વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • માંગને સે જો મૌત મિલ જાએ…

    યશવન્ત મહેતા

    ડિસેમ્બર ૨૦૨૪ની પ્રારંભિક તારીખોના ઘણા ચિંતાજનક સમાચારો વચ્ચે એક વિચારપ્રેરક સમાચાર છે. બ્રિટનની પાર્લામેન્ટે બહુમતીથી ઇચ્છા-મૃત્યુને કાનૂની મંજૂરી આપી છે. માણસ એ હદે બીમાર હોય કે મુંબઈની પેલી કમભાગી નર્સની જેમ દાયકાઓથી કોમામાં હોય કે એ હદે વૃદ્ધ હોય કે એને (અને સ્વજનોને પણ) લાગે કે “આ જીવન હવે લંબાવવું નિરર્થક અને પીડાદાયી છે” ત્યારે એ જીવનની સમાપ્તિ જ ઇચ્છનીય ગણાય.

    આ જ દિવસોમાં ‘સદ્ભાવના સાધના’ સામયિકમાં વિસનગરના ડૉક્ટર દ્વારકાદાસ જોશીની જીવનકથામાં વાંચ્યું કે એમણે હવે આ જીવન લંબાવવું નિરર્થક છે એમ સમજીને ૯૪ વર્ષની વયે એક નિશ્ર્ચિત તારીખથી ખાવાનું અને કેટલાક દિવસ પછી પાણી પીવાનું પણ બંધ કર્યું, અને એ રીતે પોતાનું સાર્થક જીવન સમાપ્ત કર્યું.

    મારા સસરાજી, વૈદ્ય શાસ્ત્રી અમૃતલાલ કે. રાવળે પણ ૯૫ વર્ષની વયે એક માંદગી આવી એટલે દવા અને ખોરાક પાણી લેવાનું બંધ કર્યું હતું. માત્ર ને માત્ર ગંગાજળ લેતા. એ ખૂબ નિરાંતે અવસાન પામ્યા. સારું થયું કે ડૉ. જોશી અને દાદાજીને કાનૂને સતાવ્યા નહિ. બાકી હજુ હમણાં સુધી (૨૦૧૪ સુધી) આપણા દેશમાં બ્રિટિશ પ્રણાલિકાઓના કાનૂનોની બોલબાલા હતી.

    ખ્રિસ્તીધર્મમાં વાસ્તવમાં ગર્ભપાત સહિત કોઈ પણ પ્રકારના જીવ-નિર્વાણને અપરાધ ગણવામાં આવતા. દેશના તત્કાલીન ફોજદારી કાનૂનની ૨૦૯ કે ૩૦૯ કે એવી કોઈ કલમ હેઠળ આપઘાતનો પ્રયાસ કરનારને એક વર્ષ સુધીની કેદની સજા અથવા દંડ અથવા કેદ અને દંડ, એ બંનેની સજા કરવાની જોગવાઈ હતી. આપઘાત આદરનાર અગર મરણ પામે તો તો છૂટી જાય, પરંતુ જીવી જાય તો જે યાતનામાંથી કે નાલેશીથી કે બદનામીથી બચવા માટે એ મરી જવા આતુર હોય તે તો ભોગવે જ, ઉપરાંત જેલ ભોગવે. કદાચ ૨૦૧૪માં ભારતની સંસદે આ કલમ રદ કરી છે. હમણાં નવા બનેલા કાનૂનોમાં શી પરિસ્થિતિ છે એની ખબર નથી. એક જૂની કહેવત છે : માગ્યાં મૉત ન મળે ! અને જો માગ્યાં મૉત મળે તો ? લતા મંગેશકરે ગાયેલી એક ગઝલ જૂની પેઢીના નાગરિકોને તો ખૂબ યાદ હશે. નવી પેઢીમાંયે ઘણાંએ સાંભળી હશે :

    “માંગનેસે જો મૌત મિલ જાતી તો
    કૌન જીતા ઇસ જમાને મેં….”

    જો માંગવાથી મૉત મળી જાય તો, આ જમાનામાં કોણ જીવવા માંગે ? સાસરિયાંના ત્રાસથી છૂટવા કોઈ યુવતી આપઘાત કરવા જાય પણ મરી ન શકે તો પોલીસ, વકીલ, અદાલત અને સમાજનો અમાનુષી ત્રાસ તો ચાલુ રહે.

    આપઘાતનું આ એક પાસું છે. કોઈને આપઘાત માટે પ્રેરવા અથવા એની પાસે આપઘાત સિવાય કશો વિકલ્પ જ ન રહે એવી પરિસ્થિતિનું નિર્માણ કરવું એ બીજું પાસું છે. આ સંજોગોમાં તો, આપઘાતની ઘટનામાં વ્યક્તિ સફળ થાય કે નિષ્ફળ જાય એને આ પગલું ભરવા માટે મજબૂર કરનાર અપરાધી જ રહે છે. એટલે કે આપઘાત કરનાર માટે આપઘાત ગુનો ન ગણાય તોય આપઘાતની પ્રેરણા આપનાર તો અપરાધી ઠરે છે.

    આપઘાતની ઘટનાનાં બે અન્ય પાસાં પણ છે. એક : વ્યક્તિ સ્વયમેવ સ્વ-નાશનો માર્ગ શોધી લે તે એક પાસું છે. ઝેર ખાવું કે પીવું, ગળે ફાંસો ખાવો, અગ્નિસ્નાન કરવું, જળ સમાધિ લેવી, ટ્રેઈન જેવા વાહન હેઠળ કચડાઈ મરવું, બંદૂક-પિસ્તોલ હાથવગી હોય તો એની ગોળી પોતાની ખોપરીમાં કે છાતીમાં દાગવી વગેરે… વગેરે. એક રીત છે તેમાં પેટમાં પોતાની તલવાર ભોંકવી એ જાપાનની હારાકીરી નામની આપઘાતની રીત પણ આવી જાય છે. બીજી રીતે પોતાને મારી નાખવા માટે કોઈક અન્યને પ્રેરણા, ઉશ્કેરણી કરવી કે આજ્ઞા કરવી, આ બીજા પ્રકારે પોતાના જીવનનો અંત આણવાના પણ અનેકવિધ રસ્તા છે.

    મધ્યયુગીન મૂલ્યોનું જ્યારે પ્રવર્તન હતું ત્યારે અગર પતિ દુશ્મનને હાથે હારે અને મરે એવું નિશ્ર્ચિત જણાય ત્યારે પત્ની પોતાના પતિને વિનવતી કે મને મારી નાંખો ! મારી કાયા દુશ્મનને હાથ પડે અને એ કાયાને ચૂંથે એ અગાઉ જ મારા પ્રાણ હરી લો ! આ પ્રકારના વ્યક્તિગત  કિસ્સા પણ બનતા અને સામૂહિક પણ બનતા, રાજપૂત રાજાને અને એના સાથીઓને સંપૂર્ણ ખાતરી થઈ જાય કે હવે પોતાના નગરનું રક્ષણ થઈ શકે તેમજ નથી અને રક્ષણની કોશિશ કરતાં કરતાં પોતે સૌ મરી પરવારવાના છે ત્યારે તેઓની પત્નીઓ એમને વિનતી કે અમને અગ્નિને હવાલે કરીને પછી કેસરિયાં કરો. અને સ્ત્રીઓ જ નહિ, પુરુષ લડવૈયાઓને પણ જ્યારે હાર અને બંધન નિશ્ર્ચિત જણાય ત્યારે દુશ્મનને હાથ પડવું અને અપમાન સહેવું અને દુશ્મનને હાથ મરવું પસંદ નહિ કરતાં વીર યોદ્ધાઓ પોતાના સાથીના હાથે મરવાનું પસંદ કરતા.

    મધ્યયુગની એકાદ વાર્તા અમે એવી પણ વાંચી છે કે જે દુશ્મન સામે પોતે હારી રહ્યા છે એ દુશ્મન એવી પ્રણાલિકા ધરાવે છે કે પોતે જેને મારે તેનું મસ્તક ભાલાની અણી પર ચડાવીને એનું ફૂલેકું ફેરવે છે ! આવા સંજોગોમાં હારનાર લડવૈયો પોતાના વફાદાર અનુચરને આજ્ઞા કરે કે મારું મસ્તક કાપીને તું દૂર દૂર નાસી જા ! ક્યાંક મસ્તકને અગ્નિદાન દઈ શકાય તો તેમ, નહિ તો એને નદીમાં પધરાવજે !

    પતિને, સાથીને, અનુચરને આમ પ્રાણ હરવા અનુરોધ કરવા ઉપરાંત આ બીજા પ્રકારમાં તબીબને મારા પ્રાણ હરો એમ વિનવવાનો વિકલ્પ રહે છે. અલબત્ત, તબીબો-ડૉક્ટરો કોઈનોય પ્રાણ જાય એમ ઇચ્છતા ન હોય, અને કોઈને આપઘાતમાં સહાય કરવાનું તો ન જ વિચારે. એક સર્વ સામાન્ય માન્યતા (અને આગ્રહ પણ) એ જ છે કે ડૉક્ટર તો પ્રાણ આપે, પ્રાણ લે નહિ. (ધંધાદારી દૃષ્ટિકોણથી જોઈએ તોય, ડૉક્ટરને દર્દી જીવે અને દૂઝણી ગાયની જેમ ફી આપ્યા કરે એમાં રસ હોય. દર્દી મરે અને આવક ટળે એમાં રસ ન હોય).

    પરંતુ ક્યારેક સ્થિતિ જ એવી આવે છે કે મૃત્યુ એ મુક્તિ સમાન હોય છે. કેન્સરના અંતિમ તબક્કાની વેદના ભોગવતી વ્યક્તિ કે અલ્ઝાઈમર ડિસીઝની તીવ્રતા જેવી અતિ દુ:ખદાયી સ્થિતિથી પીડાતી વ્યક્તિ માટે મૃત્યુ તો અસહ્ય વેદનામાંથી દયામય મુક્તિ ગણાય. આવી વ્યક્તિને મુક્તિ આપવાની ઘટનાને મર્સીકિલીંગ કે ઇચ્છામૃત્યુ કહે છે. આપઘાતના આ પ્રકારને કાયદેસર ગણવા માટેનો પણ એક ઠરાવ આપણી સંસદમાં છેક ૧૯૭૬માં રજૂ થયેલો, જોકે આ પદ્ધતિ અંગે સમાજમાં ડર પણ છે. કેટલાંક લોકો આ જોગવાઈનો આશરો લઈને અણગમતા પરિવારજનને પતાવી પણ દે !! ખાસ કરીને વૃદ્ધજનો માટે આ ડર સાચો પણ હોય.

    મર્સી કિલિંગને બહાને માંદી વ્યક્તિઓ ભણી નિર્દયતાની આ પ્રકારની સંભાવના છતાં અમેરિકામાં અને બ્રિટનમાં પણ મર્સીકિલિંગને માન્યતા આપવાની માંગ વારંવાર ઊઠતી રહી છે અને વર્ષ ૨૦૦૦માં ઉત્તર યૂરોપના નાનકડા દેશ નેધરલેન્ડ – (હોલેન્ડ)ની સંસદે મર્સી કિલિંગનો ઠરાવ મંજૂર કર્યો છે, ઉત્તર યુરોપનો આ દેશ તેમજ પડોશના નોર્વે અને સ્વીડન જેવા અન્ય દેશો ક્રાંતિકારી (અને જુનવાણીઓને હળાહળ ‘પાપ’ લાગે એવા) કાનૂનો માટે જાણીતા છે. પુરુષ-પુરુષ વચ્ચેના અને સ્ત્રી-સ્ત્રી વચ્ચેના લગ્નને કાયદેસરતા બક્ષનાર આ દેશો છે. ફિલ્મમાં, નાટકમાં જો કથાની આવશ્યકતા હોય તો નગ્નતાની છૂટ આપનાર આ દેશો છે. એવા એક દેશમાં ઇચ્છામૃત્યુને કાનૂની બનાવવામાં આવે એની નવાઈ નહિ.

    અલબત્ત, આપઘાત સામેની દલીલો જેવી જ આ પ્રેરિત આપઘાત સામે પણ છે. ઘણાને મન આ જોગવાઈ (આપઘાતને અપરાધ નહિ ગણવાની જોગવાઈ) ધર્મ, માનવતા, તબીબી નૈતિકતા, કૌટુંબિક પ્રેમ, એ બધાની ઉપરવટ જતી જણાય છે. માનવી જેવા માનવીને જાતે મરવાનો અધિકાર આપવો અથવા એ કોમામાં હોય કે બેહોશ હોય તો એનાં સગાંને જો અધિકાર આપવો શું યોગ્ય છે ? માનવી બીમાર હોય એમાંથી પુન: સ્વસ્થ નહિ જ થઈ શકે એમ માની લેવામાં શું ડહાપણ છે ?

    ઘણા સમય સુધી કોમામાં રહેનાર માનવી પુન: સભાન બન્યાનાં ઉદાહરણો શું નથી મળ્યાં ? કેટલાક વિચારકો વળી આવી જોગવાઈને મૃત્યુદંડ (કેપિટલ પનિશમેન્ટ)ના સંદર્ભમાં જોવા સૂચવે છે. ઇતિહાસ-પર્યંત એવાં અનેક ઉદાહરણ મળ્યાં છે કે માનવીને મૃત્યુદંડ અપાઈ જાય તે પછી નવા પુરાવા કે નવી માહિતી સૂચવે છે કે મરનારનો કશો દોષ નહોતો ! એ સંજોગોમાં મરનારને પાછાં આણી શકાતાં નથી. એવું જ કોમામાં સરી પડેલી વ્યક્તિને મરણ આપવાથી બની શકે ને ? આ કોમામાંથી ઊગરે એવું એના કેસ-પેપર્સ પરથી સીનીઅર ડૉક્ટર તારવે, પરંતુ ત્યાં સુધીમાં તો એની રાખ પણ ઊડી ચૂકી હોય ને !!

    જોકે હોલેન્ડમાં વિચારસરણી જુદી છે. અમારી સામે જૂના આંકડા છે, એ મુજબ ૧૯૯૬થી ૨૦૦૦ સુધીનાં પાંચ વર્ષમાં ત્યાં ૨૫૬૫ ઇચ્છા-મૃત્યુ (આપઘાત) યા દયામૃત્યુ (મર્સી કિલિંગ) થઈ ચૂક્યાં હતાં. અરે ત્યાંની સંસદે ૧૦૪ વિરુદ્ધ ૪૦ મતથી આપઘાત – દયામૃત્યુની છૂટ આપતો જે કાનૂન પસાર કર્યો છે એમાં ‘મારે મરવું છે’ એવું નક્કી કરવાનો અધિકાર ૧૬ વર્ષ કે તેથી વિશેષ વય ધરાવતી દરેક વ્યક્તિને આપ્યો છે !

    હવે આપણે આ લેખનું શીર્ષક ફરી વાંચીએ : “માંગને સે જો મૌત મિલ જાએ….” તો ગરીબ ભારતમાં કેટલાં લોકો જીવવાનું પસંદ કરે ! થઈને ચિંતા ! જી, હા, માગ્યાં મૉત મળવાની સંભાવના આપણા દેશમાં તો ગંભીર ચિંતા પ્રેરે છે. આપણા દેશમાં ભયાનક બેહાલીમાં જીવતી એટલી બધી વ્યક્તિઓ છે કે ઘણીબધી આપઘાત કોશિશો થશે. જે સફળ થશે તે તો પરવારી જશે. એમના પર કાનૂની કારવાઈ નહિ થાય. અરે બચી જશે એમના પર પણ કાનૂની કારવાઈ નહિ થાય.

    પરંતુ લાખ ટકાનો સવાલ ઊભો જ રહેશે : એમની બેહાલીનું શું ? એટલું જ નહિ. અહીં આતવારે ને છાશવારે ત્રણ-પાંચ-સાત-નવ બચ્ચાં જણવાના અનુરોધ થયા કરે છે. બીજી બાજુ લસણ છસો રૂપિયે કિલો જેવી મોંઘવારી પ્રવર્તે છે. આ સંજોગોમાં આપઘાત કરવા કેટલાં પ્રેરાશે ?

    વાસ્તવમાં આપઘાત અને દયા મૃત્યુ જેવા વિષયો વધારે ચિંતન માગી લે છે, જનજીવનની સ્થિતિ અંગે. એક એવી પરિસ્થિતિનું નિર્માણ થવું જોઈએ અને દેશની આર્થિક-સામાજિક, ધાર્મિક પરિસ્થિતિ એવી બનવી જોઈએ કે કોઈનેય આપઘાતનો વિચાર ન આવે. કોઈનીય સ્થિતિ એ હદે ન બગડે કે એને મરણ આપવું પડે.


    યશવન્ત મહેતા | ઋત – ૪૭/એ, નારાયણનગર, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ | મો.: ૯૪૨૮૦૪૬૦૪૩


    ભૂમિપુત્ર : ૧૬ જાન્યુઆરી, ૨૦૨૫

  • ક્યાં છે કોયલ?

    વાડીલાલ ડગલી

    ક્યાં છે કોયલ? ક્યાં છે મેના?
    ક્યાં છે પોપટ? ક્યાં છે મોર?
    પગલે પગલે ધરતી ભરતી
    પનિહારીનો ક્યાં છે તોર?

    ક્યાં છે?
    પ્રભાતિયાં ને ઘમ્મરવલોણાં?
    ઘંટારવ ને આરતીટાણાં?
    ગાયોના મીઠા ભાંભરડા?
    ગોવાળોના એ ડચકારા?
    પાવા કેરા રંગ-ફુવારા?

    શું અહીં જ એ
    સ્વચ્છ હવાના હોજ ઉછળતા?
    કલરવ કેરાં ઝરણાં વહેતા?
    પારસ પીપળા તડકે નહાતા?
    તુલસીક્યારે ફળિયાં હસતાં?

    ઘંટી કેરાં ગીત ગયાં ક્યાં?
    ગોરી કેરાં ઝાંઝરિયાં ક્યાં?
    વાછરડાની ઘંટડીઓ ક્યાં?
    આંચળતાજી તાંસળીઓ ક્યાં?

    અહીંયા સઘળું તાજું?
    અહીંયા ચોખ્ખું કાંસુ?
    અહીંયા કોઈ ન જોતું ત્રાંસુ?
    અહીંયા બંધ હોઠથી વાગે વાજુ?

    અહીંયા સૌ સંતોષી?
    અહીંયા ડાહ્યાં ડોસા-ડોસી?
    અહીંયા સૌના હળવા મન?
    અહીંયા ચારેકોર ચમન?

    ક્યાં છે કોયલ? ક્યાં છે મેના?
    ક્યાં છે પોપટ? ક્યાં છે મોર?
    પગલે પગલે ધરતી ભરતી
    પનિહારીનો ક્યાં છે તોર?

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ : લગ્નજીવન

    સંપાદન : કેપ્ટન નરેન્દ્ર ફણસે

    પુત્રજન્મ થી આગળ

    ‘એમનો’ સ્વભાવ ઘણો વિચિત્ર હતો. ઘરમાં બધી વાત, કામ અને વહેવાર વ્યવસ્થિત રીતે થવાં જ  જોઈએ. વળી સાંજ પડતાં વ્યસન-પૂર્તિનો સમય થાય એટલે તેમને મદિરા જોઈએ જ. મારે તે માટે અગાઉથી તેયારી કરી રાખવી પડતી. ઘરમાં શરાબ ન હોય તો નોકરને મોકલી બજારમાંથી મંગાવીને રાખવાની વ્યવસ્થા મારે કરવી પડતી. સાંજે ઘેર આવીને મદ્યપાન કરવા બેસે તે ઠેઠ રાતના દસ વાગ્યા સુધી ચાલે. મને ઘણો કંટાળો આવતો. વળી મારો નરેન નાનો હતો. મારાથી આ દોડધામમાં જરા જેટલી ભૂલ થઈ જાય તો મારી આવી બને. બધાં છોકરાઓની સામે તેઓ મારું ગમે તેવું અપમાન કરવા લાગી જતા. આવે વખતે મનમાં એવું થતું કે ક્યાંક જઈને જીવ આપી દઉં. ઘરમાં મારી જરા જેટલી પત રહેવા દીધી નહિ. ઘરમાં મારું જરા પણ ચાલતું નહિ. અમારા “બડી દીદી? – મારાં બે નંબરનાં સાવકાં પુત્રીના હાથમાં બધું નિયંત્રણ હતું. એટલે સુધી કે સાસુજીનો કારભાર પણ તેમની પાસે જ હતો. વળી બડી દીદી અને તેમના મોટા ભાઈ (મારા પતિના મોટા પુત્ર)નું એકબીજા સાથે જરા પણ બનતું નહિ. મારાં લગ્ન થયેલાં સૌથી મોટાં પુત્રી ખરેખર ઘણાં જ પ્રેમાળ હતાં. અમદાવાદમાં તેઓ તેમનાં સાસરિયે ખુશ હતાં.

    અમારી સાથે સવા વર્ષ રહ્યા બાદ સાસુજી પાછાં અમદાવાદ ગયાં. મારા દિવસ તો એમ જ વ્યતીત થવા લાગ્યા. ન તો મને મનગમતી વસ્તુ મળતી કે ન કદી મારી હોંશ પૂરી થતી. જેવાં મળે તેવાં કપડાં પહેરી લેવાનાં અને જે મળે તે ખાઈ લેવાનું. જોકે ઘરમાં કશાની કમી નહોતી, પણ પ્રેમના બે શબ્દ મને મળી શકતા નહોતા. આમ તો મારી પણ ઉમર કાંઈ મોટી નહોતી – “બડી દીદી’ કરતાં પણ નાની હતી. મારી સાથે એવો ઉપેક્ષાભર્યો અને અપમાનજનક વર્તાવ થતો હતો જાણે મને કોઈ ભાવના જ ન હોય. દરરોજ રાતે તેઓ મદ્યપાન કરતા અને રોજેરોજ આ જ વાતની પુનરાવૃત્તિ થતી. આવા અપમાનજનક વાતાવરણમાં ભોજન સાવ નીરસ બની જતું. હું કદી રાતે સુખેથી બે કોળિયા ભોજન જમી શકતી ન હતી. આમ છતાં મોટાં છોકરાંઓને તેમનું જમણ, નિશાળે જતી વખતે જોઈતી વસ્તુઓ વગેરેમાં મેં કદી ઓછાપણું આવવા દીધું નહિ. તેમના માટે નાસ્તો પણ ભરપૂર બનાવી રાખતી અને કદી કશા માટે ના કહી નહિ, કારણ કે હું પણ મોટા સંયુક્ત પરિવારનો અંશ હતી તેથી બાળકોને કોઈ પણ પ્રકારે ત્રાસ આપવાની મને ભાવના તો શું, એવો વિચાર પણ કદી આવ્યો નહિ.

    દિવસ વીતતા જતા હતા. સાસુજીને અમદાવાદ ગયે આઠ મહિના થઈ ગયા હતા. તેમની ચાકરી કરવા “બડી દીદી’ પણ અમદાવાદ ગયાં, કારણ સાસુજીની તબિયત સારી રહેતી ન હતી. અમારા ઘરમાં “એમનો’ તો નિત્યનો ‘કાર્યકમ’ ચાલુ જ રહ્યો. રાતે કદી. જમે, અને કદીક વધુ પડતી પિવાઈ ગઈ હોય તો જમ્યા વગર જ સૂઈ જતા ત્યારે હું પણ જમ્યા વગર સૂઈ જતી. જમવા માટે હું સુંદર વાનગીઓ બનાવતી, પણ શો ઉપયોગ? તેઓ તો મારાં નાનાં નાનાં બાળકો સામે એવું અપમાન કરતા કે મારી ઘરમાં એક કોડીની પણ કિંમત રહી નહિ. ઘરમાં પ્રત્યેક વસ્તુ માટે હું પરતંત્ર હતી છતાં પણ હું મારું કર્તવ્ય કરતી રહી. મને રંજ એક જ વાતનો થતો કે નોકરચાકર અને નાનાંમોટાં બધાં બાળકો સામે મારી એવી નાલેશી કરતા, « પૂછો વાત. મને થતું, એકાંતમાં લઈ જઈને મને બે જૂતાં મારો, પણ બધા લોકોની સામે તો મને ગાળો આપો મા. હું તો “’એમને’ એક જ વાત કહેતી કે આપ આટલો દારૂ ન પીઓ. બસ આટલું કહું અને તે મારા પર વરસી પડતા. કહેતા, “તારા બાપુજી પીવા સિવાય બીજું શું કરતા હતા?’ મારા બાપુજીએ તો નશો કરીને અમારું સત્યાનાશ કર્યું હતું. અને તેમાં તેમણે પ્રાણ પણ ગુમાવ્યા હતા. આને પણ મારા ભાગ્યનો જ દોષ કહેવાય, બીજું શું? મને બીજી કોઈ વાતનું દુઃખ નહોતું, પણ આ વાતથી ઘણો ક્લેશ થતો.

    મારા નાના દિયરે અમદાવાદમાં પોણોસો લાખનો બંગલો બંધાવ્યો અને ધામધૂમથી વાસ્તુ શાંતિ કરી. સાસુજીએ. મારાં દેરાણીને ચાંદલામાં છવીસ તોલાની હીરાકંઠી આપી. અમારાથી તો સમારંભમાં જઈ શકાયું નહિ, પણ થોડા દિવસ બાદ અમે તેમનો બંગલો જોવા જઈ આવ્યાં. મારાં દેરાણી મારાં સાસરિયાંનાં કોઈ પણ સગાની સાથે સંબંધ રાખતાં નહિ. દિયરજીની મોટી જાહોજલાલી હતી, અને ઘરમાં ભાતભાતની વસ્તુઓ અને માલસામાન આવતો, પણ સાસુજીને તેમાંથી કદી પણ એક વસ્તુ મોકલી નહિ. વસ્તુઓ ઉકરડામાં ફેંકાતી, પણ પોતાના માણસોમાં કદી વહેંચી નહિ. દિયરજીને પહેલા ઘરની એક દીકરી હતી તેને પણ તેમણે સંભાળી નહિ, તેથી તે મારાં જેઠાણીને ત્યાં જ રહેતી.

    સાસુજીની તબિયત હવે સાવ બગડી ગઈ હતી. તેમણે પહેલેથી જ બે પૌત્રીઓ (મારા પતિની પહેલા ઘરની) સૌથી નાની બે દીકરીઓને સોનાની ચાર-ચાર બંગડીઓ અને આઠ-આઠ તોલાની સોનાની ચેન આપી. “બડી દીદી’ને પાંત્રીસ તોલાના સોનાનાં ઘરેણાં આપ્યાં. મારાં સૌથી મોટાં પુત્રીને પણ તેના લગ્નમાં બધી જણસ વ્યવસ્થિત રીતે કરાવી આપી હતી. મને પણ ત્રીસ તોલા સોનું આપ્યું હતું. આમ છતાં તેમની પાસે હજી ઘણું હતું તે “બડી દીદી’ને હસ્તક હતું. પોતાની અંતિમ વિધિ માટેના પૈસા સાસુજી જ્યાં જતાં ત્યાં પોતાની સાથે જ રાખતાં, કારણ કે છેલ્લી ઘડી ક્યાં અને ક્યારે આવે છે તેનો શો ભરોસો? આમ સાસુજી ઘણાં વ્યવસ્થિત હતાં. અને થયું પણ એવું જ.

    એક દિવસે તાર આવ્યો કે તેમની તબિયત અત્યંત ગંભીર છે. તાર આવતાં “તેઓ’ રાતની ગાડીથી અમદાવાદ જવા નીકળ્યા. મેં તેમને કહ્યું આવી હાલતમાં મારે પણ ત્યાં જવું જ જોઈએ, પણે ‘તેઓ’ શાના સાંભળે? તેઓ એકલા જ નીકળી ગયા. નસીબ સારાં કે તેઓ સાસુજીને છેલ્લી વારનું મળી શક્યા. પરોઢિયે સાસુજી સૌની સાથે વાતો કરતાં કરતાં જ બધાંને રામ રામ કહી સ્વર્ગે જવા ચાલી નીકળ્યાં. જતાં પહેલાં પોતાની અંતિમ વ્યવસ્થા અગાઉથી જ કરી ગયાં હતાં. મુખમાં મૂકવા માટેનું સુવર્ણ, મોતી, પ્રવાળ, તુલસી તેમણે તેયાર જ રાખ્યું હતું, અને કોઈની પાસેથી વધારે ચાકરી કરાવ્યા વગર ઈશ્વરને ઘેર પ્રયાણ કરી ગયાં. બડી દીદીએ રાતે જ બધી વ્યવસ્થા કરી રાખી હતી. “એમને’ તો આની જાણ કરવામાં આવી ન હતી, તેથી તેમને કેવી રીતે ખબર પડે કે તેમનાં માતુશ્રીની અંતિમ ઘડી આવી હતી? તેઓ પરોઢિયે પહોંચ્યા, અને પરિસ્થિતિ જોઈ તેમણે મને તાર કરીને બોલાવી લીધી. આનાં કરતાં તેમણે મારી વાત માની હોત અને સાથે લઈ ગયા હોત તો હું પણ સાસુજીનું અંતિમ દર્શન કરી શકી હોત. આવે વખતે સાસુજીને મળવાની મારા મનની ઇચ્છા હતી તેની અવગણના કરી તેનો વાંધો નહિ, પણ લોકાચારની દષ્ટિએ તો તેમણે મને સાથે લઈ જવી જોઈએ કે નહિ? લોકો તો એવું જ કહેવાના કે જુઓ, અંતિમ ઘડી આવી હતી છતાં વહુ આવી નહિ. પણ બહારના લોકોને આપણા ઘરના માણસોના સ્વભાવની કલ્પના ક્યાંથી હોય?

    સાસુજીનાં ક્રિયા-કર્મ માટે મારાં સાસરિયાંનો સમગ્ર પરિવાર બાર દિવસ સુધી સાથે હતો. પાંચસો બ્રાહ્મણોને ભોજન કરાવવામાં આવ્યું, અને મારા નાના દિયરે માતા પાછળ અનેક દાન-ધર્મ કર્યા. સાસુજીએ આ કાર્ય માટે ખાસ રકમ જુદી રાખી મૂકી હતી, અને જે દીકરો તેમની ઇચ્છા મુજબ કાર્ય કરાવે તેને તે આપવામાં આવે તેવી જોગવાઈ કરી રાખી હતી. સાસુજી તો બધું કામ વ્યવસ્થિત  રીતે કરી ગયાં હતાં. થોડુંઘણું જે કાંઈ બચ્ચું હતું તેનું શું કરવું તે પણ કહી ગયાં હતાં. સાસુજીનો બધો વહીવટ મારાં બે નંબરનાં દીકરી – “બડી દીદી’ – કરતાં હતાં તેવું સાસુજી મને કોઈ કોઈ વાર કહેતાં, પણ મારા પતિએ કદી પણ મને પારિવારિક સંપત્તિ, ઘરબાર – ગૃહસ્થીમાં શું છે અને શું નથી તેની જાણ થવા દીધી નહિ. હું ઘરની ગૃહિણી હતી. આપણા ઘરની હાલત વિશે મને કંઈક તો જાણ કરવી જોઈએ કે નહિ? એ બધું જવા દો, પણ સાસુજીના અવસાનને પંદર દિવસ થયા કે ‘એમણે’ મને કહ્યું, “તું છોકરાંઓને લઈ વઢવાણ કેમ્પ જા.’ પણ  સાસુજીની પશ્ચાત્‌ મુખ્ય તો ઘર અને બાકીની સંપત્તિની વહેંચણી વખતે એક ગૃહિણી તરીકે “એમણે’ મને સાથે રાખવી જોઈએ કે નહિ?

    આમ જોવા જઈએ તો સસરાજીના સ્વર્ગવાસ બાદ અમારી હવેલીની તથા રોકડ-ઘરેણાં અને અન્ય સંપત્તિની વહેંચણી થઈ ગઈ હતી. તેમાં મારા પતિના ભાગે મુખ્ય હવેલી આવી હતી. જેઠાણીને ભાગે ઘણી મોટી ખુલ્લી જમીન (જે અમારા ભાગે આવેલ જગ્યા કરતાં લગભગ ત્રણ  ગણી હતી) તથા પડતર ઘર આવ્યાં હતાં. જોકે તેમાં વિશાળ મકાન બાંધવા માટે અઢળક રોકડ રકમ અને જર-ઝવેરાત મળી સૌથી વધુ સંપત્તિ આપવામાં આવી હતી. પરંતુ જેઠાણીને તો મારા પતિના ભાગે આવેલ મકાન પણ જોઈતું હતું અને તે માટે તેમણે ઘણી જહેમત કરી હતી. હવે સાસુજી ગયા બાદ અમારા ભાગે શું આવ્યું તે “એમણે’ મને બતાવવું જોઈએ કે નહિ? મને તો જાણે કેવળ તેમનાં બાળકોની સંભાળ રાખવા અને તેમની પોતાની સેવાચાકરી કરવા જ આણી હતી, તે ઉપરાંત મને ઘરબાર વિશે કોઈ ખબર જ પડવા દેતા નહોતા. આ વખતે બાળકો સાથે વઢવાણ ન જતાં પરાણે જ અમદાવાદ રહી ગઈ, તેમ છતાં સાસુજીની મિલકતનું શું કરવામાં આવ્યું તે મને જોવા કે જાણવા મળ્યું જ નહિ. જે કાંઈ નાનીમોટી વસ્તુઓ હતી તે છોકરાંઓ માટે અમદાવાદ રાખી અમે વઢવાણ પાછાં આવ્યાં. બડી દીદી’એ અમારી સાથે ન આવતાં અમદાવાદ રહી શિક્ષિકાની ટ્રેનિંગ લેવાનું નક્કી કર્યું.

    સમયનાં વહેણ ચાલુ જ હતાં. બાળકો મોટાં થતાં હતાં. કોઈ એક સ્થિરતા હોય તો તે “એમના’ રવભાવમાં હતી. સાચું કહું તો “એમના’ વર્તનથી ઘરમાં મારી જરા જેટલી કિંમત રહી નહિ તેનું મને ઘણું દુઃખ હતું. મારા નસીબમાં પરતંત્રતા જ લખાઈ હતી. કદી પણ મને મનગમતી વસ્તુ તેમણે આણી હોય કે મને ગમે એવી વાત કરી હોય તે મારા સ્મરણમાં નથી. વર્ષની બે સાડી ઉપરાંત ત્રીજી સાડી મને કદી મળી ન હતી. તેમાં પણ મારી પસંદગી કદી પૂછવામાં આવી નહિ. જયારે અમદાવાદ જાય ત્યારે જાડી કિનારની જે સાડી લાવતા તે હું પહેરી લેતી. મારી એક પણ હોંશ, પસંદગી – નાપસંદગી તેમણે જાણવાનો પ્રયત્ન કર્યો નહિ કે ન તો તે કદી પૂરી કરી. યુવાવસ્થામાં એક તરુણીને કેટકેટલી હોંશ હોય, કેટલી ઉમેદ હોય, પણ બધા ૫ર પાણી ફરી વળ્યું હતું. “એમની’ પાસે બેસીને બે વાત કરવામાં પણ મને સંકોચ થતો હતો, કારણ કે મારી ઉમરનાં તેમનાં પુત્ર-પુત્રીઓ હંમેશાં હાજર હતાં ત્યારે શિષ્ટતાની બધી વાતોનો વિચાર કરવો પડતો.

    ઉનાળાની રજાઓમાં મારાં જેઠાણીની પુત્રવધૂ અમદાવાદથી આવી ત્યારે તેનાં એટલાં વખાણ થતાં કે ન પૂછો વાત. તે કોઈ પણ વાનગી બનાવે ત્યારે તેઓ મને તરત કહેતા, ‘જો, જો, કેટલું સરસ બનાવ્યું છે! આવું તને કરતાં આવડે છે?’ અને વાત વાતમાં મને શરમિંદી કરી નાખતા. હું પણ પિયરથી બધું શીખીને આવી હતી, બધું કરતી હતી પણ ‘તેઓ’ મને જાણી જોઈને શા માટે ચીડવતા હતા.

    મારી તબિયત પર આ બધાંની ઘણી માઠી અસર પડી, અને હું પાછી બીમાર રહેવા લાગી. સાસુજીના અવસાનને લગભગ બે વર્ષ થઈ ગયાં હતાં. મારી તબિયત બગડતી ગઈ તેથી નરેનને સંભાળવા એમણે એક બ્રાહ્મણના છોકરાને રાખ્યો. આ છોકરાની ઘરની પરિસ્થિતિ ઘણી ગરીબ હતી તેથી તેને પણ આધાર મળ્યો. નરેનને સંભાળવા ઉપરાંત તે ઘરનાં નાનાંમોટાં કામ કરી આપતો. અમારા ઘરમાં કામ માટે રાખેલાં જીવીમા – જેમને અમે બધાં જીબા કહીને બોલાવતાં – મારી સંભાળ એક માની જેમ રાખતાં, અને જ્ઞાનની ઘણી વાતો કહેતાં. અમારા મોટા ચિરંજીવને આ ગમતું નહિ અને તેઓ માજીને કહેતા, “જીબા, આમને અમારા વિશે શું શું કહીને ચઢાવો છો? શા માટે તેમને માખણ લગાવો છો?’ જીબાએ મને કદી ખરાબ વાત કહી ન હતી. તેઓ તો હંમેશાં સારી વાત કહેતાં અને સારી શિખામણ આપતાં. મોટા પુત્રની આવી વાતો હું નતમસ્તકે સહન કરી લેતી.

    “તેમની’ સેવા હું સાચા હૃદયથી કરતી. આમ તો ‘તેઓ’ ભોળા હતા, પણ જ્યારે બોલવા લાગે ત્યારે તેઓ આગળ-પાછળ જોતા નહિ અને ફાવે તેમ બોલતા અને ગાળો આપવા લાગી જતા. આવું થાય ત્યારે મને એટલું લાગી આવતું અને થતું કે મારા જીવનું કંઈક કરી લઉં. પણ હું એક સારા ખાનદાન પરિવારની દીકરી હતી, આવું પગલું ભરીને મારાં માતા-પિતાના નામને હું કલંકિત કરવા માગતી નહોતી.

    મારા મોટા પુત્ર મેટ્રિક પાસ થઈને અમદાવાદ ગયા. હું પરણીને આવી ત્યારથી તેમણે મને કદી પણ તેમનાં ભાઈ-બહેનની જેમ “બાઈ’ કહીને બોલાવી નહિ! “એમનાં’ સૌથી નાનાં ચાર બાળકો જ મારી સાથે સરખી રીતે વાત કરતાં.

    નરેનના જન્મ પછી લગભગ બે વર્ષે મને દીકરી આવી. હું હૉસ્પિટલમાં ગઈ ત્યારે રસોઈ કરવા માટે મહારાજ રાખવામાં આવ્યો, પણ આ વખતની પ્રસૂતિમાં મને ભયંકર તકલીફ થઈ. હૉસ્પિટલમાં ફક્ત સૂવાની વ્યવસ્થા હતી. બાકી બધું ઘેરથી લાવવું પડતું. ઘરમાં કોઈ વડીલ વ્યક્તિ ન હોવાથી મને સરખું ભોજન પણ મળતું ન હતું. જમવા માટે સવારમાં નાસ્તો નહિ કે ચા નહિ. બપોરના એક વાગ્યે ખાવાનો ડબો લઈ માણસ આવે. જમવામાં ઠંડા થઈ ગયેલાં દાળ-ભાત હોય. આમ પંદર દિવસ હૉસ્પિટલમાં રહ્યા બાદ મને ઘેર જવાની રજા મળી.  દીકરીનું નામ મીના રાખ્યું. એટલું માત્ર કહેવું પડશે કે મારા પ્રત્યે ‘એમનો’ અને અન્ય બાળકોનો વ્યવહાર ગમે તેવો હોય, પણ નરેન અને મીનાને તેઓ બધા ખુશીથી તેડતા અને રમાડતા.

    મીના આઠેક મહિનાની થઈ હતી ત્યારે તેની આંખ આવી. “એમણે’ દવાખાનામાંથી આંખમાં નાખવાનાં ટીપાંની શીશી મંગાવી, અને કહ્યું, “હું ઓફિસે જઉં છું. બપોરના મીનાની આંખમાં ટીપાં નાખજે’. સમય થતાં મેં દવાનું કબાટ ખોલ્યું અને જોયું તો ત્યાં બે શીશીઓ હતી. બન્ને એક સરખી અને દવાનો રંગ પણ એવો જ હતો. ઓફિસે જતાં પહેલાં ‘એમણે’ છોકરાંઓને કહ્યું હતું કે બાટલી પર દવાના નામનું લેબલ લગાડીને જ નિશાળે જજો. પણ છોકરાં ઉતાવળમાં આ ભૂલી ગયાં હતાં. બપોરના દોઢના સુમારે મેં આમાંની એક શીશી ખોલી તેનાં થોડાં ટીપાં રૂમાં ભીંજવી એક-એક ટીપું મીનાની આંખમાં નાખ્યું. એક ટીપું પડ્યું શું કે મીનાએ રાડ પાડી અને ચીસો પાડવા લાગી, મેં તેને છાની રાખવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ તે કેમે કરીને શાંત થતી ન હતી. હું મૂંઝાઈ ગઈ અને મીના પર ગુસ્સો કરવા લાગી. સદ્ભાગ્યે બપોરે બે વાગ્યાની રિસેસમાં બાળકો ઘેર આવતાં હતાં, ત્યારે મેં બે નંબરના દીકરાને કહ્યું, “રવિ, જો તો, મેં આંખની દવાનું એક ટીપું નાખ્યું ત્યારથી આ છોકરી રાડો પાડયા કરે છે. કેમે કરીને શાંત થતી નથી.’

    રવિએ દવા જોઈને કહ્યું, “બાઈ, તમે તો આંખની દવાને બદલે મીનાની આંખમાં આયોડિન નાખ્યું છે! હવે હું શું કરું? બાપુજી મારા પર ઘણા ગુરસે થશે. બાપુજીએ ઓફિસ જતાં પહેલાં મને જ કહ્યું હતું કે દવાની બાટલી પર લેબલ લગાડજે, પણ હું ભૂલી ગયો !’ કહી તે ગભરાઈ ગયો. ‘તેઓ’ હંમેશ મુજબ બપોરે ત્રણેક વાગ્યે ચા પીવા ઘેર આવ્યા. અને ઘરમાં આ ધમાલ જોઈ. તેઓ તરત મીનાને લઈ હૉસ્પિટલ ગયા. મીનાની આંખો ચણોઠીની જેમ લાલચોળ થઈ ગઈ હતી. ડૉકટરે આંખ તપાસીને કહ્યું, “છોકરીનાં નસીબ સારાં છે, તેથી તેની આંખ બચી ગઈ. આયોડિનનું ટીપું આંખના ખૂણામાં પડયું હતું. કીકી પર પડયું હોત તો તે કાયમ માટે દષ્ટિ ગુમાવી બેઠી હોત.’. મને લાગે છે કે મીનાનો જીવ પણ બચી ગયો હતો. આંખમાં આયોડિનનું ટીપું પડતાં જે રીતે પીડાથી તેનો શ્વાસ ચઢી ગયો હતો, તે એકાદ સેકંડ પણ વધુ રહ્યો હોત તો તે ગતપ્રાણ થઈ હોત. આઠ દિવસ પછી મીનાએ માંડ માંડ આંખો ખોલી.

    નરેનની પણ તબિયત સારી રહેતી નહોતી. તેને તાવ આવે તો ૧૦૫ ડિગ્રી સુધી ચઢી જતો અને આંકડી આવવા લાગતી તે પણ આવી માંદગીમાંથી માંડ માંડ બચ્યો. માંદગીનો સિલસિલો એવો ચાલતો ગયો કે ન પૂછો વાત.

    મારા નાના દિયર પર અમદાવાદની કોર્ટમાં કોઈ કેસ ચાલતો હતો તેમાં સાક્ષી આપવા માટે “એમને’ સમન્સ આવ્યો હતો, અને તે દિવસે ચાર વાગ્યાની ટ્રેનમાં તેઓ અમદાવાદ જવા નીકળવાના હતા. બપોરે ત્રણેકના સુમારે મારી તબિયત એકાએક એવી ખરાબ થઈ. મને ઝાડા-ઊલટી શરૂ થઈ ગયાં તે કોઈ પણ હિસાબે બંધ નહોતાં થતાં. પથારીમાંથી ઊઠવાની પણ મારી શક્તિ રહી નહિ. હું લગભગ મૃત્યુના મુખમાં આવી પડી હતી, કારણ કે આ કોઈ સાદી બીમારી ન હતી – કૉલેરા હતો. ડૉકટર આવ્યા અને તેમણે ઇંજેક્શન આપી ‘એમને’ કહ્યું, “આમને સતત સારવારની જરૂર છે. હું તેમને બચાવવાનો પ્રયત્ન કરું છું, પણ તેમની હાલત જોતાં તેમને મૂકી ક્યાંય જશો નહિ. ગમે તે વખતે કંઈ પણ થઈ

    શકે છે. હું રાતે ફરીથી તેમને જોવા આવીશ અને ઇંજેક્શન આપીશ.’ મારી જીવાદોરી મજબૂત હતી તેથી કે કેમ, તે વખતે “એમનાં’ માસી વઢવાણ આવ્યાં હતાં. તેઓ આખી રાત મારી પાસે બેસીને મારા મસ્તક પર બરફ ઘસતાં રહ્યાં અને હું બચી ગઈ. આવી હાલતમાં “તેઓ’ અમદાવાદ જઈ શક્યા નહિ.

    અમદાવાદમાં મારાં બીજાં માસી-સાસુ હતાં તેમણે બધે વાત ફેલાવી, “ભાઈનો આટલો મહત્ત્વનો કેસ ચાલતો હતો છતાં આ માણસ આવ્યો નહિ તેનું એક જ કારણ છે. તેની બેરીએ. માંદગીનો ઢોંગ કરીને તેને આવવા દીધો નહિ.’ મને પ્રત્યક્ષ જોનારાઓને ખબર હતી કે હું મૃત્યુમુખમાં પડી હતી. વળી મારા પતિ મારું કશું કહ્યું માને તેવા થોડા જ હતા? લગ્ન કરીને આવી ત્યારથી તેમણે પોતાના પરિવારની કોઈ બાબત વિશે ન કદી મારી સાથે કોઈ વાત કરી હતી, કે ન કદી મેં તેમને કશો અભિપ્રાય આપ્યો હતો. મારી વિના કારણ બદનામી થઈ તેનું મને દુઃખ થાય તેના કરતાં મારા દિયર પ૨ આવી પડેલી તકલીફનો અફસોસ વધુ થયો હતો. તેમના પર એવું ભયકર સંકટ ત્રાટક્યું હતું કે જેનો ઉલ્લેખ કરવો યોગ્ય નથી. આ તેમના દેવનો દોષ હતો, અન્યથા આવી વિપત્તિ તેમના પર આવી જ ન શકે.

    સંકટ કદી કહીને નથી આવતાં. આ અગાઉ પણ એક ભયંકર સંકટ અમારા પરિવાર પર આવી ગયું હતું. નરેનનો જન્મ થયાને થોડા જ મહિના થયા હતા ત્યારે અમારા સૌથી મોટાં પુત્રીની પ્રસૂતિ આવી. તેમને દીકરી આવ્યાના ચોથા દિવસે તેમની પ્રકૃતિ ગંભીર થઈ ગઈ અને તેમના પતિએ “એમને’ તાર કર્યો. તે વખતે “તેઓ’ એકલા જ ગયા અને પુત્રીને છેલ્લી વારનું મળી શક્યા. ત્રણ દીકરીઓ અને એક પુત્રને મૂકી અમારાં પુત્રી અવસાન પામ્યાં. તેમની ચાર દિવસની બાળકીને લઈ ‘તેઓ’ વઢવાણ આવ્યા. મેં નરેનને બાજુએ મૂઠી આ બાળકીને સ્તનપાન કરાવી તેનું સંજોપન કરવાનો પ્રયત્ન કર્યો. કોણ જાણે કેમ, તેને  મારું દૂધ કોઠે ન પડયું તેથી અમે તેના માટે બકરીનું દૂધ શરૂ કર્યું અને મારી જ પુત્રી હોય તેમ તેને સ્નેહ આપીને તેની ઘણી સારસંભાળ રાખી. માંડ માંડ બે મહિનાની થઈને આ બાળકી આખરે તેની માતા પાસે ગઈ. મારાં આ મોટાં પુત્રી ઘણા સારા રવભાવનાં હતાં અને તેમનું અંતર ભોળું હતું. પણ સારા માણસો પૃથ્વી પર વધુ સમય રહેતા નથી. તેઓ ગયા અને તેમનાં ત્રણ સંતાનો મા વગરનાં થઈ ગયાં.

    અમારા જમાઈએ બીજા લગ્ન કર્યા. અમારા સૌનાં નસીબ સારાં કે તેમનાં બીજાં પત્ની ઘણાં જ સારા સ્વભાવનાં અને સ્નેહાળ હતાં. તેમણે ત્રણે બાળકોને પોતાનાં કરી લીધાં અને “એમને’ તથા મને માતા-પિતાનું સ્થાન આપ્યું. અમે પણ તેમને અમારાં મોટાં પુત્રી તરીકે સ્વીકારી લીધાં. તેમને પોતાનાં સંતાનો થયાં પણ બધાં બાળકોને તેમણે એકસરખો સ્નેહ આપ્યો. દીકરીઓ પરણીને સાસરિયે ગઈ, પણ દીકરો, વહુ અને તેમનાં પોતાનાં સંતાનો સાથે જ રહે છે. અમે પણ તેમને મળવા હંમેશાં આવતાં જતાં રહીએ છીએ.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ફિલ્મી ગઝલો – ૧૦૦. સાગર નિઝામી

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    આ શ્રુંખલામાં એવા અનેક ગઝલકારો સમાવિષ્ટ થયા છે જેમણે ફિલ્મોમાં જે પ્રદાન કર્યું એ એમની ઉર્દુ સાહિત્યની વાસ્તવિક ઊંચાઈની સરખામણીએ કોઈ વિસાતમાં નહોતું. ( આગા જાની કાશ્મીરી, અખ્તર ઉલ ઈમાન, અખ્તર શીરાની વગેરે ). આ શ્રેણીના આ સોમાં હપ્તામાં આજે આવા એક શાયર સાગર નિઝામીની વાત કરીએ. ( જેમની ફિલ્મી રચનાઓ એમના સમગ્ર સાહિત્યની સરખામણીએ હિમશિલાની ટોચ સમાન છે એવા સર્વોચ્ચ અને મહાન મિર્ઝા અસદુલ્લાહ ખાં ગાલિબની ફિલ્મી ગઝલોથી આ શ્રૂંખલાનું સમાપન કરીશું, પણ એ માટે હજુ થોડાંક હપ્તાની પ્રતીક્ષા ! )

    સાગર નિઝામીનું અસલ નામ હતું સમદ યાર ખાન. એમની ગઝલો અને નઝ્મોના છ દીવાન પ્રસિદ્ધ થયેલા. એમના સમગ્ર સર્જનના લેખાંજોખાં ધરાવતું પુસ્તક ‘ સાગર નિઝામી – ફન ઔર શખ્સિયત ‘ વિવેચક ઝમીર અલી ખાન દ્વારા ૧૯૮૫ માં પ્રકાશિત થયેલું. ઉર્દુ સાહિત્યમાં એમના રુતબાનો અંદાજ એ હકીકતથી મળી રહે કે એમની સાહિત્ય સેવાઓ માટે ૧૯૬૯ માં એમને પદ્મભૂષણ પુરસ્કાર એનાયત થયેલો.

    ગૈર ફિલ્મી ગઝલોના શોખીનોએ માસ્ટર મદનની ગાયેલી બે સુવિખ્યાત ગઝલ ‘ યૂં ન રહ રહ કર હમેં તરસાઈયે ‘ અને ‘ હૈરત સે તક રહા હૈ જહાને વફા મુજે ‘ જરૂર સાંભળી હશે. એના રચયિતા હતા સાગર નિઝામી સાહેબ.

    તેઓ ૧૯૮૩ માં અવસાન પામ્યા.

    બાનો, મેંહદી, ખેલ, લાજ, સૂરત જેવી ગણીગાંઠી ફિલ્મોમાં એમણે ત્રીસેક ગીત લખ્યા. એમાં ગઝલ માત્ર આ એક જ –

    વો હમસે જો  રૂઠે હૈં નારાઝ ઝમાના હૈ
    દેખો ઉનકો મનાના ક્યા દુનિયા કો મનાના હૈ

    દેખો વો કિધર જાએં ઉલ્ફત કે દોરાહે મેં
    એક સમ્ત મુહબ્બત હૈ એક સમ્ત ઝમાના હૈ

    તૂફાં કા ભરોસા ક્યા કશ્તી કી શિકાયત ક્યા
    મૌજોં સે કિનારે તક તુજે ડૂબ કે જાના હૈ

     દુનિયા તો મેરી તુમ હો, કિસ્મત તો મેરી તુમ હો
    કિસ્મત સે ગિલા તુમ હો, કિસ્મત તો બહાના હૈ..

    – ફિલ્મ : લાજ ૧૯૪૬
    – એસ ડી બાતિશ
    – રામચંદ્ર પાલ

    ( ગઝલના શબ્દોમાં ચૂક સંભવ છે કારણ કે વિડીયો સંસ્કરણમાં અવાજ સાવ અસ્પષ્ટ છે જે સાંભળીને આ ગઝલ લખી છે. )


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ફિલસુફીભર્યાં ગીતો – ૩૪ – आनेवाला पल जानेवाला है

    નિરંજન મહેતા

    ૧૯૭૯ની ફિલ્મ ‘ગોલમાલ’નું આ ગીત બહુ જાણીતી ફિલસુફી પર આધારિત છે.

    आनेवाला पल जानेवाला है
    आनेवाला पल जानेवाला है
    हो सके तो इसमें जिंदगी बिता दो
    पल जो ये जानेवाला है

    एक बार यूँ मिली, मासूम सी कली
    एक बार यूँ मिली, मासूम सी कली
    हो खिलते हुए कहा, खुशबाश मैं चली
    देखा तो यहीं है, ढूंढा तो नहीं है
    पल जो ये जानेवाला है

    एक बार वक्त से, लम्हा गिरा कहीं
    एक बार वक्त से, लम्हा गिरा कहीं
    वहाँ दास्ताँ मिली, लम्हा कहीं नहीं
    थोडा सा हँसा के, थोडा सा रुला के
    पल ये भी जानेवाला है

     

    કહે છે કે દરેક પળ ક્ષણજીવી હોય છે. આવેલી ક્ષણ થોડાક જ સમયમાં જતી રહે છે. આ જનારી પળને તમે ભોગવી શકો તો ભોગવી લો. કારણ ક્યારે તે જતી રહી તેની તમને જાણ પણ નહી રહે.

    જેમ ફૂલની કળી નાજુક હોય છે પણ જોતજોતામાં તે કળીમાંથી ફૂલમાં પરિવર્તિત થઇ જાય છે તેનો ખયાલ આવતો નથી. એક પળ તે કળી હોય છે તો બીજી પળે તે ફૂલ બની જાય છે. ત્યારબાદ શોધશો તો પણ તે કળી મળશે નહી. તેવું જ હાથમાં આવેલી પળનું છે. લાગે કે તે છે પણ તે હકીકતમાં તરત જ વીતી જાય છે અને શોધશો તો પણ તે પળ ફરી મળશે નહી. તેથી હાથમાં આવેલી પળનો સમજી વિચારીને ઉપયોગ કરી લો.

    જેમ સમયથી દૂર ગયેલી ક્ષણ ફરી મળતી નથી તેમ હાલની પળ થોડું સુખ અને થોડું દુઃખ આપીને જતી રહેવાની છે તે સમજશો તો તમને તેનો અફસોસ નહી રહે.

    અમોલ પાલેકર પર રચાયેલ આ ગીતના રચયિતા છે ગુલઝાર જેણે સંગીત આપ્યું છે આર.ડી.બર્મને. સ્વર છે  કિશોરકુમારનો.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ઋતુના રંગ : ૧ :

    ગિજુભાઈ બધેકા

    ભાવનગર

    તા. ૨-૧-૩૬

    વહાલાં બાળકો !

    ‘ બુધવારિયા ‘માં મારો આ પહેલો પત્ર છે. દર અઠવાડિયે હું તમને જરૂર એક પત્ર લખીશ. તમારી ઉપર પત્ર લખવાનું મને બહુ ગમે છે. તમે મારા ઉપર પત્ર લખશો તો મને ખૂબ જ મજા પડશે.

    જુઓ, હમણાં શિયાળો ચાલે છે.

    શિયાળે શીતળ વા વાય,
    પાન ખરે, ઘ‌ઉં પેદા થાય.

    આ કવિતા તમે પહેલાં કોઈ દિવસ વાંચી છે ? આપણા કવિ દલપતરામ ડાહ્યાભાઈએ એ લખેલી છે.

    શિયાળામાં અનાજમાં ચણા ને ઘ‌ઉં થશે. શાકમાં રીંગણાં થશે; કોબી, પાપડી, મૂળા, મોગરી, સરગવો, વગેરે થશે.

    લોકો ઘરમાં પાક કરશે : મેથીપાક, અડદિયો પાક, ગોળપાપડી ને એવા પાકો.

    સૌને ટાઢ વાશે એટલે ગરમ કપડાં પહેરશે, સગડીએ તાપશે અને તડકે બેસશે.

    શિયાળામાં હાથપગ ફાટી જશે ને તડિયાં પડશે. લોકો કોકમનું ઘી, વેસેલીન, ઝાંબુક ને એવું ચોપડશે.

    જુઓ, આ શિયાળો છે. મેં લખ્યું એમ જ બધું છે ને ?”

    તમારા

    ગિજુભાઈના આશીર્વાદ


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • અમેરિકન મહેમાન

    પંખીઓના દેશમાં

    ગિરિમા ઘારેખાન

    એક નાનકડું વન હતું. એમાં ઘણા બધા વૃક્ષો હતાં. કોઈ નાના તો કોઈ મોટા. નાના વૃક્ષો ઉપર પોપટ, કાબર, હોલા, કાગડા જેવા નાના પક્ષીઓ રહે અને મોટા વૃક્ષો ઉપર સમડી અને ઘુવડ જેવા મોટા પક્ષીઓ રહે. જાતજાતની બધી ચકલીઓ વળી ત્યાંથી થોડેક દૂર એક સાવ નાના ઝાડ ઉપર પોતાના માળા બનાવીને રહેતી હતી. ચકલીઓ સતત વાતો બહુ કર્યા કરતી. એટલે બધાએ એમને જુદી રહેવા મોકલી દીધી હતી. બધાં પક્ષીઓ પોતપોતાની રીતે દિવસે કે રાત્રે ખોરાકની શોધમાં નીકળે. નાના પક્ષીઓ સવારમાં ગીતો ગાય અને આનંદ કરે. કોઈ કોઈને હેરાન કરે નહીં. એવું લાગે જાણે કે એ પક્ષીઓનું જ વન હતું.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    એ વનમાં એક દિવસ એક નવું, નાનકડું પંખી આવ્યું. એ ઊડતું ઊડતું આવ્યું અને એક નાના વૃક્ષ ઉપર બેઠું. એનો ઉપરનો ભાગ ભૂખરો અને પેટનો ભાગ ઘેરા નારંગી રંગનો હતો. એ ખૂબ થાકેલું હોય એવું લાગતું હતું. બધા પંખીઓ એની સામે જોઈ રહ્યાં. થોડી વાર પછી બધા પંખીઓનો પ્રશ્ન લઈને પોપટ એની પાસે ગયો અને પૂછ્યું, ‘એ નાનાં પંખી, તું કોણ છે? ક્યાંથી આવ્યું છે? અમે તારા જેવું પંખી પહેલા જોયું નથી.’

    પેલું પંખી થોડું ગભરાઈ ગયેલું હતું. પણ પોપટ એની સાથે સરસ રીતે બોલ્યો એટલે એનો ગભરાટ થોડો ઓછો થયો. એણે કહ્યું, “મારું નામ રોબીન છે. હું અમેરિકાથી આવ્યું છું.’

    “અમેરિકાથી? ઓહોહો. એ તો બહુ દૂર છે. તું ત્યાંથી આટલે દૂર કેવી રીતે આવ્યું? થોડે દૂર બેસીને રોબીનની વાત સાંભળતો કાગડો બોલ્યો.

    “અરે એક વાર હું મારા ઘર નજીકના એરપોર્ટ નજીકના ઘાસમાં જીવડાં ખાવા ગયું હતું. ત્યાં મેં એક એરોપ્લેન જોયું. એને નજીકથી જોવા માટે હું એની ઉપર બેઠું અને એ તો ઊડ્યું. હું કંઈ વિચારું એ પહેલાં તો એ બહુ ઉપર પહોંચી ગયું હતું. હું તો આંખ બંધ કરીને બેસી જ રહ્યું. ઉપર ઠંડી બહુ હતી પણ મને ઠંડીની ટેવ છે એટલે વાંધો ન આવ્યો. એરોપ્લેન અહીંથી થોડે દૂર ઊભું રહ્યું. મેં ત્યાંથી અહીં આટલા બધાં ઝાડ જોયા એટલે હું અહીં આવ્યું. રોબીને લાંબો જવાબ આપ્યો.

    રોબીન દૂરદૂરથી આવ્યું છે એ જાણીને બધા પંખીઓ એને વીંટળાઈ વળ્યાં. કાબરો એને માટે થોડા જીવડાં લઇ આવી. રોબીન બહુ ભૂખ્યું હતું. એણે કાબરોનો આભાર માનીને જીવડાં ખાઈ લીધા.

    થોડી વાર પછી કબૂતરે એને પૂછ્યું, ‘હવે તું તારે ઘેર પાછું કેવી રીતે જઈશ?”

    હું એને કાલે સવારે એરપોર્ટ ઉપર મૂકી આવીશ.’ કાગડો બોલ્યો. એણે આજુબાજુના બધા  વિસ્તાર જોયેલા હતા.

    રોબીનનો અવાજ બહુ મીઠો હતો. એણે આ બધાં પંખીઓ સાથે એના દેશની ઘણી વાતો કરી. સાંજ પડવા આવી એટલે એણે પૂછ્યું, “હવે આજે રાત્રે હું સૂઇશ ક્યાં? તમે બધા તો મારાથી અલગ છો. અહીં મારા જેવા રંગનું કોઈ પક્ષી હોય તો હું એની સાથે સૂઈ જઈશ.’

    આ સાંભળીને બધાં પંખી વિચારમાં પડ્યા. (હમમ. એની વાત તો સાચી છે. એને એના જેવા પંખી સાથે જ ફાવે.”

    કાગડો કહે “ચલ હું તને તારા જેવા રંગના અહીંના પંખી બતાવું. તારે જેની સાથે રહેવું હોય એની સાથે રહેજે.”

    રોબીન ખુશ થયું. કાગડો તો રોબીનને સાથે લઈને ઊડ્યો અને ગયો પેલા વૃક્ષ તરફ જ્યાં મોટા પક્ષીઓ રહેતાં હતાં. એણે એ ઝાડની ડાળોની વચ્ચે એક ઘુવડને સૂતેલું જોયું. એણે રોબીનને એ બતાવતા કહ્યું, “જો, આ પક્ષીનો રંગ તારા રંગથી મળતો આવે છે. એનું નામ ઘુવડ છે. એ દિવસે સૂઈ જાય અને રાત્રે ફરવા નીકળે. રાત્રે એની જગ્યા ખાલી હશે. તારે ત્યાં સૂઈ જવું છે?

    રોબીને ઘુવડને જોયું અને બોલ્યું, “ના,ના. રાત્રે મારે એકલા નથી સૂઈ જવું. મને ડર લાગે. અમે તો બધા સાથે જ રહીએ. હું એકલું નહીં સૂઈ જાઉં.”

    કાગડો કહે, ‘સારું. કંઈ વાંધો નહીં.’ પછી એણે એ ઝાડની સહુથી ઉપરની ડાળ પર એક સમડીને બેઠેલી જોઈ. એણે રોબીનને કહ્યું, “જો, આ સમડી. એનો રંગ તારાથી મળતો આવે છે. બોલ, તારે એની સાથે રહેવું છે?’

    એટલામાં તો સમડી ત્યાંથી ઊડી અને હવામાં તરતી હોય એવી રીતે ચકરાવા મારવા માંડી. સાથે સાથે એ તીણા અવાજે ચીસો પાડતી હોય એવું બોલતી પણ હતી. રોબીન તો એ બધું જોઇને ગભરાઈ જ ગયું.

    કાગડાની સોડમાં લપાતા એ ધીમા અવાજે બોલ્યું, “ના, મને આની તો બીક લાગે છે. મને જલ્દી અહીંથી લઇ જાઓ.’

    હવે કાગડો વિચારમાં પડ્યો. એણે કહ્યું, ‘અહીંથી થોડેક દૂર રેતીનું મેદાન છે. ત્યાં તારા જેવા રંગનું ગીધ પણ જોવા મળે છે. પણ એની વળેલી ચાંચ અને પગના નખ જોઇને તો હું પણ ડરી જાઉં છું. એટલે તને તો બતાવીશ જ નહીં. દૂર દૂર એક બહુ ઊંચા ઝાડ ઉપર તારા જેવા રંગનું એક ગરુડ ક્યારેક આવે છે. પણ એ તો બહુ મોટું પક્ષી. અને ક્યારેક જ દેખાય. હવે તને ક્યાં લઈ જાઉં?’

    કાગડાની વાત સાંભળીને રોબીન તો રડવા જેવું થઇ ગયું. હવે ધીરે ધીરે અંધારું પણ થવા માંડ્યું હતું.
    ત્યાં તો પેલા નાના વૃક્ષ ઉપરથી આવતો ચકલીઓનો કલબલાટ કાગડાના કાને પડ્યો. એ તો પોતાની ચાંચ પહોળી કરીને ખડખડ હસી પડ્યો અને કહે, “ધત તેરીકી. આ મને કેમ સૂઝ્યું નહીં! ચલ ચલ.”

    કાગડો તો રોબીનને લઈને ગયો ચકલીઓ પાસે અને એમને બધી વાત કરી. ચકલીઓ તો લગભગ પોતાના જેવા જ દેખાતા આ અમેરિકન મહેમાનને જોઈને ઘણી ખુશ થઇ. એમણે એક મોટા માળામાં એને માટે જગ્યા કરી આપી. ચકલીઓએ રોબીનને થોડા કીડા પણ ખાવા માટે આપ્યા. રોબીનને પણ અહીં બહુ ગમ્યું. એ લોકોએ ખાસી વાર સુધી વાતો કરી અને પછી ઊંઘી ગયા.

    સવારે કાગડો રોબીનને લેવા આવી ગયો. રોબીને બધાનો ખૂબ આભાર માન્યો. કાગડો એને એરપોર્ટ સુધી મૂકી આવ્યો. એરોપ્લેન ઉપર બેસીને રોબીન પાછું પહોંચી ગયું એને ઘેર.

    હજુ એ ભારતમાં મળેલા એના દોસ્તોને બહુ યાદ કરે છે. એ બધાને કહે છે, “ભારતમાં મહેમાન બનીને જવાની બહુ મજા આવે. ત્યાંના પંખીઓ બહુ સારાં છે.’


    ગિરિમા ઘારેખાન | ફોન-૮૯૮૦૨૦૫૯૦૯

  • મેરી કોશિશ હૈ કિ યે સૂરત બદલની ચાહિયે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કળા ખાતર કળા’ અને ‘જીવન ખાતર કળા’ જેવી વિભાવના ઓગણીસમી અને વીસમી સદીમાં ઘણી ચર્ચાતી રહી. આ સદીમાં અનેક યુદ્ધ થયાં, સમગ્ર વિશ્વનાં ઈતિહાસ અને ભૂગોળ બદલાતાં રહ્યાં, દૂર રહ્યે રહ્યે વાર કરી શકાય એવાં શસ્ત્રોનો ઊપયોગ જોવા મળ્યો. આ બધાની સીધી અસર માનવજીવન પર થતી રહી. કળાનાં અનેક સ્વરૂપો પણ આ ગાળામાં વિકસતાં ગયાં, વધુ વ્યાખ્યાયિત થતાં ગયાં. કળા એક એવા સમૂહમાધ્યમ તરીકે ઊભરતું ગયું કે જે જનસામાન્યને પ્રભાવિત કરી શકે. કળાકારો વખતોવખત પોતાની કળા દ્વારા કોઈ મુદ્દે લોકોનું ધ્યાન આકર્ષવા પ્રયત્ન કરતા આવ્યા છે. ઘણા કિસ્સામાં લોકોની સંવેદનાઓને ઝંઝોડવામાં તેઓ સફળ નીવડે છે, તો મોટા ભાગના કિસ્સાઓમાં તેઓ પ્રસારમાધ્યમનાં મથાળાંમાં ચમકવાથી વિશેષ રીતે ધ્યાન આકર્ષી શકતા નથી.

    આવો વધુ એક કિસ્સો માર્ચ,૨૦૨૫ના પ્રથમ સપ્તાહમાં બન્યો. લ્યુસિઆ, સાયમન અને બેન્‍જામિનની ચોરી થઈ. આ નામ ડુક્કરનાં ત્રણ બચ્ચાનાં છે. ચોરી થઈ એ સ્થળ છે ડેન્માર્કના શહેર કોપનહેગનમાં યોજાયેલું એક ચિત્રપ્રદર્શન. આટલું જાણીને સવાલ થયા વિના રહે નહીં કે ડુક્કરનાં બચ્ચાં આર્ટ ગેલરીમાં શું કરતાં હતાં.

    મામલો જાણવા જેવો છે. ડેનીશ કલાકાર માર્કો ઈવેરીસ્તીએ એક પ્રદર્શન યોજ્યું હતું, જેમાં તેમણે વિવિધ ઈન્‍સ્ટોલેશન પ્રદર્શિત કર્યાં હતાં. ઈન્‍સ્ટોલેશનને સ્થાપનકળા તરીકે ઓળખાવવામાં આવે છે. એ ત્રિપરિમાણીય અને વિવિધ સામગ્રીના ઊપયોગથી બનાવી શકાય છે. માર્કોએ બીજી અનેક કળાકૃતિઓની સાથોસાથ ડુક્કરનાં ત્રણ બચ્ચાંને પ્ર્રયોજીને એક કૃતિ તૈયાર કરી. સમગ્ર પ્રદર્શનનું નામ રાખ્યું, ‘એન્‍ડ નાઉ યુ કેર?’ એટલે કે ‘છેક હમણાં તમને દરકાર લેવાનું સૂઝ્યું?’ તેમનું આ શિર્ષક બહુ સૂચક હતું. ડેન્માર્કમાં ફાલેલા ડુક્કરના માંસના ઉદ્યોગને કારણે થતી ડુક્કરની બદહાલી તરફ ધ્યાન દોરવાનો તેમનો ઉદ્દેશ્ય હતો. બદતર સ્થિતિમાં ઉછરી રહેલાં હજારો ડુક્કરો મરણને શરણ થાય છે. આ હકીકત બાબતે ડેનિશ લોકોને ‘જાગ્રત કરવાનો’ તેમનો હેતુ હતો.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    બે શોપિંગ કાર્ટને આડી પાડીને તેનાથી બનતી પાંજરા જેવી જગ્યામાં પરાળ મૂકીને તેની પર ડુક્કરનાં ત્રણ બચ્ચાંને કૃતિ તરીકે પ્રદર્શિત કરાયાં હતાં. વધુમાં આ પ્રદર્શન કલાકારે એક ભૂતપૂર્વ કસાઈના વેરહાઉસમાં યોજેલું. દિવાલ પર વિશાળ કદનો ડેન્માર્કનો ધ્વજ તેમજ કતલ કરાયેલાં ડુક્કરનાં ચિત્રો ટાંગવામાં આવેલાં. આશય એ હતો કે તેમને માત્ર પાણી પર જ રાખવામાં આવે અને કશો ખોરાક ન અપાય. આ રીતે તેઓ પાંચ દિવસ સુધી ટકી શકે, અને છેલ્લે મૃત્યુ પામે. આ પાંચ દિવસ દરમિયાન કલાકાર માર્કો પોતે પણ કશો ખોરાક લેવાના ન હતા. આમ કરવાનો હેતુ એ દર્શાવવાનો હતો કે પ્રદર્શિત કરાયેલાં ડુક્કરનાં બચ્ચાં સાથે થાય છે એવો જ વહેવાર બહાર બીજાં હજારો ડુક્કર અને તેનાં બચ્ચાં સાથે કરવામાં આવે છે, પણ એનાથી કોઈના પેટનું પાણી સુદ્ધાં હાલતું નથી. આ જોઈને તેમને એટલો તો ખ્યાલ આવે કે પોતે જેનું માંસ આરોગે છે એ પ્રાણી સાથે કેવો વહેવાર કરવામાં આવે છે!

    આ પ્રદર્શન થકી લોકોનું ધ્યાન દોરાય ન દોરાય ત્યાં પ્રાણીઓના હિત માટે કામ કરતા કેટલાક કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો. જે ક્રૂરતાનો પોતે વિરોધ કરી રહ્યા છે એ જ ક્રૂરતા તેઓ પોતે જ આચરી રહ્યા હોવાનો તેમની પર આક્ષેપ મૂકાયો. કાર્યકર્તાઓ સ્થળતપાસ માટે આવ્યા અને તેઓ નીકળ્યા એ પછી ગણતરીની મિનીટોમાં જ ડુક્કરનાં બચ્ચાં અદૃશ્ય થઈ ગયાં. પછી એમ પણ જણાયું કે માર્કોના એક મિત્રે જ આ કામમાં સહાય કરી હતી.

    ‘ડેનિશ એગ્રીકલ્ચર એન્‍ડ ફૂડ કાઉન્સિલ’ના આંકડા અનુસાર ડેન્માર્કમાં ડુક્કરનો ઉછેર કરતાં પાંચેક હજાર ફાર્મ છે, જેમાં વરસેદહાડે ૨.૮ કરોડ ડુક્કરનો ઉછેર કરવામાં આવે છે. એમાંના ઘણાની કતલ કરવામાં આવે છે, જેમાંના ૭૦ ટકાથી વધુ માંસનો જથ્થો યુરોપિયન યુનિયનમાં નિકાસ કરવામાં આવે છે. એનિમલ પ્રોટેક્શન ડેન્માર્કના ફાર્મ એનિમલ્સ એન્‍ડ મીન્‍કનાં મુખ્ય સલાહકાર બર્જટ ડેમના જણાવ્યા મુજબ રોજેરોજ ડેન્માર્કના ફાર્મોમાં પચીસેક હજાર જેટલાં ડુક્કરનાં બચ્ચાં મૃત્યુ પામે છે. એનું મુખ્ય કારણ ભૂખમરો છે, કેમ કે, ડેન્માર્કની માદા ડુક્કર વીસ બચ્ચાંને જન્મ આપી શકે એવી રીતે તેની જાતને તૈયાર કરવામાં આવી છે, પણ તેને ફક્ત ચૌદ જ સ્તનાગ્ર હોય છે, જેથી તમામ બચ્ચાંને પૂરતું દૂધ મળી શકતું નથી. ડેમે કહ્યું, ‘ડેનિશ ડુક્કર ઉદ્યોગ ક્ષેત્રે લાખો ડુક્કર પ્રત્યે સેવાતી બેદરકારી અને તેના માટે વ્યાપેલા ગુસ્સો તથા હતાશાને અમે બરાબર સમજીએ છીએ. દાયકાઓથી આ ચાલી રહ્યું છે, અને એ તદ્દન અસ્વીકાર્ય બાબત છે. આમ છતાં, પોતાનો મુદ્દો પુરવાર કરવા માટે ત્રણ બચ્ચાંને આ રીતે મરવા દેવાની મંજૂરી આપી શકાય નહીં.’

    બચ્ચાં ચોરાઈ જવાની ઘટના બનતાં જ માર્કોએ પ્રદર્શન અટકાવી દીધું.

    પ્રદર્શિત કરાયેલાં ત્રણ બચ્ચાંનો જીવ બચ્યો હોવાનો આનંદ થાય એ સ્વાભાવિક છે, પણ જે મુદ્દો ઉઠાવવા માટે માર્કોએ આ કર્યું એનું શું? બર્જટ ડેમે સુદ્ધાં વાસ્તવિકતાનો સ્વીકાર કર્યો છે એનો અર્થ એ કે આ પરિસ્થિતિ કંઈ અજાણી કે અણધારી નથી. પણ એ દિશામાં ભાગ્યે જ કશાં નક્કર પગલાં લેવાશે એમ લાગે છે.

    માર્કો જેવા કલાકારો ‘જીવન ખાતર કળા’ કરવા જાય ત્યારે તેમની અભિવ્યક્તિમાં રહેલી આત્યંતિકતાને કારણે વગોવાય છે, પણ એથી અનેક ગણી આત્યંતિકતા સૌને કોઠે પડી ગઈ છે, અને રોજિંદા જીવનમાં સહજસ્વીકૃત બની રહી છે. એ બાબતે ભાગ્યે જ વિચારાય છે.


    (શિર્ષકપંક્તિ: દુષ્યંતકુમાર)


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૭- ૦૪– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • સંસ્પર્શ-૧૦

    ધ્રુવ ભટ્ટની નવલકથાઓ પર સ્વ- અનુભૂતિની લેખશ્રેણી

    જિગીષા દિલીપ

    સમુદ્રાન્તિકે જ્યારે હું વાંચું છું ,ત્યારે તેમાં બધાંની જેમ મને ધ્રુવદાદાની નવલકથામાં અનુભવકથા, આત્મકથા કે પ્રવાસવર્ણન તો જણાય જ છે, પણ મને સૌથી વધુ દેખાય છે ભારતનાં જ જુદાજુદા પ્રાંતમાં રહેતાં લોકોનો સંસ્કૃતિભેદ. બે સાવ વિભિન્ન સંસ્કૃતિ – એક શહેરી ભણેલી ગણેલી સંસ્કૃતિ -જે પોતાની જાતને, પોતાના વિચારોને, પોતાની માન્યતાઓને, પોતાની સમૃદ્ધિ અને જ્ઞાનને વિશેષ સમજી, અહંકારમાં મસ્ત છે.

    તો બીજી દરિયાનાં ખારાપાટની અભણ, ગરીબ પ્રજા જે અંદ્ધશ્રદ્ધા સાથે પોતાની પરંપરાગત માન્યતાથી પોતાની મસ્તીમાં જીવતી પછાત પ્રજા છે, પરતું તેની સચ્ચાઈ અને પ્રેમસભર માનવતાવાદી નિર્મળ સંસ્કૃતિ કાબિલેદાદ છે.

    નવલકથાનો નાયક કેમિકલની ફેક્ટરી નાંખવાના સરકારી પ્રોજેક્ટનાં કામે થોડા સમય માટે દરિયાકિનારાનાં લોકો સાથે રહે છે. બહારથી અભણ, અજ્ઞાન, ગરીબ અંધશ્રદ્ધાથી ભરપૂર લાગતાં લોકોનાં, ભીતરથી ચળકતાં હીરા જેવા હૃદય, સંતોને શરમાવે તેવો પ્રેમથી ભરપૂર માનવતાવાદી વ્યવહાર, નાયકને પોતાની અંદર ઝાંખવાં પ્રેરે છે.

    અવલ જેવી દરિયા કાંઠે રહેતી સામાન્ય સ્ત્રીનાં અસામાન્ય અદના વ્યક્તિત્વથી નાયક બેઘડી વિચારનાં વંટોળમાં ખોવાઈ જાય છે. એક અભણ સ્ત્રીનું વ્યક્તિત્વ આટલું સબળ? દરિયાકાંઠાનાં એક એક પાત્રો, અવલ, નુરભાઈ, ક્રિષ્ના, બંગાળીબાબુ, દરિયે નહાવા આવનાર માજી- દરેકે દરેકનાં નોખા વ્યક્તિત્વોની સાથે રહી નાયક છેવાડાનાં માણસોની જીવનરીતી અને વિચારોની ઊંચાઈથી અભિભૂત થઈ જાય છે. નાની બાળકીઓ દેવકી અને જાનકીનાં એક એક વાક્યમાં જાણે એકએક ઉપનિષદનાં વાક્યો અને શાસ્ત્રોનું ગર્ભિત જ્ઞાન નાયકને દેખાય છે. તેમનાં વાણી અને વર્તનની સચ્ચાઈ, મેલાં હૃદયનાં શહેરી સમૃદ્ધ અને સાવ શુષ્ક હૃદયનાં માનવ-માનવ વચ્ચેનાં વેર-ઝેર ઈર્ષા અને દેખાડાથી ભરપૂર લોકો કરતાં સાવ જ જુદાં છે તે સમજાઈ જાય છે અને તેના ઉરમા એક તોફાન ઊઠે છે.

    અફાટ સમુદ્રનાં ભરતીનાં મોજાંનું પાણી, વિચારોનું એક ધસમસતું ટોળું બનીને આવી નાયકના મનને આમથી તેમ ફંગોળી વિચલિત કરી મૂકે છે. નાયકની શહેરી સંસ્કૃતિના વામણા વિચારોનાં અંધકાર પર ખારાપાટનાં અભણ,પરતું નિર્મળ હૃદયનાં લોકોનાં અભિભૂત કરી નાંખતાં વિચારોનો અજવાસ કબજો કરી લે છે. શહેરી સંસ્કૃતિમાં મિલકત માટે સગી માનાં પેટે જન્મેલ દીકરાઓ પણ કોર્ટે જાય છે, અંદરોઅંદર મારામારી કરે છે
    જ્યારે અહીં તો હાદા ભટ્ટ તેના ભાઈનાં દીકરા કેશા ભટ્ટને, જેને મરતાં સમયે તેના ભાઈએ હાદાની પત્ની ઉમાગોરાણીને સોંપેલો એ કેશોને હાદાએ પત્ની ઉમાગોરાણીની વાત સાંભળી સુલતાને આપેલ હવેલી, કૂવા સાથેની વાડીઓ, વજીફાં, જમીનો, ખેતરો બધું જ આપી દે છે.

    આવા ઈલમી આદમી, નાયકે શહેરમાં સપનામાં પણ ક્યાં જોયા હોય ! બંગાળીબાબુનું કાંકરાં હાથમાં લઈ કહેવું,’ તેરી યા મેરી કિંમત ઈસે જ્યાદા નહીં હૈ’

    સાંભળી કબીરવાણી યાદ આવી જાય,

    “ મત કર માયા કા અહંકાર ,મતકર કાયા કા અહંકાર ,કાયા ગારસે કાચી”

    આખા જગતને જીતવા નીકળેલ સિકંદર છેવટે ખાલી હાથે નનામી પર ચડે છે અને માટીમાં ભળે છે. આટલી સાવ સાદીસીધી વાત નાના માણસો જેટલી સરસ રીતે જાણે છે એટલી ,ભણેલા દંભી લોકો, એ વાત જાણવા છતાં નાસમજની જેમ જીવન જીવે છે. આ છે એક જ પૃથ્વી પર વસતાં જુદાજુદાં લોકોનાં વિચારભેદ.

    દરિયાને માત્ર દરિયો નહીં પણ દેવ સમજનાર આ અભણ લોકોનું ગણિત તો જુઓ ,”લાખો કરોડો જીવોને પોતાના પેટાળમાં પોસનાર દરિયો દેવ નહીં તો બીજું શું? “તેમનાં આવા ડગલે અને પગલે રજૂ થતાં વિચારો બેઘડી આપણને વિચારતાં કરી મૂકે છે !

    આમ સમુદ્રાન્તિકેનાં એક એક પાત્ર દ્વારા બોલાએલ સંવાદો તેમની ભીતરની નિર્મળતા ,વિચારોની ઉચ્ચતા અને ચારિત્ર્યની સ્વચ્છતાથી નાયકના દિલોદિમાગની જેમ આપણને પણ પલાળી દે છે. શહેરી અને છેવાડાનાં લોકોની સાંસ્કૃતિક ભેદરેખાનાં છેદ ઉડાડતાં હું શહેરી સંસ્કૃતિની વામણાઈથી શરમિંદગી અનુભવું છું અને નાયકની જેમ જ દરિયાને અને તેના પટ પર રહેતા ભોળાં માનવીઓને સલામ કરું છું.

    અને એટલે જ તો, દરિયાકાંઠાંનાં લોકોની આવી આવી વાતો કરતાં ધ્રુવદાદા ગાઈ ઉઠે છે.

    દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે,
    સમંદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યાં નામ છીએ આપણે.

    હોવું તો વાદળિયા શ્વાસ જેવી વાત એની ધરતીને સાંપડી સુગંધ,
    આપણો તો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ.

    સમંદરની છોળ જેમ સમંદરમાં હોય એમ આપણો મુકામ છીએ આપણે,
    યાયાવર ગાન છીએ આપણે.

    પાંખમાં ભરીને ચલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ,
    ભાંગતાં કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ.

    માળાનો હોય નહીં આપણને સાદ સાવ ટૂંકાં રોકાણ છીએ આપણે
    યાયાવર ગાન છીએ આપણે

    ધ્રુવદાદાએ આ ધ્રુવગીતમાં માનવજાતને દરિયાની છાતી પર ઢોળાતાં યાયાવર પક્ષીનાં ગાન સાથે સરખાવ્યાં છે. યાયાવર પક્ષી એક જગ્યાથી બીજી જગ્યાએ પ્રવાસ ખેડતાં, ટોળાંમાં ચિચિયારીઓ કરીને દરિયા પર ઊડતાં પક્ષીઓ છે. આપણે પણ ટોળાંમાં રહીને જીવન પસાર કરી એક જન્મથી બીજા જન્મનાં ૮૪૦૦૦૦ લાખ ફેરાઓની ભવાટવીમાં પ્રવાસમાં મોજથી ફરી રહ્યાં છીએ. આપણાં જીવનસમંદરની પારનાં સરનામાં આપણી પાસે નથી. આપણે કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ? ક્યાં જવાનાં છીએ ? એની કોઈ સાચી જાણ આપણને નથી કે નથી આપણી પાસે ક્યાં જવાનાં છીએ તેનાં સાચાં સરનામાં કે સાચાં નામઠામ.

    સમંદરની છોળો જેમ સમંદરમાં જ સમાઈ જાય છે તેમ આપણે આપણો મુકામ આપણી અંદર જ શોધવાનો છે. આપણું આ પૃથ્વી પરનું રોકાણ ,આપણો પ્રવાસ સાવ ટૂંકો છે તો જીવન આનંદનાં પ્રેમભરેલ આકાશને પાંખમાં ભરીને ચાલવાનું દાદા કહે છે. આ જીવન સાવ ટૂંકો પ્રવાસ છે તો તેના કિનારે બેસી મૌનનાં એકાંતને મોજનાં કલબલાટ થકી, ટૂંકા રોકાણને યાદગાર બનાવી ,યાયાવર પક્ષીઓની જેમ દરિયાનાં પાણીની મસ્તી માણતાં માણતાં જીવનપ્રવાસ ઉજાળીએ.


    સુશ્રી જિગીષાબેન પટેલનો સંપર્ક dilipjigisha@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • મોર્નિંગ વૉક

    શાહબુદ્દીન રાઠોડ

    જનરલ જસવંતસિંહજી એક ગામડામાંથી પસાર થઈ રહ્યા હતા. તેમની નજર ઘરની દીવાલો પર દોરાયેલાં વર્તુળો તરફ ગઈ.

    જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું. થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી. જનરલે પૂછ્યું : ‘આ બધાં નિશાન તમે લીધા છે?’ આવનાર ગ્રામીણ યુવાને હા કહી.

    જનરલે કહ્યું, ‘તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો?’

    યુવાને કહ્યું, ‘ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.’

    જનરલે કહ્યું : ‘હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.’ માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.

    ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
    ઐસી જગહ બૈઠ,   કોઈ કહે ના ઉઠ.

    આમ કબીરસાહેબે કહ્યું છે. આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.

    વિદ્યાર્થી મિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ. હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શકતો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું: ‘થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.’ હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.

    નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
    કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.

    મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો? પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ.

    મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી.

    મેં પૂછ્યું, ‘એલા, શું સપનું જોતો હતો?’

    મથુર કહે : ‘તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.’

    મેં કહ્યું : ‘હાલ ફરવા.’

    મથુર કહે : ‘ના, મારે નથી ફરવું. તું જઈ આવ.’ આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.

    હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવ-ઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.’ દા.ત. વ્યાયામ. ‘ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.’ દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.’

    You can make your living  by what you earn,
    But you can make your life by what you give.

    ‘જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.’ આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. ‘જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.’ ‘ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.’ આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શેએ લખ્યું છે.

    ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, ‘ચાલો ભિખુ, ચાલો.’

    હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.

    હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, ‘ભલા માણસ, ધ્યાન રાખતા હો તો?’

    મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓની ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનની ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ મેં નિર્ણય કરી લીધો, ‘સંઘર્ષ શક્ય નથી.’

    પાછળ કાકીએ મને કહ્યું, ‘ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.’ મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : ‘અજ્ઞાનીના ઓરતા ન હોય.’

    હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવક યુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આધેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં:

    મદમસ્ત યુવાનીની શિક્ષા ઘણપણને મળે એ ન્યાય નથી
    તોફાન થયું  છે   મધદરિયે,   સપડાય કિનારો શા માટે ?

    ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં હતા. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.

    જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો. એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, ‘સાહેબ, એક અડધી ચા પાવ.’ હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : ‘ચા સાથે નાસ્તો કરશો?’

    એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઠિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું?

    હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, ‘મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.’

    ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાના પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.

    મેં તેને કહ્યું, ‘ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.’

    ભિક્ષુક કહે, ‘સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.’

    મેં કહ્યું, ‘ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.’

    ભિક્ષુક કહે, ‘કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે?’ મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો.

    હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, ‘જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે?’


    માવજીભાઈનો વર્ડપ્રેસ બ્લોગ / ગદ્યસંગ્રહ માંથી સાભાર