-
ગીતબિતાન (“Garden of songs”) গীতবিতান – ૨
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન…
અલ્પા શાહ
રબીન્દ્રસંગીતમાં છલકાતી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરીએ તે પહેલા આજે આપણે ગીતબિતાન પુસ્તક અને રબીન્દ્રસંગીતની સર્જન યાત્રા પર એક ઝલક નાખીશું
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો પ્રસાર લગભગ છ દાયકા સુધીનો છે. અગિયાર વર્ષના રવિ ઠાકુરે 1875ની આસપાસ માતૃભૂમિ અને દેશભક્તિને લગતા પ્રથમ ગીતની રચના કરી અને આ સર્જનયાત્રા ૧૯૪૧ સુધી અવિરત પણે ચાલુ રહી અને એટલું જ નહિ એ વિવિધ પરિમાણો થકી વિકસતી ગઈ.
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રા ત્રણ તબક્કામાં વહેંચી શકાય જે ગુરુદેવના અંગતજીવન સાથે વણાયેલ છે . પહેલો તબક્કો કે જે ૧૮૭૫-૧૯૦૦ સુધીનો ગણી શકાય. આ ૨૫ વર્ષ દરમિયાન ગુરુદેવે શબ્દને સ્વરના શણગાર પહેરાવી તેને ગીતનું સ્વરૂપ આપવાની પોતાની પ્રતિભા સાથે તાદામ્ય સાધ્યું. ગુરુદેવ માટે સંગીત એ એક કળા જ નહતી પણ તેમના અસ્તિત્વનું અવિભાજ્ય અંગ હતું. ભારતીય શાસ્ત્રીય સંગીતના શિષ્ય એવા ગુરુદેવે આ વર્ષો દરમિયાન પોતાના સંગીતના જ્ઞાનને વિસ્તાર્યુ અને તેમાં પાશ્ચાત્ય અને લોકગીતનો ઉમેરો કર્યો. રબીન્દ્રસંગીતના ઘણા પ્રચલિત ગીતો પાશ્ચાત્ય સંગીતની અસર અનુભવાય છે. લોકસંગીતમાં તેઓ બંગાળમાં પ્રચલિત એવા બાઉલ સંગીતથી પ્રભાવિત થયા. આજ કાળ દરમિયાન તેમણે “વાલ્મિકી પ્રતિભા” અને “માયાર ખેલ” નામની નૃત્યનાટિકાની રચના કરી.
વીસ વર્ષના ગાળાના બીજા તબક્કાના પગરણ મંડાયા શાંતિનિકેતનમાં ૧૯૦૧માં. આ તબક્કામાં ગુરુદેવના સંગીતને એક નવી ઉર્જા અને પ્રેરણા સાંપડી. તેમણે શાસ્ત્રીય સંગીતના વિવિધ રાગોનો સુમેળ કરી પોતાના ગીતોનું સ્વરાંકન કરવાનું ચાલુ કર્યું. શાસ્ત્રીય સંગીતની સાથે સાથે તેમણે ભજન અને ઠુમરી જેવી સંગીત શૈલીમાં પોતાના ગીતોને ઢાળ્યા. પણ દરેકની જિંદગીમાં આવતા ઉતારચઢાવની જેમ ગુરુદેવના અંગત જીવનમાં આ તબક્કો ઘણોજ કપરો સાબિત થયો. ૧૯૦૧ થી ૧૯૭ના ટૂંકા ગાળામાં ગુરુદેવના પત્ની, એક પુત્રી, પિતા અને એક પુત્રનું અવસાન થયું. આટલા ટૂંકા ગાળામાં ચાર અંગત સ્વજનો ગુમાવ્યા બાદ ગુરુદેવની સંવેદનાઓ શરુ શરૂમાં તો જડવત થઇ ગઈ પણ શબ્દો અને સંગીતનો સહારો લઈને ગુરુદેવ પોતાના આઘાતમાંથી બહાર આવ્યા. આ સમયમાં રચાયેલા તેમના ગીતોમાં મૃત્યુ અને તેના અર્થ અને તેની સાથેનો સંવાદ કેન્દ્ર સ્થાને જોવા મળે છે. તેમને તેમની પત્નીના મૃત્યુ સમયે લખ્યું કે “There is sorrow, there is death, there burns the fire of separation, yet there is peace and yet there is bliss and yet there is the sense of the eternal”. ધીમે ધીમે ગુરુદેવ તેમની સંવેદનાઓને એક એવા મુકામ પર લઇ ગયા કે જ્યાં તેઓ તેમની સંવેદનાઓ થકી સર્વ સાથે ભાવાત્મક રીતે ગુંથાયેલ રહીને પણ અલિપ્ત રાખી શક્યાં. મન અને આત્માની સાચી ગતિ આ માનવીય સંબંધોની પેલે પાર પરમાત્મા સાથેના સંબંધમાં છે તે સત્યની પ્રતીતિ અને અનુભૂતિ તેમણે કરી.
રબીન્દ્રસંગીતની સર્જનયાત્રાનો છેલ્લો તબક્કો આવ્યો ૧૯૨૧ થી ૧૯૪૧. આ ગાળા દરમિયાન ગુરુદેવે 850 ગીતોની રચના કરી. ગુરુદેવ રચિત બધાજ ગીતોના શબ્દો સંવેદનાથી છલકતા હતા અને એક અલગ જ ઢાળમાં તેમનું સ્વરાંકન થયેલ હતું આ બધા ગીતો આ ગાળામાં રબીન્દ્રસંગીત તરીકે જાણીતા થયા અને આમ રબીન્દ્રસંગીત શૈલીનો જન્મ થયો. આજ ગાળામાં તેમના ગીતોના સ્વરાંકનમાં કીર્તન શૈલી અને કર્ણાટકી સંગીત શૈલીનો સમાવેશ કર્યો. ભારતના ખ્યાતનામ સંગીતકારો સાથે ગુરુદેવ આ ગાળા દરમિયાન સતત સંપર્કમાં રહ્યા. આ ગાળા દરમિયાન દેશભક્તિના જુવાળને વેગ આપતા ગીતોની પણ ગુરુદેવે રચના કરી.
જીવનની સંધ્યાએ ગુરુદેવે પોતેજ સ્વરચિત ગીતોનો સંગ્રહ પ્રકાશિત કરવાનું નક્કી કર્યું અને તેને “ગીતબિતાન” એવું નામ આપ્યું. ગીતબિતાનની પ્રથમ આવૃત્તિ ૧૯૩૧-૧૯૩૨માં પ્રકાશિત થઇ. ૧૯૩૮માં ગુરુદેવે પોતાના ગીતોનું વર્ગીકરણ કરવાનું નક્કી કર્યું અને ૧૯૪૧માં ગીતબિતાન સંગ્રહની બીજી આવૃત્તિ પ્રકાશિત થઇ. આ સંગ્રહમાં ગુરુદેવે પોતાના ગીતોનું 6 ભિન્ન વિભાગોમાં એટલે કે પારજોય(পরজায়)
માં વર્ગીકરણ કરેલ છે. માનવમનની સંવેદનાઓનું આગળ વર્ગીકરણ કરતા, દરેક વિભાગનું પાછું અનેક ઉપવિભાગમાં વર્ગીકરણ કરેલ છે. પ્રથમ વિભાગ એટલે “પૂજા” પારજોય. આ વિભાગ મારો સૌથી વધુ પ્રિય વિભાગ છે. જેના દરેક ગીતોમાં ગુરુદેવનું પરમાત્મા સાથેનું અતૂટ અને અદમ્ય જોડાણ અનુભવાય છે. બીજો વિભાગ એટલે “પ્રેમ” પારજોય જેમાં પ્રેમની સર્વોપરિતાની ગાથા ગાતા ગીતોનો સમાવેશ થયેલ છે. ગુરુદેવ પરમાત્મા સાથે પણ પ્રિયજનનો નાતો ધરાવતા હતા. He felt spiritual romanticism with the Divine. એટલે પ્રેમ પારજોયના બધાજ ગીતો ભલે લખાયા હોય પરમાત્માને કેન્દ્રમાં રાખીને પણ પ્રિયજનને પણ એટલાજ લાગુ પડે છે.
ત્રીજા વિભાગમાં “પ્રકૃતિ” ને લગતા ગીતોનો સમાવેશ કર્યો છે. ગુરુદેવ માટે પરમાત્મા અને પ્રકૃતિ તેમનું ચાલક બળ હતા. ચોથો વિભાગ “આનુષંગિક” એટલે કે પ્રાસંગિક ગીતોનો છે જેમાં લગ્ન, જન્મદિવસ જેવા પ્રસંગોને લગતા ગીતો છે. પાંચમો વિભાગ “સ્વદેશ” કે જેમાં દેશ ભક્તિને લગતા ગીતોનો સમાવેશ થાય છે અને છઠ્ઠા વિભાગ કે જેને “બિચિત્રો” નામ આપવામાં આવ્યું છે જેમાં પ્રકીર્ણ ગીતોનો સમાવેશ કરેલ છે. ૧૯૪૧માં ગીતબિતાનનું પ્રકાશનનું કામ પૂર્ણ થયુ જેમાં તેમણે “ઉદબોધન” નામની પ્રસંગોપાત કવિતા પણ રચી. અને આમ આ ભવ્ય કાવ્ય/ગીત સંગ્રહની રચના થઇ.
આ ગીતબિતાન ગીત સંગ્રહમાંથી તેમાં રહેલા ચૂંટેલા કાવ્યો/ગીતોના ભાવાનુવાદ દ્વારા તેમાં રહેલી મેઘધનુષી સંવેદનાઓનું આચમન કરવાની શરૂઆત આપણે આવતા લેખથી કરીશું. આશા રાખું છું કે તમે પણ મારી સાથે એ સંવેદનાઓની સરવાણીમાં ભીંજાશો.
-
અસમાન લડાઈ લડતાં ઈંદિરા અને જયપ્રકાશ
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
ખબર નથી, ૧૯૭૫ની ૧૨મી જૂનની એ વિજયસાંજે અમે સાથીઓ ભોજનનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે ભોગીભાઈ ગાંધીને ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતનાં એમનાં આ વચનો સાંભર્યાં હશે કે કેમ, ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથે લદાઈ ચૂક્યું હશે.
પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન ૧૯૭૫ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ ૧૯૭૪માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે. નવેમ્બર ૧૯૭૪માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે. આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ ૧૯૭૫માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.
પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.
એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: ૧૯૫૬માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ. આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો.
આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી: ‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો, દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’ જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.
ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા… ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!
એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળવું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો… હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)
ખેર, ૧૯૭૫ના ૧૨મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો. એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જેપી આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો.
આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા વખતે એ ‘ઈંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે…
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૧ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
પિતૃદિન નિમિત્તે પ્રાસંગિક ગઝલ
ડો. માર્ગી દોશીઈશ્વર ,ખુદા, અલ્લાહ, પરમાત્મા.. બધાં સાક્ષાત છે,
જ્યારે વિષય, કિરદારમાં “પપ્પા”ની માંડી વાત છે.લખવા કહ્યું ભગવાન વિશે કોઈએ જ્યારે મને,
ટાંક્યું જે મેં કાગળ ઉપર, ‘પપ્પા’નું એ દૃષ્ટાંત છે.ખિસ્સે ખુમારીનાં ભરી સિક્કા સતત ખર્ચે વજૂદ,
પપ્પાનાં જીવનથી જ સમજ્યા લાગણી, જઝબાત છે.એ દૂરથી પણ દીકરીની કેટલી પરવા કરે!
પપ્પાનું આંગણ આજ પણ લાગે સુરક્ષિત પ્રાંત છે.છંદો અને બંધારણો ટૂંકા પડે અહીંયા જુઓ,
પપ્પા ગઝલમાં હોય જો, હર એક ગઝલ વેદાંત છે!
(૨) ડેડી તમે..સ્વ. હિમાંશુ ભટ્ટડેડી તમે કોઈ નવી વાતો સુણાવોખોળામાં લો, બેસો મને સપના ગણાવો.બોલે તમારા હોઠ, ને બોલે છે આંખોમસ્તી ફરીથી આંખમાં લાવી હસાવો.આ બે તમારા હાથ છે, દુનિયા અમારીમારા તમે બે હાથમાં દુનિયા સમાવો.જોવા જરૂરી છે બધા રૂપ જિંદગીનાંકાંટા અને આજે મને પુષ્પો બતાવો.માણી શકું હું જિંદગીને મારી રીતેધ્યેયલક્ષી ને મને મક્કમ બનાવોલોકો કહે છે ગાય જેવી દિકરી હોચાલો ફરીથી એમને ખોટા ઠરાવો.ડેડી તમે લાગો મને દુનિયાથી વ્હાલાવ્હાલપ તમારું મારા કણ-કણ માં સમાવો.મારું તો પહેલું ઘર તમારું દિલ છે ડેડીકાલે બીજા ઘરમાં મને ચાહે વળાવો …
…
-
નિર્ણય
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
હારુને ઘડિયાળમાં સમય જોવાની વ્યર્થ કોશિશ કરી પછી બહાર ચંદ્રના આછા અજવાળા પરથી રાતના ત્રણ વાગ્યા હશે એવો અંદાજ કાઢ્યો. મન પરના ભારના લીધે ઊંઘી શકતો નહોતો. આંખ બંધ કરવા મથતો તો નજર સામે ચિત્રવિચિત્ર ચહેરા તરી આવતા. માથે ઘુમતા પંખાનો અવાજ અને મનમાં ઘુમરાતા વિચારો કનડતા હતા. વિચારોના હુમલાનો મન પર ભાર વધ્યો. કપાળેથી પસીનો નીતરવા માંડ્યો. એ ગભરાઈને બેઠો થઈ ગયો અને રૂમની બહાર આવ્યો.
સામે પલંગ પર મા અને નાની બહેન સૂતાં હતાં. માના ચહેરા પર એની ઉંમર કરતાંય વધુ વ્યથા, પીડાનાં નિશાન હતાં અને અઝરાના ચહેરા પર ઉંમર કરતાંય વધુ માસુમિયત. મન ભરાઈ આવ્યું. પાછો રૂમમાં આવી ગયો.
“હે ભગવાન, શું કરું? નાજાન માટે થઈને મા, બહેન, ઘર છોડી દઉં કે, મા અને બહેન માટે થઈને જેને જીવનભર સાથ આપવાનો નિર્ણય કર્યો છે નાજાનને છોડું?”
માનો પ્રેમ શીતળ છાંયા જેવો હતો તો નાજાન એના જીવનમાં વસંત બનીને આવી હતી. કોઈ એકની પસંદગી એટલે જીવન-મૃત્યુ વચ્ચેની પસંદગી.
જે દિવસે નાજાનની માએ હારુનને બોલાવીને એના મનની વાત કરી ત્યારે હારુન ત્રિશંકુની દશાએ આવીને ઊભો.
“હારુન, ખરેખર તો આ વાત છોકરા-છોકરીના પરિવારજનો કરે, પણ સંજોગો એવા છે કે નિર્ણય તારે લેવાનો છે એટલે તારી સાથે વાત કરવી જરૂરી છે.” નાજાનની માએ હારુનને બોલાવીને કહ્યું હતું.
વાત જાણે એમ હતી કે, નાજાન પાંચ વર્ષની હતી ત્યારે એના પિતાનું અવસાન થયું. માએ કપડાં સીવીને, અનેક તકલીફો સહીને નાજાનનો ઉછેર કર્યો હતો. દરેક માની જેમ દીકરીનું જીવન થાળે પડે એવું નાજાનની મા ઈચ્છતી હતી. નાજાન નાની હતી ત્યારે મા એનો સહારો હતી, હવે નાજાન માનો સહારો બની ગઈ હતી. માને ડર હતો કે દીકરી મા માટે થઈને એની ખુશી કુરબાન કરી દેશે. માને એકલી છોડીને એ સાસરે નહીં જ જાય.
“તું મને સ્વાર્થી સમજીશ એ હું જાણું છું હારુન, પણ મારી એટલી અપેક્ષા છે કે નાજાન લગ્ન પછી અહીં મારી સાથે જ રહે. આ સિવાય મારી પાસે કોઈ રસ્તો નથી.”
વાત સાંભળીને હારુન સ્તબ્ધ થઈ ગયો. નાજાનની માની વાત એ સમજતો હતો, પણ એના સંજોગો, એની જવાબદારીનું શું?
“માસી, મને વિચારવા માટે થોડો સમય આપો.” હારુન માંડ આટલું કહી શક્યો.
હારુનની નજર નાજાન પર પડી. એના ચહેરા પર ઉચાટ, અવઢવ અને આંખમાં આંસુનાં પૂર હતાં. હારુન અને મા વચ્ચે એનોય પ્રેમ અટવાયો હતો. હારુનને મન થયું કે, એ નાજાન પાસે જઈને એને આશ્વાસન આપે. પણ, એ પત્થરની જેમ જડાઈ ગયો. એક ક્ષણ તો એને થયું કે સાચે જ એ પત્થર હોત તો! એને આટલી પીડા ન થાત.
નાજાનની જેમ એ પણ લાચાર હતો. મા પ્રત્યેના પ્રેમ, બહેનની જવાબદારીથી એના પગ બંધાયેલા હતા.
******
પ્રભાતનો આછો અજવાસ રેલાયો ત્યાં સુધી એ જાગતો રહ્યો. મા ઊઠશે ત્યારે એને જાગતો જોઈને ઉચાટ કરશે એ વિચારથી એનો ઉચાટ વધ્યો. મા માટે એને અસીમ પ્રેમ હતો. નાનો હતો ત્યારથી માની નાની અમસ્તી તકલીફથી એ પરેશાન થઈ જતો. મા બીમાર પડે ત્યારે એને એટલી ચિંતા થઈ જતી કે ના પૂછોને વાત. મા પરાણે એને રમવા મોકલતી અને એ થોડી વારમાં તો રમત પડતી મૂકીને માને જોવા દોડી આવતો.
માને કંઈ થઈ જશે તો એની દુનિયા અંધકારમય બની જશે એવા વિચારો એને ઘેરી વળતા. એ સમજણો થયો ત્યારથી માને તકલીફો વેઠતી જ જોઈ હતી. જીવનમાં ક્યારેક ઝબક વીજળી જેવી ખુશી આવતી, બાકી ઘોર અંધકારમાં જ એનું જીવન પસાર થતાં જોયું છે. પતિની લાચારીનો ભાર પૃથ્વીની જેમ એ ખમતી રહી. ધૈર્યના અગાધ સાગર જેવી મા ધીરેધીરે મુરઝાતી ચાલી, એનું શરીર ખોખલું થતું ચાલ્યું. હારુન જાણતો હતો કે, એ માનું જીવનબળ હતો. એનું અસ્તિત્વ મા માટે પ્રાણવાયુ સમાન હતું.
માએ અનેક સંઘર્ષનો સામનો કરીનેય હારુનની તમામ ઈચ્છાઓ પૂરી કરી હતી. હારુનની પ્રગતિ, સફળતા કે આજે ઘરની જે જવાબદારી સંભાળી શકવા સમર્થ બન્યો હતો એની પાછળ માનું પીઠબળ હતું.
‘આજે જ્યારે એ માની ઈચ્છાઓ પૂરી કરી શકે, સુખ આપી શકે, ખુશ રાખી શકે એ ક્ષમતાએ પહોંચ્યોં હતો ત્યારે પોતાની ખુશી માટે માને જ છોડવાનો નિર્ણય લેવાની ઘડી આવી? જે માની નાનીનાની પરેશાની જોઈને વ્યથિત થતો એ માને છોડીને અન્ય રહેવા જશે ત્યારે એ કેટલી વ્યથિત થશે?’ હારુન જાતને સવાલ કરતો રહ્યો.
પડખું ફેરવતાની સાથે વિચાર બદલાયા.
“શું કરું? અન્ય માટે થઈને મારી ખુશી જતી કરું? મારું ભવિષ્ય, મારી જિંદગીનો નિર્ણય લેવાનો મને પૂરેપૂરો હક છે. મારી ખુશી, મારી જિંદગી નાજાન છે. સઘળું છોડીનેય એને સાથ આપીશ એવું વચન આપ્યું છે. કોઈ પણ ભોગે એ વચન હું નિભાવીશ.”
*****
“હારુન…” મા એને બોલાવવા આવી ત્યારે વિચારોમાં ડૂબેલા હારુનના ચહેરા પર ઉચાટ જોઈને માને ચિંતા થઈ.
“હારુન, ઑફિસ જવાનો સમય થયો. હજુ તૈયાર નથી થયો? પહેલી વાર માના સવાલો પર એને ખીજ ચઢી.
“નથી જવું ઑફિસ. આખી રાત જાગ્યો છું. માથું દુઃખે છે.” એણે અકળાઈને જવાબ આપ્યો. મા સામે જોયું. એને વ્યથિત જોઈને પોતાની રૂક્ષતા પર પર શરમ આવી.
“મા, ચિંતા ના કર. થોડીવારમાં ઠીક થઈ જશે.” થોડા નરમ થઈને જવાબ આપ્યો.
મા બહાર ચાલી ગઈ. તૈયાર થઈને બહાર આવ્યો. અઝરા ચા લઈને આવી.
“ભાઈ, માએ કહ્યું કે તમને ઠીક નથી.”
મા-બહેનને ચિંતા કરતા જોઈને સ્વસ્થ થવા મથ્યો. હિંમત એકઠી કરીને માને હાથ પકડીને પાસે બેસાડી.
“મા, કાલે નાજાનની માએ બોલાવ્યો હતો. એ ઈચ્છે છે કે લગ્ન પછી હું એમની સાથે જઈને રહું.” અચકાતા અચકાતા એ બોલ્યો.
માના ચહેરા પર સહેજ સ્મિત આવ્યું, પણ એ સ્મિતની પાછળ વેદના છલકાતી દેખાઈ.
“બસ, આટલી જ વાત માટે તું આટલો પરેશાન થાય છે? તને એમ કે હું મંજૂરી નહીં આપું? અરે, તારી ખુશીમાં અમારી ખુશી છે. આજે જ જઈને નાજોની માને હા કહી આવજે. મેં તને મોટો કર્યો, એનો અર્થ એ નહીં કે અમારા માટે તારી ખુશી જતી કરવાની.” પોતાની વ્યથા મનમાં ભંડારી દઈને માએ કહ્યું.
શું બોલે હારુન? એના ગળામાં ડૂમો અટવાયો.
“ભાઈ, તમે અમને છોડીને જતા રહેશો?”
જાણે કોઈ ધડાકો થયો હોય એમ અઝરાનો અવાજ સાંભળીને એ અંદર સુધી હલી ગયો. શું કરવા જઈ રહ્યો હતો એ?
“અઝરા….” ઊંડાણમાંથી બહાર આવતો હોય એમ બોલ્યો. અઝરાએ એના અસ્તિત્વને તૂટતું, વેરવિખેર થતું બચાવી લીધું.
શૌકત હુસેન શોરો લિખીત (ડૉ સંધ્યા કુંદનાની અનુવાદિત) વાર્તા પર આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
વતન
લતા હિરાણી
ફળિયામાં ઘટાદાર લીમડો. ઘુંટણવા ઉંચી, થાંભલીઓના ટેકે ઉભેલી દેશી નળિયાવાળી ઉબડખાબડ ઓસરી. એમાં એક મોટો ગોખલો. ગોખલામાં માતાજીનો નાનકડો મઢ. શુરાપુરાયે પૂજાય. મઢ આડે, ફાટવાને વાંકે લટકતો એક પડદો. ઓસરીમાં જમણી બાજુ મોટા પાણિયારા પર માટલાં ને ચકચકાટ બેડાં. બે-ચાર ઘોબાવાળા લોટા પ્યાલા ખરાં. ઘરમાં નજરને ગમે એવું કાંઈ દેખાતું હોય તો આ પાણિયારું ને લીમડાની ઘટા.
મનહર ક્યારેક પૂછતો માને, “કેટલું માંજ્યા કરે છે આ બેડાંને ?” આવો ચળકાટ એણે માના ચહેરા પર ક્યારેય નહોતો જોયો.
ઓસરીમાં બે બારણાં પડે. એક રાંધણિયાનુ. નળિયામાંથી પડતા ચાંદરણા સિવાય ત્યાં બીજો કોઈ પ્રકાશ નહીં. ચુલા ઉપરનું એક નળિયું ખસેડી ધુમાડાને જવા માટે જગ્યા કરેલી દેખાય એટલું જ, બાકી ચુલો ફૂંક્યા કરતી મા રાંધણિયામાં ભરાઈ રહેતો ધુમાડો ખાઈ ખાઈ ઠોં ઠોં કર્યા કરતી. રાંધણિયાની બાજુમાં એક ઓરડો. એમાં જુનો પટારો ને ઘંટી હતા. નવાં કપડાં પેટીમાં ને જુના લુગડાંનું પોટલું વાળેલું દેખાય. જો કે આ સમૃદ્ધિમાંયે વાલજીએ દીકરા મનહરને કૉલેજ કરાવેલી એ ખરું. કૉલેજ પૂરી થઈ અને વેકેશનમાં આમતેમ રખડતા મનહરને હવે ઝટ નોકરી મળી જાય એની વાલજીને વાટ હતી.
મનહર કૂદકા મારતાં ઓસરીમાં ચડ્યો.
’બા, ખાવાનું દે, બહુ ભુખ લાગી છે’
‘બેટા, જરા ધાણ રાખ. ખાવાનું ભાગી નહીં જાય.’ મોટીબાએ ટપાર્યો.
‘મોટીબા, ફળિયામાંથી ટાંટિયા ધોઈને જ ચડ્યો છું.’
‘માતાજીને માથું નમાયું?’
‘આ તમારા ગોખલા ને દેવલા…..’
‘એમ નો બોલાય દીકરા, ઈ ભગવાન કે’વાય.’ મોટીબા ઝીણું બબડ્યા,
‘તારો બાપેય આવો જ હતો…. અથરો. હવે કંઈક ટાઢો પડ્યો’.
મનહર ક્યાં મોટીબાની વાત સાંભળવા ઉભો રહે એમ હતો ! અંદર જઈ બાની સામે પલાંઠી વાળીને બેસી ગયો.
’બાપુજીએ પૈસા દીધા છે ને? મારે બે નવા બુશકોટ સીવડાવવાના છે. એક દિવાળીનો ને બીજો બેસતા વરસનો.’
બા કાંઈ ન બોલી. થાળી પીરસીને દીકરા પાસે મુકી દીધી. મનહરે કોળિયો ન લીધો.
’પૈસા દે ને બા!’
‘તારા બાપુજીને આવવા દે. ખાધા કેડે ઈ જ આલશે.’
‘વળી પાછી ઈ જ વાત. બાપુજી કે’શે, તારી બાને દઈ દઈશ ને તું કે’છ તારા બાપુજી દેશે. આમ ને આમ તમે દિવાળી કાઢી નાખશો.’
ફળિયામાં બાપુજીએ ખોંખારો ખાધો. બાએ ઝટ ઝટ પાણીનો લોટો ભરી દીધો ને રોટલા ઘડવા માંડી.
‘તેં હજી ખાવાનું શરુ નથી કર્યું?”
મનહર કાંઈ બોલ્યો નહીં. એણે હાથ એઠો કરીને મુકી દીધો હતો.
’આજે ચમનશેઠ પાસે ફરીને જઈને આયો.’ જરા ધીમે સાદે બાપુજી બોલ્યા.
મનહર કે બા કોઈ કાંઈ ન બોલ્યું. બાએ પીરસેલી થાળી બાપુજી પાસે મુકી.. એમણે હાથમાં પાણી લઈ થાળી ફરતે ગોળ ધાર કરી ને બે ઘડી આંખ બંધ કરી કંઈક મંતર ગણગણ્યા.
’એલા મનિયા, શું બેઠો બેઠો જોયા કર છ! ખાવા માંડ ને !’
’મારા બુશકોટના કાપડનું શું કર્યું?’
’નહીં થાય, આ ફેરા નહીં થાય.’
’શું કામ? દિવાળી આવે છે. મારા ભાઈબંધે નવા બુશકોટ સીવડાવવા નાખીયે દીધા.”
”તે તું કાંઈ ઉઘાડો ફરે છે? જોયો મોટો દિવાળીવાળો!”
“તમે મને હા કહી ‘તી. હું એસ.એસ.સીમાં એંશી ટકા લાવ્યો’તો ત્યારેય તમે એકવાર હા કઇને પછી નામકર ગ્યા ’તા.”
“તે તારા બાપને ગામનો ગરાસ નથી! ઇ તો કહું છું, ચમનશેઠ પાસે આજ ફરીને ગ્યો’તો પણ દીકરીના લગન લીધા છે તી ઇનેય ખરચ હોય ને !”
“તે એની દીકરી પૈણે એમાં આપણે દિવાળી બગાડવાની?”
“ને નવા લુગડાં પેરીએ તંયે જ દિવાળી થાય ?”
થાળી હડસેલતો હડફ દઈને મનહર ઉભો થઈ ગયો.
”ઉભો રે, ઉભો રે બેટા…” બા કહેતી રહી ને મનહર રાંધણિયાની બહાર નીકળી ગયો. ડેલીની બહાર નીકળી એણે હાથમાં પથરો લીધો ને કર્યો ઘા. વાઉં વાઉં કરાંજતુ કુતરું ભાગ્યું.
આખો દિવસ ભુખ્યો ને ભુખ્યો એ સીમમાં રખડતો રહ્યો. તળાવની પાળે બેઠો. ગળું સુકાતું હતું પણ પાણી ન પીધું તે ન જ પીધું. ક્યાંક વાડ તોડી નાખી ને ક્યાંક કોઈકની સાથે નાની વાતમાં ઝઘડી પડ્યો.
મોડી રાતે એ ફળિયામાં હળવેકથી દાખલ થયો.
‘આવી ગયો ભાઈ?’
મોટીબા ખાટલામાંથી બેઠા થયા. બાજુમાં એનો ખાટલો ઢાળીને ગોદડું પાથરેલું હતું. મનહરે પગ પર બે લોટા પાણી રેડી ખાટલામાં પડતું મુક્યું.
”જરા સબુરી રાખ બેટા, આમ ઉંબાડિયા મેલ્યે તો આપણાં કાળજા બળે.” મોટીબાને મનહરની બહુ ચિંતા હતી.
”આ તે કેવાં લોક માડી? આ શેઠિયાઓની મજુરી કરી કરીને બાપાની કાયા કંતાઈ ગઈ તોય બાર મહિને આપણા હકના પૈસા માટેય કરગરવાનું ? બાપુજી કાંઈ ન કહી શકે?”
”ભાઈ એ લોક આપણું ધણી છે. તારી બોનને પૈણાવી તંયે એણે જ રુપિયા ધીર્યા’તા ને !”
”તે એ તો ઢગલો વ્યાજ લઈને….. સાલાવ ખોટી દાનતવાળા !”
“હાલ ઉઠ, પે’લા થોડું ખાઈ લે”
મોટીબા રાંધણિયામાં ગયા. રાતનો રાખેલો રોટલો ને તાંસળી ભરીને દૂધ લાવ્યા. મનહર કોળિયા ભરતો હતો પણ એનું મન ક્યાંક બીજે હતું.
મોટીબાએ એની વિચારમાળા તોડી.
‘તું તો ભણ્યો છો ને બાપલા! મોટો સાહેબ થાજે ને દોથા ભરીને પગાર લાવજે.’
મનહર ઉઠીને મોટીબાના ખાટલામાં ભરાણો,
‘બા, મારે પરદેશ જાવું છે.’
‘શું કરવા?’
‘અહીંના જેવા લોક એવું ભણતર! પરદેશ જઈને મોટી ડિગ્રી લઈશ ને ખૂબ રુપિયા કમાઈશ.’
મોટીબા મુંગામંતર થઈ ગયા.
સવારે વાત કરશું – કહેતાં મોટીબા પડખું ફરીને સુઈ ગયાં.
વહેલી સવારે આ બાજુ આખો લીમડો કલબલ્યો ને અંદર બાનું વલોણું. મનહરની આંખ ખુલી ગઈ. મોટીબા ઓસરીની કોર પર બેસીને માળા કરતા હતા. હાથમાં દાતણ અને એ જ વાત લઈ મનહર મોટીબા પાસે આવ્યો. મોટીબા ઘડીક એની સામું જોઈ રહ્યાં. એને ખબર હતી કે મનહર જેવો મિજાજનો તેજ હતો, ભણવામાંયે એવો જ તેજ હતો. કૉલેજના છેલ્લા વરસનુ એનું પરિણામ બહુ ઉંચુ આવ્યું હતું. મોટીબાને આ એકનો એક પોતરો બહુ વહાલો હતો. પરદેશ ભણવા માટે બહુ રુપિયા જોઈએ એય ખબર હતી.
આખા દિવસમાં આટલી મોટી વાત, એકાદ અંધારે ખૂણે બની ગઈ. એની જિંદગી બનતી હોય તો હવે આ જાતી જિંદગીએ મારે દાગીનાને શું કરવા છે, એમ વિચારીને મોટીબાએ પોતાના બધા દાગીના આપી દીધા. મનહરે મનમાં નક્કી કરી લીધું કે ભણીગણીને કમાણી થવા માંડશે એટલે મોટીબાને દાગીના નવા કરાવી દઈશ. કોઈને ખબર પડશે તો હોબાળો થઇ જશે એટલે આખી યોજના ખાનગી રાખવી એવું મોટીબાએ ખાસ સમજાવી દીધું.
ત્રણ મહિના પછી ઘરમાં કોઈને કહ્યા વગર એણે લંડનની ફ્લાઇટ પકડી લીધી.
લંડન એરપોર્ટ પર એ ચૂપચાપ ઊભો હતો. એના કાન ચમક્યા,
’હાય, હેન્ડસમ…’
મને કોઈ થોડું બોલાવે! – તો યે મનહરે પાછું વાળીને જોયું. એક પ્રૌઢ અંગ્રેજલેડીનું હુંફાળું સ્મિત એને પોતાના માટે જ વરતાયું. ખચકાતાં ખચકાતાં એ હસ્યો. લેડી ખુશ થઈ.
‘હું ક્યારની તને જોઉં છું.’ અંગ્રેજી છાંટવાળું ગુજરાતી સાંભળીને મનહર બાઘાની જેમ એની સામે જોઈ રહ્યો. એ જવાબ ન આપી શક્યો.
‘નવાઈ લાગે છે ને દીકરા! પણ હું ગુજરાતમાં ઘણું રહી છું ને મને તારા જેવા બહુ લોકોએ મદદ કરી હતી.’
મનહર ઘડીક એની સામે ને ઘડીક વિશાળ કાચની વોલ સામે જોતો રહ્યો.
“મારી સામે જો, સ્વીટ બોય ! અહીં બેસ.’ એ બેઠી અને મનહરને હાથ પકડી પોતાની પાસે બેન્ચ પર બેસાડયો.
‘બહુ મુંઝાયેલો લાગે છે માય સન !’
મનહરને આંચકા ઉપર આંચકા મળી રહ્યા હતા.
રાંધણિયામાં બાની પીરસેલી થાળી હડસેલી ત્યારના ઉચાટભર્યા મનહરને આ અંગ્રેજલેડી મારિયાની વાતથી ઘણી રાહત લાગી. મોટીબાએ દાગીના આપ્યા ત્યારેય એણે જબરો અપરાધભાવ અનુભવ્યો હતો અને પછી તો ભાગદોડમાં દિવસો ક્યાં નીકળી ગયા ખબર ન રહી.
મારિયાના બે ચાર વાક્યો ને હેતાળ સ્પર્શ… એણે એકધારી આપવીતી સંભળાવી દીધી.
“ડોન્ટ વરી સન, મારા હાઉસમાં એક રુમ ખાલી છે. તું એમાં રહેજે”.
“ઓ આન્ટી…… સર્ચીંગ યુ…. ” કહેતી એક ચુલબુલી ગોરી છોકરીએ આવીને મારિયાનો હાથ ખેંચ્યો.
‘શી ઇઝ લીઝા અને લીઝ, આ મનહર… માય હેન્ડસમ બોય, લંડનમાં લીઝ તને કંપની આપશે.’ કહીને મારિયા હસી.
લીઝાએ કોઇ પ્રતિભાવ ન આપ્યો.
મનહરનો વિષાદ ઓગળતો ચાલ્યો. પછીના દિવસો બહુ ઝડપથી પસાર થઈ ગયા. મારિયાની જેમ એય એને લીઝ જ કહેતો. મનહર રોજ લીઝની સાથે યુનિવર્સિટીઓમાં ફરતો. ધક્કા ખવડાવવા બાબતે અને તુમારશાહીમાં એને આ દેશ ઇન્ડિયા કરતાં ચડિયાતો લાગ્યો.
“મન, ચાલને મારી સાથે જર્મની આવી જા. મારી યુનિવર્સિટીમાં તને એડમિશન મળી જશે.”
આ સંબોધનથી મનહર આખેઆખો ઓગળી જતો. બંને વચ્ચે દોસ્તી જામી ગઈ હતી. પોતાના નામનું ટુંકુ રુપ ‘મનિયા’ એણે બાપુજીના ગુસ્સામાં સાંભળ્યું હતું. બા અને મોટીબા એને મનુ કહેતા. એને યાદ આવ્યું લીઝે એકવાર એના નામનો અર્થ પૂછ્યો હતો ! ને એને સમજાવતા પોતે શરમાયો હતો.
જર્મનીમાં લીઝે મનહરને જુદી રૂમ પણ ન રાખવા દીધી. ભણવાની સાથે બંનેએ પહેલાં પાર્ટટાઇમ ને પછી ફુલટાઇમ જોબ કરતાં કરતાં જીવનને ભણી લીધું.
એ લંડન હતો ત્યારે એને એવા સમાચાર મળ્યા હતા કે મોટીબા ગયા. એ પછી મનહરની સ્મૃતિમાં ગામ સાવ ધુંધળું કહો કે અદૃશ્ય થતું જતું હતું. હવે સમયની ગંધ પણ છેક જ ઓગળી ગઈ હતી. ક્યારેક ઇંડિયા વિશે કંઇ સમાચાર એના કાને પડતા તો એ સાંભળ્યું ન સાંભળ્યુ કરતો. એને દેશ યાદ જ નહોતો કરવો. અહીં લીઝના સાથમાં જીવન સુંદર, સમૃદ્ધ અને રળિયામણું બની ગયું હતું. ગામમાં જીવેલા ઉબડખાબડ વરસોનો લીઝે ખંગ વાળી દીધો હતો, એ સુખનો પર્યાય બની ગઈ હતી.
ક્યારેક એના મનમાં પેલો ઘટાદાર લીમડો ઉભરાતો ને એ આંખ બંધ કરી બાળકની જેમ લીઝની ભરાવદાર છાતીમાં ચહેરો સંતાડી દેતો. પ્રવાહની જેમ વહ્યે જતું જીવન જરા ખળભળ્યું, જ્યારે મનહરે કાયદેસર પરણવાની જીદ પકડી.
“મેરેજ કર્યે શું ફેર પડશે ? આપણે સાથે જ રહેવાના છીએ. તને કાંઈ શંકા છે ?”
“ના, હું તારું રુંવાડે રુંવાડું ઓળખું છું. પણ આ આપણા બાળકને મારે બાપનું નામ આપવું છે.”
“એ તો મળશે જ.”
“એમ નહીં, કાયદેસર! જેમ મારા દેશમાં થાય છે એમ.”
મનહરનું વર્તન ઘણીવાર સાવ બે જુદા જુદા છેડાનું અનુભવાતું.
‘આમ તો તારા દેશને તું હેટ કરે છે.’ લીઝથી કહેવાઈ ગયું.
મનહર ચુપ થઈ ગયો પણ પરણવાની વાતમાં એણે બાંધછોડ ન કરી.
નામ રાખતી વખતેય એ એવો જ મક્કમ રહ્યો હતો.. ‘મારી દીકરીનું નામ પૂર્વા જ.’
હસીને લીઝ બોલી, ‘તારો દેશ પશ્ચિમમાં છે!’
દસ વર્ષ પરણ્યાના અને એ પહેલાંના ત્રણ વર્ષ સાથે જીવ્યાના. એક જ વ્યક્તિ સાથે આટલાં વર્ષો જીવી શકવાનું રહસ્ય લોકો એને પૂછતા !
લીઝા કહેતી, ‘મન મૂળ ઇન્ડિયાનો.. આ પૂર્વના દેશનું કલ્ચર !’
મનહર બોલી ઉઠતો, ‘તારુંયે ખોળિયું જ પશ્ચિમનું છે !’
લીઝા એને ‘ખોળિયું’ શબ્દનો અર્થ પુછતી ને મનહર ક્યાંક ખોવાઈ જતો.
પરી જેવી દીકરી હતી મનહરની.. લીઝા જેવી ગોરી ચામડી, ભુરી આંખો ને મનહર જેવા વાંકડિયા વાળ.
હાઇસ્કૂલે જતી થઈ ને મનહરને ફડકો પેસી ગયો. રોજ સાંજ પડે પૂર્વાને પાસે બેસાડી એના ફ્રેંડ્ઝની બાબતમાં પૂછ્યા કરતો. લીઝા બધું જોતી અને ચુપ રહેતી.
એક વાર પૂર્વાએ પૂછ્યું હતું., ‘મોમ, મારી ફ્રેંડ્ઝ હવે પીલ્સ લે છે. મારે લેવાની ?
એ દિવસની જેમ જ મનહર હડફ દઇને પ્લેટ હડસેલતો ઉભો થઇ ગયો. એનો ચહેરો લાલઘુમ ને ભમરની પણછ ખેંચાઈ. જો કે એ કંઈ બોલી ન શક્યો. આ દેશના વેશ એ જાણતો હતો. લીઝા પણ ગંભીર થઈ ગઈ હતી. મનહરની નસેનસમાં વહેતા પ્રવાહથી એ વાકેફ હતી.
થોડા દિવસો પછી….
ડાઇનિંગ ટેબલ તૈયાર હતું. લીઝે મનહરને કેટલી વાર બોલાવ્યો. ખાવાનું ઠંડુ થતું હતું.
‘પૂર્વાને આવવા દે.’’
’શી વીલ કમ લેટ’
’વ્હોટ?’ મનહરનો અવાજ ફાટ્યો.
‘કૂલ ડાઉન ડિયર, આવું તો હવે થતું રહેવાનું.’
‘પણ તેં મને કહ્યું કેમ નહીં?’
’ફ્રેન્ડની બર્થડે પાર્ટી છે એમાં શું કહેવાનું?
’ભાડમાં જાય એની પાર્ટી’ મનહર બોલતાં તો બોલી ગયો પણ એને નવાઈ લાગી, આ શબ્દ એની જીભ પર આટલા વરસેય એટલી જ તાકાતથી આવ્યો! એ ખમચાઈ ગયો.. લીઝાને એમાં સમજ પડે એમ નહોતું પણ એના ધુંધવાટ પરથી પામી ગઈ.
‘કમ ઓન મન રીલેક્સ’…… લીઝે મનહરનો બરડો પંપાળ્યો.
મનહરે માંડ બે કોળિયા ખાવાનું ગળે ઉતાર્યું. મન ડુબકા ખાતું હોય અને એકે શબ્દ ન ટપકતો હોય એવો આ પહેલો પ્રસંગ હતો.
પૂર્વાની વાટ જોવાનો અર્થ નહોતો. એ કપડાં બદલીને પથારીમાં પડ્યો.
આટલા વરસો પછી મનહરની આંખમાં બા ઉગી, આંખમાં ઝળઝળિયાં ભરેલી.
મોટીબાએય જાણે પ્રગટ થઇને કહ્યું, ‘કાંઈ વાંધો નહીં. સુખી રે’જે બેટા. અંતે બધુંય તારા માટે જ હતું ને !’
એ બેઠો થઈ ગયો, લાઉન્જમાં જઈ ચુપચાપ ટહેલતો રહ્યો. ટપ ટપ…. ટપ ટપ….મનહરના પગલાં સંભળાતા રહ્યાં. લીઝા બહાર ન આવી. જેમ બને તેમ ઝડપથી મનહર જાતે જ પરિસ્થિતિ સ્વીકારી લે, એમાં સૌની ભલાઈ હતી.
મોટી ગ્લાસવિન્ડોમાંથી મનહરની નજર બહાર આથડ્યા કરી. ગાર્ડનમાં રાખેલા લેમ્પપોસ્ટની ઝાંખી લાઇટ આસપાસના અંધારાને વધારે ઘેરું બનાવતી હતી ને અજવાળું કોઇ પગલાં નહોતું ઉઘાડતું. એની મુટ્ઠીઓ ઉઘાડબંધ થતી હતી. આખરે બેડરુમમાં જઇને એણે ફોન ઉપાડ્યો.
’ઇટ ઇઝ ટુ લેટ.’ લીઝે આડો હાથ ધર્યો.
રીસીવર ક્રેડલ પર ને મનહરની કાયા બેડ પર પછડાયા. બહાર પવન ફુંકાયો. થોડું ઘણું અજવાળું યે વરસાદની ધારે વહી ચાલ્યું…
મનહરની આંખ સામે એ દૃશ્ય ખડું થયું જ્યારે પહેલી વાર એ પગ પછાડતો ઘરેથી નીકળી આખો દિવસ સીમમાં રખડ્યો હતો. સાંજ પડે હાથમાં ફાનસ લઇને શોધવા નીકળેલા બા-બાપુજીની આંખો પોતાને જોઈને કેવી વરસી હતી ! એ આખેઆખો વહેરાઈ ગયો.
માનવીના હૈયા ગમે એવા નંદવાયા હોય, દિવસ-રાતને આ કોઈ બાબત સાથે કોઈ નિસબત નથી હોતી અને અહીંની સવારને તો ઉગતાંય ક્યાં આવડતું હતું ? સમરના થોડાક મહિના બાદ કરતાં ઘડિયાળ જોઇને જ સમજવાનું કે હવે સવાર થઈ !
લીઝા જાગી. મનહરનો બેડ ખાલી હતો. પૂર્વા ગેટ ખોલી અંદર પ્રવેશતી હતી.
લીઝા હૉલમાં આવી.
મનહર ફોન પર હતો… ‘યસ, અરજન્ટ… ઇંડિયાની ત્રણ ટિકિટ…
……………….
પ્રકાશિતઃનવચેતન * ૬– ૨૦૦૮
કુમાર * ૧- ૨૦૨૦
-
ફિલ્મી ગઝલો – ૧૦૭. રામમૂર્તિ ચતુર્વેદી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
રામમૂર્તિ ચતુર્વેદી ગીતકાર ઉપરાંત અભિનેતા, લેખક અને નિર્દેશક પણ હતા. ૭૦ ના દાયકા લગી તેઓ સક્રિય રહ્યા. આપસ કી બાત, ઈમાન ધરમ, આંખિન દેખી, બાદલ, મહેબૂબા, ફિર કબ મિલોગી, દગાબાઝ જેવી ફિલ્મોમાં અભિનેતા તરીકે કામ કર્યું. બિદેસિયા ( ભોજપુરી ), આયા તૂફાન, આધી રોટી, અલબેલી, સ્ટેશન માસ્ટર જેવી ફિલ્મોના કથા – પટકથા લખી.
૧૫૦ થી ય વધુ ગીતો લખ્યા. એમણે ગીત લખ્યા એમાં મોટા ભાગની ફિલ્મો ધાર્મિક અને પૈરાણિક હતી. એમાં સાજન, રાજા, પરિંદે, રૂપા, ભક્ત પ્રહલાદ, નસીબ, દેહાતી, સાવન આયા રે, હમારા ઘર, ચોર, અલખ નિરંજન, નઈ દુનિયા, દેવ કન્યા, મહાકવિ કાલીદાસ, રત્નાવલિ, સિપૈયા, ગાલી, દિલ કી બાત, જેલ યાત્રા, આદાબ અર્ઝ, અંગુરી, ઉષા હરણ, શરારત, પરાયા ધન, મુજરિમ, ગુડિયા, પુલ, મૈં ક્યા કરું જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
એમની એકમાત્ર ગઝલ –
ચૈન તુમસે કરાર તુમસે હૈ
ઝિંદગી કી બહાર તુમસે હૈહમને ખેલી હૈ જાન કી બાઝી
જીત તુમસે હૈ હાર તુમસે હૈદિલ મેં આતે હો આરઝૂ બન કર
દર્દ કો ભી કરાર તુમસે હૈમુજકો દુનિયા કી કુછ ખબર હી નહીં
હોશ ઈતના હૈ – પ્યાર તુમસે હૈ..– ફિલ્મ : પનિહારી ૧૯૪૬
– સુરેન્દ્ર
– એસ એન ત્રિપાઠી – અલી હુસૈન
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
‘જાગો’ લગતા ગીતો : भोर भई उठ जाग रे बंदे
નિરંજન મહેતા
‘જાગો’ને લગતા થોડા ગીતો અગાઉ તા. ૧૦/૫ના લેખમાં મુક્યા હતાં. આ લેખમાં ત્યાર પછીના વર્ષોના ગીતો રજુ કરૂં છું. જો કે આ કદાચ સંપૂર્ણ યાદી ન પણ હોય.
૧૯૬૬ની ફિલ્મ ‘મેરે લાલ ‘નુ ગીત છે
भोर भई उठ जाग रे बंदे
रेन गई अब सो ना प्यारे
समय चुक फिर पछतावेगा
समय चुक फिर पछतावेगा
ऐसा अवसर कब आएगाચેતના જગાવતા આ ગીતના મુખ્ય કલાકરો છે દેવકુમાર અને ઇન્દ્રાણી મુખર્જી. ગીતકાર છે મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે હેમંતકુમારનો.
૧૯૬૯ની ફિલ્મ ‘હનુમાન ચાલીસા’નુ ગીત હનુમાનજીને જગાડવા ગવાયું છે.
जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारोમુખ્ય કલાકારો મહિપાલ અને અનીતા ગુહા. રચયિતા અને સંગીતકારની માહિતી નથી આપી. ગાયક છે મન્નાડે.
૧૯૭૦ની ફિલ્મ ‘આદમી ઔર ઇન્સાન’નુ આ ગીત પ્રોત્સાહક ગીત છે.
जागेगा इंसान ज़माना देखेगा
उठेगा तूफ़ान ज़माना देखेगा
बहता चलेगा मीलों नहरों का पानीझूमेगी खेती जैसे झूमे जवानी
चमकेगा देश हमारा मेरे साथी रे
आँखों में कल का नज़ारा मेरे साथी रे
नवयुग का वरदान ज़माना देखेगाકલાકાર છે ધર્મેન્દ્ર. સાહિર લુધિયાનવીના શબ્દો અને રવિનુ સંગીત. ગાયક છે મહેંન્દ્ર કપૂર.
૧૯૭૩ની ફિલ્મ ‘અગ્નિરેખા’નુ આ ગીત એક હાલરડું છે.
जाग मेरे मोती जाग
बदल रही है तेरी मेरी किस्मत धीरे धीरेકલાકાર છે શારદા. ગીતકાર છે કવિ પ્રદીપ અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. સ્વર છે લતાજીનો.
૧૯૭૪ની ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ક્રૂક’નું આ ગીત એક સામાજિક સંદેશો લઈને આવ્યું છે
पहेरा दो होशियारी से भाई जागते रहना
बचना चोरबाज़ारी से भाई जागते रहनाઓમ પ્રકાશ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે અઝીઝ કાશ્મીરી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયક છે મહેંન્દ્ર કપૂર.
૧૯૭૮ની ફિલ્મ ‘આંખી દેખી’નુ આ ગીત એક પારંપરિક ભજન છે.
उठ जाग मुसाफिर भोर भई, अब रैन कहाँ जो सोवत है
जो सोवत है सो खोवत है, जो जगत है सोई पावत हैગીતને સંગીત આપ્યું છે જે. કૌશિકે અને ગાયક છે રફીસાહેબ. ફક્ત ઓડીઓ
આજ વર્ષની અન્ય પ્રચલિત ફિલ્મ ‘સત્યમ શિવમ સુન્દરમ’નુ પ્રભાતિયું છે.
इश्वर सत्य है
सत्य ही शिव है
शिव ही सुन्दर है
जागो उठ कर देखो
जीवन ज्योत उजागर हैઝીનત અમાન પર રચાયેલ આ ગીતના ગીતકાર છે નરેન્દ્ર શર્મા અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. સ્વર છે લતાજીનો.
૧૯૮૦ની ફિલ્મ ‘મહાબલી હનુમાન’નુ આ ગીત અગાઉ જણાવેલ ફિલ્મ ‘હનુમાન ચાલીસા’માં આવેલ ગીતની પુનરાવૃત્તિ છે.
जागो हे बजरंगबली
अब सोच ही सोच में दिन न गुजरो
कौन नहीं जानत है जग में
कपि संकट मोचन नाम तिहारोઆ ગીતના કલાકાર છે દારાસિંહ જે હનુમાનના પાત્રમાં છે અને જામ્બુવંત બનેલ કલાકાર તેણે ઉદ્દેશીને ગાય છે. ગીતકાર છે ઉદય ખન્ના અને સંગીતકાર છે કમલકાંત. ગાયક છે મન્નાડે.
૧૯૮૧ઈ ફિલ્મ ‘મંગળસૂત્ર’નુ આ ગીત એક વ્યથિત પત્નીની પ્રાર્થના રૂપે છે.
हे प्रलयंकर भीम भयंकर
हे शिवशंकर दाता
आग लगी मेरे जीवन में
रखना लाज विधाताઘાયલ અનંત નાગને માટે રેખા આ પ્રાર્થના કરે છે જેના શબ્દો છે નિદા ફાઝલીના અને સંગીત આપ્યું છે આર. ડી. બર્મને. ગાયિકા લતાજી.
૧૯૮૯ની ફિલ્મ ‘બીસ સાલ બાદ’નુ આ ગીત પણ એક પ્રાર્થનાના રૂપમાં છે.
जागो जागो हे देवी माता
सदा सुहागन रहू मै
ये वरदान लेने आई हु मैડીમ્પલ કાપડિયા ઉપર રચાયેલ આ ગીતના ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ, સ્વર છે અનુરાધા પૌડવાલનો.
૧૯૯૯ની ફિલ્મ ‘હુ તુ તુ’નુ આ ગીત એક પ્રોત્સાહક ગીત છે.
जागो जागो जागते रहो हे
जागो जागो जागते रहोआग के दाँतो में इन्सान फसे है
डर लगता है डर लगता हैસમાજને જાગૃત કરનાર છે નાના પાટેકર. ગુલઝારના શબ્દોને સંગીત આપ્યું છે વિશાલ ભારદ્વાજે જેને સ્વર મળ્યો છે રૂપકુમાર રાઠોડનો.
૨૦૦૭ની ફિલ્મ ‘ધર્મ’નુ આ ગીત માનવને જાગૃત કરવાનો ઉદ્દેશ હોય તેમ જણાય છે.
भइ भोर जागो
जैसे छाये अरुणाईઆ એક પાર્શ્વગીત છે જેના શબ્દો છે વરુણ ગૌતમના અને સંગીત છે દેબજ્યોતી મિશ્રનુ. ગાયક છે.સોનું નિગમ.
૨૦૧૫ની ફિલ્મ ‘બેજુબાન ઈશ્ક’નુ આ ગીત એક પાર્શ્વગીત છે જેમાં સવારની પ્રાકૃતિક સુંદરતાને બખૂબી દર્શાવી છે.
भोर भई और कोयल जागी
गीत मधुर गायो रेઆ ગીત સ્નેહા ઉલ્લાલ પર રચાયું છે. જશવંત ગંગવાનીના શબ્દોને રૂપેશ વર્માએ સંગીત આપ્યું છે જે ઓસમાણ મીરના સ્વરમાં છે. ગીત સાંભળતા જ નરસિંહ મહેતાનું પ્રભાતિયું યાદ આવ્યા વગર નહિ રહે.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. +91 22 28339258/ 91 9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો
સંકલનઃ અશોક વૈષ્ણવ
આર ડી બર્મનની શરૂઆતની ફિલ્મો – છોટે નવાબ (૧૯૬૧), ભૂત બંગલા (૧૯૬૫), તીસરા કૌન (૧૯૬૫) અને પતિ પત્ની (૧૯૬૬) – સંગીતની દૃષ્ટિએ શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોના આધાર પર રચાતાં ‘૫૦ના દાયકાની હિંદી ફિલ્મોના ગીતોની કેડી પર જ રચાતાં જોવા મળે છે. જોકે વ્યાવસાયિક માપદંડો પર આર ડીની સંગીત યાત્રા હજુ સફળ નહોતી રહી. એક તરફ નિયતિ બંધ થતા દરવાજાઓ દ્વારા તેમની કસોટી કરી રહી હતી તો સાથે સાથે તેમને સફળતાની તક મળે એવી કેટલીક બારીઓ પણ ખુલ્લી મુકી રહી હતી. આવી એક બારી હતી નાસીર હુસ્સૈનની ફિલ્મ તીસરી મંઝિલ (૧૯૬૭). આ ફિલ્મનાં પાશ્ચાત્ય ધુનો પર આધારિત ગીતોની અઢળક સફળતાએ આર ડી બર્મનની સાંગીતની કક્ષાનો દરજ્જો જ બદલી નાખ્યો. તીસરી મંઝિલ પછી આર ડી તેમની રચનાઓની બાંધણીમાં શાસ્ત્રીય, લોક ગીત, પ્રાદેશિક ગીતોનાં સંમિશ્રણને યથોચિત સ્થાન આપતા રહ્યા, પણ તેમની સમગ્ર કારકિર્દી પર તેમની છાપ પાશ્ચાત્ય સંગીત પ્રેમી સંગીતકાર તરીકેની જ બની રહી.
કોઇ પણ પ્રકારની શૈલી પર તેમનું ગીત આધારિત હોય પણ આર ડી બર્મનની પ્રયોગશીલતા તો બરકરાર જ રહેતી. બાસુ (ચક્રબોર્તી – સેલોવાદક), મનોહરી (સિંગ – સેક્ષોફોનવાદક) અને મારૂતિ (રાવ કીર – તાલવાદક)ની તેમના સંગીત સહાયકોની ત્રિપુટીએ આર ડીના પ્રયોગોને સફળ અને સહજ રીતે અમલ મુકવામાં એટલી જ કમાલ દર્શાવી. પરિણામે, ખાસ કોઈ બાંધછોડ કર્યા વિના આર ડી બર્મનનું સંગીત બદલતી જતી દરેક પેઢીની રૂચિને અનુરૂપ બની રહ્યું.આર ડી બર્મનની વાદ્યવૃંદ રચનાઓના પ્રયોગોને કેન્દ્રમાં રાખતી આ શ્રેણીમાં આજે આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તંતુ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો વિશે વાત કરીશું.
રજુઆતની સરળતા માટે આપણે પહેલાં ભારતીય તંતુવાદ્યોનો પ્રયોગોની નોંધ લઈશું અને તે પછી પાશ્ચાત્ય તંતુવાદ્યોના પ્રયોગોનાં કેટલાંક ઉદાહરણો જોઈશું.
સ્વાભાવિક છે કે શરૂઆત તેમના સંગીત સહાયકો પૈકી તંતુવાદ્ય નિષ્ણાત, બાસુ ચક્રબોર્તીના સેલોના જ કેટલાક અભિનવ પ્રયોગોથી કરીશું.
બાસુ ચક્રબોર્તીના સેલો પરના તેમ જ વાયોલિન સમુહ પરના સુરસમુહના વિલંબિત પ્રયોગો તેમની આગવી ઓળખ બની રહ્યા. અહીં આપણે તેમના ત્રણ એવા બહુખ્યાત પ્રયોગોની નોંધ લઈશું જેન થકી આર ડી બર્મનનાં સંગીતને પણ ચાર ચાંદ લાગી ગયા.
‘શોલે’ માં ગબ્બરનો નાટ્યાત્મક પ્રવેશ
ગબ્બરની હાજરી છે એટલું જ સાંભળતાં લોકોના મનમાં વરૂ-શિયાળની લાળીના અવાજો સંભળાવા લાગે. ગબ્બરના ખુબ જાણીતા સંવાદ ‘કિતને આદમી થે’ જેટલો જ આ પાર્શ્વસંગીતનો ટુકડો દર્શકોને મોહી લેતો. આપણા માન્યામાં ન આવે કે આ અવાજ સેલોનો વિલંબિત સુરસમુહ છે. જોકે બાસુ ચક્રબોર્તીના પુત્ર, સંજીવે, એક લાઈવ કાર્યક્રમમાં આ શી રીતે કરાયું હતું તે બતાવ્યું છે એટલે શંકાને કોઈ સ્થાન નથી રહેતું.
રુક જાના ઓ જાન હમ સે દો બાતેં કર કે ચલી જાના – વૉરન્ટ (૧૯૭૫) – કિશોર કુમાર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
આ ગીતના પૂર્વાલાપમાં ‘રૂક રૂક જેવો જે અવાજ સંભળાય છે તે બાસુ ચક્રબોર્તીએ સેલો દ્વારા નિપજાવ્યો છે.
https://youtu.be/gfHP-GyneAk?si=xG6CyQvhhb667YtB
હમ કો યારા તેરી યારી – હમ કિસી સે કમ નહીં (૧૯૭૮) – કિશોર કુમાર, આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
આ ગીતની મધ્યલાપ અને કાઉન્ટર મેલોડીની વાદ્યગુંથણી હિંદી ફિલ્મનાં ગીતોના યુવા ચાહક વર્ગ માટે જીવનપર્યંતની યાદગીરી છે.
આર ડી બર્મને સંતૂર, સરોદ, સારંગી, તાર શરણાઈ જેવાં અનેકવિધ ભારતીય તંતુવાદ્યોના પણ બહુ રસપ્રદ પ્રયોગો વાયોલિન સમુહની સાથે અજમાવ્યા છે. તે પૈકી કેટલાક પ્રયોગો અહીં રજૂ કર્યા છે.
કિતના પ્યારા વાદા હૈ ઈન મતવાલી આંખોંકા – કારવાં (૧૯૭૧) – મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
તાર શરણાઈ હિંદી ફિલ્મોમાં મહદ અંશે મુજરાના ગીતોમાં બહુ પ્રચલિત છે. અહીં ૦.૫૮થી ૧.૦૯ સુધીમાં તાર શરણાઈ આનંદના ભાવોને વ્યક્ત કરવા પ્રયોજાયેલ છે.
https://youtu.be/K-6rS_EjRMU?si=jKBgq8Dlv9TnDviN
ઈસ મોડ પે જાતે હૈં – આંધી (૧૯૭૫) – લતા મંગેશકર, કિશોર કુમાર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
મધ્યલાપમાં હરિપ્રસાદ ચૌરસિયાનીવાંસળી, ઝરિન દારૂવાલાની સરોદ અને જયરામ આચાર્યની સિતાર જીવનના રસ્તાઓના દુર્ગમ વળાંકોની અનુભૂતિને ઘેરી બનાવે છે.
મેરે નૈના સાવન ભાદો – મેહબૂબા (૧૯૭૬) – લતા મંગેશકર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
આમ તો આખાં ગીત દરમ્યાન સરોદના સુર કાઉન્ટર મેલોડીનો સાથ પુરાવતા રહે છે, પણ ઝરીન દારૂવાલાની સરોદની સારંગી સાથેની ૩.૧૭થી ૩.૫૧ સુધીની જુગલબંધી પરદા પર નાયિકાની ગહન હિલચાલને વધુ રહસ્યમય બનાવે છે.
https://youtu.be/hVTjWPG5v4M?si=MZMmvARRq2Qfq76s
હોઠો પે બીતી બાત આયી હૈ – અંગૂર (૧૯૮૧) – આશા ભોસલે – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
ઉલ્હાસ બાપટ દ્વારા સર્જાયેલા સરોદના હળવા સુરટુકડા પૂર્વાલાપ અને મધ્યલાપના પ્રારંભને વધારે માદક વાતાવરણ બનાવવામાં સુર પુરાવે છે.
જાને ક્યા બાત હૈ – સન્ની (૧૯૮૪) – લતા મંગેશકર – ગીતકારઃ આનંદ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન
ઉસ્તાદ સુલ્તાન ખાન દ્વારા સ્વરબદ્ધ થયેલા, ૨.૦૩ થી ૨.૧૦ સુધીના, સાંરંગીના રાતના અંધારાને વધારે કરૂણ બનાવે છે.
હવે આપણે આર ડી બર્મનના પાશ્ચાત્ય તંતુવાદ્યોના કેટલાક નોંધપાત્ર પ્રયોગો વિશે વાત કરીશું.
આર ડી બર્મને તીસરી મંઝિલ પહેલાં અને પછી પણ પાશ્ચાત્ય તંતુવાદ્યોના રસપ્રદ પ્રયોગો કર્યા છે. બન્ને પ્રકારના એક એક પ્રયોગો જોઈએઃ
આઓ ટ્વિસ્ટ કરેં – ભૂત બંગલા (૧૯૬૫) – મન્ના ડે – ગીતકારઃ હસરત જયપુરી – સંગીતઃ આર ડી બર્મન
કાઉન્ટર મેલોડી સંગાથમાં બાસ ગિટારની આગવી હાજરી અનુભવી શકાય છે.
ની સુલ્તાના રે પ્યાર કા મૌસમ આયા – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – મોહમ્મદ રફી, લતા મંગેશકર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
પૂર્વાલાપના આલાપમાં, ૦.૩૧ થી ૦.૩૬, બાસ ગિટાર કાઉન્ટર મેલોડી સંગાથ કરે છે, પરંતુ આર ડીનાં સંગીતના કળાત્મક પાસાંનોજે ખયાલ ૦.૪૧ થી ૦.૪૬ દરમ્યાન થોડાક સુરમાં મળે છે તે આર ડીની સંગીતની સૂઝનો પરિચય કરાવવા માટે પુરતો બની રહે છે.
પરંતુ, નિયતિએ આર ડીની સંગીત કારકિર્દીને નવી જ ભ્રમણકક્ષામાં લઈ જવા માટે તો તીસરી મંઝિલને જ નક્કી રાખેલ હશે.
આજા આજા મૈં હું પ્યાર તેરા (તીસરી મંઝિલ, ૧૯૬૭ – મોહમ્મદ રફી, આશા ભોસલે – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન)ના પૂર્વાલાપમાં દિલીપ નાઈકે છેડેલા ઊંચા સ્વરના, આક્રમક, ચુંબકની જેમ ધ્યાન ખેંચી લેતા સુરોએ ગિટારને, અને તેની સાથે પાશ્ચાત્ય વાદ્યોને, આર ડી બર્મનનાં સંગીતની વાદ્યવૃંદ રચનાઓમાં મોખરાનું સ્થાન સુનિશ્ચિત કરી આપ્યું.
દેખીયે સાહિબો …. વો કોઈ ઔર થી યે કોઈ ઔર હૈ – તીસરી મંઝિલ (૧૯૬૭) – મોહમ્મદ રફી – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
અહીં એ જ બાસ ગિટાર પૂર્વાલાપમાં હળવી સુરાવલી સર્જે છે, અને પછી સાવ જ સામે છેડે જઈને પહેલા અને ત્રીજા મધ્યલાપમાં ઊંચા સુરનો ઉત્તેજના પુરી પાડતો સંગાથ કરે છે.
સંગીતના આ ટુકડાઓની રચના કેવી રીતે થઈ તેની an untold story ભાનુ ગુપ્તા, તેમના પોતાના (બંગાળી) શબ્દોમાં, ૧.૧૧ થી ૧.૫૫ સુધીમાં વર્ણવે છે..
જાને ભી દો ના … (સાગર, ૧૯૮૫) માં તો ગિટારનો બહુ અભિનવ પ્રયોગ કરાયો છે. આંરંભના ચાર સુર બાદ બાસ ગિટાર તાલ ગિટાર બનીને તાલ વાદ્યનો સંગાથ કરે છે. અને તાલ વાદ્ય પણ ગિટાર સાથે સામાન્યપણે પ્રયોજાતાં ડ્ર્મ્સ કે બોંગોકોંગો નથી પણ તબલાં છે !
હવે એક એવો પ્રસંગ લઈએ જે ઇન્ટરનેટ પર બહુ જોવાઈ ચુક્યો છે. પરંતુ પ્રયોગાત્મકતાની વાત આવે ત્યારે આર ડી અને તેના વાદકો સાવ વિચારી ન શકાય એવા પ્રયોગોને પણ અદ્ભૂત રીતે ગીતની બાંધણીમાં ગોઠવી દેતાં અચકાત નહીં, એ વાતનું પ્રમાણ આ પ્રસંગથી વધારે સારૂં કદાચ કોઈ ન મળે તેથી અહીં ફરી એક વાર નોંધ લઈશું.
ચિનગારી કોઈ ભડકે (અમર પ્રેમ)નું રિહર્સલ ચાલી રહ્યું હતું. દરેક સાજિંદા પોતપોતાને મળેલ નોંધ મુજબ સુર સજાવી રહ્યા હતા. એવામાં ભાનુ ગુપ્તાથી એક ભુલ થઈ ગઈ. ભાનુ ગુપ્તા પણ નક્કી થયેલ યોજના મુજબ સંગીતરચના જ થવી જોઈએ એ બાબતે તો બહુ જ આગ્રહી હતા. એટલે આ ભુલ થતાં વેંત શરમાઈ ગયા. આર ડીએ પણ એ સુર સાંભળ્યો અને બેઠા હતા થ્યાંથી ભાનુ ગુપ્તાને કહ્યું કે મારે તો એ સુર જ જોઈએ. એ પછીતો અનેક પ્રસંગોએ આર ડીએ કહ્યું છે કે આવી ‘અદ્ભુત’ ભુલ તો ભાનુ જ કરી શકે.
સોનાની એ મેખ જે બહુમૂલ્ય હીરો બની ગઈ તે ‘ભુલ’ આ હતી –
શોલેનાં ટાઈટલ સંગીતમાં ભાનુ ગુપ્તાની ગિટાર પરની કમાલ તો આપણે અનેકવાર સાંભળી હશે. એ દિલ ડોલાવતી સુરાવલીની રચના કેવી રીતે થઈ એ ભાનુ ગુપ્તા ફરી એક વાર કરી બતાવે છે.
ભુપિન્દર સિંગના સ્વરને આપણે આર ડીના કેટલાંય ગીતોમાં સાંભળ્યો છે. ભુપિન્દર આર ડીની વાદ્યવૃંદનો પણ બહુ મહત્ત્વના સભ્ય હતા. ભુપિન્દરની ગિટાર પરની હથોટીનો આર ડીએ વાદીયાં તેરા દામન (અભિલાશા, ૧૯૬૮ – મોહમ્મદ રફી, લતા મંગેશકર) ૧.૦૬થી ૧.૦૮ સુધી જે ખુબીથી ઉપયોગ કર્યો છે આર ડીની વાદ્ય કલાકારની પરખની સૂઝનું પ્રમાણ છે.
આર ડી બર્મનની તેના સહયોગીઓની આગવી આવડત પારખવાની સૂઝ વિશે આ કિસ્સો પણ બહુ જાણીતો છે.
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને – કિનારા (૧૯૭૭) – ભુપિન્દર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
ગુલઝાર તેમના અપદ્યાગદ્ય ગીતો માટે પંકાયેલા છે. આર ડી બર્મન તો તેમને હંમેશાં કહેતા કે છાપાંનું કટિંગ મને પક્ડાવીને તેના પર ધુન બનાવવાનું કહો છો! આવું જ એક ગીત ગુલઝારે આર ડીને આપ્યું. ફિલ્મમાં તે સંવાદની જેમ ગવાતું બતાવવાનું હતું. આર ડી અને તેમની ટીમે બહુ મથામણ કરી પણ મેળ નહોતો પડતો. આખરે થાકીને નક્કી કરાયું કે ભુપિન્દરને બોલાવો અને કહો કે આ ગીત ગાવાનું છે. ભુપિન્દરને કહ્યું કે તારી રીતે ગિટારનો તાલ બેસા ડ અને આ ગીતનું રિહર્સલ કર. ભુપિન્દરે ખાસ્સી એવી મહેનત કરી એ પછી આર ડી એ કહ્યું કે હવે રેકોર્ડિંગ રૂમમાં જા અને આ રીતે જ ગીત રેકોર્ડ કર.
ગીતની સાથે બહુ જ આવશ્ય્ક એટલો કાઉન્ટર મેલોડી સંગાથ ગોઠવવામાં આવ્યો અને ભુપિન્દરને ફાવ્યું તેમ ગીત રેકોર્ડ થયું. પણ આ ગીત આર ડી, ભુપિન્દર અને ગુલઝાર માટે સર્વકાલીન શ્રેષ્ઠ ગીતો પૈકી એક ગીત બની રહ્યું.
હવે મેન્ડોલીનના અવનવા ઉપયોગનાં થોડાંક ઉદાહરણો જોઈએ.
રાત કલી એક ખ્વાબમેં આયી – બુઢ્ઢા મિલ ગયા (૧૯૭૧) – કિશોર કુમાર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
૦.૦૭ સુધી જ મેંડોલીનના થોડાક સુર, બાસ ગિટારથી પૂર્વાલાપનો ઉપાડ અને તેની સાથે ધીમું ધીમું ગણગણવું, આપણને પણ સ્વપ્નનિદ્રામાં લઈ જાય છે !
આપ કી આંખોંમેં કુછ મહેકે હુએ સે ખ્વાબ હૈ – ઘર (૧૯૭૮) – લતા મંગેશકર, કિશોર કુમાર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન
૦.૧૩થી પ્રારંભમાં મેન્ડોલીનના મૃદુ સુર મધ્યાલાપના અન્ય તંતુ વાદ્યોના ઊંચા સુરની સાથે એક અદ્ભુત અનુભૂતિ સર્જે છે.
https://youtu.be/NbqCWwlNKrA?si=-Uh4Pi6fHpBK0QjD
આ લેખનું સમાપન એક એવાં ગીત યુગલથી કરીએ જે ટ્વિન સોંગ તરીકે બહુ જ પ્રચલિત સંસ્કરણો ગણાય છે. આ ગીત કિશોર કુમાર અને મોહમ્મદ રફીની ગાયકીની સર્ખામણી વિશે વધારે ચર્ચામાં રહ્યું છેપરંતુ, આપણને અહીં એ ચર્ચા સાથે કોઈ નિસબત નથી.
તુમ બિન જાઉં કહાં – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – કિશોર કુમાર – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
ફિલ્મમાં આ ગીત પહેલી પેઢીના પાત્ર (પિતા) વડે ગવાય છે. આખાં ગીતમાં વાદ્ય તરીકે મેન્ડોલિન કેન્દ્રમાં છે કેમકે પરદા પરનું પાત્ર મેન્ડોલિન વગાડતું હોય છે. અહીં મેન્ડોલિનના પ્રમુખ વાદક મનોહરી સિંઘ છે.
ગાયકની પસંદગી વિશે બન્ને વર્ગના ચાહકો વચ્ચે જેટલી ચર્ચા થઈ છે એટલી જ ચર્ચા આ ગીતનાં મોહમ્મદ રફીના સંસ્કરણ માટે કોણે મેન્ડોલિન વગાડેલ છે અને કયું વાદન વધારે સારૂં છે એ ચર્ચા પણ બહુ થઈ છે. વિવિધ લાઈવ કાર્યક્રમોના જે બન્ને વાદકો ચર્ચામાં રહ્યા છે તેમના જ વીડીયો હવે ઉપલબ્ધ છે તેના પરથી ચોક્કસપણે સ્પષ્ટ બને છે કે કિશોર કુમારનાં સંસ્કરણ માટે મનોહરી સિંઘ અને મોહમ્મદ રફીનાં સંસ્કરણ માટે કિશોર દેસાઈએ મેન્ડોલિન લગાડેલ છે.
તુમ બિન જાઉં કહાં – પ્યાર કા મૌસમ (૧૯૬૯) – મોહમ્મદ રફી – ગીતકારઃ મજરૂહ સુલ્તાનપુરી – સંગીતઃ આર ડી બર્મન
ફિલ્મમાં આ સંસ્કરણ પછીની પેઢીનું પાત્ર (પુત્ર) ગીત ગાય છે. કારણકે આ ગીત પુત્ર બાળપણમાં પોતાના પિતાને સાંભળી સાંભળીને જ શીખ્યો છે એટલે ગીતની મુળ ધુનમાં કંઈ ફેરફાર કરાયો નથી. પણ હવે નવી પેઢી આ ગીત ગાય છે તે દર્શાવવા માટે જેમ અલગ જ શૈલીના ગાયક (રફી)ને લેવાયા તેમ મેન્ડોલિન પણ અલગ જ રીતે વાગે એ માટે મનોહરી સિંઘે સામેથી કિશોર દેસાઈને આમંત્રિત કર્યા. કિશોર દેસાઈની મેન્ડોલિન લગાડવાની પદ્ધતિ મુળથી જ અલગ રહી છે. એટલે મેન્ડોલિનના સુર તેઓ દ્વારા નિપજે તે મનોહરી સિંઘની મેન્ડોલિન વગાડવાની પદ્ધતિથી નિપજતા સુર કરતાં સાવ જ અલગ હોય.
આટલું સમજ્યા પછી આ સંસ્કરણને ધ્યાનથી સાંભળીશું તો રફીની ગાયકી અને કિશોર દેસાઈની મેન્ડોલિન શૈલીનો તફાવત સમજાવા લાગશે.
https://youtu.be/TKxirYqKfdU?si=LLhte7F-eXMBtcbh
યુટ્યુબ પર આર ડી બર્મનના અનેકવિધ તંતુવાદ્યોના અવનવા પ્રયોગોને હવે સાંભળવા મળે છે.આશા કરીએ કે એ બધા પ્રયોગો હવે સાંભળીશૂં ત્યારે એ પ્રયોગોને વધારે સારી રીતે માણી શકાશે.
આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના ધ્યાનાકર્ષક પ્રયોગોની આ શ્રેણીમાં હવે પછી ફૂંક વાદ્યોના પ્રયોગો વિશે વાત કરીશું.
+ + +
Credits and Disclaimers:
- The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
- The photograph is taken from the internet, duly recognizing the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.
-
મહેન્દ્ર શાહનાં વૉટર કલર પેઈન્ટીંગ્સ : ૨
મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ
Mahendra Shah’s Kalasampoot – Watercolors Part 2
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
ત્યારે અને અત્યારે : પાણી બાબત: ઠેરના ઠેર
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
‘સોના ઈંઢોણી, રૂપા બેલડું રે નાગર ઊભા રહો રંગરસિયા.’

આ જાણીતું લોકગીત છે, જે એટલું જૂનું છે કે જ્યારે ઈંઢોણી, બેડું અને ગાગર એ ઘરગથ્થુ શબ્દો હતા. આજે મોટાં અને નાનાં શહેરોમાં ઈંઢોણી કદાચજોવા જ નહીં મળે. જ્યાં બેડલું જ જોવા ન મળે તો તેને આધાર આપતી ઈંઢોણીનું શું કામ? એ વખતે ઈંઢોણીની આખી ‘રેન્જ’ દેખાતી. ખજૂરીનાં પાનોને ગૂંથીને બનાવેલ ઈંઢોણી, કપડાનો વીંટો વાળી બનાવેલ કામચલાઉ ઈંઢોણી અને છેવટે સુંદર, નાનાં મોતીઓથી સજાવેલ ઈંઢોણી. આ છેલ્લો પ્રકાર આજેય નવરાત્રીના ગરબાને ટેકો આપે છે. નવી પેઢીને એ કારણે તેનો પરિચય હોય તેમ બને.
એ દિવસોમાં નળમાં પાણી ગણ્યાંગાઠ્યાં શહેરોમાં જ આવતું. બાકીનાં ગામો કૂવા ઉપર આધાર રાખે અને ગામડાં તળાવ ઉપર. ત્યાંથી ઘર સુધી પાણી લઈ આવે તે પનિહારી. આજે પ્લાસ્ટિકના કેરબા (જેરી કેન) વપરાય છે, પરંતુ ત્યારે પ્લાસ્ટિક તો હતું જ નહીં, સ્રીઓ ગાગર અથવા બેડું વાપરે. તેમાં એક મોટો હાંડો હોય અને તેની ઉપર નાનો કળશો. આ ત્રીસ કિલોગ્રામનું વજન માથામાં એક બિંદુએ ન આવે એટલે પહેલાં ગોઠવે ઈંઢોણી અને તેના ઉપર ગાગર. જેમ સાઇકલ ધીમે ચલાવવા કરતાં ઝડપે ચલાવવામાં સમતુલન સહેવું પડે તેવું આ પનિહારીઓનું. એ ધીરેધીરે મહાલતી ક્યારેક જ દેખાય – ઝડપથી દોડી જતી હોય. અને એવી ઝડપી ચાલેય એ ત્રણ-ચારનાં વૃંદમાં વાતો કરતી જતી હોય. કેટલીક પોતાના ઘર માટે પાણી લઈ જતી હોય તો કેટલીક જેને ત્યાં કામ કરતી હોય તેના માટે પાણી લઈ જતી હોય.આજે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ ધોરણ રાખ્યું છે કે સ્વાસ્થ્યપ્રદ જીવન માટે દરેક વ્યક્તિદીઠ રોજનું ૧૪૦ લિટર પાણી જોઈએ. બહુ ઓછી નગરપાલિકા આ ધોરણે પાણી આપી શકે છે. પાણી નળમાં આવતું હોય ત્યાં આ પ્રમાણની ચકાસણી પણ સહેલી નથી. નળમાં પાણી આવવાનો સમય કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે નથી હોતો. કુટુંબ નાનું હોય તો માથાદીઠ વધારે પાણી મળી રહે અને મોટા કુટુંબને જણદીઠ ૧૪૦ લિટર કરતાં ઓછું.

સ્વેચ્છિક કાપ :
હવે, આ જ ધોરણ કૂવેથી લવાતાં પાણીને લાગુ કરો. પાંચ માણસના કુટુંબને માટે રોજ ૭૦૦ લિટર પાણી લાવવું પડે. બેડલું લઈને જાઓ તો ૨૦-ર૫ ફેરા કરવા પડે! હાથમાં વધારાનો કળશો ઉપાડો તો બે-ચાર ફેરા ઓછા. ઘરે ઠાલવી પાછા કૂવે આવો, પાણી ખેંચો, ભરો અને બીજો ફેરો કરો. કૂવો નજીક હોય તો પણ ૭૦૦ લિટર પાણી ભરવાને પાંચેક કલાક લાગે અને આટલું પાણી ઘરમાં ક્યાં સાચવવું? કેટલાં પીપ, કોઠી, ટાંકી અને માટલાં જોઈએ. એટલે વાસ્તવિકતા એવી કે લોકો ૮-૧૦ બેડાં પાણીથી ચલાવી લેતા. કામવાળાં બહેન એનાથી વધુ આપી જ ન શકે. પાંચ જણના કુટુંબ માટે આ થયું ૫૦થી ૬૦ લિટર માથાદીઠ પાણી. વાતનો સાર એ કે કૂવામાં પાણી તો રહેતું, પણ બીજાં કારણોસર લોકો મર્યાદિત પાણી વાપરતા.
એ જ સમયે મહાનગરો અને અમદાવાદ-વડોદરા જેવાં શહેરોમાં પાણી ભલે નળમાં આવતું, તેની પ્રાપ્તિ બાબત સંતોષ નહોતો. ખાર-બાંદ્રા જેવાં મુંબઈનાં સમૃદ્ધ પરાંઓમાં પણ પાણી ભરવા રાતે ૧૨ વાગ્યે કે પરોઢે ચાર વાગ્યે ઊઠવું પડતું. મકાનની અગાસી ઉપર ટાંકીઓ બનાવવાની પ્રથા હજુ નહોતી. તેથી કસમયે ઊઠવું જ પડતું અને ગામના લોકોની જેમ કોઠી અને પીપડાંઓમાં જ પાણી ભરીને આખો દિવસ વાપરવું પડતું. એ દષ્ટિએ ત્યારે શહેર અને ગામોની પરિસ્થિતિમાં બહુ ફરક ન હતો.આવું જ કંઈક પાણીના સંદર્ભે ત્યાર અને અત્યારની પરિસ્થિતિ વિશે કહી શકાય. આગળ જોઈશું કે જીવનનાં અન્ય ક્ષેત્રોમાં જેટલો તફાવત ૭૦ વર્ષમાં પડ્યો તેવું પાણી બાબત નથી થયું. ટેક્નૉલૉજીનો ઉપયોગ અહીં બહુ પ્રભાવી રીતે નથી થયો. બહુ જ પ્રાથમિક સ્તરની ટેક્નોલોજી દાખલ થઈ છે. સૌથી પહેલા યાંત્રિક હૅન્ડ-પમ્પ આવ્યા, જેને કેટલાક લોકો ડંકી કહે છે. પાણી જો બહુ ઊંડે ન હોય તેવાં સ્થાનોએ આવા પમ્પ બેસાડવાથી મોટા ગરગડીવાળા કૂવા બાંધવાની જરૂર ન રહી. બહેનોએ દોરડાં ખેંચવાની મહેનત બંધ થઈ, પરંતુ આ પમ્પોની જાળવણી અગત્યની છે. ગામડાંમાં સારા મિકેનિક ન મળવાથી મોટા ભાગે પમ્પો બગડેલા પડયા રહેતા.
સામૂહિક નળો
ડીઝલ એન્જિનથી ચાલતા અને વીજળથી ચાલતા પમ્પો આવ્યા ત્યારે આશીર્વાદરૂપ બન્યા. ડીઝલ પમ્પો મુખ્યત્વે ખેતર અને વાડીમાં વપરાયા. કેટલીય કલ્પનાશીલ નગરપાલિકાઓએ જાહેર કૂવા ઉપર સિમેન્ટના ટાંકા બનાવ્યા, તેમાં ૮-૧૦ નળો બેસાડી જે વ્યવસ્થા બની તેને પાણીનાં ‘સ્ટેન્ડ’ કહેવતાં. પનિહારીઓ હવે ગરેડી સામે નહીં, નળ સામે બેડાંની લાઇન લગાવતી થઈ.

કોઈ ગામમાં જાઓ ત્યારે આવાં સ્ટેન્ડ કેટલાં છે અને કેટલાં કામ કરતાં રહ્યાં છે એ જોઈને મ્યુનિસિપાલિટી-પંચાયતની કાર્યક્ષમતાનો અંદાજ આવે. બીજી તરફ બાવડાનું બળ વાપર્યા વિના પાણી મળવાથી તેનો ઉપયોગ અને વ્યય વધ્યાં. ખેતરોમાં વિનામૂલ્ય વીજળી મળવાથી એટલાં પાણી જમીનમાંથી ખેંચાવા લાગ્યાં કે પાણીનાં તળ જલદી નીચે ગયાં અને ખેતરની જમીન ઉપર ભૂતળનો ક્ષાર ફેલાવા લાગ્યો. પંજાબની હરિત કાન્તિનું આ અવળું પાસું નિષ્ણાતોમાં ચર્ચાનો વિષય બની રહ્યું છે.
સાઠના દાયકામાં નવા રાજય હેઠળ નાનાં શહેરોમાં નળયોજના ક્રમશઃ આવવા લાગી. સાંકડી ગલીઓમાં ખોદાએલા રસ્તાઓની અગવડ લોકોએ ખુશીથી સહન કરી, કારણ કે પોતાનો સામાજિક દરજ્જો હવે વધવાનો હતો! ઘીમેધીમે બેડલાં અને ઈંઢોણી દશ્યમાંથી દૂર થતાં ગયાં. એક દોઢ દસકો આ પ્રગતિ પ્રસરતી હતી ત્યારે હજુ ભોંયમાં ટાંકા (અન્ડર ગ્રાઉન્ડ ટાંકી) અને અગાસીની ટાંકી પ્રચાલિત નહોતાં થયાં. એટલે પાણી પીપ અને કોઠીમાં ભરવાનું ચાલુ જ રહ્યું. આ રીતે સંઘરેલ પાણીથી કપડાં ધોવામાં તો ખાસ ફરક ન પડતો; પરંતુ હાથ ધોવા અને વાસણ ઘસવામાં અગવડ હતી. એક હાથમાં લોટો લઈ, પાણી રેડી બીજા હાથને ધોવાથી સફાઈ બરાબર ન થતી. એ જમાનામાં વાસણ રાખ કે ધૂળ-માટીથી ઘસાતાં. આ રાખને કાઢવા માટે મોટાં તગારાં કે ટબમાં પાણી લઈ, વાસણને તેમાં ડુબાડીને કાઢવું એ એક જ રીત હતી. થોડાં વાસણો પછી એ પાણી ગંદું થઈ જાય, તો ક્યારેક આવાં બે પાત્ર રાખે. એકમાં સાફ કરી વાસણ બીજા પાત્રમાં ફરીથી ધૂએ. આરોગ્યની દષ્ટિએ આ કોઈ આદર્શ પરિસ્થિતિ ન હતી. નળમાંથી પાણી પડતું હોય અને નીચે બે હાથ આપસમાં ચોળીને સાફ થાય તે જ સાચી રીત. તેવું જ વાસણ ધોવા વિશે.
૨૪ કલાક પાણી
જ્યારે ભૂગર્ભ ટાંકા અને ઓવરહેડ ટાંકીની પ્રથા શરૂ થઈ તે પછી આ બની શક્યું. આ નાની વાત લાગે છે, પરંતુ સામાન્ય સ્વાસ્થ્ય ઉપર તેની સ્પષ્ટ અસર થઈ. હજુ આજેય ઘણાં સ્થળે આવી સગવડ નથી – તો લોકો સિન્ટેક્સની ટાંકી બેસાડીને નળમાં પાણી આણે છે. ‘માઇન્ડ સેટ’નો આ સકારાત્મક ફેરફાર આધુનિકતામાં વણાઈ ગયો છે. (જ્યારે ઘરે બેડાંથી પાણી આવતું ત્યારે પણ કેટલાંક ઘરોમાં એ નળવાળી સિમેન્ટની ટાંકીમાં ઠલવાતું. એ લોકો પોતાના સમયથી આગળ હતા!) આ કારણે એક નવો શબ્દ નગરજીવનમાં દાખલ થયો – “ચોવીસ કલાક પાણી”. મોટાં શહેરોમાં લોકો ફ્લેટ ખરીદે અથવા ભાડે લેવા જાય ત્યારે જે બે-ચાર મુદ્દાની પૂછપરછ કરે, તેમાં એક આ જરૂર હોય છે, “અહીં ચોવીસ કલાક પાણી આવે છે?’ વાસ્તવમાં દેશની કોઈ મ્યુનિસિપાલિટી ર૪ કલાક પાણી આપી શકે નહીં અને નહીં જ આપતી હોય. પરંતુ આ પ્રશ્નનો અનુવાદ એ છે કે “તમને નગરપાલિકા જેટલું પાણી આપે છે તે તમે બધાં એટલું સમજીને વાપરો છો કે જેથી નળમાં ચોવીસે કલાક પાણી આવતું રહે?”
નળ આવ્યા પછી એક નવી સમસ્યા વિચાર માગે છે. કોઈ કારણસર પાણી આવે નહીં કે આવ્યું ત્યારે ભરી ન શક્યા તો તમે શું કરો? નવા જમાનામાં મોટાં શહેરોમાં પાણી મેળવવું મુશ્કેલ છે. નાનાં શહેરોમાં પણ વિકલ્પો ઓછા છે. સુધરાઈએ કૂવા નકામા બનાવી નાખ્યા છે. કેટલાકને બૂરી નાખ્યા અને ઉપર દુકાનો બનાવી દીધી છે, કેટલાકમાં જાળી નાખી છે તેથી દોરડું ફેંકાય તેમ નથી. કેટલાક એવા અવાવરું છે કે માત્ર કબૂતરોના નિવાસ તરીકે વપરાય છે. નસીબદાર હો તો કોઈ ટેન્કરવાળો મોંઘા ભાવે પાણી પહોંચાડશે, પરંતુ એની શુદ્ધતા અજાણી હશે. આધુનિકતાની આ કિંમત છે. ભૂતકાળમાં આવી પરિસ્થિતિમાં લાચારી નહોતી અનુભવાતી. પાણીનો ગ્રોત્ર નજીક હતો, ગમે ત્યારે ત્યાં જઈને લાવી શકવું શક્ય હતું.
થોડી ટૅક્નૉલૉજી
વસતિવધારાને કારણે પાણી બાબત સ્વાવલંબન ઘટતું જાય છે. એ દૂરદૂરથી આવે છે. ૧૯૭૦માં મુંબઈનું પાણી ૨૫-૩૦ કિલોમીટરથી આવતું – હવે સવાસો કિ.મી. દૂર ઇંગતપુરીથી આવે છે. કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રમાં પાણી પાંચસો કિ.મી. દૂર સરદાર સરોવરથી આવે છે. પાણી બાબત ટેક્નૉલૉજીનો ફાળો હોય તો આટલો જ છે. એય નવી ટેક્નોલોજી નથી. ડેમ અને કેનાલ તો ૭૦ વર્ષ પહેલાં પણ હતાં, હા, પાણીને ધકેલવા મહાકાય પમ્પો વપરાય છે, તે અગાઉ ભારતમાં પ્રાપ્ય ન હતા.
વિજ્ઞાનનો એક બીજો ફાળો તે પીવાનાં પાણીનાં ફિલ્ટરોનો. વિવિધ પ્રકારનાં ફિલ્ટર પાણીને જંતુરહિત કરીને આપે છે એ તો એક વાત, વધુ અગત્યનું એ છે કે જે પાણી વાપરી ન શકાતું તેને હવે વાપરી શકાય છે. ભૂગર્ભનું અતિશય ક્ષારવાળું પાણી રિવર્સ ઓસ્મોસીસ – ૨.૦. (વિપરીત પરાસરણ)ની પ્રક્રિયા દ્વારા પીવાલાયક બની આપણા વપરાશના જથ્થામાં દાખલ થયું. જે સ્થળોએ પાણી ચાર-પાંચ દિવસે આવે છે તે લોકો માટે રસોઈનાં પાણીનો આટલો જથ્થો સાચવવો મુશ્કેલ હતો. ફિલ્ટરની મદદથી સંઘરેલાં પાણીને જોઈએ ત્યારે પીવાલાયક બનાવી શકાય છે તે ઉપકારક છે.
આ એક અપવાદ બાદ કરતાં પાણીની પ્રાપ્તિ અને ઉપયોગમાં એટલું નવું નથી બન્યું જેટલું જીવનનાં બીજાં ક્ષેત્રોમાં છેલ્લાં ૭૫ વર્ષમાં થયું. પાણીનું ઉત્પાદન નથી થઈ શકતું. વરસાદ આજે એટલો જ પડે છે જેટલો ૧૯૫૦માં હતો, પરંતુ વસતિ સાડા ત્રણ ગણી થઈ! આથી માથાદીઠ પ્રાપ્તિ ૭૦ ટકા ઘટી ગઈ તે સ્પષ્ટ છે. સામે, માથાદીઠ વપરાશ વધતો ગયો. તેમાં સ્વાસ્થ્યના સિદ્ધાંતોની સાથે આધુનિક જીવનશૈલીનો પણ સિંહફાળો. “ત્યારે’ દસ લિટર પાણીમાં સ્નાન થતું અને ૫૦ લિટરમાં આખા ઘરનાં કપડાં ધોવાતાં. બાથ-ટબ, શાવર અને વૉશિંગ મશીન એવું નહીં કરવા દે.

ભારત સરકારે જળજીવન મિશન હેઠળ દરેક ઘરને નળથી પાણી પહોંચાડવાનું નક્કી કર્યું છે. સ્વાભાવિક છે કે દેશમાં દરેક ગામ પાસે પાણીની પ્રાપ્તિ સમાન ન હોય અને તેથી WHOના ૧૪૦ લિટર (પ્રતિ વ્યક્તિ)ના માનકને વળગી રહેવું મુશ્કેલ છે. આથી ઓછામાં ઓછું પપ લિટર આપવાની નેમ છે. આ એ જ માત્રા છે જે ‘૬૦ના દાયકામાં પનિહારીઓ માથે ગાગરમાં લાવી શકતી હતી!
આમ પાણી બાબત આપણે ઠેરના ઠેર છીએ, અને રહેશું.
સૌજન્યઃ નવનીત સમર્પણ * માર્ચ ૨૦૨૫
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
