દિગ્દર્શક બાસુ ભટ્ટાચાર્ય અને સંગીતકાર કાનુ રોયનું સંયોજન ગજબનું છે. મુખ્યત્વે ઘરના આંતરિક કલહને સચોટ રીતે રજૂ કરતી ફિલ્મના દિગ્દર્શન પર બાસુદાની હથોટી, અને એમાં કાનુ રોયનું સંગીત.
૧૯૭૩માં રજૂઆત પામેલી, ‘આરોહી ફિલ્મ મેકર્સ’ નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘આવિષ્કાર’ પણ આવી જ એક ફિલ્મ. રાજેશ ખન્ના, શર્મિલા ટાગોર, દીના ગાંધી, સત્યેન કપ્પુ જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા ધરાવતી આ ફિલ્મમાં પણ ગૃહક્લેશ મુખ્ય વિષય હતો.
ફિલ્મનાં કુલ ચાર ગીતો હતાં અને એક રાજેશ ખન્નાના મુખે કાવ્યપાઠ. બે ગીતો કપિલ કુમારે લખેલાં, જ્યારે એક ગીત જ્ઞાનદેવ અજ્ઞિહોત્રીએ. એક ગીત પારમ્પરિક હતું. ‘નૈના હૈ પ્યાસે મેરે‘ (આશા ભોંસલે) કપિલનું લખેલું, તો ‘માં કો પુકારકર પૂછા બચ્ચેને’ (મન્નાડે) જ્ઞાનદેવનું લખેલું હતું. જગજિત અને ચિત્રાના સ્વરે ગવાયેલું ‘બાબુલ મોરા નૈહર છૂટો હી જાય‘ પારમ્પરિક ગીત હતું. (આ ઠુમરીના લખનાર અવધના નવાબ વાજિદ અલી શાહ હતા એમ કહેવાય છે).
(કાનુ રોય)
જો કે, આ ફિલ્મ કોઈ એક જ ગીતથી યાદ રહી ગઈ હોય તો એ હતું મન્નાડે દ્વારા ગવાયેલા, કપિલ દ્વારા લખાયેલા ગીત ‘હંસને કી ચાહ ને કિતના મુઝે રુલાયા હૈ’ થી. આ ગીતના શબ્દોમાં વ્યક્ત થતા દર્દને સંગીતકારે સંયમિત સંગીત દ્વારા વધુ તીવ્ર બનાવ્યું હોય એમ એને સાંભળતાં જ લાગે. ફ્લુટ અને સિતારનું મિશ્રણ દર્દને વધુ ઘેરું કરે છે. મન્નાડેએ પણ એકદમ સંયત સ્વરે આ ગીત ગાયું છે. આ ગીત ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે વપરાયું હતું.
ગીતના શબ્દો આ મુજબ હતા.
हंसने की चाह ने इतना मुझे रुलाया है हंसने की चाह ने इतना मुझे रुलाया है कोई हमदर्द नहीं, दर्द मेरा साया है हंसने की चाह ने इतना मुझे रुलाया है
दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में सांसें चलती हैं कभी कभी रातों में दिल तो उलझा ही रहा ज़िन्दगी की बातों में सांसें चलती हैं कभी कभी रातों में किसी की आह पर तारों को प्यार आया है, कोई हमदर्द नहीं, दर्द मेरा साया है हंसने की चाह ने इतना मुझे रुलाया है
सपने छलते ही रहे रोज़ नई राहों से कोई फिसला है अभी अभी बाहों से सपने छलते ही रहे रोज़ नई राहों से कोई फिसला है अभी अभी बाहों से किसकी ये आहटें, ये कौन मुस्कुराया है कोई हमदर्द नहीं, दर्द मेरा साया है हंसने की चाह ने इतना मुझे रुलाया है
कोई हमदर्द नहीं, दर्द मेरा साया है हंसने की चाह ने इतना मुझे रुलाया है
આ ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
ઉર્દુ સાહિત્યમાં શકીલ નોમાનીના પુસ્તક ‘ નક્શે તમન્ના ‘ નો ઉલ્લેખ મળે છે. એ જ અહીં ઉલ્લેખેલ ગીતકાર હશે એ સુનિશ્ચિત નથી.
હિંદી ફિલ્મ ક્ષેત્રે એ અભિનેતા અને ગીતકાર તરીકે જાણીતા હતા. એમણે ‘૫૦ અને ‘૬૦ ના દાયકાની ઉસ્તાદોં કે ઉસ્તાદ, રિપોર્ટર રાજુ, અમર, રાજહઠ, તુ નહીં ઔર સહી, બારૂદ, બંબઈ કી બિલ્લી, કલ્પના, સહારા, બાગી હસીના અને માર્વેલ મેન જેવી ફિલ્મોમાં અભિનય કર્યો.
ગીતકાર તરીકે દિલ ભી તેરા હમ ભી તેરે, તું નહીં ઔર સહી, મેરા શિકાર, સ્ટેટ એક્સપ્રેસ, રિપોર્ટર રાજુ, મેજિક કાર્પેટ, ડાકુ માનસિંગ, સૈરે પરિસ્તાન, ફ્લાઈટ ટૂ આસામ અને લેડી રોબિનહુડ જેવી ફિલ્મોમાં વીસેક ગીત લખ્યાં. એમાં આ એક જ ગઝલ –
મૈં બેચેન રહ્યા હું વો જાનતે હૈં, ઉન્હેં મેરી હાલત કી સબકુછ ખબર હૈ ઉન્હીં કી તવજ્જો કી યે સાદગી હૈ, ઉન્હીં કી નિગાહોં કા દિલ પર અસર હૈ
મુહબ્બત દિલોં પર અસર કર ચુકી હૈ, જો કહતી હૈ દુનિયા વો હો કર રહેગા મૈં ક્યા ચાહતા હું વો ક્યા ચાહતી હૈ, ન મુજકો ખબર હૈ ન ઉનકો ખબર હૈ
મિલે ગમ કઝા મેં મૈં કુરબાન જાઉં, સલામે મુહબ્બત કહાં આ ગયા વો રાતોં કો રોતી હૈ સોતી નહીં હૈ, જો આલમ ઈધર થા વો આલમ ઉધર હૈ..
દર વર્ષે, સૂકી ધરતી ફરી શ્વાસ લેવાનું શરૂ કરે તે પહેલાં, ગરમ ભારતીય ઉનાળાની શાંતિમાં એક તીક્ષ્ણ, પણ મધુર અવાજ ગુંજી ઊઠે છે – “પિઉ-પિઉ… પિઉ-પિઉ…” આ અવાજને ખેડૂતો, કવિઓ અને પક્ષી પ્રેમીઓએ એક સંકેત તરીકે ઓળખવાનું શીખી લીધું છે: કે વરસાદ નજીક છે.
આ અવાજ પાઇડ કકૂ નો છે અને ગુજરાતીમાં તેને ચાતક કહે છે, જે એક આકર્ષક કાળું અને સફેદ પક્ષી છે – જે ઘણીવાર તેની પાંખો પર સફેદ રંગના ઝબકારા સાથે આકાશમાં ઉડતું જોવા મળે છે.
જ્યારે આકાશ ચોમાસાના વાદળોથી ભરેલું હોય છે, ત્યારે આ પક્ષી પોતાની પૂર્વ આફ્રિકાથી ભારત સુધીની સફર કરે છે, ભારતખંડ તરફની વરસાદી હવાઓનો પીછો કરે છે. તેના આગમન સાથે શરૂ થાય છે વાર્તાઓ, પ્રાચીન ગીતો યાદ આવે છે, અને સૂકી ભૂમિ વરસાદના વચનની રાહ જુએ છે.
[ Pied Cuckoo (Clamator jacobinus)]તેના માથા પર સુંદર કાળી ઉભી ચોટલી, ઉપરથી કાળું અને નીચે સફેદ જાણે કોઈ ફિરંગીએ સુંદર કાળો સૂટ પહેર્યો હોય તેવું લાગે જેનાથી તેને તેનું બીજું અંગ્રેજી નામ “Jackobin cuckoo” મળે છે! આવી લાક્ષણિકતાઓ પર થી પાઇડ કુકૂને ઓળખવું ખૂબ સહેલું છે. પાંદડાઓમાં અદૃશ્ય થઈ જતા ઘણા પક્ષીઓથી વિપરીત, આ કુકૂ હિંમતભેર પોતાને જાહેર કરતી હોય તેવું લાગે છે, ઘણીવાર ખુલ્લી ડાળીઓ પર બેસે છે, પ્રજનન ઋતુ દરમિયાન મોટેથી બૂમ પાડે છે. “પિયુ-પિયુ” ના સૂર ગ્રામ્ય વિસ્તારોમાં ગુંજતા હોય છે, ક્યારેક એક બીજા પાછળ ઉગ્રતાથી ઉડી ને પીછો પણ કરે છે, આ વર્તન પ્રણય અને પ્રાદેશિક વિવાદો બંને સાથે જોડાયેલું છે.
ભવ્ય દેખાતા હોવા છતાં, ચાતક પોતાનો માળો પોતે બનાવતા નથી કે પોતાના બચ્ચાંને ઉછેરતા નથી. તેના પિતરાઇ ભાઇ જેવા, એશિયન કોયલ – જે અજાણ કાગડાના માળામાં ઇંડા મૂકવા માટે પ્રખ્યાત છે – ની જેમ પાઇડ કુકૂ પણ એક બ્રૂડ પેરાસાઇટ છે. આનો અર્થ એ છે કે તે અન્ય પક્ષીઓના માળામાં તેના ઇંડા મૂકે છે, ખાસ કરીને જંગલી લાલેડા (Jungle Babbler), જે ચાતકના બચ્ચાંને પોતાના બચ્ચા તરીકે ઉછેરે છે. ઘણા લોકો કોયલ-કાગડાના સંબંધમાંથી આ વર્તન ઓળખે છે, આ વર્તન ખાલી કોયલ માટે સીમિત નથી, પરંતુ કુકૂ પરિવારના પક્ષીઓની લાક્ષણિકતા છે.
પર્યાવરણીય દ્રષ્ટિકોણથી, બ્રૂડ પરોપજીવીતા કુકૂને બચ્ચાની સંભાળ રાખવામાં ઓછો સમય બગડે છે અને તે સમય ખોરાકની શોધ, માદાને આકર્ષવા ગીત ગાવા અને મુક્તપણે સ્થળાંતર કરવામાં વાપરી શકે છે.ભલે આ વર્તન કપટ જેવું લાગે છે, પરંતુ આ વર્તન હજારો વર્ષોથી વિકસિત થયું છે અને સંતુલન જાળવવામાં સૂક્ષ્મ ભૂમિકા ભજવે છે. બેબલર્સ જેવા યજમાન ઘણીવાર ફક્ત એક જ ચાતકના બચ્ચાને ઉછેરે છે અને આમ કરવાથી, તેઓ માળાના સંરક્ષણને સુધારવા માટે પસંદગીયુક્ત દબાણનો અનુભવ કરે છે. પરોપજીવી અને યજમાન વચ્ચેની આ સહઉત્ક્રાંતિકારી શસ્ત્ર સ્પર્ધા કુદરતના જટિલ નિયંત્રણ અને સંતુલનમાં ફાળો આપે છે.
[Pied cuckoo (ચાતક) કેટરપિલર (ઇયળ)ના કિલ સાથે]ભારતમાં તેના ટૂંકા રોકાણ દરમિયાન, ચાતક ઇકોસિસ્ટમમાં સક્રિય ભૂમિકા ભજવે છે. તે મુખ્યત્વે જંતુઓ – ખાસ કરીને રુવાંટીવાળી ઇયળો અને તીડ – ખાય છે જેમાંના ઘણા ખેતીમાં નડતરરૂપ છે. આને ખાઈને, કુકૂ ખેડૂતો માટે કુદરતી સાથી બને છે, જે ચોમાસામાં વનસ્પતિ અને જંતુઓના વિકાસ સાથે થતા રોગચાળાને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.
તમે તેને ઝાડીઓ, ખેતરો, બગીચાઓ અને જંગલની ધાર પર જોશો તેવી શક્યતા છે – એવી જગ્યાઓ જ્યાં તેના યજમાન પક્ષીઓ પણ આરામથી રહે છે અને જંતુઓનું જીવન પુષ્કળ પ્રમાણમાં હોય છે. તે ઇલેક્ટ્રિક વાયર, ઝાડની ટોચ અથવા, પર્ણ વિનાની ડાળીઓ જેવી ખુલ્લી જગ્યાઓ પર બેસવું પસંદ કરે છે, જ્યાં તેઓ માદાને આકર્ષવા ગીત ગાઈ શકે છે, ખોરાક શોધી શકે છે અથવા નજીકના માળાઓ પર નજર પણ રાખી શકે છે.
ચાતકની સૌથી રસપ્રદ વાત એનો ચોમાસાના પવન સાથેનો સંબંધ છે. જ્યારે દક્ષિણ ભારતમાં આ પક્ષીની વસ્તી આખું વર્ષ રહે છે, ત્યારે ઉત્તર અને ઉત્તરપશ્ચિમ ભારતમાં (ગુજરાત સહિત) જોવા મળતી વસ્તી – યાયાવર છે! આ પક્ષીઓ સબ-સહારન આફ્રિકાથી મુસાફરી કરે છે, દક્ષિણપશ્ચિમ સમુદ્ર પાર કરી ચોમાસા પહેલા આવે છે. તેમનું આગમન એટલું યોગ્ય સમયે થાય છે કે, સદીઓથી, લોકો માને છે કે ચાતક તેની પાંખો પર વરસાદ લાવે છે અથવા તો ખાલી વરસાદનું જ પાણી પીવે છે! જે દેખીતી રીતે ગેરમાન્યતા છે!
આ વાત ખાલી “વરસાદ સમયે જ આ પક્ષીનું આગમન થાય છે” તેવું વ્યક્ત કરે છે!
આ ટ્રાન્સકોન્ટિનેન્ટલ સ્થળાંતર,જે ટેરેસ્ટ્રીઅલ પક્ષીઓમાં દુર્લભ છે, તેનો હજુ પણ સેટેલાઇટ ટેગિંગ અને રિંગિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ જોડાણ સ્પષ્ટ છે: પક્ષી ચોમાસાના માર્ગને અનુસરે છે, જ્યારે જમીન લીલી થવા લાગે છે અને યજમાન પક્ષીઓ પ્રજનન શરૂ કરે છે ત્યારે પહોંચે છે – એક સાંકડી બારી જે તેની પ્રજનન સ્ટ્રેટેજી સાથે સંપૂર્ણ રીતે સંરેખિત થાય છે.
ચાતક: એક કાવ્યાત્મક પ્રતિમૂર્તિ
ભારતની સાંસ્કૃતિમાં ચાતક એ માત્ર પંખી નથી — એ એક પ્રતીક છે. ઉનાળાની તરસ અને વરસાદની તલબ માટે ચાતકનું આકાશ તરફ જોયા કરવું આપણા અનેક ગુજરાતી અને હિન્દી કાવ્યસંગ્રહોમાં જોવા મળે છે.
સંત કવિઓએ તેને અખૂટ તપશ્ચર્યા અને અડગ આશાનું રૂપ આપ્યું છે — એક એવું પંખી જે ધરતીના પાણીને નકારીને માત્ર વીજવૃષ્ટિની બૂંદ માટે રાહ જુએ છે.
સંસ્કૃત માં સરસ રીતે લખાયું છે કે:
रे रे चातक सावधान मनसा मित्र क्षणं श्रूयाताम् अंभोदा बहवो वसंती गगने सर्वेपि नैतादृशा: केचिद वृष्टिभिराद्रयन्ति बसुधां, गर्जन्ति केचिदवृथा यं-यं पश्यति तस्य तस्य पुरतो मा बुहि दीनं वच:
[અરે ભલા ચાતક! જરા ખ્યાલ તો કર ! આભમાં અનેક પ્રકાર ના વાદળ હોય છે. એમાંથી કેટલાક અનરાધાર વરસે છે અને કેટલાક ઠાલાં ગરજે છે. ત્યારે એમાં ઓળખ્યા વિના જ્યાં ત્યાં “પિયુ પિયુ” નાં વેણ શા માટે ઉચ્ચાર્યા કરે છે?]
અવારનવાર પ્રશ્ન થાય — એવી સુંદર રચનાઓ હવે ક્યાં ગઈ? આજે ચાતક જેવા પ્રતિકાત્મક પંખીઓનું ઉલ્લેખ હવે માત્ર સાહિત્યિક ઇતિહાસ માં જ કેમ છે?
એ સમયે, માણસ પાસે મનોરંજન અને સમય પસાર કરવાના વિકલ્પો ખૂબ જ મર્યાદિત હતા. કાં તો તમે કોઈ કલા શીખો (લેખન, વાંચન, ગાયન, નૃત્ય વગેરે) અથવા તો કુદરત સાથે સમય પસાર કરો(ડુંગરા ચડો, વાડીએ બેસો, નદીએ નહાવા જાઓ વગેરે)— એ જ બે રસ્તા હતા.
જેના કારણે તે સમયના સાહિત્યમાં, સંગીતમાં અને ચિત્રકળામાં મોટા ભાગે કુદરતનાં નમૂનાઓ, ઋતુઓ, પશુ–પક્ષીઓ, વૃક્ષો વગેરે જોવા મળે છે.
આજના સમયમાં,“ચીલ–ઝડપે” બદલાતી દુનિયાએ કુદરત સાથેનો સંબંધ નબળો કરી નાખ્યો છે, પહેલા તો આવી વાર્તાઓ અને કવિતાઓ ઘરડા વ્યક્તિઓ પોતાના પુત્ર/ પૌત્રને કરતાં, પણ હવે તે આચરણ કરવામાં આવતું નથી અને કુદરતની સાથે–સાથે આપણા સાહિત્યિક વારસા પર પણ વિલુપ્ત થવાનું જોખમ છે!
ચાલો, ચાતકને માત્ર કાવ્યમાં નહીં, પણ આપણી નજરે જોવાનું શીખીએ! તેનો વ્યવહાર વિષે જાણીએ તેને બચાવીએ, અને તેને બચાવવા માટે તેના રહેઠાણ, ખોરાક, યજમાન પક્ષીઓ (હોસ્ટ પક્ષીઓ, જેના માળામાં ચાતક ઈંડા મૂકે છે)ને પણ બચાવીએ!
એક ડબીમાં કપૂર અને હીંગ બન્નેને ભેળાં મૂકવામાં આવ્યાં, એક નહીં, પૂરા પાંચ વરસ સુધી ભેગાં રાખ્યાં ! પાંચ વરસ પછી પણ કપૂરની અસર હીંગને ન થઈ, અને હીંગની અસર કપૂરને ન થઈ ! કપૂર કપૂર જ રહ્યું અને હીંગ હીંગ જ રહી ! એકલસુડી માનસિકતાનો આ થયો ઉત્તમ નમૂનો !
એ જ રીતે કપૂર હીંગની જેમ એક પ્યાલામાં દૂધ અને સાકર ભેળાં કરો ! પણ આમનું સાથે રહેવાનું પરિણામ એ આવશે કે એકબીજાના સહકારથી દૂધ દૂધ મટી જશે અને સાકર સાકર મટી જશે ! દૂધ અને સાકર એકબીજામાં એવા એકાકાર બની જઈને બન્નેના ભેળા સ્વાદવાળું મીઠું ને મધુર પીણું બની જશે ! આ દૂધ અને સાકર બન્નેના પરસ્પરના સહકારનું, પરસ્પરના સ્વાર્પણનું જ પરિણામ ગણાયને મિત્રો !
આમ આપણે ખેડૂતો એકબીજાની સાથે હિંગ અને કપૂરની જેમ રહીએ તો છીએ ભેળા ભેળા જ ! પણ એક બીજાની નીકટ આવતા નથી, એક બીજા સાથે મનથી- દિલથી હળીભળી શકતા નથી. હા, ભળવાનો દેખાવ જરૂર કરીએ છીએ-સ્નેહમિલનો યોજાય છે, જમણવારો થાય છે, સભાઓ અને સંમેલનો ગોઠવાય છે, અરે, ઉત્સવો ઉજવાય છે. પણ એ પૂર્ણ થયે પછી પાછા સૌ થઈ જઈએ છીએ હતા એવાને એવા એકલહૂડા-સાવ નોખા ને નોખા !
બીજા ધંધાર્થીઓ ખેડૂતોની માનસિકતા બાબતે ટીકા કરતા હોય છે. એ લોકોને એવું કહેતા મેં અનેકવાર કાનોકાન સાંભળ્યા છે કે “જો ચીભડાંની ગાંહડી સરખી રીતે બંધાય તો ખેડૂતોનું સંગઠન સધાય !” ગાંસડીમાંથી કેટલાક ચીભડાં બહાર વેરાયા વિના ન રહે ! એમનો કહેવાનો ભાવાર્થ બસ એવો જ છે કે ખેડૂતોમાં એકબીજાને સહકાર આપવાની ભાવનાની ઊણપ છે. શું એમની આ વાત સાચી છે ? જો “હા” હોય તો હવે આવું ચાલવાનું નથી.
“વિના સહકાર- નહીં ઉદ્ધાર” એ કહેવત ખરેખર સાચી છે. કોઇ એકલો સર્વસંપૂર્ણ નથી. એક વાર્તા છે ને કે એક હતો આંધળો અને એક હતો લંગડો ! બન્નેને નદી પાર કરવી હતી. નદી બહુ ઊંડી ન હતી, પાણી ધીમે ધીમે વહી રહ્યું હતું. આંધળો જોઇ શકતો નહોતો અને લંગડો ઊભો ઊભો ચાલી શકતો નહોતો. પોતપોતાની રીતે નદીપાર કરવા બન્ને અશક્ત હતા. હવે શું કરવું ? એવામાં આંધળાને ઉપાય સુજ્યો, લંગડાને કહે, “ મિત્ર ! આપણે એકલા એકલા તો સામે કાંઠે જઈ શકવાના નથી ? પણ આપણે જો એકબીજાની મદદમાં રહીશુ તો જરૂર નદી પાર કરી શકશું. તું ચાલી શકતો નથી, તો મારી પીઠ પર બેસીજા. તું તો બધું જોઇ શકે છે, એટલે તું મને રસ્તો બતાવજે અને મારા બન્ને પગ સલામત છે એટલે હું નદીના પાણીમાં ચાલતો રહીશ, અને એ રીતે આપણે બન્ને નદી પાર કરી જશું.” અને એ રીતે એકબીજાના સહકારથી આંધળો અને લંગડો બન્ને નદી પાર કરી ગયા.
એકલા હાથથી તો તાળી પણ નથી પાડી શકાતી તો બીજાં મહત્વના કાર્યો તો શી રીતે થઈ શકે કહો !
હું માલપરાની લોકશાળામાં અભ્યાસ કરતો હતો તે દિવસોમાં અમે વિદ્યાર્થીઓ એક ટુચકો ભજવતા. એક સાધુ મહાત્માને બકરીનું નાનકડું બચ્ચું ખંભે ઉપાડી ચાલ્યા આવતા જોઇ થોડે દૂર રસ્તાને કાંઠે ઊભેલા ત્રણ ઠગ લોકોની ડાઢ ડળકી. અને ત્રણે એ અંદરો અંદર મસલત કરી વાળી કે મહાત્મા પાસેથી બકરીનું બચ્ચું પડાવી લીધે પાર છે ! ત્રણે જણ થોડા થોડા અંતરે ઊભા રહી ગયા અને ક્યારે મહાત્મા નજીક આવે એની રાહ જોવા લાગ્યા. જેવા મહાત્મા નજીક આવ્યા કે પ્રથમ ઊભેલા ઠગે કહ્યું, “ અરે મહાત્મા ! આ કુતરીના બચ્ચાને ખભે ઉપાડી ક્યાં લઈ જાઓ છો ?” સાધુ મહાત્મા કહે, “કૂતરીનું બચ્ચું નથી, બકરીનું છે. મને એક માલધારીએ આશ્રમે લઈ જઈ, મોટું કરી, દૂધ પીવામાં ખપમાં આવે એ માટે દાનમાં આપ્યું છે.” કહી સાધુ તો ચાલવા માંડ્યા.
થોડે દૂર ગયા ત્યાં બીજો ઠગ મળ્યો. તેણે કહ્યું, “અરે મહાત્મા આ કૂતરું કેમ ખભે ચડાવ્યું છે ? શું હવે આશ્રમમાં કૂતરાં પાળવાનો ધંધો શરુ કર્યો છે ?” મહાત્માને થયું, “કેમ બીજોયે આમ કહે છે ? લાવ બરાબર જોઇ લઉં” કહી બચ્ચાં સામું આંખ ફેરવી જોઇ જોયું. અને મનોમન બોલ્યા, “કાંઇ, કૂતરું નથી લાગતું, છે તો બકરું જ !“ વળી આગળ ચાલવા માંડે છે ત્યા થોડે દૂર ગયા ત્યાં ત્રીજો ઠગ મળી ગયો. એ કહે “અરે અરે. સાધુ મહાત્મા ! આ કૂતરાને ખભે ઉચકીને ક્યાં લઈ જાઓ છો ?” ત્રણેય જણની એક સરખી વાત સાંભળી મહાત્માના મનમા ઠસી ગયું કે “જો બધા જ કહે છે કે મારા ખભે જે બચ્ચું છે તે કૂતરીનું છે. તો સાચેસાચ એ કૂતરીનું જ હોવું જોઇએ” એવું વિચારી ભફ કરતું બચ્ચું નીચે ફેંકી પોતે હાલતા થઈ ગયા ! અને પછી પેલા ત્રણેય ભેળા થઈ બકરીના એ બચ્ચાને ઉપાડી ગયા. આમ કોઇને છેતરી પાડવા જેવા કામમાં લાગેલી ટોળીએ પણ એકબીજાનો સહકાર મેળવવો પડતો હોય તો સારા કાર્યોમાં તો કેવાય રૂડાં પરિઁણામો મેળવી શકાતા હોય છે.
ઝીણા જીવો અને પશુ પક્ષીઓમાં પણ સહકારી ભાવના :
કીડી-મકોડા જેવા ઝીણા જીવડાંને એકલ દોકલ રૂપમાં જમીન પર ચાલતું આપણે ક્યારેય ભાળશું નહીં. કીડી-મકોડીને ખપતા કોઇ ખાદ્ય પદાર્થની ગંધ તેનું નાક ઘણે દૂરથી મેળવી લેતું હોય છે. અને કીડી એની પાસે પહોંચ્યા ભેળી તે પદાર્થને ખાવા નથી લાગી જતી. તે ચીજને અડકી-તરત જ બીજી કીડીઓને સંદેશો દેવા દોડાદોડી કરવા માંડે છે અને જોતજોતામાં અસંખ્ય કીડીઓ એ પદાર્થ પાસે પહોંચી જઈ, સૌ સાથે મળી તેને યોગ્ય જગ્યાએ ખસેડવાની મહેનતમાં લાગી જાય છે. તમે માનશો ? કીડી પોતાના વજનથી પચાસગણું વધારે વજન ઢસડી જવાની શક્તિ ધરાવતી હોય છે.
ખેડૂતોની વાડીઓની ઊભી મોલાતોને ખાઈ-ખુંદી બગાડી નાખવાના ઇરાદે દિવસ-રાત ભમતાં રાની રોઝડાં, ભુંડડાં-હરણાં અને રેઢિયાર ખુંટડાઓ પણ સહકારી મંડળી રચીને જ વાડી પર ત્રાટકતા આપણે કયાં નથી જોઇ રહ્યા ? એને પણ એવી ભાન હોય છે કે એકલદોકલ રીતે હલ્લો કરવામાં એટલી કામયાબી નથી મળતી જેટલી સમૂહમાં રહેવાથી મળે છે, બોલો !
અરે, આપણા આંગણ-શેરીઓમાં કે વાડી-ખેતરોમાં ભમતા-ફરતા પંખીડાંની હલચલ પર ક્યારેક નિરાંતવા નજર કરશું તો ભાળશું જ કે કબુતરાં, ચકલાં, કાબરો, વૈયાં, લેલાં કે કાગડા, બગલાં, પોપટ-સૂડા, જેવા પક્ષીઓ પણ સમૂહમાં એકબીજાના સહકારથી ભેળા ભેળા જ ટોળાબંધ જ રહેતાં અને ઉડતાં ભાળીએ છીએ. અરે સુગરી તેનો માળો પણ એકલ દોકલ રીતે નહીં, જે ઝાડ પર બનાવે ત્યાં ક્યારેક નજર કરજો, ત્રણ ચારથી માંડી વીસ-પચીસ જેટલી સંખ્યામાં જૂલતા હીંચકાની આખી વસાહત ઊભી કરેલી ભળાશે !
લાઇનબદ્ધ રીતે આકાશે ઉડતા કુંજ પક્ષીઓમાં રીતસર એવી સમજણ હોય છે કે સૌએ લાઇનબદ્ધ રીતે જ ઉડવું. ઉડવામાં પવનનો અવરોધ ખુબ જ આવતો હોવાથી જુવાન અને શક્તિશાળી હોય તેવા 2-5 પક્ષીઓ સૌથી મોખરે, પછી વચ્ચે ઘરડાં-બુઢાં-બીમાર અને નાની વયના, અને છેલ્લે પાછા સશક્ત હોય તેવાએ રહેવાનું હોય છે. આવી વ્યવસ્થાને ચૂસ્તપણે સૌએ વળગી રહેવાનું હોય છે અને એટલે જ સૌ સલામતરીતે ધાર્યો પ્રવાસ વિના વિઘ્ને કરી શકે છે, તેવી સમજણ પ્રકૃતિએ પંખીઓમાં પણ આપી છે, અને એ પ્રમાણે એનો અમલ એ સમાજ બહુ ચીવટ લઈને કરે પણ છે.
અમે પતિપત્ની બન્ને ઇઝ્રાઇલ ખેતી જોવા-સમજવા અને વિશ્વકૃષિમેળો માણવા ૨૦૧૫માં ત્યાં ગયાં હતાં. ત્યાંથી આપણ-ખેડૂતોને ઉપયોગી ઘણી બધી બાબતો જાણવા-સમજવા મળી. તે ઉપરાંત ત્યાં ૫૦ -૬૦ અને ૧૦૦ -૧૨૫ ખેડૂત કુટુંબો સહકારી ભાવનાથી ભેળા ભેળા જ રહેતા હોય, બધાં જ એક રસોડે જમતાં હોય, બધાનાં કપડાં એક લોંડ્રીમાં ધોવાતાં હોય, બધાંના બાળકો એક નિશાળમાં ભણતાં હોય, બધાને એક સરખા કલાક કામ કરવાનું હોય, પછી કામ ભલે પોતપોતાની આવડત પ્રમાણે સૌએ કરવાનું હોય પણ વેતન દરેકને સરખું મળતું હોય, અને વરસ દા’ડે ખેતી અને અન્ય ધંધામાંથી માંથી મળતો નફો પણ સૌને સરખે હિસ્સે મળતો હોય એવા કેટલાક “કિબુત્સ” ની અમે મુલાકાત લીધી હતી. એકબીજાના સહકાર સાથે રહેવાના કેવા કેવા લાભો એ લોકો મેળવી રહ્યા છે તેની વાતો જાણી અમે તો દંગ રહી ગયા હતા.
આપણે એકબીજાને સહકાર દાખવતા થઈ જઈએ તો :
આપણામાં કહેવત છે કે “પહેલો સગો પાડોશી” આપણે રહ્યા ખેડૂત. વ્યવસાય હોય ખેતીનો. આપણા ખેતર-વાડી ફરતી એ કોઇને કોઇની જમીન તો આવેલી જ હોય ! એટલે એ જમીનવાળા થયા આપણા શેઢાપાડોશી ! એમની સાથે સહકારભર્યું વર્તન હોય તો આપણી ઘણી ચિંતા ઓછી થઈ જાય, જેમકે કોઇ કારણસર આપણે વાડીથી દૂર જવાનું થાય ત્યારે તેઓને ભલામણ કરી દઈએ કે “ભૈલા, ધ્યાન રાખજે વાડીનું-ઘડીક” તો કોઇ રેઢિયાર ઢોરું-હરણાં-રોઝડાં કે બાંગરિયા ખુંટિયા તો શું કોઇ અસાગરા માણસો સુધાંના દેન નથી કે રેઢી વાડીમાં ઘુસી નુકશાન કરી શકે !
અરે, વાડી લઈને બેઠા હોઇએ એટલે કામોય કેટલાય પ્રકારના હોય અને પાર વિનાના સાધનોનોય ખપ પડતો હોય છે. કોશ-કોદાળી-પાવડો-તગારાં-ત્રિકમ-ચીપિયો, ખંપાળી-કુહાડો-ધુંસરી-પાના-ચલાખા-પછેડી-બુંગણ-કે દાતરડી-જેવા કોઇને કોઇ સાધનની ઓચિંતાની જરૂર ઊભી થાય કે ક્યારેક વળી રેંકડામાં પંચર પડી જવું કે દવા છાંટવાનો પંપ બગડી જવો,કે બળદ લૂલો થઈ જવા જેવા સાધન સરંજામના ખોટકા-ભાટકા વખતે શેઢાપાડોશી જ ભેરે આવે જો આપણે એની સાથે સહકારભર્યું વર્તન રાખ્યું હોય તો !
ખેતી કામમાં અકસ્માતો ઓછા નથી ઊભા થતા. ક્યારેક કોઇ બાંગરિયું છોકરું કાંટાળી વાડમાં મધ પાડવા ગયું, ને વાડ સળગી તો ? ખળામાં બાજરાના ડુંડા તપાવવા પહોળા કરેલા હોય અને ઓચિંતાનો વરસાદ હરુડવા માંડે તો ? વાડીના ગાય-ભેંશને પ્રસુતિની પીડા ઉપડે અને છૂટકારો ન થતા ડૉક્ટરને તેડાવ્યા પછી નિદાન કરે કે “બચ્ચું આડું છે, જાનવરને સુવરાવી ગોળ ગોળ દોડવવું પડશે એવું કહે તો ? આવા અણધાર્યા આકસ્મિક પ્રસંગે એકલા માણસ શું કરી શકીએ કહો ! પાડોશી સાથે સહકારભર્યું વર્તન હોય તો સાદ કર્યા ભેળા તેઓના સાતેય કામ પડતા કરી આપણી મદદમાં હાજર થઈ જાય ને ?
જાહેર સહકારી ભાવનાની વાત કરીએ તો આજે ગામડે ગામડે જે સહકારી મંડળીઓ કાર્યરત છે તે સહકારી ભાવનાનો ઉત્તમ નમૂનો છે. આણંદ અને મહેસાણા વિસ્તારમાં દૂધ સહકારી મંડળીઓ અને એના થકી ચાલતી અમૂલ જેવી દૂધ ડેરીઓ પણ સહકારી ભાવનાના ઉત્તમ અને પ્રેરણાદાયી નમૂનાઓ છે. પણ માત્ર “દૂધ” એક ખેડૂતોની પેદાશ નથી. દૂધ ઉપરાંત પણ અનાજ, કઠોળ, શાકભાજી, ફળો, મસાલા, તેલીબિયાં અને રૂ-રેસાના પાકો પણ ખેડૂતો પકાવીએ છીએ. તે બધાનું વેચાણ પણ એકલ દોકલ ધોરણે જે થઈ રહ્યું છે તેને બદલે સહકારી રીતે વિવિધ સંગઠનો શરૂ કરાયા હોય તો વધુ સારા ભાવો જરૂરથી મળી શકે.
અને એવું જ ખેતીમાં વપરાતા ખાતર-બિયારણ-પાકરક્ષક દવાઓ અને નાના મોટા ખેત ઓજારોની ખરીદીમાં પણ એકલદોકલ રીતે ખરીદ કરવામાં બહુ માર ખમવાનો થાય છે. અમે “કૃષિ વિકાસ મંડળ” ના સભ્યોએ ભેગા મળી, થોડી મૂડી ઊભી કરી એક “અપના કિસાન મોલ” શરૂ કર્યો, અને જથ્થાબંધ રીતે જણસોની ખરીદી કરી બજાર કરતા ઘણા બધા ઓછા ભાવે ખેડૂતોની છૂટક જરૂરિયાતો પૂરી પાડી શકાય છે તેવો સફળ અનુભવ અમોને રહ્યો છે.
એવું જ કેટલીક મૂલ્યવર્ધિત પ્રક્રિયાઓ દરેક ખેડૂત માટે વ્યક્તિગત રીતે કરવી સંભવ નથી. એમાં જોઇતું મૂડી અને સમયનું રોકાણ જો સહકારી ક્ષેત્રે જવાય તો જ ઊભું કરી શકાય તેમ છે. દુનિયાના તમામ અર્થકારણોમાં સહકારી પદ્ધતિ જ સર્વશ્રેષ્ઠ પૂરવાર થઈ છે. પરંતુ તે માટે આપણે સૌએ સંકુચિત કુટુંબભાવનાની જગ્યાએ સામૂહિક જીવનભાવના લાવવી જરૂરી થઈ પડે છે.
મિત્રો ! ચારેકોર નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે ચાલુ નોકરિયાતોના સંગઠન હોય, નિવૃત નોકરિયાતોના સંગઠન હોય, વેપારીઓના સંગઠન હોય, ઉદ્યોગકારોના, ટ્રક માલિકોના, રીક્ષાવાળાના, અરે ! દાઢી-બાલ કરનારા અને ઢોલ વગાડનારાના પણ જો સંગઠનો હોય અને એ લોકો એ સંગઠનના જોરે પોતાનો અવાજ સરકારમાં રજુ કરી, [એ અવાજ માત્ર એક વ્યક્તિનો નહીં પણ એક સહકારી સમાજ-સંગઠનનો અવાજ હોઇ, સરકારે પણ સાંભળવો પડે] ધાર્યા કાર્યો કરાવી શકતા હોય તો પછી જ્ઞાતિ-જાતિની વાત છોડો-જે ખેતી કરે છે તે બધા ખેડૂતો ગણાય. ગણતરી કરીએ તો કેટલી વિશાળ ખેડૂતોની સંખ્યા થાય ? અને છતાં ખેડૂતોનો અવાજ સરકારના કાને ન ધરાતો હોય તો કારણ બસ આ એક જ છે કે આપણા ખેડૂત સમાજમાં સહકારની ભાવના ખૂટે છે, અને ખેતીકરનાર વર્ગનું મજબુત સંગઠન નથી.
મનુભાઇ પંચોળી-દર્શક તો એટલે સુધી કહેતા કે વાત સાવ સાચી હોવા છતાં તેનું ધાર્યું પરિણામ લાવવું હોય તો “સત્યને પણ સંગઠિત થવું પડતું હોય છે.” સાવ સાચી વાત કહી છે એમણે. આપણે ત્યાં જિલ્લા અને રાજ્ય લેવલે ખેડૂતોનું એક બિપિનભાઇ દેસાઈ વાળું “ખેડૂત સમાજ” નામક સંગઠન કાર્યરત છે, એના દ્વારા ખેડૂતોના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટેના સફળ પ્રયત્નો પણ થયા છે, છતાં હોવો જોઇએ એટલો ટેકો ખેડૂતો તરફથી મળી રહ્યો નથી એ પણ એટલી જ સાચી વાત છે, જે ખરેખર ખેડૂતોની નબળાઇ જ ગણાય. એ બાબતે જાગૃત થઈ, આ નબળાઇ આપણે જેટલી વહેલી ખંખેરશું એટલા વહેલા બે પાંદડે થઈશું.
‘વિચાર કરતાં વિધિ હસે છે,
ધન દાટતા, ધરા હસે છે,
શસ્ત્ર સજો, ત્યાં કાળ હસે છે,
મૂરખને જગ આખું હસે છે,
મૂરખ મનમાં સૌને હસે છે’
(જૂની રંગભુમિનું ગીત)
થોડા દિવસો પહેલા ક્યાંક વાંચવામાં આવ્યું કે માત્ર માણસ જ નહિ કેટલાક પ્રાણીઓ પણ હસે છે. ઉંદર, ડોલ્ફિન, ઘુવડ કૂતરાં અને ઘોડા હસે છે, પરંતુ બિલાડી હસતી નથી. પ્રાણીશાસ્ત્રીઓએ ‘હસતાં’ અને ‘નહિ હસતાં’ પ્રાણીઓનું વર્ગીકરણ કર્યું છે કે નહિ તેની અમને જાણ થઈ નથી, પરંતુ પ્રાણીઓનાં ખુશ થવાને અને હસવાને સબંધ હોય તેમ લાગે છે. ગધેડાં ખુશ થાય છે ત્યારે ભૂંકે છે અને તેમનાં ધ્વનિંમાં માત્ર સ્વર જ હોવા છતાં વ્યંજન તરીકે ‘ચ” ને ઘૂસાડીને “‘હોંચી હોંચી’ એવું જ સાંભળવું’ એમ કોઇ આદી શ્રોતાએ ઠરાવ્યું હોય તેમ લાગે છે. જે કાંઇ હોય પરંતુ ગધેડાની હસવાની આ રીત હશે એમ માની શકાય.
ગધેડાને વૈશાખનંદન કહેવા પાછળ તે વૈશાખ મહિનામાં વિશેષ ભૂંકે છે તેવું કારણ આપવામાં આવે છે. પરંતુ તે વૈશાખ મહિનામાં જ કેમ વધારે ભૂંકે છે તેનું કારણ જાણ્યું નથી. વિચાર કરતા લાગે છે કે વૈશાખ મહિનામાં લગ્નગાળો હોય છે અને લગ્ન કરવા જતા મૂરતિયાઓને જોઈને ગધેડાને હસવું આવતું હશે. તેઓ મનોમન વરરાજાઓને કહેતા હશે, “બેટાઓ આજે ભલે ખુશ થાઓ, પરંતુ પછી તો તમારા નસીબે અમારી જેમ ભાર વહન કરવાનો જ આવશે”!
હસવાની બાબતે ગધેડાપુરાણ જરા લંબાઈ ગયું. આપણે વાત તો કરવી છે માણસનાં હસવાની. માણસ હસે તો છે જ પરંતુ તે એક જ પ્રકારે હસતા નથી. પ્રકારપ્રેમી વિદ્વાનોએ જેમ ૬૪ પ્રકારની કળાઓ, માતાજીના ભક્તોએ જેમ
૬૪ પ્રકારની જોગણીઓની વાત કરી છે તેમ એક હાસ્ય લેખકે માણસનાં હસવાંના પણ
૬૪ પ્રકારો પાડ્યા છે. હાસ્યના આ ચોસઠેચોસઠ કળાના નામ વર્ણવવાનો ઉપક્રમ રાખીને વાચકોને ત્રાસ આપવા માગતો નથી આથી લૂચ્ચું હાસ્ય, ખંધુ હાસ્ય, અટહાસ્ય વગેરે નમૂના પૂરતા નામો લખ્યાં છે.
જાણકારો કહે છે કે હસવું એ માણસની મૂળભૂત જરૂરિયાત છે. પ્રાચીન કાળથી મનુષ્યની આ જરૂરિયાત પૂરી કરવાના પ્રયાસો થતા રહ્યા છે. આપણાં પ્રાચીન નાટકોમાં રાજાને હસાવવા માટે ખાસ વિદુષક નામનો હોદ્દો રાખવામાં આવતો. તે વખતનાં બંધારણમાં હોદ્દાની રૂએ વિદુષકને રાજાના અંગત મિત્ર તરીકે અને સલાહકારની ફરજ પણ બજાવવાની રહેતી. પરંતુ લોકશાહીમાં પ્રજા એ જ રાજા હોવાથી રાજકીય પક્ષો પ્રજાને હસાવવા માટે વિદુષક તરીકે કેટલાક પ્રવક્તાઓની પસંદગી કરતા હોય છે.
જૂની રંગભૂમિમાં નાટકની ગંભીરતાથી ઘેરાયેલા પ્રેક્ષકોને મુક્તિ અપાવવા મુખ્ય નાટકને સમાંતર એક પ્રહસન રાખવામાં આવતું જેથી પ્રેક્ષકો મુક્તપણે હસી શકે. એ જ રીતે વાચકો માથેથી ગંભીર વાચનનો ભાર ઉતારવા માટે સાહિત્યમાં પણ હાસ્ય લેખોનો એક વિભાગ રાખવામાં આવતો હોય છે. રસાયણશાસ્ત્રમાં નાઈટ્રસ ઓક્સાઈડ નામના એક વાયુને લાફિંગ ગેસ એવું નામ આપવામાં આવ્યું છે. કહેવાય છે કે આ વાયુનો ઉપયોગ ડીપ્રેસનના દરદીઓની સારવાર માટે કરવામાં આવે છે.
હંમેશા ખલનાયકની ભૂમિકા ભજવેલી હોવાથી અભિનેતા પ્રાણને હાસ્યનું મૂલ્ય કેટલું તેની ખબર ન હતી. આથી તે ફિલ્મ જંજીરના એક ગીતમાં અમિતાબ બચ્ચનને “તેરી હસીકી કિમત ક્યા હૈ? બતા દે તું” એવો સવાલ કરે છે!
હાઈસ્કુલમાં અમારે કાકાસાહેબ કાલેલકરનો ‘હકીમસાહેબ’ નામનો એક પાઠ ભણવામાં આવતો. કાકાસાહેબ બાળક દત્તુ હતા ત્યારે એક વખત બીમાર પડેલા. તેમની સારવાર એક હકીમ સાહેબ કરતા. આ હકીમસાહેબ તેમને દવાની પડીકીઓ તો આપતા ઉપરાંત રમૂજી વાતો પણ એવી કરતા કે બાળક દત્તુ હસી પડતો. સાજા થયા પછી કાકાસાહેબે નોંધ્યું છે કે તેઓ નક્કી કરી શક્યા ન હતા કે પોતે હકીમસાહેબની દવાને કારણે બીમારીમાંથી મુક્ત થયા કે તેમની વાતોથી!
નિષ્ણાતોએ હાસ્યનો આરોગ્ય સાથેનો સબંધ વૈજ્ઞાનિક રીતે સાબિત કરવા પ્રયાસો કર્યા છે. તેમના મત મુજબ માણસની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે પ્રજીવક સી યોગ્ય પ્રમાણમાં હોવું જોઇએ. ખોરાક કે દવા તરીકે પ્રજીવક સી લેવાને બદલે માણસ ખુશ થઈને હસે તો પ્રજીવક સી વધારે ઉત્પન્ન થાય છે. આ અંગે નોર્મન કઝિન્સ નામના એક અમેરિકન લેખકે કરેલો પ્રયોગ જાણીતો છે. પ્રયોગની વિગતો તેમણે પોતાનાં Anatomy of illness નામનાં પુસ્તકમાં વર્ણવી છે. ગંભીર રીતે બીમાર પડનારને આપણે હોસ્પિટલમાં એડમિશન અપાવી દેતા હોઈએ છીએ પરંતુ નોર્મન કઝિન્સનો પોતાનો અભિપ્રાય હતો કે ગંભીર રોગના દરદી માટે હોસ્પિટલ સહેજ પણ યોગ્ય સ્થળ નથી! પોતાનો અનુભવ વર્ણવતા કહે છે કે પોતાને આરામ કરવાનો સમય હોય ત્યારે હોસ્પિટલના માણસો ટેસ્ટ કરવા માટે લોહીના નમૂનાઓ લેવા આવતા. ક્યારેક તો ભર ઉંઘમાંથી જગાડીને લોહીનો નમૂનો લેતા. કેટલાક ટેસ્ટ તો તેમને બીનજરૂરી લાગતા હતા આથી તેમણે એવું વિધાન પણ કર્યું હતું કે અમુક ટેસ્ટ તો હોસ્પિટલ પોતાની કાબેલિયત દર્શવવા માટે જ કરતી હોય તેમ લાગે છે! આથી તેઁમણે હોસ્પિટલ છોડી દીધી અને એક હોટેલમાં આશરો લીધો જ્યાં તેમણે કોમેડી ફિલ્મો જોઇ અને તેમાંથી નિષ્પન થયેલા હાસ્યે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારી. છેવટે તેઓ અસાધ્ય બીમારીમાંથી બહાર આવ્યા.
આરોગ્યના રક્ષકોએ નોર્મન કઝિન્સનો દાખલો લઈને દર્દીના ઉપચારમાં હાસ્યનો ઔષધ તરીકે ઉપયોગ કેમ કર્યો નથી એ મને સમજાતું નથી! મારી વણમાગી સલાહ છે કે દરેક જનરલ હોસ્પિટલમાં જેમ ફિઝિયોથેરેપીનો અલગ વોર્ડ હોય છે તેમ એક હાસ્યનો વોર્ડ પણ હોવો જોઈએ. આ વોર્ડમાં શાહબુદ્દીન રાઠોડ સાહેબ જેવા હાસ્ય કલાકારોને બોલાવીને લોકોને હસાવવા જોઇએ.
હાસ્યના પ્રકારકારોએ માણસની મૂછને હાસ્ય સાથે જોડીને મૂછમાં હસવું એવો પ્રકાર પણ કહ્યો છે. અન્યને જાણ ન થાય તે રીતે હસવાને ‘મૂછમાં હસવું ’ એમ કહેવાય છે. માત્ર પુરુષોને જ હોવા છતા સ્ત્રીઓના આ પ્રકારે હસવાને પણ ‘મૂછમાં હસવું’ કેમ કહેવાતું હશે એવો સવાલ જિજ્ઞાસુઓને થવો સ્વાભાવિક છે. કદાચ અહીં મૂછનો પ્રયોગ દ્ર્વ્યવાચક નામ તરીકે નહીં પણ સ્થળવાચક તરીકે થતો હશે! ખેતરમાં મોલ ઊભો હોય કે ના ઊભો હોય પણ ખેતરને તો ખેતર જ કહેવું રહ્યું!
હાસ્યવિદોના જણાવ્યા પ્રમાણે હાસ્ય ચેપી હોય છે. એકનાં હસવાની અસર થતા બીજો પણ હસે છે. પરંતુ દરેક વખતે એ સાચું નથી હોતું. કેટલીક વખત એક વ્યક્તિનું હસવું અન્ય માટે દુ:ખદ કે અપમાનજનક હોય છે. રસ્તા ઉપર માણસ એકાએક પડી જતા માણસને જોઇને લોકોને હસવું આવતું હોય છે. આને કારણે પેલી વ્યક્તિને અપમાન કે મજાક જેવું લાગે છે. પરંતુ કેટલક ખેલદિલ માણસો પડી ગયા પછી પોતે પણ હસવા લાગતા હોય છે. આમ ઝેરનું મારણ ઝેર એ જ્ઞાન કામે લગાડીને પોતે પણ હસવા લાગે તો તેને અપમાનની અસર થતી નથી.
હાસ્ય એ કુદરતે માણસને આપેલી અમૂલ્ય ભેટ હોવા છતાં તેનો દુરુપયોગ પણ થતો હોય છે. મહાભારતની કથા પ્રમાણે પાંડવોએ રાજસૂય યજ્ઞ સમયે એક રંગ મહેલ બનાવ્યો હતો અને એ જાદુઇ રંગમહેલમાં દુર્યોધનને જળની જગ્યાએ સ્થળ દેખાતા તે પાણીમાં પડી ગયા જેથી દ્રૌપદી દુર્યોધનનો ઉપહાસ કરતી હસવા લાગી, કહેવાય છે કે તેથી જ મહાભારતના યુદ્ધનાં બીજ રોપાયાં.
આમછતાં માણસનું નિર્દોષ અને નૈસર્ગિક હાસ્ય તો લાભકારક જ છે. પરંતુ હાલના તણાવના યુગમાં નૈસર્ગિક હાસ્ય લુપ્ત થતું જાય છે. માણસોએ (ક્રુત્રિમ)હસવા માટે લાફિંગ કલ્બો ઉભી કરવી પડે છે. ઉપરી સાહેબે કે કોઈ કહેવાતા મોટા માણસે કહેલી જોકમાં કૃત્રિમ રીતે હસવું પડે છે. માણસ આલ્બર્ટ કામુંના પુસ્તક ‘ આઉટસઈડર’ના નાયક જેવો સંવેદનહીન બની ગયો છે. હસવાનું તો ઠીક રડવાનું પણ ભૂલતો જાય છે. એમ લાગે છે કે લાફીંગ ક્લબની જેમ ક્રાઇંગ ક્લબો પણ ઉભી કરવી પડશે જેમાં માણસ કૃત્રિમ તો કૃત્રિમ પણ મુક્તપણે રડી શકે!
પ્રદૂષણ અને તેની માનવજીવન તેમજ પર્યાવરણ પર થતી અસરો વિશે અનેક લેખો, પુસ્તકો લખાયાં છે. પરિસંવાદો યોજાતા રહે છે, અને વિવિધ માધ્યમોમાં તેમના વિશે વારેતહેવારે ફિકર વ્યક્ત થયા કરે છે. પ્રદૂષણને નિવારવાની નીતિઓ નક્કી થાય અને એ અમલી બને એ સમયગાળામાં પ્રદૂષણ અનેકગણું વધી ગયું હોય છે. સાર એટલો કે પ્રદૂષણ કેવળ કાનૂનથી નિયંત્રિત થાય એ શક્ય નથી. એના માટે દાનત બહુ મહત્ત્વની બાબત છે, કેમ કે, સમયાંતરે પ્રદૂષણ ફેલાયું હોય એવાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં જાય છે.
જેમ કે, એક નવિન અભ્યાસમાં જણાયું છે કે પ્રદૂષિત જમીન પર ઊગી નીકળતાં વગડાઉ ફૂલો ઝેરી ધાતુઓનું શોષણ કરે છે, અને પરાગરજ વાહકો દ્વારા તેનો ફેલાવો થતો રહે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોના અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે સફેદ ક્લોવર અને બાઈન્ડવીડ જેવી, નીંદણ પ્રકારની વનસ્પતિ દ્વારા જમીનમાં રહેલાં આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ અને સીસું જેવી ધાતુઓના અંશો જમીનમાંથી શોષ્યા છે. માખીઓ દ્વારા આ વનસ્પતિનાં ફૂલોમાંથી રસ ચૂસવામાં આવે ત્યારે અનાયાસે ધાતુના આ અંશો પણ તેમાં ભળે છે. વિશ્વભરના આહાર ઉત્પાદનમાં માખી જેવા પરાગરજવાહકો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટામેટાં અને સફરજન પર ફળ બેસવાનો મુખ્ય આધાર તેની પર હોય છે. આથી જમીનના આ પ્રદૂષણનું વહન અન્યત્ર થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.
પ્રદુષણને કારણે ફૂલોની સુવાસ બદલી ગઈ હોય તો ફુંધાં, પતંગિયાં, ભમરા એ ફૂલો તરફ આકર્ષાશે નહીં. Image courtesy of Floris Van Breugel સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
સંશોધનના અહેવાલમાં જણાવાયા મુજબ, વિશ્વભરનાં શહેરોની જમીનમાં ધાતુઓના અંશ ભળીને તેને પ્રદૂષિત કરવાની મોટી સમસ્યા છે. અને આ સમસ્યા દિન બ દિન વધતી જાય છે. અમેરિકામાં લોખંડના ઉદ્યોગો અગાઉ રહી ચૂક્યા હોય એવા ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડ શહેરમાંથી જમીનના આવા નમૂના એકત્ર કરાયા હતા. આ જમીન પર અગાઉ લોખંડના ઉત્પાદન ઊપરાંત તેલની રિફાઈનરી તેમજ ઓટોમોબાઈલ ઉદ્યોગો હતા. તેની અસરરૂપે જ અહીંની જમીનમાં આ ધાતુઓના અંશ ભળ્યા હોવાનું મનાય છે.
સંશોધકોએ આ સ્થળે ઊગેલી વિવિધ વનસ્પતિઓનો અર્ક કાઢીને તેનું પૃથક્કરણ કર્યું, જેમાં તેમને અલગ અલગ વનસ્પતિઓ દ્વારા શોષાયેલા જુદી જુદી ધાતુના અંશ જણાયા. આ બધામાં ભૂરાં ફૂલ ધરાવતા ચિકોરીના છોડમાં સૌથી વધુ માત્રામાં ધાતુઓ જોવા મળી. એ પછી તેનાથી સહેજ ઓછી માત્રામાં ધાતુના અંશ સફેદ ક્લોવર, જંગલી ગાજર અને બાઈન્ડવીડમાં જણાયા. તમામ વનસ્પતિઓના અર્કમાં સૌથી વધુ માત્રા સીસાની અને એ પછી ક્રોમિયમ, કેડમિયમ તથા આર્સેનિકની મળી આવી. એવું પણ જોવા મળ્યું કે ડેન્ડીલીઅન જેવી વગડાઉ વનસ્પતિમાં ધાતુના અંશનું પ્રમાણ ઓછું જણાયું. એનો સૂચિતાર્થ એવો કે એ જ સ્થળની અન્ય વનસ્પતિઓની સરખામણીએ ધાતુને અર્કમાં રૂપાંતરિત કરવાની આ વનસ્પતિની આંતરિક લાક્ષણિકતા મર્યાદિત હશે. એ જ રીતે ધાતુના અંશનું સૌથી વધુ પ્રમાણ સામાન્ય મીલ્કવીડ તરીકે ઓળખાતી વનસ્પતિમાં જોવા મળ્યું, જે આર્સેનિકનું હતું. જંગલી ગાજરના અર્કમાં કેડમિયમ, તો ચિકોરીમાં ક્રોમિયમ અને સફેદ ક્લોવરમાં સીસાનું સૌથી વધુ પ્રમાણ મળી આવ્યું.
એમ માનવાની જરાય જરૂર નથી કે આવું કેવળ અમેરિકામાં જ બન્યું છે. ઓડિશા રાજ્યના આઠ જળપ્લાવિત વિસ્તારોમાં (વેટલેન્ડ) સીસું અને ક્રોમિયમ જેવી ધાતુઓનું પ્રમાણ મળી આવ્યું છે, જેમાં ભારતના સૌથી વિશાળ કૃત્રિમ જળાશય હીરાકુડનો પણ સમાવેશ થાય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ ધાતુઓ કેન્સરકારક છે.
આધુનિક યુગમાં શહેરીકરણ, ઔદ્યોગિકરણ જેવી ગતિવિધિઓને કારણે જળપ્લાવિત વિસ્તારમાં ભારે ધાતુઓ જમા થતી રહે છે. આ ધાતુઓ જમીન દ્વારા પાકમાં જઈ શકે છે, જે છેવટે માનવશરીરમાં પ્રવેશે છે. વિવિધ વિસ્તારમાં અલગ અલગ ધાતુઓ જુદા જુદા પ્રમાણમાં મળી આવે છે. આપણે આપણા આ ગ્રહને કઈ હદે પ્રદૂષિત કરી મૂક્યો છે એનું આ ઉદાહરણ છે. આપણે ગંદકી એ રીતે ફેલાવતા રહીએ છીએ કે છેવટે એ આપણા જ જીવન માટે ઘાતક બને.
પ્રવાસીઓની આવનજાવન વધુ પડતી રહે છે એવા સાગરતટો પર પણ ભારે ધાતુઓ જોવા મળી છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે અતિશય નુકસાનકારક છે. માનવજાત માટે ઘાતક કહી શકાય એવી ધાતુઓનું પ્રમાણ અહીં જોવા મળ્યું છે.
ફૂલના અર્કમાં, ખેતરમાં ઊગેલી ફસલમાં સુદ્ધાં ધાતુનું પ્રમાણ જોવા મળે એવી ભયાનક સ્થિતિ અને એ સ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા વર્તમાન યુગની તાસીર છે. વારેવારે, વિવિધ વક્તવ્યો, લેખો, વાર્તાલાપ કે પરિસંવાદોમાં એ બાબતે ઘૂંટીઘૂંટીને ટકોર કરવામાં આવે છે કે ભાવિ પેઢીને આપણે કેવી પૃથ્વી વારસામાં આપીને જઈશું! હકીકત એ છે કે વર્તમાન પેઢી માટે જ આ પૃથ્વી એ હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે કઈ ચીજ પ્રદૂષિત થવાની બાકી હશે એ સવાલ છે.
આને કાબૂમાં લેવા માટે કોઈ સરકારી નીતિ હશે કે કેમ, અને હશે તો એ કેટલી અમલી હશે એ સવાલ છે. મુખ્ય વાત એ છે, અને એને આપણે સૌએ ફરીફરીને યાદ રાખવાની છે કે પ્રદૂષણને કેવળ કાનૂનથી નિયંત્રીત કરી શકાવાનું નથી. આપણે નાગરિકોએ પણ જાગૃતિ કેળવવાની છે, અને આપણું પ્રદાન આપવાનું છે. પ્રવાસનને કારણે પ્રદૂષણ વધે એ સ્વાભાવિક છે, કેમ કે, સૌ કોઈનું હોય એ સ્થાન કોઈનું નથી હોતું. પ્રવાસી તરીકે પણ આપણે થોડી જવાબદારી દાખવવી જરૂરી છે. હકીકત એ છે કે જે ભયાનક ભાવિની કલ્પના કરવામાં આવે છે, એ બાબત ક્યારની વર્તમાન બની ગઈ છે, અને આપણને એનો અંદાજ સુદ્ધાં નથી.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૨-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
આપણી ત્રણ ઋતુ શિયાળો,ઉનાળો અને ચોમાસાં. એ ત્રણેયમાં સૌથી સુંદર ચોમાસું. એનુ સૌંદર્ય માણવા માટે હળવા વરસાદમાં કોઇ નદી કે સમુદ્ર સામે જઈને ઉભા રહો કે પછી પહાડ કે જંગલમાં હો, તો કુદરત સાથે એક થઈ ગયાની લાગણી થશે. વરસાદ એ પ્રકૃતિએ માણસને આપેલી અનુપમ ભેટ છે. પાણી તો પૃથ્વી પર હતું, તેથી જ તો સજીવસૃષ્ટિ પેદા થઈ, પરંતુ વરસાદ તેને વારંવાર તાજું કરીને આપે છે. કુદરતે એવી પ્રક્રિયાઓ ઘડી છે કે જેથી વરસાદની ઘટના બને.
આપણે દક્ષિણ એશિયાના દેશોનો વરસાદ પ્રત્યેના ભાવ વિશેષ છે કારણ કે અહીં એ મુખ્યત્વે એક ખાસ ઋતુ દરમિયાન જ આવે છે. આમ ચોમાસું એવી લાખેણી ભેટ છે, જે વિશ્વની મોટા ભાગની પ્રજાને નથી મળી. ભૂગોળ અને વિજ્ઞાનની આંખે જુઓ તો એ એક અજાયબી જ છે. આપણા દેશ માટે ચોમાસું એટલે માત્ર વરસાદ નથી. તેને વીંટળાઈને આપણી આખી સંસ્કૃતિ પડી છે – કુદરતી સૌંદર્ય, રિવાજો, ધર્મ, પ્રેમ, સમાજકારણ અને અર્થકારણ. આપણાં અસ્તિત્વમાં જેનો આટલો ફાળો હોય તેવી ઘટનાને સમજી લેવી એ આપણી ફરજ અને જરૃરત છે. અહીં પુસ્તકમાં એ કરવાનો પ્રયત્ન છે. વરસાદને લગતાં વૈજ્ઞાનિક સત્યો, તેની આગાહી માટેના પ્રયત્નો, ચોમાસાંને સંલગ્ન ઘટનાઓની સમજૂતી અને તેના પાણીની પ્રાપ્તિ જોડેના સંબંધની ક્રમશઃ ચર્ચા કરી છે. ઊંડાણ એટલું જ છે જેટલું તેના પરિચય માટે જરૃરી હોય.
આપણી સંસ્કૃતિની બીજી ખાસિયત એટલે હિન્દી સિનેમા. સ્વભાવિક છે કે તેનાં સંગીતમાં પણ ચોમાસું વ્યાપ્ત હોય. આથી દરેક પ્રકરણને છેડે એ પ્રકરણની વાતનો પડઘો પાડતું એક ગીત મૂક્યું છે, તેની યુ-ટયૂબ લિંક સાથે. વાંચકો તેને સાંભળીને એ વાતાવરણની અનૂભુતિ કરીને પછીનાં પ્રકરણ તરફ જઈ શકે.
૨૦૨૨માં આ લેખમાળા પુસ્તક સ્વરૂપે પ્રકાશિત થયેલ. ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
આપણે અત્યારે ચોમાસાના મહિનાઓમાં પ્રવેશી રહ્યાં છીએ. તેથી આ પુસ્તક પર આધારિત લેખમાળા દ્વારા આપણે વરસાદ અને ચોમાસાં વિશે બહુ રસપ્રદ વૈજ્ઞાનિક માહિતી વેબ ગુર્જરી પર હવે પછી દર બુધવારે મેળવતાં રહીશું.
૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’ પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.
જુલાઈ મહિનાથી દર બીજા, ત્રીજા અને ચોથા બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.
વેબ ગુર્જરી પર આ પુસ્તકને ક્રમશઃ પ્રકાશિત કરવા માટે સહમતિ આપવા બદલ વેબ ગુર્જરી સુશ્રી રેખાબહેન સિંધલનો આભાર માને છે.
સંપાદક મંડળ – વેબ ગુર્જરી
રેખા સિંધલ
અમેરિકાની સંસ્કૃતિ વિશે કે અહીં વસેલા ગુજરાતીઓ વિષે મેં અત્યાર સુધી ગુજરાતીમાં જે કાંઈ વાંચ્યું છે તેમાં વિગતો અપૂરતી લાગે. ગુજરાતમાં મિત્રો અને સગાંવહાલાંઓને પણ સમજાવવાનું મુશ્કેલ કે તેઓની માન્યતાઓ અનુભવના સત્યથી દૂર છે. હા એ હા કરવી ગમે નહીં અને વેકેશનમાં આનંદ કરવા જઈએ ત્યારે અહીંના સંઘર્ષોની વાતો કરવાનું મન પણ ન થાય. થોડા સમય પછી એવી સ્થિતિ થઈ કે અમેરિકામાં કોઈ ભારતની ટીકા કરે તે ન ગમે અને ગુજરાતમાં રહી કોઈ અમેરિકાની ટીકા કરે તે પણ આકરી લાગે. આ કારણે મારા અનુભવો લખવાનો વિચાર ઘણા વખતથી હતો. અહીં વસેલા અન્ય ગુજરાતીઓના અનુભવોની વાતો સાંભળીને એમના પ્રત્યે આદર વધે અને એમની વાત પણ બીજાને કહેવાનું મન થાય. અમેરિકામાં પ્રવેશ વખતની ઉંમર, પાર્શ્વભૂમિકા, ધ્યેય અને વ્યક્તિત્વની વિવિધતા ધરાવતો ગુજરાતીઓનો એક વિશાળ વર્ગ અહીં છે. એમના જીવન વિશે જાણવામાં અને જણાવવામાં મને હંમેશા રસ રહ્યો છે. અન્ય સાથીદારો સાથે મળીને અનુભવો લખવાનો રસ વધતો ગયો અને ગણગણ્યા કરું કે, “તારી જો હાક સુણીને કોઈ ન આવે તો એકલી જાને રે.’
Bruece Fieler લિખિત Life In the Transitionની ઓડિયો બુક સાંભળી આ રસ વધુ પોષાયો. ન્યૂયોર્ક ટાઇમ્સ બેસ્ટ સેલર આ પુસ્તકમાં સાચાં ઉદાહરણો આપી લેખકે સમજાવ્યું કે જીવનમાં અણધાર્યા ફેરફારો થકી ઊભી થતી વિષમ પરિસ્થિતિને કારણે નહીં પણ એનો સામનો કરવાની અલગ રીતને કારણે જીવન ઉન્નત કે અવનત થાય છે. અમેરિકાની અજાણી ભૂમિ પર જીવનયાત્રા શરૂ કરનારા ગુજરાતીઓના અનુભવોની વાતોમાં પણ આ સત્ય ઉજાગર થાય છે. મારા અને બીજાના જીવનની વાતો ગ્રંથસ્થ કરવાનો વિચાર Bruece Fielerના પુસ્તકમાં લખાયેલા કિસ્સાઓ સાંભળી દઢ થયો. આ વિચાર મેં ડો. જયંતભાઈ મહેતાને જણાવ્યો. એમણે એમાં રસ લીધો એટલે મારો ઉત્સાહ વધ્યો. થોડા દિવસો પછી શ્રી તરૂણભાઈ સૂરતીએ. સ્વ. પ્રમોદાબહેન જોશીના પ્રેરણાદાયક જીવન વિશે લખવા મને અનુરોધ કર્યો. અમેરિકામાં વસેલા ગુજરાતીઓની અનુભવકથાઓ ગ્રંથસ્થ કરવાનો વિચાર તો મનમાં હતો જ. એ પછી પન્તાબહેન નાયક સાથે વાત થઈ અને શ્રી નટવરભાઈ ગાંધીએ એમના અનુભવો મોકલ્યા ત્યાં સુધીમાં લગભગ દસથી વધારે લેખકો પોતાના અનુભવો લખવા તેયાર થયા. મિત્ર સરયૂ પરીખે બહુ ઉત્સાહ અને ચોકસાઈથી બધી નોંધો કરવા માંડી. દર મહિને ઝૂમ પર મિટિંગનું નક્કી કર્યું. વિશ્વપ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાએ આ વિચારને બિરદાવ્યો અને સક્રિય રસ સાથે જોડાયા. એમનો સહકાર મળ્યા પછી સારું કામ થરો એવો વિશ્વાસ વધ્યો.
એક વિશેષ નોંધ એ છે કે અપવાદરૂપે ડૉ. કમલેશ લુલ્લાની કથા દેવિકા ધ્રુવ દ્વારા શાબ્દદેહે પ્રગટ થઈ છે. જે વિશે તેઓ લખે છે કે, “ભારત મારી માતૃભૂમિ છે, અમેરિકા મારી કર્મભૂમિ છે અને ગુજરાત મારા રોમરોમમાં વસે છે એમ કહેનાર કવિ હૃદયના ડૉ. કમલેશ લુલ્લાની અવકારા વિજ્ઞાની તરીકેની પ્રસિદ્ધિ તેમને વિશ્વમાનવની હરોળમાં મૂકે છે. વડોદરાની સંસ્કારભૂમિમાં જન્મેલ આવી વિરલ વિભૂતિની જીવનકથાના મહત્ત્વના અંશો તેમના જ શબ્દોમાં સાંભળવા માટે હું સ્વયંને સદ્દભાગી ગણું છું અને ધન્યતા અનુભવું છું.” ‘તેમની જીવનકથાની ઝાંખી કરીએ તે પહેલાં એક વાતનો રાજીપો વ્યક્ત કરવો છે કે, આ લેખનકાર્ય માટે ડૉ. કમલેશ લુલ્લાએ તેમનો અમૂલ્ય સમય આપી, અનુકૂળ સમયે, નિયમિત રીતે ફોન પર, આનંદપૂર્વક અને અત્યંત સાહજિક રીતે વિગતો પૂરી પાડી છે જેને કારણે આ કામ સરળ બની શક્યું છે.’ – દેવિકા ધ્રુવ
પરદેશની ધરતી પર પાંગરતા વસાહતીઓની પહેલી પેઢીનો સંઘર્ષ ગ્રંથસ્થ કરી અલગ દષ્ટિકોણથી વિચારતા કરવાનો નમ્ર પ્રયાસ છે. ભારતથી આવેલા મુલાકાતીઓ અહીંના વસાહતીઓના જીવનને જે રીતે જુએ છે અને લખે છે તથા વિઝિટર વિઝા પર આવેલા પ્રવાસીઓના અનુભવો અને વસાહતીઓએ જાતે લખેલા સ્વાનુભવોમાં ઘણો ફર્ક હોય તે સ્વાભાવિક છે. આત્મકથાના અંશોથી લખાયેલી આ જીવનકથાઓ હવે પછી આવનારી પેઢી માટે પ્રેરણાત્મક બની રહે એવી આશા છે.
આ પ્રકારનાં પુસ્તકો માટે ગુજરાતી સાહિત્ય સાથે વપરાતા ‘ડાયાસ્પોરા’ શબ્દ અંગે ઘણા મતભેદો છે. ‘ડાયાસ્પોરા’ શબ્દની ઉત્પતિ, અર્થ અને ઉપયોગ વિશે વિચારતાં તેની વ્યાખ્યા અઘરી થઈ જાય. સાહિત્યના પ્રકાર તરીકે ‘ડાયાસ્યોરા’ શબ્દથી દ્વિધા ઊભી થાય છે. બીજા કોઈ દેશો આ શબ્દનો આ રીતે ઉપયોગ કરે છે કે કેમ? તેનો જવાબ ગૂગલ સર્ચથી સ્પષ્ટ થતો નથી. માતૃભાષામાં લખાયેલી જે કૃતિમાં વિદેશની મહેક હોય તે કૃતિ માટે ‘દ્વિદેશી’ શબ્દ વધુ યોગ્ય જણાય છે. લેખકના ભાવવિશ્વમાં બંને દેશો છવાયેલા હોય ત્યારે જ દિદેશી કૃતિ પ્રગટે એવું મારું માનવું છે. ડાયાસ્પોરા વિશે વધુ વાત ન કરતાં એટલું કહીશ કે ડાયાસ્પોરા સાહિત્યને બદલે સાહિત્યના દરેક પ્રકારમાં વિશેષણ તરીકે “દ્રેદેશી’ શબ્દ ઉમેરી શકાય. દ્વિદેશી સાહિત્યને અલગ પ્રકાર ગણીએ. તો પણ એની સાથે અન્ય પ્રકારો નવલકથા, નવલિકા, કાવ્યો વગેરે જોડવાં જ પડે. ડાયાસ્પોરા કહેવાતા આ દ્વિદેશી સાહિત્યનો પ્રસાર વધે તે પહેલાં એની વિભાવના વધુ સ્પષ્ટ થાય અને એક આગવી ઓળખ વિદેશી ગુજરાતી લેખકોની કૃતિઓને. મળે તેવી શુભકામના છે.
ધ્રુવદાદાએ ‘અતરાપી ‘ નવલકથામાં સારમેય ગલુડિયાંનાં પાત્ર દ્વારા લોકોની જીવાતી જિંદગી અંગેનાં સરસ વ્યંગાંત્મક સંવાદો મૂક્યાં છે. બધાં કરતાં જુદું અને ઊંધું વિચારવાનો તેમનો નોખો દ્રષ્ટિબિંદું દરેક સંવાદમાંથી આપણને નવો બોધ આપે છે. સારમેય પરમનો અનુભવ કરવા અને છોડવાં પણ બોલે છે ,તે જાણવા ધ્યાનસ્થ બની પરમનો અવાજ સાંભળવા કોશિશ કરે છે.
પરમનો અવાજ કવિઓને તેમની કલ્પના પ્રમાણે ક્યાં ક્યાંથી સંભળાય છે તેનું ઉત્તમ ઉદાહરણ આપતાં મને યુવા કવયિત્રી પારુલ ખખ્ખરની કવિતા યાદ આવી જાય છે ,જેને પરમનો અવાજ સાંભળવાની કોશિશ જ કરવી હોય તે ક્યાં ક્યાંથી તેને સાંભળી શકે છે તે પણ જાણીએ.
મોજડી પહેરીને ચાલતાં આપણને સૌને તો ચીચુડ,ચીચુડ થતું સંભળાય પરતું તેમાં ‘સોહમ્’ પારુલબહેન જેવા અદના કવયિત્રીને સંભળાય છે.
ધ્રુવદાદાની આ ‘અતરાપી’ નવલકથાનાં સંવાદો પણ સાવ નોખા છે.સારમેય તોફાની છે .તેને ભણવું નથી ગમતું,શિક્ષકો તેનો ભાઈ કહ્યાગરો છે ,તો તેના તરફ વધુ ધ્યાન આપે છે.અને સારમેય તરફ ધ્યાન નથી આપતા. એટલે ત્યાં ધ્રુવદાદા વ્યંગમાં કહે છે કે ‘શિક્ષકો પણ ડાહ્યા છોકરાને ભણાવે છે અને તોફાની પ્રત્યે દુર્લક્ષ સેવે છે.’ડાહ્યા કૌલેયકને માલિક ગાડીમાં મંદિરે અને બહાર બધે તેમની સાથે લઈ જાય છે.ગાડીમાંથી ભાઈને ઉતારતો જોઈ ,સારમેય તેને પૂછે છે,
“તને આ ગાડીની પોચી ગાદીમાં નખ મારવાનું મન નથી થતું?
ત્યારે કૌલેયક કહે છે,
“મને મન થાય છે પણ મનને ગમે એ નહીં કરવાનું એટલે નિગ્રહ કરવાનો.”
આમ જે ગમે તે નહીં કરવાની વાત પર સુંદર રીતે ધ્રુવદાદાએ વ્યંગ કર્યો છે ,ઘણાં ધર્મોમાં આ મનોનિગ્રહ દ્વારા ધર્મ કરવાની વાત છે.માનવતાપૂર્ણ સહજ જીવન જીવી ,નાનામાં નાના માણસને પ્રેમ કરી જીવીએ તો કદાચ સાચી રીતે જીવી શકાય તેવો દાદાનો ભાવ છે.માત્ર મનોનિગ્રહ જ ધર્મ છે,તેવું નથી, તેમ દાદાનું માનવું છે.
સારમેયને તેના વિશાળ બંગલાની બહારની દુનિયા જોવાની ઈચ્છા થાય છે અને તે એક દિવસ તેની માની ઈચ્છા વિરુધ્ધ ઘરમાંથી બહાર નીકળી જાય છે. ચાલતાં ચાલતાં તેને મોટો દરવાજો દેખાય છે.તેમાં ડોકિયું કરે છે ,તો એક ભયાનક અવાજે ભસતો કાબરચીતરો પૂંછકટ્ટો કૂતરો તેને કહે છે,
“આ મારો ઇલાકો છે,અહીં કેમ આવ્યો? ભાગ અહીંથી.”
સારમેય પૂછે છે,
“ઇલાકો એટલે શું?
“જેને છોડીને બહાર ન જઈ શકાય તેને તમે ઇલાકો કહો છો,ખરું ને?”
સારમેયને થાય છે કોઈને પોતાનો ઇલાકો શા માટે હોવો જોઈએ?
આમ કહી દાદાએ નાતજાતનાં ,જ્ઞાતિનાં,ધર્મોનાં,ગરીબ-અમીરના,દેશ-દેશનાં,પ્રાંતોનાં વાડા શા માટે હોવા જોઈએ ? તેમાંથી સૌએ બહાર નીકળવાની જરુર છે તેમ સમજાવ્યું છે.આમ સારમેયનાં પાત્ર દ્વારા પોતાનાં વિચારો ધ્રુવદાદાએ સહજતાથી રજૂ કર્યા છે.
સારમેય ચાલતાં ચાલતાં આગળ જાય છે.આગળ જતાં નદી આવે છે, એણે નદી ક્યારેય જોઈ નથી અને થાકીને તે કિનારે બેસે છે . મંદ મંદ વાતા ઠંડા પવન સાથે તેને ફરી પેલો અજાણ્યો સ્વર સંભળાય છે.
આમ જ્યારે તમે બધું છોડી,એકલા મુક્ત મને પ્રકૃતિની ગોદમાં ધ્યાનસ્થ થઈ તમારી જાત સાથે સમય ગાળો તો તમને પણ પેલો અજાણ્યો સ્વર સંભળાશે ,તેમ દાદા સૂચવે છે.
સારમેયને ત્યાં ‘કાળો’નામે કૂતરો મળે છે .જે સારમેયને પૂછે છે,
“તું ભૂલો પડી ગયો છે?”
ત્યારે સારમેય હા ,કહી ,કહે છે,
“મને હવે પાછા જવાનો મારાં ઘરનો રસ્તો ખબર નથી.”
કાળો તેને પોતાની સાથે લઈ જાય છે અને નદી પાર કરવા તેની સાથે નાવમાં બેસાડે છે.
સારમેય નાવનાં નાવિક સાથે વાત કરે છે ,આ સંવાદ ખૂબ સરસ છે.
નાવિક કહે છે “ આ નદી જન્મગિરિ પહાડમાંથી નીકળી છે. અનાદિકાળથી વહી રહી છે,પણ કેટલો સમય વહેવાની છે તે હું જાણતો નથી.એટલે સારમેયે કહ્યું,
“ જાણ્યાં પછી પણ કંઈ જાણવાનું બાકી રહી જાય છે?”
આ કેટલી મોટી અને સાચી વાત છે કે જીવનભર તમે દરેક વસ્તુ જાણવાની કોશિશ કરતાં જશો છતાં કંઈક જાણવાનું તો રહી જ જાય છે. કોઈ દુનિયામાં સંપૂર્ણ જાણકાર નથી.
ભરેલી નાવમાં બેઠેલો સારમેય બધાંની સાથે હોવાછતાં પોતાનાં વિચારવિશ્વમાં તલ્લીન હતો. તેવું દાદા લખે છે ત્યારે સમજાવે છે કે,
“બધાંની વચ્ચે રહીને પણ તમે તમારી આગવી મોજમાં રહો.કોઈ તમને ખલેલ ન પહોંચાડી શકવું જોઈએ.”
સારમેય નદીમાંથી પસાર થાય છે પણ જેમાંથી તે પસાર થયો,તેનું નામ નદી છે તેવી તે નાનકડાં ગલૂડિયાંને ખબર નથી અને તે નાવિકને પૂછે છે,
“નદી ક્યાં છે?”
બધાં તેની પર હસે છે પણ નાવિક સરસ જવાબ આપે છે,
“મેં તને નાવમાં બેસાડ્યો ત્યારે તે હતી. જેને પાર કરીને આપણે આવ્યા તે, આ પળે આપણે જેની વાત કરીએ છીએ તે નદી અત્યારે અહીં નથી.”
આમ કહી અને જીવન એ સતત ચાલતી પરિવર્તન સાથેની પ્રક્રિયા છે. ગયેલો સમય પાછો આવતો નથી.આગળનાં ભવિષ્યથી આપણે સાવ અણજાણ છીએ ,તે વાત ગર્ભિત રીતે કહી દીધી છે.અને ધ્રુવદાદાએ આ આખી વાતને તેમના સુંદર ધ્રુવગીતમાં પણ ગાઈ છે.
મને ઊંઘમાં યાદ આવે તે શું છે
કોઈ જાણે હું છું ,કોઈ જાણે તું છે
આ નિદ્રાની રચના જગાડી છે કોણે
તને હું ના પૂછું મને તું ન પૂછે
ચીરી નાંખું છાતી તો મારામાં હું છું
હવે ખાતરી દો તમારામાં તું છે
અમારા સમયની અમે રેખ આંકી
પછીનો સમય તે લીસોટાને લૂછે
જૂઓ કાચમાંથી સર્યે જાય રેતી
કહો તે ‘હતી’ ‘છે’’હશે’ છે કે ‘છું ‘ છે
વિશ્વનાથન આનંદથી ડી.ગુકેશ સુધીની ચેસમાં વલ્ડ ચેમ્પિયનોની બિનસાંપ્રદાયિક ભારતમાં ઉજળી પરંપરા છે. હજુ હમણાં જ તેર વરસની મુસ્લિમ કિશોરી ફાતિમા તુજ જહેરાએ મુસ્લિમ બહુલ જમ્મુ-કશ્મીરમાં રાજ્યકક્ષાની ચેસ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેળવ્યો છે. આ જ દિવસોમાં અફઘાનિસ્તાનની તાલિબાની સરકારે ચેસ કે શતરંજની રમતને ઈસ્લામવિરોધી ગણાવીને તેના પર પ્રતિબંધ લાદયો છે!
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
૨૦૨૧થી અફઘાનિસ્તાનમાં સત્તાનશીન તાલિબાનોનો ઈસ્લામી કાયદા પ્રત્યેનો કઠોર દ્રષ્ટિકોણ જાણીતો છે. તેમણે મહિલાઓને તો કોઈપણ રમતોમાં ભાગ લેવાની બંધી ફરમાવી જ છે હવે શતરંજ પર પ્રતિબંધ મૂક્યો છે અને અફઘાનિસ્તાનના શતરંજ મહાસંઘને વિખેરી નાંખ્યો છે. ધાર્મિક ફરજ કે કર્તવ્યથી ધ્યાન ભટકાવે તે પ્રવૃતિ પ્રતિબંધિત હોવી જોઈએ, એવી શરિયા કાનૂનની જોગવાઈનો હવાલો આપીને અફઘાન સરકારે શતરંજની રમત પર રોક લગાવી છે. જોકે વિશ્વના માનવ અધિકાર સંગઠનો અને રમત સંસ્થાઓને જરા સારુ લગાડવા એવી સ્પષ્ટતા કરી છે ખરી કે શતરંજની રમત ઈસ્લામી કાયદાને અનુકૂળ છે કે કેમ તેની સ્પષ્ટતા અને ચકાસણી થાય ત્યાં સુધી તે પ્રતિબંધિત રહેશે. પરંતુ અગાઉ માર્શલ આર્ટ કે મહિલાઓને સ્પોર્ટ્સમાં ભાગ લેવા પર ફરમાવેલા પ્રતિબંધ જેવો આ પણ કાયમી પ્રતિબંધ જ છે. તાલિબાનોની દલીલ છે કે શતરંજ એક પ્રકારનો જુગાર છે કે જુગારનો સ્ત્રોત છે. શતરંજ રમતાં લોકો તેમાં એટલા રમમાણ થઈ જાય છે કે તેમને જવાબદારીઓનું કોઈ ભાન રહેતું નથી. તે એટલે સુધી કે નમાજ પઢવાની ધાર્મિક ફરજ અદા કરવાનું પણ ચૂકી જાય છે. એટલે આ રમત નુકસાનકારક અને પ્રતિબંધને લાયક છે.
એક ચેસ બોર્ડ, બે ખેલાડી અને બત્રીસ પ્યાદાં (પ્રત્યેકના સોળ-સોળ) ની શતરંજની રમત બુધ્ધિજીવીઓની રમત કહેવાય છે. રમતવીરની બુધ્ધિ, ધૈર્ય અને પૂર્વાનુમાનની કસોટી કરતી આ રમતના એક ખેલાડીના ભાગે આવતા સોળ પ્યાદાં (સોળ સફેદ અને સોળ કાળા) માં એક રાજા, એક રાણી, બે હાથી, બે ઊંટ, બે ઘોડા અને આઠ સિપાહી હોય છે. સફેદ પ્યાંદાથી રમતનો આરંભ થાય છે . શહ અને માતની શતરંજની ચાલમાં રાજા કે બાદશાહને જીતવાનો અને બંદી બનાવવાનો હોય છે. એટલે આ રમત રણનીતિક રમત છે અને તેમાં યુધ્ધના મેદાનનું અલ્પ અનુકરણ છે. ચેસની રમતને હ્યુમન સાઈકોલોજી, મેથ્સ અને કમ્પ્યૂટર સાયન્સ સાથે સંબંધ છે. બૌધ્ધિક મનોરંજન માટેનો આ ખેલ માનસિક વ્યાયામ માટેનું યુવા દિલોનું લોકપ્રિય સાધન છે. આલોચનાત્મક વિચારોને પ્રોત્સાહિત કરનાર અને દિમાગને તેજ કરનાર આ રમત ગણાય છે.
શતરંજની રમતનું ઉદભવસ્થાન ભારત હોવાનું મનાય છે. ભારતની ચતુરંગ નામક રમતમાં તેનાં મૂળ રહેલાં છે. પંદરમી સદીમાં યુરોપમાં આધુનિક શતરંજનું સ્વરૂપ વિકસિત થયું છે. હેરોલ્ડ જેમ્સ રુથવેન મુરે લિખિત અને ઈ.સ. ૧૯૧૩માં ઓકસફર્ડ યુનિવર્સિટી પ્રેસે પ્રકાશિત કરેલ ‘ હિસ્ટ્રી ઓફ ચેસ’ કિતાબમાં શતરંજનો વ્યાપક અને અધિકૃત ઈતિહાસ આલેખાયો છે. આ પુસ્તકમાં તેના પરના પ્રતિબંધની પણ ઘણી માહિતી છે.
ધર્મ, રંગ, લિંગ, દેશ જેવા ઘણાં કારણોથી શતરંજની રમત પ્રતિબંધિત થઈ હોવાનો દીર્ઘ ઈતિહાસ છે. ઈસ્લામ અને ક્રિશ્ચિયન ધર્મે જ નહીં બૌધ્ધ અને યહુદી ધર્મે પણ તેના પર રોક લગાવી છે. શતરંજના પ્યાદાંની નકકાશીદાર આકૃતિ તસવીર જેવી છે અને ઈસ્લામમાં તસ્વીર વર્જ્ય છે એટલે ઈસ. ૬૫૫માં ઈસ્લામના એક ફાંટામાં તેને અસ્વીકૃત કરવામાં આવી હતી. બૌધ્ધોએ તેને વ્યભિચારના રૂપમાં જોઈને બંધી ફરમાવી હતી. ફ્રાન્સના રાજા લુઈ નવમાએ ઈ.સ. ૧૨૫૪માં ધર્મયુધ્ધથી પરત આવી દંડના દર્દરૂપે શતરંજ રમવા પર પ્રતિબંધ મૂક્યો હતા. તેમને આ રમત બેકાર અને ઉબાઉ લાગી હતી. ચીન અને રશિયા પણ અગાઉ તેના પર બંધી ફરમાવી ચૂક્યા છે. અશ્વેતોને આ રમત રમવા પર રોક લાગેલી હતી. તો રંગભેદ આચરતા દક્ષિણ આફ્રિકા સામે વિરોધ રૂપે રંગભેદ વિરોધી દેશોએ તેની સાથે ચેસ રમવાનો ઈન્કાર કરેલો છે. હિજાબ પહેરવાના અને લો કટ બ્લાઉઝના કારણે મહિલા ચેસ ખેલાડીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. વિશ્વ શતરંજ સંગઠન (FIDE- FEDRATION OF INTERNATIONAL DES ECHECS) નું બાકી લેણું નહીં ચુકવવાની સજા તરીકે યુગાન્ડા, ઈથિયોપિયા અને નાઈજીરિયા પર શતરંજ રમવા પર રોક લગાવી હતી.
આંતરરાશ્ટ્રીય શતરંજ મહાસંઘે ટ્રાન્સ જેન્ડરોને શતરંજની રમતની બહાર રાખ્યા છે. આ વળી કંઈ જુદા જ પ્રકારનો પ્રતિબંધ છે. ચેસ રમત સંગઠનનું કહેવું છે કે લિંગ પરિવર્તનની રમતવીરની સ્થિતિ પર મહત્વની અસર પડે છે એટલે ટ્રાન્સ જેન્ડરને ઓપનમાં પ્રવેશની છૂટ છે પરંતુ માત્ર મહિલાઓ કે પુરુષો માટે પ્રતિબંધ છે.
શતરંજની રમત પર ધાર્મિક કે બીજા કારણોસરનો પ્રતિબંધ ઘણી અસરો જન્માવે છે. તાલિબાનોના પ્રતિબંધથી અફઘાનિસ્તાનના ઘણા ચેસ પ્લેયર્સ દેશ છોડી ગયા છે. અફઘાનિસ્તાનમાં પાંચસો જેટલા શતરંજ ખેલાડીઓના ઉજ્જવળ અને બહેતર જીવનનો માર્ગ બંધ થઈ ગયો છે. પ્રતિગામી અને સંકીર્ણતાથી લેવાયેલા ચેસ બંધીના પગલાં પછી અફઘાનિસ્તાનના ઘણાં કાફે બંધ થઈ ગયા છે અને સેંકડો લોકો બેરોજગાર બન્યા છે. આ રોકને લીધે માનસિક આરોગ્ય અને વ્યવસાય બંને પર ખરાબ અસર પડી છે. જ્યારે ઘણા ઈસ્લામિક દેશોમાં ચેસ સ્વીકાર્ય છે અને સેક્યુલર દેશોમાં મુસ્લિમો બેરોકટોક શતરંજ રમે છે ત્યારે ધર્મના નામે આ બંધી માનવીની સરળ સ્વતંત્રતા છીનવી લે છે.
અફાઘાનિસ્તાને માર્શલ આર્ટને સ્વરક્ષણની રમતને બદલે બહુ જ હિંસક ગણી અગાઉ પ્રતિબંધિત કરી છે. હવે ચેસને બંધી ફરમાવી છે. મનોરંજન અને રમતના કેટલાક અન્ય રૂપો પર અફઘાનિસ્તાનમાં અગાઉથી જ પ્રતિબંધ લાગુ છે. તેમાં ચેસનો ઉમેરો થયો છે. સમયની બરબાદી કે જુગારને ઉત્તેજનની નજરે જોવાને બદલે જો તેને સકારાત્મક દ્રષ્ટિથી જોવામાં આવે તો શતરંજ ઘણી કામની રમત લાગે છે. તેમાં સ્પર્ધક વચ્ચે દુશ્મની કે નફરત ઉભી થાય છે તેવો તર્ક પણ વાહિયાત છે. ઓનલાઈન કે ડિજિટલ ચેસમાં પણ ભયસ્થાનો રહેલાં છે. તેમ માની તેનાથી દૂર રહેવાનું વલણ ખોટુ છે. શતરંજનો ખેલ માત્ર સપાટી પર મનોરંજક લાગે છે અને વાસ્તવમાં તો તે એક પ્રકારનો જુગાર છે તેમ ગણી તેના પરના પ્રતિબંધનો બચાવ કરવો વાજબી નથી.