વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • નદી, પર્વતને પોતાનો કાનૂની હક આપી શકાય?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    જરા વિચિત્ર લાગે એવી વાત છે. નદીને આપણી સંસ્કૃતિમાં લોકમાતા કહેવાઈ છે, કેમ કે, એક માતાની જેમ તે આપણા જીવન સાથે અભિન્નપણે જોડાયેલી હતી, અને જીવનની મોટા ભાગની જરૂરિયાતો પૂર્ણ કરતી હતી. હવે આ વિશેષણ કે સંબોધન કેવળ નિબંધોમાં કે પાઠ્યપુસ્તકોમાં જ રહી ગયું છે. એનો અર્થ એવો કે નદીઓની ઊપયોગિતા મટી ગઈ? નદીઓની ઉપયોગિતા એની એ જ રહી છે, બલકે તેના પાણીને નાથીને સિંચાઈ, વીજળી જેવી સવલતો હવે સાવ સુલભ બની છે. મોટા ભાગના લોકો શબ્દાર્થમાં પણ નદીથી દૂર ને દૂર થતા ગયા છે. નદીને ‘લોકમાતા’ જેવો દરજ્જો આપણે આપ્યો, પણ કદી એવો વિચાર આવ્યો કે નદીને પોતાને પણ કોઈ હક હોય? આપણા જેવા દેશમાં માનવના મૂળભૂત હકનો જ પ્રશ્ન હોય ત્યાં નદીના હક અંગે કોઈને શી રીતે વિચાર આવી શકે? મોટા ભાગની નદીઓને આપણે પૂજ્ય ગણીને તેનું માનવ યા દેવીસ્વરૂપ કલ્પ્યું છે, પણ એ કેવળ એક રમ્ય કલ્પના જ રહી છે.

    ઈતિહાસ જોતાં એટલો ખ્યાલ આવે છે કે આપણા પૂર્વજો પ્રકૃતિનાં વિવિધ સ્વરૂપોને પૂજતા હતા. હજી આજે પણ ઘણી આદિ જાતિઓમાં આ પરંપરા જોવા મળે છે.

    માનવી, માનવ સર્જનો અને કુદરત વચ્ચેનો પરંપરાગત પદાનુક્રમ (photo-MDPI)
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘જળ એ જીવન છે’ જેવું સૂત્ર બહુ ચવાયેલું, પણ સાચું છે. છતાં એ હકીકત છે કે કુદરતી સંસાધનોને આપણે કેવળ આપણા ઊપયોગ પૂરતા મૂલવતા હોઈએ છીએ. મનુષ્યને એ કશા કામમાં લાગે તો એ ચીજ  કામની, નહીંતર નકામી. ખરેખર તો કુદરતમાં કોઈ ચીજ નકામી નથી, કેમ કે, કુદરતી સર્જનમાં માનવ કેન્‍દ્રસ્થાને નથી જ નથી.

    પૃથ્વી પર જળસંકટ તોળાવાનો ખતરો દિન બ દિન વધી રહ્યો છે, અને એ બાબતે જે દૃષ્ટિકોણ અપનાવાય છે એમાં માનવજરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે છે. આને કારણે જીવન માટે અમૂલ્ય જણાતો પાણી જેવો નૈસર્ગિક સ્રોત વ્યાપારી જણસ બની ગયો છે, જેને વેચી કે ખરીદી શકાય છે. આથી જળાશયોને થતું કોઈ પણ પ્રકારનું નુકસાન કેવળ માનવહિતના ત્રાજવે જ તોળવામાં આવે છે. આવો, માનવકેન્‍દ્રી અભિગમ સરવાળે એ બાબતનો દ્યોતક છે કે માનવેતર ચીજો કેવળ માનવની જરૂરિયાતોને સંતોષવા કે તેમના ઊપભોગ માટે છે. આથી પર્યાવરણને અસર કરનાર કોઈ પણ પ્રકલ્પની પર્યાવરણ પર થનારી સંભવિત અસરોને પણ માનવદૃષ્ટિએ અથવા તો માનવના લાભાલાભ પૂરતી જ ધ્યાનમાં લેવામાં આવે છે. પર્યાવરણને થતા નુકસાનના ભોગે આર્થિક વિકાસ થતો હોય તો તેને પ્રાથમિકતા આપવામાં આવે છે.

    ખરું જોતાં માનવો પ્રકૃતિથી અલગ નથી, બલ્કે તેનો જ હિસ્સો છે, અને પૃથ્વી પરના પ્રત્યેક જીવનું હિત એકમેક સાથે સંકળાયેલું છે. આ મુખ્ય મુદ્દાને લક્ષ્યમાં રાખીને એક એવી વાત પર ચર્ચા શરૂ થઈ છે કે પ્રત્યેક પ્રજાતિ તેમજ પર્યાવરણપ્રણાલિને હક લાગુ પડવા જોઈએ. આમાં નદી, પર્વત તેમજ ખુદ પૃથ્વીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

    આના પ્રારંભિક અમલરૂપે ૨૦૨૧માં કેનેડાની મેગ્પાઈ નદીને એક જીવિત વ્યક્તિ ગણીને તેને હક પ્રદાન કરવામાં આવ્યા. કેનેડાની જળવિદ્યુત પરિયોજના હાઈડ્રો ક્વેબેક થકી પર્યાવરણને થયેલા નુકસાનને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો. તે માટેની ઘોષણામાં લાબ્રાડોર-ક્વેબેક દ્વિપકલ્પના મોટા ભાગના સ્થાનિક લોકોના રક્ષણ માટેના પ્રયાસો સામેલ હતા. કેનેડામાં આ પ્રકારની ઘોષણા અને નિર્ણય પહેલવહેલી વાર કરાયાં છે. તેના થકી આ નદીની કાનૂની ઓળખ બનાવવાનો મુખ્ય હેતુ છે. આ નિર્ણયને આનુષંગિક બીજા અનેક ઠરાવો પસાર કરાયા, જેને પગલે નદીને નવ કાનૂની હકો તેમજ તેના રક્ષક તરીકે સ્થાનિક લોકોને સ્થાપવામાં આવ્યા. નદીને પ્રદાન કરાયેલા હકોમાં તેને જીવવાનો, અસ્તિત્વ ધરાવવાનો, વહેવાનો, પ્રદૂષણમુક્ત રહેવાનો અને દાવો કરવાનો હક મુખ્ય કહી શકાય. આ નદી સાથે જેમનું જીવન જોડાયેલું છે એવા સ્થાનિકો તમામ નિર્ણયપ્રક્રિયામાં સામેલ હશે અને નદી વતી દાવો કરી શકશે યા નદીને કોઈ પણ રીતે નુકસાન થાય તો વળતર માંગી શકશે. અલબત્ત, હજી એ બાબત અસ્પષ્ટ રહી છે કે નદી પર નિર્માણ થનારી વિકાસયોજનાઓને આ શી રીતે અસર કરશે, જેમાં બંધનો પણ સમાવેશ થાય છે. કેમ કે, કેનેડાના કાનૂનમાં હજી પ્રકૃતિના માનવસ્વરૂપને લગતા કાનૂનનું અસ્તિત્વ નથી, અને તેને અદાલતમાં પડકારી શકાય છે.

    એક વાત છે કે આ પ્રકારની પહેલ ભલે મોડી તો મોડી, પણ આવકાર્ય કહી શકાય એવી છે. આનો વ્યાપ હજી વિસ્તારવામાં આવે તો અત્યાર સુધી જે નુકસાન થયું છે એ કદાચ મટી ન શકે, પણ હવે પછી થનારું નુકસાન અટકે એવી સંભાવના ખરી. કેનેડામાં આ અખતરો અપનાવાય તો વિશ્વના અન્ય દેશો પણ તેને અનુસરી શકે એમ બને.

    આ ઊપક્રમ અને તેની પાછળ રહેલો હેતુ બેશક ઉમદા છે, પણ એ જોવાનું રહે છે કે તેનો અમલ કેવોક રહે છે. કેમ કે, હરેક કાનૂનનો હેતુ સારો હોવા છતાં છેવટે એ લખાયેલા અક્ષરો છે. તેનું અર્થઘટન કે અનર્થઘટન ઈરાદા પર અવલંબે છે. બીજું કે આખરે આ કાનૂન માનવે પોતે ઘડેલો છે. એટલે પોતાના લાભ ખાતર એ તેને તોડીમરોડી શકે એ શક્યતા નકારી શકાય એમ નથી. નદીને જીવિત વ્યક્તિ ગણવામાં આવી છે, પણ હકીકતમાં એ એવી ન હોવાથી કાયદાનો અમલ કરનારા દલા તરવાડીની નીતિ અપનાવી શકે એ ભય અસ્થાને નથી.

    જે હોય એ, આ બધી હજી પછીની વાત છે. એટલું આશ્વાસન લઈ શકાય કે માનવે કુદરતને કરેલા નુકસાનની માત્રામાં થોડોઘણો ઘટાડો થાય, થોડીઘણી જાગૃતિ આવે તોય આવા કાનૂનનો હેતુ બર આવ્યો ગણાશે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સાબુ પર સાબુ – પાંચ અવલોકનો

    અવલોકન

    સુરેશ જાની

    –  ૧ –

    સાબુ પર સાબુ? આ તે કેવી ઊટપટાંગ વાત? હા! એમ જ છે. લો જોઈ જ લો ને  –

    તમે કહેશો- “અહો! આમ વાત છે. આમાં શું નવાઈ? અને તે પણ ગુજરાતીને?  અમદાવાદીને? આમાં એક જ સંદેશ

    ત્રેવડ … કરકસર…

    આજે સાબુની બચેલી પતરી બચાવો. એમ બને કે,  કાલે નહાવા સાબુ જ ન હોય.

    • ખોરાકની અછત
    • પાણીની અછત
    • ઉર્જાની અછત

    કારણ?

    • વધતી જતી વસ્તી
    • કૂદકે ને ભૂસકે આગળ ધપતું જીવન ધોરણ
    • અમર્યાદિત બનતી જતી માનવ અપેક્ષાઓ
    • જમીનનો વધતો જતો બિન ઉત્પાદક ઉપયોગ અને…
    • દરેક સેકન્ડે ટાંચાં થતાં જતાં સ્રોતો

    માનવજાતના માથા પર
    તોળાઈ રહેલી તાતી તલવાર;
    ભયાનક ભવિષ્યના કાળઝાળ ઓથારનો
    ઉવેખી ન શકાય તેવો,અચૂક અણસાર.

    પથ્થરયુગથી સ્પેસમાં પહોંચેલો કાળા માથાનો ( કે, બીજા ગમે તે રંગના માથાનો), માથા ફરેલ માનવી કશોક ઊકેલ તો શોધી જ કાઢશે; અથવા સૌથી બળિયો બીજા બધાંને ઢાળી દઈ,  એકદંડિયા મહેલમાં મિત્રમંડળ, કુટુમ્બ કબીલા સહિત મઝેથી મહાલશે. પણ, આજે તો સાબુ પર સાબુ મૂકો અને એ પળને થોડીક આઘી ધકેલો – પથ્થરયુગમાં પાછા ધકેલાઈ જવામાંથી બચવાનો ઊકેલ મળી જાય તે પહેલાં.

    –  ૨ –

    સાબુની નાનકડી પતરી હવે તો સાવ નાની થઈ ગઈ છે. મોટા સાબુમાં ઓગળવાની પ્રક્રિયા લગભગ પતવામાં જ છે. એની મોટા ભાગની જાત પાણી સાથે ઓગળીને વહી ગઈ છે. હવે દ્વૈતનું અદ્વૈતમાં રૂપાંતર થવાનું છે.

    સમજુને બીજું કશું કહેવાની જરૂર છે ખરી?

    – 

     નવા સાબુની ઉપર ચોંટાડેલો નાનકડો, જૂનો સાબુ અને તેનીય ઉપર ચોંટાડી છે – ટચૂકડી, ત્રણેમાં સૌથી જૂની પતરી.   જે સૌથી નાનો છે; તે સૌથી જૂનો છે. કદાચ સાબુના એ ભાગને વાપરવામાં ન આવે; તો તે એમનો એમ રહે અને મોટા દેખાતા સાબુભાઈ પણ નાનકડા બની જાય. સાબુની નવી પેઢી આવે અને તેમને ઓલ્યા વડીલોની વચ્ચે ધકેલી દે! ત્રણને બદલે ચાર પડ બની જાય – એમ પણ બને!

    આપણા મન પર તો આવાં કેટલાંય પડ છે. સાબુ તો શું, ડુંગળીનાં કે કોબિજનાં પડ પણ એની આગળ કોઈ વિસાતમાં નથી. કદાચ ઉત્ક્રાન્તિની પ્રક્રિયાથી સંઘરાયેલાં અનેક પડ/ ડી.એન.એ. જન્મતાંની સાથે આપણને આપી દે છે. જેમ જેમ મો ટાં થતાં જઈએ છીએ; તેમ તેમ બીજાં અનેક ઊમેરાતાં જાય છે. પેલાં જૂનાં તો બહુ સૂક્ષ્મ હોય છે – આપણી મોટા ભાગની પ્રતિક્રિયાઓ  આ જૂના, રૂઢ થઈ ગયેલા, વજ્રલેપ બની ગયેલા  સંસ્કારો થકી હોય છે.

    એમને અતિક્રમી અંદરના પોતને ઝળહળાવવા બહુ કઠણ તપ કરવું પડે છે. જેમ જેમ આ પડ ઉકેલાતાં જાય છે; તેમ તેમ જૂનાં ઊભરવા માંડે છે. જેમ મોટા સાબુને ઓગાળવો વધારે સરળ છે; તેમ નવા વહેમો જલદી ઓગળી શકે છે. પણ એ બુડ્ઢા ખખ કેમેય જવાનું નામ નથી લેતાં!

    નવા જમાનાની રીત વધારે સારી. જૂની પતરીઓને આમ સંઘરવા કરતાં ફેંકી દઈ, સાવ નવો નક્કોર સાબુ જ વાપરવો!

    – 

           સ્ટોરમાં ફરતાં સાબુઓની થપ્પી પર નજર કેન્દ્રિત થઈ, અને એક વિચાર સ્ફૂર્યો. ત્યાં તો ફોટો પડી શકે તેમ ન હતું; આથી ઘેર આવી, ઘરના સ્ટોરમાંથી કાઢીને આ ફોટો પાડ્યો –

    ઉપરા ઉપરી ત્રણ સાબુ મૂકેલા છે. અથવા એમ દેખાય છે! જે દેખાય છે; તે સાબુ નથી. રેપર છે. અંદર સાબુ હોય કે ન પણ હોય! આપણી નજર સામે માણસ દેખાય છે.એ માણસ હોય કે ન પણ હોય!  મોટા ભાગે આપણે રેપર – મહોરાં જ જોતાં હોઈએ છીએ. અને આપણે ખુદ પણ રેપર જ – અનેક મહોરાં જ.

    બીજી રીતે કહીએ તો,  આપણે બાહ્ય દેખાવ પરથી જ અનુમાન બાંધી લેવા ટેવાયેલા હોઈએ છીએ. મૂળ તત્વ ક્યાં સહેલાઈથી જોઈ શકાતું હોય છે?

    – 

     બાથરૂમમાં જતાં સાબુ પર નજર ગઈ. ગયા શુક્રવારે જ નવો કાઢ્યો હતો. જૂનો કોણ જાણે ક્યાં હતો! પણ ગઈકાલે એ જૂનો સાબુ હાજર થઈ ગયેલો દેખાયો- નવા પર સવારી કરીને જ તો!   બે જણ થોડા દિવસ અલગ અલગ રહ્યા હતા. નવાની ઉપર જૂનો મૂકીએ તો અળગો જ રહે. પણ આજે બે એકરૂપ થઈ ગયા હતા – અલગા કરવા હોય તો પણ ન થાય.    ચપટિક કે ચમચિક  પાણીનો પ્રતાપ. થોડું અમથું જ પાણી – પણ બન્નેની સપાટીઓને સ્નિગ્ધ કરી નાંખે. એ સ્નિગ્ધ સપાટી સૂકાતાં સૂકાતાં સાબુનો ચીકણો રસ બન્નેને એટલો તો વળગે; કે બેય સાબુ એકરૂપ થઈ જાય.

    પાણી એટલે જીવન. કોઇ સજીવ એના વિના જીવિત ન રહી શકે. પણ અહીં તો નિર્જીવ સાબુમાંય એણે કમાલ કરી હતી. છૂટા રહેલા બે સાબુને ભેગા કરી દીધા હતા.

    પાણીના કેટકેટલા ગુણ? જીવનને પ્રગટાવે, પોષે, વર્ધન કરે; અને નિર્જીવને પણ જોડે. એવું જ સજ્જનનું પણ હોય છે ને? મૈત્રીભાવ જગાવે.  સદભાવનાને વ્યાપક કરે. છૂટા પડી ગયેલા વચ્ચે મનમેળ કરાવે. મંગળભાબનાને ઉદ્દીપિત કરે – જાતે સૂકાઈને પણ.

    भवतु सब्ब मंगलं


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૧

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ચોમાસું આપણું આગવું

    પરેશ ૨. વૈદ્ય

    ચોમાસું એ શબ્દશઃ આપણી જીવનદોરી છે. આપણી જિંદગી જોડે એ ચૂપચાપ વણાયેલું છે. તમે શહેરમાં રહેતા હો કે ગામડામાં, ખેતી કરતા હો કે ઉદ્યોગમાં રોકાયેલા હો કે પછી સમાજસેવક હો, ચોમાસાં જોડે તમને સંબંધ છે જ. કદાચ તમને જ તેની જાણ ન હોય તો પણ. સારાં અને ખરાબ ચોમાસાંનો તફાવત તહેવારોની ઉજવણીના ઉત્સાહમાં, રોજેરોજ મળતાં પાણીના ક્વોટામાં અને છેવટે બજાર ભાવોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે.

    આપણાં અસ્તિત્વના એક ભાગ જેવું આ ચોમાસું એક આશ્ચર્યકારક ઘટના છે તે વાત તરફ આપણું ધ્યાન નથી ગયું. એની મહત્ત્વની વિશેષતા એ છે કે તે માત્ર ભારતીય ઉપખંડની પ્રજા માટે કુદરતે સર્જેલી એક આગવી પ્રક્રિયા છે. વરસાદની એક જુદી ઋતુ બીજે નથી હોતી. યુરોપ કે અમેરિકામાં ‘ચોમાસું’ નામે કોઈ ઋતુ નથી. અંગ્રેજી શબ્દ ‘મોન્સૂન’ ખરું જોતાં અરબી શબ્દ “મૌસીમ“નો અપભ્રશં છે અને ચાર માસ જોડે તેને સંબંધ છે. આપણા દેશમાં પણ હવામાનશાસ્ત્રીઓ માટે ‘મોન્સૂન’ શબ્દનો એક ખાસ અર્થ છે જે નૈઋત્યમાંથી આવતા પવનોની ઓળખાણમાં વપરાય છે.

    દુનિયામાં બીજા પણ બે પ્રદેશ છે જ્યાં આપણા જેમ વરસાદની જુદી ઋતુ હોય. પ્રશાંત મહાસાગરને પશ્ચિમ કિનારે ઈન્ડોનેશિયા-મલેશિયા વગેરે ટાપુઓનો સમૂહ અને ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડમાં અમુક ભાગ એ એક પ્રદેશ. બીજો થોડો વિસ્તાર પશ્ચિમ આફ્રિકામાં છે જ્યાં નિયત સમયે વરસાદ થાય છે. સાથેનાં ચિત્રમાં વિશ્વના નકશામાં એ બતાવ્યા છે. આ બધા વિસ્તાર વિષુવવૃત્તની આસપાસ જ છે. આ મર્યાદિત ક્ષેત્રોને બાદ કરતાં વિશ્વમાં બીજે બધે વરસાદ તો છે પણ તેની જુદી ઋતુ નથી. કેટલાકને બારે માસ પાણી વરસે છે તો કેટલાકને નહીં જેટલું. વર્ષાને ચોક્કસ ટાઈમટેબલ કે દિશા પણ નથી.

    ચિત્ર ૧ : ચોમાસાની ઋતુ હોય તેવા વિશ્વના વિસ્તારો

    આ કારણે આ ‘ખાસ’ ચોમાસાંનો આપણી જિંદગી જોડેનો તાલમેલ પણ એવો છે જે વિશ્વમાં બીજે નથી. એક રીતે એણે જાણે આપણી સંસ્કૃતિ જ ઊભી કરી આપી છે, જે આપણી આગવી છે. જેઠ મહિનાથી જ, કુટુંબમાં આવનારાં બાળકની જેમ આવનારાં ચોમાસાંના આકાર-પ્રકારની વાતો માત્ર ખેડૂતો જ નહીં પણ બધા કરવા લાગે છે. મકાનને રંગ કરવો હોય તો ચોમાસું પૂરું થવાની રાહ જોવાય છે અને અગાસીમાં ડામર તેનાથી પહેલાં લગડાવી દેવાની ઉતાવળ હોય છે. છાપામાં છત્રીની જાહેરખબરો મે મહિનાથી શરૃ થાય છે અને સપ્ટેમ્બર પછી દેખાતી નથી.

    ગળતી છતને ઢાંકવા માટેનાં પ્લાસ્ટિકના તાકા અને વરસાદી બૂટ મુંબઈના ફૂટપાથ પર દેખાવા લાગે કે તરત દરેક જણ પોતાનાં માળિયાં પર આ ચીજોનો સ્ટોક છે કે નહીં તે વિચારી લે છે. શાણી સુધરાઈઓ ગટરો સાફ કરાવવાનું શરૃ કરે છે તો ગામડામાં સહકારી મંડળીઓ બિયારણની વહેંચણીનાં ટાઈમટેબલ ઘડવા લાગી જાય છે. આપણી એસ.ટી. બસોનું એક જુદું ચોમાસું સમયપત્રક છે ! એ ભલે આપણા રસ્તાઓની હાલતની ચાડી ખાતું હોય પણ બતાવે છે કે ચોમાસું આપણી વ્યવસ્થાનું એક અંગ છે. જૈન મુનિઓની જેમ ચાતુર્માસ ન પાળનારા પણ આ ચાર માસની લયમાં ચાલે છે. આ બધું કરતી વખતે એ ખ્યાલ આપણને નથી હોતો કે આ પળોજણ અને તેનો આનંદ કે ત્રાસ એ બધાં આપણાં આગવાં છે – લાખેણાં છે.

    એટલે જ અષાઢને પ્રથમ દિવસે વાદળાંને પોતાના પ્રેમિકા માટે સંદેશો લઈ જવાની આજીજી કરતા યક્ષની કલ્પના વર્ડઝવર્થ કે કીટ્સ ને નહીં આવી, પણ આપણા કાલિદાસને આવી. એણે તો પોતાના ગામ રામટેક (મધ્યપ્રદેશ)થી છેક માનસરોવર સુધીનો મેઘનો યાત્રામાર્ગ પોતાનાં કાવ્ય ‘મેઘદૂત’માં દોરી કાઢયો છે ! આપણા એક બીજા કવિને થોડી જુદી અનુભૂતિ થઈ — તેણે ગાયું કે “મન મોર બની થનગાટ કરે.” હેમૂ ગઢવી અને કોરસે આ એવું તો ગાયું છે કે ઉનાળામાં સાંભળો તોય અષાઢ આવ્યો હોય તેવો થનગનાટ અનુભવાય છે.

    હવામાન અને સંસ્કૃતિ

    યુરોપનાં નિરભ્ર આકાશને જોઈને ત્યાંના કવિઓએ બાળકો માટે લખ્યું:

    ટ્વિંકલ ટ્વિંકલ લિટર સ્ટાર, હાઉ આઈ વન્ડર વૉટ યુ આર.’

    તો ચોમાસાંથી લથબથ આપણા શિક્ષણશાસ્ત્રીઓને આ ગીત વધુ યોગ્ય લાગ્યું:

    આવરે વરસાદ, ગેબરિયો પરસાદ
    ઉની ઉની રોટલી, ને કારેલાનું શાક.’

    સમગ્રપણે જુઓ તો ચોમાસાંની ઘટનાએ આપણને એક અલાયદી સંસ્કૃતિ ઘડી આપી છે. આધુનિક સમયમાં રોજિંદુ પાણી ભલે નદીને બદલે નળમાંથી આવતું હોય પરંતુ કાવ્યથી માંડીને અર્થતંત્ર સુધી ચોમાસાંની છાપ છે તે નકારી શકાય તેમ નથી. એવું આ ચોમાસું કેમ ઉદ્ભવે છે અને એ આપણું આગવું કેમ છે તે જાણવાની ઉત્કંઠા થવી સ્વાભાવિક છે. આપણા દેશની ભૂગોળ – હિંદ મહાસાગર સામેનું તેનું સ્થાન – અને વિજ્ઞાનના સાદા સિદ્ધાંતોનાં સુભગ મિલનના કારણે આ થાય છે. આવતાં પ્રકરણોમાં એની રસપ્રદ વાતો કરીએ.


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.


    ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN ‏ : ‎ B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.

  • સ્મૃતિસંપદા – આવકાર

    ૨૦૨૩માં ‘ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ’ અને ગુર્જરીના સહયોગથી, સુશ્રી રેખાબહેન સિધલ સંપાદિત એક પુસ્તક ‘સ્મૃતિસંપદા’  પ્રકાશિત થયું. તેમાં અમેરિકા નિવાસી ૧૫ લેખકોએ પોતાની અનુભવ ગાથા લખી છે.

    ગયા બુધવારે આપણે આ પુસ્તકના વિષય્ને વિસ્તારથી સમજાવતું સુશ્રી રેખાબહેન સિંધલનું નિવેદન વાંચ્યું.

    આજે શ્રી કુમારપાળ દેસાઈ દ્વારા પુસ્તકને આવકરતાં આ મુજબ કહેવાયું છેઃ

    ‘રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે.

    જુલાઈ મહિનાથી દર બુધવારે આપણે આ પુસ્તકનો ક્રમશઃ આસ્વાદ કરીશું.


    રેખા સિંધલના ‘સ્મૃતિસંપદા’ પુસ્તકની સાથે ગુર્જરીની ગ્રંથશ્રેણીનો શુભારંભ થઈ રહ્યો છે, ત્યારે મૌલિક અનુભૂતિઓના એક નવા આકાશના ઉઘાડનો અનુભવ થાય છે. માતૃભૂમિની મમતા, કુટુંબીજનોનો સ્નેહ અને દેરાની સંસ્કૃતિનાં મૂલ્યો સાથે વ્યક્તિ જ્યારે અમેરિકાની નવી દુનિયામાં પ્રવેશ કરે છે, ત્યારે એની સામે એકાધિક પડકારો હોય છે. માત્ર એક વ્યક્તિ બીજા દેશમાં પ્રવેશતો નથી, બલ્કે એક સંસ્કૃતિની વિરાસત લઈને બીજી પડકારભરી સંસ્કૃતિમાં ડગ માંડતો હોય છે. ક્યાંક પ્રાપ્ય જીવનમૂલ્યોને સાચવવાની ખેવના હોય, ક્યાંક માતા કે માતૃભૂમિ પ્રત્યેનું અદમ્ય ખેંચાણ હોય અને એ બધું સ્મૃતિપટલ પર સ્થિર થઈને બેઠું હોય અને સામે ભિન્ન પરિસ્થિતિ, અજાણ્યા લોકો, આગવી જીવનશૈલીનો પડકાર ઝીલવાનો હોય.

    ‘સમૃતિસંપદા’ પુસ્તકમાં પંદર જેટલી વ્યક્તિઓના અમેરિકાની ભૂમિ પરના અનુભવો એમના હદયની લિપિથી લખાયેલા મળે છે. આમાં કેટલાક તો દેશ અને વિદેરામાં પોંખાયેલા સર્જકો છે, તો વળી કોઈએ પોતીકા કૌવતથી અમેરિકાના અર્થતંત્રને સુધારવામાં ભૂમિકા ભજવે છે તો કોઈ અવકારવિજ્ઞાનમાં ઉચ્ચસિદ્ધિ હાંસલ કરનાર મહાનુભાવ છે, પરંતુ આ “રમૃતિસંપદા’ની મજા જ એ છે કે એમાં વ્યક્તિની સિદ્ધિને બદલે એણે ખેડેલા સંઘર્ષોનો આલેખ મળે છે. કેવી ભિન્ન ભિન્ન પરિસ્થિતિમાં અને કેવાં જુદાં જુદાં ધ્યેય સાથે આ વક્તિઓએ નવી દુનિયાના સાવ નોખા-અનોખા પડકારો ઝીલ્યા છે, એની હૃદયસ્પર્શી અનુભવકથા મળે છે. અને એને કારણે જ આ પુસ્તકમાં એક મોટી કશ્મકશ આલેખાઈ છે.

    પોતાનાં જીવનમૂલ્યો સાચવીને પરાઈ ધરતી પર જીવવાનું હોય, વળી અવિરત કાર્ય કરતાં ક્યારેક હતાશા કે નિરાશાનો અનુભવ થતો હોય, ધાર્યું ન હોય તેવી રીતે પડકારો સામે વીઝાતા હોય અને એની વચ્ચેથી એમણે કઈ રીતે પોતાનો માર્ગ શોધ્યો અને ભલે ‘એકલો જાને રે’ જેવી સ્થિતિ હોય, છતાં હિંમત હાર્યા વિના એ ક્ષેત્રમાં પ્રગતિ કરી. કલ્પના કરીએ કે સાવ અજાણ્યો દેશ, અજાણી ધરતી અને અજાણ્યા લોકો વચ્ચે એકલ પ્રવાસિની પ્રીતિ સેનગુપ્તાને શું સહન કરવું પડયું નહીં હોય? એમના સંકલ્પની કેવી કેવી કસોટી થઈ હશે? એનો આલેખ અહીં મળે છે.

    ગાંધીપ્રભાવની સાથે અમેરિકાના ન્યૂજર્સી વૉશિંગ્ટન ડીસીના અર્થતંત્રને સુધારવાની સિદ્ધિ મેળવનાર શ્રી નટવરભાઈ ગાંધીએ કેવા કેવા પ્રશ્નોનો સામનો કર્યો હશે અને એમાંથી કઈ રીતે નવું માર્ગદર્શન આપ્યું હશે. એમની કવિતામાં આંતરજીવનનો આલેખ મળે છે અને જયંત મહેતા જેવા તો જ્યાં ટી.બી.ના અનેક દર્દીઓ હતા એવા જ્હોન્સન સિટીના ગ્રામીણ વિસ્તારમાં કાર્ય કરે છે, ત્યારે અમેરિકાથી ભારતમાં આવીને કાર્ય કરનારા ડોક્ટરો અને સમાજસેવકોનું સ્મરણ થાય છે. ડૉ. વિક્રમ સારાભાઈથી  પ્રભાવિત એવા કમલેશ લુલ્લાએ મેળવેલી સિદ્ધિની વાત અહીં દેવિકા ધ્રુવ દ્વારા મળે છે તો દેવિકા ધ્રુવમાં ભારતના ભૂતકાળના અનુભવો અને અદ્યતન ટેકનૉલોજી બંનેનો વિરલ સમન્વય દષ્ટિગોચર થાય છે. બાબુ સુથાર જેવા આપણા બહુશ્રુત, ભાષાવિજ્ઞાન અને લેખકની વાત અહીં મળે છે. તો ડૉ. દિનેશ શાહની કાવ્યરચનાઓ તો અમે સહુએ અમદાવાદમાં પણ માણી છે. અશોક વિદ્રાંશ, સરયૂ દિલીપ પરીખ, રેખા સિંધલ, ડૉ. ઈંદુ રમેશ શાહ, મનસુખ વાઘેલા, સપના વિજાપુરા, જગદીશ પટેલ અને અરવિંદ થેકડીના અમેરિકામાં સ્થાયી થયા પછીની ગડમથલના અનુભવો ગુજરાતી પ્રજાના વણઝૂકતા ખમીરની ઝાંખી કરાવે છે.

    અહીં વ્યક્તિ વિકાસ સાધવા આવે છે, પણ એણે પોતાની સંવેદના સુપેરે જાળવી રાખી છે. અહીં જન્મભૂમિ અને કર્મભૂમિ વચ્ચેનો ભેદ નથી, બલ્કે એ બંનેનું વહાલભર્યું મિલન છે. આ અનુભવોમાં પરાયી ધરતી પર જીવનવિકાસ ઝંખનારાઓને માટે સામે આવતા પડકારોને કઈ રીતે ઝીલી શકાય અને એમાંથી પાર ઊતરી શકાય એની કેટલીયે ચાવીઓ આપે છે.

    અહીં આલેખાયેલા અનુભવો, મુશ્કેલીઓનો કરેલો સામનો, પ્રગતિ માટેની જહેમત, માતૃભાષાના સાહિત્યને ખીલવવાની કોરિશ એ. સઘળું અન્ય સહુ કોઈને પથદર્શક બને તેવું છે. દેશ અને વિદેશના સીમાડાઓ ભૂંસીને એ વ્યક્તિના ભીતરમાં રહેલા બળને જાગૃત કરે છે.

    કુમારપાળ દેસાઈ
    ૧૩-બી, ચંદ્રનગર સોસાયટી,
    જયભિખ્ખુમાર્ગ, પાલડી,
    અમદાવાદ-380 007
    kumarpald1@gmail.com

  • ગાંધીજીની ક્સ્તૂરી : બા

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    હિંદુ ધર્મ જીવનને ચાર ખંડોમાં વહેંચે છે. એ ખંડોનું હિંદુઓની આરણ્યક સંસ્કૃતિની અસર હેઠળ ‘આશ્રમ’ એવું નામાભિધાન કરવામાં આવ્યું છે. આ આશ્રમો અનુક્રમે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ છે. મનુષ્યના જીવનનો તે સમયના લોકશિક્ષકો એવા ૠષિઓએ દોરેલો આ એક આલેખ છે. માનવી જો આ ક્રમાનુસાર જીવનને પસાર કરે તો એની જીવનયાત્રા સહજ રીતે વિકસિત થતી રહે એવો એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ આની પાછળ કામ કરતો જણાય છે.

    આ ક્રમમાંથી પસાર થતા માનવને માટે જીવનનો કોઈ અનુભવ કરવાનો રહી જતો નથી. આથી એ અંતે પરિપકવ સિદ્ધ થઈને બહાર પડે છે. આ ચાર આશ્રમોમાંથી જ હિંદુ ધર્મના ચાર પુરૂષાર્થો ધર્મ, અર્થ, કામ ને મોક્ષ સિદ્ધ થાય છે. આ ચારેય પુરુષાર્થોમાંથી પસાર થવાની અનિવાર્યતા ડાહ્યા માણસોએ જોઈ છે. આથી જ તો ‘ભાગવત’માં નોંધાયું છે તે મુજબ મહર્ષિ વ્યાસ શુકદેવને પ્રમાણિત કરવા માટે વિદેહી એવા જનક રાજા પાસે મોકલે છે. રાજા જનક પણ શુકદેવના સંન્‍યાસને, જો એ શુકદેવનો સંન્યાસ ન હોત તો, આત્યંતિક ગણે છે કેમકે એ બીજા ત્રણ આશ્રમોના પુરુષાર્થોમાંથી  પસાર થયા વિનાનો છે !

    ભારતમાં યુગની માંગ પ્રમાણે, દરેક સમયે જે મહાત્માઓ અવતર્યા, બલકે તેમનો આશ્રય લઈને સત્ય અવતર્યું તેમાં વૈવિધ્ય છે. રઘુવંશના રાજાઓ, શિબિ, જનક જેવા મહર્ષિ સમાન રાજર્ષિઓ ૠષિઓએ આંકેલી જીવનરેખાને રસ્તે ચાલીને ક્રમશ: વિકસ્યા, પરંતુ યુગ બદલાતાં આપણને બુદ્ધ અને મહાવીર જેવા યુગપુરુષો સાંપડ્યા, જેમના જીવનમાં અચાનક વળાંકબિંદુ આવ્યું. આ મહાપુરુષોએ આશ્રમવ્યવસ્થાને કાપી નાખીને, તેનું અતિક્રમણ કર્યુ. જીવનને એક છલાંગે નાથીને સત્યનો મહિમા કરવામાં તેઓ આગળના મહાપુરુષોથી જુદા પડ્યા.

    બુદ્ધ અને મહાવીરના સમયથી આગળ આવતાં, આધુનિક યુગમાં સત્યનું સંસ્થાપન નવી રીતે થયેલું જોવા મળ્યું. સત્ય કેટલીકવાર સામાન્‍ય દેખાતા મનુષ્યમાં પણ આશ્રય લઈને વિસ્ફોટક રીતે અવતરી શકે છે તેનું ઉત્તમ દૃષ્ટાંત આ સદીમાં મહાત્મા ગાંધીએ પૂરું પાડયું. કાઠિયાવાડી કુટુંબમાં, સામાન્ય દેખાવ, સામાન્ય સમજ ધરાવતા મોહનદાસ કરમચંદ ગાંધીમાં કોઈ અકસ્માતે સત્યનો ગર્ભ રહ્યો જે શાંત ભાવે જન્મ્યો, ઊછર્યો, વિકસ્યો ને પરાકાષ્ઠાએ પહોંચ્યો. દુનિયાભરના મહાપુરુષો, ચિંતકો, વિચારકો, પ્રજાસમગ્ર સત્યનું આ પ્રકારનું પ્રાકટ્ય એક પ્રકારના વિસ્મયથી નિહાળી રહ્યાં.

    ગાંધીજીમાં ઊછરતું સત્ય ક્રમશ: વ્યાપક પણ બન્યું. તેમના સત્યના ચેપથી અનેક લોકો તેમના ભણી ભારે આકર્ષાયા ને ગાંધીજીનો વિસ્તાર વધતો ગયો. એમના આરંભકાળના જીવનમાં, કૌટુંબિક દૃષ્ટિએ ગાંધીજી કદાચ એકલા હતા. માતા-પિતા તો અભ્યાસ દરમિયાન જ મૃત્યુ પામેલાં. મોટા ભાઈ ને ભાભી સાથે સ્નેહનો સંબંધ રહ્યો પણ ગાંધીજીના આફ્રિકાવાસને કારણે આ સંબંધોમાં નિકટતા ઓછી થતી ગઈ. વળી ગાંધીજીની સત્યનિષ્ઠા ને સિદ્ધાંતનિષ્ઠા પણ તેમના સંબંધોનું પોત પાતળું રાખવાનાં કારણો બન્યાં. આ સંજોગોમાં માત્ર પત્ની કસ્તૂર જ તેમની બાજુમાં હતાં. ગાંધીજીની બાજુમાં રહેવાનો શો અર્થ હતો એનો અંદાજ તો ‘આત્મકથા’માં ગાંધીજીએ આપ્યો જ છે. આ ઉપરાંત ગાંધીજીના મિત્રોએ તેમના પર કરેલા નર્મ-મર્મો પરથી પણ આ વાત સમજાય તેમ છે.

    ગાંધીજીનું જીવન એક પ્રકારની તપસ્યા બની રહ્યું તો કસ્તૂરબાનું જીવન બીજા પ્રકારની. ગાંધીજીનું તપ મૂલ્યોને ખાતર હતું, બાનું પતિને ખાતર. પહેલા તપનું તો એક પરિણામ પણ મળવાનું હતું  જ્યારે બીજા તપની ફલશ્રુતિ માત્ર પ્રેમ ને આત્મસંતોષમાં જ સમાયેલી હતી. આથી સ્વાભાવિક રીતે જ બીજું તપ વધારે ચડિયાતું સિદ્ધ થતું હતું.

    કસ્તૂરબાના જીવનને તપાસતાં તેમને કયા પ્રકારની સ્ત્રીમાં મૂકવાં એવો પ્રશ્ન સહેજે થાય. ગાંધીજી પહેલાંના આપણા દેશના મહાપુરુષોની પત્નીઓએ ક્યાંક તો પતિથી પણ આગળનું સ્થાન ભોગવ્યું છે તેમની વિદ્યાપ્રીતિને લઈને, ગુણવાન હોવાને કારણે કે રૂપની અસાધારણતાને લીધે.  કસ્તૂરબા માટે આમાંનું કોઈ ધોરણ કદાચ કામ ન લાગે. તેનું એક કારણ એ છે કે જીવનના પ્રારંભે જો ગાંધીજી સામાન્‍ય વ્યક્તિ હતા તો બા પણ સામાન્‍ય જ હતાં. ગાંધીજી માનવીમાંથી મહાત્મા બન્યા એ આખીય યાત્રામાં બાનો અસાધારણ સાથ હોવા છતાં એમણે પતિનું અનુકરણ કરવાનો કોઈ પ્રયત્ન કર્યો નથી. તેમના વ્યક્તિત્વનાં જે પાસાંઓ આકર્ષે તેવાં છે તે તેમનાં પોતીકાં છે, ગાંધીચીંધ્યાં નથી. વ્યક્તિત્વની આ મૌલિકતાને લઈને કસ્તૂરબા સૌથી વધુ ધ્યાન ખેંચનારું મહિલા પાત્ર બની રહે છે. તેમનાં ચરિત્રને તપાસીને તેમને પ્રણમવાનું કે તેમના પગલે ચાલવાનું મન થવાને બદલે એક પ્રકારનો મૈત્રીમિશ્રિત આદરનો ભાવ જાગે છે, સાથોસાથ સુખદ આશ્ચર્ય પણ જન્મે છે.

    સને ૧૮૬૯ના એપ્રિલમાં, પોરબંદરમાં, ગાંધીજીથી છ માસ પહેલાં જન્મેલાં કસ્તૂરબા તેર વર્ષની ઉંમરે જ સાદા-સીધા મોહન સાથે દામ્પત્યની ગાંઠે ગંઠાયાં ત્યારે મહાન નારી થવાનાં ઝાંખાં-પાંખાં ચિહ્નો પણ તેમનામાં વરતાયાં નહોતાં. સંસારની માંડણીનાં આરંભકાલીન વર્ષોમાં મોહને તેમના પર “ધણીપણું” અજમાવવા યત્ન કર્યો છે તો સામે પક્ષે કસ્તૂરબા પણ “ધણિયાણી” થઈને પતિના પ્રયત્નોને નિષ્ફળ કરવામાં સફળ થયાં છે. પોતાની રજા વિના પત્ની ક્યાંય બહાર ન જાય એવું ઇચ્છતા ગાંધીજીને કસ્તૂરબાએ ધાર્યું કરવા નથી જ દીધું. ગાંધીજી જેમ તેમના પર દાબ મૂકે તેમ કસ્તૂરબા વધારે છૂટ લેવાની હિંમત બતાવે.

    પાછળથી પોતાનાં આ ‘ધણીપણા’ વિશે જાગ્રત થયેલા ગાંધીજીએ કસ્તૂરબા પાસે તેનો એકરાર કરતા એક પત્રમાં લખ્યું છે : ‘આત્મબળ વગરનું બીજું બળ જ નકામું છે. એવું આત્મબળ મોટેભાગે બહેનોમાં જોવામાં આવે છે. તારા અને મારા જીવનનો તો એ સચોટ પુરાવો છે જ, …જો ને, મેં તારા પર કેટલી વાર ધણીપણું અજમાવ્યું છે ? આજે એનો વિચાર કરું છું ત્યારે એ ધણીપણાનો તેં આત્મબળથી મારી સામે જે જવાબ આપ્યો છે તે

    જ મારે મન ઈશ્વરી બક્ષિસ છે, અને એ પરથી જ હું માનું છું કે હિંદની સ્ત્રીઓનો જો વિકાસ સાધવામાં આવે અને સ્ત્રીઓમાં પડેલું સુસ્ત આત્મબળ જાગ્રત થાય તો તેઓ દેશનો વાનપલટો કરી શકે.’

    કસ્તૂરબાએ જે કર્યું છે તે આ. પોતામાં સુષુપ્ત રીતે પડેલાં આત્મબળને સમય- સંજોગ આવતાં તેમણે સંકોર્યું છે, મક્કમ નિર્ણયાત્મકતાથી. ગાંધીજીની ને બાની બાલ્યાવસ્થાથી જ બાનાં આ આત્મબળે કોર કાઢી છે. હાઈસ્કૂલમાં ભણતા ગાંધીજીએ જ્યારે એક વ્યસની મિત્રની સોબતને લઈને દારૂને માંસાહારનું સેવન કરેલું ત્યારે તેમને વારવામાં માતાપિતાની સાથે કસ્તૂરબાએ પણ પતિ સામે વાંધો નોંધાવેલો. બાના સ્વતંત્ર મિજાજની આ પહેલી ઓળખ હતી.

    બાની યુવાનીનો ઘણો સમય પતિથી જુદા રહેવાનો ગયો છે. એ સમયગાળામાં તેમની લાગણીઓ શી હશે તે વિશે બહુ જાણવા મળ્યું નથી. છેક ૧૮૯૩માં ગાંધીજી બીજી વાર દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે બાને સાથે લેતા ગયા છે. આટલા સમય સુધી, એટલે કે ૧૮૮૨થી ‘૯૩ સુધીમાં આ દંપતીને પરસપર ઓળખવાનો, પારખવાનો સમય જ મળ્યો નથી. પહેલાં ભણવા ને પછી નોકરી અર્થે વિદેશ ગયેલા ગાંધીજીનું અંગત કહેવાય એવું જીવન ૧૮૯૩ સુધી બહુ ઓછું ઊપસી શક્યું છે. આ સમયગાળા દરમિયાન કસ્તૂરબાનું અસ્તિત્વ જ જાણે કે વિસરાઈ ગયું છે. ગાંધીજીનો તેમના સાથેનો કોઈ પત્રવ્યવહાર પણ થયો જણાતો નથી. કદાચ એમાં જુનવાણી સમાજવ્યવસ્થા ને કુટુંબવ્યવસ્થા પણ જવાબદાર હોય.

    દેશમાં રહેતા તે દરમિયાન ગાંધીજીએ પત્નીને એક સ્ત્રી તરીકે જ જોઈ છે એવી કબૂલાત ‘આત્મકથા’માં અનેક જગાએ તેમણે કરી જ છે. દક્ષિણ આફ્રિકામાં આ દંપતીનું શરૂ થયેલું દામ્પત્યજીવન આરંભથી જ બા માટે કસોટીભર્યું બની રહે છે. સુધરેલા ગણાવાની હોંશમાં બાપુએ કુટુંબમાં યુરોપિયન પોશાક દાખલ કર્યો, જેમાં બૂટ-મોજાં જેવી વસ્તુઓ હતી, જે બાને પસંદ ન પડી. તેવું જ ખાવામાં વપરાતા છરી-કાંટા અંગે થયું.
    પછીથી બાપુનો મોહ ઊતરતાં વળી એ બધું છોડવાનું થયું. આથી ફરી મુશ્કેલી સર્જાઈ. આ બધી કસ્તૂરબાની નાની-નાની કસોટીઓ હતી.

    ૧૯૦૬માં, લગભગ ૩૬-૩૭ વર્ષની ઉંમરે ગાંધીજીએ પોતાના જીવનમાં બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કર્યો એને બાની મોટી કસોટી કહી શકાય. આ બાબતમાં પતિને સમ્મતિ આપવી એ કંઈ જેવી તેવી વાત નહોતી. પરંતુ બાનો બાપુને આ બાબતમાં સંપૂર્ણ સહયોગ મળ્યો. આ ક્ષણથી જ કસ્તૂરબાએ એક સ્ત્રી મટીને સાધ્વી બનવાની શરૂઆત કરી એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કદાચ આ જ ક્ષણથી તેઓ ‘બા’ પણ બન્યાં. સ્ત્રી જ્યાં સુધી કોઈની પત્ની હોય છે ત્યાં સુધી એ ‘સ્ત્રી’ રહે છે. પુરુષના ઉપભોગનું સાધન મટતાંવેત એના માતૃત્વનો ઉદય થતો હોય છે. કસ્તૂરબાના માતૃત્વનાં મૂળ આ ક્ષણમાં પડેલાં હશે. પાછળથી જેઓ રાષ્ટ્રપિતાનાં પત્નીને નાતે રાષ્ટ્રમાતા બનવાનાં હતાં તેનો આ ક્ષણે પ્રાદુર્ભાવ થયો ગણાય.

    બ્રહ્મચર્યનું પાલન કસ્તૂરબા માટે તો બાપુ કરતાંયે મોટી સિદ્ધિ ગણાય કેમ કે ગાંધીજી માટે તો એ સંકલ્પ હતો, જ્યારે બા માટે હતો માત્ર સ્વીકાર, પોતાની ઇચ્છાથી કરેલું વ્રત. ગાંધીજીને આ વ્રતનું પાલન કરવા માટે ખૂબ મથવું પડયું છે પણ કસ્તૂરબાને એવી કોઈ મથામણ થઈ હોવાનું જણાતું નથી. ક્યારેક તો એવું પણ કહેવાનું મન થાય છે કે બ્રહ્મચારી થયા પછીના ગાંધીજીને બાએ વધુ ચાહ્યા છે. બાને કદાચ ‘પતિ’ મોહનદાસ સાથે મતભેદ છે, પણ પછીથી ‘મહાત્મા’ મોહનદાસ સાથે ઓગળવું તેમને ખૂબ જચ્યું છે. કારણ કે પછીથી તેમનું પુરુષપણું તેમના વ્યક્તિત્વમાંથી બાદ થયું છે. કોઈ પણ સ્ત્રીની એક તબક્કે આ માંગ હોય છે જેનો
    લાભ કસ્તૂરબાને જ સાંપડયો છે. આ લાભ સાંપડતાંવેત બા, ગાંધીજીનાં પત્ની મટીને શિષ્યા થઈ ગયાં છે. અવિકારી બનેલા મહાત્મા ગાંધી સાથે તાલમેલ મેળવવો તેમને સહજ જણાયો છે.
    કસ્તૂરબા પરિવર્તન પામતાં જીવનમાં, એટલે કે ગાંધીજીના દરેક સિદ્ધાંત સાથે એકરૂપ બની શક્યાં એના મૂળમાં ગાંધીજીના હીરને પારખવાની તેમનામાં રહેલી શક્તિ દેખાય છે. તેમનું વ્યક્તિત્વ ગાંધીજીની હામાં હા ભેળવે તેવું તો નહોતું જ. વળી ગાંધીજી સાથે ચાલવાથી તેમની પત્ની તરીકે તેમનું ગૌરવ કે પ્રતિષ્ઠા વધે એની પણ એમને દરકાર જણાતી નથી. તટસ્થ રહીને એમણે પતિને પારખ્યા છે ને એમની સાથે ચાલવાની હામ ભીડી છે. આ હામ તેમણે છેક સુધી ટકાવી રાખી છે – એવી રીતે કે એ ટકાવવાની ગંધ પણ ન આવે. ખુદ ગાંધીજી પણ પત્નીના આ ગુણથી ચકિત થયા છે. કસ્તૂરબામાં ટકેલી હામનાં બીજ દક્ષિણ આફ્રિકાના એક પ્રસંગમાં પડેલાં જોવા મળે છે. ગાંધીજીના એક કુટુંબીજન શ્રી કાળીદાસભાઈએ એક વાર ગાંધીજીને કહેલું, ભાઈ, તમે તો જીવનમાં બહુ ફેરફાર કર્યો… આ કસ્તૂરબાઈએ પણ કંઈ વૈભવ ન માણી જાણ્યો.’ જવાબમાં
    ગાંધીજીએ જણાવ્યું તે મુજબ તેમના તરફથી બાને બધી જ છૂટ હતી. બાપુએ બાને રેશમી સાડી પહેરતાં કે સોનાની બંગડી પહેરતાં પણ રોક્યા નહોતાં. બાપુએ કરેલાં આ પ્રકારના સંવાદનો માર્મિક ઉત્તર આપતાં બાએ જણાવ્યું, ‘તમે તો બધુંય લાવી આપ્યું પણ મેં ક્યારે તે વાપર્યું છે ? જોઈ લીધું કે તમારો રસ્તો જુદો છે. તમારે તો સાધુ સંન્યાસી થવું છે. તો પછી મારે મોજશોખ માણીને શું કરવું હતું ? તમારી વાત જાણી લીધા પછી તો આપણે મન વાળી લીધું.’

    મન વાળી લેવાની આ વાત પરાણે સ્વીકારેલી નથી પણ આંતરિક સમજમાંથી નિષ્પન્ન થયેલી છે. જો એ પરાણે સ્વીકારાઈ હોત તો કસ્તુરબાને ‘બા’ બનવામાં અડચણ પડત. ગાંધીજીએ પણ તેમનો સ્વીકાર
    ન કર્યો હોત. બાની સ્વેચ્છાપૂર્વકની સમજનો ગાંધીજીએ આપેલા આ અભિપ્રાયમાં કૃતજ્ઞતાપૂર્વકનો ટેકો છે : ‘બાનો ભારે ગુણ કેવળ સ્વેચ્છાએ મારામાં સમાઈ જવાનો હતો. એ કંઈ મારી ખેંચથી નહોતું બન્યું, પણ બામાં જ એ ગુણ સમય આવ્યે ખીલી નીકળ્યો. હું નહોતો જાણતો કે આ ગુણ બામાં છુપાયેલો હતો. મારા પ્રથમ કાળના અનુભવ પ્રમાણે બા બહુ હઠીલી હતી. હું દબાણ કરું તોય તે પોતાનું ધાર્યુ કરતી. તેથી અમારી વચ્ચે ક્ષણિક કે લાંબી કડવાશેય રહેતી. પણ મારું જાહેર જીવન જેમ ઉજ્જ્વળ થતું ગયું તેમ બા ખીલતી ગઈ, અને પુખ્ત વિચારે મારામાં એટલે મારા કામમાં સમાતી ગઈ. દિવસ જતાં એમ થયું કે મારામાં અને મારા કામમાં- સેવામાં ભેદ ન રહ્યો.’
    ગાંધીજીએ કરેલો ‘પુખ્ત વિચાર’ પ્રયોગ સાર્થ છે. કસ્તૂરબામાં વિચારની પ્રૌઢિ છે જે પાછી સ્વયંસ્કુરિત છે. આ પ્રૌઢિ ગાંધીજીનું અનુકરણ કરવામાંથી નહિ પણ જીવનની સમજમાંથી જન્મી છે ને વિકસી છે. બામાં ખીલી ઉઠેલી મક્કમતા, નિર્ણયાત્મકતાનાં કેવાં કેવાં રૂપ જોવા મળે છે ! દક્ષિણ આફ્રિકામાં તેમને રક્તસાવની તકલીફ થયેલી ત્યારે ડૉક્ટરે ક્લોરોફોર્મ વિના જ શસ્ત્રક્રિયા કરેલી ! આ પછી તેમનું શરીર વળ્યું નહીં ત્યારે ડૉક્ટરે તેમને માંસ આપવાની અનિવાર્યતા જોઈ. ગાંધીજીને આ અંગે ડૉક્ટરે ફોન કર્યો. સ્વાભાવિક રીતે જ ગાંધીજી આ બાબતમાં સંમત નહોતા પણ બાની જો ઇચ્છા હોય તો પોતાની ના નથી એવું તેમણે ડૉક્ટરને જણાવ્યું. પછીથી ગાંધીજીને ખબર પડી કે ડૉક્ટરે ફોન કરતાં પહેલાં જ બાને સેરવો પાઈ દીધેલો ! નારાજ થયેલા બાપુએ બાને આ અંગે પૂછ્યું ત્યારે બાએ સેરવો લેવાની ચોખ્ખી ના પાડી. મનુષ્યદેહ વારંવાર આવતો નથી તેથી એને ન વટલાવવાનું ઇચ્છતાં બાએ બાપુના ખોળામાં દેહ પાડવાની તૈયારી બતાવી. છેવટે કસ્તૂરબાને તેમની નાજુક હાલતમાં જ બાપુ ડરબનથી ફિનિક્સ ને ફિનિક્સથી અઢી માઈલ પગરસ્તે લઈ ગયા ને કેવળ પાણીના ઉપચારથી તેમનું દર્દ મટાડયું.

    આ ઘટના પછી ગાંધીજીને ઘેર આવેલા એક સ્વામીએ બા-બાપુ પાસે મનુસ્મૃતિને ટાંકીને માંસાહારની નિર્દોષતા સિદ્ધ કરવા ઘણી દલીલો કરી ત્યારે બાનો જવાબ આટલો જ હતો : ‘મારે માંસનો સેરવો ખાઈને સાજા નથી થવું. હવે તમે મારું માથું ન દુઃખવો તો તમારો પાડ. બાકી વાતો તમે છોકરાઓના બાપની સાથે પાછળથી કરવી હોય તો કરજો. મેં મારો નિશ્ચય તમને જણાવી દીધો.’

    કસ્તૂરબાએ જ્યાં જ્યાં ગાંધીજીની વાત કે મતને સ્વીકાર્યા છે તે પોતાની માન્યતા તેમને મળતી હોવાને કારણે. જરૂર જણાઈ છે ત્યાં તીવ્ર વિરોધ કરીને પણ તેમણે પોતાની વિચારધારાનું સન્‍માન જાળવ્યું છે. ‘આત્મકથા’માં નોંધાયેલો એક જાણીતો પ્રસંગ આ વાતની સાક્ષી પૂરે છે. ડરબનમાં વકીલાત કરતા ગાંધીજીને ઘેર એક ખ્રિસ્તી મહેતાજી રહ્યા. ગાંધીજીના ઘરમાં પેશાબને સારુ ખાસ વાસણ રાખવામાં આવતું, જેને ગાંધીજી કે બા જ ઉપાડતાં. ક્યારેક આવાં વાસણ મહેતાજીઓ પણ ઉપાડતા. પણ આ મહેતાજી નવા હતા. આ વખતે કસ્તૂરબાને હદ આવી ગયેલી લાગી. આ વાસણ બાપુ ઉપાડે એ પણ તેમને ગમતું ન હતું અને પોતાને ઉપાડવું ભારે લાગતું હતું. આથી તેમણે ઠપકાભરી, રડતી આંખે વાસણ ઉપાડયું. બા આ પ્રકારનું કામ હસતાં હસતાં કરે એવો આગ્રહ સેવતા બાપુએ નારાજગીથી બાને ઠપકાના બે બોલ કહ્યા, જવાબમાં ‘રાખો તમારું ઘર, હું ચાલી.’ કહેતાં બાનો બાપુએ હાથ પકડયો ને દરવાજા સુધી તેમને ખેંચી ગયા. દરવાજે પહોંચીને આ શાણી સ્ત્રીએ જણાવ્યું, ‘તમને તો લાજ નથી, મને છે. જરા શરમાઓ. હું બહાર નીકળીને ક્યાં જવાની હતી ? અહીં મા-બાપ નથી કે ત્યાં જાઉં. હું બાયડી થઈ એટલે મારે તમારા ઘુંબા જ ખાવા રહ્યા. હવે લજવાઓ ને બારણું બંધ કરો. કોઈ જોશે તો બેમાંથી એકે નહીં શોભીએ.’ આ પ્રસંગે ગાંધીજી શરમાયા પણ છે ને પછીથી સસંકોચ એકરાર કરતાં નોંધ્યું છે, અમારી વચ્ચે ઝઘડાઓ તો પુષ્કળ થયા છે પણ પરિણામ હંમેશાં કુશળ આવ્યું છે.’ પત્નીએ પોતાની અદ્‍ભૂત સહનશક્તિથી જીત મેળવી છે.

    વિદ્યા, વિચારસરણી, જીવન પ્રત્યેની દૃષ્ટિ જેવી અનેક બાબતોમાં સ્વાભાવિક રીતે જ ગાંધીજી ને બા વચ્ચે ઘણું અંતર છે. આથી કરીને ગાંધીજીના કેટલાક વિચારોનો અમલ કરવા માટે બાએ મનને કેળવવું પડયું છે ને પછી એની આદત એમને પડી છે. અપરિગ્રહ ને ખાદી વિચાર આનાં ઉદાહરણો છે. અપરિગ્રહ ગાંધીજીનું તો વ્રત જ હતું. બાએ પણ તેમાં સાથ આપેલો. પણ બા આખરે એક ગૃહસ્થ સ્ત્રી હતાં. તેમને કુટુંબ, સંતાનો વળગેલાં હતાં. આથી ક્યારેક બાને તંગ પરિસ્થિતિઓનો સામનો કરવો પડતો. એક વાર આશ્રમમાંથી બે ટૂંક ભરીને બાનાં કપડાં ચોરાયાં. ગાંધીજીને આશ્ચર્ય થયું કે બા પાસે આટલાં કપડાં ક્યાંથી ? તપાસ કરતાં જણાયું તે મુજબ બાને ભેટ આવેલી સાડીઓ તેમણે પુત્ર હરિલાલની દીકરીઓ માટે રાખી મૂકેલી. ગાંધીજીએ આ બનાવ પછી તેમને સંગ્રહ કરવાની સખત મનાઈ કરેલી – ત્યાં સુધી કે દીકરાઓ કે પૌત્ર-પૌત્રીઓ આવતાં ત્યારે તેમની પાસેથી પણ ખાધાખોરાકીનું બીલ લઈને એ પૈસા આશ્રમમાં જમા કરાવવામાં આવતા ! અપરિગ્રહની વૃત્તિ પછી તો બાએ એવી કેળવી કે મુસાફરી વખતે ગાંધીજીને કહેવું પડતું : ‘બા આપણને બધાંને હરાવે છે. આટલો જૂજ સામાન અને આટલી જૂજ જરૂરિયાતો બીજા કોઈને છે ? સાદાઈ માટેનો મારો આટલો બધો આગ્રહ છતાં મારી સામગ્રી તેના કરતાં બમણી છે.”

    અપરિગ્રહ જેવું જ ખાદી ધારણ કરવા અંગેનું બાનું વલણ રહેલું. પહેલાં તેમને ખાદી પહેરાવવા માટે બાપુને ખુશામત કરવી પડેલી. પણ પછી જ્યારથી તેમણે ખાદી અંગીકારી કે થયું. આંગળીમાંથી નીકળેલા લોહી પર પાટો પણ ખાદીનો જ બાંધે. એ ખરબચડી હોય તોય બાને ન ખૂંચે. ગાંધીજી માટેનું દૂધ જો મિલના કાપડથી ગળાતું બા જુએ તોપણ તરત જ ખાદીનું કાપડ મંગાવે. પતિની સિદ્ધાંતનિષ્ઠા પૂરેપૂરી સચવાય એ માટે બા મરી પડે.

    બાની આ અટલતા અનન્ય હતી. તેમને એક જ ટેવ રહી ગયેલી અને તે કૉફીની. આશ્રમમાં એક વાર નવા આવેલા ભાઈએ બાપુ પાસેથી ચા-કૉફી વિરુદ્ધની દલીલો સાંભળીને પૂછેલું, ‘બા કેમ કૉફી પીએ છે ?’ ત્યારે ગાંધીજીએ કહેલું, ‘તમને ખબર નથી કે બાએ બીજું શું છોડયું છે. હવે જો કૉફી પણ છોડવાનું તેને કહું તો મારા જેવું જુલમી બીજું કોઈ ન હોય.’ જોકે છેવટે બાએ કૉફી પણ છોડી દીધેલી.

    બાનો ગાંધીજી પ્રત્યેનો આ પરિપક્વ પ્રેમ તેમનાં દામ્પત્યને ઈર્ષ્યા આવે એ રીતે ખીલવી શક્યો છે. સૌને સમાન ગણતા ગાંધીજીના હૃદયનો એક ખૂણો માત્ર બા માટે જ અનામત હતો એવી ક્ષણો પણ અનેક વાર ગાંધીજીના જીવનમાં ઝબકી ગયેલી દેખાય છે. બાપુની સેવા આમ તો સૌ આશ્રમવાસીઓ સરખા હિસ્સામાં કરતા પણ બાપુના પગે ઘી ઘસવાનું કામ તો બાનું જે. બાનાં મૃત્યુ પછી બાપુએ આ કામ અન્ય કોઈ પાસે કરાવવાનો ઇન્કાર કર્યો. એક વાર આશ્રમની બાળાઓએ તે માટે આગ્રહ કર્યો ત્યારે કંઈક ગમગીન થઈને બાપુએ કહેલું, ‘મારે જો ઘી જ ઘસાવવાનું હોત તો બા ચાલી શા માટે જાત ?’

    બાના અંત સમયે બાપુએ તેમની ખડે પગે ચાકરી કરેલી ને એ તક આપવા માટે ઈશ્વરનો અત્યંત આભાર માનેલો. આ સમય દરમિયાન કોઈ બાપુને વિરામ લેવા જણાવતું ત્યારે બાસઠ વર્ષના આ સાથીદારને અંત સમયે છોડવાની બાપુ ચોખ્ખી ના પાડી દેતા. બાનાં મૃત્યુની રાત્રે પોતાના સાથીઓ સમક્ષ અનાસક્ત મહાત્માએ નિખાલસભાવે એકરાર કરતાં કહેલું, ‘બા-વિહોણા જીવનની હું કલ્પના જ કરી શકતો નથી. મારા જીવનનું એ અવિભાજ્ય અંગ હતી. એના જવાથી મારા જીવનમાં જે ખાલીપણું પેદા થયું છે તે કદી ભરાઈ શકવાનું નથી.’

    બાનાં અવસાન પછી વાઈસરોય લોર્ડ વેવેલના શોકસંદેશના ઉત્તરમાં બાપુએ બાને જે અંજલિ આપી છે તે તેમના ક્રમશ: વિકસેલા દામ્પત્યનું એકદમ વાસ્તવિક ચિત્ર રજૂ કરે છે : ‘… જો કે એના મૃત્યુને લીધે સતત વેદનાથી એ છૂટી, એટલે એને ખાતર મેં એના મૃત્યુને આવકાર આપ્યો છે, તો પણ મને લાગે એમ મેં ધાર્યું હતું એના કરતાં આ ખોટથી મને વધારે લાગે છે. અમે અસાધારણ દંપતી હતાં. ૧૯૦૬માં એકબીજાંની સંમતિ પછી અમે આત્મસંયમનો નિયમ નિશ્ચિત રૂપે સ્વીકાર્યો. આને પરિણામે અમારી ગાંઠ પહેલાં કદી નહોતી એવી દૃઢ બની તેથી મને ભારે આનંદ થયો… તે બહુ જ આગ્રહી સ્વભાવની બાઈ હતી. નાનપણમાં હું એને જક્કીપણું ગણતો. પણ આ સત્યાગ્રહી સ્વભાવે તેને તદ્દન અજાણતાં અહિંસક અસહકારની કળા અને અમલમાં મારી ગુરુ બનાવી.’

    બાપુએ એક વિદેશી વ્યક્તિ પાસે ખોલેલી અંગત ક્ષણોમાંથી સ્પષ્ટ દેખાય છે કે બ્રહ્મચર્ય બાને વિશેષ ભાવ્યું છે. આ વ્રતે એમનાં સ્વમાન ને આત્મગૌરવને જાળવવામાં મદદ કરી છે. આ ઘટના પછી પતિ એમના પરમેશ્વર બન્યા છે. આ ઘટનામાં પણ જોવા હોય તો એમના વૈષ્ણવધર્મના દૃઢ સંસ્કાર જોઈ શકાય.

    બાના જીવનની અનેક ઘટનાઓને જોઈ રહેલાં બીજાં લોકોને બા પ્રત્યે સમભાવ થયો છે ને બાપુ પ્રત્યે કંઈક નારાજગી જન્મી છે. ઘણાંને બાપુ જુલમી પતિ લાગ્યા છે. લીલાવતી મુનશીએ બાને આ અંગે પત્ર લખ્યો છે તેના ઉત્તરમાં ઘવાઈને બાએ જણાવ્યું છે : ‘તમે કેમ જાણ્યું કે ગાંધીજી મને બહુ દુખ આપે છે ?… મારા જેવો પતિ તો કોઈને દુનિયામાં પણ નહીં હોય… મારામાં લાંબા વિચાર ન આવે, ટૂંકી દૃષ્ટિ હોય તો કહે. તે તો આખા જગતમાં ચાલતું આવ્યું છે…’ બા પાસે જીવનનું સમાધાન છે. એ તેમણે શોધ્યું નથી, તેમને મળ્યું છે.

    કસ્તૂરબાએ ગાંધીજીને હક્ક-દાવા વિનાનો નિરપેક્ષ પ્રેમ કર્યો. ગાંધીજીના જીવનમાં કેન્દ્રસ્થાને રહેવાનો કદી પ્રયત્ન ન કર્યો. હંમેશાં બીજાઓને બાપુની નજીક જવા દેવામાં મદદ કરી. આ કારણે તેઓ જિંદગી ને એના કરતાંયે ખતરનાક એવા પોતાના મહાત્મા પતિને જીતી શક્યાં.
    મીરાંબહેને ચકિત થઈને બા વિશે વિસ્મયમુગ્ધ થઈને નોંધ્યું છે : ‘તેઓ વધારે પડતી વાતો કરીને બાપુનો સમય કદી બગાડતાં નહિ. બાપુની આસપાસનાં બધાં માણસોમાં બાપુને તે ઓછામાં ઓછી તકલીફ આપતાં અને વધારેમાં વધારે સેવા કરતાં.’ કદાચ આ જ કારણે બાપુને અને બાને એ ખબર હતી કે બા જ બાપુના જીવનમાં હંમેશાં મોખરે રહ્યાં. બાએ ક્યારેક કોઈને વાગે નહીં એવી નાજુક રીતે પોતાનો ‘વિશેષ પ્રેમ’ વ્યક્ત પણ કર્યો છે. ૧૯૩૨માં ગાંધીજીએ કરેલા ઉપવાસ સમયે બા સાબરમતી જેલમાં ને બાપુ યરવડા જેલમાં હતાં. આ સમયે બાપુની ચિંતા કરતાં બા કહેતાં, ‘ઘણી પુરાણની વાતો સાંભળી પણ આવું તપ ક્યાંય ન જોયું… જોકે કાંઈ વાંધો નથી. એમ તો મહાદેવ છે, વલ્લભભાઈ છે, સરોજિની દેવી છે; પણ આપણે હોઈએ તો ફેર પડે ને ?’ આ એક જ વાક્ય બંનેની એકબીજાં માટેની અનિવાર્યતા પ્રગટ કરવા માટે પૂરતું છે.

    ગાંધીજીને આટલો પ્રેમ કરવાને કારણે જ બાપુને વિશે કાંઈ પણ કહેવાનો તેમનો હક્ક છે.
    પતિની નાડને બરાબર પારખતી આ સ્રી ગાંધીજીના ઉપવાસ સમયે તેમના વિશે ફરિયાદ કરતા દાક્તરને સાધિકાર કહે છે, “Yes, I know he is my husband. He always plays mischief.” પોતાના તોફાની પતિને નાથતાં તેમને બરાબર આવડ્યું છે. આથી જ તો ગાંધીજીએ તેમને જન્મોજન્મ પત્ની તરીકે ઇચ્છયાં છે. આવી પત્નીને કૃતજ્ઞતાપૂર્વક અભિવંદતાં બાપુએ નોંધ્યું છે : ‘મારી પત્ની વિશેનો મારો પ્રેમ અને લાગણી હું વર્ણવી શકું તો હિંદુ ધર્મ વિશેનો મારો પ્રેમ અને લાગણી વર્ણવી શકું.’ બાને હિંદુ ધર્મનો પર્યાય માનતા બાપુને માટે બા શું નહીં હોય ?

    મહાત્મા ગાંધી જેવા પતિ પાસેથી કોમળ લાગણીઓ મેળવતાં બાને સીતા, દ્રૌપદી કે શારદામણિદેવી જેવાં નારીરત્નો કરતાં વધુ નસીબદાર ઠેરવવાં પડે. બાને આવી અંજલિ મળી તેમાં આ યુગની આધુનિક વિચારધારાનો પ્રભાવ છે. ગાંધીજીનું સત્ય રામ, રામકૃષ્ણ પરમહંસ કે બાપુના આરાધ્ય એવા હરિશ્ચંદ્ર કરતાંયે વધુ સૂક્ષ્મતલને પામવા મથતું સત્ય છે. એમનું દર્શન યુગનાં સંદર્ભે કરીને વધુ સાફ સાબિત થયું છે, જેનો લાભ તેઓ પત્નીને આપી શક્યા છે. યુગનાં મૂલ્યોને અતિક્રમી ન શકતા રામ ને સંન્‍યાસીની મર્યાદા જાળવતા રામકૃષ્ણ પરમહંસ જે કરવા ધારવા છતાં ન કરી શક્યા એ વિચાર ગાંધીજી અમલમાં મૂકી શક્યા છે. આ અર્થમાં બાનાં તપને એક ફલશ્રુતિ સાંપડી છે એટલું તો ચોક્કસ.

    બાના જીવનને જોતાં અનાયાસે આ યુગનાં બીજાં શ્રેષ્ઠ નારીરત્ન શારદામણિદેવીનું સતત સ્મરણ થાય છે. આ બંનેની સરખામણી કરવાનો તો કોઈ સવાલ જ ઊઠતો નથી. બા ગૃહસ્થ સ્ત્રી છે, શારદાદેવી સંન્‍યાસિની છે, સંન્‍યાસીનાં પત્ની છે ને સંન્‍્યાસીઓનાં ગુરુ છે. તેમની હેસિયત જુદા પ્રકારની ને ઘણી ભારે છે. પણ અહીં તેમનું સ્મરણ થવાનું એક કારણ એ છે કે આ બંને સ્ત્રીઓએ પતિ પ્રત્યેનો માલિકીભાવ બિલકુલ જતાવ્યા વિના સૌના પિતા એવા પુરુષોને પરણીને સૌની માતા થવામાં આનંદપૂર્વકનું ગૌરવ અનુભવ્યું છે. પોતાનાં માતૃત્વને વ્યાપક બનાવતાં બનાવતાં આ બંને સ્રીઓ પતિની પણ મા બની ગઈ છે જે તેમનાં માતૃત્વનાં અંતિમ ચરણને સૂચવે છે.

    એક સામાન્ય સ્ત્રી હોવાના નાતે બા સતત ઘડાતાં રહ્યાં છે. તેમના જીવનમાં અનેક ગાંઠો આવી છે. આથી જ તેઓ વધારે પોતીકાં લાગે છે, ને અનુકરણીય પણ. તેમની વિકાસયાત્રાને સફળ બનાવવામાં ગાંધીજીનો ક્યાંય હાથ નથી એ તેમણે મેળવેલી મોટી સિદ્ધિ ગણાવી જોઈએ. આ અર્થમાં તેમણે સ્વનામને ધન્ય કર્યું છે.

    ૨૨ ફેબ્રુઆરી, ૧૯૪૪માં મૃત્યુ પામેલાં બાને સરોજિની નાયડુએ આપેલી અંજલિ બાનું અંતિમ, ઉપયુક્ત મૂલ્યાંકન કરતી બની રહે છે ઃ ‘હિન્દી સ્ત્રીત્વના જીવન્ત પ્રતીક સમાં, એ નાજુક છતાં બહાદુર નારીના આત્માને ચિર શાંતિ પ્રાપ્ત થાવ. જે મહાપુરુષને તેઓ ચાહતાં, જેની સેવા ઉઠાવતાં અને અજોડ શ્રદ્ધા, ધૈર્ય અને ભક્તિપૂર્વક જેને અનુસરતાં, એને ખાતર કાયમ ભોગ આપ્યા કરવાનો જે કપરો માર્ગ તેઓએ સ્વીકાર્યો હતો. તે માર્ગે ચાલતાં ક્ષણ પણ તેમના પગ ડગ્યા નથી અથવા તેમનું દિલ પાછું પડયું નથી. તેઓ મૃતત્વમાંથી અમરત્વમાં ગયાં અને આપણી ગાથાઓમાંની, આપણાં ગીતોમાંની અને આપણી તવારીખમાંની વીરાંગનાઓની મંડળીમાં પોતાનું હક્કનું સ્થાન પામ્યાં, તેનો આપણે આનંદ માણીએ.’

    એક વીરાંગનાએ બીજી વીરાંગનાને આપેલી આ અંજલિમાં બાની સ્વચ્છ પ્રતિભાનો થયેલો સાદર સ્વીકાર સૌને સ્વીકાર્ય ઠરે એવો સાચો છે.


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • શું મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીનો અધિકાર છે?

    નિસબત

    ચંદુ મહેરિયા

    હાલમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ૫૫ ટકા મોંઘવારી ભથ્થું( DEARNESS ALLOWANCE- D.A.)  મળે છે. ગુજરાત સરકારના કર્મચારીઓને પણ કેન્દ્રના ધોરણે ૫૫  ટકા ડી.એ. મળે છે.પરંતુ પશ્ચિમ બંગાળના સરકારી અધિકારીઓ-કર્મચારીઓને માત્ર ૧૮ ટકા જ  મળે છે. એટલે પશ્ચિમ બંગાળના કર્મચારી યુનિયનો કેન્દ્રના દરોને અનુરૂપ  મોંઘવારી ભથ્થું મેળવવા લાંબા સમયથી આંદોલન કરી રહ્યા છે. સરકારને રજૂઆતો અને વિરોધ પ્રદર્શનો ઉપરાંત તેમણે અદાલતમાં ધા નાંખતા સર્વોચ્ચ અદાલતે પશ્ચિમ બંગાળ સરકારને  ૨૦૦૯થી ૨૦૧૯ના ચડત મોંઘવારી ભથ્થાના ૨૫ ટકા ત્રણ માસમાં ચુકવી દેવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટના હુકમથી વેતન સમાનતાના વિવાદમાં કર્મચારીઓને આંશિક રાહત જરૂર મળી છે પરંતુ હજુ લડાઈ બાકી છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    મોંઘવારીમાં થતી વૃધ્ધિને ધ્યાનમાં રાખીને ૧૯૭૦ના દાયકામાં સરકારી કર્મચારીઓને  અને તેને પગલે પંચાયત કર્મચારીઓ, સરકારી અને અનુદાનિત શૈક્ષણિક સંસ્થાઓના શૈક્ષણિક- બિન શૈક્ષણિક કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનો આરંભ થયો હતો. વેતન આયોગોએ પણ સ્વીકાર્યું હતું કે સતત વધતા ફુગાવાને લીધે વેતનનું વાસ્તવિક મૂલ્ય ઘટી જાય છે. એટલે પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું પણ આપવું જોઈએ. વધતા ભાવોને પહોંચી વળવા મોંઘવારી ભથ્થા કે ડી.એ તરીકે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતી આ વધારાની મદદ છે. તે સરકારી કર્મચારીના પગાર કે પેન્શનરના પેન્શનનો મહત્વનો હિસ્સો છે. વરસમાં બે વાર,  જાન્યુઆરી અને જુલાઈએ તેમાં વધારો થાય છે.

    અખિલ ભારતીય ગ્રાહક મૂલ્ય સૂચકાંક ( All India Consumer Price Index- AICPI)  ના આધારે ડી.એ. ની ગણતરી થાય છે. ગ્રાહક મૂલ્ય સૂચકાંકમાં વૃધ્ધિ  થાય ત્યારે કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો થાય છે. સામાન્યત: કર્મચારીઓ કે પેન્શનરોને મૂળ વેતન કે પેન્શનની એક ચોક્કસ ટકાવારી તરીકે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પગાર ઉપરાંત મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીના જીવન ખર્ચને પહોંચી વળવા ઉપયોગી છે. તેનાથી કર્મચારી-અધિકારીની કાર્યક્ષમતા વધે છે અને સંતોષમાં વધારો થાય છે. સામાજિક સલામતી, કર્મચારીઓને એકત્ર રાખવા, પ્રતિભાના સંરક્ષણ માટે પણ તે લાભદાયી છે. ડી.એ. કર્મચારીને મોંઘવારીમાં રાહત આપે છે અને આર્થિક સંકટમાં સહારો બને છે.

    ગુજરાત સરકારે એના સરેલા, દેસાઈ અને અહેમદી પે કમિશન પછી ૧૯૮૭થી કેન્દ્રનું ચોથું પગાર પંચ અપનાવ્યું છે અને ત્યારથી ગુજરાતના કર્મચારીઓને કેન્દ્રીય પગારપંચ મુજબ પગાર  અને ભથ્થાં મળે છે. એટલે કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થું પણ મળે છે.  ૨૦૧૬થી કેન્દ્ર સરકારના સાતમા વેતન પંચ પ્રમાણેના પગારો ગુજરાતનો સરકારી કર્મચારી મેળવે છે. ગુજરાતની જેમ ઘણાં રાજ્યોએ કેન્દ્રના પગાર પંચને અપનાવ્યું છે.

    પશ્ચિમ બંગાળમાં પહેલું પે કમિશન ૧૯૭૧માં રચાયું હતું. તે પછી દર દાયકે તે રચાવું જોઈએ. તે પ્રમાણે ૧૯૮૧માં બીજું, ૧૯૯૦માં ત્રીજું, ૧૯૯૮માં ચોથું , ૨૦૦૯માં પાંચમું અને ૨૦૨૦માં છઠ્ઠુ પગારપંચ રચાયું હતું. જ્યારે કેન્દ્રના અને ઘણાં રાજ્યોના કર્મચારીઓ સાતમા વેતન પંચ પ્રમાણે પગારો મેળવે છે ત્યારે પશ્ચિમ બંગાળના કર્મચારીઓને તેનાથી એક પંચ પાછળ છઠ્ઠા વેતન પંચ મુજબ પગાર-ભથ્થાં મળે છે અને કેન્દ્રના કર્મચારીઓ કરતાં ૩૭ ટકા ઓછું મોંઘવારી ભથ્થું મળે છે.

    કેન્દ્રના ધોરણે પગાર નહીં તો કમ સે કમ મોંઘવારી ભથ્થું મળવું જોઈએ તેવી પશ્ચિમ બંગાળના કર્મચારીઓની માંગ સાથેના વિરોધ આંદોલનો બેઅસર રહ્યા તેથી કર્મચારી યુનિયનોએ કોર્ટ પાસે ન્યાય મેળવવાનો માર્ગ અખત્યાર કર્યો. પહેલા તેમણે સ્ટેટ ટ્રિબ્યુનલમાં પિટિશન કરી પરંતુ ત્યાં તેમની વિરુધ્ધમાં નિર્ણય આવ્યો. એટલે તેમણે કલકત્તા હાઈકોર્ટ પાસે ન્યાય માંગ્યો. મે-૨૦૨૨માં કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને તેના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ડી.એ. ચુકવી આપવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટના જજમેન્ટને સ્વીકારવાને બદલે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં સ્પેશ્યલ લીવ પિટિશન કરી. અઢાર મુદતો પછી મે-૨૦૨૫માં જસ્ટિસ સંજય કરોલ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચે રાજ્ય સરકારને ત્રણ મહિનામાં ચડત ડી.એ.નો ચોથો ભાગ ચુકવી દેવા આદેશ આપ્યો છે.

    સુપ્રીમ કોર્ટે તેના જજમેન્ટમાં મોંઘવારી ભથ્થાને કાનૂની અધિકાર ગણ્યો છે. તેમ્જ ડી.એ.ને કાયદાકીય રીતે અમલ કરવા યોગ્ય હક કહ્યો છે. અગાઉ ૧૯૮૬ના એક ચુકાદામાં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું હતું કે મોંઘવારી ભથ્થું કર્મચારીનો અભિન્ન અધિકાર છે. ૨૦૨૧માં કેરળ હાઈકોર્ટે ડી.એ.ની ચુકવણી ન કરવી તે કર્મચારીઓ સાથે રાજ્યનો ભેદભાવ છે અને બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છે, એમ જણાવ્યું હતું. ૨૦૨૨માં કલકત્તા  હાઈકોર્ટે  ડી.એ. ને કાનૂની અધિકાર ઠેરવી સરકારી નાંણાકીય અક્ષમતા કે નાણાંના બોજની દલીલ સ્વીકારી નહોતી. પશ્ચિમ બંગાળ સરકારના કેસની વધુ સુનાવણી ઓગસ્ટ માસમાં સુપ્રીમ કોર્ટમાં થવાની છે. એ વખતે સંવિધાનના અનુચ્છેદ ૨૧ માં જણાવ્યા પ્રમાણેના માનભેર આજીવિકા રળવાનો અને તેમાં સમયાંતરે વધારાનો અર્થાત મોંઘવારી ભથ્થાનો કર્મચારીને મૂળભૂત અધિકાર  છે કે કેમ તેની ચર્ચા અને  નિર્ણય થઈ શકે છે.

    સર્વોચ્ચ અદાલતમાં પશ્ચિમ બંગાળ સરકારની દલીલ હતી કે ચડત ડી.એ.ના ૨૫ ટકાની ચુકવણી માટે પણ રાજ્ય પર રૂ.૧૦,૦૦૦ કરોડનો બોજ પડશે. સામે કર્મચારી યુનિયન વતી દલીલ થઈ હતી કે તેમના રૂ.૪૧,૦૦૦ કરોડ ડી.એ. પેટે રાજ્ય સરકાર પાસે લેણાં છે. મોંઘવારી ભથ્થાની ચુકવણીથી રાજ્ય પર નાણાંકીય બોજ પડે છે અને સરકારના ખર્ચમાં વધારો થાય છે,  રાજકોષિય ખાધ વધે છે. તે સવાલ છે જ. બીજી તરફ મોંઘવારી ભથ્થાની ચુકવણીમાં સરકારો વિલંબ કરે છે અને કર્મચારીઓને તો મોંઘવારીનો માર સહન કરવો જ પડે છે. તેવો પ્રશ્ન કર્મચારીઓ ઉઠાવે છે અને તે વાજબી પણ છે.

    પહેલી જુલાઈ ૨૦૨૪નું ચડત મોંઘવારી ભથ્થું ચુકવવા ભારત  સરકારે ઓકટોબર -૨૦૨૪ના અંતે આદેશ કર્યો હતો. તેન પગલે ગુજરાત સરકારે ડિસેમ્બર ૨૦૨૪માં ઠરાવ કર્યો હતો. પહેલી જાન્યુઆરી ૨૦૨૫નું ડ્યુ ડી.એ. કેન્દ્ર અને ગુજરાત સરકારે  એપ્રિલ ૨૦૨૫માં ચુકવવા આદેશ કર્યો હતો. એટલે મોંઘવારી અને ફુગાવા સામે રાહત માટે આપવામાં આવતું મોંઘવારી ભથ્થું ભારે વિલંબથી અને ક્યારેક તો છ મહિના પછી આપવામાં આવે છે. તેનું એરિયર્સ હપ્તે હપ્તે ચુકવવામાં આવે છે. તેથી ડી.એ. નો મૂળ હેતુ જળવાતો નથી.

    મોંઘવારી તો સૌ કોઈને નડે છે. પરંતુ તેની સામે રાહત તરીકે મોંઘવારી ભથ્થું માત્ર સરકારી કર્મચારીઓને  જ મળે છે. વળી સરકારી કચેરીઓમાં જ કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ, ફિક્સ પગારદારો. પાર્ટટાઈમ એમ્પ્લોઈઝ વગેરેને તે મળતું નથી. ખાનગી ક્ષેત્રના કર્મચારીઓને પણ મોંઘવારી ભથ્થું મળતું નથી. દેશના વિશાળ અસંગઠિત ક્ષેત્રે કામ કરતા કામદારો પણ કોઈ મોંઘવારી સામે આવી નાણાંકીય રાહત મેળવતા નથી. તે દિશામાં પણ ચિંતન અને ચિંતા કરવાની આવશ્યકતા છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • તેરા ઇમોસનલ અત્યાચાર!

    ધિક્કારનાં ગીતો

    પ્રેમસંબંધમાં વાંકું પડે ત્યારે માણસ કેટલું વાંકું બોલી શકે તેનો એક નમૂનો

    દીપક સોલિયા

    વાત ચાલી રહી છે ફિલ્મોનાં કેટલાંક યાદગાર ધિક્કાર ગીતો વિશે. આવું એક ચોટદાર ગીત અનુરાગ કશ્યપની ફિલ્મ દેવ.ડીમાં છે. ફિલ્મની નાયિકા પારો (માહી ગીલ)ના લગ્ન ટાણે બે બેન્ડવાળા આક્રોશભેર ગાય છેઃ

    તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
    તેરા ઇમોસનલ અત્યાચાર.

    આ ઝેર જેવું કડવું ગીત એક રીતે જોતાં કન્યાવિદાયનું ગીત પણ છે, કારણ કે ગીતમાં વારંવાર રીપિટ થતી એક પંક્તિ આ છેઃ જાઓ, જાઓ ઓ દિલબર…

    જઈ રહેલી કન્યા ફિલ્મના હીરો દેવ (અભય દેઓલ)ની દિલબર છે. લગ્નસમારંભ લગભગ પૂરો થઈ ચૂક્યો છે. કન્યાવિદાયનો સમય થઈ ગયો છે. હીરો અભય દેઓલ વોડકાની બોટલ સીધી મોઢે માંડીને ખાલી કરે છે. પછી એ પોતે ગાવાની તો શું બોલવાની પણ સ્થિતિમાં નથી, પણ તેના દિલની વાતોને જાણે બે બેન્ડવાળા ગાઈને વ્યક્ત કરી રહ્યા છે, આ શબ્દોમાં:

    જિયા જિયા જિયા જિયા ડોલે
    એક દો તીન ચાર… છે…

    આમાં ચાર અને છની વચ્ચેનો પાંચનો આંકડો કેમ ગાયબ છે એવું બધું નહીં પૂછવાનું. આ ઘાયલ દિલબર છે, બાલમંદિરનું છોકરું નથી, જે એક, બે, ત્રણ, ચાર પછી પાંચ બોલે. એ તો આવું બધું બોલેઃ

    યહ દિલ પિઘલા કે સાઝ બના લૂં
    ધડકન કો આવાઝ બના લૂં
    સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં…

    વેદનાની તીવ્રતા જુઓ તમે. કવિ દિલને ઓગાળીને વાદ્ય બનાવવા માગે છે અને દિલના ધબકારને અવાજ બનાવવા માગે છે. એ તીવ્રપણે વ્યક્ત થવા માગે છે અને એમના મુખમાંથી નીકળે છે શું? મુખમાંથી બે ચીજ નીકળે છે. એક તો આ ગીત નીકળે છે અને સાથોસાથ સ્મોકિંગ સ્મોકિંગ નિકલે રે ધુઆં. એ દહનનો ધુમાડો છે. એ જલનનો ધુમાડો છે. એ ધુમાડો શેનો છે એ વિશે કવિ સ્પષ્ટ શબ્દોમાં સ્પષ્ટતા કરતાં આગળ કહે છેઃ

    સીને મેં જલતી હૈ અરમાનોં કી અર્થી
    અરે વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ

    હૃદયમાં અરમાનોનાં શબ સળગી રહ્યા છે. એની પીડા એવી છે જે પ્રેમી સહી પણ નથી શકતો અને પ્રિયાને સરખી રીતે કહી પણ નથી શકતો. એટલે એ કહે છેઃ વોટ ટુ ટેલ યુ ડાર્લિંગ ક્યા હુઆ. શું કહું તને કે શું થયું? ખેર, આવું કંઈક થયું…

    હાય સપને દેખે જન્નત કે, પર મિટ્ટી મેં મિલ જાએં
    ફૂંકે રે, ઘરબાર કી દુનિયા કો બોલે ગુડ બાય
    ચઢ જાએ હાય અલ્લાહ જિસકો ભી યે બુખાર
    તૌબા તેરા જલવા, તૌબા તેરા પ્યાર
    તેરા ઇમોસનલ અત્યાચાર…

    અચાનક પ્રેમી પોતાની અંગત પીડાને વ્યાપક બનાવી દે છે. તે કહે છે વાત ફક્ત મારી જ નથી. મારી માફક જે કોઈ પણ પ્રેમમાં સ્વર્ગ મેળવવાનાં સપનાં જુએ છે એનાં સપનાં છેવટે ધૂળમાં રગદોળાય છે; પ્રેમનો તાવ જેના પણ મગજમાં ચડી જાય છે એ પછી પોતાના ઘરબારની દુનિયાને ફૂંકી મારીને તેને ગુડ બાય કહી દે છે. એ જાણે કહે છેઃ ભાડમાં જાય દુનિયા, બહુ થયો તારો જલવો, તારા પ્યારથી તૌબા… બહુ થયો તારો ઇમોસનલ અત્યાચાર.

    અલબત્ત, અત્યાચાર શબ્દ મોટો છે, પરંતુ જરા નાના શબ્દો વાપરીને કહીએ તો નાનામોટા ઇમોસનલ ત્રાસ અને ઇમોસનલ દબાણ કાદુના ડાયરા જેવા હોય છે. એ તો સંબંધોની દુનિયામાં ડુંગરે ડુંગરે, ઠેર ઠેર જોવા મળે. આવા ત્રાસથી ત્રાસિત લોકોનાં હવે તો સંગઠનો પણ રચાય છે. મુંબઈમાં આવા પુરુષોનું એક સંગઠન છે. અલબત્ત, એ પ્રેમમાં નાસીપાસ થયેલા એટલે કે પ્રેમિકાને ન પામી શકેલા પુરુષોનું સંગઠન નથી, બલ્કે એ સ્ત્રીને પામી ચૂકેલા પીડિત પુરુષોનું સંગઠન છે. એનું નામ વિશિષ્ટ છેઃ વાસ્તવ ફાઉન્ડેશન. થોડા સમય પહેલાં આ ફાઉન્ડેશને શ્રાદ્ધપક્ષ નિમિત્તે પિંડદાનનો એક કાર્યક્રમ યોજેલો. પિંડદાન આમ તો સદ્ગતોનું જ થાય, પરંતુ વાસ્તવ ફાઉન્ડેશન આયોજિત પિંડાદાન પ્રોગ્રામમાં જીવતી (વર્તમાન કે ભૂતપૂર્વ) પત્નીઓનું પિંડદાન કરવામાં આવ્યું. આ પ્રોગ્રામમાં એવા પચાસેક પતિઓએ ભાગ લીધો જેમના યા તો છૂટાછેડા થઈ ચૂક્યા છે અથવા તો છૂટાછેડાની પ્રોસેસ ચાલી રહી છે. પિંડદાન મૂળભૂત રીતે પિતૃઓની મુક્તિ-મોક્ષ માટેની વિધિ છે, જ્યારે આ દુઃખી પુરુષોએ લગ્નજીવનની વસમી યાદોમાંથી પોતાનો પિંડ છૂટે એ માટે પિંડદાનની વિધિઓ કરી. મુંબઈના પોશ એવા વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા તળાવમાં ભાવભેર પિંડદાન કરનારા આ પીડિત પુરુષોમાંના એકે તો આખી વિધિ એટલી બધી સિરિયસલી કરી કે વિધિના ભાગરૂપે તેણે મુંડન પણ કરાવી નાખ્યું.

    જોકે ફિલ્મ દેવ.ડીનો હીરો દેવ મુંડન નથી કરાવતો અને એ તો પરણેલો પણ નથી. એની તકલીફ એ છે કે એની પ્રિયતમાની અન્ય પુરુષને પરણીને હવે જઈ રહી છે.

    એ નિમિત્તે, બેન્ડવાજાવાળા બે પુરુષો ગાઈ રહ્યા છેઃ

    જાઓ, જાઓ ઓ દિલબર
    ઓ દિલબર ઓ…
    હવે તું જા. હવે નથી વેઠાતું મારાથી.
    હો ગઈ દિલ કે પાર ટ્રેજેડી, ટ્રેજેડી
    લુટ ગઈ રે બહાર, ગુલ સુખ સુખ મુરઝાએ
    બોલ બોલ, વ્હાય ડિડ યુ ડિચ મી
    ઝિંદગી ભી લે લે યાર કિલ મી…

    અર્થ સ્પષ્ટ છેઃ આ ટ્રેજેડી હવે હૃદયની સહનશક્તિથી પણ આગળ નીકળી ગઈ છે. દિલનું ગુબાલ સુકાઈ સુકાઈને ચીમળાઈ ચૂક્યું છે. તેં આવું શું કામ કર્યું? આના કરતાં તો મારો જીવ લઈ લે… મારી નાખ મને.

    ભાઈ તો મરવાની વાત પર ઉતરી આવ્યા. મરવાની વાત કરવી એ પોતે જ એક પ્રકારનો ઇમોસનલ અત્યાચાર થયો. આ ખાસ સમજવા જેવું છે. આ ગીતમાં, આ ફિલ્મમાં અને બીજા પણ અસંખ્ય કિસ્સાઓમાં ઇમોસનલ અત્યાચારની ફરિયાદ કરતો પુરુષ ફાઈનલ હિસાબમાં પોતે જ મોટો અત્યાચારી સાબિત થાય એવું પણ બને.

    એ વિશે, આવતા અંકે.



    (ક્રમશઃ)


    શ્રી દીપક સોલિયાનું વિજાણુ સંપર્ક સરનામુંઃ dipaksoliya@gmail.com

  • જરૂરતમાંથી જન્મેલી નિશાળનો નવતર પ્રયોગ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    એક રૂડો પ્રયોગ આપણી પરંપરામાં પેઢાનપેઢી ઊતરી આવ્યો છે… ગંગાપૂજા ગંગાજલે! હવે તરતના દિવસોમાં, બાવીસમી જૂને, દર્શક ફાઉન્ડેશન માઈધાર સ્થિત પં. સુખલાલજી લોકવિદ્યાલયનું અભિવાદન કરી રહ્યું છે. કુદરતની કૃપા જુઓ કે માઈધારથી માંડી મણાર, સણોસરા, આંબલા સરખાં પ્રમાણમાં અજાણ્યાં જેવાં ગામનામ ગુજરાતના વિદ્યાનકશે મુકાયાં તે નાનાભાઈ-મનુભાઈ અને અન્ય આરંભસાથીઓના ઋષિકાર્યને કારણે… માટે સ્તો કહ્યું કે ગંગાપૂજા ગંગાજલે.

    માઈધારની વાત પર આવું તે પહેલાં પાછળ જાઉં જરી? ૧૯૭૭-૭૮માં, મુગ્ધતાથી કહેતા તેમ જનતા પર્વ ઉર્ફે બીજા સ્વરાજની વાસંતી હવાના એ દિવસોમાં એક વાર વાત વાતમાં મનુભાઈએ કહ્યું કે એક ન્યૂઝચેનલે લોકભારતી આવવા સારુ પૂછાવ્યું છે. પછી એમણે ફોડ પાડ્યો કે મૂળે તો એ ન્યૂઝચેનલની ટીમ વડાપ્રધાન મોરારજી દેસાઈ પર દસ્તાવેજી કામ કરી રહી હતી. એણે એમને શિક્ષણ પ્રશ્ને પૂછ્યું ત્યારે મોરારજીભાઈએ લાંબા વહીવટી ઉજાસમાં કેટલીક વાતો કરી હશે, પણ પછી સહજ ક્રમે કહી નાખ્યું હતું કે ભારતની નવરચનાને લગતા શિક્ષણ વિશે મારા વિચારો સમજવા હોય તો લોકભારતીની મુલાકાત લેજો.

    બીજા સ્વરાજના આરંભકાળની આ વાત સંભારું છું ત્યારે મન ઈતિહાસમાં ઓર પાછળ જવા કરે છે. નાનાભાઈ તો પછી થયા: બાકી, પ્રો. નૃસિંહ પ્રસાદ ભટ્ટનો એક દબદબો ને રુતબો હતો. બીલખા આશ્રમ અને શ્રીમન નથુરામ શર્માનો સુવર્ણકાળ કહી શકાય એ દિવસોમાં પ્રસાદજી એમની ગાદીએ પણ આવી શક્યા હોત. અમસ્તાં પણ કેવું વ્યક્તિત્વ હશે એમનું, એનો એક સંકેત રણજિતરામની અધૂરી નવલકથા માંહેલા પ્રો. સાહેબરામના પાત્ર પરથીયે મળી રહે છે.

    વારુ. લાંબી દાસ્તાંમાં નહીં જતાં, એમણે ભાવનગરમાં છાત્રો સાથે સહજીવન શરૂ કર્યું એનો એક પ્રસંગ ટાંકું. ગુરુપૂર્ણિમાએ એ શ્રીમન નથુરામ શર્માના સ્મરણપૂર્વક છાત્રો કને વંદન કરાવતા હશે ત્યાં ડંગોરાભેર કવિ કાન્ત સહસા પ્રગટ થયા: લ્યા, તારો ગુરુ હશે તો હશે એમાં તારા વિદ્યાર્થીઓને શેના જોતરે છે? દેખીતી રીતે જ, ગુરુડમના કોચલા કે કોશેટામાંથી બહાર નીકળવા સારુ ઠમઠોરતી એ અર્ધપરિભાષિત પણ સ્વરાજલેરખી હતી. કાળક્રમે, અંતરઅજવાળે દક્ષિણામૂર્તિનો સ્વતંત્ર વિકાસ, એમાં નાનાભાઈ સાથે ગિજુભાઈ-હરભાઈ સરખી પ્રતિભાઓનું હોવું, એ સામાન્ય વાત અલબત્ત નહોતી. જેમ અંતરઅજવાળે તેમ ગાંધીપ્રતાપે નાનાભાઈને ઊગી રહ્યું કે અમે નવી ભોં ભાંગી રહ્યા હોઈએ તો પણ બહુજન ભારતને, કહો કે ગ્રામભારતને જે શિક્ષણની જરૂર છે તે ક્યાં છે? નગરવર્ચસ્ છાંડી એ આંબલા સરખા ગામડે જઈ બેઠા. એક વેળાના પ્રોફેસર હવે ધૂળી નિશાળના મહેતાજી હતા.

    દર્શક અને સાથીઓ સંગાથે ૧૯૩૮થી જે વાત નવી બની રહી હતી તે તો એ કે હાલો ને ગામડે જાઈં એ સ્વરાજસાદ સુણી કોઈએ ગામડામાં નિશાળ ચલાવી હોય તો ભલે, પણ ગામડાંની નિશાળ-ગ્રામસમાજની જરૂરત અને હોંશમાંથી જન્મેલી નિશાળનો આ પહેલો પહેલો પ્રયોગ હતો. એ નિરંતર વિકસતો રહ્યો અને વર્ધા યોજના સાથે સંકળાયેલા ડૉ. ઝાકિર હુસેન સ્વરાજ પછી એક કાળે નઈ તાલીમ વિશે ક્યાંય કશું નથી એવા અવસાદમાંથી અનિલભાઈ ભટ્ટના વારામાં આંબલાની મુલાકાત સાથે બહાર આવી ગયા હતા.

    હું જાણું છું, વાત કંઈક લંબાઈ રહી છે પણ શાલેય શિક્ષણ પછી સ્વાભાવિક જ ઉચ્ચ શિક્ષણ અને અધ્યાપન મંદિર સરખી ખરી દૂંટીની માંગમાંથી લોકભારતીનો ઉદય થયો જે ઢેબરભાઈના અર્ધ્ય ઉદગારોમાં ‘એક અકિંચન બ્રાહ્મણ’ની ભેટ હતી. કૃષિ ગોપાલન તો બરાબર, પણ પ્લેટોથી માર્ક્સનુંયે શિક્ષણ. કેમ વારુ. તો કહે, ઉત્પાદક છે તે નાગરિક નથી અને નાગરિક છે તે ઉત્પાદક નથી. આ જુવારાં ન ભાંગે જ્યાં સુધી, સમાજ આખો કડેધડે કેમ થાય ત્યાં સુધી? મોટ્ટી વાત હતી આ, પછીથી સી.પી. સ્તો સરખા જેને ‘ટુ કલ્ચર્સ’ના કોયડા તરીકે ઓળખાવવાના હતા. સરસ. પૂરા કદની ગ્રામ વિદ્યાપીઠનો તો સોજ્જો દાખલો બેઠો.

    ૧૯૭૭-૭૮ના જનતા પર્વમાં જ ટાંકણે લોકભારતીનાં પચીસ વરસ થયાં. એક રીતે એની ટોચ તેમ ગલનબિંદુ બેઉ આવી ગયાં હતાં- અને એક વાત પૂર્વે રવિશંકર મહારાજે નાનાભાઈ-મનુભાઈને કહી હશે એ તો સ્મૃતિમાં સતત ટકોરા દેતી જ હતી કે છોકરાંનાં મા-બાપનેય શીખવવાનું ન ભૂલશો.

    બહોળા અર્થમાં એ હતી તો લોકશાહી નાગરિકતાની ચિંતા જ. જે ગ્રામસમાજમાં લોકભારતી પરિવારે કામ કીધું ત્યાં નવી પેઢી તો બની આવી સંસ્થાકીય કામોમાં, વિકાસ પ્રવૃત્તિમાં, પોતીકાં મહેનતમજૂરીનાં કામોમાં સમગ્ર વિસ્તારમાં એની હાજરી પણ ઉભરી આવી, પંચાયત ને સહકારીથી માંડી ધારાસભામાંયે તે બિંબિત થવા લાગી. પણ તરુણો ને વૃદ્ધો વચ્ચે આખી એક-બે પેઢી એવી હતી જેને માટે હવે વૈધિક શિક્ષણનો સવાલ કે શક્યતા કશું નહોતું. એમની વચ્ચૈ અવૈધિક શિક્ષણનું કંઈ ગોઠવ્યું હોય તો? પોતપોતાનાં કામમાં, પછી તે કૃષિ ગોપાલન હોય કે ગ્રામ ઈજનેરી, એને કંઈક નવું જાણવા ને શીખવા મળે અને સાથે સાથે બદલાતી દુનિયા ને પલટાતા સમાજના પ્રવાહો ને પરિબળોની સમજ પણ. ખેતી ને આનુષંગિક કામોના ટૂંકી મુદતના ઓપ વર્ગો, સાસુ-વહુની સહિયારી સામેલગીરીવાળા સ્વચ્છતા શિક્ષણ ને બાળઉછેરના વર્ગો, આસપાસની દુનિયામાં શું ચાલે છે તેના વર્ગો… ગામ પોતે જ જાણે કે શાળા! હવે નવસ્થાપિત લોકભારતી યુનિવર્સિટી ને નવપલ્લવિત માઈધાર અભિગમ આગળ ચાલતાં પોતાની વાત કહેશે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૧૮ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : જીવનનો મહાયજ્ઞ

    વિમલાતાઈ

    હિંમતનગર થી આગળ

    એમને પરલોક ગયે બે મહિના થઈ ગયા. મને થયું કે હવે મારે કોઈ હુન્નર શીખી લેવો જોઈએ જેથી હું મારા પોતાના પગ પર ઊભી રહીને મારાં બાળકોનો માનભેર ઉછેર કરી શકું. મેં સીવણકામના ક્લાસમાં જોડાવાનું નક્કી કર્યું. પ્રશ્ન હતો મારી નાની દીકરીઓનો. તેમને કોણ સંભાળે? મને લલિતાબાઈ પાસેથી સૂચના કહો કે આદેશ મળ્યો સુધા અને જયુને તેમની માસીને ઘેર મોકલી આપો. માસી એટલે દમુ નહિ, પણ મારાં કાકીની મોટી દીકરી નલિની, જે પોતાના તેર વર્ષના નાના ભાઈ, બે નાની બહેનો અને કાકીનો સંસાર નિભાવતી હતી. મારી પાસે અન્ય કોઈ રસ્તો ન હતો. મન કઠણ કરીને હું મારી નાની દીકરીઓને નલિની અને કાકી પાસે વીસનગર મૂકી આવી અને સીવણક્લાસમાં જોડાઈ. આ ત્રણ મહિનાનો કોર્સ હતો અને માસિક દસ રૂપિયાની ફી અને સાધનસામગ્રીના મળીને ચારસો રૂપિયા આપવાના થતા હતા. મારી પાસે જે થોડાઘણા પૈસા હતા તેમાંથી થોડી રકમ ફી તરીકે આપી.

    મારો ક્લાસ સવારના સાત વાગ્યે શરૂ થતો. ક્લાસની જગ્યા અમારા ઘરથી દોઢેક માઈલના અંતર પર હતી અને ત્યાં પગપાળા જવું પડતું. રોજ વહેલાં ઊઠી, નાહીધોઈ, રસોઈ અને બીજાં ઘરકામ પતાવી સવારના સાડા છ વાગ્યે ઘરમાંથી નીકળી જતી. અમારો સીવણક્લાસ સ્ત્રી-પુરુષોનો મિશ્ર વર્ગ હતો, અને સ્ત્રીઓ માટે બે મહિના પહેલાં જ વર્ગ શરૂ થઈ ગયો હતો. ક્લાસ શરૂ કરીને એક મહિનો પૂરો થયો અને સ્ત્રીઓને અભ્યાસક્રમ પૂરો થઈ ગયો. વર્ગમાં હું એકલી જ સ્ત્રી રહી ગઈ હતી. અહીં પણ નસીબ બે ડગલાં આગળ હતું! એમના અવસાન બાદ મને માનસિક તાણને લીધે ફિટ આવતી હતી (જેમાં મારું આખું શરીર ખેંચાતું અને લાકડાની જેમ અક્કડ થઈ જતું) તેની મારી શ્રવણશક્તિ પર વિપરીત અસર થઈ હતી અને મને હવે ઓછું સંભળાવા લાગતું હતું. કોઈ સામાન્ય રીતે વાત કરે તો મને સંભળાય નહિ તેથી અમારા શિક્ષક અમને જે શીખવતા તે મને સમજાતું નહિ. અંતે તેઓ પણ કંટાળી ગયા અને મેં સીવણ ક્લાસને તિલાંજલિ આપી. વીસનગરમાં મારી બેઉ દીકરીઓને ગોઠતું નહોતું. તેમાં જયુ તો ફક્ત ત્રણ જ વર્ષની હતી. આટલી નાની બાળકી મા વગર કેવી રીતે રહી શકે? આખરે મેં જ વિચાર કર્યો કે જે નસીબમાં લખ્યું હરો તે થશે અને બન્નેને વીસનગરથી ઘેર લઈ આવવાનો વિચાર કર્યો.

    થોડા દિવસ બાદ અમને સમાચાર મળ્યા કે અમારે હિંમતનગરનો સરકારી બંગલો ખાલી કરવાનો હતો. આ માટે હું અને લલિતાબાઈ ત્યાં ગયાં. અમારા મોટા દીકરાઓનાં લગ્ન માટે મેં જય્થાબંધ સામાન વેચાતો લીધો હતો તે આ બાઈએ માટીના મૂલથી વેચી નાખ્યો. મારા ઘરસંસાર માટે વર્ષોથી અને પ્રેમથી એકઠો કરેલ સામાન પણ પાણીના ભાવે કાઢી નાખ્યો. મેં તેમને ઘણી વિનવણી કરી કે, “મને અને મારાં બાળકોને હાલ પૂરતું હિંમતનગર રહેવા દો. અહીં મેં આખા વર્ષનું અનાજ, તેલના ડબા વગેરે ભરી રાખ્યાં છે અને નરેનનું શિક્ષણ પણ ફી ભર્યા વગર થઈ જરે.’ મારાં જેઠાણીએ કહ્યું, “ત્યાં એકલાં રહીને તમે બધાં બગડી જશો. અમે તમને હિંમતનગર રહેવાની રજા નહિ આપીએ. પરિવારનાં “મોટાં’ઓના આવા વિરોધ સામે મારું શું ચાલે? એક તો કાનમાં બહેરાશની વિકલાંગતા આપીને ભગવાન પણ મારી પાછળ પડી ગયા હતા. કોઈ વાતનું મને સુખ નહોતું લાધ્યું. થોડા દિવસ બાદ મારી બેઉ નાની દીકરીઓ – સુધા અને જયુ-ને તેમની માસીએ સથવારો જોઈને મારી પાસે મોકલાવી આપી. મારા દિવસ હવે દુઃખમય થઈ ગયા અને પરતંત્રતામાં વીતવા લાગ્યા.

    લલિતાબાઈએ હવે મોટાભાઈ અને રવિનાં લગ્નની તૈયારી કરવાનું નક્કી કર્યું, અને ફરીથી અનાજ-સામગ્રી વેચાતી લેવા લાગ્યાં. પરંતુ રવિ અચાનક માંદો પડી ગયો. [તેને લોહીની ઊલટી સાથે ફેફસાંનો ક્ષય થયો હતો -સંપા.] તેથી તેનાં લગ્ન મોકૂફ રાખવા પડયાં. તેની માંદગીની વાત જાણી તેના ભાવિ સસરાએ રવિને પોતાની દીકરી આપવાની સ્પષ્ટ ના કહી. તેમની સુશીલ દીકરીએ કહ્યું, “મારા નસીબમાં જે થવાનું હશે તે થશે, પણ લગ્ન તો રવિ સાથે જ કરીશ.’ આ કન્યા એટલી સારી અને સુસ્વભાવી હતી કે જ્યારે “એમનું’ અવસાન થયું ત્યારે તેણે અમારે ત્યાં સતત દસ દિવસ સુધી અમારા ઘરનું બધું કામ ઉપાડી લીધું હતું. તેની મરજી, મનોમન જેને પતિ માન્યો હતો તેની સાથે જ લગ્ન કરવાની હતી, તેની પરવા કર્યા વગર તેના પિતાએ આ લગ્ન પર પ્રતિબંધ મૂક્યો અને તેનાં લગ્ન અન્ય સ્થળે કરી નાખ્યાં. આ છોકરીનો ઝૂરી ઝૂરીને થોડા જ મહિનામાં દેહાંત થયો.

    “એમનું” અવસાન થયું ત્યારે અમારું આખું મકાન ભાડે આપ્યું હતું, તેમાંના ઉપરના માળે રહેનારા ભાડવાતોએ મકાન ખાલી કર્યું ત્યારે અમે અમારા મકાનમાં રહેવા ગયાં. ઘરનો સમગ્ર કારભાર તો સંપૂર્ણ રીતે લલિતાબાઈના હાથમાં જ હતો. તેમણે રવિને હવાફેર કરવા સૌરાષ્ટ્રમાં મોકલ્યો. મારાં જેઠાણી તેની સાથે ગયાં. થોડા દિવસ બાદ લલિતાબાઈએ મોટાભાઈને મુંબઈ લઈ જઈ તેનાં રજિસ્ટર લગ્ન કર્યા અને મને પ્રથમ પુત્રવધૂ મળ્યાં. અમે બન્ને સાસુ-વહુ ઘણાં સંપીને રહેતાં હતાં. તેમનો સ્વભાવ પણ ઘણો જ સારો હતો, તેમ છતાં તેમને કોઈ જાતની સ્વતંત્રતા ન હતી. બજારમાં સસ્તામાં સસ્તું જે શાક હોય તે લલિતાબાઈ પોતે જઈને લઈ આવતાં, અને તેઓ જે કહે તે પ્રમાણે હું અને મારાં પુત્રવધૂ કરી  આપતાં.

    મારાં વહુ ગર્ભવતી થયાં. તેમને ડિલિવરી માટે લલિતાબાઈએ તેમને પિયર મોકલી આપ્યાં. પોતાની માતા પાસે તેઓ જવા નીકળ્યાં ત્યારે પણ તેમની સાથે તેમણે કોઈને ન મોકલ્યાં. મારી ઘણી ઇચ્છા હતી કે મારાં વહુના સીમંત વખતે પૂજન અને ભોજનસમારંભ યોજું, પણ સત્તા આગળ શાણપણ ચાલતું નહોતું. દિવસ પૂરા થતાં તેમને દીકરી આવી. રિવાજ અને મારી હોંશ મુજબ મારી પાસે જે થોડુંઘણું હતું તેમાંથી મારી પહેલી પૌત્રી માટે સુંદર ભેટ આપવાનો વિચાર કર્યો અને તેમની અમદાવાદ આવવાની રાહ જોતી હતી. કમનસીબે મારી પૌત્રી એક મહિનાની થઈને ગુજરી ગઈ.

    હવે લલિતાબાઈએ મને જુદા થવાનું કહ્યું. મેં તેમને આર્જવતાપૂર્વક કહ્યું, “નરેન મેટ્રિક પાસ થાય ત્યાં સુધી તો અમને તમારી સાથે રહેવા દો! ત્યાર પછી અમે ખુશીથી જુદાં રહેવા જઈશું.’ લલિતાબાઈએ મને ચોખ્ખું કહી દીધું કે, “તમારી પાછળ ખરચા કરાવીને મારા ભાઈઓને મારે દેવાળિયા નથી બનાવવા. તમે કોઈ કામધંધો શરૂ કરો. આજના જમાનામાં કામ કરવામાં કોઈ નાનમ નથી.” આવી વાત સાંભળીને મને ઘણું લાગી આવ્યું અને મેં મનમાં જ નક્કી કરી નાખ્યું કે આવું ઓશિયાળું અને પરતંત્ર જીવન જીવવા કરતાં સ્વતંત્ર રહેવું વધુ સારું. બનવાજોગ તે વખતે લલિતાબાઈએ અમારા મકાનમાં નીચેના માળે રહેનારા એક ભાડવાત પાસેથી જગ્યા ખાલી કરાવી. મને તો અમારા ઘરમાં પણ જગ્યા ન મળી હોત, પણ હું મારાં બાળકોને લઈને ક્યાં જઉં? અમારું પોતાનું મકાન હોવા છતાં હું બહાર અન્ય કોઈ જગ્યાએ શા માટે રહેવા જઉં?

    અંતે નીચેના માળે એક વિશાળ હૉલ હતો તેમાં પાર્ટિશન નાખ્યું અને હોલનો લગભગ બેતૃતીયાંશ ભાગ અને તેની પાછળની પરસાળ અમને રહેવા માટે આપી. પરસાળના બે ભાગ કરેલા હતા જેમાંના એક ભાગમાં નાનકડી બાથરૂમ બનાવી હતી અને બીજામાં રસોડું. મકાનમાં બે ભાડવાત રહેતા હતા, તેમની પાસેથી આવતા ભાડાના લલિતાબાઈએ ચાર ભાગ પાડ્યા. તેમાંનો એક ભાગ મને અને બાકીના ત્રણ ભાગ પોતાના ભાઈઓ માટે રાખ્યા. આ ભાગ કરતાં પહેલાં અમારાં સાસુમાએ વસાવેલા ૫૦૦-૬૦૦ માણસોની રસોઈ થઈ શકે એવા મોટાં વાસણોને લલિતાબાઈએ ભંગારના ભાવે કાઢી નાખ્યાં, જેની મને ખબર પણ પડવા દીધી નહિ, અને બધી રકમ પોતાની પાસે રાખી લીધી. અમને જુદા કાઢ્યા ત્યારે બાકી રહેલાં વાસણોની વહેંચણી વખતે પણ કોઈ વડીલ વ્યક્તિને મધ્યસ્થી તરીકે ન રાખી. મનમાં ફાવ્યું તે પ્રમાણે નાનાં નાનાં વાસણો મને આપી દીધાં. મેં કશું ન બોલતાં તેમણે મને જે આપ્યું તે લઈ લીધું.

    ખરું જોવા જઈએ તો “એમણે” પોતે પોતાની હયાતીમાં જ બધી જણસ, ઘરવખરીની વસ્તુઓ અને ઘરની વહેંચણી કરવી જોઈતી હતી. મારી પોતાની ઉમર નાની હતી – તેમનાં મોટાં ત્રણ છોકરાંઓ કરતાં પણ મારું વય નાનું હતું. વળી મારા ખોળામાં “એમનાં” ચાર નાનાં નાનાં બાળકો હતાં. “એમનો” પોતાનો સ્વભાવ પણ એવો કે એમણે કદી પણ મારી સાથે સ્વસ્થ ચિત્તથી પોતાની ઘરસંપત્તિની કે પોતાના જીવન પશ્ચાત્ તેની વહેંચણી કેવી રીતે કરવા માગતા હતા તેની કદી પણ વાત કરી ન હતી. જીવતેજીવ કશું કરી શક્યા નહિ, તો મૃત્યુ સમયે તેમનાથી શું થઈ શકવાનું હતું? અંત સમયે “એમને” અમારી ચિંતા એટલી મૂંઝવતી હતી કે તેમના ખોળિયામાંથી પ્રાણ નીકળતા નહોતા. મને પાછળથી જાણવા મળ્યું કે અંતે જ્યારે મોટાએ એમનો હાથ ઝાલીને વચન આપ્યું કે, “બાઈને અને સૌથી નાનાં ચાર ભાઈબહેનોને હું સંભાળીશ” ત્યારે એમનો જીવ પ્રસ્થાન પામ્યો. પરંતુ આ વચનનો કશો ઉપયોગ નહોતો.

    એમના ગયા બાદ કેવળ દોઢ વર્ષમાં જ તેમણે અમને જુદાં કરી નાખ્યાં. મકાનના ભાડાના ચોથા ભાગના હિસ્સા તરીકે લલિતાબાઈએ મને માસિક ૩૬ રૂપિયા આપવાનું ઠરાવ્યું. મોટાએ કદાચ અમને સાચવ્યાં હોત, પણ લલિતાબાઈને હસ્તક નિયંત્રણની ધુરા હતી તેથી તેઓ પોતે જે નક્કી કરે તે પ્રમાણે ઘરની પ્રત્યેક વ્યક્તિએ કરવું જ પડતું. ખેર, અમે હવે સ્વતંત્ર રહેવા લાગ્યાં હતાં. આ નાનકડી આવકમાંથી જે છાશ રોટલો અમને મળી રહેતાં હતાં તેને અમે સંતોષથી સ્વીકારીને રાજીખુશીથી રહેવા લાગ્યાં.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • માઈક મળે તો કોઈ છોડે ?

    વ્યંગ્ય કવન

    કૃષ્ણ દવે
     

    પરસેવો બિચ્ચારો રઘવાયો થઈને ભલે ચહેરા પર આમતેમ દોડે !
    માઈક મળે તો કોઈ છોડે ?

    નાના અમથા એ ટીપાં શું જાણે ? આ ભાષણ શું કરવાની ચીજ છે ?
    આકાશે ચાંદો છે, ચાંદામાં પૂનમ ને પૂનમના પાયામાં બીજ છે,
    વિષયમાં એવો તો ફાંફે ચડે ને તોય તંતુને આમતેમ જોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?

    ઉધરસ ને નસકોરા રમત્યે ચડે ને એ ય બગ્ગાસા વ્હેંચાતા ભાગમાં,
    કંટાળો જાણે કે આખ્ખું કુટુંબ લઈ ફરવા આવ્યો ન હોય બાગમાં!
    તાજા ઉઘડેલ એક વક્તાને ડાળીએથી ખંખેરી ખંખેરી તોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?

    ‘છેલ્લી બે વાત’ -એવું કાનમાં પડે ને કંઈક શ્રોતામાં જીવ પાછા આવે,
    છેલ્લી, છેલ્લી છે એમ બોલી બોલીને પાછો આખ્ખો કલાક એક ચાવે,
    સાકરના ગાંગડાને કચ્ચકચાવીને જાણે પકડ્યો હો ભૂખ્યા મંકોડે.
    માઈક મળે તો કોઈ છોડે ?