શાસક પક્ષે વધુ મોટી જવાબદારી છે. છેવટે આનાથી થનારું નુકસાન એકલા શાસક કે એકલા નાગરિકનું નહીં, પણ સમગ્ર માનવજાતનું છે. સૌ આ બાબતે થોડા વધુ જવાબદાર બને તો આ સમસ્યા કદાચ કંઈક હળવી બની શકે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૨-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
હંગર ઇન્ડેક્સ : ભૂખમરામાં ભારત ક્યાં છે ?
રમેશ ઓઝા
૨૦૨૪ના ‘વર્લ્ડ હંગર ઇન્ડેક્સ’ (ડબલ્યૂએચઆઈ) મુજબ જગતમાં કુલ ૧૨૭ દેશોમાં ભૂખની સમસ્યા છે અથવા પૂરતું પોષણ મળે એટલો ખોરાક મળતો નથી. જે બાળકો જન્મે છે તે કુપોષણના કારણે તંદુરસ્તી ભોગવતાં નથી અને કેટલાંક કમનસીબ બાળકો પાંચ વરસની ઉંમર ભાળતાં નથી. ડબલ્યૂએચઆઈએ ભૂખથી લઈને અપૂરતા પોષણ સુધીના કેટલાક માપદંડો વિકસાવ્યા છે અને તેને આધારે ગુણાંક આપે છે અને ગુણાંકના આધારે ઇન્ડેક્સમાં સ્થાન આપે છે. ભારતનું સ્થાન ૧૨૭ દેશોમાં ૧૦૫મું છે અને તેને મળેલા ગુણાંક ૨૭.૩ છે. ૨૦૦૦ની સાલમાં ભારતના ગુણાંક ૩૮.૪ હતા. ૨૦૦૮માં ૩૫.૨ હતા અને ૨૦૧૬માં ૨૯.૩ હતા. ૧૨૭ દેશેામાં ૧૦૫મું સ્થાન એ શરમની વાત છે.
જો ગુણાંક ઘટાડવા હોય અને ઇન્ડેક્સમાં ઉપરના ક્રમે જવું હોય તો સારું હંગર મેનેજમેન્ટ જરૂરી છે. ભારતને ૨૦૦૦ની સાલમાં હંગર મેનેજમેન્ટમાં જે ગુણાંક મળ્યા હતા તેમાં ૧૧નો ઘટાડો કરવામાં ૨૪ વરસ લાગ્યાં. હજુ તો આપણે ૨૭ પર છીએ. શૂન્ય પર પહોંચતાં કેટલાં વરસ લાગશે એનો અડસટ્ટો તમે માંડી લો. ગુણાંકમાં જે ૧૧નો ઘટાડો થયો છે તેમાં ત્રણનો ઘટાડો ૨૦૦૦થી ૨૦૦૮ સુધીનાં વર્ષોમાં થયો હતો. છનો ઘટાડો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં થયો છે અને ૨૦૧૬ થી ૨૦૨૪ સુધીનાં આઠ વરસમાં માત્ર બેનો ઘટાડો થયો છે. છની જગ્યાએ માત્ર બે. ભારત રફતાર પણ જાળવી નથી શક્યું. સ્થિતિમાં સુધારો થવાની જગ્યાએ બગડી રહી છે. જો આ રફતારે આપણે ભૂખનો સામનો કરીશું તો શૂન્ય પર પહોંચતાં આખી ૨૧મી સદી વીતી જશે અને બાવીસમી સદીમાં આપણે કેટલાક લોકોને ભૂખ્યા સુવડાવીને પ્રવેશીએ તો આશ્ર્ચર્ય નહીં !
ડબલ્યુએચઆઈના અહેવાલ મુજબ જો ગુણાંક ૫૦ કરતાં વધુ હોય તો તેવા દેશોની સ્થિતિ અત્યંત ચિંતાજનક (એક્સટ્રીમલી એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૩૫થી ૫૦ની વચ્ચે હોય તો એ ચિંતાજનક (એલાર્મિંગ) ગણાય. જો ગુણાંક ૨૦ થી ૩૫ની વચ્ચે હોય તો તેને ગંભીર સ્થિતિ ગણાય. જો ગુણાંક ૧૦થી ૨૦ની વચ્ચે હોય તો તેને બહુ ગંભીર નહીં અને હળવી (મોડરેટ) સ્થિતિ ગણાય અને જો દસની અંદર હોય તો રાહતરૂપ કહેવાય. ભારત ભૂખની ગંભીર સ્થિતિ ધરાવતા દેશોમાં સ્થાન ધરાવે છે અને પાકિસ્તાન અને અફઘાનિસ્તાનને છોડીને ભારતના પાડોશી દેશોમાંથી કોઈ દેશ આપણી સાથે નથી. ઘણા આગળ નીકળી ગયા છે. ભારત અને પાકિસ્તાન જ એવા દેશો છે જે હંગર મેનેજમેન્ટમાં આગળ જવાની જગ્યાએ પાછળ ગયા છે. ભારતે ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કર્યો હતો અને તેની તુલનામાં ૨૦૧૬થી ૨૦૨૪નાં વર્ષોમાં માત્ર બેનો ઘટાડો કર્યો.
આવું કેમ બન્યું ? આનું કારણ છે વિકાસલક્ષી ધોરણસર શાસનનો અભાવ અને ધર્મ અને ધર્મ આધારિત રાજકારણનો અતિરેક. હિંદુ-મુસલમાન અને ભારત-પાકિસ્તાન સિવાય કોઈ બીજી ચર્ચા જ નથી થતી. વિકાસનો વિમર્શ તો હવે મુઠ્ઠીભર સરોકાર ધરાવતા માણસો સુધી સીમિત થઈ ગયો છે. આજે તો જાણે દેશની સૌથી મોટી સમસ્યા ભૂખ નથી, મુસલમાન છે. જ્યાં પ્રાથમિકતા બદલાય ત્યાં પરિણામ બદલાય. એટલે તો ૨૦૦૮થી ૨૦૧૬નાં વર્ષોમાં ગુણાંકમાં છનો ઘટાડો કરનાર દેશ એના પછીનાં આઠ વર્ષમાં માત્ર બેનો ઘટાડો કરી શક્યો છે.
૧૬મી ઑક્ટોબરે ‘વર્લ્ડ ફૂડ ડે’ ઊજવાયો એ નિમિત્તે આ વાત તમારા વાંચવામાં આવી હશે. ભારત પણ અન્નની બાબતે આત્મનિર્ભર છે. જે સમસ્યા છે એ ગરીબીની છે અને પુરવઠાની છે. એક તો લોકો સુધી અન્ન પહોંચતું નથી અને પહોંચે છે તો લોકો પાસે ખરીદવા માટે પૈસા નથી. મહાનતાની ગુલબાંગ હાંકવાનો કોઈ અર્થ નથી જ્યારે વાસ્તવિકતા લજાવનારી હોય.
(દિ.ભા.માંથી ટૂંકાવીને સાભાર)
ભૂમિપુત્ર : ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫
