વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર

    પરેશ ૨. વૈદ્ય

    આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિશે એકવાર કહેવાયું હતું કે એમણે આપેલા વૈજ્ઞાનિક સિદ્ધાંતો તો લોકોને બહુ સમજાતા નહીં, તે છતાં લોકો એમને અનહદ પ્રેમ કરતા અને આદર આપતા. પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર માટે પણ આ વાત લાગુ પડે છે.

    પ્રોફેસર જયંત વિષ્ણુ નારળીકર અને તેમનાં પત્ની મંગળા (રાજવડે) નારળીકર

    કારકિર્દીની શરૂઆતમાં બીગ બેંક થિયરીની સાથે અસહમતિ દર્શાવતું શોધપત્ર લખ્યું ત્યારે લોકોને કંઈક સમજાયું હતું , પણ પછીના છપન સત્તાવન વર્ષમાં એમણે જે સંશોધન કર્યા એ બાબતો લોકોને પૂરતી જાણ નથી;  તે છતાં એક મેધાવી અને વિનમ્ર વ્યક્તિ તરીકે એમની છાપ સામાન્ય જનમાં છે; ખાસ કરીને મહારાષ્ટ્રમાં અને વૈજ્ઞાનિક વર્તુળોમાં એમની પ્રતિષ્ઠા ટોચ ઉપર રહી છે.

    કોલ્હાપુરમાં ૧૯ જુલાઈ ૧૯૩૮ ના દિવસે તેઓનો જન્મ. પરંતુ શાળાનું શિક્ષણ વારાણસીમાં થયું કારણ કે પિતા શ્રી વિષ્ણુ વાસુદેવ નારળીકર બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગણિત વિભાગમાં અધ્યાપક હતા.  ૧૯૫૭માં BSc ની ડિગ્રી લઈને જયંત કેમ્બ્રિજ (ઇંગ્લેન્ડ) ગયા, જે ત્યારે બધા હોશિયાર વિદ્યાર્થીઓનું ગંતવ્ય સ્થાન હતું.  પીએચડી ના સંશોધન માટે ગાઈડ તરીકે તેમને પ્રખ્યાત ખગોળશાસ્ત્રી ફ્રેડ હોયલ મળ્યા તેથી તેઓના જીવનની દિશા જ બદલી ગઈ.  એ બંને એ સાથે મળીને બ્રહ્માંડની ઉત્પતિ વિશે એક શોધ પત્રમાં એવું કહ્યું જે ત્યાં લગીની માન્યતાની વિરુદ્ધ હતું.  બિગ બેંગ એટલે કે મોટા ધડાકા સાથે બ્રહ્માંડની ઉત્પત્તિની ત્યારની થીયરી ને બદલે એ લોકોએ કહ્યું કે બ્રહ્માંડ લગભગ સ્થિર છે. એ વધે છે, ફરી સંકોચાય છે,  ફરી વધે છે. એ લોકો એ તેને Quasi Steady State theory કહી. આ વાતે ચકચાર જાગી. માત્ર છવીસ વર્ષનો છોકરો અને તે ભારતનો એટલે ભારતમાં એને ખૂબ પ્રસિધ્ધિ મળી.  એ વખતે અમારી પેઢી સ્કૂલમાં હતી.

    એમની આ સિદ્ધિના સન્માનમાં ભારત સરકારે એમને બહુ નાની ઉંમરે પદ્મભૂષણનો ખિતાબ આપ્યો.  કેમ્બ્રિજમાં જ રહી એમણે વધારે સંશોધન અને અધ્યાપન ચાલુ રાખ્યા.  ૧૯૭૨માં ૩૪ વર્ષની ઉંમરે નારળીકર સ્વદેશ પાછા આવ્યા. એમનાથી અગાઉ ભાભા અને સારાભાઈ પણ કેમ્બ્રિજ છોડીને આવેલા.  અહીં મુંબઈની તાતા મૂળભૂત સંશોધન સંસ્થા (ટાટા ઇન્સ્ટિટયૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ TIFR) માં જોડાઈને સૈદ્ધાંતિક ખગોળશાસ્ત્ર Theoretical Astrophysics ના વડા બન્યા.

    એમના વૈજ્ઞાનિક કાર્યોની સમાંતરે વિજ્ઞાનને લોકભોગ્ય બનાવવાનું કામ પણ એ કરતા રહ્યા. વિજ્ઞાન કથા ( સાયન્સ ફિક્શન SciFi)  લખવી એ તેમનો શોખ હતો. મરાઠી વિજ્ઞાન પરિષદે જ્યારે વિજ્ઞાન કથાની સ્પર્ધાઓ યોજી ત્યારે તેમણે તેમાં ભાગ લીધો. પોતાના પ્રસિદ્ધ નામના વજનથી નિર્ણાયકો અંજાઈ ન જાય તે માટે એમણે કાલ્પનિક  નામથી એ પહેલી વાર્તા મોકલી. પોતાના નામ JVN થી ઉલટા NVJ અક્ષરો બને તેવું નામ, નારાયણ વિનાયક જગતાપ એ નામે. એ  વાર્તા ને પ્રથમ ઇનામ મળ્યું ! પરિષદ ને એમણે સાચી વાત જણાવી દીધી. અને એ પછી  વિજ્ઞાન કથા લખવામાં તેઓ એ પાછુ વાળી ને જોયુ નથી. કેટલીક ઉત્તમ કથાઓ એમનાં નામે છે.

    પ્રોફેસર જયંત નારળીકરનાં કેટલાંક વિજ્ઞાન કથા પુસ્તકો

    ૧૯૮૨ – ૮૩ માં પ્રો. નારળીકરે યુનિવર્સિટીઓમાં ખગોળ અને ખગોળ ભૌતિક શાસ્ત્રનો અભ્યાસ કરી શકાય તે માટે એક સામાન્ય કેન્દ્રની સ્થાપના કરવાની દરખાસ્ત યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન UGC પાસે મૂકી. એ વખતે UGC ના ચેરમેન જાણીતા વિજ્ઞાની (જે અગાઉ અમદાવાદના સ્પેસ એપ્લિકેશન સેન્ટરના ડાયરેક્ટર પણ રહ્યા હતા ) પ્રોફેસર યશપાલ હતા. એમણે માગણી સ્વીકારી પરંતુ એ શરત રાખી તેમના પ્રથમ ડાયરેક્ટર નારળીકર પોતે બને.  આ સંસ્થા ‘ઇન્ટર યુનિવર્સિટી કન્સોર્સિયમ ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રો ફિઝિક્સ (IUCAA) આજે પુના યુનિવર્સિટીના કેમ્પસમાં ઊભી છે.  સંસ્થાના સ્થાપત્ય અને બાંધણીમાં નારલીકરની છાપ દેખાય છે.

    IUCAA, Pune – તેના ત્રણ સ્થાપકો અને ભૂતપૂર્વ ડાયરેક્ટર્સ નરેશ દધિચ, જયંત નારળીકર અને અજિત કેમ્ભવી

    જે સફરજનના ઝાડ નીચે બેસીને ન્યુટને ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત શોધ્યો  એમ કહેવાય છે,  એ ઝાડની એક કલમ અહીં પણ રોપવામાં આવી.૧૯૯૯ માં એ ઝાડને આ લેખકે પાંચ સાત ફૂટ ઊંચું જોયું હતું. કમનશીબે આપણી આબોહવામાં એ વિશેષ વૃક્ષ ટકી ન શક્યું.

    ભરપૂર ખ્યાતિ ને કારણે વિનમ્રતા જાણે એમનો સ્વભાવ બની ગયેલો. વિજ્ઞાન પ્રસારકોની સંસ્થા નેશનલ સેન્ટર ફોર સાયન્સ કોમ્યુનિકેટર્સ (NCSC) એ પુનામાં તેમની સંસ્થા ની સાથે મળીને વિજ્ઞાન લેખકો માટે કોન્ફરન્સ યોજવાનું નક્કી કર્યું ત્યારે તેમની એક જ શરત હતી કે ‘હું સ્ટેજ પર નહીં આવું’.  ત્રણે દિવસ એ ચોથી કે પાંચમી લાઈનમાં બેસીને શાંતિથી વ્યાખ્યાન સાંભળતા રહ્યા પણ ક્યારેય સ્ટેજ ઉપર આવ્યા નહીં.

    ૧૯૯૬માં વિજ્ઞાનને લોકભોગ્ય  બનાવવા માટે નો  યુનેસ્કોએ સ્થાપેલો કલિંગ એવોર્ડ એમને અપાયો.  ૨૦૦૫ માં તેઑ પદ્મવિભૂષણ અને ૨૦૧૧માં  મહારાષ્ટ્ર ભૂષણ બન્યા.

    નિવૃત્તિ પછીના સમયમાં તેઓ એક વિશેષ સંશોધન માં રત રહ્યા. PANSPERMIA એટલે કે પૃથ્વી ઉપર જીવન અવકાશમાંથી( એટલે ધૂમકેતુ અથવા ઉલ્કા દ્વારા) આવ્યું છે,   એ પ્રકારના વિચારની ચકાસણી માટે  શ્રીલંકા ના વૈજ્ઞાનિક વિક્રમસિંધે સાથે મળીને કામ કરી રહ્યા હતા.

    એમના પત્ની મંગલા રજવાડે (લગ્ન પછી નારળીકર ) પણ ગણિતના પ્રધ્યાપિકા હતાં અને પતિના કામમાં મજબૂત સાથીદાર હતાં. બે વર્ષ અગાઉ કેન્સરે તેમને ઉપાડી લીધાં.

    પત્નીને સાથ આપવા ડૉ. નારળીકર વીસમી મે ૨૦૨૫ ના દિવસે અનંતની યાત્રા એ નીકળી ગયા.

    આપણી સહુની એમને મનપૂર્વક શ્રધ્ધાંજલિ.


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • અન્ડરવેરને ખીસું

    અવલોકન

    સુરેશ જાની

    તે દિવસે કપડાંના એક સ્ટોરમાં હું બેઠો હતો. મારી પત્ની ખરીદીમાં મશગૂલ હતી; અને મારે એની ખરીદી પતે એની રાહ જોવાની હતી. તે દિવસે સાથે વાંચવાની ચોપડી લાવવાનું ભુલી ગયો હતો; એટલે મારે નવરા બેઠા માખીઓ જ મારવાની હતી! અને આ અત્યંત ચોખ્ખાઈવાળા દેશમાં તો માખીઓ ય ક્યાં રેઢી પડેલી હોય છે? પ્રેક્ષાધ્યાન કરવા કોશિશ કરી; પણ કાંઈ ખાસ જામ્યું નહીં; એટલે હું આમતેમ ડાફોળિયાં મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

             સ્પોર્ટ્સવેરના એ વિભાગમાં અન્ડરવેર લટકાવેલાં હતાં અને આકર્ષણ માટેની આ વિશેષતા ઊડીને આંખે વળગે તેવી હતી. ત્યાં મારી નજર એની ઉપર ગઈ.

     અન્ડરવેરને ખીસું

    મારા પિતાજી હમ્મેશ દરજી પાસે  ખાસ અન્ડરવેર  સિવડાવતા હતા; તે યાદ આવી ગયું. કોઈ ખિસ્સાકાતરૂ કારીગરી કરી ન જાય; એ માટે સાથેની રોકડ રકમ એ ખિસ્સામાં તેઓ રાખતા હતા.

    પણ અહીં આ ફેશનેબલ દુકાનમાં અને તેય સ્પોર્ટ્સના કપડાંમાં એની શી જરૂર?- આ ક્રેડિટ કાર્ડના જમાનામાં?

    હું ઊભો થયો, અને ધ્યાનથી એ માલનો અભ્યાસ કર્યો. ત્યારે કેવળજ્ઞાન લાધ્યું કે, જિમમાં વર્કઆઉટ કરતી વખતે અથવા જોગિંગ કરતી વખતે મોંઘાદાટ આઈફોન કે આઈપોડ રાખવા આ ખાસ સવલત બનાવનારે આપી હતી.

    અને કોણ જાણે કેમ; તરત એ બાઈ યાદ આવી ગઈ.

    દેશમાં એસ.ટી.ની બસમાં એ મારી બાજુની સીટ પર આવીને બેઠી હતી. કન્ડક્ટરે ટિકીટના પૈસા માંગ્યા; ત્યારે એણે સાલ્લાના છેડે વાળેલી  ગાંઠ છોડીને નોટ કાઢી. ટિકીટ મળ્યા બાદ, વધારાની રકમ તેણે પાછી સાલ્લાના છેડે બાંધી દીધી.

    કાળી મજુરી કરીને કમાયેલી રકમ રાખવા એ બાઈ માટે પર્સ રાખવું એ લક્ઝરી હતી!

    અને ઓલ્યા અન્ડરવેર પહેરીને જિમમાં વર્ક આઉટ કરનાર પાસે કેટલી બધી લક્ઝરી? શી જાહોજલાલી?

    માનવતાના બે સામસા્મા ધ્રુવ પરનાં બે અંતિમ બિંદુઓ. એક પાસે રોજનો રોટલો મળે એની જ પેરવીઓ ; અને બીજા પાસે એટલી સમ્પત્તિ કે, જિમ, જોગિંગ, આઈફોન, આઈપોડ અને એવું બધું.

    કેટલી વિષમતા? બેની તુલના કરતાં આંખે ઝળઝળિયાં આવી ગયાં.

    એનાથી વધારે હું શું કરી શકું તેમ પણ હતો?!

    ……

    બે  સાવ સામસામે આવેલા ધ્રુવોના આ વર્ણપટ( spectrum)માં આપણે ક્યાંક હોઈએ છીએ. અને સૌને ધખારો ખિસ્સાવાળું અન્ડરવેર ધરાવવાનો હોય છે. સમગ્ર જિંદગીની મુસાફરી – એ ધ્રુવ પર પહોંચવા માટેનો વલોપાત. અથવા તો ત્યાં પહોંચી શકાય તેમ નથી; તે સત્ય સમજાતાં મોક્ષ મેળવી આ બધા ધખારાથી મુક્તિ મેળવવાનો ધખારો! પણ એ બન્ને વૃત્તિઓના વવળાટમાં ક્યાંય ‘જ્યાં છીએ, ત્યાં બરાબર છીએ.’ – એમ માની,  એ ઘડીમાં જીવવાના આનંદનો છાંટો માત્ર નહીં.

    કદાચ એમ બને; અને મોટે ભાગે એમ બનતું પણ હોય છે કે, સાલ્લાના છેડે કાવડિયાં બાંધનાર વ્યક્તિ વર્તમાનમાં વધારે જીવતી હોય છે.

    અને બીજી એક વાત ખીસાં બાબત – “માનવી જન્મે છે ત્યારે ઝભલું અને મૃત્યુ પામે ત્યારે કફન એ બંન્ને અંતિમ છેડા ટાણે દેહના આવરણોને ખીસુ(ગજવું) નથી હોતું.” કશું લીધા વગર આવ્યા હતા; અને કશું લીધા વગર જવાનું છે. વાત તો એક જ છે. ખિસ્સાના ખેલ! એ અર્થહીન છે; તે જાણ્યા છતાં એના વગર આપણે જીવી નથી શકતા. બાળ અને કિશોર વયથી શરૂ થયેલી એ આદત – સોગાત ભેગી કરવાની- કફન ઓઢાડાય ત્યાં સુધી નથી જ જવાની! ખીસ્સું ભરેલું હોય કે ખાલી; બેન્ક એકાઉન્ટ તરબતર હોય કે, લઘુત્તમની નજીક – એ તો રહેવાના જ. લાખ ઉપદેશો ભલે ને મળ્યા કરે – બે કાન ભગવાને નિરર્થક નથી આપ્યા!

    આને માનવ જીવનની લાક્ષણિકતા ગણીએ કે વિડંબના – એ જ તો માનવ જીવન છે. માટે આ બધી તરખડમાં પડ્યા વિના, ‘આ ઘડી’ નું ખીસ્સું ખાલી ન રહી જાય, આનંદવિહોણું ન રહે – એનો હિસાબ રાખતા રહીએ તો?


    શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • ભૂદાન આંદોલન: એક અધૂરી ક્રાંતિની પોણી સદીએ…

    નિસબત

    ચંદુ મહેરિયા

    દેશ આઝાદ થયાને હજુ તો છ મહિના ય થયા નહોતા અને ગાંધીજીની હત્યા થઈ. ગાંધી હત્યાએ સર્જેલ શૂન્યાવકાશ, આઘાત અને વિષાદમાંથી ઉબરવા જ શાયદ વિનોબા ભાવેએ પહેલ કરી. માર્ચ ૧૯૪૮માં મહારાષ્ટ્રના સેવાગ્રામ(જિ.વર્ધા)માં ગાંધીજનોનું સંમેલન યોજ્યું. વડાપ્રધાન જવાહરલાલ નહેરુ,  રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદ, મૌલાના આઝાદ સહિતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા સેવાગ્રામ સંમેલનમાં ગાંધીજીના કાર્યોને આગળ વધારવાની વિચારણા થઈ હતી.

    ઈ.સ. ૧૯૦૪માં ગાંધીજીએ રસ્કિનનું ‘ અનટુ ધિસ લાસ્ટ’ વાંચ્યું હતુ. અને તે તેમના દિલોદિમાગમાં છવાઈ ગયું હતું .૧૯૦૮માં તેનો ગુજરાતી અનુવાદ પ્રગટ થયો ત્યારે ગાંધીજીએ તેના શીર્ષક તરીકે  ‘સર્વોદય’ શબ્દ સૂચવેલો. ‘હિંદ સ્વરાજ’  (૧૯૦૯)માં તેમણે સર્વોદયનો ખ્યાલ સ્પષ્ટ કર્યો હતો. સર્વોદય અર્થાત વધારેમાં વધારે માણસોનો વધારેમાં વધારે ઉદય એ ગાંધી વિચારનો અર્ક હતો. એટલે તેની આસપાસની સઘળી વિચારણાઓ પછી સેવાગ્રામ સંમેલનમાં ‘ વિચારની મુક્ત સંગતિની યોજના’  તરીકે ‘સર્વોદય સમાજ’  અને ‘ કાર્યની સુગઠિત વ્યવસ્થા કાજે ‘  ‘  સર્વ સેવા સંઘ’ ની રચના કરવામાં આવી. પંડિત નહેરુના આગ્રહથી વિનોબાએ પાકિસ્તાનથી આવેલા ચાળીસ લાખ નિરાશ્રિતોના પુનર્વાસનું ગંજાવર કામ હાથ પર લીધું. પુનર્વસનના કામ દરમિયાન વિનોબાને અમલદારશાહીના જડસુ, લોકવિરોધી અને વિચારહીન વલણોનો અનુભવ થયો. એટલે તેઓ લોકશક્તિ જાગ્રત કરવા દેશ આખામાં ઘૂમવા માંડ્યા.

    સર્વોદય સમાજના વાર્ષિક સંમેલનોની પરંપરામાં એપ્રિલ ૧૯૫૧માં આંધ્રના શિવરામપલ્લીમાં સંમેલન હતું. વિનોબા સેવાગ્રામથી ત્રણસો કિલોમીટરની પદયાત્રા કરીને સંમેલનમાં ગયા હતા. તેલંગાણાના  એ વિસ્તારમાં ત્યારે ભૂમિ સમસ્યા ચરમ પર હતી. સામ્યવાદીઓએ મોટા જમીનદારો સામે જમીનવિહોણાઓને સંગઠિત કરી હિંસા, લૂંટફાટ  તથા ખૂનામરકીથી જમીનો મેળવી હતી. એટલે વિનોબાએ તે વિસ્તારની જાતતપાસ માટે પદયાત્રાનું આયોજન કર્યું. ૧૫મી એપ્રિલ ૧૯૫૧ને રામનવમીના દિવસે હૈદરાબાદથી તેમણે પદયાત્રા આરંભી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ૧૮મી એપ્રિલ ૧૯૫૧ના દિવસે પદયાત્રા તેલંગાણાના નલકોંડા જિલ્લાના પોચમપલ્લી પહોંચી હતી. ૭૦૦ ઘરની વસ્તીના આ ગામમાં પોણા ભાગના જમીનવિહોણા ખેતમજૂરો હતા. સવાર સવારમાં જ પદયાત્રા પોચમપલ્લીની દલિત વસ્તીમાં ગઈ. દલિતોએ વિનોબાને કહ્યું,” અમે હાડતોડ મહેનત કરીએ છીએ પણ તો ય બે ટંક રોટલા ભેળા થતા નથી. અમારે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન જોઈએ છે. “ વિનોબાએ તેમની અરજ સાંભળી વળતાં પૂછ્યું તો દલિતોએ કહ્યું કે ‘ ૮૦ એકર જમીન મળે તો ભયો ભયો’ . ભલે તેમાં અડધી સૂકી કે બિનફળદ્રુપ હોય.સરકાર પાસે સરકારી પડતર જમીન મેળવવા વિનોબા વિચારતા હતા. એવામાં તેમણે સાથી પદયાત્રીઓ અને ગ્રામવાસીઓને પૂછ્યું કે ‘ શું ગામમાંથી તેમને જમીન આપી શકાય તેમ છે?’  એ જ સમયે રામચંદ્ર રેડ્ડીએ તેમના પિતાની સ્મૃતિમાં તેમની ઈચ્છાનુસાર ૧૦૦ એકર જમીન દાન આપવાનું કહ્યું અને જાણે કે નવી દિશા ઉઘડી.

    ભૂમિસમસ્યાગ્રસ્ત તેલંગાણાની એ પદયાત્રામાં વિનોબાએ બીજા દિવસે  પણ કોઈ સજ્જન ભૂમિવાન મળી રહેશેની આશે લોકો પાસે જમીન માંગી અને એ દિવસે પણ ૨૫ એકર મળી. એટલે વિનોબાને સર્વોદયનો  માર્ગ મળી ગયો. જમીનના દાને નવી વિચારસૃષ્ટિ ઉઘડી. ભારતની ભૂમિ સમસ્યાનો કરુણા, સદભાવના અને સમજાવટના માર્ગે ઉકેલ જડ્યો. ત્રીજા દિવસે ૨૦મી એપ્રિલ ૧૯૫૧ના રોજ વિનોબાએ ભૂદાનયજ્ઞ શબ્દ જાહેર કર્યો અને તેમની શેષ યાત્રા તેને જ સમર્પિત કરી. આજે તો હવે તે હકીકતને પંચોતેર વરસ થયાં.

    બાદમાં ભૂદાનયજ્ઞ વિસ્તરીને આખા દેશમાં ભૂદાન આંદોલન અને અંતે ભૂદાન આરોહણ બન્યો. તેમાં ગ્રામદાન, સંપત્તિદાન, સાધનદાન અને જીવનદાન જેવા નવા આયામો ઉમેરાતાં  રહ્યાં . જમીન એ તો શોષણનું સૌથી મોટું સાધન છે. સ્વતંત્ર ભારતમાં જમીનોની માલિકી રાજા-મહારાજા, નિઝામો- નવાબો અને મોટા જમીનદારોની હતી. એ સંજોગોમાં વિનોબાએ હવા અને પાણીની જેમ જમીન પર પણ કોઈની વ્યક્તિગત માલિકી ન હોઈ શકે, તે લોકોની મઝિયારી સંપત્તિ છે એવો અલખ જગવ્યો. તે  જમીનદારોને અપીલ કરતાં કે ‘ હું દાન નહીં ગરીબોનો હક માંગુ છું’ . દાનં સંવિભાગના ન્યાયે દાન એટલે સમ્યક વિભાજન. ‘ ખેતીલાયક જમીનનો છઠ્ઠો ભાગ મને છઠ્ઠો ભાઈ  ગણી આપો’  એવી તેમની લાગણીસભર અપીલની ભૂમિવાનો પર ખાસ્સી અસર થતી અને જમીનો મળવા માંડી. ભૂદાન આંદોલનમાં જમીનોનું વિતરણ પણ સાથે જ થતું હતું.

    ૧૮મી એપ્રિલ ૧૯૫૧થી ૧૦મી એપ્રિલ ૧૯૬૪ના તેર વરસો સુધી ભૂદાન આંદોલન ચાલ્યું. ૫૮,૭૪૧ કિલોમીટરની પદયાત્રામાં ૪૨ લાખ એકર જમીન મળી.  જે ૧૮ લાખ જમીનવિહોણા પરિવારોને વહેંચવામાં આવી. તેમાં મોટાભાગના નિર્ધન દલિત, આદિવાસી, પછાત હતા. દેશમાં જે કુલ ૧૩,૦૦૦ ગ્રામદાન રજિસ્ટર થયા તેની બધી જમીન કે ભૂમિવાનોની વીસ ટકા જમીનો ગામની માલિકીની બની. ભૂદાન આંદોલન એક અહિંસક ક્રાંતિ હતી. તેણે કતલ કે કાનૂનના બદલે કરુણાના રસ્તે ગરીબી મિટાવી અને અમીરી ઘટાડી હતી. દેશના અન્ય ભાગોની જેમ ગુજરાતમાં પણ ભૂદાન આંદોલનની વ્યાપક અસર થઈ હતી. ગુજરાતે ભૂદાન આંદોલનમાં ૧૯૫૨થી ૧૯૫૮ના ગાળામાં ૧૮,૩૨૭ ભૂદાતાઓ પાસેથી ૧,૦૩,૫૪૩ એકર જમીન મેળવી હતી.

    પોણી સદીએ ભૂદાન આંદોલનના લેખાંજોખાં માંડતા જણાય છે કે ભારતની ભૂમિસમસ્યા ઉકેલવામાં તેનો અલ્પ ફાળો જરૂર છે. જમીનદારી નાબૂદીના કે જમીન ટોચમર્યાદાના કાયદા ઘડાયા કે તેને અદાલતી સમીક્ષાથી વેગળા રખાયા તેમાં ભૂદાન આંદોલનનું મહત્વનું યોગદાન છે. મોટા જમીનદારોને જ્યારે ભૂદાનયાત્રીઓ મળતા ત્યારે તેઓ અભિમાન કે ગૌરવને બદલે દબાતા અવાજે પોતાની માલિકીની જમીનનો મોટો આંકડો કહેતા હતા.એટલે તેમને ભાવનાત્મક સ્તરે શરમિંદા કરવાનું કામ આંદોલને કર્યું હતું. આ આંદોલનામાં ‘ શબરીના બોર અને સુદામાના તાંદુલ’  જેવા દાન મળ્યા હતાં તો પોતે ખપજોગી રાખીને બાકીની બધી જ જમીન દાન કરી હોય તેમ પણ બન્યું છે. એ અર્થમાં આંદોલનની વૈચારિક અને ભાવનાત્મક અસર બહુ પ્રબળ થઈ હતી.

    ભૂદાન આંદોલનની ભૌતિક સફળતા ખાસ જોવા મળતી નથી. ૧૯૫૧માં ખુદ વિનોબાજીએ આંદોલનના આરંભે દેશના સઘળા ભૂમિહીનો માટે પાંચ કરોડ એકર જમીનની જરૂરિયાત ગણાવી હતી. પરંતુ લગભગ સવા દાયકાના અંતે આંદોલન સમેટાયું ત્યારે માંડ અડધો કરોડ એકર પણ જમીન મળી નહોતી. એટલે આવશ્યકતાના દસમા ભાગ જેટલી જમીન મળી હતી. ગુજરાતમાં જમીન તો એક લાખ એકર મળી પણ તેમાંથી અડધી  (૫૦,૯૮૪ એકર) જ વિતરિત કરી શકાઈ કેમ કે  બાકીની જમીનો કોર્ટકચેરી અને હકદાવાના ચકકરમાં અટવાયેલી હતી. એટલે મળ્યા છતાં ના મળ્યા બરાબર હતી. આવું આખા દેશમાં પણ બન્યું હશે. ૧૯૫૧માં  દેશમાં આશરે પાંચ લાખ ગામડામાંથી માત્ર તેર હજાર ગામો જ ગ્રામદાની બન્યા તે  સિધ્ધિ પણ સામાન્ય ગણાય.

    ભૂદાન આંદોલનની એક અન્ય મર્યાદા એ રહી કે લોકોમાં ખાસ કરીને અમીરો અને જમીનદારોમાં દાનની લાગણી અને ભાવનાના જે ઉભરા વહેતા થયા તેને યોગ્ય રીતે અને સમયસર ચેનલાઈઝ અને ઈન્સ્ટિટ્યુલાઈશન ના કરી શકાયું. ભૂદાન કરનાર જમીનદારો અને જમીન મેળવનાર જમીનવિહોણાઓનું કોઈ સંગઠન ના બનાવાયું.  ભૂદાન અને અને ગ્રામદાનના કાયદા ઘડાયા તેમ ભૂદાનથી ઉભા થયેલા માહોલનો લાભ લઈને જમીન સુધારાના પ્રગતિશીલ કાયદા ઘડવા સરકાર પર દબાણ ઉભું કરવાની અમૂલ્ય તક પણ આંદોલને ન ઉઠાવી.

    ભૂમિ સમસ્યા આજે ય વણઉકલી છે. હવે તે વધુ તીવ્ર બની છે. ખેતીની જમીનોનું ઉધ્યોગો અને વિકાસ કામો માટે સરકાર બળજબરીથી અધિગ્રહણ કરે છે. મસમોટા ફાર્મ હાઉસિસ અને કોર્પોરેટ ફાર્મિગના જમાનામાં ખરા ખેડૂતો હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભૂદાન આંદોલનનું અમૃત વરસ  ભૂમિ સમસ્યાને આજે અને અબઘડી ઉકેલવાનું આહવાન તો કરે છે પણ  રસ્કિન-ગાંધી વિચાર ‘સર્વોદય’ થી આરંભાયેલી મજલ આજે તો ‘સબ કા વિકાસ’ના રાજકીય ‘બણગાંએ આવી ઉભી છે તે અંગે વિચારવા વિવશ કરે છે. સાંભળો છો કોઈ?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ઓજસ્વી નારીરત્નોની નિશ્રામાં

    દીઠે અડસઠ જાત્ર

    દર્શના ધોળકિયા

    કૉલેજ કાળથી જ નીવડેલી વ્યક્તિઓનાં ચરિત્રનો અભ્યાસ મારા રસનો વિષય. તેમનું અરોહણ એ કાળે પણ રોમહર્ષ જગવતું. આવાં ચરિત્રોને પછીથી સ્વાધ્યાયની દૃષ્ટિએ જોવાનું થયું, જેણે તેમનું મહિમાગાન કરવાની ઇચ્છા મારામાં જગાવી.

    ‘૯૦ ના વર્ષમાં કચ્છના દૈનિકપત્ર ‘કચ્છમિત્ર’ના એક વિભાગ ‘કંકાવટી’નાં સંપાદિકા શ્રોમતી રમીલા મહેતાએ કશુંક લખવા સૂચવ્યું ને એ સંદર્ભે નાના પાયા ગર કૉલમ શરૂ કરી જેમાં અનુક્રમે સીતા, દ્રોપદી, મીરાં, મુક્તાબાઈ, શારદાદેવી, મદામ ક્યૂરી, હેલન કેલર ને રાબિયા વિશે લખાયું.

    ‘નારીવાદ’ સંજ્ઞા વિશે એ ગાળામાં તો હું બિલકુલ અજાણ જ હતી ને આજે પણ કદાચ તટસ્થ છું. મહાન સ્ત્રીઓનું મહિમાગાન કોઈ વાદના સંસ્ઘાપન માટે થતું હોય તો ન કરવું બહેતર. જાતે એક મહિલા હોવાનું ને અહીં પણ નારી પાત્રો પર પસંદગી ઢોળવાનું થયું છે તે બંને ઘટના મારે મન અકસ્માત છે. અહીં આલેખાયેલાં પાત્રોનું મને એક વ્યક્તિ તરીકે, મનુષ્ય તરીકે જ મૂલ્ય જણાયું છે.

    ‘કચ્છમિત્ર’માં પ્રગટ થયેલી લેખમાળાનાં પાત્રો તો આઠ જ હતાં. પણ ૧૯૯૫ના એપ્રિલમાં મારા પ્રાધ્યાપક ડૉ. ધીરેન્દ્રભાઈ મહેતા સાથે સણોસરાના પ્રવાસેથી પાછા ફરતાં બસમાં જ, મારી સુષુપ્ત ઇચ્છાને વાચા આપતાં સાહેબે જણાવ્યું :  “આ પાત્રો વિશે પુસ્તક થાય તો એક સારું કામ ઘાય.’ મોટા ભાઈ હરેશની પણ આ જ ઇચ્છા. ને આઠ પાત્રોમાંથી થયાં તેર. તેમાં ભળ્યું મારા વડીલ શ્રી કુન્દનલાલભાઈ ધોળકિયાનું. ચૌદ પાત્રો કરવાનું સૂચન. જેથી દમયંતીનું પાત્ર પ્રવેશ્યું.

    સીતાથી કસ્તૂરબા સુધીની આ યાત્રામાં સાત પાત્રો વિદેશી ને સાત ભારતીય છે એ પણ એક ત્રીજો અકસ્માત છે. મહાન તત્ત્વનો આવિર્ભાવ દેશકાંડથી પર છે એટલું જ અહીં અભિમત છે.

    લગભગ દોઢેક વર્ષ ચાલેલી આ પુસ્તકની મારી લેખનવાત્રા મારા માટે ચેતોવિસ્તારની યાત્રા બની રહી છે. એ ક્ષણોને મારા આયુકાળની ચરમ ને પરમ ક્ષણો તરીકે મારી સ્મૃતિ મંજૂપામાં સાચવવી મને ગમશે. તીર્થક્ષેત્રોના ભ્રમણ જેવો આનંદ આ ક્ષણોએ મને આપ્યો હોવાથી, કવિ પ્રેમાનંદના ‘નળાખ્યાન’ માં દમયંતીએ નળ માટે કહેલી પંક્તિનો ખંડ ‘દીઠે અડસઠ જાત્ર’ આ કૃતિના શીર્ષક તરીકે પસંદ કર્યો છે.

    લોકભારતી, સણોસરાના ભ્રમણમાં ધરબાયેલી આ પુસ્તકની જન્મક્ષણે, આ પુસ્તકની પ્રસ્‍તાવના શ્રી મનુભાઈ પ્રંચોળીના હસ્તે લખાશે એની તો ધારણા જ ક્યાંથી હોય ? માંદગી નિમિત્તે સારવાર માટે ભુજના કુદરતી ઉપચાર કેન્દ્રમાં આવેલા મનૂદાદાનો લાભ લેવાનું ધીરેન્દ્રભાઈએ જ સૂચવ્યું ને એમણે હૂંફાળી વત્સલતાથી મને નવાજી દીધી એ ચોથા અકસ્માતનું કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કરું છું.

    મહિમામંડિત એવાં આ શાશ્વતકાલીન નારી પાત્રો વાચકો-ભાવકોના જીવનના અજવાળામાં પણ સહાયભૂત થશે એવી અપેક્ષા આનંદની આ પળે જાગે છે.

    દર્શના ધોળકિયા

    રિગલ ટાઇપ સામે, ન્યૂ મિન્ટ રોડ,
    ભુજ-કચ્છ-૩૭૦૦૦૧


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ડૉ. દર્શના ધોળકિયાનાં પુસ્તક ‘દીઠે અડસઠ જાત્ર’માંના શાશ્વતકાલીન નારી પાત્રોની આ સફર યાત્રાનો દરેક મણકો આપણે દર મહિનાના ચોથા મંગળવારે  વાંચીશું.

  • ગાંધી અને લાદેન વચ્ચેનો કાલ્પનિક સંવાદ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    અલબત્ત, જોગાનુજોગ, પણ બે વાત લગભગ એક સાથે બની: પહેલગામની આતંકી ઘટનાના હેવાલો હવામાં હશે અને કુરિયર વાટે ‘લોર્ડ ભીખુ પારેખ: પરિચય અને પરીક્ષણ’ એ પુસ્તક આવી મળ્યું. નેવું નાબાદ ભીખુ પારેખ બ્રિટનના જાહેર જીવનનું એક જાણવાજોગ જણ છે, અને રાજ્યશાસ્ત્ર તેમ રાજકીય ફિલસૂફી સહિતનાં ક્ષેત્રોમાં અમલસાડનું આ સોની સંતાન પોતાના નિકષ સાથે સક્રિય છે.

    નાગરિક નિસબત સાથેની એમની સ્વાધ્યાય સક્રિયતાનું એક વિલક્ષણ ઉદાહરણ મને હંમેશ એમણે નાઈન/ઈલેવન ખ્યાત બિન લાદેન અને મહાત્મા ગાંધી વચ્ચે યોજેલ કાલ્પનિક સંવાદરૂપે વરતાતું રહ્યું છે. એટલે આતંકી ઘટનાના દિવસોમાં ભીખુભાઈ વિષયક પુસ્તક આવી મળે ત્યારે સ્વાભાવિક જ પહેલું સ્મરણ બે’ક દાયકા પરના એમના આ કાલ્પનિક સંવાદનું થાય. ઈતિહાસકાર મકરંદ મહેતા આ પુસ્તક પર એમના અંતિમ પર્વમાં કામ કરી રહ્યા હતા. એમના નિધન પછી શીરીન મહેતા ને સિતાંશુ યશશ્ચંદ્રની વિદ્યાવત્સલ માવજત પામીને આ પુસ્તક આપણી પાસે આવ્યું છે અને એમાં ઉક્ત સંવાદનીયે ઝાંખી છે. જોકે આ સંવાદ તો પાછળથી ‘ડિબેટિંગ ઈન્ડિયા’ (૨૦૧૫)માં ગ્રંથસ્થ થયો એનાયે દસ-અગિયાર વરસ પહેલાં ‘પ્રોસ્પેક્ટ’ સામયિકમાંથી વિપુલ કલ્યાણી વાટે ‘ઓપિનિયન’ ને ‘નિરીક્ષક’માં ગુજરાતી અનુવાદમાં સુલભ થયો હતો.

    એક રીતે જુઓ તો મામલો બેઉ પક્ષે નાઈન/ઈલેવનનો છે. ન્યૂયોર્ક સ્થિત વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર્સ ધરાશાયી થઈ ગયા એ ઘટના જો ૨૦૦૧ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી તો દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો ઉદભવ થયો એ ઘટના ૧૯૦૬ના સપ્ટેમ્બર મહિનાની અગિયારમી તારીખની હતી. એપ્રિલ ૨૦૦૪ના ‘પ્રોસ્પેક્ટ’માં ‘ગાંધી અને લાદેન વચ્ચે એક કાલ્પનિક સંવાદ’ પ્રગટ કરતી વેળાએ ભીખુભાઈએ જે મુખડો બાંધ્યો હતો તે અહીં સાંભરે છે. એમણે લખ્યું હતું કે જગતભરના કરોડો લોકોની જેમ નાઈન-ઈલેવનની ઘટનાથી આતંકવાદનો જે ભય પેદા થયો છે તેનો હું પણ ટીકાકાર છું. આવા હિંસાચારના વિષચક્રનો કોઈ વિકલ્પ જ નહીં હોય? અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીથી ‌વિશેષ બીજી કોઈ વ્યક્તિ પાસેથી આના જવાબો મળી શકે જ નહીં. એમની અને બિન લાદેન વચ્ચે કાલ્પનિક વાદ-વિવાદ જગવવા પાછળ મારા બે હેતુઓ છે. એક, જગતભરમાં ફરી વળેલ વિકૃત વિચારને સમજવાનો આશય છે, કેમ કે તે સમજ્યા વગર તેને પરાજિત કરી શકાય તેમ નથી. બે, અવગણાયેલા અહિંસક વિકલ્પ વિશે દુનિયાને જાગૃત કરવી જરૂરી છે.

    ‘પ્રોસ્પેક્ટ’માં ૨૦૦૨૪માં છપાયેલો લેખ ૨૦૧૫માં ‘ડિબેટિંગ ઈન્ડિયા’માં ગ્રંથસ્થ થયો તેના વચગાળાનાં વર્ષો સંભારીને ભીખુ પારેખે કહ્યું છે કે ભલે આ સંવાદ કાલ્પનિક છે, પણ તે કોઈ રાજકીય શૂન્યાવકશામાં થઈ રહ્યો છે એમ કૃપા કરીને માનશો નહીં. લાદેન રૂપે કે ગાંધી રૂપે કરેલી રજૂઆત માત્ર બે વ્યક્તિની જ વાત નથી. લાદેનની હિલચાલ સાથે આરબો સહિત મુસ્લિમ સમાજને સંકળાયેલ ગણીએ તો તાજા ઘટનાક્રમમાં યાદ રાખવાજોગ વિગત ૨૦૦૯-૨૦૧૨ની ‘આરબ સ્પ્રિંગ’ની પણ છે. જુઓ કે ગાંધીના આચારવિચારથી પ્રભાવિત થઈ પશ્ચિમ એશિયાના હજારો મુસ્લિમોએ ટ્યુનિસિયા, ઈજિપ્ત અને યમનના સરમુખત્યારો સામે અહિંસક આંદોલનો કર્યાં હતાં. ઉલટ પક્ષે, ૧૯૦૬થી દક્ષિણ આફ્રિકામાં મંડાયેલ સવિનય કાનૂનભંગની ચળવળ સંભારો. (અને, એમ તો, ભારતમાં દાંડીકૂચ પ્રકારના વામન પણ વિરાટ અભિક્રમો ક્યાં નથી?)

    ગાંધી ને લાદેન વચ્ચે કેટલુંક સામ્ય છે. પોતપોતાને સમજાયેલ નૈતિક મૂલ્યો માટે જાન આપવા તૈયાર છે. બંને પશ્ચિમની ભોગવાદી, ભૌતિકવાદી, લશ્કરવાદી સંસ્કૃતિના આકરા ટીકાકાર છે. પણ માનવ ઈતિહાસ અને માનવ સમસ્યાઓને જોવાનો બંનેનો અભિગમ ભિન્ન છે. ધર્મની બાબતમાં ગાંધી સમાવેશી (ઈન્ક્લુઝિવ) છે, લાદેન મુસ્લિમ કોમ પૂરતો એકાંગી (એક્સ્ક્લુસિવ) છે. નેલ્સન મંડેલા, ડેસમન્ટ ટુટુ, માર્ટિન લ્યુથર કિંગની ચળવળો એક બાજુ અલ કાયદા, લશ્કરે તૈયબા, જેશે મહમદ બીજી બાજુ- આ બેઉ અભિગમો વચ્ચેનો ભેદ સ્ફુટ કરે છે. લાદેન ગાંધી પાસે ધારો કે સહકાર માગે તો શું કહે? ઈસ્લામે તેરમા સૈકામાં દક્ષિણ યુરોપ, પશ્ચિમ એશિયા, ઉત્તર આફ્રિકામાં રાજ કર્યું. પશ્ચિમે ઔદ્યોગિક ક્રાંતિ કરી અમારા સામ્રાજ્યનો નાશ કર્યો, પેલેસ્ટાઈનનું વિભાજન કર્યું. યુરોપ-અમેરિકાને ફક્ત હિંસાની ભાષા આવડતી હોવાથી અમે પણ તેમ કરીશું. મારે મુસ્લિમ દેશોને અમેરિકાની પકડમાંથી છોડાવવા છે. ભૌતિકવાદ સામેના જંગમાં તમારો સાથ માંગું છું.

    અને ગાંધી શું કહે? હું પણ છેક ૧૯૦૮થી સાવરકર, ઢીંગરા, શ્યામજી કૃષ્ણવર્મા જેવા હિંસામાં માનતા ક્રાંતિકારીઓના પરિચયમાં હતો. મને તે જચતું નહોતું અને દક્ષિણ આફ્રિકાથી શરૂ કરી મેં અહિંસાના અસરકારક પ્રયોગો કર્યા. બહાદુરી અને બલિદાની તૈયારીનો હું પ્રશંસક છું, પણ હિંસા કરતાં અહિંસાથી સામાનું મન જીતી લેવું તે વધારે ટકાઉ અને નૈતિક દૃષ્ટિએ શ્રેષ્ઠ છે. તમે સામ્રાજ્યવાદનો વિરોધ કરો છો, પણ તમે પણ સામ્રાજ્યવાદી જ છો, કેમ કે તમારે ઈસ્લામી સામ્રાજ્ય સ્થાપવું છે. જેમ મેં મારા ધર્મની મર્યાદાઓ જોઈ તેની ઊણપો દૂર કરવાના પ્રયાસ કર્યા, પણ ઈસ્લામના સામાજિક કલેવરમાં સુધારો કરવાની તમારી કોઈ યોજના નથી. સમજો કે આત્મભોગ અને નૈતિક દબાણ દ્વારા જે શક્ય છે તે દમનનીતિ દ્વારા નથી.

    ખરું જોતાં આખી જ ચર્ચા વાંચવી જોઈએ, પણ અહીં તો એક આછી ઝલક કે ઝાંખી જ, નેવું નાબાદ ભીખુ પારેખની સાખે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૧ – ૦૫– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : રંગની સફર

    બીરેન કોઠારી

    ચિત્રકળા ખરું જોતાં કળાનો સૌથી આદિ પ્રકાર છે. છેક ગુફાયુગમાં ચિત્રો બનતાં હતાં એમ પુરવાર થયેલું છે. ચિત્રકળાને માણવા માટે અક્ષરજ્ઞાનની આવશ્યકતા નથી. આમ છતાં, આજે પરિસ્થિતિ એવી છે કે ચિત્રકળાની અપીલ સાર્વજનિક બની રહેવાને બદલે સીમિત બની રહી છે.

    છબિકળાની શોધ થઈ ત્યાં સુધી ચિત્રકળાનો મુખ્ય હેતુ કોઈ વસ્તુના નિરૂપણનો અને એ રીતે પ્રત્યાયનનો હતો. એટલે કે કોઈ વસ્તુ કેવી છે એ દર્શાવવી હોય તો એના માટે એની આકૃતિ દોરવાથી હેતુ સરી જતો. આને કારણે સદીઓ સુધી ચિત્રકળા એટલે વસ્તુનું આબેહૂબ ચિત્રણ- એવી માન્યતા પ્રચલિત બની. આજે પણ સરેરાશ લોકો એવી ચિત્રકળાને જ ઊત્તમ માને છે કે જેમાં આબેહૂબ ચિત્રણ હોય. છબિકળાના આગમન પછી એ કામ કેમેરા થકી ઘણું ઝડપી થવા લાગ્યું. આમ છતાં, છેક એકવીસમી સદીના આરંભ સુધી કેમેરા પણ મર્યાદિત લોકોની પહોંચમાં હતા. સ્માર્ટફોનમાં કેમેરા આવતા થયા એ પછી દરેક વ્યક્તિ ફોટોગ્રાફર છે. એને કેમેરાની નવાઈ નથી રહી. એમાં બીજો કશો ખર્ચ કે વિલંબ નથી, એટલે એ અવનવા અખતરા કરે છે.

    આવા માહોલમાં ચિત્રકળાનું સ્થાન ક્યાં?

    આ સવાલ બહુ મહત્ત્વનો છે. ‘મોડર્ન આર્ટ’ તરીકે ઓળખાતી આધુનિક ચિત્રકળા પણ હવે જૂની થઈ. એ શાથી ‘મોડર્ન’ કહેવાઈ? રંગ અને સંયોજનમાં આ આધુનિક ચિત્રકળા થકી અનેક અવનવા અખતરા કરાયા, અને તે ‘આબેહૂબ’ના બંધનમાંથી મુક્ત થઈ એ તેનું મુખ્ય લક્ષણ ગણાવી શકાય. યુરોપ અનેકવિધ કળાપ્રવાહોનું કેન્‍દ્ર બની રહ્યું. ભારતમાં યુરોપીય શૈલીની અસર જોવા મળે છે, પણ એ ઘણી મોડી આવી. એ અગાઉ ભારતમાં અનેક પ્રાંત અને પ્રજાની પરંપરાગત શૈલી ચલણી હતી. આ શૈલીમાં કલાકારનું મહત્ત્વ ઓછું, શૈલીનાં લક્ષણોનું મહત્ત્વ વધુ હતું. એટલે કે ચિત્રકાર કોઈ પણ હોય, તે અમુકતમુક શૈલીનાં લક્ષણો અનુસાર જ ચિત્ર બનાવે. એ રીતે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઘણી મોડી, વીસમી સદીના મધ્યમાં અને ઉત્તરાર્ધમાં ઊભી થઈ. આધુનિક ભારતીય ચિત્રકળાને ઓળખ આપવામાં અનેક ચિત્રકારોનાં નામ લઈ શકાય. આમાંના એક સૌથી મહત્ત્વના ચિત્રકાર હતા ભૂપેન ખખ્ખર. સરદાર પટેલ યુનિવર્સિટીની અતિ પ્રતિષ્ઠિત ‘જ્ઞાનવિજ્ઞાન શ્રેણી’ના ‘દૃશ્યકળા’ ગ્રંથમાં તેમના વિશે લખ્યું છે: ‘નોંધપાત્ર સ્વયંશિક્ષિત કળાકારોમાં રવિ વર્મા અને રવીન્દ્રનાથ પછી ભૂપેન ખખ્ખર આવે છે. પોપ કળાનું સંવેદન પ્રગટાવનાર તેઓ પ્રથમ ભારતીય કળાકાર છે. આપણા ભદ્રવર્ગે સસ્તાં ગણેલાં, ન સ્વીકારેલાં તત્વો તરફ આકર્ષાઈ ભૂપેન ખખ્ખર ચિત્રો કરવા માંડે છે અને એમ આપણી ભદ્રમાર્ગીય માન્યતાઓના મૂળમાં જ ઘા કરે છે. સાથોસાથ એવી માન્યતાઓની હાંસી પણ ઉડાવે છે.’ આમ, આધુનિક ભારતીય ચિત્રકળામાં ભૂપેન ખખ્ખરે પોતાની આગવી કહી શકાય એવી ચિત્રશૈલી નીપજાવી અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આધુનિક ભારતીય ચિત્રકળાની ઓળખ ઊભી કરી.

    ***

    ભરૂચના અમરીશભાઈ કોન્ટ્રાક્ટર દ્વારા ૨૦૧૬માં મને ભૂપેન ખ્ખ્ખરની જીવનકથા લખવાનું કામ સોંપવામાં આવ્યું. નવ વરસના દીર્ઘ અંતરાલ પછી ૩૦ માર્ચ, ૨૦૨૫ના રોજ એ પુસ્તકનું વિમોચન વડોદરા ખાતે યોજાયું.

    (ભૂપેન ખખ્ખર,  તસવીર: જ્યોતિ ભટ્ટ)

    ભૂપેન ખખ્ખરની જીવનકથાના આલેખન દરમિયાન તેમનાં ચીતરેલાં અનેક ચિત્રોમાંથી પસાર થવાનું બન્યું, તેમની શૈલીનો, એમાં પડઘાતી તેમની પ્રકૃતિનો પરિચય થતો ગયો. તેમનાં ચિત્રો થકી તેમનું મનોજગત પણ ઊઘડતું ગયું. ભૂપેનની જીવનસફર જેટલી રસપ્રદ છે એટલાં જ રસપ્રદ તેમનાં ચિત્રો જણાયાં.

    આમ, પુસ્તક માટે કરેલા કામ થકી વિચાર આવ્યો આ શ્રેણી શરૂ કરવાનો. અગાઉ ફેસબુક પર કેટલાક ચિત્રોનો આસ્વાદ કરાવેલો હતો, જે મારા બ્લૉગ પર પણ સુલભ છે. અહીં એની એ સામગ્રીને સીધેસીધી મૂકવાને બદલે વધુ વિગતે સમાવવાનો ઉપક્રમ છે. આમ, આ શ્રેણીમાં ભૂપેન ખખ્ખરનાં વિવિધ ચિત્રો અને એમની શૈલીનો આસ્વાદ કરાવવામાં આવશે.


    દર મહિનાના બીજા સોમવારે ભૂપેનના ચિત્રોની આ શ્રેણી ‘ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ’નું પ્રકાશન ‘વેબગુર્જરી’ પર થશે.


    (ભૂપેન ખખ્ખર: લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • મોબાઈલ મેનીયા ! ! !

    વ્યંગ્ય કવન

    કૃષ્ણ દવે

    પ્રેમ છોકરો ક્યાં છોકરીને સ્હેજ કરે છે.
    એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.
    જુઈ મ્હેંકીને અમથા મેસેજ કરે છે.
    એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.

    નથી ટાઇમ કે બુલબુલ થઈ વાત બે કરે
    બની મેઘધનુષ આકાશે રંગ બે ભરે.
    એતો સ્ક્રીનના કુવામાં બસ ઉતરે,ચડે
    જાણે પોતે હો જેલમાં ને ટેરવાં ફરે !
    ફૂલ ઉઘડે પણ નજરો ક્યાં તેજ કરે છે ?
    એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.

    હવે ઝરણું કે ઝાડ એને જોવાં નથી.
    કોઈ તરણું કે પ્હાડ એને જોવાં નથી.
    એ તો ઉંઘમાં’યે ટાવરને શોધતો ફરે,
    થાય પૂર્વમાં ઉઘાડ,એને જોવા નથી.
    જાણે એકલતા સાથે એન્ગેજ કરે છે.
    એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.

    નથી ફુરસદ કે કોઈનેય હેતથી મળે.
    એવી પળ ક્યાં? કે ભાઈ બ્હેન ટોળે વળે.
    એ તો મીડિયાના મેળામાં મ્હાલતો ફરે .
    નથી શીખવુ કે હેતથી કુટુંબમાં ભળે.
    નથી જાણતો એ ખુદને ડેમેજ કરે છે.
    એ તો મોબાઈલ સાથે મેરેજ કરે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : ગૃહિણી જીવન અને સંસારની આંટીઘૂંટી

    સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

    સંકટ પર સંકટ  થી આગળ

    લલિતાબાઈના અમદાવાદ ગયા પછી ઘરમાં રોજિંદી પ્રવૃત્તિ શરૂ થઈ ગઈ. નરેન દર ચાર-છ મહિને બીમાર પડતો હતો. તેને આવી અનપેક્ષિત માંદગી એવી ગંભીર થઈ જતી કે તેના કપાળ પર ઠંડા પાણીની પટ્ટી મૂકવી પડતી. આવી હાલતમાં હું ચાર-ચાર રાત સૂઈ પણ નહોતી શકતી. આવું તે સાત વર્ષનો થયો ત્યાં સુધી ચાલ્યા કર્યું. આવામાં ‘એમની’ બધી જ નાનીમોટી જરૂરિયાતો વ્યવસ્થિત રીતે પૂરી થવી જ જોઈએ! ‘એમને’ પાનનો શોખ હતો. દરરોજ એક ડઝન પાનનાં બીડાં તેમને જોઈએ, જે હું જ બનાવી આપતી. સુંદર મજાનાં કપૂરી પાન શણના ભીના કપડામાં લપેટી રાખતી, અને તેના પર ઘેર દહીંમાં પકાવેલો ચૂનો, કાથો, ઇંજમેટનાં ફૂલ અને તમાકુ નાખી, બીડું બનાવી, તેને લવિંગથી બીડી ચાંદીની ડબીમાં મૂકી તેમની ઓફિસમાં મોકલતી! સુધા બે વર્ષની થઈ અને મને ફરીથી ત્રીજી દીકરી આવી. ‘એમની’ સંતતિનો આંકડો એક ડઝનનો થઈ ગયો! કમનસીબે અગાઉના ઘરની બે દીકરીઓ પહેલાં જ સ્વર્ગવાસી થઈ ગઈ હતી. મારી ત્રીજી દીકરીનું નામ જયશ્રી રાખ્યું. આમ મને ચાર સંતાન થયાં.

    જયશ્રી છ મહિનાની થઈ અને “એમની’ બદલી રાજકોટ થઈ. આ તેમની નોકરીનું છેલ્લું વર્ષ હતું અને તેઓ પેન્શન પર ઊતરવાના હતા. તેથી તેમણે રાજકોટ એકલા જવાનું નક્કી કર્યું. મારા જેઠના દીકરા ધોળકામાં નોકરીએ. હતા તેથી તેમના કહેવાથી ‘એમણે’ મને અને અમારાં બાળકોને ધોળકા રાખવાનું નક્કી કર્યુ. ત્યાં ભાડાનાં મકાન ઘણાં સસ્તાં હતાં અને મોંઘવારી હજી શરૂ થઈ નહોતી. અમારો બધો સામાન અને રાચરચીલું પહેલેથી ધોળકા મોકલી દીધું અને ત્યાર બાદ ‘એમણે’ મને જીબા અને એક નોકરની સાથે અમને એટલે અમારાં પહેલા ઘરનાં ત્રણ સંતાનો અને મારાં ચાર બાળકોને ધોળકા મોકલ્યાં. જીબા હતાં તેથી બીજા એક નોકરને લઈ જવાની મારી જરા પણ ઇચ્છા નહોતી, પણ ‘એમના’ નિર્ણય સામે મારું શું ચાલે? આમ અમે અમારા મોટા ભત્રીજાને ઘેર ગયાં. ત્યાં અમે ફક્ત બે દિવસ જ રહ્યાં, પણ અમારા જેઠાણીની તલવાર જેવી જીભ વીંઝાતી જ હતી. બધે કહેવા લાગ્યાં, “આ બાઈના ઠાઠ તો જુઓ! બબ્બે નોકરોની એને જરૂર છે? હૈં?!’

    રાજકોટ ગયા બાદ શરૂઆતમાં તેઓ તેમના ખાસ મિત્રને ઘેર રહેતા હતા, અને ત્યાર પછી તેમણે સદરમાં મોટી ટાંકી પાસે ઘર ભાડે રાખ્યું હતું. પણ તેમને જિંદગીમાં એકલા હાથે કોઈ પણ કામ કરવાની ટેવ નહોતી અને તેઓ કંટાળી ગયા હતા. મારે અને બાળકોએ ધોળકા કાયમ રહેવાનું છે એવું ‘એમણે’ નક્કી કર્યું હતું, તેથી મેં વર્ષનું અનાજ અને અન્ય સામાન ભરવાની શરૂઆત કરી. આ વાતને બે મહિના થયા ત્યાં ‘એમણે’ મને ખબર મોકલી, “મને એકલાને અહીં ખાવા-પીવાની ઘણી તકલીફ છે! તમે બધા અહીં આવવાની તૈયારી કરો.” તેમણે તેમના ભત્રીજાને અને. મને પત્ર લખીને કહ્યું કે અમારે બધાંએ રાજકોટ જવું જોઈશે. અમારા જેઠાણી, તેમનો પુત્ર અને બીજાં બધાં સગાંવહાલાંઓએ બુમરાણ મચાવ્યું, ‘જુઓ તો ખરા, આ બાઈએ પતિને કાગળ લખીને કહ્યું કે અમને તમારી પાસે બોલાવી લો!’

    ‘એમનો’ પત્ર આવ્યા બાદ મેં તેમને જવાબમાં લખ્યું કે, “આટલો ખર્ચ કરીને આપણે હવે ધોળકા આવ્યા છીએ. અને મેં આખા વર્ષનું અનાજ ભરવાની પણ શરૂઆત કરી છે. આપણે હવે અહીં સ્થિર થવું જોઈએ. આપણાં બાળકોના શિક્ષણ તરફ પણ આપણે ધ્યાન આપવું જોઈએ કે નહિ?” મારો આ પત્ર જોઈ ‘એમને’ ભયંકર ગુસ્સો આવ્યો. અંતે નાઇલાજ થઈને અમારે ભરેલું અનાજ અને અન્ય સામાન કાઢી નાખવાં પડયાં. ‘એમની’ સૂચના પ્રમાણે રવિ અને મધુ લલિતાબાઈ પાસે અમદાવાદ ગયાં. ભાનુ મારાં જેઠાણીને ત્યાં ધોળકા રહી અને મારે ચાર બાળકો સાથે રાજકોટ જવાની તૈયારી કરવી પડી. અમારો મોટા ભાગનો સામાન અને ફર્નિચર રાખવા માટે અમારા ભત્રીજાના મકાનની બાજુમાં એક ઓરડી ભાડે રાખી, તેમાં બધો સામાન મૂકી હું અને બાળકો રાજકોટ ગયાં.

    રાજકોટમાં અમારી જ્ઞાતિના લોકોનું મોટું મકાન હતું તેમાં અમે જગ્યા ભાડે રાખી અને ત્યાં રહેવા ગયાં. અહીં પાંચછ કુટુંબ રહેતાં હતાં. દર રવિવારે વારાફરતી એકબીજાના ઘેર પાર્ટી યોજાતી, અને આનંદથી દિવસ વીતતા હતા. નરેનને સદરની નિશાળમાં ત્રીજા ધોરણમાં દાખલ કર્યો હતો. ‘એમને’ તેમના સાહેબ સાથે વારંવાર ડિસ્ટ્રિક્ટમાં જવું પડતું હતું. તેમને નવી નવી જગ્યાઓ જોવા મળતી હતી અને તેમના કામથી તેમના ઉપરી અધિકારીઓ ઘણા ખુશ હતા. અમારા દિવસો આમ પસાર થતા હતા.
    નરેનને સંભાળવા માટે અમે એક નોકર વઢવાણથી લઈ આવ્યા હતા. બેએક મહિના કામ કરીને તે ઘેર નાસી ગયો. એમને પેન્શન પર ઊતરવા માટે હવે ચાર મહિના રહ્યા હતા. રિટાયર થયા બાદ તેઓ કામ કરવાનું ચાલુ રાખવા માગતા હતા. બ્રિટિશ સરકારના વહીવટી કામનો તેમને વિશાળ અનુભવ હતો તેની દેશી રજવાડાંઓને જરૂર હતી, તેથી તેઓ યોગ્ય જગ્યા મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. એવામાં અમારો પેલો નાસી ગયેલો નોકર પાછો આવ્યો અને ફરીથી કામે રાખવા માટે એમની આગળ કરગરવા લાગ્યો. એમણે મને તેને ફરી કામે રાખવા કહ્યું. આ છોકરાનાં લક્ષણ મને ગમતાં નહોતાં તેથી મેં એમને સ્પષ્ટ કહ્યું કે ગમે તે થાય તો પણ આ માણસને રાખવો નથી. આ બાબતમાં અમારી વચ્ચે ઝઘડો થયો પણ એમણે ક્યારે મારી વાત માની હતી તે હવે માને? મારી નારાજગી હોવા છતાં એમણે તેને કામે રાખી લીધો. ત્યાર બાદ હંમેશાં એમના ગજવામાંથી પૈસા ગુમ થવા લાગ્યા. એમણે તો મારા પર આક્ષેપ કર્યો, “તું જ પૈસા કાઢી લે છે અને આ નોકર તને ગમતો ન હોવાથી તેના પર શંકા કરે છે.” આવો ગંભીર આરોપ સાંભળી મને અત્યંત દુઃખ થયું.

    રાજકોટમાં રહેવાના થોડા દિવસ બાકી રહ્યા હતા તેમ છતાં અમે ઘર બદલ્યું અને મોટા મકાનમાં રહેવા ગયાં. ત્યાં એમના માસિયાઈ ભાઈના દીકરાની બદલી રાજકોટ થઈ અને તેઓ અમારે ત્યાં રહેવા આવ્યા. ઘર હજી પણ સરખી રીતે ગોઠવાયું નહોતું. અમે જરૂરી સામાન બહાર રાખ્યો હતો અને ઘણી વસ્તુઓ હજી પેટીઓમાં પડી હતી. એમની સરકારી નોકરી પૂરી થવા આવી હતી. ગ્રેચ્યુઈટીની રકમ આવી તે મેં મારી ટૂંકમાં મૂકી અને તાળું લગાવી દીધું. જરૂર પૂરતા છૂટક ચાલીશ રૂપિયા એમની બેગમાં રાખ્યા. આ બધું જોઈ પેલા નોકરની દાનત બગડી. મને તો લાગે છે કે એ ખરાબ મનોવૃત્તિ રાખીને જ અમારે ત્યાં પાછો આવ્યો હતો.

    એક દિવસ એણે મને કહ્યું, “બા, આજે હું સાહેબની બેગ ગોઠવી આપું છું.” હું કામમાં હતી, અને તેણે જે રીતે મને આ કહ્યું તેથી મને તેના આશય પર જરા જેટલી શંકા આવી નહિ. મને થયું ચાલો હવે આ મને લગાડીને કામ કરે છે તો કરવા દો. અમારા ઘરની રચના ટ્રેનના ડબ્બાઓની હાર જેવી હતી. ઓરડાઓ એક લાઈનબંધ હતા અને આગળપાછળ ઓસરી અને ત્યાંથી બહાર જવાઆવવા માટે બારણાં હતા. હું આગળની રૂમમાં કે રસોડામાં હોઉં તો પાછળ ઓસરીમાં શું થાય છે તેની ખબર ન પડતી. નોકરે નરેનને મીઠી મીઠી વાતો કહીને ફોસલાવીને તૈયાર કર્યો અને તેની બેગ ભરીને પાછલી ઓસરીમાં ક્યારે મૂકી તેની મને જરા પણ ખબર ન પડી. ત્યાર બાદ અમારા ભત્રીજાનો દાઢી કરવાનો સામાન અને “એમની” બેગમાંના ચાલીશ રૂપિયા અને કબાટમાંથી ચાંદીનાં વાસણ કાઢી પોતાની થેલીમાં ભરી લીધાં અને નાસી જવાની પૂરી તૈયારી કરી લીધી. સાંજના સાત વાગ્યા. મેં ભગવાનને દીવો કર્યો અને ઘરમાં પણ દીવાબત્તી કર્યા. નોકરે નરેનને કહ્યું કે બાને જઈને કહો કે સાત વાગી ગયા. નરેન અબુધ હતો, તેણે મારી પાસે આવીને એ જ શબ્દોમાં કહ્યું, “બાઈ, સાત વાગી ગયા”. મને નવાઈ લાગી. મેં તેને પૂછ્યું, “અરે, આજે શું વાત છે તે તું મને ટાઈમ કહેવા આવ્યો?” તેણે કશો જવાબ ન આપ્યો, અને પાછળની ઓસરી તરફ ગયો. ત્યાં પેલો નોકર બેગબિસ્તરા સાથે તૈયાર હતો. નરેનને લઈ, સામાન ઊંચકી તેણે ત્યાંથી ચૂપચાપ પલાયન કર્યું.

    રાતના સાડા આઠ વાગ્યે મારા પતિ અને અમારા ભત્રીજા બહારથી આવ્યા. જમવા માટે પાટલા માંડ્યા અને થાળીવાટકા ગોઠવ્યાં અને અમે નરેનની રાહ જોવા લાગ્યાં. અમને થયું, નોકર નરેનને ફરવા લઈ ગયો હશે. નવ વાગ્યા સુધી તેઓ પાછા ન આવ્યા ત્યારે અમે તેમને બધી જગ્યાએ શોધવા ગયાં. સિનેમાગૃહ પણ જઈ આવ્યાં પણ ક્યાંય પત્તો ખાધો નહિ. દસેક વાગ્યે વાસણ માંજનારાં બહેન આવ્યાં. તેમને પૂછ્યું તો તેમણે કહ્યું, “બપોરે હું કામ કરવા આવી ત્યારે મેં તેને નરેનભાઈના કપડાં બેગમાં ભરતાં જોયો હતો. તમે સૌથી પહેલાં ભાઈની બેગ જુઓ તો!”

    અમે જોવા ગયાં તો નરેનની બેગ ન મળે. ભત્રીજાની બેગ ખુલ્લી હતી અને તેમની અમુક વસ્તુઓ ગુમ થઈ હતી. “એમની” બેગમાંના પૈસા પણ ગાયબ હતા. આ બધું જોયું ત્યારે અમને શંકા આવી કે તે નરેનને લઈને ભાગી ગયો છે. બધાંએ કહ્યું કે સાંજે એક ટ્રેન વીરમગામ જતી હતી તે પકડી નોકર નરેનને લઈ વઢવાણ ગયો હશે. આ ટ્રેન વઢવાણ સવારે સાત વાગ્યે પહોંચતી હતી. “એમના” એક મિત્ર મિસ્ટર રૂબેન વઢવાણમાં પોલીસ ઈન્સ્પેક્ટર હતા. અમારા  નોકરનો બા૫ મિ. રૂબેનનો ઓર્ડરલી હતો. એમણે રૂબેનને તાર કર્યો કે “તમારા ઓર્ડરલીનો દીકરો અમારા નરેનને લઈ નાસી ગયો છે, તો વઢવાણ સ્ટેશન પર ગાડી આવે ત્યારે તેને પકડી લેજો.” હું તો ગભરાઈને હતપ્રભ થઈ ગઈ હતી. મને કશું સૂઝતું ન હતું. વઢવાણથી શો જવાબ આવે છે તેની ઘેરી ચિંતામાં હું સાવ મૂંઝાઈ ગઈ હતી.

    સદ્ભાગ્યે રૂબેનસાહેબને અમારો ટેલિગ્રામ સમયસર મળી ગયો અને ટ્રેન આવે તે પહેલાં સ્ટેશન પર પહોંચી ગયા. તેમણે નોકરને જોયો અને પકડી લીધો, પણ નરેન ક્યાંયે દેખાતો નહોતો. તેમણે નોકરને દબડાવ્યો અને પૂછ્યું, “બોલ, નરેન ક્યાં છે?” નોકર ધૃષ્ટ હતો. તેણે સામો સવાલ કર્યો, “તમે કોની વાત કરો છો? આ નરેન કોણ છે? હું તો તેને ઓળખતો પણ નથી.” આ બધી પૂછપરછ ચાલતી હતી તે સાંભળી ડબામાંના પેસેન્જરોએ કહ્યું, “આની સાથે એક નાનો છોકરો હતો તેને આ માણસ સોડાબાટલીના કંપાર્ટમેન્ટમાં સંતાડી આવ્યો છે!” ત્યાં જઈને જોયું તો સાચે જ, નરેન ત્યાં હતો. અમે વઢવાણ હતાં ત્યારે રૂબેન અમારી બાજુમાં જ રહેતા હતા, તેથી નરેન પણ તેમને સારી રીતે ઓળખતો હતો. તેમણે નરેનને કહ્યું, “ચાલ, ભાઈ, ઘેર જઈએ.” નોકરે કોણ જાણે શું કહીને નરેનને ચઢાવ્યો હતો, તે ડબામાંથી ઊતરવા તૈયાર જ નહોતો થતો. એને નોકરે કહ્યું હતું કે આપણે મુંબઈ જઈને ઘણી મોજ કરીશું. સાત-સાડા સાત વર્ષના બાળકને શું સમજાય? અંતે તેમણે જબરજસ્તીથી તેને ટ્રેનમાંથી ઉતાર્યો.

    નોકરને ખૂબ ધમકાવ્યો અને માર માર્યો, પણ એ નાલાયક માણસ એકનો બે ન થયો. કહે, મને કશી ખબર નથી. ચોરેલા પૈસા અને અન્ય વસ્તુઓ પણ હાથ લાગી નહિ. અંતે તેના બાપની દયા ખાઈને તેને છોડી દીધો અને રૂબેનસાહેબે નરેનને તેમના માણસની સાથે રાજકોટ મોકલ્યો. પૈસા અને ચાંદીની વસ્તુઓ ગઈ તેનું અમને દુઃખ ન હતું. અમારો નરેન ક્ષેમકુશળ પાછો આવ્યો તેનો અમને આનંદ હતો. નરેન ઘેર આવ્યા બાદ અમે તેને બધી હકીકત પૂછી ત્યારે તેણે કહ્યું કે નોકરે તેને કહ્યું કે મુંબઈ ઘણું સુંદર શહેર છે અને તે નરેનને ત્યાં ઘણી મજા કરાવશે. જો નરેન કોઈને કહી દેશે તો કોઈ તેને મુંબઈ નહિ જવા દે. આથી તેણે કોઈને કહ્યું નહિ. અમે નરેનને ઘણું વઢ્યાં અને સમજાવ્યો ત્યારે તેણે કહ્યું કે હવે પછી તે કદી કોઈને કહ્યા વિના કોઈની પણ સાથે નહિ જાય.

    મારા પતિએ તેમની કારકિર્દી દરમિયાન કચ્છ-ભૂજ અને સૌરાષ્ટ્રમાં નોકરી કરી હતી. એક વાર વઢવાણમાં એક કંપનીએ ટ્રામસેવા શરૂ કરી હતી. “એમણે” પોતાની પૂર્વ પત્નીનું વીસ-બાવીસ તોલા સોનું વેચીને આ કંપનીના શેર વેચાતા લીધા હતા. આગળ જતાં કંપનીએ દેવાળું કાઢ્યું તેમાં અમારા બધા પૈસા ડૂબી ગયા. પોતાના કાર્યકાળ દરમિયાન “એમણે” ઘણા લોકોને મદદ કરી હતી અને અનેક લોકોનાં કામ કરી આપ્યાં હતાં. એવા એ પરગજુ હતા. તેમના એક સાહેબ પારસી સદ્‍ગૃહસ્થ હતા. તેમને અંગ્રેજ સરકારે અતિ મુશ્કેલ કામ સોંપ્યું હતું, જે તેમનાથી થઈ શકતું ન હતું. “એમણે” દિવસરાત એક કરીને આ કામ કરી આપ્યું હતું. “એમની” રિટાયરમેન્ટના થોડા જ દિવસ પહેલાં આ સાહેબ પેન્શન પર રાજકોટ આવ્યા હતા અને અચાનક “એમને” મળી ગયા. તેઓ એટલા રાજી થઈ ગયા કે ન પૂછો વાત. તેઓ “એમને” આગ્રહ કરીને પોતાને ઘેર લઈ ગયા. જૂની વાતો કરી, અને તેઓ ઘેર આવવા નીકળ્યા ત્યારે તેમના સાહેબે સો રૂપિયાની નોટ “એમની” આગળ ધરી અને કહ્યું, “તમે મને જે મદદ કરી હતી તેનો આભાર પ્રદર્શિત કરી શક્યો નહોતો. આ મારી નાનકડી ભેટ તમે સ્વીકારશો તો મને ઘણો આનંદ થશે.” “એમણે” પૈસા લેવાની ના કહી. સાહેબે અંતે કહ્યું કે આ તમારી પત્નીને અમારા તરફથી ભેટ આપજો. કચવાટ હોવા છતાં તેમણે પૈસા લીધા, પણ ઘેર આવીને તે તરત મને સ્વાધીન કર્યા.

    પેન્શન પર ઊતરવાના થોડા જ દિવસ અગાઉ એમને હિંમતનગર રાજ્યમાંથી નોકરી માટે કહેણ આવ્યું. તેમની નિમણૂક ‘મહેકમા-ખાસ’માં અગત્યના સ્થાન પર થઈ હતી. તરત હાજર થવાનો હુકમ હતો તેથી તેઓ ત્યાં જવા નીકળી ગયા, અને મને સામાન પેક કરવાનું કહી ગયા. દસ દિવસમાં તેઓ અમને લેવા માટે આવવાના હતા. આ વાતને ચાર-પાંચ દિવસ થયા હશે ત્યાં મારા યેસુબાબાની મોટી દીકરીનાં લગ્નમાં હાજરી આપવા માટેનો દમુનો અને મારાં કાકીનો પત્ર આવ્યો. લગ્ન દમુને ઘેર એટલે મારા બનેવીની જે ગામડામાં બદલી થઈ હતી ત્યાં થવાનાં હતાં. અમારો સામાન પેક થઈ ગયો હતો અને ચાર-પાંચ દિવસમાં મારા પતિ અમને લેવા આવવાના હતા. લગભગ લગ્નના સમયે જ અમારે હિંમતનગર ભણી નીકળવાનું હતું. “તેઓ” પણ હિંમતનગર હતા.

    આ લગ્નમાં હાજરી આપવી એ મારું કર્તવ્ય હતું પણ મારી હાલત એવી હતી કે મારાથી આ લગ્નમાં હાજરી આપવા કોઈ સંજોગમાં જઈ શકાય તેવું નહોતું. આ ચિંતામાં મારા મગજ પર એટલી ગંભીર અસર પડી કે મને ફિટ આવી ગઈ. હું બેહોશ થઈને પડી ગઈ અને મારું આખું શરીર ખેંચાવા લાગ્યું. મોંમાંથી ફીણ આવવા લાગ્યાં. તે વખતે જે વ્યક્તિ હાજર હોય તે મને ડુંગળીનો કૂચો કરી સૂંઘાડે અને હાથ-પગ પકડી રાખે ત્યાર પછી થોડી વારે હું શુદ્ધિમાં આવતી. લગ્નમાં ન જઈ શકી તેથી મારાં પોતાનાં આપ્તજનોને ઘણું જ માઠું લાગ્યું. અને તેમને તેવું લાગવું જ જોઈએ. જેમણે મને અને મારી બાને આશ્રય આપ્યો હતો, અમારી હર મુસીબતમાં અમને સાથ આપ્યો હતો, તેમના ઘરના પ્રથમ શુભ કાર્યમાં હું હાજરી ન આપી શકી તેનું મને અપાર દુ:ખ થયું હતું. આ પરેશાની હું જીરવી ન શકી અને આવા ‘ફિટ’નો મને કાયમ માટેનો રોગ થઈ બેઠો. કોઈ પણ વખતે મારા મનની વ્યથા બેકાબૂ થઈ જતી અને મારી સહનશીલતાનો અંત આવી જાય ત્યારે મને આવું થવા લાગતું. આ વાત તો બાજુએ રહી, પણ મારાં પિયરિયાંમાં બધાંને મારે નારાજ કરવા પડ્યાં તેનો મને ઘણો અફસોસ થયો.

    તેવામાં એક ગજબની ઘટના થઈ. અમારો જૂનો નોકર જે નરેનને લઈને મુંબઈ નાસી જવાનો હતો, તે પાછો રાજકોટ આવ્યો. “તેઓ” તો હિંમતનગર હતા, પણ તેની હિંમત અમારા ઘર સુધી આવવાની ન થઈ. તેમ છતાં તે અમારે ઘેર કામ કરનારાં બહેનને મળ્યો અને તેમને કહ્યું, “નરેનભાઈ નસીબદાર હતા તેથી તેઓ બચી ગયા, નહિ તો મુંબઈ લઈ જઈને તેમનું કઈ પણ કરી નાખત.” મારાં નસીબ સારાં કે મારો દીકરો સહીસલામત અમને પાછો મળ્યો, નહિ તો એનું શું થાત તેની કલ્પના પણ કરવી શક્ય નથી.

    અમે “એમની” રાહ જોતાં હતાં તેવામાં અમદાવાદથી સમાચાર આવ્યા કે અમારા નંબર બેના પુત્ર રવિને એક કન્યા ઘણી ગમી ગઈ હતી અને તેણે તેની સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. કન્યા સુસ્વભાવી અને પ્રેમાળ હતી. કન્યાના પિતાનો “એમને” આ બાબતમાં પત્ર આવ્યો અને તેમણે સગાઈની તારીખ નક્કી કરવા માટે વિનંતી કરી હતી. “એમણે” તેમને જણાવ્યું કે મોટા પુત્રનાં લગ્ન નક્કી ન થાય ત્યાં સુધી રવિની સગાઈ કરી શકાય નહિ. જોકે થોડા સમય બાદ અમારા ભત્રીજાનાં સાસરિયાંમાં એક સારી કન્યા સાથે મોટાનાં લગ્ન નક્કી થયાનો પત્ર લલિતાબાઈ તરફથી રાજકોટ આવ્યો. મારા પતિ હિંમતનગરથી અમને લેવા આવ્યા ત્યારે તેમણે આ પત્ર વાંચી તરત લખી જણાવ્યું કે, “હું, બાઈ તથા નાનાં બાળકો હિંમતનગર જવા નીકળીએ છીએ તો અમદાવાદ રોકાઈશું. તે વખતે બન્ને સગાઈઓ સાથે કરીશું.” પરંતુ હજી પણ ઘરમાં પારિવારિક બાબતોનો અધિકાર હજી લલિતાબાઈ પાસે હતો. તેમણે અમારી રાહ ન જોતાં મોટાની સગાઈ પતાવી નાખી! અમારી હાજરીની જાણે કોઈ જરૂરિયાત નહોતી. મારા પ્રત્યે ભલે તેમને ગમે તેવી સારી-નઠારી ભાવના હોય, પણ પિતાનું માન તો રાખવું જોઈએ કે નહિ? આ વાતની વ્યથા મને તો થઈ જ, પણ પોતાના પિતાને કેટલું દુઃખ થયું હશે તેનો લલિતાબાઈને વિચાર ન આવ્યો.

    ખેર. હિંમતનગરમાં મકાનની વ્યવસ્થા કરી તેઓ અમને લેવા રાજકોટ આવ્યા, તે દિવસે એક વિચિત્ર પ્રસંગ બની ગયો. રાતે જમ્યા પછી અમે લાંબો વખત વાતચીત કરી અને સૂવાની તૈયારી કરી. મકાન લગભગ ખાલી કર્યું હોવાથી મેં બહારના ઓરડામાં જમીન પર પથારીઓ બિછાવી. ભીંતની એક બાજુએ અમારું બિછાનું અને બીજી તરફ બાળકોની પથારી. રાતે કોણ જાણે ક્યાંથી એક સાપ આવીને અમારા બિછાનાની નીચે સંતાઈ ગયો તેની અમને ખબર ન પડી. રાતે મારા પડખાની નીચે સળવળાટ થયાનો આભાસ થયો, પણ મેં ધ્યાન ન આપ્યું. સવારે વહેલાં ઊઠીને મેં ચા બનાવી. “તેઓ” ચા પીને બહાર નીકળી ગયા. તે સમયે અમારા પરિવારના એક આપ્તજન રાજકોટમાં બદલી પર આવ્યા હતા અને અમારા ઘરની બાજુમાં રહેવા આવ્યા હતા. હું બિસ્તરા ઉપાડવાનો વિચાર કરતી હતી તેવામાં તેમના મોટા દીકરા દત્તાત્રેય અમારે ત્યાં આવ્યા. મેં બારણું ખોલ્યું અને પથારી વીંટાળવા લાગી ત્યાં જે જગ્યાએ હું સૂતી હતી ત્યાં તેમણે ચાર હાથ લાંબો સાપ જોયો. તેમણે તરત બૂમ પાડી, ‘કાકી, ત્યાંથી એકદમ ભાગો, તમારા પગ પાસે મોટો સાપ છે!” હું તો જીવ લઈને ત્યાંથી ભાગી. સાપ આખી રાત અમારી પથારીની નીચે હતો! અમારું આયુષ્ય લાંબું હતું તેથી અમે બચી ગયાં. ત્યાર બાદ મહામુશ્કેલીથી સાપને પકડ્યો અને સદરના નાળામાં તેને છોડી આવ્યા.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ફિલ્મી ગઝલો – ૧૦૪. પાલ પ્રેમી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પાલ પ્રેમી ગીતકાર, અભિનેતા, લેખક અને નિર્દેશક હતા. એમના વિશે એટલી માહિતી મળે છે કે એમણે ડોલતી નૈયા (૧૯૫૦), રામ ભરોસે (૧૯૫૧), અલ્લાદીન કા ચિરાગ (૧૯૫૭), પથ્થર કે ખ્વાબ (૧૯૬૯) જેવી ફિલ્મોમાં માત્ર બાર ગીત લખ્યાં. અભિનેતા તરીકે ખુલ જા સિમસિમ અને શ્રીમાન ફંટૂશમાં નાની ભૂમિકાઓ ભજવી. અલ્લાદીન કા ચિરાગ અને હૈવાન (૧૯૭૭) ફિલ્મોનું લેખન પણ કર્યું. અહીં આપી છે એ એમની એક માત્ર ગઝલ વાળી ફિલ્મ ‘ પથ્થર કે ખ્વાબ ‘ અને અને ‘ હમારે ગમ સે મત ખેલો ‘ (૧૯૬૭) ફિલ્મોનું નિર્દેશન પણ એમણે કર્યું.

    એમની ગઝલ :

    યાદોં કા સહારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે
    યે દર્દ જો પ્યારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

    ટૂટા હુઆ દિલ ટૂટે અરમાં તેરી હૈ અમાનત પાસ મેરે
    યે દિલ જો તુમ્હારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

    શાયદ કે તેરે કામ આ જાએ યે જાન મેરી ઓ જાને જિગર
    કિસ્મત કા ઈશારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે

    રુક જાએં કહાં હૈ કિસકો ખબર દૌરાને સફર યા મંઝિલ પર
    ગર્દિશ મેં સિતારા ના હોતા હમ છોડ કે દુનિયા ચલ દેતે..

    – ફિલ્મ : પથ્થર કે ખ્વાબ ૧૯૬૯
    – તલત મહેમૂદ
    – એન દત્તા


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો

    સંકલનઃ અશોક વૈષ્ણવ

    આર ડી બર્મન (૨૭ – ૬ – ૧૯૩૯ । ૪ – ૧ – ૧૯૯૪)નાં માતા અને પિતા – મીરા બર્મન અને એસ ડી બર્મન – બન્ને પોતપોતાની રીતે સંગીતમાં ડુબેલાં હતાં. એટલે આર ડીને પણ સંગીત ગળથુથીમાંથી મળ્યું એમ કહેવામાં કદાચ અતિશયોક્તિ નહીં ગણાય. આર ડીને અનેક વાદ્યો શીખવાની તક મળી, પણ તેના તબલાં પ્રત્યેના લગાવને કારણે તેનાં માતાપિતા તેને ‘તબલુ’ કહીને જ બોલાવતાં. તો વળી, નાનપણથી આર ડીને સરગમના પંચમ સુરનું પણ બહુ જ ઘેલું આકર્ષણ હતું. એટલે અશોક કુમાર તો આર ડીને ‘પંચમ’ કહીને બોલાવતા. પછી તો આર ડીનું હુલામણું નામ જ ‘પંચમ’ બની રહ્યું. સ્વતંત્ર સંગીતકાર તરીકે પોતાની અલગ ઓળખ ઊભી કરવામાં આર ડીએ આ પંચમ સુરને હંમેશાં કેન્દ્રમાં રાખ્યો.

    સ્વાભાવિક છે કે નાનપણથી આર ડી એના પિતા – એસ ડી બર્મન – ની સંગીત બાંધણીની બેઠકોમાં હાજરી ભરતો. ધીમે ધીમે કરતં એક તબક્કે આર ડીએ તેની સંગીત અને સંગીત બાંધણીની આગવી સુઝના સ્વબળે એસ ડી બર્મનના સંગીત સહાયકની કામગીરી પણ સંભાળવાનું શરૂ કરી દીધું. આર ડીની સંગીતની સૂઝનું પ્રમાણ તો એ વાત પરથી જ મળી જશે કે એસ ડી બર્મને અય મેરી ટોપી પલટ કે આ (ફંટુશ, ૧૯૫૬) અને સર જો તેરા ચકરાયે (પ્યાસા, ૧૯૫૭) એ બે ગીતો આર ડીની જ મૂળ ધુનો પર થી બનાવ્યાં છે.

    એસ ડી બર્મનની સંગીત બેઠકોમાં ભાગ લેવાને આર ડી બર્મન અનેક વાદ્ય કાલાકારોની સાથે સંબંધો બાંધી શક્યા અને તેમની આગવી આવડતોને પોતાની વાદ્યવૃંદ રચનાઓમાં બહુ જ અભિનવપણે મુકી પણ શકયા. આર ડી બર્મનની વાદ્યવૃંદની ટીમના ત્રણ મુખ્ય પાયા હતા તેમના સંગીત સહાયકો – બાસુ (ચક્રવર્તી, વાયોલીન અને ચેલો નિષ્ણાત), મનોહરી (સિંઘ, સેક્ષોફોનના મહારથી) અને મારૂતી (રાવ કીર, તાલવાદ્યોના નિપુણ). આર ડી બર્મનની આગવી પ્રયોગશીલતાને આ ત્રણ કલાકારોએ એટલી જ આગવી શૈલીમાં, શાસ્ત્રીય, પાશ્ચાત્ય કે લોકસંગીત તેમજ  પ્રાદેશિક સંગીત આધારિત રચનાઓમાં મૂર્ત કરી આપી.

    આ ત્રણ કલાકારોની પોતપોતાનાં ક્ષેત્રની નિપુણતાને વિગતે જાણવા માટે તો યુટ્યુબ પરની મુલાકાત લેવી એક અનોખો લ્હાવો બની રહે છે. જોકે આર ડી બર્મનનાં સંગીતની યાદાંજલિ સ્વરૂપ આ લેખમાળામાં તો આપણે કેટલાક પ્રતિનિધિ કહી શકાય એવા વાદ્યવૃંદ રચનાના પ્રયોગો પુરતી સીમામાં રહીશું. તો ચાલો શરૂઆત કરીએ આર ડી બર્મનના વાદ્યવૃંદ રચનાના તાલ વાદ્યોના ધ્યાનાકર્ષક પ્રયોગો થી.  

    +                                       +                                       +

    આર ડી બર્મનનાં ઘડતરનાં વર્ષોમાં તેમના પિતા એસ ડી બર્મંન સંગીતમાં તાલનાં મહત્ત્વ પર હંમેશાં બહુ જ ભાર મુકતા. તેઓ કહેતા કે સારા સંગીતકાર થવું હોય તો નવરાશના સમયમાં તાલની અવનવી બંદિશો વિચારતાં જ રહેવું જોઈએ. સમય આવ્યે એ બંદિશો જ કોઈ એક સારાં ગીતની રચનાનો પાયો બની રહે.

    આર ડી બર્મને પોતાની સ્વતંત્ર સંગીતકાર તરીકેની કારકિર્દી શરૂ કરી ત્યારથી  માત્ર પોતાના પિતાનાં જ સંગીતની નહીં પણ એ સમયના અન્ય શંકર જયકિશન, મદન મોહન, રોશન જેવા આગલી પેઢીના અને પોતાની જ પેઢીના લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો કરતાં અલગ છાપ ઉભી કરવાનો તેમને બહુ મોટો પડકાર હતો. એ કામમાં તેમણે પંચમ સુર માટેના તેમના લગાવને અદ્‍ભૂત રીતે કામમાં લીધો.

    જોકે આશ્ચર્યની વાત એ છે કે આર ડીની સૌ પ્રથમ ફિલ્મના સંગીત સહાયકો લક્ષ્મીકાંત પ્યારેલાલ હતા. તેમની બીજી ફિલ્મમાં બાસુદેબ (ચક્રવર્તી) અને મનોહરી (સિંઘ) તેમના સહાયકો હતા. પરંતુ મારૂતી રાવ કીર  એ સમયે નેપથ્યમાં રહીને આર ડીના વાદ્યવૃંદની તાલ રચનામાં પોતાનું આગવું યોગદાન આપતા હતા, જે આર ડી બર્મન દ્વારા રચાયેલ ૩૦૦થી વધારે ગીતોમાં છવાયેલી જોવા મળે છે.

    ઘર આ જા ગિર આયે બદરા સાંવરીયા – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન

    ૭ – માત્રામાં, રાગ માલગુંજીમાં રચાયેલ આ ગીતમાં તબલાના મૃદુ તાલ ગંભીર વાતાવરણની શાંતિને વધારે અસરકાર્ક બનાવે છે. મોરા જિયા ધક ધક રે (૦.૨૬ – ૦.૩૨) સમયે તાલમાં જે વવિધ્ય ચમકારો કરે છે એ આર ડીની પ્રયોગશીલતાના સ્પર્શને ઉજાગર કરે છે.

    ચુરા કે દિલ બન રહે હૈ ભોલે જૈસે કુછ જાનતે નહીં – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન

    આ મુજરા ગીતમાં આર ડી રાગ ખમાજ પ્રયોજે છે, અને તે સાથે તબલાની થાપ હવે મુજરા નૃત્યની આગવી ઓળખને છતી કરવાની ગત પકડે છે.

    આઓ આઓ સાંવરીયા – પડોશન (૧૯૬૮)  – મન્ના ડે – ગીતકારઃ રાજેન્દ્ર કૃષ્ણ – સંગીતઃ  આર ડી બર્મન

    તો અહીં તબલાની થાપ પેરોડીનાં મુડને સચોટ પણે સંગત કરે છે.

    આર ડી બર્મન તેમની  પતિપત્ની, બહારોં કે સપને, પ્યાર કા મૌસમ જેવી શરૂઆતની ફિલ્મોમાં મહદ અંશે શાસ્ત્રીય, લોકધુન આધારિત રચનાઓ કરતા રહ્યા. આ રચનાઓની નોંધ લેવાઈ પણ આર ડીને પોતાની નવી જ પ્રદક્ષિણાની ધરીએ પહોંચાડવાનું શ્રેય તો તીસરી મંઝિલ (૧૯૬૭)ની પાશ્ચાત્ય ધુન આધારિત રચનાઓને ફાળે જ ગણાય છે. ભારતીય તાલ વાદ્યોના માહીર મારૂતિ રાવ અહીં પણ આર ડીની પ્રયોગશીલતાને નીખારતા રહ્યા.

    જબ અંધેરા હોતા હૈ – રાજા રાની (૧૯૭૩) – આશા ભોસલે, ભુપિન્દર – ગીતકારઃ આનન્દ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન

    બોંગો ગીતને લય આપીને ગીતના વાતવરણને રહસ્યમય બનાવે છે. અંતરા વખતે પાછો તાલ નવા સ્વરૂપે જ સંભળાય !

    એકદમ દ્રુત લયમાં તબલાં અને તેની સાથે બોંગોની અનોખી જુગલબંધીનો શોલે (૧૯૭૩)માં જે પ્રયોગ કરાયો તેણે પોતાની જીવનસંગિની એવી ધન્નોની મદદથી ભાગી છૂટવા મથતી બસંતીની ઘોડાગાડીની દિલધડક ચીલઝડપ હિંદી ફિલ્મોનું એક યાદગાર નજરાણું ગણાય છે. તબલાં પર પંડિત સામતા પ્રસાદ છે અને બોંગો પર મારૂતિ રાવ પર આ સંમોહિની પાથરે છે.

    મારૂતી રાવનું આર ડી સાથેનું સાયુજ્ય આર ડીની છેલ્લી ફિલ્મ – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – સુધી ચાલુ રહ્યું.

    રીમ ઝિમ .. રૂમ ઝુમ … ભીગી ભીગી રાતોંમેં હમ તુમ તુમ હમ – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – કુમાર સાનુ, કવિતા કૃષ્ણમૂર્તિ – ગીતકારઃ જાવેદ અખ્તર – સંગીતઃ આર ડી બર્મન

    મુખડામાં બોંગોની આગવી સંગત બહુ સરળતાથી અંતરામાં તબલાંની રંગતમાં બદલી જાય છે. અંતરામાં તો તાલનું વૈવિધ્ય ગીતના મુડને વધારે અસરકારક બનાવે છે.

    આર ડી બર્મનના તાલ વાદ્યના પ્રયોગોને હજુ વધારે વૈવિધ્ય અને તાજગી આપવામાં એક નવું પરિમાણ હતું રણજિત ગઝમેર (તખલ્લુસઃ કાંચા) અને તેમનું વાદ્ય માદલનું.

    નદીયા કિનારે હમારા બાગાન – બરસાતકી એક રાત (૧૯૮૧) – લતા મંગેશકર – ગીતકારઃ આનન્દ બક્ષી – સંગીતઃ આર ડી બર્મન

    ગીતનું ફિલ્માંકન ચાના બગીચાના વાતાવરણમાં થયું છે, એટલે તાલ વાદ્ય તરીકે માદલ જેવું લોક સંગીતનું વાદ્ય સ્વાભાવિક પસંદ જ બની રહે. અહી માદલની સાથે તબલાં વગેરે બીજાં તાલ વાદ્યો પણ સુર પુરાવે છે. ગીતના તાલમાં પંચમ સુરનું પ્રભુત્વ તો સાવ સહેલાઈથી છતું થાય છે.

    https://youtu.be/BW_ChFQETH0?si=RzpUQesWEDMBW07X

    દિલ પુકારે જીવા રે આ રે આ રાત ઉડતી જાઉં મૈં – જીવા (૧૯૮૬) – આશા ભોસલે – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન

    માદલને પાશ્ચાત્ય તાલ વાદ્યો બોંગો/કોંગોની સંગતમાં મુકીને તાલની અનોખી મધુર સુરાવલી રચાઈ છે.

    તેરે બિના જિયા જાયે ના – ઘર (૧૯૭૮) – લતા મંગેશકર – ગીતકારઃ ગુલઝાર – સંગીતઃ આર ડી બર્મન

    અહીં અલગ અલગ માદલને થોડા થોડા સુરના તફાવતમાં ગોઠવીને માદલ તરંગથી ગીતનો તાલ રચાયો છે. પ્રસ્તુત ક્લિપમાં રણજીત ગઝમેર આ આખી રચનાને શી રીતે રજુ કરાઈ તેનું જીવંત પ્રદર્શન કરી બાતાવે છે. મજાની વાત એ છે કે આખી તરંગની તાલ રચના માદલના સામાન્યપણે પ્રયોજાતા સુર કરતાં એક ઊંચા સુરમાં પ્રયોજાઈ છે.

    હમ દો પ્રેમી દુનિયા છોડ ચલે – અજનબી (૧૯૭૪)

    આ ગીતની તાલ રચના નેપાળી લોક ધુન પર આધારિત છે. પ્રતુત ક્લિપમાં રણજીત ગઝમેરને માદલ પર લાઈવ જોઈ શકાય છે. તેમની સાથે હોમી મુલ્લાં રેસો રેસો પર અને એક અન્ય કલાકાર કાચ કાગળ પર વરાળ એન્જિનના અનોખા ગતિમય ધ્વનિને જીવંત  કરતા જોઈ શકાય છે!

    રેસો રેસોના આટલા પરિચયની બારી આપણા માટે આર ડી બર્મન દ્વારા આ પ્રકારનાં ડુગ્ગી, બોંગો, કોંગો, કાસ્ટનેટ્સ, રેસો રેસો, સ્ટિક્સ, ગોકનસ્પીએલ, ટ્રાયેન્ગલ, વાયબ્રોફોન, સાયલોફોન વગેરે જેવાં  ‘અન્ય તાલ વાદ્યો’ તરીકે જાણીતાં ચાલીસેક જેટલાં (તથાકથિત) ગૌણ તાલ વાદ્યોના પ્રયોગોનું મેદાન મોકળું કરી આપે છે. કાવસ લોર્ડ, હોમી મુલ્લાં જેવા આગલી પેઢીના તાલ વાદ્ય નિષ્ણાતથી લઈને અમૃત રાવ કાટકર જેવા નવી પેઢીના ગણાતા અન્ય કલાકારોનો આર ડી બર્મન અને તેમની સંગીત સહાયક ત્રિપુટીએ મનમુકીને લાભ લીધો હતો.

    મતવાલી આંખોંવાલે ઓ અલબેલે દિલવાલે – છોટે નવાબ (૧૯૬૧) – લતા મંગેશકર, મોહમ્મ્દ રફી – ગીતકારઃ શૈલેન્દ્ર – સંગીતઃ આર ડી બર્મન

    ગીતનો મુખ્ય તાલ કાવસ લોર્ડ બોંગો પર સજાવે છે જેને કારણે ગીતની લયને ઝડપની અનોખી અનુભૂતિ મળે છે. તાલને ઓબ્લિગેટો સંગત કાસ્ટનેટના મૃદુ સ્વરમાં કાવસ લોર્ડના જ્યેષ્ઠ પુત્ર કેરસી લોર્ડ આપે છે. ધ્યાનથી જોઈશું તો દેખાશે કે ૦.૨૯ – ૦.૩૭ સુધી પરદા પર હેલન કાસ્ટનેટ વગાડતાં વગાડતાં નૃત્ય કરે છે.

    રૂઠ ન જાના તુમસે કહું તો – ૧૯૪૨ એ લવ સ્ટોરી (૧૯૯૪) – કુમાર સાનુ – ગીતકારઃ જાવેદ અખ્તર – સંગીતઃ આર ડી બર્મન

    ૧૯૬૧માં કાવસ લૉર્ડ બોંગો પર જેટલા તરોજાતા અને પ્રયોગશીલ હતા એટલા જ તાજા અને પ્રયોગશીલ ૧૯૯૪માં પણ છે !

    પ્રસ્તુત ક્લિપમાં આર ડી બર્મનનાં આધુનિક ગીતેર તરીકે ઓળખાતાં ગૈર – ફિલ્મી સર્જન માછેર કાંટા ખોપાર કાંટા (આશા ભોસલે)ના યુફોની દ્વારા ઓગસ્ટ ૨૦૦૯માં કલા મંદિર, કોલકત્તા ખાતે આયોજિત કાર્યક્રમમાં ફ્રાંકો વાઝ એક અનોખાં તાલ વાદ્ય કૂઇકા (Cuica)નું જીવંત પ્રદર્શન કરી બતાવે છે.

    ‘અન્ય તાલ વાદ્યો’ પૈકી અનેક વાદ્યોના નિષ્ણાત ગણાતા હોમી મુલ્લાંએ આર ડી બર્મનનાં ગીતોમાં અનેક અવનવા પ્રયોગો કર્યા હતા. અહીં એવાં કેટલાંક ગીતો પસંદ કર્યાં છે જેમાં ‘ગૌણ’ તાલ વાદ્ય જ વાદ્યવૃંદમાં ધ્યાનાકાર્ષિત બની રહે છે.

    પ્રસ્તુત ક્લિપમાં આવાં અનેક તાલ વાદ્યોના આર ડીનાં ગીતોમાં કરાયેલા પ્રયોગો માણી શકાય છે.

    સામને યે કૌન આયા દિલમેં હુઈ હલચલ – (જવાની દિવાની, ૧૯૭૨)નાં ગીતમાં તાલ સંગત માટે પેડલ મટકાનો અભિનવ પ્રયોગ પ્રતુત ક્લિપમાં જીવંત પ્રદર્શિત જોઈ શકાય છે.

    આર ડી બર્મને મેરે સામનેવાલે ખીડકીમેં એક ચાંદ સા ટુકડા રહતા હૈ (પડોશન, ૧૯૬૮ – કિશોર કુમાર – ગીતકારઃ રાજેંદ્ર કૃષ્ણ – સંગીતઃઆર ડી બર્મન)મા  વાદ્યોના અવનવા પ્રયોગો કર્યા. તેમાં સૌથી વધારે જાણીતો પ્રયોગ ‘અન્ય તાલ વાદ્યો પૈકી એક એવાં રેસો રેસોનો હતો. પરદા પર કેસ્ટો મુખર્જી ઝાડુ પર કાંસકાને ઘસીને (૦.૧૭ – ૦.૨૦) જે ધ્વનિ પેદા કરે છે તે ખરેખર અમૃત રાવ કાટકરે રેસો રેસો દ્વારા પેદા કર્યો હતો.

    ‘અન્ય તાલ વાદ્ય તરીકે’ પોતાની ઓળખ અન્ય વાદ્યોની સાથે ભેળવી દેતા રેસો રેસોના કેટલાક અન્ય પ્રયોગોને પણ માણી લઈએ –

    આર ડી બર્મનને તેના દરેક કલાકારની ખાસ ખુબીઓની આગવી પરખ હતી. અમૃત રાવ કાટકર પાસે તેમણે આ ગીતોમાં તબલાંના તાલના પણ અનોખા પ્રયોગો કરાવ્યા છે –

    અત્યાર સુધી આપણે આર ડી બર્મનનાં તાલ વાદ્યોના પ્રયોગોમાં ભારતીય તાલ વાદ્યો અને અન્ય તાલ વાદ્યોના પ્રયોગોની જ વાત કરી. આર ડી બર્મનને સફળતાનાં શિખરો ભણી લઈ જનારા ‘તીસરી મંઝિલ’ (૧૯૬૭)નાં આજા આજા મૈં હું પ્યાર તેરા, ઓ હસીના ઝુલ્ફોંવાલી, તુમને મુઝે દેખા હો કર મહેરબાં જેવાં  ગીતોમાં  અને તે પછીના ડ્ર્મ્સ ના પ્રયોગોની વાત વિના તો આ આખી વાત કદાચ સાવ ફિક્કી જ લાગે.

    મેહબૂબા મેહબૂબા (શોલે, ૧૯૭૫)માં ડ્રમની કરામત કેવી રીતે કરાઈ તે આ ક્લિપમાં બરજોર લૉર્ડ એક લાઈવ કાર્યક્રમમાં બતાવે છે.

    યુ ટ્યુબ પર તેમના લાઈવ કાર્યક્રમોની અનેક ક્લિપો બહુ સહજપણે પ્રમાણિત કરી આપે છે કે બરજોર લોર્ડની ડ્રમ વગાડવાની અદા સાવ જ અનોખી રહેતી. અહીં તેમણે આર ડી બર્મન માટે કરેલા કેટલાય પ્રયોગો પૈકી બે એક પ્રતિનિધિ પ્રયોગોની નોંધ લઈશું –

    ઓ મારીઆ (સાગર, ૧૯૮૫) માટે ફ્રાંકો વાઝે ડ્રમ પર સંગાથ કર્યો હતો. પ્રસ્તુત ક્લિપમાં તેઓ સમજાવે છે કે ગીતમાં ડ્રમને શી રીતે પ્રવેશ મળ્યો અને તેના સુરને શી રીતે ગીતની લયમાં વણી લેવાયા.

    આર ડી બર્મનના તાલ વાદ્યોના પ્રયોગોની સફરને યુ ટ્યુબ પર ઉપલબ્ધ અનેકવિધ ક્લિપ્સમાં માણી શકાય છે. આજના લેખ પુરતો આપણે અહીં વિરામ લઈશું.

    હવે પછી આર ડી બર્મનના તંતુ વાદ્યોના પ્રયોગોની વાત માંડીશું.


    Credits and Disclaimers:

    1. The song links have been embedded from the YouTube only for the listening pleasure of music lovers. This blog claims no copyright over these songs, which vests with the respective copyright holders.
    2. The photograph is taken from the internet, duly recognising the full copyrights for the same to the either original creator or the site where they were originally displayed.