વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • હૃદયાંજલિ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    થોડા સમય પહેલાની વાત છે. મારી એક અંગત મિત્ર સાથે વાત થઈ રહી હતી. હમણાં જ સાવ જ નજીકના ભૂતકાળમાં એમણે એમના મા કે જેની સાથે આપણું અસ્તિત્વનું અણુ એ અણુ જોડાયેલું છે એમને ગુમાવ્યા. માની વિદાય એટલે જાણે આપણી ચેતનાનું ખોરવાઇ જવું. ક્ષણભર આપણી ચેતના બધિર ન બની જાય તો જ નવાઇ.

    સૌ એમ જ માને અને એમ જ કહેતા હોય કે જે ગયું છે એની પાછળ વિલાપ કરીએ તો એના આત્માને દુઃખ થાય. અવશ્ય દુઃખ થતું ય હશે પણ એથી કરીને આપણે આપણી સંવેદનાઓ, આપણી ચેતનાને શા માટે મૂક-બધિર બનાવવી? મા કે કોઇપણ સ્વજન માટે આંખમાંથી રેલાતા આંસુ એ એક સહજ અને સ્વભાવિક પ્રતિક્રિયા છે. એને શા માટે રોકી લેવી? આંસુ તો એમના પર કરેલો લાગણીનો અભિષેક છે. સંસ્મરણોની, સ્મૃતિની માળ પ્રબળતમ બનીને સંવેદનથી છલકાવે ત્યારે જ આંસુ આવતા હોય છે આમ જોવા જઈએ તો આંસુ આપણાં અંતરમાં, એમનું સન્માનનીય સ્થાન સુરક્ષિત રાખે છે

    સૌ કહે છે અને સદીઓથી સ્વીકારાયેલું સત્ય છે કે જે આવ્યું છે એ એક દિવસ જવાનું જ છે. આત્મા અવિનાશી છે નજર સામે હતું એ તો માત્ર ખોળિયું હતું જે નાશવંત છે. આ સત્યની સામે એક બીજું સત્ય એ પણ છે કે આપણે મનથી તો આપણી નજર સામે જીવી ગયેલા એ તન સાથે જ જોડાયેલા હતા ને! જેને હવે આપણે ક્યારેય જોઇ કે મળી શકવાના નથી.

    આપણે એને જોઇ કે મળી તો શકવાના નથી જ પણ એની સાથે જીવેલી ક્ષણોને તો આપણે નવેસરથી ફરી જીવી જ શકીએ ને? એ વ્યક્તિને આપણા મનમાં સદાય જીવંત તો રાખી શકીએ ને? અને એ તો કેટલી સરળ વાત છે !

    મારી મા ને ગમતી દરેક વસ્તુ હું એની રીતે કરી જ શકું ને? કોઇના મનમાં એવો વિચાર આવે કે મા ને લાડુ બહુ ભાવતા હતા એટલે મેં તો લાડુ આખી જીંદગી માટે છોડી દીધા. ભાઇ ! શા માટે?  એના કરતાં મા ને લાડુ બહુ ભાવતા હતા તો એને યાદ કરીને આપણે લાડુ ખાઇએ તો આપણે ય એનો રાજીપો જરૂર અનુભવીશું. લાડુ તો એક પ્રતીક છે. ખરેખર તો આપણે એવા દરેક કાર્ય કરી શકીએ જે એમને પસંદ હતા. આજે એ આપણી સાથે હોત અને એવું આપણે શું કરીએ તો એ ખુશ થાય? આજે એ આપણી સાથે નથી તો શું થયું એમની યાદ તો આપણી સાથે આપણા મન સાથે જડાયેલી તો છે જ ને?

    હ્રદય મનમાં શોક કે સંતાપ છે એ કંઇ એકદમ વિખેરાઇ જવાનો નથી અને આપણે એમને સતત યાદ કરીએ તો એમાં કશું ખોટું પણ નથી.

    આ ઘટનાની સાથે એક બીજી ઘટના યાદ આવી. વાત છે ૨૦૧૭ના સમયની. ત્યારે બે એરિયામાં દાદાના નામે ઓળખાતા શ્રી હરિક્રિષ્ણ મજમુદારનું દેહાવસાન થયું. એમના પરિવારજનો એ એમની યાદમાં — Remembering Harikrishna Majamundar- “Celebration of Life” નામની એક સાંજ ઉજવી. કેટલી સરસ વાત ! જે વ્યક્તિએ પોતાના સમગ્ર જીવનની એક એક ઘટના યાદગાર પ્રસંગની જેમ જીવી હોય અને લોકમાનસમાં પણ એની યાદ એવી જ રીતે જડાયેલી રહેવાની હોય એમાં શોકસભા કે પ્રાર્થના સભા તો ન જ હોય. એમની યાદ પણ એક ઉત્સવની જેમ જ ઉજવવાની હોય ને?

    તનથી વિખૂટા પડેલા સદગત આત્માના સદવિચારોને સાચા મનથી સ્વીકારીને અને સદકાર્યોને આપણા જીવનમાં અપનાવીને પણા અમર રાખી શકીએ તો એ સાચું તર્પણ કર્યું કહેવાય.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પક્ષીઓ બદલાતા પર્યાવરણ બાબતે ચેતવતા હોય છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘જમાનો બદલાઈ રહ્યો છે’ અથવા ‘હવે પહેલાં જેવું નથી રહ્યું’ જેવાં વાક્યો આપણે કાને વારંવાર પડતાં રહે છે, અને કદાચ આદિ કાળથી એમ થતું રહ્યું હશે. આવાં વાક્યો સાંભળતાં સાંભળતાં ક્યારે આપણે એ બોલતાં થઈ જઈએ છીએ એનો ખ્યાલ જ રહેતો નથી. એ સૂચવે છે કે સમય પરિવર્તનશીલ છે એ હકીકત હોવા છતાં તેનો સ્વીકાર ઝટ ઊગતો નથી. ખરેખર તો બદલાતા રીતરિવાજ અને ઢબછબ માટે આ ઉદ્‍ગાર વધુ લાગુ પડે છે, જેની સીધી અસર પર્યાવરણ પર પડતી હોય છે. ગ્રામ્ય વિસ્તારમાં પહેલાં ગોચર હતાં, સીમ હતી તેમજ વગડો પણ હતો. હવે આ શબ્દો કહેવતો કે શબ્દકોશ પૂરતા સીમિત થઈ ગયા છે.

    વસતિથી દૂર રહેવા આવતાં આવતાં આપણે સીમમાં રહેતા થઈ ગયા અને તેને કારણે ઘરઆંગણે જેની નવાઈ નહોતી એવાં પક્ષીઓ હવે જોવા નથી મળતા. તેને બદલે સીમનાં પક્ષીઓ ઘરઆંગણે નિયમીતપણે દેખા દેવા લાગ્યા. વગડાનાં પક્ષીઓ પણ કદીક આંટો મારી જાય છે. ઘરઆંગણે આવતાં આ પક્ષીઓ જોઈને આપણે રાજી થઈએ છીએ, પણ એ બાબત ભાગ્યે આપણા ધ્યાનમાં આવે છે કે જૈવપ્રણાલિમાં કેવડું મોટું પરિવર્તન આવી ગયું છે!

    નિવાસી વિસ્તારોની આ હાલત હોય તો બિનનિવાસી વિસ્તારોની સ્થિતિ કંઈ જુદી નથી.

    ફેબ્રુઆરી, ૨૦૨૫માં ૨૪ સંશોધકોની ટીમ દ્વારા એક અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેમાં નૈઋત્ય ભારતના દરિયાકાંઠાના વિસ્તારનાં પક્ષીઓની પ્રજાતિનો અભ્યાસ સામેલ છે. અંગ્રેજીમાં જેને ‘વેડર’ તરીકે ઓળખાવાય છે એવાં તટીય પક્ષીઓ મુખ્યત્વે તટવિસ્તારમાં, કાદવિયા ભૂમિ પર, મેન્‍ગ્રોવમાં તેમજ કૃષિપ્રણાલિવાળાં સ્થળોએ જોવા મળે છે. પ્રકાશિત અહેવાલમાં દર્શાવ્યા અનુસાર ૨૦૧૦થી ૨૦૧૯ દરમિયાન આવાં પક્ષીઓની સંખ્યામાં સતત ઘટાડો નોંધાતો રહ્યો છે. માછલીઓની સુલભતા ઘટી હોવાને કારણે મોટાં કદનાં તટીય પક્ષીઓ અસરગ્રસ્ત થયાં છે. પર્યાવરણમાં થયેલાં પરિવર્તનની તેમની પર વિપરીત અસર થઈ છે, જે માનવજનિત, લાંબા ગાળા માટેની ગતિવિધિઓને પરિણામે છે. આને કારણે તેઓ આહાર માટે કૃષિપ્રણાલિઓ તેમજ નદીના મુખપ્રદેશ જેવા વૈકલ્પિક વિસ્તારો તરફ સ્થળાંતરિત થઈ રહ્યાં છે. દક્ષિણ ભારતમાં સમગ્રપણે આર્દ્રભૂમિની પર્યાવરણપ્રણાલિમાં ઘટાડો થઈ રહ્યો છે, જે ખરેખર તો વૈશ્વિક ધોરણે પણ થઈ રહ્યું છે.

    Waders Of The Indian Subcontinent
    By Harkirat Singh Sangha
    Published in association with World Wide Fund for Nature
    Hardback, 520 pages
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ ટીમે અભ્યાસ માટે નવ વર્ષના સમયગાળા દરમિયાન કેરળ રાજ્યના તટીય વિસ્તારમાં આવેલા મુખપ્રદેશો, રેતાળ કિનારા, કાદવિયા ભૂમિ, મેન્ગ્રોવ તેમજ કૃષિ પર્યાવરણપ્રણાલિ જેવાં કુલ ૨૭ સ્થળોને પસંદ કર્યાં હતાં. આ સ્થળો વૈવિધ્યસભર પરિબળો ધરાવતાં હતાં. જેમ કે, વરસાદ, ખારાશ, પીએચ, ઓર્ગેનિક કાર્બન, નાઈટ્રોજન,ફોસ્ફરસ, તાપમાન તેમજ આહાર(માછલી)ની સુલભતા.

    તટીય પક્ષીઓની સૌથી વધુ જોવા મળતી પ્રજાતિ પૈકીની કુલ છ પ્રજાતિઓનો અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમનાં નામ આ મુજબ છે: મોટો સફેદ બગલો, વચેટ ધોળો બગલો, નાનો ઢોરબગલો (કિલિચિયો), કાણી બગલી, દરિયાઈ બગલો અને ધોળી કાંકણસાર. આ સૌની સંખ્યામાં ઘટાડો થવા ઊપરાંત મોસમ અને આવાસમાં પણ દેખીતું પરિવર્તન જોવા મળ્યું. ચોમાસા પછીના સમયગાળામાં આ છએ છ પ્રજાતિની સંખ્યા સૌથી વધુ જોવા મળી, જ્યારે ચોમાસા દરમિયાન તે સૌથી ઓછાં જોવા મળ્યાં.

    અભ્યાસમાં એમ પણ જણાયું કે સમગ્ર પશ્ચિમ તટમાં પોષક તત્ત્વો, ખારાશ, પીએચ અને તાપમાન સંદર્ભે મોટા ફેરફાર થઈ રહ્યા છે. પાણીમાં તેમજ કાંપમાં ફોસ્ફરસ, ખારાશ અને પીએચનું પ્રમાણ ધીમે ધીમે વધી રહ્યું છે,  તો કાંપમાં ઓર્ગેનિક કાર્બન અને નાઈટ્રોજનનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

    માછલીની સુલભતામાં દેખીતો ઘટાડો જોવા મળ્યો અને પર્યાવરણના બદલાયેલાં પરિબળોને લઈને તટીય પક્ષીઓની સંખ્યામાં લાંબે ગાળે ઘટાડો થયો હોવાનું નોંધાયું. અલબત્ત, મોટા કદનાં તટીય પક્ષીઓ લાંબા ગાળાના આ પરિવર્તન સાથે અનુકૂલન સાધી શક્યા અને પોતાનો આવાસ બદલીને ટકી ગયા, એટલું જ નહીં, તેમની સંખ્યામાં પણ વૃદ્ધિ થઈ.

    આ આખા અહેવાલ થકી જાણવા મળતી મહત્ત્વની બાબત એટલી કે સમગ્ર પ્રણાલિના પુન:સ્થાપન માટે, પક્ષીઓની સંખ્યામાં થતા ઘટાડા બાબતે કોઈ વ્યૂહાત્મક પગલાં લેવાં જરૂરી બની રહે છે. માનવસર્જિત ગતિવિધિઓને કારણે જે ગતિએ પર્યાવરણમાં પરિવર્તન આવી રહ્યું છે એ ઝટ નજરે ન પડે એવું, લાંબા ગાળાનું અને જૈવપ્રણાલિને ખોરવી નાખનારું બની રહે એમ છે. વિવિધ વિકાસયોજનાઓ તો ખરી જ, સાથોસાથ વકરતા જતા પ્રવાસન ઉદ્યોગને કારણે પણ મોટું નુકસાન થઈ રહ્યું છે. આવા અભ્યાસ થાય ત્યારે એની ગંભીરતાનો ખ્યાલ આવે છે, છતાં એ બાબતે નક્કર પગલાં લઈ શકાય એવું જવલ્લે બનતું હોય છે.

    પર્યાવરણલક્ષી આવાં સૂક્ષ્મ પરિવર્તનો આપણી આસપાસ પણ થતાં જ રહે છે, કદાચ આપણા મનમાં એ નોંધાતા પણ હશે, છતાં એના માટે આપણે ભાગ્યે જ વ્યક્તિગત ધોરણે કશું કરી શકવા સક્ષમ હોઈએ છીએ. કેમ કે, વિકાસનો લાભ આપણે એક યા બીજી રીતે મેળવેલો હોય છે.

    સરકારના પક્ષે પણ ભાગ્યે જ કશાં નક્કર પગલાંની અપેક્ષા હોય છે, કેમ કે, વિકાસયોજનાઓની વિચારણા, એ અંગેની નીતિઓ, આયોજન અને અમલ બધું સરકારના પક્ષે હોય છે. એમાં વધુ નાણાં સંકળાયેલાં હોય છે, અને સ્વાભાવિકપણે જ પર્યાવરણની સરખામણીએ નાણાં અગ્રતાક્રમે આવે. વિકાસયોજનાઓ અગાઉ પર્યાવરણ પર થતી તેની અસર બાબતે ઔપચારિકતા નિભાવવા અભ્યાસ હાથ ધરાય છે ખરા, પણ એનો ખાસ કશો અર્થ સરતો નથી.

    આમ છતાં, આ પ્રકારના અભ્યાસ હાથ ધરાય એ જરૂરી છે, કેમ કે, એ એક રીતે પશ્ચાત‍દર્શન કરવાની તક આપે છે. કેટલું નુકસાન થયું છે એ જાણવા માટેય એ જરૂરી બની રહે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૭- ૦૩– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૪ : મેઘાલય

    પ્રીતિ શાહ-સેનગુપ્તા

    તેજપુરથી ગોવાહત્તી સુધીની લાંબી સફરથી થાકી તો હતી જ, પણ મેં સીધાં મેઘાલય પહોંચી જવાનું નક્કી કરેલું. એકસો કિ.મિ. જતાં બીજા સાડા ત્રણ કલાક થવાના હતા.  હાઇવે ચાલીસ પર નીકળી આવતાંની સાથે જ પહાડો શરૂ થઈ જાય છે. લાકડાના થાંભલા પર ટકેલી ઝૂંપડીઓ ઢોળાવો પર બનાવેલી દેખાય છે. દીવાલો માટી ને છાણથી લીંપેલી છે, પણ રંગ જુદો છે અહીં. માટી લાલ- ઘણી લાલ છેને. પહાડો બહુ નરમ છે. જ્યાં ત્યાં ઝરણાં અને ટપકતું દેખાતું પાણી. વળી, ઘણી ભેખડ ધસી પડ્યાનાં નિશાન પણ હતાં. દર વર્ષે અહીંના રસ્તા બંધ થઈ જાય છે.

    ઊંચા ઢોળાવો પર પાઇનેપલ અને ડાંગર ઊગાડેલાં હોય છે. માથા પર ને પીઠ પર ભાર બાંધેલાં સ્ત્રી અને પુરુષો ઊંચી કેડીઓ પર ચઢતાં-ઉતરતાં દેખાય છે. નાગાલૅન્ડ અને અરુણાચલ પ્રદેશ કરતાં આ મેઘાલય રાજ્ય વધારે વિકાસ પામેલું લાગે છે. અહીંની મુખ્ય ખાસી અને ગારો જાતિઓ પાસે પોતપોતાની જુદી બોલી છે, પણ લખવામાં બંને અંગ્રેજી અક્ષરો વાપરે છે. લખાયેલા અને બોલાયેલા શબ્દો ચીની ભાષાને મળતા લાગે છે, પણ તળ-લોકોનાં મોઢાં ચીની નથી.

    શિલૉન્ગને રસ્તે ત્રણ વાર બસની તપાસ થઈ. રાજ્ય-પોલિસ અંદર આવ્યા, અમુકને પ્રશ્નો પૂછ્યા, અમુકની બૅગો ખોલી. અત્યાર સુધી સ્ત્રીઓ ઉપર સંદેહ નથી કરાતો, એટલું સારું છે. છેલ્લા પંદર-વીસ કિ.મિ.માં બસ જાણે તૂટવા માંડી. અટકી, સ્ટાર્ટ ના થઈ, ઢાળો પર ચઢતાં હાંફી, કેટલાંયે ડચકાં ખાધાં. આખરે ધીમે ધીમે, માંડ માંડ એ બસ-સ્ટેશને પહોંચી. આ પર્વતીય માર્ગો પર બસો, ટ્રકો, સ્કૂટરો એટલા ફાસ્ટ જાય છે કે અકસ્માતો થતા જ રહે છે. આ એક દિવસમાં મેં ચાર જોયા. વળી, ઠેર ઠેર માદક દ્રવ્યોના સેવન સામે ચેતવણી આપતાં પોસ્ટર મૂકેલાં હોય છે. ઉત્તર-પૂર્વમાં સર્વત્ર. શું આ પ્રૉબ્લેમ અહીં આટલો મોટો ને ખરાબ હશે?

                   ં                   ં                     ં                        ં

    કોહિમા કરતાં શિલૉન્ગ વધારે સારું લાગે છે. અહીં રસ્તા એટલા સાંકડા નથી. ખાસી હિલ્સ પર પ્રસરીને શિલૉન્ગ ભારતનું સૌથી મોટું હિલ-સિટી બની ગયું છે. ઘણાં સરકારી મકાનો થયાં છે. ઉત્તર-પૂર્વનું ઉચ્ચ ન્યાયાલય, વિમાન-દળનું મુખ્ય મથક, પોલિસ અકાદમી વગેરે અહીં સ્થપાયેલાં છે. સૈન્યમાં ભરતી થવાના ફાયદા દર્શાવતાં પોસ્ટર આ પ્રદેશમાં બધે જોવા મળે છે.

    શિલૉન્ગનો હિસ્સો વધારે ખ્રિસ્તી છે. રવિવારે બપોરે પ્રાર્થના પછી ચર્ચમાંથી નીકળેલાં, ખાસી સ્ત્રી-પુરુષોનાં ઘણાં જૂથ મેં જોયેલાં. બધાં સારાં કપડાંમાં. સ્ત્રીઓએ એમનાં લાક્શણિક વસ્ત્ર પહેરેલાં, ને ઉપર મૅચિન્ગ રંગની શાલ કે સ્વેટર પણ હતાં. શિલૉન્ગ ભારતનું સ્કૉટલૅન્ડ કહેવાતું હતું તે ઊન-વણાટને લીધે જ. ઘણાં ચર્ચ અને મહાદેવળો ઉપરાંત શિલૉન્ગમાં બીજા ખ્રિસ્તી પંથ, તથા બ્રાહ્મો સમાજ, બૌદ્ધ મંદિર, શિવ મંદિર, જૈન મંદિર, ને ગુરુદ્વારા પણ છે. ઘણી સ્કૂલો ખ્રિસ્તી પંથો ચલાવે છે. મરૂન, ખાખી, વાદળી વગેરે રંગના ગણવેશ પહેરેલાં બાળકો શહેરમાં બધે દેખાતાં રહેતાં હતાં.

    આસપાસનો પરિસર જોવા મેં એક દિવસ માટે ગાડી ભાડે કરેલી. ડ્રાયવર એક બંગાળી ભાઇ હતા. રસ્તા વળાંકવાળા હતા, પણ બહુ સીધા ચઢાણવાળા નહીં. જૂનાં, દુષિત વાહનોમાંથી વછૂટતા કાળા ધુમાડાથી હવા પણ જાણે ગુંગળાઈ જતી હતી. સાદાં ઘરોની બહાર જતનપૂર્વક મૂકેલાં ફૂલ-છોડની શી વસાત કે તાજાં ને જીવતાં રહે. પણ લેડી હૈદારી પાર્કમાં સરસ લીલાં ઝાડ અને ઘાસ હતાં. ગુલાબી ચૅરી-બ્લૉસમનાં ફૂલો બરાબર ખીલ્યાં હતાં. નાનું પ્રાણીગૃહ પણ હતું. એક નાના પાંજરામાં કાળું હિમાલય-રીંછ પૂરાયેલું હતું.

    હાઇવે ચાલીસ કૅન્ટૉનમેન્ટમાં થઈને જાય છે. મારે અને ડ્રાયવરે ઊતરીને ત્યાંના પોલિસ-થાણામાં સહી કરવી પડી. રસ્તો પાકો હતો, ને વળતો-અમળાતો ૬૪૩૨ ફીટ ઊંચે શિલૉન્ગ શિખર પર ચઢ્યો. આખું શહેર ઉપરાંત જરાક નીચે પથરાયેલું મોટું બરાપાની સરોવર ત્યાંથી દૃષ્ટિગત થયું. ચતુર્દિકે મેઘાલય ગિરિપંક્તિ. ને નજીકમાં અસંખ્ય શંકુદ્રુમો, કૂડા-કચરાનો અતિરેક. જોઇને આનંદ, જોઇને આઘાત. ચ્હા-નાસ્તો વેચતી બે કે ત્રણ છાપરી. કચરો નાખવા પીપ-છાબડી કશું નહીં.

    શિલૉન્ગની આસપાસ પહાડો વહોરીને, જંગલો કાપીને એટલું બાંધકામ કરવામાં આવ્યું છે કે ૠતુ બદલાઈ ગઈ છે. ઠંડી ઘટી ગઈ છે, અને વરસાદ પણ. ચેરાપુંજીમાંથી પણ. દુનિયાનો સૌથી વધારે વરસાદ હવે શિલૉન્ગથી પંચાવન કિ.મિ. દૂર આવેલા મૌસિન્રામ ગામે પડે છે. ચાલો, મને થયું. નાનપણથી ભૂગોળમાં ભણેલાં તે ચેરાપુંજી જોવા માંડ માંડ હું મેઘાલય આવી ત્યારે વરસાદ ખસીને ક્યાંક બીજે જતો રહ્યો છે. ખેર.

    ઍલિફન્ટ ફૉલ કહેવાતા ધોધને જોવા ઊંચાં-નીચાં ૧૭૫ પગથિયાં ઊતરવાં પડે. કોલસા જેવા કાળા ગ્રેનાઇટ પાષાણો પરથી ધોધ ત્રણ ભાગે પડે છે. નાનું એક ઝરણ. એનું આટલું જોશ, આટલો અવાજ, ને પછી ફરી એનું એ જ નાના સ્વરૂપમાં પહોંચી જવું. અહીંના પહાડો પરથી બધાં જ ઝરણાં નિમ્નગતિ કરીને બરાપાની તળાવમાં ભળી જાય છે. ધોધ પાસેની ચ્હાની છાપરી ચોખ્ખી હતી, જગ્યા વાળેલી હતી. ખાસી યુવતીએ ઊંચી એડી પહેરેલી, સહેજ પ્રસાધન કરેલું. એનું નામ રુમા હતું. પાસે એક વૃદ્ધા મકાઇ શેકતી બેઠી હતી. મોંઘા હતા મકાઈ. ક્યાંક દૂરથી લાવ્યા હશે. બહુ નરમ પણ નહોતા.

    ઍલિફન્ટ ફૉલ
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ત્યાંથી બીજે લાંબે લાંબે રસ્તે ગયાં. ડ્રાયવર દૂરથી દેખાતા ધોધના નામ કહેતા હતા- બીડન ફૉલ, બિશપ ફૉલ વગેરે. ગોલ્ફ રમવાનું મેદાન હતું ખૂબ મોટું, પણ બહુ લીલું કે નરમ ઘાસવાળું નહોતું. ખોટો શોખ, એમ લાગે. પોલો ગ્રાઉન્ડ પણ હતું. અંગ્રેજોના જમાનામાં એનો મોભો હશે. હવે તો કાપીને ત્યાં ફૂટબૉલ ફીલ્ડ અને સ્ટેડિયમ બનાવાયાં છે. શહેરની ચારે તરફ મેં ફરી લીધું હતું. એક સમયે શું સુંદર હશે એ. અત્યારે તો એ કોઈ પણ એક શહેર હતું, બસ. લાચૌમિએરે, લૈતુમ્ક્રાહ, ધાનખેતી , માઉલાઇ જેવાં એના પાડોશનાં નામ હતાં. એમાંના અમુક સાંજ પછી બહાર નીકળવા માટે સારા નથી ગણાતા. મેઘાલયમાંનું પ્રતિકાર-જૂથ મુલા કહેવાય છે, અને ઉપદ્રવ કરતું રહે છે.

                  ં                ં                     ં                     ં                    ં

    મેઘાલય પ્રવાસ ખાતાની ચેરાપુંજી જોવા જવાની સફર ખૂબ સારી રહી. રાજ્યનો અંતરંગ દૃશ્યપટ અતિ-સુંદર હતો. પર્વતો જુદા જ લાગ્યા. એમના લીલોતરા, ઊંચા આકાર બહુ કર્કશ નહોતા. ઊંડી ખીણોનાં કોતર બનેલાં હતાં. તો બીજી તરફ સૂકું ને સપાટ હતું. આ ઉપરાંત, ટેકરી, ઝરણાં, નાની ગ્રમીણ વસાહતો. મૌફિયાન્ગ, મૌસ્માઇ, મૌસિન્રામ જેવાં નામ. ખાસી બોલીમાં મૌ એટલે પથ્થર. આ પહાડો લાઇમ ને ગ્રેનાઇટ સ્ટોન તથા કોલસાનાં તત્વોથી ભરપુર છે. એમને કાઢવાનું કામ ચાલુ હતું. ગામોમાં કબર થયેલી હતી, અને ઘંટ સાથેના મિનારવાળાં નાનાં ચર્ચ હતાં. છેક અહીં, ચૅરા ગામને નાકે,  રામક્રિષ્ણ મિશનનાં મોટાં મકાનો થયેલાં છે. ઉત્તર-પૂર્વમાંથી સાતસો જેટલાં વિદ્યાર્થી અહીં હસ્તકળા ઉપરાંત અન્ય વિષયોનો અભ્યાસ કરી રહ્યાં હતાં. ચૅરા ગામમાં અઠવાડિયે બે દિવસ બજાર ભરાય છે. બાકીના દિવસોમાં વાહનો વગરનો, ધમાલ વગરનો, શાંત વીતતો સમય.

    નોહ કાલિકાઇ નામનો ધોધ ઘણો પાતળો હતો. અહીં બધા ધોધ ૠતુ-આધારિત છે. ચોમાસામાં પાણી ખૂબ હોય, પણ ત્યારે ધુમ્મસ પણ એવું હોય કે કાંઈ દેખાય જ નહીં. અહીં કોઈ ઝાડ નહીં, જરા પણ છાંયો નહીં. અડધા કિ.મિ. દૂર વ્યૂ-પોઇન્ટ. ત્યાંથી સાવ નીચે બાઁગ્લાદેશનો સિલ્હેટ વિસ્તાર. તડકામાં જળ-ઝળહળ. આ ખાસી પહાડો પરથી સરકીને અગણ્ય ઝરણ નીચે પહોંચે છે, ને પારકા દેશમાં પૂર થઈને તારાજી ફેલાવે છે. અમારી ઉપર ઘેરાં વાદળ છવાવાં લાગ્યાં હતાં. કદાચ વરસાદ થઈને એ બાઁગ્લાદેશમાં વરસી રહ્યાં હતાં.

    નોહ કાલિકાઇ ધોધ
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    મૌસ્માઇમાંની ગુફા વિષે અમને કહેવામાં નહોતું આવ્યું. અજબગજબ હતી એ. ઉત્તેજક હતી, ને ડરામણી પણ હતી. બહારથી ગાઢ વનસ્પતિથી ઢંકાયેલી હતી. અંદર હતું એકસો મિટર લાંબું કાળુંઘોર અંધારું, પગ નીચે અસપાટ જમીન, સતત ઝમતા પથ્થરની બનેલી છત. ટૂરમાં આવેલાં અડધાં તરત પાછાં જતાં રહ્યાં. અમે સાત બહાદુરો રહ્યાં. નસીબજોગે ગાઇડની પાસે એક મશાલ હતી. એના વગર એક છેડેથી બીજે છેડે જઈ જ ના શકાયું હોત. પથ્થરોના વિવિધ આકારોની સંકડાશમાં થઈ સાચવીને, ક્યાંક નમીને, ક્યાંક વળીને, ઉપર-નીચે પગ મૂકતાં જવું પડ્યું. ક્યાંક જરાક ખુલ્લું પણ આવી જતું હતું. બરાબરની ભેદી જગ્યા હતી. બહુ મઝા પડી.

    પછી જોયો મૌસ્માઇ ધોધ. ઉત્તર-પૂર્વનાં સાત રાજ્યો પરથી એને સાત બહેનોનો ધોધ કહે છે. વરસાદની ૠતુમાં એ સાત ધારા થઈને પડે છે. અત્યારે બે જ પાતળી ધારા હતી. બધીયે ઊંડી ખીણમાં થતી નીચે ને નીચે બાઁગ્લાદેશને હેરાન કરવા પહોંચે છે. અહીં પણ ક્યાંયે છાંયો નહોતો. પિકનિક કરવા આવેલા કેટલાક લોકો તડકામાં બેસીને ખાઈ-પી રહ્યા હતા. એક ગોળ આરામગૃહ બનવા માંડ્યું છે. આવતા વર્ષે ખુલી જાય પછી વધારે લોકો આવતા થશે. ચેરાપુંજીની આસપાસ નારંગીની વાડીઓ છે. ઝાડ પર ફળ નથી થતાં, પણ એમનાં ફૂલોમાંથી બનાવાતું મધ વખણાય છે, ને બજારોમાં વેચાવા મૂકાય છે.

    આહ્હા, આઠ કલાકની સફર હતી, પણ  જાણે ખૂબ જલદી પૂરી થઈ ગઈ.

                    ં                ં                ં                   ં

    શિલૉન્ગની અંદર ૧૮૯૫માં બનાવાયેલા વૉર્ડ લેકની ફરતે ચાલવાનું હજી બાકી હતું. લેકની આસપાસ સરસ ગાર્ડન છે. ચલનપથ, ચૅરી-બ્લૉસમનાં કમનીય ઝાડ, બોટિન્ગની વ્યવસ્થા, કાફે, અને એક સફેદ પુલ પણ છે. હું ફરતી હતી ને મેં ગાવાનો અવાજ સાંભળ્યો. જોયું કે ત્રણ-ચાર સ્ત્રીઓ ને પુરૂષો લેકના ઠંડા પાણીમાં ઊભાં હતાં. ઢળતા સૂર્ય તરફ મોઢાં હતાં, હાથ નમસ્કારમાં જોડેલા હતા. નક્કી કોઈ પૂજા થઈ રહી હતી. બીજા ઘણા લોકો કિનારે ઊભા ને બેઠા હતા. કોઈએ મને કહ્યું કે એ બધા વર્ષોથી શિલૉન્ગની આસપાસ રહેતાં બિહારીઓ હતાં. દિવાળી પછીની પાંચમ-છઠની સૂર્ય-પૂજા દર વર્ષની જેમ એ કરી રહ્યાં હતાં. અહીં વળી ગંગા તો શું, કોઈ પણ નદી ક્યાં? તેથી આ તળાવથી એ ચલાવી લેતાં હતાં. આ સ્થગિત પાણી કે જેમાં સહેલાણીઓ આનંદ-પ્રમોદ માટે હોડીઓ ચલાવતાં હતાં.

    હું છેક નજીક ગઈ. ધરાવવા-પધરાવવા માટે ટોપલા ભરીને ચીજો લવાયેલી. કેળાંની ભારે લૂમોની લૂમો, મોટાં કાચાં નાળિયેર, રીંગણ-મૂળા-સૂરણ જેવાં તાજાં શાક, શેરડીના સાંઠા તો પાણીમાં ઉતારેલા, ઉપરાંત ખસ્તા કચોરી જેવી વાનગીઓ, બુંદીના લાડુ, ગલગોટાના હાર, દીવા, અગરબત્તી. બધું જીવનદાતા સૂર્યદેવને અર્પણ કરવામાં પરુષો મદદ કરતા હતા. બધી સ્ત્રીઓનાં સુરેખ લંબગોળ મોઢાં પર મોટો લાલ ચાંદલો, અને સેંથીમાં લાલચોળ સિંદૂર. ગંગામૈયાના નામથી ગીતો ગવાતાં હતાં. પાછળ છોકરાઓ ફટાકડા ફોડતા હતા.

    હું જોતી જ રહી ગઈ. કશુંક અભૂતપૂર્વ જ નહીં, પણ અત્યંત શુકનવંતો પ્રસંગ જોવાની અનાયાસ તક મળી હતી. શું નસીબદાર બની હતી હું.


    સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સંભારણું – ૩ – બચપણ

    શૈલા મુન્શા

    સદા માટે ચાલી બચપણ ગયું તો પણ કદી,
    રહું છું માણી હું શિશુ સહજ ભાવો અવનવા”

    સુરેશ દલાલ

    માનવીની ઉંમર ગમે તે હોય એક બાળક એના દિલના એક ખૂણામાં હમેશા અડિંગો જમાવીને રહેતું હોય છે, અને અચાનક ક્યારેક સ્પ્રીંગની જેમ ઊછળીને બહાર આવી જતું હોય છે. સુરેશભાઈની આ પંક્તિઓ સહુના બાળપણને સંવારી સ્મરણોના ખજાના ખોલી દે છે. સપના જે પૂરા થયા કે ના થયા, હૈયામાં જાગતાં સ્પંદનોને વાચા મળી કે નહિ, એ ઝુરાપો એ મુસ્કાન એ દર્દ અતૃપ્ત ઈચ્છાઓ, કેટલું સંઘરાયેલું હોય છે દિલના એ ખૂણામાં જેને કોઈ જાણી નથી શકતું.

    દરિયો અને દરિયાના ઊછળતાં મોજા મારા મનને આનંદવિભોર કરી દે છે. મુંબઈ મરીનલાઈન્સની પાળે ભરતી ટાણે પાળની મર્યાદા તોડી ઊછળી આવતાં મોજાં મેં ઘણીવાર ઝીલ્યાં છે અને એક બાળપણ ફરી ફરી અનુભવ્યું છે. વરસાદમાં નહાવા કોલેજ બન્ક કરી વિલેપાર્લે એરપોર્ટના પરિસર સુધી અમે સહુ મિત્રો પહોંચી જતાં એ અનુભૂતિ ક્યાંથી ભૂલાય!! આજે પણ જીવન સંધ્યાએ પહોંચવા છતાં હ્યુસ્ટનના ધોધમાર વરસતાં વરસાદમાં ઘણીવાર મનભર ભીંજાવાનો આનંદ જે અનુભવ્યો એ ફરી મારામાં રહેલી બાળકીને તૃપ્ત કરી દે છે.

    આજે આ વાતો યાદ આવી જવાનું કારણ અમારે ત્યાં આવેલ એક મિત્ર દંપતીની વાતો અને એમનો નિખાલસ સ્વભાવ. ઉંમરના આ પડાવ પર જ્યારે બાળકો પોતપોતાના સંસારમાં રમમાણ હોય અને માતા પિતા પોતાની દુનિયામાં, ત્યારે મિત્રો એકબીજાના સહારારુપ હોય છે. જ્યારે પણ મળીએ હસી મજાક, વાતોના તડાકા અને બાળપણના સંસ્મરણો જાગૃત થઈ જાય. મારે ત્યાં સૌરભભાઈને મીનાબહેન મળવા આવ્યાં હતાં. નાસ્તામાં મેં ઈડલી સંભાર બનાવ્યા હતાં. Dining table પર બેઠા બેઠા ગામગપાટાં ચાલી રહ્યાં હતાં. અમારા ઘરમાં નાસ્તાની દુકાન ખોલી શકાય એટલા નાસ્તા હંમેશ જોવા મળે અને પતિદેવ એક પછી એક નાસ્તા લાવી મહેમાનને આગ્રહ કરી રહ્યાં હતાં “અરે! આ તો ચાખો પૂનાની ફેમસ ભાખરવડી છે” તરત જ મિત્રપત્ની બોલી ઊઠ્યા મારા પતિને પણ આટલો જ નાસ્તા ખરીદવાનો શોખ છે, જ્યાં જાય ત્યાંથી કાંઈક નાસ્તો, મીઠાઈનુ બોક્ષ ઉપાડતાં જ આવે અને નાસ્તા જૂના થાય એટલે આપણે ગાર્બેજમાં પધરાવવા પડે.

    સૌરભભાઈએ જે જવાબ આપ્યો એ સાંભળી અમે સહુ હસી હસીને બેવડ વળી ગયા. એમના જ શબ્દોમાં “હું બ્રાહ્મણનો દિકરો અને પિતા ગોર, જે દક્ષિણા મળે એમાં ઘર ચલાવવાનું. પિતા શિસ્તના આગ્રહી, ખોટી કમાણી ના કરે. બાળપણમાં જ્યારે પિતા સાથે બજારમાં જાઉં અને કંદોઈની દુકાને ગરમ ગરમ ભજિયાં તળાતાં હોય, મીઠાઈની દુકાનમાં રંગબેરંગી મીઠાઈ સજાવીને કાચના કબાટમાં મૂકી હોય પણ પિતા પાસે એટલા પૈસા નહિ એ બધું ખરીદવાના અને સાત્વિક ભોજનના આગ્રહી એટલે અમને એ બધું ખાવા પણ ના દે. હવે મોટા થયાં પછી બાળપણની એ અતૃપ્ત ઈચ્છા જ્યારે પણ કોઈ નાસ્તો લેવા કે સ્વામિનારાયણ મંદિરના સાયોનામાં જાઉં તો એક મોનસ્ટર (રાક્ષસ) બની મારા પર હાવી થઈ જાય. અંદરનું અતૃપ્ત બાળક જાગૃત થઈ જાય, આ લઉં કે પેલું કરતાં કરતાં ઘણુ બધું લેવાઈ જાય. અહીંયા તો ઠીક પણ જ્યારે જ્યારે ભારતની મુલાકાતે જાઉં અને મારે વતન એજ કંદોઈની દુકાન અને મીઠાઈની દુકાને જાઉં તો એક પછી એક મીઠાઈ ચાખતાં ચાખતાં દુકાનદારને કહેતો જાઉં ભાઈ અર્ધો કિલો આપી દો અને મારા હાથમાં દસ ડબ્બા મીઠાઈના જોતજોતામાં થઈ જાય. ઘરે આવીને મીનાની વઢ તો સાંભળવાની જ, આટલી મીઠાઈ કોણ ખાવાનુ છે? આપણને બન્નેને ડાયાબિટિશ છે; પણ શું થાય અંદરનુ બાળક જે પરમ આનંદ પામ્યું એની મીનાને શું ખબર પડે!!”

    જે રીતે એમને બાળપણ યાદ કરી એમની અતૃપ્ત ઈચ્છાઓનું વર્ણન કર્યું અને મનમાં એક રાક્ષસ જાગૃત થાય એ વાત કરી અને સાથે સાથે એટલો નિર્દોષ ચહેરો રાખી હસી પડ્યાં કે અમે બધાં પણ હસી હસીને બેવડ વળી ગયાં. આવી કોઈને કોઈ અતૃપ્ત ઈચ્છા પૂરી કરવાની, બાળપણ ફરી જીવવાની હોંશ તો સહુના મનમાં જાગતી હશેને, જેમ મારી વરસાદમાં નહાવાની ઈચ્છા અને એ જ્યારે પૂર્ણ થાય ત્યારે અનુભવાતો આનંદ ફરી મને એક નટખટ નાનકડી બાળકી બનાવી દે છે.

    આ સાથે જ ફિલ્મ અનમોલ ઘડીનુ ગીત યાદ આવી ગયું,
    बचपनके दिन भुला देना,
    आज हसें कल रुला देना

    બાળપણ અને આવી ખાટીમીઠી વાતોથી જ તો ડાયરીના પાના ભરાતા જાય છે, અને કાયમના સંભારણા બની જાય છે.


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • મમ્મી પાછી આવ

    યામિની વ્યાસ

    જાળાં ઉપર લટકી રહેલાં આપણા જૂના કૅલેન્ડરનું પાનું તો પલટાવ,
    મમ્મી, પાછી આવ!

    કહ્યા વગર તું ક્યાં ગઈ છે એ તો કહી દે, જા, આવું કરવાનું સાવ?
    મમ્મી, પાછી આવ!

    ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,
    ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,
    લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!

    સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,
    ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી,
    હવે વીત્યા દિવસો ઉલટાવ, મમ્મી, પાછી આવ!

    ખાવાની એ સહુ વરણાગી કોરાણે મૂકાઈ ગઈ છે,
    પાણિયારે દીવો ક્યાં છે? તુલસી પણ સૂકાઈ ગઈ છે,
    આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!

    છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતા’તા,
    ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા,
    ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!


    યામિની વ્યાસઃ yaminigvyas@gmail.com


    :રસદર્શનઃ

    દેવિકા રાહુલ ધ્રુવ

    સુરતનિવાસી યામિનીબહેન વ્યાસનું નામ કવિતા ક્ષેત્રે તો જાણીતું છે જ. પરંતુ તેઓ એક સરસ અભિનેત્રી અને સફળ નાટ્યકાર પણ પૂરવાર થયાં છે. જુદી જુદી સાહિત્યિક સંસ્થાઓ સાથે સંલગ્ન રહી કલાને વિકસાવી રહ્યાં છે અને વિવિધ પારિતોષિક પણ મેળવતાં રહ્યાં છે.

    તેમની કવિતા ‘મમ્મી, તું પાછી આવ’ ઠેકઠેકાણે પોરસાઈ છે. બાળસહજ વહાલભર્યા શિર્ષકની જેમ જ આખીયે કવિતા નરી સંવેદના અને નિર્દોષતાથી ભરી ભરી છે. આમ તો મા વિશે ઘણાં કાવ્યો લખાયાં છે પણ આ ભાવ જ એવો છે કે ભાવકમાત્રને એમાં ભીજાવું ગમે જ, ગમે.

    પાંચ નાના નાના અંતરામાં ગૂંથેલી આ કવિતા પ્રારંભથી જ અતીત તરફ ખેંચી જઈ એક વિષાદનો તાર ઝણઝણાવે છે. જૂનાં કૅલેન્ડર પર જાળું બાઝી ગયું છે. એને પલટાવવાનું કામ બાકી છે. એ કોણ કરશે? મા તો નથી. એ તો એમ જ અચાનક કહ્યાં વગર જ ચાલી ગઈ છે!  કૅલેન્ડર જૂનું છે. એટલું બધું જૂનું કે એને જાળાં બાઝી ગયાં છે. માનાં ગયાં પછી ઘણો સમય વીતી ચૂક્યો છે છતાં મન હજી માનતું નથી. સવાલ થયા જ કરે છે, સાવ આવું કરવાનું? ભલા, મા તે કંઈ આવું કરે?  જુઓ, આ રોષ, આ ફરિયાદ તો નિયતિ સામે છે. કેવી આર્દ્રતાથી પંક્તિ પુનરાવર્તિત થતી રહે છે અને ભાવને ઊંડાણથી વ્યક્ત કરતી રહી છે! ’મમ્મી તું પાછી આવ.’ કવિતાની શરૂઆતમાં એક શિશુહૃદયનું અને માની ગેરહાજરીને કારણે ઘરની અસ્તવ્યસ્ત વ્યવસ્થાનું ચિત્ર સુપેરે અંકિત થયું છે.

    આગળ જતાં કવયિત્રી વળી કહે છે કે,

    ઘરની ઈંટેઈંટો બધ્ધી તારે કાજ કરગરતી થઈ ગઈ,
    ભવસાગરને તારે એવી તું આંખોમાં તરતી થઈ ગઈ,
    લે, કીકીની મોકલું નાવ, મમ્મી, પાછી આવ!

    ઘરની ઈંટો દ્વારા  અહીં દરેક વ્યક્તિની વેદના વલોવાઈ છે. આંસુભીની સૌની આંખો જાણે દરિયો થઈ ગઈ છે. કીકીની નાવ મોકલવાની કાલીઘેલી વાતમાં હૈયાંની આરઝુ પ્રગટ થઈ છે ને વળી વળી એક જ વાત.. એક જ ધ્રુવપંક્તિ ‘મમ્મી તું પાછી આવ’.

    ધીરે ધીરે યાદોના પડદે માનું રૂપ તરવરે છે. સ્વેટર ગૂંથતી, અવનવી ડિઝાઈન માટે સિફતથી ખૂણા સાંધીને ઉલટાવતી, વિવિધ વાનગીઓ બનાવતી, પાણિયારે દીવો મૂકતી, તુલસીને જળ ચઢાવતી, અરે, પાલવ ધરી વહાલ વરસાવતી મા… ઓહોહોહો..થોડીક જ પંક્તિઓમાં કેટકેટલાં સ્વરૂપે માની છબી ઉપસાવી છે? રોજિંદી થતી એક એક ક્રિયાઓમાં ગોઠવાયેલા શબ્દો પણ કેટલા સાંકેતિક છે,અર્થસભર છે.!

    સ્વેટર મારું ગુંથી દેતી, હૂંફ જરી પરોવી દેતી,
    ફ્રોક ખૂણેથી સાંધી લઈને ડિઝાઇનને ઉલટાવી લેતી

    સ્વેટર તો ભૌતિક વસ્તુ પણ એમાં પરોવેલી પેલી હૂંફ ક્યાંથી લાવવી? જિંદગીની ડીઝાઈનને સુરેખ રાખવા માને કેવા અને કેટલા ખૂણાઓ સાંધવા પડ્યા હશે એ અર્થચ્છાયા હૈયાંને હલાવી દે છે. ખાવાની વાનગી તો ઠીક, હવે તો એની યાદમાં કોળિયો પણ નથી ઉતરતો એ ગર્ભિત ભાવથી હૃદય વીંધાઈ જાય છે. દીવા વગરનું પાણિયારું જ નહિ ઘર આખું અંધારમય ભાસે છે. આવીને અજવાળાં ફેલાવવાની અરજ આંખને ભીની કરી દે છે. ‘આવી થોડું અજવાળું ફેલાવ, મમ્મી, પાછી આવ!’

    કાવ્યત્વની પરાકાષ્ઠાએ પહોંચતી છેલ્લી પંક્તિ અદભૂત પ્રયોજી છે. વિરોધાભાસી અલંકાર છતાં એની સંવાદિતા તો જુઓ! વરસાદથી બચવા છત્રી માથે ધરાય,પણ અહીં તો કવયિત્રી કહે છે કે, માનો પાલવ છત્ર બની માથે એવો ફરતો કે અમે એનાં વહાલના વરસાદથી ભીંજાતા!
    છત્રી થાતો તારો પાલવ, અમે વહાલથી નીતરતાં’તાં. વાહ..વાહ..

    અને છેલ્લી નાનકડી, એક એકરારની વાત અતિશય ધીરા ધીરા, કોમળ કોમળ, લાડભર્યા ભાવ સાથે આબાદ રીતે છતી કરી છે.

    ભોળી મા, તને સાચ્ચું કહી દઉં? અમે તને બહુ છેતરતા’તા,
    ફરી આવીને ધમકાવ, મમ્મી, પાછી આવ!

    વાંચતાંવેંત સનનન કરતી આ લાગણી સોંસરવી ઉતરી જાય છે. સહૃદયી ભાવકથી એક ડૂસકું નંખાઈ જાય છે. દરેક વાચકને લાગે કે આ તો મારી  પોતાની અનુભૂતિ છે એ જ કલમની સિદ્ધિ.

    પાંચેપાંચ અંતરામાં ક્રમબદ્ધ રીતે ભાવોને ઉઘાડ મળ્યો છે. પહેલાં અંતરામાં દૂર ગયેલી માને ફરિયાદ છે, ઘરની વેરવિખેર હાલતનું બયાન છે, બીજાં અંતરામાં નર્યો સૂનકાર અને અભાવ છે, ત્રીજા અને ચોથામાં  પ્રવૃત્ત માતાનું વંદનીય ચિત્ર છે અને છેલ્લે હેતની હેલી વરસી છે. એટલું જ નહિ, અજાણપણે માને છેતર્યાનો એકરાર છે અને એ માટે ડંખતા દિલને વઢ ખાવાની તૈયારી પણ છે જ. આમ, મન મૂકીને ઠલવાયેલી આખી રચના ધન્યવાદને પાત્ર છે. કવયિત્રી યામિનીબહેનને ખૂબ ખૂબ અભિનંદન. વધુ ને વધુ સુંદર કવિતાઓ આપતા રહે તેવી શુભેચ્છા.

    અસ્તુ.

    **************************************

    Devika Dhruva.
    ddhruva1948@yahoo.com

  • ન્યાયિક અસંમતિ ન્યાય પ્રણાલીને મજબૂતી બક્ષે છે

    નિસબત

    ચંદુ મહેરિયા

    સુપ્રીમ કોર્ટની એક કરતાં વધુ જજીસની બેન્ચ હંમેશાં સર્વસંમત ચુકાદા આપતી નથી. ખંડપીઠના ન્યાયાધીશોની બહુમતીથી પણ કેટલાક ચુકાદા અપાય છે.  ખંડપીઠના બહુમતી ન્યાયાધીશોના મત સાથે કોઈ એક કે વધુ જજ સંમત ન હોય તેવું બને છે. તેઓ પોતાની ન્યાયિક અસંમતિ તેમના મત સાથે વ્યક્ત કરે છે. જો અસંમતિ લોકતંત્રની આધારશિલા છે તો ન્યાયિક  અસંમતિ ન્યાયતંત્રનો મહત્વનો હિસ્સો છે. ન્યાયિક અસંમતિ ( Judicial Dissent) ન્યાય પ્રક્રિયામાં અગત્યનો ભાગ ભજવે છે. કાયદો, સમાજ અને રાજનીતિ વચ્ચેના ગતિશીલ સંબંધોની તે ધ્યોતક છે. ન્યાયિક અસંમતિ દ્વારા ભિન્ન મત, ભિન્ન તર્ક અને ભિન્ન દ્રષ્ટિકોણ વ્યક્ત થાય છે.

    મૂળે સંસ્કૃત શબ્દ અસંમતનો અર્થ સંમત નહિ એવું થાય. સંમત એટલે સરખો, અનુરૂપ , માન્ય કે પસંદ મત ધરાવવો. તો તેનો વિરોધી શબ્દ અસંમત કે અસંમતિ  અર્થાત જુદો કે બીજાના જેવો મત ન ધરાવવો. નો સર કહેવું , અસંમત થવું તે ભારતના બંધારણે વી ધ પીપલ ઓફ ઈન્ડિયાને આપેલ મૂળભૂત અધિકાર છે. સંવિધાનના અનુચ્છેદ ૧૯ થી તે સંરક્ષિત છે. બંધારણ દીધા વાણી અને અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના મૌલિક અધિકારમાં અસંમતિનો અધિકાર પણ સામેલ છે. સવાલ કરવો, પડકાર આપવો, ટીકા કરવી તે માત્ર હક નથી નાગરિક જીવનનું અગત્યનું આવશ્યક ઘટક છે. જેમ નાગરિકને તેમ ન્યાયાધીશને પણ ન્યાયિક અસંમતિનો હક છે. અસંમતિના પાયા પર જીવંત લોકશાહીનું નિર્માણ થાય છે.

    ન્યાયિક અસંમતિ અનેક દ્રષ્ટિએ મહત્વની છે. એ ખરું કે સાથી ન્યાયાધીશો કરતાં જે ભિન્ન મત અદાલતના ચુકાદા કે નિર્ણયમાં વ્યક્ત થાય છે તે કાનૂની રીતે જરાય બાધ્યકારી નથી.પરંતુ ભવિષ્યમાં થનારા કાયદાકીય ફેરફારોની બ્લૂપ્રિન્ટ તેમાં રહેલી હોય છે. ભારતમાં કેટલાક કાયદાકીય ફેરફારો ન્યાયિક અસંમતિને કારણે શક્ય બન્યા છે. ન્યાયિક અસંમતિ એ દ્રષ્ટિએ પણ મહત્વની છે કે તે વૈકલ્પિક દ્રષ્ટિકોણ ઉજાગર કરે છે, ન્યાયિક પ્રક્રિયામાં પારદર્શિતા આણે છે અને ન્યાયિક સ્વતંત્રતામાં વૃધ્ધિ કરે છે. ન્યાયિક અસંમતિ ભારતીય ન્યાય પ્રણાલીની સમૃધ્ધિ અને જટિલતા દર્શાવે છે. ઘણી ન્યાયિક અસંમતિ તે પછીના કાયદાકીય પરિવર્તન અને ન્યાયિક નિર્ણયમાં ખપ લાગે છે અને આજનો લઘુમતી મત ભવિષ્યનો બહુમતી મત બની શકે છે.  જોકે મોટા પ્રમાણમાં અને વારંવારની ન્યાયિક અસંમતિ ન્યાયતંત્રની વિશ્વસનીયતા, તટસ્થતા અને ખૂદ ન્યાય સામે જ સવાલો ખડા કરે છે. ન્યાયાધીશો વચ્ચેની એકતા અને ન્યાય પ્રણાલીની નિષ્પક્ષતા અંગેની લોકમાનસમાં જે છાપ છે તેને ખરડે છે.

    ભારતમાં અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર ન્યાયતંત્રના  આરંભકાળથી જ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. છેક ૧૯૬૨માં પ્રાઈવસીનો અધિકાર મૌલિક અધિકાર ના ગણય તેવા બહુમતી ચુકાદા સામે જસ્ટિસ કે. સુબ્બા રાવે અસંમતિ દર્શાવતો ચુકાદો આપ્યો હતો. ઈન્દિરા ગાંધીએ લાદેલી આંતરિક કટોકટી વખતે મૌલિક અધિકારોને પણ સ્થગિત કરી દેવામાં આવ્યા હતા. એ સમયે ભારતની સુપ્રીમ કોર્ટ પણ કહ્યાગરાની જેમ વર્તી હતી. ૧૯૭૬માં સર્વોચ્ચ અદાલતની પાંચ જજીસની બેન્ચે બંધારણના અનુચ્છેદ ૩૫૯ અન્વયે અનુચ્છેદ ૨૧ સહિતના તમામ મૌલિક અધિકારો સ્થગિત રહે છે તેવો બહુમતી ચુકાદો આપ્યો હતો. સત્તાપક્ષની વિરુધ્ધમાં બોલવું એટલે બહુ મોટું જોખમ વહોરવા બરાબર હતું. પરંતુ જસ્ટિસ એચ. આર.ખન્નાએ બહુમતી જજીસથી જુદો મત વ્યક્ત કર્યો હતો. તેમણે ઈન્ટરનલ ઈમરજન્સીમાં અનુચ્છેદ ૨૧ સ્થગિત રહે તો પણ જીવન અને સ્વતંત્રતાના  અધિકારથી નાગરિક વંચિત  ના રહે અને આવી વંચિતતાને બંધારણ માન્ય રાખતું નથી તેમ જણાવ્યું હતુ. આ ન્યાયિક અસંમતિ દર્શાવવાનું પરિણામ તેમણે ભોગવવું પડ્યું હતું. તેમની સિનિયોરિટીની અવગણના કરીને સરકારે તેમનાથી જુનિયર ન્યાયાધીશને મુખ્ય ન્યાયાધીશ બનાવ્યા હતા અને જસ્ટિસ ખન્નાએ સુપ્રીમ કોર્ટના જજ તરીકે રાજીનામુ આપવું પસંદ કર્યું હતું. જસ્ટિસ ખન્નાની  આ ન્યાયિક અસંમતિ ન્યાયિક અસંમતિના ઈતિહાસમાં સીમાચિહ્નરૂપ અને ઐતિહાસિક છે.

    રાજકીય, સામાજિક અને ધાર્મિક બાબતોમાં સરકાર, સમાજ અને ધર્મની ખફગી વહોરીને કે તેની હા માં હા મિલાવીને પણ ન્યાયાધીશો બહુમતી નિર્ણય કે ચુકાદા સામે અસંમતિ દર્શાવતા હોય છે. ૧૯૯૧માં દસમી લોકસભામાં કોંગ્રેસના પી.વી. નરસિંહ રાવની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવના મતદાન વખતે સરકારની તરફેણમાં મતો ખરીદવામાં આવ્યા હતા. જેએમએમ(ઝારખંડ મુક્તિ મોરચો) લાંચ કાંડ  તરીકે જાણીતા આ કેસમાં સુપ્રીમ કોર્ટે વિચારવાનું  હતું કે સંસદ સભ્યોને અપાતી આ પ્રકારની લાંચનો મુદ્દો સંસદીય વિશેષાધિકારથી સુરક્ષિત છે? જ્યારે બહુમતી જજોએ તત્કાલીન રાજકીય વલણોને ધ્યાનમાં રાખીને સરકારની તરફેણમાં ચુકાદો આપ્યો ત્યારે બે જજો ( જસ્ટિસ એ.એસ.આનંદ અને જસ્ટિસ એસ.સી.અગ્રવાલ) એ બહુમતીની સાથે રહેવાને બદલે અલગ ચુકાદો આપ્યો હતો.

    ૨૦૧૮માં સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધને  બહુમતી જજોએ ગેરબંધારણીય ઠેરવ્યો હતો અને મહિલાઓના પ્રવેશને માન્ય રાખ્યો હતો ત્યારે સુપ્રીમના મહિલા જજ ઈન્દુ મલ્હોત્રાએ અલગ મત વ્યક્ત કર્યો હતો. તેમણે અસંમતિ દર્શાવતા  કહ્યું હતું કે ધાર્મિક પ્રથાઓને તર્કસંગતતાના ત્રાજવે તોલી ન શકાય. નિવૃત સીજેઆઈ ડી.વાય.ચન્દ્રચૂડે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બહુમતી ન્યાયાધીશોના આધાર અધિનિયમને બંધારણીય ઠેરવતા ચુકાદા કરતાં જુદો રાહ અપનાવ્યો હતો અને તેમણે આધાર અધિનિયમને ગેરબંધારણીય ગણ્યો હતો.

    રાજ્ય શાળાઓમાં જાહેર ડ્રેસ કોડ લાગુ પાડી હિજાબ પહેરતા અટકાવી શકે?  તે બાબતના ચુકાદામાં જસ્ટિસ હેમંત ગુપ્તાએ ધર્મ નિરપેક્ષ રાજ્યને આવું કરવાની બંધારણ અનુમતી આપે છે તેવો મત વ્યક્ત કરી જણાવ્યું હતું કે ધર્મ વ્યક્તિગત બાબત છે એટલે સરકારી શાળાઓમાં હિજાબનું સ્થાન નથી. જ્યારે જસ્ટિસ ધૂલિયાએ વિવિધતા, સહિષ્ણુતા અને બહુલતા બંધારણના આધારભૂત મૂલ્યો છે એટલે હિજાબ પહેરતા અટકાવી ન શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો.તીન તલાકના કેસમાં જસ્ટિસ અબ્દુલ નજીર અને જસ્ટિસ જે. એસ. ખેહરે તીન તલાકની બંધારણીયતા નક્કી કરવી તે ન્યાયાલયના અધિકાર ક્ષેત્રની બહારની બાબત છે તેવો અલગ મત વ્યક્ત કરી બહુમતી ચુકાદાથી પોતાને અળગા રાખ્યા હતા.

    ભારતની જેમ દુનિયાના અન્ય લોકતાંત્રિક દેશોની ન્યાય પ્રણાલીમાં પણ ન્યાયિક અસંમતિ જોવા મળે છે. અમેરિકાની સુપ્રીમ કોર્ટ તેનું ઉદાહરણ છે. પરંતુ અમેરિકી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની ન્યાયિક અસંમતિ તેમના રાજકીય વિચારો પર નિર્ભર છે. કેમકે અમેરિકામાં ન્યાયાધીશોની નિમણૂક અમેરિકાના પ્રમુખ કરે છે અને સેનેટ તેને મંજૂર રાખે છે. જ્યારે ભારતમાં ન્યાયાધીશોની નિમણૂક સીધી સરકાર કે વડાપ્રધાન કરતા નથી એટલે ન્યાયિક અસંમતિમાં રાજકીય  વિચારોનો જ પડઘો હોય તેવું બનતું નથી. એ અર્થમાં ભારતમાં ન્યાયિક અસંમતિ રાજકીય વિચારોથી પૂર્ણપણે દૂષિત નથી.

    જસ્ટિસ ખન્ના અને અન્યના અસંમતિના ન્યાયિક અવાજને પારખીને બંધારણમાં અને કાયદામાં સુધારા થયા છે તે બાબત જ ભારતીય ન્યાયતંત્રમાં તેની અનિવાર્યતા, પ્રાસંગિકતા અને મહત્વ દર્શાવે છે.  લોંગ લીવ નો સર.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ૧૦૪ વર્ષે અમદાવાદમાં અધિવેશન : પડકાર કે તાકાત?

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    બસ, હવે થોડા દિવસ અને અમદાવાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનું યજમાન બનશે.

    અમદાવાદમાં અધિવેશનનું મળવું ૧૯૨૧ પછી પહેલી વારનું એટલે કે પૂરાં એકસો ચાર વરસે હશે. આજની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલથી છેક કોચરબ લગી પથરાયેલ આ અધિવેશનનું આખું આયોજન વલ્લભભાઈના અધ્યક્ષ પદે રચાયેલ સ્વાગત સમિતિએ સાત્યું હતું: સ્વતંત્ર ભારતની લોકસભાના પ્રથમ અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર અને સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ઉભરેલા એકના એક આંદોલન પુરુષ ઈન્દુલાલ યાજ્ઞિક સ્વાગત મંત્રીઓ હતા. કોંગ્રેસનાં આ બધાં વરસો નકરા રાજકીય પક્ષમાંથી ઊગીને એમાં જ આથમતાં નહોતા. એ એક નેશનલ પ્લેટફોર્મ શું વ્યાપક સામાજિક-સાંસ્કૃતિક આંદોલન હતું. એ જે મિજાજ, એ જે માહોલ એની સુરેખ છબી એ પ્રસંગે યોજાયેલ પ્રદર્શનમાં સ્વાગતવચનો ઉચ્ચારતા વલ્લભભાઈના ઉદગારોમાંથી ઊપસી રહે છે: ‘ભર્તૃહરિએ કહ્યું છે કે સાહિત્ય, સંગીત અને કળા એ મનુષ્યનું લક્ષણ છે. એ ત્રણેયનો યોગ મહાસભા (કોંગ્રેસ) સાથે કરીને આપણે આપણું મનુષ્યત્વ સિદ્ધ કરી રહ્યા છીએ.’

    સ્વરાજ લડતની રીતે આ કોંગ્રેસનું અદકેરું મહત્ત્વ હતું. અસહકાર આંદોલનની અસાધારણ સફળતાપૂર્વક એ મળી રહી હતી અને ૧૯૨૦માં તિલકની અર્થીને ખભો આપવા સાથે ગાંધીજી સમતા-સ્વતંત્રતાને સાંકળતા અભિગમપૂર્વક જે રીતે કેન્દ્રવર્તી ભૂમિકામાં ઉભર્યા હતા એનીયે તે સાહેદી હતી. વરાયેલા પ્રમુખ ચિત્તરંજન દાસ અટકાયતમાં લેવાતા પહોંચી શક્યા નહોતા અને હકીમ અજમલખાને અધ્યક્ષતા કરી હતી. પૂર્ણ સ્વરાજનો મુદ્દો ઉઠાવનારામાં મૌલાના હસરત મોહાની મુખ્ય હતા તો રશિયાબેઠે ઉદ્દામ દૃષ્ટિબિંદુપૂર્વક વૈકલ્પિક વિચારસામગ્રી વહેંચવા થકી ક્રાંતિકાર માનવેન્દ્ર નાથ રાય (એમ. એન. રોય)ની નીચે પરોક્ષ હાજરી હતી.

    આ તો ૧૯૨૧ની એક આછીપાતળી ઝાંખી છે, પણ એનાયે ઓગણીસ વરસ પૂર્વે ૧૯૦૨માં અમદાવાદે કોંગ્રેસ અધિવેશનની યજમાની સાહી હતી. અધ્યક્ષતા સુરેન્દ્રનાથ બેનરજીએ સંભાળી હતી. એમની ગર્જનઘેરી વક્તૃતા, અંગ્રેજ જીભે ઉચ્ચાર મુશ્કેલીવશ, સુરેન્દ્રનાથને ‘સરેન્ડર નૉટ’ તરીકે ઓળખાવતી. સ્વાગત પ્રમુખ ત્યારે અંબાલાલ સાકરલાલ દેસાઈ હતા, જેમની શાંતિદાસના જોડાની વારતા પલટાતી અર્થવ્યવસ્થા વચ્ચે ભાંગતાં ગામડાની દિલસોજ દાસ્તાં છે. એ ગયા ત્યારે રામાનંદ બાબુના ‘મોડર્ન રિવ્યૂ’માં અંજલિ રૂપ એવી એક ટિપ્પણી લખાવાની હતી કે કેટલીક બાબતોમાં એ ગાંધીપૂર્વ હતા.

    હમણાં જ કહ્યું ને સ્વાતંત્ર્ય ચળવળના વડા કરણ રૂપ કોંગ્રેસ ત્યારે એક સામાજિક-સાંસ્કૃતિક ચળવળ શી હતી. ૧૯૦૨ના અધિવેશનમાં ગુજરાતના જિલ્લે જિલ્લેથી લોક સામેલ થાય એની ઝુંબેશમાં જોડાયેલાઓમાં ગોવર્ધનરામ ને મણિલાલ નભુભાઈ જેવા સાક્ષરો પણ હતા. ત્યારે માંડ દસેકના ઈન્દુલાલને આત્મકથામાં સંભાર્યું છે કે ગોવર્ધનરામે એક નાનકડી સભામાં પાકી ચરોતરિયા બોલીમાં કોંગ્રેસનું કાર્ય સમજાવેલું અને એક એક રૂપિયાની ફી ભરી એ બેઠકમાં જવા એલાન કરેલું. ૧૯૨૦ની આ કોંગ્રેસ સાથે યોજાયેલ ઉદ્યોગ પ્રદર્શનનું ઉદઘાટન સયાજીરાવ ગાયકવાડે કર્યું હતું તે આ લખતાં સાંભરે છે. વડોદરાની ગાયકવાડ રાજવટે ૧૮૫૭થી કિનારો કર્યો હતો, પણ એ કોંગ્રેસના ઉગમ સાથે પરોક્ષ પણ સંકળાઈ શકતી હતી. સત્તાવનનો સ્વાભાવિક મહિમા છતાં એનું સ્વરૂપ સર્વજનસમાવેશી ને અખિલ હિંદ નહોતું. અંગ્રેજ રાજવટ જામતી ગઈ તેમાં વેપારી વર્ગની ખાસી સામેલગીરી ને કંઈક મેળાપીપણું પણ ભાગ ભજવી ગયું હશે.

    દિલ્હી સલ્તનતથી ઉફરાટે હિંદવી સ્વરાજનો નેજો શિવાજીએ સોજ્જો લહેરાવ્યો હશે, પણ પેશવાઈ આવતે અટકથી કટકનો કબજો છતાં એમાં એ સમાવેશી અભિગમ રહ્યો ન હતો જે ક્યારેક શિવ છત્રપતિમાં હોઈ શકતો હતો. અંગ્રેજી રાજને સાંસ્થાનિક હકૂમત માત્ર લેખ ખતવી દેવું ખોટું અલબત્ત નથી, પણ અધૂરું અલબત્ત છે, કેમ કે એની રાજવટ કંઈક વ્યવસ્થા બાંધી આપનારી હતી. વેપારી વર્ગને, વ્યવસ્થા સ્થપાય તો, પલટાતી રાજવટનો કદાચ એવો ને એટલો વાંધો પણ નહોતો.

    ૧૮૫૭  જેમ સંગ્રામનું તેમ યુનિવર્સિટી-સ્થાપનનુંયે વર્ષ છે. જે નવશિક્ષિત વર્ગ આવ્યો એને ભણતરમાં આ રાજ થકી સુવાણનો અનુભવ થયો ને નવી દુનિયાનો પરિચય પણ. ફાર્બસનિમંત્ર્યા દલપતરામ વઢવાણથી પગે ચાલતા અમદાવાદ પહોંચ્યા, ચાંદા-સૂરજના મહેલમાં- આજના ખાનપુરના હોલી ડે ઈન વિસ્તારમાં- ત્યારે ઈતિહાસવસ્તુ તરીકે એમણે કાપેલું અંતર ગાઉમાં નહીં એટલું સૈકાઓમાં હતું- અને એ ઘટના સત્તાવન પૂર્વે બની હતી. દુર્ગારામ મહેતાજી માનવ ધર્મ સભા લઈને આવ્યા એ પણ સત્તાવન પૂર્વ સીમાઘટના હતી. અતિશયોક્તિ વગર, એવો ને એટલો વ્યાપ હો કે ન હો, રેનેસાંના નકશા પર કોલકાતા પછી કોઈ શહેર આવ્યું હોય તો તે સુરત હતું- અને મુંબઈ પણ તે પછી, જરી મોડેથી. હવે આ જે નવો જમાનો બેસતો આવતો હતો એનું અચ્છું ચિત્ર મંડળી મળવા ને સભા રૂપે મળવા વિશે તરુણ નર્મદના નિબંધમાંથી મળી રહે છે- એ નિબંધ પણ સત્તાવનનાં ત્રણ-ચાર વરસ પર વંચાયેલો છે. ‘ડાંડિયો’ કાઢવાનાં એના પ્રાસ્તાવિક વચનોમાંયે ‘ટેબલ ટાંક’નું મહિમામંડન તમને જોવા મળશે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૬ – ૦૩– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.


    તાજેતરમાં જ સાર્થક પ્રકાશન દ્વારા ‘તવારીખની તેજછાયા’ના કેટલાક લેખોનો સંગ્રહ “તવારીખની તેજછાયા ૧”તરીકે પ્રકાશિત થયો છે.

    https://saarthakprakashan.com/index.php?route=product/product&path=1&product_id=83 

    શ્રી કિશોરભાઈ ઠાકરે આ સંગ્રહનો આસ્વાદ / પરિચય ‘મુવમેન્ટ ફોર ડેમોક્રસી’ના ઉપક્રમે કરાવ્યો.

    એ પ્રસંગના તેમનાં  વ્યક્તવ્યનું વિડીયો સંસ્કરણ અહીં જોઈ /  સાંભળી શકાય છે.

    સંપાદક મંડળ, વેબ ગુર્જરી.

  • રજનીકુમાર પંડ્યાઃ મનની માયાનગરીના ભોમિયા

    ઉર્વીશ કોઠારી

    વાર્તાકળા અને માનવમનના પ્રવાહોનો અભ્યાસ જેમના રોજિંદા જીવન સાથે વણાયેલાં હતાં, એવા સાહિત્યકાર-સંગીતમર્મજ્ઞ રજનીકુમાર પંડ્યાએ 15 માર્ચ 2025ના રોજ 86 વર્ષની વિદાય લીધી. ઝબકાર શ્રેણીમાં આવતાં તેમનાં વ્યક્તિચિત્રો-સંસ્થાચિત્રો હોય કે બિલોરી શ્રેણીમાં પ્રગટ થયેલી તેમની કથાઓ કે પછી શબ્દઠઠ્ઠા અને તીરછી નજર શીર્ષકો હેઠળની હાસ્યકથાઓ—એ દરેકમાં કલ્પનાનું તત્ત્વ કેવળ કૃતિને ઘાટ આપવા જ વપરાયું હોય એવું લાગે. બાકીની બધી સામગ્રી આસપાસના જીવાતા જીવનમાંથી જોગવી શકે, એવો રજનીકુમારનો જીવન સાથેનો નિકટનો નાતો હતો.

    એટલે જ, સંપૂર્ણપણે કલ્પનાનો પ્રદેશ કહેવાય એવી નવલકથાઓમાં પણ રજનીકુમારે સત્ય ઘટનાઓને આધાર બનાવીને, તેની પરથી કલ્પનાની ઉડાન ભરી હતી. તથ્યો તેમની સર્જકતા માટે બેડી બનવાને બદલે કે તેમની સર્જકતાની ઉડાન રુંધવાને બદલે, પાંખમાં જોર પૂરતાં હોય એવું લાગતું હતું. તથ્યમાં ક્યાં, કેવો ને કેટલો રંગ પૂરવો એ મામલે તેમનો આંતરિક વિવેક અડીખમ રહ્યો. ક્યારેય તે લાગણીવેડામાં સરી ન ગયા. છતાં તેમનાં કેટલાં બધાં લખાણ એવાં હતાં કે જે વાંચનારમાં સમસંવેદન પ્રેરે અને તેને સાહિત્યતત્ત્વની ઉચ્ચ અનુભૂતિ કરાવે.

    નાટકીય ઘટનાઓના અવિરત સિલસિલા જેવા જીવનમાં રજનીકુમાર સુખદુઃખના અંતિમો પર અને કેટલીક વાર બંને અંતિમો પર સમાંતરે ઝૂલતા રહ્યા. માણસ હતા, એટલે વ્યથિત અને હતાશ થતા, રોષે ભરાતા અને જરાસરખા અન્યાયબોધ સામે તીવ્ર પ્રતિક્રિયા આપતા હતા. પરંતુ તેમનામાં રહેલી કુદરતી બક્ષિસને કારણે, લાગણીના બધા આવેગો અનુભવ્યા પછી અને ઘણી વાર તેનાથી દોરવાયા પછી પણ, આખરે તેમાંથી તે મનના ચિત્રવિચિત્ર પ્રવાહો અને જીવનનાં ચિરંતન સત્યોનો અર્ક તારવી શકતા હતા અને તેને પોતાનાં લખાણોમાં યથાતથ ઉતારી શકતા હતા.

    અનેકરંગી જીવનમાં મળેલાં અવનવાં પાત્રોમાંથી સાહિત્યિક મૂલ્ય ધરાવતો ઘટક તારવીને, તેને સાંધા કે રેણ વિના કૃતિમાં પરોવવાની તેમની ફાવટ ગજબની હતી. તેમનાં લખાણોમાં ભભરાવેલી ફિલસૂફી કદી ન મળે, પણ જિંદગીના ઉતારચઢાવની વચ્ચે વ્યક્ત થતી રહેતી ઉદાત્તતા, અધમતા અને તેની વચ્ચેનાં લક્ષણોની આખી રેન્જ તેમના લખાણને અનોખું પરિમાણ આપતી હતી. તેમના એક સ્નેહી પુસ્તકોના જબ્બર પ્રેમી અને સંગ્રાહક. ઝટ પુસ્તક વાંચવા ન આપે અને આપે તો તેની સાચવણીની કેટલીય સૂચનાઓ આપે. એક વાર રજનીભાઈએ તેમની કસોટી કરવા પૂછ્યું,’તમારી બધી વાત બરાબર, પણ ધારો કે આ પુસ્તક મારાથી ખોવાઈ ગયું તો?’ પેલા ભાઈએ ક્ષણના પણ વિલંબ વિના, એકદમ શાંતિથી કહ્યું,’ગયું તો ગયું.’ રજનીભાઈના મનના અમર્યાદ ડેટાબેઝમાં સંઘરાયેલી આ વાત ‘કુંતી’ નવલકથામાં હરિરાજ સ્વામીના પાત્રાલેખન દરમિયાન ઉભરી આવી અને એક સ્વસ્થ-રેશનલ સન્યાસીની સ્વસ્થતા દર્શાવવા માટે પ્રયોજાઈ હતી.

    લગભગ અઢી દાયકા પહેલાં એક શીઘ્રકોપી સંગીતપ્રેમી મિત્ર સાથે રસ્તે ચાલતાં કોઈ મુદ્દાની ચર્ચામાં ગરમાગરમી થઈ. પેલા મિત્ર તેમની લાક્ષણિકતા પ્રમાણે એકદમ ઉશ્કેરાઈ ગયા અને ઝનૂનથી રજનીભાઈની ફેંટ પકડી. તે પ્રસંગની વાત કરતાં રજનીભાઈએ કહ્યું હતું,’તેમણે મારી ફેંટ પકડી હતી, ત્યારે હું તેમના ચહેરાના હાવભાવ જોતો હતો અને તેમના મનમાં શું ચાલતું હશે, તે સમજવાનો પ્રયત્ન કરતો હતો.’

    માણસના મનમાં ઊંડે, તેના સબકોન્શ્યસમાં ચાલતા ઘણા પ્રવાહ એવા હોય, જે બહાર આવે તો બહુ વસમું પડી જાય. રજનીભાઈ એવા પ્રવાહોને પારખીને, જરાય ન્યાયાધીશની ભૂમિકામાં આવ્યા વિના, ફક્ત માણસ અને જીવન વિશેની સમજના ભાગરૂપે તેને પોતાની કૃતિઓમાં લાવી મુકતા હતા. એટલે જ, વાર્તાકળામાં રજનીકુમાર જેમને ગુરુ માનતા હતા તે મહંમદ માંકડે એક વાર તેમને એ મતલબનું લખ્યું હતું કે ‘તમે બહુ ક્રૂર છો. માણસને આખો ને આખો ઉઘાડો કરી નાખો છો.’

    એક ઉદાહરણઃ મિત્રનું આકસ્મિક મૃત્યુ થતાં માણસ સાચેસાચા શોકમાં ડૂબી જાય છે અને વિચારે છે કે ગામલોકોને આટલા કરુણ સમાચાર તે શી રીતે આપશે. પરંતુ ગામે પહોંચીને તેને ખ્યાલ આવે છે કે રસ્તામાં એક સાઇકલસવાર સાથે થયેલી વાત પછી, એ સાયકલસવાર ગામમાં પહોંચીને સમાચાર આપી ચૂક્યો છે. ત્યારે મિત્રના મૃત્યુનો સાચો શોક ઘડીભર બાજુ પર હડસેલાઈ જાય છે અને કંઈક વ્યગ્રતાથી તે ગામલોકોને કહે છે, ‘તમને ભલે પેલા સાયકલવાળાએ કહ્યું હોય, પણ એને તો આ સમાચાર મેં જ આપ્યા હતા.’ આ પ્રકારની, સહેલાઈથી કોઈ ખાનામાં મુકી ન શકાય એવી માનસિકતાનું આલેખન માણસોના વાચનમાંથી આવતું હતી. સાથોસાથ, આ વાત કહેવા માટે તે જે પાત્રોની સૃષ્ટિ, વર્ણનો અને બોલીનો ઉપયોગ કરતા હતા, તે પણ અત્યંત આસ્વાદ્ય અને મૂળ હાર્દ સાથે એકરૂપ-એકરસ બની જતાં હતાં.

    માનવમનના ઊંડા અભ્યાસી હોવા છતાં, સ્વભાવગત મદદરૂપ થવાની વૃત્તિ અને ભલમનસાઈને કારણે કેટલાય લોકોથી તે છેતરાતા હતા. ઘણી વાર થતું કે તમે તો માણસના ફોટોની સાથોસાથ તેનો એક્સ-રે પણ જોઈ લેનારા. તમારી સાથે આવું કેમ થાય? પરંતુ લાંબા સહવાસને કારણે જવાબ પણ જાતે જ મળી જતો હતોઃ માણસને વાંચી લેવાની શક્તિ કુદરતી બક્ષિસ હતી અને જાતે ઘસાઈને બીજાને મદદરૂપ થવાની વૃત્તિ એ તેમની પ્રકૃતિ. તેમાંથી મોટે ભાગે પ્રકૃતિનો વિજય થતો હતો. તેના કારણે અંગત ઘા તેમણે ઘણા વેઠ્યા, પણ વાચકોને જે મળ્યું, તેની ગુણવત્તા પર કશી અસર ન પડી. જીવનના છેલ્લા અઠવાડિયા સુધી લખતા રહ્યા અને તેમના જીવનના લગભગ અઢી દાયકાના એક ખંડની આત્મકથાનું લખાણ પૂરું કરીને તે ગયા.


    :સાભાર: ગુજરાતમિત્ર, દર્પણ પૂર્તિ, ૨૬ -૦૩- ૨૦૨૫


    શ્રી ઉર્વીશ કોઠારીનો સંપર્ક uakothari@gmail.com    વીજાણુ સરનામે થઈ શકે છે.

  • બાજીગરનાં સોગઠાં

    દેવિકા રાહુલ ધ્રુવ

    બાજીગર શબ્દ કેટલો સરસ છે? અને સોગઠાં પણ કોઈપણ રમતપ્રેમીને ગમતો જ શબ્દ. તરત ઉપસતો અર્થ અને તસ્વીર તો સામાન્ય જ છે અને કદાચ એ બંને સર્વમાન્ય પણ ખરાં જ એમ મારું માનવું છે. છતાં ગુજરાતી ભાષાના અસીમ ખજાનામાંના આ શબ્દો પણ એક રસનો વિષય છે.

    કોણ જાણે કેમ પણ મને દરેક જન્મદિવસની સવારે આકાશ તરફ નજર કરતાની સાથે જ, અચૂક આ અંગે વિચારો આવે જ, આવે. એની વધુ વાત કરતા પહેલાં નાનપણમાં જોયેલ એક જાદૂગરનું ચિત્ર નજર સામે ખડું થાય છે. ખૂબ ઊંચો, પાતળો, સોહામણો, આછી મૂછવાળો એ માણસ. હસે તો કોઈપણ મોહ પામી જાય અને બોલે તો બસ, જાણે સાંભળ્યા જ કરીએ. ક્યારેક ક્યારેક શેરીઓમાં આવે, જાદૂના ખેલ કરે, સૌને અચંબામાં મૂકી દે અને થોડુંઘણું કમાઈ ચાલતી પકડે. પણ એના ગયા પછી નાનાં ભૂલકાંઓથી માંડીને મોટેરાં સુધીના સૌ કોઈ એની વાતો કર્યા જ કરે, કલાકો સુધી એ જ વાતો ચાલે એટલું જ નહિ, એણે બતાવેલા ખેલ/બાજી/જાદૂ કરવાનો નિષ્ફળ પ્રયત્ન પણ કરે. ધીરે ધીરે સમયની રફ્તાર આગળ ચાલે, સૌ કોઈ પોતાની ઘરેડમાં પૂર્વવત્ થઈ જાય. અચાનક ફરી પાછો પેલો જાદૂગર દેખા દે. ક્યારેક બાજી ખેલે તો ક્યારેક જાદૂ બતાવે. ક્યારેક મદદ માટે હાક પાડે,પોતે હાર્યા હોવાનો ડોળ કરે અને પછી એકદમ જ બાજી પલટી નાંખે.

    આજે જ્યારે જીંદગીના અઠ્ઠાવીસ હજાર એકસો પાંચ દિવસો ચાલી લીધા છે ત્યારે, બાળપણની એ સ્મૃતિનો અર્થ સમજાય છે અને શા માટે એ દરેક જન્મદિવસે જ માની સાથે વધુ સાંભરે છે તેનું રહસ્ય પણ તાગી શકાય છે. જાદુ કહો કે બાજી કહો પણ માનવી તો માત્ર એક રસિક બાજીગરની રમતનાં સોગઠાં છે. કેટકેટલી રમતો, કેટલાં ખેલાડીઓ અને દરેક સોગઠાં પણ કેવાં ભાતીગળ. રમનારને ખબર પણ ન પડે કે પોતે રમે છે કે કોઈ એને રમાડે છે! અને એજ તો જાદૂ છે ને?! અરે, કોની રમત ક્યાં સુધી ચાલશે તેની પણ ક્યાં જાણ હોય છે?  હારજીત ચાલ્યાં જ કરે એમ લાગે પણ હકીકતે તો ચક્રાકાર ગતિ પર કોઈ આગળ નથી કે કોઈ પાછળ નથી. એ તો બસ સતત ચાલતું વર્તુળ છે. ક્યારેક અચાનક બંધ તો વળી ક્યારેક રમતાં રમતાં થાકી જાવ ત્યાં સુધી ચાલ્યાં જ કરે!

    ખરેખર, અજબ ખેલ બાજીગરનો આ, કોઈ જીતે કોઈ હારે.

    ચાલો, સોગઠાં બનીને બાજીગરને રમવા દઈએ, આપણે પોતે રમીએ છીએ એવી મઝા માણતાં રહીએ અને એ રીતે એને રીઝવતાં રહીએ, ચાલતાં રહીએ. જ્યાં સુધી એ સાથે છે, ચાલવાનો કે રમવાનો ક્યાં સવાલ જ છે!

    આશ્ચર્યની વાત તો એ છે કે રમતનાં સોગઠાં જેવાં આપણે સતત કશાકની પ્રાપ્તિમાં દોડતાં રહીએ છીએ અને તેના પરિણામ મુજબ હર્ષ-શોકની લાગણી અનુભવીએ છીએ.

    સંસ્કૃતનો  એક સરસ શ્લોક છેઃ

    प्राप्तव्यमर्थं लभते मनुष्यो देवोऽपि तं लङ्घयितुं न शक्तः
    तस्मान्न शोचामि न विस्मयो मे यदस्मदीयं न हि तत्परेषाम्

     આમાં ખૂબ સરસ વાત કહેલી છે કે, “પોતાને જે વસ્તુ મળવાની છે તે માણસને મળે જ છે. દેવો પણ તેનું ઉલ્લંઘન કરવાને શક્તિમાન નથી. તેથી મને દુઃખ કે નવાઈ લાગતી નથી. જે મારું છે તે બીજાંનું થવાનું નથી.”

    કેટલી અર્થભરી સમજણ! અને કેવો અતૂટ વિશ્વાસ? ઘણીવાર તો એમ પણ લાગે છે કે, આવા વિશ્વાસના બળ પર જ ભલભલાની તકદીરનાં તાળાં ખુલી જતાં હોય છે. સાવ નાનકડી કે તુચ્છ જણાતી ઘટના કોઈ જાદૂની જેમ ક્યાંથી ક્યાં પહોંચાડી દેતી હોય છે? શોધવા પણ ન જવું પડે એટલા દાખલાઓ, પ્રસંગો, ઘટનાઓ અને વાર્તાઓ નજર સામે એવાં આવી જ જાય છે જ્યાંથી બાજીગરની જેમ આખો ને આખો ખેલ બદલાઈ જતો હોય છે.

    ફિલ્મી દુનિયાનો એક મશહૂર સંવાદ યાદ આવે છે.

     कभी कभी जितनेके लिये कुछ हारना पडता है
    हारकर जीतनेवालेको बाजीगर कहते है

    બાજીગરની વાતો તો અજાણી નથી. પણ આ સોગઠાંનું શું? સોગઠાં વગર બાજી નથી અને બાજીગર વગર સોગઠાં નથી. કોણ ચડિયાતું કોણ જાણે? અંગ્રેજીમાં એક મઝાનું quotation છે.

    Not only does God play dice, but… he sometimes throws them where they cannot be seen. …

    બાઈબલમાં તો એટલે સુધી કહ્યું છે કે, We may throw the dice, but the Lord determines how they fall.

    સમાપનમાં તો એટલું જ કહેવાનું કે, સોગઠાં બનીને રમવું છે અને એની શ્રદ્ધાના જોરે જીતવું છે. કોઈની ને પોતાની, બંનેની રમતને સાર્થક કરવી છે અને એ રીતે જ અંતિમ મુકામે પહોંચવું છે. આ વિચારના સમર્થનમાં,  કલમને/કીબોર્ડને અટકાવું તે પહેલાં તો  ચાર્લ્સ સ્વિન્ડૉલનું એક અતિસુંદર વાક્ય યાદ આવ્યું જે મને લાગે છે કે બિલકુલ યોગ્ય છે, સાચું છે.

    તેમણે લખ્યું છે કે, We aren’t just thrown on this earth like dice tossed across a table. We are lovingly placed here for a purpose.


    Devika Dhruva – ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com

     

  • માધવ ક્યાંય નથી મધુવનમાં

    હરીન્દ્ર દવે

    ફૂલ કહે ભમરાને
    ભમરો વાત વહે ગુંજનમાં
    માધવ ક્યાંય નથી મધુવનમાં

    કાલિન્દીના જલ પર ઝૂકી પૂછે કદંબડાળી
    યાદ તને બેસી અહીં વેણુ વાતા’તા વનમાળી

    લહર વમળને કહે વમળ
    એ વાત સ્મરે સ્પંદનમાં
    માધવ ક્યાંય નથી મધુવનમાં

    કોઈ ન માગે દાણ કોઈની આણ ન વાટે ફરતી
    હવે કોઈ લજ્જાથી હસતાં રાવ કદી ક્યાં કરતી

    નંદ કહે જશુમતીને માતા
    વ્હાલ ઝરે લોચનમાં
    માધવ ક્યાંય નથી મધુવનમાં

    શિર પર ગોરસ મટુકી
    મારી વાટ ન કેમે ખૂટી
    અબ લગ કંકર એક ન લાગ્યો
    ગયાં ભાગ્ય મુજ ફૂટી

    કાજળ કહે આંખોને
    આંખો વાત વહે અંશુવનમાં
    માધવ ક્યાંય નથી મધુવનમાં