વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • સત્યની ખોજ માટે પંકાયેલા દેશમાં જ સત્યનો ભય?

    તવારીખની તેજછાયા

     

    પ્રકાશ ન. શાહ

    હમણાં જ ઉમાશંકર જયંતી (૨૧ જુલાઈ) ગઈ. થાય છે, એ નિમિત્તે પચાસ વરસ પરના એમના રાજ્યસભાના વક્તવ્યને જરી સંભારી લઉં.

    કટોકટીની જાહેરાત પછી સંસદ મળી ત્યારે થયેલી ચર્ચા દરમ્યાન એમણે વિચારો વ્યક્ત કરવાની તક ૨૨મી જુલાઈએ ઝડપી હતી. જોગાનુજોગ, ૨૧મીએ જ ચંડીગઢના જેલવાસમાંથી જયપ્રકાશે વડાંપ્રધાન ઈંદિરા ગાંધી જોગ પત્રમાં પોતાની ભૂમિકા દો ટૂક શબ્દોમાં મૂકી હતી. આ પત્ર અને એ વક્તવ્ય બેઉમાં આર્ત પુકાર અને સ્પષ્ટ કથનનું દર્શન થતું હતું. કેમ કે તેઓ ઉપલા ગૃહમાં બોલી રહ્યા હતા, ઉમાશંકરે ગૃહમાંના વડેરાઓનેય વિશેષ રૂપે સંબોધવાની તક ઝડપી હતી, પણ એની વાત ઘડીક રહીને.

    વક્તવ્યના પૂર્વાર્ધમાં એમણે કહ્યું હતું: ‘ભારતમાં ક્યારેય પ્રી-સેન્સરશિપ ઠોકી બેસાડવામાં નથી આવી, અંગ્રેજોના જમાનામાં પણ નહીં. પણ આપણે સત્યથી બીઈએ છીએ. દેશ આખાને આવરી લેતો ભય-આતંકનો આ કાળમુખો ઓછાયો આવે છે ક્યાંથી? … આ છે સત્યનો ભય ને તે એવા દેશમાં કે જે સત્યની ખોજ માટે પંકાયેલો છે. બીજા કશા કરતાં પણ આ બાબતે દુનિયાના દરબારમાં દેશને માથે કાળી ટીલી તાણી છે.’ આ સમ્માન્ય ભવન મારફતે મારે પ્રધાનમંત્રીને વિશેષ રૂપે એ વાત પહોંચાડવી છે કે પંડિત જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીના જમાનામાં આ દેશ જ્યારે ધૂળ સોતો ગરીબીમાંથી ઊઠવા મથામણ કરી રહ્યો હતો ત્યારે પણ દેશની દુનિયાના દરબારમાં આબરૂ હતી. એનું મસ્તક ઉન્નત હતું. જવાહરલાલે પોતાના પુસ્તક ‘દુનિયાના ઈતિહાસની ઝાંખી’ને અંતે તમામ શુદ લખતી વેળા ટાગોરના નીચેના શબ્દો ટાંક્યા હતા: ‘ચિત્ત જેથા ભયશૂન્ય, ઉચ્ચ જેથા શિર…’- જ્યાં મન ભયથી સર્વથા મુક્ત છે… એવા સ્વર્ગમાં હે પ્રભુ મારા દેશને જાગૃત કર!’

    વક્તવ્યના ઉત્તરાર્ધમાં ઉમાશંકરે ‘એલ્ડર સ્ટેઈટ્સમેન’ને વ્યાસનાં વચનો સંભારી ઠમઠોર્યા હતા: ‘ ન સા સભા યત્ર ન સન્તિ વૃધ્ધા:, ન તે વૃધ્ધા: યે ન વદન્તિ ધર્મમ્.’ ‘- જ્યાં વૃદ્ધો ન હોય તે સભા નથી અને ખરી વાત- ધર્મની વાત ન બોલે તે વૃદ્ધો નથી. હું પૂછું છું કે ભારતની લોકશાહી માટે તમે શું કર્યું? તમે પ્રધાનમંત્રી પાસે ગયા છો ને એમને કહ્યું છે કે અમારું જે થવાનું હોય એ થાય, પણ અમારા આ વિચારો દૃઢ છે…’ ‘શાસક પક્ષને અને એમના નેતાને મારી એક જ અપીલ છે: આ લોકતંત્રીય પ્રથમ પ્રજાસત્તાક (ફર્સ્ટ રીપબ્લિક) ઉપર પરદો પાડી દેવાની ઉતાવળ રખે કરી બેસતા!’

    રાજ્યસભામાં અપાયેલા આ અંગ્રેજી વક્તવ્યનો ચુનીભાઈ વૈદ્યે કરેલો ગુજરાતી અનુવાદ ત્યારે ‘ભૂમિપુત્ર’માં પ્રગટ થયો હતો અને ‘સમયરંગ’ (૧૯૭૮)માં તે સહેજસાજ સુધારા સાથે ઉમાશંકર જોશીએ સમાવ્યો હતો. ઉમાશંકર અને બીજા બચ્યાખૂચ્યા ગૃહમાં અવાજ ઉઠાવી રહ્યા હશે એ જ દિવસોમાં, ૨૧મી જુલાઈએ જયપ્રકાશે વડાંપ્રધાન ઈંદિરા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો. (ચંડીગઢના આ મિસાબંદી વિશે, પાછળથી, નવેમ્બર ૧૯૭૫માં ઉમાશંકરે ‘સંસ્કૃતિ’માં લખ્યું હતું: ‘શ્રી જયપ્રકાશને શું જોઈએ છે? કોઈ પણ પદ માટે એમણે જીવનભરની અનિચ્છા પ્રગટ કરેલી છે. ભ્રષ્ટાચાર હદ વટાવી ગયો ત્યારે એ પરાણે બહાર આવ્યા. લોકોનું કંઈક કરવા અને ભ્રષ્ટાચાર ટાળવા માટે એમને આકાશ પણ જોવા ન મળે એ રીતે પૂરી દેવાની જરૂર હતી? બુદ્ધ અને મહાવીરની ભૂમિમાંથી પ્રગટેલા આ નિ:સ્પૃહ કરુણાસંપન્ન મહાનુભાવનું સ્વાસ્થ્ય જલદી સુધરે તે માટે પ્રાર્થના કરીએ.’)

    હવે થોડું, જયપ્રકાશના ૨૧મી જુલાઈના પત્રમાંથી. સામાન્યપણે ‘પ્રિય ઈન્દુ’ને લખાતો પત્ર ‘પ્રિય વડાપ્રધાન’ને સંબોધીને લખાયો છે: ‘તમારી વાતચીત અને વક્તવ્યોના હેવાલો અખબારોમાં જોઈ મનને આઘાત પહોંચે છે…’ ‘તમે જે વાત સતત રટ્યાં કરો છો તેનું ધ્રુવપદ મારા જાણવા પ્રમાણે આ છે કે સરકારને ખોટકાવી નાંખવા માટે એક કાવતરું ઘડાયું હતું… વાત વાતમાં તમે બીજાં પણ કેટલાંક સૂત્રો ફંગોળતાં રહ્યાં છો. દા.ત. લોકશાહી કરતાં રાષ્ટ્ર વધારે મહત્ત્વનું છે…’ ના જી. વડાંપ્રધાન, સરકારને ખોટકાવી નાખવાની કોઈ યોજના નહોતી… તા. ૨૫મી જૂને… મારા ભાષણનો જે મુખ્ય સૂર હતો… એ યોજના પ્રમાણે, તમારા કેસનો ચુકાદો આવી જાય ત્યાં સુધીને માટે તમારે પદાધિકાર છોડી દેવો. એની માગણીના ટેકામાં તમારા નિવાસસ્થાનની સામે રોજ કેટલાક લોકો સત્યાગ્રહ કરવાના હતા… અને તે પણ સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા સુધી જ… બીજા બધા જ માર્ગો બંધ થઈ જાય તો તેવા સંજોગોમાં નાગરિક પાસે સવિનય કાનૂનભંગનો અવિચ્છેદ અધિકાર રહે છે. અને કહેવાની જરૂર નથી કે એમ કરવા જતાં સત્યાગ્રહી કાયદેસરની શિક્ષાને જાણી જોઈને પોતા પર નોતરે છે અને સ્વીકારે છે… ‘… તમે જાણો છો કે હું તો પાકેલું પાન છું… ભણતર પૂરું થયા બાદ મેં મારું સમગ્ર જીવન કશા પણ બદલાની આશા વગર રાષ્ટ્રને ચરણે ધર્યું છે. એટલે હવે તમારા રાજછત્રમાં એક કેદી તરીકે મરીશ તોયે મને સંતોષ છે.’ ‘આવા એક જણની સલાહ કાને ધરશો? આ રાષ્ટ્રના પિતાએ તથા સાથે તમારા મહાન પિતાએ પણ જે પાયાઓ નાખ્યા છે એનો નાશ ન કરશો…


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૩ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : સબસે ઊંચી…

    વિમલાતાઈ

    ફરી સૌરાષ્ટ્ર ભણી થી આગળ

    લલિતાબાઈ નરેનની ઘણી કાળજી લેતાં હતાં. તેમણે નરેનને એસ.એસ.સી. સુધી ભણાવવાની જવાબદારી લીધી, તેથી તેને અમદાવાદ મૂકી હું મારી દીકરીઓ – મીના, સુધા અને જયુને લઈ ભાવનગર પહોંચી. ત્યાં માણેકવાડી સ્ટેશનની નજીક માસિક રૂ.૪ના ભાડા પર જગ્યા લીધી. એક રૂમ, બાથરૂમ અને મોટી ઓસરીની જગ્યાનું મકાન સારું હવાઉજાસવાળું હતું.

    ભાવનગર પહોંચતાં જ મેં મકાન લેવા માટે રોજ ધક્કા ખાવાનું શરૂ કર્યું. મકાનમાલિક મુંબઈ રહેતા હતા, પણ તેમનો કારકુન તેમનો સ્થાનિક વહીવટ જોતો હતો. એક દિવસ તેણે કહ્યું, “આ બંગલો લેવો હોય તો હવે તમારે સાડા પાંચ  હજાર આપવા પડશે.’

    મેં તો મારું સર્વસ્વ વેચીને પાંચ હજાર ઊભા કર્યા હતા. હવે આ વધારાના પાંચસો ક્યાંથી લાવું? હું પાછી અમદાવાદ ગઈ અને બધા આગળ વિનંતી કરી કે કોઈ પણ હિસાબે પાંચસો રૂપિયાનું કરજ આપો. પણ મને કોણ આટલી રકમ આપે? મારા સગા બનેવી, જેઓ પોલીસઅધિકારી હતા, તેમણે પણ મદદ કરવા ઇન્કાર કર્યો, તો બીજાં કયાં સગાં મને મદદ કરે?

    હું ફરીથી મકાનમાલિકના કારકુન પાસે ગઈ અને તેને વિનવણી કરી કે કોઈ પણ હિસાબે આ મકાન મને આપો. બાકીના પાંચસો રૂપિયા હું તેમને મકાનના ભાડામાંથી નિયમિત હપતો બાંધીને ભરપાઈ કરી આપીશ. પરંતુ મારું દુર્દેવ એવું કે મારી વિનંતીનું કશું પરિણામ આવ્યું નહિ. મારી વાત ચાલતી હતી તેવામાં રાતોરાત પેલા કારકુને આ બંગલો એક સિંધી નિર્વાસિતને સાડા સાત હજારમાં વેચી નાખ્યો! તે વખતે પાકિસ્તાનમાંથી હજારોની સંખ્યામાં સિંધી નિર્વાસિત સૌરાષ્ટ્રમાં આવ્યા હતા અને મોં માગી રકમ આપીને તેઓ મકાન, જમીન ખરીદી લેતા હતા. મકાનોની કિંમત એટલી વધી ગઈ કે મારે હવે ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો. ખેર, જેવાં જેનાં નસીબ! જે આવ્યું તે સ્વીકારીને મેં મારી ત્રણે દીકરીઓને નિશાળમાં દાખલ કરાવી અને દિવસ વ્યતીત કરવા લાગી.

    અમારા પરિવારના બે નંબરના દીકરા રવિને ટી.બી. થયો હતો, તેની તબિયત સુધરતી નહોતી. તેને ખાસ સારવાર લેવા માટે મીરજની નજીક વાનલેસવાડીમાં એક અંગ્રેજ ડૉકટર હોસ્પિટલ ચલાવતા હતા, ત્યાં જગ્યા મળી. તેણે મને પત્ર લખ્યો, “ગમે તેમ કરીને પણ મને બે હજાર રૂપિયા ઉછીના આપો તો હું રોગમુક્ત થઈ શકીશ. સાજો થતાં તમને પૈસા પાછા આપવા હું બંધાયેલો રહીશ, અને તે અંગે જોઈએ તો હું તમને દસ્તાવેજ કરી આપીશ.’ સમય સમયની વાત છે. રવિના આવા કપરા સમયમાં મારે મદદ કરવી જ જોઈએ તેવું મને લાગ્યું. આમ જોવા જઈએ. તો રવિ પણ મારો જ દીકરો છે. તે સાજો થતો હોય તો ગમે ત્યારે મને મારા પૈસા પાછા આપશે. મેં બીજો કશો વિચાર કર્યા વગર તેને બે હજાર રૂપિયા મોકલી આપ્યા અને તે મીરજ ગયો.

    ભાવનગર આવ્યા બાદ મને અમદાવાદથી અમારા ભાગનાં ભાડાનાં દર મહિને ૩૬ રૂપિયા આવતા હતા. આટલી નાની રકમમાં મારું ઘર ચાલતું નહોતું,  તેથી બેન્કમાંથી મારે થોડી થોડી રકમ ઉપાડવી પડતી હતી. આમ મારા દિવસ વ્યતીત થતા હતા. ઉનાળાની રજામાં નરેન ભાવનગર આવતો, અને રજા પૂરી થતાં વીલા મોઢે તે અમદાવાદ પાછો જતો. તે એટલો સમજુ દીકરો હતો કે તેને ગમે એટલી તકલીફ થાય, ત્રાસ થાય તો પણ મને કદી કહેતો નહિ. આમ કરતાં કરતાં તે પોતાની હોશિયારીથી ભણવામાં આગળ આવતો ગયો.

    આમ દિવસ ચાલતા હતા, ત્યાં મારા ફોજદાર બનેવીની બીજા ગામમાં બદલી થઈ. ઉતાવળે તેઓ મારી પાસે આવ્યા અને પાંચસો રૂપિયા ઉધાર માગ્યા. મને કહ્યું કે એક મહિનાની અંદર ગમે તેમ કરીને આ પૈસા પાછા આપી દઈશ…

    મારો સ્વભાવ ભોળો હતો. મારી સગી નાની બહેનના પતિએ આ રીતે વિનંતી કરી હતી તેથી મેં કશો વિચાર કર્યા વગર તેમને આ રકમ આપી દીધી. એ પણ વિચાર ન કર્યો કે મારે મકાન લેવા માટે આટલી જ રકમ જોઈતી હતી ત્યારે મને મદદ કરવા કોઈ જ આવ્યું નહોતું. મારા આ જ બનેવીએ. મને કરજ તરીકે પણ પૈસા આપવાની ચોખ્ખી ના પાડી હતી, અને પાંચસો રૂપિયા ખાતર મારે બંગલો ગુમાવવો પડયો હતો. અમારો દીકરો રવિ હજી મીરજમાં સારવાર લેતો હતો, અને તેની પાસેના પૈસા ખૂટી ગયા. તેણે મારી પાસેથી વધુ એક હજાર રૂપિયા માગ્યા. મને રવિ પર પૂરો વિશ્વાસ હતો, કેમ કે ગમે તેમ તોય આખરે તે મારો જ પુત્ર હતો. મેં તેને તરત જ આ રકમ મોકલી આપી.

    અહીં મારી પાસે થોડીક મૂડી રહી હતી તેના પર મારા બનેવીની નજર હતી જ. તેઓ મારી પાસે ફરીથી આવ્યા અને આર્જવતાથી વિનંતી કરીને આબરૂ બચાવવા માટે પૈસાની જરૂર છે કહી બીજા પાંચસો રૂપિયા માગ્યા. આવી સ્થિતિમાં હું તેમને કેવી રીતે ના કહી શકું? મેં તેમને ફરીથી જોઈતી રકમ આપી. આ લોકો કોણ જાણે કઈ માટીના ઘડાયેલા હતા ભગવાન જાણે. એક દિવસ મારા બનેવીના મોટા ભાઈ મને મળવા આવ્યા અને કહેવા લાગ્યા, “અમને પૈસાની સખત અડચણ આવી છે તો બસો રૂપિયા આપો. અને જુઓ, આ વાત કોઈને – તમારા બનેવીને પણ ના કરશો. જો પૈસા નહિ આપો તો જોયા જેવી થશે.’ મેં તેમને ડરના માર્યા પૈસા આપ્યા. જતાં પહેલાં કહે, “જુઓ લીલાબહેન, આ વાતની કોઈને ખબર પડશે તો મારી એટલી લાગવગ અને પહોંચ છે કે આ તમારું આ ભાડાનું મકાન ખાલી કરાવીને રસ્તા પર ઊભાં કરાવી દઈશ.’

    જુઓ તો માણસની નિમ્નતાનો નમૂનો! એક તો તેને પૈસાની ગરજ પણ હતી અને ઉપરથી દમદાટી આપતો હતો. હું તો એકલી સ્ત્રી હતી અને કોઈનો આધાર ન હતો. તેથી તેની ધમકીથી હું ડરી ગઈ અને તરત પૈસા કાઢી આપ્યા.

    આવા ખરાબ માણસનું તો મોઢું પણ જોવાની ઇચ્છા ન થાય. આમ કરતાં કરતાં મારા બધા પૈસા ખલાસ થઈ ગયા. નાણાંની તંગીથી હું તો ત્રાસી ગઈ હતી. બેહદ તકલીફ થવા લાગી. તેવામાં મારા બનેવીની ફરીથી બદલી થઈ અને આ વખતે મારી પાસે પૈસા ન હોવાથી તેઓ તેમનો સમગ્ર પરિવાર મારે ઘેર મૂકી ગયા! વળી તેમનો પરિવાર કાંઈ નાનો નહોતો: દમુ, તેની મોટી દીકરી અને ઘરજમાઈ, દમુનો મારા નરેન જેવડો મોટો દીકરો અને મીના જેવડી દીકરી, દમુની વિધવા જેઠાણી અને તેમની એક મોટી દીકરી અને એક દીકરો – આવો વિસ્તૃત પરિવાર મારે ત્યાં આવી પડયો. મારા બનેવીએ કહ્યું, “મને ક્વાર્ટર મળે ત્યાં સુધી જ આ બધાં તમારે ત્યાં રહેશે.’ તેમના ખર્ચ માટે તેમણે કે દમુએ મને એક પાઈ પણ આપી નહિ. હું તો એવી બેજાર થઈ ગઈ કે ન પૂછો વાત. થયું, મારે સૌરાષ્ટ્ર આવવું જોઈતું નહોતું. જે આવે તે મને છેતરવા જ માગતું હતું. હાલત એવી આવી પહોંચી કે મારે હવે ઘરનાં નાનાંમોટાં વાસણ પણ વેચવા પડયાં. આખરે મારા બનેવીને સરકારી રહેઠાણ મળ્યું અને તેઓ સહકુટુંબ, સહપરિવાર રવાનાથયા. હા, જતી વખતે “આવજો’ કહેતા ગયા.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • મોંઘવારીનો જગત પર..

    વ્યંગ્ય કવન

    નિસાર અહમદ ‘શેખચલ્લી’

    મોંઘવારીનો જગત પર એવો ભરડો થઈ ગયો,
    કૈક કાબરચીતરો લોકોનો બરડો થઈ ગયો !

    રૂપ પર આવી જવાની, પ્રેમ ઘરડો થઈ ગયો,
    કાળના હાથેય આ કેવો છબરડો થઈ ગયો !

    નિતનવી એક યોજનાનો પેશ ખરડો થઈ ગયો,
    દેશ જાણે યોજનાઓનો ઉકરડો થઈ ગયો !

    રેશનિંગના અન્નની ઉલ્ટી અસર થઈ પ્રેમ પર,
    ચૂંક મજનૂને થઈ, લૈલાને મરડો થઈ ગયો !

    અમને આ રીતેય ઓળખશે ઘણા ગુજરાતીઓ,
    ‘શેખચલ્લી’ નામનો એક માસ્તરડો થઈ ગયો !

  • વાદ્યવિશેષ (૩૩) ફૂંકવાદ્યો (૯) – બીન (પૂંગી)

    ફિલ્મી ગીતોમાં વિવિધ વાદ્યોના પ્રદાન વિશેની શ્રેણી

    પીયૂષ પંડ્યા, બીરેન કોઠારી

    પૂંગી અથવા બીન એક એવું લોકવાદ્ય છે કે જેનાથી જૂની પેઢીના લોકોમાંથી ભાગ્યે જ કોઈ અજાણ હોય. અત્યારના સમયમાં લગભગ લુપ્તપ્રાય થવાના આરે આવેલા મદારીઓ એક સમયે ગામના કોઈ પણ ખૂણે ડેરો જમાવી,સાથે રાખેલા કરંડીયામાંથી સાપને બહાર કાઢી,તેની સામે આ દેશી વાદ્ય વગાડી અને લોકોનું ટોળું ભેગું કરતા,જેમાં અલગઅલગ વયનાં બાળકો અને સ્ત્રી-પુરુષો  સામેલ થતાં. તેમાંનાં કેટલાંયે એવું સમજતાં કે સાપ બીનના સ્વરોથી ડોલી રહ્યો છે! હકીકતે સાપ મદારીની શારીરિક ચેષ્ટાઓના પ્રતિસાદરૂપે ડોલતો હોય છે,બીનના સ્વરો સાંભળવા માટે તેની પાસે કર્ણેન્દ્રીય હોતી જ નથી. ખેર,આપણે આ વાદ્ય ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીએ. ઊલ્લેખનીય છે કે આ વાદ્ય મોરલી અથવા મહુવર તરીકે પણ ઓળખાય છે.

    ઉપરની છબીમાં જોઈ શકાય છે તેમ બીનની રચનામાં વાંસની બનેલી એક ભૂંગળી નાળીયેરની કાચલી વડે બનેલી એક કોટરમાં ખુલે છે. વાદક તેમાં ફૂંક મારી,હવા દાખલ કરે છે. કોટરના બીજા છેડે પ્રમાણામાં પાતળી એવી વાંસની બે ભૂંગળીઓ લગાડેલી જોવા મળે છે. આ નળીઓમાં હવાપટ્ટીઓ હોય છે,જેથી બહાર નીકળતી હવા ચોક્કસ સ્વર ઉત્પન્ન કરે છે. તેમાંની એકમાં યોગ્ય અંતરે છીદ્રો પાડેલાં હોય છે,જેના વડે સ્વરોને નિયંત્રીત કરી શકાય છે. અન્ય નળીમાં છીદ્રો નથી હોતાં,પરિણામે તેમાંથી કોઈ એક ચોક્કસ સ્વર સતત નિષ્પન્ન થતો રહે છે. આ બે ભૂંગળીઓ અનુક્રમે ચેન્ટર અને ડ્રોન તરીકે ઓળખાય છે. મદારીના વાદ્ય તરીકે વધુ જાણીતા બીનના સ્વરો એક એવી ક્લીપ વડે સાંભળીએ,જેમાં એક મદારી સાપ સામે બીન વગાડે છે.

    https://www.youtube.com/shorts/Qv0ivfeVN2A

    જેના વાદ્યવૃંદમાં બીનનો સમાવેશ થયો હોય એવાં કેટલાંક હિન્દી ફિલ્મી ગીતો સાંભળીએ એ પહેલાં એની વાસ્તવિકતા સમજી લઈએ. બીનમાં એટલું સૂરવૈવિધ્ય હોતું નથી કે તેનો ફિલ્મી વાદ્યવૃંદમાં ઉપયોગ થઈ શકે. આથી ફિલ્મી ગીતોમાં જે બીન સાંભળવા મળે છે એ હકિકતમાં તેના સૂરનો આભાસ હોય છે. આ આભાસ મોટા ભાગે ક્લેવાયોલીન (ક્લેવિયોલીન) અને ક્યારેક ટ્રાન્સીકોર્ડ જેવાં ઈલેક્ટ્રોનીક વાદ્યો દ્વારા ઉભો કરવામાં આવે છે.

    ક્લેવાયોલીન

    હિન્દી ફિલ્મોમાં બીનનું સંગીત પ્રચલિત કારવાનું શ્રેય ફિલ્મ નાગીન (૧૯૫૪)ને જાય છે,પણ તેની પહેલાંની બે ફિલ્મોનો ઉલ્લેખ જરૂરી છે. ૧૯૫૦ની ફિલ્મ દાસ્તાનના કોઈ ગીતમાં નહીં પણ એક ખુબ જ જાણીતા બની ગયેલા નૃત્યસંગીતમાં બીનના સ્વરોનો ઉપયોગ થયો હતો. સંગીતકાર હતા  નૌશાદ. અહીં બીનનો અવાજ સહેજ અલગ પડે છે. શક્ય છે કે કોઈ ઈલેક્ટ્રોનીક વાદ્યવાદ્ય પર તે અંશો વગાડવામાં આવ્યા હોય. તે સંગીત માણીએ.

    https://www.youtube.com/watch?v=5XoJzP9LFMI&list=RD5XoJzP9LFMI&start_radio=1

    આ સંગીત એટલું લોકપ્રિય થયેલું કે રેડીઓ સિલોન પર રોજ સવારે આઠ વાગ્યે પ્રસારિત થતા લોકપ્રિય કાર્યક્રમ ‘આપ કી ફરમાઈશ’ફરમાઈશ’ની સિગ્નેચર ટ્યુન તરીકે તે વપરાતું અને વર્ષો સુધી સંભળાતું રહ્યું.

    એ હકિકત તો સૌ કોઈ જાણે છે કે ફિલ્મ નાગીન (૧૯૫૪)ના સંગીતકાર હેમંતકુમાર હતા અને તેમના સહાયક હતા રવિ,પણ તેના ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’માં વાગેલા બીનના સ્વરો વગાડનાર હતા પછીથી સ્વતંત્ર સંગીતકાર તરીકે  જાણીતા થયેલા સંગીતકાર કલ્યાણજી વીરજી શાહ.

    એક એવી ગેરસમજ છે કે આ ગીત માટે કલ્યાણજીએ બીનનો સૌપ્રથમ વાર ઉપયોગ કર્યો. પણ હકિકત એ છે કે તેના એક વર્ષ પહેલાં એટલે કે ૧૯૫૩માં રજૂઆત પામેલી ફિલ્મ નાગપંચમીના ગીત ‘ઓ નાગ કહીં જા બસીયો રે’ના વાદ્યવૃંદમાં તેમણે આ વાદ્ય વગાડેલું. આ ગીત અહીં સાંભળી શકાશે. સંગીતકાર હતા ચિત્રગુપ્ત.

    https://www.youtube.com/watch?v=4_RF2uQYRBc&list=RD4_RF2uQYRBc&start_radio=1

    ફિલ્મ નાગીન(૧૯૫૪)નું ગીત ‘તન ડોલે મેરા મન ડોલે’સાંભળીએ. રસપ્રદ બાબત એ છે કે આ ગીતના વાદ્યવૃંદમાં સંભળાતા સ્વરો બીનના નથી! કલ્યાણજીએ તે ટૂકડાઓ ક્લેવાયોલીન પર વગાડ્યા છે. ખેર,સ્વરો બરાબર બીનના હોય તેમ જ લાગે છે.

    https://www.youtube.com/watch?v=sGye2s2sIuk&list=RDsGye2s2sIuk&start_radio=1

    ફિલ્મ સતી અનસૂયા (૧૯૫૬) માટે શિવરામ નામના પ્રમાણમાં અજાણ્યા સંગીતકારે ગીતો તૈયાર કર્યાં હતાં. આ ફિલ્મના ગીત ‘નાગદેવતા હો’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો સાંભળી શકાય છે.

    https://www.youtube.com/watch?v=NjGTIJ9MyLg&list=RDNjGTIJ9MyLg&start_radio=1

    ૧૯૫૭ની ફિલ્મ નાગપદ્મીનીના ગીત ‘સપેરા બીન બજાયે ગયો’ના વાદ્યવૃંદમાં બીનના પ્રભાવક અંશો કાને પડતા રહે છે. એકદમ અલ્પખ્યાત એવા સન્મુખબાબુ નામના સ્વરકારે સંગીત તૈયાર કર્યું છે.

    https://www.youtube.com/watch?v=s2e_ng49mWY&list=RDs2e_ng49mWY&start_radio=1

    ફિલ્મ ફાગુન(૧૯૫૮)નું ઓ.પી.નૈયરના નિર્દેશનમાં તૈયાર થયેલું અને બીનના અંશોથી સજાવાયેલું ગીત  ‘એક પરદેસી મેરા દિલ લે ગયા’આજે પણ ખુબ જ લોકપ્રિય છે.

    https://www.youtube.com/watch?v=2lWGSMlmm6E&list=RD2lWGSMlmm6E&start_radio=1

    ફિલ્મ ગેસ્ટ હાઉસ (૧૯૫૯) માટે સંગીતકાર ચિત્રગુપ્તે ગીતો તૈયાર કર્યાં હતાં. તેના ગીત ‘તેરા જાદૂ ના ચલેગા ઓ સપેરે’ના વાદ્યવૃંદમાં બીનના સ્વરો આસાનીથી પારખી શકાય છે.

    https://www.youtube.com/watch?v=TQKDYHT27I4&list=RDTQKDYHT27I4&start_radio=1

    ૧૯૫૯ની જ ફિલ્મ દો ઉસ્તાદનું એક બીનપ્રધાન ગીત ‘તેરે દિલ કા મકાન’સાંભળીએ. સંગીત ઓ.પી. નૈયરનું છે.

    https://www.youtube.com/watch?v=qduPNtCA0WY&list=RDqduPNtCA0WY&start_radio=1

    ૧૯૫૯ની સાલની વધુ એક ફિલ્મ કવિ કાલીદાસ માટે એસ.એન.ત્રિપાઠીએ સંગીત તૈયાર કર્યું હતું. તેનું ગીત ‘દૂર દેસ સે કોઈ સપેરા આયા’સાંભળતાં જણાઈ આવે છે કે તેમાં બીનના ખાસ્સા પ્રભાવક અંશો છે.

    https://www.youtube.com/watch?v=YAa_QBn2vVo&list=RDYAa_QBn2vVo&start_radio=1

    ફિલ્મ નાચે નાગીન બાજે બીન (૧૯૬૦)નું ગીત ‘મૈં હૂં ગોરી નાગીન’માણીએ. સ્વરનિયોજન ચિત્રગુપ્તનું છે.

    https://www.youtube.com/watch?v=l2Y_XP39UHs&list=RDl2Y_XP39UHs&start_radio=1

    ૧૯૬૩માં રજૂ થયેલી ફિલ્મ સુનહરી નાગીનના ગીત ‘બીન ના બજાના યે દેખેગા જમાના’ના વાદ્યવૃંદમાં બીનના અંશો સ્પષ્ટ સાંભળી શકાય છે. સંગીત કલાણજી વીરજી શાહ(પછીથી કલ્યાણજી-આણંદજી બેલડી તરીકે પ્રખ્યાત થયા)નું છે.

    https://www.youtube.com/watch?v=h9j0-rmeTIE&list=RDh9j0-rmeTIE&start_radio=1

    ફિલ્મ ઈશારા (૧૯૬૪)નું એક ગીત ‘હો અબ્દુલ્લા નાગીનવાલા આ ગયા’ સાંભળીએ. સંગીત કલ્યાણજી વીરજી શાહનું છે.

    https://www.youtube.com/watch?v=s3RKXWIugN0&list=RDs3RKXWIugN0&start_radio=1

    શંકર-જયકિશનના નિર્દેશનમાં તૈયાર થયેલાં ૧૯૬૮ની ફિલ્મ શિકારનાં ગીતો ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. તે પૈકીનું બીનના અંશોથી સજેલું એક ગીત ‘પરદે મેં રહેને દો’માણીએ.

    https://www.youtube.com/watch?v=-PMyhpzlsS0&list=RD-PMyhpzlsS0&start_radio=1

    ૧૯૬૯ના વર્ષમાં પરદા પર રજૂ થયેલી ફિલ્મ નયી ઝીંદગીનું ગીત ‘બીખરી હૈ લટેં નાગીન કી તરહ’ બીનના કર્ણપ્રિય ટૂકડાઓથી ભરેલું છે. સંગીત ચિત્રગુપ્તનું છે.

    આ કડીમાં છેલ્લે ૧૯૮૬ની ફિલ્મ નગીનાનું લક્ષ્મીકાંત-પ્યારેલાલના સંગીતનિર્દેશનમાં બનેલું ગીત ‘મૈં તેરી દુશ્મન દુશ્મન તૂ મેરા’સાંભળીએ. આ ગીતના વાદ્યવૃંદમાં પણ બીનના અંશો ખાસ્સા પ્રભાવક જણાઈ આવે છે.

    પ્રસ્તુત કડીમાં સમાવિષ્ટ ગીતો સાંભળતાં લાગે કે આ વાદ્ય બીન અને સાપ વચ્ચે કોઈ અતૂટ સંબંધ હશે. આ એક સંપૂર્ણ ભ્રામક ખ્યાલ છે,જે લોકમાનસમાં ઘર કરી ગયો છે અને અંધશ્રદ્ધાની ચરમસીમાએ પહોંચીને બેઠો છે. આવા તદ્દન બિનવૈજ્ઞાનિક ખ્યાલથી અળગા રહી,આ ગીતોમાં સમાવિષ્ટ વાદ્ય બીન/પૂંગી/મહુવરને માત્ર અને માત્ર એક લોકવાદ્ય તરીકે જ માણવા અનુરોધ છે. સાથે એ પણ યાદ રાખવું જરૂરી છે કે આ સ્વરો અસલ બીનના નથી, પણ તેનો કોઈ અન્ય વાદ્ય થકી ઉભો કરાયેલો આભાસ છે.

    નોંધ :

    ૧) તસવીર નેટ પરથી તેમ જ વાદનની અને ગીતોની લિન્ક્સ યુ ટ્યુબ પરથી તેનો વ્યવસાયિક ઉપયોગ નહીં થાય તેવી બાંહેધરી સહિત સાભાર લીધી છે.

    ૨) અહીં પસંદ કરાયેલાં ગીતોમાં રસબિંદુ માત્ર અને માત્ર ચોક્કસ વાદ્ય જ છે.

    ૩) અહીં મૂકાયેલાં ગીતોની પસંદગી લેખકોની પોતાની છે. આ યાદી સંપૂર્ણ હોવાનો દાવો પણ નથી કે તે માટેનો ઉપક્રમ પણ નથી. તેથી અમુક ગીત કેમ ન મૂક્યું કે ચોક્કસ ગીત રહી ગયાની નોંધ લેવાને બદલે આ શ્રેણીના હેતુવિશેષનો આનંદ માણવા ભાવકમિત્રોને અનુરોધ છે.


    સંપર્ક સૂત્રો :

    શ્રી પિયૂષ પંડ્યા : ઈ-મેલ: piyushmp30@yahoo.com
    શ્રી બીરેન કોઠારી : ઈ-મેલ: bakothari@gmail.com

  • ફિલ્મી ગઝલો – ૧૧૩. પ્રકાશ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    પ્રકાશ નામના ગીતકાર ૧૯૫૦ ના દાયકામાં થઈ ગયા. ‘ ગૂંજ ‘ અને ‘ રાગરંગ ‘ નામની ૧૯૫૨ ની બે ફિલ્મોમાં એક એક ગીત લખનાર પ્રકાશ બક્ષી નામના ગીતકાર પણ આ જ ગાળામાં થઈ ગયા. આ બન્ને એક જ વ્યક્તિ છે કે અલગ અલગ એનું કોઈ સૂત્ર મળતું નથી.

    પ્રકાશ નામધારી ગીતકારે રૂપકહાની, તિતલી, પહલા આદમી, છોટા ભાઈ, મંઝૂર, ડોલતી નૈયા અને માંગ જેવી ફિલ્મોમાં વીસેક ગીતો લખેલા. અન્ય અનેકની જેમ એમના વિષે પણ બીજી માહિતી મળતી નથી.

    એમની લખેલી એક ગઝલ આ રહી. આ ગઝલ પણ બે સ્ત્રી અવાજોમાં સવાલ જવાબ રૂપે છે –

    ન જાને આજ ક્યોં ગભરા રહી હો
    નઝર કુછ બહકી બહકી આ રહી હો

    જો દિલ મેં હૈ વહી બતલા રહી હો
    હમેં બાતોં સે ક્યોં બહલા રહી હો

    તુમ્હારી બાત ઔર ઈલ્ઝામ હમ પર
    યે ક્યોં મુજરિમ હમેં ઠહરા રહી હો

    જરા આંખેં મિલાઓ ફિર મૈં જાનું
    નઝર ક્યોં તુમ ચુરાએ જા રહી હો

    છુપાએ ના બની જબ બાત આખિર
    તો અપને દિલ કો યું સમજા રહી હો

    જરા દેખો તો દિલ કે આઈને મેં
    યે મૈં હું યા કે તુમ શરમા રહી હો..

    લતા મંગેશકર, ઉમા દેવી
    માંગ (૧૯૫૦)
    ગુલામ મોહમ્મદ

     


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૭ – ज़िन्दगी हर कदम एक नयी जंग हैं

    નિરંજન મહેતા

    ૧૯૮૫ની ફિલ્મ ‘મેરી જંગ’નુ એક પ્રોત્સાહિત કરતુ ગીત છે

     

    जीत जायेंगे हम
    जीत जायेंगे हम
    तू अगर संग हैं
    ज़िन्दगी हर कदम
    एक नयी जंग हैं
    तूने ही सजाये हैं
    मेरे होठों पे ये गीत
    तेरी प्रीत से जीवन
    में बिखरा संगीत
    मेरा सब कुछ तेरी
    देंन है मेरे मन के मीत

     हौसला छोड़
    कर सामने जहा का
    बदल रहा हैं देख
    रंग आसमान का
    ये शिकस्त का नहीं
    ये फ़तेह का रंग हैं

    रोज़ कहा ढूँढेंगे ये
    सूरज चांद सितारों को
    आग लगा कर हम रोशन
    कर लेंगे अंधियारों को
    घूम नहीं जब तलक
    दिल में ये उमंग हैं

    કોઈનો સહારો હોય તો જીવનની મુશ્કેલીઓનો સામનો સહેલાઈથી કરી શકાય તે આ ગીતનો મર્મ છે.

    જીવનમાં ડગલેણે પગલે મુશ્કેલીઓ તો આવવાની. કંટકભર્યા આ રસ્તે સાથીનો સહારો જ તમારા મુખ પર સ્મિતની લહેરખી દોડાવાશે.

    સાથે સાથે આપણે સાથીનો આભાર પણ માનીએ છીએ કે જે કાંઈ મેં મેળવ્યું છે તે તારી મહેરબાનીથી. મારા જીવનમાં તે જ સંગીતને ઉજાગર કર્યું છે. ત્યારે સલાહ મળે છે કે તારે હિંમત ન હારવી જોઈએ. નીડર બની મુશ્કેલીઓનો સામનો કરવો જોઈએ. પરિસ્થિતિ બદલાઈ રહી છે ત્યારે તે તારી હાર ન માનતા તારી જીતના સ્વરૂપમાં જોશે તો તે મુશ્કેલી આસાન બની જશે.

    આગળ કહ્યું છે કે રોજ રોજ કોણ તને માર્ગ દેખાડશે? બહેતર છે કે તું જ તારા જીવનના આ અંધકારને ઓળંગીને તારી જિંદગીને પ્રકાશમય કર. જ્યાં સુધી તારા મનમાં ઉમંગ છે ત્યાં સુધી તું નિશ્ચિંત મુશ્કેલીઓને વળોટીને આગળ વધી શકીશ.

    https://youtu.be/hYPktmwYA-g?si=weOKdfPzrhC37XHW


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • જૂથનું બળ

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક ગામ હતું. ગામની વચ્ચોવચ્ચ એક નાનું ઝાડ હતું.આ ઝાડ ઉપર નીની ચકી અને મુમુ ચકી સરસ માળા બનાવીને એમાં પોતાના ચકલાઓ સાથે રહેતી હતી. નીની અને મુમુ બંને બહેનપણીઓ. એમના ચકલા સુમો અને મોન્ટુ પણ એકબીજાના ભાઈબંધ. ચારેય જણ સાથે સાથે આનંદ કરે.

    થોડા સમય પછી નીની અને મુમુએ ઈંડા મૂક્યાં. ચારેય પંખીઓ ઘણા ખુશ થયા. પછી તો નીની અને મુમુએ બહાર જવાનું બંધ કરી દીધું. એ લોકો તો આખો દિવસ ઈંડાને સેવે અને એમાંથી બચ્યાંની બહાર નીકળવાની રાહ જુએ. બંને બહેનપણીઓ પોતપોતાના માળામાં બેસીને વાતો કરે કે હવે તો આપણા બચ્ચાં આવશે. આપણે એમને સરસ દાણા ખવડાવીશું. પછી ઉડતા પણ શીખવાડીશું. આમ વાતોવાતોમાં એમનો દિવસ આનંદમાં પસાર થઇ જાય. સાંજે બંને ચકા માળામાં પાછા ફરે પછી ચારે ય જણ દિવસભરની વાતો કરે.

    એક દિવસ કંઇક જુદું થયું. સુમો અને મોન્ટુ રોજની જેમ સાંજે માળામાં પાછા ફર્યા. જુએ છે તો એમની ચકલીઓ માળાની બહાર બેસીને રડતી હતી. ચકલાઓને ચિંતા થઇ. એમણે પૂછ્યું, “નીની, મુમુ, કેમ રડો છો?”

    ચકલીઓ તો કશો જવાબ ન આપે અને બસ રડ્યા જ કરે. પછી ચકલાઓએ માળામાં જોયું તો એમાં એક પણ ઈંડું જ નહીં! એમને નવાઈ લાગી- અરે! ઈંડા ક્યાં ગયા? નીનીના માળામાં ચાર અને મુમુના માળામાં સરસ મજાના ત્રણ ઈંડા હતા. થોડા દિવસો પછી તો એમાંથી બચ્ચાં નીકળવાના હતા.

    પછી નીની અને મુમુએ રડતાં રડતાં ચકલાઓને કહ્યું, “એક મોટી સમડી આવી હતી. એ આપણા બધા ઈંડા ખાઈ ગઈ. અમે બન્ને એને ઘણું કરગર્યા, પણ એણે એમનું ન સાંભળ્યું. ઉપરથી એણે તો પાંખની એક ઝાપટ મારીને અમને દૂર મોકલી દીધી. અમે બંને રડતી રહી એને સમડી બધા ઈંડા ખાઈ ગઈ.’

    આ સાંભળીને સુમો અને મોન્ટુ પણ ઘણા ઉદાસ થઇ ગયા. પણ થઇ શું શકે? એમણે સમજાવીને એમની ચકલીઓને છાની રાખી.

    થોડા સમય પછી પાછો નીનીનો ઈંડા મૂકવાનો સમય થયો. પણ આ વખતે એ ઈંડા મૂકવાથી જ ડરતી હતી. એણે ઘણી વાર પેલી સમડીને એમના ઝાડની આજુબાજુ ચકરાવા લેતી જોઈ હતી. સુમોને પણ ડર તો હતો જ. એ લોકો બીજા વૃક્ષ ઉપર માળા બાંધી શકે. પણ સમડીનો શું ભરોસો? એ તો ગમે ત્યાં પહોંચી શકે. હવે શું કરવું?

    એક દિવસ સુમો, મોન્ટુ, નીની અને મુમુ આને માટે વિચાર કરવા બેઠાં. થોડું વિચારીને નીનીએ કહ્યું, “આપણા ઝાડથી થોડેક જ દૂર એક બીજું નાનું ઝાડ છે. મેં એના ઉપર ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓને રહેતાં જોયાં છે. એમને પણ સમડી હેરાન તો કરતી જ હશે. આપણે એમને પૂછીએ કે એ લોકો એને કેવી રીતે ભગાડે છે?”

    બધાને આ વિચાર ગમ્યો. બીજે દિવસે સાંજે એ ચારેય તો ઉપડ્યાં એ બાજુના ઝાડ ઉપર રહેતા એ પંખીઓને મળવા. ત્યાં જઈને એમણે પોતાની ઓળખાણ આપી. પછી એ પંખીઓને પોતાની મૂંઝવણ જણાવી. એ પંખીઓને પણ પણ સમડી એવી જ રીતે હેરાન કરતી હતી. એમના ઈંડાને પણ એ ખાઈ જતી હતી અને એ બધા પણ એનાથી બચવાનો ઉપાય શોધતા જ હતાં.

    થોડી વાર વિચાર કરીને મોન્ટુ ચકલાએ કીધું, *મને એક વિચાર આવે છે. આપણે બધા સાથે મળીને એ સમડીને જરૂર ભગાડી શકીએ.’ પછી એણે બધાં પંખીઓને પોતાનો વિચાર જણાવ્યો.

    બધા એને સાથ આપવા તૈયાર થયા. મોન્ટુએ કહ્યું, “આપણે એકવાર ડરવાનું બંધ કરીશું તો જ આપણો ડર જશે.’

    થોડા દિવસ પછી નીનીએ પોતાના માળામાં ચાર ઈંડા મૂક્યાં. એ દિવસથી એમણે નક્કી કર્યા પ્રમાણે બાજુના ઝાડના પંખીઓ વારાફરતી એના માળાની નજીક આવી જાય. પછી ઝાડની ડાળીઓમાં સંતાઈ જાય. બધા વારાફરતી ચણવા જાય એટલે નીની ક્યારેય એકલી ન પડે. આ વાતથી અજાણ સમડીએ એક દિવસ નીનીના માળામાં ચાર નાના નાના મસ્ત ઈંડા જોયાં. એના મોઢામાં તો પાણી આવી ગયું. એ ઈંડા ખાવા માટે નીચે ઉતરી અને એ ઝાડની એક ડાળી ઉપર આવીને બેઠી.

    પણ આ શું? એ માળાની નજીક જાય એ પહેલા તો આજુબાજુથી બીજી ઘણી ચકલીઓ અને બીજા નાના પંખીઓ આવી ગયાં. બે ત્રણ પંખીઓ ઊડીઊડીને એને ચાંચો મારવા માંડ્યા. તો અમુક એની પૂંછડીમાંથી પીંછા ખેંચવા માંડ્યા. સમડી જોરથી પાંખો ફફડાવે એટલે થોડી વાર માટે બધાં ઉડી જાય પણ તરત જ પાછા આવે. સમડીને ચાંચો મારે. એક બે આવા નાના પંખી તો સમડી પહોંચી વળે. પણ આટલા બધાની સામે શું કરી શકે?

    સમડી અકળાઈ ગઈ અને ‘બીજી વાર આવીશ’ એમ વિચારીને જતી રહી. બે દિવસ પછી એ ફરીથી આવી. આ વખતે પણ એવું જ થયું. એની પૂંછડીમાંથી ઘણા બધા પીંછા ખેંચાઈ ગયા.

    આવું બે ત્રણ વાર થયું એટલે સમડી સમજી ગઈ. તેને થયું-આ પંખીઓ ભલે નાના છે, પણ એમની પાસે જૂથનું બળ છે. એટલે હવે એમને જીતી નહીં શકાય.

    સમડી ત્યાં આવતી બંધ થઇ ગઈ. બધાં પંખીઓને શાંતિ થઇ ગઈ. થોડા સમયમાં નીનીના ઈંડામાંથી સરસ મજાના બચ્ચાં નીકળ્યાં. મુમુ અને મોન્ટુની સાથે એમના બધા નવા મિત્રો પણ એમને રમાડવા આવ્યા. એ મિત્રોને સમજાઈ ગયું હતું કે હેરાન કરે એનાથી ડરવાનું નહીં. ભેગા મળીને એનો સામનો કરીએ તો જીત મળે જ.


    ગિરિમા ઘારેખાન | મો-૮૯૮૦૨૦૫૯૦૯

  • ઋતુના રંગ : ૪ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર.

    તા. ૧૨ – ૨ – ૩૬

    વહાલાં બાળકો !

    હજી શિયાળો ચાલે છે. એમ એ કાંઈ ઝટ નહિ જાય. ટાઢ હોળી તાપીને જશે, અને જતાં જતાં પૂછડું પછાડશે. તે વખતે છેલ્લી વારની ઠંડી પડી જશે.

    હા, હમણાં જરા ગરમ હવા થઈ છે. ગિજુભાઈએ ગરમ બંડી કાઢી નાખી છે. ગિજુભાઈને ટાઢ બહુ વાય છે; જ્યારે ગિજુભાઈ બંડી કાઢી નાખે ત્યારે સમજવું કે હવે ઉનાળો નજીક છે.

    પણ હજી શિયાળાનો વા વારંવાર વાય છે. શિયાળુ પંખીઓ હજી અહીં છે. શિયાળો ગાળવા આવેલું થરથરા હજી એક થાંભલેથી બીજે થાંભલે બેસે છે, અને જરા નીચે બેસી પાછું ઊંચું થઈ ઊડી જાય છે. પેટ અને નીચલો ભાગ ઈંટ જેવો લાલ અને ઉપલો કાળો, એવો એનો રંગ છે; જરાક નિરાંતે જોશો તો તુરત તે ઓળખાશે. તે ઝટઝટ ઊડી જાય છે, એટલે તમને નિરાંતે જોવા તો નહિ જ દે.

    વારુ, હવે થોડીક ગરમીની શરૂઆત થઈ છે, એટલે ટુકટુક દેખાવા લાગ્યું છે. આપણા વાળાના થાંભલે તે બેઠેલું દેખાશે. થાંભલામાં હવે તે પોતાની ચાંચે ગોળ ઊભો ખાડો પાડશે, અને આગળ ઉપર તેમાં તે પોતાના માળા મૂકશે. ટુકટુક પોતાનો માળો બાંધતું નથી, પણ લાકડામાં ખોદી કાઢે છે.

    ટુકટુક રૂપાળું પક્ષી છે. તેની ચાંચનો ઉપરનો ભાગ લાલ રંગનો છે, અને પીછાં લીલા રંગનાં છે; તેને જોવું ગમે તેવું છે. હવે જેમ ગરમી વધતી જશે તેમ તેમ ટુકટુક બોલશે. પોતાનું ડોકું એક વાર જમણી બાજુ અને બીજી વાર ડાબી બાજુ હલાવશે, અને દરેક વખતે તે ટુક…..ટુક બોલશે. આપણે અજાણ્યા હોઈએ તો આપણને લાગે કે આમ કોણ કરતું હશે ? કોઈને પક્ષીનો વહેમ તો જાય જ નહિ. જ્યારે બરાબર ગરમી પડશે ત્યારે તેનો એવો અવાજ આવશે કે જાણે કોઈ લુહાર ઠામ ઘડે છે. ટણિંગ ટણિંગ એવો અવાજ આવશે. એટલે તો કેટલાક એને લુહારીડો કહે છે. અંગ્રેજીમાં તેને કોપરસ્મીથ કહે છે.

    વારુ, હવે શિયાળો ઊતરશે એટલે ગરીબ લોકો રાજી થશે. હાથેપગે ચડી ગયેલો મેલ એની મેળાએ મેળાએ ઊખડશે. એવી કહેવત છે કે ” ફાગણે ફુવડનો ય મેલ જાય. ”

    હમણાં જામફળ-જમરૂખ સુંદર આવે છે. જામફળ ધોળાં અને રાતાં બે જાતનાં થાય છે. તમને કઈ જાતનાં ભાવે છે ? મને તો બન્ને જાતનાં ભાવે છે. શિયાળાનું બીજું ફળ બોર છે. એ તો તમે ધરાઈને ખાતાં હશો. આપણે એક વાર બાલમંદિરમાં ગાજર અને બોર આણ્યાં હતાં, ખરું ? ગાજર ફળ નથી પણ કંદમૂળ છે. ગાજર ખવાય, હો ! ગાજરમાં વિટામીન છે. અમે નાના હતા ત્યારે ગાજર બહુ ખાતા. કરડ કરડ ખાધે જ રાખતા. એનો વચલો ભાગ ન ખાતા; એ કડવા જેવો લાગે. ગાજર ખાઓ, મૂળા ખાઓ, રીંગણાં ને પાપડી ખાઓ; આ બધાં શિયાળુ શાક ખાઓ. ચણા-રીંગણાંનું શાક પણ ખાશો જ ખાશો.

    બાકી તમારે ત્યાં અડદિયો, ગડદિયો, ગૂંદરિયો, બૂંદરિયો, એવા પાક કર્યા હોય તો તે પણ ખાઓ; બદામપાક ને સાલમપાક ખાઓ. ગરીબનાં છોકરાં રોટલા ખાય, તમે પાક ખાઓ.

    આ તો શિયાળો છે; હવે ઉનાળો આવશે. તે વખતે દાઢી ડગડગાવે એવી ટાઢ કેવી હતી તે પણ તમે ભૂલી જશો. તે વખતે કહેશો કે શિયાળો કેવો હતો ? વારંવાર શિયાળો આવશે ને વારંવાર પાછું તમે ભૂલી જશો. એમ છે, ત્યારે ! એ જ.

    લિ. તમારો

    ગિજુભાઈ


  • સંભારણું – ૬-૧૯૭૨ થી ૨૦૨૨ – આજીવન શિક્ષિકા

    શૈલા મુન્શા

    અષાઢમાં આવતો ગુરુ પૂર્ણિમાનો તહેવાર બધા શિક્ષકોના જીવનનો મહત્વનો અને યાદગાર દિવસ હોય છે. મારા માટે આ પચાસ વર્ષની યાત્રા અતિ મુલ્યવાન સંભારણું છે.

    આજે ઘણા સમયે ડાયરી હાથમાં લીધી, કારણ એક તો નીંદર આંખથી વેરણ થઈ ગઈ હતી. નિંદ્રાદેવીને શરણે જવાના પ્રયાસ નાકામા થતાં લાગ્યાં ત્યારે થયું મનમાં ઊભરાતા વિચારોના વંટોળ જંપવા નહિ દે, અને ક્યાંથી જંપવા દે!!! આવતી કાલની સવાર બસ મારા જીવનના એક અધ્યાયની છેલ્લી સવાર! વર્ષો વિતાવેલી શિક્ષિકાની કારકિર્દીને આખરી સલામ!!!

    યૌવનના પગથારે કોઈ ખાસ ઘટના કે બનાવ એક ડાયરીમાં ટપકાવવાની આદત હતી, થોડા વર્ષો એ ક્રમ ચાલ્યો અને વિસરાયો, પણ અમેરિકા આવી સામાનમાં સાથે રાખેલી ડાયરીએ ફરી રોજિંદા પ્રસંગો રુપે અવનવા પ્રસંગો ટપકાવવાની એ ટેવ સજીવન થઈ.

    ૧૯૭૨ થી ૨૦૨૨
    પચાસ વર્ષનો સમયગાળો!! મારા જીવનનુ અવિસ્મરણીય સંભારણું,

    ૧૯૭૨નો એ ગોઝારો દિવસ જ્યારે અમે અમારી મમ્મીને એક જીવલેણ અકસ્માતમાં ગુમાવી. પપ્પાનું અવસાન પહેલાં જ થઈ ગયું હતું અને મમ્મી નૂતનવિદ્યામંદિર સ્કૂલમાં શિક્ષિકાની નોકરી કરી અમારો ઉછેર કરી રહી હતી. મારું કોલેજનું ભણતર હજી પુરું જ થયું હતું અને આ કારમો આઘાત સહેવાનો વારો આવ્યો. મારાથી નાની બહેન અને સાવ નાનકડો ભાઈ.

    કહેવાય છે કે રાતે અસ્ત થતો સૂર્ય સવારે ઉદય પામે જ છે એમ મારા જીવનમાં બે સૂર્યનો ઉદય થયો. અમારા નાના, નાનીએ અમારો હાથ ઝાલી અમને પાંખમાં લીધાં અને સ્કૂલના સંચાલકોએ મને મમ્મીની જગ્યાએ સ્કૂલમાં શિક્ષિકાની નોકરી આપી મારા મમ્મી પ્રત્યેનો આદર અને અહોભાવ એ રીતે વ્યક્ત કર્યો.

    જે સ્કૂલમાં હું મમ્મીની દીકરી બની પ્રસંગોપાત જતી ત્યાં એક સહ શિક્ષિકા તરીકે સહુએ મને વહાલ અને પ્રેમથી અપનાવી લીધી. મારા વડીલ શિક્ષકગણની હું લાડકી દીકરી જ રહી, સહુની દોરવણી અને માર્ગદર્શને સરળતાથી હું જીવનનો એ અધ્યાય શરુ કરી શકી. એકવીસ વર્ષના એ સમયગાળામાં કેટલું મેળવ્યું અને કેટલું ગુમાવ્યું!!

    દર વર્ષે આવતાં નવા વિદ્યાર્થીઓ જેમને મેં દસમા, અગિયારમાં ધોરણમાં ભણાવ્યા એ આજ સુધી મને એટલો પ્રેમ અને આદર આપી રહ્યાં છે, સતત સંપર્કમાં છે. ૧૯૭૨થી ૧૯૯૩, હજારો વિદ્યાર્થીઓ આજે એમના જીવનમાં પ્રગતિ કરી રહ્યાં છે અને એમની પ્રગતિનું શ્રેય જ્યારે અમ શિક્ષકોને આપે છે ત્યારે જીવતર ધન્ય થયું લાગે છે. ૨૦૦૦ની સાલમાં અમેરિકા જવાનુ થયું પણ નૂતનવિદ્યામંદિર, એ શિક્ષકગણ અને વિદ્યાર્થીઓની યાદનો ખજાનો મારા હૈયામાં સંઘરાયેલો રહ્યો.

    મારી ૨૦૧૮ની ભારત મુલાકાત એ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ યાદગાર બનાવી દીધી. મારા માટે ખાસ મોટા મેળાવડાનું આયોજન કર્યું. મમ્મી સાથે કામ કરી ચુકેલા અને મારી સાથે પણ કામ કરી ચુકેલા કેટલાક વડીલ શિક્ષકોને મળવાનો, એમનો વાત્સલ્યભર્યો હાથ આશીર્વાદરુપે મસ્તકે અનુભવવાનો અનેરો લહાવો મળ્યો સાથે કેટલાકના અવસાનના સમાચાર દિલને રડાવી ગયા.

    એ બાળકો જે આજે તો પચાસની ઉમરે પહોંચવા આવ્યા છે, એમની સાથે વિતાવેલી એ સાંજ અને સ્કૂલના જુના અનુભવો, અમારી ખાસિયતો, અનુભવોના પ્રસંગો ફરી એમના મુખે સાંભળી હાસ્યના ફુવારાથી હોલ ઝાકમઝાળ થઈ ગયો. કેટલાય સ્મરણોનું નવું ભાથું યાદોના ખજાનામાં ઉમેરાયું!!!
    ૨૦૦૧ થી અમેરિકામાં પણ મારો મનગમતો વ્યવસાય શિક્ષિકાનો જ અપનાવ્યો, ફક્ત ફરક એટલો હતો કે અહીં અમેરિકામાં દિવ્યાંગ બાળકો, માનસિક રીતે થોડા અસ્વસ્થ બાળકો સાથે સમય વિતાવવાનો મોકો મળ્યો. અહીં આવી નવી શિક્ષણ પધ્ધતિ અને બાળકોને મળતા વિવિધ લાભ વિશે ઘણુ શીખવા મળ્યું.

    અમેરિકામાં બાળકોને બધા જ પ્રકારની સગવડ અને ખાસ કરી ભણતર માટે જે સુવિધા છે એને NCLB (NO CHILD LEFT BEHIND) કહેવાય છે. જ્યાં બાળકોને અને એમના ભણતરને સર્વ પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે. બધી જ પબ્લિક સ્કૂલમાં બારમા ધોરણ સુધી વિદ્યાર્થીઓને મફત શિક્ષણ મળે. વિદેશી બાળકોને અંગ્રેજી શિખવાડવા દરેક સ્કૂલમાં ખાસ સુવિધા હોય.

    ભારતમાં ભલે હું માધ્યમિક વિભાગના બાળકોને ભણાવતી હતી, પણ અમેરિકામાં પ્રાથમિક વિભાગ જેને પ્રાથમિક શાળા કહેવાય છે ત્યાં ૨૨ વર્ષ નાના ત્રણ થી છ વર્ષના દિવ્યાંગ બાળકો સાથે કામ કર્યું અને જીવનમાં ઘણા નવા અનુભવોનું ભાથું ભેગું કર્યું. દરેક બાળકની પીડા, જુદી જુદી લાગણી, જુદા જુદા લેબલ એમની માનસિક અવસ્થા પ્રમાણે, અને સાથે માતા પિતાનું વર્તન એમની સાથે!!

    દુનિયાની નજરે દિવ્યાંગ બાળકો, મારી નજરે કોઈ સામાન્ય બાળકથી કમ નથી એ મને સમજાયું. આ નિર્દોષ દેવદૂતોનો અઢળક પ્રેમ હું પામી. બે દિવસની ગેરહાજરી પછી જ્યારે સ્કૂલે પહોંચુ અને બધા બાળકો કિલકારી કરતાં વિંટળાઈ વળે એ સુખ જેણે માણ્યું હોય એ જ જાણે!! એમના નટખટ તોફાનો અને મસ્તીએ મને એમના રોજિંદા પ્રસંગો લખવા પ્રેરણા આપી અને મારા બ્લોગ પર લખાતાં એ પ્રસંગો “બાળ ગગન વિહાર” પુસ્તક રુપે પ્રકાશિત થયાં. એ પુસ્તકના પ્રસંગોએ ભારતના ખંભાત શહેરના શિક્ષક રાજેશભાઈને દિવ્યાંગ બાળકો સાથે કામ કરવાના નવા વિચાર મળ્યાં અને એમનો આભાર વ્યક્ત કરતો પત્ર જ્યારે મને મળ્યો ત્યારે મને મારું કાર્ય અને જીવવું સાર્થક લાગ્યું.

    ૮ જુન ૨૦૨૨ના દિવસે શિક્ષિકા તરીકેના મારા જીવનના એક અધ્યાયનું સમાપન થયું. શિક્ષિકા તરીકે નિવૃત થઈ. પચાસ વર્ષ મોટા થી નાના બાળકો વચ્ચે વિતેલી જીંદગી!! ભારત અને અમેરિકા, બધેથી મળેલો અને આજે પણ મળતો રહેલો નિઃસ્વાર્થ પ્રેમ, એ મારો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર છે.

    નિવૃત થવાનો વિચાર કર્યો ત્યારથી મન વિતેલા વર્ષોનુ સરવૈયું કાઢી રહ્યું હતું અને પલ્લું બસ પ્રેમ, પ્રેમ, આદર અને મળેલી લાગણીથી ઝુકેલું હતું.

    હ્યુસ્ટનની મોટી સ્કૂલ ડિસ્ટ્રીક (Houston Independent school District) એના special need Department તરફથી લગભગ ૪૦૦ જેટલી સ્કૂલમાંથી મને મળેલો Best Teacher Assistant નો ખિતાબ મારા માટે સર્વોત્તમ પુરસ્કાર છે.

    સ્કૂલના છેલ્લા દિવસે પ્રિંન્સીપાલ, સહુ સાથી શિક્ષકો, સ્ટાફ તરફથી મળેલું માન સન્માન અને વિશેષ તો મારા નાના બાળકો અને એમના માતા પિતા તરફથી મળેલા લાગણીસભર પત્રો એ મારા જીવનનું અતિ મુલ્યવાન સંભારણું છે.

    કાલ હું નહિ રહું, પણ મારા મોટા કે નાના વિદ્યાર્થીઓના મનમાં શૈલાબહેનની એક મીઠી યાદ જરુર રહેશે અને એ જ તો મારી મુડી છે!

    મારા જીવનનું એક અતિ મુલ્યવાન સંભારણું છે.

    અસ્તુ,


    સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::

    ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
    બ્લૉગ: www.smunshaw.wordpress.com

  • કીડી પર કટક ને વરુ છુટ્ટા ફરે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ‘સમયના જે તબક્કામાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ એનાથી તમે વાકેફ ન હો તો  મારી વાર્તાઓ વાંચો અને તમે એ વાર્તાઓ સહન કરી શકતા ન હો એનો અર્થ એ કે આ સમય જ અસહ્ય છે. મારા લેખનમાં કોઈ ખામી નથી.’ આ વાત ખ્યાતનામ ઉર્દૂ વાર્તાકાર સઆદત હસન મંટોએ લખી હતી. આ વાત વારેવારે યાદ આવે છે, પણ મંટોના સંદર્ભે નહીં. સંદર્ભો બદલાતા રહે છે.

    આજકાલ ઈન્દોરસ્થિત એક કાર્ટૂનિસ્ટ હેમંત માલવિયાની પાછળ મધ્ય પ્રદેશની સરકાર લાગેલી છે. હેમંત માલવીયાએ ચીતરેલા, વડાપ્રધાન મોદી અને તેમની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ને દર્શાવતા એક કાર્ટૂનથી દુભાઈને એક કાર્યકર્તા દ્વારા માલવિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી. એ પછી અદાલતમાં આ મામલો આવતાં અદાલતને એ કાર્ટૂન ‘અભદ્ર’ જણાયું. માલવિયાને આગોતરા જામીન આપવાનો ઈનકાર કરવામાં આવ્યો.

    હેમતં માલવીયાનું એક જૂનું કાર્ટૂન 
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    અલબત્ત, કાર્ટૂનિસ્ટ માલવિયાએ જણાવ્યું કે એ કાર્ટૂન પોતે કોવિડના સમયગાળા દરમ્યાન બનાવેલું. પરિસ્થિતિ જોતાં અદાલત કાર્ટૂનિસ્ટને પાઠ ભણાવવા મક્કમ હોય એમ લાગે છે. અગાઉ એક વાર માલવિયાએ બાબા રામદેવનું એક કાર્ટૂન ચીતરીને તેમનો ખોફ વહોરી લીધો હતો. બાબાએ તેમની પર દાવો માંડી દીધો હતો.

    આવી કોઈક પરિસ્થિતિ ઊભી થાય ત્યારે મંટોનું કથન યાદ આવે છે. કાર્ટૂનિસ્ટો ખરું જોતાં સમાજને અરીસો ધરે છે. એમની રીત આગવી હોય છે, અને વ્યંગ્યની ધારને કારણે એ ધાર્યું નિશાન પાર પાડી શકે છે. કાર્ટૂનિસ્ટે ધરેલા અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોઈને અકળાઈ જનાર એને સહન કરી શકતો નથી, એનો અર્થ એ કે મામલો જ અસહ્ય છે. પણ આ એમને સમજાવે કોણ? છેવટે સત્તાધારી પક્ષ પાસે આખેઆખું તંત્ર હોય છે અને તેના સહારે એ ‘કીડી પર કટક’ દોડાવે છે.

    બાબા રામદેવ ગુનાહિત બેદરકારી આચરે, અપપ્રચાર કરે અને લોકોને ગેરમાર્ગે દોરીને કરોડોનો વ્યાપાર કરે, પણ એમ કરતાં તેઓ પકડાઈ જાય ત્યારે એમને માત્ર ઠપકો આપીને જવા દેવામાં આવે છે. આથી થોડા સમય પછી બેશરમીથી તેઓ આવું તૂત લઈને ફરી વાર મેદાનમાં આવી જાય છે. આની  સામે એક કાર્ટૂનથી ન્યાયતંત્રને દેશની અખંડિતતા, એકતા, સુરક્ષા વગેરે જોખમાઈ જતાં લાગે છે. આ હકીકતથી મોટી મજાક શી હોઈ શકે?

    ગુજરાત રાજ્યમાં એક પુલ તૂટી જાય ત્યારે ભણતરે સિવિલ એન્‍જિનિયર એવા મુખ્યમંત્રી જણાવે છે, ‘ત્રેવીસ ગાળામાંથી એક ગાળો તૂટી ગયો છે.’ આનાથી વધુ સંવેદનહીન બાબત કોઈ હોઈ શકે ખરી? કાયદાની, નાગરિકોની આ મજાક નથી? પણ ના. આ બધાને નજરઅંદાજ કરીને પ્રમાણમાં નબળી પ્રજાતિ છે એની પર ધોંસ જમાવવાથી તેમની પર ધાક બેસાડી શકાશે એમ સરકારને લાગે છે. આવી પ્રજાતિમાં કાર્ટૂનિસ્ટોનો વારો ચડી જાય, એટલું જ નહીં, વારેવારે ચડતો રહે એમાં શી નવાઈ?

    શાસક પક્ષનું ટ્રોલ દળ વ્યક્તિની વય, પ્રદાન કે વ્યક્તિત્વની પરવા કર્યા વિના કેવળ સત્તાપક્ષની આલોચના કરનાર કોઈ પણનું ચરિત્રહનન કરી શકે, ખરાબમાં ખરાબ ગાળો બોલી શકે, યા નરાતળ જૂઠાણાં ફેલાવી શકે, અને તેની સામે કંઈ પગલાં લેવામાં ન આવે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક કશી બાબતની સાચી ટીકા કરે કે તરત તેની પાછળ તંત્રને દોડાવી મૂકવામાં આવે.

    થોડા મહિના અગાઉ મહિલા કાર્ટૂનિસ્ટ રચેતા તનેજાને પણ ‘અદાલતની અવમાનના’ બદલ દોડતાં કરાયાં હતાં. ‘સેનીટરી પેનલ્સ’ નામની પોતાની કાર્ટૂન શ્રેણીમાં તેમણે સર્વોચ્ચ અદાલતના સત્તાપક્ષ તરફી વલણની ટીકા કરતાં કાર્ટૂન દોર્યાં હતાં. અલબત્ત, તેમના વકીલે જણાવ્યું હતું કે અદાલતની ટીકા કંઈ એની અવમાનના નથી. રચેતાનાં કાર્ટૂનની વિશેષતા એ છે કે તેઓ કેવળ ‘સ્ટીકી ફીગર્સ’ તરીકે ઓળખાતાં, કેવળ પાતળી રેખાઓ વડે માનવાકૃતિઓ ચીતરે છે, જેમાં કોઈ પાત્રની વ્યક્તિગત ઓળખ સુદ્ધાં થઈ શકે એમ નથી. આથી તેમણે કહેલું, ‘વિશ્વની સૌથી મોટી લોકશાહી હોવાનો દાવો કરતા દેશની સર્વોચ્ચ અદાલત મારાં ‘સ્ટીકી ફીગર્સ’ વિશે વાત શી રીતે કરી શકે?’

    પોતાની ટીકાની જરાઅમથી ચેષ્ટાથી દોડતી થઈ જતી સરકારના, વિશ્વની સૌથી વિશાળ ગણાતી લોકશાહીના વડાપ્રધાને પોતાના અગિયાર વર્ષના શાસનકાળ દરમિયાન એક પણ પ્રેસ કોન્‍ફરન્‍સ નહીં યોજીને પોતાના વલણનો પુરાવો આપી દીધો છે, અને તેમના ચાહકોને એમાં કશો વાંધો નથી. બીજી તરફ અમેરિકા જેવા સર્વશક્તિમાન દેશના વડા ડોનાલ્‍ડ ટ્રમ્પ હવે એવા આપખુદ, અરાજક કે આખાબોલા હશે, પત્રકારોને મળવાનું ટાળ્યું નથી.

    સંવાદની આપણા દેશની ભવ્ય પરંપરાનાં ગાણાં ગાવાં સહેલાં છે, અને ગાણાં ગાતે ગાતે એ જ પરંપરાની હત્યા કરવી વધુ સહેલી છે. સમર્થકો પરંપરાની આવી હત્યાને વાજબી ગણાવે એમાં એમનો સ્વાર્થ હશે, યા સમજણનો અભાવ, કે ફરજનો ભાગ હશે, પણ તેમને સમજાતું નથી કે આના દ્વારા તેઓ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે, અને પોતાની રાજકીય મહત્ત્વાકાંક્ષા સંતોષવા માટે લોકશાહીનાં મૂલ્યોને તેઓ નેવે મૂકી રહ્યા છે. આમ કરવામાં દેશને જે નુકસાન થતું હશે એ થશે, એથી વધુ નુકસાન તેમને પોતાને થઈ રહ્યું છે. પણ ખેર! એ તો લાંબા ગાળાની વાત છે.

    સરકારને આમ કરવામાં કદાચ પોતાની બહાદુરી લાગતી હશે, પણ ખરેખરા બહાદુર એ કાર્ટૂનિસ્ટોને કહી શકાય, જેઓ એકલે હાથે, કટકની પરવા કર્યા વિના પોતાને જે લાગે છે એ ચીતરવાની હિંમત દર્શાવે છે, અને વારંવાર દર્શાવતા રહે છે.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)