-
મહેન્દ્ર શાહનાં જૂન ૨૦૨૫નાં ચિત્રકળા સર્જનો
મહેન્દ્ર શાહનાં ચિત્રકળા સર્જનો
Mahendra Shah’s art creations for June 2025
મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com
-
કૉલેજની ડીગ્રીનાં જોરે ૨૦૩૦માં તમારી કારકિર્દી સલામત નહીં રહી શકે
ધંધેકા ફંડા
ઉત્પલ વૈશ્નવ
ટીપણું લઈને રસ્તે બેઠેલા કોઈ જ્યોતિષીની આ ભવિષ્યવાણી નથી. આ તો સામે આવીને ઊભેલી હકીકત છે.
ઝેરોધાના નિખિલ કામથ તો બહુ સ્પષ્ટપણે જણાવે છે :
“માત્ર રચનાત્મક, વ્યૂહાત્મક, લોકાભિમુખી નોકરીઓ (કે વ્યવસાયો) ટકી રહેશે.”[1]
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી ચાર વર્ષનો ડીગ્રીનો અભ્યાસક્રમ તમને બચાવી નહી શકે, જો:
- AI એ કામ વધારે સારી રીતે કરી શકશે.
- દર બે વર્ષે તમે નવાં નવાં કૌશલ્યો શીખતાં નહીં રહો.
- તમારૂં સ્થાન, તમારાં કામનાં મૂલ્ય પ્રદાનથી નહીં પણ, પદાનુક્રમના ટેકે ટકી રહ્યું છે.
સોંસરવો ઘા તો આ છે :
મોટા ભાગના ઉચ્ચતમ ડીગ્રીધારીઓ હવે મૂર્ખા સવાલો પૂછતાં ડરે છે.
અનુકુલનશીલતાને વધાવતી દુનિયામાં, આ મનોદશા ઘાતક નીવડે છે.
પુનઃકૌશલ પ્રાપ્તિનાં ત્રણ પગલાંની પુનરાવર્તી ત્વરિત કસરત (દરરોજ ૧૫ મિનિટ)
૧/ એક પ્રચલિત વલણ જણાવતો ન્યૂઝલેટર અચુક વાંચો .
૨/ ૧૦ મિનિટનાં નાનાં નાનાં કામનો અભ્યાસ કરો..
૩/ લાઈવ સ્કિલ્સ પાનાં પર એક વિજય અંકે કરો.નવાં કૌશલ્ય શીખવાં એ હવે કોઈ વિકલ્પ નથી. એ તો પ્રાણવાયુ છે.
ડીગ્રીથી નૈયા પાર નહીં ઉતરે. લાઈફ બોટ તો (તમારા) નિર્ણયો બનશે.
મહત્વની પાદ નોંધઃ “2025 skill” પર તમારો પ્રતિભાવ ઉત્પલ વૈણવને જણાવો અને વળતરમાં તેમનું ૫ મિનિટનું routine + resource તમારા ઇ-મેલ પર મેળવો.
[1] “What jobs will be relevant in 10 years?”
આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me વીજાણુ સરનામે થઇ શકે છે.
-
એમઆરઆઈ પરિક્ષણના મારા સર્વ પ્રથમ અનુભવના કેટલાક બોધપાઠો
સ્વ-વિકાસ : વિચાર વલોણું
તન્મય વોરા
તાજેતરમાં, મારી પીઠના નીચેના ભાગમાં સ્લિપ ડિસ્ક તરીકે વધુ જાણીતી હર્નિયેટ ડિસ્કનું નિદાન કરવા માટે મેં સર્વ પ્રથમવાર એમઆરઆઈ (MRI) સ્કેન કરાવ્યું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સ્લિપ ડિસ્ક ધ્યાન પર ન લેવા જેવી બાબત તો નથી, પણ સદનસીબે, મારા કિસ્સામાં બહુ ગંભીર પણ નહોતી. મારે ફક્ત મારી પીઠનું ખાસ ધ્યાન રાખવાની, કસરત કરવાની અને તણાવનું સારી રીતે સંચાલન કરવાની જરૂર છે.
MRI, અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગમાં એક સાંકડી ચુંબકીય નળીમાં જવાનો સમાવેશ થાય છે જેના દ્વારા આંતરિક શરીરની રચનાઓની છબીઓ લેવામાં આવે છે. નળી એક સાંકડી ઠંડી જગ્યા છે અને એકવાર પ્રક્રિયા શરૂ થઈ જાય, પછી તે કાન ફાડી નાખે અને ગમે નહીમ એવા ખૂબ જ ઘોંઘાટીયા અવાજો રૂપે કામ કરે છે. કોઈને તો જાણે યુદ્ધના મેદાનની વચ્ચે હોય તેવું લાગે છે. જે ભયંકર અનુભવ તરીકે શરૂ થયું હતું તે મારા માટે કેટલાક રસપ્રદ પાઠ સાથે સમાપ્ત થયું.
જ્યારે હું સ્કેન માટે તૈયાર થઈ રહ્યો હતો ત્યારે હું ખૂબ જ ચિંતિત હતો. જ્યારે હું ઠંડી સાંકડી નળીમાં સરકી ગયો ત્યારે મારું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. જોકે, મને જોકે બંધૈયાર જગ્યાની ભીતિ (ક્લોસ્ટ્રોફોબિયા) નથી, પણ એટલી સાંકડી જગ્યામાં દાખલ થવું એ થોડું અસ્વસ્થ કરનારું જરૂર હતું. થોડીવાર પછી, પ્રક્રિયા શરૂ થઈ અને અવાજે મારી પહેલેથી જ વધી ગયેલી ચિંતામાં વધારો કર્યો. બાહ્ય અંધાધૂંધીથી બચવા માટે, મેં અંદર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને મારી આંખો બંધ કરવાનું નક્કી કર્યું. મારા શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી હૃદયના ધબકારા સ્થિર કરવામાં મદદ મળી.
પછી મેં મારા જીવનમાં અત્યાર સુધી થયેલા બધા અદ્ભૂત અનુભવો પર મારું મન કેન્દ્રિત કરવાનું શરૂ કર્યું. મારા ભૂતકાળની છબીઓ મારા મનમાં જગ્યા ભરવા લાગી. બાળપણમાં ઝાડની ટોચ પર કેવી રીતે ચડી ગયો હતો, તાજેતરમાં રમાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ વિશે, આગલે દિવસે મેં ખાધેલી ચોકલેટ આઈસ્ક્રીમ વિશે, મારા પુત્રના ઘરમાં ખુશીથી દોડવા વિશે, મારા પરિવારની હૂંફ વિશે, અમારી મુસાફરી વિશે, મેં ચુંટેલા સુંદર ફૂલો અને પક્ષીઓ વિશે વગેરે જેવી ઘટનાઓ વિશે વિચારવા લાગ્યો. આ દૄશ્યોની જીવંત છાપે મારી સામે પડેલી ખાલી જગ્યા પર કબજો કરી લીધો. એ બધી છાપ એટલી સૂક્ષ્મ અને ગહન હતી કે હું ખરેખર ખૂબ જ અસ્વસ્થતાભર્યા વાતાવરણમાં હસી શકતો હતો.
હું શું શીખ્યો?
હું શીખ્યો કે બે દુનિયા છે – એક આપણી અંદરની અને બીજી આપણી બહારની. અંદરની દુનિયા આપણા અનુભવો, લાગણીઓ, આશાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ અને સપનાઓની અનુભૂતિની બારીકીઓ બનેલી છે.. બહારની દુનિયા સ્થૂળ છે – (મોટેભાગે) ભૌતિક વસ્તુઓથી બનેલી છે. આપણે આપણી અંદર રહેલી દુનિયાના દૃષ્ટિકોણથી આપણી બહારની દુનિયા જોઈએ છીએ. આપણી અંદરની દુનિયા બહારની દુનિયા કરતાં ઘણી વધુ રંગીન, આબેહૂબ અને શક્તિશાળી છે. મુશ્કેલ પસંદગીઓ કે પ્રતિકૂળતાના સમયે, હંમેશા આપણી અંદર રહેલી દુનિયાનો વધુ આદર કરીએ.
હું એ પણ શીખ્યો કે આપણા અનુભવો ભૌતિક વસ્તુઓ કરતાં ઘણા મૂલ્યવાન છે. આપણા જીવનની ગુણવત્તા, આપણી પાસે રહેલી વસ્તુઓ દ્વારા નહીં, પરંતુ, મોટાભાગે, આપણા અનુભવોની ગુણવત્તા દ્વારા નક્કી થાય છે. જ્યારે હું જીવનમાં શ્રેષ્ઠ વસ્તુઓ વિશે વિચારતો હતો, ત્યારે ફક્ત મારા અનુભવો જ આગળ આવ્યા, વસ્તુઓ નહીં. મુખ્ય વાત એ છે કે એવા અનુભવો બનાવવામાં રોકાણ કરવું જોઈએ જે આપણા જીવનને સમૃદ્ધ બનાવે.
કોઈની સાથે વાત કરી શકાય તેમ ન હતું, કે મને વ્યસ્ત રાખવા માટે કોઈ સાધનો ન હતાં, તેથી એ ગીચ જગ્યામાં બંધ થઈ જવાથી મને મારી પોતાની અંદર ડોકિયું કરવાની તક મળી. એકાંત કિંમતી છે કારણ કે તે આપણને આપણા પોતાના સ્વ સાથે રહેવા અને આપણા જીવનમાં સુંદર દરેક વસ્તુની પ્રશંસા કરવાની તક આપે છે.
જ્યારે હું રૂમમાંથી બહાર આવ્યો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે જ્યારે આપણે જીવન માટે થોડું જોખમ અનુભવીએ છીએ ત્યારે આપણે તેના વિશે કેટલું શીખીએ છીએ. મારા માટે ખરેખર શું મહત્વનું છે તે વિશે વધુ જાગૃત થઈને હું ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી બહાર નીકળ્યો.
આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
પસંદગી બેમાંથી એકની નહીં, બન્નેની કરવાની છે
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
મામલો આડત્રીસ વર્ષ જેટલો જૂનો છે, પણ વારંવારની માગણી છતાં તેનો નિવેડો ન આવવાથી છેલ્લા ઘણા સમયથી તેમાં ગરમાવો આવી રહ્યો છે. વાત ગોવા રાજ્યની અને તેની અધિકૃત ભાષા કોંકણીની છે. ત્રણેક વર્ષ અગાઉ આ કટારમાં આ વિવાદ બાબતે વિગતે લખાયું હતું એ જરા તાજું કરી લઈએ.
ગોવાની અધિકૃત ભાષા કોંકણી છે, અને ગોવા આધિકારીક ભાષા કાનૂન ૧૯૮૭, પરિચ્છેદ ૨ (સી) અનુસાર ‘કોંકણી એટલે દેવનાગરી લિપિમાં લખાયેલી કોંકણી ભાષા.’ હવે દેવનાગરીની સાથોસાથ રોમન લિપિમાં લખાયેલી કોંકણી ભાષાને પણ અધિકૃત ગણવાની માંગ થઈ રહી છે.
આ પ્રકારની માંગણી પહેલી વાર થઈ રહી નથી. પાંત્રીસ વર્ષથી, એટલે કે ફેબ્રુઆરી, ૧૯૮૭માં ભાષા કાનૂન અમલી બનાવાયો ત્યારથી રોમન લિપિમાં લખાતી કોંકણીને અધિકૃત ભાષાનો દરજ્જો આપવાની માંગણી કરાતી આવી છે. આવી માંગણી કરનારાના મતાનુસાર કોંકણીને કેવળ દેવનાગરી લિપિ પૂરતી મર્યાદિત કરી દેવી રોમન લિપિમાં કોંકણી લખી રહેલાઓને અન્યાય કરવા બરાબર છે. અગાઉ કોંકણીને ગોવાની અધિકૃત ભાષાનો દરજ્જો આપવાનું અભિયાન ચાલેલું એ દરમિયાન કેવળ દેવનાગરી લિપિ પૂરતી કોંકણીને મર્યાદિત કરવાની વાત ન હતી. રોમન લિપિમાં કોંકણી લખનારા લોકોનો પણ આ અભિયાનમાં મહત્ત્વનો હિસ્સો હતો. એ માટેનો ઓપિનિયન પોલ થયો એમાં પણ રોમન લિપિમાં કોંકણી લખનારાની ભૂમિકા મહત્ત્વની હતી. આ માંગણી કરનારાઓના જણાવ્યા અનુસાર દેવનાગરી લિપિના તરફદારોએ રોમન લિપિના તરફદારોનો દ્રોહ કર્યો અને ગોવા આધિકારીક ભાષા કાનૂન, ૧૯૮૭માં કોંકણી ભાષાની વ્યાખ્યાને કેવળ ‘દેવનાગરી લિપિ’ પૂરતી સીમિત કરી દીધી.
રોમન લિપિના તરફદારોની દલીલ છે કે આધિકારીક ભાષા કાનૂનમાંથી રોમન લિપિની બાદબાકી કરી દેવી એ લોકોની આકાંક્ષાઓને અપાયેલો છેહ છે. તેઓ કહે છે કે ભાષાની ખરી સુગંધ એની વિવિધતાસભર એકતામાં રહેલી છે. બન્ને લિપિને અધિકૃત કરવાથી ગોવાની ઓળખ સમા બહુવિધ વારસાની જાળવણી થઈ શકશે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી અસલમાં ‘રોમી કોંકણી’ તરીકે ઓળખાતી, રોમન લિપિમાં લખાતી કોંકણીનો જૂનો ઈતિહાસ છે. સોળમી સદીના ગાળામાં ગોવા આવેલા કેથલિક મિશનરીઓએ આ લિપિને પ્રત્યાયનના માધ્યમ તરીકે અપનાવી. સત્તરમી સદીમાં મરાઠાઓ દ્વારા સ્થાનિક કેથલિકો અને તેમનાં ચર્ચ પર વારેવારે હુમલા થવા લાગ્યા. તેને પગલે પોર્ચુગીઝ શાસને ગોવામાં કોંકણીનું દમન શરૂ કર્યું, જેથી સ્થાનિક કેથલિક લોકો પૂર્ણપણે પોર્ચુગીઝ શાસકો સાથે તાદાત્મ્ય અનુભવી શકે. આનું ધાર્યું પરિણામ મળવા લાગ્યું. ધીમે ધીમે દસ્તાવેજોમાં પણ પોર્ચુગીઝ ભાષાનો ઉપયોગ થવા લાગ્યો. એમ ન થાય તો તેના ભંગ બદલ કારાવાસની સજા થતી. આ દોર સતત ચાલતો રહ્યો. પરિણામે અહીંના ભદ્ર લોકો પોર્ચુગીઝની સાથેસાથે મરાઠી અપનાવવા લાગ્યા અને કોંકણી નોકરોની ભાષા ગણાવા લાગી.
આપણા દેશને સ્વાતંત્ર્ય ૧૯૪૭માં મળ્યું, પણ ગોવા પર પોર્ચુગીઝ શાસન ચાલુ રહ્યું, જેમાંથી તેને છેક ૧૯૬૧માં મુક્તિ મળી. એ સાથે જ પોર્ચુગીઝનો અસ્ત કળાવા લાગ્યો અને અંગ્રેજીનો ઉદય થવા લાગ્યો. એ પછી ગોવાને મહારાષ્ટ્રમાં ભેળવવાની વાતે મરાઠી અને કોંકણી ભાષાને ગોવાની અધિકૃત ભાષા ઘોષિત કરવા માટેનો સંઘર્ષ ચાલ્યો. અખિલ ભારત કોંકણી પરિષદે પોતાના આઠમા અધિવેશનમાં કેન્દ્રિય સાહિત્ય અકાદમીને દરખાસ્ત કરી કે કોંકણીને ભાષા તરીકે માન્યતા આપવામાં આવે. આખરે ગોવા સ્વતંત્ર કેન્દ્રશાસિત પ્રદેશ બની રહ્યો અને કોંકણી ભાષાને નવેસરથી સ્વીકૃતિ મળવા લાગી.
‘રોમી કોંકણી’માં ગોવાના કેથલિક ચર્ચનું ધર્મસાહિત્ય લખાયેલું છે. એ ઉપરાંત ગોવાની મુક્તિ અગાઉ કોંકણી સાહિત્ય પણ મોટે ભાગે આ લિપિમાં જ લખાતું. ફાધર એદુઆર્દો બ્રુનો ડીસોઝાએ ‘ઉદેંતેચે સાળક’ નામનું માસિક ઈ.સ.1889માં રોમી કોંકણીમાં પ્રકાશિત કરેલું. પહેલવહેલી કોંકણી નવલકથા ‘ક્રિસ્તાંવ ઘરાબો’ પણ એમણે આ જ લિપિમાં લખેલી. રેજિનાલ્ડો ફર્નાન્ડિસે ‘રોમી કોંકણી’માં દોઢસોથી બસોની વચ્ચે નવલકથાઓ લખેલી છે. આમ, રોમી કોંકણીની પરંપરા જૂની, અને ઘણી ખેડાયેલી છે.
રોમી કોંકણી અભિયાનના અગ્રણી તોમાઝીન્હો કાર્દોઝોની દલિલ અનુસાર આ અભિયાનને કોંકણી બોલતા સમુદાય તરફથી વધુ સહયોગ મળે એ જરૂરી છે. કેમ કે, છેલ્લાં થોડાં વરસોમાં કોંકણી ભાષાની સ્થિતિમાં મોટું પરિવર્તન આવ્યું છે. રોમન લિપિનો ઊપયોગ કરનારાઓને દેવનાગરી લિપિના ઊપયોગ માટે દબાણ કરવામાં આવતાં તેઓ લઘુમતિમાં હોવાનું અનુભવે છે. થોડા સમય અગાઉ સરકારી નોકરીઓ માટેની પરીક્ષાઓ પણ દેવનાગરીમાં યોજાવાની ઘોષણા કરાઈ. કાર્દોઝો કહે છે કે અન્ય કોઈ લિપિને ઊતારી પાડવાનો અમારો હેતુ નથી, બલકે અમે આ લિપિને પણ માન્યતા મળે એમ ઈચ્છીએ છીએ.
‘ગ્લોબલ રોમી લિપિ અભિયાન’ના પ્રમુખ કેનેડી અફોન્સોએ જણાવ્યું કે રોમન લિપિના સમાવેશ બાબતે જરૂરી સુધારો સરકાર દ્વારા કરવામાં નહીં આવે તો આ ચળવળને તીવ્ર બનાવવામાં આવશે. તેમણે શાળાઓમાં પણ આ લિપિ દાખલ કરવાની માગણી કરી છે. આ મુદ્દે રાજકારણીઓને ખાસ રસ નથી, યા તેમની ઈચ્છાશક્તિ નથી એમ સૌને લાગે છે. આ રાજકીય નિષ્ક્રિયતાને ઢંઢોળવા માટે હવે આ આંદોલનને તીવ્ર બનાવતા જવાની ઘોષણા કરવામાં આવી છે. થોડા સમય અગાઉ તેત્રીસેક ગ્રામ પંચાયતોએ રોમન લિપિને સમાન કાનૂની દરજ્જો આપવાની માગણી કરવાનો ઠરાવ કર્યો છે.
સરકારની ઉદાસીનતા આ બાબતે કળાતી નથી. કદાચ તે આ મામલાને સાંસ્કૃતિક ઓળખ સાથે સાંકળતી હોય એમ બને. એ કિસ્સામાં પણ ‘રોમી કોંકણી’ની દીર્ઘ પરંપરા છે જ. આમ કરવામાં કદાચ મિથ્યા સ્વદેશાભિમાન આડે આવતું હોય એ શક્યતા પૂરેપૂરી છે.
ગુજરાતી બાબતે આપણે આવી કશી ફિકર કરવાની જરૂર નથી. ભાષા જેવી ક્ષુલ્લક બાબતના રાજકારણમાં આપણે ક્યાં માનીએ છીએ?
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૦૬– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૭ : કાલિમ્પૉન્ગ, સિક્કિમ
પ્રીતિ શાહ-સેનગુપ્તા
ભુતાનના પહાડો પર વસેલા થિમ્ફુ શહેરથી ઊતરીને તળેટીમાં ફરી એક રાત રહેવું પડ્યું. જાહેર બસો લઈને મારે ફરવાનું, તેથી બસોના સમય પ્રમાણે મારું પત્રક ગોઠવ્યા કરવું પડે. રાતવાસો કર્યો ફુન્ટશૉલિન્ગની એક હોટેલમાં, પણ જવાનું પાછાં ભારતમાંની જગ્યાઓમાં. કાદવ અને ધમાલની વચમાં ભારતના જયગાંવની બસો ઊભી હતી. હાઇ-વે ૩૧ પર થઈને જતી બસમાં મારે લગભગ ૨૦૦ કિ.મિ. જવાનું હતું. છએક કલાકે હું ઉત્તર બંગાળના કાલિમ્પૉન્ગ સ્થાને પહોંચવાની હતી.
ચ્હાના નાના બગીચાઓ અને નાનાં ગામો આવતાં ગયાં. રસ્તા પરની વનસ્પતિ ધૂળના પડ નીચે ગુંગળાતી લાગતી હતી. વચમાં રસ્તો ખૂબ ખરાબ ને તૂટેલો. પશ્ચિમ બંગાળ રાજ્યની સરકાર પોતાના આ ઉત્તરીય વિભાગને જાણે ભૂલી ગઈ છે. શિલિગુડીનો રસ્તો ફંટાઇ ગયા પછી પહાડ પર જવા માંડેલો રસ્તો છેવટે સુંદર થયો. ખાસ કરીને બહુ જ ચંચળ, રમતીયાળ, શીઘ્રગતિ નદી તિષ્તાને કારણે. આકાશ અને ઝાડ-પાનના પ્રતિબિંબને લીધે એ ભૂરી-લીલી લાગતી હતી. એના અમળાટ રસ્તાના વળાંકોની સાથે સુબદ્ધ રહેતા હતા. આહા, આવું અપરૂપ કશું મારે ક્યારનું જોવું હતું. તે છેક અહીં દેખાયું. તિષ્તાની સહોપસ્થિતિથી પર્વતાલેખ વિશિષ્ટ મોહિની પામ્યા.
તિષ્તાનો પટ કાંકરાળો હતો, અને સફેદ, મલમલી રેતીથી સુંવાળો પણ હતો. એની બંને તરફ ઊંચી શિલાઓ કે ઢોળાવો હતા. કોઈ કેડી નહીં, કેડીની સંભાવના પણ નહીં. આ કાંઠા પર કોઈના પગ નહીં પડ્યા હોય. મારી નજરો પડી, અને ધન્ય થઈ. બ્રિટિશ દ્વારા બનાવાયેલો એક ઊંચો પુલ આવ્યો -સાંકડો તો એવો કે કોઈ બીજું વાહન ઝડપથી આગળ જવા જાય તો જોખમી બને. તિષ્તા ગામ પાસે એક તપાસ-થાણું છે. પરદેશી મુસાફરો માટે. ત્યાં આવેલા લાકડાના પુલ પર થઈને એક જ વાહનને જવા દેવામાં આવે છે. પુલની પેલી બાજુ પરથી દાર્જિલિન્ગ ગુરખા પર્વતીય સમિતિનો અમલ શરૂ થાય છે. કાલિમ્પૉન્ગ હવે પંદર કિ.મિ.
આ છેલ્લો ભાગ તો બહુ જ નિજી લાગ્યો. ખાખરાનાં ઊંચા ઝાડ, વાંસની જુદી જુદી જાતો, અન્ય વૃક્શો, કેળનાં ઝુંડ, અને વચમાં ફૂલો -સુરજમુખી, બોગનવેલ, પોઇન્સેટિયા વગેરે. નાના સરસ બંગલા આવે, ને એમના બાગોમાં ગુલાબ-ગલગોટા પણ ખરા. ઢોળાવો પર થોડાં ડાંગરનાં ખેતર પણ બનેલાં. બધું એવું હાથવગું લાગે. પછી કાલિમ્પૉન્ગનું બસ-સ્ટેશન આવ્યું અને જાદુઇ સંમોહન તૂટ્યું. ગામમાં રાતવાસા માટે મેં રૂમ લઈ લીધી. પછી ગાડીઓ વગરના રસ્તાઓ પર ચાલી. સાડા પાંચમાં તો અંધારું, ને દીવાબત્તી નહીં. લોકો ઑળા જેવા લાગે. નગરપાલિકા ખર્ચો બચાવે છે, એમ લૉજના માલિકે પછી મને કહેલું.
બંગાળીઓને આ જગ્યા બહુ પ્રિય છે. કલકત્તાથી નિરાંત મેળવવા અહીં આવનારાંની સંખ્યા ખૂબ મોટી છે. કાલિમ્પૉન્ગની એક તરફ મોલેગાઁવ નામની પર્વતમાળા છે, બીજી તરફ સિક્કિમ-દાર્જિલિન્ગના પર્વતો. રિષિ બંકિમ પાર્ક શાંત અને સરસ લાગ્યો. થોડી વાર ગુરાસ, હિમચંપા, લાલ પત્તી વગેરે ફૂલોની વચ્ચે હું બેઠી. નજીકમાં હતું ગૌરીપુર હાઉસ. રવીન્દ્રનાથ પોતે અહીં આવીને રહેવાનું પસંદ કરતા. ને કેમ ના કરે? ગૃહના વરંડામાંથી કાંચનઝંઘા પર્વત-સંપુટનાં શિખરો દૃશ્યમાન રહે છે. હવે મકાન બંધ છે, ને સરકારી માલિકીની જગ્યા ગણાય છે. રવીન્દ્રનાથનું અહીં બીજું પણ ઘર હતું- ચિત્રભાનુ નામનું. એમાં કળા-શિક્ષકો માટેનું શિક્ષણ કેન્દ્ર વસાવાયું છે. કવિને ગમે તેવો વપરાશ છે એનો.
કાલિમ્પૉન્ગમાં ચારે તરફ સળંગ પર્વતો અને અતિ-સુંદર દૃશ્યો. જાણે જોયા જ કરીએ. અહીં સૈન્યના સારા એવા વસવાટ ઉપરાંત ગોલ્ફ કોર્સ, નવું ખુલેલું મ્યુઝિયમ, બગીચા, જનરલ તેમજ રક્તપીત હૉસ્પિટલો છે. વળી, મેં ત્રણ મુખ્ય ધર્મ-વિષયક પ્રવૃત્તિ જોઈ. બુદ્ધ મંદિર અને ભિખ્ખુઓના મઠમાં ધ્યાન, ને પઠન ચાલુ હતાં. કાલી મંદિરમાં પૂજા ને આરતી થતાં હતાં. અને ખ્રિસ્તી ધર્મનું એક મોટું સરઘસ નીકળ્યું. સ્ત્રી-પુરુષો, બાળકો તથા પરદેશથી આવેલા ને સ્થાનિક પાદરીઓ મળીને હજાર અનુયાયીઓ હશે. દરેક જૂથથી ગવાતાં જતાં ધર્મગાન પહાડોની કેડીઓ પર ગુંજી ઊઠ્યાં હતાં.
ં ં ં ં
મને લાગતું હતું કે મારા સમયને જાણે પૈડાં લાગ્યાં હતંા, અને મારા દિવસો જાહેર બસ બની ગયા હતા. વળી, પૈસા પણ વપરાતા વપરાતા છેલ્લા બે હજાર રુપિયા સુધી આવીને રહ્યા હતા. બાગદોગરાથી દિલ્હી જવાના વિમાન માટેના ત્રણેક હજાર મેં જુદા મૂકી રાખેલા. વિચાર આવ્યો કે ટ્રેન લઈ લઉં તો વાપરવા માટે વધારે પૈસા રહે. પણ તો પટના વચમાં આવે, ને ત્યાં ઊતરી જવાનું મન થાય. ના, જેમ નક્કી કરેલું છે તેમ જ સારું છે. ઓછા પૈસામાં પૂરતી મઝા મેળવવાની આવડત છે મારી પાસે.
કાલિમ્પૉન્ગથી સિક્કિમ જતાં બહુ કલાકો થતા નથી, પણ એવું બને કે છેક ના પણ પહોંચાય. આ પર્વતીય વિસ્તારમાં રસ્તા ફસકી પડવાના બનાવ વારંવાર બનતા હોય છે. હું પહોંચી ગઈ. સરહદ પરના થાણા પર સિક્કિમની પોલિસે આવીને બધું તપાસ્યું. મારી બૅગ ખોલાવી. આ રમ્ફૂમાંના નાના એક બજારમાં દારૂની સાતેક દુકાનો સિવાય કાંઇ દેખાયું નહીં. પછી સાંભળેલું કે સિક્કિમિઝ પુરુષોને પત્તાં-જુગાર રમવાનો અને દારૂ પીવાનો ઘણો શોખ હોય છે. અહીં કમાવાનું ખરું, પણ ટૅક્સ આપવાના હોતા નથી. ચીનની નજીક કહેવાય તેવો વિસ્તાર હોઇ આ છૂટ.
મુખ્ય શહેર ગૅન્ગ્ટૉક એકાવન હજાર ફીટ ઊંચે વસેલું છે. ચારે તરફ આવેલી પર્વતમાળાઓમાં ધુમ્મસ વસતું રહે છે. શિખરો સફેદ વાદળો સાથે ભળતાં રહે છે. જોકે સવારે હિમાચ્છાદિત શૃંગો પરિષ્કાર દેખાઇ આવે છે. બરફ પડે પણ ઘણો. આ નવેમ્બરનો અંત હતો, છતાં સદ્ભાગ્યે ઋતુમાન ખાસ્સું સહ્ય હતું. મને હરવા-ફરવામાં તકલીફ ના પડી. ગૅન્ગ્ટૉકની ગલીઓમાં આમથી તેમ ચાલ્યા કર્યું.
ટૂરિસ્ટ ઑફિસમાં જઈ બે ટૂરમાં જવાનું ગોઠવ્યું, ઇન્ડિયન ઍરલાઇન્સની ઑફિસમાં જઈ પેલી વિમાનની ટિકિટ ખરીદી લીધી. પોસ્ટ ઑફિસમાંથી અમદાવાદ ખૈરિયતના વાવડનો એક તાર મોકલી આપ્યો. સુપરમાર્કેટ અને તૈયાર કપડાંની દુકાનોમાં જોવા જેવું કાંઈ ના લાગ્યું. લાલ માર્કેટ વળી થોડી રસપ્રદ હતી. ત્યાંથી મેં એક બાખુ કહેવાતો લાક્શણિક પોષાક ખરીદ્યો. અન્યત્ર છ-સાત માળનાં મકાન થયેલાં હતાં. ખાસ આકર્ષક ના લાગે. પણ સિક્કિમિઝ યુવતીઓ મૉડર્ન પોષાકમાં નજરે ચઢી આવે તેવી જરૂર લાગે.
સવારે ટૂરિસ્ટ ઑફિસની મિનિ-બસમાં છાન્ગુ, કે ત્સાન્ગો તળાવ જોવા નીકળી. ચાલીસેક કિ.મિ. દૂર છે, પણ નકશામાં દેખાતું નથી, કારણકે એ સુરક્ષિત વિસ્તારમાં છે. ચીનની સરહદ આ તળાવથી સોળ જ કિ.મિ. દૂર, સાડા બાર હજાર ફીટ ઊંચા પર્વતો પરથી જતી ગણાય છે. ગાન્ગ્તૉકથી બહાર નીકળતાં જ મિલિટરીનાં ટીનનાં રહેઠાણ શરૂ થાય છે. રસ્તો ક્યાંક સારો, ક્યાંક તૂટી પડેલો, અને અત્યંત ઊંચો તેમજ સતત ગોળ ફરતો જતો. દસ હજાર ફીટ ઊંચે પહાડો વનસ્પતિ વગરના ને સૂકા બન્યા. ઢોળાવો પર હલકો બરફ છંટાયેલો હતો.તળાવ બહુ મોટું નથી. કેટલું ઊંડું છે તે કોઈ જાણતું નથી, ને તેથી એ જાણે પવિત્ર બનેલું છે. એને માટે વાયકાઓ ઊભી થઈ છે. જેમકે, એની અંદર એક સુવર્ણ મંદિર છે, તથા અંદરથી પાણી વહ્યા જ કરે છે, વગેરે.
કેડી વગરના એક ઊંચા ઢોળાવ પર તો કોઈ ના ચઢ્યું -એ માટે યાક પ્રાણી બનવું પડે, પણ તળાવને ફરતે બધાં ચાલ્યાં. પાણી એકદમ ચોખ્ખું હતું, અને સ્વાદમાં મીઠું હતું. કિનારે થોડો બરફ બનવા લાગ્યો હતો. એક મહિનામાં તો બધી સપાટી થીજી જવાની.
સવારના સૂરજથી અમને સરસ હૂંફ મળી હતી, ત્યાંથી નીકળ્યા પછી મિનિટોમાં પેલાં સફેદ, પોચાં વાદળની જગ્યાએ આકાશ ઘેરું થવા લાગ્યું. મને થયું કે ત્યાં ક્યાંક બર્ફીલો વરસાદ શરૂ થવામાં હશે. મેં એક પાટિયા પર વાંચેલું કે તળાવની આસપાસ વર્ષે ત્રણથી ચાર ફીટ જેટલો બરફ પડતો હોય છે. બહુ કઠિન અને કઠોર હોય છે સરહદી વિસ્તારો. નરી આંખે એ જોઇએ ત્યારે જ ખ્યાલ આવે કે કેવું અઘરું હોય છે જવાનોનું જીવન.
ં ં ં ં
બીજા એક દિવસની ટૂરમાં ગૅન્ગ્ટૉકની બહારની કેટલીક જગ્યાઓ જોવા મળી. એક બૌદ્ધ મઠના પ્રાર્થના-ખંડમાં ભિખ્ખુઓ પ્રતીકાત્મક ઉપસ્થિતિની સામે, લોટ અને માખણની બનાવેલી આકૃતિઓ ધરાવીને પૂજા કરી રહ્યા હતા. લાક્ષણિક સંગીત ધીમું ગવાતું હતું. મુખ્ય મંદિરની પાછળ બીજું વધારે જૂનું મંદિર હતું. એમાં ગુરુ ગુએન પ્રતિસ્થાપિત હતા. ત્યાં લખ્યું હતું કે આઠમી સદીમાં મહાગુરુ પદ્મસંભવ દ્વારા સિક્કિમનો ગોપિત ભૂમિ કહેવાતો પ્રદેશ આશીર્વાદ પામ્યો હતો.
અહીંનું તિબેટ પરના અભ્યાસ માટેનું કેન્દ્ર ભારતમાં સૌથી વિશિષ્ટ ગણાય છે. ૧૯૫૭માં દલાઇ લામાએ એનો પાયો નાખેલો, ને પછીને વર્ષે જવાહરલાલ નહેરુએ એનું ઉદ્ઘાટન કરેલું. સરસ મકાન પર પીળું છાપરું, લાલ બારી ને થાંભલા, તથા રંગીન બૌદ્ધ પ્રતીકો કરાયેલાં છે. લેપ્ચા, તિબેટી, નેપાલી, સંસ્કૃત ભાષાઓમાંની અપ્રાપ્ય હસ્તપ્રતો ઉપરાંત એમાં પ્રદર્શિત થાન્કા, બુદ્ધ પ્રતિમાઓ, ચિત્રો તથા ધાર્મિક સામગ્રી અસાધારણ લાગી. સાથે આવેલા હસ્તકળા એમ્પોરિયમમાં અમુક સારી ચીજો, જાજમો, કોતરણીવાળાં ટેબલો વગેરે હતું, પણ ત્યાંને માટે સમય ખૂબ ઓછો અપાયો હતો.
એન્ચી નામનો મઠ બસો વર્ષ પહેલાં સ્થાપિત થયેલો. ન્યિન્ગ્મા પંથનું એ મુખ્ય સ્થાન ગણાય છે. પહાડી રસ્તે થઈ, મઠના દરવાજાની અંદર જતાં જ બંને બાજુ સફેદ તથા રંગીન ધર્મ-ધજાઓનાં તોરણ જોવા મળ્યાં. બે વૃદ્ધ લામા ધીરે ધીરે ચાલવા નીકળેલા હતા. શાંત મંદિરના કક્શની દીવાલો પર ખૂબ સુંદર બૌદ્ધ ચિત્રો કરેલાં હતાં. મુખ્ય પ્રતિમા સફેદ કાપડથી ઢંકાયેલી હતી, પણ દીવાલમાંના નાના ગોખલાઓમાં પીત્તળની કુલ એક હજાર બુદ્ધ-મૂર્તિઓ ગોઠવેલી હતી. ભવ્ય કહેવાય એવું ગર્ભગૃહ હતું.બેએક નાના સરસ બગીચા પસાર કરતાં કરતાં ટૂર ગૅન્ગ્ટૉકથી પચીસ કિ.મિ. દૂર લઈ ગઈ. અમુક ઢોળાવો પર ડાંગરનાં સોપાન-ક્શેત્રો હતાં, પણ લણાઇ ચૂકેલાં, તેથી સૂકાં, કથ્થાઇ ને ખાલી. એમને છૂટાં પાડતી પાળો લીલી હતી. પછી એમની ઉપર થતાં, સામે તરફ ગયાં તો નીચે શહેર પથરાયેલું દેખાયું. પણ શહેરમાંથી આ રમ્તેક મઠ નથી દેખાતો. આ કાગ્યુ પંથ ચાર તિબેટી પંથમાંનો એક છે. એના સોળમા પ્રણેતાને ચીની આક્રમણને કારણે તિબેટ છોડીને ભાગવું પડ્યું હતું, ને એ અમેરિકામાં મૃત્યુ પામ્યા હતા.
મઠના વિશાળ કમ્પાઉન્ડમાં ચારેક માળનાં મોટાં મકાનોમાં ભિખ્ખુઓ માટેની શાળા અને રહેવાના ઓરડા છે. મંદિર ઘણું મોટું છે. બહારની દીવાલો પર બૌદ્ધ ચિત્રો હતાં, ને અંદરનો ભાગ ધાર્મિક ચીજોથી ભરપુર હતો. બાજુના નાના ખંડમાં એક ભિખ્ખુ પૂજા કરી રહ્યો હતો. મુખ્ય દરવાજાની બહાર બે વૃદ્ધ લામા હાથ-ચક્ર ફેરવી રહ્યા હતા. બહુ શાંતિદાયક સ્થાન હતું. ચોતરફ હિમાચ્છાદિત પર્વતોનું સુભગ દર્શન થતું હતું. ત્યાંથી નીચે ઊતરી જતાં વચ્ચે સારાસ્મા ઉદ્યાન જોવા રોકાયેલાં. એ પણ સરસ ને આવો જ પ્રસન્નકર હતો.
ગૅન્ગ્ટૉકમાં સાંસ્કૃતિક કાર્યક્રમની નોટિસ જોઈને એક સાંજે હું લોક-નૃત્યો જોવા ગઈ હતી. રસ્તામાં બત્તીઓ નહોતી. મોટરોની હૅડલાઇટોથી દેખાતું રહ્યું. હૉલ ભરાઈ ગયો હતો. મેં કાર્યકર્તાઓને કહ્યું, હું ગુજરાતી છું, બહુ દૂરથી આવી છું, ને મને આગલી હરોળમાં જગ્યા આપવામાં આવી. સ્થાનિક પ્રજા સાથે બેસીને એક સાંજ માણવા મળી. એકલી પ્રવાસિનીને હંમેશાં આવો લાભ પણ મળતો નથી હોતો.
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૨
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
વરસાદી પવનો
પરેશ ૨. વૈદ્ય
આમ તો ચોમાસું કેમ થાય છે તે વિષે આપણે શાળામાં શીખી જ ગયાં છીએ. તેમ છતાં નવા સંદર્ભમાં ફરી એકવાર યાદ કરી લઈએ. આપણા દેશના વિશાળ જમીનના પટની દક્ષિણે તેનાથી ય વિશાળ હિન્દી મહાસાગર આવેલો છે. ઉનાળામાં સૂર્ય માથા ઉપર આવે તેથી ગરમી પડે છે; આ ગરમીથી પાણી કરતાં જમીન વધારે જલદી ગરમ થાય છે. આથી જમીનના સંપર્કમાંથી હવા પણ ગરમ થઈ ઉપર જાય છે. આમ ત્યાં હવાનું દબાણ ઘટે છે. તે જગ્યાએ મહાસાગર પરની ભારે અને ઠંડી હવા ધસી આવે છે. આ થયા ઉનાળાની મોસમના પવનો. સમુદ્ર પરથી આવતા આ પવનો સાથે ભેજ ઉપાડતા આવે છે. ભેજના આ જથ્થામાંથી વાદળાં બને છે. (પવન, ભેજ અને વાદળાં વચ્ચેના સંબંધોની વાત પછીનાં પ્રકરણમાં કરીશું.) આ ભેજ અને વાદળાં દેશમાં જે રીતે આગળ વધે છે, તે આપણું ચોમાસું. કુદરતનો આ ક્રમ એટલો નિયમિત છે કે જૂનની પહેલી તારીખે એ કેરાળામાં મલબાર કિનારે અને દશમી જૂને મુંબઈને કાંઠે અડકે છે. પ્રવાહનો બીજો ફાંટો બંગાળના ઉપસાગરમાંથી દેશમાં દાખલ થાય છે.
હવામાનના ઘટકો :
માત્ર આપણી આસપાસ જ મોસમી પવનો વાય છે તેવું નથી. પૃથ્વીના આખા ગોળા ઉપર મોસમી પવનોનો એક નિયત ક્રમ છે, જે વિવિધ વિસ્તારોની આબોહવા નક્કી કરે છે. આબોહવા લાંબાગાળાનું લક્ષણ છે, પરંતુ હવામાન ટૂંકા ગાળાની ઘટના છે. અમુક સ્થળે હવામાનની વાત કરવી એટલે ત્રણ પ્રાચલો (Parameter)ની વાત થાય. એ છે પવનની દિશા અને ઝડપ, સ્થળનું ઉષ્ણતામાન અને હવામાં ભેજનું પ્રમાણ. આપણે જોઈશું કે આ ત્રણનો પાછો પરસ્પર સંબંધ પણ છે. (જેમ કે પવનની ગતિ વધે તો ઉષ્ણતામાન ઘટે.) આ પ્રાચલોમાં દરેક સ્થળે દિવસ દરમિયાન ફેરફાર પણ થતા રહે છે. આપણે પહેલાં માત્ર પવનની વાત કરી લઈએ.
કુદરત હંમેશાં સમતોલન સ્થાપવાનો પ્રયત્ન કરતી હોય છે. આવું એક સમતોલન હવાનાં દબાણનું છે. અેવાં સમતોલનની શોધમાં પૃથ્વી ફરતેનો હવાનો પ્રચંડ જથ્થો હમેશાં જ આમ-તેમ ધસ્યા કરતો હોય છે. આ બધાં હલનચલનની ઊર્જા સૂર્યમાંથી મળે છે. વાવાઝોડાં જેવા અપવાદને બાદ કરતાં હવાના પ્રવાહો અમુક નિયમ લયમાં જ વહેતા હોય છે. તેનું કારણ છે કે સૂર્ય અને પૃથ્વીનું અંતર, પૃથ્વીનો ધરી સાથે જો ૨૩૦નો ખૂણો, ધરતીના ગુણધર્મો, સૂર્યની ગરમી એ બધું લગભગ નિર્ધારિત જ છે. પૃથ્વીના પરિભ્રમણ કાળ મુજબ સૂર્ય તરફથી મળતી ઊર્જાની માત્રાની વધઘટનું પણ એક વર્ષ- બાર મહિનાનું ચક્ર છે. જ્યારે વધુ ગરમી પડે તેને ઉનાળો કહીએ છીએ અને ઓછો સૂર્યપ્રકાશ હોય તેને શિયાળો. આમ ઋતુઓ થાય છે અને તેને અનુરૃપ પવનના પ્રવાહોમાં પણ ફેરફાર થાય છે. પરંતુ આખા વર્ષનાં એક આવર્તનને ધ્યાનમાં લો તો વરસોવરસ બધું નિયત રીતે જ બન્યા કરે છે.
સામાન્ય રીતે વિષુવવૃત્ત પર સૌથી વધારે ગરમી પડે તેથી ત્યાંની ધરતી વધારે ગરમ થાય. તેના સંસર્ગમાં રહેલી હવા ગરમ થઈ, હલકી બને અને તેથી ઊંચી ચઢે. તેથી ત્યાં હવાનું દબાણ (પ્રેસર) ઘટે અને નિયમ મુજબ નજીકના વધારે દબાણવાળા વિસ્તારો તરફથી હવા વિષુવવૃત્ત તરફ જાય. ચિત્ર-૨માં બતાવ્યું છે તેમ ઉત્તર તેમ જ દક્ષિણામાંથી વિષુવવૃત્ત તરફ પવનો વાય છે. (પવનની દિશા તીરની દિશામાં માનવી.) બીજી તરફ ઉપર ગયેલી હવા ધ્રુવો તરફ વળે છે – ઉત્તર ગોળાર્ધમાં ઉત્તર તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં દક્ષિણ તરફ. ચિત્રમાં આ યાત્રા ગોળાની ડાબી બાજુ બતાવી છે. ધ્રુવો ઉપર ઠંડી હોવાને કારણે ત્યાંની હવા ઘટ્ટ અને ભારે હોય, તેથી ધ્રુવો પર હવાનું દબાણ વધારે હોય છે. તેથી એ હવા વિષુવવૃત્ત તરફના પ્રવાહમાં જોડાતી રહે છે. એટલે ઉપર આકાશમાં ઊભા ABCD થી બતાવેલ સમતળમાં હવાનું ચક્ર ચાલુ રહે છે.

ચિત્ર ૨: પૃથ્વી ફરતે પવનોની સામાન્ય દિશા આથી એક નિયત સ્થળ A અથવા E ઉપર માણસ ઊભો રહી ઊંચું જુએ તો તેના માથા પર જુદી જુદી ઊંચાઈએ હવા સામસામી દિશામાં ગતિ કરતી હશે. હવા તો દેખાય નહીં પરંતુ જો વાદળાંની ઋતુ હોય તો તેને તેના બે થર દેખાશે, માથા ઉપરનાં વાદળાં અને ખૂબ ઊંચે ખેડાયેલ ખેતર જેવાં કે પીછાં જેવી રચનાવાળાં વાદળાં. એ બંને થરો સામસામી દિશામાં મુસાફરી કરતા હશે. અા બાબતે સૌ પ્રથમ અવલોકન ભારતમાં શ્રી જી.ટી.વૉકર નામના અંગ્રેજ સજ્જને કર્યા. તેઓ છેક ૧૯૦૮માં કેમ્બ્રિજ છોડી અહીં હવામાન ખાતાના વડા બનીને આવેલા. બીજા એક અંગ્રેજ હેડલીએ પણ આ થરોનો અભ્યાસ કર્યો.
વૈશ્વિક સ્તરે પવનના પ્રવાહોની આ સાદી સમજ થઈ. વાસ્તવમાં સ્થિતિ થોડી સંકુલ છે. ધ્રુવ પરથી હવા સીધી વિષુવવૃત્ત સુધી નથી આવી પહોંચતી. ‘જેટ સ્ટ્રીમ‘નામના પ્રવાહો ત્યાં નજીકમાં જ જુદું ચક્ર બનાવે છે તેવી રીતે વિષુવવૃત્ત પાસે ઉપર ગયેલી હવા પણ વચ્ચેના અક્ષાંશો પાસે જ ઠંડી થઈ જાય ઉતરી આવે છે. એટલે આકૃતિમાંનું ચક્ર ABCD ખરેખર ત્રણ પેટા ચક્રોમાં વિભાજીત છે. તે ઉપરાંત પૃથ્વીની ધરીભ્રમણની પશ્ચિમથી પૂર્વની પ્રચંડ ગતિના કારણે પવનો ડાબા-જમણા મરડાય પણ છે, એ વિષે પછી જોઈશું.
આપણા ચોમાસા માટે વિષુવવૃત્ત નજીકના પ્રવાહો અગત્યના છે. બંને ગોળાર્ધમાંથી હવા અહીં આવી મળે છે અને ઉપર જાય છે. આ એક સાંકડો પટ્ટો છે જે ચિત્ર ૩માં કાળી જાડી રેખાથી બતાવ્યો છે. તેને Inter Tropical Convergence Zone કે આંતરવૃત્તિય મિલન પટ્ટો(ITCZ) કહે છે. વિષુવવૃત્ત કરતાં એ થોડો ઉપર કે નીચે હોય છે. ચોમાસાં સિવાયના સમયે તે મોટાભાગે હિન્દ મહાસાગર પરથી જ પસાર થાય છે. નાવિકો તેને “ડોલ્ડ્રમ“ Doldrum તરીકે ઓળખે છે કારણ કે સઢવાળાં વહાણના જમાનામાં અહીં ગતિ રોકાઈ જતી અથવા ગમે તે તરફ જતી. ઉનાળામાં આપણા દેશનો મોટો જમીનનો ભાગ સમુદ્ર કરતાં વધુ ઝડપથી ગરમ થાય તેથી તેની ઉપરની હવા ઉપર જવા લાગે છે. આથી પ્રવાહોના મિલનનો પેલો ITCZ પટ્ટો સરકીને ઉપર આવે છે. જુલાઈ મહીનાની તેની જગ્યા ટપકા વળી જાડી લીટીથી બતાવી છે. સમુદ્રને બદલે હવે એ ધીરે ધીરે ભારતની ધરતી પર આવતો જાય છે.

ચિત્ર ૩ : આંતરવૃત્તીય મિલન પટ્ટો આપણે અગાઉ ચિત્રમાં જોયું હતું કે વિષુવવૃત્તની દક્ષિણના ક્ષેત્રોમાં પવનો ઉત્તર તરફ જતા હતા અને તેના ઉપરના ભાગમાં પવનો દક્ષિણ તરફ વાતા હતા. હવે પટ્ટો જેમ ઉપર તરફ ખસતો જાય છે, તેમ ક્રમશઃ પવનની દિશા ઉલટાવા માંડે છે. એ જયારે વિષુવવૃત્ત પાર કરે તે પછી જ્યાં પહેલાં પવનો વિષુવવૃત્ત તરફ જતા હતા, તે હવે વિષુવવૃત્ત દિશામાંથી આવવા લાગે છે. આ ચોમાસું બેસવાની નિશાની છે. જેમ જેમ પટ્ટો ઉપર ખસતો જાય તેમ તેમ ચોમાસું આગળ વધતું જાય.

ચિત્ર ૪ : પવનની ગતિની સંજ્ઞાઓ ઉત્તર ગોળાર્ધમાં જ્યારે શિયાળો બેસે ત્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઉનાળો હોય છે. ત્યારે આ પટ્ટો પાછો દક્ષિણ દિશામાં ખસે છે અને ઓસ્ટ્રેલિયાને શિયાળુ વરસાદ આપે છે. આકૃતિ ૧માં વિશ્વના એવા વિસ્તાંરો બતાવ્યા હતા જ્યાં વરસાદની અલાયદી ઋતુ હોય. આ એવી જગ્યાઓ છે જ્યાં ધરતીનો મોટો ખંડ સમુદ્રની સામે પડતો હોય અને વિષુવવૃત્ત પાડોશમાંથી પસાર થતી હોય. સમુદ્ર એટલે ભેજનો સ્રોત. પવન, ભેજ અને વાદળાંનો સંબંધ આવતાં પ્રકરણમાં સમજશું.

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
ઇ-બુક સ્વરૂપે એ ‘આપણું આગવું ચોમાસું‘ [ASIN : B0B7XJS5Y4] એ શીર્ષક હેઠળ એમેઝોન.ઈન પર ઉપલ્બ્ધ છે. તેમજ, આ પુસ્તકની મુદ્રિત આવૃતિ નવભારત સાહિત્ય મંદિર, મુંબઈ / અમદાવાદ દ્વારા પ્રકાશિત થયેલ છે.
-
સ્મૃતિસંપદા – પ્રીતિ શાહ-સેનગુપ્તા, ન્યુયોર્ક શહેર [૧]
વિશ્વના સાતેય મહાખંડના અનેક દેશો અને વિવિધ સંસ્કૃતિઓ સાથે એકરૂપ થઈ વિશ્વમાનવની કક્ષાએ પહોંચેલાં એકલપ્રવાસી પ્રીતિ સેનગુપ્તાનું નામ વિશ્વગુર્જરી એવોર્ડ ઉપરાંત ગુજરાતી સાહિત્ય અને અકાદમી તથા અન્ય સંસ્થાઓ દ્વારા મળેલા પુરસ્કારો સાથે જોડાઈને ગુજરાત માટે ગૌરવવંતુ બન્યું છે. જગતની કોઈ પણ સ્ત્રી જેમાંથી પ્રેરણા અને હિંમત મેળવી શકે તેવું અનુભવોનું અમૃત એમનાં લખેલાં પચાસથી વધારે પુસ્તકોમાં છલકાતું જોવા મળે.અંગ્રેજીમાં માસ્ટર્સની પદવી મેળવ્યા પછી અમેરીકામાં વર્ષોથી રહેતાં હોવા છતાં ગુજરાતી ભાષા પરનું એમનું પ્રભુત્વ પણ વિરલ છે. દસેક જેટલા વિદ્યાર્થીઓ જેમનાં લેખનકાર્ય પર PhD કરે છે તે પ્રીતિ શાહ સેનગુપ્તાનો જન્મ અમદાવાદમાં થયો હતો. ૧૯૬૮થી તેઓ અમેરિકામાં સ્થાયી થયાં છે. હાલ ફ્લોરિડા રાજ્યમાં તેઓ તેમના પતિ સાથે રહે છે.
સૌનાં મિત્ર એવાં પ્રીતિ સેનગુપ્તાએ અનેક દેશોનો અનેકવાર પ્રવાસ કરીને મૈત્રીનાં પુષ્પો ખીલવ્યાં છે. આ દરમ્યાન તેઓ અનેક વિશ્વવિખ્યાત મહાનુભવોના સંપર્કમાં પણ આવ્યાં છે. ઉત્તરધ્રુવની હાડ ગાળી નાખે તેવી બર્ફિલી ભૂમિમાં, ત્યાં સુધી સાથે પહોંચેલા દસ સભ્યોની ટુકડી વચ્ચે ભારતનો ધ્વજ લહેરાવીને વંદન કરતી એકમાત્ર નારી તરીકે અનેક માટે વંદનીય બની રહેલાં પ્રીતિ સેનગુપ્તા ગુજરાતીઓનું ગૌરવ છે.
Email: preetynyc@aol.com
: : વજ્ર સમ કઠોર, કુસુમ સમ ઋજુ : :
પુથ્વી પરના ભ્રમણ દરમ્યાન જોયેલી અસંખ્ય નદીઓ – સાબરમતી, હડસન અને વચમાં હુગલી, વોલ્ગા, એમેઝોન, ઓકાબુકો, મિસિસિપિ જેવી અનેક – તે બધીમાં ઘણું ઘણું પાણી વહી ગયું છે, ને સાથે, જીવનનાં વર્ષો, નાનકડા શઢવાળી નાવની જેમ, એ પ્રવાહ પર ડગમગતાં ગયાં છે. સરળ વહેણ પર આનંદની, તેમજ તોફાન દરમ્યાન ભયની ઘણી બધી પળો યાદ પણ નથી; બલ્કે, એમને ભૂલવાનો ઉદ્યમ જ વધારે રહ્યો છે.
અલબત્ત, અમેરિકામાંનાં શરૂઆતનાં દસેક વર્ષો દરમ્યાન દેશ-ઝુરાપો ઉત્કટ રહ્યો, આગલી યાદો મનમાં જકડાયેલી રહી, અને વિયોગનાં, વિયુક્તિનાં, વિચ્છેદનાં આંસુ સતત વહેતાં રહ્યાં. પણ ખૂબ ધીરે ધીરે કરતાં, જીવન વિષેની સમજણ વિકસતી ગઈ, અને દરેક બાબતની સ્વીકૃતિનો અભિગમ સ્થાયી થયો. અલબત્ત, આ દરમ્યાન જીવ મુંઝાતો પણ રહ્યો, કે હું કોણ છું? પછી એક સૉનેટમાં કૈંક આમ લખ્યું, કે મારા અસ્તિત્વની ગરિમા ક્યાં કેન્દ્રસ્થ થયેલી છે? – પૂર્વમાં કે પશ્ચિમમાં? છેલ્લે, પરિવર્તન પામેલી આંતર્ચેતનાની સમજણ વ્યફ્ત થઈ છે, કે મારા મનનું વિશ્વ દિશા ને દેશોની સીમાઓથી પરે, અસામાન્ય રીતે, સ્થિત છે.
+ + +
સૌ પ્રથમ અમેરિકાના મહાનગર ન્યુયોર્કના જે.એંફ.કે. વિમાનમથકે ઊતરી ત્યારે આછા ભૂરા રંગની સાડી પહેરેલી, એવું હજી આછું આછું યાદ છે. સાડી શું કામ પહેરી હશે? ઘેર તો હંમેશાં ફ્રૉક જ પહેરતી હતી. પણ મનમાં શું એમ હશે કે કયાંક જઈએ છીએ, તો તેયાર થવું જોઈએ? એ પ્રારંભિક કાળમાં કોઈને હજી કશો ખ્યાલ જ ક્યાં હતો અમેરિકા આવવું એટલે શું તેનો?
અમેરિકા-પ્રવેશ માટેના સાઠના દાયકાનાં છેલ્લાં વર્ષોના નિયમ પ્રમાણે પાંસળીના એંફસ-રેનું
મોટું પેકેટ હાથમાં હતું, તે ય યાદ છે. અમદાવાદથી નીકળતાં ખૂબ રડી હતી, પણ પછી, મુંબઈથી ન્યુયોર્ક સુધીમાં, વિમાનમાં એકલાં બેઠાં બેઠાં, નિરાધારપણે, આંસુ વધ્યાં હતાં કે નહીં, તેનું કોઈ સ્મરણ નથી. જે.એફ.કે.થી બીજી ફલાઇટને માટે બીજા એરપોર્ટ પર જવાનું હતું. ત્યારે તો જેનું નામ પણ ખબર નહતી એ લગવાર્ડિયા એરપોર્ટ પર કઈ રીતે જવાનું તે હું ક્યાંથી જાણં? એંરલાઈન દ્વારા ત્યાં લઈ જવાની ગોઠવણ થઈ હતી, એવો કૈંક ખ્યાલ છે.+ + +
એમ નહતું કે ભારતમાં | ગુજરાતમાં| અમદાવાદમાં જીવન સંકુચિત હતું. બીલકુલ નહીં. જીવન સાધન-સંપન્ન અને આધૂનિક હતું, મોટા બંગલામાં રહેવાનું હતું, કામ કશું જાતે કરવાની જરૂર જ નહીં. રસોડામાં તો મહારાજ- એટલેકે બ્રાહ્મણ રસોઇયા હોય, ત્યાં તો જવાય જ નહીં, ને તેથી રસોઈ શીખવાનો પ્રશ્ર જ નહતો. પણ બીજી પ્રવૃત્તિઓ ક્યાં ન હતી?
જાતજાતની કળાઓ શીખી, બહોળું વાંચન રહ્યું, ને વર્ષમાં બે-ત્રણ વાર બહારગામ જવાનો રિવાજ હતો. આ બધી દિશાઓ ઘરમાંથી, કુટુંબ દ્વારા જ, ખુલતી ગઈ હતી.
કળાઓ લઈએ તો ભરતકામ જેવું તો મમ્મીએ જ પાસે બેસાડીને શીખવાડવા માંડ્યું હોય. ચિત્રકામ શીખી, ચિત્રો કર્યા, ને મમ્મીના કેટલાયે સાલ્લા પર બોર્ડર, પાલવ ને બુટ્ટા મે ચિતરી આપ્યાં હતાં. શાસ્ત્રીય સંગીત શીખવા માંડ્યું. પછી મારું મન રવીન્દ્ર-સંગીત તરફ અને ઉર્દુ ગઝલો તરફ ખેંચાયું. એ બંને રીતની ગાયકી હું કૈંક ઊંડાણથી શીખી, ને એ બંને ભાષાઓનો અભ્યાસ પણ જીવનભરનું આકર્ષણ બનીને રહ્યો છે.
સ્કૂલમાં ભરતનાટયમ્ નૃત્યના ક્લાસ શરૂ થયા, તો તરત મને એમાં દાખલ કરી દીધી. નાટકમાં પણ ખૂબ રસ હતો. એક બાજુ હું ખૂબ શરમાળ. આંખો ઊંચી ના થાય, અને બીજી બાજુ સ્ટેજ ઉપર પાત્રને પ્રોજેફ્ટ કરી શકતી. કોલેજમાં પણ નાટક કર્યા. હજી એક કળા છે, જે હું શીખી, અને એમાં ખૂબ પારંગત થઈ. એ કળા તે બાટિક. હું નવા નવા રંગોના સંમિશ્રણ કરવા લાગી, અને રેશમી સાડીઓ બનાવવા લાગી. અન્યો તરફથી ઓર્ડર પણ મળવા માંડ્યા. પછી તો હું મિલની છાપેલી સાડી પહેરું તોયે બધાં પૂછે, “આ તેં કરી છે?” આવું સાંભળીને મનમાં બહુ ખુશી થાય !
ભણવામાં પણ બહુ જ મઝા પડે, ને નંબર બીજો તો આવે જ. લખવાનું પણ શરૂ થઈ ગયેલું. સ્કૂલમાં હતી ત્યારથી જ પ્રવાસ-નિબંધ તેમજ કાવ્યો લખતી હતી, ને શાળાના સામયિકમાં તેમજ બીજે ક્યાંક ક્યાંક છપાતાં પણ હતાં. કોલેજ દરમ્યાન એક અંગ્રેજી છાપામાં લખતી થઈ હતી. વળી, નાનાં નાટકો લખીને મિત્રો સાથે ભજવ્યાં પણ ખરાં! આમ મૌલિક સર્જન થવા માંડ્યું એના કારણમાં કદાચ મારું અનવરત વાંચન હશે. ગુજરાતી, હિન્દી, બીજી ભાષાના ગુજરાતી અનુવાદો, અને અંગ્રેજી સાહિત્યનાં ખૂબ પુસ્તકો વાંચ્યાં. વર્ષગાંઠ પર શું જોઈએ છે, એમ પુછવામાં આવે, તો તરત જવાબ હોય, “ચોપડીઓ !”
અમદાવાદમાં કોઈ પણ કાર્યક્રમ હોય, અને એને વિષે છાપામાં વાંચ્યું હોય, અથવા રસ્તા પર એની જાહેરાતનું બોર્ડ જોયું હોય, ને એ જોવા જવાનું મન થયું હોય. પછી ઘેર આવીને જોઉં તો મમ્મીએ ટિકિટો મંગાવી જ લીધી હોય.. ક્યારેક અંગ્રેજી, કે હિન્દી નાટક કે વાતીલાપ હોય, કે બંગાળી ફિલ્મ આવી હોય, તો અચૂક જોવા-સાંભળવા જવાનું.
આ રીતે વિવિધ બાબતો શીખવાનું, જોવાનું, જાણવાનું, સમજવાનું નાનપણથી જ શરૂ થયેલું. ત્યારે તો મનમાં સ્પષ્ટ કોઈ જ ખ્યાલ ન હતા, કે ન હતી આટલા બધા શોખ ને રસને લીધે પણ જાત માટેની હોશિયારી કે સભાનતા. જીવનમાં ખાસ્સો વિરોધાભાસ હતો એમ તો – એક બાજુ પ્રવૃત્તિઓનો પાર નહીં, ને બીજી બાજુ મોટાં કહે તેમ જ કરવાનું, ને શિસ્ત રાખવાની. વળી, હું માનું છું કે મારા ગાંધીવાદી પિતા તરફથી હું આદર્શવાદ (Idealism) પામી, ને મારાં કળાપ્રિય મા પાસેથી સૌદર્યવાદ (Aesthetics). જેમ દરેક સુંદર વસ્તુ ગમતી થઈ, તેમ કરુણા તે અનુકંપાના, તથા ગમતું બધું ખરીદવાની બિન-જરુરિયાત માટેના સિદ્ધાંત મનમાં સ્થાયી થતા ગયા. વિવેકાનંદ અને ગાંધીજી વાંચતી હતી, મન પર એની છાયા, તેમજ સાદગી હંમેશાં માટે રહ્યાં.
છેક શરૂઆતથી જાણે કેટલાંક દ્વન્દ્વ મારા જીવનનો, તેમજ મારા વ્યક્તિત્વનો, ભાગ બનેલાં છે. જેમકે, વલણ હંમેશાં ગંભીર હોય છે, પણ એને લીધે મનમાં સહજ આનંદની ગેરહાજરી નથી હોતી. વળી, કાળક્રમે બીજાં દ્વન્દ્વ ચિત્તમાં આલેખાતાં ગયાં, જેમ કે ઇન્ડિયા ને અમેરિકા, ગુજરાત ને બંગાળ, ગાંધી ને ટાગોર, સરદાર પટેલ ને વિવેકાનંદ, અમદાવાદ ને ન્યુયોર્ક શહેર; ને સૌથી વધારે તો, લેખન અને પ્રવાસ, એટલેકે ઘર અને આખી દુનિયા. લેખનને લીધે મને ઘરમાં રહેવાનું કારણ મળ્યું, તો પ્રયાણોને લીધે વિશ્વ આખાને પામી શકી. તેથી જ વિરોધી જેવા આ શબ્દો – કે મનોમન મક્કમ નિર્ધારયુક્ત (વજૂ સમ દૃઢ) પણ ખરી, અને ઊંડી સંવેદનશીલતાયુક્ત (કુસુમ સમ ઋજુ) પણ ખરી.
જે આવશ્યક નહોતું બન્યું તે હતું કૃત્રિમ ધાર્મિકતાનો આગ્રહ. મમ્મી એમનાં જમાના અને જીવન પ્રમાણે ધર્મ અને ધાર્મિક પ્રવૃત્તિઓને અનુસરતાં. હું મન થાય ત્યારે હાજરી આપતી, પ્રસાદનો આનંદ લેતી, પણ કોઈ કિયાકાંડ કરવાની કે શીખવાની ફરજ પડી નહતી. ચોક્કસ, રામાયણ-મહાભારતની તથા અન્ય પૌરાણિક કથાઓ હંમેશાં સાંભળવા મળતી જ, અને ઘરમાં રોજ ગવાતાં પદો, શ્લોકો અને ભજનો પણ આપોઆપ મુખસ્થ થતાં ગયાં. આ થયું વૈષ્ણવ ઘરની સ્વાભાવિક સંસ્કૃતિનું મનની અંદરનાં મૂળ સુધીનું સિંચન.
આ આખી વાત છે તો એક વ્યક્તિનાં સર્વ-સાધારણ જીવનની, પણ જે અર્થઘન બાબત છે તે આ, કે નાનપણમાં જે જે જાણ્યું, જે રસ વિકસ્યા, જે મૃલ્યો કેળવાયાં તે બધું જ એ સાંસ્કૃતિક મૂળના આધારરૂપ રહ્યું. પરદેશમાંના લાંબા વસવાટ પછી, તથા એક નહીં, અનેક પર-દેશોનાં વિશિષ્ટ પાસાંને સમજ્યાં, ને ક્યારેક અપનાવ્યા પછી પણ, એ મૂળ ઊંડાં ઊતરતાં રહ્યાં. એ ક્યારેય સૂકાયાં નહીં, બલ્કે ફાલતાં રહ્યાં.
સ્વ-મહત્ત્વના કે કોઈ મહત્ત્વાકાંક્ષાના કશા પણ ખ્યાલ નહતા, પણ એ કુટુંબદત્ત મૂળનું જેટલું ઊંડાણ રહ્યું તેટલો એમનો વ્યાપ પણ થતો ગયો. તેથી, હું જેટલી ભારતીય રહી તેટલી જ સર્વ-દેશીય પણ બનતી ગઈ. આ જે પ્રક્રિયા અને પરિણામ હું પામતી રહી તે જ છે મારા જીવનમાંનો કશો પણ વિશિષ્ટ અંશ.
+ + +
હું અમેરિકા જઈ રહી હતી, આગળ અભ્યાસ માટે, અને તદ્દન એકલી. આને જ કહેવાય ફરી જન્મ લેવો તે? સાવ નવી જગ્યાએ નવી જ જિંદગી શરૂ થવાની હતી. તે વખતે તો એમ જ, કે ક્યારેય ભારત જવાનું થશે જ નહીં. એ વાસ્તવિકતાનો ખ્યાલ અત્યંત કારમો હતો. ખરેખર તો, દેશ છોડતાં પહેલાંના ઘણા મહિનાઓથી જીવ કલ્પાંત કરવા લાગ્યો હતો, કે આ ધરતીથી દૂર જવાનું છે?, આ હવાથી દૂર થવાનું છે?
ન્યુયોર્કના વિમાન-મથકે કોઈ લેવા આવનારું હતું નહીં. જ્યાં ભણવાનું હતું ત્યાં કોઈ ઓળખીતું હતું નહીં. પહેલા કેટલાક દિવસ વ્હાય.ડબલ્યુ. સિ.એ.માં રહી. પાણી યે ના ભાવે, અને શાકાહારી ખાવાનું ક્યાં મળે તે પણ ખબર ન હતી. સારું હતું કે નાની ઉંમરે ઓછું ખાઈને, નહીં ખાઈને ચલાવી લેવાતું હતું. પછી કોઈ અમેરિકન દપતીના ઘરમાં રૂમ ભાડે લીધો. ત્યાં રસોડાની સગવડ હતી, પણ રસોઈ કરતાં કોને આવડતું હતું? કાચું-કોરું બનાવી-ખાઈને દહાડા કાઢ્યા હશે, એમ માનું છું. એક વાત યાદ છે કે મહિનાઓ સુધી ક્યાયે ઘઉનો લોટ દેખાયો નહતો. મેંદાના લોટની ભાખરી બનાવીને ખાધા કરી હતી, ને પેટમાં દુઃખાવો થઈ આવ્યો હતો. વળી, બધું કામ જાતે કરવાના પણ આ દહાડા હતા. ટુવાલ, ચાદરો ને બીજાં
કપડાં હાથે ધોતી હતી. ઈસ્ત્રી નહતી, તો કપડાં સરખાં વાળીને ખુરશીની ગાદી નીચે મૂકી દેતી. એના પર બેસતાં રહેવાથી ઈસ્ત્રી થઈ જતી !કોલેજ જવા માટે એક મોટો રસ્તો ઓળંગી, એ પછીના રસ્તા પરથી બસ લેવાની, એટલું જાણી લીધું હતું. કૅમ્પસ પર ગાડીઓનો પાર નહીં. અહીં બધાં પોતાની ગાડી લઈને આવે? આવો પ્રશ્ર પહેલાં પહેલાં થતો રહેલો. પછી એ રીતથી ટેવાઈ જવાયું. અમેરિકાના જીવનની જાતજાતની વાસ્તવિકતા જોવા-સમજવાની આ તો હજી શરૂઆત હતી. છોકરીઓ માટેની કોલેજ હતી, એટલે રૂપાળી ગોરી છોકરીઓ કેમ્પસના બગીચા જેવા કમ્પાઉન્ડમાં દેખાતી રહેતી. મારે કેટલીક સરસ મૈત્રી થઈ ત્યાં.
ભણવાનું તો ખૂબ મોંઘું લાગે. તો ડીનની સાથે વાત કરતાં મારે માટે કોઈ ઉપાય શોધાવા લાગ્યો. વિચાર કરીને, ફીને બદલે, કાલિદાસનું “શાકુંતલ’ અને રવીન્દ્રનાથનું “ગીતાંજલિ” પુસ્તક (બંને અંગ્રેજીમાં) ભણાવવાની સ્કોલરશિપ મને આપવામાં આવી. ભારતની બહાર ભણાવવાની રીત બહુ જુદી હોય, તે મારે સમજવું ને શીખવું પડ્યું. હજી તો હમણાં જ, આ પહેલવહેલી જ મેં અમેરિકાની કોલેજ જોઈ હતી. અમેરિકન યુવતીઓ ખૂબ ધ્યાનપૂર્વક મને સાંભળતી રહી, અને કેટલીકે વાર્ષિક નિબંધોમાં આ અનુભવને અત્યંત ઊંડો અને અર્થપૂર્ણ તરીકે વર્ણવ્યો.
આમ પૈસાની તાણ, પણ કૉર્લેજના રસ્તામાં આવતા એક થિયેટરમાં જો ઍડવર્ડ આલ્બિ કે ટૅનૅસિ વિલિયમ્સ જેવા અમેરિકન લેખકોનાં સાહિત્યિક નાટકો પરથી બનેલી ફિલ્મ ચાલતી દેખાય તો પાછાં જતાં બસમાંથી ઊતરી જાઉં, ને એ ફિલ્મ જોઉં ત્યારે જ જાણે મનમાં શાંતિ થાય! અલબત્ત, ઘણો આનંદ પણ. હું અંગ્રેજી ને હવે અમેરિકન સાહિત્યની અભ્યાસી, તેથી આવી ફિલ્મો જોઈને જાણે જીવને પોષણ મળે.
અમેરિકામાંના પહેલા જ વર્ષમાં એક અત્યંત મોટું સદ્ભાગ્ય મને મળ્યું. હવે તો યાદ નથી, કે છએક મહિનાની અંદર જ મેં, અમેરિકામાં સ્થાયી થવા માટે જરૂરી એવા, “ગ્રીન કાર્ડ” માટે અરજી કરવાનો વિચાર કયાંથી કર્યો હશે. તે કાળે પાંચ વર્ષ રહેવું પડે તેવા કોઈ નિયમ હતા. દોઢેક મહિનામાં ઈન્ટરવ્યુ પણ આવી ગયો. મને પુછવામાં આવ્યું, “અમેરિકામાં રહીને શું કરવા માગો છો?’ મારામાં આમ તો ખાસ કોઈ વહેવારુ બુદ્ધિ નહીં. ઉછરેલી જ કુટુંબની સુરક્ષિતતામાં. પણ એ ઘડીએ મને જે જવાબ સૂઝ્યો એણે અમેરિકામાં રહેવાની સમસ્યાનો નિકાલ કરી આપ્યો. મેં (કશા અણધાર્યાં) ડહાપણપુર્વક કહ્યું હતું, “હું ટીચર બનવા માગું છું.” ઈમિગ્રેશન ઓફીસરને એ જવાબ સંતોષકારક લાગ્યો હશે, તે મારી અરજી સ્વીકારાઈ ગઈ. બીજાં કેટલાંક અઠવાડિયાંમાં, પરવાનગીની સાબિતીરૂપે, ભૂરા રંગનું “ગ્રીન કાર્ડ” મારા
હાથમાં આવી ગયું.અરજી કર્યા પછી ત્રણ જ મહિનામાં મને આ પ્રાપ્તિ થઈ ગઈ હતી. જિંદગીમાં પહેલી જ વાર મેં જાતે કશું પણ અગત્યનું વિચાર્યું હતું, એને અંગે આવશ્યક ગોઠવણ કરી હતી, અને સફળ પરિણામ મેળવ્યું હતું. ને આ હતો મારા નિજી જીવનમાંનો પહેલો ‘જાદુઈ’ અનુભવ. જાણે મારા જીવનની નોકાનું સુકાન હવે મારા પોતાના હાથમાં હતું.
હવે હું નોકરી કરી શકું તેમ હતી, પણ હજી માંડ થોડા પૈસા હતા, ને કોઈ પાશ્ચાત્ય કપડાં પણ નહીં. ઘેર રોજ પહેરતી હતી તેવાં કોઈ ફ્રૉક કે સ્કર્ટ હું સાથે લાવી નહતી. કેમ્પસ પર તો ઘેરથી લાવી હતી તે રેશમી સાડીઓ હું પહેરતી. એકાદ ડ્રેસ ખરીદી શકાત, પણ રોજ નોકરીમાં તો કેટલાં બધાં કપડાં જોઈએ. તેથી નોકરી શોધવા જતાં હું ચુડીદાર-ફૂરતું પહેરતી હતી. એ કાળે “ગ્રીન કાર્ડ” મેળવવામાં ખાસ કોઈ નિયમ ન હતા, પણ નોકરી પર સ્ત્રીએ શું પહેરવું તેના નિયમો હતા ! ચુડીદાર એટલે પેન્ટ કહેવાય, અને એ સમયે સ્ત્રીઓને ઓંફીસોમાં પેન્ટ પહેરવાની છૂટ ન હતી. છતાં, કોઈ બૅન્કમાં કે મોટી ઓફીસમાં તો નહીં, પણ એક નાની જગ્યાએ નોકરી મળી તો ગઈ. પણ થોડા જ વખતમાં એ છોડી દઈને મેં ન્યૂયોર્ક જતાં રહેવાનો નિર્ણય કર્યો.
જોકે એ પહેલાં, નોકરી ત્યજીને, હું “ધ બહામાઝ’ નામના દ્વીપ-દેશમાં જઈ આવી. “ગ્રીન કાર્ડ” હતું તેથી જ અમેરિકાની બહાર જઈ શકાયું. નોકરી, કરિયર, આવકમાં રસ નહીં, પણ અન્ય સ્થાન જોવામાં ત્યારથી જ ઘણો વધારે રસ હશે, એમ કહી શકું છું. કોલેજમાં સારી મિત્ર બની ગયેલી પામેલા “ઘ બહામાઝ’ની હતી, ને એણે મને એનાં માતા-પિતાને ઘેર જવા આમંત્રણ આપ્યું હતું. આને હું મારું “અમેરિકન બાળપણ” કહું છું. પ્રવાસી તરીકેનો આ સ્પષ્ટ આરંભ હતો. પામેલા હજી પણ મારી નજીકની મિત્ર રહેલી છે. એ ઈગ્લંડમાં વસે છે, ને એનાં વર અને દીકરીઓને માટે હું કુટુંબની સદસ્ય છું.
ક્રમશઃ
-
પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું
નિસબત
ચંદુ મહેરિયા
જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉદ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત,આદિવાસી, વંચિત,પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકારસહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે.
સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દ્રઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે.
જોકે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા.
ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું(સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.
રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો.
જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે.તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમબંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો.કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ.
જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા.તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન.
બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.
નવી અર્થનીતિ , વધતા શહેરીકરણ-ઔધ્યોગિકરણ , સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃધ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉધ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉધ્યોગોને મળી છે.
આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, ” જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે”. બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુખનું સરનામું આપો..
ડો. શ્યામલ મુનશી
સુખનું સરનામું આપો;
જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો;
સુખનું સરનામું આપો.સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?
સુખનું સરનામું આપો.ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !
સુખનું સરનામું આપો.કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?
મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.
સુખનું સરનામું આપો.
: આસ્વાદ :
દેવિકા ધ્રુવ
કવિ શ્રી શ્યામલ મુનશીનું કાવ્ય ‘સુખનું સરનામું આપો’ ખૂબ મઝાનું અને અર્થપૂર્ણ કાવ્ય છે. ત્રણ અંતરામાં પથરાયેલ આ કાવ્ય ઘણું જાણીતું અને માનીતું થઈ ગયું છે. કારણ કે, જીંદગીનો અસલ અર્થ અને માનવ સ્વભાવનો ખરો રંગ એમાં ઝીલાયો છે.
ગીતની ધ્રુવપંક્તિમાં સુખના સરનામાની અરજ છે એવો સીધો અર્થ સમજાય છે પણ ખરેખર માત્ર એટલું જ નથી. એમાં એક સનાતન ખોજની તીવ્ર આરત છે, ઊંડેથી નીકળતી એક સાચી ઝંખનાનો સૂર સંભળાય છે.
જીવન-સિક્કાના બે પાસાં છે; સુખ અને દુઃખ. અને માણસ માત્રને સુખની જ અભીપ્સા છે. દરેક વ્યક્તિએ સુખને જ અનુભવવું છે, કાયમ માટે સુખમાં રહેવું છે. પણ હકીકતે એને દુઃખ જ દેખાયા કરે છે. જે નથી તેને પામવાની સતત શોધમાં એ ભટકતો રહે છે. એ મૂંઝાતો રહે છે, એવા અટવાઈ ગયેલા માનવીનો ભાવ, આ ગીતની ધ્રુવપંક્તિ સાથે અનાયાસે જોડાઈને યથોચિત લયમાં વ્યક્ત થાય છે કે, ‘જીવનના કોઈ એક પાના પર એનો નકશો છાપો; સુખનું સરનામું આપો.’ કવિને બરાબર જાણ છે કે, સુખ એ કોઈ નકશા પર દર્શાવેલ ટપકું નથી કે જ્યાં જમીન, દરિયાઈ કે હવાઈ માર્ગે પહોંચી જઈ શકાય. છતાં પણ જીવનપથ પર મૂંઝાયેલ માણસની મનોવ્યથાને, એના મનમાં જાગી રહેલા સવાલોને પ્રથમ અંતરાના શબ્દોમાં પ્રતિબિંબિત કરે છે. જેને સુખની શોધ કરવી છે પણ સમજણ નથી કે ક્યાંથી મળે ને કઈ રીતે એ મળે? એ પૂછે છે કે,
સૌથી પહેલાં એ સમજાવો ક્યાંથી નીકળવાનું ?
કઈ તરફ આગળ વધવાનું ને ક્યાં ક્યાં વળવાનું ?
એના ઘરનો રંગ કયો છે, ક્યાં છે એનો ઝાંપો ?સવાલો જ કેટલા દયાને પાત્ર છે? સામાન્ય જનસમુદાય આનાથી વધારે બીજું વિચારી પણ શું શકે? મોટાભાગના લોકોની બંધ આંખ સામે એક સુખ નામનો સોનેરી ઝાંપો જ હોય છે એવું કવિને અહીં ફલિત કરવું છે જે સાહજિક રીતે અભિવ્યક્ત થયું છે. અહીં કેટલીક કાવ્યપંક્તિઓ યાદ આવ્યા વગર રહેતી નથી. કવિ શ્રી જગદીશ જોશીએ એક કવિતામાં ‘મને આપો ઉછીનું સુખ થોડું, હજી યે ના એવડું તો થઈ ગયું મોડું’ દ્વારા આવી જ કોઈ વાત કરી છે. ઘણાં કવિઓએ ગુજરાતી ગીતો થકી સાચા સુખને સમજાવવાનો પ્રયાસ કર્યો છે, અનેક પ્રશ્નો ઊભા કરી, સુખને પામવાના જુદા જુદા માર્ગો આલેખ્યા છે.આ ગીતના બીજા અંતરામાં વિષયને આગળ વધારતાં કેટલીક અટકળોની વાત આવે છે. ગીતનાયક વિચારે છે કે,
ચરણ લઈને દોડું, સાથે રાખું ખુલ્લી આંખો;
ખુલ્લી આંખો એટલા માટે રાખવાની કે રસ્તે ખાડા -ટેકરા આવે તો દોડતાં દોડતાં પડી ન જાઉં કે ચોર લૂંટારા આવે તો લૂંટાઈ ન જાઉં.
વળી એ વિચારે છે કે, સુખ કદાચ આકાશમાં હશે તો? તો પક્ષીની જેમ પાંખો ફેલાયેલ રાખું જેથી ઝટ દઈને ઊડી શકાય! અને જો સુખ મધદરિયામાં મળતું હોય તો પછી તરાપો પણ તૈયાર રાખું ને? બધી જ રીતે તૈયાર રહેવાની અવનવી રીતો વિચારી રાખે છે.
ક્યાંક છુપાયું હોય આભમાં તો ફેલાવું પાંખો;
મળતું હો જો મધદરિયે તો વહેતો મૂકું તરાપો !ખરેખર માણસની મનોદશા અને વ્યથાની નરી વાસ્તવિકતાનું સૂક્ષ્મ વર્ણન આ બીજાં અંતરામાં અનુભવાય છે. વિચારોના વમળોમાં વીંટળાતી વ્યક્તિ છેવટે થાકી જાય છે. એની ધીરજ ખૂટી જાય છે. સુખને ઝંખતી અને ખોટી રીતે વિચારતી વ્યક્તિઓને થાય છે કે, સુખ કેટલે હશે, ક્યાં હશે? કેટલા માઈલ દૂર હશે? ક્યારે મળશે? હવે હું છલાંગ મારું કે ડગ ચાલુ રાખું? આ આખીયે ધારણાઓ એ ખરેખર તો માનવ સ્વભાવની કરુણ વાસ્તવિક્તા છે, જનસમાજનું દર્પણ છે. મર્કટ મનડું એમ જ વિચારે કે,
કેટલા ગાઉ, જોજન, ફર્લાંગ કહો કેટલું દૂર ?
ડગ માંડું કે મારું છલાંગ, કહો કેટલું દૂર ?એ ભાવ સુપેરે વ્યક્ત કરી, છેલ્લી પંક્તિમાં કવિએ સંભવિત ઉત્તર આપી દીધો છે કે, આવું બધું કંઈ ન કરો, મૂંઝાવાને બદલે,અટવાવાને બદલે અને ખરું ખોટું વિચારવાને બદલે,
‘મન અને મૃગજળ વચ્ચેનું અંતર કોઈ માપો.’
વાહ..વાહ.. કવિ. મન અને મૃગજળ વચ્ચેના અંતર માપવાની વાતનો ઈશારો કરી એક ગહન ભીતરનો દીવો પ્રગટાવી દીધો. બધું જ ભીતર છે. સુખ, શાંતિની સાચી સમૃદ્ધિ આપણી અંદર છે, બહાર તો કેવળ મૃગજળ છે. સુખનું સાચું સરનામું ભીતર છે. સુખ એ કોઈ પાનાં પરનો નક્શો નથી કે મનગમતા રંગનો સુશોભિત ઝાંપો નથી. એનું કોઈ GPS નથી કે જેને હાથમાં રાખી,એણે ચીંધેલા માર્ગ મુજબ ચાલીને, દોડીને,ઊડીને કે તરાપા થકી પહોંચી શકાય. એ કેટલા ફર્લાંગ, માઈલ કે જોજનો દૂર છે એ સવાલ જ નથી. કારણ કે, માણસના મનમાં જ છે, માયાવી મૃગજળને વીંધતી સાચી સમજણમાં જ છે. એટલે કે, સુખનું સરનામું આપણા અંતરમાં જ છે.
અહીં કવિવર ટાગોરની વિચારધારા યાદ આવે છે કે, વિધાતા આપણાં જીવનની છબી ઝાંખી રેખાઓ વડે ચીતરે છે. તેમનો હેતુ એવો હોય છે કે આપણે પોતાને હાથે તેમાં જરાજરા ફેરફાર કરી, મનપસંદ બનાવી લઈ તેને સુખનો સ્પષ્ટ આકાર આપીએ. કેટલી સાચી વાત છે! મન અને મૃગજળ વચ્ચેના અંતરને માપતાં આવડે તેને સુખનું સરનામું મળે જ.
કવિ શ્રી તુષાર શુક્લની પણ એક પંક્તિ આ જ વાતને સમર્થન આપે છે કે, “સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો.”
ગીતસ્વરૂપે રચાયેલ આ કાવ્ય નખશીખ સુંદર છે. એમાં વિષયને અનુરૂપ આરત અને અરજભર્યા યથોચિત શબ્દોથી ઉઘાડ છે, ત્રણે અંતરામાં વિષયનો ક્રમબદ્ધ વિકાસ છે. પ્રશ્નો અને આશ્ચર્યોના ભાવ અને તે મુજબનો સરળ લય છે, તો છાપો, ઝાંપો, તરાપો, માપો જેવા મઝાના પ્રાસ પણ કાવ્યત્ત્વને વધુ ઘેરો રંગ બક્ષે છે. છેલ્લી પંક્તિમાં પ્રયોજાયેલા લાઘવભર્યા શબ્દો કવિતાના હાર્દની ઊંચાઈ સુધી પહોંચ્યા છે.
વ્યવસાયે સર્જન, ડો. શ્યામલ મુનશીની કલમ તેમને એક અચ્છા સર્જક તરીકે પણ બિરદાવે છે. આ ગીતના સ્વરાંકનને તેમના જ અવાજમાં સાંભળવાનો પણ એક લહાવો છે. કવિ, સંગીતકાર અને ગાયકને સલામ.
અસ્તુ.
Devika Dhruva. | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com
-
એસ ધમ્મો સનંતનો – શ્રીમદ્ ભગવદ્ગીતા
પ્રવાસી યુ. ધોળકિયા
સનાતન પરંપરાવિશ્વના સાગરોથી ઊંડી અને હિમાલયથી ઊંચી છે. પુરાણો અને મહાકાવ્યો પર આપણે અગાઉના લેખોમાં ટુંકું વિવેચન જોઈ ગયાં. હવે તેનાં ત્રીજા પાસાં, શ્રીમદ્ ભગવદ્ગીતા, પર અવલોકન કરીશું.

મૂળ લિથો પ્રિન્ટ – વાસુદેવ પંડ્યા આશરે ઇ.સ. ૧૯૩૨ વર્તમાન સમયમાં ભગવદ્ગીતા ખ્રિસ્તીઓનાં બાઈબલ કે મુસ્લિમોનાં ક઼ુરાન જેટલું જ પવિત્ર માનવામાં આવે છે. આપણે જાણીએ છીએ તેમ મહાભારતમાં ભીષ્મપર્વમાં અર્જુનના સારથિ તરીકેની ભુમિકા ભજવી રહેલા શ્રીકૃષ્ણના મુખેથી કહેવાયેલી આ બોધકથા સમાવવામાં આવી છે. યુદ્ધના મેદાનમાં અર્જુન જ્યારે પોતાની સામે પોતાના ગુરુઓ, વડીલો અને બાંધવોને સામે પક્ષે જૂએ છે, ત્યારે હામ હારી જઈને પોતાના હથિયાર હેઠાં મુકવા તત્પર બની જાય છે. આ સમયે અવતારપુરુષ એવા શ્રીકૃષ્ણ તેના સારથિ તરીકે માર્ગગ્દર્શક બનીને અર્જુનને ક્ષત્રિય ધર્મ સમજાવે છે અને પોતાનું કર્તવ્ય બજાવવાનું કહે છે. શ્રીકૃષ્ણ અને અર્જુન વચ્ચે સંવાદ રૂપે રચાયેલ આ ગ્રંથમાં સામાન્ય માનવીને ઉપદેશ સ્વરૂપે સમગ્ર વેદ અને ઉપનિષદના જ્ઞાનની ઊંડી સમજ અપાઈ છે.
ગીતાનું એટલું મહાત્મ્ય છે કે મધ્યકાળમાં તેના ઉપર શકરાચાર્ય અને અનેક તત્વજ્ઞોએ ટીકાભાષ્યો લખ્યામ છે. આધુનિક સમયમાં લોકમાન્ય ટિળક, શ્રી અરવિંદ, મહાત્મા ગાંધી, વિનોબા ભાવે, ચિન્મયાનંદ, ઓશો રજનીશથી લઈને ડૉ. એસ રાધકૃષ્ણન જેવા અનેક લોકોએ ખુબ જ માર્મિક વિવેચનો લખ્યાં અને પ્રવચનો આપ્યાં છે. લોકોને પ્રેરણા આપનારા દીપ ત્રિવેદીએ તો અત્યારના સમયમાં પોતાના વિચારો રજૂ કર્યા છે.
સનાતન હિંદુ ધર્મના વિરોધી પશ્ચિમના વિદ્વાનો અને પશ્ચિમને અનુસરનારા આપણા દેશના તથાકથિત વિદ્વાનો ભગવદ્ગીતાની આકરી ટીકા કરે છે. આવી વિશ્વવંદ્ય કૃતિને પણ તેઓ બુદ્ધના ધમ્મપદ અને એવા અન્ય અનેક ઉપદેશો પર આધારિત છે એવું ભારપૂર્વક પ્રતિપાદિત કરવા મથતા રહે છે. પોતાની દલીલમાં સમર્થનમાં તેઓ કહે છે કે બુદ્ધે તેમના પ્રવચનોમાં ધર્મ અને કર્મ પર વિવેચન કર્યાં છે. તેઓ દરેક વ્યક્તિને બુદ્ધમાં માનવાનું, તેમણે સથાપેલ સંઘમાં જવાનું અને તેમના ઉપદેશોને અનુસરવાનું કહે છે. શ્રમણ જો આ પ્રમાણે કરે તો નિર્વાણ પામી શકશે. શ્રીકૃષ્ણ પણ ભગવદ્ગીતામાં ધર્મ અને કર્મ પર ઉપદેશ આપે છે અને શ્રીકૃષ્ણ પર શ્રદ્ધા રાખવાનું કહે છે. વિદ્વાનોના ઉપરોકત વર્ગને આમાં બુદ્ધના આદેશોની બેઠી નકલ દેખાય છે. આ વિદ્વાનો એમ પણ પ્રતિપાદિત કરે છે કે મહાભારતનું સૌથી મોટું, સૌથી પ્રાચીન, મહાકાવ્ય છે. તેથી તેની રચનાને બહુ લાંબો સમય લાગ્યો. તેનું અંતિમ સ્વરૂપ આજથી ૨૩૦૦ વર્ષ પૂર્વે રચી શકાયું.
બુદ્ધના નિર્વાણ પછી પરિસ્થિતિ બદલાઈ. હવે બૌદ્ધ ધર્મ ભારતનો સર્વમાન્ય ધર્મ બન્યો. તેને પડકાર આપવા બ્રાહ્મણ વર્ગ આગળ આવ્યો. તેમણે લગભગ આજથી ૧૭૦૦ વર્ષ પહેલાં મહાભારતનું નવસંસ્કરણ કર્યું. આ સમયે તેમાં ગીતાજીનું પ્રક્ષેપણ કરવામાં આવ્યું. આમ ધમ્મપદનો આધાર લઈને રચાયેલી ભગવદ્ગીતા મહાભારતનું અંગ બની વિશ્વપ્રસિદ્ધ બની ગઈ. આવી ક્ષુલ્લક ટીકાઓ પાયાવિહિન છે.
ગીતાજીમાં શ્રીકૃષ્ણે માત્ર ધર્મ અને કર્મ પર ઉપદેશ નથી આપ્યો. તેમણે તો કર્મયોગ, ભક્તિયોગ, ધ્યાનયોગ અને જ્ઞાનયોગનું એકીકૃત દર્શન કરાવ્યું છે. તેમાં તેમણે ત્રિગુણાત્મક – સત્વ, રજસ્ અને તમસ્ ગુણો- સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે સ્પષ્ટતા કરી છે. શ્રીકૃષ્ણે દરેક ભક્તને સંસારમાં રહીને છતાં સંસારથી અલિપ્ત રહીને ભક્તિરસના આનંદમાં તરબોળ થવાનું જણાવ્યું છે. ભક્ત માટે આ માર્ગ મોક્ષનો માર્ગ છે.
બુદ્ધના શ્રમણોમાં એક પ્રકારની ઉદાસિનતા છે. તેઓમાં હકારાત્મકતાને અવકાશ નથી.બુદ્ધનો માર્ગ શ્રમણને શૂન્યમાં વિલિન કરે છે.
બન્ને ધર્મોની પરંપરાઓની કેટલીક ખાસ અનુકરણીય પરંપરાઓ છે. અસત્ય, કે અર્ધસત્ય,ના આધાર પર કોઈ પણ ધર્મની પરંપરાઓ પર ટીકા કરવી તે બુદ્ધ કે શ્રીકૃષ્ણ જેવી વિશ્વની મહાન વિભૂતિઓના અપમાન સમાન છે.

સંસ્કૃતમાં લખાયેલ ભગવદ્ગીતાનું દેવનાગીરી ભાષાનું સંસ્કરણ આશરે ઇ.સ. ૧૮૦૦-૧૯૦૦ આ ગંથ પર એટલું વિપુલ સાહિત્ય ઉપલબ્ધ છે કે હવે શું લખવું તે આ લેખકને સમજાતું ન હતું. અંતે, સ્વામી વિવેકાનન્દે ૧૮૯૯માં સ્થાપના કરેલ અદ્વૈત આશ્રમ, માયાવતી (પ્રકાશન શાખાઃ કોલકત્તા) દ્વારા પ્રકાશિત થતાં માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સપ્ટેમ્બર ૨૦૨૩ના અંકમાં તેના તંત્રીએ ભગવદ્ગીતાનું વેદ આધારિત જે દર્શન કરાવ્યું છે તેનો ઋણસ્વીકાર સાથે અહીં ટુંક સાર રજૂ કર્યો છે.
ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે પ્રથમ વખત યોગના ચાર માર્ગ ઉપર પૂર્ણ વિવેચન આપ્યું છે. શ્રી અરવિંદ તેને એકીકૃત (Integral) યોગ તરીકે સમજાવે છે. આ ચાર યોગ એટલે
કર્મયોગ
ભક્તિયોગ
ધ્યાનયોગ, અને
જ્ઞાનયોગ.
ઉપરોક્ત તંત્રીલેખમાં પ્રબુદ્ધ ભારતના તંત્રી લખે છે કે મહાભારત કાળમાં વૈદિક ધર્મમાં માત્ર અતિશય ખર્ચાળ અને પશુબલિથી રક્તરંજીત થયેલા યજ્ઞોની બોલબાલા હતી. ધનિક વર્ગ એ યજ્ઞોનો ઉપયોગ તેમની ભોગવિલાસની પ્રવૃતિઓને સંતોષવા કરતા હતા. સામાન્ય પ્રજા તો જાણે વૈદિક પરંપરાથી બહિષ્કૃત જ થઈ ગઈ હતી. શ્રીકૃષ્ણનું હૃદય આ પીડિત વર્ગ માટે અતિ આર્દ્ર બની ગયું હતું. તેઓએ ભોગવિલાસી જીવન જીવતા ધનિક વર્ગ અને પુરોહિતો બળવો પોકાર્યો. સામાન્ય લોકો ધર્મના માર્ગ તરફ વળે એ માટે ગીતામાં ઉપદેશ આપ્યો.
તેઓએ સામાન્ય પ્રજાને ઉદ્દેશીને કહ્યું કે તમારે તમારાં કર્મોથી ભાગવાનું નથી. પરંતુ તે તરફનો પોતાનો અભિગમ બદલવાનો છે. દરેક કર્મ એ જ એક પવિત્ર યજ્ઞ છે. તે કરતી વખતે માનવીએ પોતાને ઈશ્વર તરફની અનન્ય ભક્તિ તરફ વાળી દેવાની છે. આમ, સામાન્ય વ્યક્તિ ઈશ્વરના ઉપદેશને અનુસરીને કર્મયોગ અને ભક્તિયોગના માર્ગે પોતાનું જીવન વ્યતિત કરે તેવો તેમનો સંદેશ છે. આમ તો એ સમયે સામાન્ય લોકો ઉપરાંત અન્ય લોકો પણ કર્મયોગ અને ભક્તિયોગનું પાલન કરતા તો હતા, પણ તેમના જીવનમાં કશુ ખુટતું હતું. શ્રીકૃષ્ણે આ વર્ગને ત્રિગુણાત્મક સૃષ્ટિ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞની ભેદરેખા, ઈશ્વરભક્તિ અને મનન, ચિંતન અને નિદિધ્યાસન પાળવાની પદ્ધતિઓ દર્શાવી.
તંત્રીશ્રીએ ઉપરોક્ત પોતાના લેખમાં ભગવદ્ગીતાના આ શ્લોકો ટાંક્યા છે
ભક્તિયોગ (ગીતા ૧૦-૧૦)
तेषां सततयुक्तानां भजतां प्रीतिपूर्वकम् ।
ददामि बुद्धियोगं तं येन मामुपयान्ति ते ॥ભાવાનુવાદઃ
જેઓ મારામાં ભક્તિભાવ ધરાવીને મારી પુજા કરે છે તેઓને હું પ્રેમપૂર્વક જ્ઞાન આપું છું કે જેથી તેઓ મને પામી શકે.
ગીતા (૯-૧૪)
सततं कीर्तयन्तो मां यतन्तश्च दृढव्रता: ।
नमस्यन्तश्च मां भक्त्या नित्ययुक्ता उपासते ॥ભાવાનુવાદઃ
યોગી સ્થિરમન (સ્થિતપ્રજ્ઞ) થઈને મને સતત ભજે અને મારૂં શરણ સ્વીકારે તો હું એમને ભક્તિના પ્રકાશથી પરિપૂર્ણ કરૂં છું.
ગીતા (૬-૧૪)
प्रशान्तात्मा विगतभीर्ब्रह्मचारिव्रते स्थित: |
मन: संयम्य मच्चित्तो युक्त आसीत मत्पर: ||ભાવાનુવાદઃ
જે શાંત મન અભય અને બ્રહ્મચર્ય પાળીને પોતાના વિકારો પર અનુશાસન કેળવશે તેઓ મને સર્વોચ્ચ ગણશે.
ગીતા (૧૩-૨)
क्षेत्रज्ञं चापि मां विद्धि सर्वक्षेत्रेषु भारत |
क्षेत्रक्षेत्रज्ञयोर्ज्ञानं यत्तज्ज्ञानं मतं मम ||ભાવાનુવાદઃ
હે ભરતવંશી અર્જુન, તું આ ભૌતિક જગતને ક્ષેત્ર તરીકે અને મને (એટલે કે શ્રીકૃષ્ણને) ક્ષેત્રજ્ઞ તરીકે ઓળખ. આ જ સાચું જ્ઞાન છે.
શ્રદ્ધાભક્તિ (ગીતા ૧૭- ૩)
सत्त्वानुरूपा सर्वस्य श्रद्धा भवति भारत |
श्रद्धामयोऽयं पुरुषो यो यच्छ्रद्ध: स एव स: ||ભાવાનુવાદઃ
હે ભરતવંશી અર્જુન, દરેક વ્યક્તિ શ્રદ્ધાવાન છે. જેની જેવી શ્રદ્ધા તેવું તેનું બાહ્ય સ્વરૂપ છે.
ઉમદા ગુણ (ગીતા ૬-૯)
सुहृन्मित्रार्युदासीनमध्यस्थद्वेष्यबन्धुषु |
साधुष्वपि च पापेषु समबुद्धिर्विशिष्यते ||ભાવાનુવાદઃ
જે શ્રેષ્ઠ છે તે કલ્યાણકર્તા, મિત્ર, તટસ્થ, શત્રુ અને બંધુમાં કોઈ ભેદ નથી જોતો. તે પાપી હોય કે પુણ્યાત્મા હોય, તેને એક જ દૃષ્ટિથી જૂએ છે. (આવા લોકો જ મને બહુ પ્રિય છે).
સમાપન કરતાં તંત્રી લખે છે કે ભગવદ્ગીતામાં અનેક અધ્યાત્મ માર્ગોને એકીકૃત જ્ઞાન તરીકે દર્શાવાયા છે. આ માર્ગનું અનુસરણ કરી વ્યક્તિ પોતાના ભૌતિક જીવનનું પરિવર્તન કરીને દિવ્યતા પ્રાપ્ત કરી શકે છે. ભગવદ્ગીતામાં ઈશ્વર સમગ્રને સ્વીકારે છે. તેથી ગીતા એ વેદનું દિવ્ય દર્શન છે અને શ્રીકૃષ્ણ જગતગુરુ છે.
ઉપસંહાર કરતાં કહી શકાય કે ભગવદ્ગીતાના ઉપદેશો માનવમાત્રને તેની અપૂર્ણતામાંથી પૂર્ણતા તરફ અને ઉદાસીનતામાંથી શાશ્વત આનંદ ભણી લઈ જવાનો અદ્ભૂત માર્ગ બતાવે છે.
હવે પછીના મણકામાં આગમ શાસ્ત્ર વિશે વાત કરીશું.
શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.
