-
રજાઈ
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
કાળી કાજળ ઘેરી રાત, કારમી અસહ્ય ઠંડી માથે લઈને એક સોદાગર એક ગામથી બીજા ગામ જઈ રહ્યો હતો. રાત વધુને વધુ ઘેરી અને ઠંડી થતી જતી હતી. સોદાગરે આગળ જવાનો વિચાર માંડી વાળીને એક રાત પૂરતું ક્યાંક રોકાઈ જવાનો વિચાર કર્યો. શોધતા શોધતા રાતવાસા માટે માંડ એક સરાઈ મળી. સરાઈ સાવ સામાન્ય હતી. બીજો કોઈ સમય હોત તો કદાચ એણે અહીં રહેવાનો વિચાર સુદ્ધાં ન કર્યો હોત, પણ રાતના ઘેરા અંધકાર ઉપરાંત હાડ થીજાવી દેતી ઠંડીને લીધે એણે અહીં જ રોકાવાનો નિર્ણય કર્યો.
નિર્ણય તો કર્યો, પણ સામે માલિકની લાચારી મુસાફર કરતા જરાય ઓછી નહોતી. સરાઈનાં તમામ રૂમો ભરેલા હતા.
હવે? મુસાફર જાય તો ક્યાં જાય?
માલિક લાચાર હતો, પણ લાગણીશૂન્ય નહોતો. એની સરાઈનાં રૂમો મુસાફરોથી ભરેલા હતા એમ દિલ લાગણીથી ભરેલું હતું. એણે ઉપરના માળે સરાઈનો સામાન પડ્યો રહેતો હતો ત્યાં એક રાત પસાર કરવાનો બંદોબસ્ત કરી આપ્યો.
ઢંગનું કહી શકાય એવું ઓઢવા કે પાથરવાનું કશું બચ્યું નહોતું એટલે મુસાફર માટે એક સાવ જૂની રજાઈ કાઢી આપી.
થાકેલા મુસાફરે મને કમને આ બંદોબસ્ત સ્વીકારી લીધો. ઠંડીમાં થથરતો, થાકેલો મુસાફર તરત જ નિદ્રાદેવીના શરણે પહોંચ્યો. થોડી વાર પછી અચાનક પાસેથી આવતા અવાજથી એની ઊંઘ ઊડી ગઈ. રૂમમાં કોઈ બે જણ વાતો કરતાં હોય એવું લાગ્યું. ધ્યાનથી સાંભળવાનો પ્રયાસ કર્યો તો સમજાયું કે, એ અવાજ બે બાળકોનાં હતાં.
“ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?” એક બાળકે બીજાને સવાલ કર્યો.
“તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”
થોડી વારે બીજા બાળકે પૂછ્યું.
અજબનો અનુભવ હતો. રજાઈમાં જ ઢબુરાયેલા રહીને મુસાફરે ધ્યાન દઈને સાંભળવાનો પ્રયાસ કર્યો. ફરી એ જ બે બાળકોનાં અવાજ અને એ જ સવાલ.
“ભાઈ, તમને બહુ ઠંડી લાગે છે?”
“તને પણ બહુ ઠંડી લાગે છે નહીં?”
એક નહીં બે ત્રણ આવા અનુભવ થયા. જેવો એ ઉંઘવા પ્રયાસ કરે અને બાળકોનાં અવાજ સંભળાય. પછી તો બેઠા થઈને આસપાસ ક્યાંથી અવાજ આવે છે એ જાણવા કાન માંડ્યા. અવાજ તો બીજે ક્યાંયથી નહીં, એણે ઓઢેલી રજાઈમાંથી જ આવતો હતો. એને થયું કે સરાઈના માલિકે જાણીને એને કોઈ જાદુઈ રજાઈ આપી છે કે શું? મુસાફરની તો ઊંઘ જ ઊડી ગઈ.
સવારે ઊઠીને માલિક પાસે જઈને એણે એ તિલસ્મી રજાઈની, રજાઈમાંથી સંભળાતી વાતો અંગે ફરિયાદ કરી. એની કેફિયત સાંભળીને માલિક પણ હેરાન…એને તો રજાઈ કે રજાઈમાંથી આવતા અવાજ અંગે કશી ખબર જ નહોતી. એણે તો આ રજાઈ કોઈ કબાડીખાનામાંથી લઈને મૂકી રાખી હતી.
મુસાફર તો એની મુસીબત અહીંથી જ ટળી એમ માનીને આગળ ચાલતી પકડી.
સરાઈનો માલિક રજાઈ લઈને પહોંચ્યો કબાડીની દુકાને અને આગલી રાત્રે મુસાફરને થયેલા અનુભવની વાત કરી.
કબાડીને રજાઈના ભેદનો આશરે અંદાજ તો હતો, પણ એણે માની લીધું હતું કે જગ્યા બદલાતાં એ અવાજ કાયમ માટે નહીં રહે.
*****
વાત જાણે એમ હતી કે, આ રજાઈ એક તૂટેલા-ફૂટેલા મકાનમાં રહેતાં બે નાનાં બચ્ચાંઓની હતી. આ રજાઈ ઓઢી એકબીજાને વળગીને પડ્યાં રહેતાં. બંનેનાં માબાપ એમને છોડીને ક્યાંક ચાલી નીકળ્યાં પછી કોઈ કારણોસર ક્યારેય પાછાં આ બચ્ચાંઓ પાસે આવ્યાં જ નહીં. જેમતેમ કરીને આ બચ્ચાંઓ પોતાના દિવસો પસાર કરતાં હતાં. એક દિવસ એ મકાનનો માલિક મકાનનું ભાડું વસૂલ કરવા જઈ પહોંચ્યો. બચ્ચાંઓને ડરાવી-ધમકાવીને એ રહીસહી એક આધાર સમી રજાઈ પણ છીનવીને એમને મકાનની બહાર કાઢી મૂક્યાં.
બચ્ચાંઓના એક માત્ર સહારા જેવી રજાઈ તો એમની પાસેથી ગઈ, પણ એમના અવાજ આ રજાઈમાં સચવાઈને રહી ગયા.
ભિષ્મ સાહની લિખીત વાર્તાનો ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
ફિલ્મી ગઝલો – ૯૦. અખ્તર ઉલ ઈમાન
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અખ્તર ઉલ ઈમાન પણ ઉર્દૂ સાહિત્યની મોટી હસ્તી. ફિલ્મોના પટકથા અને સંવાદ લેખનમાં પણ એમનો દબદબો. બી આર ચોપરાની ફિલ્મો ગુમરાહ, કાનૂન, ધર્મપુત્ર, વક્ત અને ઇત્તેફાકના ચોટદાર સંવાદ કોણ ભૂલી શકે ?
એમની ઉર્દૂ કવિતાઓના સંકલન ‘ યાદેં ‘ માટે ૧૯૬૨ માં એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર પણ એનાયત થયેલો.
એમણે લખેલી કેટલીક જાણીતી ફિલ્મો એટલે આજ ઔર કલ, યાદે, ભૂત બંગલા, ફૂલ ઔર પથ્થર, મેરા સાયા, ગબન, પથ્થર કે સનમ, આદમી, ચિરાગ અને રોટી.
સાહિત્ય લેખનમાં એમને ગઝલ કરતાં નઝમને વધુ પ્રાધાન્ય આપ્યું. એમની નઝમો ઉર્દૂ અદબમાં સીમાચિહ્ન રૂપ લેખાય છે.
પરાઇ આગ, બિખરે મોતી, પૃથ્વીરાજ સંયુક્તા, ગુલામી જેવી થોડીક ફિલ્મોમાં ગીત લખ્યાં. એમાં ગઝલ માત્ર આ એક :
ઐ દિલ જહાં મેં તેરા ઠિકાના કોઈ નહીં
જીને કા તેરે પાસ બહાના કોઈ નહીંઅબ તુ હૈ ઔર દુઃખ ભરી રાતેં જુદાઈ કી
કિસ્મત મેં તેરી ખ્વાબ સુહાના કોઈ નહીંતૂ ગીત હૈ વો જિસકી તડપ ખો ગઈ કહીં
તૂ દાસ્તાં હૈ જિસ કા ઝમાના કોઈ નહીંસૂનસાન દૂર તક હૈ મુહબ્બત કી બસ્તિયાં
કિસ કો પુકારેં અપના બેગાના કોઈ નહીં..– ફિલ્મ : પરાઈ આગ ૧૯૪૮
– ઝોહરાબાઈ અંબાલેવાલી
– ગુલામ મોહમ્મદ
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
ગૃહપ્રવેશ (૧૯૭૯)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
હિન્દી ફિલ્મક્ષેત્રે સંગીતકાર તરીકે એમનો પ્રવેશ પ્રમાણમાં ઘણો મોડો, પ્રદાન મર્યાદિત, એમણે સર્જેલાં ગીતોની સંખ્યા પ્રમાણમાં સાવ ઓછી, છતાં એ પૈકીનાં અમુક ગીતો એવાં કે એને યાદ કરવા જ પડે. સંગીતકાર કાનુ (કનુ) રોયની ગણીને આઠ ફિલ્મો રજૂઆત પામી.
અસલમાં તેઓ પાર્શ્વગાયક બનવા માટે મુમ્બઈ આવેલા. ‘ઈપ્ટા’માં જોડાયા અને સલિલ ચૌધરી તેમને કોરસમાં ગવડાવતા. સંગીતકાર બનવાની પ્રેરણા પણ સલિલદાએ જ આપી. અભિનેતા તરીકે તેમણે ઘણી ફિલ્મોમાં ભૂમિકા કરી. સ્વતંત્ર સંગીતકાર તરીકે તેમને તક મળી બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ઉસકી કહાની’ ફિલ્મથી. તેમણે સંગીતબદ્ધ કરેલી ફિલ્મોમાં મોટા ભાગની બાસુદા દિગ્દર્શીત છે. જેમ કે, અનુભવ, આવિષ્કાર, તુમ્હારા કલ્લુ અને ગૃહપ્રવેશ. આ ઉપરાંત સઈ પરાંજપેની ‘સ્પર્શ’ અને એ પછી ‘મયૂરી’ તેમની છેલ્લી ફિલ્મ, જેનું દિગ્દર્શન બીરેન્દ્ર ભટ્ટાચાર્યે કરેલું. જોગિન્દર શૈલી દિગ્દર્શીત ‘શ્યામલા’ રજૂઆત પામી, જે ફરીથી ‘વો ફિર નહીં આઈ’ના નામે સેન્સર થઈ.
ગીતા દત્તે ગાયેલાં છેલ્લા તબક્કાનાં યાદગાર ગીતો ‘કોઈ ચૂપકે સે આકે’, ‘મેરી જાં’, અને ‘મેરા દિલ જો મેરા હોતા’ પણ કાનુ રોયે ‘અનુભવ’ માટે સંગીતબદ્ધ કરેલાં. કાનુ રોયનાં ગીતો સાંભળતાં એક પ્રકારની અજબ શાંતિનો અહેસાસ થાય, અને સાથોસાથે દર્દના આંતરપ્રવાહનો પણ! કદાચ એટલે જ એ ગીતો આટલા લાંબા સમય પછી એટલી જ અપીલ કરે છે.
આરોહી નિર્મિત, બાસુ ભટ્ટાચાર્ય દિગ્દર્શીત ‘ગૃહપ્રવેશ’ની રજૂઆત ૧૯૭૯માં થયેલી, અને એ પછી ૧૯૮૨માં પણ એ કોઈક કારણસર ફરી વાર સેન્સર થઈ. સંજીવકુમાર, શર્મિલા ટેગોર, સારિકા, માસ્ટર બીટ્ટુ જેવા મુખ્ય કલાકારોની સાથોસાથ તેમાં દિનેશ ઠાકુર અને ગુલઝારની પણ મહેમાન ભૂમિકા હતી. ફિલ્મનાં કુલ આઠ ગીતો હતાં, જે તમામ ગુલઝારે લખેલાં. સંવાદો પણ ગુલઝારના હતા, અને ફિલ્મનું સહલેખન બાસુ ભટ્ટાચાર્ય સાથે તેમણે જ કરેલું.

આ ફિલ્મનાં તમામ ગીતો કંઈક વિશિષ્ટ મૂડવાળાં છે, જેમાં મુખ્ય ધારાના કોઈ ગાયક કે ગાયિકા નથી. આઠમાંથી ચાર ગીતોમાં સ્વર ભૂપીન્દરનો છે, તો ગાયિકા તરીકે સુલક્ષણા પંડિત (બે ગીત) અને ચન્દ્રાણી મુખરજી (એક ગીત) છે.
‘બોલીયે સૂરીલી બોલિયાં‘ (ભૂપીન્દર અને સુલક્ષણા), ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ (ભૂપીન્દર), ‘મચલકર જબ ભી આંખો સે‘ (ભૂપીન્દર), તેમજ ‘જિન્દગી ફૂલોં કી નહીં’ (ભૂપીન્દર) આ ચારે ગીતોમાં ભૂપીન્દરનો સ્વર છે. ‘પી કે યાદ આયે પિયા‘ પંકજ મિત્રાએ, તો ‘લોગોં કે ઘર મેં રહતા હૂં‘ યેસુદાસે ગાયેલું છે. ‘આપ અગર આપ ન હોતે‘નાં ગાયિકા સુલક્ષણા પંડિત અને ‘પહચાન તો થી પહચાના નહીં‘નાં ગાયિકા ચન્દ્રાણી મુખરજી છે. આ ગીત પૈકી ‘લોગોં કે ઘર મેં રહતા હૂં’ ગીતમાં ગુલઝાર એક પાત્ર તરીકે પડદે દેખા દે છે.

(કાનુ રોય) આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ભૂપીન્દરના સ્વરે ગવાયેલું ‘જિન્દગી ફૂલોં કી નહીં’ ગીત મૂકાયેલું છે. આ જ ગીતનું મુખડું ફિલ્મના અંત ભાગે પુનરાવર્તિત થાય છે.
ભૂપીન્દરના સ્વરમાં ગહન દર્દ અને ગાંભીર્ય સ્થાયીભાવ હોય એમ લાગે છે. આ ગીતના શબ્દો નીચે મુજબ છે:
ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे (3)
ज़िंदगी….जब कोई कहीं गुल खिलता है,
आवाज़ नहीं आती लेकिन (2)
खुशबू की खबर आ जाती है,
खुशबू महकी रहे
ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे
ज़िंदगी …जब राह कहीं कोई मुड़ती है,
मंंझिल का पता तो होता नहीं (2)
इक राह पे राह मिल जाती है,
राहें मुड़ती रहें
ज़िंदगी फूलों की नहीं,
फूलों की तरह महकी रहे (2)
ज़िंदगी …આ આખું ગીત નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રેમ-બાની લઈને આવ્યો છું | આમ જુઓ તો | તારો પ્રેમ છે….
ફેબ્રુઆરી એટલે પ્રેમનો મહિમા ગાતો સમય. વેલેન્ટાઈનની વાતોનો મહિનો..(૧) પ્રેમ-બાની લઈને આવ્યો છું.
હૃદયના ભાવ, પાંખે કલ્પનાની લઈને આવ્યો છું ,સિતારાઓ ! સુણો કથની ધરાની લઈને આવ્યો છું .
હજારો કોડ , ટૂંકી જિંદગાની લઈને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઈને આવ્યો છું .સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઈને આવ્યો છું.તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઈને આવ્યો છું.જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઈને આવ્યો છું.ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.‘ગની’ ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઈને આવ્યો છું .– ‘ગની’ દહીંવાલા
(૨)
આમ જુઓ તો
તારી ને મારી વચ્ચે કાંઇ નહીં
ને આમ જુઓ તો —
— દરિયો અપરંપાર
આમ જુઓ તો કાંઇ નહીં
ને આમ જુઓ તો —ભવ આખાનો ભાર.— સુરેશ દલાલ(૩) તારો પ્રેમ છે….
પાંપણના પડદા પંપાળતાં,
સોનેરી કિરણો પ્રભાતના………….તારો પ્રેમ છે.કમનીય કાયાને મરોડતો,
જુલ્ફોને રમાડતો સમીર તો……….તારો સ્પર્શ છે.ચેતના જગાડતી ને પ્રેરતી,
આછી પાતળી વાદળી…………….તારું વ્હાલ છે.દિલને ડોલાવતાં લીલાંછમ,
તરુવર ને પાંદડાના રંગો…………તારી પ્રીત છે.આકાશમાં આમતેમ ઊડતાં,
પંખીઓનાં સુરીલાં ગીતડાં………..તારો પ્યાર છે.વ્યોમમહીં ઘેલાં થઈ ઘુમતાં,
નીરભર્યા ઉન્માદી મેઘ…………….તારો નેહ છે.મનની મોસમે રંગ જામે,
તો લાગે પેલું મેઘધનુ સાચે………તારો સ્નેહ છે.નિંદરિયે રોજરોજ ઢાળતી,
શમણાં સજાવતી રાતડી…………..તારી હૂંફ છે.યુગોથી રમાતી પેલી આદિ
ને અંતની આંખની મીંચોલી……..તારી મમતા છે.આ પ્રેમમાં છે છૂપી ને ઉંડી એક વેદના,
“તું છે” એ વાત તો, છે કેવળ કલ્પના !
તોયે…. તરંગી આ મનનો વિશ્વાસ છે,
કે તુલસીના ઝીણાં ઝીણાં પત્તામાં……….તારો પ્રેમ છે,પરમ પ્રેમ છે…દેવિકા ધ્રુવddhruva1948@yahoo.com
-
ત્યારે અને અત્યારે : નોટબંધી નહીં, સિક્કાબંધી
આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.
આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.
આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.
પરેશ ૨. વૈદ્ય
+ + +

“પાઈની પેદાશ નહીં અને ઘડીની ફુરસદ નહીં.”
આ એક જૂની પણ જાણીતી કહેવત છે. તેમાં એવા લોકોની વાત છે જે વ્યસ્ત તો બહુ હોય પણ તેમાંથી કંઈ નીપજતું ન હોય. અહીં “પાઈ’ શબ્દ છે તે ગણિતમાં આવતી સંજ્ઞા કે યુરોપની વાનગી નથી. એ આઝાદી વખતે ચાલતું એક નાણું છે. બ્રિટિશરોએ આપણને જે ચલણ આપ્યું હતું તે ‘રૂપિયા-આના-પાઈ’નું હતું. એક રૂપિયાના ૧૬ આના થતા. પરંતુ રસપ્રદ વાત છે કે ‘પાઈ’ નામનો સિક્કો અમે શાળાએ ગયા ત્યાં સુધી વ્યવહારમાંથી નીકળી ગયેલો! તેમ છતાં શાળામાં દાખલામાં એ દેખાતો. એક આનાના ૪ પૈસા થતા અને એક પૈસામાં ત્રણ પાઈ. આમ, એક આનામાં ૧૨ પાઈ આવે અને બજારમાં માત્ર આના અને પૈસા જ જોવા મળતા.

પરંતુ આ સ્થિતિ લાંબી ચાલી નહીં. આઝાદ ભારતે થોડાં વર્ષોમાં ચલણ જ બદલી નાંખ્યું. રૂપિયો તો રૂપિયો રહ્યો પણ આના નીકળી ગયા. એક આનાના ૪ પૈસા પ્રમાણે રૂપિયામાં ૬૪ પૈસા આવતા તેને બદલે રૂપિયામાં હવે ૧૦૦ પૈસા આવશે તેવી જાહેરાત થઈ. રૂપિયાનાં ત્રણ પેટાચલણ હતાં. ‘રૂપિયા-આના-પૈસા-પાઈ’. તેને બદલે હવે “રૂપિયા-પૈસા’ એ જોડી જ રહેશે (જેવી આજે છે). આ એક ક્રાન્તિકારી અને એતિહાસિક પગલું હતું, તે સાથે વ્યવહારમાં લાવવા માટે મુશ્કેલ પણ હતું. એ કેમ તે આગળ જોઈશું, પરંતુ આમ કરવા પાછળના હેતુ અથવા કારણ શું હતાં તે પહેલાં જાણી લઈએ.

માપનના એકમો
અંતર, વજન અને બીજી ભૌતિક રાશિઓની માપણી એ વિજ્ઞાન તથા ઇંજનેરીમાં અગત્યનો વિષય છે. દેશમાં અને વિશ્વમાં બધા લોકો માપણી એક જ રીતે કરે તે જરૂરી છે. વિજ્ઞાનમાં માપનની બે રીત પ્રચલિત છે એક બ્રિટિશ અને બીજી મેટ્રિક. (આ મેટ્રિક પદ્ધતિના મૂળ ફ્રાંસમાં છે). બ્રિટિશ રીતમાં લંબાઈના એકમ વાર, ફૂટ, ઈંચ છે તો મેટ્રિક પદ્ધતિમાં મીટર, સેન્ટિમીટર, મિલીમીટર, વગેરે વપરાય. વજન માટે બ્રિટિશ એકમ શેર હતો. એક શેરમાં બે રતલ આવે, જેને અંગ્રેજીમાં પાઉન્ડ કહે છે. આથી ધ્રિટિશ પદ્ધતિને “ફૂટ-પાઉન્ડ-સેકંડ’ (FPS system) પદ્ધતિ કહે છે. સમય બંને પદ્ધતિમાં સેકંડ-મિનિટ-કલાકમાં જ લેવાય છે. મેટ્રિક પદ્ધતિમાં વજન કિલોગ્રામ અને ગ્રામમાં લેવાય એટલે તેને ‘સેન્ટિમીટર-ગ્રામ-સેકંડ’ (CGS) પદ્ધતિ પણ કહે છે. જોકે, આગળ જતાં વિજ્ઞાને મીટર-કિલોગ્રામ-સેકંડ (MKS) પદ્ધાતે અપનાવી છે, પણ એની વાત નહીં કરીએ.

ભારત બ્રિટનનું સંસ્થાન હતું એટલે સ્વાભાવિક છે આપણી જિંદગી FPS પ્રણાલી પ્રમાણે ચાલતી. બજારમાં કાપડ પાંચ રૂપિયે વાર અને રિંગણાં ૬ આને શેર વેચાતાં. રતલનું ચલણ વ્યવહારમાં ઓછું હતું – લોકો “અડધો શેર’ જ માંગતા (ગુજરાતના અમુક વિસ્તારમાં રતલને “કાચો શેર’ કહેતા અને તેથી ગૂંચવણો થતી). શેરના પેટાભાગ કરો તો રતલ, પા શેર, નવટાંક અને છટાંક એવા ભાગ પણ વપરાતા. જેમ આજે લીલાં મરચાં સો ગ્રામ લઈએ તેમ ત્યારે નવટાંક લઈને સંતોષ માનતાં. તેથીય નીચે ‘તોલો’ આવે. એક શેરમાં ૮૦ તોલા થાય. એલચી, કેસર, ચાંદી, સોનું એવી કીમતી ચીજો તોલામાં વેચાય. લંબાઈ માટે વાર સાથે ક્યાંક ગજ વપરાતો, જે બે ફૂટનો હતો. અંતર માઈલ અને ફર્લાગમાં. પણ આ બધા એકમોનો પેટાએકમો જોડેનો સંબંધ જુદા જુદા આંકડામાં હતો. જેમ કે, એક માઈલમાં ૧,૭૬૦ વાર, એક વારમાં ૩ ફૂટ, ફૂટમાં બાર ઈંચ. એક મણ એટલે ૪૦ શેર, રૂપિયાના ૧૬ આના, આનામાં ૪ પૈસા, પૈસામાં ત્રણ પાઈ. ઉષ્ણતામાનની માપણી લો. ફેરનહીટ કમમાં પાણી ઊકળે ૨૧૨૦ Fએ ઉષ્ણાતામાને ને બરફ પીંગળે ૩૨0 Fએ. આમ બધા આંકડા એક બેસૂરા ઓર્કેસ્ટ્રા જેવા આડાઅવળા.
આથી ઊલટું, મેટ્રિક પદ્ધતિમાં પેટાએકમો દશ-દશના ગુણકોમાં આવે. આથી કામ કરવું સહેલું થાય. એક કિલોમીટરમાં ૧૦૦૦ મીટર, મીટરમાં સો સેન્ટિમીટર, વગેરે. એટલે ગણતરી કરતી વખતે ૧૦, ૧૦૦ કે ૧,૦૦૦થી ભાગવાનું અથવા ગુણવાનું આવે. મરચાં એક કિલોગ્રામના ૧૦૦ રૂ. હોય, પણ તમારે સો ગ્રામ લેવાં હોય તો ૧૦ રૂ. આપી દો (નવટાંક મરચાંમાં આઠ વડે ભાગાકાર કરવો પડતો). દશાંશ પદ્ધતિને સમજનારા જાણે છે કે દશાંશ બિંદુને ડાબી કે જમણી તરફ ખસેડવાથી અનુક્રમે ભાગાકાર અને ગુણાકાર થઈ જાય છે. કમભાગ્યે સમયના એકમોમાં દશના ગુણાકારથી નથી ચાલતું : ૧ કલાકમાં ૬૦ મિનિટ અને મિનિટમાં ૬૦ સેકંડ. પરંતુ સમય આંતરરાષ્ટ્રીય રાશિ હોવાથી તેમાં ફેરફાર કરવો લંબાઈના એકમમાં ફેરફાર કરવા જેટલું સહેલું નથી.
ભારત સરકારે વૈજ્ઞાનિકોની સલાહને કારણે મેટ્રિક પદ્ધતિનું મહત્ત્વ બહુ વહેલું સમજી લીધું. ભારતીય માનક સંસ્થા (Indian Standards Institution (ISI) , જે હવે બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ (BSI)તરીકે ઓળખાય છે, ની એક ખાસ સમિતિએ છેક ૧૯૪૯માં જ કહ્યું કે ભારતે મેટ્રિક પ્રણાલી અપનાવવી જોઈએ. પ્લાનિંગ કમિશને ૧૯૫૬માં ધોરણસર રીતે તે વાત સ્વીકારી. બધી માપણીઓ નવી પદ્ધતિમાં તો છેક ૧૯૬૪થી થઈ પરંતુ સૌથી પહેલો વારો આવ્યો સૌથી મુશ્કેલ ફેરફારનો. તે હતો ચલણને દશાંશમાં બદલવાનો. એક રૂપિયાના ૬૪ પૈસાને બદલે ૧૦૦ પૈસા કરવાનું નક્કી થયું. વાચક આ નિર્ણય પાછળની હિંમત સમજી શકશે. દેશમાં કેટલા લોકો દર ક્ષણે પરચૂરણની લેતી-દેતી કરતા હોય છે! રૂપિયા કરતાં સિક્કા અનેક ગણા વધુ વ્યવહારમાં હોય. આ પડકાર ધ્યાનમાં લઈને આ પરિવર્તન માટે જબરદસ્ત તૈયારી કરવામાં આવી. સૌ પ્રથમ બંને પદ્ધતિમાં “પૈસા’ શબ્દ આવતો હોવાથી નવી કિંમતના પૈસાને ‘નયા પૈસા’ નામ અપાયું. અંગ્રેજીમાં Rs-p ની જોડીને બદલે Rs-np લખાયું.
નવું ચલણ ૧ એપ્રિલ ૧૯૫૭થી લાગુ થશે તેમ જાહેર થયું. પરંતુ વહીવટી તંત્રે ઘણા મહિનાઓ પહેલાંથી જ નવા ચલણનો પરિચય આપવો શરૂ કર્યો. એવી જાહેરાત સ્પષ્ટપણે કરવામાં આવી કે જૂનું ચલણ એક વર્ષ સુધી જોડાજોડ ચાલુ રહેશે. આથી પ્રજામાં ડરને બદલે આતુરતા હતી. પહેલી વાર જ્યારે એ નવા ચમકતા અને ટચૂકડા સિક્કાઓ જોયા હતા તે રોમાંચ અત્યારે પણ યાદ છે. મુખ્ય મુદ્દો હતો “આના’નો સિક્કો અને તેનો વ્યવહાર તદ્દન લુપ્ત કરી દેવાનો. બજારમાંથી અને લોકોનાં મનમાંથી! રૂપિયા પછી સીધી પૈસાની વાત કરવાની, વચ્ચે આના નહીં હોય.
પરંતુ એક વર્ષ માટે બંને ચલણ જોડાજોડ ચાલવાને કારણે બજારમાં ગેરસમજ, ઝઘડા અને રમૂજો થતી. એક રૂપિયાના એટલે કે ૧૬ આનાના ૧૦૦ નયા પૈસા થયા હોય તો એક આનામાં છ નયા પૈસા આવે – પણ ૬ના પાડામાં ૪ પૈસા બચી પડે છે! એટલે સરકારે કોષ્ટક બહાર પાડી અમુક તબક્કે આનાના મૂલ્યમાં ૭ પૈસા લઈને એ. ચાર પૈસાને સમાવી લીધા (જુઓ કોષ્ટક).
આના અને નયા પૈસાનો સંબંધ
આના ન. પૈ. આના ન. પૈ. આના ન. પૈ. ૧ ૬ ૭ ૪૪ ૧૨ ૭૫ ૨ ૧૨ ૮ ૫૦ ૧૩ ૮૧ ૩ ૧૯ ૯ ૫૬ ૧૪ ૮૭ ૪ ૨૫ ૧૦ ૬૨ ૧૫ ૯૪ ૫ ૩૧ ૧૧ ૬૯ ૧૬ ૧૦૦ ૬ ૩૭ શાકવાળા કે દાતણવાળા આ કોઠો લઈને તો બેસે નહીં. માનો કે તમે છ આનાની વસ્તુ લઈને આઠ આનીનો સિક્કો આપ્યો, તો એ તમને બે આનાની જગ્યાએ ૧૨ પૈસા આપે. પરંતુ તમે ભણેલા એટલે કોષ્ટકમાં ૬ આનાના ૩૭ પૈસા યાદ હોય. તમે ૧૩ નયા પૈસા પાછા માંગો! આવી જુદી જુદી પરિસ્થિતિ થયા કરે. એક કે બે પૈસા રકમ તો નાની છે, પરંતુ દલીલ ઠગવા-ઠંગાવા ઉપર જાય. આમેય ૬૮ વર્ષ પહેલાં બે પૈસા એટલા તુચ્છ પણ નહોતા, ગરીબો માટે તો નહીં જ. આવાં દશ્યો ટાળવા કેટલાંય સૂચિપત્રો કે ભાવનાં ફલકો બંને ચલણમાં ભાવ લખતાં. નવા દેશમાંનો આ અનોખો અનુભવ એ પેઢીએ લીધો. ન કોઈએ ફરિયાદ કરી, ન અણગમો વ્યક્ત કર્યો.
પણ જૂન ૧૯૬૪માં ચલણના નામ “નયા પૈસા’માંથી “નયા’ શબ્દ સત્તાવાર રીતે કાઢી નંખાયો. તે પછી એ નવા પૈસા પણ “પૈસા? જ કહેવાયા. ફુગાવાને કારણે ચલણની કિંમત એટલી ઘટી ગઈ કે ૨૦૧૧માં એક પૈસાનો એ “ક્યૂટ’ સિક્કો જ પાછો ખેંચી લેવાયો.

ચલણમાં સુધારો કર્યા બાદ માપનનાં બીજાં એકમોને પણ કાયદા દ્રારા દશાંશ પદ્ધતિમાં લાવી દેવાયાં. લોકો શેરને ભૂલી ગયા, માઈલને પણ ભૂલી ગયા, પરંતુ લંબાઈમાં ફૂટ અને ક્ષેત્રફળમાં સ્ક્વેર ફૂટ (વર્ગ ફૂટ) હજુ લોકોની જીભે છે. હજીય કેટલાક લોકો પૈસાના સિક્કાને આઠ આની’ કહે છે અને તાવ ફેરનહીટમાં જ માપીએ છીએ અને જણાવીએ છીએ.
સૌજન્યઃ નવનીત સમર્પણ * ઓક્ટોબર ૨૦૨૪
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સુકાન આપણા જ નિયંત્રણમાં છે
મંજૂષા
વીનેશ અંતાણી
અત્યારના દોડધામભર્યા વર્તમાનમાં ઘણીવાર એવું લાગે છે કે આપણે આપણી જિંદગી પરથી કાબૂ ગુમાવી બેઠા છીએ. કશું જ આપણા હાથમાં રહ્યું નથી. સમય, સંબંધો, લાગણીઓ કશું આપણા નિયંત્રણમાં નથી. ચારેકોરથી ફસાઈ ગયા હોઈએ એવી લાગણી કોરી ખાય છે.
હકારાત્મક અભિગમના પુરસ્કર્તા એક લેખકે આ સ્થિતિને સમજાવવા માટે સાદું ઉદાહરણ આપ્યું છે. એ કહે છે: ‘ધારો કે તમે કાર ચલાવી રહ્યા છો પરંતુ તમારા મગજમાં અનેક પ્રકારના વિચારો ચાલી રહ્યા છે, તમે ચિંતાથી ઘેરાઈ ગયા છો અને તમે બેધ્યાનપણે કાર ચલાવો છો. સ્ટિયરિંગ પર તમારો કાબૂ રહ્યો નથી. પરિણામે તમે ખોટા રસ્તે ચડી જાઓ છો અથવા અકસ્માત કરી બેસો છો.
જીવનનું પણ એવું જ છે. આપણા વિચારો, લાગણીઓ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ પર કાબૂ રહેતો નથી. અકસ્માત સર્જાય તે પહેલાં તમારે તમારા જીવનના સ્ટિયરિંગ પર નિયંત્રણ મેળવી લેવું જોઈએ.’ જીવનમાં કશુંય એકસરખું, પહેલાં જેવું કે અત્યાર જેવું, રહેતું નથી. પરિસ્થિતિઓ સતત બદલાતી રહે છે. રોજના રસ્તે ક્યારે ડાયવર્ઝન આવી જાય એની ખબર પડતી નથી. જીવનમાં બરાબર ગોઠવાઈ ગયાં હોઈએ, સ્થિરતા આવી હોય ત્યારે જ કશુંક એવું બને છે કે બધું ડહોળાઈ જાય છે. બિઝનેસમાં ખોટ જાય, નોકરી છૂટી જાય, પરિવારમાં માંદગી આવે, મિત્રો અને સહકર્મચારીઓ સાથે વિખવાદ થાય, દાંપત્યજીવનમાં તિરાડ પડે, સંતાનો અભ્યાસમાં ધ્યાન આપતાં ન હોય કે આપણી અપેક્ષા મુજબ વર્તન કરતાં ન હોય. કશુંક પણ બની શકે.
જીવનના દરેક વળાંક પર અલગ જ બનવાની શક્યતા આપણી રાહ જોતી હોય છે. એવા સંજોગોમાં જાત પર અને બાહ્ય પરિસ્થિતિ પર સમયસર કાબૂ મેળવી શકીએ નહીં તો જીવન વેરણછેરણ થઈ જાય છે. દરેક વ્યક્તિ સવારે જાગે ત્યારે આખા દિવસનાં કામોની યાદી એની સામે હોય છે. કેટલાંય અધૂરાં કામ પૂરાં કરવાનાં હોય, નવા કામનો આરંભ કરવાનો હોય, ઑફિસમાં મહત્ત્વની મીટિંગ હોય. આખા દિવસનું પ્લાનિન્ગ કરી રાખ્યું હોય છતાં દિવસ દરમિયાન ગમે ત્યારે કશુંક અણધાર્યું બને અને વ્યક્તિએ નક્કી કરી રાખેલા રોડમેપમાં વિઘ્ન ઊભું થાય. સ્વાભાવિક રીતે વિચલિત થઈ જવાય અને કશું સૂઝે નહીં. લાચારીનો અનુભવ થાય. અનિશ્ચિતતા ઘેરી વળે. ચિંતા અને ડર જેવા નકારાત્મક વિચારો આપણી વિચારશક્તિને ધૂંધળી કરી નાખે. જીવનરૂપી આપણી કાર આડીઅવળી ચાલવા લાગે. એમાંથી શક્ય તેટલી ઝડપે બહાર નીકળી પરિસ્થિતિનો સાચો તાગ મેળવી નિર્ણયો લેવા માંડીએ તો જીવન ફરી એની મૂળ રફતાર પકડવા લાગે છે.
ઘણાં લોકોને વધારે પડતી ચિંતા કરવાનો રોગ હોય છે. વાજબી કારણ હોય કે ન હોય, લોકો ચિંતા કરતા જ રહે છે. ચાળીસની વય વટાવી ગયેલી એક ગૃહિણીને નજીવાં કે કલ્પી લીધેલાં કારણસર ચિંતા કરવાની આદત હતી. એના નાનપણમાં બનેલા કેટલાક બનાવોને લીધે નાની ઉંમરથી એના મનમાં ડર પેસી ગયો હતો કે અચાનક કશુંક ખરાબ બનશે. એ મહિલાએ એની માનસિક હાલત સમજાવતાં કહ્યું હતું: ‘મને સતત લાગે છે કે હું સમુદ્રમાં ઊંચાં ઊંચાં મોજાં વચ્ચે ડૂબી રહી છું. જાણે ચારેબાજુથી ધસમસતાં વિકરાળ પ્રાણીઓ મને ખાવાં ધસતાં હોય! મારા રોજિંદા જીવનમાં બધું બરાબર હોય છતાં હું ડગલે ને પગલે અનેક આશંકોઓથી ઘેરાઈ જાઉં છું. કોઈની સાથે વાત કરું અને મને લાગે કે હું બોલીશ એનાથી સામેની વ્યક્તિને ગેરસમજ થશે. સવારે પતિ ઑફિસ જાય અને સંતાનોને એમની સ્કૂલની બસમાં બેસાડી આવું તે સાથે જ મને એમના વિશે અશુભ વિચારો આવવા શરૂ થઈ જાય છે. એ લોકો સહીસલામત પહોંચી તો જશેને? સમયસર હેમખેમ ઘેર પાછાં તો આવી જશેને?’
એ મહિલા એના મગજમાં બેફામ ચાલતા નિરર્થક વિચારો પર કાબૂ ધરાવી શકતી નહોતી એ કારણે ચોવીસે કલાક તાણવગ્રસ્ત રહેતી હતી. પતિ અને સંતાનો પણ એના એવા સ્વભાવથી કંટાળી ગયાં હતાં. એની અસર એમના સંબંધો પર પડવા લાગી હતી. છેવટે પતિ પત્નીને સાઇક્યિાટ્રિસ્ટ પાસે લઈ ગયો. થોડી સારવાર પછી સાઇક્યિાટ્રિસ્ટે મહિલાને કહ્યું: ‘તમે તમારી જાત પર કાબૂ નહીં મેળવો તો તમને અને તમારા પરિવારને ખૂબ મોટું નુકસાન પહોંડશો.’
વાત યોગ્ય માઇન્ડસેટની છે. ઊભી થયેલી પરિસ્થિતિમાં આપણે પોતાની જાતને કેવી રીતે જોઈએ છીએ એના પર ઘણો આધાર છે. એક યુવકને થોડા દિવસથી રોજ રાતે એકનું એક સપનું આવતું હતું. સપનામાં એને દેખાતું કે એ ખૂબ ઝડપથી આકાશમાંથી નીચે પડી રહ્યો છે. થોડી જ ક્ષણોમાં એ જમીન પર પટકાય છે અને મૃત્યુ પામે છે. એ સપનાની અસર એના જીવન પર પડવા લાગી. એક રાતે એણે બેહુદા સપનાથી બચવાનો નિર્ણય કર્યો. રાતે સૂતાં પહેલાં એણે પોતાને કહ્યું, ‘આજે રાતે સપનામાં મારું મૃત્યુ નહીં જ થવા દઉં.’ બન્યું પણ એવું જ. તે રાતે સપનામાં એ વધારે ઝડપથી નીચે પડતો હતો પરંતુ જાગ્રત અવસ્થામાં એણે કરેલા દૃઢ નિર્ણયથી એને ડર લાગતો નહોતો. એ જમીન પર પટકાયો તે સાથે જ ઊભો થઈ ગયો જાણે એ પંખીની જેમ આરામથી ઊડતો ઊડતો નીચે આવ્યો હોય. એણે એના સપનાની હકારાત્મક બાજુ જોઈ લીધી હતી અને જાત ઉપર કાબૂ મેળવી લીધો હતો.
દરિયાખેડુઓ જાણે છે કે પવન પર એમનો કાબૂ ન હોય, પરંતુ વહાણના સુકાન પર એમનું જ નિયંત્રણ છે.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
વિકાસની કિંમત કોણ અને કયા સ્વરૂપે ચૂકવે છે?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
વિકસીત, વિકાસશીલ અને અવિકસીત દેશોમાં મુખ્ય ફરક શો હોય છે? આમ તો, અનેક પ્રકારના ફરક ગણાવી શકાય, પણ સૌથી મુખ્ય બાબત એ કહી શકાય કે માનવજીવનનું મૂલ્ય વિકાસશીલ અને અવિકસીત દેશોમાં નહીંવત્ હોય છે. ભારતની ગણના વિકાસશીલ દેશમાં થાય છે, પણ આપણા દેશમાં ત્રણ-ચાર સદીઓનો સમયગાળો સમાંતરે ચાલી રહ્યો છે. માનવજીવનનું મૂલ્ય આપણા દેશમાં ઓછું અંકાતું હોવાની વાત કદાચ ઘણાને ગળે ન પણ ઊતરે, છતાં એ હકીકત હોવાના પુરાવા આપણને સમયાંતરે નિયમીતપણે મળતા રહે છે.
આવી એક બાબત છે એસ્બેસ્ટોસના બજારની. આપણો દેશ એસ્બેસ્ટોસનું સૌથી મોટું બજાર ગણાય છે, પણ ઉદ્યોગો અને સરકાર એસ્બેસ્ટોસસંબંધી રોગોથી તેની સાથે સંકળાયેલા કામદારો તેમજ તેમના પરિવારો પર તોળાતા જોખમને કાં અવગણે છે, કાં તેઓ એનાથી અજાણ છે.
ઈ.સ.૨૦૦૦થી અનેક દેશોએ સફેદ એસ્બેસ્ટોસ એટલે કે ક્રાઈસોટાઈલના ઊપયોગને પ્રતિબંધિત કરેલો છે. તેને કારણે એસ્બેસ્ટોસ ઉદ્યોગ સાવ સંકોચાઈ ગયો છે, પરિણામે પોતાનાં ઉત્પાદનો માટે તેમણે નવું બજાર શોધવાની ફરજ પડી છે અને ખાસ કરીને એશિયામાં તેઓ પગપેસારો કરી રહ્યા છે. એક સમાચાર મુજબ ભારતમાં ઈ.સ. ૨૦૦૦માં સફેદ એસ્બેસ્ટોસની આયાત ૯૯,૦૦૦ ટન હતી, જે વધીને 2023માં ૪,૮૫,૧૮૨ટને પહોંચી છે.
જોવાની વાત એ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન, આંતરરાષ્ટ્રીય શ્રમ સંગઠન તેમજ ૬૫કરતાં વધુ દેશોની વિજ્ઞાનલક્ષી સંસ્થાઓએ સફેદ એસ્બેસ્ટોસને પ્રતિબંધિત કરેલો છે, અને બિનઉદ્યોગી ભંડોળના ઊપયોગથી થયેલા અસંખ્ય વૈજ્ઞાનિક અભ્યાસોમાં જણાવાયું છે કે સફેદ એસ્બેસ્ટોસ ઘાતક છે. વિજ્ઞાનીઓ એ બાબતે સંમત છે કે સફેદ એસ્બેસ્ટોસ સહિતનાં એસ્બેસ્ટોસનાં તમામ સ્વરૂપોમાં બ્રાઉન અને ભૂરો એસ્બેસ્ટોસ સૌથી ઝેરી હોય છે. તેનાથી એસ્બેસ્ટોસિસ, ફેફસાંનું કેન્સર અને મેસોથેલિઓમા જેવા જીવલેણ રોગો થાય છે. એક અંદાજ મુજબ, એસ્બેસ્ટોસને કારણે વર્ષ ૨૦૨૩માં એક લાખ કરતાં વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી હાનિકારક રસાયણોની આંતરરાષ્ટ્રીય યાદીનું નિયમન કરતી સંયુક્ત રાષ્ટ્રોની સમજૂતિમાં અલબત્ત, સફેદ એસ્બેસ્ટોસનો સમાવેશ નથી. ભારત ઉપરાંત રશિયા અને કઝાખસ્તાન જેવા દેશો હજી સફેદ એસ્બેસ્ટોસની આયાત કરે છે, યા તેનું ખનન કરે છે. અને આ દેશો સફેદ એસ્બેસ્ટોસને જોખમી ગણવાની વિરુદ્ધમાં પોતાનો મત આપે છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓની દલીલ છે કે અન્ય એસ્બેસ્ટોસ થકી જે જોખમ છે એ તેના તાંતણાઓ થકી છે. તેઓ જણાવે છે કે સફેદ એસ્બેસ્ટોસ સલામત છે. તેઓ આ બાબતને એક સાઝીશ તરીકે જુએ છે. ‘ઈન્ડિયન ફાઈબર સિમેન્ટ પ્રોડક્ટ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન’ (એફ.સી.પી.એમ.એ.) દ્વારા ૨૦૧૯માં જણાવાયેલું કે ક્રાઈસોટાઈલનાં પતરાં બાબતે ફેલાવાતી બાબતો પાયા વિનાની અને આ ઉત્પાદનને લોકોથી દૂર રાખવાની ચાલ છે. ભારતમાં એસ્બેસ્ટોસનો મુખ્ય ઉપયોગ પતરાં તરીકે થાય છે, જે તેની ઓછી કિંમત અને ટકાઉપણાને કારણે મુખ્યત્વે ઓછી આવક ધરાવતા લોકો દ્વારા ઊપયોગમાં લેવાય છે. ‘એફ.સી.પી.એમ.એ.’ દ્વારા વધુમાં જણાવાયું કે ક્રાઈસોટાઈલની સ્વાસ્થ્ય પર કશી વિપરીત અસર થતી નથી. ક્રાઈસોટાઈલની ફેક્ટરીમાં દાયકાઓ લગી કામ કરનારાઓ પર તેની કશી વિપરીત અસર જણાઈ નથી.
એક તરફ ઉત્પાદકોના સંગઠન દ્વારા આ દાવો કરવામાં આવે છે, તો બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે એસ્બેસ્ટોસસંબંધી રોગો અંગે વિવિધ સંશોધન કરનાર, હજી એસ્બેસ્ટોસનો ઊપયોગ કરનાર દેશોમાં તાલિમી કાર્યક્રમો યોજનાર, ઓસ્ટ્રેલિયાસ્થિત સંસ્થા ‘એસ્બેસ્ટોસ એન્ડ ડસ્ટ ડિસીઝીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ’ના શેન મેકાર્ડલના જણાવ્યા અનુસાર, ‘હજી પણ ક્રાઈસોટાઈલ એસ્બેસ્ટોસની આયાત અને તેમાંથી વિવિધ ઉત્પાદન કરનાર દેશો પાસે એસ્બેસ્ટોસસંબંધી રોગોના યોગ્ય નિદાન અંગેની જાણકારી, નિપુણતા કે સંસાધનો નથી. ડૉક્ટરો અને વિશેષજ્ઞોને એસ્બેસ્ટોસ અને તેના સંસર્ગમાં આવતા લોકો પર થતી અસર બાબતે સાવ ઓછી કે નહીંવત્ જાણકારી હોય છે. અમુક કિસ્સામાં ડૉક્ટરોને એની જાણકારી હોય તો પણ તેમની પાસે તેના નિદાન માટેનાં ઉપકરણો અને સંસાધનો હોતાં નથી. એસ્બેસ્ટોસથી થતા રોગોના નિદાન માટે તેમણે ઘણી મુશ્કેલી વેઠવી પડે છે.
આપણા દેશમાં સરકાર પાસે એસ્બેસ્ટોસના રોગોનો ભોગ બનેલાઓના કોઈ અધિકૃત આંકડા નથી, કે નથી આ રોગો અંગેની કશી જાગૃતિ માટેના પ્રયાસ. સફેદ હોય કે અન્ય પ્રકારનો એસ્બેસ્ટોસ, તેનાં જોખમો જગજાહેર છે, અને પુરવાર થઈ ચૂક્યાં છે, છતાં તે અંગે જાગૃતિ કેળવવાની દિશામાં ખાસ પ્રયત્નો થયા નથી.
કહી શકાય કે એસ્બેસ્ટોસના ઉપયોગ પર આજે ને આજે પ્રતિબંધ લાદવામાં આવે તો પણ આવનારા દાયકાઓ સુધી એસ્બેસ્ટોસને લગતી બિમારીઓ અને તેનાથી થતાં મૃત્યુનું પ્રમાણ ચાલુ રહેશે, કેમ કે, સમગ્ર પર્યાવરણમાં એસ્બેસ્ટોસયુક્ત સામગ્રી અને તેના સંસર્ગમાં અવાય ત્યાં સુધીની તેની સુષુપ્તતાનો સમયગાળો ઘણો છે. રોગકર્તા સામગ્રીના મૂળ એવા ક્રાઈસોટાઈલ એસ્બેસ્ટોસની નાબૂદી વિના એસ્બેસ્ટોસસંબંધી રોગોની નાબૂદી સંભવ નથી.
વિકાસશીલ દેશોને કોઈ પણ ભોગે વિકસીત દેશોની હરોળમાં બેસવું હોય છે, જેના માટે તેઓ પર્યાવરણથી લઈને માનવજીવન સુધીનું બધું હોડમાં મૂકવા તૈયાર હોય છે. વિવિધ વિકાસયોજનાઓ, તેને લઈને નીકળતું પર્યાવરણનું નિકંદન તેમજ તેનાં વિપરીત પરિણામો નજર સામે જોવા મળી રહ્યાં છે, પણ એસ્બેસ્ટોસની અસરો એ રીતે જોવા નથી મળતી. એ શાંત રહીને, લાંબે ગાળે મોત નિપજાવે છે. તેનો ભોગ સામાન્ય નાગરિકોએ જ બનવું પડે છે. એસ્બેસ્ટોસના ઊપયોગને પ્રતિબંધિત કરવાની કોઈ હિલચાલ કળાતી નથી. આ દર્શાવે છે કે માનવજીવનનું મૂલ્ય આપણે મન કેટલું છે!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૬-૨– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
ક્લાસ સ્ટ્રગલ-ગ્લાસ સ્ટ્રગલ, વર્ગ વિગ્રહ-તર્ક વિગ્રહ
ચેતન પગી
કાર્લ માર્ક્સે ક્લાસ સ્ટ્રગલ કે બાબાસાહેબ આંબેડકરે જાતિપ્રથાની વાત કરી ત્યારે એમના મનમાં ચોક્કસ જાતિ-જ્ઞાતિ કે વર્ગના વર્ચસ્વનો ખ્યાલ હતો. આટલું વાંચ્યા પછી ભૂલથી ભળતી કોલમમાં પ્રવેશી ગયા હોય એવું લાગ્યું હોય તો ધીરજ રાખજો. તમે સાચી કોલમમાં જ આવ્યા છો.
વર્ણ વ્યવસ્થાની વાત નીકળે ત્યારે સદીઓ જૂના પેલા ચાર સ્ટીરિયોટાઇપ વર્ણનાં નામ ગણાવી દેવામાં આવે છે. એમાં પહેલા ત્રણ વર્ણનો ઉલ્લેખ ગર્વભેર અને ચોથાનો ‘ઠીક મારા ભૈ’વાળા ટોનમાં કરવામાં આવે છે (હા, ઇલેક્શન નજીક હોય ત્યારે વાત જુદી છે). સામાન્યપણે ‘તમે કેવા’ એવું પૂછવામાં આવે ત્યારે આ ચાર વર્ણના પેટા-વર્ણના પેટાના પેટામાંથી કોઈ એક જ્ઞાતિનું નામ આપવામાં આવે છે. આ સવાલના જવાબમાં ‘હું ગુજરાતી’ કે ‘હું ભારતીય’ એવું કોઈએ કહ્યાનું આજ સુધી નોંધાયું નથી. હવે જ્યારે અમુક ચોક્કસ ટાઇપના લોકોને પાછળ રાખીને ૨૦૨૫ના વરસમાં પ્રવેશી ગયા છીએ ત્યારે સમયની સાથે ચાર વર્ણના પેટા વર્ણોમાં કેટલાક નવા ક્લાસ પણ ઉમેરાયા છે. જેના વિશે અહીં સમાજશાસ્ત્રીય નહીં પણ રમૂજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી છણાવટ (અધ્યાપકોને પ્રિય શબ્દ) કરવામાં આવી છે.(નોંધઃ આ કેટલાંક સેમ્પલ છે, વાચક મગજને કસીને પોતાની રીતે યાદીમાં ઉમેરો કરી શકે છે.)
એસયુવીવાળાઃ રાષ્ટ્રની સંપત્તિ પર જો કોઈનો સૌથી પહેલો અધિકાર હોય તો એ એસયુવીવાળાનો છે. ફિલ્મ ‘કાલિયા’માં અમિતાભ બચ્ચનના પાત્રના મુખે ભલે કહેવાયું હોય કે ‘હમ જહાં ખડે હોતે હૈ લાઇન વહીં સે શુરુ હોતી હૈ’ પણ સમય જતા બચ્ચને આ એકાધિકાર ગુમાવ્યો છે. હવે એસયુવાળા જ્યાં ઊભા હોય ત્યાંથી લાઇન શરૂ થાય છે. વિમાનની બારીમાંથી જેમ મસમોટી બિલ્ડિંગો ટપકાં જેવી દેખાય છે એમ એસયુવીના ચાલકને પણ સાઇકલ, ટુ-વ્હીલર કે નાની ગાડીવાળાઓ ટપકાં જેવા દીસે છે. એટલે મોટા ભાગના એસયુવાળાવાળા એવું માને છે કે આ ટપકાં પરથી આરામથી ગાડી પસાર કરી શકાય છે. સાઇરન વગાડતી એમ્બ્યુલન્સ અને હોર્ન વગાડીને ધસમસતી એસયુવી વચ્ચે એક સમાનતા છે. બન્નેમાં ગંભીર રીતે બીમાર હોવાની પૂરેપૂરી શક્યતા છે. તફાવત માત્ર એટલો કે એમ્બ્યુલન્સના દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી રહ્યો હોય છે. એસયુવીના કેસમાં એવું નથી હોતું.
ખેસવાળાઃ આમ તો આ કોઈ નવો વર્ગ નથી. પણ મિસ્ડ કોલ મારીને મેમ્બર બનવાની સુવિધા પ્રાપ્ત થયા બાદ ખેસધારી વર્ગની સંખ્યામાં મોટો વધારો થયો છે. એવું માનવામાં આવે છે કે ખભે ખેસ પહેર્યા પછી ગુરુત્વાકર્ષણબળમાં ઘટાડો થઈ જાય છે. એમાં પણ જો જિલ્લા, તાલુકાની જવાબદારી સોંપાઈ હોય કે મંત્રીમંડળમાં સ્થાન મળ્યું હોય તો હવામાં તરી શકાય એ હદે ગુરુત્વાકર્ષણનો અભાવ વર્તાય છે. આ એક એવો વર્ગ છે જે દોડવાની રેસમાં ખુરશીમાં બેઠા-બેઠા નંબર વન આવી જાય છે. કારના ડેશબોર્ડ પર જો ખેસ પડ્યો હોય તો ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોય તો પણ ચાલી જાય છે. દરેક ખેસવાળા બીજાને ખેસ પહેરાવવા માટે આતુર હોય છે. અને હવે તો તેમને ટાર્ગેટ પણ અપાય છે. એટલે આવાનારા વખતમાં દેશભક્તો મળે ના મળે. ખેસભક્તો સર્વત્ર મળી આવશે. મેરા ખેસ મહાન.
એમ-ક્લાસવાળાઃ ના, એમ ક્લાસ એટલે તમે ધારો છો એમની વાત નથી. મિડલ ક્લાસ નામે ઓળખાતો આ વર્ગ પણ આમ તો નવો ઊભરી આવ્યો હોય એવું નથી. પણ છેલ્લા કેટલાક વખતમાં, ખાસ કરીને શહેરોમાં નાત-જાતની જૂનીપુરાણી ઓળખ જાળવીને પણ આ વર્ગના પ્રમાણમાં વધારો થયો છે. એમ-ક્લાસના પાછા બે પેટા પ્રકાર પડે છે. જેમાં એક મની ક્લાસ અને બીજો મોંઘવારી ક્લાસ છે. જેમની પાસે મની છે એમને મોંઘવારી નડતી નથી. જેમની પાસે મની નથી તેમની મોંઘવારી જતી નથી. આ વર્ગ આમ તો ઉપર જણાવેલા બે વર્ગ પર નિર્ભર હોય છે. નોકરી, રોજગાર, હપ્તા, વ્યાજ એ તેમની જૂની સમસ્યાઓ છે. જો કે તેના પર એમનું ધ્યાન જાય નહીં એટલે ઘણીવાર એમની આડે એક અન્ય એમ-ક્લાસને ઊભો કરી દેવામાં આવે છે.
લીલી લાઇટવાળાઃ આ એ નવો વર્ગ છે જેમણે જગત નાનું પડી રહ્યું હોવાથી અલગ દુનિયા વસાવી છે. તેઓ ૨૪ કલાક ઓનલાઇન હોય છે. લીલી લાઇટ એ તેમના ઓનલાઇન હોવાનો પુરાવો છે. પહેલાં ડોક્ટર કે વકીલને મળવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડતી હતી, પણ હવે લીલી લાઇટવાળા તેમને પણ આંટી ગયા છે. હવે જો બેટી ઓનલાઇન હોય તો એની સાથે વાત કરવા માટે મમ્મીએ પણ એપોઇન્ટમેન્ટ લેવી પડે છે અને બેટા પપ્પા સાથે જ ત્યારે જ વાત કરશે જ્યારે એનો ડેટા ખૂટી પડ્યો હોય. તેઓ ભલે ગણિતમાં ગમે એટલા કાચા હોય પણ આંકડા એમના અસ્તિત્વનો મોટો આધાર છે. જેમાં લાઇક, શેર, સબસ્ક્રાઇબ કે વ્યૂઝ જેવા આંકડા સામેલ હોય છે. છ આંકડાના વેતન કરતા ચાર આંકડાની લાઇક્સમાં તેઓ વધુ સંતોષ અનુભવે છે. }
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની પૂર્તિ ‘રસરંગ’માં લેખકની કોલમ ‘મજાતંત્ર ’ માં પ્રકાશિત લેખ
-
‘સુદામાચરિત્ર’ : માનવીના ઊર્ધ્વારોહણનું મહિમાગાન
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
મહાકવિ પ્રેમાનંદે ‘નળાખ્યાન’, ‘કુંવરબાઈનું મામેરું’ અને ‘સુદામાચરિત્ર’ જેવાં ઉત્તમ આખ્યાનો આપ્યાં છે. એમાં સુદામાચરિત્રનું શીર્ષક જુદું પડે છે. સુદામા એ પાત્ર નથી પણ ચરિત્ર છે. મહાભારતમાં યુધિષ્ઠિરનો રથ એક વેંત અધ્ધર ચાલતો હતો એવી વાત આવે છે એનો અર્થ વ્યાસ એમ સમજાવવા માગે છે કે આ માણસ નોખી મુદ્રાનો છે. દુનિયામાં જૂજ લોકો એવા હોય છે જે આવી મૌલિક મુદ્રા ધરાવતા હોય. આ સંદર્ભમાં પ્રેમાનંદે આવું ઉચિત શીર્ષક પસંદ કર્યું છે.પ્રેમાનંદ આપણા મધ્યકાળના મોટા ગજાના કવિ છે. એમની એક વિશિષ્ટતા છે કથાની ત્વરિતતા. તેઓ વાર્તારસ એવો જમાવે છે કે સ્થળ-કાળ વિસરાઇ જાય. જ્યારે પણ એમની કૃતિમાંથી પસાર થઈ જઈએ ત્યારે કશુંક આપણામાં પણ બદલાઇ ગયું હોય એવું અનુભવાય.
આ કૃતિમાં કૃષ્ણ અને બલરામ સાંદીપનિના આશ્રમમાં ભણવા આવ્યા છે, પણ પ્રેમાનંદ જેનું નામ ! અડધી પંક્તિથી ચાલતું હોય તો આખી પંક્તિ પણ ન વાપરે. કૃતિના આરંભે પ્રેમાનંદ સાંદીપનિનો પરિચય ‘સુરગુરુ સરખા’ એવો આપે છે. કથાના આરંભે પ્રેમાનંદે પહેલા કડવાથી માંડીને અંત સુધી ધ્યાન ખેંચે એટલી વખત સુદામા માટે ઋષિ’ શબ્દનો પ્રયોગ કરે છે. આ આશ્રમમાં “ઋષિ સુદામો, વડો વિદ્યાર્થી કહાવે”. આ વાંચતા જ આપણને વિચાર આવે કે પ્રેમાનંદની કલમ અહીં લસકી પડી છે? કેમ કે આપણી ઋષિની કલ્પના પ્રમાણે તો જે બ્રહ્મચારી હોય, શાસ્ત્રાર્થ કરતો હોય, આશ્રમ ધરાવતો હોય એ ઋષિ હોય. જ્યારે અહીં તો સુદામા પહેલીમાં ભણે છે. અને છતાં ઋષિ? પણ ગુરુ સાંદિપનીની પસંદગીની કલા મુજબ તે સર્વ વિદ્યાર્થીમાં વડો છે. એનાં કારણો ભાવકને પછીથી જડે છે.
કૃષ્ણ અને બલરામ આવતાંની સાથે જ સુદામાના ગાઢ, અભિન્ન એવા મિત્રો બની ગયા. પણ કૃષ્ણ બલરામ તો અવતાર પુરુષ ! બે મહિનામાં બધી વિદ્યા મેળવી લીધી, જવાનો વખત આવ્યો ને કૃષ્ણ સુદામાને ભેટીને રોયા ત્યારે ઉક્તિ આવે છે કે, “મહાનુભાવ ફરીને મળજો..” આ ક્ષણે કૃષ્ણ સુદામા ને કહે છે કઈક માગી લેવા જણાવે છે અને સુદામો પસંદગીની કળામાં જીતી જાય છે. અને માગે છે, “ સદા તમારા ચરણ વિશે રહેજો મનસા મારી.. અહીં કથાના બીજ નંખાઇ ગયા તે પ્રમાણે આ બંને ફરીને મળશે એવો ઈશારો કરીને પ્રેમાનંદની કથા આગળ વધે છે.
સુદામા પોતાનો સંસાર માંડે છે. તેને ગુણવાન પત્ની છે, અતિશયોકિતના ભાગ રૂપે કવિ આલેખે છે તેમ દસ બાળકો છે. સુંદર ગૃહસ્થ આશ્રમ છે. સુદામાનું મન સંન્યાસી છે : “મુનિનો મર્મ કોઇ નવ લહે, સૌ મેલો ઘેલો દરિદ્રી કહે.” સુદામા ના ચારિત્ર્યનું ઉત્તમ પાસું અહીં એ બતાવાયું છે કે એ અયાચક વ્રત પાળે છે. આ તેના બ્રાહ્મણત્વનું લક્ષણ છે. એ સ્વાભિમાનથી જીવે છે. તેની પત્ની ઓળખે છે કે પોતાનો પતિ મુનિ છે. પોતે સુદામાને પરણી ધન્ય થઈ છે. છતાં તેને ઘર સાચવવાનું છે. બાળકો ભુખથી ટળવળી રહ્યાં છે. ઘરમાં કોઈ સગવડ નથી. ગરીબાઈની હદ આવી ગઈ છે. આ પરિસ્થિતિમાં સુદામાપત્ની પતિને કહે છે તેમ આમ તો તમને માધવ(લક્ષ્મીપતિ) સાથે મિત્રાચાર છે. તો એમને મળીને કંઇક તો કરો. ત્યારે સુદામા સ્વાભિમાની ઉત્તર આપે છે, “જાચતાં જીવ જાય..” પણ છેવટે પત્નીને અનેક માર્મિક દલીલોને અંતે સુદામા પત્નીની વાત માનવા તૈયાર થઈ જાય છે. પણ ખાલી હાથે કેમ જવું? દરિદ્રતા છતાં તેઓ વિવેક ચૂકતા નથી. પત્ની પડોશણ પાસેથી બમણા કરીને પાછા આપવાની શરતે તાંદુલ લઈ આવે છે – તાંદુલ પણ નહીં પણ કાંગવા એટલે કે પૌંઆ કરતાં પણ હલકું ધાન. એ પણ છોતરા સમેત. વ્યવહારુ પત્ની તેને ઘરે લઈ આવી સાફ કરી તગતગતા તાંદુલ સુદામાને આપે છે. સુદામા ખુશ થઇ જાય છે.
દંપતીને બીજો પ્રશ્ન એ આવ્યો કે આ લઈ શામાં જવા? એને બાંધવા માટે ઘરમાં કપડું પણ નથી. આથી નાનાં નાનાં ૧૦-૨૦ કપડાં ભેગાં કરી તાંદુલ બાંધી સુદામા પ્રયાણ કરે છે. ત્યારે તેઓ કેવા લાગે છે ? “થાય ફટાક ફટાક ખાસડાં, ઊડે ધૂમ્ર કોટાનકોટ ; ઉપાન રેણુએ અભ્ર છાયો..” પગે ચપ્પલ નથી, ખાસડાં છે. ચાલતાં એટલી ધૂળ ઉડે છે કે એ પોતે જ આખા ભરાઈ ગયા છે. આ જોતાં યાદવોને લાગે છે કે કોઈ સૈન્ય ચડી આવ્યું કે શું? પ્રેમાનંદ છે એટલે અતિશયોક્તિને તો છોડી શકે જ નહી.
‘સુદામાચરિત્ર’ વિરોધનું કાવ્ય છે. પ્રેમાનંદે અહીં સામ-સામી પરિસ્થિતિ સરજી છે. એક બાજુ સુદામા છે અને બીજી બાજુનો પડદો હવે ઉઘડે છે જેમાં સોનાની દ્વારિકા નગરીનું અદભૂત વર્ણન છે. ચલચિત્રની માફક આ વર્ણનો આપણી આંખ સમક્ષ તાદ્રશ થાય છે.
સુદામા મહેલની નજીક પહોંચે છે અને દ્વારપાળને માંડીને વાત કરે છે. દ્વારપાળ એ વાત દાસીને જણાવે છે. દાસી સુદામાનો પરિચય પૂછે છે. સુદામા ઉત્તરમાં જણાવે છે તેમ કહેજો કૃષ્ણને કે એમનો મિત્ર આવ્યો છે જેનું વિપ્ર સુદામો નામ રે.. આ બાજુ થાકેલા, અપમાન સહન કરેલા સુદામા બહાર ઊભા છે અને બીજી ત૨ફ બંધ બારણે સોનાના ખાટ ઉપર પરમ આનંદમાં કૃષ્ણ પોઢયા છે. આઠ પટરાણી સેવામાં છે, શૃંગારનો મેળાવડો જામ્યો છે. વિરોધાભાસનું ઉત્તમ ઉદાહરણ અહીં છતું થાય છે. આવા માહોલની વચ્ચે પેલી દાસી દાખલ થાય છે અને કૃષ્ણને જાણ કરે છે કે બહાર કોઈ તમને મળવા આવ્યું છે. નથી એ નારદ, નથી કોઈ ઋષિ, કહે છે કે વિપ્ર સુદામો નામ ! આ સાંભળતાં જ જાણે ચમત્કાર થયો હોય તેમ એક ક્ષણમાં કૃષ્ણ આ વૈભવથી અલગ થઈ જાય છે. અને પંક્તિ આવે છે કે જે માત્ર પ્રેમાનંદ જ આપી શકે, “હેં હેં કરતો ઉઠ્યો શામળિયો, આવ્યો સુદામો? મુજ દુખિયા નો વિસામો?” ‘ વૈભવમાં આળોટતા હોવા છતાં જો તમને સમજનાર કોઈ વ્યક્તિ ન મળે તો તમે સુખી ન કહેવાઓ અને દરિદ્રતાની ખાણમાં હો અને સાથે કોઈક સમજનાર હોય તો તેનાથી મોટું કોઇ સુખ ન હોઇ શકે. આવી માર્મિક વાત પ્રેમાનંદે કૃષ્ણના મુખે કહેવડાવી છે. કૃષ્ણ સુદામાને મળવા રીતસરના દોટ મૂકે છે તેમને પીતાંબર ઊંચુ કરવાનું ભાન પણ રહેતું નથી રુકમણી એ પીતાંબરને સરખું કરે છે અને કૃષ્ણને સંભાળે છે. સોળ હજાર રાણીઓ માંથી એક રુકમણી સુદામા મુનિને ઓળખી શકે છે. આમ એક ક્ષણમાં પ્રેમાનંદે રુકમણીનું પણ ચિત્ર પણ વ્યક્ત કરી દીધું છે. આટલી ઉતાવળ વચ્ચે કૃષ્ણ રાણીઓને પૂજા થાળ તૈયાર કરવાનો આદેશ કરે છે. અને રાણીઓની કસોટી કરતા કહે છે કે, ” જે નમશે તેનાં ચરણ ઝાલીરે, એ સૌપેં મુજને વહાલી રે…” એક એક મિનિટ કૃષ્ણને એક એક યુગ જેવી લાગી છે.
કૃષ્ણને દીઠા સુદામાએ ને ફરી પક્તિ આવી “ સુદામે દીઠા શ્રીકૃષ્ણદેવ, આંસુ છૂટ્યાં શ્રાવણ નેવ”. આવો છે ભક્ત સુદામો ! દ્વારકામાં પ્રવેશતી વેળા યાદવ સ્ત્રીઓએ જ્યારે સુદામાની મજાક ઉડાવી એવી રડવાની ક્ષણે એ હસી પડેલો અને અત્યારે કૃષ્ણ દ્વારા સન્માન પામતી વેળા રડી પડ્યો ! બધાની વચ્ચે કૃષ્ણે સુદામાના પગે માથું મૂકી દીધું. અને કહ્યું “મુનિ, પવિત્ર કર્યું મુજ ગામ હવે પવિત્ર કરો મુજ ધામ.”
વાજતે ગાજતે કૃષ્ણ સુદામાને અંદર લઈ જાય છે અને વિરલ પંકિત આવે છે : “સુખ સજ્જાએ ઋષિ બેસાડી ચમર કરે છે ચક્રપાણિ” વર્ણાનુપ્રાસની મહત્તા તો કોઈ પ્રેમાનંદ પાસેથી શીખે !! અહીં દર્શાવાઇ છે ભક્તિની મજા, પસંદગીની કલાનો વિજય ! જેના હાથમાં સદાય ચક્ર હોય છે એ આજે ચામર કરવા બેસી ગયા. બધું જ પસાર કરતો કરતો માનવી ઈશ્વરનું સદા સ્મરણ કરે એનું આ પરિણામ પ્રેમાનંદ દર્શાવે છે. માટે જ સુદામા ચરિત્ર છે પાત્ર નથી. આવી જ એક પંક્તિ ફરીથી આવે છે.” થાળીમાં પગ મૂકીને પગ પખાળે સારંગપાણિ” જેના હાથમાં હંમેશ સારંગ ધનુષ છે એવા વિષ્ણુના અવતાર આજે આ કામ કરવા તત્પર બની ઊઠ્યા છે.
ભાવવિભોર હોવા છતાં કૃષ્ણ સુદામાની કસોટી કરે છે. તેમને જોવું છે કે તેમનો આ મુનિ મિત્ર પહેલા જેવો જ છે કે એનામાં કોઈ ફેર પડ્યો છે? અને ગોવિંદ ગોઠડી માંડે છે. સુદામાની કસોટી કરતાં તેઓ પૂછે છે કે તમારું લોહી કેમ શોષાયું છે? ખાવા ધાન નથી? કે પછી ગરીબાઇ છે? કે મારા ભાભી વઢકણાં છે? વાત તો કરો, શું હાલ છે? પણ સુદામો જેનું નામ! પહેલો માર્મિક જવાબ આપે છે સુદામા આમ : તમે તો અંતર્યામી છો. તમને શી ખબર ન હોય? અને બીજો જવાબ આપે છે, ‘છે એક જ દુઃખ વિજોગનું’ તમે આટલો સમયથી મળ્યા નથીને, પણ હવે પિંડ પુષ્ટ જ થશે…’ સુદામા તો મુનિ છે. મુનિને શું દુઃખ હોય? પણ કૃષ્ણ હજુ પાછા પડતા નથી અને પૂછે છે, તમને યાદ છે સુદામા, હું અને બલરામ તમને પાટી બતાવતા..? ત્યારે સુદામા જવાબ આપે છે, “મને મોટો કીધો મહારાજ, મને કેમ વીસરે રે? ” કૃષ્ણ પામી જાય છે કે સુદામા હજુ પણ એવોજ નક્કર છે. ક્યાંય નાની તિરાડ સરખી પડી નથી!
પણ સુદામાની મૂંઝવણ હવે શરૂ થાય છે કે આટલા વૈભવની વચ્ચે પેલી નાનકડી તાંદુલની પોટલી કૃષ્ણને કેમ અપાય? માટે સુદામાએ પોટલી જાંઘ નીચે સંતાડવાનો પ્રયત્ન કરે છે, પણ કૃષ્ણ ભાઇબંધ પાસેથી પોટલી ઝૂંટવી જ લે છે. એક પછી એક ગાંઠ કૃષ્ણ ઉકેલતા ગયા છે અને સુદામાનાં ભવ બંધન છોડતા ગયા છે. એ પછીની પંક્તિ ઉપર આપણા કવિ લાભશંકર ઠાકર વારી ગયા છે : “ વેરાયા કણ ને પાત્ર ભરાયું.” એક નગરી સુદામા માટે તૈયાર થઈ ગઈ. થોડું લે ને ઝાઝું આપે તેનું નામ કૃષ્ણ ! મિત્ર ને આપતાં કૃષ્ણને સંતોષ ન થતાં છેલ્લો કોળિયો ભરતા કૃષ્ણે વિચાર્યુ રુકમણી સહિત સૌ નારીઓ સુદામાની સેવા કરે – ત્યાં જ રુકમણીએ કૃષ્ણનો હાથ પકડીને કહ્યું, ‘અમે અપરાધ શો કીધો નાથ?’ સામ સામે જોઈને દંપતી હસ્યાં અને કૃષ્ણે છેલ્લો કોળિયો સૌને વહેંચી દીધો.
ઘરે પહોંચેલા સુદામા ઘર જોઇને અવાક થયા છે. ત્યાં દ્વારકા જેવીજ નગરી ખડી થઈ ગઇ છે. એમની પત્ની પતિનો પંથ નિહાળતી ગોખમાં જ બેઠી છે. એમના મધુર દાંપત્યનું ચિત્ર પ્રેમાનદે સરસ રીતે ઉપસાવ્યું છે. પૂજા થાળ સાથે સુદામાપત્ની જેવા સુદામાને અંદર લે છે કે સુદામાનું રૂપ પણ કૃષ્ણ સમું થાય છે. ને એ બંન્ને રતિસુખ માણતાં એકમેકને વળગી પડે છે. સુદામા ઋષિ છે પણ સંસારથી અલિપ્ત નથી. એના સાથે જોડાયેલાં હોવા છતાં અલગ છે.
સુદામાને બધુંજ સુખ મળ્યાં છતાં આ આખ્યાનની અંતિમ પંક્તિ મનનીય બની રહે છે : “યદ્યપિ વૈભવ ઇન્દ્રનો, તોય ઋષિ રહે ઉદાસ.” પ્રેમાનંદનો સુદામો એના પાસે કંઈ ન હોતું ત્યારે પણ ઋષિ હતો અને સઘળું કંઈ પ્રાપ્ત થયું તે પછી પણ ઋષિ જ રહ્યો છે. આ છે વસ્તુસંકલનાની ખૂબી ! ઋષિથી શરૂ થયેલી યાત્રા ઋષિ પાસે જ અટકે છે.
અહીં આલેખાતી કૃષ્ણની વિચક્ષણતા ને નમ્રતા, રુકમણીની આંતરદ્રષ્ટિ, સુદામાપત્નીની ઋજુતા, વ્યવહાર કુશળતા, પાતિવ્રત્ય ને આભિજાત્ય પ્રેમાનંદની પાત્રા લેખનની ક્ષમતા સૂચવે છે; તો યાદવ સ્ત્રીઓનો અનુચિત વ્યવહાર પ્રેમાનંદના મનુષ્ય સ્વભાવની પરખનો પરિચય કરાવે છે. પણ પ્રેમાનંદને મન મૂલ્ય તો છે આ બધાની વચ્ચે ઉપર ઊઠી શકેલા સુદામાનો ક્ષમતાનું. ને એ રીતે મનુષ્યમાં પડેલી અનંત શક્યતાઓનું દર્શન કરાવવાનું. આ અર્થમાં આ આખ્યાન ઊર્ધ્વારોહણના મહિમાગાનનું છે.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મૌનનો મહિમા અને પ્રતીક્ષાનો પર્યાય
વનિતાવિશેષ
રક્ષા શુક્લ
આ દર્દ મૌનમાં જ છવાતું ભલે હવે,
મેં તો કહ્યું હતું મને, ને સાંભળ્યું તમે.આ સાંજની હવાને યાદ સૌમ્ય ઉદાસી,
ચાલી ગયા એ સંગ સમયની, ઊભા અમે.– રઘુવીર ચૌધરી
રઘુવીર ચૌધરીની કીર્તિદા કૃતિ નવલકથા ‘અમૃતા’ ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ ઘટના છે. દસથી વધુ આવૃત્તિઓ પ્રકાશિત થઈ છે. એમાં લખે છે કે ‘માણસે વિગતને ટેકે અને અનાગતની પ્રતીક્ષામાં જીવવાનું હોય છે.’ અમૃતાની આસપાસ ફરતી આ કૃતિમાં વિરહ અને મિલન વચ્ચેના અનેક ખંડો છે.
બ્રહ્માનું શ્રેષ્ઠ સર્જન નારી. એ પ્રેમમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે. એ પણ કોઈ દાવા-દલીલ વગર. દુનિયામાં સઘળા પરિવારોનું સુચારુ સંચાલન એટલે જ શક્ય બનતું હશે કે પરિવારમાં કોઈ સ્ત્રી નિ:શબ્દ રહીને સૌ પર એક મા, એક પત્ની, એક પુત્રવધુ, એક બહેન કે એક દીકરી રૂપે નિર્વ્યાજ વ્હાલ વરસાવી કાળજી રાખ્યા કરે છે. સ્ત્રીઓ નવાઈ લાગે તેટલી સમર્પિતા હોય છે ! ચહેરા પર સ્મિત પહેરી એ ‘બધુ જ ઠીક’ છે તેવું દર્શાવે છે. પણ વાસ્તવમાં તેના ખભા પર પરિવાર આખાનો બોજો હોય છે. She has to manage each and every moment which are related to the members and their fellings of her family. ક્યારેક તો એની આંગળીઓથી જિંદગી સાવ સરી જતી લાગે તેવા સંજોગો પણ સર્જાતા હોય છે. પરંતુ તે એક જાદુગરની માફક હળવાશથી સૌને આશ્વસ્ત કરતી મુશ્કેલીમાંથી માર્ગ શોધે છે અને સર્વે જવાબદારીઓ નિભાવે છે. કોઈ જાણી શકતું નથી કે તેના ત્યાગ અને સમજણને લીધે જ સંસારચક્ર સુપેરે ચાલે છે. સ્ત્રીના મૂંગા બલિદાનને કોઈ પુરુષ ભાગ્યે જ સમજી શકે છે. પત્નીની પીડા તો બુદ્ધ પણ ક્યાં સમજી શક્યા હતા ! એક પળનો પણ વિચાર કર્યા વિના તેઓ સત્યની શોધમાં પત્ની યશોધરાને છોડીને ચાલી નીકળ્યા. યશોધરાએ અસંખ્ય સવાલો પૂછ્યા પણ બુદ્ધે કોઈ સવાલનો જવાબ ન આપ્યો. મૈથિલીશરણ ગુપ્તે યશોધરાની સખી પાસે ધીરેથી ઉચ્ચારાતી ફરિયાદ અત્યંત ઋજુતાથી એમના ‘યશોધરા’ કાવ્યમાં મૂકી છે. યશોધરા કહે છે કે..
‘સખી, વો મુઝસે કહકર જાતે.
કહ, તો ક્યા મુઝકો વે અપની પથ-બાધા હી પાતે ?’રામાયણનું આવું જ એક વિસરાઈ ગયેલું પાત્ર એટલે નિદ્રાધીન રાજકુમારી ઉર્મિલા જે રામના ભાઈ લક્ષ્મણની પત્ની હતા. ઉર્મિલા મહાકાવ્ય રામાયણનું એક એવું પાત્ર છે જેણે પોતાના પતિ લક્ષ્મણની ઈચ્છાને માન આપીને વનમાં સાથે જવાનું ટાળ્યું અને અયોધ્યામાં વૃદ્ધ સાસુ-સસરા પાસે રહી. ૧૪ વર્ષ પતિથી દૂર રહી તેને સહધર્મચારિણી હોવાનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું. તેનું આ બલિદાન ઇતિહાસમાં અનન્ય છે.

રામાયણમાંથી જાણવામાં આવે છે કે રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્નના જન્મ સમયે રામ, ભરત અને શત્રુઘ્ન થોડા સમય પછી અન્ય બાળકોની જેમ જ ચૂપ થઈ ગયા હતાં પરંતુ લક્ષ્મણ રુદન કરતા જ રહ્યાં હતાં. પછી જ્યારે તેમને રામની પાસે સુવડાવવામાં આવ્યા ત્યારે તેઓ શાંત થયા હતાં. ત્યારથી તેઓ રામ ભગવાન સાથે જ પડછાયા માફક રહ્યા. આ કારણથી જ લક્ષ્મણ રામ સાથે વનવાસમાં પણ સાથે જવા તૈયાર થયા. પોતાના મોટાભાઈ રામના વનવાસમાં સાથે ગયેલા લક્ષ્મણ ૧૪ વર્ષ સુધી સૂતાં જ નહોતાં. સાંભળવામાં આ વાત અતિશયોક્તિભરી લાગે છે પરંતુ આ વાત સાચી છે. આ ઘટના પાછળની વાત કૈંક આવી છે. લક્ષ્મણ જ્યારે રામ અને સીતા સાથે ૧૪ વર્ષના વનવાસમાં જવા તૈયાર થયા ત્યારે તેની પત્ની ઊર્મિલાએ વિનંતિ કરી કે તેને પણ વનમાં સાથે લઈ જવામાં આવે. પણ લક્ષ્મણે તે વાત મંજૂર ન રાખી. ઉર્મિલા એક તેજસ્વી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. એટલે તેને સમજાવવી એ લોઢાના ચણા ચાવવા જેવી બાબત હતી. તેણે સીતાનું ઉદાહરણ આપી દલીલ પણ કરી કે પત્ની તરીકે તેનું સ્થાન પતિની સાથે જ હોય શકે. પરંતુ લક્ષ્મણે કહ્યું કે ઉર્મિલાએ અયોધ્યામાં રહીને વડીલોનું ધ્યાન રાખવું જોઈએ. વળી ભાઈ રામ અને તેની પત્ની સીતાની સેવામાં પોતે રાતદિવસ રોકાયેલો હોવાથી પત્ની ઉર્મિલાને સમય નહીં આપી શકે એમ પણ કહ્યું. આ રીતે ઘણું સમજાવ્યા પછી ઉર્મિલા કમને પણ પતિને પસંદ હોય અને પતિ રાજી રહે તેમ કરવા સહમત થઈ. ઉર્મિલાએ એક સમજુ પત્નીની માફક આંખમાં આંસુ સાથે પણ સંમતી આપી એનું એક કારણ એ પણ હતું કે તે પોતાના પતિનો ભાઈ રામ પ્રત્યેનો અસીમ પ્રેમ જાણતી હતી. પતિના પ્રેમ માટે પોતાના પ્રેમને કોરાણે મુક્યો.
વનવાસની પ્રથમરાત્રીએ લક્ષ્મણ મોટાભાઈ રામની રક્ષા કરવા ઘાસની બાંધેલી પર્ણકૂટીની બહાર ચોકી કરવા ઊભો રહ્યો. તેણે નક્કી કરેલું કે વનવાસના ૧૪ વર્ષ દરમ્યાન તે ક્યારેય નિદ્રા નહીં કરે. લક્ષ્મણ ચોકી કરતો ઉભો હતો એ સમયે એક અદભુત જાદુઈ રૂપ ધારણ કરી નીદ્રાદેવી તેની સામે પ્રગટ થયા. દેવીએ પોતાનો પરિચય આપી લક્ષ્મણને કહ્યું કે ૧૪ વર્ષ ન સૂવું એ તો પ્રકૃતિના નિયમ વિરુદ્ધની વાત ગણાય. લક્ષ્મણે દેવીને જ આમાંથી કોઈ માર્ગ શોધવા વિનંતી કરી જેથી કોઈ અડચણ વિના તે ભાઈ તરીકેની ફરજ બજાવી રામની સેવા કરી શકે. નિદ્રા દેવીએ કહ્યું કે ‘જો લક્ષ્મણના ભાગની નિદ્રા ૧૪ વર્ષ માટે કોઈ ભોગવવા માટે તૈયાર થાય તો લક્ષ્મણને નિદ્રાથી ઇચ્છીત મુક્તિ મળી શકે. લક્ષ્મણે નિદ્રા દેવીને તેની પત્ની ઊર્મિલા પાસે જવા સૂચવ્યું. એથી જ દક્ષિણ ભારતમાં જો કોઈ ગાઢ નિદ્રામાં સૂવે અને તેને સરળતાથી જગાડી ન શકાય તો તેને માટે ‘ઊર્મિલાનિદ્રા’ જેવો રૂઢિ પ્રયોગ વપરાય છે. આ દ્રષ્ટિકોણથી જોઈએ તો વનવાસ ગયા વગર પણ ઉર્મિલાએ રાવણ સાથેના યુદ્ધમાં પોતાનું અદભુત યોગદાન આપ્યું અને રામજીને આ યુદ્ધ જીતવામાં સહાયતા કરી. રામનો વનવાસ કરતા ઉર્મિલાનો વિરહવાસ વધુ કપરો હતો.
ઉર્મિલાની આ ગાઢ નિદ્રા લક્ષ્મણ માટે રાવણ સાથેના યુદ્ધમાં પણ આશીર્વાદ સમાન નીવડી. રાવણના પુત્ર મેઘનાદને બ્રહ્માએ એવું વરદાન આપ્યું હતું કે માત્ર ‘ગુડાકેશ’ જ એનો વધ કરી શકે. ગુડાકેશ એટલે કે જેણે નિંદરને પરાસ્ત કરી હોય એવી વ્યકિત. આ પ્રમાણે લક્ષ્મણ ૧૪ વર્ષ સુધી સૂતા ન હોવાથી તે મેઘનાદને પરાજિત કરીને મૃત્યુભેટ કર્યું.
આખીયે અયોધ્યાને રામ પધારે તેની ખુશી હતી. એક માત્ર ઉર્મિલાની ખુશી સાથે લક્ષ્મણમિલનની ઝંખના ભળેલી હતી. થોડી જ પળોમાં લક્ષ્મણ મળશે એ ખુશીમાં ૧૪ વર્ષની પ્રતિક્ષાની પીડા ઓગળી જવાની હતી. વનવાસમાંથી પરત આવ્યા બાદ રામનો રાજ્યાભિષેક થઇ રહ્યો હતો. ત્યારે લક્ષ્મણ સૌના આશ્ચર્ય વચ્ચે અચાનક ખડખડાટ હસવા લાગ્યો. સૌને આ વિચિત્ર લાગ્યું. કારણ પૂછતા લક્ષ્મણે કહ્યું કે ‘હું ૧૪ વર્ષથી જેની રાહ જોઉં છું એ રામના રાજ્યાભિષેકની ઘટના જ્યારે આજે સામે છે ત્યારે જ નીદ્રાદેવી મને તેણે આપેલા કરારની યાદી આપે કે હું ઉર્મિલાને જાગૃત થવા દઉં અને સૂઈ જાઉં.’
‘સાકેત’ મહાકવિ મૈથિલીશરણ ગુપ્તનું લખેલું સુંદર મહાકાવ્ય છે. જેમાં મુખ્યત: ઉર્મિલાને કેન્દ્રમાં રાખી લખવામાં આવ્યું છે. લક્ષ્મણપત્ની અને રાજવધુ ઉર્મિલાના વિયોગની વાત છે. લક્ષ્મણ તો પોતાના ભાઈ અને ભાભી સાથે વનમાં ગયેલા હતા. પાછળ રાજભવનમાં એકલી રહી ગયેલી ઉર્મિલા. તેની મન:સ્થિતિનું કવિએ અહીં વર્ણન કરેલું છે કે…
‘માનસ-મંદિર મેં સતી, પતિ કી પ્રતિમા થાપ,
જલતી-સી ઉસ વિરહ મેં, બની આરતી આપ.’કુમાર પંકજે લખેલી કવિતામાં ઉર્મિલાનું કંઈક આમ દર્દ છલકાય છે. રામ ૧૪ વર્ષે અયોધ્યા આવ્યા છે અને ઉર્મિલાને કહે છે કે ‘હવે તો વનવાસ સમાપ્ત થઈ ગયો છે અને લક્ષ્મણ પરત આવ્યા છે, મંગળ ગીતો ગવાઈ રહ્યા છે, તું હવે શા માટે ઉદાસ છો ?’ ત્યારે ઉર્મિલા ઉત્તર આપે છે….
‘બાદ બરસોં કે ઉત્સવ કા મૌસમ હૈ પર,
કિસ તરહ અપને આંસુ કો મુસ્કાન દૂં ?’
રાજસ્થાનના ભરતપુરમાં ઈ.સ. ૧૮૭૦માં બાંધવામાં આવેલું અને લક્ષ્મણ અને ઊર્મિલાને સમર્પિત એક મંદિર આવેલું છે. જે ભરતપુરના રાજા બલવંત સિંહે બંધાવ્યું હતું. આ મંદિરને ભરતપુર રાજનું શાહી મંદિર પણ માનવામાં આવે છે. સ્ત્રીના આવા અનન્ય પ્રેમ, બલિદાન કે ન્યોછાવરીની વાતો સમજવા માટે કાં તો સ્ત્રી તરીકે જન્મ લેવો પડે અથવા ઉર્મિલા જેવા હ્રદયથી જીવવું પડે.
ઇતિ
ઝગડાઓ કદી લાંબા ચાલી ન શકે, જો વાંક એક જ પક્ષનો હોય તો… !
-લા રોશેફૂકોલ્ડ
સુશ્રી રક્ષાબેન શુક્લનો સંપર્ક shukla.rakshah@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
