વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગુણવત્તા – પોતાપણાનો ભાવ હોય તો ઉત્તરોત્તર વધારે સારૂં કરી શકાય

    સ્વ-વિકાસ : વિચાર વલોણું

    તન્મય વોરા

    તમે જે કંઈ કરો છો તેની બધી જ ગુણવત્તાનો પૂરેપુરો સંબંધ  તમારા કામ પર, તમારી પ્રવૃત્તિઓ અને તમે જે પ્રક્રિયા સાથે જે પદ્ધતિમાં કામ કરો છો તે પ્રક્રિયાના અન્ય ભાગો પર નિર્ભર છે. જ્યારે તમે એવું કામ કરો છો જે ઉપયોગી અને ગુણાત્મક હોવાની સાથે સાથે અન્ય લોકો માટે મૂલ્યવાન હોય, ત્યારે તે તમારા આત્મસન્માનને પોષે છે; તમને વધુ સારી વ્યક્તિ બનાવે છે. ગયા વખત કરતાં સતત વધુ સારું પ્રદર્શન કરીને, તમે તમારાં વ્યક્તિત્વનું સ્તર ઊંચું કરો છો અને વિકાસ કરો છો.

    આ એક ચક્રીય પ્રક્રિયા છે, જે ફક્ત વધુ સારી કે શ્રેષ્ઠ કુશળતા ધરાવવાથી નહીં પરંતુ વધુ સારું કરવાના ઇરાદાથી શરૂ થાય છે. આ એ જ ઇરાદો છે જેને આપણે  “માલિકીભાવ” કહીએ છીએ તેને ચલાવે છે. આનો અર્થ એ છે કે, જ્યાં સુધી તમને તમારા કામમાં માલિકી ભાવ ન હોવ, ત્યાં સુધી તમે ક્યારેય છેલ્લી વખત કરતાં વધુ સારી રીતે કામ કરી શકશો નહીં. જ્યારે તમે તે કરો છો, ત્યારે એ  કામ તમારી ઓળખનો એક ભાગ બની જાય છે. તમે તેને વધુ મૂલ્યવાન બનાવો છો. તમે એવી બાબતોમાં સારું કરી બતાવો છો જેને તમે વધુ મૂલ્યવાન ગણો છો. જ્ઞાનની દુનિયામાં, તમારું કામ તમારી હસ્તરેખાની છાપ ધરાવે છે. તે તમારા વિશે એક કથાનક બની જાય છે. જો તમે કોઈપણ સ્તરના અગ્રણી હો તો આ વધુ મહત્વનું છે.

    સંસ્થાગત પદક્રમ, નિષ્ફળતાનો ડર, ઉપરી અધિકારીઓ સાથે વિશ્વાસનો અભાવ, ઝીણી નજરે વ્યવસ્થાપન કરવું અને નબળા સંચાલન જેવી બાબતોથી કંટાળીને, આપણે ઘણીવાર આપણા કામને એક કરવા ખાત્ર કરવા લાયક વ્યવહાર તરીકે ગણીએ છીએ. હું આ કરું છું અને મને તેની આ ફળ મળે છે. તમે ફક્ત તે જ કરો છો જે તમારા વ્યવસાય માટે આવશ્યક છે. થોડા મહિનાઓ સુધી આ રીતે કામ કરવાથી તમે ઉદાસીન, નિરુત્સાહી બની જશો. જો તમે મહત્વાકાંક્ષી છો, તો તણાવમાં રહેવા લાગશો. તમારા કામની ગુણવત્તા ઘટી જશે અને તમારો વિકાસ અટકી જશે. કામ કરવાનો અને જીવવાનો આ એક સારો રસ્તો નથી, ખાસ કરીને જ્યારે આ એકમાત્ર જીવન તમારી પાસે (અને આપણા બધા પાસે) હોય!

    વધુ સારો વિકલ્પ એ છે કે તમે જ્યાં છો ત્યાંની જવાબદારી ઉપાડી લેવાથી શરૂઆત કરો.. સમસ્યાઓ સ્વીકારો, શક્ય ઉકેલોનું મૂલ્યાંકન કરો અને તમારા માર્ગ પર કામ કરો. આ સરળ ન હોઈ શકે, પરંતુ લાંબા ગાળે, આ બધાં બાહ્ય પરિબળોને કારણે તમારા કામની ગુણવત્તા સાથે સમાધાન કરવું અને તમારા કામકાજમાં પ્રગતિ ન કરવી એ પીડાદાયક તેમજ  ખર્ચાળ નીવડી શકે છે!


    આ શ્રેણીના લેખક શ્રી તન્મય વોરાનો સંપર્ક tanmay.vora@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.

  • સપ્તાહાંત એક વિચાર, આખા અઠવાડીયાનું ભાથું

    ધંધેકા ફંડા

    ઉત્પલ વૈશ્નવ

     “સપ્તાહના અંતના વિચારો આખાં અઠવાડીયાના કામ પર કેવી અસર કરે છે એ વિશે કદી વિચાર્યું છે?’  એક વાર રીસેસમાં  ચા પીતા પીતાં મેં વિક્રાન્ત અને વિવેકને પૂછ્યું.

    વિક્રાન્ત તેની લક્ષ્યસિદ્ધિમાં ખુંપેલો રહેતો. સપ્તાહાંત રજાઓમાં પણ તે એ વિશે કંઇક વિચારતો રહેતો હોય અને પછીના અઠવાડીયાનું આયોજન કરતો રહેતો હોય. તેને લગન દેખાઈ જ આવતી હતી. સોમવારે તેની પાસે અવનવા વિચારો તૈયાર જ હોય. પરિણામે, તેના પ્રોજેક્ટ્સ કાયમ ધસમસાટ પ્રગતિ કરતા જ જોવા મળે.

    વિવાન ઊંધો છેડો હતો. સપ્તાહાંત રજાઓમાં તેના મગજનો કામ અંગેનો વિભાગ બંધ જ હોય. એમ કરીને એ કામના અઠવાડીયા માટેની પોતાની ઉર્જા ફરીથી ચાર્જે કરતો. આખું અઠવાડીયું તે કામમાં એટલો રત રહેતો કે શુક્રવારે બપોર સુધીમાં તો તે થાકી પડતો. સોમવારે પણ તેની ગાડીને ઝડપ પકડતા થોડો સમય લાગતો. તેનું કામ ચોખ્ખું, પણ પ્રમાણમાં થોડું ઓછું ઝડપી હોય. તેની પાસે બહુ નવા વિચારો પણ ખાસ ન હોય.

    અમારી એ દિવસે વાત થયા પછી વિક્રાન્તની કામ કરવાની પદ્ધતિનો ફરક વિવાનના ધ્યાન પર આવ્યો. વિવાનને સમજાઈ ગયું કે અઠવાડીયા દરમ્યાન એકલી મહેનત કામ નહીં આવે, મહેનતને  પણ SMART બનાવવી જોઈશે. આટલું સમજાવું એ મહત્ત્વનું કદમ જરૂર હતું. તેને અમલમાં મુકવો એ વળી એક આગવો પડકાર હતો, કેમકે હવે તેણે પોતાની વિચારસરણી પણ બદલવાની હતી.

    → અઠવાડિયા દરમ્યાન ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે સપ્તાહાંત દિવસોમાં પણ એ જ જોમ કામ કરતું રહે એ જરૂરી છે.

    પાદ નોંધ. — સોમવાર થી શુક્રવાર જ ધબકતું રહે એવું જોશ કેટલે ઉંડે સુધી પ્રસરી શકે?


    આ શ્રેણીના લેખક શ્રી ઉત્પલ વૈશ્નવનો સંપર્ક hello@utpal.me  વીજાણુ સરનામે થઇ શકે છે.

  • એક ઘૂઘવતી નદીનું રાતોરાત થયેલું મૃત્યુ

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    કોઈ નદી પ્રદૂષિત થઈ ગઈ હોય એ સમજ્યા, નદી સૂકાઈ જાય એ પણ ગળે ઊતરે એમ છે, યા નદી લુપ્ત થઈ જાય એય શક્ય છે. પણ કોઈ નદી રાતોરાત મૃત બની જાય એમ બને? માનવે પ્રકૃતિ સાથે ચેડાં કરવાના પ્રયત્ન કરવાના શરૂ કર્યા ત્યારથી આવી અભૂતપૂર્વ પ્રાકૃતિક ઘટનાઓની નવાઈ નથી રહી.

    વાત છે આફ્રિકાના ઝામ્બિયા દેશની મહત્ત્વની નદીઓમાંની એક એવી કાફૂએ નદીની. ઝામ્બિયાના સત્તાધીશો અને પર્યાવરણવાદીઓ ઊંડી ચિંતામાં છે, જે સકારણ છે. ઝામ્બિયાની ઊત્તરે આવેલી સીનો-મેટલ્સ લીચ ઝામ્બિયા નામની તાંબાની એક ખાણમાંથી એસિડીક કચરો આ નદીમાં ઠલવાયો. કારણ એ કે કચરાને અવરોધવા માટે નદીને કાંઠે બાંધેલો માટીનો ટેઈલિંગ્સ બંધ પડી ભાંગ્યો. આ ઘટના બની ૧૮ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ. આ ખાણ ચીની માલિકીની છે. આ દુર્ઘટનાને પરિણામે અતિ સાંદ્ર એસિડ, ઓગળેલો ઘન કચરો અને ભારે ધાતુઓ સહિત પાંચેક કરોડ લિટર કચરો નદીના પ્રવાહમાં ભળી ગયો. સોએક કિ.મી. સુધી આ પ્રદૂષણની અસર જણાઈ છે.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    કેવી કેવી અસર જોવા મળી? નદીકાંઠે મરેલી માછલીઓ તણાઈ આવેલી દેખાઈ. કાંઠે આવેલાં ખેતરોમાંના પાકની ખાનાખરાબી થઈ ગઈ. જનજીવન પર પણ અસર થઈ. કિનારે વસવાટ કરતા લોકોએ ત્યાંની જૈવપ્રણાલિમાં વિચિત્ર ફેરફારો નિહાળ્યા. ઝેરી કચરો જમીનમાં ઊતર્યો અને બીજા અનેક વિસ્તારોમાં પ્રસર્યો. સરકારે આ અસરને ઘટાડવા માટે પગલાં લેવાં શરૂ કર્યાં છે. પાણીમાં ભળેલા સાંદ્ર એસિડનું તટસ્થીકરણ કરવા માટે તેમણે હવાઈ માર્ગે પાણીમાં સેંકડો ટન ચૂનો ભેળવવાનું શરૂ કર્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ સ્પીડ બોટ  દ્વારા ચૂનો વહેંચવામાં આવી રહ્યો છે. શાસકોની ચિંતા એ છે કે જમીનમાં ઊતરેલો ઝેરી કચરો ભૂગર્ભજળને પ્રદૂષિત કરશે તો મુશ્કેલી થશે.

    ઝામ્બિયામાં આવેલા તાંબાના ખાણઉદ્યોગમાં ચીનની પ્રમુખ ભૂમિકા છે. આધુનિક ટેક્નોલોજીમાં તાંબું અતિ મહત્ત્વની ધાતુ છે. વિશ્વભરના પ્રથમ દસ તાંબાના ઉત્પાદકોમાં ઝામ્બિયાનો સમાવેશ થાય છે. સમજી શકાશે કે દેશના અર્થતંત્રમાં તાંબાની ખાણોનો કેટલો મોટો હિસ્સો હશે. કાફૂએ નદીનું વહેણ ઝામ્બિયામાં વચ્ચોવચ્ચ વહે છે, જેની લંબાઈ પંદરસો કિ.મી. જેટલી છે. આ નદીના તટપ્રદેશ પર ઝામ્બિયાની બે કરોડની વસતિના સાઠ ટકા લોકો નિર્ભર છે. પાણી, મત્સ્યોદ્યોગ, સિંચાઈ તેમજ ઉદ્યોગ જેવા વિવિધ પ્રકારે લોકો તેની સાથે સંકળાયેલા છે. પચાસેક હજાર લોકોને તે પીવાનું પાણી પૂરું પાડે છે, જેમાં પાટનગર લુસાકાનો પણ સમાવેશ થાય છે. એસિડ ભળવાને કારણે કિટવે શહેરના સાતેક લાખ લોકોને મળતું પીવાનું પાણી સદંતર બંધ કરી દેવામાં આવ્યું છે. સરકારી પ્રવક્તાએ પરિસ્થિતિ અતિ ગંભીર હોવાનું જણાવીને નદીને સ્વચ્છ કરવાનો તમામ ખર્ચ ચીની કંપની ભોગવશે એમ કહ્યું છે.

    દરમિયાન આ કંપનીના ચેરમેન ઝેન્‍ગ પૈવેન સરકારી અધિકારીઓને મળ્યા હતા અને કંપની વતી જાહેર માફી દર્શાવતા કહ્યું, ‘આ દુર્ઘટના એ સીનો-મેટલ્સ લીચ તેમજ અન્ય ખનન ઉદ્યોગ માટે મોટો ભયસંકેત છે. અસરગ્રસ્ત પર્યાવરણનું પુન:સ્થાપન કરવા પોતાની કંપની શક્ય ઝડપે કામ કરશે.’ આ નદીકાંઠાના એક નિવાસી શોન કોર્નેલિઅસના જણાવ્યા અનુસાર, ’૧૮ ફેબ્રુઆરી પહેલાં આ નદી એકદમ જીવંત અને ધબકતી હતી. હવે બધું મરી પરવાર્યું છે. એ સાવ મૃત બની ગઈ છે. માન્યામાં આવે એમ નથી કે રાતોરાત નદી મૃત થઈ ગઈ છે.

    હકીકત એવી છે કે ઝામ્બિયા ઊપરાંત ઝિમ્બાબ્વે, કોંગો જેવા તેના પાડોશી દેશોમાં પણ ચીન દ્વારા સઘનપણે થતું ખનનકામ પર્યાવરણ પરની વિપરીત અસર અને શ્રમિકોના  કાયદાના ભંગને કારણે અવારનવાર ટીકાપાત્ર બનતું રહ્યું છે. પણ આ દેશોના અર્થતંત્રમાં તેનું મહત્ત્વનું પ્રદાન હોવાથી એ બાબતે ભાગ્યે જ કશાં પગલાં લેવાય છે. ખનન દરમિયાન સુરક્ષા અને પર્યાવરણને લગતાં નિયંત્રણોને તડકે મૂકવા બદલ ચીની કંપનીઓ સામે સ્થાનિકોમાં વ્યાપક અસંતોષ છે. બીજી તરફ ઝામ્બિયા પર ચીનનું ચારસો કરોડ ડોલરથી વધુ દેવું છે. એ પૈકીની ઘણી રકમ ચૂકવી ન શકવાથી કેટલીક લોનનું પુનર્ગઠન કરવાનું આવ્યું છે. એનો એક અર્થ એ કરી શકાય કે તાંબાનું ખનનકામ ચાલુ રહેશે. એટલે કે પર્યાવરણ પર થતી એની વિપરીત અસરમાં ખાસ કશો ફેર નહીં પડે.

    દરમિયાન સીનો-મેટલ કંપનીની દુર્ઘટના પછી એસિડના લીક થવાની વધુ એક દુર્ઘટના બહાર આવી છે. ઝામ્બિયાના કૉપરબેલ્ટ પ્રાંતમાં આવેલી ચીની માલિકીની એક ખાણમાં આમ બન્યું છે, અને તેના અધિકારીઓ પર આ દુર્ઘટના પર ઢાંકપિછોડો કરવાનો આક્ષેપ છે. એ ઊપરાંત એસિડમાં પડવાથી એક કામદારનું મૃત્યુ નીપજ્યાની દુર્ઘટના પણ બની હતી. સંબંધિત અધિકારીઓના જણાવ્યા મુજબ આ ખાણનું કામ બંધ રાખવાના આદેશને અવગણીને તેમણે કામ ચાલુ રાખ્યું હતું. બે ચીની ખાણ મેનેજરોની ધરપકડ કરવામાં આવી હતી.

    હવે સરકારી આદેશને પગલે બન્ને ખાણમાં કામ બંધ કરવાની ફરજ પાડવામાં આવી છે. ઝામ્બિયાના લોકો આ ઘટનાઓથી અકળાયા છે. ઝેન્ગ તેમજ અન્ય અધિકારીઓની સરકાર સાથેની મુલાકાતમાં હાજર રહેનાર મ્વીન હીમ્વીન્‍ગા નામના એક પર્યાવરણ ઈજનેરે જણાવ્યું હતું કે પર્યાવરણના રક્ષણની વાત આવે ત્યારે કેટલાક રોકાણકારો તેની કેવી અવગણના કરે છે એ ખ્યાલ આવે છે. એ લોકોને કશી લેવાદેવા કે કોઈ નિસ્બત નથી. આ ખરેખર ચિંતાજનક છે, કેમ કે, આખરે તો આપણે સૌ ઝામ્બિયાના લોકો પાસે જે ગણો એ, આ એક જ ભૂમિ છે.

    પર્યાવરણને નુકસાન થવું એ એક બાબત છે, એ જાણી જોઈને કરવું એ અલગ બાબત છે, અને એમ કર્યા પછી કશો અફસોસ ન થવો એ સાવ બીજી બાબત છે. આજે ઝામ્બિયામાં આ થયું, પણ કાલે એ જગતના અન્ય દેશમાં બને એ શક્યતા પૂરેપૂરી છે.


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૪- ૦૪– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ગુજરાત છે

    દેવિકા ધ્રુવ

    વાણી મારી ગુજરાતી ને ભૂમિ મા ગુજરાત છે.
    વેશભૂષા
     વિદેશી છે પણ, ગૌરવ  ગુજરાત છે.

    પૂરવ હો યા પશ્ચિમ કે ઉત્તર હો યા દક્ષિણ,
    ગિરા
     સૌની એક જેના, રુદિયામાં ગુજરાત છે.

    મુનશીની અસ્મિતા છે ને પાટણની પ્રભૂતા એ છે,
    સત્યના ચરખાથી ઝળહળ દીવડા ગુજરાત છે.

    થઈ ગયા છે ગાંધી અહીં ને થઈ ગયા લોખંડી વીર,
    ઈતિહાસને પલટી રહ્યા,
     મોદી ખડા ગુજરાત છે.

    શહેરે શે’ર અને દેશવિદેશે, ગૂંજે છે હરઘર માંહી,
    તે
     વાણી મુખે ગુજરાતી ને મનડામાં ગુજરાત છે..

    દીસે પાણી ચારેકોર ને શાન-માન લહેરાય છે.
    આકાશથી ઉતરી કદી તું, આવ આ ગુજરાત છે.

    Devika Dhruva | ddhruva1948@yahoo.com | http://devikadhruva.wordpress.com


    શ્રી ગૌરાંગ વ્યાસના સ્વરાંકન અને ગાયક શ્રી શેખર ફાટકના  અવાજમાં સ્વરબદ્ધ 

  • શબ્દ પ્રારબ્ધ

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    આજ સુધી આપણે સૌએ મહાભારતની કથા અને એના અંતે વેરાયેલી વ્યથાની વાતો અનેક વાર વાંચી જ હશે. આજે એમાંની એક વાત ફરી એકવાર યાદ આવી…….

    મહાભારતના ૧૮ દિવસના યુધ્ધ પછીનો એક દિવસ છે. દ્રૌપદીની ઇચ્છા પ્રમાણે કૌરવો સામેના પ્રતિશોધમાં પાંડવો વિજયી થઈ ચૂક્યા છે પણા વિજયની ખુમારી દ્રૌપદીના ચહેરા પર છે ખરી? ના, આ પ્રતિશોધની આગે તો દ્રૌપદીના ચહેરા પર ઉંમરના ચાસ પાડી દીધા છે. શારીરિક જ નહીં માનસિક રીતે પણ એ સાવ નંખાઈ ગઈ છે. પ્રતિશોધ પછીના પશ્ચાતાપની આગ લીધે શ્યામવર્ણી ર્દ્રૌપદીના ચહેરા પર જાણે વધુ શ્યામલ શાહી પથરાઈ ગઈ છે. કુરુક્ષેત્રના મેદાનમાં ચારેકોર લાશોના ઢગલાએ એની કશું જ વિચારવાની સમજને પણ જડતામાં ફેરવી નાખી છે. અગ્નિસંસ્કાર પણ જેને નસીબ નથી એવા પતિ કે પુત્રના વિરહમાં વિધવાઓ જાણે વગર અગ્નિએ બળી રહી હતી. બાળકો અનાથ બની ગયા છે એવા હસ્તિનાપુરની મહારાણી આજ સુધી ન અનુભવી હોય એવી વિવશતા અનુભવી રહી છે. મહાલયમાં પણ જાણે કાલિમાની છાયા ફેલાઈ ગઈ છે. વિચારશૂન્ય દશામાં બેઠેલી દ્રૌપદીને મળવા શ્રીકૃષ્ણ આવી રહ્યા છે.

    કૃષ્ણને જોઈને દ્રૌપદી એમની સામે દોડી આવે છે અને એના આંસુઓનો બંધ છૂટી જાય છે. કૃષ્ણ એને સાંત્વન આપવાનો મિથ્યા પ્રયાસ કરે છે. હવે દ્રૌપદી અને શ્રીકૃષ્ણ વચ્ચે સંવાદ થાય છે એ જોઈએ.

    દ્રૌપદી કૃષ્ણને પૂછે છે, “ આ શું થઈ ગયું સખા? આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું.

    કૃષ્ણ જવાબ આપે છે, “ પાંચાલી, નિયતી અત્યંત ક્રુર હોય છે એ આપણે વિચારીએ એવી જ રીતે ચાલશે એવું નથી બનતું એ આપણા કર્મોને પરિણામમાં બદલી નાખે છે. તારી  તો પ્રતિશોધની ભાવના હતી જે પુરી થઈ. માત્ર દુર્યોધન કે દુશાશન જ નહીં તમામ કૌરવો મૃત્યુ પામ્યા છે. તને તો ખરેખર હવે આનંદ થવો જોઈએ.”

    દ્રૌપદી- “સખા, તમે અહીંયા મને સાંત્વન આપવા આવ્યા છો કે મારા ઘા પર મીઠુ ભભરાવવા?”

    કૃષ્ણ- “પાંચાલી, હું તો તને વાસ્તવિકતાનું દર્શન કરાવવા આવ્યો છું. આપણે જે કર્મો કરીએ છીએ એના પરિણામો શું હોઈ શક્શે એ પહેલેથી વિચારી શકતા નથી અને જ્યારે પરિણામ આપણી સમક્ષ આવે છે ત્યારે આપણા હાથમાં કશું જ નથી રહેતું.”

    દ્રૌપદી-“ તો શું આ યુધ્ધ માટે સંપૂર્ણપણે હું જ જવાબદાર છું?

    કૃષ્ણ-“ ના, તું તારી જાતને એટલી મહત્વપૂર્ણ પણ ના સમજ પણ જો તારા વિચારોમાં જરા પણ દૂરંદેશી હોત તો આજે તને આટલું કષ્ટ ના પડ્યું હોત એ વાત પણ નિશ્ચિત.”

    દ્રૌપદી- “તો હું શું કરી શકી હોત?”

    કૃષ્ણ- “ જ્યારે તારો સ્વયંવર રચાયો ત્યારે કર્ણને જો અપમાનિત ન કર્યો હોત અને સ્વયંવરમાં ભાગ લેવાનો અવસર આપ્યો હોત તો પરિણામ જુદુ હોત. એ પછી કુંતીએ તને પાંચ પતિઓની પત્નિ બનવાનો આદેશ આપ્યો ત્યારે તેમ એનો સ્વીકાર ન કર્યો હોત તો પરિણામ જુદુ હોત. તારા મહેલમાં દુર્યોધનને અપમાનિત ન કર્યો હોત તો ચીરહરણ ન થયું હોત તો કદાચ પરિસ્થિતિ જુદી હોત. દ્રૌપદી આપણા શબ્દો પણ આપણા કર્મો બની જાય છે. પ્રત્યેક શબ્દ ઉચ્ચારતા પહેલા વિચારવું જરૂરી છે અન્યથા એના દુષ્પરિણામ માત્ર આપણને જ નહીં આપણા પરિવેશને પણ તકલીફ પહોંચાડે છે. સંસારમાં મનુષ્ય જ એક માત્ર એવું પ્રાણી છે કે જેનું ઝેર એના દાંતોમાં નહી પણ એના શબ્દોમાં હોય છે.”

    સીધી વાત- શબ્દોનો ઉપયોગ એવી રીતે કરીએ કે જેનાથી કોઈની ય ભાવનાને ઠેસ ન પહોંચે. આ બાબત દ્રૌપદી જેટલી જ આપણને પણ લાગુ પડે છે ને! શર અને શબ્દ માટે કહેવાય છે ને કે, “ભાથામાંથી છૂટેલું શર અને બોલાયેલા શબ્દો ક્યારેય પાછા નથી ફેરવી શકાતા. આપણા વિચારો શબ્દોમાં ફેરવાય છે. આ શબ્દો જ ક્યારેક આપણું પ્રારબ્ધ બની જાય છે. બૂમરેંગ માટે કહેવાય છે કે જો એને સાચી રીતે ફેંકવામાં આવે તો એ નિશ્ચિત માર્ગ પર પ્રવાસ કરીને તેના શરૂ થવાના બિંદુ પર પરત થાય છે. આપણા કેટલાક શાબ્દિક કર્મો પણ એવા જ છે જે સાચી કે ખોટી રીતે આપણા ભાથામાંથી છૂટે તો અન્યની જેમ આપણા આત્માને પણ અસર તો કરે જ છે.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • એસ ધમ્મો સનંતનો – બે મહાકાવ્યો: શ્રીમદ્ રામાયણ અને મહાભારત [૨]

    પ્રવાસી યુ. ધોળકિયા

    સનાતન પરંપરાના એક ઘટક પૌરાણિક હિંદુ ધર્મ પર હવે આપણે પ્રકાશ પાડીશું.

    અગાઉના લેખમાં આપણે નોંધ્યું છે કે આગમ અને તંત્ર એ આ પૌરાણિક ધર્મના બે સ્તંભો છે. અત્રે આપણે એ પણ જણાવીએ કે પૌરાણિક ધર્મનાં બીજાં બે મહત્ત્વનાં અંગો રામાયણ અને મહાભારત છે.

    ‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના પ્રથમ ભાગમાં આપણે કથા પ્રારંભ, રામાયણ અને મહાભારત પર અલગ લેખ કેમ?, રામના ચારિત્ર્ય અંગેની ટીકાઓ, તેમજ રામાયણ અને મહાભારત કાળનો સમાજ જેવાં વિવિધ પાસાંઓની વાત કરી.

    આજે હવે બીજા ભાગમાં ભારતીય સંસ્કૃતિનાં આ બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણત્રી, વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ, મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના, તેમજ કુરુ વંશવૃક્ષ વગેરે બાબતોની વાત કરીશું.


    બે મહાકાવ્યોની મહાકાવ્યોના સંદર્ભમાં ચાર યુગોની કાળ ગણત્રી

    અત્યારે જે પુરાણો પ્રાપ્ત થાય છે તેમાં કૃત, ત્રેતા, દ્વાપર અને કળીયુગની કાળગણત્રી ૧૨,૦૦૦ વર્ષ, અથવા તો ૪૩.૨૦ લાખ વર્ષ દર્શાવાય છે. સુતો અને માગધોએ પુરાણ ગ્રંથોનું જે છેલ્લું નવસંસ્કરણ કર્યું ત્યારે કાળગણત્રીને સમજ્યા વિના તેમાં સમાવિષ્ટ કરી. આ બધી કાળગણત્રીઓ અસ્વીકાર્ય છે. મધ્યકાળના મહાન કચ્છી સંત મામૈદેવની કાળગણત્રીને આપણે માન્ય રાખી છે.

    આ કાળગણત્રી નીચે મુજબ છે –

      યુગનું નામ કાળગણત્રી ઘટના
    કૃત (સત્ય) યુગ ૩,૭૦૦ વર્ષ બલિરાજાનો વામન અવતારે પરાજય કર્યો.
    ત્રેતા યુગ ૫૦,૦૦૦ વર્ષ રામે રાવણનો વધ કર્યો.
    દ્વાપર યુગ ૮,૪૦૦ વર્ષ મહાભારત યુદ્ધ પછી શ્રીકૃષ્ણે વૈકુંઠગમન કર્યું.
    કળી યુગ ૫,૦૦૦ વર્ષ ઇ. સ. ૧૯૭૮ – ૭૯, એટલે કે શક સંવત ૧૯૦૦ – ૧૯૦૧માં આ યુગ સમાપ્ત થયો.

    મામૈદેવના આગમ પ્રમાણે હાલમાં કળીયુગની ૧૦૦ વર્ષની સંધિ ચાલે છે. ઇ. સ. ૨૦૬૭માં શ્રી કલ્કિ ભગવાન કળી દાનવ સાથે ૧૧ વર્ષ યુદ્ધ કરીને કળીયુગનો સંપૂર્ણ અંત કરશે. ઇ. સ. ૨૦૮૨ સુધીમા તેઓ સુવર્ણયુગની સ્થાપના કરશે. ભારત હિંદુ રાષ્ટ્ર બનશે.

    વૈદીકકાળના યજ્ઞો અને ઋષિઓ

    રામાયણ કાળમાં વૈદિક યજ્ઞોનું અને ઋષિઓનું મહત્વ જળવાઈ રહેલું જણાય છે. દશરથના કુળગુરુ ઋષિ વશિષ્ઠ છે. પોતે કરી રહેલા યજ્ઞોમં રાક્ષસો હાનિ પહોંચાડે છે તેનું રામની મદદથી નિવારણ કરવા વિશ્વામિત્ર ઋષિ આવીને  રામને વનમાં પઈ જવા વિનંતિ કરે છે. અન્ય ઋષિઓમાં ઋષ્યશૃંગ, અગત્સ્ય, ભારદ્વાજ અને માતંગ ઋષિઓનાં નામ પણ મળે છે. રામાયણમાં ભગવાન શિવની હાજરી સ્પષ્ટ વર્તાય છે, જ્યારે ભગવાન વિષ્ણુ પશ્ચાદ્‍ ભૂમિકામાં છે. રામયણમાં માતાજીની પુજાનો પણ ઉલ્લેખ છે. પરંતુ, રામ – લક્ષ્મણને મારવા માટે મેઘનાદ તંત્રવિધિનો દુરુપયોગ કરીને તત્પર બને છે, જેમાં તે સફળ થતો નથી.

    મહાભારતમાં વૈદિક યજ્ઞો ઓછા થતા જાય છે. ઋષિઓમાં દુર્વાસા, ગર્ગ, ભારદ્વાજ, ધૌમ્ય અને અન્ય કેટલાક ઋષિઓનાં નામ દર્શાવાયેલાં જોવા મળે છે. મહાભારતમાં ભગવાન શિવ અને વિષ્ણુ એ બન્નેની પુજા દર્શાવાઈ છે. તેથી આ કૃતિમાં બન્ને દેવોનાં ૧૦૦૮ પવિત્ર નામોનો ઉલ્લેખ પણ મળે છે. અહીં માતાજીની પુજા પણ થતી જોવા મળે છે. મેઘનાદની માફક અશ્વત્થામા તંત્રવિદ્યાનો દુરુપયોગ કરે છે, પરંતુ અહીં તે પાંચ પાડવોના પુત્રોનો રાત્રિકાળમાં વધ કરવામાં સફળ રહે છે.

    લાખો હિંદુઓ માટે વિષ્ણુના સાતમા અને આઠમા અવતાર પુરુષો, અનુક્રમે શ્રીરામ અને શ્રીકૃષ્ણ, ધર્મના સંરક્ષક અને પુજનીય છે. તે પછીથી, બ્રિટિશકાળમાં કનિંગહામે ભગવાન બુદ્ધના અનેક અવશેષો શોધ્યા ત્યારે વ્યવસ્થિત દુષ્પ્રચાર શરૂ થયો. અંગ્રેજોએ એવું ઠસાવ્યું કે પ્રાચીન ભારતાં ભગવાન બુદ્ધ સિવાય કોઈ વ્યક્તિનું ઐતિહાસિક દૃષ્ટિએ અસ્તિત્વ નથી. શ્રીરામ કે શ્રીકૃષ્ણ જેવી કોઈ વ્યક્તિ પ્રાચીન ભારતમાં હકીકતે અસ્તિત્વમાં હતી જ નહીં.  મહામાનવ બુદ્ધની છબીને તોડી પાડવા બ્રાહ્મણોએ દંતકથાઓ સ્વરૂપે આ બધી કાલ્પનિક કથાઓ ઘડી કાઢી છે. આપણા દુર્ભાગ્યે ભારતના કેટલાક અધકચરા લેખકોએ અંગ્રેજોનાં આ વિધાનને સમર્થન આપ્યું. પરિણામે. આપણી શાળાઓ – મહાશાળાઓમાં આ બન્ને મહાકાવ્યોને દંતકથારૂપ દૃષ્ટાંત તરીકે શીખવાય છે. ઘણા યુટ્યુબર્સો પણ આ કચરા જ્ઞાનનાં પ્રસારણો કરે છે. જાગૃત ભારતીયે આવા અપપ્રચારથી સાવધ રહેવું જોઈશે.

    મહાકાવ્યોમાં રામ અને કૃષ્ણની તુલના

    શ્રીરામ અને શ્રીકૃષ્ણ બન્ને અવતાર પુરુષો છે. ધર્મ માટે બન્ને જીવનભર સંઘર્ષ કરતા રહ્યા છે. પરંતુ રામાયણ અને મહાભારતમાં બન્નેનાં વ્યક્તિત્વોને સાવ અલગ અલગ રીતે રજૂ કરાયાં છે.

    શ્રીરામનો ધર્મ માતા – પિતાની આજ્ઞા માનવી, પોતાનાં કુળનાં મૂલ્યો જાળવવાં, એકપત્નીત્વનું પાલન કરવું અને સ્ત્રીઓનું હંમેશાં સન્માન કરવું, ગમે તે પરિસ્થિતિમાં અધર્મનો આશ્રય ન લેવો તથા શાસ્ત્રોમાં અનન્ય શ્ર્દ્ધા રાખવાનો હતો. રાક્ષસ – રાક્ષસીઓ કે રાવણ અને તના પરિવારજનોના વધા કર્યા પછી તેમનો સન્માનપૂર્વક અંતિમ સંસ્કાર કરવો એ તેમની ધર્મનિષ્ઠાની વ્યાખ્યાનું ઉદાહરણ છે. તેમનો ભાતૃપ્રેમ એવો હતો કે લક્ષ્મણ તેમનો પડછાયો બનીને આજીવન તેમની સાથે રહ્યા. ભરતે પણ અયોધ્યાની ગાદીનો અસ્વીકાર કરીને રામની પાદુકાઓને સિંહાસન બેસાડીને રામ વતી રાજ્ય ચલાવ્યું, પણ પોતે તો નંદીગ્રામમાં સાધુતુલ્ય જીવન વ્યતિત કર્યું. રામે હનુનામજીને પણ પોતાના ભાઇ ભરત સમાન ગણીને ત્મનું સન્માન કર્યું હતું. પોતાના જીવનનો અંત તેમણે સરયુ નદીના જળપ્રવાહમાં સમાઈ  જઈને પરમ તત્ત્વોમાં વહી જઈને કર્યો. શ્રીરામ કરૂણાસાગર અને મર્યાદાપુરુષ તરીકે અનન્ય ગુણોથી સંપન્ન હતા. આપણા જેવી સામાન્ય વ્યક્તિઓ મનથી પ્રયાસ કરે તો શ્રીરામને અનુસરી શકે છે.

    શ્રીકૃષ્ણ પણ પૃથ્વી પર ધર્મની પુનઃસ્થાપના માટે ધારણ કરાયેલો અવતાર છે. પરંતુ તેમની ધર્મની વ્યાખ્યા દેશ, કાળ અને વિરોધીઓના નાશ માટેની પરિસ્થિતિના સંદર્ભમાં ઘડાતી રહી છે. મહાભારત અને તેનું ખીલશાસ્ત્ર હરિવંશપુરાણના અનેક પ્રસંગોમાં તેનાં ઉદાહરણો જોઈ શકાય છે.

    શ્રીકૃષ્ણ કહેતા કે તેમના માટે જે વ્યવહારૂ છે તે સત્ય છે –  what is practical is truth. .

    ઓશો રજનીશ શ્રીરામનાં વ્યક્તિત્વને એકઆયામી અને શ્રીકૃષ્ણનાં વ્યક્તિત્વને બહુઆયામી (multi-dimensional) કહે છે. એકઆયામી હોવાથી રામને અનુસરી શકાય પણ સોળ કળાથી પૂર્ણ એવા બહુઆયામી હોવાને કારણે શ્રીકૃષ્ણને અનુસરવા અશક્ય છે. શ્રી રજનીશ આગળ જણાવે છે કે શ્રીકૃષ્ણ વાંસળીના સુર પર અનેક ગોપીઓને રાસલીલા માટે ઘેલી કરી શકે છે; આઠ પટરાણીઓ ઉપરાંત અનેક અન્ય ૧૬,૧૦૮ જેટલી કન્યાઓ સાથે લગ્ન કરી શકે છે. તેમનો અને રાધાનો પ્રેમ અવર્ણનાતીત છે. તેમના મોં પર સદા હાસ્ય રમતું જોવા મળે છે. રજનીશ કહે છે કે બુદ્ધ, મહાવીર, ઈસુ ખ્રિસ્ત અને મહમ્મદ પયંગંબરને આવી રસિક પ્રવૃતિઓ કરતા કે નર્તન કરતા નહીં જોઈ શકો.

    તેથી જ એ લોકોક્તિમાં સત્ય છે કે શ્રીરામ કરે એ કૃત્ય કરવું પરંતુ શ્રીકૃષ્ણ કરે તે નહીં પણ કહે તે કૃત્ય કરવું. શ્રીકૃષ્ણના ઉપદેશોમાં રહેલાં જ્ઞાનને પોતાના જીવન વ્યવહારના આચરણમાં મુકવું.

    કુરુ વંશવૃક્ષ

    શ્રી દેવરોયે પોતાના મહાકાવ્યના અનુવાદના દસ ગ્રંથો પૈકી પહેલા ભાગના ૯,૧૦ અને ૧૧ મા પાને ભરત / પુરુ વંશનું વંશવૃક્ષ આપ્યું છે.

    અહીં સરળતા માટે અન્ય સ્રોતમાં રજૂ કરાયેલ વંશવૃક્ષ દર્શાવ્યું છે.

    આ વંશવૃક્ષ જોતાં જણાય છે કે શાન્તનુને બે પત્ની હતી. તેમની પહેલી પત્ની ગંગાથી તેમને દેવવ્રત નામે પુત્રની પ્રાપ્તિ થાય છે, જે પછીથી ભીષ્મ તરીકે ઓળખાય છે. શાન્તનુની બીજી પત્નીનું નામ સત્યવતી હતું. લગ્ન પહેલાં સત્યવતીને થયેલો પુત્ર ૨૮મા ક્રમે આવેલ વેદવ્યાસ છે. લગ્ન પછી, સત્યવતીને વિચિત્રવીર્ય નામનો નપુંસક પુત્ર થાય છે. ભીષ્મ તેના લગ્ન અંબા અને અંબાલિકા સાથે યોજે છે. સત્યવતી જાણે છે કે તેના પુત્ર વિચિત્રવીર્યથી કુટુમ્બને કોઈ વારસ નહીં થાય. તેથી પોતાના લગ્ન પહેલાના પુત્ર વેદવ્યાસ દ્વારા અંબા – અંબાલિકા અને એક દાસી સાથે નિયોગ પદ્ધતિથી ત્રણ પુત્રો મેળવે છે. એ પુત્રો, અનુક્રમે, અંધ ધૃતરાશ્ટ્ર, કમળાગ્રસ્ત પાંડુ અને રાજ્યશ્રીથી વંચિત દાસીપુત્ર વિદુર છે.

    ધૃતરાષ્ટ્રનાં લગ્ન ગાંધાર દેશની કુંવરી ગાંધારી સાથે થાય છે.ગાંધારી ગર્ભવતી બને છે ત્યારે તેના ગર્ભના ૧૦૦ ટુકડા થાય છે જેને ૧૦૦ કુંભમાં ઉછેરવામાં આવે છે. આમ ૧૦૦ કૌરવોનો જન્મ થાય છે. ધૃતરાષ્ટ્રને એક દાસી પુત્ર, યુયુત્સુ, પણ છે, જે મહાભારત યુદ્ધમાં પાંડવપક્ષે લડે છે અને બચી જાય છે. મહાભારતમાં આ પુત્રોના જન્મની અનૈતિકતા પર ઢાંકપિછોડો કરાતો જણાય છે.  કૌરવો અને યુયુત્સુના જન્મ પછી ધૃતરાષ્ટ્ર – ગાંધારીને એક પુત્રી, દુઃશલા, પણ થાય છે જેનું લગ્ન સિંધુ પ્રદેશના રાજા જયદ્રથ સાથે થાય છે.

    પાંડુને કુંતી અને માદ્રી નામે બે પત્નીઓ છે. પાંડુ પણ કોઈ વારસ આપી શકે તેમ નથી. એક સમયે દુવાસા ઋષિનું આગમન થાય છે. તેઓ કુંતીને પુત્ર પ્રાપ્તિઓનો મંત્ર આપે છે. વિવેચકો માને છે કે અહીં પણ નિયોગ પદ્ધતિ વડે જ સંતાન પ્રાપ્તિ કરવામાં આવી છે. કુંતીએ ખાનગીમાં આ મંત્રનો પ્રયોગ કર્યો જેથી તેને સૂર્યની મદદથી કુંવારી અવસ્થામાં જ કર્ણ પ્રાપ્ત થાય છે. તે પછીથી પાંડુની અનુમતિથી કુંતીને અનુક્રમે ધર્મદેવ, વાયુદેવ અને ઇન્દ્રદેવ વડે યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન સંતાનરૂપે મળે છે. કુંતી માદ્રીને પણ એ મંત્ર શીખવે છે. તેથી માદ્રીને અશ્વીનીકુમારોની મદદથી નકુળ અને સહદેવની પ્રાપ્તિ થાય છે.

    આમ કૌરવો અને પાંડવોના જન પાછળ અનૈતિતિક સંબંધોની કથા જોડાયેલી છે.

    કુંતીને થયેલી કહેવાતી ગેરસમજને કારણે દ્રૌપદીએ પાંચે પાંડવોનો સ્વીકાર કર્યો હતો.

    મહાભારતની કથામાં પાંડવો રાજ્યના હકદાર હોવા છતાં ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન તેમને રાજયથી વંચિત રાખે છે. દ્યુતમાં હરાવીને પાંડવોને ૧૨ વર્ષનો વનવાસ અને ૧ વર્ષનો અજ્ઞાતવાસ વેઠવે છે. દ્રૌપદી સાથે કરેલ દુર્વ્યવહાર માટે દ્રૌપદી કૌરવોને કદી પણ ક્ષમા નથી કરી શકતાં. મહાભારતાનાં ૧૮ દિવસના યુદ્ધમાં શ્રીકૃષ્ણ પાંદવોના માર્ગદર્શક તરીકે પાંડવ પક્ષે રહે છે. આ યુદ્ધ એટલું વિનાશક રહે છે કે લાખો લોકોનો સંહાર થાય છે અને અનેક રાજ્યો વિનાશ પામે છે. બાણ શય્યા પર ઈચ્છા મૃત્યુની રાહ જોતા ભીષ્મની સલાહથી યુદ્ધ પછીથી યુધિષ્ઠિર ૩૬ વર્ષ રાજ કરે છે. અંતે પાંડવો, કુંતી અને દ્રૌપદી હિમાલયમાં પોતાનો દેહત્યાગ કરે છે. ભગવાન શ્રીકૃષ્ણ યાદવ વંશના વિનાશને સાક્ષીભાવે નિહાળ્યા બાદ એક પારધીને હાથે પોતાનો વધ કરાવે છે.

    એમ કહી શકાય કે અવતારપુરુષ હોવાને કારણે શ્રીકૃષ્ણએ આ બધાનો વિનાશ યોજ્યો છે. આમ કળીયુગનો પ્રારંભ થાય છે.


    ‘બે મહાકાવ્યો – શ્રીમદ્ રામાયણ અને મહાભારત’ – મણકાના હવે પછીના ત્રીજા ભાગમાં ‘રામાયણ-મહાભારત કાળનૉ સમાંતરતાઓ, સમાનતાઓ અને વિસંગતતાઓની વાત કરીશું અને અન્ય સંદર્ભ ગ્રંથોની સૂચિની નોંધ લઈશું.


    શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • અવતાર અને અવતારવાદ

    નારાયણ કંસારા
    પરમાનંદ દવે
    સુરેશચંદ્ર કાંટાવાળા

    ઈશ્વરનું  માનવ કે માનવેતર સ્વરૂપે અવતરણ થવાની ભારતીય વિભાવના. ‘અવતાર’ શબ્દ સંસ્કૃત तृ ધાતુને अव ઉપસર્ગ લાગીને નિષ્પન્ન થયેલો છે. ઈશ્વરનું માનવ કે માનવેતર સ્વરૂપે અવતરવું, પ્રગટ થવું એવો એનો વિશિષ્ટ અર્થ થાય છે.

    અવતારની વિભાવના વિશે લોકપ્રિય મત એવો છે કે પોતાના દિવ્ય રૂપનો ત્યાગ કરી નવીન જન્મ ધારણ કરવો. ભગવાનના અમુક અંશનું જ પૃથ્વી ઉપર અવતરણ એવી બીજી માન્યતા પણ છે. વળી વિષ્ણુ પોતાના રૂપના સાત્વિક સ્વરૂપે એટલે વાસુદેવ સ્વરૂપે સ્વર્ગમાં દુશ્ચર તપસ્યા કરે છે અને તામસ સ્વરૂપે એટલે કે સંકર્ષણ સ્વરૂપે સર્જન અને સંહારનું કાર્ય કરે છે. ઉપરાંત વિશ્વવ્યાપી ભગવાન નારાયણનું એક નિર્ગુણ સ્વરૂપ તે વાસુદેવ અને બીજાં ત્રણ સ્વરૂપો તે સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધ એવી માન્યતા પણ પ્રચલિત છે.

    અવતારનાં બીજ વૈદિક ગ્રંથોમાં સ્પષ્ટત: મળી આવે છે. ઋગ્વેદના (3.53.88; 6.47.18) મંત્રોમાં ઇન્દ્ર પોતાની માયા વડે વિવિધ રૂપો ધારણ કરતો હોવાનું જણાવ્યું છે. શતપથ બ્રાહ્મણ(1.8.1.1; 7.5.1.5 અને 14.1.2.11)માં પ્રજાપતિએ મત્સ્ય, કૂર્મ તથા વરાહનો અવતાર લીધો હોવાનું જણાવેલ છે. તૈત્તિરીય બ્રાહ્મણ (1.1.3.5) તથા કાઠક સંહિતા(8.2)માં પણ વરાહ અવતારનો ઉલ્લેખ છે. રામાયણ (2.11૦) અને મહાભારત (3.187) પણ આનું સમર્થન કરે છે. અહીં આ અવતારોનો સંબંધ પ્રજાપતિ સાથે દર્શાવાયો છે, પણ કાળાંતરે વિષ્ણુના પ્રાધાન્યથી અવતારોનો સંબંધ વિષ્ણુ સાથે જોડાઈ ગયો; પરંતુ ઋગ્વેદમાં વિષ્ણુનાં ‘ઉરુગાય’ અને ‘ઉરુક્રમ’ એ વિશેષણોને તથા શતપથ બ્રાહ્મણ(1.2.5.1)માંની કથા પ્રમાણે વામન અવતાર તો મૂળથી જ વિષ્ણુનો માનવામાં આવે છે. આ રીતે બ્રાહ્મણ સાહિત્યમાં અવતારવાદ હતો, છતાં એ સમયે વિષ્ણુનું પ્રાધાન્ય ન હતું અને અવતારોની પૂજા પણ થતી નહોતી. ભાગવત સંપ્રદાયનો ઉદય થતાં કૃષ્ણ-બલરામની ભક્તિના ઉદઘોષ સાથે અવતારવાદ ઉત્કર્ષ પામ્યો. વાસુદેવ કૃષ્ણ વિષ્ણુના અવતાર હોવાની માન્યતા આરણ્યક યુગમાં ઉદય પામી જણાય છે, કારણ કે તૈત્તિરીય આરણ્યક(1૦.1)માં વિષ્ણુ-ગાયત્રી મંત્ર પ્રબોધવામાં આવ્યો છે.

    અવતારોની સંખ્યા અંગે મહાભારત અને પુરાણોમાં અનેક મતો મળી આવે છે. અધર્મનું પ્રાબલ્ય અને ધર્મની ગ્લાનિ થાય ત્યારે ધર્મની સંસ્થાપના માટે અને દુષ્કર્મીઓનો વિનાશ કરી સજ્જનોનું રક્ષણ કરવા ભગવાન અવતાર ધારણ કરે છે. આ તથ્ય ભગવદગીતા(4.7)માં પ્રગટ થયું છે, પરંતુ ત્યાં માત્ર રામ અને કૃષ્ણનો જ ઉલ્લેખ થયો છે (ભ.ગી. 1૦. 21, 37). મહાભારતના નારાયણીય પર્વમાં (શાંતિપર્વ – 339.77.102) વરાહ, નરસિંહ, વામન, ભાર્ગવ રામ, દાશરથિ રામ અને કૃષ્ણ — એ છ અવતારોનો અને તે પછી (શાંતિપર્વ – 339.103.104માં) દશ અવતારોનો ઉલ્લેખ થયો છે; પરંતુ મહાભારતની સમીક્ષિત આવૃત્તિમાં આ નિર્દેશો પ્રક્ષિપ્ત હોવાનું મનાય છે. સાધારણત: લોકપ્રસિદ્ધ દશ અવતારોનો નિર્દેશ વરાહપુરાણ (4.2; 48.17-22), મત્સ્યપુરાણ (285.6-7), અગ્નિપુરાણ (અ. 2.16), નરસિંહપુરાણ(અ. 36) અને પદ્મપુરાણ(6.43. 13-15)માં થયેલો મળી આવે છે. ભાગવતપુરાણ (1.3)માં કૌમાર સર્ગ (સનક, સનંદન, સનાતન અને સનત્કુમાર)માં વરાહ, નારદ, નર-નારાયણ, કપિલ, દત્તાત્રેય, યજ્ઞ, ઋષભદેવ, પૃથુ, મત્સ્ય, કચ્છપ, ધન્વન્તરિ, મોહિની, નરસિંહ, વામન, પરશુરામ, વેદવ્યાસ, રામચંદ્ર, બલરામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કિ – આ બાવીસ અવતારોનો ઉલ્લેખ છે. તેમાં ભાગવતપુરાણના ટીકાકારો દ્વારા હંસ અને હયગ્રીવ એ બે નામો જોડીને અવતારોની સંખ્યા ચોવીસ કરવામાં આવી છે. વસ્તુત: ભાગવતકારે વિષ્ણુના આવા અંશાવતારો અસંખ્ય છે એમ કહી દીધું છે. (ભાગવતપુરાણ, 1.3-26)

    અવતારોને મર્યાદિત કરવાની પરંપરા ભાગવતપુરાણ પછી શરૂ થઈ. દશાવતારની કલ્પના લગભગ ઈ. સ.ની નવમી સદીના અરસામાં થયેલી મનાય છે. કુમારિલ ભટ્ટના સમય સુધી બુદ્ધને અવતાર તરીકે સ્વીકારવામાં આવ્યા ન હતા. પછી અગિયારમી સદીમાં ક્ષેમેન્દ્રે અને બારમી સદીમાં જયદેવે તથા અપરાર્કે બુદ્ધને અવતાર તરીકે સ્વીકાર્યા છે અને આ રીતે આજકાલ તો બે જલજ અર્થાત્ જળમાં ઉત્પન્ન થયેલા (મત્સ્ય તથા કૂર્મ); બીજા બે વનજ અર્થાત્ જંગલમાં ઉત્પન્ન થયેલા (વરાહ અને નૃસિંહ); એક ખર્વ અર્થાત્ વામન; ત્રણ રામ અર્થાત્ પરશુરામ, દાશરથિ રામ અને બલરામ, એક સકૃપ અર્થાત્ કૃપાયુક્ત બુદ્ધાવતાર અને એક અકૃપ અર્થાત્ કૃપાહીન કલ્કિ અવતાર – એમ કુલ દશ અવતારો જ માનવામાં આવ્યા છે.

    શંકરાચાર્ય દશ અવતારો નીચે પ્રમાણે ગણાવે છે :

    मत्स्यः कूर्मो वराहो नरहरिणपतिर्वामनो जामदग्न्यः
    काकुत्स्थः कंसघाती मनसिजविजयी यश्च कल्किर्भविष्यन् ।

    મુખ્ય દશાવતારો :

    ૧. મત્સ્ય : મત્સ્યને સામાન્યત: હરિનો પ્રથમ અવતાર ગણવામાં આવે છે. તેની કથા જલપ્રલય સાથે સંકળાયેલી છે. ભગવાન વિષ્ણુએ માનવજાતિના કલ્યાણ માટે અને વેદોના ઉદ્ધાર માટે આ અવતાર ધારણ કર્યો હતો. શંખાસુરે અપહરણ કરેલા વેદોની પુન:પ્રાપ્તિ માટે ભગવાને આ અવતાર ધારણ કરેલો (પદ્મપુરાણ – ઉત્તરખંડ, 9091). વૈવસ્વત મનુએ મલયપર્વત ઉપર ઘણાં વર્ષો તપ કર્યું તે પછી બ્રહ્માએ પ્રલયસમયે સૃષ્ટિના રક્ષણની શક્તિનું વરદાન આપ્યું. પિતૃતર્પણ કરતાં હાથમાં આવેલું નાનું માછલું વૃદ્ધિ પામતાં સાગરમાં તરતું મૂક્યું એટલે તેણે અપરિમિત વિશાળ રૂપ ધારણ કર્યું. મનુએ જાણ્યું કે આ મત્સ્ય વાસુદેવ જનાર્દન છે. જલપ્રલય થતાં સર્પ-રજ્જુથી નૌકાને બાંધી શૃંગી મત્સ્ય મનુને સુરક્ષિત સ્થળે લઈ ગયું.

    દક્ષિણ દેશાધિપતિ સત્યવ્રત રાજાને મત્સ્યાવતારી વિષ્ણુ મન્વન્તરાધિપ પ્રજાપતિ બનવાના આશીર્વાદ આપે છે અને મત્સ્યપુરાણ સંહિતાનો ઉપદેશ પણ કરે છે (ભાગવતપુરાણ 1.3–15, 8.24; મત્સ્યપુરાણ 1.33–34). સત્યવ્રત વૈવસ્વત મન્વન્તરના કૃતયુગના મનુ બને છે. વિષ્ણુધર્મ પ્રમાણે મત્સ્યરૂપ ધારી વિષ્ણુ પ્રલય પછી જીવિત સપ્તર્ષિઓને હિમાલયના શિખર ઉપર પહોંચાડે છે.

    ૨. કૂર્મ : શતપથ બ્રાહ્મણમાં આ અવતાર મળે છે. પ્રજાપતિ સંતતિનિર્માણ માટે કૂર્મરૂપે પાણીમાં સંચરે છે (શતપથ બ્રાહ્મણ 7, 5–1; 5–1૦; પદ્મપુરાણ ઉત્તર ખંડ, 259). સમુદ્રમંથનના સમયે કૂર્મરૂપધારી વિષ્ણુ મન્દર પર્વતના આધાર તરીકે રહ્યા હતા. આ કૂર્મને વિષ્ણુનો ચતુર્થાંશ ગણવામાં આવે છે. પૃથ્વી જ્યારે રસાતલમાં ઊતરતી હતી ત્યારે પૃથ્વીને પોતાની એક લાખ યોજન વિસ્તારવાળી પીઠ ઉપર ધારણ કરી હતી (લિંગપુરાણ). આ રીતે વિષ્ણુએ પ્રલયમાં લુપ્ત થયેલી અનેક વસ્તુઓની પુન:પ્રાપ્તિ કરી હતી. સર્જનશક્તિરૂપ કશ્યપે પૃથિવી-શક્તિરૂપે મન્દરના આધાર માટે કૂર્મનું રૂપ ધારણ કર્યું હતું. અન્ય રૂપાંતર અનુસાર પ્રજાપતિએ કૂર્મરૂપ ધારણ કરીને પ્રજોત્પત્તિ કરી હતી.

    ૩. વરાહ : આનો ઉલ્લેખ તૈત્તિરીય બ્રાહ્મણ અને શતપથ બ્રાહ્મણમાં મળે છે. વરાહનો એમૂષ તરીકે સૃષ્ટિપ્રકરણમાં ઉલ્લેખ છે. તે પૃથ્વીને જલમાંથી બહાર લાવે છે. આ વરાહને પ્રજાપતિનું રૂપ કહેવામાં આવે છે. અન્યત્ર આને વિષ્ણુ અને કૃષ્ણનો અવતાર ગણવામાં આવ્યો છે. રસાતલમાં ઊતરી ગયેલ પૃથ્વીને પોતાની દંષ્ટ્રાથી ઉપર લઈ આવે છે. તેનો વિસ્તાર 1૦ × 1૦૦ યોજનનો છે. તેને એક વિશાળ દંષ્ટ્રા હતી અને તેની આંખો લાલાશભરી હતી.

    મત્સ્યપુરાણાનુસાર સુમનસ્-પર્વત ઉપર વરાહરૂપધારી વિષ્ણુએ હિરણ્યાક્ષ નામના રાક્ષસનો સંહાર કર્યો હતો. એક વખત પ્રહલાદે વિષ્ણુની પ્રાર્થના કરી હતી અને વિષ્ણુએ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો હતો. દાનવોથી પીડિત પૃથ્વીએ વિષ્ણુની પ્રાર્થના કરતાં યજ્ઞવરાહનું વિશાળ રૂપ ધારણ કરી હિરણ્યાક્ષને ચીરી નાખી તેનો ઉદ્ધાર કર્યો હતો. પ્રાચીન ભારતમાં વરાહપૂજા પ્રચલિત હતી અને કાંચીના પલ્લવવંશના સમયનાં વરાહમંદિરો ઉપલબ્ધ થયેલાં છે. નર્મદાતીરે આવેલ વરાહતીર્થમાં વિષ્ણુના વરાહસ્વરૂપની પૂજા થાય છે.

    ૪. નૃસિંહ : હિરણ્યકશિપુ નામે મહાશક્તિશાળી રાક્ષસે ઘોર તપસ્યા કરી બ્રહ્મા પાસેથી અવધ્યતાનું વરદાન પ્રાપ્ત કર્યું હતું. પછી દેવો અને અન્ય લોકને સંતાપવાનું શરૂ કર્યું. દેવો વિષ્ણુ પાસે સ્વરક્ષણાર્થે ગયા. વિષ્ણુએ ઓંકારની સહાયથી નર-સિંહરૂપ (અર્ધમાનુષ, અર્ધસિંહરૂપ) ધારણ કર્યું અને હિરણ્યકશિપુની સભામાં ગયા. હિરણ્યકશિપુનો પુત્ર પ્રહલાદ વિષ્ણુનો પરમ ભક્ત હતો. પિતાએ તેના વિનાશ માટે અનેક યત્નો કર્યા હતા. પ્રહલાદે નરસિંહમાં વિષ્ણુનાં દર્શન કર્યાં. હિરણ્યકશિપુ અને નરસિંહ વચ્ચે ભયંકર દ્વંદ્વયુદ્ધ થયું. નરસિંહે પોતાના તીવ્ર નખોથી હિરણ્યકશિપુને ચીરી નાખ્યો. ચતુર્થ મન્વન્તરમાં સાગરકાંઠે વિષ્ણુએ આ અવતાર ધારણ કર્યો હતો.

    વૈદિક સંહિતાઓમાં નૃસિંહાવતારનાં બીજ જોવા મળતાં નથી. પરંતુ તૈત્તિરીય બ્રાહ્મણમાં આ અવતારકથા સાથે સંકળાયેલી કેટલીક વ્યક્તિઓનાં નામ પ્રાપ્ત થાય છે (દા. ત., પ્રહલાદ). વળી તૈત્તિરીય આરણ્યકમાં રાક્ષસદૂત તરીકે હિરણ્યાક્ષનું નામ ઉપલબ્ધ થાય છે. મહાભારતના આરણ્યક પર્વમાં તથા હરિવંશ, ભાગવતપુરાણ, મત્સ્યપુરાણ વગેરે પુરાણોમાં આ અવતારકથાનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. ભાગવતપુરાણ (7.8.18 અને પછીના) પ્રમાણે નૃસિંહનો તપ્ત સ્તંભમાંથી પ્રાદુર્ભાવ થયો હતો.

    ૫. વામન : પ્રાચીન કાળમાં દેવો અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવો પરાજિત થયા અને ઇન્દ્રે ઇન્દ્રાસન ગુમાવ્યું. પુત્રોને રાજ્યની પુન:પ્રાપ્તિ થાય તે માટે અદિતિએ ઉગ્ર તપસ્યા કરી કૃષ્ણને પ્રસન્ન કર્યા અને ઇન્દ્ર માટે ત્રૈલોક્યનું આધિપત્ય યાચ્યું. કૃષ્ણે જણાવ્યું કે તે કશ્યપ અને અદિતિના પુત્ર તરીકે અંશાવતાર લેશે અને ઇન્દ્રના શત્રુઓનો સંહાર કરશે. પ્રહલાદના પૌત્ર બલિને શુક્રાચાર્યે ચેતવણી આપી હતી કે વામનને દક્ષિણામાં કશું જ આપવું નહિ. તેનો અનાદર કરીને બલિએ આંગણે આવેલ વામનરૂપી હરિને યથેચ્છ માગણી માટે વિનંતી કરી. વામને ફક્ત ત્રણ ડગલાં પૃથ્વી માગી. બલિએ સંકલ્પનું જળ મૂકતાં જ વામનપ્રભુએ વિરાટરૂપ ધારણ કરી ત્રણે લોક માપી બલિને સૂતલ નામક પાતાલમાં સ્થાન આપ્યું અને ઇન્દ્રને ત્રણે લોકનું આધિપત્ય સુપરત કર્યું. વામન અવતાર ત્રેતાયુગના સાતમા મન્વન્તરમાં થયો હતો. ધર્મ તેના પુરોહિત હતા.

    વામન અવતારનાં બીજ ઋગ્વેદનાં વિષ્ણુસૂક્તોમાં દૃષ્ટિગોચર થાય છે. ઋગ્વેદ(1.154)માં આવેલ विचंक्रमाणस्रेघोरुगायः यस्योरुषु त्रिषु विक्रमणेषु, त्रिभिरित्पदेभि: વગેરે વર્ણનો ‘ત્રણ પગલાં’ની વિભાવનાનાં પુરોગામી બને છે. અવતારકથાનાં બીજ બ્રાહ્મણ સાહિત્યમાં વિકસતાં જોવા મળે છે; દા. ત., અહીં વામનનું રૂપ અસુરો પાસેથી દેવોના લાભાર્થે પૃથ્વીની પ્રાપ્તિ માટે છે. ઉત્તરકાલીન સાહિત્યમાં વામનકથા વિસ્તૃત બને છે.

    ૬. જામદગ્ન્ય પરશુરામ : દૈવવશાત્ જ્યારે જગતનો નાશ કરનારા અને બ્રાહ્મણોનો દ્રોહ કરનારા ક્ષત્રિયો વધી ગયા હતા ત્યારે વૈવસ્વત મન્વન્તરમાં ભૃગુ ઋષિના વંશજ ઋચિક ઋષિના પુત્ર જમદગ્નિ અને રેણુકાના પુત્ર તરીકે ભગવાને ઉગ્ર પરાક્રમી પરશુરામનું રૂપ ધારણ કર્યું હતું. એક વખત કાર્તવીર્ય અર્જુને જમદગ્નિ મુનિ આશ્રમમાં નહોતા ત્યારે કામધેનુ ગાયનું અપહરણ કર્યું. બંને વચ્ચેના યુદ્ધમાં પરશુરામે કાર્તવીર્ય અર્જુનના સહસ્ર બાહુઓ કાપી નાખ્યા અને તેનો સંહાર કરી કામધેનુ ગાય પાછી મેળવી. કાર્તવીર્ય અર્જુનના પુત્રોએ પિતાના મૃત્યુનું વેર જમદગ્નિનો વધ કરીને લીધું. આ હત્યાના પ્રસંગથી ભગવાન પરશુરામના ક્રોધની જ્વાળાઓ ભભૂકી ઊઠી. તેમણે પૃથ્વી ઉપર કંટક સમાન ક્ષત્રિયોનો એકવીસ વાર તીક્ષ્ણ પરશુથી સંહાર કર્યો. સીતા-સ્વયંવરપ્રસંગે શિવધનુષ્યભંગની જાણ થતાં તે દાશરથિ રામ પાસે ઉપસ્થિત થયા. વસ્તુસ્થિતિનું જ્ઞાન થતાં તેમનું વિષ્ણુતેજ દાશરથિ રામમાં ભળી ગયું. આ અવતાર ૧૯મા ત્રેતાયુગમાં થયો હતો અને વિશ્વામિત્ર તેમના પુર:સર હતા. આ અવતારનાં બીજ અથર્વવેદમાં પ્રાપ્ત થાય છે.

    ૭. દાશરથિ રામ : રાવણના વધ માટે ૨૪મા ત્રેતાયુગમાં આ અવતારનો પ્રાદુર્ભાવ થયો હતો. આ અવસરે વસિષ્ઠ પુરોહિત હતા. રામાયણના બાલકાંડમાં રામનો પ્રાદુર્ભાવ ગણવામાં આવ્યો છે; જ્યારે અન્ય કાંડોમાં રામનું ચરિત્ર માનવ સમાન છે. અન્ય ગ્રંથોમાં તેમને અવતાર ગણવામાં આવ્યા છે.

    સૂર્યવંશમાં ઇક્ષ્વાકુવંશજ દશરથને ત્રણ રાણીઓ હતી : કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી. કૌશલ્યાનંદન રામનો જન્મ ચૈત્ર શુક્લની નવમીને દિવસે મધ્યાહ્ને પુનર્વસુ નક્ષત્રમાં થયો હતો. સુમિત્રાના બે પુત્રો : લક્ષ્મણ અને શત્રુઘ્ન હતા, જ્યારે કૈકેયીને એક પુત્ર ભરત હતો. વસિષ્ઠ પાસેથી તેમણે સાંગવેદોપવેદનું અધ્યયન કર્યું હતું. યજ્ઞના સંરક્ષણ માટે વિશ્વામિત્રને બાલ રામની જરૂર હતી. આ સહવાસમાં વિવિધ વિદ્યાઓ વિશ્વામિત્ર પાસેથી પ્રાપ્ત થઈ હતી. તાટકાદિ રાક્ષસ-રાક્ષસીઓનો તેમણે વધ કર્યો હતો. વિશ્વામિત્રના આશ્રમમાં હતા, ત્યારે સીતાસ્વયંવર પ્રસંગે નિમંત્રણ મળતાં વિશ્વામિત્ર સાથે રામ અને લક્ષ્મણ જનક રાજાના દરબારમાં ગયા; ત્યાં શિવધનુષ્યનો ભંગ કર્યો અને તેમનો સ્વયંવરની રીત મુજબ સીતા સાથે વિવાહ થયો. આ પ્રસંગે લક્ષ્મણનો ઊર્મિલા સાથે, ભરતનો માંડવી સાથે અને શત્રુઘ્નનો શ્રુતકીર્તિ સાથે વિવાહ થયો. રામના રાજ્યાભિષેક પ્રસંગે મંથરાની બુદ્ધિથી પ્રેરાઈ કૈકેયીએ દશરથ પાસે, પૂર્વે આપેલ, બે વચનોની માંગણી કરી : ૧. રામનો ચૌદ વર્ષ વનવાસ અને ૨. ભરતનો રાજ્યાભિષેક. વનવાસને કારણે રામવિયોગથી દશરથનું – શ્રવણનાં માતાપિતાએ પૂર્વકાળમાં આપેલ શાપ મુજબ – મૃત્યુ થયું. રામની વનવાસયાત્રામાં શૃંગવેરપુર પાસે ગુહરાજે રામનું સ્વાગત કરી ભાગીરથી નદી પાર કરાવી. ચિત્રકૂટમાં રામ અને ભરતનું મિલન થયું. રામની પાદુકાઓ રાજ્યસિંહાસન પર પધરાવી ભરતે રાજ્યધુરાનું વહન કરવાનું સ્વીકાર્યું, વનવાસમાં રામ, લક્ષ્મણ અને સીતા અગસ્ત્ય ઋષિના આશ્રમે આવ્યાં. અયોગ્ય માગણીના કારણે શૂર્પણખાનાં નાક-કાન પંચવટીમાં લક્ષ્મણથી છેદાયાં. મારીચને સુવર્ણમૃગનું રૂપ ધારણ કરાવી રાવણે સીતાનું સંન્યાસીના વેશમાં રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં કપટથી હરણ કર્યું. લંકાગમનના માર્ગમાં સીતાના બચાવનો પ્રયત્ન કરનાર જટાયુની પાંખ રાવણે કાપી નાખી તેને મૃત્યુતુલ્ય અવસ્થામાં મૂક્યો. સીતાન્વેષણમાં આગળ વધતાં રામ અને લક્ષ્મણને સુગ્રીવનો મેળાપ થયો. રામે વાલીનો વધ કરી સુગ્રીવને રાજગાદી અપાવી. તેમની મદદથી સીતાની શોધ આરંભી. વાયુપુત્ર હનુમાને સીતાને અશોકવાટિકામાં શોધી કાઢ્યાં. ઋક્ષ અને વાનરસેનાની મદદથી તેમજ સુગ્રીવાદિની મદદથી રામનું રાવણ સાથે સીતાપ્રાપ્તિ માટે ભયંકર અનુપમ યુદ્ધ થયું. તેમણે દશાનન રાવણનો વધ કર્યો. અગ્નિપરીક્ષા બાદ રામે સીતાને સ્વીકાર્યાં. રામાજ્ઞાનુસાર લક્ષ્મણે વિભીષણનો રાજ્યાભિષેક કર્યો. પુષ્પક વિમાન દ્વારા રામ, સીતા અને લક્ષ્મણ પુન: અયોધ્યા પધાર્યાં. શુભ મુહૂર્તમાં વસિષ્ઠે રાજ્યાભિષેક કર્યો. લોકનિંદાને કારણે કઠોરગર્ભા સીતાનો રામે પરિત્યાગ કર્યો. વાલ્મીકિ આશ્રમમાં લવ અને કુશનો જન્મ થયો. રામે અશ્વમેધ યજ્ઞ આરંભ્યો અને પત્ની સીતાને સ્થાને સીતાની સુવર્ણપ્રતિમા સ્થાપી. સમય જતાં માતા પૃથ્વીને પ્રાર્થના કરી સીતા પૃથ્વીવિવરમાં સમાઈ ગયાં. અંતે અયોધ્યાવાસીઓ સહિત રામ સરયૂતીરે ગયા અને ત્યાંથી વિમાનમાં બેસી નિજધામ સિધાવ્યા.

    રામાયણની કથાનાં પ્રસિદ્ધ પાત્રોનો ઉલ્લેખ વૈદિક સાહિત્યમાં પ્રાપ્ત થાય છે, પરંતુ કથાનું સૂત્ર વિચ્છિન્ન રહે છે. વાલ્મીકિ રામાયણ ઉપરાંત ભારતીય ભાષાઓમાં રામકથા પ્રાપ્ત થાય છે.

    ૮. કૃષ્ણ : ચંદ્રવંશના યદુકુળના સાત્વત વંશમાં જન્મેલા શૂરના પુત્ર વસુદેવ અને દેવક રાજાની પુત્રી દેવકીના આઠમા પુત્ર તરીકે કૃષ્ણનો જન્મ શ્રાવણ માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે મધ્યરાત્રીએ રોહિણી નક્ષત્રમાં કારાગારમાં થયો હતો. વસુદેવ અને દેવકીને બ્રહ્મના અંશ કશ્યપ અને પૃથ્વીના અંશ અદિતિ તરીકે વર્ણવવામાં આવ્યાં છે. કંસે દેવકીના અગાઉના સાત પુત્રોનો નાશ કર્યો હતો, તેથી તેમના જણાવ્યા મુજબ નવજાત પુત્રને રક્ષણાર્થે નંદગોપગૃહે મૂકી આવવામાં આવ્યો હતો. કૃષ્ણની બાળલીલાઓનું અને ચરિત્રનું વિશદ વર્ણન મહાભારત અને શ્રીમદભાગવતપુરાણ, બ્રહ્મવૈવર્તપુરાણ વગેરેમાં ઉપલબ્ધ થાય છે. બાળલીલાઓમાં પૂતનાવધ, તૃણાવર્તવધ, શકટભંજનલીલા, ગોવર્ધનધારણલીલા, કાલિયદમન, કુબ્જાની કુરૂપતાનો નાશ વગેરેનો ઉલ્લેખ કરી શકાય. રાસલીલાપ્રસંગ અને ઉદ્ધવપ્રસંગ પણ પ્રસિદ્ધ છે. કંસનો વધ કરી ઉગ્રસેનને તેમણે ગાદી ઉપર પુન: સ્થાપિત કર્યા. કૃષ્ણની અષ્ટ પટારાણીઓનાં નામ છે : ૧. રુક્મિણી, ૨. જામ્બવતી, ૩. સત્યભામા, ૪. ભદ્રા, ૫. મિત્રવિન્દા, ૬. સત્યા, ૮. કાલિન્દી અને ૮. લક્ષ્મણા

    કૃષ્ણ એક વિચક્ષણ રાજનીતિજ્ઞ અને તત્વજ્ઞ હતા. પાંડવ-કૌરવોના યુદ્ધમાં તેઓ અર્જુનના સારથિ બન્યા અને ગીતાનો ઉપદેશ આપ્યો. પાંડવોને તેમનું રાજ્ય સોંપી તેમણે દ્વારકા તરફ પ્રસ્થાન કર્યું. દ્વારાવતી નગરીના નિવાસ દરમ્યાન મિત્ર સુદામા સાથેનો પ્રસંગ સુવિખ્યાત છે. સમય જતાં દ્વારિકામાં દુશ્ચિહનો દેખાવા લાગ્યાં ત્યારે સ્ત્રીઓ અને વૃદ્ધજનો સિવાય બધા યાદવોને કૃષ્ણે શંખોદ્ધાર તીર્થમાં મોકલ્યાં અને પોતે બલરામ સહિત પ્રભાસ પધાર્યા. સુરાપાનથી મત્ત થયેલા યાદવો વચ્ચે આંતરકલહ થયો અને તેમાં સૌનો વિનાશ થયો. બલરામને આની જાણ થતાં તેમણે યોગધારણાથી દેહત્યાગ કર્યો. બલરામનો દેહોત્સર્ગ જોઈને કૃષ્ણ એક પીપળાના વૃક્ષ નીચે જમણા પગ પર ડાબો પગ રાખી બેઠા. સ્વાત્મસ્વરૂપનો વિચાર કરતા હતા તેવામાં જરા નામક પારધીએ મૃગની ભ્રાંતિથી તેમને બાણ માર્યું. વસ્તુસ્થિતિનું જ્ઞાન થતાં પારધીએ કૃષ્ણ પાસે ક્ષમાયાચના કરી. અંતે કૃષ્ણ નિજધામ પધાર્યા અને બીજી બાજુ દ્વારકા પર સાગરનાં નીર ફરી વળ્યાં. કૃષ્ણ અવતારી છે, જ્યારે બીજા અવતારો છે : कृष्णस्तु भगवान् स्वंय ।  કૃષ્ણકથાનાં બીજ વૈદિક સાહિત્યમાં ઉપલબ્ધ થાય છે.

    ૯. બુદ્ધ : દેવોના શત્રુઓ વેદમાર્ગમાં અત્યંત નિષ્ઠાવાળા હોઈ મયદાનવે રચેલા જગતમાં અદૃશ્ય રૂપે વિચરતાં સુવર્ણ, રજત અને લોહનાં – ત્રણ નગરોનો આશ્રય કરી લોકોનો વિનાશ કરવા લાગ્યા ત્યારે, ભગવાને તેમની સમક્ષ બુદ્ધિને મોહ ઉપજાવનાર અને અત્યંત લોભાવનાર વેશ પ્રગટ કરી અનેક પ્રકારના પાખંડી ધર્મનો બૃહસ્પતિ તરીકે ઉપદેશ કરી દૈત્યોને મોહ પમાડી વેદધર્મથી બાહ્ય કર્યા. તેમનો જન્મ કીકટ દેશમાં થયો હતો. બુદ્ધનાં નેત્રો કમલ સમાન સુંદર હતાં અને શરીર દેવતાઓ સમાન દેદીપ્યમાન હતું. શુદ્ધોદનસુત ‘મહામોહ’ સ્વરૂપે ગણાય છે. તેમના પુરોહિત દ્વૈપાયન હતા. બુદ્ધની અવતાર તરીકે ગણના ઈ. સ. 55૦માં મુકાય.

    ૧૦. કલ્કિ/કર્કિ : આ અવતાર અંગે શાસ્ત્રોમાં કથન છે કે યુગાન્ત સમયે સન્ધ્યાંશ માત્ર શેષ હશે ત્યારે અને સજ્જનોના ઘરમાં હરિકથા થશે નહિ ત્યારે; બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો પાખંડી થશે ત્યારે; રાજાઓ શૂદ્ર બની જશે ત્યારે; સ્વાહા, સ્વધા અને વષટ્ વાણી કોઈ પણ સ્થળે સંભળાશે નહિ ત્યારે; અર્થાત્ દેવકાર્ય અને પિતૃકાર્યનો વિલય થશે ત્યારે; અધર્મ ચરમ શિખરે પહોંચશે ત્યારે; શાસકોનાં દુષ્ટ કર્મોથી પ્રજાનું નિતાન્ત દમન અને ઉત્પીડન થશે ત્યારે; બ્રાહ્મણધર્મની સાર્વત્રિક નિંદા થશે ત્યારે બ્રાહ્મણપીડકોના સંહારાર્થે કલિયુગને શિક્ષા કરનાર ભગવાન કલ્કિનું રૂપ લઈને સંભલ નામક ગામમાં વિષ્ણુયશ/પારાશર્ય નામક બ્રાહ્મણને ત્યાં અવતરશે અને શૂદ્ર રાજાઓનો તેમજ નાસ્તિકોનો ચક્રથી સંહાર કરશે.

    યાજ્ઞવલ્ક્ય અને પારાશર્ય તેમના પુરોહિતો ગણાય છે. કલ્કિનો રંગ હરિતપિંગલ હશે. તે અશ્વારૂઢ થઈને પોતાનું કાર્ય સંપાદન કરશે. સહાયક શસ્ત્રધારી બ્રાહ્મણગણ ઘોડાઓ ઉપર વિચરશે. તેમનું કાર્યક્ષેત્ર ગંગા-યમુનાનો અંતર્વેદી પ્રદેશ રહેશે. પચીસમા કલિયુગમાં પોતાના સૈનિકો સાથે સમુદ્રપર્યન્ત અધાર્મિક શૂદ્રોને શિક્ષા કરી તેમનો સમૂલ નાશ કરશે અને વિશ્રામ લેશે. પ્રજા એમનાથી સંતુષ્ટ થશે અને તેમની સાધનામાં નિરત રહેશે.

    કલ્કિ અવતારનો ઉલ્લેખ મહાભારતના એક પ્રક્ષિપ્ત શ્લોકમાં ઉપલબ્ધ થાય છે. હરિવંશમાં અને પુરાણોમાં (દા. ત., મત્સ્યપુરાણ) તેના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે.


    સંપાદકીય નોંધ:  

    ૧. ગુજરાતી વિશ્વકોશમાં આવરી લેવાયેલ ૧૬૯ વિષયોમાં વિસ્તરેલાં અધિકરણૉમાંથી ચૂંટેલાં અધિકરણો વેબ ગુર્જરી પર રજૂ કરવાના ઉપક્રમના ભાગ રૂપે આ લેખ ‘ધર્મ-પુરાણ /Religious mythology ’ વિષયમાંથી પસંદ કરેલ છે.

    ૨. આ માહિતી અહીં માત્ર વાચકોની જાણ  માટે જ છે. તેનો આગળ ઉપયોગ કરતાં પહેલાં એ બાબતની ખાસ નોંધ લેવી ઘટે કે વિશ્વકોશનાં તમામ અધિકરણોના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે. એટલે એ લખાણો કે અધિકરણોનો  ઉપયોગ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની પરવાનગી સહિત જ કરવો આવશ્યક છે. તે ઉપરાંત ‘આ લખાણ કે અધિકરણના કોપીરાઈટ/માલિકીહક્ક ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના છે’ તે મતલબનું લખાણ હોવું આવશ્યક છે.

  • સંસદ અને વિધાનગૃહોમાં જનપ્રતિનિધિઓનું વર્તન

    નિસબત

    ચંદુ મહેરિયા

    એકસો એંસી સભ્યોની ગુજરાત વિધાનસભાના સમાપ્ત થયેલ અંદાજપત્ર સત્રની બપોરની બેઠકો ખાલી ખાલી રહેતી હતી. એક દિવસ તો એકસો પાંત્રીસ સભ્યો ગેરહાજર હતા. આ સમસ્યા માત્ર ગુજરાતની નથી.  દેશ આખાના વિધાનગૃહો અને સંસદની પણ છે. તેનો એક ઉકેલ કર્ણાટક વિધાનસભાના અધ્યક્ષને જડ્યો છે. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વરસના માંડ પચાસેક દિવસ ચાલતા ગૃહો દરમિયાન પણ બપોરના જમણ બાદ વામકુક્ષી કે આડા પડખે થયા વિના ચાલતું નથી. એટલે તે કાયદા ઘડવા સંસદ કે વિધાનગૃહમાં જવાને બદલે ઝોકાં ખાવાનું પસંદ કરે છે. કર્ણાટક વિધાનસભાના સ્પીકરે વિધાનસભાની લાઉન્જમાં રિકલાઈનર કહેતાં આરામ ખુરશીઓની  વ્યવસ્થા કરી છે. એટલે માનનીયો ત્યાં ઘડી બેઘડી ઝોકું ખાઈ લે અને પછી હાઉસમાં પધારે. વકફ બિલની ચર્ચા વખતે લઘુમતી બાબતોના મંત્રી કિરણ રિજ્જુએ એ બાબતે અફસોસ વ્યક્ત કર્યો કે વિરોધ પક્ષના સિનિયર મેમ્બર્સ  બિલના વિરોધમાં ઘણાં મુદ્દા રજૂ કરે છે પરંતુ સરકારનો તે અંગેનો પક્ષ જાણવા મંત્રીનું ભાષણ સાંભળવા હાજર રહેતા નથી.

    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    સંસદ અને વિધાનગૃહો ચર્ચા, વાદવિવાદ અને વિમર્શના કેન્દ્રો છે પરંતુ આજે (અને કદાચ આવતીકાલે )તેની કેવી હાલત છે તેના આ કેટલાંક ઉદાહરણો છે.

    સમાચાર માધ્યમોમાં જનપ્રતિનિધિઓના વર્તન અંગે અવારનવાર સમાચારો પ્રગટ થતા રહે છે. સંસદ અને વિધાનસભાની કાર્યવાહી અને સભ્યોના વર્તન અંગેના નિયમો ઘડાયા છે.પરંતુ ઘણીવાર તેનું પાલન થતું નથી. વિધાનગૃહોની કામગીરી સરળ અને સુચારુ રીતે ચલાવવા સભ્યોના આચરણ અને બોલવા-ચાલવાની ઢબછબનું વર્ણન રૂલબુકમાં કરવામાં આવેલ છે. લોકસભા રૂલબુક્ના નિયમ ૩૪૯ થી ૩૫૬માં  સભ્યોના વર્તન સંબંધી નિયમો છે. તે પ્રમાણે સભ્યોએ ભાષણમાં કઈ બાબતો ધ્યાનમાં રાખવી, કોઈ અસંબધ્ધ પુસ્તક કે અખબાર ના દર્શાવવું, ભાષણ દરમિયાન અન્ય સભ્યોએ કોઈ વિક્ષેપ ઉભો ન કરવો, હસ્તક્ષેપની જરૂર હોય તો શિસ્તબધ્ધ રીતે અધ્યક્ષની અનુમતી લઈને જ બોલવું, સ્પીકર તરફ પીઠ રાખીને બેસવું કે ઉભા રહેવું નહીં, ગૃહમાં કોઈ ફોટો,પ્રતીક કે ઝંડો બતાવવો નહીં, નારા અથવા સૂત્રો લખેલ કપડાં પહેરવા નહીં  વગેરે બાબતો સમાવતા લોકસભા પ્રક્રિયા અને કાર્ય સંચાલનના નિયમો વિધ્યમાન છે અને તે નિયમો અને પ્રક્રિયા મુજબ ગૃહની કાર્યવાહી ચાલે છે.

    ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં જ મંત્રીઓ અને સભ્યોની વર્તણૂંક સંબંધી નિયમો આપવામાં આવ્યા હતા. જ્યારે કોઈ સભ્ય બોલતા હોય ત્યારે તે સભ્ય અને અધ્યક્ષની વચ્ચેથી  પસાર થઈ  ન શકાય, નારા લખેલું ટી શર્ટ પહેરી ન શકાય, ગૃહમાં લાકડી કે છત્રી ના લઈ જઈ શકાય, વેલમાં ધસી ન જવાય, પાન મસાલા કે બીજું કંઈ ચાવી ન શકાય, પાણી ન પી શકાય,પગ ઉંચા રાખીને કે ચઢાવીને બેસી ન શકાય, ગૃહમાં ઉઘી ન શકાય જેવા નિયમો ગૃહની કાર્યવાહીને ગરિમાયુક્ત અને શાલીન બનાવે છે.

    લોકસભામાં વિરોધપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ  પહેલું પ્રવચન આપ્યું ત્યારે જ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેમને શિવની તસ્વીર બતાવવા બદલ ટોક્યા હતા. સોનિયા ગાંધીએ બજેટ સત્રના આરંભે રાષ્ટ્રપતિના અભિભાષણ સંદર્ભે તે ખૂબ લાંબુ હોઈ બિચ્ચારા રાષ્ટ્રપતિ વાંચતા વાંચતા થાકી ગયા હતા એવો પ્રતિભાવ ગૃહની બહાર આપ્યો હતો.તેમણે બિચ્ચારા માટે અંગ્રેજી પુઅર લેડી શબ્દ પ્રયોગ કર્યો હતો. તેની એ હદે ટીકા થઈ કે ખુદ રાષ્ટ્રપતિ ભવન પણ પ્રેસ રિલીઝ દ્વારા સોનિયા ગાંધીની ટીકાને વખોડવા જોડાયું હતું.

    લોકોની સમસ્યાને વાચા આપવાનું કામ  વિધાનસભાઓમાં કે સંસદમાં થવું જોઈએ તેને બદલે ભળતા સળતા વિષયો અને આરોપપ્રત્યારોપ થતા હોય છે. કર્ણાટક વિધાનસભામાં મફતની રેવડીને અનુલક્ષીને વિપક્ષ જનતા દળ (સેક્યુલર)ના વરિષ્ઠ સભ્યે બહુ ગંભીરતાથી સરકાર સમક્ષ લોકોને દર અઠવાડિયે દારુની એક નહીં બે બોટલ મફત આપવા માંગણી કરી હતી. જો વીજળી, પાણી, શિક્ષણ, રાશન, આરોગ્ય મફત મળે તો દારુ કેમ નહીં તેવી તેમની દલીલ હતી. જ્યારે દેશમાં ચોપાસ મોંઘવારીની બૂમાબૂમ છે ત્યારે લોકસભાના સભ્યોએ વધતા વિમાન ભાડા અને તેના પર સરકારના નિયંત્રણના મુદ્દે પસ્તાળ પાડી હતી. હરિયાણાના બીજેપી સાંસદે લોકસભામાં કેન્દ્ર સરકારને અનાજ, ફળ અને શાકભાજીમાંથી દેશી દારુ બનાવવાની મંજૂરી આપવા અને નકલી દારુથી લોકોને બચાવવા સૂચન કર્યું હતું.

     

    ગુજરાત વિધાનસભામાં ૧૫૬ની પ્રચંડ બહુમતી પછી તો વિધાનસભાની કાર્યવાહી સાવ જ સરળ બની ગઈ હોવી જોઈએ. ગૃહમાં ચાહે પ્રશ્નોતરી કાળ હોય કે અન્ય ચર્ચા સત્તા પક્ષના સભ્યો ગંભીરતાથી પોતાની વાત રજૂ કરવાને બદલે સરકારની વાહવાહી અને મુખ્યમંત્રી તથા મંત્રીઓને અભિનંદન અને ધન્યવાદ જ આપ્યા કરતા હતા.. હદ તો ત્યારે થાય જ્યારે પ્રશ્નોતરીમાં પેટા પ્રશ્ન માટે સ્પીકર કોઈ સભ્યને એલાઉ કરે તો તે સીધું જ કહી દે મારે કોઈ પ્રશ્ન નથી પણ સરકારને ફલાણાઢીકણા કામ માટે અભિનંદન આપવા છે. આ પ્રકારના વર્તન સામે સ્પીકર પણ મોં વકાસીને બેસી રહે તેવી સ્થિતિ હોય છે.

    શું સભ્યોનું આવું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય ખરું? રાહુલ ગાંધીની ફરિયાદ છે કે લોકસભા અધ્યક્ષ તેમને લોકસભામાં બોલવા જ દેતા નથી. તો અધ્યક્ષ તેમના વકતવ્યને અટકાવવાનું કારણ રૂલ બુક જણાવે છે. લોકસભા અને રાજ્યસભાના સ્પીકર્સ સામે વિપક્ષો દર વખતે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની ઘોષણા કરે છે એટલે અધ્યક્ષોનું વલણ પણ વિપક્ષોને અન્યાયકર્તા અને બિનલોકશાહી જણાય છે.

    સાંસદો અને વિધાનસભ્યોના આ પ્રકારના આચરણનું કારણ શું હશે? શું ચૂંટાયેલા પ્રજા સેવકોનો લોકો સાથેનો સંપર્ક રહ્યો નથી કે તેઓ ચૂંટણી પછી કોઈ બીજી જ દુનિયામાં વસે છે? જનપ્રતિનિધિઓની ગુણવતામાં કોઈ ઓટ આવી રહી છે એટલે આમ થાય છે? ધ એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોમ્સ (ADR)ના દેશના ૪૦૯૨ ધારાસભ્યોના ચૂંટણી પંચ સમક્ષના એફિડેવિટના  વિષ્લેષણ પ્રમાણે ૪૫ ટકા ધારાસભ્યો સામે અપરાધિક કેસો નોંધાયેલા છે. કોંગ્રેસના ૫૨ અને ભાજપના ૩૯ ટકા ધારાસભ્યો ક્રિમિનલ કેસોનો સામનો કરી રહ્યા છે. લોકસભાના ૫૪૩માંથી ૨૫૧ સભ્યો પર ક્રિમિનલ કેસ છે. શું વિધાનગૃહોની ગરિમાને લાગેલા લૂણાનું આ કારણ હશે ? કર્ણાટક્ના ૩૧, આંધ્રના ૨૭, મહારાષ્ટ્રના ૧૮ ધારાસભ્યો અબજોપતિ છે. દેશના  ધારાસભ્યોની કુલ સંપત્તિ રૂ. ૨,૭૩,૩૪૮ કરોડ અને સરેરાશ વ્યક્તિગત સંપત્તિ રૂ.૧૮ કરોડ છે.  એટલે બાહુબળ અને ધનબળનું મિશ્રણ કારણ હશે?

    યુરોપિય દેશ સર્બિયામાં સરકારના ભ્રષ્ટાચાર સામે વિધ્યાર્થીઓએ હમણાં આંદોલન કર્યું હતું. વિરોધપક્ષો પણ તેના સમર્થનમાં હતા. તેનો પડઘો સર્બિયાની સંસદમાં પણ પડ્યો. વિપક્ષે વિરોધમાં પાર્લામેન્ટ્માં સ્મોક ગ્રેનેડ અને ટીયરગેસના સેલ છોડ્યા.તેનાથી સંસદમાં ધુમાડો ફેલાયો, ગુંગળામણ થઈ અને અંધાધૂધી મચી. ભારતની સંસદમાં મારામારી અને ધક્કામુક્કી થાય છે પણ હજુ સ્મોક ગ્રેનેડ નથી ફેંકાયા તેનો આનંદ થવો જોઈએ. ગુજરાતના પાટનગર ગાંધીનગરના ગિફ્ટસિટીમાં સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપ (SOUL) આકાર લઈ રહી છે. જેમાં રાજકારણને કેરિયર બનાવવા માંગતા યુવાનોને રાજકારણના પાઠ ભણાવાશે. આવા ઉપક્રમો આશા જગાડે છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • પુસ્તકો: સંગાથ અને સંવાદનો જાદુ

    મંજૂષા

     વીનેશ અંતાણી

     

    ૨૩મી એપ્રિલ, બુધવારે ‘વિશ્વ પુસ્તક દિવસ’હતો.

    એ નિમિત્તે થોડા સમય પહેલાં વ્હોટ્સએપ પર વાંચેલી અંગ્રેજી પોસ્ટ ‘ધ સ્ટ્રેન્જર હૂ રીડ્સ’ યાદ આવી. એનું મુક્ત ભાષાંતર: ‘એ સ્ત્રી દિવસમાં બે વાર આવે છે. હંમેશાં સુઘડ સાડીમાં હોય છે. એકલી જ આવે. કોઈ સાથે વાત કરતી નથી. રસ્તા પર આવેલી પુસ્તકોની દુકાન સિવાય બીજી કોઈ જગ્યાએ રોકાતી નથી. સવારે આવે ત્યારે પુસ્તકોનાં કવર પર થોડીવાર આંગળી ફેરવે, જાણે બાળકના વાળમાં હાથ ફેરવતી હોય! ક્યારેક ઊભી રહીને કોઈ પણ એક પુસ્તક ઉપાડે અને થોડી લીટીઓ વાંચે જાણે આજના દિવસ માટે વિચારવાલાયક ભાથું શોધતી હોય. ‘સાંજની વાત અલગ હોય છે. આસપાસ દોડતી દુનિયાની વચ્ચે એ લાંબો સમય રોકાય છે. કોઈક દિવસ માત્ર દુકાનદાર સાથે પુસ્તકો વિશે જ વાત કરે છે. કોઈ પ્રશ્ન , કોઈ ઉત્તર અને પછી માથું હલાવતી રહે છે. ક્યારેક કોઈ પુસ્તકમાંથી એના મનમાં ચાલી રહેલા વિચારની પૂર્તિ મળી હોય એવો ભાવ એની આંખોમાં તરી આવે. પુસ્તક ખરીદે ત્યારે એને બેગમાં મૂકતી નથી, છાતીસરસી જકડી રાખે છે અને અચાનક આખા દિવસનું વજન એના પરથી ખસી જાય છે. એનાં પગલાંમાં ઉલ્લાસભરી લચક આવી જાય છે. ક્યારેક એ ચાલતીચાલતી ચોપડી ખોલી થોડાં વાક્યો વાંચી લે છે અને સામેથી આવતા કે બાજુમાંથી પસાર થતા રાહદારીને જગ્યા આપવા છેલ્લી ઘડીએ બાજુમાં ખસી જાય છે. અને પછી એ ભીડમાં થયેલા રેશમી ઝબકારની જેમ અચાનક દેખાતી બંધ થાય છે. કોઈ અજાણી સ્ત્રી આ નિષ્ઠુર મહાનગરમાં પુસ્તકોના સહારે ટકી જવા મથતી હોય એવું લાગે છે.’

    વાંચતાં જ થયું કે આ લખાણ ઘડાયેલી કલમનું છે. લેખકનું નામ જાણવાની જિજ્ઞાસા થઈ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રેરિત ચેટજીપીટીને પૂછ્યું. જવાબમાં મૂળ ભારતીય અંગ્રેજી લેખક અને એની નવલકથાનાં નામ જાણવા મળ્યાં. એ નવલકથા મેં વાંચી નથી એટલે પૂરી ખાતરી વિના અહીં નામો જણાવવાનું ટાળ્યું છે. ચેટજીપીટી પોતે કહે છે તેમ એનાથી પણ ક્યારેક ભૂલ થાય છે. મેં વધારે ખણખોદ કરવા બીજો પ્રશ્ન પૂછ્યો કે એ નવલકથામાં તે પુસ્તકપ્રેમી વિચિત્ર મહિલાનું શું સ્થાન છે? ચેટજીપીટીએ જણાવ્યું કે એ મહિલા નવલકથામાં કેન્દ્રનું પાત્ર નથી, છતાં એ પ્રતીકાત્મક ઊંડાણ પૂરું પાડે છે. એ મહિલાને પુસ્તકો વાંચવાં ગમે છે. એમાંથી એના બૌદ્ધિક ઊંડાણનો ખ્યાલ આવે છે. પુસ્તકો આપણું જ્ઞાન વધારે છે, વિચારતા કરે છે અને જાતતપાસની દિશા બતાવે છે. એ મહિલાના વાચનશોખમાંથી જીવન વિશે ઊંડી સમજ મેળવવાની પ્રક્રિયાનું દર્શન થાય છે.

    પુસ્તકો આપણને અલગ જ દુનિયામાં લઈ જાય છે. આપણને નવા વિચારો આપે છે, બૌદ્ધિક વિકાસ થાય છે. કલ્પનાશક્તિ વિકસે છે અને આપણે આસપાસની વાસ્તવિક દુનિયાને નવી દૃષ્ટિથી જોવા લાગીએ છીએ. સૌથી મોટી વાત કે આપણે આપણા અનુભવો અને લાગણીઓને સપાટી પર જોવાને બદલે એની નીચે છુપાયેલી સંભાવનાઓનો વિચાર કરવા લાગીએ છીએ. આજના પ્રદૂષિત વાતાવરણમાં પુસ્તકો બહારની દુનિયા અને માણસ-માણસ વચ્ચે આવી ગયેલું અંતર ઘટાડવામાં સહાયતા કરે છે.

    પુસ્તકો વાચવાની પદ્ધતિ વિશે એક રસપ્રદ તારણ બહાર આવ્યું છે. બે કે વધારે વ્યક્તિઓ સાથે બેસીને મોટા અવાજે વાચન કરે તો અરસપરસના સંબંધો મજબૂત બને છે. અંગત જીવનમાં પણ એ બાબત ઉપયોગી છે. એક દૃષ્ટાંત જોઈએ. પંદર વર્ષથી પરણેલાં પતિ-પત્નીના જીવનમાં સ્થગિતતા આવી ગઈ હતી. લગ્નજીવનની શરૂઆતમાં તેઓ બાળકને જન્મ આપવા માગતાં નહોતાં. પાંચ-સાત વર્ષ પછી નક્કી કર્યું ત્યારે શારીરિક તકલીફો આડે આવી. બંને આખો દિવસ નોકરી કરે, રાતે ઘેર આવે અને પછી સૂઈ જાય. એમનો પ્રેમ સુકાઈ ગયો છે. બંને એકબીજાને સહન કરતાં હોય એમ જીવતાં હતાં. પતિનો ખૂબ નજીકનો મિત્ર આ વાત જાણતો હતો. એક દિવસ એણે એના મિત્રને પતિ-પત્નીના જીવન પર પ્રકાશ પાડતી રોમેન્ટિક નવલકથા વાંચવા આપી. પતિએ રવિવારે એ વાંચવાની શરૂ કરી. વાંચતાં વાંચતાં નાનપણની આદત મુજબ એ મોટેથી વાંચવા લાગ્યો. પત્ની રસોડામાં હતી. એણે તે સાંભળ્યું. એને રસ પડ્યો. પતિ પાસે બેસીને સાંભળવા લાગી. ત્યારથી એ સિલસિલો શરૂ થયો. હવે બંને જણ રાતે સાથે બેસી એક કલાક વાંચે છે. પતિ વાંચે અને પત્ની સાંભળે. એક જ પ્રકારના અનુભવમાંથી પસાર થવાથી એમની વચ્ચે આવી ગયેલી ખામોશી તૂટી અને તેઓ મુક્ત મને એકબીજાંની સાથે વાતો કરવા લાગ્યાં. એ નવલકથા પૂરી કરી, પછી બીજી, ત્રીજી એમ ઘણાં પુસ્તકોનું એમણે સહવાચન કર્યું. હવે તેઓ ઘરમાં ગૂંગળાતાં નથી. તેઓ દરેક કથાનાં અનેક પાત્રોને મળે છે. નવલકથામાં વર્ણવેલાં કેટલાંય દૂરદૂરનાં સ્થળોમાં તેઓ કલ્પનાની પાંખે ફરવા લાગ્યાં છે. દરેક પાત્રના જીવન અને એમના સંબંધોના તાણાવાણા અને લાગણીઓમાં ઊંડા ઊતર્યા પછી એમને લાગવા માંડ્યું છે કે તેઓ એકલાં નથી, ઘરમાં સેંકડો અદૃશ્ય લોકો એમની સાથે રહે છે. પાત્રોની લાગણીઓ અને કથામાંથી તેઓ પોતાની સમસ્યાનો ઉકેલ મેળવી શક્યાં છે.

    પુસ્તકોની ઉપયોગિતા માત્ર શુષ્ક જ્ઞાન મેળવવા માટે નથી, એ માનવીના જીવંત અનુભવોનો એક હિસ્સો છે. સાથે બેસીને મોટેથી પુસ્તકો વાંચવાથી જીવનમાં ચોક્ક્સ હેતુ ભળે છે, જાત અને સાથેની વ્યક્તિને સાચી રીતે સમજવાની ચાવી એમાં છુપાયેલી હોય છે. બાળકો અને એકાકી વૃદ્ધોને વાંચી સંભળાવેલાં પુસ્તકોના લાભ વિશે આપણે જાણીએ જ છીએ. પુસ્તકો સંગાથ અને સંવાદની ભૂમિકા રચી આપે છે.


    શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.


    ‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.

  • જ્યોતિરાવ ફૂલે: શિક્ષણથી સમાજસુધારા સુધીનું ખેડાણ

    તવારીખની તેજછાયા

    પ્રકાશ ન. શાહ

    તત્કાળ નિમિત્ત અલબત્ત ફૂલે ફિલ્મ વિવાદનું છે, પણ વાતની શરૂઆત હું ગાંધીહત્યા સંબંધે એક મુદ્દાથી કરવા ઈચ્છું છું. (મેં ‘ગાંધીહત્યા’ એવો પ્રયોગ કર્યો, પણ ગોડસેને અભિમત પ્રયોગ તો ‘ગાંધીવધ’ અને ‘ગાંધીવધ’ જ હોય- હાસ્તો વળી, જેમ કંસવધ તેમ ગાંધીવધ.)

    ૧૯૪૮માં ત્રીસમી જાન્યુઆરીએ સમાચાર આવ્યા કે વડોદરાની અમારી મહાજન પોળમાં કોઈક લગ્ન હતાં એ તો મુલતવી રહ્યાં પણ આસપાસનાં ઘરોમાં જાણે કુટુંબમાં કોઈનું મરણ થયું હોય એમ લોકોએ સ્નાન પણ કર્યાં હશે. વળતે દહાડે સાંભળ્યું કે હું જેમાં ભણતો એ રાવપુરા સરકારી શાળા સામે ચિત્તેખાન હનુમાનની પડખે અભ્યંકરની દુકાન સાથે લૂંટફાટ ને બાળઝાળની કોશિશ થઈ હતી, કેમ કે કોઈક ખબર લાવ્યું’તું કે એ ગોડસેના મામાની દુકાન હતી. બાળપણમાં તો મેં એને એક એકલદોકલ ઘટના રૂપે જ જોઈ હતી, પણ જરી મોટો થયો ને કંઈક વિશેષ સમજતો થયો ત્યારે ખયાલ આવ્યો કે ગાંધીહત્યાને પગલે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણ વિ. બ્રાહ્મણેતરની તરજ પર હિંસ્ર વિસ્ફોટ થયો હતો.

    આધુનિક મહારાષ્ટ્રનાં રાજકીય-સામાજિક પરિવર્તનો પાછળનાં વૈચારિક સંચલનોને તેમ રાષ્ટ્રીય રાજકારણમાં તિલક-ગાંધી સંક્રાન્તિને મહારાષ્ટ્રના વિશેષ સંદર્ભમાં સમજવાની દૃષ્ટિએ ફૂલે ફિલ્મ વિવાદની પિછવાઈ કદાચ ‘રેડી રેફરન્સ’ બલકે ‘પોઈન્ટ ટુ રેકન વિથ’ બની રહે એમ છે. અગિયારમી એપ્રિલે, ફૂલે જયંતીએ આ ફિલ્મ રમતી મૂકાતી રહી ગઈ (અને હવે ચાલુ અઠવાડિયે તે ઘટતા સુધારા સાથે ડબ્બા મુક્ત થવામાં છે) – એની પાછળ કથિત ઉપલી વરણ ને નાતજાતને મુદ્દે ટીકાત્મક ઉલ્લેખો તેમ આપણા સામાજિક ઈતિહાસમાં ત્રણ હજાર વરસથી ચાલુ બ્રાહ્મણ સર્વોચ્ચશાહી પ્રકારના સંદર્ભો કામ કરી ગયા છે. અચ્છા કલાકાર અને આ ફિલ્મના વડા કસબી અનંત મહાદેવને કહ્યું છે કે ભાઈ હુંયે બ્રાહ્મણ છું અને જે ટીકા થાય છે તે બ્રાહ્મણવાદને અંગે છે. પ્રમાણપત્ર બોર્ડ કશું ‘કટ’ કરવા નથી માગતું, થોડા સુધારા જરૂર સૂચવે છે. જોકે, મહાદેવનનું કહેવું દેખીતું ખોટું નથી, પણ પ્રમાણપત્ર બોર્ડ (જેણે સામાન્યપણે ‘યુ’ અને ‘એ’ – યુનિવર્સિલ કે એડલ્ટ એવા વિવેકની કામગીરી બજાવવાની હોય છે) આવે વખતે જે તે સત્તા-પ્રતિષ્ઠાના તરફે સેન્સર બોર્ડની ભૂમિકામાં આવી જતું હોય છે.

    મહાત્મા જ્યોતિરાવ ફૂલે (૧૮૨૭-૧૮૯૦) શુદ્રોને શિક્ષણ પ્રવાહમાં લાવવામાં પુરોધા હતા. એમણે અને સાવિત્રીબાઈએ બ્રાહ્મણવાદી હાંસી અને અપમાન વેઠીને શિક્ષણથી માંડી સમાજસુધારાની કામગીરી ખેડી હતી. આંબેડકર ફૂલેની કામગીરીમાં પોતાના એક ગુરુનું દર્શન કરતા હતા. આજનું મહારાષ્ટ્ર જો તિલક-ગાંધી સંક્રાન્તિનું તો ફૂલે-આંબેડકર પ્રબોધન પરંપરાનુંયે સંતાન છે. મિશનરી સ્કૂલમાં શિક્ષણપ્રાપ્ત ફૂલે એક અભિનવ ઈતિહાસદૃષ્ટિના જણ હતા. શિવાજીને એમણે સામાન્ય રૈયતના, ખાસ કરીને ખેડૂત સમાજને ઉગારનાર ને હક બક્ષનાર તરીકે જોયા અને ‘અમારા શુદ્રોના રાજા’ કહી તેમનો ગૌરવ પુરસ્કાર કર્યો. શિવાજીની જે છબી એમણે ઊપસાવી તે એક બ્રાહ્મણવાદી નહીં, પણ આમજનવાદી હતી. ૧૮૬૮-૬૯-૭૦નો ગાળો એમની ‘શિવાજી-ખોજ’નો છે. રાયગઢમાં ઝાડીઝાંખરા વચ્ચે સ્મૃતિલુપ્ત લગભગ ખોવાઈ ગયેલી શિવસમાધિને શોધવા-સંવારવાની કામગીરી એમના નામે ઈતિહાસજમે છે. એમણે શિવાજીનો પોવાડો લખ્યો ને એમને ‘કુળવાડી ભૂષણ’ લેખે બિરદાવ્યા. આ પોવાડામાંથી ઊપસતા શિવાજી કોઈ મુસ્લિમહન્તા હિંદુ હૃદયસમ્રાટ નથી, પણ સર્વ ધર્મોના સમાદરપૂર્વક શત્રુઓ સાથે કામ લેતી પ્રતિભા છે.

    હમણેનાં વરસોમાં બાબાસાહેબ પુરંદરે જેવા ‘સત્તાવાર’ ઈતિહાસકાર કે અગાઉનાં વર્ષોમાં બાળશાસ્ત્રી હરદાસ જેવા સંઘસમ્માન્ય લેખક-વક્તાએ ઊપસાવેલી છબી કરતાં ફૂલેના શિવાજી ગુણાત્મકપણે જુદા છે. ૧૮૬૯-૭૦માં, લોકમાન્ય તિલક હજુ બારતેર વરસના હશે ત્યારે ફુલએ પહેલો શિવાજી ઉત્સવ મનાવ્યો હતો. રાષ્ટ્રીય સ્તર પર શિવાજી ઉત્સવ ૧૮૯૪થી અલબત્ત તિલકને નામે બોલે છે. ભારતીય ઈતિહાસનાં છ સોનેરી પાનાંનું જે ઈતિહાસલેખન સાવરકરે બ્રાહ્મણવાના ગૌરવપૂર્વક હિંદુત્વ પ્રતિષ્ઠાપનના હેતુથી કર્યું છે એનાથી જુદી પડતી આ જનવાદી શિવ પરંપરા છે. પ્રબોધનકાર ઠાકરેથી માંડી બિરાદર ગોવિંદ પાનસરેનું શિવલેખન અલબત્ત ફૂલે પરંપરામાં છે. શિવાજીનું આલેખન કરનાર પાનસરે તાજેતરનાં વરસોમાં દાભોલકર અને કલબુર્ગીની જેમ જ ઝનૂની ગોળીનો ભોગ બન્યા એમાં આશ્ચર્ય નથી. (શિવાજી પરની પાનસરેની પુસ્તિકા ગુજરાતમાં જગદીશ પટેલના અનુવાદમાં યજ્ઞ પ્રકાશન દ્વારા સુલભ થઈ છે.)

    ફૂલેએ સત્યશોધક સભા ૧૮૭૩માં શિવાજીના રાજ્યાભિષેક દિવસે સ્થાપી હતી. શિવાજીનો વૈદિક રાજ્યાભિષેક છઠ્ઠી જૂને થયો હતો, જ્યારે અવૈદિક ચોવીસમી સપ્ટેમ્બરેઃ ફૂલેએ બીજી તારીખ પસંદ કરી હતી, એ સૂચક છે. ફૂલેના લેખનમાં એક ધ્યાન ખેંચતું કામ ‘ગુલામગીરી’ (૧૮૭૩) એ પુસ્તક છે. હજાર કરતાં વધુ વરસથી સમાજમાં વર્ણગત નીચલી પાયરીની જે ગુલામી છે એનું એમાં નિરૂપણ છે. આ પુસ્તક અમેરિકી આંતરવિગ્રહ પછી તરતના દસકામાં બહાર પડ્યું. કાળી પ્રજાના અધિકારો માટે બે ગોરાઓ સામસામા થયા એની આ રોમહર્ષક દાસ્તાંને લક્ષમાં લઈ ફૂલેએ તે જેમણે ન્યાય ને સમાનતા સારુ લડી જાણ્યું એ ભલા અમેરિકી લોકને અર્પણ કર્યું છે. આ અર્પણ પત્રિકા વાંચતા મને રેનેસાંપુરુષ રાજા રામમોહન રાયે ફ્રેન્ચ ક્રાન્તિ દિવસે પ્રીતિભોજ આયોજિત કર્યાનું સ્મરણ થયું હતું. વૈશ્વિક સ્તર પરનાં સ્પંદનો ઝીલતી આ પ્રતિભાઓ હતી. સ્વરાજની લડાઈ કેવળ પરચક્રમ સામે જ નહીં, આપણા પોતાનાઓ સામે પણ લડવાની હોય છે, મહાત્મા ફૂલેના જીવનકાર્યનો બાકી ખેંચાતો સંદેશ, આ ફિલ્મ પ્રગટ થતાં સમજાશે? ન જાને.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૪-૪– ૨૦૨૫ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.