વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • અહેસાસ…

    જીવનની ખાટી મીઠી

    નીલમ  હરીશ દોશી

    માસી, તમે માલા છો ને ? ‘ ત્રણ વરસની યુગ્મા વ્યોમાને વહાલથી વળગી રહી. ‘ના, હોં માસી મારા છે.’ છ વરસની ત્રિચા માસી પર પોતાનો કબજો કરવા આતુર હતી.

    બંને છોકરીઓને આ  સરસ સરસ માસી બહુ ગમી ગયા હતા. જોકે વ્યોમાનું ઠસ્સાદાર વ્યક્તિત્વ સૌને આકર્ષતું. પણ આ બાળકીઓની વાત તો અલગ હતી.

    ‘માસી ચાલો, આપણે કેરમ રમીએ..ત્રિચા તેનો હાથ ખેંચી અંદર પોતાના રૂમમાં લઇ ગઇ.વ્યોમા અભાનપણે ખેંચાઇ.ત્યાં તો યુગ્મા પોતાની મોટી સરસ મજાની ઢીંગલી..બાર્બી લઇ આવી અને પરમ ઉદારતાથી આ માસીને આપી. જાણે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું. વ્યોમા આ નિર્વ્યાજ સ્નેહના ઝરણામાં ભીંજાયા સિવાય કેમ રહી શકે ?

    નિતાંત..નવો અનુભવ..અને પોતે છલોછલ ! આવી સભરતા તો કયારેય નથી અનુભવી. તેણે વહાલથી યુગ્માને તેડી લીધી.ત્યાં ત્રિચા રિસાઇ ગઇ.’માસી. મારી સાથે રમતા નથી..’વ્યોમા તેના ચહેરા પરના ભાવ પર ઓળઘોળ..!તે ખોળામાં યુગ્માને લઇ એક હાથમાં ઢીંગલી પકડી ત્રિચા સાથે કેરમ રમવા લાગી..કેટલા વરસો પછી….!

    ત્યાં અંદરથી હાથ લૂછતી લૂછતી સોનાલી આવી, ‘ઓહ..આ છોકરીઓ તને હેરાન કરતી હશે..છે જ બંને જળો જેવી..બંને ચોંટી છે ને તને..! ચાલ, એ તો રમશે બંને જાતે..

    ‘ ના, સોના, તું તારે તારું કામ પતાવ. મને આ દીકરીઓ  સાથે રમવાની મજા આવે છે. ‘ ‘જેવી તારી ઇચ્છા…યુગ્મા, ત્રિચા, આંટીને હેરાન ન કરતા હોં. ‘ ’ અમે કંઇ માસીને હેરાન નથી કરતા…અમે તો તેમની સાથે રમીએ છીએ..હેં ને માસી ? ‘ વ્યોમાએ હસીને હા પાડી. અને ફરીથી બંને સાથે રમવામાં મશગૂલ બની ગઇ. સોનાલીને આશ્ચર્ય તો થયું. પરંતુ કશું બોલી નહીં. ને રસોડામાં ગઇ.

    સોનાલી અને યુગ્મા  કોલેજની ખાસ બહેનપણીઓ..જોકે બંનેના સ્વભાવમાં..વિચારોમાં આસમાન જમીનનો તફાવત હતો. અને છતાં બંનેની મૈત્રી અતૂટ રહી હતી. વ્યોમા બિન્દાસ અને નારી સ્વતંત્રતાની પૂરી હિમાયતી. કોઇ છોકરો તેની આસપાસ ફરકી શકતો નહીં. લગ્નસંસ્થામાં તેને જરા યે વિશ્વાસ નહોતો. નાનપણથી જ તેણે પોતાના ઘરમાં મમ્મીને હમેશા સહન કરતી, રડીને રહી જતી જોઇ હતી.થોડી મોટી થતાં તેની આસપાસમાં પણ અનેક સ્ત્રીઓનું શોષણ થતું…અન્યાય સહન કરતી જોઇ હતી. પરિણામે તેના મનમાં સતત નેગેટીવ વિચારો ચાલતા રહેતા. પુરૂષો બધા ખરાબ જ હોય. સ્ત્રીઓને અન્યાય જ કરતા હોય એવી એક ગ્રંથિ તેના મનમાં ઘર કરી ગઇ હતી. પરિણામે પોતે કયારેય લગ્ન નહીં કરે એવું તેણે નક્કી કરી લીધું હતું. અને એ જ માર્ગ પર તે ચાલી રહી હતી.

    એક મોટી કંપનીમાં સારી પોસ્ટ પર તે નોકરી કરતી હતી. પૂરી સ્વતંત્ર..કંપનીના કવાર્ટરમાં એકલી આરામથી રહેતી હતી. હમણાં કંપનીના કામે તે આ શહેરમાં આવી હતી. અને  તેની મિત્ર સોનાલી આ જ શહેરમાં રહેતી હોવાથી તેને ઘેર  જમવા આવી હતી. બંને બહેનપણીઓ વરસો પછી મળી શકી હતી. બંને  પોતપોતાની રીતે ખુશ હતી. બંનેના રસ્તા અલગ હતા. પરંતુ મૈત્રી તો આજે પણ લીલીછમ્મ રહી હતી. જમીને રાત્રે બધા સાથે બેઠા હતાં. સોનાલીનો પતિ શાલિન પણ એક મોટી કંપનીમાં  જનરલ મેનેજર હતો. તેનો સ્વભાવ ખૂબ હસમુખો હતો. વ્યક્તિત્વ આકર્ષક હતું. બધા સાથે ગપ્પા મારતા હસી મજાક કરી રહ્યા હતા. શાલિન કહે, બહાર સરસ ઠ્ંડી હવા છે. ચાલો લોંગ ડ્રાઇવ પર જઇએ.

    યુગ્મા અને ત્રિચાએ તાળીથી પપ્પાની વાતને વધાવી લીધી. બધા બહાર નીકળ્યા. બંને છોકરીઓ વ્યોમા સાથે ખૂબ ભળી ગઇ હતી. આખે રસ્તે તેમનો કિલકિલાટ ચાલ્યો. એ કલરવથી વ્યોમા છલકી રહી. બધાએ આઇસ્ક્રીમ ખાધો, પાન ખાધું બહાર ખુલ્લી હવામાં થોડીવાર બેઠા.શાલિન સોનાલીની જે સંભાળ લેતો હતો. વ્યોમા મૌન બનીને  જોતી જ રહી હતી. કયાંક કશુંક સ્પર્શી રહ્યું હતું. કંઇક…… જીવનમાં શું ખૂટતું હતું ? રોજ ઓફિસેથી આવી જમી, થોડી વાર ટી. વી. પર આડીઅવળી ચેનલો ફેરવવાની, કે મેગેઝિનના પાના ઉથલાવી સૂઇ જવાનું..વહેલી પડે સવાર.રોજ એકલા એકલા કોની સાથે બહાર નીકળે ?

    આજે અહીં કેવા મજા આવતી હતી. દિલમાં જાણે આનંદ છકલતો હતો. કેવી મીઠડી દીકરીઓ છે. અનેક વિચારોમાં વ્યોમા ખોવાઇ રહી.

    બે દિવસ સોનાલીએ તેને પોતાને ઘેર જ રાખી. બે દિવસ જાણે બે કલાક બની ગયા હતા. બે દિવસ પછી વ્યોમા ઘેર ગઇ ત્યારે  તેના મનમાં સોનાલીના શબ્દો પડઘાતા હતા. ’  વ્યોમા, એવું નથી લાગતું કે લગ્ન ન કરવાનો તારો નિર્ણય ખોટો હતો ? લગ્ન કરીને અમુક લોકો  દુ:ખી થાય છે. તો એનાથી અનેકગણા લોકો સુખી પણ થાય જ છે. એ કેમ ભૂલી જાય છે ? અને સુખી કે દુ:ખી થવું એમાં કયારેક સંજોગો અને કયારેક માણસ પોતે ભાગ ભજવતો હોય છે. હજુ કંઇ મોડું નથી થયું. જીવનસંધ્યાએ એકલતા જીરવવી બહું આકરી લાગશે. મારો કોઇ આગ્રહ નથી. પણ એક વાર શાંતિથી વિચાર જરૂર કરજે.’ અને….વ્યોમાની નજર  હાથમાં રહેલ પેપરમાં મેટ્રીમોનીયલ ..લગ્નવિષયક  જાહેરાત પર ફરવા લાગી.


    નીલમ  હરીશ દોશી : E mail: nilamhdoshi@gmail.com | બ્લોગ : પરમ સમીપે

  • ભૂપેન ખખ્ખરની ચિત્રસૃષ્ટિ : યાત્રાએ જઈ રહેલાં માતાપિતાનું પોર્ટ્રેટ

    બીરેન કોઠારી

    માતાપિતા જાત્રાએ જઈ રહ્યાં હોય તો એ આનંદનો અવસર ગણાય. પણ ઘરમાં રહેલો તેમનો તરુણ પુત્ર આ કારણે ખૂબ એકલવાયાપણું અનુભવી રહ્યો છે. ભૂપેન ખખ્ખરે૧૯૭૧માં ચીતરેલા આ ચિત્રનું શિર્ષક છે: ‘Portraits of My Mother and My Father going To Yatra’/ યાત્રાએ જઈ રહેલાં મારા માતા અને પિતાનું પોર્ટ્રેટ.

    આ તૈલચિત્રમાં લઘુચિત્ર/Miniature શૈલીનાં તત્ત્વોનો પુષ્કળ ઉપયોગ થયેલો જોઈ શકાય છે. લઘુચિત્રશૈલીમાં એક એક વસ્તુઓના ઝીણવટભર્યા આલેખન પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પણ તે સપાટ (Flat) જણાતા હોય છે. એટલે કે તેમાં ઊંડાઈનું પરિમાણ અનુભવી શકાતું નથી. અહીં દોરાયેલાં વૃક્ષો, મકાન, દૂર દેખાતા પહાડો વગેરે લઘુચિત્રશૈલીનાં છે.

    આ ચિત્ર દોર્યું ત્યારે ભૂપેન વડોદરાના રેસિડેન્સી બંગલો ખાતે રહેતા હતા. અહીં ચિત્રમાં ગ્રે રંગનો એ બંગલો જોઈ શકાય છે.

    (Portraits of My Mother and My Father going To Yatra)

    પુત્ર ભૂપેનને મૂકીને માતાપિતા યાત્રાએ ગયાં હશે અને તેને લઈને તરુણ વયના ભૂપેનને જે ભયાનક એકલતા સાલી હશે એ ઘરમાં ખુરશી પર બેઠેલી માનવાકૃતિ અને તેની ફરતે બતાવેલા અવકાશ થકી ઉપસાવવામાં આવી છે. પૃષ્ઠભૂમિમાં ગંગા નદી અને તેનાં તીર્થસ્થાનો દર્શાવાયાં છે.

    તીર્થયાત્રાનું મહત્ત્વ પ્રત્યેક શ્રદ્ધાળુઓ માટે આગવું હોય છે, અને એનો એક આનંદ પણ હોય છે, છતાં આ ચિત્રમાં આનંદને બદલે ઉદાસી અને એકલતા વધુ નજરે પડે છે. ભૂપેને આ ચિત્ર વિશે લખેલું: ‘સૌએ પોતપોતાનો ક્રોસ ઊંચકવો પડે છે.’ ચિત્રનાં મુખ્ય પાત્રો સામે જોતાં, જોઈ રહેતાં દર્શકને આનંદની અનુભૂતિ નહીં, પણ એક પ્રકારની વિહ્વળતા અનુભવાય છે.

    ચિત્રની અગ્રભૂમિમાં પિતા પરમાનંદ અને માતા મહાલક્ષ્મીનું પોર્ટ્રેટ છે. પિતાની નજર સીધી દર્શકો સમક્ષ છે, જ્યારે માતા સહેજ બીજી તરફ જોઈ રહ્યાં છે. ભૂપેને એ વિશે લખેલું: ‘લગ્નબંધન થકી માતા અને પિતા સમાજની દૃષ્ટિએ એક ગણાય છે, પણ છતાં તેઓ અલાયદી વ્યક્તિ છે. આ કારણે મેં માતાને દૂર તરફ અને પિતાને દર્શક સમક્ષ જોતાં બતાવ્યાં છે.’

    પોતાની ત્રુટિઓ પ્રત્યે સભાન, અને શીખવા માટે સદાય તત્પર રહેતા ભૂપેને વધુમાં લખેલું: ‘વૃક્ષો ધરાવતો લીલોછમ બગીચો અને નાનકડું તળાવ એકલતાના પ્રતીકાત્મક અર્થઘટનમાં કશો ઊમેરો કરતા નથી. તેને બદલે મેં હાથમાં રેકેટ પકડીને ટેનિસ કોર્ટમાં ઊભેલો એક જ ખેલાડી બતાવ્યો હોત તો એકલતા સારી રીતે ઉપસી શકત.’

    ઈમારતના સ્તંભનો ઘેરો ગુલાબી પડછાયો જોનારનું ધ્યાન આકર્ષે છે.

    ચિત્રમાંના કયા રંગોની પ્રેરણા ક્યાંથી મળી એનો ઉલ્લેખ કરતાં ભૂપેને લખેલું છે: ‘પીળો રંગ ગુલામ મોહમ્મદ શેખના ચિત્રમાંથી લીધો છે. મકાનનો બ્રાઉન રંગનો પડછાયો (ઈટાલિયન કલાકાર) કીરીકોના ચિત્રમાંથી લીધો છે. માતાનું પોર્ટ્રેટ તેમના એક ફોટોગ્રાફ પરથી બનાવ્યું છે. પિતાનું પોર્ટ્રેટ સ્મૃતિના આધારે બનાવ્યું છે. તે ચોકસાઈપૂર્ણ નથી. ફૂલહાર ગીવ પટેલના ચિત્રમાંથી લીધેલા છે.’

    મઝા એ છે કે વિવિધ ચિત્રોમાંથી પ્રેરિત થઈને વિવિધ બાબતો ભૂપેને આ ચિત્રમાં બનાવી હોવા છતાં આખા ચિત્રની શૈલી પર ભૂપેનની મુદ્રા છે.

    વધુ એક નોંધપાત્ર બાબત એ છે કે અત્યાર સુધી ભૂપેનનાં ચિત્રોમાં માનવાકૃતિઓનું કદ ખાસ્સું નાનું રહેતું હતું. આ ચિત્રમાં એમણે માતાપિતાનાં પોર્ટ્રેટ બનાવીને પોતાની એ શૈલીને વિકસાવવાનો પ્રયત્ન કર્યો છે, જે આગળ જતાં વધુ વિકસતી રહી હતી, અને ભૂપેનની કારકિર્દીના મધ્યાહ્ને માનવાકૃતિઓ કેન્દ્રસ્થાને આવતી રહી હતી.


    [ભૂપેન ખખ્ખરની સળંગસૂત્રી જીવનકથા ‘ભૂપેન ખખ્ખર (આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત, પદ્મશ્રી  સન્માનથી વિભૂષિત ચિત્રકારના જીવનરંગોની ઝલક)’ લેખન-સંપાદન: બીરેન કોઠારી, પુસ્તકની કિંમત 450/, પૃષ્ઠસંખ્યા: 296, પુસ્તક મંગાવવા માટે સંપર્ક: કાર્તિક શાહ 98252 90796]


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • ઇતિહાસનું મૂલ્યાંકન વર્તમાનથી કરવું અયોગ્ય છે

    ડૉ. નાનકભાઈ ભટ્ટ

    વહેતા પાણીમાં બીજાની વહારે જનારને સમાજ શૌર્ય શિરપાવ આપે છે. પરંતુ એ જ વ્યક્તિ નદીના પ્રવાહમાં તણાઈ જાય તો તેને મૂરખ ગણવામાં આવે છે. ‘એન્ડ ઇઝ વેલ એવરીથીંગ ઇઝ વેલ’ની આપણી મનોવૃત્તિ ઇતિહાસને પણ વર્તમાનના અનુકૂલનની ફુટપટ્ટીથી માપતી રહી છે. અને આ જ તો અયોગ્ય છે. આ વાત સ્વતંત્રતા અને મહાત્મા ગાંધીના યોગદાન સંબંધે પણ તપાસવા જેવી છે.

    છેલ્લાં ૮-૧૨ વર્ષમાં ગાંધી વર્સિસ ગોડસે, વીર સાવરકર, હરીલાલ, રીટર્ન ફ્રોમ સાઉથ આફ્રિકા અને હવે ફ્રિડમ ઓફ મિડ નાઇટ પ્રકારની ફિલ્મો દ્વારા દર્શકો વચ્ચે એવું પ્રતિપાદિત કરવાનો ભરપૂર રાજકીય પ્રયત્ન થઈ રહ્યો છે કે “પાકિસ્તાન ગાંધીની વિચારસરણી અને જીદનું ફરજંદ છે. મોહનદાસની ભૂલોના પરિણામે આજે હિંદુ-મુસલમાન, એવું વૈમનસ્ય વિકસ્યું છે.”

    ભારતના ઇતિહાસની પૃષ્ઠભૂમિથી મહાત્મા ગાંધી વિષયે ઊભા થતાં નેરેટિવ્સ (વ્યર્થ ખ્યાલ)ને તપાસીએ તો વર્ષ ૧૫૨૬માં પાણીપતના યુદ્ધમાં ઇબ્રાહીમ લોધીને હરાવી આજના ઉઝબેકીસ્તાનના તૈમુર રાજવંશના રાજા બાબરે મરાઠા, રાજપૂતો અને દક્ષિણનાં રાજ્યો વચ્ચે મુઘલ વંશની સ્થાપના કરી. એટલું જ નહીં પણ વિજ્ઞાન, સમાજરચના, અર્થવ્યવસ્થા, સંશોધન વિચારના પુરાવા સમાન ૩૦૦૦થી વધુ હસ્ત લિખિત ગ્રંથો ઝૂંટવી  લેવામાં આવ્યા, બાળી નાખવામાં આવ્યા. સાંસ્કૃતિક  વિરાસતનાં દસ્તાવેજ જેવાં નાનાં મોટાં ૧૪૦૦૦ સ્મૃતિ મંદિરો ખંડિત કરવામાં આવ્યાં, તોડી પાડવામાં આવ્યાં.

    વેદ, ઉપનિષદ અને રામાયણ મહાભારતની પરંપરા સાથે જીવતા હિંદુ સમાજ ઉપર આ પ્રથમ પ્રહાર હતો. જેના ઘાવ મોગલવંશની ૪૦૦ વર્ષની ગુલામીએ રૂઝાવા દીધા ન હતા. તે પછી વર્ષ ૧૭૫૭ થી ૧૯૪૭ સુધી અંગ્રેજોએ પોતાના આર્થિક લાભ ખાતર દેશમાં ભાગલા પાડો અને રાજ્ય કરોની નીતિ અપનાવતાં દેશ દારૂણ ગરીબી, નિરક્ષરતા અને વર્ગભેદના વમળમાં રહ્યાનું ઇતિહાસ કબૂલે છે. અહીં એ હકીકત તો બિલકુલ સ્પષ્ટ છે કે ગાંધીજીના અસ્તિત્વ પહેલાં જ હિંદુ અને મુસલમાન તેવી સમાજ- વ્યવસ્થામાં દેશ વૈચારિક રીતે વિભાજિત થઈ ગયેલો. અંગ્રેજ પત્રકાર લુઇ ફિશર પોતાની નોંધમાં લખે છે-

    “હિંદના ભાગલાની બાબતમાં મુસલમાન નેતાઓને જ વધારે રસ હતો. ગાંધીએ જીન્હાને કહ્યું, આપણે બંને હિંદુસ્તાન માટે સ્વરાજ માગ્યો ત્યારે જીન્હાએ સ્પષ્ટ કહ્યું, અમે મોગલના વંશજ છીએ. અમારા માટે પાકિસ્તાન એ જ સ્વતંત્રતા છે.” લુઇ ફિશરના પ્રશ્ર્નના જવાબમાં ગાંધીજી કહે છે, “ક્રિપ્સ યોજનાએ હિંદુ મુસલમાન વચ્ચે અળગાપણું વધાર્યું છે. પ્રત્યક્ષ વ્યવહારમાં પણ અંગ્રેજ હકુમતે બે કોમને વહેંચી નાખી છે. પરંતુ દરેક મુસલમાન જો પોતાના કુટુંબનો ઇતિહાસ તપાસતાં ભૂતકાળમાં પૂરો ઊંડો ઊતરશે તો તેને કોઈ હિંદુ પૂર્વજનું નામ મળ્યા વિના રહેશે નહીં. દરેક મુસલમાન ઇસ્લામમાં ગયેલો હિંદુ જ છે. આથી કોઈ જુદી પ્રજા કે જુદું રાષ્ટ્ર પેદા ન થઈ શકે. હિંદુસ્તાન એ સહિયારી સંસ્કૃતિ છે.” ચંપારણ સત્યાગ્રહ સમયે પણ ગાંધીજીએ કહ્યું, “મારે મન દેશના સીમાડાઓ અર્થહીન છે. મારા હિંદમાં ગરીબ માણસનું આર્થિક સ્વાવલંબન સ્વરાજ્ય છે.”

    આવા સ્પષ્ટ અભિપ્રાય છતાં પણ દેશના સીમાડાઓ તૂટ્યા અને વિઘટન થયું ત્યારે બંને કોમની અસંખ્ય સ્ત્રીઓ-બાળકો અને યુવકો કપાયાં. કૉંગ્રેસ અને ગાંધી લગભગ લાચાર સ્થિતિમાં રહ્યા અને બ્રિટિશ પાર્લામેન્ટે માઉન્ટ બેટનના સહારે કરોડો નાગરિકોને રઝળાવ્યા.

    ઇતિહાસ નોંધે છે કે બીજું વિશ્ર્વયુદ્ધ અને છેક આંદામાન સુધી પહોંચી ગયેલ જાપાનનું લશ્કરી શાસન, સુભાષબાબુનું સ્થળાંતર અને જર્મનીથી ઊભી થયેલ નવી ગુલામ શાસન વ્યવસ્થા, ૨૬૮ રજવાડાઓની સ્વાયત્ત સત્તાની કપટનીતિ, મોગલ સામ્રાજ્ય તરફ વળવાની મુસ્લિમ લીગની રાજનીતિ, અત્યંત ગરીબ, રોગિષ્ઠ, અશિક્ષિત ભારતની પૃષ્ઠ ભૂમિ, બ્રિટન સરકારની અમાનવીય શોષણ નીતિ, બહુ મોટા ખેડૂત વર્ગમાં પ્રચલિત થઈ રહેલ અને અંગ્રેજો દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવતી અફીણની ખેતી, કૉંગ્રેસના સદસ્યોની સત્તાલાલસા વગેરે પ્રશ્ર્નો આપણી સામે હતા.

    કેન્સરની બીમારી વચ્ચે ઉગ્ર બનતી અલગ પાકિસ્તાનની માગણી બે વખત નિષ્ફળ ગયેલ. ગોળમેજી પરિષદ જેવાં રાજકીય, આર્થિક સામાજિક સીમાવર્તી ભયસ્થાનોના વમળમાંથી બહાર નીકળી દેશને અરાજકતા છતાં પણ નોધારો છોડવા માટે બ્રિટિશ પાર્લામેન્ટ પણ ઠરાવ કરી ચૂકી હતી ત્યારે બ્રિટનના અખબાર મોર્નિંગ પોસ્ટે તંત્રીલેખમાં નોંધ્યું છે કે “ભારતની સ્વતંત્રતાનું શ્ર્વેત પત્ર ખરેખર તો ભાગીદારીનું કરારનામું નથી પણ ભાગી છૂટવાની સમજૂતી છે.”

    વર્ધા આશ્રમમાં જૂન ૧૯૪૨માં ગાંધીજી સાથે એક સપ્તાહ રહેનાર લુઇ ફીશર દિલ્હીના વાઇસરોય લોર્ડ લીનલીથગોને ટાંકી નોંધે છે કે ગાંધી એ હિંદુસ્તાનની મોટામાં મોટી હસ્તી છે આમ છતાં તેમની પાસે અખંડભારતને છોડવા સિવાય કોઈ ઉપાય નથી રહેવાનો.

    – ડૉ. નાનકભાઈ ભટ્ટ, મો.: ૯૮૯૮૪૬૩૪૮૯


    ભૂમિપુત્ર : ૧૬ માર્ચ, ૨૦૨૫

  • ‘બાઈ’ : ‘મારી જીવનકથા’ – વજ્રાઘાત

    વિમલાતાઈ

    સબસે ઊંચી ….. થી આગળ

    એક દિવસ અમદાવાદથી લલિતાબાઈનો પત્ર આવ્યો. અમારાં ભાનુબહેનનાં લગ્ન મારાં મોટાં પુત્રવધૂના ભાઈ સાથે નક્કી થયાં હતાં. અમારા જમાઈ પૂનામાં સરકારી નોકરીએ હતા. મુંબઈમાં લગ્ન કરી ભાનુબહેન સીધાં પતિગૃહે જવાનાં હતાં, તેથી તેઓ મુંબઈ જાય તે પહેલાં અમને મળવા માટે બોલાવ્યાં હતાં.

    અમે બધાં અમદાવાદ ગયાં. અમારે તો મુંબઈ જવાનું નહોતું, તેથી થોડા દિવસ અમદાવાદ રહી હું અને બાળકો ભાવનગર આવ્યાં.

    ભાનુબહેનને સાસરે વળાવી લલિતાબાઈ, મોટા, મારાં પુત્રવધૂ, રવિ અને મધુ અમદાવાદ આવ્યાં.

    વર્ષોથી લલિતાબાઈની તબિયત સારી રહેતી ન હતી. લાંબા સમયથી તેઓ માંદાં રહેતાં હતાં. તેમની માતાના અવસાન બાદ તેમણે જ તેમનાં બધાં ભાંડુઓને સંભાળ્યાં હતાં અને મોટાં કર્યા હતાં. તબિયત સારી નહોતી રહેતી છતાં પણ ભાઈ-બહેનોનો ભાર સંભાળવા તેમને નોકરી કરવી પડી હતી. રવિ પણ હજી તેની માંદગીમાંથી પૂરી રીતે બહાર આવ્યો નહોતો અને મીરજયી અમદાવાદ લલિતાબાઈના આધાર પર પાછો આવ્યો હતો. તેની સારવાર ચાલુ હતી તેથી તે નોકરી પણ નહોતો કરી શકતો. આખી જિંદગીની હાડમારીથી લલિતાબાઈ કંટાળી ગયાં હતાં.

    ભાનુબહેનનાં લગ્નને ફક્ત દસ જ દિવસ થયા હતા. અમદાવાદ પાછા આવ્યા બાદ એક દિવસ લલિતાબાઈ કામે ન ગયાં. ઘરમાંની બધી વસ્તુઓ તેમની બહેનપણીને ઘેર રાખી, કોને કઈ વસ્તુ આપવાની છે, તેની વ્યવસ્થિત રીતે ગોઠવણ કરી. કોનાં લગ્નમાં કોને કઈ ચીજ-જણસ આપવાની છે તેની વહેંચણી કરીને આપી દીધી. તે વખતે મોટાભાઈ આફિસે ગયા હતા. નરેન નિશાળમાં હતો. અમે ભાવનગર હતાં અને મારાં પુત્રવધૂ ભાનુબહેન અને પોતાના ભાઈની સાથે પૂના ગયાં હતાં. ઘરમાં બીજું કોઈ નહોતું. બપોરે બાર વાગે લલિતાબાઈએ. અગ્નિસ્નાન કર્યું.

    અમારા મકાનના ઉપરના ભાગમાં એક ભાડવાત રહેતા હતા, તેમનાં પત્ની દાદરા પરથી નીચે ઊતરતાં હતાં ત્યારે તેમણે નીચેના રસોડામાંથી નીકળતા ધુમાડાના ગોટા જોયા. તેઓ અત્યંત ગભરાઈ ગયાં અને મોટે મોટેથી બૂમો પાડી આજુબાજુના લોકોને બોલાવ્યા. મોટાભાઈની ઓફિસ નજીક જ હતી, ત્યાં એક માણસને દોડાવ્યો, અને તેઓ પણ ઘેર આવી ગયા. તે પણ ગભરાઈ ગયા અને લલિતાબાઈને સીધાં હૉસ્પિટલ લઈ ગયા. લલિતાબાઈનું આખું શરીર દાઝી ગયું હતું અને બપોરે ચાર વાગ્યે તેઓ અવસાન પામ્યાં.

    મોટાભાઈને જ્યારે જાણ થઈ કે લલિતાબાઈ દાઝી ગયાં છે, તેમણે મને તરત ટેલિગ્રામથી ખબર કરી. મને તો આ તાર રાતના આઠ વાગ્યા પછી મળ્યો. હવે અમદાવાદ જવા માટે રાતના ત્રણ પહેલાં કોઈ ટ્રેન નહોતી. આવા પ્રતિકૂળ સમયે મને સ્ટેશન પર મૂકવા કોણ આવે? મારા ઘરની બાજુમાં રહેતા પેલો ગરજુ નાલાયક માણસ જે મારી પાસેથી ધાકધમકી આપીને પૈસા લઈ ગયો હતો, તે પણ મને સ્ટેશન પર મૂકવા આવવા તૈયાર ન થયો. આથી હું રાતે જ સ્ટેશન પર પહોંચી ગઈ. રાતે અગિયાર વાગ્યે આખું સ્ટેશન ખાલી થઈ ગયું. હું એકલી બાઈ માણસ શું કરું?  મેં સ્ટેશનમાસ્તર પાસે જઈને વિનંતી કરી કે મને વેઇટિંગરૂમમાં રહેવા દો. તેમણે કહ્યું,  “જુઓ, બહેન, રાતનો સમય છે. વેઇટિંગરૂમમાં એકલાં બાઈમાણસની જવાબદારી હું લઈ શકું નહિ, પણ પ્લેટફોર્મ પર સામાન રાખવાની જાળીના ઓરડા જેવી જગ્યા છે, તેમાં તમે રાત રહી શકો છો, અને અંદરથી તાળું મારી શકો છો.’ આ ભલા માણસે મને જગ્યા આપી અને રાતની ડયૂટી પર એક પૉર્ટર હતો તેને મારી સંભાળ લેવાનું કહ્યું. તેમણે આટલી માનવતા દર્શાવી. તેમની પોતાની ડયૂટી પણ પરોઢિયે ટિકિટ કાપવાની હતી, તેથી તેમણે મને ટિકિટ કાઢી આપી.

    બીજે દિવસે બપોરે ચાર વાગ્યે હું અમદાવાદ પહોંચી. ઘર તો સૂમસામ હતું. કોઈ જ ઘેર નહોતું. અમારી હવેલીની પાછળના ભાગમાં મારી નણંદબાના દીકરા રહેતા હતા. હું તેમને ત્યાં ગઈ. તેમણે અને તેમનાં પત્નીએ મને બધી હકીકત કહી, અને મને સ્નાન કરાવ્યું અને ભોજન કરાવ્યું. ત્યાર પછી હું ફરીથી અમારે ઘેર ગઈ ત્યારે રવિ અને મોટાભાઈ ઘેર હતા. હું તેમની પાસે પહોંચી ત્યારે બન્ને ભાઈઓ મારી પાસે ઘણું રડયા. ભાનુબહેનને તાર કર્યો હતો તે પણ પાંચમે દિવસે આવી પહોંચી અને હું ભાવનગર પાછી ગઈ.

    લલિતાબાઈના અવસાન બાદ નરેનને આઠ-દસ મહિના અમદાવાદ જ રહેવું પડયું, તેનું એસ.એસ.સી.નું વર્ષ હતું. એસ.એસ.સી. બાદ નરેન મારી પાસે પાછો આવવાનો હતો. લલિતાબાઈની ચિરવિદાય બાદ નરેને અમદાવાદમાં ઘણી મુશ્કેલીમાં દિવસ કાઢયા.


    ક્રમશઃ


    કેપ્ટન નરેંદ્ર ફણસેનાં સંપર્ક સૂત્રો –
    વીજાણુ ટપાલ સરનામુંઃ captnarendra@gmail.com
    બ્લૉગઃ  www.captnarendra.blogspot.com
  • ખેતરના શેઢેથી | વરસાદનો વાંધો

    ખેતરના શેઢેથી

    – મનહર જાની

    ખેતરને શેઢેથી ખૂટી લીલાશ
    અને ખીજડાનું મન થયું ખાલી
    સુગરીના માળામાં સૂનમૂનતા મેલીને
    કલરવતા દન ગયા હાલી.

    થાંભલાની જેમ સ્થિર ઊભો વખત
    નથી પાંદડુંય હલતું કે ચલતું
    ઝાંખરામાં ઝરડાતી તેતરની પાંખ
    નથી ધોરિયાનું નામે ઊકલતું
    ચાડિયાએ સંકેલ્યું વાદળિયું આભ
    અને પીળું વેરાન ગયું ફાલી… ખેતરને શેઢેથી…

    અધખેડ્યાં ખેતરમાં આળોટે આમ-તેમ
    તડકાનાં નાગોડિયાં છોરાં
    રાફડાની કોરમોર ઊંઘે બોલાશ
    લઈ બપોરી વેળાનાં પોરાં
    થોરિયાની વાડ મહીં બેઠો સૂનકાર
    સાવ પંડ્ય હેઠ પડછાયો ઘાલી… ખેતરને શેઢેથી…

     

    વરસાદનો વાંધો

    નીતિન વડગામા

    વરસાદે લીધો વાંધો.
    પ્રેમ-તાંતણે કોઈ હવે તો હળવે રહીને બાંધો!

    કેમ પડ્યું છે વાંકું એ સમજાવો વર્ષા-રાણી.
    વીનવીએ સૌ, વહેતી મૂકો ભીનપવરણી વાણી.

    બળબળતી ધરતીને અંગે પડી ગયો ફરફોલો.
    આભ ભર્યું છે આખું તો દરવાજા થોડા ખોલો.

    ફાટેલાઅ આ જીવતરને પાણીના ટીપે સાંધો!
    વરસાદે લીધો વાંધો.

    લીલાં લીલાં ઝાડ-પાનને વળી ગયો પરસેવો!
    સુક્કું ખેતર ઝીલે છે ધબકારો જેવો તેવો!

    મેલાઘેલા માણસનું માઠું લાગે એ સાચું.
    હું તો આજે અબોલ એવા જીવને ખાતર યાચું.

    સાદ સાંભળી એક વાદળી કહે, ‘લાપસી રાંધો!’
    વરસાદે લીધો વાંધો.

  • કોમેડી ગીતો – हम थे वो थी और समा रंगीन समझ गए ना

    નિરંજન મહેતા

    ફિલ્મોમાં અનેક પ્રકારના ગીતો હોય છે જેમ કે બાળગીત, હાલ્રરડા, પ્રેમગીત વગેરે. તે સાથે કોમેંડી ગીતોનો પણ સારો એવો ફાળો છે. આવા ગીતો શાબ્દિક કે સિચ્યુએશન દ્વારા રમુજ ઉત્પન્ન કરે છે.

    મળેલા ગીતોની સંખ્યા એટલી છે કે તે એક લેખમાં સમાવાય તેમ નથી એટલે ત્રણ ભાગમાં આ ગીતો મુકવા ઈચ્છું છું. સાથે સાથે એ પણ જણાવી દઉં કે મેં સંકલિત કરેલ ગીતો એ સંપૂર્ણ યાદી નથી અને મિત્રોને તે સિવાયના ગીતો પણ ધ્યાનમાં આવે તે શક્ય છે અને તે આવકાર્ય પણ છે.

    સૌ પ્રથમ ૧૯૪૯ની ફિલ્મ ‘પતંગા’નું આ ગીત જોઈએ જે આજે પણ મજા માણી શકાય તેવું છે.

     

    मेरे पिया हो मेरे पिया गये रंगून
    किया है वहाँ से टेलीफ़ून
    तुम्हारी याद सताती है
    जिया में आग लगाती है

    નાટકના એક ભાગ રૂપે યાકુબ ફોન ઉપર પોતાના રંગુન હોવાની વાત કરે છે અને પત્ની નિગાર સુલતાનાથી જુદાઈ સહન નથી તેવું જણાવે છે જ્યારે હકીકત કોઈ ઓર જ હોય છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે શમશાદ બેગમ અને ચિતલકર (સી. રામચંદ્ર).

    ૧૯૫૧ની ફિલ્મ ‘અલબેલા’ જેના બધા ગીતો જાણીતા છે તેમાંથી બે કોમેડી ગીતો મળે છે.

    भोली सूरत दिल के खोटे
    नाम बड़े और दरशन छोटे दरशन छोटे

    સમારંભમાં ભગવાન આ ગીત શરૂ કરે છે જેમાં મહિલા ઉપર કટાક્ષ દેખાડ્યો છે જેને ગીતા બાલી યોગ્ય જવાબ આપે છે. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. ગાયકો છે લતાજી અને ચિતલકર (સી. રામચંદ્ર).

    બીજું ગીત સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.

    कभी काली रतिया कभी दिन सुहाने
    किस्मत की बाते तो किस्मत ही जानेओ
    बेटा जी अरे ओ बाबू जीकिस्मत की हवा कभी नरम,
    कभी गरमकभी नरम-नरम, कभी गरम-गरम,
    कभी नरम-गरम नरम-गरम रे

    કલાકાર છે ભગવાન. રાજીન્દર કૃષ્ણના શબ્દો છે અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ.ગાયક ચિતલકર (સી. રામચંદ્ર).

    ૧૯૫૨ની ફિલ્મ ‘તમાશા’નુ આ ગીત સુતેલા દેવઆનંદને જગાડવા ગવાય છે

    खाली पीली, खाली पीली
    खाली पीली काहे को अक्खा दिन बैठ के
    बोम मारता है   …
    left..left..left..right..halt..
    सस्ते उठके बाथ्रूम में तो जाके स्नन कर
    हमाम लक्स से रगड़ रगड़ बदन को साफ़ कर
    खटिया से छोड़ रास्ता तैय्यार तेरा नाश्ता
    भाभी तके है रास्ता
    ओ आलसी हे हे ओ आलसी
    काहे को काहे को काहे को हिम्मत हारता है

    આ શાબ્દિક કોમેડી ગીત રચ્યું છે ભરત વ્યાસે જેને સંગીત આપ્યું છે મન્નાડેએ. સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૫૪ની ફિલ્મ ‘ટેક્ષી ડ્રાઈવર’નુ ગીત એક નફિકરા યુવાનની માનસિકતા રમુજી અદામાં દર્શાવાઈ છે.

    चाहे कोई खुश हो चाहे गालियाँ हज़ार दे
    मस्त राम बन के ज़िंदगी के दिन गुज़ार दे

    દેવઆનંદ અને સાથીઓ પર રચાયેલ આ ગીતના ગીતકાર છે સાહિર લુધિયાનવી અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે કિશોરકુમાર અને જોની વોકર.

    ૧૯૫૪ની ફિલ્મ ‘બુટપોલીસ’નુ આ ગીત પણ સિચ્યુએશન દ્વારા કોમેડી ઉત્પન્ન કરે છે.

    लपक जपक तू आ रे बदरवा
    सर की खेती सूख रही है
    बरस बरस तू आ रे बदरवा

    જેલમાં કેદ ડેવિડ પોતે વાળ વગરનો છે તેવા અન્ય વાળ વગરનાને ભેગા કરી આ ગીત ગાય છે. ગીતની શરૂઆતમાં ટાલ ઉપર આંગળીઓ દ્વારા તબલાના ધ્વનિ ઉત્પન્ન કરાયો છે. હસરત જયપુરીના શબ્દો અને શંકર જયકિસનનુ સંગીત. ગાયક છે મન્નાડે.

    ૧૯૫૪ની ફિલ્મ ‘પેહલી ઝલક’નુ ગીતમાં પીડિત પતિની વ્યથા વ્યક્ત કરાઈ છે.

    अरे चरणदास को पीने की
    जो आदत न होती
    तोह आज मियाँ बाहर
    बीवी अंदर न सोती

    કલાકારો છે કિશોરકુમાર અને વૈજયંતિમાલા જેના શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત સી.રામચંદ્રનુ. ગાયક છે  કિશોરકુમાર.

    ૧૯૫૫ની ફિલ્મ ‘મિ. એન્ડ મીસીસ ૫૫’નુ આ ગીત એક ઓફિસમાં ગવાય છે.

    जाने कहाँ मेरा जिगर गया
    अभी-अभी यहीं था किधर गया जी
    किसी की अदाओं पे मर गया जी
    बड़ी-बड़ी अँखियों से डर गया जी

    જ્યારે અન્ય સ્ટાફ જમવા બહાર ગયો હોય છે ત્યારે જોની વોકર યાસ્મીન આગળ પોતાનો પ્રેમાલાપ રજુ કરે છે જેને યાસ્મીન પણ યોગ્ય જવાબ આપે છે. આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે ઓ.પી. નય્યરનુ. ગાયકો છે ગીતા દત્ત અને રફીસાહેબ. ગીતના અંતમાં જે કોમેડી રચાય છે તે જરૂર જોજો.

    ૧૯૫૬ની ફિલ્મ ‘ચોરી ચોરી’માં પણ એક રમુજી ગીત છે.

    All Line Clear
    आगे बढ़ो आगे चलो
    छोटी सी ये अलटन पलटन all है मेरे घर की
    साथ हमारे तोप का गोला बात नहीं है डर की
    All Line Clear

    Line Clear है भाई

    જોની વોકર પોતાના દસ બાળકો સાથે નીકળી પડે છે ત્યારે આ ગીત ગાય છે જેમાં શાબ્દિક રમુજ પણ વણાઈ છે. ગીતકાર છે હસરત જયપુરી અને સંગીતકાર છે શંકર જયકિસન. યુનિક અવાજ રફીસાહેબનો.

    ૧૯૫૬ની અન્ય ફિલ્મ છે ‘પરિવાર’.

    आ हां हां
    कुवे में वह
    ठंडा जोल में नहाने से गोला थो ज़ोरा बैठ गया
    कुवेन में कूद के मर जाना
    यार तुम शादी मत करना

    સ્ટેજ પર એક નાટકીય રજુઆતમાં કિશોરકુમાર આ ગીત ગાય છે. તેમાં આવતા જુદા જુદા પાત્રો પણ કિશોરકુમાર જ ભજવે છે અને અંતે લગ્ન ન કરવાનો સંદેશ આપે છે. શૈલેન્દ્રના શબ્દો અને સલીલ ચૌધરીનુ સંગીત. ગાયક બેશક  કિશોરકુમાર’

    ૧૯૫૭ની ફિલ્મ ‘પ્યાસા’ ભલે દર્દનાક ફિલ્મ હતી પણ તેનું આ ગીત આજે પણ તરોતાજા છે. :

    सर जो तेरा चकराये
    या दिल डूबा जाये
    आजा प्यारे पास हमारे
    काहे घबराय काहे घबराय

    એક ચમ્પીવાળાના પાત્રમાં જોની વોકર ઉપર આ ગીત રચાયું છે. ગીટમાં જોની વોકરનો અભિનય પણ દાદ માંગી લે છે. શબ્દો છે સાહિર લુધિયાનવીના અને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. સ્વર છે રફીસાહેબનો.

    ૧૯૫૭ની ફિલ્મ ‘મિસ મેરી’નુ આ ગીત ફરી એકવાર કિશોરકુમાર પર રચાયું છે જેમાં તે પોતાની સંગીતની અણઆવડત આ ગીતના શબ્દો દ્વારા વ્યક્ત કરે છે. આપણે કહીએ છીએને કે ભેંસ આગળ ભાગવત કાંઈક તેના જેવું.

    हारमोनियम बजाया
    तबला बजाया
    ये भी बजाया
    और वो भी बजाया
    मगर अफ़सोस
    गाना ना आया बजाना ना आया
    दिलबर को अपना बनाना ना आया

    શબ્દકાર રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીતકાર હેમંતકુમાર. ગાયક કિશોરકુમાર.

    ૧૯૫૭ની ફિલ્મ ‘બંદી’નુ આ ગીત અપરિણિત યુવાનોની વ્યથા અને આશાને ઉજાગર કરે છે.

    एक रोज़ हमारी भी दाल गलेगी
    बैरी दुनिया जो देखेगी खूब जलेगी
    हाँ बैरी दुनिया जो
    देखेगी खूब जलेगी

    કિશોરકુમાર પર રચાયેલ આ ગીતના રચનાર છે રાજેન્દ્ર કૃષ્ણ અને સંગીત આપ્યું છે હેમંતકુમારે. સ્વર છે કિશોરકુમારનો.

    ૧૯૫૮ની ફિલ્મ ‘દિલ્લી કા ઠગ’નુ ગીત છે

    A-B-C
    C-A-T, cat, cat माने बिल्ली
    R-A-T, rat माने चूहा
    C-A-T, cat, cat माने-, चूहा
    अरे, दिल है तेरे पंजे में तो क्या हुआ?
    M-A-D, mad, mad माने पागल
    B-O-Y, boy, boy माने लड़का
    रे मतलब इसका तुम कहो तो क्या हुआ?

    કિશોરકુમાર નૂતન આગળ પોતાના પ્રેમને અલગ તરીકેથી રજુ કરે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે રવિએ. સ્વર છે કિશોરકુમારનો.

    આ જ ફિલ્મનું અન્ય કોમેડી ગીત છે
    हम तो मोहब्बत करेगा
    दुनिया से नहीं डरेगा
    चाहे ये ज़माना कहे
    हमको दीवाना अजीहम तो मोहब्बत…

    ૧૯૫૮ની ફિલ્મ ‘આખરી દાવ’ના ગીતમાં ફરી એકવાર જોની વોકર દેખાય છે.

    इधर तो हाथ ला प्यारे
    दिखाऊ दिन को भी तारे

    પ્યાસામાં જેમ જોની વોકરનુ પાત્ર હતું તેવું જ કાંઈક આ ગીતમાં પણ જણાય છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત છે મદન મોહનનુ. ગાયક રફીસાહેબ.

    ૧૯૫૯ની ફિલ્મ ‘ચલતી કા નામ ગાડી’ એક સંપૂર્ણ કોમેડી ફિલ્મ હતી એમ કહીએ તો અતિશયોક્તિ નહિ ગણાય. એટલે તેમાં કોમેડી ગીતો તો હોવાનાને?  :

    हम थे वो थी, वो थी हम थे
    हम थे वो थी और समा रंगीन समझ गए ना
    जाते थे जापान पहुँच गए चीन  समझ गए ना
    याने याने प्यार हो गया

    મધુબાલા સાથે પ્રેમ થઇ ગયા બાદ કિશોરકુમાર અનુપકુમારને આ ગીત દ્વારા પોતાની માનસિક અવસ્થા વ્યક્ત કરે છે. સાથે અનુપકુમાર પણ કહે છે “કે મેરા ક્યા હોગા”, મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને અને સ્વર છે  કિશોરકુમારનો.

    બીજું ગીત છે

    मैं सितारों का तराना मैं बहारों का फ़साना
    लेके एक अँगड़ाई मुझपे डाल नज़र बन जा दीवाना
    रूप का तुम हो ख़ज़ाना तुम हो मेरी जाँ ये माना
    लेकिन पहले दे दो मेरा पाँच रुपैया १२ आना
    पाँच रुपैया १२ आना मारेगा भैया ना-ना-ना-ना

    કિશોરકુમાર ભલે મધુબાલા તરફ આકર્ષાયો હોય પણ તેને મધુબાલાની કાર રીપેરના પૈસા લેવાના બાકી હોય છે . એટલે આ ગીત દ્વારા તેને તે યાદ કરાવે છે. મજરૂહ સુલતાનપુરીના શબ્દોને સંગીત આપ્યું છે સચિન દેવ બર્મને. ગાયકો છે કિશોરકુમાર અને આશા ભોસલે.

    ત્રીજું ગીત છે

    बाबू समझो इशारे
    हौरन पुकारे
    पम पम पम
    यहाँ चलती को गाड़ी
    कहते हैँ प्यारे
    पम पम पम

    આ ગીત ત્રણેય ભાઈઓ, કિશોરકુમાર, અનુપકુમાર અને અશોકકુમાર કારમાં સાથે સવારી કરતી વખતે મુંબઈના રસ્તા પર ગાય છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીતકાર છે સચિન દેવ બર્મન. ગાયકો છે  કિશોરકુમાર, અશોકકુમાર અને મન્નાડે.

    ઉપરના ગીતો જોતા જણાય છે કે મોટા ભાગના ગીતો કિશોરકુમાર અને જોની વોકર પર રચાયા છે. આ તેમની રમુજશક્તિને અનુરૂપ છે.

    આગળના ગીતો આગલા લેખમાં.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. +91 22 28339258/ 91 9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • ફિલ્મી ગઝલો – ૧૧૫ – શિરીષ

    ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

    ભગવાન થાવરાણી

    અગાઉના કેટલાક ગીતકારોની જેમ ગીતકાર શિરીષનું આખું નામ કે તખલ્લુસ સુદ્ધાં મળતું નથી.

    એટલી માહિતી મળે છે કે એમણે આજની ગઝલ વાળી ફિલ્મ ‘ હમારે ગમ સે મત ખેલો ‘ ( ૧૯૬૨ ) ઉપરાંત ‘ અનોખા જંગલ ‘ ( ૧૯૫૬ ) અને ‘ હીરો નંબર ૧ ‘ ( ૧૯૫૯ ) એ ત્રણ ફિલ્મોમાં મળી કેવળ સાત ગીત લખેલાં. એમાં આ ખૂબસુરત ગઝલનો પણ સમાવેશ થાય છે.

    આંસૂ છુપાએ આંખ મેં ખૂને જિગર પિયા કરું
    આહોં ભરે જહાન મેં મજબૂર મૈં જિયા કરું

    જલતા હુઆ ચિરાગ હું પર અબ વો રોશની કહાં
    જો આંધિયોં મેં રાત ભર રોશન જહાં કિયા કરું

    મંઝિલ કી ચાહ મેં મેરી રાહેં બદલ બદલ ગઈં
    હર મોડ પર રુકા રુકા ખુદ સે ગિલે કિયા કરું..

    ફિલ્મઃ હમારે ગમ સે મત ખેલો (૧૯૬૭)
    તલત મહમુદ
    જયદેવ


    ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com  વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.

  • ત્યારે અને અત્યારે : ફિલ્મ વિના ફોટોગ્રાફી?

    આ વાત એ નાગરિકોની છે જેમની ઉંમર ૬૫થી ૮૦ વર્ષની વચ્ચે છે, અથવા કહો કે જેઓ ૧૯૫૫થી પહેલાં જન્મ્યાં હોય.

    આ જ વયગટના હોઈ બીજા દેશના નાગરિકોએ જોયાં હોય તેથી વધું વ્યાપનાં પરિવર્તન ભારતની એ પેઢીએ જોયાં,. ૧૯૫૩ થી ૨૦૧૩ની વચ્ચે શબ્દશઃ જમીન-આસમાનનો ફરક છે. જીવન અમુક ક્ષેત્રોમાં તો પરિસ્થિતિ જાણે સામસામા છેડાની જ છે. કદાચ એમ કહી શકાય કે ૭૫ વર્ષમાં આટલો પરિવર્તનનો અનુભવ બીજી કોઈ પેઢીને નહીં થાય. પરંતુ એ તો સમય જ કહી શકે.

    આ પેઢીને પાછળ નજર કરતાં મુસાફરી એકદમ રોમાંચકારી લાગે છે. આરોગ્ય, સંદેશવ્યવહાર, વાહન વ્યવહાર, મનોરંજન, વગેરે બધાં ક્ષેત્રે ત્યારની પરિસ્થિતિ અત્યારે દંતકથા જેટલી જુદી લાગે છે, પરંતુ એ જ રોમાંચ છે. તેની વાત કરવામાં આવે તો નવી પેઢીના વાચકને જરૂર આશ્ચર્યનો અનુભવ થાય.

    એ હેતુથી “ત્યાર”ની “અત્યાર’ જોડે સામાજિક અને વ્યક્તિગત સંદર્ભમાં તુલના કરવાની આ લેખમાળામાં નેમ છે.


    પરેશ ૨. વૈદ્ય

    મનોરૅજનની ઘણી વિધાઓ છે – સંગીત, નૃત્ય, નાટક, ચિત્રકલા, સિનેમા, અને ફોટોગ્રાફી વગેરે. આ દરેક વૈયક્તિક અભિવ્યક્તિનાં સાધન છે. એ સાંપ્રત સમાજનું પ્રતિબિંબ આપતાં હોઈ ૭૫ વર્ષમાં તેમાં ફેરફાર જરૂર થયા છે, પરંતુ નૃત્ય, નાટક અને ચિત્રકલા ઉપર ટેક્નોલૉજિની અસર ઓછી થઈ છે, કારણકે એ કળાઓ સાધનપ્રચુર નથી. સંગીત ભલે ન બદલ્યું હોય, પણ તેને રજૂ કરવાની અને સાંભળવાની રીતો કેવી બદલાઈ ગઈ તે આપણે જોઈ ગયા. આવી જ વાત દૃશ્ય-શ્રાવ્ય કળાઓ (સિનેમા અને ટેલિવિઝન) વિશે પણ છે. તેનો દૃશ્ય ભાગ ફોટોગ્રાફી કે સિનેમેટોગ્રાફીથી ઘડાય છે, જે ફોટોગ્રાફીનું સંતાન કહી શકાય. ફોટોગ્રાફીને ક્ષેત્રે પણ ધરખમ ફેરફારો વિજ્ઞાનની પ્રગતિથી થયા છે. આને કારણે સિનેમા અને ટેલિવિઝનને જોવા-માણવાની રીતો પણ પ્રભાવિત થઈ જ છે. આ અંકમાં ફોટોગ્રાફીની વાત કરી આગળ માટે જમીન તેયાર કરીએ.

    ફોટોગ્રાફીઃ 

    આધુનિક લાગતી હોવા છતાં ફોટોગ્રાફી એક જૂની કળા છે. આપણા દેશમાં જ, વીસમી સદીની શરૂઆતના  દિવસોના આઝાદીની લડતના ઘણા ફોટાઓ મળી આવે છે. કેટલાંય ઘરોમાં સ્વર્ગસ્થ વડીલોના શાળા-કૉલેજના ગ્રુપ ફોટા પણ અવારનવાર જોવાતા હોય છે. એ જ પરિસ્થિતિ ૭૫ વર્ષ પહેલાં, આઝાદીકાળે હતી. માથે કાળું કપડું ઓઢીને ગ્રૂપ ફોટો કાઢતો ફોટોગ્રાફરનાં ચિત્રોથી વાચકો પરિચિત હશે. ધમણવાળા કેમેરામાં ક્યાંયથી પ્રકાશ ઘૂસી ન જાય તે માટે એ કેમેરાને “અંધારા”માં રાખતા. ફોટા ત્યારે ફિલ્મ ઉપર નહીં, પરંતુ પ્લેટ ઉપર લેવાતા. કાચની પ્લેટ ઉપર પ્રકાશને સંવેદનશીલ રસાયણો (“ઇમલ્શન’)નો લેપ લગાડેલો રહેતો. ફોટો લેવાયા પછી એને જુદાં રસાયણોમાં પ્રોસેસ કરવામાં આવતી. એને માટે વ્યવહારમાં શબ્દ વપરાતો  “પ્લેટ ધોવી’ કે ‘ફિલ્મ ધોવી’. એ નેગેટિવ ચિત્ર મળતું. ફોટોગ્રાફિક પેપર ઉપર તેની છાપ લઈ પૉઝિટિવ ચિત્ર મેળવવામાં આવતાં. “નેગેટિવ’માં કાળા વાળ સફેદ અને સફેદ શર્ટ કાળો દેખાતો.

    જાપાનની બનાવટના મિનોલ્ટા, યાશિકા કે પેન્ટાક્સ એ કેમેરાનાં જાણીતાં નામો હતાં. આપણે ત્યાં એ યુરોપથી આવતા અને તેથી ફોટોગ્રોફી મોંઘો શોખ હતો. ૧૯૫૯માં આગ્ફા કંપનીનો ‘ક્લિક-૩’ કેમેરા ભારતમાં આવ્યો અને તેથી આ શોખ મધ્યમવર્ગ સુધી પ્રસરી શક્યો. એ કેમેરા વાપરવામાં કોઈ નિપુણતાની જરૂર નહોતી. એક જ લેન્સ હતો, છિદ્ર (એપર્ચર) બદલવાની કોઈ સગવડ ન હતી. વાદળાં અને સૂર્યપ્રકાશ એવાં બે સેટિંગ તૈયાર હતાં, તેમાંથી એક પસંદ કરો અને “ક્લિક” કરો! સવા બે ઇંચના ચોરસ એવા બાર ફોટા પડે તેવડો ફિલ્મનો “રોલ’ તેમાં બેસે.

    મોબાઇલ ફોનથી એક દંશ્યના અનેક ફોટા પાડનારી આજની પેઢીને  “ફિલ્મ” શબ્દ જ કદાચ નવો લાગી શકે, ત્યારે ફિલ્મ વિના ફોટોગ્રાફીની કલ્પના અશક્ય હતી. એમ તો બાર ફોટાની મર્યાદા પણ મોબાઇલ કેમેરાની પેઢીને નહીં સમજાય.

    બહારગામ જાઓ કે પિકનિક ઉપર, કુલ ૧૨ (કે પછી ર૪) ફોટા જ લઈ શકાય તે યાદ રાખવું પડતું. જે પ્રસંગનો ફોટો લેવો હોય તેનાં “એન્ગલ”, પ્રકાશની માત્રા વગેરે વિશે પૂરતો વિચાર કરીને જ કળ દબાવતા. ખોટો પડેલ ફોટો સંખ્યા ઘટાડે, તે ઉપરાંત તેની પ્રિન્ટના પૈસા પણ વ્યર્થ જતા.

    જેમ કેમેરા સંકુલ થતા ગયા, તેમ ફોટોગ્રાફિક ફિલ્મમાં પણ વેરાયટી આવતી ગઈ. તેના રોલ હવે ૩૫ મિ. મી.ની સાઇઝમાં આવ્યો, જેમાં ૨૪ કે ૩૬ ફોટા લઈ શકાતા. સિનેમા તો ૩૫ મિ.મી.ની ફિલ્મ ઉપર ઊતરતા જ હતા. ફોટા માટે ૧૯૭૦ પછી રંગીન ફિલ્મ મળવા લાગી. એનું પ્રોસેસિંગ અઘરું તેમ જ મોંવું હતું. પ્રક્રિયામાં થોડો ફેરફાર થાય, કે ઉષ્ણતામાન બદલાઈ જાય તો રંગોનો ઉઠાવ બદલાઈ જતો. એ કામ ઓટોમેટિક પ્રોસેસરો દ્વારા થવા લાગ્યું અને એકધારી ગુણવત્તા મળવા લાગી. એ સમયનાં થપ્પીબંધ આલબમો આપણાં ઘરોમાં મોજૂદ છે.

    ચાંદીનો વિકલ્પ :

    ફોટોગ્રાફીનું પૂરું શાસ્ત્ર “સિલ્વર બ્રોમાઇડ’ નામના ચાંદીના રસાયણની પ્રકાશ સંવેદિતા ઉપર આધારિત હતું. નેગેટિવ ફિલ્મ અને પૉઝિટિવ પ્રિન્ટ એ બંને ઉપર આ રસાયણનું પાતળું પડ લાગતું, જેને ઇમલ્શન કહેતા. ચાંદીના ભાવ તો વધતા જ હોય છે, પરંતુ ૧૯૮૦માં તેમાં એકદમ ઉછાળો આવ્યો. તેની અસર ફોટોગ્રાફી ઉપરાંત એક્સ-રે ફિલ્મો ઉપ૨ પણ થઈ (એમાં પણ એ જ પદાર્થ વપરાય છે). આથી ચાંદી પર આધારિત પ્રક્રિયાના વિકલ્પ શોધવાનું શરૂ થયું. એક વિકલ્પ મળ્યો જે એક્સ-રે માટે તો ચાલે છે, પરંતુ ફોટોગ્રાફીમાં કામ ન આવે (બેરિયમ ફ્લોરો બ્રોમાઇડ નામના આ પદાર્થની બનેલ “ઇમેજ પલેટ’ તબીબી ક્ષેત્રે ફિલ્મની જગ્યાએ ખૂબ વપરાય છે).

    છેવટે દૃશ્ય પ્રકાશને પ્રતિભાવ આપતો પદાર્થ પણ મળ્યો. એ હતો સિલિકોન, જે ટ્રાન્ઝિસ્ટર બનાવવામાં પણ વપરાય છે પરંતુ એની કાર્યપદ્ધતિ ફિલ્મ જેવી સરળ નહોતી. સિલિકોનની ચિપ (chip)ને બેટરીથી વૉલ્ટેજ આપો તો જ કામ કરે. એનાથી ઊભું થતું ચિત્ર પણ નરી આંખે ન દેખાય, એ વીજભારના રૂપમાં ઊભું થાય જેને ખાસ પડદા ઉપર જ જોઈ શકાય, કાગળ ઉપર નહીં. એટલે એમ કહી શકાય કે સિલિકોને કેમેરા અને ફિલ્મનું સંયુક્ત કામ ઉપાડી લીધું. આ તદ્દન નવો વિચાર હતો. આવી રચનાને CCD કેમેરા નામ અપાયું. આપણે જેને પ્રચલિત શબ્દોમાં ક્લોઝ્ડ સર્કિટ ટીવી (CCTV) કહીએ છીએ તે આ પ્રકારના કેમેરા છે. કૉમ્પ્યૂટરની ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેનાં ચિત્રોનો સંગ્રહ પણ કરી શકાયો.

    આમ ફોટોગ્રાફી ક્ષેત્રે એવી કાન્તિ આવી કે ફોટોગ્રાફિક ફિલ્મ બનાવનારી ગંજાવર કંપનીઓનાં પાટિયાં બેસી ગયાં. ઈ.સ. ૧૮૮૨માં સ્થપાયેલ ઈસ્ટમેન કોડક કંપનીએ વર્ષ ૨૦૧૨માં, ૧૨૦ વર્ષ રાજ કર્યા પછી જાતને દેવાળિયા જાહેર કરવી પડી! ફિલ્મનો ઉપયોગ નહીંવત્‌ થઈ ગયો હોવાથી ધંધો બેસી ગયો.

    જુદી પ્રક્રિયાઓ :

    આ નવા પ્રકારની ફોટોગ્રાફીમાં ફિલ્મ ‘ધોવાનો’ (એટલે કે પ્રોસેસ કરવાનો) પ્રશ્ન જ ન હતો. ચિત્ર સીધું સ્ક્રીન ઉપર આવતું. એટલે ફોટા સતત પાડી શકાતા તેમ જ સતત જોઈ પણ શકાયા. એટલે થોડા ફેરફાર સાથે એ “વીડિયો” કેમેરા તરીકે પણ વાપરી શકાયા. ત્યાર સુધી સ્થિર ફોટોગ્રાફીના કેમેરા અને મૂવી કેમેરા બે જુદા હતા. અહીં એકમાં બે આવી જવા એ જ એક રીતે ક્રાન્તિ હતી.

    ફિલ્મવાળા કેમેરામાં જ દૃશ્યનો ફોટો લઈએ તે દૃશ્ય સવા બે ઇંચ કે ૩૫ મિલીમીટરની ફિલ્મ ઉપર ફોકસ કરવાનું હતું. તેને બદલે CCD કેમેરામાં એ દૃશ્ય પેલી “ચિપ” ઉપર પાડવાનું હતું. આ “ચિપ’ કે સેન્સર પોણા ઇંચથી માંડી પા ઈંચ જેટલા નાના બની શકે છે. તેથી લેન્સથી તેનું અંતર ઘટી શક્યું, કહો કે કેમેરા નાના થઈ ગયા. સુધારેલા સેન્સર ડિજિટલ સ્વરૂપમાં પણ કાર્ય કરતા હોવાથી આ ઝીણકા કેમેરાને “લેપટોપ” ઉપર કે મોબાઇલ ફોન ઉપર બેસાડવાની લાલચ સ્વાભાવિક હતી.

    આમ મસમોટો કેમેરો હવે કોઈ બીજાં સાધનનું પેટાસાધન બની ગયું (એ વાત જુદી છે કે સારી ગુણવતાનાં ચિત્રો માટે મોટી CCD ચિપ વપરાય છે અને મોટા કદના ડિજિટલ કેમેરા પણ બને જ છે), પરંતુ સૂક્ષ્મીકરણના કારણે ફોટોગ્રાકીનું સ્થાન આપણા જીવનમાં બદલાઈ ગયું. જ્યાં પાસપોર્ટ સાઇઝ ફોટા માગતા હતા, ત્યાં હવે આપણો સાક્ષાત્‌ ફોટો લઈ દસ્તાવેજીકરણ થાય છે!

    છેલ્લે, સંગીતની માફક ફોટા ‘શેર’ કરવાનું પણ તદ્દન બદલાઈ ગયું. અગાઉ મહેમાન આવે ત્યારે આલબમો લઈને જૂના ફોટાઓ જોઈ પ્રસંગો તાજા કરતા, કારણ કે આપણું આલ્બમ આપણા ઘરમાં જ હોઈ શકે. હવે પ્રસંગ પૂરો થયા પહેલાં સંબંધીઓના ફોનમાં પ્રસંગનાં ચિત્રો પહોંચી જાય છે. બે ક્ષણમાં “થમ્બ્સ અપ’ના ચિત્ર સાથે પ્રતિસાદ પણ આવી જાય છે. ઘરે આલ્બમમાં કોઈ જૂનો ચહેરો જોઈ મોટેથી નીકળી જતું “આ… હા’ અને આ અંગૂઠો-બેમાંથી કયું વધારે મીઠું લાગે એ તો વાચકો પોતે નક્કી કરે!


    સૌજન્યઃ નવનીત સમર્પણ *  મે ૨૦૨૫


    ડૉ. પરેશ ર. વૈદ્યનો સંપર્ક pr_vaidya@yahoo.com   વિજાણુ સરનામે થઈ શકે છે.

  • સૂફી કૈલાસા

    સત્યકથા 

    સુરેશ જાની

    આ કથા વાંચતા પહેલાં આ ‘સૂફી કેલાસા’ સાંભળો, માણો.

    આ અને આવા ઘણા બધાં ગીતોનો ગાયક ‘કૈલાસ ખેર’   બહુ જાણીતો થયો છે. તે ‘પદ્મશ્રી’ ધારક પણ છે. બીજા પણ ઘણા બધા એવોર્ડો પણ તેને મળ્યા છે. એનાં ગીતો બીજા કોઈ પ્રકારમાં આવતાં નથી એટલે તજજ્ઞોએ એને ‘સૂફી’ કે ‘નિર્ગુણ’ ગીતો એવું નામ આપ્યું છે. વળી કૈલાસે ગાયેલાં હોવાને કારણે એ ‘કૈલાસા’ પણ કહેવાય છે.

    કૈલાસ એક અદભૂત વ્યક્તિ છે. એ બહુ લોકપ્રિય છે. પણ ૭, જુલાઈ, ૧૯૭૩ માં દિલ્હીના મયૂર-વિહારમાં કાશ્મીરી મૂળના કુટુમ્બમાં જન્મ થયા બાદ ૨૦૦૩ ની સાલ સુધી – એટલે કે, ૩૦ વર્ષ – એ સાવ સાધારણ અને લગભગ સંપૂર્ણ રીતે નિષ્ફળ માણસ હતો.

    તેનો પિતા મહેરસિંગ કાશ્મીરી મૂળનો, લોકગીતોનો ગાયક હતો. સાવ બાળપણમાં એમનાં ગીતોની કૈલાસના મન પર બહુ મોટી અસર જામેલી હતી. કદાચ એ જ એની લોક પ્રિયતા પાછળનું મૂળ છે. ચાર જ વર્ષની ઉમરથી એનો સૂરીલો અવાજ અને એની ગાયકી મિત્રો અને કુટુંબીજનોમાં વાહ! વાહ! પેદા કરી શકતી હતી. પણ ભણવામાં એ લગભગ ‘ઢ’ જ રહ્યો.

    પોતાની એ અણ આવડત સમજી જઈને તેણે ૧૪ વર્ષની ઉમરે સંગીત શીખવા ઘર છોડ્યું. સંગીત ક્લાસની ફી ભરવા તે નાનાં નાનાં કામ કરવા લાગ્યો અને માત્ર ૧૫૦ રુ. ની ફીથી સંગીત પણ શીખવતો. પણ આમાં જીવન સફર શી રીતે પસાર થશે? – એ ચિંતામાં તે એક મિત્રના હસ્ત કારીગીરીના ધંધામાં જોડાયો. એ ધંધો પણ પડી ભાગતાં, નીરાશામાં તેણે આત્મહત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો. પણ હાય! નસીબ, એમાં પણ તે નિષ્ફળ નીવડ્યો. સફળતાની આશાએ સિંગાપુર અને થાઈલેન્ડમાં છ મહિના રહેવા છતાં નસીબે યારી ન આપી. દિલ્હીમાં બેળે બેળે પત્ર દ્વારા શિક્ષણના માધ્યમથી એને ગમે તેમ સ્નાતકની પદવી તો મળી. પણ નોકરીઓ થોડી જ રેઢી પડી હોય છે?

    છેવટે, મનગમતું ગાવાનું કામ મળી રહેશે, એ આશાએ તેણે મુંબઈમાં સ્થળાંતર કર્યું. એક વ્યાવસાયિક રીલમાં ઝણકાર ( Jingle) ગાવા મળેલી તકમાં તેણે કશા ગભરાટ વિના મનમાં રણકાર કરી રહેલી ધૂન સંભળાવી.  તે એ પેઢીના અધિકારીઓને ગમી જતાં એને પહેલો ૨૦૦૦/-  રૂ . નો પુરસ્કાર મળ્યો. બસ, એ સાથે એની ગાયકી યાત્રા શરૂ થઈ ગઈ. બહુ ઝડપથી એને આવા ઝણકારનું કામ મળવા લાગ્યું.

    ફિલ્મી જગતમાં તેણે ગાયેલા શરૂઆતના ગીતો છે – ‘ રબ્બા ઇશ્ક ન હોવે’ – ‘અંદાઝ’ ફિલ્મ માટે અને ‘અલ્લાકે બંદે’ – ‘ઐસા ભી હોતા હૈ’ ફિલ્મ માટે.  કિર્તન સંગીતના ગાયકને માટે  આ શબ્દો જરાક વરવા લાગે. પણ, એ હકીકત છે કે, આ ગીતો સાથે તેની લોકપ્રિયતા રોકેટ ગતિએ વધવા લાગી. પછીની તેની જીવન યાત્રા ઝમકદાર છે. પણ, તેના પાયામાં છે – પ્રારંભના સંઘર્ષોને અતિક્રમી જતો તેનો સંગીત પ્રેમ. બીજા બધા સંગીત પ્રકારો કરતાં , હમ્મેશ તેનો નિજી લગાવ અને ઝૂકાવ લોકગીતો  તરફ  રહ્યો છે.

    એની જીવન કથા અહીં –

    https://en.wikipedia.org/wiki/Kailash_Kher

  • જળસંકટનો ઊકેલ તો છે, અને એ પણ આપણા હાથમાં!

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    આપણી પૃથ્વી પર પીવાલાયક પાણીના જથ્થાનું પ્રમાણ ઘણું ઓછું છે, અને એમાં પણ આપણો દેશ પાણીની તકલીફવાળો દેશ છે. આટલી પ્રાથમિક વિગતો ઊપરાંત એ હકીકત પણ ગયા સપ્તાહે જોઈ કે પાણીના આટલા ઓછા જથ્થા પર શહેરીકરણની વિપરીત અસર થઈ રહી છે. આમ થવાનાં કેટલાંક મુખ્ય કારણો: નૈસર્ગિક રીતે છિદ્રાળુ, પાણી જેમાં ઊતરી જાય એવી જમીનને સ્થાને પાણી ઊતરી ન શકે એવી કોન્‍ક્રિટની સપાટીઓ બની રહી છે. પરિણામસ્વરૂપ પાણી ભરાવાની તેમજ તત્કાળ પૂર આવવાનું જોખમ વધે છે. શહેરી વિસ્તારમાંના પ્રદૂષકો પાણી સાથે ભળે છે. આ ઊપરાંત શહેરીકરણમાં વૃક્ષ તેમજ વનસ્પતિઓનો હટાવવામાં આવે છે, જેને કારણે વનસ્પતિનાં પાંદડામાંથી થતું બાષ્પોત્સર્જન ઘટે છે. વનનાબૂદીને કારણે જમીનનું ધોવાણ થાય છે, જેની સીધી અસર જમીનની જળધારણ ક્ષમતા પર પડે છે. શહેરી વિકાસ યોજનાઓ અંતર્ગત તળાવ તેમજ અન્ય નૈસર્ગિક જળાશયો પુરીને ત્યાં બાંધકામ કરવામાં આવે છે. તળાવ પૂરવામાં ન આવે તો ત્યાં કચરાના ઢગ ઠલવાય છે, અને તે સપાટી પરના તેમજ ભૂગર્ભના જળ પર વિપરીત અસર કરે છે.

    જળજાળવણી નિષ્ણાત અને અર્બન પ્લાનર એવા વિશ્વનાથ શ્રીકાન્‍તૈયાએ બેંગ્લોર શહેરના જળ આયોજન વિશે કેટલીક મહત્ત્વની વાત જણાવી છે. પર્યાવરણ જાળવણી માટેના ત્રણ ‘આર’- રિડ્યુસ,  રિયુઝ અને રિસાયકલ-તેમણે પાણી માટે પણ લાગુ પાડવાનો અનુરોધ કર્યો છે. છે તો આ સાવ સામાન્ય બાબત, પણ તેની પર યોગ્ય ધ્યાન આપવામાં આવે તો જળસંકટને હળવું કરવામાં એ મહત્વની ભૂમિકા ભજવી શકે એમ છે. સૌ પ્રથમ ત્રણ ‘આર’ માટે શાં  પગલાં લેવામાં આવ્યાં એ જાણીએ.

    Rain-Barrel-A-Simple-Rainwater-Harvesting-System
    સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી

    ‘રિડ્યુસ’ એટલે કે ઘટાડવું. પાણીનો ઊપયોગ ઘટાડવા માટે બેંગ્લોરમાં તમામ નિવાસી તેમજ વ્યાપારી સંકુલોમાં નળ પર એરેટર ટેપ તરીકે ઓળખાતો સસ્તો, નાનકડો પૂરજો લગાવવાનું ફરજિયાત કરાવાયું. આનો ફાયદો? નળમાંથી પ્રતિ મિનીટે વહેતો બારથી અઢાર લીટર પાણીનો પ્રવાહ ઘટીને પ્રતિ મિનીટે ત્રણથી છ લીટર થઈ ગયો. આને કારણે અડધાઅડધ પાણીનો વેડફાટ સીધો જ ઘટી ગયો-તેના ઊપયોગમાં કશા સમાધાન વિના!

    ‘રિયુઝ’ એટલે પુનરુપયોગ. મોટા ભાગના ઘરોમાં વપરાશ કર્યા પછી પાણી નકામું વહીને ગટરમાં જતું રહે છે. સાવ જૂજ માત્રામાં હોય એવા આ નૈસર્ગિક સ્રોતનો આ સૌથી મોટો વેડફાટ કહી શકાય. આ પાણીની યોગ્ય ટ્રીટમેન્‍ટ કરવામાં આવે તો તેને ફરી ઊપયોગમાં લઈ શકાય. અલબત્ત, પીવા સિવાયના હેતુઓ માટે. બેંગ્લોરમાં દોઢસોથી વધુ ફ્લેટોમાં સ્યુએજ ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટ થકી ટ્રીટ કરાયેલા પાણીનો ઊપયોગ ફરજિયાત કરવામાં આવ્યો. ટ્રીટ કરેલું પાણી કોઈ પણ શહેર માટે મહત્ત્વની તક બની રહે છે. જેમ કે, ડિશ વોશર, વોશિંગ મશીન અને શાવરમાં ઊપયોગમાં લેવાતા પાણીને ‘ગ્રે વોટર’ કહે છે. જે તે નિવાસી સંકુલમાં આવેલા ટ્રીટમેન્‍ટ પ્લાન્‍ટમાં આ પાણીને ટ્રીટ કરવામાં આવે તો પીવા સિવાયના હેતુ માટે પાણી સુલભ થઈ શકે.

    ‘રિસાયકલ’ એટલે સાવ નકામી થઈ ગયેલી ચીજને ફરી કામમાં લેવી. અનેક ઔદ્યોગિક સંકુલમાં રોજેરોજ પાણીના અઢળક જથ્થાની જરૂર પડે છે. વિવિધ એપાર્ટમેન્‍ટ પોતાને ત્યાં ટ્રીટ કરેલું પાણી ઉદ્યોગોને વેચી શકે એવી પરવાનગી આપવામાં આવી છે. આવું ટ્રીટ કરેલું પાણી નદી, તળાવ, ઝરણાં કે આર્દ્ર ભૂમિમાં છોડવામાં આવે તો તેનું સ્તર વધે, અને ભૂગર્ભજળમાં પણ વધારો થાય. શહેરની બહારના વિસ્તારના ખેડૂતોને પણ ટ્રીટ કરેલું પાણી પૂરું પાડી શકાય, જેથી ખેડૂતોને પાણીની ચિંતા ન રહે અને બેંગ્લોરના રહેવાસીઓની અન્નની સલામતિ પણ સુનિશ્ચિત બને.

    વિશ્વનાથના જણાવ્યા અનુસાર હવે સ્યુએજના નેટવર્કમાં રોકાણ કરવાની જરૂર છે, જેથી ‘ગ્રે વોટર’ના એકે એક ટીપાનો સંગ્રહ કરીને તેને ટ્રીટ કરી શકાય અને ઊપયોગમાં લઈ શકાય. અત્યારના તેમના દાવા અનુસાર બેંગ્લોર હાલ રોજના બસો કરોડ લિટર પ્રતિ દિન પાણીને ટ્રીટ કરતું વિશ્વનું બીજા નંબરનું શહેર છે,  જેના થકી પાંચસો જેટલા ખેડૂતો અને 64 હજાર જેટલા ખેડૂતોને એ પહોંચાડવામાં આવે છે. અગિયાર લાખ હેક્ટર જમીન આને કારણે ખેતીલાયક બની રહી છે, જેને કારણે ખેડૂતોને પાણીની તેમજ હવામાનની નિરાંત થઈ છે, અને શહેરને અન્નનો પૂરતો પુરવઠો મળવાનું સુનિશ્ચિત થઈ શક્યું છે.

    હવે બેંગ્લોરમાં ઊનાળાના મહિનાઓમાં જળાશયોમાં ટ્રીટ કરેલું પાણી પૂરું પાડવામાં આવે છે, જેને કારણે ભૂગર્ભજળનું સ્તર ઊંચું આવે છે. એપાર્ટમેન્ટ તેમજ અન્ય મોટાં કેન્‍દ્રોમાં જળસંચયને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. હવે બગીચાઓમાં તેમજ અન્ય ખુલ્લાં સ્થાનોમાં પાણીને રિચાર્જ કરવા માટેનાં સ્થાન બનાવવાનું આયોજન છે, જેનો ઊપયોગ જળસંચય માટે થશે.

    અલબત્ત, આયોજન અને અમલની સરખામણીએ વસતિવધારો અનેકગણો ઝડપી હોય છે. આથી વખતોવખત જળસંકટ ઊભું થવાની શક્યતા નકારી શકાય એમ નથી. આમ છતાં, આ બાબતે નાગરિકોને જાગ્રત કરવામાં આવે, તેમને આ મુદ્દે કેળવવામાં આવે તો સાચી દિશામાં ભરાયેલું એક યોગ્ય કદમ એ બની રહેશે એમાં શંકા નથી.

    કેવળ બેંગ્લોર જ શા માટે? આ સમસ્યા લગભગ દરેક શહેરોની છે, અને આજે જ્યાં એ નથી ત્યાં કાલે સર્જાવાની જ છે. આ મામલે નાગરિકો જાગૃતિ દાખવે અને તેઓ આગળ આવે એ આદર્શ રસ્તો છે. એ જ રીતે શાસન પણ સુયોગ્ય આયોજન કરીને આગળ વધે તો ધાર્યું કામ કરી શકાય.

    અલબત્ત, આપણી રાષ્ટ્રીય આદત અનુસાર આવાં આયોજનો ભ્રષ્ટાચાર માટે એક નવી બારી ખોલી આપે તો પણ નવાઈ નહીં! પક્ષાપક્ષીથી પર રહીને ખરેખરા વિકાસનું આયોજન આપણા દેશમાં થઈ શકે એ વાત સ્વપ્ન સમી ભાસે છે. છતાં આશા રાખી શકાય કે જીવનમરણનો પ્રશ્ન આવે ત્યારે નાગરિકો એક થઈને એ બાબતે વિચરતા થશે!


    ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧-૦૭– ૨૦૨૫ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)