-
સ્વદેશમાં વિશિષ્ટ પ્રયાણ : ૮ : દાર્જિલિન્ગ, મિરિક
પ્રીતિ શાહ-સેનગુપ્તા
બસ-સ્ટેશન પરની કોઈ અધીરી બસની ખૂબ જોરથી વાગેલી તીણી, લાંબી વ્હીસલથી હું ચોંકીને જાગી ગઈ. હજી તો પરોઢના માંડ ચાર થયેલા. પડખું ફેરવીને થોડું ફરી સૂઈ ગઈ. એટલાંમાં ઢાળ ઊતરતાં, નજીકમાં આવેલા પોલિસ-સ્ટેશનમાંથી પોલિસોને જગાડવા હશે કે શું, પણ રણશિંગા જેવું સંગીત શરૂ થયું. સવારના સાડા ચાર વાગ્યે. જોકે એનો ધ્વનિ કાનને અપ્રિય ના લાગ્યો. સૂવાનો પ્રયત્ન કરતાં સવા પાંચ વગાડ્યા, ને પછી તો ઊઠી જ ગઈ. આઠેક વાગ્યાની તો બસ હતી, તેથી તૈયાર થવાનું જ હતું.
ગૅન્ગ્ટૉકની હોટેલની બહાર નીકળી તો થયું, હાશ, બહુ ઠંડી નથી. મારી બૅગ ઉપાડી લેવા એક છોકરો પણ મળી ગયો. સિક્કિમ નૅશનલાઇઝ્ડ ટ્રાન્સ્પૉર્ટની બસ સમયસર ઊપડી, ને ખૂબ ફાસ્ટ ચાલી. કદાચ જોખમી ગતિથી. રાન્ગ્પો થાણું આવતાં દસેક મિનિટ ઊભી રહી. ત્યાં એક્કે ચ્હાનો ગલ્લો નહોતો, પણ દારૂની દુકાનો ખુલી ગયેલી. ફરી સાંભળવું પડ્યું કે અહીં તો આ જ પીવાય છે આખો દિવસ. મેં વિચાર્યું, મારા જ દેશના એક ભાગમાં કેટલી જુદી હતી દિનચર્યા.
આ સિક્કિમની સરહદ પણ હતી. બસમાંના બે ફિરંગ થાણામાંના ચોપડામાં પોતાનાં નામ નોંધાવી આવ્યા. એક સિક્કિમિઝ ગાર્ડ બસમાં ચઢ્યો, પણ અંદર સુધી ફર્યો નહીં. તિષ્તા ગામ પછી રસ્તો ફંટાયો. બંને ફાંટા જાય છે ઉત્તર બંગાળમાં જ, પણ એક ગયો કાલિમ્પૉન્ગ તરફ, ને બીજો દાર્જિલિન્ગ તરફ. મારે એ તરફ જવાનું હતું. એમ તો હજી તળેટીમાં જઈ ચઢવાને થોડા દિવસ બાકી હતા.
બપોરે એક વાગ્યે દાર્જિલિન્ગ આવ્યું. એની વિખ્યાત “રમકડાંની ટ્રેન”ના નાનકડા પાટા સાથે થઈ ગયા. હવે એ થોડા જ અંતર માટે જાહેર વાહન તથા સહેલાણીઓની મઝા માટે વપરાય છે. વર્ષોના સંદર્ભને કારણે આ પાટા જોઈને તેમજ દાર્જિલિન્ગ પહોંચીને મનમાં બહુ ખુશી થવા માંડી. થોડી વારમાં એક હોટેલમાં રૂમ શોધી લીધો, ને પછી તરત ચાલવાનું, અને નાનપણથી જેને વિષે સાંભળેલું તે સ્થાનને જોઈ હરખવાનું.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી કેટલાં સ્તરો છે આ ગામનાં. બીલકુલ ઢોળાવો પર વસ્યું છે એ. ખાસ્સું મોટું છે, અને ઘણું સરસ પણ છે, એવું લાગ્યું. અને ચોતરફ શું દૃશ્યાવલિ. પહાડો જ પહાડો, નીચાં-ઊંચાં શિખરોની પંક્તિઓ, અને વચમાં ઝૂકેલી ખીણો પછી ખીણો. એમ તો ઉત્તર-પૂર્વ ભારતના ભ્રમણમાં બત્રીસ-પાંત્રીસ દિવસથી પર્વતોના પરિસરમાં જ રહી છું, ને તોયે અહીં ગિરિ-સમુહ વધારે સમીપ છે, ને તેથી વધારે આત્મીય લાગે છે. ગામના રસ્તા ચોખ્ખા હતા. વારંવાર સાફ કરાતા રહે છે. ટ્રાફિક પણ વધારે પડતો નહોતો. વચમાં ચૌરાહા કહેવાતો નગર-ચૉક છે. એને ફરતી બેન્ચો, નાની હાટડીઓ, રૅસ્ટૉરાં અને ખુલ્લામાં બનેલાં કાફે. બહુ ગમી ગઈ આ જગ્યા મને.
ત્યાંથી પ્રાણીગૃહ તરફ જવા માંડી. હતું ઘણે દૂર, પણ રસ્તો બહુ ચઢાઉ નહોતો. એટલે ચાલવું ગમ્યું. વળી, બધું સાફ, તથા શાંત હતું. આહ, આ હતો મારો હિલ-સ્ટેશન વિષેનો ખ્યાલ. ને દાર્જિલિન્ગમાં આવા શાંત પથ મળી ગયા. પ્રાણીગૃહમાં ખાસ જોવા જેવા સાઇબીરિયન ટાઇગર હતા. નજીક હિમાલયન માઉન્ટેનિયરિન્ગ ઇન્સ્ટિટ્યૂટ હતું. એના કમ્પાઉન્ડમાં એવરેસ્ટની ટોચ પર ઊભેલા શેરપા તેન્ઝિન્ગનું મહાકાય શિલ્પ હતું. એમણે ૧૯૫૭ના મે મહિનાની ૨૯મી તારિખે એ ઉચ્ચતમ શિખરને સર કરેલું. ૧૯૮૬માં એ મૃત્યુ પામ્યા પછી આ જ કમ્પાઉન્ડમાં એમની સમાધિ કરવામાં આવી. મને આ શ્રદ્ધેય સ્થાન લાગ્યું.
બાજુમાં બનેલા એવરેસ્ટ મ્યુઝિયમમાં ઘણું જોવાનું હતું. સર્વોચ્ચ ગિરિ પર ચઢવાનો ઇતિહાસ તથા તવારિખ સાથે અનેક ફોટોગ્રાફ મૂકેલા હતા. સમગ્ર હિમાલયનું- ભારત, નેપાલ, ભુતાન, સિક્કિમ, તિબેટને આવરી લેતું મૉડેલ જોઈને અચરજનો પાર નથી રહેતો. શું વ્યાપ છે આ નગાધિરાજનો. આદર ભાવથી સભર હું હજી એક જાત્રા કરવા ગઈ. સત્યજીત રાયની ફિલ્મ “કાંચનઝંઘા” માં જોયેલા, પહાડો અને કંદરામાં થઈને જતા, કાંચનદ્ઝૉન્ગા શૃંગનો સાક્શાત્કાર કરાવતા અર્ધ-વર્તુળાકાર પથ પર પહેલી જ સાંજે જવું પડે. મેં પ્રણામ કર્યા સર્જક દિગ્દર્શકને અને સર્જનહારને.
સાંધ્ય પ્રકાશમાં આકાશમાં સહેજ ગુલાબી અને આછો જાંબલી રંગ પ્રસરી ગયા હતા. જોતજોતાંમાં ધુમ્મસ સરકી આવ્યું -ચારે બાજુથી, અને બધા પર્વતોને આચ્છાદિત કરી લીધા. ટમટમતા આછા, ઝીણા દીવા દેખાવા માંડ્યા ત્યારે વિસ્મય થયું, અરે, ક્યાં ક્યાં બન્યાં છે રસ્તા અને રહેઠાણો.
ં ં ં ં
દાર્જિલિન્ગ જનાર દરેક જણ ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા તો જાય જ. મારે પણ જવું જ હતું. સવારે ચાર વાગ્યાની જીપ-ટૅક્સી નક્કી કરી. રૂમની બત્તી તે સમયે ઘણી વધારે બ્રાઇટ હતી, ને બહાર રસ્તાઓ પર અંધારું અને ધુમ્મસ હતું. જીપો ભરાય તે જ જોવાનું. પૈસાની વહેંચણી ડ્રાયવરો પછી કરી લેતા હશે, ક્યાંતો બધા પૈસા કોઈ નિરાંતે ઊંઘી રહેલા પૈસાદાર માલિકને મળતા હશે. આ સીઝનમાં પ્રવાસીઓ ઓછા, તેથી ચાર વાગ્યે નીકળી શકાયું. ઉનાળામાં તો સવારે અઢી વાગ્યે જીપો નીકળી પડતી હોય છે. કારણ એ કે છેક ઉપર થોડી જ જીપો માટે જગ્યા છે. બાકીની નીચે ઊભી રહે, ને એ છેલ્લો ઢાળ પ્રવાસીઓએ પગે ચઢવો પડે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સાઇઠેક જીપ તો એ સવારે પણ થઈ ગઈ હતી. એક સ્થાનિક સ્ત્રી ગરમ કૉફી વેચતી હતી. હોશિયાર છે, મને થયું. લગભગ બધા એક કપ કૉફી ખરીદતા હતા એની પાસેથી. જીપમાંથી ઊતરીને અહીં પહોંચવા ઘણાં પગથિયાં તો ચઢવા જ પડેલાં. આમ તો બહાર ઊભાં રહીને પણ જોવાય, છતાં વધુ ભાગનાં ટિકિટ લઈને ત્યાં બનાવેલા ઓરડામાં જતાં હતાં. ઠંડી ઘણી હતીને. બહાર ઊભી રહેલી એક સ્ત્રી થીજી બેભાન થઈ ગયેલી.
દરરોજ એ અનિશ્ચિતતા તો રહે જ કે ગાઢ ધુમ્મસનું આવરણ ખસેડીને સૂર્ય બહાર આવી શકશે કે નહીં. મારી એ પ્રભાતે ક્ષણો પસાર થતી ગઈ અને ડાબી બાજુ પર ગિરિવરોના આછા આકારો છતા થવા માંડ્યા. લગભગ ૮,૬૦૦ મિટર ઊંચું કાંચનદ્ઝૉન્ગાનું તીક્ષ્ણ શૃંગ પહેલું દેખાયું. પછી ૮,૪૭૫ મિ. પર માકાલુ, ૮,૫૦૧ મિ. પર લ્હોત્સે વગેરે. ખૂબ ભાગ્ય હોય તો ૮,૮૪૮ મિ. પરનો એવરેસ્ટ પણ દેખાઈ જાય, પણ તે આજે નહીં. સૂર્યનાં પહેલાં કિરણો ઊંચે વસેલા બરફને સોનેરી-ગુલાબી રંગવા માંડેલાં. આખી નગ-પંક્તિ એમ સ્પષ્ટ થતી ગયેલી. આ ડાબી તરફ મારા સિવાય બીજું કોઈ નહતું.
બધી ભીડ જમણી તરફ હતી, જ્યાંથી સૂર્ય બહાર નીકળવાનો. કોઈએ મને કહ્યું, તમારે સૂર્યોદય નહોતો જોવો? સૂર્ય તો ઊગી ગયો છે. ત્યારે જ મને ખ્યાલ આવ્યો કે બધાં ટાઇગર હિલ પર સૂર્યોદય જોવા આવે છે. એ હું ભૂલી જ ગયેલી. મેં તો હિમાવરિત શિખરોને નવી, તાજી, પ્રકાશમંડિત ઉપસ્થિતિ તરીકે જોયાં, અને એ પ્રથમ ઉદ્ભવ મને અતિ દુર્લભ ને અસાધારણ લાગેલો.
પછી દાર્જિલિન્ગના ચૌરાહા ચૉકમાંથી મેં એક ઘોડો ભાડે કર્યો, અને બીજી કેટલીક જગ્યાઓ જોઈ આવી. સૅન્ટ પૉલ હાઇસ્કૂલ તો બહુ જાણીતી. એનું કમ્પાઉન્ડ અને ગાર્ડન વિશાળ પથરાયેલાં હતાં. એનાં મકાન પણ બ્રિટિશ શૈલીનાં, ને વિશિષ્ટ લાગે. પરીક્ષાઓ ચાલતી હતી. પૂરી થતાં છોકરાં આખા દેશનાં પોતાપોતાનાં ઘેર જવાનાં. આગળના રમત-ગમતના મેદાનમાંથી કાંચનદ્ઝૉન્ગા એટલું પાસે લાગતું હતું કે જાણે હાથ લંબાવીને અડકી લેવાય.
લાલ બંગલા કહેવાતા સરસ મકાનમાં ગોરખા કાઉન્સિલ સેક્રેટરિયેટ હતું. દરવાજે રાઇફલધારી સૈનિકોનો પહેરો. શેરપા તેન્ઝિન્ગનું ઘર નાનું ને સાદું હતું. કદાચ વ્યક્તિ જેવું જ નિરાડંબરી. શાંત એવો આ વિભાગ મને બહુ ગમ્યો. બર્ધવાનના મહારાજાનો મહેલ પણ અહીંથી પૂરેપૂરો દેખાતો હતો. મેં નોંધ્યું હતું કે દાર્જિલિન્ગમાં બધા જ ટૂરિસ્ટ ભાગ સરસ અને સ્વચ્છ છે. ખરેખરા રહેવાસી વિસ્તારો આઘાત પમાડે છે- ગંદા, મેલા, કુડા-કચરા ને ભીડથી ભરેલા, કશીયે સુંદરતા વગરના. પગથિયાં, ગલી, પગથિયાં, ગલી કરતાં કરતાં, હું મુખ્ય બજારમાં પહોંચી ત્યારે દુઃખી દુઃખી થઈ ગયેલી. અરેરે, કેવું જીવન હતું આ લોકોનું.
ં ં ં ં
મિરિક જવાની બસની મુસાફરી સૌથી ખરાબ થઈ. બેઠક સાવ સાંકડી હતી. સામાન ખોળામાં રાખવો પડ્યો. શાલ ઓઢેલી છતાં બહુ ઠંડી લાગતી રહી કારણકે બારી બંધ જ નહોતી થતી. બસ ભરાઇ ગઈ, લોકો ઊભા રહ્યા, હાલવાની યે શક્યતા રહી નહોતી. ચારેક કલાક આમ ગયા. નીચે ઊતરતા રસ્તા પર ચ્હાના બગીચા આવ્યા કર્યા. રસ્તો વળતો ગયો, ઉપર ચઢીને બીજા પર્વત પર ગયો, વળી નીચે આવ્યો. મિરિક ગામ એક તરફ રહ્યું, માર્કેટમાંથી બસ પસાર થઈ ગઈ, ક્રિશના નગર કહેવાતી જગ્યાએ ઊભી રહી. આ નવું જ વસાવેલું, પ્રવાસીઓ માટેનું મિરિક છે. દાર્જિલિન્ગની ભીડ થોડી ઘટાડવા માટે કદાચ. વળી, મિરિક નીચું પણ ઘણું છે. દાર્જિલિન્ગ ૨,૧૩૪ મિ. પર છે, તો મિરિક ૧,૭૦૦ મિ. પર છે.
આમ સાધારણ છે. સહેલાણીઓ માટે એક સરોવર, એમાં ફુવારો, હોડીની સહેલ, બાજુમાં રૅસ્ટૉરાઁ અને પાર્ટી માટેનો હૉલ, તેમજ રહેવા માટે ફૅન્સી કૉટેજો વગેરે. પણ એ રાતે ગામમાં કદાચ હું એક જ પ્રવાસી હતી. આશરે જ કોઈના કહ્યા પ્રમાણે એક લૉજમાં મને ચોખ્ખો ને સરસ રૂમ મળી ગયો. એક રસ્તો આ જગ્યામાં થઈને જાય છે. સાંજની બસ જતી રહે પછી કોઈ વાહન જતું-આવતું લાગતું નથી. દિવસે ફરવા આવેલાં ઘેર જતાં રહ્યાં હોય છે. ને પછી આ નાનકડું સ્થાન મારે માટે અને મારું થઈને રહે છે. મને બીજા એક કે બે દિવસ અહીં, આ શાંત ખાલીપણામાં ગાળવાનું બહુ જ મન થાય છે, પણ દિલ્હી જવાની ટિકિટથી હું બંધાઈ ગયેલી છું. ફરી ક્યારેક અવાશે અહીં? વાસ્તવિક રીતે જોતાં – કદાચ નહીં.
છતાં જે ચોવીસ કલાક મિરિકમાં હતા તે આનંદમાં પસાર કર્યા. સરોવર ફરતે ચાલી, હોડી ચલાવી, એક જ રૅસ્ટૉરાઁ હતી ત્યાં બંને વાર ખાધું. ટેકરી પર એક મઠ થયેલો દેખાતો હતો, પણ ત્યાં ના જવાયું. અંધારું થયા પછી તો ત્યાંનાં રહેવાસીઓ પણ ઘરોમાં જતાં રહ્યાં. એકનો એક રસ્તો રિક્ત અને સંતુષ્ટ હતો. આસપાસનાં વન સ્થિર અને શાંતચિત્ત હતાં. ચંદ્ર એમ તો ઘણો મોટો હતો, પણ તારાઓને ચમકવા દઈ રહ્યો હતો. એવી હતી આ જગ્યા જેવી જીવનમાં વારંવાર મળવી જોઇએ, એમ મને થયા કર્યું.
ં ં ં ં ં
મારા લૉજના માલિક ગોવિંદ રાય નામના નેપાલી સજ્જન હતા. સવારે આવીને એમણે મને કેટલીક નારંગી આપી. કહે, લેવી જ પડશે. એમના ગાર્ડનની હતી. બસ આવી ત્યાં સુધી એ સાથે રહ્યા, ને ખાત્રી કરી કે મને બેસવાની જગ્યા મળે. ત્રણ કલાકે સિલિગુડી આવી લાગ્યું. તરત જ ત્યાંથી બાગડોગરા વિમાન-મથકે જવા રિક્ષા કરી લીધી. દસ કિ.મિ.નો રસ્તો હતો. વિમાન સમયસર ઊપડ્યું, એ પણ નવાઇ ને.
બસ, આ સાથે ઉત્તર-પૂર્વ ભારતની મારી સફર પૂરી થતી હતી. સરસ રહી, સફળ રહી, વિસ્મયકર અને ઉત્તેજક રહી. બૉમ્બ કે બળવાની શક્યતાથી હું ડરી નહોતી. મારા જ દેશના દૂર દૂરના અનન્ય પ્રદેશોનો પરિચય હું કરી શકી હતી. ક્યાંય સુધી બધું મને યાદ રહેશે, અને ક્યાંય સુધી એ યાદો મને ફરી ત્યાં જવા ખેંચતી રહેશે.
હવે પછી સુશ્રી પ્રીતિબહેનની કલમે નદીઓ અને જંગલોના દેશ, ગયાના,ની સફરે નીકળી પડીશું
સુશ્રી પ્રીતિ શાહ-સેનગુપ્તાનો સંપર્ક preetynyc@gmail.com વીજાણુ સરનામે થઇ શકે છે.
-
આપણું જ આગવું ચોમાસું – ઝરણું ૭
વરસાદ અને ચોમાસાં વિશે વૈજ્ઞાનિક માહિતી
વરસાદની માપણી
પરેશ ૨. વૈદ્ય
“ગઈ રાત્રે બહુ ભારે વરસાદ થયો. મને લાગે છે કે ચારેક સેન્ટીમીટર થયો હશે.” આવી વાતચીત આપણે સાંભળી છે. ભારે વરસાદમાં પાણી પણ ઘણું પડયું હોય તે ય સમજાય છે. પરંતુ ‘અમુક હજાર લિટર પાણી પડયું’ એમ કહેવાને બદલે પાણી માટે સેન્ટીમીટરનો એકમ ક્યાંથી આવ્યો ? એ પાણીની ઊંડાઈનું માપ છે. માનો કે કોઈ અગાસીમાંથી બહાર પડતા બધા ‘ખાળ’ (‘આઉટલેટ’ નળા) બંધ કરી દેવાય તો ચાર સે.મી. વરસાદ પછી અગાસીમાં જે પાણી ભરાય તેની ઊંડાઈ ચાર સે.મી. હશે. પાણીનો જથ્થો (લિટરમાં) તો કેટલા વિસ્તારમાં આટલો વરસાદ પડયો તે પરથી કાઢી શકાય. પરંતુ દરેક સ્થળે સરખો વરસાદ પડે નહીં. એટલે એ માત્રા ચોકસાઈથી નીકળે નહીં. આથી હવામાનશાસ્ત્રીઓ એ વરસાદ માપવા માટે ઊંચાઈનો એકમ સ્વીકાર્યો. પહેલાં તે ઈંચમાં મપાતો, પરંતુ મેટ્રિક પદ્ધતિ અપનાવ્યા બાદ ભારતમાં વરસાદ સે.મી.માં મપાય છે. હવામાનખાતું મિલીમીટરમાં આંકડા આપે છે.
રેઈનગૅજ :
વરસાદ માપવા માટે આપણે ઘરગથ્થુ વ્યવસ્થા કરી શકીએ. ઉપરથી નીચે સુધી સમાન વ્યાસવાળો (૧૦૦ થી ૧૫૦ મિલીમીટર નો ) એક નળાકાર ડબ્બો લો અને તેને ચારે તરફથી ખુલ્લી અગાસીમાં વચ્ચે મૂકી દો તો એ થયો સાદો રેઈનગેજ. એને જ્યાં મૂકો ત્યાંથી ૪૫૦ ના ખૂણે નજર નાખતા બીજું મકાન, અગાસીની પાળ, ઝાડ કે ડીશ જેવા કોઈ અવરોધ ન હોવા જોઈએ. વરસાદ પૂરો થાય એટલે તેમાં કેટલી ઊંચાઈ સુધી પાણી એકઠું થયું તે માપી લો તો તે થયો આજનો વરસાદ. જો નળાકાર કાચ કે પ્લાસ્ટિકનો હોય તો પાણીના સપાટી બહારથી જ દેખાશે. ટીનનો ડબ્બો હોય તો તેમાં પૂઠાની કડક પટ્ટી તળીયાં સુધી નાંખી બહાર કાઢો. જેટલો ભાગ ભીનો થયો હોય તેની લંબાઈ માપો તો તે થયો સે.મી.માં વરસાદ. રોજેરોજ નિયત સમયે (દા.ત. સાંજે પાંચ વાગે) માપો તો વરસાદનો દૈનિક રૅકોર્ડ મળે. પારદર્શક ડબ્બા ઉપર સેન્ટીમીટર દર્શાવતી પટ્ટી વૉટરપ્રૂફ માર્કરથી કાયમી પણ બનાવી શકાય. તો સીધું જ અવલોકન મળે.
આ સાદી ગોઠવણમાં થોડા સુધારા કરતા જઈએ. પહેલું કે રોજ એકવાર જ માપ લેવું હોય તો બાષ્ણીભવનથી પાણી ઊડી ન જાય તેનો ખ્યાલ રાખવો પડે. તે માટે તેના ઉપર એક ગળણી (કૂપી) મૂકી દો. આથી વરસાદનું પાણી તો અંદર જશે પરંતુ બાષ્પીભવન બહુ નાનાં કાણામાંથી થાય તેથી નગણ્ય હશે. પરંતુ બહુ ઊંચેથી ગતિમાં આવતાં વરસાદનાં ટીપાં ગળણીની સપાટી પર અથડાય તો અમુક ટીપાં ઉછળીને બહાર પડે. તો વરસાદનો આંક ઓછો આવે. આથી કૂપી એવી જોઈએ જેનો ઉપલો ભાગ નળાકાર હોય. તો ટીપાં પરાવર્તન થઈ પાછાં ડબ્બામાં જ આવે . હવામાન ખાતાના ગૅજ આવી ડિઝાઈનના હોય છે.જો ગળણી જ મુકવી હોય તો ડબ્બાને બદલે શીશી પણ લઈ શકાય. શીશીમાં તળીયાનો વ્યાસ અને ગળણીનો વ્યાસ જુદાં હોય તો પણ થોડી ગણતરીથી તેનો ઉકેલ નીકળી શકે. (તે સાથેનાં ચોકઠામાં બતાવ્યું છે) કેટલાક વળી રેઈનગેજનું પાણી આંકા પાડેલ ‘મેઝરીંગ સિલીન્ડર’માં ઠાલવીને માપે છે. આ આપણી ઘરગથ્થુ રીતો થઈ. હવામાન ખાતાના ગેજ ઘણા આધુનિક અને કેટલાક ઓટોમેટિક હોય છે. જેમકે ભારે વરસાદમાં ગેજને વારંવાર ખાલી કરવા કર્મચારીએ જવું પડતું તેને બદલે બકનળીની રચનાથી એ ભરાય ત્યારે ખાલી થઈ જાય છે. અમુક ગેજ ઉપર ચાર્ટ રેકોર્ડર હોય છે જે સમય સાથે વરસાદનો આલેખ દોરતો રહે છે.

લાંબો સેન્ટીમીટર
જો રેઈનગેજની શીશી ઉપરની ગળણીનો વ્યાસ શીશી કરતાંજુદો હોય તો શીશી ઉપરના આંકા સુધારીને લગાડવા પડે. અહી ચિત્રમાં ગળણીનો વ્યાસ D2 અને શીશીનો વ્યાસ D1 છે.

D2 મોટો હોય તો વધુ વિસ્તારના કારણે ધાર્યા કરતાં વધારે પાણી શીશીમાં જશે. શીશી ઉપર એક સે.મી. વરસાદની માત્રા (D2/D1)2 એટલા ઘણાં અંતરે આંકવી પડશે.
ધારો કે શીશીનો વ્યાસ ૧૦ સે.મી. હોય અને ગળણી ૧૫ સે.મી. હોય તો પહેલો સેન્ટીમીટર ૨૨૫/૧૦૦ જેટલાં લાંબા અંતરે દર્શાવવો પડે. એટલે કે ૨.૨૫ સે.મી. દૂર પહેલો આંકો પડશે; એના સુધી પાણી ભરાય તો ૧ સે.મી. વરસાદ થયો ગણાય. તે રીતે આગળના આંકાઓ પણ લાંબા હોય.
વરસાદની તીવ્રતા :
એક દિવસમાં, એટલે કે કોઈ નિયત ૨૪ કલાકમાં, અમુક સ્થળે કેટલો વરસાદ નોંધાયો તેના પરથી તેની તીવ્રતાનું માપ કરાવાય છે. એ ગાળામાં ૭.૬ મિ.મી.થી ૩૫.૫ મિ.મી. વચ્ચે જો વરસાદ થાય તો તે સામાન્ય ગણાય છે. રેડિયો ઉપર હવામાન અહેવાલમાં જે બીજાં વિશેષણો વપરાય છે તેનો અર્થ આ મુજબ છે.
હળવો ૨.૫ થી ૭.૫ મિ.મી. વચ્ચે સામાન્ય ૭.૬ થી ૩૫.૫ મિ.મી. વચ્ચે કંઈક ભારે (Rather Heavy)
૩૫.૬થી ૬૪.૪ મિ.મી. વચ્ચે ભારે ૬૪.૫ થી ૧૨૪.૪ મિ.મી. વચ્ચે બહુ ભારે ૧૨૪.૫ થી ૧૪૪.૪ મિ.મી. વચ્ચે અતિ ભારે ૧૪૪.૫ મિ.મી. થી વધુ થોડાં વર્ષો પહેલાં ૧૦૦ મિ.મી.ને ભારે વરસાદ મનાતો પરંતુ હવે વ્યાખ્યા બદલાઈ છે. બીજા ચોમાસું દેશો હજુ ૧૦૦ મિ.મી. જ માને છે, જો એક કલાકમાં જ આટલો વરસાદ પડી જાય તો તેને ‘વાદળ ફાટવું’ કહે છે તે આપણે જોઈ ગયાં છીએ.
મેઘાલય રાજ્યમાં સૌથી વધુ અને સૌથી ભારે વરસાદ થાય છે. જગતમાં સૌથી વધુ વરસાદ માટે ચેરાપુંજી પ્રસિદ્ધ છે. પરંતુ છેલ્લા થોડાંક વરસોથી તેનાથી થોડે દૂર, મેઘાલયમાં જ આવેલું મૉવસીનરૅમ નામનું નવું હવામાન કેન્દ્ર ચેરાપુંજીની ગાદીએ બેઠું છે. ત્યાં વાર્ષિક વરસાદ ૧૧૨૫ સે.મી. જેટલો પડે છે.
વરસાદની માપણી એક અગત્યનું કાર્ય છે અને હવામાન ખાતું તેને ગંભીરતાથી લે છે, દેશમાં હજારો સ્થળે વરસાદ માપવાના સાદા અને આધુનિક ગેજનું જાળું ફેલાયેલું છે. રોજેરોજની માહિતી મુખ્ય મથકોથી કેન્દ્રિય ડેટા બેઈઝમાં પહોંચે છે. તેઓ પાસે છેલ્લાં સવાસો વર્ષનો મહિનાવાર રેકોર્ડ સચવાયેલો છે. તેનો ઉપયોગ ખેતી નિષ્ણાતો, મહેસૂલ અધિકારીઓ અને સંશોધનકર્તાઓ કરે છે. હવામાનમાં ફેરફાર થઈ રહ્યા છે તેનું વિશ્લેષણ પણ આ સંગ્રહિત માહિતીમાંથી કરી શકાય છે.
મેઘસમાન જળ નહીં
એક જૂની કહેવત છે “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં” એનો ઉત્તરાર્ધ કેટલો સાચો છે. સાધારણ તીવ્રતાનો વરસાદ અરધો કલાક પડે તો એક સેન્ટીમીટર જેટલો થાય.
એક ચોરસ કિલોમીટર (૧x૧ કિ.મી.) વિસ્તાર ઉપર આટલો વરસાદ પડે તો વાદળાંએ એક કરોડ લિટર પાણી ઠાલવ્યું હોય. છે ને અધધધ?

ક્રમશઃ
ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક prvaidya@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સ્મૃતિસંપદા – નટવર ગાંધી : ‘મડલીંગ થ્રુ’–મારી સાવ અણધારી જીવન યાત્રા [૧]
‘એક અજાણ્યા ગાંધીની આત્મકથા’ દ્વારા સ્વાનુભવોમાં પ્રતિબિંબિત થતી મૂલ્યોની અસર મનુષ્યને ક્યાંથી ક્યાં પહોંચાડી શકે તે દર્શાવતા શ્રી નટવર ગાંધી એક વિશ્વવિખ્યાત ગુજરાતી છે. સાવરકુંડલામાં ૧૯૪૦ની સાલમાં જન્મેલા નટવરભાઈ મુંબઈના હાડમારીભર્યા જીવનથી કંટાળીને ૧૯૬૫માં અમેરીકા આવ્યા.શ્રી નટવરભાઈના મજબૂત મનોબળ અને આત્મશક્તિનો અમેરીકાના અર્થતંત્ર પર ઘણો મોટો પ્રભાવ પડ્યો છે. એકાઉન્ટંટ તરીકે એમની કારકિર્દી અમેરીકાની રાજધાની વોશિંગટન ડી.સી.માં ઝળગળી ઉઠી હતી. USAના પ્રેસીડેંટ જે ક્લબના સભ્ય છે તે રાજધાનીની મેટ્રોપોલીટન ક્લબના તેઓ પણ સભ્ય છે. આ સભ્યપદ મેળવવા માટેની લાયકાત ઘણી ઊંચી હોવી જરૂરી છે.
ચીફ ફાયનાન્સીયલ ઓફિસર તરીકે નિવૃતિ થયા પછી પણ વર્લ્ડ બેંકમાં સલાહકાર તરીકે તેઓ સેવાઓ આપતા રહ્યા છે. દુનિયાના અનેક દેશોમાં પ્રવચનો દ્વારા અર્થતંત્રની આંટીઘૂંટીઓ સમજાવી એમણે લોકચાહના મેળવી છે. યુનિવર્સિટી દ્વારા એમની સેવાઓનો લાભ અનેક વિદ્યાર્થીઓને મળ્યો છે. જે કલમથી એમણે આંકડાઓની સમસ્યાઓ ઊકેલી છે એ જ કલમથી કાવ્યો પણ લખ્યા છે. પૃથ્વી છંદમાં એમણે લખેલા સોનેટો પ્રશંસનીય અને પ્રચલિત છે.
ગુજરાતી સાહિત્ય પ્રત્યેનો પ્રેમ એમને પન્ના નાયક જેવા મહાન કવિયત્રીના પ્રેમ સુધી લઈ ગયો. એમનું લગ્નજીવન અનેક માટે ઉદાહરણરૂપ બની રહ્યું.
Email: natgandhi@yahoo.com
In the final analysis, the question of why bad things happen to good people transmutes itself into some very different questions, no longer asking why something happened, but asking how we will respond, what we intend to do now that it happened.
Pierre Teilhard de Chardin
૨૦૦૭ના નવેમ્બર મહિનાની સાતમી તારીખને હું જિંદગીમાં ક્યારેય ભૂલવાનો નથી. મારા જીવનમાં, મારી કારકિર્દીમાં, એ દિવસે મોટો ધરતીકંપ થયેલો! હું ત્યારે અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનનો સી.એફ.ઓ એટલે કે ચીફ ફાઈનાન્સિઅલ ઑફિસર હતો. એ દિવસે યુ.એસ. એટર્નીની ઑફિસમાં પ્રેસ કૉન્ફરન્સ હતી. વૉશિંગ્ટનના મેયર, એફ.બી.આઈ.ના અને શહેરના ઉચ્ચ અધિકારીઓ હાજર હતા. વૉશિંગ્ટન પોસ્ટના અને બીજાં છાપાંઓ તેમ જ ટીવીના ભરાડી રિપોર્ટરોથી ખીચોખીચ આખો હોલ ભરાઈ ગયો હતો. એ બધા અમારા આવવાની રાહ જોતા “માણસ ગંધાય માણસ ખાઉં” એમ કરતા અધીરા થઈને બેઠા હતા.
મારા હાથ નીચે જે ટૅક્સ ઑફિસ ચાલતી હતી એમાં પચાસ મીલિયન ડોલરનું કૌભાંડ થયું હતું. સી.એફ.ઓ. થયો એ પહેલાં ત્રણ વરસ હું વૉશિંગ્ટનનો ટૅક્સ કમિશનર હતો. જો કે આ કૌભાંડ લગભગ વીસેક વરસથી ચાલતું હતું. પણ મુદ્દાની વાત એ હતી કે જ્યારે ચોરી પકડાઈ ત્યારે હું સી.એફ.ઓ હતો, અને એ ચોરી કરનારા ટૅક્સ ઑફિસરો મારા હાથ નીચે કામ કરતા હતા. એમના ગેરવર્તનની જવાબદારી મારી.
મેં જ્યારે ટૅક્સ ઑફિસનું કામ હાથમાં લીધું ત્યારે એના કોઈ ઢંગધડા ન હતાં, બધું અસ્તવ્યસ્ત હતું, વૉશિંગ્ટનના લોકો એની ગેરવ્યવસ્થા અને અરાજકતાથી થાકી ગયા હતા. વર્ષોથી રીઢા થઈને બેસી ગયેલા કામચોર કર્મચારીઓનો કોઈ હિસાબ લેતું નહોતું. બોડી બામણીના ખેતર જેવી દશામાં ચાલતી એ ટૅક્સ ઑફિસમાં પ્રમાણમાં લાંચ રુશ્વત ઘણી હતી. ઑફિસમાં પ્રામાણિકતા, નૈતિક ખંત અને ખાનદાનીની આબોહવા (કલ્ચર) ઓછાં.
આવી રેઢિયાળ ઑફિસનાં સૂત્રો મેં હાથમાં લીધાં. એમાં સુધારાવધારા કર્યા, એનું તંત્ર વ્યવસ્થિત કર્યું, અને નવી કમ્પ્યૂટર સિસ્ટમ પણ દાખલ કરી. પછી લોકો કરવેરા ભરવા માંડ્યા. સરકારી સિલક વધવા માંડી. વૉલ સ્ટ્રીટમાં જ્યાં અમે દર વર્ષે બીલિયન ડોલરથી પણ વધુ બોન્ડ વેચવા જતા હતા, અને જ્યાં અમારી આબરૂના કાંકરા થયા હતા, ત્યાં હવે અમારી પ્રતિષ્ઠા વધવા લાગી. ધીમે ધીમે વૉશિંગ્ટનનું નાણાં ખાતું ઠેકાણે પડવા લાગ્યું.
આ પ્રગતિ જરૂર થઈ, પણ કેટલાક જૂના ખાઉધરા કર્મચારીઓએ નવી સિસ્ટમને દગો દીધો. એમણે વીસેક વરસથી ચાલતી એમની ચોરીની સ્કીમ કોઈ ઉપરી અધિકારીને ખબર ન પડે તેમ ચાલુ રાખી! આ સ્કીમ એવી કુશળતાથી ચાલતી હતી કે કોઈને ગંધ પણ ના આવી. છેવટે એફ.બી.આઈ.ના માણસો અને અમારા ઇન્ટર્નલ ઑડિટરોએ આ સ્કીમને પકડી પાડી. એ આખું કૌભાંડ બહાર આવ્યું. ટૅક્સ ઑફિસના એક વખતના ડાયરેક્ટર અને અત્યારના સી.એફ.ઓ. તરીકે એને માટે હું જવાબદાર ગણાયો!
આ પ્રેસ કૉન્ફરન્સમાં વૉશિંગ્ટનના રિપોર્ટરો મેયરને એક પછી એક એમ આકરા પ્રશ્નોથી પજવવા લાગ્યા. કહેતા હતા કે જુઓ તમારા હાથ નીચે કેવું મોટું કૌભાંડ થયું! એ વખતે હું મેયરની બાજુમાં જ પણ પાછળ ઊભો હતો. ત્યાંથી તુરત આગળ આવીને મેં કહ્યું કે આ બાબતમાં બધી જ જવાબદારી મારી છે. એમાં જે બદનામી થવી જોઈએ તે મારી થવી જોઈએ, મેયરની નહીં. જે કંઈ સવાલ પૂછવા હોય એ મને પૂછો. પછી તો એ પ્રેસ કૉન્ફરન્સનું ટારગેટ હું બની ગયો. બધા મારી ઉપર તૂટી પડ્યા. હવે ટીવી કેમેરાઓએ મારી પર મીટ માંડી. આંખને આંજી દેતી કેમેરાની એ લાઈટ્સ, હાથમાં રેકોર્ડિંગ મશીન લઈને ધક્કામુક્કી કરતા અનેક રિપોર્ટરો, ટોકિંગ પોઈન્ટ્સ અને નોટ્સ લઈને તમને તૈયાર કરતો સ્ટાફ–ક્લાસિક વૉશિંગ્ટન પ્રેસ કૉન્ફરન્સમાં જે બધું હોય તે અહીં હતું.
વૉશિંગ્ટનના મહત્ત્વાકાંક્ષી માણસોની જેમ મને પણ ઊંડે ઊંડે એવી ઇચ્છા હતી કે મારે માટે પ્રેસ કોન્ફરસ ભરાય, જેમાં મારી કોઈ મોટી નિમણૂક થઈ હોય અને હું આત્મવિશ્વાસથી સવાલજવાબ કરું. પણ આ કૉન્ફરન્સનો આશય સાવ જુદો હતો. આમાં તો હું જ હોળીનું નાળિયેર બન્યો અને મારો જ હુરિયો બોલાયો. આ બધું જોતાં મને એમ પણ થયું કે હવે વૉશિંગ્ટનમાં આપણા દિવસો ભરાઈ ગયા છે. અહીંની ફૅડરલ બ્યુરોક્રસીમાં અથવા પ્રાઈવેટ સેક્ટરમાં હજુ વધુ અગત્યની નોકરીઓ લેવાના મારા જે મનોરથ હતાં તે બધાં આ કોન્ફરસ પછી રોળાઈ ગયાં. હવે મારી જે નામોશી થવાની છે તે કારણે મને બીજે ક્યાંય નોકરી મળવાની પણ અશક્ય થઈ જશે.
વિધિની વિચિત્રતા તો જુઓ કે એ જ દિવસે સાંજે મને ગવર્નીંગ મૅગેઝિન તરફથી રાષ્ટ્રીય કક્ષાનો ‘પબ્લિક ઑફિશિયલ ઓફ ધી ઈયર’નો મોટો અવોર્ડ અપાવાનો હતો. વૉશિંગ્ટનની પ્રખ્યાત વિલર્ડ હોટેલમાં યોજાયેલા એક ભવ્ય સમારંભમાં મારું સન્માન થવાનું હતું.1 મારી કારકિર્દીનું આ એક ઊંચું શિખર હતું. સમારંભ યોજાયો. મને અવોર્ડ અપાયો. ખૂબ વખાણ થયાં, પણ મને ખબર હતી કે બીજે જ દિવસે સવારે આ બધું રોળાઈ જવાનું છે. છાપામાં પહેલે પાને ટૅક્સ કૌભાંડના ખરાબ સમાચાર સિવાય બીજું કંઈ નહિ હોય, અને એવું જ થયું.
હું છાપે અને છાપરે ચડ્યો
બીજે દિવસે અને પછી મહિનાઓ સુધી વૉશિંગ્ટન પોસ્ટ અને બીજાં છાપાંઓમાં મારા ફોટા સાથે એ કૌભાંડના સમાચારો પહેલે પાને પ્રગટ થયા. 2કહેવામાં આવ્યું કે વૉશિંગ્ટનના ઇતિહાસમાં ક્યારેય પણ આવું મોટું કૌભાંડ થયું નથી. ત્યાર પછી તો મહિનાઓ સુધી મારી ઉપર કંઈક માછલાં ધોવાયાં. અમેરિકામાં છાપાંવાળા જ્યારે કોઈની પણ પાછળ પડે ત્યારે એનાં છોતરાં જડમૂળથી કાઢી નાખે. ભલભલાને જોતજોતાંમાં ભોંય ભેગા કરી દે!
વૉશિંગ્ટન પોસ્ટમાં તંત્રીલેખો સાથે મારું કાર્ટૂન પણ છપાયું!3 આવા બધા બદનામીના સમાચારો મહિનાઓ સુધી છાપાંઓમાં અને ટીવીમાં આવ્યા કર્યા. એ પ્રકરણના સંદર્ભમાં સિટી કાઉન્સિલ, બોર્ડ ઑફ ટ્રેડ, ચેમ્બર ઑફ કૉમર્સ, કમ્યુનિટી એસોશિઅન્સ, વૉલ સ્ટ્રીટ, કૉંગ્રેસ એમ અનેક જગ્યાએ મારે જુબાની આપવી પડી. આકરા સવાલોના જવાબ આપવા પડ્યા. આ કૌભાંડ કેમ થયું અને એને માટે કોણ કોણ જવાબદાર છે, તે બાબતની વ્યવસ્થિત તપાસ કરવા સિટી કાઉન્સિલે વૉશિંગ્ટનની એક મોટી લો ફર્મને જવાબદારી સોંપી.
અજાયબીની વાત તો એ છે કે આવડું મોટું કૌભાંડ થયા પછી પણ બીજાં સાત વરસ હું સી.એફ.ઓ. તરીકે ટકી રહ્યો! કૌભાંડ થયા પછી મારી ટર્મ પૂરી થયે બે વાર ફરી મારી નિમણૂંક થઈ. આમ હું ૨૦૧૩ સુધી હું સીએફઓ રહ્યો! ૨૦૧૩માં મેં જાતે જ રાજીનામું ન આપ્યું હોત તો બીજાં ચાર વરસ હજી હું એ હોદ્દા પર રહી શક્યો હોત. રાજીનામું આપ્યા પછી પણ મારે મેયરના કહેવાથી વધુ એક આખું વરસ એ જ હોદ્દા પર કામ કરવું પડેલું.
જો કે એ ૨૦૦૭ના નવેમ્બરના એ દિવસોમાં તો “ગાંધીને આ અગત્યના હોદ્દા ઉપરથી હમણાં ને હમણાં ખસેડો,” એવું ઘણે ઠેકાણેથી કહેવાયું હતું. એ દિવસોમાં વૉશિંગ્ટન બિઝનેસ જર્નલમાં ઓપિનિયન પોલ પણ લેવાયો કે ગાંધીએ સીએફઓ તરીકે રાજીનામું આપવું જોઈએ કે નહીં? જેમાં ૫૮% બિઝનેસ કમ્યુનિટીના લોકોએ કહ્યું કે હા, તેને રીઝાઇન કરવું જોઈએ, જ્યારે ૪૨% લોકોએ કહ્યું કે ના, ડિસ્ટ્રીકને હજી ગાંધીની જરૂર છે. મેં પોતે જ મેયરને કહ્યું કે હું આ કૌભાંડની જવાબદારી સ્વીકારું છું અને રાજીનામું આપવા તૈયાર છું. પણ મેયરે મારું રાજીનામું ન સ્વીકાર્યું. મને કહ્યું કે ટૅક્સ ઑફિસને સુધારવા માટે, એ ઑફિસની બ્યુરોક્રસીની સાફસૂફી કરવા માટે અમારે હજી તમારી જરૂર છે!
જે લો ફર્મને આ બધું તપાસ કરવાનું કામ સોપાયું હતું એનું પણ એમ જ કહેવું હતું કે ગાંધીની ઑફિસમાં એની નીચે હાથ કરતા માણસોએ આ ચોરી કરી છે, ગાંધીએ નહીં. આ સ્કૅન્ડલના મૂળમાં ટૅક્સ ઑફિસના કર્મચારીઓની બેદરકારી અને નૈતિક અંધતા છે. અગત્યના કૉંગ્રેસમેનો, બિઝનેસ સમુદાય, મજૂર મહાજન, મેયર પોતે, સિટી કાઉન્સિલ–એમ બધાનું માનવું એવું હતું કે ગાંધીએ ટૅક્સ ઑફિસને સુધારવામાં બહુ પ્રયત્નો કર્યા છે. એ જો સી.એફ.ઓ. તરીકે હજી રહે તો સુધારાનું કામ આગળ વધી શકે. વૉશિંગ્ટનને નાણાંકીય રીતે સદ્ધર બનાવવું હોય તો ગાંધીની હજી જરૂર છે. એમના સિવાય કોઈ વિકલ્પ અમને દેખાતો નથી. વધુમાં વૉલ સ્ટ્રીટમાં, ખાસ કરીને રેટિંગ એજન્સીઓમાં, એમ કહેવાયું કે આ સ્કૅન્ડલથી ડિસ્ટ્રીકના ક્રેડિટ રેટિંગ ઉપર કોઈ અસર નહીં આવે.
વૉશિંગ્ટનની અર્થવ્યવસ્થા
એક શહેર તરીકે વૉશિંગ્ટનની હયાતી જ જુદી છે. એ અમેરિકાની રાજધાની તો ખરી જ. પણ સાથોસાથ એ અમેરિકાનાં મોટાં શહેરોમાંનું એક ગણાય. એને અમેરિકાના ફૅડરલ રાજ્યતંત્રથી જુદું રાખવામાં આવ્યું છે. એ રાજ્ય નહિ, પણ ‘ડિસ્ટ્રીક ઑફ કોલમ્બિયા, વૉશિંગ્ટન, ડી.સી.’ તરીકે ઓળખાવાય છે. એની અર્થવ્યવસ્થા અમેરિકાનાં પચાસ રાજ્યો કરતાં જુદી છે. વાયોમીંગ અને વર્મોન્ટ જેવાં કેટલાંક રાજ્યો કરતાં એની સાતેક લાખની વસતી વધારે અને એનું એ વખતનું લગભગ તેર બીલિયન ડોલરનું વાર્ષિક બજેટ અમેરિકાનાં કેટલાંક રાજ્યોનાં બજેટ કરતાં પણ મોટું, અને છતાં ડિસ્ટ્રીક રાજ્ય ન ગણાય, અને એના નાગરિકોને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ ન મળે!
વૉશિંગ્ટનના રાજકારણ અને એની આર્થિક વ્યવસ્થાની જવાબદારી ફૅડરલ ગવર્નમેન્ટે, મુખ્યત્વે અહીંની કૉંગ્રેસે, એટલે કે અમેરિકાની ધારાસભાએ પોતાના હાથમાં રાખી છે. અમેરિકાના સ્વાતંત્ર્યસંગ્રામ સમયે ‘ટૅક્સેશન વિધાઉટ રિપ્રેઝન્ટેશન’ (પ્રતિનિધિત્વ વગરના કરવેરા)નું સૂત્ર લઈને અમેરિકનો ઇંગ્લૅન્ડના રાજા સામે લડ્યા હતા. તે જ અમેરિકાની રાજધાનીના લોકોને આજે પણ એ મતાધિકાર નથી. જો કે આ નાગરિકોએ અહીંનો ટૅક્સ જરૂર આપવો પડે. એટલું જ નહિ, પણ ડિસ્ટ્રીકના નાગરિકો બીજાં બાવીસ રાજ્યો કરતાં વધુ ઇન્કમટૅક્સ ભરે!
રાજધાનીના નાગરિકોનું કહેવું છે કે અમે ફૅડરલ કરવેરા બરાબર ભરીએ છીએ, અમારા જુવાનો દેશની લડાઈઓમાં ફના થાય છે, બધા જ ફૅડરલ કાયદાઓ અમને લાગુ પડે છે, છતાં અમને મતાધિકાર નહિ? એ ન્યાય ક્યાંનો? આ બાબતનો ઊહાપોહ વારંવાર થાય છે. પણ એનું કાંઈ વળતું નથી. વૉશિંગ્ટનની વસતી ૧૯૬૦ના દાયકામાં સિત્તેર ટકા કાળી, શ્યામવર્ણી આફ્રિકન અમેરિકન હતી. તેથી રંગભેદ રાખવામાં આવે છે એવો દાવો કરવામાં આવ્યો. આ ચળવળને કારણે કૉંગ્રેસે છેવટે વૉશિંગ્ટનના નાગરિકોને પ્રમુખની ચૂંટણી માટેનો મર્યાદિત મતાધિકાર આપ્યો, અને સાથે સાથે સ્થાનિક રાજકારણ માટે હોમરૂલની વ્યવસ્થા કરી આપી. લોકો મેયર અને કાઉન્સિલની ચૂંટણી કરી શકે, પણ એમને કૉંગ્રેસમાં પ્રતિનિધિત્વ તો ન જ મળ્યું.
મુખ્યત્વે ગોરા લોકોની બહુમતિવાળી કૉંગ્રેસના નેતાઓ એમ માને કે જો વૉશિંગ્ટનને ડિસ્ટ્રીકને બદલે રાજ્ય ગણવામાં આવે અને એના નાગરિકોને પૂર્ણ મતાધિકાર મળે, તો એક રાજ્ય તરીકે અમેરિકાની સેનેટમાં બે સેનેટરો ઉમેરાય. અત્યારે સેનેટમાં એકેક રાજ્યના બે સેનેટરો ગણીને ૧૦૦ની સંખ્યા છે. ઘણા અગત્યના કાયદાઓ એકાદ બે મતને આધારે પસાર થાય છે. ડિસ્ટ્રીકના બે સેનેટરો કાળા, આફ્રિકન અમેરિકન હશે, અને બન્ને ડેમોક્રેટ હશે, એવા ભયે રીપબ્લીકન પાર્ટીના આગેવાનોનું એમ માનવું કે અત્યારે સેનેટનું જે પાવર બૅલેન્સ જળવાયું છે, તે ડેમોક્રેટ પક્ષ તરફ ઢળશે. સ્વાભાવિક રીતે જ રીપબ્લીકન પાર્ટીના નેતાઓને આ વાત ન પોસાય.
વધુમાં દરેક રાજ્યને બે સેનેટરો મોકલવાની વ્યવસ્થા એ નાનાં (વર્મોન્ટ જેવા) ને મોટાં (કેલિફોર્નિયા જેવા) રાજ્યો વચ્ચે બૅલેન્સ જાળવવા માટે યોજાઈ છે. આજે વૉશિંગ્ટનને રાજ્ય બનાવો અને કાલે એના જેવા જ ડિસ્ટ્રીક પોર્ટોરિકો પણ પોતાનું રાજ્ય માગે, તો પછી ક્યાં અટકવું? આ કારણે પચાસ રાજ્યો અને સો સેનેટરોમાં વધારો કરવામાં જબરી આનાકાની થાય છે. વધુમાં આજુબાજુનાં મેરીલેન્ડ અને વર્જીનિયા જેવાં રાજ્યોમાં વસતા (મુખ્યત્વે ગોરા) માણસો લાખોની સંખ્યામાં દરરોજ વૉશિંગ્ટનમાં ફૅડરલ ગવર્ન્મેન્ટ અને અન્ય ઠેકાણે નોકરીધંધો કરવા આવે છે, તે બધા ઉપર એક રાજ્ય તરીકે વૉશિંગ્ટન નવા કરવેરા લાદી શકે. એ જોખમ શા માટે ખેડવું?
વૉશિંગ્ટનને હંમેશ કૉંગ્રેસના અંકુશ નીચે રાખવું હોય તો એ એક રાજ્ય નહીં, પણ ડિસ્ટ્રીક રહે એવી વ્યવસ્થા એમેરિકાના બંધારણમાં કરવામાં આવી છે. ડિસ્ટ્રીકના નાગરિકોને કોઈ બીજા રાજ્યના નાગરિકોની જેમ મતાધિકાર અને હક્કો આપવા હોય તો બંધારણમાં સુધારાવધારા કરવા પડે, જે અહીં ખૂબ મુશ્કેલ છે. એટલે અત્યારે તો વૉશિંગ્ટનના નાગરિકોએ આ અન્યાય નીચી મૂંડીએ સહન કરવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.
માત્ર વૉશિંગ્ટનને રાજ્ય બનાવવાની બાબતમાં જ નહીં, પણ અમેરિકાની ઘણી બધી બાબતોમાં મૂળ તો આ ગોરા-કાળાનો રંગભેદ રહેલો છે. આ રંગભેદનું વિકરાળ સ્વરૂપ દેશના આંતર વિગ્રહ (સિવિલ વોર) માં ૧૮૬૦ના દાયકામાં પ્રગટ થયું હતું. છેલ્લાં બસો વરસમાં કાળા ગોરાના નાનાંમોટાં છમકલાં, હુલ્લડો અને ખૂનામરકી થતાં રહે છે. જે અમેરિકનો દુનિયા આખીની પચરંગી પ્રજાને પોતાનામાં સમાવી શક્યા છે, તે કોને ખબર પણ કેમ એના કાળા નાગરિકોને સમાવી શક્યા નથી. સમાજશાસ્ત્રીઓ માટે આ એક મોટો કોયડો છે.
ક્રમશઃ
-
પીડિતાને દોષિત ઠેરવતી પિતૃસત્તાત્મક માનસિકતા
નિસબત
ચંદુ મહેરિયા
સુરતના કોંચિંગ ક્લાસમાં અધ્યાપન કાર્ય કરતી પાટીદાર યુવતી પર નીલ દેસાઈ નામનો સગીર તેની સાથે સંબંધ રાખવા બળજબરી કરતો હતો. તેની સતત હેરાનગતિ અને ધાકધમકીથી કંટાળીને યુવતીએ આત્મહત્યા કરી. આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાના આરોપસર સગીરની અટકાયત પછી, ‘સંદેશ’ ના ખબરપત્રીના અહેવાલ પ્રમાણે કથિત આરોપી સગીરના કુટુંબીજનો અને જ્ઞાતિજનોએ યુવતીના મેસેજિસ સોશિયલ મીડિયામાં વાઈરલ કરી તેને દોષિત ઠેરવવાનો પ્રયાસ કર્યો છે.
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતાની આરજીકર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મહિલા તબીબ પર બળાત્કાર અને હત્યાના બનાવને હજુ તો વરસ પણ થયું નથી અને કોલકાતાની કાયદાની કોલેજમાં ચોવીસ વર્ષિય કોલેજ છાત્રા પર કોલેજ પરિસરમાં જ સામુહિક બળાત્કાર કરવામાં આવ્યો છે. બળાત્કારીઓ પૈકીનો એક રાજ્યના સત્તાપક્ષ તૃણમૂલ કોંગ્રેસનો સક્રિય કાર્યકર છે. ઘટનાના રાજકીય પ્રત્યાઘાત પડ્યા તો તૃણમૂલ વિધાયક મદન મિત્રાએ કહ્યું કે જો યુવતી ઘટનાસ્થળે ગઈ જ ના હોત , જતાં પહેલાં કોઈને વાત કરી હોત કે કોઈ બહેનપણીને સાથે લઈ ગઈ હોત તો બળાત્કારની ઘટના જ ન બની હોત. પક્ષના વરિષ્ઠ સાંસદ કલ્યાણ બેનરજીએ એથી પણ આગળ વધીને એમ કહ્યું કે શું દરેક સ્થળે પોલીસ પહેરો હોઈ શકે? બળાત્કારનો ભોગ બનેલી યુવતી પર દોષનો ટોપલો ઢોળી દેવાનું આ તે કેવું વલણ?
ઓડિશાના બાલાસોરની ફકીર મોહન અધ્યાપન કોલેજની બી. એડની વિધ્યાર્થિની સાથે કોલેજના પ્રોફેસર સમીર રંજન સાહુ જાતીય સતામણી કરતા હતા. છાત્રાએ તેની ફરિયાદ કોલેજના આચાર્યને કરી પણ તેની ફરિયાદ તરફ દુર્લક્ષ સેવવામાં આવ્યું. ઉત્પીડનના આરોપી અધ્યાપક સામે પગલાં લેવા છાત્રાએ ધરણાંનો માર્ગ અખત્યાર કર્યો. એ વેળા પ્રોફેસરને નિર્દોષ દર્શાવી ફરિયાદી છાત્રાને કોલેજમાંથી સસ્પેન્ડ કરવાની માંગણી તેના ૭૧ સહછાત્રોએ કરી. લાંબા સંઘર્ષ છતાં ન્યાયની કોઈ આશા ન જણાતાં યુવતીએ કોલેજમાં જ આત્મદાહ કર્યો અને સારવાર પછી તેનું અવસાન થયું. આ ઘટનામાં પણ કોલેજ અને સહપાઠીઓનું વલણ પીડિતાનો જ દોષ જોવાનું રહ્યું હતું.
ગરીબ, આદિવાસી, દલિત, કાળા અને મહિલા જેવા પીડિતોને દોષી ગણવાનું વલણ જાણે કે સહજ અને સાર્વત્રિક છે. જો તમે ગરીબ છો તો તમને કામચોર, આળસુ, વ્યસની ગણીને તમારી આર્થિક હાલતનું કારણ સંસાધનોની અસમાન વહેંચણી છે તે ભૂલવી દઈને તમને જ જવાબદાર ગણવામાં આવે છે. રંગભેદ, જ્ઞાતિભેદ , લિંગભેદ જેવા અનેક ભેદભાવનો શિકાર બનેલા લોકોને સામાજિક પૂર્વગ્રહો તથા સાંસ્કૃતિક માપદંડોના આધારે બ્લેઈમ કરી તેમણે કંઈક એવું કર્યું છે કે જે તેમણે ભોગવવું પડે છે એવું ઠસાવવામાં આવે છે. કાળાઓ પ્રત્યેના ધોળિયાઓના અન્યાય અને રંગભેદ છતાં તેમને જ દોષિત ગણવા સંદર્ભે અમેરિકી મનોવૈજ્ઞાનિક અને માનવ અધિકાર કર્મશીલ વિલિયમ રયાને( જન્મ-૧૯૨૩, અવસાન-૨૦૦૨) ૧૯૭૧માં લખેલ પુસ્તક ” BLAMING THE VICTIM’ માં આ પ્રકારના કૃત્યને કોઈ માનસિકતા કે વલણને બદલે વિચારધારા ગણાવી છે. પીડિતોને દોષિત ઠેરવવા તે ફાસીવાદી ચરિત્રનું સૌથી ભયાવહ સ્વરૂપ છે.
આ સૌમાં મહિલા પીડિતને દોષિત ગણી લેવાનો ચાલ તો રોજેરોજનો છે. યૌન અને ઘરેલુ હિંસા, શારીરિક છેડછાડથી બળાત્કાર જેવી હિંસાનો ભોગ બનેલી પીડિતાઓને તેમની સાથે થયેલા ખરાબ વર્તન કે બળાત્કાર માટે એ પોતે જ દોષિત હોય તેવું વર્તન અને વ્યવહાર કરવામાં આવે છે. મહિલાઓ સાથે હિંસા આચરતા પુરુષો તો જાણે દેવના દીકરા હોય તેમ ‘લડકે હૈ કભી કભી ભૂલ હો જાતી હૈ’ કહીને તેમને છાવરવામાં આવે છે કે તેમનો બચાવ કરવામાં આવે છે. જ્યારે મહિલાઓને માથે એ તો છે જ એવી, આવા અડધા ઉઘાડાં દેખાવાય એવાં કપડાં તે પહેરાતા હશે ? પણ એ અડધી રાતે ગઈ જ શું કામ ? એવા સવાલો, આરોપ, દોષથી માંડીને એજ લાગની છે સુધીના જજમેન્ટ અપાય છે. પીડિતાને દોષિત ઠેરવવી તે આપણી જડબેસલાક પિતૃસત્તાત્મક માનસિકતાને કારણે છે. જે કુટુંબ, સમાજ,રાજકારણ,મીડિયા અને અદાલતો એમ ઠેરઠેર જોવા મળે છે.
વિનયભંગની પીડિતાને અવિશ્વસનીય ગણવી, તેના પર આચરાયેલ જુલમને હળવાશથી લેવો એ તો ખરું જ પણ આવા બનાવ પછી પોલીસ સ્ટેશન, હોસ્પિટલ અને કોર્ટામાં ટ્રાયલ દરમિયાન તેને બળાત્કાર કે જાતીય સતામણી કરતાં ય વધુ મોટો આઘાત સહેવો પડે છે. બળાત્કારની તપાસ માટે પ્રતિબંધિત ટુ ફિંગર પરીક્ષણ, પોલીસ ફરિયાદમાં વિલંબ કે નહીં નોંધવાનું વલણ અને ટ્રાયલ દરમિયાન વકીલોના આક્ષેપો અને અંગત સવાલોથી જાણે કે તેના પર બીજો બળાત્કાર થાય છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી જ્યાં ન્યાયની આશા લઈને પીડિતા જાય છે ત્યાં પણ તેને ઘણીવાર અન્યાય થાય છે. ૨૦૨૦માં કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ કૃષ્ણ દીક્ષિતે બળાત્કારના આરોપીને મુક્ત કરતાં બળાત્કાર પછી સર્વાઈવર સૂઈ ગઈ હતી તે બાબતને ગંભીર ગણી હતી અને તેને પરંપરાગત ભારતીય મહિલાના વલણ કરતાં જૂદું ગણાવી ફરિયાદને ખોટી માની હતી. તહેલકાના તરુણ તેજપાલ સામેની ફરિયાદ અંગે ગોવા હાઈકોર્ટે ઘટનાના આગલા દિવસની તસવીરોમાં પીડિતાના ચહેરા પર કોઈ પરેશાની જણાતી નથી અને તે ખુશ જણાય છે , તે બનાવ પછી ગોવામાં રોકાઈ હતી અને આખા કાર્યક્રમમાં હાજર રહી હતી તે બાબતને પણ ધ્યાનમાં રાખી ફરિયાદને અવિશ્વસનીય ગણાવી તેજપાલને આરોપ મુક્ત કર્યા હતા. ૧૯૯૫માં રાજસ્થાનના ભંવરી દેવી બળાત્કાર કાંડના ચુકાદામાં પણ અદાલતે કથિત નિમ્ન જ્ઞાતિની મહિલા પર કથિત ઉચ્ચ જ્ઞાતિના પુરુષો કે કાકા-ભત્રીજા સાથે કે વિવિધ વયજૂથના પુરુષો એક સાથે બળાત્કાર કરે તેને અસ્વીકાર્ય બાબત ગણી હતી. આ ઉદાહરણો દર્શાવે છે કે પીડિતાઓ પ્રત્યેનું અદાલતોનું વલણ ક્યારેક ખાપ પંચાયતો જેવું હોય છે.
મહિલાઓને વસ્તુ નહીં પણ વ્યક્તિ માનવાની માનસિકતા હજુ કેળવાઈ નથી. મધ્યપ્રદેશના એક બળાત્કાર કેસમાં જ્યારે સર્વોચ્ચ અદાલતે સ્ત્રીના શરીરને મંદિર જેવું ગણાવ્યું ત્યારે પણ તેમની માનસિકતા મહિલાને દેવી ગણાવાની , તેના શરીરને પવિત્ર ગણવાની હતી. જાતીય શોષણનો ભોગ બનેલી મહિલાને કલંકિત ગણી તેનો ત્યાગ કરવો, અલગ પાડી દેવી, હડધૂત કરવી જેવી બાબતો સમાજમાં સહજ છે તેના મૂળમાં સ્ત્રીના શરીરને મંદિર કે પવિત્ર માનવાનું વલણ છે.
શારીરિક અત્યાચારોનો ભોગ બનેલી સ્ત્રીએ થાકીને સૂઈ જવાનું નથી પણ રડવાનું છે , ગભરાવાનું છે , બૂમો પાડવાની છે, ન્યાયની ભીખ માંગવાની છે – જેવા માપદંડો સમાજે તેના પર થોપ્યા છે. જ્યારે મહિલા તેના કરતાં જૂદું વલણ અપનાવે છે ત્યારે તેને દોષિત ગણવામાં આવે છે. હવે આ વલણ બદલવાનું છે. મહિલાનું શરીર મંદિર કે પવિત્ર નથી. બળાત્કારથી તે કલંકિત થઈ જતી નથી. તેણે જાતીય અત્યાચાર પછી દુ:ખી, બાપડી, બિચારી થવાનું નથી.પરંતુ સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક પૂર્વગ્રહોનો સામનો કરવાનો છે. તો જ પીડિતાને દોષી માનતી માનસિકતામાં પરિવર્તન આવશે.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
કાવ્યસંગ્રહઃ મૌનનું આકાશઃ એક અવલોકન
મૌનનું આકાશઃ કાવ્યસંગ્રહઃ શ્રી ગૌરાંગ દિવેટીઆ
અવલોકનઃ દેવિકા ધ્રુવ
અમદાવાદથી ઊડાન ભરીને શિકાગો થઈને એક પુસ્તક મારા આંગણે આવ્યું. કવિતાનું પુસ્તક હોઇ, ત્વરિત ગતિએ એક વિહંગાવલોકન કરી લીધું એ વાતને ત્રણ -ચાર મહિના વીતી ગયા. હમણાં ફુરસદની પળોમાં ખુલ્લા આકાશ નીચે બેસી, શ્રી ગૌરાંગ દિવેટીઆ લિખિત ‘મૌનનું આકાશ’ શાંતિથી વાંચ્યું, માણ્યું અને જાગેલા પ્રતિભાવ લખવાનું મન થયું.
શ્રી ગૌરાંગભાઈની ઓળખાણ ઘણાં વર્ષો જૂની, પારિવારિક સંબંધ પણ ખરો પરંતુ વધુ પરિચય કવિતાની કેડી પર. ક્યારેક અમે સાથે કવિતાપાઠ પણ કરેલ છે. એ રીતે સાહિત્યિક વડીલમિત્ર તરીકે ઉલ્લેખું તો જરાયે ખોટું નથી જ..
આકાશી ભૂરા રંગના મુખપૃષ્ઠ પર વાદળીઓના આકારમાં ગોઠવાયેલું શિર્ષક સાંકેતિક અને સોહામણું લાગ્યું. આકાશ મૌન જ છે; પણ આ પુસ્તકમાં વર્ષો સુધીનું, કદાચ આખા આયખાનું મૌન રહેલ સંવેદન આકાશની જેમ પથરાયું છે અને તે પણ નિવેદનમાં જણાવ્યું છે તે રીતે ખરા અર્થમાં સહજપણે સર્જાયેલું છે.
પ્રકૃતિના તત્ત્વોથી માંડીને ભીતર ભરેલા ખાલીપાની અહીં અભિવ્યક્તિ છે. ૧૦૫ પાનાંમાં સમાયેલી આ રચનાઓમાં ગઝલો, મુક્તકો,અછાંદસ ઉપરાંત ૬૪ ગીતો છે. શિર્ષકમાં થયેલ ઈશારા મુજબ, આકાશ હેઠળ રહેલ મૌન કુદરત અને ભીતરમાં ભરેલ મૌન-બંને યથોચિત અહીં ઝીલાયાં છે. કવિની કલ્પનામાં સ્વાભાવિકપણે જ આવી જતાં વરસાદ,ફૂલ,પંખી, ટહુકા,પાણી,દરિયો,માછલી અને મૃગજળ પણ છે. અહીં અચરજ,અટકળ,અણસારા, વિરહ અને મૂંઝારા પણ વર્તાય છે તો સાથે સાથે કૃષ્ણપ્રેમ અને અનહદનું સંગીત પણ સંભળાય છે.
શ્રી ગૌરાંગભાઈની અછાંદસ કવિતાઓમાં તેમના હૃદયસ્થ કવિનું સ્મરણ છે,બાળપણની લખોટીઓનો પારદર્શક રણકો છે, વિખૂટો પડેલ થપ્પો છે, ચંચળ દડો છે અને કવિતામાંથી મળતો અનહદનો આનંદ પણ છલકાયો છે.
એમની ગઝલોમાં મોટેભાગે શૂન્યતા,એકલતા, ખાલીપા અને ‘હુ’ને શોધવાની મથામણ ઊંડે સુધી સ્પર્શાઈ છે. ગઝલના માપદંડોને બાજુએ મૂકીને ગમી ગયેલી ‘તે પછીની વાત છે’ અને ‘શબ્દ થઈ ગયો છું’- આ બંનેના ભાવો કાબિલેદાદ છે.
મુક્તકોની વાત કરીએ તો એક મુક્તકમાં એ લખે છે કે,
સાગરનું રહસ્ય શોધવા નદી સુધી ગયા,
સમયનું રહસ્ય શોધવા સદી સુધી ગયા,
હોવાનું આ રહસ્ય કોણ ઉકેલે,
‘છે’નું રહસ્ય શોધવા ‘નથી’ સુધી ગયા.‘વાહ’ પોકારી જ જવાય.
આ સંગ્રહનું સૌથી મોટું જમા પાસું છે ગીતોનું. બે ચાર નહિ પણ ઘણાં ગીતો ખૂબ ગમી ગયાં. લયબદ્ધતા તો ખરી જ પણ એથીય વિશેષ એની વિવિધતાને કારણે પણ એને ટાંકવાનું ગમે જ.
શરૂઆતનાં પાનાઓમાં આવતી ‘અનુભૂતિ’ કવિતામાં હિન્દી-ગુજરાતી બંને ભાષાઓમાં ભળી ગયેલ અદ્વૈતભાવ, એના ‘અનહદ મહીં સમાયો’ની જેમ અતિ સહજપણે ભળી ગયો છે. એની ગૂંથણી પણ મને ખૂબ મૌલિક અનુભવાઈ. તે પછી ‘આજ મને ફૂટ્યું છે વરસાદી ગીત’ સાદ્યંત સુંદર અને મનોહર બન્યું છે. પંચમહાભૂતનાં તત્વોને એક અનોખી રીતે ’પંચસત્ત્વ’માં વર્ણવ્યાં છે એ પણ કવિકર્મની કાબેલિયત જ કહી શકાય.
આગળના પાનાં નં. ૨૬માં
‘તડકાઓ તોડીને જોયું તો લાગ્યું,
કે સૂરજ જેવું તો કશું છે જ નહિ’…
થંભેલી ક્ષણોમાં જઈ બેઠા તો લાગ્યું,
કે ખરવું – ખીલવું કશું છે જ નહિ!
કેટલી બધી અને કેવી ઊંચેરી સમજણ અને સ્થિતપ્રજ્ઞતા! એ જ વાત વળી એક બીજા ગીત ‘અપરંપાર’માં પણ કરી છે કે,‘કશું અંદર નથી કે કશું બહાર’.
ઝલમલતા ભીતરના ઝાંખા અજવાસમાં,
સઘળું જાણે અપરંપાર.’કેટલાંક ગીતોમાં નજરને પણ આ કવિ એક અલગ નજરે જુએ છે. એ કહે છે કે,
‘નજરોની ડમરીમાં ઝંખવાતી આંખોમાં અજવાળું કેમ કરી આંજવું?’
અને ક્યાંક નજર માટે લખે છે કે,
‘બદલાતાં દૄશ્યોથી થાકેલી નજરોને થાવા દેવી છે હવે બંધ’.
‘માછલી’ના ગીતમાં મૃગજળનો ભાવ સરસ ઝીલાયો છે, ‘અમે’ ગીતમાં ઘેરો આંતરસંઘર્ષ વ્યક્ત થયો છે,’પરમ’ કવિતામાં પરમમાં ભળવાનો મીઠો ગુંજારવ સંભળાય છે, એ પછીના કેટલાંક ગીતોમાં ભીતર ભરચક ભરચકનો આનંદ પણ વર્તાય છે. ‘સગપણ,માણસ છૈ, મસ્તી અમસ્તી, રૂપ-અરૂપ’ વગેરે ગીતો મઝાના બન્યાં છે. ક્યાંક વિરોધાભાસ અલંકાર પણ ઉચિત રીતે પ્રયોજાયો છે.
૬૩ નંબરના ગીતમાં,
‘માણસ થઈને એક જ નાટક કેટકેટલું ભજવ્યાજી,
છેવટે એ વેશ ઓઢીને પોક મૂકીને રોયાજી.અહીં એક સનાતન સત્ય ખૂબ ખૂબીપૂર્વક ઉપસ્યું છે!
કવિને મન ‘સાધો’ શબ્દ ખૂબ પ્રિય હોય તેમ લાગે છે. તો કેટલાંક ગીતોમાં તેમના માનીતા
કવિઓની અસર પણ જાણેઅજાણે ડોકાય છે. દા.ત. સૂરપાંચમના મેળા, ગીત અમે ગોત્યું ગોત્યું ને તોયે ના જડ્યું,અમે ગીત પરમનાં ગાશું, તું જ તારો દીવડો વગેરે. અલબત્ત, સહજ રીતે, જરા અલગ રીતે…બીજી એક વાત ધ્યાનમાં એ આવી કે લગભગ દસથી અગિયાર ગીતોને શિર્ષક નથી મળ્યાં. તેથી આ અવલોકનમાં પાનાં નંબરથી નોંધ્યાં છે.
સમાપનમાં કહું તો, મને ‘સગપણ, શ્વાસ-સેતુ, તડકાઓ તોડીને, દરિયો અને એક નવું આકાશ મારી ભીતરે પથરાય-‘ સૌથી વિશેષ આસ્વાદ્ય અને કાવ્યત્ત્વની ઊંચાઈને આંબતા લાગ્યાં. ‘મૌનનું આકાશ’માંનાં ઘણાં ગીતો સમર્થ સંગીતકારો દ્વારા સ્વરબદ્ધ થયાં છે એ જ મોટી સિદ્ધિ છે. ગૌરાંગભાઈએ ‘નિજાનંદ માટે લખ્યાં’ એમ કહે છે, પણ કાવ્યજગતમાં એમનાં ગીતો નોંધાશે અને પોંખાશે જ એવી શ્રદ્ધા છે.
કવિને ખૂબ અભિનંદન અને તેમનો જ એક શેર ‘હું તો બસ લખ્યા જ કરીશ, ભૂંસાય ત્યાં સુધી’ની મનોકામના ફળે એવી શુભેચ્છા.
અસ્તુ.
-
બેક ટુ બેઝિક્સ
મંજૂષા
વીનેશ અંતાણી

પ્રથમ નજરે અઘરું છે, પરંતુ કરવા જેવું છે. બધી રીતે ખૂબ આગળ નીકળી ગયા પછી, નવી નવી ટેક્નોલોજીમાં ફસાયા પછી, પતિ-પત્નીને નજીવી બાબતો માટે ઝઘડા કરવાની આદત પડી જાય પછી, સંતાનોને કુમળી વયે યોગ્ય સંસ્કાર આપવાનું ચૂકી ગયા પછી, વૃદ્ધ માતા-પિતાને એકલાં રહેવા મજબૂર કર્યા પછી, સફળતાના ખોખલા ખ્યાલોમાં લપસી પડ્યા પછી, અનિયમિત અને બિનજવાબદાર એરલાઇન્સના વિમાનમાં બેઠા પછી, ટ્રેનની મુસાફરીમાં ભળતા સ્ટેશન પર ઊતરી ગયા પછી, વરસતા વસાદમાં રેઇન કોટ કે છત્રી લીધા વગર ઘરની બહાર નીકળ્યા પછી… જીવનનુ કોઈ ક્ષેત્ર બાકી નથી, જ્યાં વગર વિચારે ખોટે માર્ગે ચઢી ગયા પછી સહેલાઈથી બહાર નીકળી બેક ટુ બેઝિક્સ – મૂળ પરિસ્થિતિમાં – પાછા અઘરું છે.
‘બેક ટુ બેઝિક્સ’ એટલે મૂળભૂત અને સાદામાં સાદો અભિગમ ફરી અપનાવવો, પાયાનાં મૂલ્યોને ફરી અનુસરવાં. આપણે કારણ વિના પરિસ્થિતિને ગૂંચવી નાખીએ છીએ. આ બાબત શિક્ષણ, બિઝનેસ, અંગત સંબંધો અને જીવનશૈલી જેવી ઘણી બાબતોને સ્પર્શે છે. હવે ટી.વી. કે સેલ ફોન વિના એક ઘડી પણ ચાલતું નથી. સોશિયલ મીડિયાને અનુસર્યા વિના રહી શકાતું નથી. બિનજરૂરી અભિપ્રાયો આપવાનું વ્યસન થઈ ગયું છે. નિર્ભેળ પ્રેમ કરવાનું ચૂકી ગયાં છીએ. સારાં પુસ્તકો વાંચવાની આદત ભૂતકાળ બની ગઈ છે. વડીલોની ઉપેક્ષા કરવી અને હાલતાં ને ચાલતાં કોઈ વ્યક્તિને અપમાનિત કરવી, ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને પૂર્વગ્રહો પ્રેરતી વિચારધારાને અનુસરવું.
આજે આપણે ઘણી ખોટી બાબતોથી જીવનનો સાચો અર્થ ગુમાવી બેસવાની ચરમસીમા પર પહોંચી ગયા છીએ, એક વાર પરસ્થિતિ કે સંજોગોને સંકુલ બનાવી દીધા પછી એનાં ગૂંચળાંમાંથી બહાર નીકળવું અશક્ય નહીં તો મુશ્કેલ તો બની જ જાય છે. એક કંપનીના અધિકારીઓએ એમની કંપનીની કાર્ક્ષમતા વધારવાના શુભ ઇરાદાથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજીની બહુ મોટી વિદેશી કંપનીનું મોંઘુંદાટ સોક્ટવેર ખરીદ્યું. એ સોફ્ટવેરને પોતાની કંપનીને અનુકૂળ બનાવવા માટે સ્વાભાવિક રીતે ઘણા ફેરફાર કરવાની જરૂર લાગી. કોમ્પ્યૂટરના નિષ્ણાત લોકોને એ કામ માટે રોક્યા. બધા ઉત્સાહભેર કામ કરવા લાગ્યા, પરંતુ એમનો ઉત્સાહ મર્યાદા બની ગયો. એમણે મૂળ સોફ્ટવેરમાં ઉચિત ફેરફારો કરવાની જગ્યાએ એને વધારે કોમ્પલેક્ષ બનાવતા ગયા. એ રીતે બનાવેલા નવા સોફ્ટવેરથી કંપનીની કામ કરવાની મૂળભૂત પદ્ધતિમાં ગૂંચવાડા ઊભા થયા, બધું કર્મચારીઓની સમજની બહાર રહી ગયું અને ગોટાળા થવા લાગ્યા. છેવટે કંપનીના માલિકોએ ‘બેક ટુ બેઝિક્સ’ની નીતિ અપનાવી, પરંતુ બધું એટલું ગૂચવાઈ ગયું હતું કે મૂળ પદ્ધતિ સુધી પહોંચે તે પહેલાં કંપનીએ ઘણી ખોટ ભોગવવી પડી હતી.
કશુંક જુદું કરવાની ધગશનો અર્થ સરળ કામને સુંકુલ બનાવવા જેવો થતો નથી. અમેરિકા જેવા દેશોની ચમકદમકથી આકર્ષાઈ વિદેશ જઈ વસેલા ઘણા લોકો મૂળ તરફ પાછા ફરવાનો વિચાર કરવા લાગ્યા છે. નામ બદલાવીને આ ઉદાહરણ. શેખર અને શાલિની યુ. એસ.માં ઉચ્ચ પોઝિશન પર કામ કરતાં હતાં. દસ વર્ષ પહેલાં લગ્નસંબંધથી જોડાયાં હતાં. આલીશાન ઘર, કાર અને અદ્યતન ઉપકરણોથી સજ્જ જીવનશૈલી. બધું હતું છતાં એક તકલીફ હતી. એમને જીવવા માટે સમય મળતો નહોતો, આખો દિવસ ચાલતું કામ મોડી રાત સુધી લંબાતું. પતિ-પત્ની હોવું અને પ્રેમ એટલે શું એ વાત જ ભૂલી બંને એકમેક માટે યંત્રમાનવ જેવાં બની ગયાં હતાં. દામ્પત્યજીવનમાં તિરાડો પડવા લાગી હતી, સફળ કારકિર્દીનાં સપનાં સાકાર કરવા તેઓ સંતાન પેદા કરવાનો વિચાર ઠેલતાં રહ્યાં હતાં. એવી સ્થિતિમાં શેખરની દાદીના એંસીમા જન્મદિવસની ઉજવણીમાં ભાગ લેવા તેઓ ભારત આવ્યાં. દાદા-દાદી જીવનભર ગામડામાં રહ્યાં હતાં. બંને વચ્ચે સમજભર્યો પ્રેમ આ ઉંમરે પણ સચવાઈ રહ્યો હતો. એમની વિશાળ વાડી હતી. ગામડાનું શાંત જીવન, દાદાદાદીના સંબંધોની ગરિમા અને સાદાઈ જોઈને શેખર-શાલિની આશ્ચર્યમાં ડૂબી ગયાં. કશાયની ઉતાવળ નહોતી, કશાય પાછળ ભાગવાનું નહોતું, કોઈ સ્ટ્રેસ નહોતો. થોડા દિવસ દાદાદાદી સાથે રહ્યા પછી શેખર-શાલિનીને એમના તણાવપૂર્ણ જીવનની નિરર્થકતા વિશે નવેસરથી વિચારવાની તક મળી. એમણે અમેરિકાની જોબ અને વૈભવ છોડી દાદાદાદી સાથે ગામડામાં રહેવાનો નિર્ણય કર્યો. એમના જીવનમાં ફરી કોમળતા આવી, શાંતિ મળી અને એમને જીવનનો સાચો અર્થ સમજાયો. હવે તેઓ ગામડામાં રહી ખેતીકામમાં રસ લે છે, સામાજિક સેવાનાં કાર્યો કરે છે અને ઘેર બેસીને કમ્પ્યૂટર પર નવા સોફ્ટવેર બનાવી બજારમાં વેચે છે. તેઓ બંને દાદા-દાદીની જેમ જીવવાનો આનંદ માણવા લાગ્યાં છે.
આપણે અગાઉ આવાં નહોતાં. આપણી આગલી પેઢીઓની જીવનશૈલી આજની સરખામણીમાં સરળ અને સાદીસીધી હતી. તે સમયે સાંજે ઘેર પાછા ફરવા માટે કલાકો સુધી ટ્રાફિકમાં ફસાઈ જવું પડતું નહોતું. એ લોકો પત્રો લખતા, કુશળ સમાચારનું આદાનપ્રદાન કરતા, મિત્રોને નિરાંતે મળતા, ખુલ્લા મેદાનમાં દેશી રમતો રમતા, સાથે બેસી ગીતો ગાતાં, હસતાં, રમતાં અને ધબ્બા મારતાં. ઉત્સવોમાં હૈયાનો ઉમંગ હતો, લગ્નપ્રસંગોમાં લાખો-કરોડોનો ધુમાડો થતો નહોતો. દુકાનોમાં જાતે જઈ ચીજવસ્તુઓની પસંદગી કરતાં. કપડાં સિવડાવવા દરજી ઘેર બેસાડતાં. સંતાનોને વાર્તા કહેતાં. પરિવાર સાથે બેસીને જમતાં. કોઈનું દુ:ખ જોઈ દુ:ખી થતાં. શુભપ્રસંગે વ્હોટ્સએપ પર મેસજ મૂકી દેતાં નહોતાં, રૂબરૂ આનંદ વ્યક્ત કરતાં હતાં. અડધી અડધી અડાળી ચા પીવાનો મહિમા હતો.
એ સમય સંપૂર્ણ નહોતો તો અત્યાર જેવો ગૂંચવાયેલો પણ નહોતો. દરેક પેઢીનાં પોતાનાં ‘બેઝિક્સ’ હોય છે અને તે એમણે પણ ગુમાવ્યાં હોય છે. એમને પણ ક્યારેક જીવન ખોખલું લાગવા માંડ્યું હશે અને એમણે પણ મૂળ જીવનની મૂળ સ્થિતિમાં પાછા ફરવાના પ્રયત્નો કર્યા હશે. કેટલાક સફળ થયા હશે, કેટલાકે જીવનની આંટીઘૂંટીમાં અટવાયેલા રહી જીવી લીધું હશે. એ લોકોએ પણ ક્યારેક વિચાર્યું હશે – અમે આ રીતે જીવવા માગતાં નહોતાં.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટીમાં ખપાવાઈ?
તવારીખની તેજછાયા

પ્રકાશ ન. શાહ
હજુ ચિત્તમાં પચાસી આસપાસનો દોર જારી છે, પણ આજે ૧૯૭૫થીયે છ વરસ પાછળ ૧૯૬૯માં જવા ચાહું છું. જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રી ગયા પછી ‘ગુંગી ગુડિયા’ ઈંદિરા ગાંધી વડાંપ્રધાન બન્યાં હતાં અને ૧૯૬૭ની લોકસભાની ચૂંટણી કોંગ્રેસ હાંફતે હાંફતે જીતી હતી. એમની ખરેખરની ને ખરાખરીની પારી ૧૯૬૯માં શરૂ થઈ જ્યારે એમણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પક્ષના સત્તાવાર ઉમેદવાર સંજીવ રેડ્ડીને બદલે તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ ગિરિને ‘અંતરાત્માને ધોરણે’ ટેકો આપવાની બાજી ખેલી હતી. (સદા સન્નધ્ધ આચાર્ય કૃપાલાણીએ ત્યારે માર્મિક ટિપ્પણી કરી હતી કે આપણે ક્યાં વાલિયા જેવા મોટા લૂંટારા છીએ કે અંતરાત્મા જાગે અને વાલ્મીકિ બનીએ? આપણે તો સાવ સાધારણ ચોટ્ટા છીએ- આપણે ‘અંતરાત્મા’ કેવો ને વાત કેવી!)
૧૯૬૯ના જુલાઈમાં જ ઈંદિરાજીએ બાકી કોંગ્રેસ શ્રેષ્ઠીઓની સહમતિની પરવા કર્યા વગર ૧૪ બેંકોના રાષ્ટ્રીયકરણની જાહેરાત કરી હતી. ૧૯૬૯થી શરૂ થયેલો આ ઘટનાક્રમ પછીનાં બેચાર વરસમાં જ જયપ્રકાશને એમનાં દેખીતાં બિયાબાં વરસોમાંથી સહસા રાજકીય-રાષ્ટ્રીય કેન્દ્રમાં લઈ આવવાનો હતો. ઈતિહાસમાં પાછે પગલે જઈએ તો છેક ૧૯૫૩માં જવાહરલાલે (એમની એકચક્રી આણના સંજોગોમાં) જાહેર વસવસો પ્રગટ કીધો હતો કે સ્વરાજનિર્માણના આજના તબક્કે આંબેડકર, કૃપાલાની, જેપી વગેરે અમે સાથે ન હોઈએ એ કેવું કહેવાય. એટલેથી જ નહીં અટકતા એમણે સમાજવાદી સાથીઓને સરકાર સાથે સંકળાવા ઈજન દીધું હતું. ત્યારના દિવસોમાં જવાહરલાલ પછી તરત જ યુવાનોમાં જેમની સ્વીકૃતિ અને રાજકારણમાં પ્રતિભા લેખાતી હોય એવા અલબત્ત જયપ્રકાશ હતા. કંઈક પરિભાષિત- કંઈક અપરિભાષિત રૂપે જવાહરલાલ એમને પોતાના અનુગામી રૂપે જુએ છે એવીયે આમ છાપ હતી. દાયકા બાદ ૧૯૬૪માંયે નેહરુના નિધન પછી લાલ બહાદુર શાસ્ત્રીએ સૂચવેલું પહેલું નામ જયપ્રકાશનું હતું.
જરા લાંબે પને આ વાત ચાલે છે, પણ વેળાસર કહી દઉં કે જયપ્રકાશ વ્યક્તિગત સત્તાના અર્થમાં જોડાવા આતુર નહોતા. પરંતુ સમતાલક્ષી કાર્યક્રમને ધોરણે સહમતિ બને તે દૃષ્ટિએ એમણે આપેલી વળતી નોંધમાં બેંક રાષ્ટ્રીયકરણ સહિતના સમાજવાદી મુદ્દા હતા. તે વખતે વાત આગળ ન વધી પણ ૧૯૫૩માં આવેલો રાષ્ટ્રીયકરણનો મુદ્દો ૧૯૬૯માં જરા જુદી રીતે ફેર ઊછળ્યો અને કોંગ્રેસના ભાગલાથી માંડી કટોકટી અને નવા રાજકીય ધ્રુવીકરણ સહિતની એક આખી ઈતિહાસ પ્રક્રિયાને એણે મરોડ આપ્યો. આ મરોડમાં ભ્રષ્ટાચાર અને એકાધિકારના સપાટાએ જયપ્રકાશને વળી ચિત્રમાં આણ્યા.
વારુ, વચલી વાતો કુદાવી કટોકટીની જાહેરાત પછીની સંસદીય ચર્ચા પર આવી જાઉં? ઉમાશંકર જન્મજયંતી સંભારીને અગાઉ મેં એમના રાજ્યસભાના સંબોધનને યાદ કર્યું જ છે. હવે, અહીં છેક ૧૯૫૩થી દેશનાં પ્રગતિશીલ પરિબળો જે માંગ ઊઠાવી રહ્યા હતાં એ બેંક રાષ્ટ્રીયકરણનું ઉદાહરણ લઈને લોકસભામાં કટોકટીકાળે થયેલ એક વક્તવ્યની થોડીક ઝલક: ‘૧૯૬૯માં જે વિભાજન થયું તે હકીકતમાં કોઈ કાર્યક્રમને લઈને નહોતું થયું, વ્યક્તિઓને લઈને થયું હતું. આમ છતાં મારા જેવા એ આશામાં ભળ્યા કે હવે આ લોકો કાર્યક્રમ પર અમલ કરવાને બંધાયેલા રહેશે. જુલાઈ ’૬૯માં બેંગ્લોર અધિવેશનમાં બેંકોના રાષ્ટ્રીયકરણ માટેના મારા ઠરાવને બહુમતીનો ટેકો હતો. આમ છતાં જેણે મને એ ઠરાવ પાસ કરવા પર બહુ જોર ન દેવા સમજાવેલું તે જ ઈંદિરા ગાંધીએ ત્યાર બાદ એક અઠવાડિયામાં વટહુકમ બહાર પાડી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું! આમાં કોઈ સિદ્ધાંતો માટેનો પ્રેમ વહ્યો જતો હતો એમ નહોતું, પરંતુ એમના પોતાના પદ પર ખતરો ઊભો થયો હતો. ભૂતપૂર્વ રાજવીઓનાં સાલિયાણાં ઠરાવેલી મુદતમાં બંધ કરવાના ઠરાવની તરફેણમાં અમે મતદાન કર્યું ત્યારે એમનો વિરોધ હતો તે હું પોતે જાણું છું.’
આ બધું સંભારી મોહન ધારિયાએ ઉમેર્યું હતું: ‘૧૯૬૯ હો કે ૧૯૭૫, મારે દુ:ખપૂર્વક કહેવું પડે છે કે જ્યારે જ્યારે પ્રધાનમંત્રીના પોતાના પદ પર આફત ઊતરી છે ત્યારે જ આકરાં પ્રગતિશીલ પગલાં ભરવાનું એમને સૂઝ્યું છે. વ્યક્તિગત કટોકટીને રાષ્ટ્રીય કટોકટી તરીકે ખપાવવામાં આવી છે.’ તેજતર્રાર કોંગ્રેસ સાંસદ શશી થરુરે હમણાં કટોકટીની પચાસ વરસી નિમિત્તે લખતાં પોતાના પક્ષ અને તત્કાલીન નેતૃત્વ વિશે ખૂલીને વાત કરી છે. નવજીવન સારુ લાલાયિત કોંગ્રેસને એ આત્મમંથન સારુ ચોક્કસ ઉપયોગી થઈ પડે એમ છે.
જોકે, આ લખનાર કોંગ્રેસ-ભાજપ સહિત સહુનું ધ્યાન લેખના ઉપસંહારમાં થરુરે તારવેલ બોધપાઠ તરફ ખેંચવા આતુર છે: એમાં પણ, ભાજપ અને એના ચાહકોને જાતતપાસ સારુ એથી કિંમતી મદદ મળી રહેશે. થરુરે કહ્યું છે કે આપણી અત્યારની રાજકીય આબોહવામાં એ દિવસોનો એક મોટો બોધપાઠ એ છે કે સંસદીય બહુમતી ધરાવતી મગરુર કારોબારી સત્તા લોકશાહી વાસ્તે ખાસી જોખમી પુરવાર થઈ શકે છે. એમાં પણ પોતે કદાપિ ભૂલ કરી શકે જ નહીં એવા તોરમાં ને તોરમાં લોકશાહી પ્રથા માંહેલાં અંકુશ ને સમતુલાની કશી તમા વગર ચાલવાનું એનું વલણ હોય તો તો પૂછવું જ શું.
નોંધ્યું તમે? ‘આપણી અત્યારની રાજકીય આબોહવામાં…’
સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦ – ૦૭– ૨૦૨૫ ની પૂર્તિ ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખનું સંકલિત સંસ્કરણ
શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.
-
જંગનું એલાન
વાર્તાઃ અલકમલકની
ભાવાનુવાદઃ રાજુલ કૌશિક
સૂબેદાર રાજીન્દર સિંહનું જે દિવસે પેન્શન નિશ્ચિત થયું ત્યારે એમની જિંદગીનો સૌથી મોટો આધાર ગુમાવી બેઠા હોય એમ એ અત્યંત પરેશાન હતા.
અનેક જંગ, અચૂક નિશાન, અડધા ડઝનથી વધુ ચંદ્રકો મેળવી ચૂકેલા રાજીન્દર સિંહના સિપાહીઓની કદમતાલ મિલાવતી પરેડ જોઈને તો સૌ અચબિંત થઈ જતા. જાણે માનવસંચાલિત રોબોટ જોઈ લો.
રાજીન્દર સિંહે યુવાની પગ મૂક્યો જ ને પહેલું યુદ્ધ લઢ્યા. ત્યારબાદ ઈરાક, આરબ દેશ, જર્મની, ફ્રાંસના યુદ્ધ વખતે બહાદુરીના અનેક મેડલ મેળવ્યા. છેલ્લા યુદ્ધમાંથી પાછા આવ્યા ત્યારે એમની સેવાઓના ઈનામરૂપે જમીન આપવામાં આપીને કહેવામાં આવ્યું કે, હવે એ ઈચ્છે તો ગામ જઈને ખેતી કરી શકે છે અથવા ત્રણ મહિનાની રજાઓ પછી સરહદ પર તહેનાત રેજિમેન્ટમાં ફરજ પર જોડાઈ શકે છે.
રાજીન્દર સિંહને કહેવાનું મન થયું કે કુલવંત કૌર જેવી ગજબનાક છોકરી સાથે લગ્ન કરીને ફોજમાં જવાનો વિચાર સુદ્ધાં નહીં આવે, પણ એણે માત્ર સ્મિત ફરકાવ્યું.
છ વર્ષે ગામ પહોંચ્યો. મિત્રો, સંબંધીઓ મળવા આવ્યા. પણ, જેની રાહ જોતો હતો એ કુલવંત ન આવી.
“મા, કુલવંત ન આવી? એને હું આવવાનો છું એની જાણ તો છે ને?”
મા શું કહે?
કુલવંતના લગ્ન નજીકના ગામના ઠેકેદાર બખ્તાવર સિંહ સાથે થઈ ગયા હતા ને એક બાળકની મા બની ચૂકી હતી. રાજીન્દરને સરહદ પર આ વાતની જાણ થાય એની શું હાલત થાય એ વિચારીને એને સમાચાર આપવામાં નહોતાં આવ્યાં.
અંતે છેલ્લાં ત્રણ વર્ષથી માબાપે જે વાતની જાણકારીથી દૂર રાખ્યો હતો એ વાત માએ એને કહેવી જ પડી.
રાજીન્દર સ્તબ્ધ બની ગયો. એને એવું લાગ્યું કે, લગ્નની શરણાઈઓ સાંભળવાની વર્ષોથી એ રાહ જોતો હતો એ સૂર એનાથી દૂર થઈ રહ્યા છે. એના બદલે યુદ્ધનાં બ્યુગલનો, શહેર પર થતી બોંબવર્ષાનો કાન ફાડી નાખે એવો શોર સંભળાવવા માંડ્યો.
“બસ, બે દિવસની રજા મળી હતી. કાલે અમારી રેજિમેન્ટ સરહદ પર જવા રવાના થવાની છે.” કહીને બીજી સવારે રાજીન્દર સરહદ પર જવા ચાલી નીકળ્યો. માબાપ આઘાતથી જોતાં રહ્યાં
રાજીન્દરે આજ સુધી જીવલેણ લડાઈ કરીને છાવણીઓ સર કરી હતી. દરેક વખતે એ આબાદ બચી ગયો હતો. હવે એ દિલથી ઈચ્છતો હતો કે, કોઈ એક ગોળી કુલવંતની યાદોથી ઘેરાયેલા એના મનને વીંધીને આરપાર નીકળી જાય. પણ, એવું ન બન્યું.
ત્યારબાદ એના કેટલાય સાથીઓ જંગમાં ટકી ગયા, પણ આસામ, બર્માની સરહદનાં જંગલોમાં મેલેરિયાના મામૂલી તાવની સામે ન ટકી શક્યા. રાજીન્દરને માંગ્યું મોત પણ ન મળ્યું. એ સલામત રહ્યો.
ઈજીપ્ત, લિબિયાના રેગિસ્તાનમાં, કોહિમા કે બર્માના પહાડો પર, મલાયાનાં જંગલો, કળણભૂમિમાં, રાજીન્દર મોતની રાહ જોતો રહ્યો. મોત ન મળ્યું, પણ અનેક ચંદ્રકો એના યુનિફોર્મ પર લાગતા ગયા. જમાદારમાંથી સૂબેદાર બની ગયો. માથે અને દાઢીમાં સફેદી ચમકવા માંડી.
બીજું યુદ્ધ પણ સમાપ્ત થઈ ગયું. હિંદુસ્તાનને આઝાદી મળી. મુલકોનું વિભાજન થયું. અંતે રાજીન્દર નિવૃત્ત થયો.
છાવણીમાં એનો અંતિમ દિવસ હતો. નોન- કમિશન્ડ ઑફિસરની મેસમાં એ બેઠો હતો. મેસના રેડિયો પર હિંદુસ્તાનીઓને લલકારતો અવાજ સંભળાતો હતો.
“આ જંગ કોઈ બાહ્ય દુશ્મનની સામે નથી,પણ અંદરના દુશ્મન સામેનો જંગ છે. અજ્ઞાન, નાદારી, બેકારી અને બીમારી સામેનું આ યુદ્ધ છે. આ જંગમાં સુરંગ પાથરવા ખાઈ નથી ખોદવાની, અહીં કૂવાઓ ખોદવાના છે.
“આ જંગમાં સલામતી માટે મજબૂત દીવાલો નહીં હોસ્પિટલો ઊભી કરવામાં આવશે. આ જંગ બંદૂક, તલવાર, મશીનગન કે બોંબથી નહીં હળ, કોદાળી, ટ્રેકટરથી લડવામાં આવશે.”
રાજીન્દર સિંહને કેટલીક વાત સમજાઈ, કેટલીક ન સમજાઈ, પણ એવું લાગ્યું કે આ નવો જંગ છે જે આજ સુધી ક્યારેય એ લડ્યો નથી.
અધિકારીઓના આદેશ મુજબ એ આરબો, તુર્કીઓ, જર્મનો, ઇટાલિયનો કે જાપાનીઓ સામે જંગ લડ્યો હતો. આજે કોઈ સૌથી મોટો અધિકારી એને નવા જંગ માટે લલકારી રહ્યો હતો. આ જંગ પોતાની અંદરના દુશ્મનો સામે છે એવું સમજાયું ત્યારે રાઇફલ પરથી એના મજબૂત હાથની પકડ ઢીલી થઈ.
રેજિમેન્ટની નિવૃત્તિને લીધે એના મનમાં એકલતાનો અંધકાર છવાયેલો હતો. લશ્કરમાંથી નિવૃત્ત થયા પછી શું કરશે, ક્યાં જશે? માબાપ હયાત નહોતાં. ગામમાં હતું કોણ કે જેની પાસે એ જાય?
ઠક… ઠક .. ઠક ..
જૂતાંનો અવાજ સંભળાયો. સામે એક નવજુવાન ઊભો હતો. પહેલી વાર વર્દી પહેરી હોય એમ એ થોડો અસહજ હતો. એ જુવાનને ક્યાંક જોયાનો અણસાર રાજીન્દરને આવ્યો.
“આપ સૂબેદાર રાજીન્દર સિંહ?”
“હા બેટા, પણ તું?” અજાણતા જ રાજીન્દરથી એને બેટા કહેવાઈ ગયું.
“જી મારું નામ અમર સિંહ. પિતાનું નામ બખ્તાવર સિંહ.”
“પિતા ફોજમાં છે?”
“જી, એ ઠેકેદાર હતા. એમનો દેહાંત થયે વર્ષો થયા.”
“તું ઠેકેદારનો દીકરો થઈને ફોજમાં?”
“મારી મા ઇચ્છે છે કે હું દેશની હિફાજત માટે ફોજમાં જોડાઉં.”
“વાહ! બહાદુર કહેવાય તારી મા, પણ તને મારું નામ કોણે આપ્યું?”
“માએ. કહેતી હતી કે, સૂબેદાર રાજીન્દર પાસે જજે. તને બધું જ સમજાવશે. સાથે કહ્યું હતું કે, સૂબેદારને કહેજે કે એમના ગામની હાલત બહુ ખરાબ છે.”
“તારી મા ક્યાં રહે છે?”
“સિંધપુર, એના પિતા પાસે. તમે જશો ને?”
“હા બેટા જરૂર જઈશ, પણ પહેલાં કમાંડર સાહેબ સાથે તારી મુલાકાત કરાવી દઉં. ફોજમાં જઈને તારે સિંધપુરના નૌજવાન તરીકે નામ અમર કરવાનું છે.”
એક બૂઢો નિવૃત્ત સૂબેદાર અને એક જવાન લશ્કરી પરેડની જેમ કદમતાલ મિલાવતા કમાન્ડરની ઑફિસ તરફ ચાલ્યા.
ઠક… ઠક .. ઠક …ઓસરીમાંથી દૂર સુધી એમના બૂટનો અવાજ ગૂંજતો રહ્યો.
એક સાંજે સૂબેદારે ગામમાં પગ મૂકતાની સાથે ગામની અવદશા જોઈ. તળાવોની આસપાસ અસંખ્ય મચ્છરો, મેલેરિયાગ્રસ્ત ખેડૂતો, તૂટેલાં બિસ્માર ઝૂંપડાં, હાડકાં દેખાતાં હોય એવું પશુધન, દુકાળના લીધે ચીંથરાં જેવાં કપડાંમાં આમતેમ રખડતાં બાળકો…
સૂબેદારને દૂરથી જંગનું બ્યુગલ ફૂંકાતું હોય એવો ધ્વનિ સંભળાયો. પણ, એ કોઈ દુશ્મન સામે નહીં માનવજાતની દુશ્મન એવી નિર્ધનતા, ગંદકી અને બીમારી સામે જંગનું એલાન હતું.
રાજીન્દર સિંહ એક સંકલ્પ સાથે નવો જંગ લડવા તૈયાર હતા.
ખ્વાજા અહમદ અબ્બાસ લિખીત વાર્તાને આધારિત ભાવાનુવાદ
સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.
-
સજા
પાર્થ નાણાવટી
મોબતપુરા
આમ’તો ગામ ચાલીસ કિલોમીટર દૂર હતું. પણ એના માટે તો જાણે બાર વરસની યાત્રા હતી અને એ પણ ઉંધી. બાર વરસ થયાં ઘર’તો જોયું નથી. ઘણું બદલાઈ ગયું હશે. સમય કોઈનો ગુલામ થતો નથી. વાત સાવ સાચી છે. ફકીરબાબા દર પૂનમે બેઠક કરતા ત્યારે આ પ્રકારની ફિલોસોફીવાળા સૂફીગીતો ને આવી સમયની આરપાર થવાની વાતો થતી. ફકીરબાબા, એમને જોઈને કોઈ કહે નહીં કે આ માણસે…
“રીંગ રોડ, રીંગ રોડ.” ચોકડીએ ઉભેલા રિક્ષાવાળાએ બૂમ પાડી ત્યારે એનો ધ્યાનભંગ થયો.
“રીંગ રોડ? આ વળી કયો નવો રોડ છે.” એ મૂંઝાયો.
“આવવું છે રીંગ રોડ?” રિક્ષાવાળાએ એને ફરી પૂછ્યું.
“મારે અડાલજ ચોકડી જવું છે.” એણે કહ્યું.
“એ તો ત્યાંથી બીજું શટલ મળી જશે. બેસી જાઓ.” રિક્ષા ઉભી રહી.
“કેટલા થશે?” એણે પૂછ્યું.
“દસ રૂપિયા, આવવું હોય’તો જલદી બેસી જાઓ નઈતર પેલો ટ્રાફિક પોલીસવાળો મારી પાવતી ફાડશે.” રિક્ષાવાળાની ચિંતા વાજબી હતી. રસ્તાની સામેની બાજુ હવાલદાર એની મોટરસાયકલ પર બેઠો બેઠો ધ્યાનથી એ બંનેને જોઈ રહ્યો હતો.
એ ઝડપથી રિક્ષામાં બેસી ગયો. એને થયું કદાચ એના ગામનો રસિક હશે. એ પોલીસમાં ભરતી થયો હતો એવું સાંભળ્યું હતું. પોલીસવાળાના હાઇટ-બોડી પણ રસિક જેટલા જ હતા. હોય પણ ખરો, અને જો હોય તો પણ મને ઓળખે ખરો? શું કામ ઓળખે? હું એની જગ્યાએ હોઉં તો હું પણ નજર બીજે ફેરવી નાખું.
“પાર્ટી, જરા આગળ આઈ જાઓને.” રિક્ષાવાળાએ રસ્તામાં કોઈ વાહનની રાહ જોઈ ઉભેલી બે લેડીઝ પાસે રિક્ષા ઉભી રાખી કહ્યું.
એ યંત્રવત રિક્ષાવાળાની સુચનાનું પાલન કરતો આગળ બેસી ગયો. જીવનમાં એકવાર સૂચનાઓનું ઉલ્લંઘન કર્યા બાદ હવે પાલન કરવાનું પણ બરોબર ફાવી ગયું હતું.
સ્ત્રીઓ સારા ઘરની હતી. તાપથી બચવા મોઢે દુપટ્ટા બાંધેલ તે બેમાંથી એકેયનો ચહેરો તો દેખાયો નહીં, પણ એમણે છાંટેલા અત્તરની ખુશ્બુ ને ખભે લટકાવેલા મોંઘાદાટ પર્સ જોઈને એણે અંદાજો બાંધી લીધો. બે માની એક જણીએ રીક્ષામાં બેસતાની સાથે જ ફોનમાં માથું નાખી દીધું.
કોઈ લેડીઝને આટલી નજીકથી જોયે પણ લગભગ દાયકો થઈ ગયો હશે. મારે પણ જીવતી માટે આવું સુંગધી અત્તર લઈ લેવાનું હતું. રાજીના રેડ થઈ જાત. જોકે રાજીના રેડ તો મને જોઈને પણ થઈ જશે.
પોતાને એકમાંથી બીજા ને એમાંથી ત્રીજા કેવા ગાંડાઘેલા વિચારો આવે છે એની નોંધ એના મગજે કરતા એણે જરા ક્ષોભ અનુભવ્યો. ખુલ્લી હવાને વાતાવરણની જુદાજુદા લોકો પર જુદીજુદી અસર થતી હોય છે. કોક રડવા માંડે, કોક લવારે ચડી જાય, તો કોક વળી ભૂત ભાળ્યું હોય એમ ચકળવકળ આંખો ફેરવે. પણ, એના માટે વ્યક્ત થવું એટલે વિચારો કરવા.
વિચારોનું એક સુખ કે કોઈ સાંભળે નહીં. આમ પણ બોલવાની હોય એનાં કરતાં ચુપ રહેવાની આદત વધારે હતી. કેમ હતી, એ ક્યારેય એ સમજી શક્યો નહીં. જયારે બોલવાનું હતું ત્યારે પણ ચુપ રહ્યો. અને જયારે ચુપ રહેવાનું હતું ત્યારે પણ.
બસ હવે. જાણે એણે એના બેફામ દોડતા મગજને હુકમ આપ્યો.
રિક્ષા ઊભી રહી ને બંને લેડીઝ ઉતરી ગઈ. પણ એ બેઠો રહ્યો. અત્તરથી રંગાયેલો તડકો જાણે બે ઘડી વધુ માણવો ન હોય!
“પાર્ટી રીંગ રોડ આયી ગયો.” રિક્ષાવાળાને પણ નવાઈ લાગતા એણે કહ્યું.
“હે! હા, ભલે, આ અડાલજ ચોકડીનું સાધન.” એણે દસ રૂપિયાની નોટ આપતા પૂછ્યું.
“રોડ ક્રોસ કરીને સામે જતા રો, ત્યાં સાઈડમાં જે ગાડીઓ પડી એ બધી એ બાજુ જવાની છેક મેહસાણા સુધી.” રિક્ષાવાળાએ તમાકુ દબાવી કહ્યું.
એણે અક્ષરશ: સુચનાનું પાલન કર્યું. રસ્તો ક્રોસ કરી સામે ગયો ત્યાં પડેલી એક જીપના ચાલકને પૂછ્યું.
“મોબતપુરા.”
“રસ્તે ઉતારી દઈશ, ગામમાં ના જાય.” ચાલકે ચોખવટ કરી.
“ભલે વાંધો નઈ, એ તો ચાલી નાખીશ. કેટલા થશે.”
“વીસ.”
એ ચાલકની બાજુમાં બેસવા ગયો, ત્યારે પેલા એ એને રોક્યો.
“પાછળ જતા રો, અહીં આ પેટી સાથે ના ફાવે કોક પેસેન્જરને વાગે.” જીપનો ચાલક એની પતરાની પેટીને આશ્ચર્ય અને શંકાથી જોઈ રહ્યો. એ જીપની પાછળની સીટમાં જઈને બેઠો.
તારીખ નજીક આવી ત્યારથી દરરોજ રાતે એ કલ્પના કરતો કે પહેલા શું કરશે. શું ખાશે. સૌથી પહેલા કોને મળશે. કોને નહીં મળે. ગામમાં રહેશે કે જીવતી જોડે કોઈ બીજે ગામ જતો રહેશે.
પણ આ ઘડીએ આ જીપમાં બેઠો ત્યારે કંઈજ સૂઝતું કે સમજાતું નથી. બીજું બધું તો ઠીક પણ જીવતીને સૌથી પેલ્લી જોવી છે. પાંચ વરસ પહેલાં ઘરે ખોટું બોલીને મળવા આવેલી. હવે’તો કોણ જાણે કેવી દેખાતી હશે. ત્યારે’તો પંજાબી પેરેલું ને વાળ પણ કપાવેલા.
“ભઈ જરા ખસો ને.” જીપમાં ચડેલા બીજા સહપ્રવાસીએ કહ્યું.
“હં, હા.” કહીને એ ખસી ગયો. પેલાએ બીડી સળગાવી..ને એની આંખે ચમકારો બાઝી ગયો. દસ વરસથી છોડી છે.
“ઘરે જાય એ પેલા મુંબઈ જઈને હળવો થઈ આવજે.” પપ્પુ પાયલોટે આંખ મારીને કહેલું.
“કેટલા ચાર પાંચ હજાર તો જમા હશે ને તારા, એમાંથી બે ત્રણ મુંબઈમાં વાપરજે.”
“અરે પપ્પુ ભાઈ, મુંબઈ સુધી લાંબા થવાની પણ ક્યાં જરૂર છે. કાલુપર સ્ટેશન જતા રેવાનું, ત્યાં સમ્રાટ ગેસ્ટ હાઉસ છે. બધીજ ચોઇસ મળી રે. પણ નેપાળી સૌથી બેસ્ટ.” પપ્પુના સાગરિત શકીલ સાણસાએ પગના ખરજવાને વલુરતા એક આંખ ઝીણી કરી કહ્યું.
આ તો બડા ચક્કરનો ગાર્ડ જો ન આવ્યો હોત’તો સાણસો ને પાયલોટ શબ્દોથી જ સુંવાળી સફર પર લઈ જાત.
આ લોકો મને શું સમજતા હશે. બાર વરસની રાહ જોઈ છે ને જો હજુ જોવી પડે તો પણ જોઈશ, પણ જીવતી એટલે જીવતી. જેવી હોય એવી પણ એના વિના હું શરીર અભડાવું નહીં.
પંજાબી પેરેલી જીવતીનો શરમાતો ચહેરો યાદ આવતા એના ગળામાં ડૂમો બાઝી ગયો.
ખેર હવે તો મોબતપુરા પહોચું એટલી વાર, પોતાના ઘરે તો જશે કે નહીં એ પણ નક્કી હતું નહીં. પણ જીવતીને ગામ જશે ને સિધ્ધો એના ઘરે. ખેતરેથી હજી આવીજ હશે રોજ ભરીને, ત્યાંજ મને જોઈને..
બાર વરસ પહેલા બની ગયેલા બનાવે જીવતીના પરિવારને ગામ છોડાવેલું અને એને ગામ અને જીવતી બંને.
ઊંચી દીવાલો વચ્ચે બાર વરસ એ આશાએ જીવી નાખ્યા કે જીવતીને ખાતર જીવતો રહીશ એક દિવસ બા’ર નીકળીશ, આ દીવાલોમાંથી.
બે ઘડીમાં તો એણે ક્યાંથી ક્યાંની સફર કરી નાખી.
“ભઈલા, તમે એક કામ કરો. તમે નીચે ઉતરી જાઓ, સાહેબને એમના બાબાને બેસી જવા દો. પછી તમે બેસી જાઓ ને મેરબાની કરીને પેટી સાચવજો, કોઈને વાગે નઈ.” જીપના ચાલકનો નવા આવેલા મુસાફર માટેનો આદર જોઈ બીજા બધા પેસેન્જરને નવાઈ લાગી.
થોડું આમતેમ થયું ને અંતે બધા ગોઠવાયા. ચાલકે જીપને ઉછાળો મારી ઉડાડી. હાઇવે પર સુસવાટા મારતી જીપના મિરરમાં જોઈ એણે સાહેબને ઉદેશીને કહ્યું.
“સર, અમદાવાદ ગયેલા. હમણાં તો વેકેશન ને.”
“હા, દિવાળી છે તે થોડી ખરીદી કરવા ને બાબાને કાંકરિયા લઈ ગયેલો. સાબરમતી મારા પેરેન્ટ્સ રહે છે એમને ત્યાં.” સાહેબે વિગતે જવાબ આપ્યો.
“આ સાડી તમે મમ્મી માટે લીધી?” બાબાએ એના પપ્પાને પ્રશ્ન કર્યો.
“હા બેટા, પણ ઘરે જઈને કહેવાનું નથી, ઓકે?”
“ના, નહીં કહું.” બાબો સમજુ હતો.
“બેનની તબિયત કેવી છે.” ચાલક ઊંડો ઉતર્યો.
“સારી છે, હજુ વાર છે.” સાહેબ બોલ્યા.
“મારો નંબર છે ને? અડધી રાતે’ય ફોન કરજો. દવાખાને જવાનું હોય, બીજું કોઈ પણ કામ હોય.” ચાલકે ચલાવ્યું.
“હા, તને જ કરીશ. માતાજીની દયા છે. સાતમો મહિનો છે, ને હાલ સુધી બધું બરોબર છે.” સાહેબે કહ્યું.
“મમ્મીને ભાઈ આવશે કે બેન.” બાબો બોલ્યો.
“બેટા એ તો માતાજી જે નક્કી કરે એ.” સાહેબે બાબાને સમજાવ્યો.
એ અજનબી બની વાતો સાંભળતો હતો. જીપમાં બેઠેલા બીજા પેસેન્જરોમાંના એક વૃદ્ધથી ન રહેવાયું એટલે એ બોલી પડ્યા.
“સાહેબ, તમને તો સલામ. દુખિયારી બાઈનો હાથ ઝાલ્યો. બધા શિક્ષકો જો તમારી જેવા હોય તો આ દેશની સકલ ફરી જાય. સાચી વાત કે નઈ પટેલ.” વૃદ્ધએ બાજુમાં બેઠેલા સહપ્રવાસીને વાતમાં સામેલ કર્યા.
“સો ટકાની વાત, મોબતપુરા એનું કુટુંબ આવ્યું ત્યારે અમારા ફળિયામાં રેતા’તા. અઢાર વરસની છોકરીએ એવડી નાની ઉંમરમાં કેટલું વેઠી લીધું. આપણા સમાજમાં તો કોઈ તૈયાર થાય નઈ ને આ સાહેબ જુઓ. છોકરીને પરણીને ઘેર લઈ આવ્યા. ફેમિલીને વાંધો પડ્યો તો ઘર છોડી દીધું.”
પટેલની વાત સાંભળી બધા હોંકારામાં માથું ધુણાવવા લાગ્યા.
એ હજુ બધું પ્રોસેસ કરતો હતો. જેલની શુષ્ક જિંદગીએ મગજને થોડું ધીમું કરી નાખ્યું હતું. પછી એણે સમજાયું કે કદાચ વાત જીવતીની થાય છે.
એ સાંજે જીવતીને મેળામાં મળવાનું નક્કી થયું હતું. શિકોતર માતાના મંદિરે. બી.એડ થઈ ગયો’તો. નોકરીનો ઓર્ડર પણ નીકળેલો. એણે ખુશખબર આપ્યા તો બોલી કે કુલ્ફી અપાવો. મોડી સાંજે પાછા આવતી વખતે બનાવ બન્યો’તો. એ ચાર જણા હતા. પરપ્રાંતીય, ઈંટના ભઠ્ઠા પર કામ કરતા હતા. પીધેલા હતા. એ એકલો કેવી રીતે પહોંચે. જીવતીને ભઠ્ઠામાં ઢસડી ગયા. એને મારી મારી બેભાન કરી નાખ્યો. ભાનમાં આવ્યો ત્યારે જીવતી એની પડખે બેઠી બેઠી કણસતી હતી. બસ, એણે પથરો ઉપાડ્યો ને એક ને છુંદી નાખ્યો. બાર વરસ વીતી ગયા.
“ભઈલા આજે સાહેબના લીધે તમારા નસીબ સારા છે. સાહેબને ઉતારવા ગામમાં જવાનો એટલે ચાલવું નહીં પડે.” જીપના ચાલકે એને ઉદ્દેશીને કહ્યું.
“ના મને રસ્તા પર ઉતારી દો.” એ બોલ્યો.
“ઓકે. વીસ છુટા આપજો.” ચાલકે રસ્તાની સાઈડ પર જીપ ઉભી કરી.
એ પૈસા આપી ઉતરી ગયો. જીપ ધૂળના ગોટા ઉડાડતી મોબતપુરાના કાચા રસ્તે જતી રહી.
એ રસ્તો ક્રોસ કરી પાછા જવા માટે વાહનની રાહ જોતો ઉભો રહ્યો.
જીવતીનું મોબતપુરા. જીવતીના સાહેબ..એ પોતે હસી પડ્યો કે રડી પડ્યો એને સમજાયું નહીં.
-
ફિલ્મી ગઝલો – ૧૧૪. એહસાન ઇલાહી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
આ શૃંખલા જેમ જેમ અંત તરફ સરકી રહી છે તેમ તેમ બાકીના ફિલ્મી ગઝલકારો વિષેની માહિતીના સ્રોત વધુને વધુ સૂકાતા જાય છે.
ગીતકાર એહસાન ઇલાહી વિષે કેવળ એટલી માહિતી કે એમણે એક થા લડકા ( ૧૯૫૧ ) અને શાહી ખજાના ( ૧૯૪૬ ) એ માત્ર બે ફિલ્મોમાં કુલ દસ ગીત આપ્યાં.
એમાંની આ એક ગઝલ –
ગમે ઝિંદગાની ઉઠાઉં કહાં તક
મૈં સદમે સહું – મુસ્કુરાઉં કહાં તકચલી આંધિયાં ગમ કી ઉઠ્ઠા હૈ તૂફાં
મૈં તૂફાં મેં કશ્તી ચલાઉં કહાં તકબિછાએ હૈં ચુન ચુન કે રાહોં મેં કાંટે
મૈં કાંટોં સે દામન બચાઉં કહાં તકખયાલોં મેં આ – આ કે જાતા હૈ કોઈ
મૈં આશા કે દીપક જલાઉં કહાં તક..– ફિલ્મ : એક થા લડકા ૧૯૫૧
– મીના કપૂર
– મુરારી
ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
