વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • કેનેડી: અમેરિકા ‘પરદેશી નાગરિકોનો દેશ’ છે

    તવારીખની તેજછાયા

    સેમ્યુઅલ હંટિંગ્ટનનો ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’નો મુદ્દો ચગ્યો, પણ નરસિંહ, મીરાં, કબીર, ગાંધીને સંભારીને ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન’ની સંજીવની આપણને સાંભરતી નથી.

    પ્રકાશ ન. શાહ

    વાત અલબત્ત ૨૬મી જૂન ૧૯૭૫થી ૨૦૨૫ની પચાસ વરસી આસપાસ ચાલતી હશે. પણ તવલીન સિંહે એમની કોલમમાં ૧૯૬૩ની ૨૬મી જૂન યાદ કરી: તે તારીખે તત્કાલીન અમેરિકી પ્રમુખ કેનેડીએ પશ્ચિમ બર્લિનમાં યાદગાર પ્રવચન કર્યું હતું. કેનેડીએ સરસ કહ્યું હતું ત્યારે કે ‘સ્વતંત્રતાના મારગમાં ઘણી મુશ્કેલીઓ રહેલી છે, અને લોકશાહી પણ કંઈ સર્વાંગસંપૂર્ણ નથી; પણ આપણે કદાપિ આપણા લોકોને મુલકમાં બાંધી રાખવા સારુ દીવાલ ખડી કરવી પડતી નથી.’

    કેનેડી તે દિવસે બર્લિનમાં બોલી રહ્યા હતા. એ એવા દિવસો હતા જ્યારે સોવિયત રશિયાના પ્રભાવક્ષેત્ર એટલે કે પૂર્વ જર્મનીએ બે’ક વરસ પર (૧૯૬૧ અધવચ) પૂર્વ અને પશ્ચિમ જર્મની વચ્ચે ૧૫૫ કિલોમીટર લાંબી દીવાલ ચણી લીધી હતી; કેમ કે પૂર્વની કંઈક બંધ દુનિયામાંથી પ. બર્લિનમાં અને તે વાટે યુરોપ-અમેરિકામાં ખુલ્લી દુનિયામાં નોકરીધંધાના ઉઘાડ વાસ્તે, કંઈક મુક્ત શ્વાસ સારુ જવા માટે એકધારો ધસારો ચાલુ હતો. દીવાલ ઊભી કરાઈ તે પૂર્વે સહેજે પાંત્રીસ લાખ લોકો પૂર્વ જર્મની છોડી ગયા હશે એવો અંદાજ છે. વસ્તુત: બેઉ બાજુએ હતા તો જર્મનો જ. પણ બીજા વિશ્વયુદ્ધને અંતે રશિયાએ અને બાકી મહાસત્તાઓએ જે વહેંચણી સમજૂતી કરી તેને અન્વયે જર્મનીના ભાગલા પડ્યા હતા અને એ રીતે પૂર્વ જર્મની સામ્યવાદી શૃંખલામાં હતું. કેનેડીએ ૧૯૬૩માં દીવાલનો ઉલ્લેખ કર્યો તે જેમ હકીકત હતી તેમ એક રૂપક પણ હતું.

    ૧૯૯૦માં બર્લિનની દીવાલ પણ ગઈ અને બેઉ જર્મની પણ એક થઈ ગયા. પણ હું ૧૯૮૫માં બંને જર્મનીમાં ફર્યો ત્યારે સામાન્ય નાગરિકને ભાગ્યે જ કલ્પના હતી કે અમે એક થઈ શકીશું. જે પણ સંવાદતકો મને મળી એમાં સાંભળવા મળતો સૂર અલગ રાજકીય એકમ પણ ભાવનાત્મક એકતા તરેહનો હતો. પૂર્વ જર્મનીમાં મેં જોયું કે મોટી સંખ્યામાં રૂસના યુવા સૈનિકો સતત તૈનાત હતા. પ. જર્મનીનાં ટીવી પ્રસારણ પૂર્વ જર્મનીમાં ઝીલી શકાતાં હતાં અને તે આ સૈનિકો તબિયતથી જોતા હતા. એટલે પશ્ચિમ બર્લિનમાં મીડિયાકર્મીઓ જોડે વાત કરવાનું થાય ત્યારે મેં કહ્યું કે ‘રૂસી યુવાનોને ખુલ્લી દુનિયાનો પરિચય થાય છે તે કેટલું સારું છે! વતન પાછા ફરશે ત્યારે જરૂર મુક્તિનો સ્પંદ લઈને જશે.’ એક બુઝુર્ગ જર્મને જોકે વિરોધસૂર નોંધાવ્યો: ‘અમારા ટીવી કાર્યક્રમોમાં મેટ્રોસેક્સ્યુઅલ ખટાટોપ હોય છે જે વાસ્તવમાં ‘મુક્ત સમાજ’નો એક અંશ માત્ર છે. અમારી લોકશાહીની ધડકન, એના ચડાવઉતાર, સામાન્ય માણસની રોજમર્રાની જદ્દોજહદ… બધું મેટ્રોસેક્સ્યુઅલ ઢોલનગારાં વચ્ચે દબાઈ જાય છે. એટલે પૂર્વ જર્મનીમાં તૈનાત રૂસી યુવા સૈનિકો ‘મુક્ત દુનિયા’નું વિકૃત નહીં તો પણ ખંડદર્શન લઈને જશે, એનું શું.’

    આ તો સમાજદર્શન થયું. પણ સમાજ અને મુલક બંધાય કેમના, તમે પૂછશો. જવાબમાં વળી કેનેડી પાસે જઉં. એમણે એક વક્તવ્યમાં એ મુદ્દે રાજીપો ને કૌતુક પ્રગટ કીધાં હતાં કે ‘આપણો દેશ, આપણું આ અમેરિકા, વાસ્તવમાં ‘વિદેશી નાગરિકોનો દેશ’ છે. ક્યાં ક્યાંથી આવ્યા અને ઠલવાયા છીએ આપણે… યુરોપભરમાંથી, લેટિન અમેરિકાથી, વળી આફ્રિકી-અમેરિકા એશિયાઈ, કેટકેટલા.’ પરંતુ આ જે બહુલતાનો સમાદર, કેટલું કાઠું કામ છે. અમેરિકાની સિવિલ રાઈટ્સ ચળવળનો જ વિચાર કરો ને. દર્શકે એમના અંતિમ પર્વમાં ‘મુક્તિમંગલા’ નવલકથા લખવા માંડી હતી. ૨૦૦૧માં એ ગયા ત્યારે સાહિત્ય પરિષદના પત્ર ‘પરબ’માં એ પાંચ હપ્તે અટકી ગઈ હતી. એમને આ નવલકથા લખવાનું ખેંચાણ એ મુદ્દે હતું કે ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં, લિંકન કાળમાં, આફ્રિકી-અમેરકી બાંધ‌વોના બચાવ બાબતે (અને ગુલામી નાબૂદીનાં દ્વાર ખોલવા બાબતે) સામસામે બે ગોરી ફોજ ટકરાઈ હતી.

    એક રીતે, આ કૌરવ-પાંડવના મહાભારતને કદાચ બાજુએ મૂકી દે એવું મહાભારત હતું અને છે. વાત લિંકનથી અટકી નથી. આગળ ચાલતાં કેનેડીના સમયમાં માર્ટિન લ્યુથર કિંગના નેતૃત્વમાં નવી ભોં ભાંગી અને પછી ૨૦૦૯-૨૦૧૭નાં વર્ષોમાં તો આફ્રિકી-અમેરિકી બરાક હૂસેન ઓબામાને આપણે પ્રમુખ તરીકે જોયા.

    જે એક ચર્ચા ‘ક્લેશ ઓફ સિવિલાઈઝેશન્સ’ (સેમ્યુઅલ હંટિંગ્ટન, ૧૯૯૬)ને ધોરણે ચાલે છે એનુંયે કંઈક વજૂદ હોઈ શકે છે. પણ તે સાથે, તમે જુઓ, પ્રજાઓ, સમાજો પોતાની અંદરની મથામણથી ગુણાત્મક રીતે આગળ વધે છે. વિનોબા જેને ક્રાંતિની લલિતકળા તરીકે ઓળખાવવાનું કદાચ પસંદ કરે એવી આ ઈતિહાસ પ્રક્રિયા ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ની છે. નરસિંહ, મીરાં, કબીર, ગાંધી આ બધાં ‘ક્લેશ વિધિન સિવિલાઈઝેશન્સ’ના ઉત્તમ નમૂના છે. ગમે તેમ પણ નવી દુનિયામાં પ્રજાઓની આવનજાવન એવી ને એટલી હોવાની છે કે એમાં નાગરિક માત્રના અધિકારના સ્વીકાર-સમાદર પર સ્થિત બંધારણીય રાષ્ટ્રવાદની રૂએ જ ચાલવાપણું હોવાનું છે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૯ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • લખ મને | જો ભીંત ખખડાવશો

    (૧) લખ મને ~ દિલીપ પરીખ
     
    કાગળમાં તારી યાદના કિસ્સાઓ લખ મને,
    જો શક્ય હોય તો પ્રેમના ટહુકાઓ લખ મને !
    તારા વિના અહીં તો છે ધુમ્મસ ફક્ત બધે,
    તારી ગલીમાં કેવા છે તડકાઓ લખ મને !
    અકળાઈ જાઉં એવા અબોલા ન રાખ તું,
    તારા જ અક્ષરો વડે ઝઘડાઓ લખ મને !
    કોઈ મને બીજા તો સહારા નહીં મળે,
    અમથા જ તારે હાથે દિલાસાઓ લખ મને !
    મારા જીવનનો પંથ હજી તો અજાણ છે,
    ક્યાં ક્યાં પડ્યાં છે તારાં પગલાંઓ લખ મને !
    **********************************************************
     
    (૨) જો ભીંત ખખડાવશો ~ ભરત ભટ્ટ ‘પવન’
    રંગ થોડો ઊખડે, જો ભીંતને ખખડાવશો ;
    અવસરો નીચે પડે, જો ભીંતને ખખડાવશો. 
    ઈંટના કંઠે ડૂમો બાઝે અને એવું બને –
    સ્હેજ ત્યાં રેતી રડે, જો ભીંતને ખખડાવશો.
    બારીઓ લાચાર થઇ જુએ તમાશો, પણ પછી ;
    બારણાં તમને લડે, જો ભીંતને ખખડાવશો.
    જે જૂની છબિઓ હતી કાલે ભીંતોની શાન, એ –
    એકદમ નજરે ચડે, જો ભીંતને ખખડાવશો.
    યાદમાં જેની તમે મુઠ્ઠી પછાડી’તી કદી,
    એ જ આવીને અડે, જો ભીંતને ખખડાવશો.
  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : ફરી સૌરાષ્ટ્ર ભણી

    વિમલાતાઈ

    જીવનનો મહાયજ્ઞથી આગળ

    અમદાવાદમાં અમે ઠરીઠામ થવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં તેવામાં  મારી નાની બહેન દમુની દીકરી શાન્તાનાં લગ્ન નીકળ્યાં. લગ્નમાં હાજરી આપવા અમે ભાવનગર જિલ્લાના એક ગામે ગયાં. લગ્નસમારંભ પતી ગયા પછી દમુનાં સાસરિયાંમાંના એક સગાએ મને કહ્યું, “તમે સૌરાષ્ટ્રમાં મકાન ખરીદો. પાંચ હજારમાં તો મોટો બંગલો મળી જશે.”

    તેમની વાત સાંભળી હું ભાવનગર મકાન જોવા ગઈ. મને તેમણે ઘણાં મકાન બતાવ્યાં. તેમાંનો એક બંગલો મને ઘણો ગમી ગયો. બંગલો મોટો હતો, અને તેમાં સાત આંબા અને કેટલાંક અન્ય ફળનાં વૃક્ષ હતાં. તેમાં રહીને પણ હું પેટાભાડૂત રાખી શકું તેમ હતું, અને ભાડાના સો રૂપિયા આવે તેમ હતું. મેં આ મકાન લેવાનું નક્કી કર્યું. પૈસાની વ્યવસ્થા કરવા અને પરિવારના બધા લોકોનો આ બાબતમાં વિચાર લેવા

    હું અમદાવાદ ગઈ. મારી પાસે “એમની” ગ્રેચ્યુઈટીના ફક્ત ત્રણ હજાર રૂપિયા હતા, જ્યારે મકાનની કિંમત હતી પાંચ હજાર. મારી પાસે હવે મારાં ઘરેણાં વેચવા સિવાય બીજો કોઈ રસ્તો ન હતો. મેં “એમના” એક ખાસ મિત્ર હતા, તેમની સલાહ લીધી. તેમણે કહ્યું, “હાલ સોનાનો ભાવ સારો ચાલે છે. હું પોતે પણ અમારી પાસેનું સોનું વેચવાનો છું.” મેં ઘરના બધા લોકોની સંમતિથી મારાં બધાં ઘરેણાં અને ચાંદીનાં વાસણ વેચ્યાં. સોનું ૬૨ રૂપિયે તોલાના ભાવે વેચ્યું ત્યારે ૩૦ તોલાના મને રૂ. ૧૬૬૨, અને ચાંદીના વાસણના રૂ. ૪૦૦ મળ્યા, એમ પાંચ હજાર રૂપિયા પૂરા થયા. હવે મારી પાસે એક રતીભાર સોનું રહ્યું નહિ.

    ખેર. એવામાં ભાવનગરથી પત્ર આવ્યો કે મકાનનો સોદો પતાવવા તરત આવી જાવ. બધાની સંમતિ લઈને મેં ભાવનગર જવાનું નક્કી કર્યું. ભાવનગરમાં ઘણી સસ્તાઈ હતી અને ઘર પણ ઓછાં ભાડાં
    પર મળી જતાં હતાં. આથી મકાન વેચાતું લેવાય ત્યાં સુધી ભાડાની ઓરડીમાં રહેવાનું નક્કી કર્યું.
    ભારતના આઝાદી દિન – ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે મેં ભાવનગર જવા પ્રયાણ કર્યું.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • એક કલાકાર ગાયક અનેક : ‘બ્લફમાસ્ટર’ શમ્મીકપૂર

    નિરંજન મહેતા

    કદાચ આપની જાણમાં હોય કે નહીં તેની ખબર નથી પણ હાલમાં મારા ધ્યાનમાં એક નવતર માહિતી આવી. સાધારણ રીતે એક ફિલ્મમાં એક કલાકારના એક કરતાં વધુ ગીતો હોય ત્યારે તેના પર રચાયેલ દરેક ગીતનો પાર્શ્વગાયક એક જ રહે છે. પરંતુ એક એવી ફિલ્મ છે જ્યાં આમ નથી. ૧૯૬૩માં આવેલી ફિલ્મ ‘બ્લફમાસ્ટર’માં આવું જણાય છે.

    ફિલ્મમાં શમ્મીકપૂર પર ત્રણ સોલો ગીતો છે જેના પાર્શ્વગાયક અલગ અલગ છે. પહેલું ગીત છે

    गोविंदा आला रे आला ज़रा
    मटकी सम्भाल बृजबाला
    गोविंदा आला रे …
    अरे एक दो तीन चार संग पाँच छः सात हैं ग्वाला
    अरे एक दो तीन …

    ફિલ્મમાં જન્માષ્ટમીના ઉપલક્ષમાં ઉજવાતા તહેવાર પ્રસંગે આ ગીત રચાયું છે. ગીતનો પ્રભાવ એટલો છે કે આજે પણ જન્માષ્ટમીના દિવસે આ ગીત ધૂમ મચાવે છે તે નિર્વિવાદ છે. ગીતને સ્વર આપ્યો છે રફીસાહેબે.

    બીજું ગીત છે

    सोचा था प्यार हम ना करेंगे
    सूरत पे यार हम ना मरेंगे
    फिर भी किसी पे दिल आ गया

    આ એક રોમેન્ટિક ગીત છે અને તે માટે મુકેશના અવાજને સંગીતકારે યોગ્ય ગણ્યો અને તે યથાર્થ બની રહ્યો.

    ત્રીજું ગીત એક દર્દભર્યું ગીત છે

    ऐ दिल अब कहीं न जा
    न किसी का मैं न कोई मेराजब चले हम,
    राह उलझी प्यार दुनिया ने किया
    राह सीधी जब मिली तो सब ने ठुकरा दिया

    કલાકારની વ્યથાને વાચા અપાતા આ ગીત માટે એવો હલકભર્યો સ્વર જોઈએ જે સંગીતકારને હેમંતકુમારમાં જણાયો અને તેમના સ્વરમાં ગીત બનાવ્યું. ગીત સાંભળશો તો હેમંતકુમારના દર્દભર્યા અવાજને તમે પણ મહેસુસ કરશો.

    ત્રણેય ગીતોના રચયિતા છે રાજીન્દર કૃષ્ણ અને સંગીત આપ્યું છે કલ્યાણજી આણંદજીએ.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૧૧ – બેકલ અમૃતસરી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રેણીના અંત તરફ પહોંચતાં અચાનક એક એવા ગીતકાર જડી આવ્યા જેમણે એકથી વધુ ગઝલો લખી અને એકંદરે સારી લખી. આ ગીતકાર એટલે બેકલ અમૃતસરી. ૧૯૪૦ ના દાયકામાં એ ખાસ્સા સક્રિય હતા.

    એમનું અસલ નામ બલદેવ ચંદર અને જીવનકાળ ૧૯૧૭ થી ૧૯૮૨. કારકિર્દીની શરૂઆત એમણે લૈલા મજનુ, મેરા પંજાબ, મેરા માહી અને રાવી પાર જેવી પંજાબી ફિલ્મોમાં ગીતલેખનથી કરી. ૧૯૪૨ ની હિંદી ફિલ્મ જવાબમાં ત્રણ ગીતો લખી હિંદી ફિલ્મોમાં પદાર્પણ કર્યું.

    કુંદનલાલ સહગલે માત્ર બે જ પંજાબી ગઝલો ગાઈ અને એ બન્ને આ બેકલ સાહેબે લખેલી. એમણે ત્રણ પંજાબી ફિલ્મોનું નિર્માણ અને દિગ્દર્શન પણ કર્યું. જવાબ ઉપરાંત નગદ નારાયણ ( ૧૯૪૩ ), માલી ( ૪૪ ), રામાયણી ( ૪૫ ), ભક્ત પ્રહ્લાદ ( ૪૬ ), મોહિની ( ૪૭ ), બિરહિન (૪૮ ), છોટી દુનિયા ( ૫૩ ) અને લેડી રોબિનહૂડ ( ૫૯ ) જેવી ફિલ્મોમાં એમણે ૬૦ થી વધુ ગીતો લખ્યાં. બિરહિન, જગ્ગુ, મિસ કોકા કોલા, હઝાર પરિયાં, બહાદુર લુટેરા જેવી ફિલ્મોમાં કથા, પટકથા અને સંવાદ પણ લખ્યાં.

    એમની ત્રણ ફિલ્મી ગઝલ જોઈએ –

    બલાએં લૂં મૈં ઉસ દિલ કી જો દુનિયા કે લિયે રો દે
    જહાં વાલોં કે રંજો ગમકો અપને ખૂન સે ધો દે

    જલા કે આશિયાં અપના બસા કે ગૈર કી મહેફિલ
    કિસી કે સોઝે  ગમ મેં અપને સાઝે દિલ કો ભી ખો દે

    મેરી આંખોં મેં ઉસ કી આંખ હી ઈઝ્ઝત કે કાબિલ હૈ
    જો આંસુ બન કે બહ જાએ ઉસી કો ખુદ મેં હી ખો દે

    – ફિલ્મ : જવાબ ૧૯૪૨
    – પી સી બરુઆ
    – કમલ દાસગુપ્તા

     

    ઈસ ટૂટે હુએ દિલ કા અબ કૌન સહારા હૈ
    અપને ન બને અપને અબ કૌન હમારા હૈ

    ઐ દુનિયા બતા હમકો જાએં તો કિધર જાએં
    હમકો તો નઝર આતી મંઝિલ ન કિનારા હૈ

    જીના ભી અગર ચાહેં કિસ આસ પે હમ જી લેં
    ઉમ્મીદ કે આકાશ પે અબ ચાંદ ન તારા હૈ

    અબ કિસસે ગિલા શિકવા અબ કિસસે શિકાયત હો
    તકદીર કે મારોં કો તકદીર ને મારા હૈ..

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – જી એમ દુર્રાની
    – રાજહંસ કટારિયા

     

    સૌ બાર મિલે મિલ કર બિછડે મૈં દિલ કી લગી કો બુઝા ન સકી
    હર બાર સુનાના જી ચાહા પર દિલ કા હાલ સુના ન સકી

    તેરી યાદ મેં આહેં ભર ભર કે ઔર દુનિયા સે ભી ડર ડર કે
    કઈ હાર પિરોએ તેરે લિયે મૈં એક તુઝે પહના ન સકી

    દિલ પ્રેમ કી આગ મેં જલતા ગયા મેરે પ્યાર કા પૌધા ફલતા ગયા
    ફલદાર હુઆ તો ઐ કિસ્મત મૈં ઉસકા ભી ફલ ખા ન સકી

    વો બિછડ ગએ મુજસે મિલ કે અરમાન તડપતે હૈં દિલ કે
    મૈં ઉજડી હુઈ તેરે કદમોં મેં એક છોટી સી દુનિયા બસા ન સકી

     

    – ફિલ્મ : છોટી દુનિયા ૧૯૫૩
    – સુલોચના કદમ
    – રાજહંસ કટારિયા


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • લોખંડના ઉત્પાદનનાં અમેરિકાનાં કારખાનાંઓ

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah’s Kalasampoot – Steel mills of America

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com

  • ત્યારે અને અત્યારે: શૌચ વિષે સોચ

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધુ વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ૨. વૈદ્ય

    ગયા અંકમાં આપણે પાણી બાબત પરિસ્થિતિની વાત કરી. પાણીને અંગત સ્વાસ્થ્ય અને જાહેર આરોગ્ય એ બંનેની ચાવી માનવામાં આવી છે. તે જ રીતે શૌચાલય પણ જાહેર તેમ જ અંગત આરોગ્યનો મહત્ત્વનો ઘટક છે. યોગાનુયોગ તેનો પાણીની પ્રાપ્તિ જોડે પણ સંબંધ છે. આપણે જોયું કે પાણીની બાબતમાં ‘ત્યારે’ અને “અત્યારે’ વચ્ચે બહુ ફરક નથી. પરંતુ આ ગાળામાં શૌચાલયની બાબતમાં ખૂબ મોટા ફેરફાર જોવા મળ્યા છે. આજે એની વાત કરીશું. જેમ હિંસાથી ભરપૂર ફિલ્મમાં અગાઉથી કહેવાય છે કે અમુક હિસ્સા જોવા મુશ્કેલ થશે, તેમ અહીં પણ સુગમ વાચકોને ચેતવી દઈએ કે અમુક વાક્યો વાંચતાં સુરચિનો ભંગ થઈ શકે છે, પરંતુ એ વાસ્તવિકતાનો ભાગ છે.

    આજે શૌચાલય આપણાં ઘરની અંદર બેઠાં છે. ઘણી વાર તો એકદમ રસોડાની સામે જ હોય છે. ૬૦ વર્ષ પહેલાં આ વિચારથી જ લોકોને કમકમાટી છૂટી હોત. પરંતુ આજે એ ચાલી જાય છે, કારણ કે હવે એ ઘણાં સાફ હોય છે. કેટલીય જગ્યાએ નહાવાનો બાથરૂમ અને શૌચાલય એકસાથે, એક દરવાજાની અંદર હોય છે અને તેથી સરસ શણગારેલાં હોય છે. રંગરંગીન અને ચિત્રોવાળી ટાઇલ્સથી મઢેલો બાથરૂમ અને તેમાં “એર ફ્રેશનર’ મૂડ્યું હોય તો દાખલ થઈને ઘડી ભર ભૂલી જાઓ કે તમે જાજરૂમાં છો! પંચતારક હોટેલમાં તો એ જ ઓરડીમાં નહાવાનું ટબ મૂક્યું હોય. ઘણા લેખકો તો અહીં ચિંતન પણ કરતા હોય છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    આ સ્વચ્છતા બે ઘટકોને આભારી છે. એક તો ગટર યોજના અને બીજી લીસી, ચળકતી ટાઇલ્સ, ચીનાઈ માટીનાં બનેલાં ટાઇલ્સ અને ભાંડા (કમોડ)ને ગ્લેઝ ચડાવેલો હોવાથી તેને સાફ રાખવાં સરળ છે. આજથી ૭૦ વર્ષ પહેલાંનાં જાજરૂ જેણે વાપર્યા છે તેને ખબર છે કે પથ્થર અને સિમેન્ટની રચનામાં દીવાલો કે ફર્શને સાફ રાખવાં કેટલાં મુશ્કેલ હતાં, પણ તેની અસ્વચ્છતા પાછળ આ મુખ્ય કારણ નહોતું.

    ઘરથી બહુ દૂર

    એ દિવસોમાં શૌચાલયને ઘરની અંદર તો શું, તેની નજીકમાં પણ સ્થાન ન હતું. આંગણ મોટું હોય તો મૂળ મકાનથી શક્ય તેટલું દૂર તેને રખાતું. સામાન્‍ય રીતે ફળિયાની ડેલી સૌથી દૂર હોય, આથી એ એક્લુંઅટ્લું ડેલીની બાજુમાં ઊભું રહેતું. ક્યારેક ફળિયાની રચના એવી હોય કે ઘરથી એક સો ફૂટ દૂર સુધી જવું પડતું. બત્તી વિનાના એ દિવસોમાં રાત્રે ત્યાં જતાં બાળકો તો ઠીક, મોટેરાં પણ ડરે. મુંબઈ જેવાં મહાનગરોમાં પણ ચાલીની સિસ્ટમમાં જાજરૂ ઘરની બહાર જ હતાં. ત્યાં એ સમૂહમાં રહેતાં. વખત જતાં સ્નાન માટે બાથરૂમ ઓરડામાં કરી શકાયા, પણ શૌચાલય તો કોઈ ન કરે. આજે પણ આવી ચાલો મોજૂદ છે. ૧૯૬૦ના દાયકામાં જ્યારે મધ્યમવર્ગને પરામાં જઈ ‘સેલ્ફ કન્ટેઇન્ડ’ ફ્લેટમાં જવાનું મળ્યું ત્યારે એ શબ્દનો અર્થ જ હતો, “જાજરૂને સમાવનારો ફ્લેટ’.

    આ તો થઈ એવાં ઘરોની વાત જ્યાં જાજરૂ હતાં. દેશની પોણી વસતિ પાસે મકાન હોવા છતાં શૌચાલય હતાં નહીં. ગામડાં તેમ જ નાનાં ગામોમાં પ્રથા હતી વસતિથી થોડે દૂર ઝાડીમાં જઈ મોકળા થવાની. એ. થયું ઘરથી દૂર નહીં, પણ બહુ દૂર. એ એટલું સ્વાભાવિક હતું કે બોલચાલની ભાષામાં “જંગલ જવું’ કે “સીમે જવું’ એ કુદરતી હાજતનાં વૈકલ્પિક નામો હતાં, ત્યારે વસતિ આજ કરતાં ચોથા ભાગની અને ખાલી જગ્યા બમણી હોવાથી આ ‘રિવાજ’ની પર્યાવરણ કે શિષ્ટાચાર ઉપર કોઈ ખરાબ અસર પડતી નહોતી. ગાયના છાણની જેમ મનુષ્ય-મળ પણ નાઇટ્રોજનયુક્ત હોય, તેથી સીમની માટીમાં ભળી ખાતરનું કામ કરતો.

     

    જંગલ જવું –  Photo Credit – WaterAid  Mansi Thapliyal
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સ્વચ્છતાની દષ્ટિએ નાનાં નગરો અને મધ્ય કક્ષાનાં ગામોની પરિસ્થિતિ સારી ન હતી. ગામની બહાર જંગલમાં જવાની સગવડ નહોતી, કારણ કે ગામનો વિસ્તાર મોટો હતો. બીજી તરફ હજુ ગટરવ્યવસ્થા  કે સેપ્ટિક ટેન્કના વિચાર પણ ઊપસ્યા ન હતા. પાણીના નળ પણ આવ્યા નહોતા. એટલે જાજરૂ એ ખરેખર ‘પાયખાનાં’ હતાં. એ ઓરડીમાં બે પગ રાખવાનાં પગાં સિવાય કંઈ નહોતું. બે પગાંની વચ્ચે ફર્શમાં મોટું કાણું રહેતું. પાણી બહારથી લઈને જવાનું. ઓરડી જમીનથી બે-અઢી ફૂટ ઊંચી બનતી. બે પગથિયાં ચઢીને પગાં સુધી પહોંચાતું. જેથી કરીને ઓરડીની નીચેના ભાગમાં એક ચેમ્બર બને. એક બાજુથી ખુલ્લો ગોખલો જ સમજો. ઉપરના કાણામાંથી પડતો મળ આ ગોખલામાં જમા થાય. દષ્ટિના શિષ્ટાચાર ખાતર આ ચેમ્બરને પતરાનો દરવાજો કે ઢાંકણું રહેતું જેથી શેરીમાંથી જતા લોકોની સુરુચિ જળવાઈ રહે. તળપદી ભાષામાં આ જગ્યાને “પોખરો’ કહે છે.

    ફ્લશ કરવાના શૌચાયલથી ટેવાયેલા વિચારશીલ વાચકને પ્રશ્ન તો થશે જ કે અહીં જમા થતા વિષ્ટાપિંડનો નિકાલ કેમ થતો હશે ? કમનસીબે એને ડબ્બામાં નાખીને લઈ જવા સિવાય નિકાલની કોઈ વ્યવસ્થા નહોતી. એમાં પાણી વગેરે પણ પડયાં હોવાથી એ દુનિયાનું સૌથી અઘરું કામ હતું. દુઃખદાયક સ્મરણ છે કે એક જીવતાજાગતા માણસે એ ડબ્બો માથે ઉપાડીને ગામને સોંસરવું તેના નિકાલ માટે જવું પડતું! કેટલીક સુધરાઈઓએ આ માટે ગાડીની વ્યવસ્થા કરી હતી, તે એક અપવાદ.

    આજે પાછળ દષ્ટિ કરતાં એમ કહી શકાય કે એ જ વખતે ગામડાંમાં લોકો “ખુલ્લામાં શૌચ” કરતા હતા તે વધુ “માનવીય’ રીત હતી. એ સ્વચ્છ ન લાગે, પણ ગામડાંના લોકો એ રીતની સુધારેલી આવૃત્તિ – ખાડાનાં જાજરૂ – અપનાવીને સ્વચ્છતા પણ દાખવી શક્યા હોત. આઝાદીની પહેલાં જ્યાં મોટો માનવસમૂહ એકઠો થાય ત્યાં લંબચોરસ ખાડા તૈયાર કરી, સીધો તેમાં મળત્યાગ કરવાની પદ્ધતિ હતી જ. ગાંધીજીના કાર્યકર્તાઓએ આ વ્યવસ્થા સહજ રીતે અપનાવી હતી. કંતાન કે ગૂણીના પડદાથી પાર્ટિશન કરી અનેક જાજરૂ ઊભાં કરવાની રીત સર્વોદય સંસ્થાઓનાં મિલનોમાં આજ પણ વપરાય છે. ખાડા કરતાં નીકળેલી. માટીના ઢગમાંથી બે મુઠી માટી ઉપર નાંખી દેવાથી ગંધ પણ નથી આવતી અને કમ્પોસ્ટ જલદી બને છે. માટીમાં પ્રચુર માત્રામાં જીવાણુ (બૅક્ટેરિયા) હોય છે જે આ કામ કરી આપે છે.

    આઝાદી પછી બનેલા ખાદી ગ્રામોદ્યોગ પંચે ખાડાના જાજરૂને વ્યાવહારિક બનાવવા ઘણો અભ્યાસ કર્યો. તેમાંથી બે-ત્રણ પ્રકારની ડિઝાઇનો બનાવી, જે શહેરોમાં પણ ઉપયોગમાં લઈ શકાય. સામાન્‍ય રીતે પ્રવર્તતી પાણીની અછતને ધ્યાનમાં લઈને ઓછાં પાણીથી ચાલતી વ્યવસ્થા પણ હતી. રાજ્ય સરકારોએ આ સુધારા અપનાવ્યા. સંયુક્ત મુંબઈ પ્રાંતમાં એ ક્યારે લાગુ થયા તે ખબર નથી, પરંતુ અમારા ગામમાં ગુજરાતનું જુદ્દુ રાજ્ય બન્યા પછી તરત નવી પદ્ધતિનાં શૌચાલય બનાવવાનું શરૂ થયેલું. જૂની પદ્ધતિનાં પોખરાવાળાં જાજરૂ બંધ કરી દેવાયાં. રાજ્ય સરકારે નગરપાલિકા મારફત સબસિડી આપી નવાં જાજરૂ બનાવવાનું દરેક ઘર માટે ફરજિયાત કર્યું, ત્યાર સુધી ચીનાઈ માટીનાં ભાંડાં પ્રચાલિત થઈ ગયેલાં એટલે સ્વચ્છતા જાળવવી શક્ય હતી. તેથી આવાં નવાં શૌચાલય ઘરની નજીક બનાવતાં લોકો અચકાતા નહોતા.

    તે પછી ઘણા વખતે ગટરયોજના આવી. ઘરનાં બીજાં અશુદ્ધ પાણી સાથે જાજરૂને પણ જોડવાની પરવાનગી આવી. એ સ્વૈચ્છિક હતું, પરંતુ ૧૦-૧૫ વર્ષોમાં ચિત્ર એટલું બદલાઈ ગયું કે જાજરૂને ઘરમાં લઈ આવવાનું પણ શક્ય બન્યું. મહાનગર અને નાનાં નગરો વચ્ચેનો એક મહત્ત્વનો તફાવત દૂર થયો.

    બાયો-ટોઇલેટ :

    આ છે આવતી કાલનું શૌચાલય. ભારતીય રેલવેએ પ્રાયોગિક ધોરણે “બાયો – ટોઇલેટ’નો ઉપયોગ અમુક ટ્રેનોમાં કર્યો છે. એમાં લાકડાના વહેર જેવા માધ્યમમાં એવાં જીવાણુ (બેક્ટેરિયા) ભેળવવામાં આવ્યાં હોય છે જે પ્રાણવાયુની ગેરહાજરીમાં પણ જીવી શકે. મળનું વિઘટન કરી એ ખાતર બનાવે છે. આ બધું એક બોક્સમાં બંધ કરીને શૌચાલયની નીચે લગાડ્યું હોય છે. એ નાનું ખોખું પાણીથી ભરાઈ ન જાય તે માટે ફ્લશ કરવા માટે પાણીને બદલે શૂન્યાવકાશ દ્રારા કચરાને અંદર ખેંચી લેવામાં આવે છે. આટલા પૂરતી તેમાં વીજળી (કે બેટરી)ની જરૂર પડે છે. એ સફળ થાય તો બીજાં ઘણાં ક્ષેત્રે તેનો ઉપયોગ થઈ શકે. દૂર જનારી બસો કે મેટાડૉર જેવાં ટૂરિસ્ટ વાહનોમાં એ લગાડી શકાય તો સગવડભર્યું બને. રહેણાકનાં મકાનોમાં એ આવે છે કે કેમ તે તો સમય બતાવશે, કારણ કે એટલી બધી માત્રામાં ખાતરનું વિતરણ અને વપરાશ શક્ય છે કે નહીં તે તપાસવું પડે.

    અને છેલ્લે..

    જીવનમાં છ-સાત દાયકામાં આવેલા ફેરફારો વિશેની આ શ્રેણીમાં જાજરૂનો લેખ શા માટે? તો એ બતાવવા માટે કે પરિવર્તન માત્ર ટ્રાન્ઝિસ્ટર કે કમ્પ્યૂટર જેવી મોટી-મોટી ટેક્નોલોજીથી જ આવ્યું છે તેવું નથી. “એપ્રોપ્રીએટ ટેક્નોલૉજી” કહેવાય તેવા સાદા અને અસરકારક વિચારથી પણ જીવનની ગુણવત્તા સુધરી શકે છે તેનો દાખલો આપવા.


    સૌજન્યઃ નવનીત સમર્પણ *  એપ્રિલ ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઇશ્વરના ઇ મેઇલ..૧૪

    મારો અફસોસ..

    નીલમ  હરીશ દોશી

    જયાં બરફ પડતો હોય,  ત્યાં હું તાપણું થાઉ
    મારી અંગત તરસ છે.

    સુ..

    પ્રિય દોસ્ત,

    તું  ઘણીવાર બધાને કહેતો ફરે છે કે હમણાં મારો સમય સારો ચાલતો નથી. હમણાં પનોતી ચાલે છે. મારા કોઇ કામ હમણાં સીધા ઉતરતા જ નથી. શું ધાર્યું હોય અને શું થઇ જાય છે કંઇ સમજાતું નથી.વગેરે વગેરે..વાતો કરી નિષ્ક્રિય બનીને સારા સમયની પ્રતીક્ષામાં બેસી રહે છે.કે પછી કોઇ કહેવાતા જયોતિષી પાસે દોડતો રહે છે.

    અને દોસ્ત, ત્યારે એ જોઇને હું બહું વ્યથા અનુભવું છું. તું આવા કોઇ ચક્કર, આવી કોઇ માન્યતામાં ફસાઇને બેસી રહે એ મને કેમ ગમે ? દોસ્ત, સમય કદી ખરાબ કે સારો નથી હોતો.સારા કે ખરાબ આપણે પોતે કે આપણા કર્મો હોય છે. જે ભોગવવાના હોય છે. બાકી કોઇ સમય કદી એકધારો રહેતો નથી. સુખ, શાંતિના દિવસો હોય કે પીડા, મુશ્કેલીના દિવસો હોય, બેમાંથી કોઇ દિવસો કોઇના રોકયા રોકાતા નથી કે કોઇના કહેવાથી ચાલ્યા નથી જતા. જે સમય સામે છે એનો સ્વીકાર એ જ સાચો રસ્તો છે. હસીને સ્વીકાર કે રોદણાં રોઇને. જે અનિવાર્ય છે એનો ખેલદિથી સ્વીકાર થવો ઘટે. એમાં જ તારી શોભા અને તારું ગૌરવ છે. તારાથી અનેકગણા દુખી લોકો વિશ્વમાં છે. એના કરતા તો તારી પરિસ્થિતી અનેકગણી સારી છે જ ને ? તો પછી દુખી થવાને બદલે નિષ્ઠાપૂર્વક  સંજોગોને બદલવાનો  બદલવાનો પ્રયાસ કરવો રહ્યો અને સંજોગો ન બદલી શકાય તો સ્વીકારીને ધૈર્યપૂર્વક પ્રતીક્ષા કરવાની.

    દોસ્ત, મને કદીક અફસોસ પણ થાય છે કે માહિતીના યુગમાં  તમે ક્રાન્તિ કરી છે એની ના નહીં. પણ વિચાર, સંવેદના, માનવસંબંધો આ ઝડપની આંધીમાં કયાં અને કયારે ખોવાઇ જાય છે એ સમજાતું નથી. પોતાની જાતની દોસ્તી તૂટી છે, સ્વના ઉંડાણમાં જવાનું બનતું નથી. એકી સાથે અનેક ઘોડે ચડવું છે. જિંદગી પર ભાર વધતો જાય છે, ખાલીપણુ માથુ ઉંચકતું જાય છે, એની તરફ આંખ આડા કાન કરવાના પ્રયત્નો તરીકે શોપીંગનો ક્રેઝ વધતો રહે છે. જરૂર હોય કે ન હોય ગાંડાની જેમ ખરીદી કરીને ક્ષુલ્લ્ક આનંદ મેળવવાનો પ્રયાસ તું કરે છે. અને ખુશ થયાના ભ્રમમાં રહીએ છીએ. આ દુષ્ચક્ર આખરે કયાં સુધી ?

    દોસ્ત, તું  પારકાને ઓળખતા હોવાનો દાવો ચીપિયો પછાડીને કરતો રહે છે પણ તારી જાતને તું ઓળખે છે ખરો ? કે એવો પ્રયાસ પણ કદી કર્યો છે ખરો ? કદીક્સ  શાંતિથી બેસીને તારી જાત વિશે વિચાર કરે છે ખરો ? પ્રામાણિક જવાબ આપીશ ?

    લિ. તારો જ ઇશ્વર


    પ્રાર્થના એટલે છલોછલ જીવન શક્તિ, તર્કની પેલે પારનો પ્રદેશ.

    જીવનનો હકાર

    દુ:ખના પર્વત પરથી ઇશ્વરને ઉત્તમ માનવ મળે છે.

  • વાઘની સંખ્યા વધી એનો આનંદ, પણ….

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    પહેલાં વગર વિચાર્યે પ્રકૃતિનું યા પ્રાકૃતિક જીવોનું નિકંદન કાઢવું, પછી તેનું ભાન થતાં તેના પર નિયંત્રણ લાદીને સંવર્ધનના પ્રયાસ કરવા, અને એ પ્રયાસમાં સફળતા મળે એટલે રાજી થવું-માનવજાતના વિકાસના ઈતિહાસની આ તરાહ રહી છે. એ વિકસીત, વિકાસશીલ કે અવિકસીત હોય એવા દરેક દેશપ્રદેશને લાગુ પડે છે.

    તાજેતરનાં વરસોમાં વાઘની સંખ્યામાં થયેલા વધારાને કારણે આ હકીકત વધુ એક વાર યાદ આવી. વાઘની સંખ્યા ૨૦૧૪માં ૨,૨૨૬ હતી, જે વધીને ૨૦૧૮માં ૨,૯૬૭ થઈ, અને ૨૦૨૨માં તે નોંધપાત્ર રીતે વધીને ૩,૬૮૨ થઈ. અત્યાર સુધીમાં વાઘની સૌથી ઓછી સંખ્યા ૨૦૦૬માં નોંધાઈ હતી, જે ૧,૪૧૧ હતી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    વાઘની સંખ્યામાં વધારો થાય એ આનંદની બાબત છે, પણ કેવળ સંખ્યામાં વૃદ્ધિ પૂરતી કહી શકાય ખરી? વાઘ માટે તેની આસપાસનું પર્યાવરણ એમનું એમ રહ્યું છે ખરું?

    વાઘ શિકાર પર જીવનારું પ્રાણી છે, અને તે અમુક જાતનાં હરણ, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. હકીકત એ છે કે મધ્ય-પૂર્વ ભારતમાં, ખાસ કરીને ઓડિશા,ઝારખંડ અને છત્તીસગઢમાં આવાં પ્રાણીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે.

    ‘વાઈલ્ડલાઈફ ઈન્‍સ્ટિટ્યૂટ ઓફ ઈન્‍ડિયા’(ડબલ્યૂ.આઈ.આઈ.) અને ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરિટી’(એન.ટી.સી.એ.) દ્વારા હાથ ધરાયેલા, ખરીવાળાં જાનવરોના આ પ્રકારના સૌ પ્રથમ આકલનમાં આ હકીકત જાણવા મળી. ખરીવાળાં જાનવરો વાઘના ખોરાકનો મોટો હિસ્સો હોય છે, તેમજ જંગલની પર્યાવરણપ્રણાલિમાં પણ તેઓ અગત્યનો ભાગ ભજવે છે. વનવિસ્તારમાં ઘટાડો, વિકાસ, કૃષિવિસ્તારમાં વિસ્તરણ, શહેરીકરણ અને શિકાર જેવાં વિવિધ પરિબળોને કારણે આમ બની રહ્યું છે.

    આના પરિણામરૂપે માનવ-વન્ય પશુઓ વચ્ચે ટકરાવના કિસ્સાઓમાં વધારો થઈ રહ્યો છે.

    વન્ય પશુઓના માંસનો ખોરાક તરીકે વધુ ઊપયોગ તેમજ જે તે વિસ્તારના નાગરિકોમાં પ્રવર્તતી અશાંતિ વન્ય પશુઓની ઊપસ્થિતિ પર નકારાત્મક અસર કરતી હોવાનું અહેવાલમાં જણાવાયું છે, જે સરવળે ખરીવાળાં પશુઓની સંખ્યામાં ઘટાડો કરે છે. જેમ કે, મધ્ય ભારતના મહત્ત્વના કોરિડોર ગણાતા ઝારખંડના પલામૂમાં ડાબેરીઓના અંતિમવાદી વલણને લઈને ઘણા પડકાર છે, જેની અસર વન્ય પશુઓ પર થાય છે.

    શિકાર થનારાં પશુઓના ઉછેર માટે આ અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે ચીતળ અને સાબરનું સંવર્ધન સ્થળ પર જ સલામત બંધ જગ્યાઓમાં એ રીતે કરવામાં આવે કે જેથી શિકારી પશુઓ દૂર રહી શકે.

    પહેલી નજરે વિચિત્ર જણાય એવી આ વાત છે. પહેલાં શિકાર થનારાં પશુઓને ઉછેરો, તેમને શિકારી પશુઓથી દૂર રાખો, અને એ મોટાં થાય એટલે પછી શિકારી પશુઓના શિકાર માટે એમને છૂટાં મૂકી દો. કુદરતી સંતુલન એક વાર ખોરવાય એ પછી માનવને પોતાની સિમીત દૃષ્ટિથી આવા વિચિત્ર વિચાર આવતા હોય છે. આવાં તિકડમ લગાવતી વખતે માણસોને એ ખ્યાલ નથી રહેતો કે આ પૃથ્વીની સમગ્ર જૈવપ્રણાલિ એકમેક સાથે સંકળાયેલી છે, જેમાં પશુપંખીઓ ઊપરાંત વનસ્પતિનો પણ સમાવેશ થાય છે.

    એ પણ જાણવા જેવું છે કે પૂર્વ અને મધ્ય ભારતના વિસ્તારોમાં શિકારમાં ઘટાડો થઈ રહ્યો છે, તો દેશના અન્ય વિસ્તારોમાં એથી ઊલટી સ્થિતિ જોવા મળે છે. ઊત્તરાખંડ અને ઊત્તર પ્રદેશથી લઈને પૂર્વ બિહાર સુધી વિસ્તરેલા શિવાલીક ગિરિમાળાના તેમજ ગંગાનાં મેદાનોના પ્રદેશમાં તથા મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં શિકાર માટેનાં પશુઓની સંખ્યા સ્થિર રહી છે. પશ્ચિમ ઘાટમાં ચીતળ, સાબર, જંગલી સૂવર, જંગલી ભેંસ જેવાં પ્રાણીઓ વ્યાપકપણે છે, જ્યારે ઈશાન ભારતમાં જંગલી સૂવર તેમજ હોગ પ્રકારનાં હરણ વધુ જોવા મળે છે.

    ભારતમાં વિશ્વની કુલ વસતિના ૭૦ ટકા વાઘ આવેલા છે. તેમના ખોરાકનો મુખ્ય આધાર આવાં પશુઓ પર છે. કેવળ વાઘ જ નહીં, દીપડા, જંગલી કૂતરા, વરુ અને ઝરખ જેવાં પશુઓ પણ આ જ પ્રાણીઓનો શિકાર કરે છે.

    આવાં ખરીવાળાં જાનવર પ્રત્યેક વસતિ ગણતરી વખતે નોંધવામાં આવે છે ખરાં, પણ તેમની સંખ્યાનું આંકડાકીય આકલન પહેલવહેલી વખત કરવામાં આવ્યું છે. આથી તેમને કેવળ વાઘની સંખ્યાનુસાર ગણવાને બદલે સમગ્રતયા પણ જોવાની જરૂર છે. એક અંદાજ મુજબ ખરીવાળાં ત્રીસ પ્રાણીઓ પ્રતિ સો ચો.કિ.મી. વિસ્તારમાં ચાર વાઘ માટે પર્યાપ્ત ગણાય. આવાં પ્રાણીઓની સંખ્યા અને માનવ-વન્ય પશુ વચ્ચેના ટકરાવને સીધો સંબંધ છે. મહારાષ્ટ્રના તાડોબા કે મધ્ય પ્રદેશના રાતાપાની અભયારણ્યોમાં વાઘ પાળેલાં ઢોરઢાંખર પર હુમલો કરે છે, કેમ કે, એ વિસ્તારોમાં ખરીવાળાં અન્ય પશુઓ એટલે કે વાઘનાઆહારનું પ્રમાણ ઓછું છે.

    આ આખી કવાયત જોતાં ખ્યાલ આવશે કે અત્યારે ખરીવાળાં પશુઓનો મુખ્ય હેતુ જાણે કે વાઘના આહાર બાબતનો જ છે. જાણે કે સ્વતંત્રપણે તેમનું કોઈ મહત્ત્વ કે પર્યાવરણપ્રણાલિમાં કોઈ સ્થાન જ નથી. અન્ય કઈ કઈ રીતે તે પર્યાવરણપ્રણાલિને અસર કરતા હશે એનું સંશોધન થાય ત્યારે ખરું. જો કે, પર્યાવરણપ્રણાલિને નહીં, પણ માનવજાતને મદદરૂપ થતાં હોય તો જ એવા કોઈ સંશોધન માટે અવકાશ રહેતો હોય છે. પોતાને ખપમાં આવે એટલા પૂરતો જ માનવોને અન્ય જીવો કે ચીજવસ્તુઓનો ઊપયોગ હોય છે.

    આપણી વિકાસયોજનાઓ, પ્રવાસન કે અન્ય મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પોમાં પર્યાવરણને લગતા કે અન્ય આડઅસરના અભ્યાસ કેવળ નામ પૂરતા હોય છે. એ થાય છે ખરા, પણ તેનો અમલ જવલ્લે જ થતો જોવા મળે છે, કેમ કે, એનો સાચેસાચો અમલ કરવામાં આવે તો પછી જે તે વિકાસપ્રકલ્પને જ પડતો મૂકવાનો આવે.

    પર્યાવરણ, પ્રકૃતિ, વિકાસ, રાજકારણ, નાણાંકીય કૌભાંડ- આ બધાની આપણે એકમેક સાથે એ હદે ભેળસેળ કરી દીધી છે કે હવે કોઈ પણ મુદ્દો નિરપેક્ષ રીતે વિચારવો શક્ય રહ્યો નથી.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૩-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • આપણું જ આગવું ચોમાસું : ઝરણું ૩

    વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી

    ભેજ, ઝાકળ અને ઉષ્ણતામાન

    પરેશ ૨. વૈદ્ય

    પણે જોયું કે વિષુવવૃત્તની આસપાસનાં ક્ષેત્રોમાં જો જમીનનો મોટો પ્રદેશ મહાસાગરની પાસે હોય તો પવનો અમુક ચોક્કસ રીતે વાય છે અને આપણને મળ્યું તેવું ચોમાસું આપે છે. પરંતુ પવન અને ચોમાસાં વચ્ચેની કડી તે ભેજ છે, જે હવામાનનું અગત્યનું ઘટક છે. કહે છે કે પૃથ્વી ફરતે વાતાવરણમાં દશ હજાર અબજ ટન ભેજ ભળેલો છે. હવામાં ભળેલા આ ભેજને પવનો પોતા સાથે આગળ-પાછળ, ઉપર-નીચે લઈ જાય છે. રોજેરોજ આશરે દશ ટકા જેટલો ભેજ ઠરીને પાણી કે બરફરૂપે હવામાંથી બહાર પણ આવી જાય છે. આ પ્રકરણમાં ભેજ અને પવનના સંબંધોની વાત કરીશું.

    વરાળ અને બાષ્પ :

    પૃથ્વી ઉપર જીવનનો આધાર જળચક્ર છે એ વાત આપણે જાણીએ છીએ. સમુદ્રનાં પાણીની વરાળ થઈને વાદળાં બને, તેથી વરસાદ પડે અને નદીઓ બને. એનાં પાણી સમુદ્રમાં જઈને જળનું ચક્ર પૂરું કરે તેવું શાળામાં શીખ્યાં. આ વાતમાં બાળમાનસ એમ પણ કલ્પી લે છે કે જાણે સમુદ્રનું પાણી ઉકળતું હશે ! ખેર, પાણીએ હવામાં ભળવા માટે ઉકળવાની જરૃર નથી. આ ગૂંચવડો ‘વરાળ’ શબ્દને કારણે છે. આપણી ભાષાઓમાં વરાળ અને બાષ્પ એક જ અર્થમાં વાપરીએ છીએ. પાણી કે દાળ ઉકળે ત્યારે જે વરાળ નીકળે તેને અંગ્રેજીમાં ‘સ્ટીમ‘(Steam) કહે છે, એ ૧૦૦ સે. ઉષ્ણતામાને બને છે પરંતુ શિયાળાની સવારે સવારે તમારા ઉચ્છ્વાસમાં જે સફેદ ‘ધુમાડો’ નીકળે છે તે ‘બાષ્પ’ છે, જેને અંગ્રેજીમાં ‘વૅપર’(Vapour) કહેવાય છે. ઝાડની ડાળીને છેડેનાં અમુક પાંદડાઓનાં જૂથની આસપાસ પ્લાસ્ટિકની થેલી બાંધી દો તો એક-બે કલાકમાં તેના પર બાષ્પ પથરાઈ ધૂંધળી થઈ જશે. આમ બાષ્પ બનવા માટે એક સો અંશ ઉષ્ણતામાન જરૂર નથી. એ દરેક ઉષ્ણતામાને બન્યા કરતી હોય છે.

    કપડાં સૂકવવા માટે તડકામાં મૂકો તો તેમાંનું પાણી ઉડી જાય છે. તેને બદલે છાંયામાં રાખો તો ય સૂકાય તો છે જ એટલું કે તેને વાર લાગે છે. બંને વેળા કપડામાં રહેલાં પાણીની બાષ્પ થઈ હવામાં ભળતી હોય છે. તડકામાં એ જલદી થાય છે. એમ તો ઘરની અંદર પણ ફર્શ પર પોતું કર્યા પછી પાણી ઊડી જ જાય છે. એક થાળીમાં પાણી મૂકી રાખો તો બે દિવસમાં તે ય ઊડી જશે. એપણ “સૂકાવા”નો જ એક પ્રકાર છે. સર્વે પ્રકારમાં પાણી બાષ્પ થઈ જતું હોવાથી તેને ‘બાષ્પીભવન’ કહે છે. તે સામાન્ય ઉષ્ણતામાને જ થાય છે.

    પાણીની થાળી પર ઝળુંબી રહેલી હવા બાષ્પને લઈ જવા તૈયાર જ હોય છે. એ બાષ્પ લે એટલે એ ‘ભેજવાળી’ થઈ જાય અને નવી બાષ્પ ન લે. પરંતુ જો એ હટી જઈ નવી હવા આવે તો તે ભેજ ઉપાડે છે. આમ જ્યાં પવન વધારે હોય ત્યાં બાષ્પ પણ ઝડપથી બન્યા કરે છે. આપણે એને ‘જલદી સૂકાવું’ કહીએ છીએ. પોતું કર્યા પછી પંખો ફેરવવાનું પણ પ્રયોજન આ જ છે.

    સંતૃપ્ત હવા :

    પરંતુ માનો કે હવા સ્થિર છે. તો એ કેટલો ભેજ ઉપાડી જઈ શકે તેને કોઈ મર્યાદા ખરી ? બિલકુલ ખરી. કાચનું એક હવાબંધ બોક્ષ લઈ તેને તળિયે પાણી ભરેલ થાળી મૂકો. પાણીની સપાટી અમુક સ્તરથી નીચે જશે જ નહીં. અંદરની હવાથી સમાવાય તેટલો ભેજ તેણે લઈ લીધો, પછી પાણી કેમ ઊડે ? હા, જો હવાનું ઉષ્ણતામાન થોડું વધારો તો થોડો વધુ ભેજ એ સમાવી શકે. ફરીથીથોડીવારે એ સંતૃપ્ત થઈ જાય અને પાછું પાણી ઊડવાનું બંધ થઈ જાય. આમ દરેક ઉષ્ણતામાને અમુક નિશ્ચિત માત્રામાં જ ભેજ (કે પાણી) સમાઈ શકે છે. માનો કે આપણું ખોખું ૧ મીટર x ૧ મીટરx ૧ મીટર એવી સાઈઝનું હોય. એ થઈ એક ઘનમીટર હવા; તો તેમાં આટલો ભેજ કે પાણી સમાઈ શકે.

                 ઉષ્ણતામાન       પાણીનું વજન

                 ૨૬. સે.          ૨૫ ગ્રામ

                  ૨૧. સે.          ૧૮ ગ્રામ

                  . સે.            . ગ્રામ

              – સે.          ૪.૪ ગ્રામ

    જેમ ઉષ્ણતામાન ઘટતું જાય તેમ તે ઓછું પાણી સમાવી શકે છે. માત્ર તેટલાં પાણીથી એ હવા સંતૃપ્ત થઈ જાય છે. પાણીમાં ખાંડ ઓગળવા જેવી આ વાત છે. પહેલી ચમચી ખાંડ તુરત ઓગળી જાય છે. પછી એક એક ચમચી ઉમેરતાં જાઓ તેમ વધુનો વધુ વાર લાગતી જાય છે. છેવટે ખૂબ હલાવવા છતાં ખાંડ ઓગળ્યા વિના પડી રહે છે. ત્યારે જો પાણીને ગરમ કરો તો એ ખાંડ પણ ઓગળી જાય છે. જેમ ગરમ પાણી વધુ ખાંડ સમાવે તેમ ગરમ હવા વધુ ભેજ સમાવે.

    આ પરથી સાપેક્ષ ભેજ(Relative Humidity)ની વાત પણ સમજી શકાશે. રેડિયો કે ટી.વી.ના હવામાન સમાચારમાં ‘સાપેક્ષ આર્દ્રતા’ શબ્દ હમેશાં આવતો હોય છે. માનો કે આજે ૨૧ સે. ઉષ્ણતામાન છે અને દર ઘનમીટર હવામાં ૯ ગ્રામ પાણી (એટલે કે બાષ્પ, ભેજ) છે. ઉપર આપેલ કોઠા મુજબ આ ઉષ્ણતામાને ૧૮ ગ્રામ બાષ્પ આટલી હવામાં રહી શકતી હતી. પરંતુ હવામાનના સંયોગો મુજબ માત્ર અડધો એટલે કે ૯ ગ્રામ છે. તો સાપેક્ષ ભેજ ૫૦ ટકા કહેવાશે. બીજા શબ્દોમાં હવા કંઈક સૂકી જ છે. ભેજ સાડા ચાર ગ્રામ હોત તો સાપેક્ષ આર્દ્રતા(R.H.)પચ્ચીસ ટકા કહેવાત. સંતૃપ્ત હવાની સરખામણીએ ભેજનું પ્રમાણ માપવાનું આ એકમ છે.

    ઝાકળબિંદુ :

    બહુ જ સૂકા પ્રદેશને બાદ કરો તો હવામાં ભેજ તો હોય જ છે, ક્યાંક વધારે તો ક્યાંક ઓછો. દૂરથી જુઓ તો તળાવ કે સમુદ્રની સપાટી ઉપર ધુમ્મસનો પટ્ટો દેખાશે કારણ કે સમુદ્ર અને સરોવરની સપાટી ઉપરની હવા ભેજથી સંતૃપ્ત હોય છે. તળાવનાં પાણીના અણુઓ એમાં સતત ભળ્યા કરતા હોય છે. જ્યાં નદી-તળાવ ન હોય ત્યાં પણ વનસ્પતિનાં પાંડદા જમીનમાંથી ખેંચેલા પાણીને હવામાં ઉડાડતાં હોય છે. સમુદ્ર કાંઠાથી દૂરના પ્રદેશોમાં ભેજ ઓછો હોય. હવાની ગતિ અને ઉષ્ણતામાન પણ ભેજ નક્કી કરે. પરંતુ આ બધો ભેજ કંઈ વાદળાં નથી બની જતો. તાે વાદળાં કેમ અને ક્યારે બને ?

    એ સમજવા એક પ્રયોગ કરીએ. અગાઉ વાત કરી તેવું કાચનું બોક્ષ લો. તેની અંદર હવા છે તેમાં પણ ભેજ તો હશે જ. માનો કે એટલો ભેજ છે કે જો ઉષ્ણતામાન ૩૦ સે. હોય તો એ હવા સંતૃપ્ત નથી થતી પરંતુ જો ઉષ્ણતામાન ૨૬ સે. થઈ જાય ત્યારે એ સંતૃપ્ત થઈ જશે. ત્યાં જ માનો કે ઉષ્ણતામાન ઘટીને ૨૫ સે. થઈ જાય, તો શું થતું જણાશે ?

    હવા સંતૃપ્ત થઈ જશે અને બાકીનો ભેજ બહાર ફેંકી દેશે. એ વધારાનો ભેજ બોક્ષની દિવાલ પર જામશે અને કાચ ધૂંધળો થશે. જો ઉષ્ણતામાન હજુ વધારે ઘટે તો કાચ પર વધુ ભેજ બાઝશે અને ટીપાં થઈને વહેવા માંડશે. બોક્ષને બદલે ખુલ્લામાં વહેતી હવા જો અચાનક ઠંડી પડે તો વધારાનો ભેજ ઝાડનાં પાદડાં કે બાલ્કનીની રેલિંગ ઉપર ઝાકળનાં ટીપાંરૂપે બાઝે છે. રાતની વચ્ચે જ્યારે ઉષ્ણતામાન ઘટી જાય અને હવામાં સારો ભેજ હોય તો બીજે દિવસે સવારે આવી ઝાકળ જોવા મળે છે. ક્રિકેટની ‘ડે ઍન્ડ નાઈટ’ મૅચમાં રાતે ૯-૧૦ વાગ્યા પછી બોલરો ભીના બોલથી પરેશાન હોય છે. આવું કાંઠાનાં શહેરોમાં વધુ બને છે કારણ કે હવામાં ભેજ વધારે હોવાથી ઉષ્ણતામાન થોડું ઘટવાથી જ તે બહાર પડવા લાગે છે.

    આમ જે ઉષ્ણતામાને હવા ભેજથી સંતૃપ્ત થઈ જાય તે એનું ઝાકળબિંદુ કહેવાય છે. સમજી શકાય તેવું છે કે તેનો આધાર સાપેક્ષ આર્દ્રતા – હવામાં કેટલો ભેજ છે તે બાબત પર હોય. વધારે ભેજ હોય તેવી હવામાંથી ભેજ જલદી બહાર આવી જાય. વાદળાં એ પેલાં બોક્ષની દિવાલ પરનાં ધુમ્મસ જેવી ઘટના છે. એ ઠરેલા ભેજનું સ્વરૂપ છે પરંતુ તેમાં ભેજરૂપે પાણીનાં ટીપાં અતિશય સૂક્ષ્મ કદનાં હોય છે. એક મિલીમીટરના ય હજારમા ભાગ જેટલા વ્યાસનાં આ ટીપાં એટલાં તો હલકાં હોય કે ગુરૃત્વાકર્ષણ તેને નીચે નથી લઈ આવતું. આથી વાદળાં ધૂંધળા ઢગલા તરીકે હવામાં તરતાં રહે છે.

    ભેજને ઠારીને વાદળાં બનાવવા માટે કુદરતે શી યોજના કરી છે તેની વાત હવે પછીના પ્રકરણમાં…

     


    ક્રમશઃ


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.