વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • મહેન્દ્ર શાહનાં મે ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો

    મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો

     

    Mahendra Shah’s creations for May 2025

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૦૬. મધુકર બિહારી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    ગીતકાર મધુકર બિહારી વિષે રસપ્રદ હકીકત એ કે એમણે માત્ર એક જ ફિલ્મ ‘ વિદ્યાર્થી ‘ માં સાત ગીત લખ્યા. એ ફિલ્મની કથા – પટકથા – સંવાદ એમણે જ લખ્યા અને નાયક તરીકેનું પાત્ર પણ એમણે જ નિભાવ્યું !

    એ ફિલ્મની આ જાણીતી ગઝલ એ એમની એકમાત્ર ગઝલ –

    ઉન્હેં મંઝિલ નહીં મિલતી જો કિસ્મત કે સહારે હૈં
    હૈ ઉનકી ઝિંદગી ભી મૌત જો હિમ્મત કો હારે હૈં

    ભલે તૂફાન ટકરાએં તેરી કિસ્મત કી લહરોં સે
    જિન્હેં ખુદ પર ભરોસા હૈ વો હરદમ હી કિનારે હૈં

    જો દેકર ઝિંદગી જીતે ઉન્હેં ક્યા મૌત કા ડર હૈ
    જો બુઝ કર રૌશની કરતે વહી રૌશન સિતારે હૈં

    નહીં મુશ્કિલ હૈ કુછ દુનિયા મેં ગર ઈંસાન ચાહે તો
    ફલક ચૂમે કદમ આ કર જો કુદરત કે નઝારે હૈં..

    – ફિલ્મ : વિદ્યાર્થી ૧૯૬૬
    – મોહમ્મદ રફી
    – બાબુ સિંગ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ખેલકૂદ, જીવન અને નેતૃત્વ – રમતમાંથી નીપજતા કેટલાક બોધપાઠો

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

     

    સામાન્યપણે ટેબલ ટેનિસ રમતી વખતે હું ધડાધડ સ્મેક્સ મારવાનું વધુ પસંદ કરૂં છું. પરંતુ આજની ખાસ રમતમાં, મારો હરીફ રક્ષણાત્મક રીતે રમી રહ્યો હતો.  પહેલી થોડી વાર મેં બોલને સ્મૅક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે મેં પોઈન્ટ ગુમાવ્યા.

    આ જોઈને મારા ડબલ્સ પાર્ટનરે આવીને મારા કાનમાં કહ્યું, “સામેવાળાની રમત મુજબ તમારી રમતમાં પ્રતિભાવ આપો. ફક્ત તમારી શૈલીથી જ ન રમ્યે રાખો, પરંતુ સામેવાળા જે રીતે રમી રહ્યા છે તેના અનુસાર અનુકૂલન સાધો.

    જ્યારે મેં અનુકૂલન સાધ્યું, ત્યારે મારી રમત સ્થિર થઈ અને તેનાથી અમારા હરીફો પર થોડું દબાણ વધ્યું. હું શીખ્યો કે અનુકૂલનક્ષમતા અને સાંદર્ભિક ગોઠવણી ખૂબ જ મહત્વપૂર્ણ છે – પછી  તે કુટુંબ હોય, કામ હોય કે ભલેને કોઈ રમત હોય!

    મેં મારા પાર્ટનરની સલાહ પર કામ કર્યું અને ફક્ત એક સરળ વસ્તુ પર ધ્યાન કેન્દ્રિત કર્યું: બોલને સતત નેટની બીજી બાજુ પાસ કરો. જે કામ સરળ, સીધોસાદો શૉટ કરી શકે છે ત્યારે કોઈ જોખમી, આક્રમક શૉટનો ઉપયોગ શા સારૂ કરવો?

    અમારા હરીફોએ મારી લયને વિક્ષેપિત કરવાનો પ્રયાસ કરીને થોડા પોઈન્ટ ગુમાવ્યા. મને સમજાયું કે લાંબા સમય સુધી સતત સરળ વસ્તુઓ કરવી, અને દરેક વખતે પ્રસંગવશાત સ્વયંસ્ફુરણાથી નાના કરેલા સુધારાઓ, ક્યારેક અચાનક કંઈક તીવ્ર કે આક્રમક વા કરતાં વધુ કામયાબ અને વધુ શક્તિશાળી બની શકે છે.

    તે પછીની એક બીજી સિંગલ્સની રમતમાં, મારો હરીફ બેચેન હતો. ટેક્નિકલી સારો ખેલાડી હોવાને કારણે, તે પોતાની રમતને ખૂબ ગંભીરતાથી લેતો હતો. તે આખો દિવસ પ્રેક્ટિસ કરતો રહેતો, ખોટો શૉટ રમાઇ જાય તો પોતાની મુઠ્ઠીઓ કચકચાવીને પોતાના પર જ ગુસ્સો કાઢતો. તેની સખત પ્રેક્ટિસ પાછળનું તેનું પ્રેરક બળ નિષ્ફળતાનો કાલ્પનિક ડર હતો; જેના કારણે તે તેની રમતનો ખરો આનંદ માણી શકતો ન હતો. રમત શરૂ થતાં સુધીમાં તો તે થાકી ગયો હતો!

    જ્યારે તમારો અભ્યાસ પરિપક્વ થાય છે, ત્યારે તે તમને વધુ ચિંતા નહીં કરાવે, પણ વધુ શાંત થવામાં મદદ કરશે!


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • ખરી સમસ્યા બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ રહેલી છે

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

    હાઈવે પરનો પેલો ફળ વેંચનારો યાદ છે? – વ્યાપાર ઉદ્યોગમાં માન્યતાની શક્તિ વિશે વાત કરતાં કરતાં મેં તુષારને પૂછ્યું.

    એ ફળ વેંચનારો અભણ હતો પણ કૃતનિશ્ચયી હતો. આખો દિવસ તે પોતાનાં ફળો વેંચવા માટે મહેનત કરતો રહેતો.  નવા નવા નુસ્ખા પનાવીને ગ્રાહકોને ખરીદવા માટે આકર્ષતો રહેતો. એનો વેપાર ધમધોકાર ચાલતો હતો. જેટલું વેચાણ થાય તેમાંથી બીજા દિવસ માટે વધારે સારાં અને વધારે વૈવિધ્યનાં ફળો લાવતો. પરિણામે, એનો ધંધો વધારે સારી રીતે ચાલતો હતો.

    એક દિવસ શહેરમાં ભણેલો દિકરો આવ્યો. દીકરા પાસે દેશની આર્થિક સ્થિતિનું જ્ઞાન છલકાતું હતું. તેણે પોતાના બાપને ચેતવ્યો, ‘બાપા, આર્થિક પરિસ્થિતિ ઘણી વિકટ ચાલી રહી છે. આવનારો સમય બહુ કપરો નીવડી શકે છે.

    ફળ વેંચનારને પણ ચિંતા પેઠી. હવે તે ઓછાં, અને સસ્તાં ફળો લાવવા લાગ્યો. તેનું વેચાણ તો ત્યારથી વધારે ને વધારે ગગડવા લાગ્યું.

    ‘મારો દીકરો સાચું કહેતો હતો’, તે હવે બબડતો રહેતો. ‘સમય ખરેખર બહુ ખરાબ આવ્યો છે.

    પરંતુ હકીકત એ હતી કે, આર્થિક પરિસ્થિતિ નહીં, પણ તેની બદલાયેલી માનસિકતાને કારણે તેનો વેપાર બેસી ગયો હતો. જેવો તે મંદીમાં માનવા લાગ્યો તેવી જ મંદી વાસ્તવિકતા બની તેની સામે આવી ગઈ.

    → ખરી સમસ્યા બહાર નથી, પણ આપણી અંદર રહેલી માનસિકતા છે, જે આપણા પ્રયાસોના પરિણામોને ઘડે છે.

    પાદ નોંધ : ઘણી વાર બાહ્ય પરિબળો કરતાં આપણી માન્યતાઓને આપણું નસીબ સોંપી દેવામાં ખરી સમસ્યા રહેલી હોય છે.


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • પ્રહલાદ ચુન્નીલાલ ( પી. સી.) વૈદ્ય: એક ગણિત યોગી

    થોડાં વર્ષો પહેલાં વેબ ગુર્જરીએ પ્રોફેસર જયંત નારળીકરને વિનંતિ કરી હતી કે તેમનો ગુજરાતના અગ્રગણ્ય ગણિતશાસ્ત્રી પ્રોફેસર પી સી (પ્રહ્‍લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ પ્રકાશન અર્થે આપે.

    નારળીકર સાહેબે એકદમ સરળ હિંદીમાં એ લેખ લખી આપ્યો. એટલું જ નહીં, પણ એ લેખની સાથે એક નોંધ પણ લખી કે મને ગુજરાતી આવડતું નથી એટલે આ લેખનો તમારે અનુવાદ કરવો પડશે.

    કેટલી સરળતા અને નમ્રતા.

    આટલી જ સરળતા અને નમ્રતા આ લેખમાંનાં બન્ને મુખ્ય પાત્રોમાં પણ સહજપણે અનુભવી શકાય છે.

    વેબ ગુર્જરીની સાઈટ ક્રેશ થઈ ગઈ એટલે એ લેખ તો ઉડી ગયો. તેથી, પ્રોફેસર જયંત નારળીકરની યાદને તાજી કરવાની સાથે પ્રોફેસર પી સી (પ્રહ્‍લાદ ચુનીલાલ) વૈદ્ય પરનો તેમનો લેખ આજે પ્રકાશિત કરીએ છીએ.

    આ લેખમાં જે ‘નાર્લીકર સાહેબ’નો ઉલ્લેખ છે તે શ્રી જયંત નારળીકરના પિતાશ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર છે.


    જયંત નાર્લીકર
    આયુકા, પુણે

    મારા બાળપણની એક યાદ! હું  કદાચ પ્રાથમિક શાળામાં હોઈશ. મારા પિતા એક પત્ર લઈને આવ્યા અને મારી માતાને કહ્યુંઃ “સાંભળો! વૈદ્ય સાહેબ આવવાના છે… આપણા સેમિનારમાં વ્યાખ્યાન આપશે.”

    “એકલા આવે છે કે કુટુંબ સાથે?” માએ પૂછ્યુ

    “એકલા! એમની દીકરીઓ હજી સ્કૂલમાં છે.” પિતાનો ખુલાસો સાંભળીને મા થોડી નિરાશ થઈ ગઈ.

    ૧૯૪૦-૫૦નો એ જમાનો હતો. બ્રિટિશ રાજ તેના છેલ્લા શ્વાસ લઈ રહ્યું હતું.  એક બાજુ, સત્યાગ્રહ, હડતાળ, રમખાણો વગેરે ચાલ્યા કરતાં તો બીજી બાજુ, દેશની યુનિવર્સિટીઓ, કૉલેજો અને શાળાઓ પોતાની તમામ  ક્ષમતાઓ સાથે શિક્ષણની ફરજો બજાવવામાં લાગી હતી. મારા પિતા બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. તે સમયના રિવાજ મુજબ, બનારસની બહારથી કોઈ કામ (લેક્ચર, પરીક્ષા, સેમિનાર, વગેરે) માટે યુનિવર્સિટીમાં આવતા પ્રોફેસરો તેમના રહેવા અને જમવાની વ્યવસ્થા  માટે ગેસ્ટ હાઉસ પસંદ ન કરતા પણ  પોતાના ઓળખીતા એવા શિક્ષક કે પ્રોફેસર ઉપર  છોડી દેતા.

    એટલે મેં ધાર્યું હતું કે મુલાકાતી મહેમાન, વૈદ્ય સાહેબ, બહારથી આવતા બીજા પ્રોફેસરોની જેમ કોટ-પેન્ટવાળા હશે. પણ જ્યારે સ્ટેશનેથી આવ્યા અને ટાંગામાંથી ઊતર્યા  ત્યારે મને નવાઈ લાગી કે આ મુસાફરે તો  ઝબ્બો-પાયજામો પહેર્યાં હતાં અને વળી માથે ગાંધી ટોપી!  મારા ચહેરા પર અચંબો માએ જોઈ લીધો હોય તેમ મને કહ્યું “દીકરા, આ પ્રોફેસર વૈદ્યસાહેબ છે.”

    xxxx

    તેમનો સાદો પહેરવેશ – ખાદીનો ઝબ્બો-પાયજામો ગાંધી ટોપી – જોઈને ખ્યાલ ન આવે કે એમના વિચારો કેવા  ઉચ્ચ વિચારો હતા. જો તેમના વિચારોને જ માત્ર ધ્યાનમાં લઈએ તો વૈદ્યસાહેબ અંદર અને બહાર બંને રીતે શિક્ષક હતા, અને તે પણ ફક્ત કોઈ યુનિવર્સિટીના જ નહીં, પરંતુ પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચતમ સંશોધનના વિષયો સુધીના!

    શિક્ષકો તો અનેક પ્રકારના હોય છે. એક બાજુથી તમને એવા શિક્ષકો મળશે જે વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનના પ્રકાશથી આંજી દે છે. પરંતુ એ ઝળહળતું જ્ઞાન વિદ્યાર્થીની શંકાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જાય છે. બીજી બાજુ,  એવા પણ શિક્ષકો હોય છે જેમની ભણાવવાની રીત જ એવી અઘરી હોય છે કે વિદ્યાર્થીઓ દુઃખી થઈને કહે છે: આના કરતાં તો ચોપડીઓ સારી છે, તો પછી આવા શિક્ષકનો શું ફાયદો?

    પરંતુ વિદ્યાર્થીઓને પોતાની રીતે વિચારવાની ટેવ પાડતા હોય, એવા શિક્ષકો બહુ ઓછા હોય છે. સમસ્યા ભૂમિતિને લગતી હોય, તો આવા શિક્ષક વિદ્યાર્થીઓને એવા પ્રમેયો વિશે વિચારવા માટે પ્રોત્સાહિત કરશે જે સમસ્યાના ઉકેલમાં મદદ કરી શકે. એક સારા શિક્ષકની ખાસિયત એ છે કે ઉપરોક્ત પ્રશ્ન ઉકેલ્યા પછી, વિદ્યાર્થી કહેશે: “મેં ઉકેલ્યો!” પીસી વૈદ્ય  એવા જ મહાન શિક્ષક હતા.

    હું તેમને મળ્યો ત્યારે એમણે મને શું કહ્યું તે તો યાદ નથી પણ મને તેની સાથે વાત કરવામાં કોઈ ખચકાટ નહોતો. પાછળથી ખબર પડી કે આ સજ્જન બ્લેકબોર્ડ પર સૌથી અઘરામાં અઘરા પ્રશ્નો પણ ઉકેલી શકે છે. તે સમયે, મને ન તો ખ્યાલ હતો કે ‘સૌથી અઘરો’ પ્રશ્ન શું હોય અને તેને કેવી રીતે ઉકેલવો તેની મને તો કંઈ ગતાગમ નહોતી.

    xxxx

    પ્રહલાદ ચુન્નીલાલ વૈદ્ય એવા હતા જેમને કારણે કબીરદાસનો દોહો સાર્થક થયો.

    गुरु गोविंद दोनों खड़े, काके लागू पाँय ।
    बलिहारी गुरु आपने गोविंद दियो बताय ||

    અહીં ‘ગોવિંદ’ નો અર્થ ગણિતની સમસ્યા હલ કરવાની યુક્તિ માનો!

    વૈદ્ય સાહેબની એક પહેલ એટ્લે ગુજરાત ગણિત બોર્ડ! વૈદ્ય સાહેબે ગણિતના શિક્ષકોને મદદ કરવા માટે આ સંસ્થા સ્થાપી. ગણિતના શિક્ષકોની સમસ્યાઓ ઉકેલવામાં શિક્ષકોને મદદ કરવા માટે વ્યાખ્યાનો, કાર્યશાળાઓ, ચર્ચાસત્રો વગેરે  યોજવાનો સંસ્થાનો ઉદ્દેશ હતો.  એમણે કલ્પનાશક્તિને જીવંત રાખવા માટે એક સામયિક પણ શરૂ કર્યું.  ‘સુગણિતમ્’ નામનું આ મેગેઝિન ગણિતના શિક્ષકોને મદદરૂપ લેખો પ્રકાશિત કરે છે.

    ઘણી વાર હું વૈદ્ય સાહેબ સાથે શિક્ષકોની બેઠકમાં જતો. એ વખતે મને ખ્યાલ આવ્યો કે લોકો આ સરળ વ્યક્તિને કેટલું માન આપે છે. મને લાગે છે કે તે બધા શિક્ષકો જાણતા હતા કે આ માણસ, ભલે તે સરળ દેખાય પણ શિસ્તનું મૂર્ત સ્વરૂપ હતો. તેઓ એ પણ જાણતા હતા કે જો પોતે જાતે પ્રયાસ કર્યા પછી પણ કોઈ પ્રશ્ન ઉકેલી નહીં શકે તો આ ‘શિક્ષકોના શિક્ષક’ એનો ઉકેલ શોધી આપશે, ખાલી બેઠા રહેશું અને કંઈ નહીં કરીએ તો પ્રશ્ન ઉકેલાશે નહીં.

    xxxx

    મને યાદ છે કે એક વાર  હું અને મારો નાનો ભાઈ અનંત મારા પિતાના અજમેરવાળા ઘરેથી મુંબઈ ગયા હતા. અજમેરથી અમદાવાદ થઈને મુંબઈ જવાનું હતું. આ રૂટ પર અમારે સવારથી સાંજ સુધી અમદાવાદમાં એક દિવસ વિતાવવાનો હતો. એટલે પિતાએ  એમને પૂછ્યું. વૈદ્ય સાહેબે તેનો તરત જ જવાબ લખ્યો: “જયંત અને અનંતને કહો કે મારે ઘરે આવે, અહીં જ જમે અને આરામ કરે.”

    અમે તે દિવસ એક સાદા કુટુંબમાં આરામથી ગાળ્યો. ટેન અમદાવાદ પહોંચી તો જોયું કે વૈદ્યસાહેબ પોતે જ અમને લેવા આવ્યા હતા.  ઘરમાં અમને કુટુંબના સભ્ય જેવો જ વ્યવહાર મળ્યો. મને હજુ પણ યાદ છે કે  અમે રસોડામાં બેસીને જમ્યા હતા. વૈદ્યસાહેબનાં પત્ની પાકકલામાં કેવાં પારંગત તે પણ યાદ છે.

    અમારી આગળની મુસાફરી ગુજરાત મેઇલ દ્વારા હતી. વૈદ્ય સાહેબે કહ્યું, “ચિંતા ન કરો. તમારા બંનેનું રિઝર્વેશન છે. ટ્રેન સમયસર પ્લેટફોર્મ પર આવશે. રિક્ષાથી સ્ટેશને પહોંચવા માટે તો અડધો કલાક ઘણો છે.” તેમના આશ્વાસન છતાં, મને ચિતા હતી કે. વૈદ્ય સાહેબ ભલે કુશળ ગણિતશાસ્ત્રી હોય, પણ શું તેમનું ગણિત રેલવેને પણ લાગુ પડશે?

    સમય જતાં, મને આ પ્રશ્નનો જવાબ મળી ગયો. રિક્ષાઓ સમયસર આવી. સમયસર રેલ્વે સ્ટેશન પહોંચ્યા. ગુજરાત મેઇલ સમયસર પ્લેટફોર્મ પર આવી. અમારી બર્થ પણ સમયસર મળી ગઈ. અને જ્યારે ટ્રેન સમયસર રવાના થવા લાગી, ત્યારે અમને  આશીર્વાદ આપતા વૈદ્ય સાહેબના શાંત ચહેરા પર એક સૂક્ષ્મ સ્મિત દેખાયું. જાણે કહેતા ન હોય: “જુઓ! મારું રેલવેનું ગણિત પણ સાચું પડ્યું ને?”

    xxxx

    ભલે હું વૈદ્ય સાહેબને બાળપણથી ઓળખતો હતો, છતાં તેમના સંશોધન કાર્યનું મહત્વ મને ધીમે ધીમે સમજાયું. ખગોળશાસ્ત્રમાં આપણને બ્રહ્માંડમાં પ્રકાશસ્રોતોનાં કેટલાંયે ઉદાહરણો મળે છે. આઈન્સ્ટાઈનનો સામાન્ય સાપેક્ષતાનો સિદ્ધાંત આપણને સમજાવે છે કે જો આવા સ્રોત બહુ ઘણી ઊર્જા છોડતા ન હોય અને કોઈ ધરીની ચારે બાજુ ભ્રમણ ન કરતા હોય તો એ ગોળાકાર હોય છે. આવા ગોળાકાર પદાર્થનું ગણિત શ્વાર્ત્ઝ્ચાઇલ્ડે બહુ વિસ્તારથી વિકસાવ્યું હતું.

    પરંતુ એનાથી આગળ, જે પ્રકાશ સ્રોત તીવ્ર ઉર્જા ઉત્સર્જિત કરતા હોય તેનું ગણિત શું હોઈ શકે? આ પ્રશ્નનો જવાબ મળવામાં ૨૫-૩૦ વર્ષ લાગી ગયાં.

    ૧૯૪૦ ની આસપાસ, મુંબઈના એક વિદ્યાર્થીને સાપેક્ષતાના સામાન્ય સિદ્ધાંતનો અભ્યાસ કરવાનો, સમજવાનો અને તેમાં સંશોધન કરવાનો વિચાર આવ્યો. પરંતુ આ્ના માટે તેમને એક માર્ગદર્શકની જરૂર હતી જે પોતે આ સિદ્ધાંતને સમજતો હોય. આવા જ એક સજ્જને બોમ્બે યુનિવર્સિટીમાં ભાષણ આપ્યું હતું. તેમને સાંભળતાંની સાથે જ વિદ્યાર્થીને લાગ્યું કે તેની  યોગ્ય ગુરુની શોધ પૂરી થઈ ગઈ છે.

    પીસી વૈદ્ય નામના તે વિદ્યાર્થીનો પરિચય બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU) માં ગણિતના પ્રોફેસર વિષ્ણુ વાસુદેવ નાર્લીકર સાથે થયો. વૈદ્ય સાહેબે પૂછ્યું, “શું તમે મને આ ક્ષેત્રમાં માર્ગદર્શન આપશો?”

    વિદ્યાર્થીનો રેકોર્ડ સારો હતો અને આ ક્ષેત્રમાં સંશોધન કરવાની માનસિક ક્ષમતા પણ હતી. પણ નાર્લીકર સાહેબ જાણવા માંગતા હતા કે તેઓ પોતાનું, પોતાની પત્નીનું અને પોતાની નાની દીકરીનું ગુજરાન કેવી રીતે ચલાવી શકશે?

    “મેં મારી પાછલી નોકરીઓમાંથી થોડા પૈસા બચાવ્યા છે. મને લાગે છે કે એ રકમ એક વર્ષ સુધી ચાલી જશે.” વૈદ્યસાહેબને વિશ્વાસ હતો કે તેમનું ગણિત સાચું નીકળશે. તેમને એવો પણ વિશ્વાસ હતો કે તેમના સંશોધન કાર્ય માટે એક વર્ષ પૂરતું હશે.

    આ રીતે, વૈદ્યસાહેબે બનારસમાં એક વર્ષ માટે ભાડાના મકાનમાં રહેવાની વ્યવસ્થા કરીને પોતાનું સંશોધન કાર્ય શરૂ કર્યું. તેમનો ઉદ્દેશ વ્યાપક સાપેક્ષતા દ્વારા ઊર્જા વિસર્જન કરનારા સ્રોતોનું વિશ્લેષણ કરવાનો હતો.

    સંશોધન આપણને નવા અને અજાણ્યા માર્ગો પર લઈ જાય છે. ગુરુ-શિષ્યની જોડી ઉત્સાહથી આ માર્ગો પર ફરવા લાગી. એક દિવસ એવો આવ્યો જ્યારે વૈદ્ય સાહેબ તેમના શિક્ષક પાસેથી પોતાનું ગણિત ચકાસવા માંગતા હતા. ગુરુએ કહ્યું, “ટેબલ પર રાખો, હું આજે જ જોઈ લઈશ.”

    વૈદ્યસાહેબ કેટલાંક કામો પૂરાં કરવા બહાર નીકળ્યા. પ્રશ્ન ૭૫ ટકા ઉકેલાઈ ગયો હતો. જો અહીં સુધીનું બધું ગણિત સાચું હોય તો પ્રશ્નનો બાકીનો ભાગ બે-ત્રણ દિવસમાં ઉકેલી શકાય તેમ હતું. પણ જો અત્યાર સુધીની ગણતરી ખોટી ન હોય તો!

    જ્યારે વૈદ્યસાહેબ પાછા ફર્યા, ત્યારે ગુરુએ કહ્યું, “બધું બરાબર છે. હવે બાકીનો ભાગ પણ પૂરો કરો!”

    હકીકતમાં ગુરુના અનુભવી જ્ઞાને તેમને પ્રશ્નનો બાકીનો ભાગ પૂરો કરવા માટે આહ્વાન કર્યું, પરંતુ તેમણે તેને હાથ ન લગાડ્યો. આ પ્રશ્ન તેમના વિદ્યાર્થીનો છે… તેણે એનો ઉકેલ શોધવો જોઈએ.

    વૈદ્યસાહેબે સમયસર આખી સમસ્યાનો ઉકેલ લાવી દીધો અને ખૂબ જ આનંદથી ગુરુ સમક્ષ રજૂ કર્યો.

    તે વાંચ્યા પછી, નાર્લીકરસાહેબે કહ્યું, “ખૂબ સરસ. હવે તેને સંશોધન પત્ર તરીકે લખો. આપણે તેને એક સારા રીસર્ચ જર્નલમાં મોકલાવશું.”

    જ્યારે વૈદ્ય સાહેબ લેખિત થીસીસ લાવ્યા, ત્યારે ગુરુજીએ એક ભાગ કાપી નાખ્યો… વૈદ્ય સાહેબે થીસીસ લેખકનાં નામ વી.વી.નાર્લીકર અને પી.સી. વૈદ્ય લખેલાં હતાં પણ નાર્લીકર સાહેબે પોતાનું નામ છેકી નાખ્યું અને ફક્ત “પી. સી. વૈદ્ય” રહેવા દીધું!

    સામાન્ય રીતે તો,  ઘણા ગુરુઓ તેમના શિષ્યોનાં નામ સાથે પોતાનાં નામ ઉમેરતા અને તેમના શિષ્યોની મહેનતનો ગેરલાભ લેતા. આ સ્થિતિમાં, નાર્લીકર સાહેબની આ રીત અનોખી હતી. મોટા ભાગનું કામ વૈદ્યે કર્યું હોય, તો તેનો યશ પણ વૈદ્યને જ મળવો જોઈએ.

    xxxx

    ઉપસંહાર તરીકે  એ કહેવું યોગ્ય છે કે આ કાર્ય માટે નાર્લીકરજીનું માર્ગદર્શન જરૂરી હતું, છતાં આ સંશોધનનો બધો યશ વૈદ્યસાહેબને જ મળે તે યોગ્ય હતું. આ બહુ અગત્યની વાત છે, કારણ કે ૧૯૬૫-૭૦ દરમિયાન ઊર્જાના વિસર્જન કરનારા સ્રોતોનો પ્રશ્ન બહુ પ્રચલિત થયો. કારણ તે સમયે ખગોળશાસ્ત્રીય અવલોકનોમાં આવા મોટા, ગાઢ, તેજસ્વી ઉર્જા સ્રોતો મળવા લાગ્યા. અને આજે પણ વૈદ્યસાહેબની શોધને Vaidya Metrics (વૈદ્યનો જવાબ) તરીકે  ઓળખીને સન્માન આપે છે.


    મૂળ હિંદીમાં લખાયેલા લેખનો અનુવાદઃ દિપક ધોળકિયા

     

  • એમની મુઠ્ઠીમાં આપણું ભાવિ છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    બદલાતી જતી ખાનપાનની આદતો માનવના સ્વાસ્થ્ય પર વિપરીત અસર કરી રહી છે, તેમ આ આહારને લઈને પર્યાવરણ પણ અસરગ્રસ્ત થઈ રહ્યું છે. આમ વાંચીને પહેલી નજરે એમ લાગે કે આવું શી રીતે બને? આંકડા અને અહેવાલ જોતાં તેની ભયાનકતા સમજાય.

    બિનઆલ્કોહોલિક પીણાં બનાવતી વિશ્વની સૌથી મોટી કંપની કોકા કોલાનું ઉદાહરણ આ સમજવા માટે પૂરતું રહેશે. એક અહેવાલ અનુસાર ઈ.સ. ૨૦૩૦ સુધીમાં આ કંપની દ્વારા ઊપયોગમાં લેવાતું પ્લાસ્ટિક પ્રતિ વર્ષ ૯૧૦ કરોડ પાઉન્‍ડ (આશરે ૪૧૩ કરોડ કિ.ગ્રા.)ના આંકડાને પાર કરી જશે. ઈ.સ. ૨૦૨૩માં આ કંપની દ્વારા વપરાયેલા પ્લાસ્ટિકના આંકડાની સરખામણીએ આમાં વીસ ટકા વધારો જણાયો છે. આ જથ્થો કેટલો? પૃથ્વી ફરતે સો કરતાં વધુ વખત પ્લાસ્ટિક વીંટાળી શકાય એટલો.

    અમેરિકાસ્થિત ‘ઓશના’ જૂથે આ અહેવાલ પ્રકાશિત કર્યો છે, જેમાં દર્શાવ્યું છે કે કોકાકોલા દ્વારા પેકેજિંગ માટે ઊપયોગમાં લેવાયેલા ૧૩૦ કરોડ પાઉન્‍ડ જેટલા અધધ પ્લાસ્ટિકનો જથ્થો વિશ્વભરના જળમાર્ગોમાં પ્રવેશવાની વકી છે, જે ૧૮૦ લાખ બ્લૂ વ્હેલના પેટમાં પહોંચી શકે એટલો છે. પ્લાસ્ટિક પ્રદૂષણ ફેલાવવામાં કોકા કોલા કંપની પ્રથમ સ્થાને છે. પર્યાવરણમાં મળી આવતા બ્રાન્‍ડેડ પ્લાસ્ટિકના કચરામાં તેનો ૧૧ ટકા હિસ્સો હોય છે. તેના પછીના ક્રમે પેપ્સિકો, નેસ્લે, ડેનન અને ઓલ્ટ્રીઆ જેવી કંપનીઓ છે. હાલ કોકા કોલા કંપની વરસેદહાડે તેર હજાર કરોડ પ્લાસ્ટિક બોટલો પેદા કરે છે. એક અંદાજ અનુસાર દર વરસે તે પચાસ હજાર કરોડ કરતાં વધુ બોટલોનું વેચાણ કરે છે.

    ©-OCEANA_Danny-Ocampo_Location-Mabini-Batangas
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ સૌ કોઈ જાણે છે કે કોકા કોલા એક બહુરાષ્ટ્રીય કંપની છે. તેના દ્વારા બનાવાતું અને વેચાતું પીણું પાણીમાં બનાવાયેલું એક દ્રાવણ માત્ર છે, જેનું કોઈ સ્વાસ્થ્યલક્ષી મૂલ્ય નથી. માત્ર ને માત્ર સ્વાદ ખાતર અને ઘણા ખરા કિસ્સામાં દેખાદેખીથી યા મોભાના કાલ્પનિક ખ્યાલથી પ્રેરાઈને લોકો તે પીવે છે. આમ તો દુનિયાનો પ્રત્યેક નાગરિક પોતાને મરજી પડે એ ખાવા કે પીવા માટે સ્વતંત્ર છે, પણ આ પીણાને લઈને જગતભરના પર્યાવરણ પર જે વિપરીત અસર થઈ રહી છે અને એ સતત વધતી રહી છે તેથી આટલી ટીપ્પણી.

    માત્ર ને માત્ર તગડો નફો રળવા પર ધ્યાન કેન્‍દ્રિત કરીને પર્યાવરણને ગંભીર નુકસાન કરે તો એનું કશું સામાજિક ઉત્તરદાયિત્ત્વ ખરું કે નહીં? ડિસેમ્બરમાં આ કંપનીએ પોતાનાં પર્યાવરણસંબંધી સ્વૈચ્છિક લક્ષ્યાંકોમાં ફેરફાર કર્યો હતો. અગાઉની જળ, પેકેજિંગ, હવામાન અને કૃષિ અંગેની પોતાની નિસ્બત અનુસાર ૨૦૨૨માં તેણે ઘોષણા કરેલી કે તેનાં પીણાંમાંનાં ઓછામાં ઓછા પચીસ ટકા રીફીલેબલ કે પાછા આપી શકાય એવાં પાત્રોમાં વેચવામાં આવશે. હવે કંપનીની વેબસાઈટ પરથી આ પ્રતિજ્ઞા હટાવી લેવાઈ છે.

    નવી ઘોષણામાં જણાવાયું છે કે હવે તે પ્રાથમિક પેકેજિંગમાં ૩૫થી ૪૦ ટકા સામગ્રી રિસાયકલ કરેલી વાપરશે. પ્રાથમિક પેકેજિંગ એટલે ઉત્પાદન સાથે સીધો સંપર્ક ધરાવતી સામગ્રી. ‘ઓશના’ના જણાવ્યા અનુસાર, આ કંપની પ્રવર્તમાન સ્તરેથી પ્લાસ્ટિકનો ઊપયોગ ત્યારે જ ઘટાડી શકે જો તે વર્ષ ૨૦૩૦ સુધીમાં રિયુઝેબલ પ્લાસ્ટિકનો ઊપયોગ ૨૬.૪ ટકા પર લાવી શકે.

    ‘રિસાયકલ’ અને ‘રિયુઝ’માં ફરક છે. ‘રિસાયકલ’માં એ સામગ્રીમાંથી જ નવી સામગ્રી બનાવવાની હોય છે, જેનો પુન:ઉપયોગ થઈ શકે. ‘રિયુઝ’માં એ જ સામગ્રીનો પુન:ઉપયોગ કરવાનો હોય છે. ‘ઓશના’ના સિનીયર વાઈસ પ્રેસિડેન્‍ટ મેટ લીટલજોહનના જણાવ્યા મુજબ, આ કંપનીની નિયંત્રણ બહારની પ્લાસ્ટિકની સમસ્યાનું સમાધાન ‘રિસાયકલ’થી નહીં, પણ ‘રિયુઝ’થી થઈ શકે એમ છે. રિસાયકલ કરેલી સામગ્રીમાંથી બનાવેલી સિંગલ યુઝ પ્લાસ્ટિકની બૉટલો નવી પ્લાસ્ટિક બૉટલોની જેમ જ દરિયાઈ પ્રદૂષણ કરે છે અને સમુદ્રી સૃષ્ટિને નુકસાન પહોંચાડે છે. અને આ કંપની સૌથી વધુ પ્રદૂષણ કરતી કંપની તરીકે બદનામ છે.

    બીજી તરફ કોકા કોલાના ચીફ એક્ઝિક્યુટિવ જેમ્સ ક્વીન્‍સીએ પોતાના રોકાણકારોને ચેતવતાં જણાવ્યું છે કે ટ્રમ્પ સરકાર દ્વારા લોખંડ અને એલ્યુમિનિયમની આયાત પર વધારાયેલા ૨૫ ટકા ટેરીફને કારણે ડબ્બામાં પૅક કરેલા ખોરાક અને પીણાંની કિંમતમાં વૃદ્ધિ થઈ શકે છે, જેને કારણે કંપની દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગમાં વધારો થઈ શકે છે.

    સો વાતની એક વાત એ છે કે પર્યાવરણ-બર્યાવરણ માર્યા ફરે, કંપનીને એનું જતન કે જાળવણીમાં કશો રસ નથી. નાણાંનું જોર હોય ત્યાં કોઈ કશું કરી શકતું નથી. સરકાર પણ નહીં. પર્યાવરણની સુરક્ષા કે જાળવણી અંગે વાતો તો ઘણી થાય છે, કાગળ પર ઘણી યોજનાઓ ઘડાય છે, પણ સરવાળે આ બધું પર્યાવરણને પ્રદૂષિત કરવામાં થોડો ઊમેરો કરે છે. એ ઉપરાંતની એની કોઈ અસર હોય તો એ છેવટે ઊપભોક્તાના ખિસ્સા પર થાય છે. સરકારોને રસ છે આવકમાં. પર્યાવરણના પ્રદૂષણનું આભ એ હદે ફાટ્યું છે કે એમાં એકલદોકલ નાગરિકો કે નાગરિકસમૂહોનું થીંગડું ખાસ કારગત ન નીવડી શકે.

    રાક્ષસી કદની કંપનીઓ અને તેમની સાથે સંકળાયેલા કરોડોના વ્યવહારો ગુમાવવા કોને પોસાય? એક જાગ્રત નાગરિક બિચારો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો પુન:ઉપયોગ કરીને પર્યાવરણ માટે કંઈક કરી છૂટ્યાનો સંતોષ લેતો હોય તેની સામે આવી કંપનીઓ અઢળક કચરો પેદા કરીને તેને ગમે ત્યાં ઠાલવીને પર્યાવરણને અનેકગણું પ્રદૂષિત કરી મૂકે છે. હવે તો તેઓ આને ખુલ્લેઆમ કરતા થયા છે, અને એની જરા પણ શરમ રહી નથી. સમગ્ર માનવજાતનું ભાવિ હવે આવા પ્રદૂષકોના હાથમાં કેદ છે. એનો અંજામ શો હશે એની કલ્પના કરવાની જરૂર નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૯-૦૫– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંભારણું – ૫ – પતરાવળી

    શૈલા મુન્શા

    હમણાં થોડા વખત પહેલા મારા મિત્રે એક વોટ્સેપ મોક્લ્યો હતો જેમાં જર્મનીના રેસ્ટોરન્ટમાં પતરાવળીમાં ભોજન પીરસવાનું શરુ કર્યું એનો ચિત્ર સાથે ઉલ્લેખ હતો. પર્યાવરણ બચાવવા લોકોએ આ નવી ઝુંબેશ આદરી હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    જોગાનુજોગ એ જ સાંજે અમારા જુના સ્નેહી મળવા આવ્યા અને એમને પણ એવો જ વોટ્સેપ મળ્યો હતો.

    જે ચીજ ભારતની પરંપરા હતી, એ માદરે વતનથી લુપ્ત થતી ગઈ અને વિદેશોમાં એની વાહ વાહ થવા માંડી. મનના પટારાના દરવાજા ખુલી ગયા અને મન પચાસ સાંઠ વર્ષ પાછળ દોડી ગયું.

    સ્કૂલમાં પડતી ઉનાળાની લાંબી રજાનો સમય અને ગામમાં લગનની મોસમનો સમય!!

    વતન તો અમારું ઠાસરા, ડાકોર પાસે આવેલું ગામ, પણ ધીરેધીરે કામધંધા, ભણતર નિમિત્તે લોકો ગામ બહાર નીકળવા માંડ્યા અને અમદાવાદ, વડોદરા, મુંબઈ, અને છેક કલકત્તા, મદ્રાસ, હાલનું ચેન્નાઈ સુધી વસવાટ કરવા માંડ્યા. એક પરંપરા ચાલુ રાખી કે મોટાભાગે દીકરા કે દીકરીના લગ્ન ગામમાં એટલે કે ઠાસરા જઈ કરવા. એ જમાનામાં બહુ પ્રેમલગ્નનું ચલણ નહોતું. પોતાની ન્યાતમાંથી જ  માતા પિતા પોતાના દીકરા કે દીકરી માટે

    યોગ્ય પાત્ર શોધતાં, સાથે સાથે કુટુંબની વંશાવળિની ખબર મેળવાતી. ગામમાં દરેક જણનું ફળિયું એમની અટક પ્રમાણે કહેવાતું જેમ કે દેસાઈની ખડકી, મહેતા ફળિયું, શેઠની પોળ, વગેરે વગેરે.  દરેકનું પોતીકું ઘર હોવાથી લગનગાળામાં જગ્યાની છૂટ રહેતી.

    ઠાસરા અને એની ખડકી એ ફળિયું આજે પણ મારી નજર સામે આબેહૂબ તરવરે છે. દરેકની અટક પ્રમાણે બધાના ઘર એ આખી ગલીમાં રહેતા.

    દેસાઈ ખડકીમાં મારા નાના કનૈયાલાલ નંદલાલ દેસાઈનું જબરદસ્ત બે માળનું મકાન. નાના તો વર્ષોથી ધંધા રોજગારને લીધે કલકત્તા જઈ વસ્યા હતા, પણ એમના નવ સંતાનોમાં મોટાભાગના દીકરા, દીકરી ઠાસરામાં જ પરણ્યા.

    આહા!! કેવા મજાના એ દિવસો હતાં. ઘરના કે ન્યાતના બીજા કોઈના લગ્ન પ્રસંગે ઊનાળો આવ્યો નથી કે અમારી સવારી ઠાસરા જવા તૈયાર થઈ જતી.

    મુંબઈથી ટ્રેનમાં આણંદ જવાનું, અડધી રાતે આણંદ પહોંચી ઠાસરા જવા નાની ગાડીની રાહ જોવાની અને વહેલી સવારે આણંદના સ્ટેશને આણંદના પ્રખ્યાત ગોટા લીલા મરચાં સાથે ખાવાના!!! અત્યારે પણ મોઢામાં પાણી આવી ગયું.

    ગામમાં થતાં લગનની મજા જ કાંઈ જુદી હતી.

    ઉનાળામાં ગામમાં અમે બધા મામા માસીના ભાઈ બહેનો ભેગા થતાં. અમારા એ ઘરની પાછળ વાડામાં સ્નાન કરવાની ઓરડી અને એની પાસે કુવો અને પાસે જ પાણી ગરમ કરવાનો બંબો મુકેલો હોય. આમ તો કાશીબા જ બધા માટે કુવામાંથી પાણી સીંચી આપે, પણ અમને પણ શોખ થતો અને ડોલ કુવામાં નાખી ગરગડી પરથી રસ્સી ખેંચવાનો પ્રયત્ન કરતાં. ઘણીવાર ડોલ થોડી ઉપર આવે અને હાથમાંથી દોરડું સરકી જાય. ધબ્બ કરીને ડોલ પાછી કુવાને તળિયે. કાશીબા અમારા ઘરનું બધું કામ કરે પણ જ્યારે અમે બાળકો કુવાની આસપાસ પાણી કાઢવાની રમત કરતાં હોઈએ ત્યારે તો એ ખડેપગે ત્યાંજ ઉભા હોય, અમારું ધ્યાન રાખવા. કાશીબા કામવાળા નહિ પણ ઘરના જ સદસ્ય, બધાની ખબર લઈ નાખે અને પાછાં નાની કે ઘરના બીજાં વડીલ પણ એમને એટલુંજ માન આપે.

    બપોર પડે અમને છોકરાંવને હુકમ કરે “જાવ છજામાં ડોલ ભરીને કેરી પલાળી રાખી છે, ખાવ તમતમારે મજેથી” અને અમે બધા બાળકો હુંસાતુસી કરતાં કેરી ખાવા પહોંચી જઈએ.

    નાનાએ ઉપરનો એક ઓરડો ખાસ કેરી માટે રાખ્યો હોય. કાચી પાકી કેરીની સોડમથી આખો ઓરડો મઘમઘી રહ્યો હોય.

    ગામના લગન પણ અનોખા. રાતે જ લગન થાય. ચમકતાં પિત્તળના બટનવાળા લાલ કોટ પહેરીને બેન્ડવાળા આગળ ચાલતાં હોય, સાથે મોટા ફાનસ પકડી લાઈટવાળા હોય. આખા ગામમાં વરઘોડો ફરે અને પછી કન્યાને માંડવે પહોંચે. ગાદી તકિયા બિછવેલા હોય, અને વડીલો માટે થોડા સોફા મુકેલા હોય. રાતભર લગનની વિધિ ચાલે. અમે બાળકો તો ક્યારના પોઢી ગયા હોઈએ. મોટેરાઓ પણ ઝોકાં ખાતા હોય. વહેલી સવારે કન્યા વિદાયનો સમય આવે ત્યારે ઉંઘરેટી આંખે બધા વરકન્યાને લઈ નીકળે.

    ગામના લગનની બીજી ખાસ મજા તે વાડીએ જમવા જવાનું. પાણી માટે બધા પોતાના ઘરેથી પિત્તળનો પેચવાળો કળશ્યો ભરતાં આવે. વાડીમાં ભોંય પર બેસવાનું અને સામે પતરાળાં મુકેલા હોય, પીરસણિયા હાથમાં કમંડળ લઈ પીરસવા નીકળે.કાબેલ માણસોને જ કમંડળ મળે. નવાસવાં પીરસણિયા પુરી કે ફુલવડીના થાળ લઈ નીકળે. મોટાભાગે છાલવાળાં બટાકા અને રીંગણનું શાક, મોહનથાળ, મેંદાની કડક પુરી અને એકાદ બીજું શાક હોય. પડિયામાંથી દાળના રેલાં જતા હોય અને શાક સાથે થોડી માટીની રજ પણ ભળતી હોય, તો પણ એ દાળનો સ્વાદ હજી દાઢે વળગેલો છે.

    જમણની તૈયારી આગલી રાતથી થતી હોય. ઘરના અને સહુ સગાં વહાલા રાતે વાડીએ પહોંચી જાય, શાક સમારવાનું, લોટ બાંધવાનો અને મસ મોટા ચુલા પર દાળ ઉકળતી હોય. મોટી કડછી લઈ રમણિકમામા દાળને ધમરોળતા હોય. એમના જેવી દાળ બનાવવાની હાથોટી કોઈની નહિ. ચુલાની સામે નાનુ ટેબલ લઈ બઠા હોય. હાડપાડ શરીર મોટી મુછો અને કરડાકીભર્યો ચહેરો, અમને છોકરાંવને પણ રાતે વાડીમાં જવાની મજા પડે પણ મામાનો થોડો ડર પણ લાગે. મામા એક હાક મારે “છોકરાવં બટાકા પાણીની ડોલમાં નાખવા માંડો” અને અમે ગુણીમાંથી થાળી ભરી ભરી પાણીમાં નાખતાં જઈએ. એકબાજુ ચા ઉકળતી હોય અને મઠીયાં ચેવડાની જ્યાફત ચાલતી હોય એ દિવસો અને એ મજા જેણે માણી હોય તે જ જાણે!!

    વાડીમાં જમણવાર પતે પછી ગામની વિધવા સ્ત્રીઓ, ઘરડાં માણસો જે જમવા ના આવી શક્યા હોય એમને ત્યાં પીરસણ ઢાંકવા જવાનું. અમે માથે નાની નાની બોઘરણીને ઉપર વાડકામાં પીરસણ લઈને નીકળીએ અને મોડી રાતે ઘરે લગનના ગીત ગાતાં ગાતાં પાછા વળીએ. કેવા મજાના દિવસો, ના કોઈ ડર મોડી રાતે આવવાનો, સવારે મન થાય ત્યારે ઉઠવાનું, ફળિયામાં રમવાનું અને રોજ કોઈ ને કોઈને ત્યાં લગનમાં જવાનું

    એક પતરાવળીએ સંસ્મરણોનો પટારો ખોલી દીધો અને એક પછી એક સંભારણાના મોતી યાદની રેશમ દોરીમાં પરોવાતાં ગયા.

    આજે શહેરોમાં ઉજવાતા લગ્ન પ્રસંગો અને જમણવારમાં દુનિયાભરના વિવિધ પકવાનોનો થાળ પણ એ આનંદ આપી શકતાં નથી જે બાળપણમાં પતરાળામાં છાલવાળું બટાકાનુ શાક કે મોહનથાળ ખાઈને મળતો.

    આજે ફેશનમાં લોકો પતરાવળી તો રાખે છે પણ પ્લાસ્ટિકમાંથી બનેલી

    ખરેખર ” बंदर क्या जाने अदरख का स्वाद” કહેવત યાદ આવી જાય!!!!!!


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

     

  • સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૬ : શવાલકુચિ, ફુન્ટશૉલિન્ગ

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    ગોવાહત્તીની આસપાસમાં હજી મને શવાલકુચિ (કે સાઉલકુચિ) જવાની ઈચ્છા હતી. ત્યાં જવા માટે બસ લેવા નીકળી તો સવારે રસ્તા વળાતા હતા, અને હવા બસના ધુમાડાને લીધે શ્વાસને લાયક નહોતી રહી. મિનિ-બસો હડતાળ પર હતી, અને જાહેર બસો અડધા સમયપત્રક પર ચાલતી હતી. ક્યાંયે છાંયડો નહોતો. રાહ જોતાં ઊભાં ક્યાં રહેવું? આખો દિવસ ઘણા કષ્ટમાં ગયો, પણ ટકી ગઈ હું.

    આદાબારીની બસ આવતાં હું બેસી ગઈ. મારી બાજુમાં કોઈ બેસતું નહોતું. છેવટે મારું ધ્યાન ગયું કે ડાબે સ્ત્રીઓ માટેની સીટ હતી, જમણે પુરુષો માટેની. ભીડ થવા માંડે પછી આ નિયમ ટકતો નથી. એક દંપતી ચઢ્યું ત્યારે બીજી ખાલી જગ્યા રહી નહોતી, ને તેથી પત્ની મારી બાજુમાં બેઠી. આદાબારીના ખુલ્લા મેદાનમાં બનેલા બસોના અડ્ડા પરના હૉર્નના ઘોંઘાટની તો કલ્પના પણ ના કરી શકાય. આથી વધારે ઘોંઘાટિયા જગ્યા મેં ક્યારેય સહી નહીં હોય. અવાજથી મારું માથું દુઃખવા લાગ્યું. ધુમાડો ખાઈ ખાઈને ગળું તો દુઃખતું જ હતું.

    અહીંથી બસ બદલીને હવે શહેરની બહાર, કુદરતી માહોલમાં પાંત્રીસેક માઇલ જવાનું હતું. ઝાડ-પાન હતાં પણ પરિસર સૂકો લાગતો હતો. ઝૂંપડીઓ એવી જ સુઘડ અને સરસ. ક્યાંક ડાંગરનાં ખેતરોમાં કેટલાક માણસો કામ કરતા દેખાતા હતા. એક વાર ઉર્દુમાં લખેલું પાટિયું જોઈ ખ્યાલ આવ્યો કે આ આખી વસ્તી મુસ્લિમ છે. પહેરવે-ઓઢવે કશો ફેર નહીં. સ્ત્રીઓ ચાંદલા અને સિંદૂર સાથે જ હોય. પુરુષોનાં મોઢાં પાસેથી જોઈએ ત્યારે મુસલમાની લાગે.

    એક-બે નદીઓ આવતાં આસામનો ગ્રામ-પ્રદેશ સરસ ભીનો-લીલો બન્યો. પાતળી, ચપટી, લાંબી નાવમાં માછીમારો પોતાના કામમાં રત હતા. સંખ્યાબંધ લાંબા વાંસની જટિલ રચનાની સાથે માછલી પકડવાની જાળ લગાવેલી હતી. રસ્તો સારો નહોતો, ને આ બસની સીટ તો પાટિયું જ. તે પણ એવું સાંકડું કે બેની સીટ પર બે જણને બેસવું મહામુશ્કેલ. બસ પૂર્વ તરફ વળી ત્યારે પવન આવવા માંડ્યો. નહીં તો બસમાં હવા પણ નહીં. છેલ્લે ક્યાંક જમણે વળ્યા પછી બસ ઊભી રહી. કંડક્ટર છોકરાએ મને ઇશારો કર્યો. મેં એને કહી રાખેલું મને શાઉલકુચિ ઉતારવા.

    ઊતરીને જોયું તો આ તો રસ્તાનો મોડ હતો. ગામનું તો નામ નહીં. ક્યાં જાઉં હવે? બીજા લોકોની પાછળ અનિશ્ચિત ભાવે ચાલી. રસ્તે છાંયડો તો નહીં જ, પણ સૂરજ પણ સામો. વણકરોનું આ ગામ જોવાની શું ઇચ્છા હશે આટલી? ગામ નહીં, મારે કામ જોવું હતું. દેશમાંનું વણાટ-કળાનું આ અગ્રગણ્ય સ્થાન છે. અહીં જાણે બધાને જ વણતાં આવડે. અઘરી ડિઝાઇન કરતાં થઈ ગયેલા વણકરોને ઘણો સારો પગાર મળે. ઘેર ઘેર શાળ હોય, ને જ્યાં ધંધો વિકસાવ્યો હોય ત્યાં છ-સાત કે આઠ-દસ શાળો પણ હોય. અંદર જઈ જઈને મેં ચાલુ કામ જોયું. હિંદી બોલતું એકાદ જણ આવીને થોડું સમજાવતું જાય. મુંગા સિલ્ક આસામમાં બને છે, બાકીના રેશમી, સુતરાઉ ને મિશ્ર તાર બૅન્ગૅલોર અને કલકત્તાથી આવે છે. વેચાણ થતું ક્યાંય દેખાયું નહીં.

    ઐે શાળ-કેન્દ્રની સામે, ઝૂંપડી જેવા એક કમરામાં બેન્ચ પર બેસીને મેં ગરમ ગરમ રોટી ને ભાજી ખાધાં. ભાત, માછ ને આમલેટ પણ ત્યાં મળે. ચાર-પાંચ જણ જ બેસી શકે તેવી બેન્ચ પર મારી સાથે કોઈ બેઠું નહીં. બે-ત્રણ વણકરો ધીરજ અને દાક્ષિણ્ય દાખવીને હું ખાઈ રહું તેની રાહ જોતા ઊભા રહ્યા. એ ખ્યાલ પણ મને જરા પછી આવ્યો. માથું તરત ઊતરી તો ના ગયું, પણ ભૂખ શમી, જરા આરામ મળ્યો.

    ફરી તડકામાં ચાલીને પાછી જતી બસ લેવા મુખ્ય રસ્તે ગઈ. જે બસ મળી તે અડધે જ જતી હતી, કારણકે અમુક નદી પરનો પુલ ધોવાઈ ગયો હતો. નદીના ભાઠામાં, સુંવાળી ગરમ રેતીમાં, બપોરના તડકામાં માઇલેક પગે કાપીને પેલે કાંઠે ગઈ. ત્યાંથી બસમાં ઊભાં ઊભાં આદાબારી પહોંચી. ફરી બીજી બસ લીધી ત્યારે અંતે ગોવાહત્તી આવ્યું.

                      ં                      ં                        ં                         ં

    વહેલી સવારે છ વાગ્યાની તો ટ્રેન લેવાની હતી. એ ઊપડી પંદર મિનિટ મોડી, ને ક્યાંય સુધી ઝડપ પકડી નહીં. બ્રહ્મપુત્ર પરથી ગઈ ત્યારે સાત વાગી ગયા હતા. આછા અજવાળામાં એનાં પાણી ભૂખરાં લાગતાં હતાં. ક્યારે જોઇશ આ મહાનદને ફરીથી? નવ કલાક પછી મારે ન્યૂ જલપાઇગુડી ઊતરવાનું હતું. દૂર દેખાતા પર્વતો એક એક કરીને અદૃશ્ય થતા ગયા. એટલી બધી નદીઓ આવી. પંદર તો ખરી જ, કદાચ વધારે. લગભગ બધી મોટી, પહોળી. તિબેટના પર્વતોમાંથી નીકળીને બ્રહ્મપુત્રમાં સમાવા વહી આવી હોય.

    ભૂમિ ડાંગરનાં ક્ષેત્રોથી છવાયેલી હતી. સોનેરી આભાવાળી હરિયાળી. વચમાં ચારેક ઝૂંપડીઓને ઓથ દેતાં ઝાડનાં ઝૂંડ આવી જાય. શાતાદાયક દૃશ્ય. ત્યાં વળી, ધૂળમાં રમતાં છોકરાં દેખાય, એમનાં જીવનના વિચારે ચઢી જાઉં, ને થોડો જીવ બાળું. ક્યારેક વળી એમ થાય કે ઝાડના છાંયામાં બેસી રહેવા મળે તો કેવું ગમે. પણ શહેરથી ટેવાયેલા મનને કેટલો વખત ગમે?, જાતને પૂછું પણ ખરી.

    ન્યૂ બૉન્ગાઇગાઁવ સ્ટેશને ઘણા બધા કિશોરો-યુવકો જાત જાતની, ચીન ને જાપાનમાં બનાવેલી, ચીજો લઈને ટ્રેનમાં ચઢી આવ્યા. ક્રીમ, સેન્ટ, પ્રસાધન, ઘડિયાળ, ટૉર્ચ, કૅલ્ક્યુલૅટર, કૅમૅરા. હું બાઘાની જેમ જોઉં, પૂછું, ક્યાંથી આવે છે આ બધું? એ બધા કહે, સરહદ નજીક છે. કઈ બૉર્ડર, મને થાય. એમ માનવામાં આવે છે કે આ બધું નેપાલથી ઘુસાડાતું હોય છે. દરેક કમ્પાર્ટમેન્ટમાંના ઉતારુઓ ભાવતાલ કરવામાં પડી ગયા.

    ન્યૂ જલપાઇગુડી સ્ટેશન શિલિગુડીથી આઠેક કિ.મિ. દૂર છે. મારે એક રાત અહીં કાઢવી પડે એમ હતી. એને માટે કોઈ હોટેલનો નાનો સાદો રૂમ ચાલી ગયો. શિલિગુડીમાં બે લાખ જેટલી વસ્તી. એનો ત્રીજો ભાગ બિહારી છે, એમ મૅનેજરે મને કહ્યું. આ ગામમાં એક જ બાબત આકર્ષક હતી, અને તે હતી કંચનજંઘાની ઉચ્ચગિરિમાળાનું દર્શન. તળેટીમાં રહ્યે રહ્યે આમ હિમાવરિત શિખરો જોવા મળે તે કેવું વિસ્મય.

    રાત અવાજવાળી જ રહી. કેટલીયે ટ્રકો ખખડતી ગઈ હશે. મોડી રાતે કોઈ મારું બારણું ખખડાવતું રહ્યું, એક મિનિટ માટે ખોલવા વિનંતી કરતું રહ્યું. કહે, હોટેલનો માણસ છું, દિદિ, ખોલોને. હું ગભરાઈ નહોતી ગઈ,પણ ખોલવાનું તો ના જ હોયને. મચ્છરો એમનું કામ કરતા રહેલા. એકદમ વહેલી સવારે પ્રવાસીઓનું કોઈ જૂથ પંથે પડ્યું. મારી પોતાની બસ સાડા સાત વાગ્યે જવાની હતી. પૂરતા લોકો ના થાય ત્યાં સુધી, કલાકેક જેવું, ઊભાં રહેવું પડ્યું. રસ્તો વચમાં ખરાબ આવી જતો હતો. બે બાજુ ગુલમહોરનાં ઝાડ હતાં. પણ ઉત્તર-પૂર્વમાં ક્યાંયે ફૂલ જોવા ના મળ્યાં – શિયાળા તરફ જતી આ ઋતુમાં.

    જતાં જતાં દેખાયું કે રસ્તા પરનાં ઝાડ, વનસ્પતિ ને ચ્હાના છોડ ધૂળથી ઢંકાયેલાં રહે છે, ડાંગરનાં ડૂંડાંમાં ધૂળ જાય છે, ગાયો ઘાસમાં ચોંટેલી ધૂળ ખાય છે. કુદરતનું જીવન જાણે ટૂંપાતું રહે છે. ક્યાંક થોડાં ઝાડ, ક્યાંક થોડી ઝૂંપડીઓ, ક્યાંક સૂકી જમીન, ક્યાંક ડાંગરનાં ખેતર. પહોળા પટવાળી બે નદીઓમાંની એકમાં ખૂબ પાણી હતું. અચાનક ધુંધળી હવામાં તરતા પર્વતો દેખાવા લાગ્યા. પછી બસ એ દિશામાં વળી.

    હવે મારું પ્રયાણ ભુતાન પ્રતિ હતું. ગોવાહત્તીથી ટ્રેન, શિલિગુડીમાં રાતવાસો, હવે આ બસ, ને એમાં ચાર કલાકે હજી તો હું છેક તળેટીમાંની સરહદે માંડ પહોંચી. આ સરહદ પર ચીની રંગ-રૂપની એક પ્રતીકાત્મક પ્રવેશ-કમાન છે. અહીં ભારત અને ભુતાન છૂટાં પડે છે, અને ભેળસેળ પણ થાય છે. માલ-સામાન લઈ જવો હોય તો બતાવવો પડે, વેરો ભરવો પડે, છુપાવેલો પકડાય તો દંડ આપવો પડે. બાકી લોકો અને ઘણા ધંધા પણ આમથી તેમ ચાલુ જ રહે છે. ભારત તરફનું જયગાઁવ અવ્યવસ્થિત, એનો રસ્તો તૂટેલો અને કાદવિયો. ભુતાન તરફના ફુન્ટશૉલિન્ગમાં રસ્તા મોટા, સારા. બધે ચોખ્ખાઇ, માછ-મચ્છર નહીં. બે ગામ પ્રવેશ-કમાનની બે બાજુ. અડધી મિનિટ અને પાંચ પગલાંમાં બધું બદલાઈ જાય. કેવી નવાઇ. આપણી તરફ એ જ ગંદકી, ભીડ, કાદવ ને ભીનું. આ જ હંમેશની સ્થિતિ લાગે છે ત્યાં. ફુન્ટશૉલિન્ગ આમ તો ભારતે જ વસાવેલું છે, પણ કેટલો બધો ફેર. લોકો ઓછા, વાહનો ઓછાં, અને હોટેલો પણ ત્યાં.

    બસમાંથી ઊતરીને પગ-રિક્શા કરીને હું દોડાદોડ ભુતાન માટેનો પરવાનો મેળવવા ગઈ. સહેજ મોડી પડેલી, પણ સાહેબે સહી કરી આપી. પાછી પેલી બાજુ દોડી, પણ એટલામાં એ દિવસની એકની એક મિનિ-બસ પહાડો પર વસેલા થિમ્પુ શહેર જવા નીકળી ગઈ હતી. મારે એક રાત ફુન્ટશૉલિન્ગમાં રહી જવું પડ્યું. સમયની રીતે મને ભુતાન મોંઘું પડતું હતું, પણ છેક અહીં આવ્યા પછી હવે જવાનું તો ખરું જને.

                      ં                    ં                       ં                      ં

    સવારે સાત વાગ્યાની મિનિ-બસ, ને એને સાત કલાક થવાના. પહેલા તપાસ-થાણા પર માણસે બધાંની બધી વિગતો ચોપડામાં નોંધી. ગેડુ થાણા પર અમને રોક્યાં નહીં, અને ચિમાકોઠી થાણા પર જલદીથી સિક્કો મારી આપ્યો. એ પછી બસ પંદર મિનિટ માટે રોકાઈ. ત્યાં ખોલેલી નાની વીશીમાં ગરમ ખાવાનું મળતું હતું. ભાત, શાક, ચિકન, અને શાકાહારી મોમો. મેં જલદીથી મોમો ખરીદીને ખાઇ લીધા. આવી અમથી જગ્યાએ ટૉઇલેટ પણ આટલું ચોખ્ખું, ને પાણીના નળ સાથેનું હોઈ શકે છે. કેવી નિરાંત. આખો આ ભુતાન દેશ ખૂબ સ્વચ્છ છે તે દરરોજ, દરેક જગ્યાએ મને દેખાતું ગયું.

    પણ ફુન્ટશૉલિન્ગથી થિમ્પુ સુધીની દોઢસો કિ.મિ.ની મુસાફરી તે જાણે રોલરકોસ્ટરની સવારી ના હોય. સતત વળાંકો, બધા પાછા સાંકડા ને ખૂબ તીવ્ર. આ ઉપરાંત, ઊંચે ચઢતો જતો રસ્તો. પહેલી મિનિટથી પહાડ શરૂ થયા હતા, તે સહેજમાં ગિરિવર બની ગયા હતા. તાસો નદી ઘણી વાર સાથે રહી. એનો પટ પહોળો અને કાંકરિયાળો હતો, પાણી વચમાં જ વહેતું હતું. સમગ્ર વનસ્પતિ ગાઢ અને ઘેરી લીલી હતી, તેથી પર્વતો કર્કશ કે તીક્શ્ણ નહોતા લાગતા. એમાં થઈને ઝીણાં શાં ઝરણાં અને નાનકડા રૂપેરી અનેક ધોધ લપસી આવતા હતા.

    એક રમતિયાળ નદી આનંદ આપતી જતી હતી. પણ એ હિસ્સામાં અચાનક પહાડો તદ્દન સૂકા થયા હતા, ને ભૂમિ કેવળ કથ્થાઇ, ખાલી. ડાંગરનાં ખેતરો ખેડાઈ ગયાં હતાં, અને સૂકાં ઠૂંઠાં પાછળ રહ્યાં હતાં શિયાળા ખાતે. બસ થોડો વખત નીચે તરફ ગઈ, પછી બીજી ગિરિપંક્તિ તરફ ગઈ, ને ફરી ઉપર ચઢવા લાગી. નદી ત્યાં જ ક્યાંક રહી ગઈ. ચાપ્ચા નામની વસાહતનાં વીસેક જેટલાં નાનાં, એકસરખાં ઘર કેટલાક ઢોળાવો પર છૂટાં-છવાયાં છંટાયેલાં હતાં. બધાં સફેદ રંગેલાં, ઘેરા લાકડાના મોભ-થાંભલા પર ટકેલાં, અને છાપરાં લાક્શણિક ચારે બાજુ ઢળતાં. દૃશ્ય કોઈ જુદી જ રીતે સંમોહક હતું. નવા જ સ્થાનનો આ પ્રથમ નૂતન-સુંદર આવિષ્કાર હતો.

    આગળ જતાં બે જગ્યાએ ધસી આવેલી, ફસકી ગયેલી ભેખડોને સરખી કરવાનું કામ ચાલી રહ્યું હતું. બાકી બધે આખા હાઇ-વેની સતહ એકદમ સરસ રહી હતી. ઘણી બધી તાતા ટ્રકો સળંગ આવતી-જતી રહેલી. અહીં કોઈ જરૂર વગર, વળાંક સિવાય હૉર્ન નથી મારતું. કેવું સંયત વર્તન. જોકે ડ્રાયવરે હિન્દી ફિલ્મોનાં ગીતો ચલાવી દીધેલાં, ને ત્યારે મારે કાનમાં પૂમડાં ભરાવવાં પડેલાં.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • કઠોર, અનુચિત અને વિચિત્ર એવી જામીનની શરતો

    નિસબત

    ચંદુ મહેરિયા

    કથિત અપરાધીને મળતા જામીન ક્રિમિનલ લૉ સિસ્ટમનું અગત્યનું ઘટક છે. જરૂર પડે ત્યારે અદાલત સમક્ષ હાજર થવાના વચન સાથેની કહેવાતા આરોપી કે પ્રતિવાદીની સશર્ત જેલમુક્તિ એટલે જામીન. જ્યાં સુધી કોઈ આરોપીને અદાલત દોષિત ન ઠેરવે ત્યાં સુધી તે નિર્દોષ છે અને જામીનનો હક્દાર છે. ગુનેગારના અધિકારો અને રાજ્યના હિતો વચ્ચે જામીન સંતુલન સાધે છે.

    જામીન માટે કાયદામાં કોઈ અલાયદી વ્યવસ્થા નથી. સર્વોચ્ચ અદાલતે એકાધિક વાર જામીનના અલગ કાયદાની હિમાયત કરી છે. પરંતુ હાલ તો તેની અનુપસ્થિતિમાં જામીન આપવા તે ન્યાયાલયના ન્યાયિક વિવેક પર આધારિત છે. આરોપીનો ગુનો કે તેની સામેના આરોપોને ધ્યાનમાં રાખીને તેને શરતોને આધીન હંગામી, કાયમી અને આગોતરા જામીન આપવામાં આવે છે. જામીનની શરતોમાં મુખ્યત્વે સાક્ષીઓ પર દબાણ ઉભું  ન કરવું,  સાક્ષીઓને ફોડવાના પ્રયાસો ન કરવા અને આરોપીએ તેની સામેના કેસને અસર થાય તેવું કશું ન કરવું તેનો સમાવેશ થાય છે. પરંતુ આજકાલ અદાલતો અજીબોગરીબ, કઠોર અને અનુચિત શરતો જામીન આપતા લાદે છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    મૂળે હરિયાણાની એક વ્યક્તિ પર છેતરપિંડી સહિતના અપરાધોની તેર પોલીસ ફરિયાદો જુદા જુદા રાજ્યોમાં થઈ હતી. આરોપીને તમામ કેસોમાં જામીન મળ્યા પરંતુ તે જેલમાંથી બહાર આવી શક્યો નહીં કારણ કે માત્ર બે જ કેસમાં તે જામીનની શરતો પૂરી કરી શક્યો હતો.. બાકીના કેસોમાં જામીનની શરતો પૂરી થાય એવી નહોતી. તમામ કેસોમાં અલગ અલગ જામીનદાર આપવાની સ્થિતિમાં આરોપી નહોતો. વળી કેટલાક રાજ્યોની હાઈકોર્ટોએ તો સ્થાનિક જામીનની માંગણી કરી હતી. મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો તો અદાલતે કહ્યું કે આ તો વ્યક્તિને જામીન ન આપ્યા બરાબર કે એક હાથે આપીને બીજા હાથે લઈ લેવા જેવું છે. જામીનની આવી શરતો કથિત આરોપી માટે અંતહીન જેલની સજા હોય છે. આખરે સર્વોચ્ચ અદાલતે આરોપીની જામીનની શરતો હળવી કરતાં તેનો છૂટકારો શક્ય બન્યો હતો.

    ડ્રગ તસ્કરીના કેસમાં પકડાયેલા એક નાઈજીરિયન નાગરિકના જામીન અંગે દિલ્હી હાઈકોર્ટે  ગૂગલ મેપથી તેનું લોકેશન તપાસ અધિકારીને મોકલવા, વિદેશી નાગરિક હોઈ દેશ છોડી ભાગી નહીં જાય તેવું પ્રમાણપત્ર નાઈજીરિયન દૂતાવાસ કે ઉચ્ચાયોગ પાસેથી મેળવી રજૂ કરવાની શરતો મૂકી હતી. આંધ્ર હાઈકોર્ટે ચંદ્રાબાબુ નાયડુ પરના એક કેસમાં તેઓ જાહેર રેલીઓ કે સભા-સરઘસોમાં ભાગ લઈ નહીં શકે તેવી જામીનની શરતો મૂકી હતી. ઓડિસા હાઈકોર્ટે આરોપીને પ્રત્યક્ષ કે પરોક્ષ કોઈ પણ રીતે રાજકીય પ્રવૃતિમાં ભાગ ન લેવાની,  રાજસ્થાન હાઈકોર્ટે  એક લાખ દંડ, એક લાખનાજામીન અને રૂ. પચાસ હજારના બેલ બોન્ડ રજૂ કરવાની શરતો રાખી હતી. સુપ્રીમ કોર્ટને  જામીનની શરતો કઠોર અને અનુચિત લાગતાં તેણે હળવી કરી હતી. સાથે જણાવ્યું હતું કે બંધારણના અનુચ્છેદ ૨૧ મુજબ જામીનના હકનો જીવવાના અને જીવનની સ્વતંત્રતાના હકમાં સમાવેશ થાય છે. બેલ કન્ડીશન એવી ન હોવી જોઈએ કે જેથી કથિત આરોપીનો છૂટકારો ન થાય.વળી દંડની શરત તો સજા બરાબર છે અને તે અયોગ્ય છે. આરોપી ગુના કરવાની ટેવ ધરાવે છે એવા આરોપથી જામીનનો ઈન્કાર પણ ન થઈ શકે તેમ પણ સુપ્રીમ કોર્ટે કહ્યું છે.

    ઘણીવાર અદાલતો અસંગત કે કેસ સાથે સીધો સંબંધ ન ધરાવતી જામીન શરતો પણ મૂકે છે. અલ્હાબાદ હાઈકોર્ટે મોહમ્મદઅલી જૌહર યુનિવર્સિટી, રામપુરને સીલ કરવાની શરતે આજમ ખાનના જામીન મંજૂર કર્યા હતા. આ શરત સર્વથા અયોગ્ય હતી. યૌન ઉત્પીડનના આરોપીની જામીનની શરત મધ્યપ્રદેશની હાઈકોર્ટે પીડીતા પાસે રાખડી બંધાવવાની મૂકી હતી. બળાત્કારના કેસના કથિત ગુનેગારને ફરિયાદી યુવતી સાથે લગ્ન કરવાની શરતે જામીન પર જેલમાંથી મુક્ત કર્યો હોવાનું પણ બન્યું છે. જામીનની આ પ્રકારની શરતો અંગે ટિપ્પણી કરતાં સર્વોચ્ચ અદાલતે કહ્યું,  કોર્ટોએ તેના જામીન આદેશોમાં અને શરતોમાં મહિલાઓ અને સમાજમાં તેમની સ્થિતિ બાબતે રૂઢિવાદી કે પિતૃસત્તાત્મક માન્યતાઓ વ્યક્ત કરવાથી બચવું જોઈએ.

    અવ્યવહારુ, અસંભવ અને પાળવી મુશ્કેલ એવી જામીનની શરતોથી બચવા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે. જામીન બોન્ડ, રોકડ જામીન, સંપત્તિની માલિકી જેવી જામીનની શરતો ગરીબો માટે પાળવી મુશ્કેલ છે અને આ પ્રકારની શરતોથી તેમને  છતે જામીને જેલમાં ગોંધાઈ રહેવું પડે છે. આપણી અદાલતો તમામ અપરાધીને પૈસાપાત્ર અને ધનવાન સંબંધી ધરાવતા માને છે તેને લીધે આ પ્રકારની શરતો મૂકે છે. જે આખરે ગુનેગારને કનડે છે. એક સરખા અપરાધમાં એક્ને મોટી રકમ અને બીજાને નાની રકમના જામીન બોન્ડની શરતો જોવા મળી છે. એક્ને કઠોર શરતો અને બીજાને નરમ શરતો,  એક પર કઠોર પ્રતિબંધ અને બીજાને કોઈ બંધી જ નહીં એવા ભેદભાવો પણ અદાલતોએ જામીનની શરતોમાં કર્યા છે.

    જામીન માટે કેટલીક વિચિત્ર કહી શકાય તેવી શરતો પણ અદાલતો મૂકે છે. એક યુવતીની છેડતીના કેસમાં પકડાયેલા ધોબીનો વ્યવસાય કરતી વ્યક્તિને બિહારની સ્થાનિક અદાલતે છ મહિના સુધી ગામની મહિલાઓના કપડાં ધોવાની  શરતે જામીન મંજૂર રાખ્યા હતા. અલ્હાબાદ હાઈકોર્ટે જામીન મંજૂર કરતાં કથિત આરોપીને ગૌશાળામાં એક લાખનું દાન કરવા, એક મહિનો ગૌ સેવા કરવાની શરત મૂકી હતી. પાંચ ગરીબ બાળકોના એક વરસનો શિક્ષણ ખર્ચ ઉઠાવવાની શરતે  ગેરકાયદે દારુ વેચતા વ્યક્તિને જામીન મળ્યા હતા. કોમી ઉશ્કેરણી કરતી સોશિયલ મીડિયા પોસ્ટના કથિત અપરાધીને રાંચી કોર્ટે પાંચ લાઈબ્રેરીમાં કુરાનની નકલો આપવાની શરતે જામીન આપ્યા હતા. હત્યાના આરોપીને મધ્યપ્રદેશ  હાઈકોર્ટે વૃક્ષો વાવવાની, તેનો ઉછેર કરવાની,  છ થી આઠ ફૂટના દસ  વૃક્ષો માટે ટ્રીગાર્ડ લગાવવાની અને ત્રણ વરસ સુધી દર ત્રણ મહિને તેના ફોટા કોર્ટને મોકલવાની શરતે જામીન આપ્યા હતા.. જ્યારે જામીનનો નિર્ણય અદાલતના વિવેક પર અને આરોપી પરના આરોપ પર નિર્ભર હોય ત્યારે સામાન્ય કે ગંભીર ગુનાના આરોપી પર આવી અજીબોગરીબ  શરતો લાદતું ન્યાયતંત્ર સમજવું મુશ્કેલ બને છે.

    જોકે આપણી અદાલતો જેમ કેટલાક કિસ્સામાં અતિ કઠોર હોય છે તેમ કેટલાકમાં અતિ નરમ પણ હોય છે. ૧૪ વરસની અનાથ સગીરા ભત્રીજી પર બળાત્કાર કરનાર  વીસ વરસના યુવાન કાકાને બોમ્બે હાઈકોર્ટે એ શરતે જામીન આપ્યા હતા કે આરોપીની ઉંમર નાની છે એટલે તેને પસ્તાવો થશે! પટણા હાઈકોર્ટે સત્તાધારી જેડીયુના વિધાન પરિષદ સભ્યના પુત્રને ગેરકાયદે ખનનના મની લોન્ડરિગ, પીએમએલએ હેઠળના કેસમાં જામીનની કઠોર જોગવાઈઓ બાજુ પર રાખીને જામીન આપ્યા .એટલું જ નહીં પોતાના જામીન હુકમમાં નિર્ણયના સમર્થનમાં સર્વોચ્ચ અદાલતનું કથન જેલ અપવાદ છે, જામીન નિયમ છેનો હવાલો આપ્યો અને અદાલતના સ્વવિવેકનો ઉલ્લેખ કર્યો હતો. જોકે આ બાબતે સર્વોચ્ચ અદાલતે આકરુ વલણ દાખવી જામીન રદ કર્યા હતા.

    જામીનની શરતોના મુદ્દે પ્રવર્તતી આ પ્રકારની સ્થિતિનો એક ઉકેલ જામીનનો અલાયદો કાયદો હોઈ શકે. જામીનની શરતોનું પુનર્મૂલ્યાંકન અને સરળીકરણ કરવાથી તે વધુ  સુલભ બનશે અને ગરીબો, વંચિતોને રાહત મળશે. મનમાની ધરપકડો અને ખોટા કેસો, કે જેલોમાં સબડતા અન્ડર ટ્રાયલને જામીનની પાળવી સરળ શરતો જેલ મુક્તિ અપાવી શકે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ન કર

    અદમ ટંકારવી


    નફા ને ખોટનો ખયાલ ન કર,
    ફકીર સાથે ભાવતાલ ન કર.

    એ જ સંબંધની ચરમસીમા,
    એમનાથી કોઈ સવાલ ન કર.

    કોક બીજુંય વસે છે અહીંયાં,
    અહીંયાં તું આટલી ધમાલ ન કર.

    કેમકે, તું નથી તારી મિલકત,
    દોસ્ત, તારામાં ગોલમાલ ન કર.

    તું નથી જાણતો ક્યાં જાય છે તું,
    આટલી તેજ તારી ચાલ ન કર.

    લોક માલિકને ભૂલી બેસે,
    સંત, તું એટલી કમાલ ન કર.


     

    :આસ્વાદઃ
    સંજુ વાળા

    કવિ કોની સાથે સંવાદ કરે કે કોને સલાહ દે ? આમ તો કવિનું કામ સમાજ સુધારાનું નથી તેમ છતાં કોઈપણ પ્રકારની અરાજકતા એનું સંવિત્ત સહન ન કરી શકે. આવું થાય ત્યારે સર્જક કાંઈ ઝંડો લઈને રસ્તા પર ન ઊતરે. એ તો સમાજ સુધારકોનું કામ. કવિ આવી અરાજકતાને શબદની ચિનગારી ચાપે. પછી એમાં આપોઆપ હલચલ થાય. ક્યારેક કવિને એમ લાગે કે અહીં સંડોવાયા વિના કોઈ ઉપાય નથી ત્યારે એ બોલે પણ ખરો પરંતુ સાચો કવિ કવિતાની શરતે બોલે. સર્જકની પોતાની આ વણ લખી સ્વયંશિસ્ત હોય છે. અહીં જગતે, કોઈ સાધક-સંત-કફીર સાથે કોઈ અણગમતો વ્યવહાર ન કરવો જોઇએ છતાં કરે છે અને કવિ એ જોઈ જાય છે. આ વખતે એ ન બોલે તો તો એ સંવેદનશીલ શેનો ? સમ્યક રીતે જગતને જોતાં સર્જકની આંખે અણછાજતું દેખાય ત્યારે એ પોતાના શબ્દને તેની સામે ઉતારે છે. આવા શબ્દ પાછળ એ સર્જક પણ પોતાનું આત્મવિત્ત લઈને ઊભો હોય છે. પ્રસ્તુત કૃતિમાં આવી થોડી સ્થિતિઓથી અળગાં રહેવાં કે તેનાં તથ્યાતથ્ય વિશે કવિ અદમ ટંકારવીએ પોતાનું નમણું હથિયાર ગઝલ લઈને જગત સાથે આદરેલી વાત વિશે થોડીક વાતો કરવી છે.

    કવિનું પૂરું નામ આદમ મુસાભાઈ પટેલ(ઘોડીવાળા)(૨૭મી સપ્ટેમ્બર ૧૯૪૦) ઉપનામ : ‘અદમ ટંકારવી’ વતન : ટંકારિયા (ભરુચ) પ્રાથમિક અભ્યાસ વતનમાં પછીથી ઉચ્ચ અભ્યાસ વલ્લભવિદ્યાનગર ખાતે. પ્રથમ ટંકારિયા, કરનાડ અને જીવન ભારતી સુરતમાં શિક્ષક તરીકે અને બાદમાં મિયાંગામ-કરજણ અને વિદ્યાનગરમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે સેવાઓ આપી. કવિ ૧૯૯૧થી બ્રિટનમાં સ્થાયી થયા. ત્યાં પણ પહેલાં શિક્ષક અને બાદમાં ભાષાશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી. હાલ ૨૦૦૧થી નિવૃતિ માણી રહ્યા છે. ‘સંબંધ’ નામે પ્રથમ ગઝલ સંગ્રહ હવે તો અદમ ટંકારવીની સમગ્ર ગઝલ રચનાઓ પણ પ્રાપ્ય છે. ગુજલિશ ગઝલોમાં કવિનું આગવું કવિતાકર્મ અવતર્યું છે.

    નાનકડાં સંવેદન કે વિચારને લાઘવથી અને કાવ્યાત્મકતાથી બે પંક્તિઓમાં વ્યક્ત કરવાની કળાને ‘શેર કહેવો’ કહેવાય છે. અહીં આવું એક ભાવબિંબ કવિએ ખપમાં લઈ તેની સ્થાપના કરી છે. કોની સાથે કેવો વ્યવહાર કરાય એ કવિએ તો કથ્યું પણ ભાવકને તો સમજના દાયરામાં પહોંચાડી દીધો. ફકીર તો એ જ, જે બધું ફૂંકીને બેઠો હોય. એને વળી વ્યવહારજગતના પાઠ શું ભણાવવા? એટલે કવિ વારંવાર કહે છે કે ન કર. આ ન કર આખી ગઝલમાં પાઠ ગોખાવાતો હોય એમ પડઘાય છે.

    સંબંધમાં સઘળું ન્યોચ્છાવર કરવાનું હોય. પૂછી પૂછીને પાણીય પિવાય ત્યાં વ્યવહાર ટકે, સંબંધ નહીં. એકલપેટાં માણસો જેમ સર્વત્ર પોતાને જ ભાળે અને પોતાનું જ સાબિત કરે અથવા તો પોતાની સ્થાપના માટે મરણિયા પ્રયાસ કરતા લોકો બીજાની દરકાર જ નથી કરતા એવાઓને સહેજ આંખ-કાન ખુલ્લાં રાખવા કથક કહે છે. ‘ધમાલ’ જેવા શબ્દથી તો કેવી વ્યાપ્તિ નિર્દેશી. સાદાસીધા કથન અને કાફિયાની કમાલથી, ભાવકને કાવ્યત્વ સુધી લઈ જવાનો કવિનો પ્રયત્ન છે.

    સરળ રીતે કોઈક સ્થાપના થાય એ આવકાર્ય જ છે પણ એ કવિતા છે એવું ભૂલવાનું પણ નથી. જોકે લોકો તો તસ્દી લેવા માગતા જ નથી. અભિધાના સ્તરે વ્યક્ત થયેલ ધાયલસાહેબનો શેર :


    બાગમાં ભાગ છે અમારો પણ
    એક વાસી ગુલાબ તો આપો !

    જેવામાં હજારો તાળીઓ પડતી જોઈ છે. ત્યાં કવિતાઈ કરામત નહીં લોકોને સીધા ‘સત્યના દરશન’ થતાં હશે. આપણા કવિએ ‘કો’ક બીજુંય’ કહીને આ શેરના વ્યાપ-વિસ્તાર વધારી દીધા, તેની ટુંકી બહરમાં લાઘવીય મઝા અહીં માણી શકાય છે.

    પછીના બન્ને શેર સામે રહેલા ‘તું’-ને સંબોધાય છે. આમ તો અહીં એમ પણ કહી શકાય કે કથકે આ ‘તું’-ને તેની હેસિયત દેખાડી છે. પોતેય પોતાની મિલકત ન હોય ત્યાં બહારના જગતની તો વાત જ ક્યાંથી થાય ? સામાન્ય અને સરળ રીતે કવિએ હોવાના સત્યને ઉજાગર કરી દીધું અહીં. ગઝલકથનની એક ખૂબી જે બહુ ઓછા જાણે છે તે એ કે બન્ને પંક્તિની ભાવરમણામાં કયારેક પ્રથમ માથાભારે કે હળવીફૂલ હોય કયારેક બીજી. આ પ્રકારનું નિયોજિત સાયુજ્ય શેરને અનોખું સૌંદર્ય આપે છે. અહીં પણ કવિએ બીજી પંક્તિમાં ‘ગોલમાલ’ જેવો વૈપારિક શબ્દ પ્રયોજી ખરી ગોલમાલ કરી છે. મમળાવો તો સ્વાદ આવશે. તે પછીના શેરની પ્રથમ પંક્તિ આવું જ કામ કરે છે. માત્ર તેજ ચાલ કરવાથી જ જો પહોંચી શકાતું હોય તો તો ઘણા ઉડે છે એ પહોંચી ગયા હોત. પણ ક્યાં પહોંચવાનું છે એની જેને ખબર જ નથી એની દોડાદોડી પર અહીં નમણો વ્યંગ થાય છે. સહજ ભાષાના આવા ચમત્કાર ગઝલની શોભા બનતા હોય છે.

    ગઝલનો છેલ્લો શેર તેના ઘાટા ભાવ અને કથનપ્રયુક્તિને કારણે વધુ ચમકદાર બની રહે છે. અહીં પ્રયોજાયેલ કાફિયા ‘કમાલ’ને કેવા ભાવવિભાવ કે અર્થવિસ્તારથી જાણીએ, તેના પર તેની અસર આરોપિત થઈ છે. લોક ‘માલિક'(આ માલિક પણ બહુ મઝાનો શબ્દ છે. બહુ જ સમજપૂર્વક કવિએ વાપર્યો હોવાનું જાણી શકાય છે.)ને ભૂલી બેસે તેવી કરામતો કરતા ભગવાધારીઓ અને માલિકની જગા સાચવે તેવા સાચા સંત-સતગુરુને તારવવા, જો થોડું વિચારીએ તો અઘરું નથી. જાદુગરી કરનારાઓ અને સમસ્તને સાચો રસ્તો ચીંધનારને ઓળખવા જ પડે. એટલે એકનો ઉપહાસ થાય અને બીજા માટે અહોભાવ. બસ ‘કમાલ’ એવી હોવી જોઇએ કે જેમાં ભીતરથી જ અહોભાવ પ્રગટે. એમને નમવાની ઈચ્છા કે મન નહીં એમને જોઈને આપોઆપ નમી જવાય. કમાલ તો એ છે કે માલિકને ભૂલાવી દે એવી કરામત જેને હસ્તગત છે તેને આ ગઝલપુરુષ સલાહ આપે છે. બસ હવે વિશેષ શું કહેવાનું બાકી રહ્યું ?

    નહીં કરવાની સમ્યક સલાહનો ભાવવિસ્તાર સાધતી અને રદીફને બરાબર નિભાવતી આ ગઝલ કવિની યશદાયી રચના છે. ટૂંકી બહર અને સરળ-સહજ ભાષા દ્વારા કાવ્યચમત્કાર સર્જવાનો કાવ્યકસબ અદમસાહેબને હસ્તગત તો છે પણ અવનવી ભાષાભિવ્યક્તિઓ તેમના માટે વારંવાર સફળતાના દ્વાર ખોલી આપે છે. અને એજ તેઓને આગવા અવાજના ગઝલસર્જક પણ ઠેરવે છે.