-
સંભારણું -૨ – સાચે જ ક્યાંના તાર ક્યાં જોડાઈ જાય છે!
શૈલા મુન્શા
એસ.એસ.સીનું પરિણામ આવ્યું અને શાળાજીવનના દિવસો પુરા થયા. વાત છે ૧૯૬૭ની, ત્યારે અગિયારમું ધોરણ પાસ કરી કોલેજમાં જવાતું. મેં આર્ટસ કોલેજમાં જવાનુ નક્કી કર્યું કારણ નાનપણથી મને સાહિત્યમાં વધારે રસ હતો, અને એ કારણે શાળાની મારી ખાસ બહેનપણીઓથી છૂટી પડી ગઈ. એ બધાએ વિજ્ઞાન શાખામાં જવાનો નિર્ણય કર્યો હતો. કોલેજમાં નવા મિત્રોનો સાથ મળ્યો. રોજ મલાડથી પાર્લાની ટ્રૈનમાં મુસાફરી. વાંચનનો શોખ તો સાતમા ધોરણથી જ કેળવાયો હતો અને નિબંધ, વક્તૃત્વ સ્પર્ધામાં ઘણા ઈનામો પણ મેળવ્યા હતાં; પણ ટ્રૈનની આ સફરે રોજ કાંઈક નોંધપોથીમાં ટપકાવવાની આદત પડી. થોડા વખતમાં જ જીવન એવા આઘાતમાં અટવાયું અને જાણે જીવવાની દિશા જ બદલાઈ ગઈ. પણ મનના તળિયે છુપાયેલી લખવાની ઈચ્છા ક્યારેક જાગી ઊઠતી.
વર્ષો બાદ અમેરિકા આવી થોડી મોકળાશ મળી અને મન લખવા તરફ વળ્યું અને સાહિત્યના અવનવા પ્રકારો પર હાથ અજમાવાતો ગયો. અવનવા અનુભવો કાગળ પર ચિતરાતાં ગયાં. આજે કાંઇ નવું લખવા મારો બ્લોગ ખોલ્યો અને અચાનક તાજેતરના અનુભવનું પાનુ મારી નજરે પડ્યું. હ્યુસ્ટનમાં આ વરસે શિયાળો અતિ આકરો હતો. વર્ષો પછી અહીં હિમવર્ષા થઈ અને લોકો બેહાલ થઈ ગયા. લાઈટ નહિ, પાણી નહિ; એવી અવસ્થામાં ત્રણથી ચાર દિવસ જનજીવન જાણે સ્થગિત થઈ ગયું. પાવર વગર બધા ઈલેક્ટ્રોનિક ઉપકરણો કામ કરતાં અટકી ગયાં. લોકો ફોનની બેટરી ચાર્જ કરવા પોતાની ગાડીમાં બેસી, ગાડી ચાલુ કરી ફોન ચાર્જ કરતાં. બહાર કાતિલ ઠંડી, ગરાજ ખોલાય નહિ અને કાર્બન મોનોક્સાઈડના કારણે થતાં મોતના સમાચાર પણ સાંભળવા મળ્યા હતાં. આ વિચારોમાં મન અટવાયેલું હતું, અને જોગાનુજોગ ઘણા વખતે મારી બહેનપણી અનુરાધાનો ફોન આવ્યો. વાત વાતમાં ચમત્કારોની વાત નીકળી અને મેં અમારા મિત્ર નવીનભાઈની છેલ્લી ઈમૈલ વિશે એને વાત કરી કે એમણે છેલ્લી ઈમૈલ છઠ્ઠી સપ્ટેમ્બર ૨૦૨૦ ના દિવસે મિત્રોને લખી પણ સંબોધનમાં ૨૦ સપ્ટેમ્બર ૨૦૨૦ લખ્યું હતું જે ખરેખર એમના અવસાનનો દિવસ હતો.
શું વિધાતાએ એમની પાસે આ લખાવ્યું, કોઈ ચમત્કાર થયો, કોઈ આગાહી થઈ??? અને ત્યારે એ ભૂલ કોઈના ધ્યાનમાં પણ આવી નહિ!!! આ બનાવ સાંભળતાં અનુરાધાને એના કુટુંબમાં થયેલા આવા જ એક ચમત્કારિક બનાવની યાદ આવી ગઈ. ક્યાંના તાંતણા ક્યાં જોડાઈ જાય છે!!
અનુરાધાના પપ્પા મોટી કંપનીમાં ટૅકનીકલ વિભાગમાં કામ કરતાં. ઊચ્ચ હોદ્દા પર એટલે વરસમાં છ અઠવાડિઆનું વેકેશન મળે. મોટાભાગે દિવાળીના સમયે એ વેકેશન લે એટલે બાળકો સાથે ભારતનાં જુદાજુદા સ્થળે ફરવા જઈ શકાય. ક્યારેક પાસેના કોઈ હીલસ્ટેશન પર બંગલો ભાડે રાખી આરામથી સમય વિતાવે. એવું જ એક વેકેશન ૧૯૬૫માં એમણે લીધું જ્યારે અનુરાધા લગભગ ચૌદ વરસની અને એની મોટીબહેન સોળ વરસની, એ વરસે સહુ મુંબઈથી પાસે જ પંચગીની મહિનો રહેવા ગયાં હતાં. બંગલો ભાડે રાખ્યો હતો એટલે અનુરાધાના નાના મામા જે વીસેક વર્ષના હતાં એ પણ સાથે આવ્યાં હતાં અને ઘરના કામકાજ માટે એમના ઘરનો ઘરઘાટી પાંડુ પણ સાથે આવ્યો હતો. બધા બાળકોને તો પંચગીનીમાં થતાં ફિલ્મના શૂટિંગ જોવા જવાની મઝા આવતી. ટેબલ લેન્ડ પર ફરવું અને ગુલાબી ઠંડીમાં ગરમ ગરમ ફજ અને ચીકી ખાવી અને ધમાલ મસ્તી કરવી. મામા પણ એમનાથી બહુ મોટા નહિ એટલે સહુને મજા પડતી. મામા પાછા સુકલકડાં એટલે વીસને બદલે માંડ પંદર સોળના લાગે.
એ જમાનામાં નહાવાનું પાણી ગરમ કરવાં ઈલેક્ટ્રીક ગીઝર જેવું તો કાંઈ નહોતું. બંગલાની પાછળ એક કુવો અને નહાવાની ઓરડીમાં લ્હાય બંબો મુકેલો હોય એમાં પાણી ભરી અને નીચે કોલસાં મુકી પાણી ગરમ કરવાનું. એક જણ નાહીને નીકળે એટલે પાછું પાણી ઉમેરવાનું. એમ રોજ નહાવાનો કાર્યક્રમ ચાલે. પાંડુ ઘરનું કામ કરતાં એ પણ ધ્યાન રાખે કે એક જણ નાહીને નીકળે એટલે કુવામાંથી પાણી સીંચી એક ડોલ બંબામાં ઉમેરી આવે. એક દિવસ અનુરાધાના મોટાબહેન ન્હાવા ગયાં, ઘણો સમય થયો પણ એ બહાર આવ્યાં નહિ, ઘરના બધાં સભ્યો તો પોતાની પ્રવૃતિમાં મશગુલ હતાં પણ પાંડુનું ધ્યાન તો ન્હાવાની ઓરડી તરફ હતું. ખાસ્સીવાર થઈ પણ આશાબહેન બહાર આવ્યાં નહિ એટલે પાંડુ મમ્મી પપ્પાને બોલાવી લાવ્યો. દરવાજો કેટલીય વાર ઠોક્યો પણ આશાબહેને ખોલ્યો નહિ.ફિઝિક્સમાં M.Sc. થયેલા પપ્પાને તરત પરિસ્થિતિની ગંભીરતાનો ખ્યાલ આવી ગયો, પણ ન્હાવાની ઓરડીને ફક્ત ઊંચે એક કાચની બારી અને એ પણ બંધ. શું કરવું એ મુંઝવણમાં પહેલાં તો સમજ જ ના પડી, પણ તરત મામાને બોલાવ્યા, અને કદાવર પાંડુના ખભે એમને ચડાવી પત્થરથી કાચ ફોડાવ્યો. અંદર બારીનાં સળિયા એને કેમ તોડવા; છેવટે ઘરમાંથી હથોડી મળી એનાથી ઠોકી ઠોકીને એકાદ બે સળિયા વાળીને ઢીલા કર્યાં અને સળિયા ખેંચી કાઢ્યાં. મામા જેમતેમ બારી વાટે ભૂસકો મારી અંદર ઊતર્યાં. આશાબહેન તો બેભાન જમીન પર પડ્યાં હતાં. મામાએ ઓરડીનુ બારણું ખોલ્યું અને ચાદરમાં વીંટી આશાબહેનને સૂવાના ઓરડામાં લઈ ગયાં. આશાબહેનનું શરીર અક્કડ થઈ ગયું હતું. અજાણ્યા ગામમાં કોઈ ડોક્ટરની ઓળખાણ નહિ. ડિરેક્ટરીમાં જોઈ એક ડોક્ટરને ફોન તો કર્યોં પણ ત્યાં સુધીમાં મમ્મીએ પગના તળિયે ગરમ તેલનુ માલિશ કરવા માંડ્યું, પપ્પાએ હથેળી મસળી ગરમાવો આપવાનો પ્રયત્ન કર્યો છાતી પર પ્રેશર આપી મસાજ કરી શ્વસોચ્છશ્વાસ નિયમિત કરવા મહેનત કરી. છેવટે દસ મિનિટે આશાબહેને આંખો ખોલી અને પગ હલાવ્યાં. સહુના જીવમાં જીવ આવ્યો.
એ વાત કરતાં આજે પણ અનુરાધાના કંઠે ડુમો બાઝી જાય છે. સાચે જ પાંડુની સુઝબુઝે આશાબહેનનો જીવ બચાવ્યો. બંધ ઓરડીમાં લ્હાયબંબામાં બળતાં કોલસાને લીધે ધીમે ધીમે કાર્બન મોનોક્સાઈડ જમા થવા માંડ્યો હતો અને ધીરે ધીરે આશાબહેનનો શ્વાસ રુંધાવા માંડ્યો હતો. આ ગેસની ઘાતક વસ્તુ એ છે કે એનો કોઈ રંગ નથી, સુગંધ નથી કોઈ સ્વાદ નથી એટલે વધુ પ્રાણઘાતક બને છે. આ વાત અનુરાધાએ મને કરી ત્યારે અનાયાસે મારા બ્લોગ પર એ જ પાનું નજર સામે આવ્યું હતું જ્યારે હ્યુસ્ટનમાં પણ ગાડીમાં બેસી ફોન ચાર્જ કરતાં આ કાર્બન મોનોક્સાઈડને લીધે જ કેટલાય લોકો અવસાન પામ્યા હતાં.
સાચે જ ક્યાંના તાર ક્યાં જોડાઈ જાય છે!આશાબહેન નસીબદાર કે બચી ગયા. એ આજે એમના કુટુંબ સાથે છે એ પણ એક ચમત્કારથી ઓછું નથી.
ડાયરીના પાના આવીજ યાદોથી તો ભરાતા જાય છે!! અને નવા સંભારણાં યાદોમાં ઉમેરાતા જાય છે.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૩ : તેજપુર, આસામ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
કોહિમા છોડતાં વાર નથી થતી. એક કે બે વળાંક અને બસ શહેરની પાછળના કોઈ બીજા પહાડ પર જતી રહે છે. કોહિમાનો પરિસર સરસ છે, પણ વસ્તીએ એને જીવંત નથી રાખ્યું. બહાર નીકળી જતાં જ નિસર્ગનું સૌંદર્ય પાછું મળી જાય છે. બધે હરિયાળું, કમનીય, સ્વચ્છ અને શાંત લાગવા માંડે છે. પણ રહેવાની કોઈ જગ્યા હવે ક્યાંય નથી. પહાડી રસ્તો તૂટી ગયેલો, અને કાદવથી લપસણો બનેલો હતો, અને પર્વતો નજરને રુંધી રહ્યા હતા. તળેટીની નજીક જતાં એ અદૃશ્ય થઈ જાય, અને ટ્રેનના પાટા, નદી વગેરે દેખાતાં થાય.
આ પ્રદેશમાં કોઈ સ્ત્રી ક્યાંય પણ એકલી જતી ના દેખાય. સાથે પુરૂષ હોય, કે બીજી સ્ત્રી હોય, કે પછી કોખમાં છોકરું હોય. આ જ જીવનની રીત અને આ જ નિયમ. આ કારણે મારે થોડું ભોગવવું પડ્યું – ક્યાંક હોટેલમાં રૂમ ના આપે, ક્યાંક રાતે કોઈ બારણું ખખડાવે, ને દરરોજ અજાણ્યાં પાસેથી સાંભળવું તો પડે જ. છતાં હું સુરક્ષિત રહી, મારા દેશની અવનવી જગ્યાઓ જોઈ, ને આનંદ પામતી રહી.
નાગાલૅન્ડની સીમા પરના ચુમુકેડિમા થાણા પર જોયું-ના જોયું કરીને બસને જવા દીધી. ગરમપાની નામનું આસામનું પહેલું થાણું આવતાં સાથે જ જાણે ચ્હાનાં વાવેતર શરૂ થઈ જાય. માઇલોના માઇલો સુધી, કલાકોના કલાકો સુધી પછી લીલો રંગ પ્રવર્તે. ચ્હાના છોડનો ઘેરો લીલો, અને ડાંગરની ધરુનો પોપટી લીલો. શેરડીનાં ખેતર પણ આવે, અને વૃxo ઊંચાં, ઘટાદાર. સોપારીનાં વન ટટ્ટાર, પાતળાં, લલિત આકારોથી આકર્ષક લાગે. કેળ પણ અહીં ખાસ્સી ઊંચી અને પુષ્ટ છે. જીવંત કુદરતનું આ ચિત્ર મનને અને આંખોને શાંતિ આપે છે.
આસામનાં તો રહેઠાણ પણ સુંદર લાગે. બધે જ ઝૂંપડીઓ સાફ ને તાજી લીંપેલી, છાપરાં કાટ ખાતાં ના હોય, ચોખ્ખાં આંગણ, દિવાળીના દિવસો હોઈ શુકન માટે બારણાંની બે તરફ ઊભી કરેલી કેળ – સુંદરની સાથે શુભનો ભાવ પણ અનુભવાતો રહે. નાનાં બજારોમાં પણ દરેક દુકાનની બહાર આમ જ કેળ મૂકેલી હતી.
કોહિમાથી કાઝિરંગા સુધીના આઠ કલાક ક્યાંયે નીકળી ગયા. ટૂરિસ્ટ બંગલો પુરાણી બ્રિટિશ શૈલીમાં હતો. તે સાંજે સૂર્યાસ્ત કેસરી થયો, રાત કાળી રહી, આકાશ તારાથી ખચિત બન્યું. તેલ ઘણું મોંઘું હતું, તોયે બંગલોના કાર્યકરોઓએ દીવા સળગાવ્યા, અને ઘણા ફટાકડા ફોડ્યા. હું એકલવાયી ના રહી.
ગાઢ નીંદરમાંથી જાગી તો વરસાદ સંભળાયો. અરે, વાદળ આવ્યાં ક્યાંથી? ને ખરેખર, આસામ માટે કહેવાય છે કે એનું આકાશ નીચે વરસાદ મોકલી આપે છે, પણ વાદળ ક્યાંથી જન્મે છે તે રહસ્ય છતું થવા દેતું નથી. કેટલી ગાજવીજ થઈ, એ વધારે જોરથી વરસ્યો જાણે આકાશને ખાલી કરવા માગતો ના હોય, ને હું ચિંતામાં રહી કે કાલે નૅશનલ પાર્કમાં જવાશે કે નહીં.
સવાર સાફ હતી, ને સૂરજ પણ નીકળ્યો. પરંતુ પાર્કમાં એટલું પાણી પડ્યું હતું કે હાથીની સવારી પર નીકળાય તેમ રહ્યું નહોતું. જીપમાં જ ફરવું પડ્યું. અહીં વરસાદનો જ નહીં, મહાનદ બ્રહ્મપુત્રમાં આવતાં પૂરનો પણ બહુ મોટો ઉત્પાત હોય છે. દર વર્ષે એનાં પાણી કારમી તારાજી સર્જે છે. કાઝિરંગાનો પ્રસ્તાર બાર બાર ફીટ ઊંચા હાથી-ઘાસથી ભરપુર છે. એમાં થઈને જતાં જતાં હાથી, ગેંડા, જંગલી ભેંશ, સૂવર, હરણ વગેરે વન્ય પ્રાણીઓ જોવા મળે. અંદરના કાચા રસ્તા એવા કાદવવાળા હતા કે જીપ ફસાઈ જતી હતી. પણ, ફરાયું ખરું. ને અવનવો ભૂ-ભાગ જોવા મળ્યો.
ઉપરાંત, કૉફી પ્લાન્ટેશનમાં નાનાં અસંખ્ય ફળ થયાં હતાં – કાચા લીલાથી માંડીને ઘેરા લાલ રંગનાં. હજી કૉફીની સુગંધ આવવા માંડી નહોતી. રબર પ્લાન્ટેશનના ઊંચાં, જૂનાં ઝાડની વચ્ચે સરસ છાંયડો અને શાંતિ હતાં. જાડું સફેદ પ્રવાહી ભેગું કરી કરીને મોટી મોટી ઘણી થાળીઓમાં સૂકવવા મૂક્યું હતું. લાકડાના પુલની નીચે થઈને વહેતી નાની નદીના ઠંડક આપતા પાણીમાં છોકરાં આનંદથી નહાતાં હતાં, માતાઓ કપડાં ધોતી હતી. બહુ જ સરસ કૌટમ્બિક સાહચર્યનું સાહજિક દૃશ્ય હતું એ.
અઠવાડિયે એક વાર ભરાતા નાના હાટમાં વેચાતાં શાક ખૂબ તાજાં હતાં. ડુંગળી, બટાકા, ફણસી, ભીંડા, લાંબાં પાતળાં રીંગણ, ઉપરાંત પહેલાં નહીં જોયેલાં કંદ હતાં, ને કાચી સોપારી, ઝીણાં લાલ મરચાં વગેરે. દરેકે એક કટકો પાથરી સરસ રીતે ગોઠવેલાં. એક માણસે દસ-બાર ચીજોની સરસ ઢગલીઓ કરેલી. બહુ ભીડ નહોતી. લાક્શણિક કપડાંમાં કેટલીક સ્ત્રીઓ સરસ લાગતી હતી. એક લીંપેલી, ચોખ્ખી હાટડીમાં જઈ મેં આખા દૂધની ચ્હા બનાવડાવી. ખાંડ વગર, જેથી જોઇએ તેટલી હું જાતે નાખી શકું. ને આ રીતે એમનામાંની એક હું થોડી વાર માટે બની પણ શકું ને.
આસામને દૂરને છેડે તેજપુર જવા મેં કાઝિરંગાથી મિનિ-બસ લીધી. એમાં એટલી તો ભીડ કે પહેલાં તો મારે ઊભાં રહેવું પડ્યું. બેસવાની જગ્યા મળી પછી બે છોકરાં સાથે એક દંપતી બસમાં ચઢ્યું. પાતળી, મીઠડી છોકરીને મેં ખોળામાં બેસાડી. તૂટી ગયેલાં બટનવાળું પીળું ફ્રૉક, બે ચોટલામાં બાંધેલા વાળ, આંખમાં આંજણ, કાળી ત્વચા પર પાવડર, ને મામાને ત્યાં જમવા જવાની ખુશી. એનું નામ હતું રૂપામણિ મિયા. અહીં ઇસ્લામ અને હિંદુત્વ વચ્ચે અંતર ખાસ લાગતું નથી.
આવું જ મીઠડું હતું નિસર્ગનું સ્વરૂપ -કમનીય, પરિષ્કાર, આનંદકર. દૃશ્યપટ મૃદુ છે અને જનપદ પણ મૃદુ છે. ઉલ્ફા જેવાં પ્રતિકાર-જૂથ દ્વારા થતાં બૉમ્બ-વિસ્ફોટ, ખૂનખરાબી, અપહરણ વગેરે જેવાં વલણ આસામની અંતર્ગત વ્યક્તિતા સાથે જચતાં નથી. જરાક ઉદાસી મને સ્પર્શી ગઈ.
આસામી ભાષામાં નદીને લુઇત કહે છે. ઉત્તર આસામમાં લુઇત બ્રહ્મપુત્રનો પટ અત્યંત વિશાળ છે, ને રેતાળ માઠનો બનેલો છે. આ સમયે નદી પાણીથી છલોછલ નહોતી. પટમાં વારાફરતી રેત અને પાણીના અટાપટા થયેલા હતા. તેજપુર જવા બ્રહ્મપુત્ર વળોટવી પડે, ને તે હોડી દ્વારા જ થઈ શકતું. પૂર હોય તો હોડીઓ ડૂબે પણ ખરી. છેવટે, એના ઉપર છેક એંશીના દાયકાના અંત દરમ્યાન બંધાયેલો પુલ ત્રણ કિ.મિ. લાંબો ખરો, પણ ખાસ પહોળો નથી. આમ છેક ઉત્તર આસામ સુધી બહુ પ્રવાસી જતાં નથી. હું ગઈ.
પુલ પાર કર્યા પછી સૈન્ય-થાણું છે. જતાં ને આવતાં બધાં વાહનોને ઊભાં રહેવું પડે. હાથમાં રાઇફલ લઈને સૈનિકો ઊભા હોય. એમાંના એક કે બે બસમાં આવીને તપાસે, પૂછપરછ કરે, થેલા ખોલાવે. શસ્ત્ર-હથિયાર માટેની આ સાવચેતી હોય છે. તેજપુર શહેર શરૂ થાય છે તાલુકા સરકારનાં કાર્યાલયોથી. ન્યાયાલય હોય કે વાણિજ્ય ખાતું હોય- પીળાં રંગેલાં બધાં નીચાં મકાન સાધારણ દેખાય.
નાનું, શાંત શહેર. ઘણાં ઝાડ, વચ્ચે એક તળાવ, મોટરો ખૂબ ઓછી. અહીં સાયકલ-રિક્શા જ કરવી પડે. કેન્દ્રથી ઘણે દૂર, તેજપુર મહાવિદ્યાલયથી આગળ અગ્નિગઢ નામની ટેકરી છે. ઉપર જવા પગથિયાં બનાવેલાં છે. ત્યાંથી નદી અને પુલનું દૃશ્ય દેખાય છે. કહેવાય છે કે અનિરુદ્ધ અને ઉષાનો પ્રેમ આ સ્થાને વિકસ્યો હતો. ઉષા અને સખી ચિત્રલેખાને દર્શાવતું એક દીવાલ-શિલ્પ ત્યાં બનાવાયું છે. તારિખ જોઈ તો છેક હમણાં, ચારેક મહિના પહેલાં જ એનું ઉદ્ઘાટન થયું. બાજુમાં, અશોક ચક્રથી સજ્જ એક ઊંચો સ્તંભ પણ હતો. મને થયું, અહીંથી સૂર્યાસ્ત કેવો સરસ દેખાય. તરત જવાબ પણ મળ્યો, હા, પણ અંધારું થયા પછી આટલે દૂર હોટેલ પર પાછાં કઈ રીતે જવાનું?
અગ્નિગઢથી ઊતરી આવી રિક્શામાં આગળ ને આગળ હું ભૈરવી મંદિરે ગઈ. એ તો ખરેખર શહેરની બહાર હતું. વચ્ચે એક નાની બસ્તી આવી. વાંસના સળિયા બનાવેલી બારીઓવાળી ઝૂંપડીઓ કચ્છ જેવી લાગી. હું ફોટા લેવા ઊતરી. આજુબાજુ રહેનારાં મને જોઈ રહ્યાં. કોઈને ગમ્યું લાગ્યું નહીં. વધારે વખત હું ત્યાં ઊભી ના રહી. રસ્તા એવા ઢાળવાળા હતા કે ચાલકને રિક્શા ખેંચવી પડતી હતી. મેં કહ્યું કે હું ચાલું છું, તો એ ના જ પાડતો રહ્યો.
બીજી એક ટેકરી ઉપર ઘણાં પગથિયાં ચઢ્યા પછી ભૈરવી મંદિર આવ્યું. કેટલાક લોકો પ્રસાદ માટે રાહ જોતા હતા. પ્રતિમા સાવ નાની હતી. તે સિવાય પાષાણનું જે મૂળ સ્વરૂપ હશે તે વસ્ત્ર-શણગારથી ઢંકાયેલું હતું. પાછલી બાજુ ઘણે નીચે નદી બ્રહ્મપુત્ર વહેતી હતી. મેં માન્યું, નદી સુધી જવાતું હશે. ઢોળાવની માટી ખોદી ખોદીને પગથિયાં જેવું બનાવેલું હતું. એ પછી બધે કાંપની માટી હતી. લાકડાના એક ઊંચા થાંભલા પર કોઈ માછીમારે જાળ લટકાવી રાખી હતી. અગ્નિગઢથી આ ભાગ થોડો દેખાયો હતો. નદી વાટે તો ઘણો પાસે હતો. રસ્તે રસ્તે કેટલે ફરીને આવવું પડ્યું. નદીનું પાણી ડહોળું હતું. હજી ભેખડ ચાલુ હતી. એ ઊતરીને છેક પાણી સુધી હું ગઈ નહીં. તદ્દન ખાલી ને નિર્જન હતો એ માઠ, એ પટ.
બીજે કોઈ રસ્તેથી પાછાં જતાં ખાદી અને હસ્ત-ઉદ્યોગ માટેનું કસ્તૂરબા સેવા કેન્દ્ર, ઊંચી દીવાલ અને પોલિસના પહેરાવાળી જેલ, નાનો એક બાગ, બ્રહ્મકુમારી કેન્દ્ર, સરકારી કાર્યાલયો વગેરે જોવા મળ્યાં. બજારની નાની ગલીઓમાં થઈને એકમાં આવેલા મહાભૈરવનું મંદિર જોવા ગઈ.
બે-ત્રણ દિવસ પહેલાં કાલીપૂજા નિમિત્તે કીર્તન-મૃદંગ યોજાયેલાં. અત્યારે તો મંદિરના ઊંચા પ્રાંગણમાં છોકરાઓ ક્રિકેટ રમતા હતા. પહેલો ઓરડો ખાલી હતો. ગર્ભગૃહમાં ચારેક ફીટ જેટલું ઊંચું શિવલિંગ હતું. કાળા પાષાણાકાર પર લાલ વસ્ત્ર વીંટાળાયું હતું. આ લિંગ સ્વયંભૂ છે, ને કૃષ્ણના વખતનું, સાતેક હજાર વર્ષ પહેલાંનું ગણાય છે. ઉષાના પિતા રાજા બાણ અહીં આવતા, એમ વાયકા છે. અમુક દિવસોએ ભીડ થતી હશે. એ બપોરે તો શિવની કૃપા વાંછનાર હું એકલી જ હતી. બે યુવાનો આવીને ઝટપટ નાનાં કોડિયાં ધરાવી ગયા. પછી વળી મહાભૈરવ મારી સાથે એકલા પડ્યા.
બજારની ગલીઓમાં બે બાજુ હાટડીઓ, ને એમાં બધું મળે-કાપડ, કપડાં, શૃંગારની સામગ્રી, ઘરગથ્થુ ચીજો, અનાજ, શાક-ફળ, વાસણ, છાબડીઓ, પૂજાપો. પણ પચીસ જગાએ પૂછતાં ય ક્યાંયે બિસલરીનું પાણી ના મળ્યું. આસામના લાક્શણિક બે ગામછા લીધા. સફેદ સુતરાઉ કાપડ પર લાલ વણાટના પાલવ. કશા કામમાં નહોતા આવવાના, ને કદાચ લાલ રંગ ઊતરે પણ ખરો. આસામની નિશાની તરીકે રહેશે મારી પાસે. પછીની સવારે નેશનલ હાઇ-વે નં. ૩૭ પર બસમાં ગોવાહત્તી સુધીના બસો કિ.મિ. કાપવાના હતા.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
મારો ન્યાય: સરળ અને સમજાય તેવી મારી ભાષામાં
નિસબત
ચંદુ મહેરિયા
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન રસ્મ-અદાયગી નિભાવતો આવ્યો અને ગયો. આ વરસ તેની સિલ્વર જ્યુબિલી કહેતાં પા સદીનું છે. માતૃભાષા દિવસની પહેલી પચીસીના રજત વરસની થીમ વૈશ્વિક સ્તરે અધિક સમાવેશી અને ટકાઉ વિશ્વના નિર્માણ માટે ભાષાની વિવિધતા પર પ્રગતિમાં ગતિ આણવાની આવશ્યકતા છે. મૂળે તો વિભાજન પૂર્વેના પાકિસ્તાનના બંગભાષીઓએ બંગાળી ભાષાના અસ્તિત્વને ટકાવવા કરેલા દીર્ઘ ભાષા આંદોલનની સ્મૃતિનો આ દિવસ છે. ૨૧ મી ફેબ્રુઆરી ૧૯૫૨ના રોજ ઢાકા યુનિવર્સિટીના છાત્રો અને લોકોએ માતૃભાષા બંગાળીના રક્ષણ માટે આદરેલી લડત સામેના સરકારી દમનમાં ૧૬ લોકો શહીદ થયા હતા. તેની સ્મૃતિમાં ૨૦૦૦ના વરસથી આખી દુનિયામાં એકવીસમી ફેબ્રુઆરી આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે મનાવાય છે. રાષ્ટ્રીય અવકાશનો ઓણનો માતૃભાષા દિવસ બાંગ્લાદેશે તેની ભાષાકીય ઓળખને બદલે ધાર્મિક ઓળખને પ્રાધાન્ય આપતા બદલાયેલા રાજકીય માહોલમાં કઈ રીતે ઉજવ્યો હશે? ન જાને.
૨૦૨૨થી ૨૦૩૨નો દાયકો સ્વદેશી ભાષાઓના દાયકા તરીકે મનાવવાની નેમ ધરાવતા સંયુક્ત રાષ્ટ્રસંઘને એ વાતે ચિંતા છે કે વિશ્વમાં દર બે અઠવાડિયે એક ભાષા વિલુપ્ત થઈ જાય છે. તેથી વિશ્વ એક સાંસ્કૃતિક અને બૌધ્ધિક વારસો ગુમાવે છે. શિક્ષણના માર્ગમાં ભાષા અવરોધક ન બનવી જોઈએ. પણ ખરેખર એવું છે ખરું? યુનેસ્કોનું કહેવું છે કે દુનિયાની બાળવસ્તીના ચાળીસ ટકા બાળકોને તેઓ જે ભાષા બોલે છે તે ભાષામાં શિક્ષણ પ્રાપ્ત કરવાની સુવિધા મળતી નથી. એટલે માતૃભાષામાં શિક્ષણ એટલે ખરેખર કઈ માતૃભાષા અને કોની માતૃભાષા તે પણ લાખેણો સવાલ છે. ઓડિશાની કેવળ છ જ જનજાતિ ભાષાઓને લિપિ છે. આવું ઘણી આદિવાસી ભાષાઓમાં છે. એટલે તે વર્ગ સાહિત્ય અને શિક્ષણની સામગ્રીની પહોંચથી વંચિત રહે છે.
૨૦૨૨માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વડી અદાલતોના ન્યાયાધીશોની પરિષદમાં વડી અદાલતોને તેના વિવિધ કામો સ્થાનિક ભાષામાં કરવા અપીલ કરી હતી. ન્યાયનો આધાર જો સુરાજ હોય તો ન્યાય જનતાની ભાષા સાથે જોડાયેલો હોવો જોઈએ તેવી વડાપ્રધાનની વાત સાથે કોણ અસંમત થશે ભલા? આ સંમેલનમાં તત્કાલીન સીજેઆઈ એન.વી.રમન્નાએ પણ અદાલતોનું કામકાજ સ્થાનિક ભાષામાં કરવાનું જરૂરી તો માન્યું જ હતું પણ આગળ વધીને તેમણે ન્યાય પ્રણાલીનું દેશીકરણ કે ભારતીયકરણ થાય તેવી ઈચ્છા જાહેર કરી હતી. ન્યાયપાલિકા અને વિધાયિકા બંને રાજ્યોની વડી અદાલતોની ન્યાયિક પ્રક્રિયા રાજ્યોની રાજભાષામાં થવી જોઈએ તેમ સ્વીકારતી હોય તો પછી મારો ન્યાય , મારી ભાષામાં એવા અભિયાનોની જરૂર શું છે?
આપણા દેશની તાલુકા અને જિલ્લા અદાલતોની કામગીરી તો સ્થાનિક ભાષામાં ચાલે છે પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની કામગીરી અંગ્રેજીમાં અને માત્ર અંગ્રેજીમાં જ ચાલે છે. અદાલતોની કામગીરી અને ચુકાદાની મોટી સામાજિક, રાજકીય, આર્થિક અસરો હોય છે. જો તે લોકોની ભાષામાં ન હોય તો દેશની બહુમતી જનતા તે સમજી શકતી નથી.કાયદાની અને અદાલતોના ચુકાદાની ભાષા પોતે કરીને જ આમ આદમીની સમજની બહારની વસ્તુ હોય ત્યારે જો તે અંગ્રેજીમાં જ હોય તો તે કાળા અક્ષર ભેંસ બરાબર જ બની રહે છે. જો લોકોને કાયદાની કે અદાલતના ચુકાદાની ભાષા જ ન ઉકેલાય તો તેના અમલની આશા કેમ રાખી શકાય ?
કેન્દ્ર સરકારે કાયદાઓને સરળ કરવા ઉપરાંત તેને લોકોપયોગી બનાવવા કાયદાકીય પારિભાષિક અને ટેકનિકલ શબ્દો બાદ કરીને જનતાને સમજાય તેવી સરળ અને સહજ ભાષાની આવૃતિઓ બનાવવા પ્રયાસો શરૂ કર્યા છે. પરંતુ અદાલતો તે બાબતમાં હજુ પ્રગતિ સાધી શકી નથી. હવે એઆઈ (આર્ટિફીસિયલ ઈન્ટેલિજન્સ) ની મદદથી ચુકાદાના અનુવાદનું કાર્ય હાથ ધરાયું છે. પરંતુ મૂળ ચુકાદા તો અંગ્રેજીમાં જ રહેશે.
પોલીસ એફ આઈ આર એટલે ગુનાનો પ્રથમ દર્શનીય અહેવાલ સ્થાનિક ભાષામાં લખે છે. પોલીસ તપાસ પણ સ્થાનિક ભાષામાં થાય છે.સુનાવણી દરમિયાન આરોપી, ફરિયાદી અને સાક્ષીની જુબાની સ્થાનિક ભાષામાં લેવાય છે પરંતુ વકીલોની દલીલો અંગ્રેજીમાં થાય છે. પિટિશનથી માંડીને કેસ સાથેના આધારો, પુરાવા, દસ્તાવેજો જો સ્થાનિક ભાષામાં હોય તો તેનો અંગ્રેજી અનુવાદ કરાવવો પડે છે. વળી ન્યાયિક કાર્યવાહી અને ચુકાદા અંગ્રેજીમાં હોય સામાન્ય માણસને કશી ખબર પડતી નથી. તેને અંગ્રેજી જાણતા વ્યક્તિ કે વકીલ જેટલું સમજાવે તેટલું તે સમજે છે. ખરેખર આ અરજદાર અને આરોપી બંને સાથે અન્યાય છે.
વડી અદાલતોની ન્યાયિક કાર્યવાહી અંગ્રેજીમાં હોય છે તે તો સવાલ છે જ એથી પણ વધુ મોટો સવાલ કાયદાની અને ચુકાદાની ભાષાનો છે. ખુદ અદાલતની ભાષા જ ન્યાયના કઠેડામાં ઉભી હોય તેવી સ્થિતિ છે. થોડા સમય પૂર્વે જ સર્વોચ્ચ અદાલતના બે ન્યાયાધીશોની પીઠે એક રાજ્યની વડી અદાલતનો ચુકાદો માથું દુખાડનારો ગણાવ્યો હતો. ચુકાદાની ભાષા એટલી તો ક્લિષ્ટ હતી કે જજસાહેબે કહેવું પડ્યું કે આ જજમેન્ટ વાંચ્યા પછી મારે બામ ઘસવી પડી હતી. સુપ્રીમે આ ચુકાદા સંદર્ભે એવી લિખિત ટિપ્પણી કરી હતી કે આ ચુકાદામાં સાચી અને સહજ ભાષાનો પ્રયોગ ન થવાથી ન્યાયનો હેતુ જ માર્યો ગયો છે. ચુકાદાએ ન્યાયના ઉદ્દેશને જ ક્ષતિ પહોંચાડી છે. એટલે મારો ન્યાય મારી ભાષામાં તો ખરો જ પરંતુ મને સમજાય તેવી સરળ અને સહજ ભાષામાં પણ હોવો જોઈએ.
ભારતીય બંધારણના ચેપ્ટર ૩ (લેંગ્વેજ ઓફ ધ સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટસ )ના આર્ટિકલ ૩૪૮માં સંસદ કાયદા દ્વારા ફેરફાર ના કરે ત્યાં સુધી સર્વોચ્ચ અદાલત , વડી અદાલતોની કાર્યવાહી અંગ્રેજીમાં થશે તેવી જોગવાઈ છે. આ જોગવાઈ પંદર વરસ સુધી જ હતી.પરંતુ હજુ તેમાં ફેરફાર થતો નથી. ૨૦૨૨માં વડાપ્રધાન અને ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા બંને સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહીની આવશ્યકતા સ્વીકારે છે. પરંતુ અમલની દિશામાં કોઈ આગળ વધતું નથી. કહે છે કે ૧૯૬૫માં સુપ્રીમ કોર્ટે ફેરફાર માટે સીજેઆઈની મંજૂરી અનિવાર્ય હોવાનું જણાવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટે એકાધિક વખત અનુચ્છેદ ૩૪૮(૨) હેઠળ હાઈકોર્ટની કામગીરી ગુજરાતીમાં થાય તેવી માંગણી કરતી જાહેર હિતની અરજીઓ ફગાવી દીધી છે. એટલે દડો કેન્દ્ર સરકારના દરબારમાં છે.
સુપ્રીમ કોર્ટના શાહબાનુ ચુકાદાને કે તાજેતરમાં ઈલેકશન કમિશનરોની નિમણૂક માટેની સમિતિના સભ્યો અંગેના ચુકાદાને સરકારોએ ઘડીમાં પલટ્યા છે. તો સ્થાનિક ભાષામાં અદાલતી કાર્યવાહી પંદર વરસ પછી કાયદા દ્વારા સ્થાપિત કરી શકાય છે તે બાબતે તેનું વલણ કેમ આવું છે?
દેશના ચાર રાજ્યોની હાઈકોર્ટસમાં અંગ્રેજી ઉપરાંત હિંદીનો ઉપયોગ થઈ રહ્યો છે. તમામ નહીં તો મહત્વના ચુકાદાના સ્થાનિક ભાષામાં અનુવાદો ઉપલબ્ધ કરાવાય છે. આંરભે દેશની રાજભાષા હિંદી વડી અદાલતો અપનાવે અને ધીરે ધીરે રાજ્યોની રાજભાષા તરફ વળે તો મારી ભાષામાં મારો ન્યાય વિલંબથી ય શક્ય બનશે પણ આંટીઘૂંટીભરી અને ક્લિષ્ટને બદલે સહજ ,સરળ અને સમજાય તેવી ભાષામાં ન્યાય ઉપલબ્ધ થાય તે તેથી પણ વધુ કે તેના બરાબર જરૂરી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
છંદોની છીપમાં ઉઘડે મોતી
પન્ના નાયક
છંદોની છીપમાં ઊઘડે મોતી અને લયમાં ઝૂલે છે મારું ગીત,
શબ્દોની સામે માંડી છે મીટ.
મારા આ શબ્દોમાં કોનો છે શ્વાસ અને ધબકે છે કોની આ પ્રીત,
શબ્દોની સામે માંડી છે મીટ.અણસારાના અહીં ઊડે પતંગિયાં ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય રાતે અહીં આગિયા રણકારના.
મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત,
શબ્દોની સામે માંડી છે મીટ.પંખીનાં પગલાં આકાશે હોય નહીં,ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં, હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.
તડકો ને ચાંદની બન્ને રેલાય : એને નડતી નથી રે કોઈ ભીંત,
શબ્દોની સામે માંડી છે મીટ.:રસદર્શનઃ
દેવિકા ધ્રુવ
ત્રણથી વધુ દાયકા પહેલાં છપાયેલ કવયિત્રી પન્નાબહેન નાયકનો કાવ્યસંગ્રહ ‘આવનજાવન’નું એક ગમતું ગીત આજે ફરી હોઠે ચડ્યું. “છંદોની છીપમાં ઉઘડે મોતી અને લયમાં ઝુલે છે મારું ગીત”.
આમ તો એમ મનાય છે કે,પન્નાબહેનની કલમે અછાંદસ કવિતાઓ વધુ આપી છે. પણ એમાં ઉમેરો કરતાં કહેવું છે કે, તેમણે ખળખળ વહેતાં ઝરણાં જેવાં લયબદ્ધ ગીતો પણ ઘણાં આપ્યાં છે. આ ગીતની પ્રથમ પંક્તિ જ આ હકીકતને પ્રસ્થાપિત કરે છે. છીપમાંથી ઉઘડતા મોતીની જેમ છંદ અને લયમાં ગીત ઝુલે છે અને મીટ તો શબ્દ પરથી ખસતી જ નથી. કવિને પોતાને જ પ્રશ્ન થાય છે કે, કોનો શ્વાસ આ શબ્દોમાં શ્વસે છે અને કોની પ્રીત આ ગીતમાં ધબકી રહી છે! શબ્દો પર તાકતી આ નજર શું શોધી રહી છે? કોની રાહ જોઈ રહી છે? પ્રશ્નોની આ પરંપરા સામાન્ય નથી. કોઈ ન કહેવાયેલી વાત આગળની પંક્તિઓમાં સિફતપૂર્વક ધીરેથી ખુલતી દેખાય છે.
ગમે એટલી મીટ માંડો પણ અહીં તો છે કેવળ પતંગિયાના અણસારા,ભમરાઓના ભણકારા અને દિવસના ઘોંઘાટ પછીનો માત્ર આગિયાનો રણકાર!
અણસારાના અહીં ઊડે પતંગિયાં,
ભમરાઓ ભમતા ભણકારના,
દિવસનો કોલાહલ ડૂબી અહીં જાય,
રાતે અહીં આગિયા રણકારના.બીજી કશી ઝાઝી ચોખવટ નથી. એકલતાની કે વિષાદની કોઈ ભારેખમ વાત નથી કરી. મૌન રાખ્યું છે. વાચકના ભાવવિશ્વ પર અર્થઘટન છોડી દઈને આગળની પંક્તિમાં ખૂબ ખૂબીથી એ કહે છે કે,
“મૌનના આ ઘૂંઘટને ખોલીને જુઓ તો ચહેરા પર અંકાયું સ્મિત…અહાહાહા…આ સ્મિતમાં કંઈ કેટલીયે અર્થછાયાઓ ઉઘડે છે. સ્મિત છે એટલે કે કોઈ ન હોવાની કે કંઈ ન હોવાની ઉદાસી નથી કે ફરિયાદ પણ નથી. જે છે તે મનમાં છે, મૌનમાં છે અને ઘણું બધું છે; જે સમજણના એવા શિખરે છે કે જ્યાંથી સ્મિત સરે છે. નબળા કે અબળા આંસુને સ્થાન જ નથી.
બીજો અંતરો પણ મઝાનો છે જે કલાત્મક અંત તરફ દોરી જાય છે અને તે પણ તાર્કિક રીતે, ક્રમિક રીતે. એ કહે છે કે,
પંખીનાં પગલાં આકાશે હોય નહીં
ને હોડીના હોય નહીં ચીલા,
ધુમ્મસ તો પકડ્યું પકડાય નહીં,
હોય ભલે આપણા આ હાથ તો હઠીલા.પંખીને પાંખો મળી છે એટલે ઊડવાનું જરૂર પણ આકાશમાં એનાં પગલાં ન પડી શકે ને? એ જ રીતે હોડીએ તો પાણીમાં વહેવાનું પણ એના ચીલા ન પડે! અને આપણે ગમે તેટલા હવામાં હાથ વીંઝીએ પણ એમ કંઈ ધુમ્મસ પકડાતું હશે? જુઓ, અહીં રૂપકો પણ કેવાં માર્મિક પ્રયોજ્યાં છે? જેનો જે ગુણધર્મ છે કહો કે સ્વભાવગત જે ક્રિયાભાવ છે તે જરૂરથી બજાવવાનો જ છે, પણ કશાયમાં હરણફાળ કે તરંગીપણામાં રાચવાનું નથી. ક્યાંય ક્શીયે સ્પષ્ટતા નથી કે પ્રથમ અંતરામાં ઉદ્ભવેલા સવાલોના જવાબો નથી. પણ આ અનુત્તર રહેલ નિજી સંવેદના વાચકને પોતીકી લાગે એટલી હદે સ્પર્શે છે. વળી એમાંથી એક એ અર્થ પણ મળે છે કે, કે જે પોતીકું છે તે પરાયું થવાનું નથી અને જે આપણું નથી તેની ઝંખના વ્યર્થ છે. ન પકડાતા ધુમ્મસની જેમ.
અંતિમ પંક્તિમાં કવિતાનું હાર્દ નીખરે છે. વિરોધાભાસની વચ્ચે પણ કૌશલ્યતાને પામવાની વાત ખૂબ જરૂરી શબ્દોમાં વ્યક્ત કરી છે.
તડકો ને ચાંદની બન્ને રેલાય :
એને નડતી નથી રે કોઇ ભીંત,સીધી વાત છે કે, ચાલનાર સૌ કોઈને ભીંત કે દિવાલ નડે. ભીંત એટલે જ નડતર. તેના જવાબમાં કવયિત્રી કહે છે કે, અરે, તડકો હોય કે ચાંદની; બંને સદા રેલાવવાનું જ કામ કરે છે. એને રેલાવા માટે કંઈ ભીંત નડતી નથી. અર્થાત્ અતિ સરળતાથી અને સ્વાભાવિક રીતે અને સમજણથી થતી પ્રવૃત્તિઓને કોઈ અવરોધ નડતા નથી. અહીં સ્થૂળ રૂપકોને ભીતરી સૂક્ષ્મ ભાવોથી ભર્યા છે.
આખાયે ગીતમાં તડકો અને ચાંદની સાથે સાથે અનુભવાય છે. તેમાં દિવસનો કોલાહલ છે અને રાતના આગિયાનો રણકાર પણ. મૌનનો ઘૂમ્મટ છે અને ભીતરનું ધુમ્મસ પણ. આમ એકી સાથે દ્વન્દ્વોના મોજાંઓ વચ્ચે કલમ ફરે છે; જેમ સ્વદેશ અને પરદેશની કરવત વચ્ચે વહેરાતાં, ટકરાતાં છતાં ટક્કર લેતાં પોતે ઊભાં છે અને તે પણ મગરૂરીથી. એટલે જ ફરી પાછી નજર જાય છે શબ્દ પર ‘શબ્દોની સામે માંડી છે મીટ’ કારણ કે એ જ જીવનનું ખરેખરું ચાલક બળ છે.
બે અંતરામાં રચાયેલું આ ગીત એનાં લય,ગતિ,વિષય,લાઘવ,રૂપક અને ઉચિત શબ્દોને કારણે કાવ્યતત્ત્વથી સભર અને રસપૂર્ણ બન્યું છે, આસ્વાદ્ય બન્યું છે. મૌનની કોખે ફૂટી ઉઠેલી શબ્દની પાંખે, હળવે હળવે, છંદની છીપમાં ઉઘડતા મોતીની જેમ લયમાં તેમનું આ ગીત ઉઘડીને ખીલ્યું છે. આ સશક્ત કલમને વંદન.
-
કોઈનો લાડકવાયો – (૬૭)_ સુભાષબાબુનું પરાક્રમ (૪)
દીપક ધોળકિયા
આઝાદ હિન્દ ફોજની લડાઈ સુભાષબાબુની ચિર વિદાય
આઝાદ હિન્દ ફોજનું મુખ્ય કેન્દ્ર રંગૂનમાં (હવે યંગોન) ખસેડવાનો સુભાષબાબુનો નિર્ણય એમની યુદ્ધની વ્યૂહરચના વિશેની ઊંડી સૂઝ દર્શાવે છે. આંદામાન-નિકોબાર ટાપુઓ જાપાને એમના હાથમાં સોંપી દીધા પણ યુદ્ધની નજરે આ ટાપુઓનું કંઈ મહત્વ નહોતું. નેતાજી સમજી ગયા હતા કે એમને ભારત ન પહોંચવા દેવા માટે જાપાને આંદામાન-નિકોબાર ટાપુઓ આપી દેવાની ઉદારતા દેખાડી છે, કારણ કે ત્યાંથી નૌકાદળની મદદ વિના આઝાદ હિન્દ ફોજના સૈનિકો ભારત તરફ ન જઈ શકે. એ રસ્તો તો બર્મામાંથી જ મળવાનો હતો. એમનો બર્મામાં ઑફિસ શરૂ કરવાનો નિર્ણય જાપાનને પસંદ ન આવ્યો.
પૂર્વ એશિયાના હિન્દુસ્તાનીઓ
પૂર્વ એશિયામાં એ વખતે લગભગ ૩૦ લાખ હિન્દીઓ વસતા હતા. જાપાનમાં તો હતા જ, પણ એકલા બર્મામાં દસ લાખ અને મલાયામાં એંસી હજાર હિન્દીઓ હતા. બર્મામાં તો કોંગ્રેસની સ્થાનિકની શાખા પણ ત્યાંના હિન્દીઓએ જ બનાવી હતી. વેપારીઓની ઇંડિયન ચૅમ્બર ઑફ કૉમર્સ પણ હતી અને વેપારીઓ હિન્દવાસીઓનાં હિતોની બરાબર કાળજી લેતા હતા. પરંતુ મલાયાના હિન્દીઓ રાજકીય દૃષ્ટિએ રંગૂનના હિન્દીઓ કરતાં વધારે જાગૃત હતા. ત્યાંના શિક્ષિત હિન્દીઓ મજૂરોને પણ સંગઠિત કરવામાં સક્રિય હતા. થાઈલૅંડમાં પણ ઘણા ભારતીયો હતા અને બીજા વિશ્વયુદ્ધના અરસામાં થાઈલૅંડમાં ભારતીય સંસ્કૃતિનો પ્રભાવ પણ વધ્યો હતો. એ જ રીતે વિયેતનામના સાયગોન અને હાનોઈમાં સિંધીઓની મોટી વસ્તી હતી. રંગૂનમાં હેડક્વાર્ટર્સ રાખવાથી બર્મા, મલાયા, સિંગાપુર, વિયેતનામ, બેંગકોક વગેરે સ્થળોએ સ્થાયી થયેલા અસંખ્ય હિન્દીઓનો મોટા પાયે ટેકો મળવાની આશા પણ હતી.
અંતે ૧૯૪૪ના માર્ચમાં જાપાને બર્મામાંથી મણિપુર પર હુમલો કર્યો. એનું નિશાન ઇમ્ફાલ હતું. જાપાને ૭૦,૦૦૦ સૈનિકોને લડાઈમાં ઉતાર્યા અને ભારે અનિચ્છા સાથે આઝાદ હિન્દ ફોજની ગાંધી બ્રિગેડ અને આઝાદ બ્રિગેડ અને સુભાષ બ્રિગેડના એક ભાગના ૬,૦૦૦ સૈનિકોને ડાબે અને જમણે રહેવાની છૂટ આપી. કૅપ્ટન શાહનવાઝ ખાનના હાથમાં આઝાદ હિન્દ ફોજનું નેતૃત્વ હતું. સામે પક્ષે, બ્રિટનના દળમાં ગોરખાઓ, બીજા ભારતીયો વગેરે મળીને ૧,૨૦,૦૦૦ સૈનિકો હતા પણ જાપાનના હુમલાની શરૂઆત સાથે જ બ્રિટિશ દળો પાછળ હટતાં ગયાં. એમનો વ્યૂહ એવો હતો કે સપ્લાય લાઇનની નજીક રહેવું.
ચારે બાજુ, બધા મોરચે બ્રિટિશ દળો પરાજિત થતાં હતાં તે સાથે બ્રિટિશ ઑફિસરોએ હિન્દુસ્તાનીઓની પરવા કરવાનું છોડી દીધું હતું. કૅપ્ટન લક્ષ્મી એ વખતે પોતાના પતિ સાથે એમની ક્લિનિકમાં હતાં. ત્યાંથી ભાગી છૂટવાની એમને ચેતવણી મળતાં એ ભાગી છૂટ્યાં પણ રસ્તામાં પાછળથી જાપાની સૈનિકો આવતા હતા. એમનાથી બચવા માટે બન્ને જણ રસ્તાની પાસે નાની ખાઈમાં ઊતરી ગયાં. જાપાની સૈનિકોએ એમને જોઈ લીધાં અને એમની સામે મશીનગન ગોઠવી દીધી પણ હિન્દુસ્તાની છે એવી ખબર પડતાં જવા દીધાં.
બ્રિટિશ ફોજમાં પ્રેમ કુમાર સહગલ પણ હતા. એમની બટાલિયનને પાછા હટવાનો આદેશ મળી ચૂક્યો હતો. પણ એ જ સવારે એમના બ્રિટિશ સાથીનો સંદેશ મળ્યો હતો. જાપાનીઓ એના બંકર સુધી પહોંચી ચૂક્યા હતા. સંદેશમાં તો તરત ભાગી છૂટવાની ચેતવણી હતી પણ પ્રેમ કુમાર ઉલ્ટું સમજ્યા કે મદદ માટે જવાનું છે. એ ત્યાં ગયા તો જાપાની સૈનિકોએ એમને ઘેરી લીધા.
પ્રેમ કુમાર પોતાનાં સંસ્મરણોમાં કહે છે કે જાપાની સૈનિકોને હિન્દુસ્તાનીઓને જાનથી ન મારવાનો હુકમ હતો. પ્રેમ કુમારને આગળ તરફ હાથ બાંધીને એક ખુરશીમાં બેસાડી દેવાયા. થોડે દૂર એક બ્રિટિશ ઑફિસર હતો. એક જાપાની ઑફિસર આવ્યો અને પ્રેમ કુમાર સામે બંદૂક તાકી પણ પછી “તારા પર ગોળી વેડફાય નહીં” એવા ભાવ સાથે તલવાર કાઢી. બ્રિટિશ ઑફિસરને પકડ્યો અને એનું ડોકું કાપી નાખ્યું. સહગલ પર નજર રાખવા બેઠેલા એક જાપાની સૈનિકે એમનું નામ અને ધર્મ પૂછ્યાં અને બોલી પડ્યોઃ “ઇન્દોકા…”? “ગાન્જીકા”…? સહગલ ‘ઇન્દોકા’નો અર્થ તો સમજ્યા અને કહ્યું “ઇન્દોકા યસ, ગાન્જીકા નો” તરત જ જાપાનીએ બે હાથ ભેગા કરીને એમના માથા પર ફટકો માર્યો. સહગલે વળતો મુક્કો માર્યો. પણ પછી જાપાની બોલવા લાગ્યો કે “નિપ્પોન પહેલા નંબરે, જનરલ તોજો બીજા નંબરે અને ગાન્જી ત્રીજા નંબરે” હવે સહગલ સમજ્યા કે ‘ગાન્જીકા’ એટલે ‘ગાંધીનો માણસ!” એટલે કે હિન્દુસ્તાની. એમણે હા પાડી. પ્રેમ કુમાર સહગલ યુદ્ધકેદી બન્યા. (પછી એ આઝાદ હિન્દ ફોજમાં જોડાયા. લાલ કિલ્લામાં બ્રિટિશરોએ આઝાદ હિન્દ ફોજના ત્રણ નેતાઓ સામે કેસ ચલાવ્યો તેમાં એ જ પ્રેમ કુમાર સહગલ, શાહ નવાઝખાન અને સરદાર ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં હતા. એમણે પાછળથી ઝાંસી કી રાની બ્રિગેડનાં કૅપ્ટન લક્ષ્મી સાથે લગ્ન કર્યાં).
ઇમ્ફાલ ભણી કૂચ
૧૯૪૪ની ૪થી ફેબ્રુઆરીએ આઝાદ હિન્દ ફોજે ભારત-બર્માની સરહદે ગોળીબાર શરૂ કરી દીધો અને આરાકાન પહાડ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો. બોઝ અને ગાંધી બ્રિગેડો ‘ઍક્શન’માં હતી. અહીંથી આઝાદ હિન્દ ફોજે હિન્દુસ્તાનની સીમામાં બેધડક ડગ માંડ્યાં અને પાલેલ, મોરે, સંગરાર અને નાગા પર્વતશૃંખલાનાં ઘણાં ગામોમાં ત્રિરંગો લહેરાવ્યો. ત્યાંથી એક ટુકડી કોહીમા તરફ આગળ વધી અને એના પર કબજો કરી લીધો. બીજી ટુકડીએ દીમાપુર અને સિલ્ચર સર કર્યાં. આઝાદ હિન્દ ફોજે ચાર મહિનામાં ૧૫,૦૦૦ ચોરસ માઇલનો વિસ્તાર પોતાના કબજામાં લઈ લીધો અને નેતાજીએ આઝાદ પ્રદેશના ગવર્નર તરીકે મેજર જનરલ એ. સી. ચૅટરજીની નીમણૂક કરી.
દરમિયાન, ઇમ્ફાલ માટે ખૂનખાર લડાઈ ચાલતી રહી. હજારો હિન્દુસ્તાની સૈનિકો આ લડાઈમાંથી કદી પાછા ન ફર્યા. પરંતુ છ મહિના સુધી આઝાદ હિન્દ ફોજે ઇમ્ફાલ પર એટલું દબાણ ચાલુ રાખ્યું કે સાથી રાષ્ટ્રોના સૈનિકોને ખાધાખોરાકી પહોંચાડવાના માર્ગો ખોરવાઈ ગયા અને વિમાન મારફતે સામગ્રી પહોંચાડવી પડી. સાથી રાષ્ટ્રો માટે ઇમ્ફાલ છોડી દેવું પડે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી.
વરસાદ અને દગાખોરી
પરંતુ એ જ તબક્કે ભારે વરસાદે બ્રિટિશ દળોને શ્વાસ લેવાની નવરાશ આપી. એ ફરી સંગઠિત થવા લાગ્યાં. ઇમ્ફાલ છોડવાનો હુકમ રદ કરી દેવાયો. બીજી બાજુ, આઝાદ હિન્દ ફોજના સૈનિકો મેલેરિયા, ઝાડાઉલટીની બીમારીઓમાં સપડાયા.
આઝાદ હિન્દ ફોજની નબળી બાજુ એ રહી કે એને હવાઈ દળનો ટેકો ન મળ્યો કેમ કે જાપાની હવાઈ દળને ત્યાંથી હટાવી લેવાયું હતું. જાપાનની પોતાની સ્થિતિ પણ ખરાબ હતી. એ પોતાનાં ભૂમિદળોને પણ મદદ કરવામાં અડચણોનો સામનો કરતું હતું,
આ જ સમયે આઝાદ હિન્દ ફોજના બે ઑફિસરો મેજર પ્રભુ દયાલ અને મેજર ગ્રેવાલ બ્રિટિશ પક્ષે ચાલ્યા ગયા. એમણે બ્રિટિશ લશ્કરી અધિકારીઓને બાતમી આપી કે આઝાદ હિન્દ ફોજને સાધનસામગ્રીની ખેંચ હતી અને એમની સપ્લાય લાઇન કપાઈ ગઈ હતી. જો કે ફોજ ઑગસ્ટ સુધી હિંમતથી મુકાબલો કરતી રહી. પરંતુ નેતાજીને લાગ્યું કે હવે આગળ વધવું તે વધારે ખુવારીને આમંત્રણ આપવા જેવું છે. એમણે ઑગસ્ટમાં પીછેહઠનો હુકમ આપી દીધો.
ચલો દિલ્હી
પરંતુ નેતાજી પોતાના સંકલ્પમાં મોળા નહોતા પડ્યા. એમણે મોરચા પર લડનારાઓથી અલગ, સામાન્ય હિન્દુસ્તાનીઓને ફોજની મદદ માટે તૈયાર કરવા નાગરિક મોરચો ખોલ્યો અને મોરચે લડનારા સૈનિકોને બે નવા નારા આપ્યા – ‘ચલો દિલ્હી’ અને ‘ખૂન…ખૂન..ખૂન’! ઘરઆંગણા માટે એમના નારા હતા – “કુલીય ભરતી” અને “કરો સબ નિછાવર ઔર બનો સબ ફકીર”!
બીજા હુમલાની તૈયારી
નેતાજીએ તરત બીજા હુમલાની તૈયારી શરૂ કરી દીધી. સિંગાપુર, મલાયા અને થાઈલૅન્ડથી કુમક પણ આવી પહોંચી હતી. આ દળોએ પહેલાં જનરલ એન. એસ. ભગત, એમના પછી કર્નલ અઝીઝ અહમદ અને તે પછી મેજર જનરલ શાહ નવાઝ ખાનના તાબામાં કામ કર્યું. એની નીચેનાં દળોની આગેવાની કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ પ્રેમ કુમાર સહગલ, અને કર્નલ એસ. એમ હુસેનને સોંપાઈ. આઝાદ હિન્દ્દ ફોજ પાસે હવે સાધનસામગ્રીની અછત નહોતી અને પહેલા હુમલાનો અનુભવ લઈ ચૂકેલા સ્વાતંત્ર્યવીરો લાંબો વખત આરામ કર્યા પછી નવા હુમલા માટે થનગનતા હતા. બીજી બાજુ સાથી રાષ્ટ્રોની સેના પણ વધારે સજ્જ હતી. આમ છતાં મેકિટિલા અને પોપા હિલ્સ પર આઝાદ હિન્દ ફોજે કબજો કરી લીધો. પણ સાથી દળોએ એના ઉપર ફરી ફતેહ મેળવી. આઝાદ હિન્દ ફોજે પણ વળતો હુમલો કરીને એ ફરી જીતી લીધાં. આવું ઓછામાં ઓછું દસ વાર બન્યું.
પણ ફરી દગલબાજોએ બાજી પલટી નાખી. મેજર મદાન, મેજર રિયાઝ, મેજર ગુલામ સરવર અને મેજર ડે બ્રિટીશ બાજુએ ચાલ્યા ગયા. આમ છતાં, મેજર જનરલ શાહ નવાઝ ખાન, કર્નલ પ્રેમ કુમાર સહગલ, કર્નલ ગુરબખ્શ સિંઘ ઢિલ્લોં, કર્નલ અર્શદ, કર્નલ હુસેન, મેજર મેહર દાસ જેવા ઘણાયે દેશભક્ત ફોજી અફસરો દેશને આઝાદ કરાવવાના ધ્યેયમાં દૃઢતાથી ટકી રહ્યા.
પરંતુ ૧૯૪૫ આવતાં સુધીમાં જાપાની સેના હારેલી લડાઈ લડતી હતી. રંગૂન પર ફરી બ્રિટિશ દળોએ કબજો કરી લીધો ત્યારે નેતાજી ત્યાં જ હતા. એમના સાથીઓએ એમને બેંગકોક તરફ નીકળી જવાની ફરજ પાડી. રસ્તામાં એમના ઘણા સાથીઓ માર્યા ગયા. ઝાંસી કી રાની બ્રિગેડની ઘણી મહિલા સૈનિકો પણ મોતને ભેટી. ૧૮ દિવસ પગપાળા ચાલીને નેતાજી બેંગકોક પહોંચ્યા ત્યારે ત્યાં એમનું હિન્દુસ્તાનીઓએ ઊમળકાભેર સ્વાગત કર્યું. નેતાજીએ અહીં લોકોને હાક્લ કરી –“તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હેં આઝાદી દૂંગા”!
નેતાજી બેંગકોકથી સિંગાપુર પહોંચ્યા અને ત્યાં આઝાદ હિન્દ ફોજના શહીદોનું સ્મારક ઊભું કરવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી. ત્યાંથી એ બેંગકોક પાછા ફર્યા ત્યારે છઠ્ઠી ઑગસ્ટે અમેરિકાએ જાપાનના હીરોશીમા શહેર પર પરમાણુબોંબ ફેંકીને જાપાનને થથરાવી મૂક્યું. નવમીએ નાગાસાકી બોંબનો શિકાર બન્યું. તે સાથે જાપાનની શરણાગતીની વાતો શરૂ થઈ ગઈ અને ૧૧મી ઑગસ્ટે જાપાને હાર માની લીધી.
આ સાથે આઝાદ હિન્દ ફોજની લશ્કરી કાર્યવાહીનો – અને એ સાથે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના એક ઝળહળતા પ્રકરણનો પણ – અંત આવ્યો.
અને એ બધું ઓછું હોય તેમ એ વખતે પ્રસારિત થયેલા સમાચારો પ્રમાણે નેતાજી અને એમના હિન્દુસ્તાની સાથીઓ અને કેટલાક જાપાની લશ્કરી અધિકારીઓનું વિમાની અકસ્માતમાં મૃત્યુ થયું. ભારતના ક્ષિતિજેથી એક મહાન સિતારો, મહાન જનનાયક ચિર વિદાય લઈ ગયો.
000
સંદર્ભઃ
- INA Saga by Sardar Ram Singh Rawal (publication date not available).
- The Forgotten Army by Peter Ward Fay (The University of Michigan Press)
- https://www.livehistoryindia.com/history-daily/2020/03/25/battles-of-imphal-kohima-a-time-to-heal
- https://idsa.in/system/files/jds/jds_8_3_2014_HemantKatoch.pdf
(સંદર્ભ ૧માં દર્શાવેલા પુસ્તકના લેખક સરદાર રામ સિંઘ રાવલ આઝાદ હિન્દ ફોજમાં હતા અને યુદ્ધકેદીઓની છાવણીમાંથી પોતાના બે સાથીઓ સાથે ત્રણ હજાર માઇલ પગપાળા રંગૂનથી ઇમ્ફાલ પહોંચ્યા હતા).
000
દીપક ધોળકિયા
વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com
બ્લૉગ સરનામું: મારી બારી
-
સાવરકરના મનમાં હિંદુ રાજાઓની છાપ કેવી હતી?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ગોધરા-અનુગોધરાના દુર્ભાગી ઘટનાક્રમને તેવીસ વરસ પૂરાં થવામાં છે, અને બેસતે ફેબ્રુઆરીએ (પહેલી તારીખે), ઝકિયા આપા ગયાં. છેલ્લા બે’ક દાયકામાં, રાજધર્મના પરિપાલન વિષયક સવાલિયા દોરને અંગે ન્યાયની લડતના એક અણનમ ચહેરા તરીકે એ ઉભર્યાં હતાં. આવી લડતો સફળતા-નિષ્ફળતાને ધોરણે નહીં એટલી ખુદ લડત થકી જ ઓળખાય છે. ઝકિયાની પોતાની આ જે ઓળખ બની, ઝુઝારુ જણ તરીકેની તેનું સ્વતંત્ર મૂલ્ય અલબત્ત છે જ. પણ જાફરી એ જે એમનું કુલનામ એ તો ૧૯૭૭ની શકવર્તી ચૂંટણીમાં યશસ્વી રહેલા કોંગ્રેસમેન અહેસાનની ભેટ હતી.
ધારાશાસ્ત્રી અહેસાન જાફરી, ઉર્દૂની પ્રગતિશીલ ધારાના એક અચ્છા શાયર પણ હતા. ૧૯૬૯માં રમખાણ ફાટી નીકળ્યાં ત્યારે પૂર્વ અમદાવાદમાં ડો. ગાંધીની ચાલના એક ટેનામેન્ટમાં આ પરિવાર રહેતો હતો અને જાન બચાવવા વાસ્તે ખાસ્સું બે-ત્રણ કિલોમીટર દોડ્યા પછી અસારવા-ઉદયપુર રેલવે લાઈન ક્રોસ કરી પોલીસ સ્ટેડિયમમાં આશરો લીધો હતો. 1969ના આ અમંગલ અનુભવ છી પણ પ્રજાસત્તાક સ્વરાજ લાયક જાહેર જીવન માટેની ગડમથલમાં એ કટુતા વગર સક્રિય હતા. ૧૯૭૭માં એમની સામે હારેલા બ્રહ્મકુમાર ભટ્ટ પાસેથી સાંભળ્યું છે કે અમે પોલીસ સ્ટેડિયમમાં શાતા પૂછવા ને સહાય જોગવવા ગયા ત્યારે હાથમાં ડબલું ઝાલી ચા વાસ્તે ઊભેલા અહેસાનનો ચહેરો હજુ નજર સામેથી ખસતો નથી, અને એ લાગણી પણ- કે છતે જુલમે આ માણસમાં કટુતા નથી.
દફતર ભંડારના અખિલ હિંદ વડા પ્રો. તીરમીઝી નિવૃત્ત થઈ દિલ્હીથી અમદાવાદ પાછા ફર્યા ત્યારે એમની પહેલથી રચાયેલ મૌલાના આઝાદ સેન્ટરની કાર્યવાહક સમિતિમાં અહેસાન જાફરીને મળવાનું થતું. તે વખતે એમની રચનાઓનોયે કંઈક પરિચય થયો હતો. એક વાર વસંત-રજબ શહાદત સ્મૃતિની પૂર્વ રાત્રિએ મુશાયરો યોજાયો હતો એમાં અહેસાનભાઈએ ઉચ્ચારેલી પંક્તિઓ આ લખતાં મનમાં ગૂંજે છે, અને એમના સંગ્રહ ‘કંદીલ’ના નાગરી પાઠમાંથી ઉતારવાનું મન થઈ આવે છે: ‘હર દિલ મેં મુહબ્બત કી, ઉખુવ્વત કી લગન હૈ, યે મેરા વતન, મેરા વતન, મેરા વતન હૈ.’
૨૦૦૨ની ૨૮મી ફેબ્રુઆરીએ ગુલબર્ગ, ચમનપુરામાં બોંતેર વરસના અહેસાન સહિત ૬૯ જણા જે રીતે ગયાં એમાં જવાબદાર કરવૈયાઓની ખુદની વીરગાથા શી સાહેદી ‘તહલકા’ની ટેપમાં અંકિત છે, પણ… ખેર છોડો એ ચર્ચા, હિંદુ કે મુસ્લિમ તરીકે નહીં પણ એક નાગરિક તરીકે જ્યારે જ્યારે ગોધરા-અનુગોધરા દિવસો સંભારીએ છીએ ત્યારે શું કહેવાનું બને છે? રાજધર્મ ન ચુકાયો હોત, એટલે કે કાયદાનું શાસન પળાયું હોત, શાસન એ ધોરણે ચુસ્તદુરસ્ત અનુશાસનમાં રહ્યું હોત તો જે ન થવાનું થયું તે નિ:શંક ન થયું હોત, શું ગોધરામાં કે શું તે પછી. શાસનની કામગીરીની જે પણ વિગતો સામાન્યપણે સમજાય છે તે કાં તો નિ:શાસનની છે, કે પછી દુ:શાસનની. અપવાદરૂપ કિસ્સાઓમાં, ‘કંદીલ’ લઈને શોધ્યે કાયદાનું શાસન જોવા મળે છે, એ આંખમાથા પર.
૧૯૬૫થી સંઘ પરિવારમાં દીનદયાલ ઉપાધ્યાયે એકાત્મ માનવ દર્શનની કંઈક ચર્ચા શરૂ કરી ત્યારે એમણે ‘ધર્મરાજ્ય’ એ પ્રયોગ સરસ સમજાવ્યો હતો કે આ તો ‘રુલ ઓફ લો’ કહેતા કાયદાના શાસનની વાત છે. કંઈક ક્ષીણદુર્બળ પણ એ તંતુ વાજપેયીએ ઝીલવાની કોશિશ કરી હશે તે ૨૦૦૨ના એમના રાજધર્મ ઉદગારોથી સમજાય છે. આ ઉદગારો પરત્વે તત્કાળ એમને જે આશ્વસ્તકારી વેણ સાંભળવા મળ્યાં હશે એને વિશે એમને કોઈ પતીજ નહીં હોય તેમ એમણે બેત્રણ મહિનાને આંતરે વળી તત્કાલીન મુખ્યમંત્રી જોગ લખેલ પત્રમાં કરેલી ઝીણી પૃચ્છા અને આપેલી સાફ સલાહ પરથી જણાઈ આવે છે. ૧ જૂન ૨૦૦૨નો આ પત્ર ત્યારે તો અપ્રકાશિત રહ્યો હતો. પણ પછી આરટીઆઈને પરિણામે તે પ્રકાશમાં આવ્યો હતો.
ગમે તેમ પણ, ગોધરા-અનુગોધરા ઘટનાક્રમને કાયદાના શાસનની રીતે નહીં નિપટાવતા સામસામી છાવણીના ચશ્મે જોવાની અને હિંસ્ર વલણો પરત્વે અનુમોદનાની આ ‘નીતિ’નું સમર્થન એક અણચિંતવ્યે છેડેથી મળી શકે એમ છે. એ છેડો સાવરકરનો છે જે શાસનકૃપાએ શરૂ થયેલી અને વિક્રમ સંવતથી માંડી ઉદય માહુરકર સહિતના લેખો થકી ખાસી ઊંચકાયેલ નવ્ય દેવપ્રતિમા (ન્યૂ આઈકોન) પરત્વે શૌરિના વળતા સપાટે ચર્ચાની વંડી ઠેકી ચકચારના ચોકમાં ખાબકી છે.
સાવરકરે ઈતિહાસનાં જે સ્વર્ણિમ પૃષ્ઠો પોતાની દૃષ્ટિએ આલેખ્યાં છે એમાં હિંદુઓની ‘સદગુણ વિકૃતિ’ એક મુદ્દો છે. શત્રુઓ સામે હિંદુ રાજાઓ નીતિના પાલનપૂર્વક લડતા એવી જે છાપ છે એ ‘છાપ’ સાવરકરને મન ‘વિકૃતિ’સૂચક છે. હિંદુપત પાદશાહતના સ્વપ્નશૂરા શિવ છત્રપતિ નિમિત્તે સાવરકરના ‘ધન્ય ઉદગારો’ સાંભરે છે. શિવાજીએ કલ્યાણની લૂંટમાં હાથ આવેલ સુબેદારની પત્નીને સબહુમાન પાછી મોકલી એમાં સાવરકરને કશું ‘ખાસ પ્રચાર’ યોગ્ય કે ‘આદરણીય’ જણાતું નથી. માત્ર, રાજધર્મની શિથિલતાનો ઉત્તર, નાગરિક ધર્મની શિથિલતામાં નથી, એટલું જ એક નમ્ર નિવેદન, આજે સાવરકર સ્મૃતિ દિવસે.
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬-૦૨– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
સૂરજ આથમી ગયો
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
‘’વહુ-બેટા, હવે જઈને સૂઈ જાવ.”
અવાજ સાંભળીને સુધા ચમકી. જોયું તો સામે સસરાજી ઊભા હતા. એટલો તો સંકોચ થઈ ગયો કે, ચુપચાપ માથું નમાવીને બાલ્કનીમાંથી અંદર ચાલી આવી. પોતાના દુર્ભાગ્યની પીડામાં એટલી તો વ્યથિત હતી, પણ તેથી બીજાને વ્યથા થાય એવું કરવાનો એને શું અધિકાર હતો?
“વહુ-બેટા, સાંભળો તો જરા. મેં તમને એક વાત કહી હતી એના અંગે વિચાર્યું?” ચૌધરીજીએ એને ઊભી રાખી.
“ના, મારાથી એ શક્ય નહીં બને.” ચીસ પાડતી હોય એવા ઊંચા અવાજે બોલીને એ ગાંડાની જેમ પોતાના રૂમમાં જઈને ધ્રુસકેધ્રુસકે રડી પડી.
******
સુધા એના પિતાનું એક માત્ર સંતાન, નાનપણથી જ અત્યંત લાડેકોડે એનો ઉછેર. દુઃખ એટલે શું એની સુધાને ક્યાં ખબર?
સુધાની પસંદગીના યુવક સાથે નાની ઉંમરમાં જ લગ્ન નિર્ધાર્યા. યુવકમાં તમામ યોગ્યતા હતી. બસ, એ ફોજમાં કામ કરતો હતો એ એક જ વાત માતાને ખટકતી હતી. માની જેમ સગાંવહાલાંઓએ પણ ઘણો વિરોધ કર્યો, પણ સુધાની મરજી આગળ અંતે નમતું જોખવું પડ્યું. અત્યંત આનંદ, અનેકની મંગળકામના સાથે ભારે ધામધૂમથી અનિલ સાથે એ પરણી.
“આવતા વર્ષે તારા દીકરા માટે પારણું લઈને આવીશ.” એની ખાસ સખીનો પણ ઉત્સાહ સમાતો નહોતો.
નાનપણથી જ સુધાને રાણી પદ્માવતી, લક્ષ્મીબાઈ જેવી વીરાંગનાની વાતોમાં ભારે રસ. દેશ માટે ઘોડે ચઢવાનું, તલવાર ચલાવવાની, મરી ફીટવાની વાતોથી એ ભારે અભિભૂત થતી.
“બાપુ, મારું લગ્ન એવા વર સાથે કરજો જે સાહેબ જેવો દેખાતો હોય. ખુદ વિમાન ચલાવીને મને આસમાનની સફરે લઈ જાય. વાઘ-વરૂ કે સિંહ આવે ને તો બંદૂકથી એનોય સામનો કરે. સામે કોઈ દુશ્મન આવે તો શિવાજીની જેમ તલવારથી એને મારે.” સાવ નાનકડી હતી ત્યારથી એ કહેતી.
“અરે, મારી દીકરી તો ઘોડે ચઢીને જાતે જ વર શોધી લાવશે.” ખુશહાલ સ્વરે બાપુ કહેતા.
“ના બાપુ, વર તો તમે જ શોધજો.” એ લાડથી કહેતી.
“હા દીકરા હા, તું કહીશ એમ કરીશ. ખુશ?”
એ સમયે હસતાં હસતાં કરેલી વાતો યાદ આવી. દીકરીનું દુઃખ, પરિવારજનોનાં વ્યંગબાણ સુધાના પિતાના હૃદયમાં શૂળ બનીને ભોંકાઈ રહ્યાં હતાં.
*******
સુધા લગ્ન કરીને સાસરે ગઈ ત્યારે તો જાણે આસમાનમાંથી ચાંદ ઊતરી આવ્યો એમ એનાં સાસુમા હરખાયાં. સુધાનો નિર્દોષ ચહેરો જોઈને અનિલના પિતાને એની પર વહાલ ઉમટી આવ્યું. સ્વજનો પણ ચૌધરી પરિવારના ભાગ્ય પર ઓવારી ગયાં.
અનિલ એરફોર્સમાં નોકરી કરતો હતો. લગ્ન માટે અનિલે એક મહિનાની રજા લીધી હતી. લગ્ન પછી સુધાને આસમાનની સહેલ કરાવશે એવી કલ્પના કરતો. અનિલ સુધાનાં સૌંદર્યને ચંદ્રની ચાંદની સાથે સરખાવતો. સપનામાં પ્રિયતમા માટે ઝગમગતા તારા જેવી ચાદર વણતો.
અને સુધા? એ તો અનિલને પામીને સપનાંની દુનિયામાં વિહરતી હતી. કેવુંય ભાગ્ય લઈને એ આવી છે કે, એને જેવો જોઈતો હતો એવો જ પતિ એ પામી છે. અનિલને બાપુજીએ ક્યાંથી શોધ્યો હશે, એ વિચાર માત્રથી એનું રોમરોમ આનંદિત થઈ જતું.
અનિલની રજાઓ મંજૂર થઈ ગઈ હતી. મધુરજનીની માટે દાર્જિલિંગ જવાની તૈયારીઓ આદરી દીધી. ભરપૂર ખરીદી થવા માંડી.
“અરે, તેં આજે બિંદી પણ નથી કરી?” કહીને ચાંદીની ડબ્બીમાંથી સુધાના ભાલે સાસુમાએ બિંદી કરી આપી.
“અરે હા મા, ભૂલી જ ગઈ.”
“સાવ ઘેલી. ન ખાવાની ચિંતા, ન સૂવાની ચિંતા. ઘરમાં પહેલાં એક ઘેલો ઓછો હતો કે આ બીજાનો વધારો થયો. કોણ સંભાળશે આ બંનેને?”
“કેમ? એક તું અને બીજો હું. આપણે બંને થઈને સંભાળીશું.” ચૌધરીજી હસતાં હસતાં બોલતા.
“જો જરા, આ સહેજ અમસ્તી બિંદી કરી એમાં ચહેરો કેવો શોભી ઊઠ્યો? અને હા, સાંભળ, લે આ રૂપિયા. અનિલને કહ્યા વગર થોડા તારી પર્સમાં અને બાકીના સાચવીને બેગમાં મૂકી રાખજે. બધા રૂપિયા ખર્ચાઈ જાય તો કામ લાગશે. અને બેગ પણ ખોવાઈ જાય તો ચિંતા કર્યા વગર ટેલિગ્રામ કરી દેજે. ટી.એમ.ઓ.થી રૂપિયા મોકલી દઈશું.”
ઘરમાં ભારોભાર આનંદનું વાતાવરણ હતું. હજુ તો જમી પરવારે એટલામાં બહારથી નોકરે આવીને અનિલના હાથમાં એક અર્જન્ટ ટેલિગ્રામ મૂક્યો.
દેશ પરના સંકટને લીધે યુદ્ધની ઘોષણા કરવામાં આવી હતી. અનિલની રજાઓ રદ કરવામાં આવી હતી. અનિલને આ જ ક્ષણે ફરજ પર હાજર થવા નીકળવાનું હતું.
બાબુજીએ એક ઊંડો નિસાસો નાખ્યો. માની આંખો આંસુથી છલકાઈ અને સુધા? એ તો અંદરથી ખળભળી ઊઠી. દોડીને બાલ્કનીમાં ચાલી ગઈ.
“સુધા, તારી ચિંતા સમજુ છું. આમ તો તારા માટે આ ગૌરવની વાત કહેવાય ને કે, દેશ અને નાગરિકોની સુરક્ષા માટે હું જઈ રહ્યો છું. તારો પ્રેમ અને શુભકામના હંમેશાં મારી સાથે જ હશે.” માંડ આટલું બોલી શક્યો. સુધાના ચહેરા પરની વેદના જોઈને આગળ શું કહેવું એની સમજ ન પડતાં એ રૂમ તરફ ચાલ્યો. સુધા પત્થરની જેમ જ બાલ્કનીમાં જ ખોડાઈને ઊભી રહી. આંખમાંથી વહેતાં આંસુની વચ્ચે નજરથી દૂર જતી અનિલની ધૂંધળી છાયા જોઈ રહી.
એ ક્ષણથી જ સુધાની પ્રતીક્ષા શરૂ થઈ. જેમ દિવસો પસાર થતા એમ એની અધીરાઈ માઝા મૂકવા માંડી.
અનિલ આવશે, બંને જણાં મધુરજની માણશે, એવાં સપનાં જોઈને જાતને આશ્વત રાખવા મથતી. કોણ જાણે વિધિએ શું નિર્માણ કર્યું હશે! એની આશા પર ઘોર કાલિમા લેપાઈ ગઈ. સુધાનું જીવન અંધકારમય બની ગયું. અનિલ જેવા અનેક ફોજીને લઈ જતા જહાજને જ દુશ્મનોએ નષ્ટ કરી દીધું હતું.
શ્વેત સાડીમાં લપેટાયેલી, અલંકાર-વિહીન સુધાનો માસૂમ ચહેરો જોઈને એનાં સાસ-શ્વસુરનો આત્મા કકળી ઊઠતો. સુધાની હાજરીમાં જાતને સંયમિત રાખવા મથતી એની સાસુ સુધા આસપાસ ન હોય ત્યારે ખૂબ રડી લેતી.
અંતે ચૌધરીજીએ હિંમત કરીને પત્નીની સંમતિ લઈને પોતાના મનની વાત સુધા પાસે રજૂ કરી. “બેટા, તારા ભવિષ્ય માટે, અમારા જીવની, અનિલના જીવની શાંતિ માટે થઈને હું તારા લગ્ન કરવા માંગું છું.”
કોઈ અન્ય સાથે લગ્ન? સુધા કલ્પનામાં પણ વિચારી શકતી નહોતી.
સુધાની ચિંતામાં ચૌધરીજીના સ્વાસ્થ્ય પર અસર થવા માંડી. એમણે પથારી પકડી. સુધા સમજતી હતી, પણ સ્વીકારી શકતી નહોતી. અંતે બાબુજીના કથળતા સ્વાસ્થ્યને જોઈને અનિચ્છાએ તૈયાર થઈ.
સુધાની સંમતિ પછી ચૌધરીજીના સ્વાસ્થ્યમાં સુધારો વર્તાવા માંડ્યો. લગ્નની તૈયારી થવા માંડી. ફરી એકવાર સુધાના હાથે મહેંદી મૂકાઈ, ફરી એ નવવધૂનાં શણગારમાં શોભી રહી. કોઈ ઉતાવળ ન હોય એમ અનિલને છેલ્લો જોયો હતો એ જ બારી પાસે સુધા સ્થિતપ્રજ્ઞની જેમ ખોડાઈને ઊભી હતી.
“અરે, ભારે ઉત્સુકતાથી વરરાજાની રાહ જુવે છે ને કાંઈ?” સહેલીઓએ મઝાક માંડી.
“વરરાજા, ક્યાં છે વરરાજા? “કહેતી સુધા દોડી અને સમતુલા ગુમાવીને નીચે પડી.
ધડા….મ.
માથામાં ઊંડો ઘા થયો. લોહીની ધારા વહી રહી. સુધાએ ચેતના ગુમાવી દીધી.
આ એ જ સંધ્યાનો સમય હતો જ્યારે અનિલની ધૂંધળી થતી છાયા રક્તરંજિત બનીને ક્યાંક વિલીન થઈ હતી.
હાથમાં મહેંદી, પૂર્ણ શૃંગાર સજીને પતિ સાથે મધુરજની માણવા સુધાનો આત્મા ચાલી નીકળ્યો ત્યારે એના માથાના ઘાનું રક્ત એને સૌભાગ્યવતી બનાવતું સેંથી સુધી રેલાઈ રહ્યું.
ડૉ. શોભા ઘોષ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
રચના રાજકુમારી
જીવનમાં સાવ અણધાર્યો વળાંક ઉપસ્થિત થાય તો કેમ કરીને પોતાને સંભાળશું? જોઈએ રચના શું કરે છે!
સરયૂ પરીખ
એ ઉનાળાની બપોરે હું મારી વ્હાલી સખી રચનાને અહોભાવથી જોઈ રહી હતી. નવા જ તૈયાર થયેલા ચણિયા ચોળી, કેવા સિવાયા છે એ જોવા માટે રચનાએ પહેરેલાં. કમરામાં દાખલ થતાં જ રચનાનાં મમ્મીનાં બોલાયેલાં શબ્દો, “અહો! મારી રચના રાજકુમારી,” એ આજે એમ જ યાદ આવી ગયાં… મારી એ બાલ સખીના લગ્ન દૂરના શહેરમાં હતાં. તેથી હું મારા ઘેર અમારી મિત્રતાના મનરવમાં ખોવાયેલી હતી. રચના અને મારી ઘણી માંગણી છતાં, મારા મમ્મી પાપાએ મને લગ્નમાં જવાની ના પાડી હતી.
રચના દિલ્હી જેવા મોટા શહેરમાં ઉછરેલી. અમારે ગામ ભાવનગર, લગભગ દર વર્ષે એના નાનીને ઘેર વેકેશનમાં આવતી. તેના મોસાળમાં મામા-મામી, માસી વગેરેથી ભર્યા ઘરમાં ઘણાં મિત્રોનો જમેલો ચાલુ રહેતો. રમત ગમત અને વાતોમાં તે સ્નેહભર્યા વર્તનથી મિત્રોને બાંધી રાખતી. એ વખતે હું ચૌદ વર્ષની અને રચના મારા કરતાં ત્રણ વર્ષ મોટી તો પણ અમે ખાસ બેનપણીઓ બની ગયેલાં. વર્ષો સાથે અમારી મિત્રતા અનન્ય બની ગઈ. રચના કોલેજનો ઊંચી કક્ષાનો અભ્યાસ કરી રહી હતી પણ હંમેશા કહેતી કે, “હું અભ્યાસ વગેરે સરસ રીતે કરીશ, પણ મારું ભવિષ્ય તો એક સરસ મજાનું ઘર અને કુટુંબના સપના જુએ છે.”
જ્યારે એનું લગ્ન નક્કી થયું ત્યારે રચનાએ કાગળમાં લખ્યું હતું કે અજય એમની જ્ઞાતિનો જ છે. મિલિટરીમાં હોવાથી દેશની સરહદ પર છે….રચનાના મોટાભાઈ અજયને મળી આવ્યા હતા. રચનાના માતા-પિતાએ અજયના પિતા અને બે બહેનોને મુંબઈમાં મળી, સારું કુટુંબ છે તેની ખાત્રી કરી લીધી હતી. અજય વેવિશાળ વખતે દિલ્હી આવ્યો ત્યારે તેની સાથેની મુલાકાત પછી રચનાએ લખ્યું હતું…,”મારા તરફથી એટલું જ કહું કે -મેરે મહબૂબમે ક્યા નહીં!” મીઠી કોયલની જેમ ચહેકતી રચનાનો કાગળ વાંચી હું પણ ઝૂમી ઊઠી હતી. ત્રણ ભાઈઓની લાડલી બહેનનાં લગ્ન દિલ્હીમાં ધામધૂમથી થઈ ગયા.
લગ્ન પછી પંદર દિવસમાં રચના એક દિવસ એકલી અમને મળવા આવી ચડી. નવદંપતિ અમદાવાદ તેમના વડીલ સગાને મળવા આવેલાં ત્યારે રચના એક દિવસ માટે ખાસ ભાવનગર આવેલી. હું તેનાં લગ્ન વખતના ફોટા જોઈ, તેનાં આનંદિત ભવિષ્યના કાંગરે નિશંક વિરાજતી રચનાને ખુશી ખુશી જોતી રહી. અજય નહોતો આવ્યો પણ રચનાની વાતો પરથી તેનું મજાનું છાયાચિત્ર માનસપટ પર દોરાઈ ગયું હતું. રચના નવો સંસાર શરૂ કરવાની અનેક વાતો કરતી રહી. બે મહિના પછી એ સરહદ પર અજય સાથે રહેવા જવાની હતી. અમને થયું, વાહ! ચલચિત્રની વાર્તા જેવું બધું સરસ ગોઠવાઈ ગયું.
પછી છએક મહિના સુધી રચનાનાં કાંઈ સમાચાર નહોતાં તેથી હું કલ્પના કરતી રહેતી કે, એ કેવી આનંદમાં હશે અને કેટલા ઉત્સાહથી એનો ઘરસંસાર ગુંજતો હશે! એવામાં એક દિવસ એના માસીના બેનપણી ઘેર આવ્યા અને કહે,
“રચના તો તેનાં મમ્મીને ઘેર પાછી આવતી રહી છે.” મને આ સમાચાર તીરની જેમ વાગ્યાં. એવું શું કારણ હશે? હું માનવા કે, એ વાત કોઈને કહેવા, તૈયાર ન હતી. મને થયું કે એવું શક્ય જ ન હોય અને હું એ વાત દબાવી રાખું તો એમ જ ઓસરી જશે. આંખ આડા કાન કરું તો હવામાં ઓગળી જશે…મારી સખી, જે દર પંદર દિવસે લાંબો કાગળ લખતી, તે સાવ ચૂપ થઈને દૂર દેશમાં જાણે ખોવાઈ ગઈ હતી. એના ઊડતાં સમાચારો આવતા. મારા પત્રોનો જવાબ નહોતી આપતી પણ, મને ખાત્રી હતી કે એ બનશે ત્યારે જરૂર મારી હુંફાળી લાગણીનો સહારો લેશે. લગભગ એક વર્ષ પછી કોઈ મિત્રના લગ્ન પ્રસંગે અમારા ગામ આવી ત્યારે મારે ઘેર ઓચિંતી જ આવીને ઊભી રહી. અમારી બન્નેની આંખો મળતાં જ કસીને બાંધેલી હિંમતની પાળ તૂટી પડી અને આંસુ ધસી આવ્યાં. એ રાત્રે અગાશીના એકાંતમાં તેણે બધી વાત વિસ્તારથી કહી.
રચના બોલી, “મારા લગ્ન ધામધૂમથી થઈ ગયાં. ઘરમાં ખુશીનાં માહોલમાં અતડા રહેતા અજયને મેં ‘ગંભીર સ્વભાવ’ હશે એમ માની લીધો. સુહાગરાત ખાસ વિશિષ્ટ ન હતી. ‘સંમતિ લગ્નમાં, પ્રેમલગ્નનો ઉત્સાહ ન હોય એ સ્વાભાવિક છે, અમે એકલા હશું ત્યારની વાત જુદી જ હશે. હું તેને એટલો બધો પ્રેમ આપીશ કે એ મારો જ બનીને રહેશે’.
“અજયને સરહદ પર એની ફરજ પર પહોંચવાનું હતું. હું મમ્મીને ઘેર બે અઠવાડિયા રહી અને બધો જરૂરી સામાન લઈ અતિ ઉત્સાહથી મારું ઘર વસાવવા અજય પાસે પહોંચી ગઈ. ઘેર આવ્યાં પછી મારા ઉમંગ ભર્યા આલિંગનના પ્રતિભાવમાં તેનાં ઉમળકાનો અભાવ અનુભવ્યો. મને સારી રીતે ઘર વ્યવસ્થા બતાવી, રસોઈમાં મદદ કરી, પણ એકાંતમાં ન કોઈ જુવાળ કે ન કોઈ રોમાંચક સ્પર્શ. ઠંડો આવકાર અને નોકર ટોમીની સતત હાજરીથી મને જરા અચરજ થયું, પણ મારા આદર્શ પત્ની બનવાનાં અરમાનોને અજય વિશે કશું અજુગતું દેખાતું જ નહોતું….
“પહેલા બે દિવસ તો હું પણ ઘર વ્યવસ્થિત કરવાના કામને લીધે થાકેલી હતી તેથી તેની ઊર્મિ રહિત વર્તણૂક મને ધ્યાનમાં ન આવી, પણ ત્રીજી રાત્રે મેં તેને વ્હાલ કરી પૂછ્યું કે, ‘કેમ દૂર સુતો છે?’ તો થાકનું બહાનું કહીને, પડખું ફરીને ઊંઘી ગયો. રાતના અંધારામાં મારા અંતર સ્પંદન નીરવ બની ગયા.” …રચનાનો અવાજ લાગણીના વ્હેણમાં અટવાઈ ગયો.
“એક વખત બપોરે હું બહારથી ખરીદી કરીને આવી ત્યારે ટોમીને અમારા શયનખંડમાંથી જલ્દીથી બહાર નીકળતા જોયો, પણ સવાલ પૂછતાં મને સંકોચ થયો. આમ મૂંઝવણ અને ઉષ્મા હીન ઘરમાં પંદરેક દિવસ ગયા હતાં. એ રાત્રે હું નવરાત્રીના પ્રથમ દિવસે બાજુમાં ગરબા અને માતાજીની આરતીમાં ગયેલી. ત્યાં મેનેજરના પત્નીએ મને પૂછ્યું કે, ‘ટોમી ગેસ્ટહાઉસની ચાવી લેવા પંદર દિવસમાં બે વખત આવ્યો હતો, કેમ કોઈ આવ્યું હતું?’ એ સવાલનો જવાબ મારી પાસે નહોતો.
“અકળાયેલું મન લોકોના ઘેરામાં બહુ ન લાગ્યું અને ત્યાંથી વહેલી નીકળી ગઈ. ઘેર આવી અજયને ચમકાવવા અમારા કમરામાં હસતી, હસતી જઈને ઊભી રહી, પણ અજય અને ટોમીને એકબીજા સાથે વીંટળાયને અમારા પલંગમાં સુતેલા જોઈ મારા પર જ આશ્ચર્યની વીજળી ત્રાટકી!!!” ઓહ! જાણે હવા સ્તબ્દ બની થંભી ગઈ.
રચનાને મેં આગળ બોલતાં રોકી. “રહેવા દે મારી બહેની,” કહી હું તેનો હાથ મારા હાથમાં લઈને બેસી રહી. થોડી ક્ષણો પછી સ્વસ્થ થઈ રચના ફરી બોલી.
“ટોમી જટ ઊઠીને જતો રહ્યો પણ પછીની અજયની વર્તણૂકથી મને અત્યંત દુઃખ થયું. કશા સંકોચ કે શરમ વગર એ બોલ્યો, ‘સારું, હવે તને આ બાબતની ખબર પડી ગઈ. હાં, ટોમી આપણા જીવનનો હિસ્સો બનીને રહેશે.’ તરત તો હું કશું બોલી ન શકી. આવડું મોટું જૂઠ! પરિસ્થિતિનું તથ્ય સમજતા આંખે અંધારા આવી ગયાં. બહારના ઓરડામાં આખી રાત મારા ભવિષ્ય, મારા સ્વજનો અને સમાજ વિષે વિચાર કરતી બેસી રહી. એ રાતની એકલતા હું ક્યારેય ભૂલી નહીં શકું.
“બીજે દિવસે સવારમાં અજય આવીને મારી સામે બેઠો. મને મનમાં એટલી બળતરા થતી હતી કે એની સાથે નજર મેળવવાની શક્ય ન હતી. મારો પહેલો પ્રશ્ન, ‘તમે મારી સાથે લગ્ન શા માટે કર્યા?’ તેના જવાબમાં અજય સામાન્ય વાત કરતો હોય તેમ બોલ્યો, ‘બધાને તું પસંદ પડી ગયેલી. ઘરનાં લોકો મારા લગ્ન કરાવવા માટે એવા પાછળ પડેલા હતા કે મારા નકારનું કોઈ કારણ જ ધ્યાનમાં નહોતા લેતા. અંતે તારી સાથે બધું સરળતાથી ગોઠવાઈ ગયું અને મને લાગ્યું કે તું મને સ્વીકારશે.’
“’તમે મારી જિંદગી બરબાદ કરી નાખી…’ એવા મારા નિશ્વાસ પર એ કહે, ‘તું જરા સહકાર આપશે તો બધું ઠીક થઈ જશે.’ એ માણસની બેદરકારી અને બેજવાબદારી ભરી વાતો સાંભળી હું અવાચક થઈ ગઈ. એ ઘડીએ બધું તોડી ફોડીને ભાગી જવાનું મન થઈ ગયું. પણ મમ્મી-પપ્પા અને ભાઈઓને કેટલો મોટો ધક્કો લાગશે એ વિચારે અટકી ગઈ. કદાચ આ માણસમાં પરિવર્તન લાવી શકું! પ્રયત્ન તો કરવો જ રહ્યો. રાત્રે હું અમારી પથારીમાં સુવા ગઈ ત્યાં થોડી વારમાં ટોમી આવીને અજયની બીજી તરફ સૂઈ ગયો. મારાથી આ સહન ન થતાં એ દિવસથી મેં એ શયનખંડમાં રાતના પગ મૂકવાનું બંધ કર્યું. દિવસે અનેક રીતે સમજાવવા અને તેને સમજવા મેં પ્રયત્નો કરી જોયા. પણ દર વખતે અજય મને આ વ્યવસ્થા સ્વીકારી જીવવા માટે આગ્રહ કરતો રહ્યો.
“પહેલાંથી નક્કી કર્યું હતું તે પ્રમાણે દશેરાને દિવસે મમ્મી આવ્યાં. એ તો ઉમંગ સાથે એની રચનાને ઘેર થોડા દિવસ રહેવાં આવ્યાં હતાં. મારો ઉતરેલો ચહેરો અને નિસ્તેજ આંખો જોઈ સમજી ગયા કે, ‘કાંઈક મુશ્કેલી છે.’ પણ આવી અજુક્ત હાલત હશે એની કલ્પના સુધ્ધા ન હતી. બે દિવસ પછી જેમતેમ હિંમત ભેગી કરી, મેં પહેલી વખત વિચારોને શબ્દોમાં ગોઠવી, મમ્મીને વાત કરી. એમનાં મુખ પર નિરાશા, ગુસ્સો અને અસહાયતાના ભાવો રડી રહ્યાં. અજયના વર્તનમાં ઉપેક્ષા અને રૂક્ષતા જોઈ તેની સાથે વાત કરવાનો કશો અર્થ મમ્મીને દેખાયો નહીં… હવે શું?
“મેં અજય સાથે વાત કરી કે ટોમીને છોડીને અમારું લગ્નજીવન બચાવવા કોઈ પણ ઉપાય બતાવે તો હું સહકાર આપવા તૈયાર છું. પણ એ તો, ‘ટોમી સાથેનો મારો સંબંધ સૌથી વધારે મહત્વનો છે અને એ સ્વીકારી આગળ વધવા તૈયાર હોય તો જ વાત કરવાનો અર્થ છે,’ એમ જણાવી ચૂપ થઈ ગયો…હવે નિર્ણય મારે લેવાનો હતો. મમ્મી સાથે મારી માનસિક અવદશાનું રાતદિવસ વિશ્લેષણ કરવાને અંતે, ‘મારો આમાં કશો વાંક નથી,’ એટલો આત્મવિશ્વાસ આવ્યો. લગ્ન ખંડિત થવાનું આવું અતિ ગુહ્ય કારણ કેમ કરીને સમાજમાં સમજાવીશ એ ચિંતા કોરી ખાતી હતી.
“છેલ્લે દિવસે મારા ગુસ્સાને હું કાબુમાં ન રાખી શકી. કાંપતા અવાજે અજયને મેં જણાવ્યુ કે, ‘આપણા સંબંધનું નિધન થઈ રહ્યું છે, અને તને હત્યારાના સ્વરૂપમાં જોઈ રહી છું. મને અને મારા સ્વજનોને વિના વાંકે આટલું દુઃખ પંહોચાડવા માટે તને ભગવાન માફ નહીં કરે. તને મારી આહ્ની એવી આંચ લાગે કે તું કદી સુખેથી જીવી ન શકે. મારી નજર સામેથી જતો રહે. તારો નિર્લજ ચહેરો ફરી નહીં બતાવતો…’” રચના આવેશમાં ધ્રૂજી રહી હતી.
“મહિનાઓથી પ્રયત્ન કરું છું, પણ મારા દિલના અરીસા પર ઘેરાયેલું જાળું છે તે સાફ નથી થતું. ફરી ક્યારે હસી શકીશ! મારા માટે જ નહીં, ઘરના લોકો માટે પણ મારા ભવિષ્યનો દોર જલ્દી હાથમાં લેવો પડશે.” રચના મારા ખોળામાં માથું મૂકી ઉદાસ નજરે અવકાશમાં જોઈ રહી. પછી મનોમન બોલતી હોય તેમ કહે, “મને લાગે છે કે અજયના બાપ અને બહેનો પણ આ ષડયંત્રમાં જોડાયેલાં હતાં.”
“ઓહ! ના ના, કોઈ એટલાં નિર્દય અને સ્વાર્થી થઈ શકે?”
રચનાની આ ધારણા સાચી નીકળી. મારા સસરાને મળવા એક સજ્જન મિત્ર આવ્યા જે રચનાના પતિ અજયના સગા કાકા થતા હતા. તેમણે બે વર્ષ પહેલાની વાત કહી. “મારે એક વાતની કબુલાત કરવાની છે. અજય-રચનાના રિસેપ્શન માટે અમે મુંબઈ ગયા હતા. રાતના અમે બે ભાઈઓ એકલા બેઠા હતા ત્યારે મેં ભાઈને પૂછ્યું, “પેલો નોકર માણસ અજયની સાથે ને સાથે કેમ ફર્યા કરે છે?”
“એ તેનો…, શું કહું? પ્રેમી છે. આ વાત અજયે થોડા દિવસ પહેલાં જ કહી.” વાત સાંભળી મને સખત ઝટકો લાગ્યો, “ભાઈ! તો એને આ છોકરી સાથે પરણાવ્યો કેમ?”
“રચના એટલી સુંદર અને સમજુ છોકરી છે કે અજયને સુધારી લેશે.” પિતાએ બચાવ કર્યો.
“મેં તેમને કહ્યું કે, ભાઈ, તમે મોટું પાપ કર્યું છે.” અજયના કાકા બોલ્યા, “એ દિવસ પછી ભાઈ કે અજય સાથે હું બોલ્યો નથી.”
આ વડીલની વાત જાણી, રચના સાથે અમારું દિલ પણ દર્દથી વધુ ખોતરાયું.
ત્યાર પછી થોડા સમયમાં જ રચનાએ ઘણી અઘરી પરીક્ષા પાસ કરી ઉચ્ચ પદવી પ્રાપ્ત કરી, સફળ વ્યવસાયિક જીવન વ્યવસ્થિત રીતે શરૂ કર્યું. આધ્યાત્મિક અને સેવા પ્રવૃત્તિઓમાં પણ ઘણો ફાળો આપ્યો. તેના આકર્ષક વ્યક્તિત્વને લીધે સફર દરમિયાન કેટલીક તક આવી અને ગઈ, પણ એનાં દિલને જીતનાર જીવનમાં કોઈ આવ્યો જ નહીં.
દિલ મારું એક વાર દઈ ચૂકી,
મેળામાં ઘેલી હું થઈ ચૂકી.
સ્નેહ ને સમર્પણના મેહ લઈ,
વાદળી બનીને વરસી ચૂકી.માતાપિતાના ગયા પછી અને ભાઈઓ સાથેની પલક જલક મુલાકાત વચ્ચે એકલતાની સંવેદના રચનાને ઘણી વખત સતાવતી….છેલ્લે એક પ્રસંગ વિશે રચના કહેતી હતી. “નિવૃત્ત થયેલા મિલિટરીનાં સભ્યોને ભેટ આપવાના મેળાવડામાં હું મુખ્ય મહેમાન હતી. એમાં અજયનું નામ બોલાતા મારું હ્રદય એક ધડકન ચૂકી ગયું. મંચ પર આવીને ભેટ લેતા મારી સામે નજર મિલાવી શક્યો નહીં. મેં જોયું કે સાવ નબળો લાગતો હતો અને ધીમે ધીમે જઈ ટોમીની બાજુમાં બેઠો. મારા મનમાં ચણચણાટી થઈ કે એની સાથે કોઈ છે, જ્યારે હું એકલી છું!”
રચના રાજકુમારી
ત્રણ ભાઈની એક જ બહેની ગરવી ને લાડકડી,
માની મમતા બોલે, “મારી રચના રાજકુમારી.”અમન ચમનમાં ઉછરી કન્યા હીર દોરને ઝાલી,
દુધ મળે જો માંગે પાણી, દીકરી સૌની વ્હાલી.
ભણીગણીને આશ ઉંમરે રાહ જુએ સાજનની,
અલકમલકમાં શોધ ચલાવી ઉમંગથી પરણાવી.મધુરજનીનાં રંગીન સપનાં સળગે પરણ્યો બોલે,
“મને ગમે આ નોકર બંદો, પહેલો એ પ્રેમી છે.
સૌ જનોની ટીક ટીક કચકચ, કંટળ્યો’તો એવો;
લગ્ન કરીને લાવ્યો તુજને, છોડવવાને પીછો.”ભોળી રચના ઘણી ઝઝૂમી ગૃહ ખંડન અટકાવે,
અગણિત ડંખો સહીને કળથી કપટીને સમજાવે.
અરે! વિંખાયો માળો એનો શરૂ શરૂના રસ્તે.
અંતે ચાલી એક અટૂલી લાંબા જીવન રસ્તે
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
-
મહેન્દ્ર શાહનાં ફેબ્રુઆરી ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s creatins for February 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ફિલ્મી ગઝલો – ૯૨. મુલ્કરાજ ભાકરી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
મુલ્કરાજ ભાકરી એક ગીતકાર કરતાં વધુ જાણીતા હતા એક નિર્માતા, નિર્દેશક અને વાર્તા લેખક તરીકે. એમના ભાઈ લેખરાજ ભાકરીએ આ ક્ષેત્રોમાં એમના કરતાં પણ વધુ સફળતા હાંસલ કરેલી. બન્ને સફળ અભિનેતા મનોજ કુમારના પિતરાઈ હતાં.
મુલ્કરાજજીએ બાંસુરિયા, ભાંગડા, ગેસ્ટહાઉસ, અલ્લાદીન લૈલા, દરબાર, ખુલ જા સિમસિમ, મોતી મહલ, મમ્મી ડેડી, નાગ પદ્મિની, પપીહા રે, શાહ બેહરામ, સિમસિમ મરજીના, ટેક્સી ૫૫૫ જેવી ફિલ્મોનું નિર્માણ કર્યું તો ફૌલાદ, ચાર મીનાર, ચંગેઝ ખાન, દારા સિંહ, દીદાર ( ૧૯૭૦ નું ), દોસ્ત (૧૯૫૪ ), પ્રોફેસર એક્સ, સંસાર અને અવસ્થા જેવી ફિલ્મોનું લેખન પણ.એમણે ચકોરી, લૈલા, નાચ, પપીહા રે, બાંસુરિયા, રૂમાલ, શગુન, બરસાત કી એક રાત, ચુનરિયા, સાવન ભાદો, જલ તરંગ, જય મહાલક્ષ્મી જેવી ફિલ્મોમાં પચાસથી વધુ ગીત પણ લખ્યા.
એ ગીતોમાં ગઝલ આ એક જ –
ઈશ્ક મેં મેહરૂમિયાં, નાકામિયાં, બરબાદિયાં
મેરી કિસ્મત મેં જો લિખા હૈ મુજે માલૂમ હૈજો તુમ બદલે જહાં બદલા નઝર બદલી ઝમાને કી
યે આંસુ ચાર બાકી હૈં નિશાની દિલ લગાને કીઉજડના ઈસકો કહતે હૈં, બિગડના ઈસકો કહતે હૈં
કે ના તિનકે રહેં ના શાખ બાકી આશિયાને કીજરા રુક જાઓ મેરે આંસુઓં બહને સે રુક જાઓ
અભી તો ઈબ્તેદા હી હૈ મેરે ગમ કે ફસાને કી ..– ફિલ્મ : નાચ ૧૯૪૯
– સુરૈયા
– હુસ્નલાલ ભગતરામ( શરુઆતની બે પંક્તિઓ ગીતની સ્વતંત્ર સાખી છે જે મૂળ ગઝલથી અલાયદી છે. )
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
