વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ૨૫ જૂન, ૧૯૭૫ની બે યાદો

    નરેશ પ્ર. માંકડ

    વહેલી સવારનો સમય, ૨૫મી જૂન ૧૯૭૫, હજી તો ઊંઘમાંથી જાગ્યો હતો ત્યાં જ મારા પ્રથમ સંતાન, પુત્રીના જન્મના સમાચાર મળ્યા. હું હોસ્પિટલમાં દોડી ગયો.

    ત્યાં મને ધારાસભ્ય અરવિંદભાઈ મણિયારના ભત્રીજા બહાર જ મળી ગયા અને લાગલો જ સવાલ કર્યો, ” સમાચાર મળ્યા? ઇન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી છે, અરવિંદકાકાથી માંડીને દેશના તમામ નેતાઓ – જેપી, મોરારજીભાઈ, અટલજી બધાને જેલમાં નાખ્યા છે.”

    આજે એ ઐતિહાસિક ઘટનાની પચાસમી વર્ષગાંઠ છે.

    એના વિશે અસંખ્ય રસપ્રદ પુસ્તકો લખાયાં છે.

    પરંતુ, અત્યારે એની વાત નથી કરવી, માત્ર એક નામને વધાવવું છે, જેણે તત્કાલીન રાજ્યવ્યવસ્થા સામે ગાંધીજીની જેમ જનસમુદાયને જગાવી દીધો: જયપ્રકાશ નારાયણ.

    કિશોરવયમાં એમનું ” સમાજવાદથી સર્વોદય” વાંચ્યું ત્યારે મારી એમના વિશે છાપ અનિર્ણિત, અનિશ્ચયી ,ફાંફાં મારતા રાજકારણી તરીકે ગણી કાઢવા જેવી હતી.

    પછી ૧૯૬૨ – ૬૩ ના વર્ષોમાં જ્યારે બે સમાજવાદી પક્ષો – પ્રજા સમાજવાદી તથા સંયુક્ત સમાજવાદીનું જોડાણ કરવાના પ્રયાસો ચાલતા હતા ત્યારે ફરી જયપ્રકાશનું નામ ઉભર્યું. અદમ્ય નેતા રામ મનોહર લોહિયાએ જાહેર કર્યું કે જો જોડાણની નેતાગીરી જયપ્રકાશ લેતા હોય તો તેઓ પોતાના પક્ષનું બિનશરતી વિલીનીકરણ કરવા તૈયાર છે.  સમાજવાદીઓમાં જેપીનું આવું ઉચ્ચ સર્વમાન્ય સ્થાન હતું.

    ત્યાર બાદ લગભગ એક દશક પછી ફરી તેઓ દેશવાસીઓના દિમાગમાં ઊભર્યા –  બિહારના છાત્ર આંદોલનથી. એ આંદોલનની અસર ગુજરાતના ઉકળતા ચારુ જેવા રાજકારણ પર પડી. જેપીને એની પણ નેતાગીરી લેવાનો આગ્રહ થયો અને ચળવળને બળ મળ્યું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ સમયનું એક લોકપ્રિય સૂત્ર હતું:

    અંધકારમાં એક પ્રકાશ
    જયપ્રકાશ, જયપ્રકાશ

    બિહાર આંદોલન વખતે એક ગીત આવ્યું હતું:

    जयप्रकाश का बिगुल बजा तो जाग उठी तरुनाई है

    રાજકોટમાં પોતાના વક્તવ્યમાં જયપ્રકાશે પોતે જ એની બીજી પંક્તિ ઉમેરી:

    तिलक लगाने तुम्हें जवानों क्रांति द्वार पर आई है।

    એ ઉન્મુક્ત સાહસના એ દિવસો આજે યાદ આવે છે અને સાથે વિલિયમ વર્ડ્સવર્થના શબ્દો પણ યાદ આવે છેઃ

    Bliss was it in that dawn to be alive
    But to be young was very heaven.

    ઈશ્વરકૃપા હતી એ પરોઢ કે જીવતા છીએ
    પણ યુવાન હોવું એ તો સ્વર્ગ જ છે.

    આ યાદગીરી પણ એક લહાવો છે, અન્ય એક કવિએ કહ્યું છે તેમ:

    God gave us memory so that we might have roses in December.

    ભગવાને આપણને એટલે યાદશક્તિ આપી છે કે ડિસેમ્બરમાં પણ આપણે ગુલાબ માણી શકીએ.


    શ્રી નરેશ માંકડનો સંપર્ક nareshmankad@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ઈન્દિરા ગાંધીને પોતાની સત્તાનો ભય કેમ હતો?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    ૨૫મી જૂને બરાબર પચાસ વરસ થયાં એ રાતને, એ વાતને- જ્યારે લોકશાહીના દીવા બુઝાઈ રહ્યા જેવા હતા અને લોકશાહીની વાટ કેમ જાણે રૂંધાયાં જેવી. અલાહાબાદ હાઈકોર્ટે ઈન્દિરા ગાંધીની ચૂંટણી રદ કરી હતી. ન્યાયમૂર્તિ જગમોહનલાલ સિંહા જે રીતે કામ લઈ રહ્યા હતા તે જોતાં હિમાચલ હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પદની લલચામણી ઓફર સાથે એમને વારવાનો પ્રયાસ સત્તાસ્થાનેથી નાકામ રહ્યો હતો. ઈન્દિરાજીના પ્રતિપક્ષી ઉમેદવાર રાજનારાયણ તરફથી કેસ લડી રહેલા શાંતિભૂષણને કોઈક રીતે પોતાની તરફે કરી લેવાના સત્તાશાઈ ઉધામાને પણ યારી મળી નહોતી. અંતે જે થવાનું હતું તે થઈને રહ્યું- અમદાવાદ (ગુજરાતની ચૂંટણી) અને અલાહાબાદ, બેઉ ચુકાદા એક સાથે આવ્યા.

    ૧૯૭૧ની બાંગ્લાદેશ વેળાની તેમ ગરીબી હટાઓ ચૂંટણીથી પ્રાપ્ત આભા હવે સવાલિયા કુંડાળામાં મૂકાઈ ગઈ હતી. બિહાર આંદોલનનાં ઐતિહાસિક પરિમાણો અને જયપ્રકાશનું અસાધારણ નેતૃત્વ જોતાં બની રહેલા માહોલ વચ્ચે ઈન્દિરા ગાંધીની ચૂંટણીનું રદ થવું પ્રજાસત્તાક ભારતમાં પહેલી પચીસી સંકેલાતે જળથાળ સંજોગો ઊભા કરે તે સાફ હતું. આ જળથાળ સંજોગ ૨૫મી જૂનની મધરાત લગોલગ આંતરિક કટોકટીની જાહેરાત રૂપે સામે આવ્યો. એને પગલે સેન્સરશિપથી માંડીને મિસા (જેને ‘મેઈન્ટેનન્સ ઓફ ઈન્દિરા સિકયોરિટી એક્ટ તરીકે સૌ ઓળખાવતા) અમલી બન્યો. એમાં, આ મિસાવાસ્યમમાં, કારણ જણાવ્યા વગર ને કામ ચલાવ્યા વગર ગોંધી રાખવાની બેછૂટ જોગવાઈ હતી.

    મુદ્દે જે ભય હતો તે મુખ્યત્વે ઈન્દિરા ગાંધીને પોતાની સત્તા અંગે હતો. અલાહાબાદ હાઈકોર્ટે એમની સાંસદી રદ કરી હતી અને છ વરસ માટે ચૂંટણી લડવા બાબતે ગેરલાયક ઠરાવ્યાં હતાં. પક્ષપ્રમુખ દેવકાન્ત બરુઆ તેમજ પ્રધાનમંડળના સીનિયર સાથીઓ ‘થોડો સમય, બધું ઠેકાણે ન પડે ત્યાં સુધી’ હંગામી પ્રધાનમંત્રી પદ વાસ્તે તૈયાર હતા. પણ અલાહાબાદ હાઈકોર્ટે સામેથી, આ સજા સામે અપીલમાં જવા સારુ વીસ દિવસની જે સવલત આપી હતી તે પછી બરુઆ કે ચવાણ કે જગજીવનરામ સત્તા પાછી સોંપે ખરા કે કેમ એ બાબતે ઈન્દિરા ગાંધી કાં તો સાશંક હતાં કે પછી નિર્ભ્રાન્ત.

    દરમ્યાન, ચુકાદાને પગલે ૧૮મી જૂને મળેલી કોંગ્રેસ પાર્લમેન્ટરી પાર્ટીએ ‘ઈન્દિરાજીના નેતૃત્વમાં’ વિશ્વાસનો પ્રસ્તાવ કર્યો. જયપ્રકાશે જાહેર પ્રતિક્રિયા આપી કે ચુકાદાનો જવાબ વિશ્વાસમતમાં નથી- તમે કાયદાની આણ માની પદત્યાગ માટેની નૈતિક તૈયારી દાખવવા માગો છો કે કેમ એ સવાલ છે. ૨૫મી જૂને રામલીલા મેદાનમાં વિરાટ જાહેર સભા મળી, જેને જયપ્રકાશ નારાયણથી માંડી મોરારજી દેસાઈ વગેરેએ સંબોધી. જયપ્રકાશે કવિ દિનકરને ટાંકીને કહ્યું: સિંહાસન ખાલી કરો કી જનતા આતી હૈ!

    નવનિર્માણથી આરંભી રેલવે હડતાળથી માંડી બિહાર આંદોલન દરમ્યાન જે દમનરાજનો અનુભવ થયો હતો એના ઉજાસમાં જયપ્રકાશે પોલીસને તેમ લશ્કરને પણ અપીલ કરી કે કશું ગેરકાનૂની કે ગેરબંધારણીય કરવાનું કહેવામાં આવે તો માનશો ના- તમારા ‘મેન્યુઅલ’માં તે સાફ લખેલું છે.

    કહ્યાગરા રાષ્ટ્રપતિની સહી મેળ‌વી ઈન્દિરા ગાંધીએ કટોકટીની જાહેરાત કરી. મધરાતે ઘણાખરા પ્રધાનોની જાણ વગર એમને ત્યાં એ જાહેરનામું તૈયાર થયું હતું. ૨૧મી ને ૨૨મીએ રાષ્ટ્રભરમાંથી પકડવા લાયક લોકોની યાદી વૉરન્ટ સર તૈયાર થવા લાગી હતી. બલકે, ૧૨મી જૂને અમદાવાદ-અલાહાબાદના ચુકાદા સાથે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર પણ ચોક્કસ યાદી પર કામ કરી રહ્યા હતા અને હા, પાછળથી પ્રાપ્ય વિગતો પ્રમાણે પ. બંગાળના મુખ્યમંત્રી સિધ્ધાર્થ શંકર રેએ છ મહિના પૂર્વે આંતરિક કટોકટીની જાહેરાતનો મુસદ્દો તૈયાર કરી સોંપ્યો હતો.

    આ તો અધુકડો મુખડો માત્ર છે. જૂન ૨૦૨૫થી માર્ચ ૨૦૨૭ના, કટોકટી પડ્યાથી ઊઠ્યાની પચાસીનાં વરસોમાં યથાપ્રસંગ કંઈક નિરીક્ષા, કંઈક નુક્તેચીની જરૂર કરવાની થશે. દોધારી નિયતિ નાગરિક છેડે અનુભવાય છે: કટોકટી (ઈમર્જન્સી) ગઈ પણ કાયદાનું શાસન સવાલિયા દાયરામાં છે અને ગેરબરાબરી તેમજ વિદ્વેષની કટોકટી (ક્રાઈસિસ) બરકરાર છે. ૧૯૪૭ના સ્વરાજ કાળથી તેમ ૧૯૫૦ના પ્રજાસત્તાક કાળથી જે કટોકટીનો આપણે મુકાબલો કરી રહ્યાં છીએ એની ન તો હાલના સત્તા-પ્રતિષ્ઠાનને સુધબુધ છે, ન તો એના બડકમદારો અને પાલખી ઊંચકનારાઓને એની પડી છે.

    ૨૦૨૫-૨૦૨૬ની પચાસી જેમ જૂની મૂર્છાની તેમ નવી મૂઠની કાળજી લઈ શકશે?


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૫ – ૦૬– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘દીવાસળી’

    ગિરિમા ઘારેખાન                     

    બાજુની રૂમમાંથી આવતા ભાઈ-ભાભીની વાતચીતના અવાજો સાંભળીને શોભા પથારીમાં બેઠી થઈ ગઈ. ગાઢ નિદ્રા તો એ ઘરમાં પાછી આવી એ દિવસથી દુ:શ્મન જ થઈ ગઈ હતી. સહેજ ખડખડાટથી પણ એની આંખ ખૂલી જતી. આ અવાજો તો બધી રીતે એની ઊંઘ ઉડાડી દે એવા હતા.

    ‘કાલે પાછા એક છોકરાવાળા પ્રતિમાને જોવા આવવાના છે. શોભાનું શું કરીશું?’ ભાઈ ભાભીને પૂછતો હતો.

    ‘એને કહીશું કે ભરાઈ રે રસોડામાં. બહાર આવે જ નહીં.’

    ‘જે આવે છે એ બધા થોડુંક તો સાંભળીને જ આવે છે. આ છોકરાની મા કોઈ ને કોઈ બહાને ઘરમાં  આમ તેમ ફરશે જ. એ વખતે શોભાને રસોડામાં જોશે તો શું કહીશું?’

    ‘આ તમારી બેન ! શું કામ પાછી આવી હશે? ગામમાં તો લોકો ગુસપુસ કરે જ છે. આવી વાત છાની રહેતી હશે? એ તો હવે જિંદગીભર આપણા માથે જ બેસવાની છે. હવે એને લીધે નાનીનું ય નહીં ગોઠવાય? અરેરે! મારું તો જીવવાનું હરામ થઈ ગયું.’

    ઉશ્કેરાટમાં ભાભીનો અવાજ મોટો થઈ ગયો હતો. અડધી બહેરી મા તો નીચે કંઈ સાંભળતી નહીં હોય. આમે ય એ ભાઈને ક્યાં કશું બોલી શકે છે? પ્રતિમા અહીં સૂતી હોત તો એને સીધું પૂછી જ લેત કે મારું પાછા આવવાનું તને ય નથી ગમ્યું? પણ એ તો હમણાંથી જાણે અભડાઈ જતી હોય એમ પોતાનાથી આઘી જ રહે છે. સૂઈ જાય છે પણ નીચે મા સાથે.

    શોભા સમજી ન હતી શકતી કે જે થયું એમાં એનો વાંક શું હતો? એ તો અવારનવાર જતી એમ એ દિવસે પણ મા સાથે શહેરમાં દરજી પાસે ગઈ હતી- હાથસિલાઈનું કામ લેવા અને થઈ ગયેલા કપડાં  પાછા આપવા. મા બહુ વર્ષોથી આ કામ કરતી હતી. ભણવામાં હોશિયાર હોવા છતાં શોભાએ પણ  બારમા પછી આ કામે વળગી જવું પડ્યું હતું. પ્રતિમા અત્યારે બારમામાં ભણતી હતી એટલે એ મદદ નહોતી કરતી. ભાભી બબડાટ કરતી કરતી ઘરનું કામ કર્યા કરતી. ભાઈને કારખાનાનું સ્થળ નજીક પડે અને ભાડું પણ ઓછું હોય, એટલે એમણે શહેરથી દૂર ઘર ભાડે રાખ્યું હતું. એ અને મા શહેરમાં જઈને દરજી પાસેથી કપડાં ઉપર હાથસિલાઈ કરવાનું કામ લઈ આવતાં. છકડા રીક્ષામાં આવવા જવાનું રાખતાં એટલે પૈસા ઓછા થતાં.

    શોભાના કમનસીબે એ દિવસ ખરાબ ઊગ્યો હતો. એ લોકો પહોંચ્યા ત્યારે દરજી દુકાન બંધ કરીને ક્યાંક બહાર ગયો હતો. ખાસો વખત રાહ જોવી પડી. પાછા ફરતાં જે છકડામાં બેઠાં એ બંધ પડી ગયો. અધવચ્ચે ઊતરી જવું પડ્યું. બીજી છકડો મળ્યો ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. જોરદાર વરસાદ પણ ચાલુ થઈ ગયો હતો. શોભાને એ આખું દૃશ્ય અત્યારે પણ નજર સામે દેખાતું હતું. દર વખતની જેમ એ કપડાં ભરેલો થેલો લઈને રીક્ષાના ખૂણામાં બેસી ગઈ હતી જેથી ચડઊતર કરતા માણસોને થેલો વચ્ચે ના નડે. માને અંદરની બાજુ રૂંધામણ થતી, પરસેવાની વાસ સહન ન થતી, એટલે એ બહારના છેડે બેસતી. એટલે કોઈ પણ પેસેન્જર ચડે કે ઊતરે, મા એ તો નીચે ઊતરવું જ પડતું.

    એ દિવસે રીક્ષામાં પાછળ છ પેસેન્જર બેઠેલા હતા–એ બે જણ અને ચાર પુરુષો. શહેરથી એમના ઘેર પહોંચતા સુધી રસ્તામાં થોડો નિર્જન રસ્તો આવતો હતો. ત્યાં જ બે પેસેન્જરે ઉતરવા માટે રીક્ષા ઊભી રખાવી. શોભાની મા નીચે ઊતરી. પેલા બે પણ નીચે ઊતર્યા અને જાણે આગળથી નક્કી કરેલું હોય એવી રીતે મા પાછી બેસે એ પહેલા તો રીક્ષાવાળાએ રીક્ષા મારી મૂકી. શોભાએ મા ને બૂમો પાડતી પાછળ દોડતી આવતી જોઈ. પરિસ્થિતિ સમજાતાં એણે ચાલુ રીક્ષાએ કૂદી જવાનો પ્રયત્ન કર્યો. પણ એક જણાએ એને બાથ ભરીને પકડી લીધી. બીજાએ એનું મોં દાબી દીધું.

    ટી.વી.માં જોયેલા અને સમાચારોમાં સાંભળેલા બળાત્કારના અનેક દૃશ્ય શોભાની આંખ સામે આવી ગયાં. પણ એના આશ્ચર્ય વચ્ચે પેલા લોકોએ એવું કશું જ ન કર્યું. એમણે રીક્ષાના પડદા પાડી દીધા. એ લોકો એને દૂરની કોઈ અવાવરું ઓરડીમાં લઈ ગયા અને બહારથી તાળું મારી દીધું.

    શોભા આખી રાત ફફડતી રહી. એ લોકો ઓરડીની બહાર જ બેસી રહ્યાં હતા. શોભાને એમની વાતો સંભળાતી હતી.

    ‘છોડીને કોઈએ હાથ નથી લગાવાનો. કુંવારી છોડીના વધારે પૈહા મળે એવું કાનજી કેતો’તો. એણે જ આ આઇડિયા આપેલો.’

    ‘તે આપણે આને વેસવા ક્યાં જૈહું?’

    ‘કાનજી કાલે અહીં આવીને આને લઈ જાહે અને પૈહા દઈ જાહે. પસી આપડે સૂટા.’

    શોભાને ખ્યાલ આવી ગયો કે આ લોકો કોઈ રીઢા ગુનેગારો નથી. પણ, પેલો કાનજી કોઈ કોઠામાં મૂકી આવશે પછી નહીં છૂટી શકાય. અહીંથી જ ભાગવું પડશે. રીક્ષાવાળો જાય તો બીજા બેને પહોંચી વળાશે.  બીજા દિવસે બપોરે એણે સાંભળ્યું કે રીક્ષાવાળો ખાવાનું લેવા ગયો છે એટલે એણે બારણું ખખડાવ્યું. પેલા બે એ અંદર ડોકિયું કર્યું. શોભાએ બે આંગળી બતાવી.

    ‘અલ્યા હું કરસું?’

    ‘તું લઈ જા. પેલો કાનજી આવશે તો કોક તો અહીં હોવું જોય ને?’

    ખાસા આગળ જઈને શોભાએ પેલાને દૂર ઊભા રહેવાનું કહ્યું. પછી તો સહેલું હતું. જ્યાં રસ્તો લઈ જાય ત્યાં દોડવાનું જ હતું. એના નસીબે બાઇક પર જતો એક પોલીસવાળો મળી ગયો અને રાત પહેલા તો શોભા ઘેર હતી. આમ તો એની આટલી ગેરહાજરી ગામમાં કોઈને ધ્યાનમાં પણ ના આવત. પણ એની મા એ ઘેર પહોંચતા પહેલાં જ એમના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી દીધી હતી. બીજા દિવસ બપોર સુધીમાં તો આખું ગામ શોભાના અપહરણ વિશે જાણી ગયું હતું. રાઈને પહાડ બનતા વાર ક્યાં લાગવાની હતી ?

    શોભાના ભાઈ- ભાભીએ વિચારી લીધું હતું કે હમણાં શોભાનું ક્યાંય ગોઠવાવાનું શકય નથી. વાત વધુ વણસે એ પહેલા એમણે પ્રતિમા માટે બહારગામના છોકરાઓ જોવાનું ચાલુ કરી દીધું હતું.

    ************                        **************                *********

    આજે ફરી એક વાર ભાઈ ભાભીની વાતચીતના અવાજથી શોભાની આંખ ખૂલી ગઈ હતી.

    ‘તમારી કલંકીની બેને જીવવાનું હરામ કરી નાખ્યું છે. પાછી આવવાને બદલે એ ગાડીના પાટા પર સૂઈ કેમ ના ગઈ? એને લીધે નાનીનુંય ક્યાંય ગોઠવાતું નથી. મારે તો બે ય નણંદો જિંદગીભર મારા માથે ચડીને નાચવાની.’ ભાભીએ રડવાનું ચાલુ કર્યું.

    ‘તું રડ નહીં. આપણે કોઈ ઉપાય શોધીશું.’

    ‘ઉપાય શું? હવાયેલી દીવાસળીને ફેંકી જ દેવી પડે.’

    અવાજ ધીમા થઈ ગયા. આગળની વાતચીત શોભા સાંભળી ન શકી.

    બીજે દિવસે ધોધમાર વરસાદને લીધે ગામમાં પાણી ભરાઈ ગયા હતા. લાઈટ જતી રહી હતી. શોભા મા સાથે રસોડામાં હતી. ઉપરથી ભાઈની બૂમ સંભળાઈ. શોભા ઉપર ગઈ એ સાથે ભાભીએ રૂમનું બારણું બંધ કરી દીધું. પ્રતિમા પણ એમની સાથે ઊભેલી હતી. ભાભીએ પકડેલા કેરબામાંથી કેરોસીનની વાસ આવી રહી હતી.

    શોભા બધું સમજી ગઈ. આ વરસાદમાં કોઈને એની બૂમો સંભળાવાની નથી. સળગાવી દીધા પછી આપઘાત સાબિત કરવાનું કેટલું સહેલું છે ! આવું તો રોજ છાપામાં આવે છે. એક વાર તો એને વિચાર આવ્યો કે ભલે આ લોકો સળગાવી દે. ગામલોકોની રોજે રોજ વીંધતી નજરોથી મરવા કરતાં એકવારમાં પાર આવી જાય. સ્મશાનને બદલે અહીં ઘરમાં જ ચિતા ભલે થઈ જતી.

    પણ બીજી જ પળે માનો દયામણો ચહેરો દેખાયો. જીજીવિષા જાગૃત થઈ ગઈ. કોઈ વાંક વિના મારે શું કામ મરવાનું? ઘરમાંથી કાઢી મૂકશે તો માને લઈને નીકળી જઈશ. સિલાઈ કામ આવડે છે, એ કરીશ. પણ આમ કમોતે તો નહીં જ મરું.

    થોડીક ક્ષણો સુધી શોભા ત્રણે ય જણ સામે જોતી રહી. પછી મક્કમ અવાજે બોલી, ‘તમારું ભલું ઈચ્છું છું એટલે કહું છું. કાલે રાત્રે તમારી વાત સાંભળ્યા પછી હું આજે સવારે જ પોલીસસ્ટેશનમાં લેખિત આપી આવી છું કે, મને કંઈ થાય તો મારા ભાઈ-ભાભી એને માટે જવાબદાર હશે. હવે કાલે જઈને પ્રતિમાનું નામ પણ ઉમેરાવીશ.’

    ગુસ્સાથી ધ્રૂજતો ભાઈ શોભા તરફ ધસ્યો પણ પ્રતિમાએ એને પકડી લીધો. ભાભી હજી ખૂણામાં કેરબો પકડીને ઊભી હતી. શોભાએ સળગતી નજરે એની સામે જોયું. ભાભીને લાગ્યું કે એ જ્વાળામુખીની આગથી કેરોસીન સળગવા માંડશે. એના હાથમાંથી કેરબો પડી ગયો. નીચેથી માની બૂમ સંભળાઈ, ‘શોભા, બીજી માચીસ ક્યાં રાખી છે? આમાં તો બધી દીવાસળી હવાઈ ગઈ છે. ગેસ કેવી રીતે સળગાવું?’

    શોભાએ જવાબ આપ્યો, ‘આવું મા. હવાયેલી દીવાસળીને કેવી રીતે સળગાવવી એ મને આવડે છે.’


    [ઉત્સવ, દીપોત્સવી, ૨૦૨૨ ]

    ગિરિમા ઘારેખાન

    ૧૦, ઈશાન બંગલોઝ,સુરધારા-સતાધાર રોડ, થલતેજ ,અમદાવાદ-૩૮૦૦૫૪
    ફોન-૮૯૮૦૨૦૫૯૦૯

  • માની વાત કદી ખોટી હોઈ શકે ખરી ?

    દક્ષા વ્યાસ

    (પગલાં જળનાં)

    એમણે
    ખાખી વર્દીવાળાઓએ
    પકડી લીધો હતો
    બંધ કર્યો’તો કોઇ કમરામાં.

    કાકાભાઇ સાથે આવ્યો’તો દેશથી
    લાગ્યો’તો સાડી-કટાઇના કામમાં.
    વિચાર્યું’તું
    લઈ જઈશ સાડી સરસ મઝાની
    માને માટે.

    સમજાતું નથી
    કામ કરવામાં ખોટું શું છે ?
    સૌ કામ તો કરે છે !

    બાપા લારી ખેંચે છે
    મા વાસણ ચમકાવે છે
    ભોલો ચાની લારી પર.
    કામ કરશું નહીં તો ખાશું શું ?

    માએ કહ્યું’તું
    ’મહેનતની રોટી ખાજે બેટા !’
    મહેનત તો કરતો’તો
    એમાં ખોટું શું કર્યું ?

    માની વાત
    કદી ખોટી હોઈ શકે ખરી ?

  • વાદ્યવિશેષ (૩૨) ફૂંકવાદ્યો (૮) બેગપાઈપ

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    મૂળભૂત રીતે સ્કોટલેન્ડમાં ઉદભવેલું આ વાદ્ય સદીઓથી યુરોપના અન્ય દેશોમાં પણ ખાસ્સું લોકપ્રિય બની રહ્યું છે. સમય વિતતાં બેગપાઈપ ભારત અને એશિયાના અન્ય દેશોમાં પણ પ્રવેશીને ખાસ કરીને ખાસ કરીને કુચ અને સરઘસોમાં વાગતું જોવા-સાંભળવા મળે છે. આપણે ત્યાં આ વાદ્ય ‘મશક બેન્ડ’તરીકે પણ ઓળખાય છે.

    ફૂંકવાદ્યોની જેમ જ આ વાદ્યમાં હવા દાખલ કરી,તેની રચનામાં સમાવિષ્ટ પાઈપ્સ (ભુંગળીઓ)માંથી બહાર નીકળતી તે હવાને યોગ્ય પદ્ધતિથી નિયંત્રીત કરીને ધાર્યા સૂર ઉત્પન્ન કરી શકાય છે.

    તેની રચના તસવીરમાં  જોઈ શકાય છે. ચામડામાંથી અથવા તો જાડા,મજબૂત કાપડમાંથી બનેલી મશક જેવી કોથળી (બેગ)માં એક છેડે જોડાયેલી પાઈપથી હવા દાખલ કરવામાં આવે છે. તે બેગના બીજા છેડે એક કરતાં વધુ પાઈપ્સ જોડાયેલી હોય છે. આ કારણથી વાદ્યને તેનું નામ – બેગપાઈપ- મળ્યું છે. વાદક બેગ સાથે ઉપરના ભાગે જોડાયેલી પાઈપમાં ફૂંક મારીને બેગમાં હવા દાખલ કરે છે. વાદ્ય એ રીતે પકડવામાં આવે છે,જેથી બેગ વાદકના એક હાથ અને કમરની વચ્ચે રહે. જરૂર મુજબ બેગને દબાણ આપતાં હવા આગળ વધી,ચેન્ટર અને ડ્રોન કહેવાતી પાઈપ્સમાં દાખલ થાય. અહીં ચેન્ટર કહેવાતી એક પાઈપમાં નિયત અંતરે છીદ્રો પાડેલાં હોય છે,જેની મદદથી બહાર નીકળતી હવા વડે અપેક્ષિત સૂર નિષ્પન્ન થાય છે. આ ઉપરાંત ડ્રોન તરીકે ઓળખાતી પાઈપ્સમાંથી બહાર નીકળતી હવા વડે કોઈ એક ચોક્કસ સૂર જ વાગતો રહે છે. આમ,આ વાદ્ય વડે ચોક્કસ સ્વરોની સૂરધારા (હાર્મની) વગાડી શકાય છે.

    એક વીડિઓ જોવાથી બેગપાઈપની રચના,વગાડવાની પદ્ધતિ તેમ જ તેના સ્વર બાબતે પ્રાથમિક જાણકારી મળી શકશે.

    હવે માણીએ કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો,જેના વાદ્યવૃંદમાં બેગપાઈપના સ્વર સાંભળવા મળે છે.

    ફિલ્મ ચોરીચોરી (૧૯૫૬)ના ગીત ‘ઓલ લાઈન ક્લીયર’ની શરૂઆતથી જ વાદ્યવૃંદમાં બેગપાઈપના અંશો કાને પડતા રહે છે. ફિલ્માંકનમાં પરેડની અસર ઉભી કરવા માટે આ વાદ્ય વપરાયું છે. સ્વરનિયોજન શંકર-જયકિશનનું છે.

    https://www.youtube.com/watch?v=vxaONMbmzA8&list=RDvxaONMbmzA8&start_radio=1

    ૧૯૫૭માં રજૂ થયેલી ફિલ્મ ‘ગેઈટવે ઑફ ઈન્ડીયા’નાં ગીતો મદનમોહનના સ્વરનિર્દેશનમાં તૈયાર થયાં હતાં. તેમાંના ગીત ‘ચલ મેરે દિલ ઉડનખટોલે’ની પ્રસ્તુત ક્લીપ માણતાં શરૂઆતથી જ બેગપાઈપના સ્વરો સંભળાતા રહે છે. વળી એક કલાકાર આ વાદ્ય સાથે પણ નજરે પડે છે.

    https://www.youtube.com/watch?v=pd1xDe-HB8w&list=RDpd1xDe-HB8w&start_radio=1
    ૧૯૬૧ની ફિલ્મ રામુદાદા માટે સંગીત ચિત્રગુપ્તે તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘ચલો મન મેં લગન લે કે પ્યાર કી’સાંભળતાં જ તેના વાદ્યવૃંદમાં સમાવિષ્ટ બેગપાઈપના અંશો પારખી શકાશે.

    ફિલ્મ જબ પ્યાર કીસી સે હોતા હૈ (૧૯૬૪)માં શંકર-જયકિશનનું સંગીત હતું. તેના ગીત ‘તુમ જૈસે બીગડે બાબુ સે’માં બેગપાઈપના ટૂકડાઓ વિશિષ્ટ અસર ઉભી કરે છે. અહીં ભાવકોનું ધ્યાન શંકર-જયકિશનની શૈલી બાબતે ખેંચવાની ઈચ્છા થાય છે.ફિલ્મમાં ચિત્રાંકિત એકલ કે સમુહ નૃત્ય સાથેના ગીત માટે આ સંગીતકારો પ્રમાણમાં લાંબો પૂર્વાલાપ(Prelude) તૈયાર કરતા હતા. આ ગીતમાં તે જણાઈ આવે છે.

    હવે માણીએ ૧૯૬૪ની અતિશય સફળ ફિલ્મ સંગમનાં બે ગીતો – ‘બોલ રાધા બોલ સંગમ હોગા કે નહીં’ અને ‘મૈં ક્યા કરું રામ મુઝે બુડ્ઢા મીલ ગયા’. કહેવાની જરૂર નથી કે આ ફિલ્મની સફળતામાં શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ગીતોનું માતબર પ્રદાન રહ્યું છે. બેગપાઈપના અંશો ધરાવતાં આ બેય ગીત એક પછી એક સાંભળીએ.

    ‘બોલ રાધા બોલ’ગીતની શરૂઆતમાં રાજ કપૂર બેગપાઈપ વગાડતા જોઈ શકાય છે. વળી મધ્યાલાપમાં પણ આ વાદ્યનું પ્રાધાન્ય છે.છે. આમ જોતાં બેગપાઈપ જ મુખ્ય વાદ્ય હોય એવું આ એકમાત્ર ગીત છે.

    https://www.youtube.com/watch?v=jhvEAqNJ1xA&list=RDjhvEAqNJ1xA&start_radio=1

    ‘મૈં ક્યા કરું રામ’ગીતમાં પણ બેગપાઈપના અંશો કાને પડતા રહે છે. રાજ કપૂરની સાથે એ વાદ્ય પણ નજરે પડે છે.

     

    શંકર-જયકિશનનું એક વધુ સ્વરનિયોજન માણીએ. ૧૯૬૫ની ફિલ્મ ગુમનામના ગીત ‘ઈસ દુનિયા મેં જીના હો તો સુન લો મેરી બાત’ના વાદ્યવૃંદમાં આ સંગીતકારોએ બેગપાઈપનો કર્ણપ્રિય ઉપયોગ કર્યો છે.

    https://youtu.be/BmOgZ5A63eo?si=BRyYJdR_To4_gBKf

    ૧૯૬૫ના જ વર્ષમાં પ્રદર્શિત થયેલી ફિલ્મ નીલા આકાશ માટે મદનમોહને સંગીત તૈયાર કર્યું હતું. આ ફિલ્મનું ગીત ‘ઈન આંખોં સે નઝર કે તીર’માણીએ. શરૂઆતમાં જ નાયિકા અને અન્ય સહાયકો બેગપાઈપ વગાડતાં જોઈ શકાય છે,સમગ્ર ગીત દરમિયાન આ વાદ્યના અંશો સંભળાતા રહે છે.

    ફિલ્મ બાદલ (૧૯૬૬) માટે ઉષા ખન્નાએ સ્વરબદ્ધ કરેલા ગીત ‘અપને લીયે જીયે તો ક્યા જીયે’માં બેગપાઈપના અંશો સાંભળવા મળે છે.

    હવે સાંભળીએ ૧૯૬૭ની ફિલ્મ દિવાનાનું ટાઈટલ ગીત ‘દિવાના મુઝ કો લોગ કહે’. મધ્યાલાપના વાદ્યવૃંદમાં બેગપાઈપના ટૂકડાઓનું પ્રાધાન્ય આસાનીથી પારખી શકાય છે.

    હવે એક શૌર્યગીત ‘ચલો સિપાહી ચલો’ની વાત કરીએ. આ ગીત ફિલ્મ ચલો સિપાહી ચલોમાંથી લેવામાં આવ્યું છે. નોંધનીય બાબત એ છે કે આ ફિલ્મની સાલવારી મળતી જ નથી! આ બાબતે સૌથી આધારભૂત ગણાતા એવા હરમંદીર ‘હમરાઝ’દ્વારા સંપાદિત કોશ – Hindi Talkie Film Index-માં પણ આ ફિલ્મની રજૂઆત ‘સાઠના દાયકામાં’થઈ એવો જ ઉલ્લેખ છે. ફિલ્મ ગુમનામીમાં ભલે રહી ગઈ હોય,તેનું આ શિર્ષકગીત એક શૌર્યગીત તરીકે ખુબ જ જાણીતું છે. ગીતના પૂર્વાલાપ (પ્રિલ્યુડ)માં બ્યુગલ સંભળાય છે અને મધ્યાલાપ (ઈન્ટરલ્યુડ)માં બેગપાઈપના અંશો ગુંજવા લાગે છે.

    ૧૯૭૦ની ફિલ્મ ધરતી માટે ગીતો શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયાં હતાં. આ ફિલ્મનું એક ખુબ જ જાણીતું ગીત ‘ખુદા ભી આસમાં સે’બેગપાઈપના અંશોથી સજાવાયેલું છે.

    https://www.youtube.com/watch?v=2Q-McgeA-H8&list=RD2Q-McgeA-H8&start_radio=1

    રાહુલદેવ બર્મનના સંગીતનો જે ફિલ્મની સફળતામાં મોટો ફાળો હતો તે કારવાં (૧૯૭૧)ના ગીત ‘દૈયા યે મૈં કહાં આ ફંસી’ના વૈવિધ્યસભર વાદ્યવૃંદમાં આરંભે બેગપાઈપનો કર્ણપ્રિય ઉપયોગ થયો છે.

    https://www.youtube.com/watch?v=gT7dABHA92E&list=RDgT7dABHA92E&start_radio=1

    એ હકિકત સર્વવિદિત છે કે ૧૯૭૦ પછી ઈલેક્ટ્રોનિક વાદ્યો બજારમાં આવ્યાં અને તેવા એક જ વાદ્યયંત્રની મદદથી અનેક વાદ્યોના સ્વર ઉપજાવી શકાતા હોવાથી મૂળ વાદ્યોનું ચલણ મોટી માત્રામાં ઘટી ગયું.તેમ છતાં પણ કોઈ કોઈ ગીત માટે સંગીતકારો મૂળ વાદ્યોનો ઉપયોગ કરતા આવ્યા છે. ઉદાહરણ તરીકે ૧૯૭૭ની ફિલ્મ હમ કીસી સે કમ નહીંના ગીત ‘હમ કો તો યારા તેરી યારી’માં રાહુલદેવ બર્મને એક ઠેકાણે પરેડની અસર નીપજાવવા માટે બેગપાઈપનો ઉપયોગ કર્યો છે.

    ૧૯૮૫ની ફિલ્મ ઝબરદસ્તના ગીત ‘જબ યારા ચાહા તૂ ને’ના વાદ્યવૃંદમાં રાહુલદેવ બર્મને બેગપાઈપનો છૂટથી ઉપયોગ કર્યો છે. અહીં પણ આ વાદ્ય પરેડની અસર ઉભી કરવા માટે ઉપયોગે લેવાયું છે. ગીત માણીએ.

    https://www.youtube.com/watch?v=uj5OLjty0l4&list=RDuj5OLjty0l4&start_radio=1

    આ કડીમાં અહીં અટકીએ તે પહેલાં એ હકિકતની નોંધ લઈએ કે શંકર-જયકિશનની બેલડીએ તેમના વાદ્યવૃંદમાં બેગપાઈપનો ભરપૂર ઉપયોગ કર્યો છે. સામાન્ય રીતે પરેડની અસર દર્શાવવા માટે વપરાતા આ વાદ્યનો હળવાં રોમેન્ટીક ગીતોમાં જવલ્લે જ જોવા મળ્યો છે બીજી એક હકીકતની  નોંધ પણ લેવા જેવી છે. તે એ કે બેગપાઈપનો ઉપયોગ થાયો હોય એવાં ગીતોના પડદા પર જોવા મળતા ફિલ્માંકનમાં બેગપાઈપ દર્શાવાઈ હોય તે જરૂરી નથી. ઘણાં ગીતોમાં પડદા પરના પાત્રને શરણાઈ કે એ પ્રાકારનું ફૂંકવાદ્ય વગાડતું બતાવાયું હોય છે. આવી વિસંગતી થી મૂંઝાવાની જારૂર નથીનથી કેમ કે,ફિલ્માંકનની જરૂરીયાત અલગ હોય છે. મૂળ વાત એ છે કે બેગપાઈપના સ્વરનો ખ્યાલ આવી જાય તે પછી જે તે ગીતના વાદ્યવૃંદમાં તેના સૂરને તરત જ ઓળખી શકાય.  આવતી કડીમાં નવા ફૂંકવાદ્ય સાથે મળીશું.


    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૬ – ज़िन्दगी प्यार का गीत है

    નિરંજન મહેતા

    ૧૯૮૩ની ફિલ્મ ‘સૌતન’નુ આ ગીત જિંદગીની ખૂબીઓને વર્ણવે છે

     

    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा
    ज़िन्दगी गम का सागर भी है
    हँसके उस पार जाना पड़ेगा

    जिसका जितना हो आँचल यहाँ पर
    उसको सौगात उतनी मिलेगी
    फूल जीवन में गर ना खिलें तो
    काँटों से भी निभाना पड़ेगा
    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा

    है अगर दूर मंज़िल तो क्या
    रास्ता भी है मुश्किल तो क्या
    ज़िन्दगी प्यार का गीत है
    इसे हर दिल को गाना पड़ेगा

    આ ગીત દ્વારા કહેવાયું છે કે જો તમે જિંદગીને સકારાત્મક દ્રષ્ટિથી જોશો તો તે તમને પ્રેમભર્યું ગીત લાગશે અને તો તમારે તે દરરોજ માણવું પડશે. દરેકના જીવનમાં સુખ અને દુઃખ આવતા જ હોય છે અને જ્યારે દુઃખ પ્રમાણમાં બહુ લાગે ત્યારે તેને હસતે મુખે સહન કરશો તો તમે તે દુઃખસાગરને પાર કરી શકશો.

    કહેવાય છે કે જેની જેટલી હેસિયત હોય તે તેટલું પામે છે. તેવા જ અર્થમાં કહ્યું છે કે જેનો જેટલો પાલવ તેને તેમાં સમાય તેટલી જ ભેટ મળશે.

    ભલે સુખનો અનુભવ ન થાય પણ દુઃખ આવે તેને નિભાવવું રહ્યું. આવા સમયે મંજિલ દૂર જણાશે અને રાહ પણ મુશ્કેલીભરી જણાશે પણ ત્યારે હિંમત ન હારતા તેને અપનાવી લો કારણ જીંદગી પ્યારનું ગીત છે અને તે સમજીને તમારે જીવવું જરૂરી છે.

    પદ્મિની કોલ્હાપુરે અને શ્રીરામ લાગુ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાવનકુમાર અને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. સ્વર છે લતાજીનો.

    આ ગીત વધુ બે વાર મુકાયું છે પણ થોડા શબ્દોના ફેરફાર સાથે.

    બીજા ગીતમાં પણ પદ્મિની કોલ્હાપુરે છે પણ રચાયું છે રાજેશ ખન્ના પર. ગીતકાર સાવનકુમાર અને સંગીતકાર ઉષા ખન્ના. સ્વર છે કિશોરકુમાર

    વળી ત્રીજું ગીત દર્દભર્યું જણાય છે. પદ્મિની કોલ્હાપુરે અને રાજેશ ખન્ના ગીતના કલાકારો છે, ગીતકાર છે સાવનકુમાર જેને સંગીત આપ્યું છે ઉષા ખન્નાએ. યુગલગીતના ગાયકો છે કિશોરકુમાર અને લતાજી.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૦૯. સાજન દેહલવી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    સાજન દેહલવીએ ફિલ્મોમાં પ્રવેશ ૧૯૭૩ માં કર્યો. એમની ફિલ્મ ‘ ઠોકર ‘ ( ૧૯૭૪ ) માં એમણે સંગીતકાર શ્યામજી ઘનશ્યામજી માટે લખેલાં બે ગીત ખૂબ લોકપ્રિય થયા. ‘ મૈં ઢૂંઢતા હું જિનકો રાતોં કો ખયાલોં મેં ‘ ( મુકેશ ) અને ‘ અપની આંખોં મેં બસા કર કોઈ ઈકરાર કરું ‘ ( મોહમ્મદ રફી ). એ ફિલ્મનું લેખન પણ એમણે જ કુલવંત સિંહ જાની સાથે મળીને કરેલું. આ ઉપરાંત જોહ્ની મેરા યાર, તીન ચેહરે, પ્યાર કી મંઝિલ, કૈસે કૈસે લોગ, હીરોઈન એક રાત કી, બદલા ઔર બલિદાન, ધુંએં કી લકીર, ડાકુ, ભેદભાવ, રાજુ દાદા જેવી નિષ્ફળ ફિલ્મોમાં પાંત્રીસ જેટલા ગીતો લખ્યાં. આમાંની ઘણી ફિલ્મોમાં સંગીત શ્યામજી ઘનશ્યામજીનું હતું.

    એ રચનાઓમાંની ગઝલ આ એક જ –

    મહેફિલ મેં ઉસને દેખા મુજે જબ નઝર બદલ કે
    આંખોં મેં મેરી આએ આંસુ મચલ મચલ કે

    જા કે કહો સિતારોં ઉસ બેવફા સે કહના
    કાટી હૈ રાત હમને કરવટ બદલ બદલ કે

    તુમ પ્યાર કા સહારા મુજકો અગર ન દોગે
    રહ જાઉંગી મૈં એક દિન શમા કી તરહ જલ કે

    આ જાઓ મુજ પે નઝરેં લોગોં કી ઉઠ રહીં હૈં
    દુનિયા મેરી બદલ દો મેરે સાથ સાથ ચલ કે

    બસ ઈતની ઈલ્તેજા હૈ ગર હો સકે તો કરના
    મરને કે બાદ મેરે આના કબર  ચલ કે …

    – ફિલ્મ : ડાકુ ૧૯૭૫
    – ઉષા મંગેશકર
    – શ્યામજી ઘનશ્યામજી


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ઋતુના રંગ : ૩ :

    ગિજુભાઈ બધેકા

    બાલમંદિર : ભાવનગર.

    તા. ૨ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    હજી શિયાળો ચાલે છે, ખરું ? અત્યારે મહા મહિનો છે. શિયાળાના ચાર માસ ગણાય છે : કારતક, માગશર, પોષ અને મહા. એમ છતાં કારતકમાં ઠંડી થોડી હોય છે અને ઘણી વાર નથી હોતી; અને ફાગણની પૂનમ સુધી તો ઠંડી સારી રીતે પડે છે. લોકો તો એમ માને છે કે ફાગણ માસની હોળી તાપ્યા વિના ટાઢ ઊડે જ નહિ.

    ગયા અઠવાડિયામાં બહુ ઠંડી ન હતી એટલે કામ કરવાની મજા આવી. છતાં હજી ગરમી તો વધી જ નથી. વચ્ચે બેત્રણ દિવસ બપોરે ઠીક ઠીક પવન રહ્યો એટલે બાલમંદિરનાં બાળકો સંગીતમાં આવ્યાં જ નહિ, અને અખાડામાં રમવા લાગ્યાં. આ ઋતુમાં બાળકોને તડકો બહુ ગમે છે. અખાડામાંથી તેઓ ખસતાં જ નથી. તેઓ ત્યાં લપસે છે, કૂદે છે, દોડે છે, ચોરચોર રમે છે, હીંચે છે, ને ચક્કાર પર પણ જાય છે. બાળકો ઓરડામાં આવે નહિ એટલે અમે બધાં અખાડામાં જઈને ઊભાં રહીએ છીએ. ઓરડામાં જ કાંઈ થોડું ભણતર છે ? અખાડામાં આ બધું ભણતર જ છે ના !

    શિયાળો; ઉનાળો અને ચોમાસું : એમાં તમને કઈ ઋતુ ગમતી હશે એ તો તમે જાણો. પણ એ સાચું છે કે ગરીબનો ઉનાળો અને પૈસાદારનો શિયાળો. શિયાળે ઓઢવા-પાથરવા જોઈએ, પહેરવા પણ જોઈએ, અને ભૂખ પણ વધારે લાગે. અને તે માટે પહેરવાઓઢવાનું તેમ જ સારું સારું ખાવાનું ગરીબ પાસે તો નથી. શિયાળે પૈસાદારને શું ? ટાઢ વાય તો આ…ને મજાની સગડી પાસે તાપે, ગરમ મોજાં પહેરે, શાલો ઓઢે અને રજાઈઓ ઓઢીને સૂઈ રહે. બિચારાં ગરીબો ટાઢે ઠૂંઠવાય. એમને પૂરું પાથરવા-ઓઢવાનું હોય તો કે ? અને તડકે કે સગડીએ ક્યાંથી તાપે ? પેટને માટે કડકડતી ટાઢમાં પણ કામે તો જવું જ પડે. બાકી ઉનાળો આવે ત્યારે ગરીબોને નિરાંત. ફાટલાં કપડાં હોય તો યે ચાલે. શહેરમાં સેંકડો લોકો ફૂટપાથ ઉપર એમ ને એમ પડ્યા જ રહે છે. પણ એમને આવી રીતે પડ્યા જ રહેવું ગમે છે એમ ન માનજો. એમની પાસે પૈસા નહિ, ઘર નહિ, ખાટલાગોદડાં નહિ એટલે એમની આવી દશા.

    વારુ, એ તો બધું બદલાશે જ. હમણાં તો આપણે આપણો શિયાળો તો વિતાડીએ ? કાં, લીલા ચણાના શાક ખાઓ છો કે નહિ ? પાપડીનાં ને તુવેરનાં ઊંધિયાં ય ખાતા હશો. રીંગણાનો ઓળો ખાતા હશો; હમણા મોટાં અને કાળાં રીંગણાં બહુ આવે છે. ને એમ તો શિયાળુ શાકમાં કેટલાં ય આવે છે : પાપડી, નોલકોલ, મેથી, વાલોળ, કોબી, રીંગણાં, ફૂલગોબી, મોગરી, ને એ બધાં. કહો, તમને કયું શાક ભાવે, ભલા ?

    શાક ખાવા જોઈએ એ તમે જાણો છો ? લીલાં શાકો ખાવાથી શરીરમાં સ્ફૂર્તિ આવે છે. શકરિયાં, ગાજર, મૂળા, મોગરી, ટમેટાં, કોબી ને એવાં એવાં શાકો તો ચાવી ચાવીને ખાવાથી બહુ ફાયદો થાય એમ બધા કહે છે. લાલ ટમેટાં બહુ ગુણકારી, હં ! એની કચૂંબર થાય, એનો સૂપ થાય, અને એનો મુરબ્બો પણ થાય. તમારી બાને આવડતો હોય તો કહેજો કે કરી આપે.

    હમણાં જમરૂખ આવે છે, બોર આવે છે; જોજો, ખાવાનું ભૂલી જતાં નહિ. તમે તમારા ભણતરમાં એટલાં બધાં કદી ન પડતાં કે ખાવાપીવાનું ભૂલી જવાય. તો તો બધું ભણતર નકામું જાય.

    જામફળ ઉપર જરા મીઠું ભભરાવજો; તો ખટાશ ઓછી થઈ જશે ને મીઠાશ આવશે. જામફળનો પણ મુરબ્બો થાય; એકલી કેરીનો જ થાય એમ નથી. પણ આ બધું તમને મળે છે; બિચારાં ગરીબનાં છોકરાંને મુરબ્બા વળી કેવા ? અને જામફળો અડધાં પાકાં ને અડધાં કાચાં એવાં કાછિયાઓ એને વેચે; પૂરા પૈસા આપે તો યે સારું ન આપે તો !

    આ શિયાળામાં ઘરમાં બેસી ન રહેતાં; જરાક બહાર ફરવા જજો. જરા ધુમ્મસ પડતું હોય ત્યારે બહાર જશો તો મજા આવશે. નજીકનાં ઘરો પણ નહિ દેખાય; આકાશ, સૂરજ, ને એવું કાંઈ યે નહિ દેખાય. ત્યારે બધું ઝાંખું ઝાંખું જોવાની યે મજા પડશે. મોટા મોટા ડુંગરા ઉપર તો એવું ધુમ્મસ વરસે કે બે જણા સાથે ચાલતા હોય તોપણ એકબીજાને ન વરતાય. આપણે ધુમ્મસમાં જ ઘેરાઈ જઈએ; કશું જ ન ભળાય.

    ગામડામાં જતા હો તો ઘઉંના ખેતરો જોવા જરૂર નીકળજો. ઘ‌ઉં શિયાળે થાય એ ખબર તો છે ને ? તમને ચોપડી ભણનારને એની ખબર નથી હોતી. ઘ‌ઉંના લીલાંછમ ખેતરો જોઈ તમારી આંખને ટાઢક વળશે. ઘ‌ઉંની વચ્ચે પીળાં પીળાં ફૂલવાળા છોડને તમે ક્યાંથી ઓળખો ? એ રાઈના છોડ છે. રાઈના છોડે પીળાં ફૂલ આવે છે. છોડ બહુ સુંદર લાગે છે. લીલી હરિયાળી વચ્ચે પીળો ગુચ્છ કેટલો બધો ખીલી ઊઠે છે ! બંગાળમાં તો રાઈનાં ખેતરો હોય છે. એટલે તો આખું ખેતર પીળા ગાલીચાથી બિછાવેલું હોય એવું લાગે. એટલું બધું સુંદર કે વાત ન કરો !

    આપણા કાઠિયાવાડના ભાલમાં ઘ‌ઉં બહુ થાય છે. અત્યારે ભાલ આખો લીલોછમ હશે. ઉનાળે ત્યાં જઈ જુઓ તો આખી ધરતી ધખધખતી હોય; એકે ઝાંખરું ન મળે. માત્ર ઝાંઝવાનાં જળ દેખાય ને આપણે છેતરાઈએ. પંજાબમાં પણ અત્યારે ઘ‌ઉં ઊગ્યા હશે.

    ઠીક ત્યારે, આ કાગળ જરા લાંબો થઈ ગયો. હવે વખત મળે લખીશ.

    લિ. તમારા

    ગિજુભાઈના આશીર્વાદ


    માહિતી સ્રોત : વિકિસ્રોત

,
  • છોટીયાની ચતુરાઈ

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક હતું જંગલ. બધા જંગલની જેમ આ જંગલમાં પણ ઘણા બધા પ્રાણીઓ રહેતાં હતાં. એમાં સહુથી વધારે સસલાં. સફેદ, ભૂખરા, સસલાંના ઝુંડ ને ઝુંડ જંગલમાં ફર્યા કરે.

    જંગલમાં એક શિયાળ પણ રહેતું હતું. એને આ કુણા કુણા સસલાં બહુ ભાવે. આમ તો એ સસલાને દોડવામાં પહોંચી ન વળે, પણ લાગ મળે ત્યારે સસલાને પકડીને ઓહિયા કરી જાય.

    એનાથી બચવા માટે સસલાં જમીનની નીચે ઘર બનાવીને રહે. પણ એ લોકો ભૂખ્યા થાય ત્યારે ઘાસ ખાવા બહાર નીકળે. પેલું શિયાળ ત્યાં ટાંપીને બેઠેલું જ હોય. એ તરત જ તરાપ મારીને સસલાને પકડી લે. સસલાના રામ રમી જાય.

    બધાં સસલાં આ શિયાળથી ત્રાસી ગયા હતા. પણ કરવું શું?

    સસલાઓએ ખાવા પીવા માટે તો એમના ઘરની બહાર નીકળવું જ પડે ને? શિયાળ એટલું લુચ્યું હતું કે એ ક્યારે ક્યાં આવીને બેઠું હશે એની કોઈને ખબર ન પડતી.

    દિવસે દિવસે સસલાંની સંખ્યા ઘટવા માંડી. એ જોઇને એક વૃદ્ધ સસલાને ઘણી ચિંતા થઇ. એને થયું કે આમ ને આમ ચાલશે તો અમે તો ખલાસ જ થઇ જઈશું.

    એક વખત પેલું શિયાળ જંગલમાં દેખાતું ન હતું. એ કદાચ પોતાના ભાઈબંધને મળવા નજીકના બીજા જંગલમાં ગયું હતું ત્યારે વૃદ્ધ સસલાએ બધા સસલાંને એક મેદાનમાં ભેગા થવાનો આદેશ આપ્યો. દાદા સસલાના આદેશને માન આપીને જંગલમાં હતાં એ બધા સસલાં ડરતે ડરતે એ મેદાનમાં ભેગા થયા. શિયાળના ત્રાસને કેવી રીતે અટકાવવો એની ઘણી ચર્ચા થઇ. પણ કોઈને કોઈ ઉપાય સૂઝતો ન હતો.

    છેલ્લે બધાં સસલાં જયારે ખૂબ નિરાશ થઈને બેસી ગયાં. ત્યાં એક નાનું સસલું ધીમેથી બોલ્યું, હું તો બહુ નાનું છું. પણ તમે બધા જો મને સાથ આપો તો હું એ શિયાળથી કાયમ માટે છૂટકારો અપાવી શકું.”

    “તું?” “તું?” “અલ્યા ટેણીયા તું?” બધા સસલાં બોલવા માંડયા. ઘણાને તો હસવું પણ આવી ગયું. જયારે કોઈ કંઈ નથી કરી શકતું ત્યારે આ છોટીયું શું કરવાનું હતું હે?

    દાદા સસલાએ બધાને શાંત રહેવાનું કહ્યું. એમણે કહ્યું, તલવાર જે કામ ના કરી શકે એ સોય કરી જતી હોય. આપણે છોટીયાને સાંભળીએ તો ખરા.’

    છોટીયાએ સભાની વચ્ચે આવીને પોતે વિચારેલો ઉપાય બધાને જણાવ્યો. એ સાંભળીને સસલાં તો ખુશખુશાલ! એમને સમજાયું કે આમાં તો અક્કલથી આપણી આવડતનો ઉપયોગ કરવાનો છે. બીજું કંઈ
    નહીં.

    છોટીયાએ બતાવેલા ઉપાય પ્રમાણે બધા સસલાંએ ભેગા થઈને એક જગ્યાએ જમીનમાં ઊંડો ખાડો ખોદ્યો. પછી એમાં આરપાર નીકળી જવાય એવી સુરંગ બનાવી. હવે પેલું શિયાળ જંગલમાં પાછું આવી
    ગયું છે એવું એમણે જાણ્યું ત્યારે એમણે એમની યોજના અમલમાં મૂકવાનું નક્કી કર્યું.

    યોજના પ્રમાણે પેલું બહાદુર છોટીયું શિયાળ જ્યાં બેઠું હતું ત્યાંથી પસાર થયું. શિયાળને તો એને જોઇને મોંમાં પાણી આવી ગયું. આમે ય ઘણા દિવસથી એને સસલું ખાવા મળ્યું ન હતું. આ તો પાછું નાનું નાનું
    કોમળ સસલું!

    “વાહ! યમ્મી! આજે તો મજ્જા જ મજ્જા’ એમ બોલતું શિયાળ છોટીયાની પાછળ દોડ્યું.

    છોટીયું તો દોડતું દોડતું એને પેલી સુરંગ પાસે લઇ આવ્યું અને ગાવા માંડ્યું, “ શિયાળ ભાઈ, આવો આવો હવે મને ખાઓ ખાઓ’. ગાતું ગાતું સસલું સુરંગમાં પેસી ગયું.

    દોડીદોડીને વધારે ભૂખ્યું અને વધારે ગુસ્સે થયેલું શિયાળ હવે તો આ સસલાને ખાવા ખૂબ ઉતાવળું થયું હતું. એ પણ એની પાછળ સુરંગમાં ઘૂસ્યું. પણ સુરંગ તો હતી સાંકડી. સસલું તો એમાં અંદર જઈને
    આરામથી બીજી બાજુથી બહાર નીકળી ગયું. પણ શિયાળ અંદર ફસાઈ ગયું.

    હવે આજુબાજુ સંતાઈને રહેલા બધાં સસલાં ત્યાં દોડી આવ્યા અને સુરંગના મોં પાસે ભેગી કરીને રાખેલી માટી અંદર નાખવા માંડયા. થોડી જ મીનીટોમાં સુરંગમાંથી બહાર નીકળવાના બંને રસ્તા બંધ!

    શિયાળ તો અંદર એવું ફસાયું હતું કે જ્યાં હતું ત્યાંથી હાલી પણ શકતું ન હતું. એણે અંદરથી ઘણી બૂમો પાડી પણ એનું સાંભળે કોણ?

    એ દિવસ પછી જંગલમાં શિયાળ દેખાયું નથી. કદાચ એ પેલી સુરંગમાંથી બહાર નીકળી શક્યું જ નહીં હોય. હવે બધાં સસલાં ત્યાં શાંતિથી રહે છે, ફરે છે, ઘાસ ખાય છે, લ્હેર કરે છે અને હા, છોટીયાની
    ચતુરાઈ અને બહાદુરીના વખાણ પણ કર્યા કરે છે.


    ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯

  • ખાલી ભરી ભરી

    દેવિકા રાહુલ ધ્રુવ

    એક નવી વાત..સ્મશાનગૃહની…ચોંકી જવાય એવી વાત. સ્વાભાવિક છે. શબ્દ જ ચોંકાવનારો છે. પણ ના અને હા..! આ એક મુક્તિધામની વાત છે, અંતિમ વિશ્રામસ્થાનની. સાવ ખાલી ખુલ્લી જગા અને છતાં ભરીભરી. એક એક કણ પાસે મણમણની વાત.

    ગુજરાતના ગાંધીનગર શહેરમાં એક ખુલ્લી વિશાળ જગામાં બાંધવામાં આવેલ સુખદાયી મુક્તિધામની. થોડા વર્ષો પહેલાં જ એનું હૃદયંગમ વર્ણન સાંભળ્યું હતું ને કલમ સળવળી ઉઠી. ત્યાર પછી તો દ્રષ્ટિઆર્ટ ગેલેરી તરફથી ખાસ તૈયાર કરવામાં આવેલ ચંદ ક્ષણોની વિડીયો પણ જોવા મળી. દિલને ખૂબ શાતા વળી.

    સ્વજનોને ખાંધે જતી શબવાહિનીની આસપાસ (કદાચ) ફરતો જીવ સૌથી પ્રથમ પ્રવેશે છે એક સુંદર કોતરણીવાળા કમાનાકાર સુશોભિત દરવાજામાં, ધીરા ધીરા સંગીતના શાંત,કરુણ નાદસાથે..તેને “તત્ત્વમ્ અસિ” કૃષ્ણ-રાધા આવકારે છે. તેના પ્રવેશદ્વાર આગળ બે દ્વારપાળ ઉભા છે જાણે મૃત્યુની રખેવાળી ન કરતા હોય ! થોડાં પગલાં આગળ ચાલો ત્યાં સજીવ લાગે તેવી જુદી જુદી મૂર્તિઓ એક પછી એક માર્ગમાં આવતી જાય ને મનમાં એક અનોખા સ્વર્ગીય સ્થળની આકૃતિ ઉપસતી જાય. શબરી, ગુરુ નાનક, ભગવાન બુદ્ધ, શંકરાચાર્ય, મીરાં, સાંઇબાબા, ફિકરને ફાકી કરી ફરનાર ભગત નરસિંહ મહેતા રાહમાં મળતા જાય, દરેકનાં પ્રિય ગીત/ભજન/કવિતા વાગતાં જાય. આહા..હા..હા.. કેટલી ભવ્ય યાત્રા હશે !! જોતાંજોતાં ત્યાં જવા માટે, એ લ્હાવો લેવા માટે ઘડીભર મરવાનું મન થઈ આવ્યુ!

    હા, તો થોડા કદમ આગળ અને એક સંસારચક્ર દેખાયું. પંચ-મહાભૂતનું વર્તુળ આવ્યું. જળ, આકાશ, વાયુ, અગ્નિ અને પૃથ્વીનું. જીવન પછીના જીવનમાં પણ એ સઘળું હશે ? વિચારધારા આગળ ચાલે ત્યાં તો ત્રિશૂળધારી અલકનિરંજન શંકર, પાર્વતી, હાથીની સૂંઢ પર આરુઢ ગણપતિ, તે પછી ધનુર્ધારી શ્રીરામ,ગદાધારી હનુમાન, વિશ્વના સર્જક  બ્રહ્મા, સાથમાં લક્ષ્મીદેવી, પાલનહાર વિષ્ણુ, શતદલ કમળ પર બિરાજમાન સરસ્વતી, ઘટમાં બિરાજતા શ્રીનાથજી, બંસીધર, રાસરમૈયા નટખટ કૃષ્ણ, વંદનીય મહાત્મા ગાંધી વગેરે મૂર્તિમંત થતાં ગયાં. મન શોકારહિત થતું જતું આગળ વધે ત્યાં તો પવિત્ર મંદિરો અને દેરાસરોની હારમાળા ધીરે ધીરે પ્રસન્નતાની છાલક અર્પતી જાય અને એમાં વધારો કરે રાહની કલાકારીગીરીથી ભરપૂર સુરક્ષિત, સુશોભિત દીવાલો.

    આટલું  જોતાંજોતાં અને ખરેખર તો સાચા અર્થમાં માણતાં જતાં જોયું કે,વચ્ચે એક ઈન્ટર્નલ દરવાજો આવે છે જ્યાંથી બે ફાંટા પડે છે.એક રાહ દશાવતાર તરફ લઈ જાય છે અને બીજો અંતિમધામ તરફ..આ નાનકડી કેડી કેટલી સાંકેતિક છે ! એક  શાયરે કહ્યું છે ને કે, “કેટલી આકરી પરીક્ષા છે, જીવન મૃત્યુની પ્રતીક્ષા છે!

    વધુ આગળની યાત્રાના રસ્તે શેષશય્યા પર શોભાયમાન લક્ષ્મીનારાયણ આવે છે, ત્યાં ગીતારથ ઉભેલ છે અને આગળ છે દશાવતારની મૂર્તિઓ. એકસરખી કતારમાં ગોઠવેલી આ મૂર્તિઓ એક ‘ડીવાઈન’  દ્રશ્ય ઉભું કરે છે. સંગીતના  સુમધુર ધીમા સૂરો તો  સતત ચાલુ જ.

    છેલ્લે બીજા બે ફાંટા પડે છે .૧) લાકડા પર અગ્નિદાહ ને ૨) ઈલેક્ટ્રીક રીતે વીજળી સમ વિસર્જન…

    માનવીનું જીવન અને વિકાસ, જીવને ક્યાંથી ક્યાં સુધી, કેવીકેવી રીતે લઇ જાય છે ! માટીમાંથી જન્મેલો અને જીવનભર લાકડે  વળગેલો  માણસ અંતે લાકડે ચઢી  ફરી પાછો માટીમાં જ મળી જાય છે અને લાકડાની ફ્રેઈમમાં  ભીંત પર ટીંગાઈ જાય છે!

    “રાખના રમકડા…કાચી માટી ને કાયામાંથી માયા કેરા રંગ લગાયા…તંત અનંતનો તૂટ્યો ત્યાં તો રમત અધૂરી રહી.. તનડા ને મનડાની વાતો આવી એવી ગઇ…રાખના રમકડાં.”મૃત્યુ વિશે ઘણું લખાયું છે, ખૂબ સુંદર લખાયું છે પણ આવા જીવને લઈ જતાં મુક્તિધામો વિશે ઝાઝુ લખાયાનું જાણમાં નથી.

    આ મુક્તિધામ એટલે કશાકમાંથી છૂટી જવાની જગા નથી. કોઈ બંધનથી પર થવાનું સ્થાન નથી. પણ સ્વમાંથી સર્વસ્વ કે સમષ્ટિને પણ પેલે પાર કશુંક હશે તેના તરફ આનંદપૂર્વક જીવને પ્રયાણ કરાવતી એક  રમણીય જગા જેના હિંડોળે પ્રસન્નતાથી ઝુલવાનું મન થાય. પરમ શાંતિની કાલ્પનિક અનુભૂતિ કેવી આલ્હાદક! આમ તો ખાલી ખાલી છતાં ભરી ભરી લાગે!

    પહેલાં કદી જોવા કે જાણવા નહિ મળેલ એવી આ જગાની વાતો સાંભળીને, વિડીયો જોઈને મનને ખૂબ જ સારું લાગ્યું. આ વિચાર જેને જાગ્યો હશે તે અને આ કામ કરનાર દરેક વ્યક્તિ અઢળક પ્રશંસાને પાત્ર છે એટલું જ નહિ, તેઓ તો નિયતિને કારણે થતા દુઃખભર્યા વિલાપની વચ્ચે પણ સુખને શોધી કાઢી, જગતમાં વ્હેંચનાર મહાન વિભુતિઓ સમા છે. તે સૌને મારા વંદન.

    એમ લાગે છે કે, જતા જીવ પાછળ વિલાપ, આક્રંદ અને રુદન કરતાં સ્વજનો અને મિત્રોના હૃદયને હિંમત અને શક્તિ મળે અને જીવનભર ઝઝુમેલા અને વિદાય પામી ચૂકેલા જીવને છેવટે તો આવા શાંતિ-રાહમાં જતાંજતાં સાચા અર્થમાં મુક્તિ મળે તે હેતુથી પણ આ જાતના મુક્તિધામ દરેક દેશના, દરેક શહેરમાં હોવા જોઇએ. જો કે, વિશ્વનાં ઘણાં શહેરોમાં આવા મુક્તિધામો બંધાયા હોવાનું જાણવા પણ મળ્યું છે. ખાલી છતાં ભર્યુંભર્યું, શાંત મૌન સંકેતોના કોલાહલથી ગાજતું અને પડઘાતું આ સ્થાન, મુક્તિધામ.

    ક્યાંક વાંચેલાં સરસ વાક્યો યાદ આવ્યાં.

    “A Place Where Smiles Meet Tears. The long  new journey begins here!” \

    અને

    “emptiness is not a state of nothingness, but a starting point for growth and fulfillment. ”

    ખરેખર આ અજબ ખેલ માટે, મુક્તિના મુકામ માટે તો, એટલે જ કહેવાનું મન થાયઃ

    અહીં ખાલી ખાલી ને બધું ખાલી લાગે.
    તમે આવો બેઘડી, તો ઘડી વહાલી લાગે.
    ભરીભરી લાગે..

    અસ્તુ…


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com