કુલવંત અથવા કુલવંતસિંહ જાનીનો ફિલ્મ પ્રવેશ ૧૯૭૦ ના દાયકામાં થયો. એમણે ૭૦ થી ૯૦ ના દાયકામાં અનેક ફિલ્મોમાં પટકથા અને સંવાદ પણ લખ્યા. આ ફિલ્મોમાં હમરાહી, પાપી, પ્યારા દુશ્મન, સરદાર, મુહબ્બત કી કસમ, એક હી રાસ્તા, ઘર બાઝાર, અધિકાર, સૂર્યવંશી, કલ કી આવાઝ અને ઈમાનદાર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. બે ટીવી ફિલ્મ ધરતી આકાશ અને તેરી મેરી કહાનીના સંવાદ પણ એમણે લખ્યા.
દરાર, લલકાર, ગાલ ગુલાબી નૈન શરાબી, એક લડકી બદનામ સી, દાદા, અલીબાબા મરજીના, લડાકુ, મેરા સલામ જેવી ફિલ્મોમાં સોથી વધુ ગીતો પણ લખ્યા. એ જમાનામાં એમનું લખેલું અને યેસુદાસ દ્વારા ગવાયેલું ફિલ્મ ‘ દાદા ‘ નું ‘ દિલ કે ટુકડે ટુકડે કર કે મુસ્કુરા કે ચલ દિયે ‘ ખૂબ લોકપ્રિય થયેલું.
ન કરે નારાયણ અને માનો કે કોઇને જીવડું [સાપ] અડી ગયું તો ? તો કોઇપણ જાતના દોરા=ધાગા-ડોકમાં ફાળકી કે ઝેર ઉતારવાના મંત્રો-તંત્રો જેવા ઇદંતૃતિયં નુસ્ખા અજમાવવાના બંધ રાખી જેમ બને તેમ વહેલામાં વહેલા નજદીકના સારા દવાખાને દરદીને કેમ પહોંચાડવો એ જ હિતાવહ ગણાય.
જો કે સાપ અમસ્તો અમસ્તો વિના કારણે કદિ કરડતો નથી. પણ આપણે તો રહ્યા ખેડૂત ! વેળા ક વેળા-વાડી-ખેતર્ના શેઢા-પાળા કે અડાબીડ ઊભી મોલાતોમાં કામ કરતાં ક્યારેક ઘાસ-પૂસમાં છૂપાએલ સાપની પૂંછડી દબાઇ ગઈ હોય તો એ પોતાના સ્વબચાવ અર્થે અથવા તો કોઇ વેળા એના ઋતુકાળની ઉછળકુદમાં ઓચિંતાની આપણા દ્વારા કોઇ ખલેલ ઊભી થઈ ગઈ હોય, તો ખીજવાઈ જઈને સાપે ડંખ મારી દીધો હોય ત્યારે એ સીમ-વગડેથી ઝટ ઝટ રવાના થઈ ઘણી ઉતાવળ કરવા છતાં દવાખાને પહોંચવામાં કેટલોક વખત લાગી જ જવાનો ને ?
તો બસ, મારું કહેવાનું એટલું જ છે કે “આ બટકું ભરવાથી તે દવાખાને પહોંચવા સુધીના વચ્ચેના સમયગાળામાં સાપનું ઝેર ઉતારી દઈ, દરદીને રાહત કરાવી આપે એવો કોઇ ઉપાય મળી જાય તો આપણે એની અજમાયેશ કરીએ કે નહીં ?” સાપનું ઝેર ઉતારી આપી, દરદીને ઝેરમુક્ત કરી દે એવો સફળ ઉપાય છે-જે વૈદ શ્રી શોભન વસાણી [દલપતભાઇ વસાણી] એ અમોને લોકભારતી ગ્રામ વિદ્યાપીઠમાં ભણતા વિદ્યાર્થીઓને શિખવ્યો હતો.
એમાં કરવાનું શું ? “સાપે દંશ દીધો” એવા સમાચાર મળ્યા ભેળું કોઇ એક ઉતાવળિયા જણે દોડતાં જઈ, નજદીકના પીપળાના ઝાડવે પહોંચી કુણાં કુણાં પાનવાળી બે-ત્રણ તીરખી તોડી લાવવાની. તેનાં પાન તોડતાં ડીટિયાં પર ધસી આવેલ ક્ષીર-પ્રવાહી લુછાઇ ન જાય તે રીતે બે પાંદ તોડી, પોતાના બન્ને હાથમાં એક એક પકડી, દરદીના બન્ને કાનમાં એક એક ડીટિયું દાખલ કરી, પાનની ડાંડલીને કાન સાથે બરાબર સજ્જડ રીતે પકડી રાખવી. આમ કરવાથી દરદીને કાનમાં જોરદાર દુ:ખાવો શરૂ થશે, એટલે તે માથું ધુણાવવા માંડશે કે હાથ વતી કાન છોડાવવા ધમપછાડા કરવા માંડે એવે ટાણે જરૂર પડે તો બીજા એક-બે જણાની દરદીને પકડી રાખવામાં મદદ લેવી.
થોડા સમયમાં કાનમાં દાખલ કરેલ ડીટિયાં કાળાં પડી જશે. એટલે એ પાન દૂર કરી, બીજાં નવાં પાનનાં ડીટિયાં કાનમાં દાખલ કરી ટકાવી રાખવાં. આમ ચાર-પાંચ વખત કરવામાં આવશે ત્યાં દરદીની પીડા ઘટી જશે અને દવાખાને પહોંચતાં સુધીમાં દરદી ઝેરમુક્ત થઈ જશે. આ પ્રયોગની કોઇ આડ અસર નથી, અને એને માટે કોઇ વધારાનો સમય પણ વેડફવાની વાત નથી. માત્ર દવાખાને પહોંચતા સુધીના સમયગાળામાં જ અજમાવી જોવાની ભલામણ છે. આમ પીપળાના વૃક્ષને માનવ-જીંદગીને પૂન: ધબકતું કરવા માટે અપાએલ પ્રકૃતિદત “વરદાન” ન કહીએ તો બીજું શું કહીશું કહો !
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
“પ્રાણવાયુ” બાબતે કેવડું મોટું યોગદાન ? ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે કે “अश्व्स्थ: सर्व वृक्षाणामहम“ – વૃક્ષોમાં હું પીપળો છું !” વૃક્ષોની તો આખી દુનિયા છે ભૈ ! લીમડો, વડલો, ખીજડો, હરમો, જાંબુડો, આંબો, ઇંગોરિયો, કેરડો જેવા અસંખ્ય વૃક્ષોમાંથી માત્ર “પીપળો” જ ભગવાન કૃષ્ણને વધુ મહત્વનો કેમ લાગ્યો ?
મિત્રો ! પીપળા પ્રત્યે ભગવાનના પક્ષપાતનું કારણ એ પણ ખરું કે બીજા વૃક્ષોની સરખામણીએ પીપળાના વૃક્ષની દેહરચના નીરખીશું તો ખ્યાલ આવશે કે આ વૃક્ષના દરેક પાન એકબેજાથી છૂટા છૂટા અને સૂર્યપ્રકાશનો મહત્તમ ઉપયોગ કરી શકે તેવા ગોઠવાયેલાં જણાશે. જેમકે પાંદડાંની નસો બધી સ્પષ્ટરીતે ઉપસેલી હોવાછતાં તેની સપાટી ખુબ જ લીસી અને એવી ચકચકિત હોય છે કે તે વધુમાં વધુ સૂર્યપ્રકાશને સમાવી લઈ, વધુમાં વધુ પ્રકાશ સશ્લેષણની ક્રિયા કરી શકે ! અરે, બીજાં વૃક્ષો ઝાંખા પ્રકાશમાં આવું કામ નથી કરી શકતા એવા ઝાંખા પ્રકાશમાં પણ પીપળો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા-અંગારવાયુને પોતાના ખોરાકની રાંધણક્રિયામાં વાપરી-બદલામાં પ્રાણવાયુ રૂપે વધુ રૂપાન્તરિત કરી આપવાનું વિરલ કામ કરી દેખાડે છે. તેજ કારણે આપણા ઋષિ-મુનીઓ અને ગલઢેરાઓએ ધર્મ અને પવિત્રતા સાથે વિજ્ઞાનને વણી લઈ, દેવમંદિરો અને ગામડાંઓની ભાગોળે પીપળાના વૃક્ષો બહુ ગણતરી પૂર્વક જ ઉછેરાવ્યા હોય એવું નથી લાગતું ?
આ વાતને આધુનિક વિજ્ઞાનનો ટેકો : થોડા વરસો અગાઉ અમેરિકાના બોસ્ટન શહેરમાં દુનિયાભરના પ્રખ્યાત વનસ્પતિશાસ્ત્રીઓની એક કોન્ફરસ યોજાએલી. અને એમાં જર્મનીના એક વનસ્પતિશાસ્ત્રીએ એવું જણાવ્યું કે “ આ પૃથ્વી પર અનેક જાતના વૃક્ષો છે. પરંતું એ બધામાં “પીપળો’ એક માત્ર એવું ચમત્કારિક વૃક્ષ છે કે જે 24 કલાક એટલે કે દિવસ અને રાત વાતાવરણમાં વધુમાં વધુ ઓક્સિજન છોડી પર્યાવરણને શુદ્ધ કરવામાં મોટામાં મોટો ફાળો આપી રહ્યું છે.” આમ આપણે જેને દેવતુલ્ય ગણી જેની પૂજા-અર્ચના અને આરધના કરીએ છીએ એ પીપળાને હવે વિદેશના વિજ્ઞાનીઓ પણ અત્યંત ઉપયોગી વૃક્ષ જણાવી રહ્યા છે.
અભિનંદન : તા- ૧૦-૦૮-૨૦૨૧ના ફૂલછાબ અખબારમાં “વાચકોના દરબાર” માં છપાએલ વિગત જાણી કે “વાગુદડ ગામે પીપળાના અસંખ્ય વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું.” ઘટના વખાણવા લાયક અને પર્યાવરણ માટે ખુબ જ હિતકારી હોઇ, વિશ્વના આ ભયંકર પ્રદુષિત વાતાવરણમાંથી બચાવવા માટેનું આ ઉમદા કાર્ય કરનાર સૌ કર્મવીરોને અમારા તરફથી રાજીપો અને અભિનંદન !
ઓળખ : પીપળાને હિંદીમાં “પીપલ” , સંસ્કૃતમાં “અશ્વસ્થ” અને અંગ્રેજીમાં “સેક્રેડફીગ કે બો ટ્રી” કહે છે. આમ જોઇએ તો આજ દિન સુધી પીપળાના વૃક્ષોનું કોઇએ વ્યવસ્થિત પ્લાંટેશન કર્યું હોય તેવું જાણવામાં આવ્યું નથી. આ વૃક્ષો ગામડાંની ભાગોળે, સીમ-વગડે કૂવા-તળાવના કાંઠે, ખીણો, ડુંગરાઓ, જૂનાં ખંડેરો અને નદીના કોતરોમાં ટવર્યાં ટવર્યાં જોવાં મળતાં હોય છે. આ ઝાડને પ્રકૃતિએ એવા કઠ્ઠણ સ્વભાવનું બનાવ્યું છે કે એ એકવાર ઊગી ગયું ? પછી વરસો સુધી સારી-નરસી ગમે તે જમીનમાં અને પાણી-માવજતની કોઇ જ માગણી વિના ટકી રહેવાની ક્ષમતા ધરાવનારું છે.
સિમેન્ટ ચણેલી દિવાલમાં પીપળો સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
તેનાં પાન હદય આકારનાં, ડીંટા પાસે સહેજ સંકોચાયેલાં, અને તળિયે પહોળાં તથા વચ્ચેના ભાગે વધુ પહોળા-ટોચ તરફ સાંકડાં અને છેલ્લે છેલ્લે અણિદાર-એવાં ઘાટનાં હોય છે. ઝાડની છાલ પર કાપ મૂકીએ તો દૂધ [ક્ષીર] નીકળે છે. પાનખર ઋતુમાં આ વૃક્ષનાં બધાં પાન ખરી જઈ, વૃક્ષ સાવ ઠુંઠા જેવું બની જાય છે અને પછી આખા ઝાડ પર કૂણી કૂણી કાચ જેવી ચમકદાર-તબકતી કુંપળો ફૂટી નીકળે છે. ઝાડ પરનું આ દ્રશ્ય જોઇ, કોઇ કવિએ “પીપળ પાન ખરંતા હસતી કુંપળિયાં, અમ વીતી તમ વિતશે ધીરી બાપુડિયા !” કુંપળો અને વૃદ્ધ થઈ –પાકીને ખરી પડતાં પાંદડાંઓ વચ્ચેનો સંવાદ આ રીતે સંભારીને મનુષ્ય જીવનમાં પણ નાની ઉંમરવાળાઓએ વૃદ્ધોને દેખી તેની અવગણના ન કરવી જોઇએ, કારણ કે તમે પણ ધીરા રહો, ધીરે ધીરે કરતા તમ સૌને પણ વૃદ્ધાવસ્થા આવવાની જ છે ! એવો શીખ-સંદેશ પીપળાને નિમિત્ત બનાવી આપી દીધો છે.
પીપળાના ફૂલો તો હોય છે એકદમ બારીક ! તેના ફૂલમાંથી ફળ બંધાતાં તે ગોળ ચણા જેવડાં થાય, જે સ્વાદે તૂરાં-મધુરાં હોય છે. કાચાં ફળને તોડતાં દૂધ નીકળે છે.અને પાકાં ફળમાં ઝીણી ઝીણી જીવાતોનો પાર હોતો નથી. પણ પક્ષીઓને તો આ ફળો મીજબાનીની ગરજ સારે છે. પીપળા વૃક્ષોનું રોપાણ આમ ગણીએ તો પંખીની ચરક દ્વારા- બિયાં જ્યાં ને ત્યાં ચોતરફ ધરતી પર પડી, વરસાદ આવતાં ઊગી નીકળવાની રીતે થાય છે. અને બીજી રીતે તેનું વર્ધન કરવું હોય તો જે પીપળાને ઝીણી ઝીણી વડવાઇઓ આવી હોય તેવા ઝાડની ડાળીઓના કટીંગ ચોપવાથી પણ નવું ઝાડ તૈયાર કરી શકાય છે.
ઔષધીય પ્રદાન : પીપળાના પાન, તેની છાલ, તેના ફૂલ અને ફળ તેમજ મૂળ સહિતના દેહભાગો ઔષધીય ગુણો ધરાવતા હોવાથી માનવ જીંદગીની દરેક બીમારીઓ માટે રામબાણ ઇલાજ છે એવું આયુર્વેદનું કહેવાનું છે. ડોકટરની સલાહ અનુસાર ઉપયોગ કરવાથી તેના ફળનું કે ચૂર્ણનું સેવન મગજના કોષોને ચેતનવંતા બનાવે છે. બુદ્ધિ અને યાદશક્તિમાં વધારો કરી શરીરમાં બળ-ઉત્સાહનો સંચાર કરે છે.
તેનાં પાન અને છાલના ઉપયોગથી પેટનો દુ:ખાવો, કબજિયાત, એસીડીટી, હદયરોગ તેમજ ચામડીના ખુજલી, ધાધર જેવા હઠીલા દરદોમાં રાહત અને દાંતના દુ:ખાવામાં તેની પાતળી ડાંડલીનું દાંતણ તથા તોતડું-બોબડું બોલનાર બાળકને પાકાં ફળોનું સેવન લાભદાયી બને છે. લીવરનું દર્દ હોય કે આંચકી આવતી હોય, નપુસંકતા હોય, આંખનો દુ:ખાવો હોય કે ભલેને ઝેરી જીવડાંનું ઝેર ચડ્યું હોય, પાનનો રસ, છાલનું ચૂર્ણ અને તેની ભસ્મ અક્સીર ઉપાય છે.
પિરામિડ ઘાટનાં પાન : લગભગ તો સૌને આ બાબતનો ખ્યાલ હશે જ કે કોઇપણ મંદિરનો ઘુમ્મટ હોય, સારા- નરસા પ્રસંગોમાં વપરાતું નાળિયેર-શ્રીફળ હોય, ધાતુનો કોઇ કળશ હોય, કે પછી ભલેને કોઇ મોદકરૂપી તૈયાર થયેલ પ્રસાદ હોય ! દરેકનો આકાર શંકુ-પિરામિડ જેવો જ હોય છે ને ? વિજ્ઞાને કબુલ્યું છે કે પિરામિડ આકારની વસ્તુઓમાં શક્તિ સંચય કરવાની અને તેમાં વધારો કરવાની જબરી ક્ષમતા રહેલી છે. તે દ્રષ્ટિએ મૂલવતાં આપણા આ પીપળવૃક્ષના પાંદાડાંઓને પણ પ્રકૃતિએ શંકુ-પિરામિડનો આકાર આપી એની શ્રેષ્ટતામાં એક છોગું ઓર ચડાવી દીધું છે !
અન્ય યોગદાન : મનુષ્યોને ખોરાક પાણી અને ઔષધી કરતાંયે વધારે જરૂરિયાત ચોખ્ખી હવાની હોય છે. એટલે પીપળા જેવા વધુ પ્રાણવાયુ ઉત્પન્ન કરનાર વૃક્ષની ફરતે સવારમાં પ્રદક્ષિણા કરવામાં આવે તો શુદ્ધ પ્રાણવાયુ શરીરમાં સંચાર થતાં રક્તની શુદ્ધિ થાય. અને તેનાથી શરીરના દરેક અંગમાં શક્તિ-સ્ફુર્તિ અને સ્વસ્થતાનું ઉમેરણ થવા ઉપરાંત મગજને પણ શુદ્ધ લોહી મળવાથી મન પણ પ્રફુલિત અને ઉત્સાહી બને છે.
આ વૃક્ષ મનને શાંત કરી શકે તેવી હકારાત્મક ઉર્જાનું ઉદભવસ્થાન હોઇ, મંદિરોનાં પ્રાંગણમાં ઉછેરાય છે.તેની નીચે બેસીને જ ભગવાન બુદ્ધે આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલું. તેથી તો પીપળાને “બોધી વૃક્ષ” જેવું આધ્યાત્મિક હુલામણું નામ પ્રાપ્ત થયેલ છે. જેથી બૌધ ધર્મમાં પણ પીપળાના વૃક્ષને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.
પીપળો મસ્ત એવો ગુણકારી પ્રાણવાયુ યુક્ય છાંયડો આપવા ઉપરાંત સીલ કરાવામાં અને રંગકામ કરવા ઉપરાંત દવાઓ બનાવવામાં ખુબ જ ઉપયોગી એવી બોરડીની લાખ કરતાંએ ગુણવત્તામાં શ્રેષ્ઠ એવી લાખ પણ આપે છે.
લોક માન્યતાઓ :પીપળાને પૂજનારા, એને થડિયે પાણી રેડનારા અને એની ફરતે પ્રદક્ષિણા ફરનારા ઘણા બધા લોકો સમાજમાં મળી આવે છે. અરે ! જે વૃક્ષમાં બ્રહ્મા-વિષ્ણું અને મહેશનો વાસ છે એવા આ ઝાડ નીચે બેસીને શ્રાધ વગેરે ક્રિયાકર્મો પણ કરવામાં આવે છે. કોઇ લોકો પીપળાને દેવવૃક્ષ માની બહુ જ ભાવથી પાણી-સાકર-દૂધ અને સિંદૂર વડે તેની પૂજા કરે છે, તો બ્રાહ્મણો જનોઇ ઉતારી પીપળાને અર્પણ કરે છે. આ વૃક્ષના દેહભાગો યજ્ઞાદિ હોમ-હવનમાં “સમિધ’ તરીકે ઉપયોગી હોઇ, તેને કાપવા કે બાળવા બાબતે ધર્મે મનાઇ ફરમાવાયેલ છે.
વિચારો ! કૃષ્ણાવતાર-અંતમાં પારધીનું બાણ વાગી ભગવાન શ્રીકૃષ્ણના દેહત્યાગની ઘટના પીપળાના વૃક્ષ નીચે જ ઘટી હોવાથી- ભગવાનના દેહત્યાગ માટે નીમિત્ત અને સાક્ષી પણ પીપળો જ થયો ગણાય ને ? અરે ! નવજાત શીશુના જન્મના છઠે દિવસે બહેનો દ્વારા કરવામાં આવતી “છઠ્ઠી” ની વિધિ વખતે વિધાતાએ બાળકની જિંદગીનું ભવિષ્ય લખવા એ નનકુડા બાળકની પાસે “પેન” ની સાથે “પીપળાના પાંચ પાન” મૂકવાનો રિવાજ આજે પણ ચાલુ જ છે !
તો કેટલાક વળી “ભૂતનું સ્થાન પીપળે” કહી અકાળે અવસાન પામેલા કે અધુરી ઇચ્છાએ મૃત્યુ પામેલા જીવોએ મૃત્યુ પછી તુરત પૂનરજન્મ નહીં પામતાં કર્મભૂમિની આસપાસ સુક્ષ્મદેહે એટલેકે આત્મા સ્વરૂપે ભટકતા હોય, જેને સૌ ભૂત પ્રેત કહે છે, તેઓનું પણ આશ્રયસ્થાન આ પીપળાનું વૃક્ષ જ છે, એવી લોકમાન્યતા છે.
દેશ અને દુનિયા પર હાવી થઈ બેઠેલા “કોરોના” વાઇરસના હુમલા પછી સૌને સમજાઇ ગયું છે કે આપણી જીંદગી માટે “પ્રાણવાયુ” કેટલું અગત્યનું પરિબળ છે ! ઘેર ઘેર કંઇ વેંટિલેટર વસાવી ન શકાય, પણ આવા બધા વૃક્ષો તો વેંટિલેટરના બાપ સમાન છે અને પાછા કુદરતી છે ! આપણે આવા વૃક્ષોના ગુણોને ધ્યાનમાં લઈ તેનું વધુમાવધુ રોપાણ થાય તેવા પ્રયત્નો કરીએ. અને તેઓને કદિ દુભવવા નહીં એવું પ્રણ લઈએ.
જો તમે કોઈ જળાશય પાસે ઉભા હોવ અને નજીકના ઝાડ પરથી પાણીમાં વાદળી રંગનો ઝબકારો જુઓ, તો તમે કદાચ એક કિંગફિશરને એક્શનમાં જોયું હશે. કિંગફિશર્સને ત્રણ જૂથોમાં વહેંચવામાં આવે છે; રિવર કિંગફિશર્સ, ટ્રી કિંગફિશર્સ અને વોટર કિંગફિશર્સ. પ્રજાતિઓ વચ્ચે રંગો બદલાતા હોવા છતાં, મોટાભાગના કિંગફિશર પાસે લાંબી, અણીદાર ચાંચ અને સારી દ્રષ્ટિ છે જે તેમને દૂરથી તેમના શિકારને જોવામાં મદદ કરે છે.
કિંગફિશર્સ તેમના અનન્ય શિકારના લક્ષણો માટે જાણીતા છે. તેઓ પાણીની અંદર માછલીનો શિકાર કરે છે અને તેને ડાળખી પર પાછા લઈ જાય છે, ડાળી પર વારંવાર પછાડી માછલીને મારી નાખે છે અને પછી તેને આરોગે છે . તેમની આંખો પટલ દ્વારા સુરક્ષિત છે જે તેમને પાણીમાં ડૂબકી મારવામાં અને તેમના શિકારને શોધવામાં મદદ કરે છે. તેમની આંખો પાણીની સપાટીથી આવતા પ્રકાશને પણ સમાયોજિત કરી શકે છે, જે તેમને જળાશયની ઊંડાઈ માપવામાં મદદ કરે છે.
ભારત કિંગફિશરની 12 પ્રજાતિઓનું ઘર છે, પરંતુ તેમાંથી ત્રણ અન્ય પ્રજાતિઓના પ્રમાણમાં ઘણી વધુ જોવા મળે છે. વ્હાઇટ-થ્રોટેડ કિંગફિશર, કોમન કિંગફિશર અને પાઇડ કિંગફિશરની ત્રિપુટી દેશના મોટાભાગના ભાગોમાં – નદી કિનારે, ખેતરોમાં, ધમધમતા શહેરોમાં પણ જોઈ શકાય છે. છતાં “સામાન્ય” કહેવાતા હોવા છતાં, આ દરેક પક્ષી પોતાની ખાસ જરૂરિયાતો, પસંદગીઓ અને પડકારો દ્વારા આકાર પામેલ જીવન જીવે છે.
શ્વેત કંઠ કલકલિયો (White throated Kingfisher)
[ઇલેક્ટ્રિક તાર પર બેઠેલ શ્વેત કંઠ કલકલિયો]ત્રણમાંથી, શ્વેત કંઠ કલકલિયાને મોટાભાગના લોકો ઓળખે છે. તે તેમના ભૂરા માથા અને ગળા પર સફેદ ડાઘ અને પાંખો અને પીઠ પરનો ચમકતો ઇલેક્ટ્રિક વાદળી રંગથી આરામ થી ઓળખાય છે. તેની મજબૂત લાલ ચાંચ પણ દૂર થી દેખાઈ જાય. તેના મોટાભાગના ભાઈઓથી વિપરીત, આ કિંગફિશર પાણી સાથે બંધાયેલું નથી. તે ઘણીવાર ઇલેક્ટ્રિક વાયર, સૂકા ઝાડ અથવા છત પર બેઠેલું જોવા મળે છે -તેનો કલકલ અવાજ ખુબજ દૂર સુધી સંભળાય છે,ઘણીવાર પક્ષી દેખાય તે પહેલાં જ અવાજ સંભળાય છે. તેના વિશિષ્ટ અવાજ પર થી તેને ગુજરાતી માં કલકલિયો કહેવામાં આવે છે. તેના નામ થી વિરુદ્ધ તે ફક્ત માછલી જ નહીં પણ જંતુઓ, દેડકા, ગરોળી, નાના સાપ અને ઉંદરો પણ ખાય છે ક્યારેક તે અન્ય નાના પક્ષીઓનો પણ શિકાર કરતો જોવા મળ્યો છે. તે તળાવ, ખેતરો, બગીચાઓ, હાઇવે, જંગલો પાસે પણ રહી શકે છે. તેના ઘણા પ્રકારના વાતાવરણમાં ટકી શકવા અને ઘણા પ્રકારના ખોરાક ખાઈ શકવાને કારણે, વૈજ્ઞાનિકો તેને “જનરલિસ્ટ” કહે છે. અનુકૂલન કરવાની આ ક્ષમતાએ તેને સમગ્ર દેશમાં વ્યાપકપણે ફેલાવવામાં મદદ કરી છે. એક રીતે, શ્વેત કંઠ કલકલિયો આપણી સાથે રહેવાનું શીખી ગયું છે.
[નાનો કલકલિયો તેને ગમતા અને અનુકૂળ વાતાવરણ માં]બીજી બાજુ, કોમન કિંગફિશર શાંત અને વધુ નાજુક જીવન જીવે છે. કદમાં ઘણું નાનું – લગભગ ચકલી જેટલું – તે ઉડતા રત્ન જેવું લાગે છે. તેની પીઠ ચમકતા વાદળી રંગની હોય છે, તેનું પેટ ઘેરા નારંગી રંગનું હોય છે, અને તેની ગરદન નીચે એક નાનો સફેદ ડાઘ રહેલો હોય છે. તે સ્વચ્છ, શાંત પાણીની નજીક જોવા મળે છે – જેમ કે નાની નદીઓ, ગામડાના તળાવો અને ધીમી ગતિએ વહેતા નાળાઓ. આ પક્ષી શરમાળ હોય છે. તે નદી કિનારે નાની ડાળી અથવા ખડક પર શાંતિથી બેસી પાણીમાં હલચલ પર ધ્યાન કેન્દ્રિત કરે છે પછી, એક ઝાટકે ઝંપલાવી, તે નાની માછલી અથવા પાણીના જંતુને પકડે છે.
[નાનો કલકલિયો માછલીના શિકાર સાથે]કોમન કિંગફિશરને પુષ્કળ ખોરાક અને માળા બનાવા નરમ માટી વાળા કાંઠાની જરૂર હોય છે જ્યાં તે માળો ખોદી શકે. તે ગંદા, ઘોંઘાટીયા વાતાવરણમાં ટકી શકતું નથી. તેથી જ, તેના નામમાં કોમન હોવા છતાં, તે હવે ઘણા વિસ્તારોમાં સામાન્ય નથી રહ્યું. કોમન કિંગફિશર ને ઇકોલોજીની ભાષા માં “specialist” કહે છે! Specialist એટલે એવી પ્રજાતિઓ જે બહુ ચોક્કસ પ્રકારના ખોરાક પર, વાતાવરણ કે રહેઠાણમાં જ તેમનું જીવન શક્ય બનાવી શકે છે! કોમન કિંગફિશરને નાની ચોખ્ખી નદીઓ જેમાં માછલી મળી રહે અને પાણી પણ વધારે ઊંડું ન હોય, આસપાસ કિનારે વનસ્પતિ અથવા ઝાડ હોય જેની ડાળખી પર તે બેસી શકે અને માળો બનાવવા માટે નમણી માટી વાળા કિનારા હોય, આટલું મળી રહેતું હોય તો જ કોમન કિંગફિશર ત્યાં રહી શકે એની વિપરિત વ્હાઇટ થ્રોટેડ કિંગફિશર એક generalist છે! તેનો મતલબ તેને ગમે તે વાતાવરણ ચાલે, તે જંગલોમાં, ખેતરોમાં પણ રહી શકે અને જે મળે તે ખોરાક ખાઈ લે! કોમન કિંગફિશરની હાજરી એ સંકેત છે કે નજીકનું પાણી હજુ પણ સ્વસ્થ છે.
કાબરો કલકલીયો (Pied Kingfisher)
[ ડેમના કિનારે માછલીની શોધમાં બેઠેલ કાબરો કલકલિયો]કાળો અને સફેદ, કાંટાદાર ચોટલી અને ઝડપી પાંખો સાથે, પાઇડ કિંગફિશર જેને ગુજરાતીમાં કાબરો કલકલિયો કહે છે તે મોટા જળાશયો ઉપર એક જ જગ્યા એ ઘણી વાર સુધી ઉડી અને માછલીઓ માટે ઝડપથી ડાઇવિંગ કરતું જોવા મળે છે. તે ઓછું શરમાળ, વધુ સામાજિક છે, અને સામાન્ય રીતે ડેમ, નદીઓ અને મોટા તળાવોની નજીક જોવા મળે છે. અન્ય બેથી વિપરીત, તેને શિકાર પર નજર રાખવા સમયે ડાળખી પર બેસવાની જરૂર પડતી નથી તે હવામાં એક જ જગ્યા પર ઘણી વાર સુધી સ્થિર રહી શકે છે અને આ વર્તન તેને મોટા જળાશયો પર શિકાર કરવા માટે અનુકૂળ બનાવે છે.
તે માળો પણ પાણીથી લગભગ પાંચ ફૂટ ઉપર ઊભી કાદવની દિવાલમાં ખોદે છે. જોડીના બંને સભ્યો ખોદકામમાં મદદ કરે છે. ત્રણેય પ્રજાતિઓમાં આ સામાન ટેવ દર્શાવે છે કે તેમના સંવર્ધન માટે કુદરતી નદી કિનારા કેટલા જરૂરી છે. કમનસીબે, આધુનિક આયોજનમાં આ જરૂરિયાતને ઘણીવાર અવગણવામાં આવે છે.
[પાઇડ કિંગફિશરની એક જ જગ્યા પર હવામાં સ્થિર રહી ને શિકાર શોધવાની રીત જોવા આ લિંક પર ક્લીક કરો:
ઘણા શિકારીઓની જેમ, કિંગફિશર ખોરાક શૃંખલામાં ઉચ્ચ સ્થાન ધરાવે છે અને ખાસ કરીને ઝેરી તત્વો માટે સંવેદનશીલ હોય છે. ખેતરો અને કારખાનાઓમાંથી નદીઓ અને તળાવોમાં હાનિકારક રસાયણો છોડાય છે. પાણીમાં નાના જીવો આ રસાયણોને શોષી લે છે. નાની માછલીઓ તેવા એક થી વધારે જીવોને ખાય છે, અને પછી કિંગફિશર એક થી વધારે માછલીઓને ખાય છે. જેમ જેમ રસાયણો ખોરાક શૃંખલામાં ઉપર જાય છે, તેમ તેમ દરેક સ્તર પર તેમનું પ્રમાણ વધતું જાય છે – આ પ્રક્રિયાને બાયોમેગ્નિફિકેશન કહેવાય છે. જ્યારે તે કિંગફિશર સુધી પહોંચે છે, ત્યારે ઝેર તેના શરીરને નુકસાન પહોંચાડવા, તેના ઇંડાને અસર કરવા અને સમય જતાં મૃત્યુનું કારણ પણ બને તેટલું કેન્દ્રિત થઈ જાય છે. મૃત્યુના અન્ય કારણોમાં બિલાડીઓ દ્વારા શિકાર, બારીઓ અથવા વાહનો સાથે અથડામણ અને ભારે મશીનરીનો ઉપયોગ કરીને નદી કિનારાના બાંધકામ દરમિયાન માળાઓનો નાશ સામેલ છે. આ ધીમા જોખમો ચૂકી જવા સરળ છે – પરંતુ તે બધા ખતરનાક છે.
જોકે ભારતમાં મોટાભાગના કિંગફિશરને ઓછી ચિંતાજનક (least concern) પ્રજાતિઓ તરીકે સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે, પણ તેમની વસ્તી ઘટી રહી છે. જંગલોનું વિભાજન અને જળ સંસ્થાઓનું પ્રદૂષણ તેમના ગઢમાં કાપ મૂકી રહ્યું છે ઉદાહરણ તરીકે, કોમન કિંગફિશર ઘણા વિસ્તારોમાંથી ગાયબ છે જ્યાં તે એક સમયે સામાન્ય રીતે જોવા મળતું હતું. જો આપણે સાવચેત નહીં રહીએ, તો આ “સામાન્ય” પક્ષીઓ લાંબા સમય સુધી સામાન્ય રહી શકશે નહીં.
આપણે બીજો એક ખતરો પણ ઉકેલવો જોઈએ – કોંક્રિટ રિવરફ્રન્ટ બનાવવાનો ટ્રેન્ડ. આ પ્રોજેક્ટ્સ સ્વચ્છ અને આધુનિક દેખાઈ શકે છે, પરંતુ તેઓ નરમ, કાદવવાળા કિનારાઓનો નાશ કરે છે જે કિંગફિશર સહિત ઘણા પક્ષીઓને માળાઓ ખોદવા માટે જરૂરી છે. આ ટ્રેન્ડ કુદરતી જીવનને ટાઇલ્ડ રસ્તાઓ, સુવ્યવસ્થિત લૉન અને સુશોભનના છોડથી બદલી નાખે છે જે જંતુઓ અથવા પક્ષીઓના જીવનને ટેકો આપતા નથી. પરિણામ? એક નિર્જીવ જગ્યા જેમાં પતંગિયા નથી, પક્ષીઓનો અવાજ નથી અને કોઈ ઇકોલોજીકલ અર્થ નથી.
આ કોંક્રિટ રિવરફ્રન્ટ અને પોલિશ્ડ પાર્ક્સ સાથે આપણે ખરેખર શું બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આપણે પોતાને પૂછવું જોઈએ. પ્રકૃતિ પહેલેથી જ સુંદર છે. જંગલ નદી કિનારા,જંતુઓ અને માછલીઓથી ભરેલા, આપણી પાસે જે જોઈએ તે બધું છે – જો આપણે તેને જોવાનું પસંદ કરીએ તો! વિકાસના છીછરા વિચારોનો પીછો કરવામાં, શું આપણે ભૂલી રહ્યા છીએ કે ખરેખર શું સ્થળને જીવંત બનાવે છે?
સારા સમાચાર એ છે કે આપણે હજી પણ માર્ગ બદલી શકીએ છીએ. કિંગફિશરનું રક્ષણ પાણીના રક્ષણથી શરૂ થાય છે,નદીઓ અને તળાવોને સ્વચ્છ રાખીને, સ્થાનિક વૃક્ષો વાવીને, ઝેરી રસાયણોનો ઉપયોગ ટાળીને! પ્રકૃતિને બચાવીને આપણે આપણી જાતને બચાવી શકીએ છીએ!!
“નેતાઓએ વહેતાં મૂકેલાં કોમી ઝેરથી ભરેલાં વાતાવરણમાં સામાન્ય પ્રજા તણાઈ ગઈ. ધસમસતાં આ પ્રવાહમાં પોતાને ધકેલનારા નેતાઓ તીરે સલામત ઊભા હતા તેવું ભાન પ્રજાને આવ્યું, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હતું. તોફાનોનાં વમળમાં અટવાતા એમનાથી સ્વસ્થતાપૂર્વક પાછળ નજર થઈ શકતી ન હતી. પ્રવાહની સાથે તણાયે જ છૂટકો હતો.”
(કમળાબેન પટેલ :૧૯૧૨થી ૧૯૯૨)
ઉપરનું અવતરણ દેશનાં વિભાજન સમયે રમખાણો દરમિયાન જે બન્યું તેના સંદર્ભમાં કમળાબેન પટેલે ૧૯૭૯માં લખેલા પુસ્તક ‘મૂળ સોતાં ઉખડેલા’ માંથી ઉતારેલું છે.
એ વખતના તોફાનો માટે કોમી રમખાણ શબ્દ ઘણો નાનો પડે તેમ હતું. માત્ર કત્લેઆમ, લૂંટફાટ કે આગજની જ નહિ, પુરૂષોની હિજરત કે કતલ થયા પછી તેમની સ્ત્રીઓ પર અહીં લખી ન શકાય તેવા અત્યાચારો અને અપહરણો પણ કરવામાં આવ્યાં હતાં. તોફાનો શાંત પડ્યા પછી તો અનેક પ્રકારની સમસ્યાઓ ઊભી થઈ હતી. તેમાં મુખ્ય સમસ્યા પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી કે રખડી પડેલી હિંદુ-શીખ સ્ત્રીઓ તેમજ બાળકોને શોધીને ભારતમાં લાવવાની અને તે પ્રકારની ભારતમાંની મુસ્લિમ સ્ત્રીઓને શોધીને પાકિસ્તાનમાં પહોંચાડવાની હતી. આ કાર્ય માટે બન્ને દેશો વચ્ચે સમજૂતી થયેલી અને તેના અંતર્ગત કેટલાક નિયમોને આધીન સ્ત્રીઓની પુન:પ્રાપ્તિનો કાર્યક્રમ ઘડી કાઢવામાં આવ્યો હતો. માત્ર સરકારી તંત્ર મારફત આવા કામ થવા લગભગ અશક્ય હોય છે. આથી નિષ્ઠાવાન સમાજસેવકોની પણ મદદ લેવામાં આવી હતી. પાકિસ્તાનમાંથી હિંદુ સ્ત્રીઓ અને બળકોને શોધીને ભારત પહોંચાડવાના કામમાં જાણીતા સ્વાતંત્ર્ય સેનાની અને સમાજસેવિકા મૃદુલાબેન સારાભાઇના માર્ગદર્શન હેઠળ કમળાબેન પટેલ[1] આગળ આવ્યાં.
અપહ્રુત થયેલી હિંદુ સ્ત્રીઓ અને બાળકોને પાકિસ્તાનનાં ગામોમાંથી ત્યાંની પોલીસની મદદથી શોધીને તેમને લાહોરની હિંદુ નિર્વાસિતોની છાવણીમાં લઈ આવવાનું અને ત્યાર બાદ તેમને ભારતમાં મોકલી આપવાની વ્યવસ્થા પર ધ્યાન રાખવાનું કામ કમળાબેન સંભાળતા. આ છાવણીમાં આવતી ઘણી બધી સ્ત્રીઓ અને બાળકોની આપવીતી પથ્થરને પણ પીગળવે તેવી હતી. કમળાબેને આમાના કેટલાક પ્રસંગો અને બીજા અનુભવો તેમનાં પુસ્તકમાં લખ્યા છે. દારુણ વિભીષિકાઓની વચ્ચે ક્યારેક રણમાં મીઠી વીરડી સમાન માનવતાનાં દર્શન કેટલાક પાકિસ્તાનના મુસ્લિમોએ કરાવ્યાં હતા. તેમાંનો એક પ્રસંગ અહીં મૂક્યો છે.
પાકિસ્તાનના શેખપુરા જિલ્લાનાં એક નાનાં ગામમાં ઇંદરસિંહ નામનો એક ખેડૂત યુવાન તેનાં માબાપ, બે ભાઈ, વીસ વર્ષની એક બહેન અને દાદી સાથે રહેતો હતો. ઓછી પણ ફળદ્રુપ જમીનને કારણે કુટુંબનું ગુજરાન થઈ રહેતું હતું. તોફાનો તો ૧૯૪૭ના એપ્રિલ માસથી જ શરૂ થઈ ગયા હતાં, તેથી પરિવારમાં બધા બીકથી ફફડતાં હતાં. પરંતુ ઘરબાર અને જમીન છોડીને ક્યાં જવું એની મોટી મુંઝવણ હતી. જૂનજુલાઇ આવતા તો તોફાનોએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી દીધું. પરિવારને હવે પાકિસ્તાનમાં રહેવામાં સલામતી નથી એમ સમજાયું. સૌથી વધારે જોખમ યુવાન દીકરીને માથે હતું. કેમ કે મારકાટ ઉપરાંત સ્ત્રીઓનાં અપહરણની ઘટનાઓ વધવા લાગી હતી. આથી ઇંદર બહેનને લઈને એક બસમાં ગામથી દસેક માઈલ દૂર આવેલા લાહોરમાં રહેતી પોતાની માસીના ઘરે જવા નીકળ્યો, કેમ કે અહીં તેને સલામતી લાગતી હતી.
બસ આગળ વધતી ગઈ તેમ ‘મારો કાપો’ના પોકારો કરતાં ગાંડાતુર ટોળાંઓ સામે મળવા લાગ્યાં. એક સ્થળે બસ ટોળાથી ઘેરાઈ ગઈ. ટોળાના માણસોએ બસમાં દાખલ થઈને હિંદુ લાગતા મુસાફરોને નીચે ઉતારીને મારવા માંડ્યા ઈંદરનાં શરીર પર છરીના ઘા કરીને તેની બહેનને ઝૂંટવી લીધી. પછી ઇંદરને એક ઝાડ નીચે ફેંકી દીધો. ગળા પર થયેલા છરીના ઘાને કારણે ઘણું લોહી વહી ગયું અને તે બેભાન બની ગયો.
એને પોતાને ખ્યાલ ન રહ્યો કે કેટલો સમય તે ઝાડ નીચે પડી રહ્યો હશે, પણ જ્યારે આંખ ખૂલી ત્યારે કોઇનાં ઘરમાં હતો. ઘરના લોકો અને ઘરનું વાતવરણ સાવ અજાણ્યું લાગતું હતું. પોતે એટલો બધો ડરી ગયો હતો કે ભાનમાં હોવા છતાં આંખ બંધ કરીને પડી રહ્યો. પરંતુ આખરે મારની અસહ્ય વેદનાને લીધે તેના મોંમાથી ઊંહકાર નીકળી ગયો. આધેડ જણાતી એક સ્ત્રીએ તેનાં માથા પર હાથ ફેરવ્યો અને મોંમા પાણીનું ટીપું મૂક્યું. સ્ત્રીએ તેને વહાલથી કહ્યું, “ડરના મત બેટા, જલદી આરામ હો જાયેગા” આ સાંભળીને ઇંદરને તો પોતે સ્વપ્નમાં હોય એમ લાગ્યું.
વાસ્તવમાં તે ભારતના ગુરદાસપુર જિલ્લામાંથી હિજરત કરીને પાકિસ્તાન આવેલા એક મુસ્લિમ કુટુંબના ઘરમાં હતો. આ એ કુટુંબ હતું, જેણે ભારતમાં પોતાના સૈફુ નામના જુવાન દીકરાને હિંદુ તોફાનીઓને હાથે ઠાર થયેલો જોયો હતો અને પછી બધી જ માલમિલ્કત છોડીને જેમતેમ કરીને જીવ બચાવીને પરિવાર પાકિસ્તાનનાં પંજાબનાં એક છેવાડાનાં ગામમાં પહોંચી ગયો. ત્યાં અપરિચિતોની વચ્ચે એક મકાનમાં ઠરીઠામ થઈને રહેવા પ્રયાસ કરવા લાગ્યો.
બનેલું એવું કે એક વહેલી સવારે આ મુસ્લિમ કુટુંબની એક મહિલાએ કુદરતી હાજતેથી પાછાં ફરતાં ઇંદરને લોહીલુહાણ હાલતમાં પડેલો જોયો, ઉતાવળે ઘેર જઈને તેણે પોતાના પતિને આ વાત કરી. માનવતાને ધોરણે પરિવારજનોએ ઇંદરને પોતાના ઘરે લઈ આવવા વિચાર્યું. પરંતુ તે સમયે વાતાવરણ એવું હતું કે કોઇ હિંદુ કાફરને આશરો આપવામાં આવ્યો છે તેની ગામલોકોને જાણ થાય તો ઇંદર ઉપરાંત આ મુસ્લિમ પરિવારની પણ કતલ થઈ જાય તેવી પૂરેપૂરી દહેશત હતી. આમછતાં પતિપત્નીએ હિંમતભર્યો નિર્ણય કરી, કોઇને પણ ખ્યાલ ના આવે તે રીતે ઇંદરને ઘરમાં લાવી દીધો. લાગતું હતું કે બેચાર દિવસમાં ઇંદરને સારું થઈ જશે, પણ પુષ્કળ લોહી વહી જવાથી તે ઘણો નબળો પડી ગયો હતો. ગળાનો ઘા રુઝાતા લાંબો સમય લાગે તેમ હતું. વળી હિંદુ તરીકે ઇંદરને ઘરમાં લાંબો સમય સુધી રાખી શકાય તેમ હતું નહિ. આથી ગામમાં તેમણે વાત વહેતી મૂકી કે તેમનો એક દીકરો ગુરદાસપુરમાં પાછળ રહી ગયો હતો તે ઘાયલ સ્થિતિમાં તેમની પાસે આવી પહોંચ્યો હતો. આમ પણ હિજરત કરીને આવેલા આ પરિવારને ગામલોકો ઓળખતા તો ન જ હતા. એટલે ગામલોકોને કોઇ શક ગયો નહિ ઉલ્ટાની તેમણે સલાહ આપી કે દીકરાને હોસ્પિટલમાં ખસેડવો જોઈએ. આ સલાહ ઝડપી લઈને ઇંદરને હોસ્પિટલમાં દાખલ કરી દીધો અને તેંનું નામ લખાવ્યું હિંદુઓના હાથે મૃત્યુ પામેલા પોતાના દીકરા સૈફુનું. આ બધો સમય ઇંદર તો પોતાને કોઇ ઓળખી જશે એ બીકે ફફડતો જ રહ્યો. પરંતુ સદભાગ્યે કોઇ ઓળખી શક્યું નહિ કારણ કે પંજાબમાં હિદુ અને મુસ્લિમના આહારવિહાર, આચાર અને પોશાક એક સરખા હોય છે. હોસ્પિટલમાંથી ઘેર આવી ગયા પછી છ માસ સુધી તેને પથારીમાં જ પડી રહેવું પડ્યું. થોડો સ્વસ્થ થયો કે તરત જ તેને માબાપ, ભાઈ અને તોફાનીઓએ છીનવી લીધેલી બહેનની તીવ્ર યાદ આવવા લાગી. વળી જે પરિવારમાં તે આશરો લઈ રહ્યો હતો તે કાંઇ ખમતીધર તો હતો નહિ, ભારતમાં બધી જ માલમિલ્કત છોડીને આવ્યો હતો. આ લોકો પર ક્યાં સુધી બોજ બનીને રહેવું? એવો વિચાર પણ તેને આવતો હતો. પરંતુ પરિવારના લોકો તો તેને દીકરા તરીકે રાખવા જ ઇચ્છતા હતા. કેમે કરીને ઇંદરે પોતાના માતાપિતા અને ભાઈઓની ભાળ મેળવવા રજા માગી લીધી. તપાસ કરતો કરતો તે કમળાબેનની છાવણીમાં પહોંચ્યો. કમળાબેને તેની વાત સાંભળી, માનવતાના પૂજારી એવા પેલા મુસ્લિમ પરિવારને મનોમન વંદન કર્યા અને તેના માતાપિતાનો પત્તો મળે ત્યાં સુધી ઇંદરને છાવણીમાં રાખવાનું વિચાર્યું.
છાવણી હિંદુ માટેની હતી અને ઈંદર હિંદુ હોવા છતાં તેની ઓળખ તો મુસ્લિમ તરીકેની હતી. વળી પાકિસ્તાન સરકારની છાવણી પર બારીક નજર હતી આથી લાંબો સમય તેને અહીં રાખી શકાય તેમ ન હતું. ઇજાઓને કારણે તે એટલો નબળો પડી ગયો હતો કે જાતે પોતાના કુટુંબની તપાસ કરવા જઈ શકે તેમ ન હતો. જેમતેમ કરીને કમળાબેને કોઇ વિશ્વાસુને સાથે મોકલીને ઇંદરને તેનાં ગામ જવાની છૂપી ગોઠવણ કરી આપી પરંતુ ગામમાં તેના માતાપિતા કે ભાઈની ભાળ મળી નહિ અને છાવણીમાં પાછો ફર્યો.
કમળાબેનની ઇચ્છા પેલા મુસ્લિમ પરિવારને મળવાની હતી આથી એક મુસ્લિમ કાર્યકર્તાની મદદ લઈને મળવા ગયા. પરિવારે તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું, આગ્રહ કરીને નાસ્તો કરાવ્યો. કમળાબેન પણ સાથે મીઠાઈ અને ફળફળાદિ લઈને ગયા હતા.
ઇંદરથી છૂટા પડતા આ દંપતિ જાણે પોતાના સગા દીકરાને પરદેશ મોકલતાં હોય એમ ગળે વળગીને ખૂબ રડ્યાં. કમળાબેન લખે છે કે લાગણીભર્યા આ વાતાવરણમાં તેઓ ભાગલાની યાતનાઓ અને બન્ને કોમોએ એકબીજા પર ગુજારેલા જુલમોને વીસરી ગયાં. ઇંદરને તો એક માતાપિતાથી વિખુટા પડ્યા બાદ બીજા માની લીધેલા માબાપથી છૂટા પડવાનું બન્યું
બીજા દિવસે કોઈ બાતમી મળ્યાથી ઇંદર તપાસ કરવા જલંધરની છાવણીમાં ગયો અને ત્યાં તેની બહેન મળી ગઈ આ ઉપરાંત તેનાં માબાપ પણ બીજી એક નિર્વાસિતોની છાવણીમાંથી મળી ગયાં.
કહેવાની જરૂર નથી કે બન્ને દેશમાં પ્રસરેલા કોમી ઝેરભર્યા વાતવરણમાં ઇંદરે માનવતાની મહેક અંકે કરી હશે.
[1] (*ક્મળાબેનનો પરિચય.: ‘મૂળ સોતાં ઉખડેલાં’ પુસ્તકમાં કમળાબેને ક્યાંય પણ પોતાનો નાનો સરખો પણ પરિચય આપ્યા વિના સીધા જ ભાગલા પછી તેમને સોંપાયેલી કામગીરી અને અનુભવોની જ વાત કરી છે. અન્ય કોઇ પુસ્તકમાં પણ તેમના વિશે લખાણ જોવામાં આવ્યું નથી. આથી ગૂગલને સહારે જ તેમની તસવીર સહિતનો તેમનો પરિચય આપવા પ્રયાસ કર્યો છે.
વતન તેમનું હતું ચરોતરનું સોજિત્રા ગામ અને જન્મ નડિયાદમાં થયો હતો. પિતા શંકરભાઈ પટેલની ચાર દીકરીઓમાં કમળાબેન સૌથી મોટાં હતાં. શંકરભાઈ નાની ઉંમરે જ વિધુર થયા હતા, આથી પોતાની ત્રણ નાની બહેનોની દેખભાળ કરવાની જવાબદારી કમળાબેનને માથે આવી હતી. પછી ગાંધીજી પ્રત્યેનાં અદમ્ય ખેંચાણને લીધે શંકરભાઈ ચારેય સંતાનોને લઈને સાબરમતી આશ્રમમાં આવી ગયા. લગ્ન થયા બાદ થોડા જ સમયમાં એટલે કે ૧૮ વર્ષની ઉંમરે કમળાબેન વિધવા થયાં હતાં.
મૃદુલાબેન સારાભાઇ અવારનવાર ગાંધીઆશ્રમની મુલાકાતે આવતાં, તેથી અહીં તેમને કમળાબેનનો પરિચય થયેલો. કમળાબેનમાં કાર્યક્ષમતા, સમર્પિતતા તેમજ સંવેદનશીલતાના ગુણો તેમણે જોયેલા. આથી જ વિભાજન પછી જ્યારે નિર્વાસિતોનો પ્રવાહ ઓછો થયો ત્યારે તેમણે કમળાબેનને પાકિસ્તાનમાં અપહ્રુત થયેલી સ્ત્રીઓને શોધીને લાહોરની છાવણીમાં લાવવાની અને ત્યાંથી ભારત મોકલવાની કામગીરીની જવાબદારી સોંપી. કામગીરી જોખમી તો હતી જ ઉપરાંત કમલાબેનની યુવાન વયને કારણે વધારે જોખમી હતી. પરંતુ બધા જ ભયને ત્યાગીને કમળાબેને પોતાની જુવાનીનાં ઉત્તમ વર્ષો આ કામમાં ગાળ્યાં આ દરમ્યાન પોતાને થયેલા સારાનરસા અનુભવો તેમણે પોતાના પુસ્તક ‘મૂળાસોતા ઉખડેલ’ માં વર્ણવેલા છે.
‘મુળસોતાં ઉખડેલા’ એ માત્ર પુસ્તક જ નથી પરંતુ ભાગલા વખતે બન્ને કોમોનાં હેવાન બની ગયેલા માનસ, બન્ને દેશોના સરકારી તંત્રમાં રહેલા મોટાભાગના અધિકારીઓમાં નિષ્ઠાનો અભાવ તો ક્યાંક ક્યાંક સામાન્ય માણસો અને કોઇ અધિકારીઓએ પોતાનો ધર્મ કે દેશ ભૂલી જઈને માનવતાને આપેલી પ્રાથમિકતાનો એક દસ્તાવેજ કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નથી. જિજ્ઞાસુઓએ આ પુસ્તક વાંચવું રહ્યું.)
ટેક્નોલોજીના વર્તમાન સમયમાં કેટલાક એવા શબ્દો ચલણી બન્યા કે જેના અનુવાદની કે એનો અર્થ સમજાવવાની કશી જરૂર ન પડે. આવો એક શબ્દ છે ‘સેલ્ફી’. ૨૦૦૨માં નેથન હોપ નામના એક ઓસ્ટ્રેલિયને પોતે ખેંચેલી પોતાની છબિ માટે ‘સેલ્ફી’ શબ્દનો પહેલી વાર પ્રયોગ કર્યો હતો. હવે તો આ શબ્દ અને પ્રથાનું ચલણ એ હદે વ્યાપક બની ચૂક્યું છે કે લોકો કોઈ પણ સ્થળે અને સમયે ‘સેલ્ફી’ ખેંચીને તેને સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર મૂકતા થઈ ગયા છે. જાણેઅજાણે તેઓ પોતાની અંગત અને વ્યક્તિગત ક્ષણોને આ રીતે જાહેર કરી રહ્યા છે. આ પ્રથાનું વળગણ એટલું પ્રસરી ચૂક્યું છે કે તે ‘ન્યૂ નોર્મલ’ બની રહી છે. ‘સેલ્ફી’ ખેંચવા અને તેને જાહેર માધ્યમ પર મૂકવા પાછળની માનસિકતા કંઈક એવી કહી શકાય કે પોતે અન્યોથી વિશેષ છે અને દુનિયાને તેઓ બતાવવા માગે છે કે કેવા વિશિષ્ટ સ્થળ સુધી પોતે પહોંચ્યા છે. ‘સેલ્ફી’ કોઈ પણ સ્થળની હોય, એને જાહેરમાં મૂકવા પાછળની માનસિકતા મોટે ભાગે આનાથી અલગ હોતી નથી. આ માનસિકતાને કારણે જે તે સ્થળની ગરિમા જળવાતી નથી. આ આખા મામલે સૌથી વધુ ભોગ લેવાતો હોય તો સામાન્ય વિવેકનો. આ સમસ્યા કોઈ એકલદોકલ સ્થળ કે ત્યાંના લોકોની નહીં, બલકે વિશ્વવ્યાપી છે એમ કહી શકાય. વખતોવખત વિવિધ દેશોના આ પ્રકારના કિસ્સા પ્રસારમાધ્યમોમાં ચમકતા રહે છે.
જૂન, ૨૦૨૫માં ઈટાલીના ફ્લોરેન્સ શહેરની ઉફીઝી આર્ટ ગેલરીમાં એક વિચિત્ર બનાવ બન્યો. ઈટાલીના તસ્કેની પ્રાંતની રાજધાની એવું ફ્લોરેન્સ શહેર ચૌદમીથી સોળમી સદી દરમિયાન કળાના નવજાગરણનું મુખ્ય કેન્દ્ર બની રહ્યું હતું. આ શહેરમાં આવેલી, ત્રણસો વર્ષ પુરાણી ઉફીઝી ગેલરીમાં ગોયા, ટીયેપોલો, કેનેલેતો જેવા ખ્યાતનામ ચિત્રકારોની અસલ કૃતિઓ પ્રદર્શિત કરાયેલી છે, જેની મુલાકાતે વિશ્વભરમાંથી અનેક પ્રવાસીઓ આવતા રહે છે.
વિખ્યાત ચિત્રકાર એન્તોન દોમેનીચી ગેબીઆનીએ ઈ.સ.૧૭૧૨માં ચીતરેલું તસ્કન રાજકુંવરી ફર્દિનાન્દ દ મેદીચીનું ચિત્ર અહીં પ્રદર્શિત છે. એક પ્રવાસીએ આ ચિત્ર આગળ ઊભા રહીને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો અને એમાં સંતુલન ગુમાવતાં તે ચિત્ર તરફ ગબડ્યો. કેનવાસ પર દોરાયેલા એ અસલ ચિત્રમાં આને કારણે કાણું પડી ગયું. એ પ્રવાસીને પકડીને પોલિસને હવાલે કરાયો છે, અને ગેલરીને થોડો સમય માટે બંધ કરવામાં આવી છે. પ્રવાસી પર પોલિસ કાર્યવાહી થશે, પણ ચિત્રને જે નુકસાન થયું એનું શું?
થોડા સમય પહેલાં વેરોના શહેરની પાલાઝો મેફાઈ ગેલરીમાં પણ એક દુર્ઘટના બની હતી. ખ્યાતનામ ડચ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોઘની અતિ જાણીતી કૃતિ પરથી પ્રેરિત થઈને નિકોલા બોલા નામના એક કલાકારે એની ‘ખુરશી’નું શિલ્પ બનાવેલું. એક દંપતિએ એની પર બેસવાની ચેષ્ટા કરતાં એ શિલ્પ તૂટી ગયું.
ગેલરી અને મ્યુઝિયમના સત્તાવાળાઓ કંઈ એકે એક કૃતિ માટે સલામતિની વ્યવસ્થા કરી શકે નહીં, કેમ કે, અતિ જાણીતાં આવાં કલાસ્થાનોએ પ્રવાસીઓનો ધસારો પુષ્કળ રહેતો હોય છે. મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવો પણ વ્યવહારુ નથી. કેવળ કડક કાયદો પણ અહીં ચાલી શકે એમ નથી. આ સંજોગોમાં પ્રવાસીઓએ જ કેળવાવું પડે. પ્રવાસીઓએ આવા ઐતિહાસિક સ્થળની ગરિમા જાળવવી જરૂરી છે. તેનું માહાત્મ્ય સમજાય, મૂલ્ય ખબર પડે તો કદાચ એ આવી ચેષ્ટા કરતાં કદાચ વિચારે. જો કે, ટેક્નોલોજી જે ઝડપે પ્રસરીને હાથવગી બની રહી છે એમાં સારાસારનો વિવેક લુપ્ત થઈ ગયો છે. લોકો હજી ટેક્નોલોજીની એક વિશેષતાથી પરિચીત થાય, ટેવાય એ પહેલાં તો નવું પાસું ઊમેરાઈ જાય છે. આવામાં વિવેક કેળવાય શી રીતે? આવી બાબતે કાનૂન બનાવવા મુશ્કેલ છે, કેમ કે, એ અંગેનો ખરડો પસાર થઈને કાનૂન બને એ પહેલાં તો ટેક્નોલોજી ક્યાંય આગળ નીકળી ગઈ હોય.
જાહેર પરિવહનનાં સાધનોમાં મુસાફરી કરનાર સૌ કોઈનો અનુભવ હશે કે કોઈ ને કોઈ સહપ્રવાસી પોતાના ફોનમાં રીલ જોઈ રહ્યો હોય અને ફોનનો અવાજ ખૂબ ઊંચો હોય. આને લઈને નીપજતો ત્રાસ એટલો હોય છે કે સહન કરવો મુશ્કેલ થઈ પડે. એવા જણને અવાજ ધીમો કરવાનું કહેવામાં આવે તો મોટા ભાગના કિસ્સામાં એ નારાજ થઈ જાય એવી શક્યતા રહે છે.
કોઈક સ્થળની મુલાકાતની યાદગીરી તરીકે ત્યાં તસવીર ખેંચાવવી અને કોઈ સ્થળે ‘સેલ્ફી’ લેવી એ બન્નેમાં થોડો તફાવત છે. ‘સેલ્ફી’માં કેન્દ્રસ્થાને ‘સેલ્ફ’ એટલે કે ‘સ્વ’ હોય છે, અને તેનો મુખ્ય હેતુ અંગત યાદગીરી નહીં, પણ ઘોષણા માટે હોય છે. અનેક લોકોને કોઈ ને કોઈ જાણીતી વ્યક્તિ સાથે ‘સેલ્ફી’ ખેંચવાનો શોખ હોય છે. આવી તસવીરોમાં ઘણી બધી વાર એ જાણીતી વ્યક્તિનું ધ્યાન સુદ્ધાં ન હોય અને તેમની સાથે તસવીર ખેંચીને તેને જાહેર માધ્યમમાં મૂકવામાં આવે છે. એ તસવીર ‘સેલ્ફી’ લેનારની મૂર્ખામીને જ ઉજાગર કરે છે. ગમે તે સ્થળે, પોતે પોતાની તસવીર ખેંચવાની લ્હાયમાં ઘણી બધી વાર સામાન્ય વિવેક અને સામાન્ય બુદ્ધિ કોરાણે મૂકાઈ જાય છે. સંવેદનશૂન્યતા અને દેખાડાબાજી આવી તસવીરોમાં સાફ ઝલકે છે.
ટેક્નોલોજી અનેક સુવિધા આપે છે, પણ એના ઊપયોગ માટેનો સ્વવિવેક આપણે કેળવવો પડે. એમ કરવા માટે કોઈ વિશેષ સમજણની નહીં, સાદી સમજણ કાફી છે. નાગરિકધર્મના ઘણા પાઠ હવે નવેસરથી કેળવવાનો આ સમય છે.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૦-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
આપણે સમજ્યાં કે ભીની હવામાંનો ભેજ ઠરે તો સૂક્ષ્મ જળકણિકાઓ રૂપે વાદળ બને. આ માટે હવા ઉપર જવી જોઈએ. જમીનનાં થરે ભવન વાતા તો આપણે અનુભવ્યા છે પણ ઉપર તરફ કેમ વહે? સદભાગ્યે કુદરતી ઘણી વ્યવસ્થાઓ કરી રાખી છે જેનાથી હવા ઉપર પણ જાય છે અને વાદળાં પણ બને છે. વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં આ ઘટના જુદી જુદી રીતે બને છે, સ્થાનિક ભૂગોળ અને પવનના પ્રવાહો મુજબ.
સૂકી હવા ૭૮ ટકા નાઈટ્રોજન, ૨૧ ટકા ઓક્સિજન અને એકાદ ટકા આર્ગનની બનેલી હોય છે. પાણીની બાષ્પ (ભેજ) આના કરતાં ઘણી હલકી હોય; તેથી ભેજવાળી હવા સૂકી હવા કરતાં ઘણી હલકી હોય. વળી એ ગરમ જમીનના સંપર્કથી ગરમ થાય તો વધુ ભેજ સમાવે અને તેથી વધુ હલકી બને. આમ સાદી હવાની હાજરીમાં ગરમ-ભીની હવા ઉપર ચડી જાય તે સ્વાભાવિક છે.
ભારતના સંદર્ભમાં નૈઋત્યનાં ચોમાસામાં આવતી ભેજવાળી હવાને ઉપર ચડવામાં પર્વતો પણ મદદરૂપ છે. કેરાળાથી મુંબઈ સુધી વિસ્તરેલો પશ્ચિમ ઘાટ અરબી સમુદ્ર તરફથી આવતા પવનોને તો પૂર્વ ઘાટ બંગાળના ઉપસાગર તરફથી આવતા પવનોને સરળતાથી ઊંચે જવા દે છે. (જુઓ ચિત્ર) અંગ્રેજીમાં તેને ‘ઑરોગ્રાફીક ચઢાણ’ કહે છે.
પર્વતોને કારણે વાદળોનું આરોહણ
હવાઠંડીપડે
ભેજવાળી હવા ઊંચી ચઢે ત્યારે બે રીતે તે ઠંડી પડે છે. એક તો એ છે કે સમુદ્રની સપાટીથી જેમ જેમ ઉપર જતા જઈએ તેમ ઉષ્ણતામાન ઘટતું જાય છે. પહાડો પર આથી જ ઠંડી હોય છે. દર એક કિલોમીટર ઊંચાઈએ આશરે ૭૦ સે. જેટલું ઉષ્ણતામાન ઘટે છે. સ્થળ અને ઋતુ મુજબ આ આંકડો થોડો બદલે. સાથેનાં કોષ્ટકમાં ઓક્ટોબર મહિનામાં દિલ્હીનાં આકાશ પર નોંધેલા ઉષ્ણતામાનના આંકડા છે.
સંદર્ભ ખાતર નોંધીએ કે માઉન્ટ એવરેસ્ટ ૮.૮ કિ.મી. ઊંચો છે અને જેટ વિમાનો સામાન્ય રીતે ૯ થી ૧૦ કિ.મી.ની ઊંચાઈએ ઊડે છે. ત્યાં આગળ ઉષ્ણતામાન શૂન્યની નીચે ૪૦૦ સે. હોય છે. આ તો આડવાત્ થઈ. હવાને સંતૃપ્ત થવા આટલે જવાની જરૂર નથી. ભેજની માત્રા પ્રમાણે દોઢ-બે કિલોમીટર ઉપર જતાં જ સૂક્ષ્મ જલશીકરો બનવા લાગે છે.
કોષ્ટક – ૧
ધરતીથી ઊંચાઈઅનેઉષ્ણતામાન
ઊંચાઈ
(મિટર)
ઉષ્ણતામાન
(સે.)
ઊંચાઈ
(મિટર)
ઉષ્ણતામાન
(સે.)
જમીનપર
૩૦૦
૪૨૦૦
– ૪૦
૧૬૦૦
૧૮૦
૪૮૦૦
– ૫૦
૧૯૦૦
૧૫૦
૫૪૦૦
– ૭૦
૨૩૦૦
૧૧૦
૬૦૦૦
– ૧૧૦
૨૮૦૦
૮૦
૬૭૦૦
– ૧૭૦
૩૨૦૦
૫૦
૭૧૦૦
– ૨૧૦
૩૪૦૦
૪૦
૮૧૦૦
– ૩૦૦
૩૭૦૦
૦૦
૧૦૦૦૦
– ૩૯૦
બીજી વાત એ છે કે જેમ જમીનથી ઉપર જઈએ તેમ હવા પાતળી થતી જાય છે. તેથી ત્યાં વાતાવરણનું દબાણ ઓછું હોય છે. નીચેથી હવા જ્યારે ઉપર જાય ત્યારે દબાણ ઘટવાને કારણે પ્રસરે છે. કુદરતનો નિયમ છે કે પ્રસરતો વાયુ ઠંડો થાય. (એ નિયમ ઉપર રૅફ્રિજરેટર ચાલે છે.) આથી ઉપર જતી હવા ઠંડી પડતી જાય છે. આ બંને કારણોથી પેલાં કાચનાં બોક્ષમાંની હવાની જેમ આ હવા ઓછો ભેજ હોય તો પણ ઉષ્ણતામાન ઘટવાને કારણે સંતૃપ્ત થઈ જાય છે અને જે ઊંચાઈએ ઉષ્ણતામાન ઘટીને ઝાકળબિંદુ જેટલું ઓછું થઈ જાય તે સ્થળે ઠરવા લાગે છે. બીજા શબ્દોમાં ત્યાં વાદળું બને છે. આ ઊંચાઈથી નીચે વાદળ બને નહીં. આથી જ તમે વિમાનમાં મુસાફરી કરતી વખતે જોયું હશે કે વાદળાંના ઘટાટોપનો નીચેનો છેડો એક સમાન સપાટીએ હોય છે. ઉપરના ભાગે ભલે વાદળાંના ગોટા ઉપર-નીચે હોય, તળિયું તો આખા જૂથનું એક જ સ્તરે હોય છે. આ ઊંચાઈ તે ઝાકળબિંદુ ઉષ્ણતામાનનું આકાશમાં સ્થળ.
ભેજ ઠરે ત્યારે કોઈ આધાર ઉપર ઠરે છે. જમીનની સપાટીએ ઝાકળબિંદુઓ પાંદડા કે ફુલ કે કઠેડાની ઠંડી સપાટી પર બેસે છે. ઊંચે આકાશમાં પણ તેને કરવા માટે કંઈક આધાર જોઈએ. સદભાગ્યે હવા ક્યારેય શુદ્ધ નથી હોતી. ધુમાડાના અતિસૂક્ષ્મ કણો કે પછી મીઠાંની બારીક કણીઓ હવામાં તરતાં હોય છે જેના ઉપર ભેજ ઠરે છે અને વાદળ બને છે.
પદાર્થ વિજ્ઞાનની કેટલીક પ્રક્રિયાઓ ભેજવાળા હવાને આ ઝાકળબિંદુ સ્થળ કરતાં પણ ઉપર લઈ જાય તેવું બને છે. જો ભેજ ચાર કિલોમીટર જેટલો ઊંચે ચાલ્યો જાય તો જે વાદળ બને તે પાણીનાં નહીં પણ બરફની સૂક્ષ્મ કણિકાઓનાં બનેલાં હોય છે. ખેડેલાં ખેતર જેવાં ખૂબ ઊંચાં વાદળો તમે ક્યારેક જુઓ છો તે આવાં બરફનાં વાદળ છે.
અત્યાર સુધી આપણે એ જોયું કે નૈઋત્યના ભેજવાળા પવનો પૂર્વઘાટ કે પશ્ચિમઘાટની મદદથી ઉપર જાય તો વાદળાં કેમ બને છે પરંતુ ચોમાસાં જેવી ઋતુ નથી ત્યાં પણ વરસાદ પડે છે અને પહાડો નથી ત્યાં પણ વરસાદ પડે છે. તેની પ્રક્રિયા જુદી છે. તેમાં ઠંડી, સૂકી હવા અને ભીના ગરમ હવાના મોટા પ્રવાહો સામસામા આવી મળે છે. તેના કારણે ગરમ હવાનો જથ્થો(Front) ઠંડી હવાના પટ્ટાની ઉપર ચડી જાય છે. આ પછીની પ્રક્રિયા જેમાં ભેજ ઠરીને વાદળાં બને તે આપણે અગાઉ જોઈ તે રીતની જ છે. ચિત્રમાં આનો એક પ્રકાર બતાવ્યો છે.
યુરોપમાં વાર-તહેવારે, વિના ઋતુએ વરસાદ પડે છે તે આ પ્રક્રિયાથી. આપણે ત્યાં કમોસમી માવઠાં થાય છે તે પણ આ રીતે જ. નકશો જોતાં જણાશે કે યુરોપને ત્રણ બાજુ સમુદ્રો છે જે ભેજના સ્રોત છે. અહીં જો ઠંડી અને ભારે હવા સ્થિર હોય ત્યારે ભેજવાળી હવાનું મોજું આવી ચડે તો તે પોતે જ ઊંચી ચડી જાય છે. ક્યારેક એવું ય થઈ શકે કે આવનારી હવા ઠંડી હોય અને સ્થાનિક હવા ગરમ હોય તો ગરમ હવાને ઠંડો જથ્થો ઉપર ધકેલે છે. ગરમ હવા ઉપર જઈ તેનો ભેજ કરી વાદળાં બને. આ પ્રક્રિયામાં ક્યારેક આલ્પ્સ પર્વતના ધીમા ઢોળાવો પણ મદદ કરે છે.
બીજા અંકમાં, તેઓ જેને “ત્રીજો જન્મ”કહે છે તેવી સુશ્રી પ્રીતિબહેનની અમેરિકાની જીવનશૈલી ઝલક જોવા મળી. હવે આગળ……
આવા મારા ઉત્ફુલ્લ સમય-કાળ દરમ્યાન એક એવો બનાવ બન્યો હતો કે જેને હું મારા અમેરિકામાંના જીવનનો બીજો ચમત્કાર ગણું છું. નાનપણથી હું બંગાળી સાહિત્યના ગુજરાતી અનુવાદો વાંચતી આવેલી, અને રવીન્દ્રનાથનાં ગીતો ગાતાં શીખેલી. મનમાં એક હસવા જેવો ખ્યાલ હતો, કે બંગાળી કવિને પરણવું છે ! એવું, કે જે ગુજરાતમાં શક્ય ના બન્યું હોત તે કોઈ જાદુઈ રીતે ન્યુયોર્કમાં બન્યું. એક બંગાળી ભદ્રજન સાથે મુલાકાત, મૈત્રી, પ્રેમ ને પછી લગ્ન થયાં. જોકે મેં ઘણી વાર કહ્યું છે, કે “ સારું છે કે ઈશ્વરે કવિ મને બનાવી. જો એ કવિ હોત તો અમે “ખાખી બંગાળી’ હોત!” આટલો વિનોદ જાત પ્રત્યે !
પછી તો એના બંગાળી મિત્રો સાથે મારી ઓળખાણો થઈ, બધા બંગાળી કાર્યક્રમોમાં જવાનું થવા માંડ્યું, રવીન્દ્રનાથના ડાન્સ-ડામામાં ભાગ લીધો, કોલમ્બિયા યુનિવર્સિટીના મંચ પર બંગાળી કાર્યક્રમોમાં ગાયું, ન્યૂયોર્કની ટાગોર સોસાયટી સાથે વર્ષો સુધી એની કારોબારીમાં જોડાયેલી રહી. બધાં બંગાળીઓ મને બંગાળી જ માને. જે જાણતાં હોય તે પણ ભૂલી જાય કે હું “ઓંબોંગાલી’ છું! ન્યુયોર્કમાં રહેતાં રહેતાં મને આખું બંગાળી-વિશ્વ આવી મળ્યું. અન્યોની વાતો સાંભળી સાંભળીને હું બંગાળી બોલતાં શીખી ગઈ, અને જાતે, એકદમ ઝટપટ – પંદર મિનિટમાં – બંગાળી વાંચતાં શીખી ગઈ. ને એ પછી તો કેટલી બંગાળી ચોપડીઓ વાંચી – શૉકોરથી શરૂ કરીને ‘શરચ્ચંદ્ર’, ને રવીન્દ્રનાથ, તારાશંકર બંદોપાધ્યાય, આશાપુર્ણાદેવી ઈત્યાદિથી સુનીલ ગંગોપાધ્યાય. આ એક વધારે પરિમાણ – ગુજરાતી, અમેરિકન અંગ્રેજી, પછી બંગાળી. અને વિશ્વમાંથી તો હજી કેટલુંયે ઉમેરાવાનું હતું.
લગ્ન થતાંની સાથે શ્રી સેનગુપ્તાએ કહ્યું, કે “ તારે નોકરી કરવાની જરૂર તથી. હું હંમેશાં તારી સંભાળ રાખીશ.” તે મારે વળી નોકરી કયાં કરવી જ હતી ! આવી વ્યક્તિનું મને આવી મળવું, તે છે મારા જીવનનો બીજો, અને સદાયે માટેનો અદ્ભૂત ચમત્કાર. ભાગ્ય તરફથી મળેલો આશીર્વાદ.
બસ, આ પછી તો દુનિયાનાં બધાં બારણાં ખુલી ગયાં, અને બધા રસ્તા સામસામા થઈ ગયા. હવે તો છ મહિનાની નોકરી કરવાની પણ જરૂર ના રહી. ખૂબ રસથી ને પ્રેમથી મેં આ ગોળ પુથ્વી પર આવર્તનો લેવા માંડ્યાં. મારા વરને ક્યારેક ટાપુ-દેશો પરના મોંઘા રિઝોર્ટમાં જવા સિવાય પુથ્વી-દર્શનમાં જરા પણ રસ નહીં, ને મારે માટે એ તીવ્ર ખેંચાણ. મારો વર ચિંતા કર્યા કરે, પણ ક્યારેય મને રોકે નહીં. હું કેટલો નિજાનંદ પામું છું એ જોઈને પોતે પણ ખુશ થાય. અત્યાર સુધીમાં પંદરેક વાર પૃથ્વી ફરતે જઈ આવી છું. અમેરિકા અને યુરોપ પછી બીજા વધારે દૂરના દેશો તરફ ગઈ, વધારે અઘરા પ્રવાસો કરવા લાગી. બધું જ એકલાં, જાતે
જાતે, એકદમ મક્કમ નિધીર. કેટલી હિંમત કરું છું, એવો કશો “વહેમ’ નહીં, ને સાથે જ, ભયનો ને બીકનો કશો ભાવ નહીં.
ખરેખર તો, મનમાં વિશ્વાસ રહેતો – અન્યો માટે. એમ, કે કારણ વગર સંશય કરવાનું, ને શંકિત થવાનું શા માટે? સહજ આનંદ અને સતત વિસ્મય જાણે મારી જીવન-નાવનાં બે હલેસાં બની ગયાં. બસોમાં ફરું ને ધરમશાળા જેવી નાની સ્થાનિક જગ્યાઓમાં રાત રહું, જે મળે તે ખાઈ લેતી હોઉં; ઘણી મહેનત કરીને ભ્રમણ કરતી હોઉં, પણ ફ્યારેય કંટાળો નહીં, ને ભાગ્યે જ જાતને પણ ફરિયાદ. વિશ્વભરમાં કેટકેટલા પ્રવાસો બસમાં કર્યા, ને તે પણ કલાકોના કલાકો, અને દિવસો સુધીના. જેમકે, પહેલી વાર અલાસ્કા ગઈ ત્યારે કેનેડાના વાનકુવર શહેરથી બસ લીધેલી. પાંચ દિવસ પછી પાંચમી રાતે ત્યાં ફેરબૅન્ક્સ ગામે પહોંચી. આમાં
પહેલા અડતાલિસ કલાક એક જ બસમાં, એક જ સીટ પર ગાળ્યા હતા. કુદરતની કમાલને જોયા કરી હતી. શું રોમાંચ, શું ઉલ્લાસ; કંટાળાને માટે મનમાં જગ્યા જ ના થાયને. આ રીતે ટ્રેન-સફર તો ઘણા દેશોમાં કરી છે, પણ ટ્રેનમાં પિસ્તાલિસ કલાકો સળંગ મુસાફરી ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં પણ કરી છે. ભૂમિ, બસ, જોતી જ રહું.
દર વર્ષે, વર્ષમાં ચાર મહિના-છ મહિના પ્રવાસ થતા ગયા, ને અમુક વખતે મને ખ્યાલ આવ્યો કે સ્થાનો પર તો જઈ જ રહી છું, પણ એક પછી એક કરતાં પૃથ્વીના જુદા જુદા મહાખંડમાં પણ જઈ રહી છું. હું મારી જ પ્રક્રિયાથી સભાન બની, અને વધારે આદરપૂર્વક વિશ્વના પ્રદેશોમાં જવાનાં આયોજન કરવા માંડી. હું માનતી આવી છું, કે જે નજીક હોય તે પહેલાં જોવું જોઈએ, ને પછી ક્રમશ: દૂરનું, અજાણ્યું, અઘરું, જોવા જવાનું વિચારવું જોઈએ. જાણે એક પછી એક પગથિયું ચઢતાં જવાનું. સદ્ભાગ્યે, અમેરિકા આવી તે પહેલાં ભારતમાં વારંવાર થયેલા પ્રવાસો દ્વારા સમગ્ર જન્મભૂમિને નયનથી ને હૃદયથી નવાજવા પામી હતી. અલાસ્કા, હવાઈ અને આખા અમેરિકાને જોયું, અને યુરોપ, મેંફિસકો, કૅનેડા ગયા પછી જ જાણે હું પૂર્વ એશિયાના અત્યંત સુંદર દેશો – કોરિઆ, જાપાન, તાઈવાન વગેરે – જોવાને લાયક બની. પછી એશિયા ખંડના અન્ય દેશો જોયા. આટલા મોટા આફ્રીકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડમાં પણ ઘણા દેશો આવેલા છે. વળી, ઓસ્ટ્રેલિયા ને ન્યુઝીલેન્ડ. આખી લાંબી યાદી અહીં કયાં બનાવું? પણ એમ કહી શકું કે નિયમિત તથા વ્યવસ્થિત રીતે ફરતાં ફરતાં એકસો દસથી વધારે દેશોનાં દર્શન કર્યા છે. કેટલાયે દેશોમાં એકથી વધારે વાર ગઈ, કારણકે બધે ગમી જાય, ને ફરી જવાનું મન તો તૈયાર જ હોય. ભારત તો દર વર્ષે જતી હતી, અને ત્યાં પણ વિભિન્ન સ્થળો જોવા જતી રહું. ઉત્તર-પૂર્વના પ્રાંતો હોય, કે ઉત્તર પ્રદેશમાંનાં યાત્રાધામ હોય, કે કર્ણાટકનાં પ્રાચીન સ્મારક-સ્થાનો હોય, મારે તો જાણે બધું જ જોવું હોય. સ્તેહસિક્ત લોભ એક આ જ- સ્થાનો જોવાનો. એમને ફરી ફરી જોવાનો !
વળી, પૃથ્વી પર તો જાણે પેટા-ખંડો પણ છે. જેમકે, ઉત્તર અને દક્ષિણ અમેરિકાની વચ્ચે આવેલો મધ્ય-અમેરિકા કહેવાતો ભૃમિ-ભાગ. ઉપરાંત, દરેક દરિયામાં ઘણા દ્વીપ-દેશો હોય છે. એ બધા તો એટલા વિયુક્ત, ને એટલા નાના, કે એમને કયા ખંડમાં ગણવા તે ઘણી વાર જાણે સમજાતું નથી હોતું. એટલાન્ટીક સમુદ્ર, પેસિફિક સમુદ્ર, કરીબિયન સમુદ્રમાંના એવા કેટલાયે દ્વીપ-દેશો પર પણ હું ગઈ. દરેક ટાપુ પર જન-જીવન પણ વિશિષ્ઠ એશિયા, યુરોપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, આફ્રીકા, ઓસ્ટ્રેલિયા – એમ છ ખંડોમાંના અસંખ્ય દેશોમાં ફરી વળી, ને તે પછી જ એન્ટાર્કીટેકા જવા મેં મારી જાતને પરવાનગી આપી. છેલ્લે જાણીતો થયેલો તેથી એ સાતમો ખંડ કહેવાય છે, ને પ્રવાસી તરીકે મારે એને યોગ્ય આદર આપવો હતો. એ તો જાણે શબ્દાતીત અદ્ભૂત જગ્યા હતી. માંડ કશી ભૂમિ. અમુક કિનારા પાસે લાવા-રજ દેખાય. વધારે તો, આખો યે મહા-વિસ્તાર બરફથી છવાયેલો. સફેદ વાદળાં જોઈને થાય આ પહાડ હશે? હિમનદીઓ પોતાના જ વજનથી તૂટીને વિરાટકાયી હિમખંડો બનીને સમુદ્રમાં તરતી હોય. અલૌકીક સ્થાન, પારલોકીક અનુભવ. આ અસાધારણ હિમમંડિત સ્થાન-દર્શન કરીને વહાણ દુનિયા તરફ પાછું જવા માંડ્યું, ત્યારે ન બનવું જોઈએ તે બન્યું. પાણીમાં ઊંડે રહેલા પાષાણોની સાથે વહાણનું તળિયું અથડાયું, ને એવું ઘસાયું કે તત્કાળ વહાણમાં પાણી ભરાવા લાગ્યું. બધાં મશિનો બંધ થઈ ગયાં, બધે અંધારું થઈ ગયું. વહાણ મધદરિયે વાંકું વળીને અટકી પડ્યું. ધમાલ મચી ગઈ. આ વહાણ આર્જેન્ટીનાના નૌકાદળનું હતું, ને પહેલી વાર આમ પ્રવાસીઓને લઈને એંન્ટાર્કીટેકા આવ્યું હતું. બધા ખલાસીઓ સ્પેનિશ જ બોલે, અને એ બધા પણ ગભરાઈ ગયેલા. વહાણ તૂટ્યું પછી ખૂબ ઉતાવળે સ્પૅનિશમાં સૂચનાઓ આવવા લાગી. કશું સમજાય તહીં.
છેવટે બધાં મુસાફરોને તૃતક પર ભેગાં કરવામાં આવ્યાં. દરેક જણ, એક પછી એક કરીને, દોરડાની નિસરણી પકડીને ઊતરતું ગયું. એ નિસરણી તો થોડે સુધી જ જતી હતી, તેથી દરેક જણે પાણીમાં નાખેલી રક્ષા-નાવના નાના ચોરસ “મોઢા” માં કૂદવું પડ્યું. સાચવીને જ સ્તો. નીચે હતો બરફના પાણીનો બનેલો સાગર, એમાં મોટીમસ વહેલ માછલીઓ તરે, ને ડોલમડોલ નાવડીમાં “પડવાનું” – નહીં તો બચવાનો કોઈ ઉપાય નહીં.
બચવા અંગેની વાત તો લાંબી છે, પણ અહીં આટલું પુરતું છે. જાન બચી, તે જ; બાકી બધું ગુમાવ્યું – કપડાં, પૈસા, જરૂરી ચીજો, બે કૅમેરા, ત્રણસો જેટલા ફોટા, ને એથીયે વધારે તો, પાસપોર્ટ અને ગ્રીન કાર્ડ. (વષી પહેલાં “જાદુ’થી મળ્યું હતુંને એ! ) મુસાફરો અગિયાર દેશોમાંથી આવેલાં, ને હું એક જ ઈન્ડિયન હતી. મારો પાસપોર્ટ પણ ઈન્ડિયન હતો. એ તો ફરીથી ન્યુયોર્કના ઈન્ડિયન કોન્સ્યુલેટ સાથે અમુક માથાકૂટ કર્યા પછી મળી ગયો, પણ ગ્રીન કાર્ડ ફરી મેળવતાં અમેરિકન સરકારના ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટની બેદરકારીને લીધે જે મુશ્કેલી પડી, તેને તો યાદ કરતાં પણ જીવને કષ્ટ થાય છે.
ઓગણીસમી-વીસમી સદીમાં દરિયો ઘણો ખેડાતો. ગુજરાતીઓ ભાગ્ય અજમાવવા દરિયાપાર જવાનું જોખમ પણ ખેડતા. ત્યારે પણ વહાણો તૂટતાં, ને મુસાફરો જાન ગુમાવતા. એ પછી કદાચ દાયકાઓ બાદ એક ગુજરાતી સ્ત્રી, વહાણ તૂટી પડ્યાથી, જીવ ખોવાની અણી પર આવી હતી. આ પણ થયો જ ને કોઈ પ્રકારે વિચિત્ર (અને વિસ્મયકર) અંગત દતિહાસ.
હું કહેવા લાગી હતી : “ મારી જિંદગી એંન્ટાર્કીટેકાની પહેલાં, અને એંન્ટાર્કીટિકાની પછી”, પણ ભાગ્યના તડકા-છાંયાની વાતો આપણે સાંભળતાં આવ્યાં છીએને? તો એવું જ કાંઈ બન્યું મારી સાથે. એ કમભાગી વહાણ તો પછીથી ત્યાં જ ડુબી ગયું. સદ્ભાગ્યે કોઈ જાનહાનિ નહોતી થઈ. મેં દુન્યવી સઘળું ગુમાવી દીધું હતું, ને તોયે હું એક અત્યંત અગત્યની રીતે ભાગ્યવાન બની હતી. વહાણમાં દરરોજ હું જેમાં નોંધ કરતી હતી, ને રોજ એ દેવી સ્થાન પર કાવ્ય લખતી હતી, તે નોટબૂક બચી ગઈ હતી. જે થેલો હંમેશાં ખભા પર રહેતો – પાણીની બૉટલ, ગોગલ્સ, રૂમાલ, હેંટ, એકાદ કૅમેરા જેવી ચીજો સાથે – એમાં એ દિવસે એ નોટબૂક પણ હતી. એ બચી, તો હું બચી ગઈ. એમાં એંન્ટા્કીટેકાની સ્તુતિમાં બાર કાવ્યો લખેલાં. ફોટા તો જાણે ત્યાં ફરીથી જઈને ફરી પણ પડાય, પણ જો એ શબ્દો ગુમાવત તો હુદય એવું તો તૂટી જાત, કે જીવને કળ વળતાં કેટલોયે સમય લાગત. કદાચ કળ વળત જ નહીં. મને તો લાગતું હતું કે જો એ શબ્દો ગુમાવ્યા હોત તો જીવ પણ ગુમાવી દીધો હોત.
સંસારમાં ફરી ગોઠવાઈ ના ગોઠવાઈ એટલાંમાં મારું ધ્યાન પુથ્વીના ગોળા પર છેક ઉત્તરે આવેલા આર્કીટેક સમુદ્ર પર ગયું. ઓહો, એ પણ કેટલો અમાપ વિસ્તાર છે. એમાં જ છે ઉત્તર ધ્રુવ. એની ચોતરફ ગ્રીનલેન્ડ, અમેરિકા, કૅનેડા, રશિયા વગેરે દેશોના ઉત્તરના છેડા છે. મારા સ્થાન-પ્રેમી મનને થયું, હું જો ત્યાં જઈ શકું – છેક દક્ષિણ પછી છેક ઉત્તરે – તો પુથ્વીના ગોળાકારને જાણે હું આલિંગનમાં લઈ શકું. વળી, આવો અનંત પ્રસ્તાર, ભલે જળનો, પણ એ સાડા સાતમો ખંડ તો ગણાવો જ જોઈએ. આમ, મારા મનમાં અને મારા માનવા પ્રમાણે, પુથ્વી પર સાડા સાત ખંડ છે !
ચુંબકીય ઉત્તર ધ્રુવ પર જતું અભિયાન, કેનેડાના છેક ઉત્તરના હિસ્સામાં રેઝોલ્યુટ નામના કેનેડાની સરકારે બનાવેલા થાણા પરથી શરૂ થયું. અમે પાંચ મુસાફર હતાં. ચાર પુરુષો યુરોપના ચાર દેશો- આયરલેંન્ડ, ઈગ્લંડ, સ્વિત્ઝરલેંન્ડ, જર્મની- માંથી આવેલા. પાંચમી હું તે ઈન્ડિયન. ઉપરાંત પાંચ સ્થાનિક ઇનુઇત જાતિના પુરુષો. અભિયાનમાં સ્ત્રી હું એક જ, ને મારા તંબુમાં પણ હું એકલી. દુનિયા આખીમાં એકલી હોઉં, તો ધ્રુવીય વિસ્તારમાં પણ કેમ નહીં ! એક અંદેશો જરાક રહે, કે જો આ્કીટેક પ્રદેશમાં ફરતાં રહેતાં સફેદ રીંછમાંનું એકાદ આવી ચઢશે, તો બીકના મા્યી બૂમ પણ નહીં પડાય. જોકે સાથેના બે ઈનુઇત પુરુષો પાસે રાઈફલ હતી, ને એ રાખવી ત્યાં જરૂરી ગણાય છે.
રૅઝોલ્યુટ થાણં છોડ્યું કે દુનિયા આખી પાછળ રહી ગઈ. અરે, ભૂમિ જ છૂટી ગઈ. હવે આગળપાછળ, ચારે તરફ હતો આર્કીટેક સમુદ્ર. તદ્દન થીજેલો. સદીઓથી થીજીને રહેલું પાણી. એના પર જ સ્લેજ જાય, એના પર જ દિવસો સુધી રહેવાનું, ને બરફની જ પથારી. હવામાન માઇનસ પચાસ, સાઠ, સિત્તેર ડિગ્રી. પહેલાં કદિયે ના કરી હોય એવી આ સફર હતી. મારા જીવનની આ મહાયાત્રા હતી.
ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચીને અમારાં બધાંના દેશોના ધ્વજ ફરકાવ્યા. મારો પાસપોર્ટ હજી ઈન્ડિયન જ હતો, તેથી ઈન્ડિયન ધ્વજ લગાવેલો. રેંઝોલ્યુટ થાણામાં રાખેલી નોંધપોથી પરથી પછી ખબર પડેલી કે ચુંબકીય ઉત્તર ધ્રુવ પર પહોંચનાર હું પ્રથમ ભારતીય વ્યક્તિ બની હતી.
દુનિયા જ નહીં, પણ હું સંસારથી પણ મુક્ત થઈ ગઈ હતી. દુન્યવી એક્કે ચીજ લીધી નહતી. ઘડિયાળ પણ મેં સાથે નહતી રાખી. એવું બંધન પણ શા માટે રાખવું? ચોતરફ ચોવીસે કલાક ફેલાયેલા રહેતા પ્રકાશ સામે જોઈને હું સમયને સમજવા પ્રયત્ન કરતી. મેં નોંધ્યું કે મોડી સાંજ થવા માંડે ત્યારે પ્રકાશ કેંક દૂધિયો થતો હતો. આદ્ય-પ્રવાસીઓ આવી જ રીતે સમયને, આકાશને, દિશાઓને સમજતા હશે ને? કદાચ પોતાના ચિત્તને પણ.
અસહ્ય જેવી ઠંડી, સ્લૅંજમાં બેઠે બેઠે પળે પળે આવતા રહેતા આંચકા વગેરેને લીધે અત્યંત કઠિન હતું આ સાહસ, પણ અસામાન્ય-વિરલ હતો આ અનુભવ. ઈશ્વરીય તત્ત્વ મારી અંદર જ સમાયું હશે, નહીં તો બચું કઈ રીતે આમ અહીં, ને અન્યત્ર? ઉછેરવશ, ટેવવશ, શ્રદ્ધાવશ, ગણેશની નાની મૂર્તિ અને થોડાં ફૂલો હું સાથે લઈ ગઈ હતી. ફૂલો તો ઠંડીમાં સાવ સૂકાઈ ગયેલાં, પણ બરફની એક શિલા પર મૂર્તિ પધરાવી, ને ફરતે સૂકી પાંખડીઓ મૂકી. અગરબત્તી માટે દીવાસળી સળગી નહીં, કારણકે પવન હતો. જાણે મેં ત્યાં એક નિજી સ્થાનક બનાવ્યું.
આ સાહસની વિગતો ઘણી છે. એટલું કહું, કે આ મહાયાત્રાની નોંધ ભારતમાં રાષ્ટ્રીય સ્તરે ટીલેવિઝન, રેડિયો, અખબારો વગેરેમાં પણ લેવાઈ હતી. આ પ્રયાણ વિષે મેં ત્રણ પુસ્તકો લખ્યાં. પહેલું અંગ્રેજીમાં લખ્યું. કાવ્યો પણ અંગ્રેજીમાં જ લખ્યાં હતાં. બીજું ગુજરાતીમાં લખ્યું, અને બે બીજાં કાવ્યો પણ. ત્રીજું લખાણ ભારત સરકારના પ્રકાશન કેન્દ્ર દ્વારા આમંત્રિત થયું હતું. એ મેં અંગ્રેજીમાં લખ્યું, ને ગુજરાતી પણ કરી આપ્યું. એ પછી હિન્દી, બંગાળી, ઉડિયા, પંજાબી અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓમાં એનો અનુવાદ થયો છે. શાળાઓમાં એ વંચાય છે, ને મને વિદ્યાર્થીઓ સાથે આ વિષે વાત કરવા આમંત્રણ મળતાં
રહે છે. ભારત તથા કેટલાક અન્ય દેશોમાં પણ, ઓછામાં ઓછી બસો વાર, આ વિષે મેં સચિત્ર રજુઆતો કરી છે. પુથ્વી પર ઉત્તરથી યે ઉત્તરે હું પહોંચી હતી. આ ભૌગોલિક રીતે થયેલું અભિયાન. જોકે,
સમયના સંદર્ભમાં આ પ્રક્રિયા ઉત્તરોત્તર થતી આવી હતી, ને મારી આંતર્ચેતનાના સંદર્ભમાં એ આધ્યાત્મિક રીતે થતી ગઈ હતી. મારી હયાત અવસ્થામાં એક એકલ્પ્ય, ને અનપેક્ષિત મુકામ બન્યો હતો. હું હજી કહું છું, ને હજી માનું છું, કે હું સાવ નજીવી જેવી વ્યક્તિ, ને કશી ચરમ જગ્યાએ પહોંચવા પામી. સાવ શૂન્યથી શરૂ કર્યું મેં, ને છેક ઉત્તર ધુવ પર જઈ શકી. જે રીતે સીમિત થઈને રહેવાનું પ્રથાગત કુટુંબોમાં ફરજીયાત હોય છે તેની બહાર, અને સાચે જ, કોઈક રીતે જાતની બહાર, હું નીકળી ગઈ હતી.
# # #
પ્રસથાન અને લેખન – બંને નાનપણથી જ થતાં રહ્યાં હતાં, પણ સામાન્ય પરિમાણમાં. જીવનને જ્યારે મારે જાતે સન્માનવાનું, ચાહવાનું, જીવવાનું આવ્યું ત્યારે આ બંને પ્રવૃત્તિઓ પાંગરી ઊઠી, અને સદાયે એકમેકને પૂરક બનીને ચાલતી રહી. અમેરિકામાં આરંભનાં વર્ષો દરમ્યાન પ્રવાસ શરૂ થયા હતા, પણ ક્યારેક ક્યારેક કાવ્યો સિવાય બીજું લખવાનું અટકી ગયું હતું. ભાષાના છોડને, નવી હવા ને માટીમાં, ફલો હજી આવવા નહતાં માંડ્યાં.
૧૯૮૨માં હું પહેલી વાર મધ્ય-પૂર્વના દેશોમાં ગઈ – ઇજિપ્ત, પેલેસ્ટાઇન, જોર્ડન, ને ખાસ તો ઈઝરાયેલ. ત્યાં જેરુસલેમની ઝાંખી કરી, અને હુદય-મંદિરનાં દ્વાર ખુલી ગયાં. ઇશુના જીવનનાં સ્થાનો દ્વારા હું સ્પર્શી, અને એ સાથે ભાષા અને સાહિત્યનાં દેવી ટેરવાં પર પુન:પ્રસ્થાપિત થયાં. “જેરુસલેમની જાત્રા” નામનો લેખ મનના ઊંડાણમાંથી ઊભરાઈ આવ્યો. એ છપાયો. પછી તરત ચીન ગયેલી. એ તો તે કાળે “ચોથું વિશ્વ” લાગેલું. એના પર બે લાંબા નિબંધ લખ્યા. ને પછી તો જ્યા જ્યા ગઈ ત્યાં ત્યાંની આરતી શબ્દો દ્વારા ઉતારતી ગઈ. છતાં, શિવકુમાર જોષી જેવા મિત્રોએ જ્યારે કહ્યું કે “ હવે નિબંધ-સંગ્રહ છપાવ”, ત્યારે ઘણો અચંબો થયેલો. અરે, હોય કાંઈ? મારી તે કાંઈ ચોપડી થતી હશે? પણ થઈ. એ પ્રથમ પુસ્તક તે “પૂર્વી”. એમાં દુનિયાના પૂર્વીય પ્રદેશોના લેખો છે – પૂર્વ એશિયા, પૂર્વ આફ્રીકા, મધ્ય-પૂર્વ વગેરે.
માન્યું નહતું, ને શરૂઆત થઈ. માન્યું નહતું, ને પુસ્તકો ચાલુ રહ્યાં. પ્રવાસ પર તેવીસ થયાં, ને એ સિવાય લલિત નિબંધ, કવિતા, વાતી, નવલકથા, અનુવાદો વગેરેનું કામ પણ થતું જ રહ્યું. ભારતમાં ભ્રમણ (તે ય એકલાં જ) કરતાં કરતાં લીધેલા અસંખ્ય ફોટાઓમાંથી ચૂંટીને ૪૮૦ જેટલી તસ્વીરોનું એક પુસ્તક (ઘણા શ્રમપૂર્વક) થયું. એનું નામ “આપણ ઈન્ડિયા” – (Our India). એ મારું પ્રિય પુસ્તક, અને દેશને કરેલું તર્પણ છે. લખ્યાં છે તો બધાં જ પુસ્તકો ભાષાના સ્નેહમાં ખૂબ આનંદથી, પણ એમાંયે અમુક પુસ્તક મને બહુ વહાલાં છે. જાપાનના પહેલા છ પ્રવાસો (હવે નવ થયા છે) પરનું પુસ્તક “ સંબંધની ત્રતુઓ.” લાંબા ભૂમિ-પટે જતા જાપાન દેશમાં, ઉત્તરથી દક્ષિણ, ઘણી જગ્યાઓએ ગઈ, બધીને ચાહી. વળી, જાપાનની દરેક ઋતુ દરમ્યાન હું ત્યાં હાજર રહેલી છું.
તિબેટના ભ્રમણ પરનું પુસ્તક “દેવો સદા સમીપે.” આખો એ પ્રદેશ ખૂબ ઊંચાઈ પર છે. મેં ત્યાં બસમાં ભૂમિ-માર્ગે મુસાફરી કરી. લાગે કે મારગ ઉપર ને ઉપર ચઢતો જાય છે, લાગે કે દેવો અહીંથી નજીકમાં જ રહેતા હોવા જોઈએ. હું બહુ સ્વપ્ન સેવતી નથી – પ્રવાસ અંગે પણ નહીં. જાણે દેવો જ સ્થાનોનું સ્મરણ મારા મનમાં પ્રેરે છે ! પણ લ્હાસામાં આવેલા, દલાઈ લામાના એક હજાર કક્ષોના બનેલા વારસાગત પ્રાસાદ-સંપુટને જોવાની ઇચ્છા મારા મનમાં એક સપનું બની બેઠી હતી. તિબેટી લોકોને માટે જે દેવનો અવતાર છે, તે પોતે જીવ બચાવવા ૧૯૫૯માં તિબેટથી ભાગી છૂટેલા, ને હજી ક્યારેય ઘેર પાછા જઈ શક્યા નથી. આ હકીકત મારા જીવને પીડતી રહે છે. “પોટાલા પૅલેસ” કહેવાતું એમનું નિવાસ-સ્થાન હવે તો ચીની સૈનિકોનું ઘર બનાવી દેવાયું છે. મુસાફરે પણ ત્યાં બહુ સાવધાન રહેવું પડે છે. એ દિવસે મેં એમને યાદ કરીને ખાસ, એ પહેરતા હોય છે તેવા ચંપાઈ રંગનાં કપડાં પહેરેલાં.
દક્ષિણ આફ્રીકા દેશના પહેલા ચાર કે પાંચ પ્રવાસો પરનું પુસ્તક તે “ સૂતર સ્નેહનાં.” ગાંધીજીના ઘણા સંદર્ભોએ એને પણ મારું પ્રિય પુસ્તક બનાવ્યું છે. ઓસ્ટ્રેલિયા ચોથી વાર ગઈ પછી એના પર બીજું પુસ્તક લખ્યું. એનું નામ “આટલી બધી ભૂમિ” છે, કારણકે એ વખતે મેં પિસ્તાલિસ કલાકની ટ્રેન-સફર કરેલી, કેવળ ભૂમિને જોવા. એ સૂકા રણ જેવો, વનસ્પતિ વગરનો, ‘કશું નહીં’ જેવો પ્રદેશ છે. વળી, ઓસ્ટ્રેલિયાનું “રક્તિમ કેન્દ્ર” કહેવાતા વિસ્તારમાં ફરીથી ગઈ, અને ‘ઉલૂરુ’ કહેવાતા અજાયબ મહા-પાષાણને બીજી વાર જોવા ભાગ્યશાળી થઈ. કાવ્ય-સંગ્રહોનાં તો બધાં નામ મને પસંદ છે : “જૂઈનું ઝૂમખું”, “ઓ જુલિયેટ”, “ખંડિત આકાશ”, “બેતરફી પ્રેમ”. વળી, “સાત ખંડ, સાતસો ઇચ્છા”માં સાતેય, બલ્કે મારા મતે સાડા સાત, ખંડ પરનાં પ્રવાસ-કાવ્યો છે, ને “અકારણ હર્ષે” (આ શબ્દો રવીન્દ્રનાથના એક ગીતમાં છે) નામના સંગ્રહમાં ચાર ભાષાઓનાં – ગુજરાતી, હિન્દી, ઉર્દુ, અંગ્રેજી – મૌલિક કાવ્યો છે.
ખેર. અત્યારે કુલ પચાસ પુસ્તકો થયાં. ઈનામો પણ મળતાં રહ્યાં- ગુજરાત સાહિત્ય પરિષદ અને અકાદમીમાંથી દસેક મળ્યાં હશે. એની નોંધ કરતાં જવાનું મને સૂઝ્યું જ નથી. બીજાં પણ ખૂબ સરસ પારિતોષિક પ્રાપ્ત થયાં- વિશ્વ ગુર્જરી, સમર્પણ સન્માન, નર્મદ ચંદ્રક, ગુજરાતનું ગૌરવ, ગુર્જર ગિરા, મહેતા પારિતોષિક, કવિ ડાહ્યાભાઈ ચંદ્રક, ગાર્ડિ ડાયસ્પોરા પારિતોષિક વગેરે. આમાંનાં કેટલાંક પહેલી વાર દરિયા-પાર આવ્યાં. “કુમાર સુવર્ણચંદ્રક” તો અસંખ્ય વર્ષોના એના ઈતિહાસમાં, એ વર્ષે, પહેલી વાર કોઈ લેખિકાને મળ્યો હતો !
ખરેખર, હજીયે આ બધું મને જાદુ જેવું જ લાગે છે. પણ કૃપાવંત છું તે તો કબુલ કરવું જ પડે. સ્થાન-પ્રેમી એકલ સ્ત્રી-પ્રવાસી તરીકે કોઈ દેવી તત્ત્વ મારું ધ્યાન રાખતું ગયું, મને આંચ ના આવવા દીધી. શબ્દ-ભક્ત સર્જક તરીકે કોઈ દૈવી તત્ત્વ મને સતત પ્રેરણા બક્ષતું રહ્યું. મારા લલાટે સૃષ્ટિ અને શબ્દ, ભ્રમણ અને ભાષા લખાયાં હશે.
મારાં મમ્મી ક્યારેક કહેતાં, “ ફરવામાં આટલા પૈસા ખર્ચે છે તે ઘરેણાં કરાવતી હોય તો.” ને એમણે જ મને ઘણી વાર કહેલું, “ બહેન, તું બહુ સંતોષી.” એમને ખ્યાલ આવી ગયેલો, કે આ છોકરી કોઈ સ્વીકાર્ય જીવન-રીતિમાં બંધાઈને નહીં રહી શકે. પહેલાં એ ચિંતા કરતાં, ને પછી જોયું કે હું સુખ-આનંદમાં છું એટલે એ નિશ્ચિંત થયાં હતાં. લેખન-ક્ષેત્રે મારી પ્રગતિ એમણે જોઈ નહીં, નહીં તો એ ઘણો હર્ષ પામ્યાં હોત.
સર્વોચ્ચ અદાલતની જસ્ટિસ અભય ઓકા અને ઉજ્જવલ ભુઈયાંની ખંડપીઠે હમણાના એક ચુકાદામાં પગપાળા રાહદારી માટે અબાધિત અને સલામત ફૂટપાથના અધિકારને જીવનના અધિકારનો હિસ્સો માન્યો છે. ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૧ હેઠળ નાગરિકોને જીવન જીવવાનો મૂળભૂત અધિકાર છે. તેમાં પગે ચાલતા નાગરિકના સલામત, યોગ્ય અને સુલભ ફૂટપાથના હકનો સમાવેશ કર્યો છે. ફૂટપાથના અભાવે પગે ચાલનારાને જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. જે તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના રિપોર્ટ પ્રમાણે દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોમાં ૨૧ ટકા પગે ચાલનારા હોય છે. ભારતમાં ૨૦૨૩માં સડક દુર્ઘટનાઓમાં મરનારાઓમાં દર પાંચમી વ્યક્તિ પગપાળા ચાલનારી હતી. તેમના મૃત્યુનું મુખ્ય કારણ ફૂટપાથના અભાવે રસ્તા પર ચાલવું હતું.
સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી
સુપ્રીમ કોર્ટે તેના આદેશમાં જણાવ્યું છે કે નગરો અને મહાનગરોના નાગરિકો અબાધિત ફૂટપાથનો ચાલવા માટે ઉપયોગ કરી શકે તે સુરક્ષિત અને સન્માનજનક જીવનનો ભાગ છે. ફૂટપાથ વગર પગે ચાલનારાને રસ્તા પર ચાલવા મજબૂર કરવા તે તેમના જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે. ફૂટપાથોનું નિર્માણ અને સારસંભાળ માત્ર સામાન્ય લોકો જ નહીં દિવ્યાંગો પણ સહેલાઈથી વપરાશ કરી શકે તેમ હોવું જોઈએ. ફૂટપાથ પરથી ગેરકાયદે દબાણો હઠાવવા જોઈએ અને લોકો અબાધિત ઉપયોગ કરી શકે તેવી હોવી જોઈએ. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફૂટપાથોની ઉપલબ્ધતા અને સારસંભાળ સુનિશ્ચિત કરતી નીતિ ઘડવા પણ હુકમ કર્યો છે. અગાઉ ૨૦૧૮માં બોમ્બે હાઈકોર્ટે આ અંગે આપેલ ચુકાદાને તમામ રાજ્યો આદર્શ ગણી તે પ્રમાણેની માર્ગદર્શક સુચનાઓ અને અમલનો અહેવાલ બે મહિનામાં રજૂ કરે તેમ પણ અદાલતે જણાવ્યું છે.
દેશની સૌથી મોટી અદાલતને ફૂટવે અને ફૂટપાથ અંગે ચિંતા વ્યક્ત કરતા આદેશો કરવા પડે છે ત્યારે સ્થિતિ કેટલી ગંભીર હશે અને પગપાળા રાહદારીઓ માટે કેટલું જોખમ હશે તેની ગંભીરતા સમજાવી જોઈએ. શહેરી ભારતમાં ૨૮ ટકા લોકો પગપાળા ફરે છે. શહેરોમાં આસપાસના ગામડાના લોકો પણ ખરીદી માટે આવતા હોય છે અને તેઓ પણ મોટેભાગે પગપાળા જ હોય છે.આ સંજોગોમાં આઈઆઈટી દિલ્હીનો તાજેતરનો ઈન્ડિયા સ્ટેટસ રિપોર્ટ ઓન રોડ સેફ્ટી આપણી આંખ ઉઘાડનારો છે. દેશમાં સરેરાશ ૧૯ થી ૭૩ ટકા સડકો પર જ ફૂટપાથ આવેલી છે. જમ્મુ કશ્મીરમાં માત્ર ૩ જ ટકા ફૂટપાથ છે. તે પછીના ક્રમે પુડુચેરીમાં ૫ ટકા છે. બિહારમાં ૧૯ અને હરિયાણામાં ૨૦ ટકા રોડ સાથે ફૂટપાથ છે. સૌથી વધુ ફૂટપાથ ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે.
બાળકો અને બુઝુર્ગો માટે આપણા રસ્તા સવિશેષ મુશ્કેલ છે. માર્ગ અકસ્માતનો ભોગ બનેલામાં ૧૯.૫ ટકા પગે જતા રાહદારીઓ છે. ૨૦૧૯થી ૨૦૨૩ સુધીમાં કુલ ૭.૯ લાખ લોકોના મોત માર્ગ અકસ્માતમાં થયા હતા. તેમાંથી ૧.૫ લાખ લોકો પગપાળા જતા માર્ગ અકસ્માતનો ભોગ બન્યા હતા. તેમની સલામતી માટેની કાયદાકીય જોગવાઈઓ સીમિત છે. તેથી આ દિશામાં કોઈ ખાસ ધ્યાન આપતું નથી.
શહેરોની ચોથા ભાગની વસ્તી પગપાળા રાહદારીઓની હોવા છતાં આપણા શહેરી આયોજનમાં ફૂટપાથની પાયાની જરૂરિયાતનું કોઈ સ્થાન જોવા મળતું નથી. ભારતના બંધારણે નાગરિક માત્રને દેશમાં ગમે ત્યાં નિર્બાધ ફરવાનો અધિકાર તો આપ્યો છે પરંતુ શહેરોમાં અસલામત રસ્તા અને ફૂટપાથના અભાવે પગપાળા રાહદારીના અધિકારો ઉવેખાય છે. ફૂટપાથ સમાવેશી અને બાધામુક્ત હોવી જોઈએ.પણ વાસ્તવમાં ફૂટપાથોનો અભાવ છે અને જ્યાં છે ત્યાં તેના પર દબાણો છે. ફૂટપાથ વૈકલ્પિક સગવડ નથી પણ અનિવાર્ય આવશ્યકતા છે તે સાદું સત્ય કોઈને સમજવું નથી.
ફૂટપાથો પર નાના મોટા ધંધા રોજગાર કરનારાઓનું દબાણ છે. ધાર્મિક સ્થળોનું દબાણ છે અને ગરીબોમાં સૌથી વધુ ગરીબ લોકોનો આશિયાના ફૂટપાથ છે. એક અંદાજ મુજબ દેશમાં પચીસેક લાખ લોકો ફૂટપાથને ઘર બનાવી જીવનના દિવસો ટૂંકા કરે છે. જે લોકો ફૂટપાથ પર રહેવા લાચાર છે તેમની ઘરવખરીમાં રાંધી ખાવા ચુલો કે થોડા વાસણો, ગાભા-ડૂચા અને ગંધાતી ગોદડીઓ હોય છે. જસ્ટિસ એમ.પી. ઠક્કરની આગેવાની હેઠળના લો કમિશનના ૧૩૮મા અહેવાલમાં ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સિસ, બોમ્બેના સર્વેક્ષણના તારણો ટાંકવામાં આવ્યા હતા. તે પ્રમાણે ફૂટપાયરીઓ પર જીવતા લોકોમાં ૫૩ ટકા શાકભાજી, ફળ-ફૂલ, આઈસ્ક્રીમ, રમકડાં, ફુગ્ગા વેચવાના અને બીજા નાના સ્વરોજગાર કરનાર અને ૩૮ ટકા ઘરેલુ નોકર, બાંધકામ મજૂર અને છૂટક મજૂરી જેવી આકસ્મિક રોજી કરનારા હતા. ભારતના ગરીબોને તેમની રહેઠાણની સ્થિતિ પ્રમાણે ક્રમ આપવો હોયતો પહેલા ચાલીઓમાં રહેતા, તે પછી ઝૂંપડાઓમાં રહેતા અને અંતે ફૂટપાથ પર રહેનાર છે.
સર્વોચ્ચ અદાલતનો વર્તમાન ચુકાદો ફૂટપાથ પર ચાલવાનો નાગરિક અધિકાર સ્થાપે છે અને દબાણમુક્ત ફૂટપાથ ઈચ્છે છે ત્યારે ફૂટપાથ પર રહેનારા ગરીબોનું શું તેવો સવાલ ઉઠે છે. કેરળ અને કર્ણાટક હાઈકોર્ટના અગાઉના ચુકાદાઓમાં મંદિર સહિતના ધાર્મિક દબાણો ફૂટપાથ પર ન હોવા જોઈએ તેમ જણાવ્યું છે. ત્રિવેન્દ્રમ ચેમ્બર ઓફ કોમર્સની રિટ પર કેરળ હાઈકોર્ટે રાજકીય પક્ષો અને બીજા સંગઠનો ધરણા, આંદોલન, દેખાવો માટે ફૂટપાથને બાધિત ન કરી શકે તેમ જણાવ્યું હતું. એટલે ફૂટપાથને ઘર બનાવનારા પણ દબાણકર્તા છે અને તેમને હઠાવવા પડે. ત્યારે ફૂટપાથ પર પહેલો હક કોનો ? પેટનો કે પગનો? તેવો સવાલ વિચારવો પડે.
ગઈ સદીના નવમા દાયકે માનવ અધિકાર સંગઠન PUCLના એક સંમેલનમાં જસ્ટિસ વી.એમ. તારકુડેએ કહ્યું હતું, ‘ ‘ ફૂટપાથના રહેવાસીઓને પણ રહેવાનું સ્થાન મેળવવાનો મૂળભૂત અધિકાર છે. એમનો એ અધિકાર બીજાના અધિકારની આડે આવતો હોય , જેમકે ટ્રાફિક અથવા તો કહેવાતી ડિસન્સી, તો પણ ડિસન્ટ લાઈફ કરતાં લાઈફ મહત્વની છે. લાઈફના ભોગે ડિસન્સી જળવાતી હોય તો આપણે ડિસન્સીનો ભોગ આપીને લાઈફને જ જાળવવા ઠેક સુધી પ્રયત્ન કરવા જોઈશે. થોડા ઉચ્ચ કે ઉપલા મધ્યમવર્ગના ‘ડિસન્સી’ના ખ્યાલો જો ગરીબ શ્રમજીવી જનતાના રહેઠાણ મેળવવાના હકની આડે આવતા હોય તો એ ડિસન્સી અને ટ્રાફિક સેન્સ જહન્નમમાં જાય! જે દેશ પોતાના નાગરિકોને આઠ ચોરસ ફૂટનો ઓટલો નથી આપી શકતો તે દેશમાં ડિસન્સી શક્ય બનવાની નથી. આસમાનની નીચે રહેવાનો અધિકાર માત્ર બંધારણે બક્ષ્યો છે એમ નહીં , બંધારણ બનતાં પહેલાંનો, અરે બાવા આદમની ઓલાદ પેદા થઈ ત્યારથી એને પ્રાપ્ત થયેલો અધિકાર છે. એને માત્ર રહેવાનો નહીં, કામની જગાએ, જ્યાં રોજી પ્રાપ્ત થાય તેવી જગાએ રહેવાનો મૂળભૂત અધિકાર છે”
અબાધિત ફૂટપાથના અધિકાર સંબંધી વર્તમાન ચુકાદાના સંદર્ભમાં પણ જસ્ટિસ તારકુંડેએ કશું જૂદું કહ્યું ન હોત. એટલે પગની સલામતીમાં પેટ વિસરાવું જોઈએ નહીં.
અતરાપી નવલકથામાં ધ્રુવદાદાએ સારમેયનાં સંવાદો દ્વારા જીવનમાં પળેપળે ધ્યાનમાં લેવા જેવી અનેક વાતો સહજતાથી સમજાવી છે જેમાંની મને એક વાત ખૂબ ગમી તેની વાત આજે આપ સૌ સાથે વહેંચીશ.
સારમેય જેના ખેતરમાં રહે છે, તે તેના દોસ્તાર સાથે સપનું-સપનુંની રમત રમે છે. આ સપનું-સપનુંની રમત જે આપણે સૌ રમી રહ્યાં છીએ. “આ જીવન જ એક સપનું છે” જે આપણે સૌએ સમજવાની જરૂર છે.આપણે સૌ આપણું સમગ્ર જીવન ઘર, જમીન, જાયદાદ, પૈસા, કુંટુંબકબીલાનાં મોહમાં વિતાવીએ છીએ. જીવનની પાછલી અવસ્થામાં પણ આ બધું છોડીને જવાનું છે એ ખબર હોવા છતાં તેનો મોહ કે માયા જરા પણ છોડી શકતા નથી. ખરાબ સપનામાંથી જાગી જઈએ અને ખબર પડે કે આ તો સપનું હતું તો કેટલો હાશકારો અનુભવીએ છીએ. પરતું આ જીવન જ સ્વપ્નવત્ છે. અહીં ભેગું કરેલું બધું એમ જ મૂકીને જતાં રહેવાનું છે અને સ્વપ્નવત્ જીવન ક્યારે અચાનક પૂરું થઈ જવાનું છે તેની પણ જાણ આપણને નથી.છતાં તે સપનાને સાચું માનીને જ સૌ જીવી રહ્યાં છીએ.
સારમેયનો દોસ્તાર જ્યારે કહે છે કે હમણાં હમણાં હું ઊંઘી નથી શકતો,મને વિચારો આવ્યા કરે છે કે મારી આ મિલકતોનું શું થશે? અહીં કોણ રહેશે? મને કોણ સાચવશે? મારી પાછળ શું થશે? અને ત્યારે જીવન સ્વપ્નને સમજાવવા એ દોસ્તાર સાથે સારમેય સપનું-સપનુંની રમત રમવાની વાત કરે છે.
દોસ્તારનો દીકરો પ્રશાંત શહેરમાં રહે છે. દોસ્તારનાં મોટાં ઝાડપાનથી લીલાંછમ્મ ખેતરમાં પ્રશાંતને રિસોર્ટ કરવી છે. આ વાતે દોસ્તાર ચિંતિંત છે. સારમેયને જ્યારે દોસ્તાર આ અંગે વાત કરે છે ત્યારે સપનું-સપનુંની રમત રમાડી સપનામાં આપણને જે ગ્રહ કે નક્ષત્ર ખૂબ ગમતું હોય તેની પર રહેવા જઈને તેના સૌંદર્યને કેવી રીતે સપનામાં આપણે માણીને આનંદ લઈએ છીએ એ સારમેય સમજાવે છે. ખરેખર તો આપણે પૃથ્વી પર જ હોઈએ છીએ તેવી રીતે જ આ ખેતર, જમીન બધું તારું સમજે છે એ તારી ભૂલ છે. એ પણ તારે અહીં જ છોડીને જવાનું છે. એમ સપનું -સપનુંની રમત રમાડી સારમેય દ્વારા ધ્રુવદાદા આપણને સમજાવે છે. આપણાં સૌની ચિંતા પણ દોસ્તાર જેવી જ હોય છે. દોસ્તારની વાત કહી દરેક દુનિયાનાં આમ આદમીની મનોસ્થિતિ ધ્રુવદાદાએ અરીસો ધરી આપણને સૌને બતાવી દીધી છે.
બીજી પણ એક સરસ વાત સારમેય કહે છે કે “તું વીલ કરીને આ જમીન, આ દરિયા કિનારાની જગ્યા પ્રશાંતને આપવાનો નિર્ણય કરે, પણ એ નિર્ણય માત્ર તમે બે જણ ન લઈ શકો. તારે આ ઝાડવાંને, દરિયાને, વાડીને પણ તેની ઈચ્છા પૂછવી જોઈએ. આ વાત દોસ્તાર સરસ રીતે સમજી ગયો.”
તેણે તેના દીકરાને બોલાવીને કહે છે, “આ ખેતર અને જમીન અને મિલકત એક શરતે કોઈને પણ મળશે કે આમાંનું એકપણ ઝાડવું આપમેળે સુકાય નહીં ત્યાં સુધી તેને કાપવું નહીં ,તે જેને માન્ય હશે તેને જ આ મિલકત મળશે.”
આમ અતરાપીમાં ધ્રુવદાદાએ “જીવન એક સપનું છે “તેમ સમજી જીવવાનો અને વૃક્ષોમાં પણ જીવ છે, તે પણ આપણી મૂલ્યવાન સંપત્તિ છે.- એમ સમજાવી અને પર્યાવરણ રક્ષણની સુંદર વાત કરી છે.
અતરાપીનાં અંતમાં સારમેય સાક્ષીભાવ સાથે, મોહ-માયાથી વિમુક્ત જીવન જીવે છે અને મોક્ષ પામે છે. કૌલેયક સાધુ બનીને જીવે છે અને ઘણું પુણ્ય કમાય છે છતાં તે પુણ્ય ભરપાઈ થઈ જતાં ફરી જન્મ લેવો પડે છે એવો સંદેશ પણ અતરાપી દ્વારા દાદાએ આપ્યો છે.
સારમેય કેવું જીવન જીવે છે તેની જ રજૂઆત હોય તેવું આ ઘ્રુવગીત જૂઓ-
“નામ સંકીર્તન ભજન મેં ના કર્યું.
સંતનું કહેવું સજન મેં ના કર્યું.
આવીને ઉપદેશકો બોલી ગયા
સાંભળી લીધું શ્રવણ મેં ના કર્યું
ક્યા ગુરુ ક્યા ગ્રંથને શોધ્યા કરું
તો સુણો સાધો વચન મેં ના કર્યું
આ ભવે પેલા જનમની વારતા
કેટલું કેવું સરસ મેં ના કર્યું
શું કરું વૈકુંઠની આશા કરી
મોક્ષને નામે તરસ મેં ના કર્યું
શબ્દને મારી તરફ વાંધો પડે
એટલું મોટું કવન મેં ના કર્યું
હું કશુંયે નહીં કરું આપો વચન
તેં કહેલું તરત મેં ના કર્યું
સારમેય આ ગીતમાં લખેલ જિંદગી જીવ્યો.
પરતું જે જીવ્યો તે સાફ દિલ સાથે, માનવતાવાદી જીવન, કશાય દંભ કે ડોળ વગરનું તથા તેને જે સત્ય લાગ્યું તે પ્રમાણે જીવ્યો અને મોક્ષનો અધિકારી બન્યો. આમ અતરાપીમાંથી પસાર થઈ તેની અનેક વાતો મારા મનને સ્પર્શી ગઈ . તમને સૌને પણ તે વાતો ગમશે.
ભારતીય લઘુચિત્રોની શૈલીથી આપણામાંના મોટા ભાગના પરિચીત હશે, કેમ કે, દરેકને ઘેર કોઈક ને કોઈક રીતે એવું એકાદું ચિત્ર હશે જ. લઘુચિત્રોમાં મોગલ, મેવાડ, કાંગડા જેવી વિવિધ શૈલીઓ પ્રચલિત હતી. યુરોપિયન ચિત્રકળાથી વિપરીત એ સપાટ (Flat), પરિપ્રેક્ષ્ય (perspective)ના અભાવવાળી, છાયાપ્રકાશની રમત વિનાની રહેતી. તેમાં ઝીણવટનું મહત્ત્વ ઘણું હતું. માનો કે ચંપાનું કે નાળિયેરીનું ઝાડ હોય તો એનાં એકે એક પાનની નસોનું ચિત્રણ કરાયું હોય. મકાનનું ચિત્ર હોય તો એ આર્કિટેક્ચરની રીતે ખોટું ચિતરાયેલું હોઈ શકે, પણ એની જાળીઓ-દરવાજા વગેરેની ભાત એકદમ બારીકીથી ચીતરાયેલી હોય. તેમાં પ્રાકૃતિક તત્ત્વો- પશુ, પક્ષી, વનરાજી-નો ઉપયોગ છૂટથી કરાતો. વાસ્તવદર્શી ચિત્રકળાના સામાન્ય નિયમ અનુસાર નજીકની વસ્તુ મોટી અને ઘેરી જણાય, અને દૂરની વસ્તુ નાની અને આછી, પણ લઘુચિત્રોમાં આ નિયમ સામાન્યપણે જોવા મળતો નહીં. લઘુચિત્રોની બીજી વિશેષતા એ હતી કે એમાં માનવાકૃતિઓનું કદ બહુ મોટું નહોતું. કેમ કે, એમાં મહત્ત્વ વ્યક્તિની સાથેસાથે આસપાસના વાતાવરણનું પણ રહેતું. તદુપરાંત તેમાં દર્શાવાતા ચહેરા મોટે ભાગે પ્રોફાઈલ (પડખે દોરાયેલા)માં રહેતા, જ્યારે શરીરનો અગ્ર ભાગ દોરવામાં આવતો. અહીં મેવાડ શૈલીનું એક લઘુચિત્ર લાક્ષણિક લઘુચિત્ર કેવું હોય એનો ખ્યાલ આપવા માટે મૂક્યું છે.
(મેવાડ શૈલીનું એક લઘુચિત્ર}
ભગવાન શ્રીકૃષ્ણના જીવનના વિવિધ પ્રસંગો લગભગ દરેક લઘુચિત્રશૈલીમાં જોવા મળે છે. એ ઉપરાંત મોગલ શાસકોનાં ચિત્રો પણ આ શૈલીમાં જોઈ શકાય છે.
ભૂપેન ખખ્ખરે સાઠના દાયકાના મધ્યમાં ગુલામ મોહમ્મદ શેખ સાથે રાજસ્થાનમાં-કોટા-બુંદી-ઉદેપુર-નાથદ્વારાનો પ્રવાસ કર્યો. એ પછી તેઓ ચંડીગઢના મ્યુઝિયમમાં પણ ગયા. અનેક અનેક લઘુચિત્રો તેમની નજર તળેથી પસાર થયા. એ પછી સહજપણે તેમનાં ચિત્રોમાં લઘુચિત્રશૈલીનો પ્રવેશ થયો.
પોતાની કળાયાત્રાનો આરંભ ભૂપેને કોલાજથી કરેલો. (જેના વિશે અગાઉની પોસ્ટમાં લખાયું છે) એ યાત્રાના આગળના તબક્કામાં તેમણે લઘુચિત્રોની શૈલી અપનાવી.
એટલે એમાં વિષયો આધુનિક હોય, વાતાવરણ પણ પ્રવર્તમાન હોય, પણ શૈલી લઘુચિત્રોની. ભૂપેને બનાવેલાં ચિત્રો જોવાથી ખ્યાલ આવશે કે તેમણે આ શૈલીનો ઉપયોગ શી રીતે કર્યો.
આગળ જતાં ભૂપેનની શૈલીમાં પરિવર્તન આવતું ગયું, છતાં લઘુચિત્રશૈલીની કેટલીક બાબતો તેમનાં ચિત્રોમાં દેખાતી રહી.
(અમેરિકન સર્વે ઓફિસર)(પ્રજાસત્તાક દિન)(તોપ સાથેનો લેન્ડસ્કેપ)(ચર્ચ અને માળી)વિદાય લેતો માણસ (વિદેશ જતો)(લાલ કિલ્લા પાસે શંકરભાઈનું પોર્ટ્રેટ)