વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ફિલસુફીભર્યા ગીતો – ૧૪ – ज्योत से ज्योत जलाते चलो

    નિરંજન મહેતા

    ૧૯૬૪ની ફિલ્મ ‘સંત જ્ઞાનેશ્વર’નુ ગીત છે

     

    ज्योत से ज्योत जलाते चलो प्रेम की गंगा बहाते चलो
    राह में आये जो दीनदु:खी सब को गले से लगते चलो

     

    कौन है ऊंचा कौन है नीचा सब में वोही समाया
    भेदभाव के जुठे भरम में ये मानव भरमाया
    धरम धजा धरम धजा फहराते चलो
    प्रेम की गंगा बहाते चलो

     

    सारे जग के कण कण में है दिव्य अमर एक आत्मा
    एक ब्रह्म है एक सत्य है एक ही है परमात्मा
    प्राणों से प्राण प्राणों से प्राण मिलाते चलो
    प्रेम की गंगा बहाते चलो

    સાઈઠ વર્ષ જુના આ ગીતમાં જે ફિલસુફી વ્યક્ત થેઈ છે તે સાંપ્રત સમાજમાં જે ભેદભાવ અને નફરતતા પ્રવર્તે છે તેને બરાબર લાગુ પડે છે.

    આ ગીતમાં ઉચ્ચ કોટિની ફિલોસોફી દર્શાવાઈ છે. કહ્યું છે કે ज्योत से ज्योत जलाते चलो. એટલે કે જ્ઞાનરૂપી જ્યોતને ફેલાવતા રહો. અજ્ઞાનીને જ્ઞાન આપતા રહો અને એ રીતે પ્રેમની ગંગા અવિરત રાખો.

    આ જગતમાં કોઈ ઉચ્ચ નથી અને કોઈ નીચું નથી. બધા માનવીઓ એક સમાન છે પણ આપણે જ ઊંચનીચનો આ ભેદભાવ બનાવ્યો છે અને આ બધું જગતની મોહમાયાને કારણે થઇ રહ્યું છે. આ એક ભ્રમ છે અને આપણે તે ભ્રમમાં ભરમાઈ ગયા છીએ. ધર્મને આપણે વિસરી ગયા છીએ માટે તેની ધજા ફરકાવવી જરૂરી છે અને તેથી તેમ કરતા રહો.

    એ તો સર્વેને ખબર છે કે ઈશ્વર એક છે પણ તે હવે જુદા જુદા નામે અને સ્વરૂપે પૂજાઈ રહ્યો છે. એટલે જ ગીતમાં કહ્યું છે કે આ જગતના કણ કણમાં એક દિવ્ય અને અમર આત્મા વસેલો છે. એ જ એક બ્રહ્મ છે, એક જ પરમાત્મા છે અને આ જ સત્ય છે. એટલે જ એકબીજા સાથે તાલમેલ રાખો અને પ્રેમની ગંગા વહાવતા રહો.

    ગીતકાર ભરત વ્યાસ અને સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ. ગાયિકા લતાજી. આ ગીત મુકેશના સ્વરમાં પણ મુકાયું છે.


    Niranjan Mehta

    A/602, Ashoknagar(old),
    Vaziranaka, L.T. Road,
    Borivali(West),
    Mumbai 400091
    Tel. 28339258/9819018295
    વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com
  • માથું બોડકુ પણ દેખાવે ભભકાદાર પહાડી ગીધ

    ફરી કુદરતને ખોળે

    જગત કીનખાબવાલા

    ગરુડ/ ઇગલ જેવું માથું અને સિંહ જેવી કેશવાળી વાળું ભપકાદાર પક્ષી એટલે પહાડી ગીધ. માથુ  અને ગળુ બોડકુ પીળા રંગનું પીંછા વિનાનું તેમજ આછી રૂંવાટી વાતેવું દેખાય છે અને તેઓનું પીંછાળું ગળુ જે રંગે રંગે મેલું સફેદ – ભૂખરું હોય છે. તેઓના બચ્ચા બિલકુલ બોડકા જન્મે છે. તેઓની પાંખો ખુબ પહોળી ખુલે છે અને પૂંછડીના પીંછા ખુબ ટૂંકા હોય છે. ચાંચ ચમકીલી પીળી હોય છે અને માથું સફેદ હોય છે.

    Himalayan Griffon Vulture *પહાડી ગીધ/ Gyps fulvus /
    કદ: ૪૦ ઇંચ થી ૪૮ ઇંચ – ૧૧૦ સે.મી. થી ૧૧૨ સે.મી. / વજન: સરેરાશ ૭ કિલોગ્રામ / પાંખનો ફેલાવો: ૭.૫ –૯.૨ ફૂટ

    સામાન્ય સંજોગોમાં તેઓનું સરેરાશ વજન ૭ કિલોગ્રામ સુધી હોય છે. કેટલાક પાળેલા અને ખુબ લાંબુ જીવેલા આવા પહાડી ગીધનું વજન ૧૫ કિલોગ્રામ સુધી ભારેખમ જોવા મળેલ છે. સામાન્ય રીતે સરેરાશ ૪ થી ૭ વર્ષ નું આયુષ્ય ધરાવે છે. બંધિયાર અવસ્થામાં તે ૪૧ વર્ષ જેટલું ખુબ લાંબુ જીવ્યાની નોંધ છે.

    પહાડી ગીધની ગુજરાતમાં જે જાતિ છે તે ઉત્તર ગુજરાતમાં પાલનપુર પાસે બનાસકાંઠામાં અને કચ્છના મોટા રણમાં  જોવા મળે છે.

    મૃત પશુપક્ષીનું માંસ તે તેમનો મુખ્ય ખોરાક છે. આવો ખોરાક ખાતી વખતે તેઓ ગળામાંથી ઘેરો અવાજ પણ કાઢે છે અને તેવી રીતે તેમની ખાસિયત પ્રમાણે જ્યારે પોતાના બચ્ચાને ખવડાવે ત્યારે પણ આવો ઘેરો અવાજ કાઢતા હોય છે.

    મુખ્ય રંગ બદામી હોય છે. તેની ડોક લાંબી હોય છે. માથું અને ડોક બોડકા હોય છે જેમાં પીંછા ન હોય પરંતુ રૂંવાટી હોય છે. આ પ્રકારનો દેખાવ ભાગ્યેજ બીજા પક્ષીમાં જોવા મળે છે. તેઓની છાતી અને પેટાળ આચ્છા ગુલાબી રંગના બદામી ઝાંયવાળા હોય છે. ડોકમાં ફરતે સુંદર ભૂખરા અને મેલા દેખાતા સફેદ રંગના પીંછાનો બનેલો પટ્ટો ફરતો હોય છે, જાણે કે તેણે પીંછાનું દેખાવડુ રુંવાવાળું મફલર પહેર્યું હોય! પગ લીલાશ ઉપર પીળી ઝાંય વાળા હોય છે. ચાંચ સુંદર પીળા રંગની હોય છે. ઊડતી વખતે પાંખોનો વ્યાપ ઘણો મોટોત હોય છે અને તે સમયે પાંખોના નીચેના ભાગમાં ઉડવાના પીછાનો ઘેરો રંગ ખુબજ વિવિધતા સભર દેખાવ ઉભો કરે છે.

    મૃત પશુપક્ષીનું માંસ તેમનો મુખ્ય ખોરાક હોઈ તેઓ સમાજ માટે બહુ અગત્યનું સફાઈ કામદારનું કામ કરે છે. જયાં ખોરાક મળી રહેતો હોય તેને ધ્યાનમાં રાખીને તેવા ખુલ્લા વિસ્તારથી ઘણે દુરદુર પોતાની વસાહત કુળના સભ્યો સાથે માનવ વસાહતની ડખલ ના હોય તેવા ભેખડોવાળી અને ઊંચા પથરાળ વિસ્તારમાં બનાવે છે. તે જ્યાં વસેલા હોય તેવા વિસ્તારનું સ્થાનીય પક્ષી છે.

    આવા પથરાળ વિસ્તારમાં ભેખડો, પથ્થરમાં મોટી તિરાડ અથવા ગુફા જેવી જગ્યાઓમાં સલામત લાગતી જગ્યાએ પોતાનો માળો બનાવે છે. તેઓ પોતાના સાથીને જીવનભર વફાદાર રહે છે. માદા પ્રજનનની ઋતુમાં એક ઈંડુ મૂકે છે. લગભગ ૫૭ થી ૬૦ દિવસમાં ગુલાબી ઝાંયવાળા ઇંડામાંથી બચ્ચું બહાર આવે છે. બચ્ચું પોતાના પગ ઉપર લગભગ ૧૪૦ દિવસમાં સ્વતંત્ર થઇ જાય છે.

    વિવિધ પ્રકારના ઉડાન અને તેના નિયમનનો કાર્યક્ષમ વૈજ્ઞાનિક અભ્યાસ કરવા માટે પહાડી ગીધના ઉડાનનો અભ્યાસ કરવામાં આવે છે. ઉડાનના અભ્યાસ માટે તેમને આદર્શ જીવ ગણવામાં આવે છે. પહાડી ગીધની ખાસિયત છે કે તે ગરમ પવનની લહેરોનો નહિ પરંતુ તેમના બોડકા માથાનો અને ડોકનો હવા સરળતાથી કાપવા માટે ઉપયોગ કરે છે.આ રીતે બંને ઠંડી અને ગરમ ઋતુમાં તેમની ડોકને ઋતુ પ્રમાણે અને બદલાતા તાપમાન પ્રમાણે જરૂરી જુદાજુદા વળાંક/ મુદ્રા આપે છે જેનાથી તેમની શક્તિ ઓછી વપરાય છે.

    ખુબજ ગરમ દિવસોમાં અને તે પ્રમાણે ઠંડા દિવસોમાં તેમના શરીરની અંદરનું તાપમાન અને બહારના તાપમાનને અનુકૂળ કરી તેમના શરીરનું પાણી અને શક્તિ ઓછી વપરાય તે રીતે તેમનું શરીર અનુકૂળ બનાવે છે. તેમના ઉડાનના આવી લાક્ષણિકતાના વૈજ્ઞાનિક અભ્યાસ ઉપરથી  એરોપ્લેન જેવા વાહનની બળતણ ખર્ચ ઓછો કરવા માટેનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરાય છે.

    તેમની શ્વાસ લેવાની ક્ષમતા કાબેલિયત પણ આગવી છે. ખુબ લાંબી ઉડાન બાદ તેમની શ્વાસ લેવાની સામાન્ય ગતિ પાછી વધુમાં વધુ ફક્ત ૧૦ મિનિટમાં થઇ જાય છે.

    તેમની વસાહત ઉજાડી નાખવી, ખોરાકનો અભાવ, મરેલા ઢોર જે તેમનો મુખ્ય ખોરાક છે તે વહેલા સાડી જાય માટે તેની ઉપર ઝેરી દવાનો છંટકાવ કરવો જેવા કારણોસર તેમનું અસ્તિત્વ જોખમમાં છે. ૨૦૦૪ ના સમયે લગભગ નહિવત સંખ્યામાં બચ્યા હતા. ૨૦૧૨માં તેઓનું અસ્તિત્વ ખુબજ જોખમમાં જોવાયું છે તેવી નોંધ છે.  મુખ્યત્વે માનવીને કારણે તેમનું અસ્તિત્વ જોખમમાં આવી ગયું છે.

    હિમાલયન ગીધ તેના નામ પ્રમાણે તે હિમાલયમાં તેમજ તેની ભારતથી ઉપ્પરે તિબેટમાં વસેલા છે. હિમાલયન ગીધ ખુબજ કદાવર હોય છે અને હિમાલયમાં તેનાથી મોટું કોઈ પક્ષી નથી. તેવી રીતે તેનું વજન પણ ખુબ હોય છે. તેઓનું સરેરાશ વજન ૯ કિલોગ્રામ જેટલું હોય છે અને ૧૨ કિલોગ્રામ જેટલા વજનની નોંધ જોવા મળે છે. તડકો ખાવા ઊંચા પહાડ ઉપર બેઠેલા જોવા મળે છે. સામાન્ય રીતે ૧૮૦૦૦ ફૂટની ઊંચાઈ સુધી હિમાલયમાં ઉડતા જોવા મળે છે.

    હિમાલયન ગીધ ભારત ઉપરાંત ભૂતાન, નેપાળ, અફઘાનિસ્તાન, કઝાકિસ્તાન, ઈરાન, મોંગોલિયા અને ચીનમાં જોવા મળે છે. તેમના આ બધાજ વિસ્તારનો એક ભૌગોલિક પ્રદેશ છે જે એક બીજાથી નજીક નજીક છે.


    (ફોટોગ્રાફ: શ્રી સેજલ શાહ ડેનિયલ / શ્રી વનિત ડેનિયલ/ શ્રી કિરણ શાહ)


    *આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

    *સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

    *Love – Learn  – Conserve*


    લેખક:

    જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
    https://www.facebook.com/jagat.kinkhabwala
    ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
    Mob. No. +91 98250 51214

  • વનવૃક્ષો : કૉઠી

    ગિજુભાઈ બધેકા

    ઝુમ્મરને નાના નાના ગોળાઓ ટાંગે તેમ કયા ઝાડ ઉપર એનાં ગોળ ફળ લટકી રહેલાં હોય છે ?

    ત્યારે કયા ઝાડનું ફળ કાચું હોય તો ખાટું ને પાકું હોય તો ખટમધુરું લાગે છે ?

    કયા ઝાડના ફળના અંદરના ગરની મધુર મીઠી ચટણી થાય છે ?

    ત્યારે કયું ફળ આખું ને આખું દેવતામાં નાખી શેકે તો ફડાક કરતું ફાટે ને અંદરનો ગર છોકરાં ખાઈ જાય ?

    ત્યારે કયા ઝાડનાં પાકેલાં ફળનો મુરબ્બો થાય ? ને પાકાં ફળનું સાર ને ચટણી થાય ?

    આનો જવાબ મને આપશો ? આ ફળવાળું ઝાડ દક્ષિણ ને ગુજરાતમાં થાય છે; એની ચટણી તમે ખાધી છે; એને તમે જોયું છે; શાકપીઠમાં એનાં ફળ મળે છે; બે અક્ષરનું એનું નામ છે. પહેલા બે અક્ષરનો કાનો માત્રા ટૂંકા કરી બોલીએ તો દાણા ભરવાની કોઠી થાય છે.

    વરતી જાઓ જોઈએ ?


    માહિતી સ્રોત : વિકિસ્રોત

  • પાણીને પથ્થરનો અવરોધ નડે તો પાણી રસ્તો કરી લે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ફ્રાન્‍સના કાન્‍સ શહેરમાં દર વર્ષે યોજાતો ફિલ્મોનો મહોત્સવ ‘ફેસ્ટીવલ દ કાન્‍સ’ યુરોપમાં યોજાતા ત્રણ મહત્ત્વના ફિલ્મોત્સવ પૈકીનો એક છે. બાકીના બે ફિલ્મોત્સવ વેનિસ અને બર્લિનમાં યોજાય છે. ૧૯૪૬થી સાતત્યપૂર્વક યોજાતા રહેલા આ ફિલ્મોત્સવમાં વિશ્વભરના દેશોમાંથી નામાંકન મોકલવામાં આવે છે, અને તેમાં ફિલ્મ પસંદગી પામે તો એ પ્રતિષ્ઠિત સન્માન ગણાય છે. ભૂતકાળમાં ભારતમાંથી ‘નીચા નગર’(૧૯૪૬), ‘દો બીઘા જમીન’(૧૯૫૪), ‘બૂટપોલિશ’(૧૯૫૫), ‘પાથેર પાંચાલી’(૧૯૫૬), ‘મસાન’(૨૦૧૫) જેવી ફિલ્મોને આ મહોત્સવમાં વિવિધ શ્રેણીનાં સન્માન પ્રાપ્ત થયાં છે. સ્વાભાવિકપણે જ જે તે દેશ માટે એ ગૌરવની બાબત ગણાય.

    પણ ઈરાનમાં આનાથી ઉંધું બન્યું. ૨૦૨૨માં યોજાયેલા કાન્‍સ ફિલ્મોત્સવમાં ઈરાનની એક ફિલ્મ ‘લૈલાઝ બ્રધર્સ’ પ્રદર્શિત કરાઈ હતી, જેના નિર્માતાઓ હતા સઈદ રૌસ્તાઈ અને જવાદ નૂરુઝબૈગી. સઈદ તેના દિગ્દર્શક પણ હતા. કૌટુંબિક પૃષ્ઠભૂમિનું કથાવસ્તુ ધરાવતી આ ફિલ્મના નિર્માતાઓ પર ઈરાનની સરકાર રોષે ભરાઈ છે. આ ફિલ્મને સરકારની મંજૂરી વિના પ્રદર્શિત થવા માટે મોકલવામાં આવી હતી એમ જણાવીને સરકારે બન્ને નિર્માતાઓની ધરપકડ કરી છે અને તેમને છ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. તેમની પર ‘ઈસ્લામી પ્રણાલિ વિરુદ્ધ થઈ રહેલા વિરોધીઓના પ્રચારમાં મદદરૂપ થવાનો’ આરોપ છે.

    Leila's Brothers (2022) - IMDb
    તસવીર નેટ પરથી સાભાર

    એ હકીકત છે કે કાન્‍સ ફિલ્મોત્સવમાં પ્રદર્શન માટે મોકલવામાં ઈરાની સરકારની મંજૂરી મેળવવામાં ન આવી હતી. સઈદના જણાવ્યા અનુસાર સાંસ્કૃતિક મંત્રાલય દ્વારા ફિલ્મનાં ‘સૌથી અગત્યનાં દૃશ્યો’માં જ કાપકૂપ સૂચવાઈ હતી. સરકારની પરવાનગી વિના ફિલ્મને મોકલવામાં આવે તો એ કંઈ એટલો ગંભીર અપરાધ બનતો નથી. વધુમાં આ ફિલ્મનું નામાંકન ત્રણ શ્રેણીમાં કરાયું હતું, જેમાંથી બે પારિતોષિક તેને પ્રાપ્ત થયા છે. આથી ઈરાન માટે એ આનંદની વાત ગણાવી જોઈએ. તેને બદલે બન્ને નિર્માતાઓને દોષી ઠેરવવામાં આવ્યા છે. કેમ કે, સરકારને પેટમાં કંઈક બીજું જ દુ:ખે છે. મહોત્સવમાં પોતાની ફિલ્મને પ્રાપ્ત થયેલું પારિતોષિક સ્વીકારતી વખતે વિશ્વભરના દર્શકો સમક્ષ સઈદે નાનકડું વક્તવ્ય આપ્યું હતું. મે, ૨૦૨૨માં ઈરાનના આબાદાન શહેરમાં ધરાશાયી થઈ ગયેલી દસમજલી ઈમારત અને તેને પગલે થયેલી જાનહાનિ અંગે તેમણે આ વક્તવ્યમાં વાત કરી હતી. આ ઈમારતના બાંધકામ સાથે સત્તાવાળાઓ સંકળાયેલા હતા, અને તેમની વિરુદ્ધ ઠેરઠેર દેખાવ કરવામાં આવ્યા હતા. આવી દુર્ઘટના કંઈ પહેલી વારની નહોતી. આ કારણે સઈદે તેની રજૂઆત આંતરરાષ્ટ્રીય સમુદાય સમક્ષ કરીને ઈરાનની અસલિયત દર્શાવવાનું પગલું ભર્યું. તેના પ્રત્યાઘાત તરીકે ૨૦૨૨ના જૂનમાં જ આ ફિલ્મની રજૂઆત પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો.

    હોલીવુડના ખ્યાતનામ નિર્માતા, દિગ્દર્શક, પટકથાલેખક અને અભિનેતા માર્ટિન સ્કોર્સેઝેએ આ નિર્માતાબેલડીને ‘ન્યાય મળે’ એ માટે પીટિશન કરીને સૌને તેમાં સહી કરવાની અપીલ કરી છે. એક સ્થાનિક ઈરાની અખબારના અહેવાલ અનુસાર: ‘આરોપીઓ પ્રચારના પ્રભાવ તળે, નાણાં અને પ્રસિદ્ધિની લ્હાયમાં સત્તાવિરોધી તત્ત્વો સાથે મળી ગયેલા છે.’ એક ઈરાની ફિલ્મનિર્માતાએ પોતાનું નામ દીધા વિના એક અખબારને જણાવ્યું હતું કે સઈદને થયેલી સજાને કારણે ઈરાની સિનેમા બિરાદરીમાં વ્યાપકપણે ચિંતા પ્રસરી ગઈ છે.’ આ નિર્માતા દ્વારા પોતાનું નામ જાહેર ન કરવાનું કારણ પણ પોતાની સલામતિનું જ હતું. તેમણે કહ્યું, ‘અમને લાગે છે કે પ્રતિબંધ અને અંકુશોની એક નવિન પદ્ધતિનો ઉદય થઈ ચૂક્યો છે.’ એકાદ વરસ પહેલાં સરકાર વિરુદ્ધ વ્યાપક પ્રમાણમાં વિરોધ ફાટી નીકળ્યો હતો. તેની પ્રથમ વાર્ષિક તિથિ સપ્ટેમ્બર, ૨૦૨૩માં આવી રહી હોવાથી ઈરાનની સરકાર મતભેદ અને પોતાની ટીકા બાબતે વધુ પડતી સંવેદનશીલ બની રહી જણાય છે.

    ઈરાનમાં કટ્ટરવાદ અને મુક્ત અભિગમ વચ્ચેનો સંઘર્ષ સતત ચાલતો આવ્યો છે, જેમાં કટ્ટરવાદનું પલ્લું હંમેશાં નમતું રહ્યું છે. ઈરાની ફિલ્મોની એક આગવી શૈલી છે, જેનો પોતાનો અલાયદો પ્રશંસક વર્ગ છે. સ્વતંત્રતાની અભિવ્યક્તિના મહત્ત્વના માધ્યમ કહી શકાય એવા સિનેમાની અસર જનસમૂહ પર ઘણી પડતી હોય છે. અલબત્ત, તપાસ કરતાં જણાશે કે આ અસર ચિરંજીવ બની રહેતી નથી. આમ છતાં, સરકારોને એવો ભય સતાવતો રહે છે કે ફિલ્મો પોતાની વિરુદ્ધ જુવાળ પેદા કરી શકે એમ છે. તેઓ આ બાબતે કોઈ જોખમ લેવા નથી માંગતા, આથી ઘણાખરા કિસ્સામાં તેઓ રજ્જુસર્પભ્રાંતિનો ભોગ બને છે.

    થોડા વખત અગાઉ ઈરાની ફિલ્મનિર્માતા અસગર ફરહાદીએ કહેલું, ‘કળાનો પાબંદી સાથે થતો ટકરાવ પાણીના પથ્થર સાથે થતા ટકરાવ જેવો હોય છે. છેવટે પાણી કોઈ પણ રીતે પોતાનો રસ્તો કરી લે છે.’ આ ઉદાહરણ ‘લૈલાઝ બ્રધર્સ’ના નિર્માતાઓને લાગુ પાડી શકાય. ઘરઆંગણે તેમની સર્જકતાની અભિવ્યક્તિને રુંધવામાં આવી તો તેમણે વિશ્વને આંગણે એ કરી દેખાડી.

    ફિલ્મ પરનાં નિયંત્રણ બાબતે ભારતની શી સ્થિતિ છે? ‘વિવિધતામાં એકતા’ જેની વિશેષતા ગણાતી એવા આપણા દેશમાં અનેક સમુદાયો કોઈ ફિલ્મની રજૂઆત પછી પોતાની લાગણી દુભાવા માટે તત્પર બેઠા છે. ‘નૈતિકતાના રખેવાળો’ કોઈ દેવીદેવતાનું ફિલ્મમાં અવમૂલ્યન ન દેખાડાય એની ચોંપ રાખતા ફરે છે, કેમ કે, એ કૃત્યનો એકાધિકાર એમનો એકલાનો છે. સેન્‍સર બૉર્ડ સત્તાતંત્રને અનુકૂળ આવે એ રીતે કાપકૂપ સૂચવતું રહે છે. પણ મોટે ભાગે તો ‘નૈતિકતાના રખેવાળો’ જ સેન્‍સર બૉર્ડની ભૂમિકા ભજવતા રહે છે. આ બધું હોવા છતાં એટલું અવશ્ય કહી શકાય કે ઈરાન જેવી પરિસ્થિતિ હજી સુધી આપણે ત્યાં ઊભી નથી થઈ. આ આશ્વાસન કંઈ જેવુંતેવું છે?


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૩૧ – ૦૮ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • પરમ સૌંદર્ય

    હકારાત્મક અભિગમ

    રાજુલ કૌશિક

    કવિ કલાપીની એક સુંદર કવિતા –

    “સૌંદર્યો ફેડફી દેતા ના સુંદરતા મળે,
    સૌંદર્ય પામતા પહેલા સૌંદર્ય બનવું પડે”…

    આ વાતને ફેર એન્ડ લવલીની એડવર્ટાઇઝ સાથે કોઇ સંબંધ નથી. આ તો વાત છે આંતરિક સૌંદર્યની, પરમાત્મમા સાથે જોડી દે એવા મનના અને આત્માના સૌંદર્યની.

    વાત છે અહીં કવિવર શ્રી રવિન્દ્રનાથ ટાગોરના સ્વાનુભવની…માંડીને વાત કરીએ તો ટાગોરને હાઉસબોટમાં રહીને સમય પસાર કરવો અત્યંત ગમતો.

    આવી રીતે એક વાર હાઉસબોટમાં પૂનમની રાતે સૌંદર્ય એટલે શું એ જાણવા કવિવર સૌંદર્યશાસ્ત્રનું કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા. ચારેબાજુ નિતાંત શાંતિ હતી. પૂનમની રાત હતી, ચાંદની જાણે સરોવરને ઉજાળી રહી હતી. દૂધમલ પ્રકાશમાં સરોવરના શાંત પાણી અને જરા અમસ્તો પવનનો સરસરાટ ચિત્તને પ્રસન્નતા આપી રહ્યા હતા. થોડા સમય પછી એમને જરા આરામ કરવાની ઇચ્છા થઈ એટલે એમણે હાઉસબોટમાં બેઠા હતા ત્યાં મીણબત્તી ઓલવી નાખી.

    કવિવર બેઠા હતા ત્યાં પ્રકાશ રેલાવતી નાનકડી અમસ્તી મીણબત્તી શું ઓલવી કૅબિનની બારીઓ અને બારણામાંથી પૂનમની ચાંદની રેલાઇ ગઈ અને કવિવર પણ જાણે મનથી ઝળહળ.. “અરે ! તો એ આ મીણબતી હતી જેના પ્રકાશે આ ચાંદનીના ઉજાસને બહાર જ રોકી રાખ્યો હતો.”

    હવે કવિવરનું અનુસંધાન સીધુ જ પ્રકૃતિ સાથે જોડાઇ ગયું. હવે એમની નજર ચારેકોર વેરાયેલી સુંદરતા પર ગઈ. આસમાનથી માંડીને સરોવરના શાંત પાણી સુધી રેલાયેલા ધવલ ઉજાસે એમનું મન પણ જાણે પ્રકાશિત- પાવન થઈ ગયું.

    એમણે આ સુંદરતાને મન ભરીને માણી અને પોતાની ડાયરીમાં નોંધ કરી. “ આપણે કેવા મૂર્ખ છીએ ! આપણે સૌંદર્યની શોધ પુસ્તકમાં કરીએ છીએ અને ખરેખર તો સુંદરતા બારણાની બહાર ઊભી આપણી વાટ જુવે છે. આપણે એક નાનકડી મીણબત્તીના પ્રકાશમાં આપણી જાતને બાંધી રાખીએ છીએ જે બહારના ઉજાસને જ રોકી રાખે છે ?

    કવિવરે આ અનુભવને કંઇક આવી રીતે વર્ણવ્યો છે..“ આપણો આ નાનકડો અહમ ઈશ્વરને જ આપણી ભીતર આવતા રોકી રાખે છે. મીણબત્તીનો ઝાંખો પ્રકાશ જેમ બહારની ચાંદનીને બહાર જ રોકી રાખે તેમ આપણો અહમ ઈશ્વરના દિવ્ય પ્રકાશને આપણા સુધી પહોંચવામાં આડખીલી બને છે. જરૂર છે પુસ્તકીય જ્ઞાનનો આશરો લેવાના બદલે અહમની મીણબત્તી ઓલવીને ભીતરથી બહાર આવવાની, ભીતરથી બહાર આવીને સીધા જ એ પરમ સૌંદર્યને પામવાની.

    કવિવરે કેવી સરસ વાત કરી !  આ આપણા મનની ભીતરનો અહમ જ તો છે જે આપણને સત્ય સુધી પહોંચવા નથી દેતો. આપણા મનની ગ્રંથીઓ, આગ્રહો કે પૂર્વાગ્રહોથી જો આપણી જાતને વેગળી રાખી શકીએ તો તો સત્યમ, શિવમ, સુંદરમ સુધી પહોંચી શકીએ. પરમ તત્વ, પરમ ઉજાસ સાથે અનુસંધાન માટે સૌથી જરૂરી છે બંધિયાર માનસિકતાની મીણબત્તી ઓલવવાની.


    સુશ્રી રાજુલબેન કૌશિકનો સંપર્ક rajul54@yahoo.com વિજાણુ સરનામે થઈ શકે છે.

  • શિખરનો, ધજાનો, ગભારાનો જાદૂ

    પારુલ ખખ્ખર

    પહેલી જૂનની એ માદક સવારે ૫.૩૦ વાગ્યે એલાર્મ ક્લોકે મદમસ્ત ટહુકો કર્યો અને હું આળસ મરડી તંબુમાંથી બહાર આવી. આસપાસનાં તંબુઓમાં પણ ચહલપહલ શરુ થઈ ગઈ હતી. દેશનાં જુદાજુદા ભાગમાંથી અમે પચાસ ફેમિલી કુલુ પાસેના આ નાનકડા ગામ કટ્રેઇન ખાતે આવેલ બેઝ કેમ્પમાં ફેમિલી ટ્રેકિંગ માટે ભેગા થયાં હતાં. આજે ટ્રેકીંગનો ત્રીજો દિવસ હતો.

    મેં બ્રશ કરતાં કરતાં તંબુ પાસે જ ઊભા રહી ફરી એકવાર આ મનોરમ્ય સ્થળને નજરથી પીવાનો પ્રયત્ન કર્યો.. આછું આછું અજવાળુ હતું. વાતાવરણમાં રેશમી ઠંડક હતી. ચારેફરતા પર્વતો અને પર્વતો પર વૃક્ષો જાણે અદબ વાળીને અમારી ગતિવિધીઓનું નિરીક્ષણ કરતાં હોય તેમ શિસ્તમાં ઊભા હતાં. અમારા તંબુની હારમાળાની સામે જ એક પાક્કો ઓરડો હતો જેની બહાર ખુલ્લી જગ્યામાં શિવલિંગ વિરાજમાન હતું. આસપાસની ક્યારીઓમાંના નાહીધોઈને તાજાં થયેલાં રંગબેરંગી ફૂલો જાણે મારી સામે જોઈ મશ્કરી કરતાં હતાં અને મને નહાવા જવા માટે ઉશ્કેરતાં હતાં.મેં ફરી એક વખત આખાયે પરિસર પર નજર ફેરવી. સફરજનનાં આ બગીચામાં પ્રકૃતિએ પોતાનું સૌંદર્ય ઉદારતાથી પ્રગટ કરી દીધું હતું પરંતુ અત્યારે એનો લહાવો લેવા માટે મારી પાસે સમય ન હતો.

    ચા-નાસ્તાનો બેલ પડ્યો ત્યાં સુધીમાં અમે ફટાફટ નાહીધોઈને તૈયાર થઈ ગયાં હતાં. કીચનની બાજુમાં ખોરાકની શોધમાં ગિરનારી કાગડાઓ ચકરાવા લેવા લાગ્યા હતા. અમારી આસપાસ લલચામણાં લીલાં-લીલાં સફરજન  આછા અજવાળામાં ચમકી રહ્યાં હતાં. અમે ચાની ચુસ્કી સાથે એની લીલી ચમકને પી લીધી અને આજના સ્થળે જવા માટે બસ તરફ આગળ વધ્યાં. અમારા આશ્ચર્ય વચ્ચે બસમાં આજે માત્ર બાવીસ જ શિબીરાર્થીઓ હતાં. તપાસ કરતાં જાણવા મળ્યું કે આજે ‘બિજલી મહાદેવ’ જેવા મુશ્કેલ પોઇન્ટ પર જવાનું હોવાથી લોકોએ ત્યાં આવવાનું ટાળ્યું હતું. જોકે ત્રણ કિલોમીટર ઉપર ચડવાનું સાંભળીને મારા પણ ગાત્રો ઢીલા તો પડ્યાં પરંતુ મનોમન ખોંખારો ખાઈને બોલી લીધું ‘હિંમતે મર્દા (અને ઓફકોર્સ જનાના પણ..) તો મદદે ખુદા’.

    અહીંયા આવતાં પહેલાં મિત્રોએ ખાસ આગ્રહ કર્યો હતો કે બિજલી મહાદેવ તો જરુર જજો તેથી આ સ્થળનું આકર્ષણ વધી ગયું હતું. આમ તો બિજલી મહાદેવ વિશે ઘણું સાંભળ્યું હતું પરંતુ આજે એનો સાક્ષાત્કાર કરવાની ક્ષણો આવી હતી. આંખમાં ઉત્કંઠા આંજીને અમે બસમાં બેઠાં. આસપાસની હરીયાળીનું દર્શન કરાવતી બસ ચાલતી રહી.એકાદ કલાક બાદ ગંતવ્ય સ્થાને પહોંચ્યા.

    સાવ નાનકડી કેડી જેવી જગ્યાએથી ઉપર જવા માટેના દાદર શરુ થતાં હતાં. મનમાં થયું કે ‘આતો ઘરનાં દાદર ચડતાં હોઈએ એટલું સહેલુ છે. લોકો નકામા ડરાવતાં હતાં!.’ અમે ભગવાન ભોલેનાથનું નામ લઈ દાદર ચડવાનું શરુ કર્યુ. આ રહેણાક વિસ્તાર હોવાથી સ્થાનિક લોકોની અવરજવર પણ હતી. થોડા થોડા અંતરે એકાદ મકાન આવી જતું હતું. સવારનો સમય હોવાથી ગુલાબી ગાલ વાળા ગોરાગોરા બાળકો સ્કુલ યુનિફોર્મમાં સજ્જ થઈ ફટાફટ દાદરા ચડી સ્કુલે જઈ રહ્યાં હતાં. ઠંડા પ્રદેશોની સ્કુલોમાં શિયાળામાં લાંબુ વેકેશન પડતું હોવાથી અત્યારે અહિંયા સ્કુલો ચાલુ હતી. હજું તો બસ્સો પગથિયાં માંડ ચડ્યાં ત્યાં જ હાંફ ચડવા માંડી, પતિદેવે ઈશારાથી પેલા વિદ્યાર્થીઓ સામે જોઈ કહ્યું ‘આમને જો…છે કાંઈ અસર?’ મેં જરા થાકેલા અવાજે કહ્યું ‘સાહેબ, એ બાળકો છે એને અસર ન થાય વળી એને તો રોજનું થયું’ સાહેબ ખડખડાટ હસતા કહે ‘ખુલાસાઓ આપ્યા વગર ચાલતા રહો મેડમ…દિલ્હી અભી દૂર હૈ.’ અમે સૌ મુંગા મોંએ પોતપોતાની ક્ષમતા મુજબની ગતિએ ચડવા લાગ્યાં. હજુ તો થોડોક પંથ કાપ્યો ત્યાં તો અમારી સાથે રહેલા પંચાવન વર્ષના ગીતાબહેનને અચાનક શ્વાસ ચડવા લાગ્યો, એ તો ત્યાં જ પગથિયા પર બેસી પડ્યાં. એમનાથી એક પગથિયું પણ ચડી શકાશે નહીં એવું જાહેર કરી દીધું. બધા વિમાસણમાં મૂકાઈ ગયા કે હવે શું કરવું? આમને સાંજ સુધી ક્યાં રાખવા? અહિંયા આપણું કોઈ જાણીતુ ન હોય. કોના આધારે મૂકીને આગળ જવું? હજુ વિકલ્પો વિચારતાં હતાં ત્યાં જ બાજુના ઘરમાંથી એક પ્રૌઢા બહાર આવી. આખી પરિસ્થિતિ સાંભળીને તરત કહે ‘એમાં શું? બહેન અમારે ત્યાં રહેશે. તમે નિશ્ચિંત થઈને દર્શન કરી આવો.’. અમે બધા એકબીજાનાં મોં સામે જોવા લાગ્યાં. પેલી પ્રૌઢા અમારા મનોભાવ કળી ગઈ હોય તેમ કહે ‘તમે લોકો જરાય ચિંતા ન કરો. આ તો મારી નાની બહેન જેવી છે. એને કોઈ તકલિફ નહીં પડવા દઉં તમે નિશ્ચિંત થઈ દર્શન કરી આવો’ એમના ચહેરા પરની સચ્ચાઈ અને અવાજમાં રહેલી લાગણી અમને સ્પર્શી ગઈ અને અમે  ‘હાશ’ કરીને  આગળ વધ્યાં.

    આજે તડકો થોડો વધારે હતો. હજુ દસ જ વાગ્યા હતા પણ તાપ લાગતો હતો. સ્ત્રીવર્ગ ધીમેધીમે પગથિયા ચડી રહ્યો હતો. બાળકો અને પુરુષો તો સડસડાટ આગળ નીકળી જતા હતા. એ લોકો આગળ કોઇ શરબતની હાટડીએ અમારી રાહ જોઈને બેસે. અમે પહોંચીએ પછી બધા શરબતથી ગળા ભીના કરીને ફરી આગળ વધીએ. રસ્તામાં એક સ્થાનિક સ્કુલ આવી અને પેલા ગોરાગોરા ટાબરિયા તેમાં પ્રવેશ્યા. એમના ગુલાબી ગાલ અને મીઠડી મુસ્કાન દેખાતા બંધ થયા ત્યાં સુધી અમે તેને જોયા કર્યા. તાપ વધતો જતો હતો. ચહેરા ગુલાબી થવા લાગ્યા હતા. પગમાં થાક અને આંખમાં હરિયાળી આંજીને અમે આગળ વધતાં જતાં હતાં.અમારી જમણી તરફ ઊંડી ઊંડી ખીણ હતી.ઉપરથી જોતા લાંબા લાંબા વૃક્ષો પણ ટચુકડાં લાગતાં હતાં. તળેટીના કોઈ ગામના મકાનો રમકડાં જેવા દેખાઈ રહ્યા હતા. રસ્તાઓ તો બાળકોએ સ્લેટમાં આંકેલી આડી અવળી રેખાઓની જેમ પથરાયેલા પડ્યા હતા. નજરની રડાર ચારેતરફ ફેરવતાં ફેરવતાં અમે રસ્તો કાપી રહ્યાં હતાં. થાક કનડે ત્યારે મનમાં એમ પણ થતું કે ‘આ ચોરની વાદે ચણા ઉપાડવા નીકળવાની શું જરુર હતી? એય ને…મજાના સફરજનના બગીચામાં લહેર કરતા હોત આ સમયે!’ પણ તરત વિચાર આવતો કે ચણા ઉપાડ્યાં વગર ચણાનો સ્વાદ ન ચાખી શકાય!

    શરીર પર્વતની કેડી પર અને મન વિચારોની કેડી પર અનાયાસ આગળ વધતાં હતાં ત્યાં જ અમારી બાજુમાંથી એક વૃદ્ધા નીકળ્યાં. સિત્તેર આસપાસની ઉંમર,ગુલાબી ચહેરો, કરચલી વાળી ત્વચા, હાથમાં લાકડી અને ડગુમગુ ચાલ! એ મજેથી પગથિયા ચડી રહ્યાં હતાં પતિદેવે સુચક નજરે મારી તરફ જોયું જાણે કહેતા ન હોય ‘જો, છે ને તારા કરતાં સશક્ત!’ પણ આપણે તો આંખ આડા કાન કરી ચાલવામાં જ ધ્યાન આપ્યું. આગળ જતાં હું જરા થાક ખાવા રોકાઈ ત્યાં એક નાનક્ડી હાટડી દેખાઈ. પેલા માજી હાટડી પાસે આવીને અટક્યાં, ચપ્પલ કાઢીને અંદર પ્રવેશ્યા. મેં અંદર નજર કરી તો એક સફેદ વાળ અને ગુલાબી ત્વચા વાળા દાદા થડા પર બેઠા હતા. કાઉન્ટર પર નાની નાની બરણીઓમાં પીપરમેન્ટ, ચુસવાની ખાટીમીઠી ગોળીઓ, બિસ્કીટ, પાણીની બોટલો વગેરે પડ્યું હતું. માજીએ પોતાના ઝોળામાંથી થોડા નમકીન અને વેફરના પેકેટ કાઢીને કાઉન્ટર પર ગોઠવ્યા અને હાશકારો કરી ખુરશી પર બેઠાં. ત્યાં જ દાદાએ પાણીની બોટલ માજી તરફ લંબાવી. માજીનું બોખલું મોં એવું તો મલકાઈ ગયું કે મને સાતે કોઠે દીવા થયાં. મેં સુરેશ દલાલને યાદ કરી લીધા. ‘કમાલ કરે છે… એક ડોસી, ડોસાને હજુ વ્હાલ કરે છે!’ મેં પતિદેવને શોધવા નજર આસપાસ ફેરવી પરંતુ એ તો ક્યાંય આગળ નીકળી ગયા હતા. ખાટીમીઠી ગોળી જેવું આ દંપતિ જોઈ મને મારું ભવિષ્ય દેખાવા લાગ્યું અને એ મધુર રસને માણતાં માણતાં મે સફર આગળ ધપાવી.

    તડકી-છાંયડી ઝીલતાં ઝીલતાં લગભગ અઢી કલાક જેવું ચાલ્યા પછી છેક દૂરથી બિજલી મહાદેવનું શિખર દેખાયું. અમે બધાએ ભેગા મળી આનંદથી તાલીઓ પાડી. માત્ર મંદિરનું શિખર જોવાથી ચાલમાં ઉત્સાહ ઉમેરાયો અને પગમાં પ્રાણ પુરાયા. હવે તો દિલ્હી જરાય દૂર ન હતું એની ખાતરી થઈ ગઈ. અમે ચાલતા જ રહ્યાં. ચહેરા પર વૃક્ષની ડાળીઓમાંથી ચળાઈને આવતા તડકાના ટેટૂ ચિતરાતાં અને ભુંસાતા જતાં હતાં. ગોરી ત્વચાએ લાલ રંગ ધારણ કર્યો હતો. ભરપુર સુખ સગવડમાં જીવતી ગુજરાતણોને આ પર્વત ચડતાં નવનેજા પાણી ઉતરતાં હતાં પરંતુ ‘ડગલુ ભર્યુ કે ના હટવું… ના હટવું’ હવે તત્કાલિન જીવનમંત્ર બની ગયો હતો. માથા પર અવળી કેપ, આંખો પર ગોગલ્સ, હાથમાં ઝાડની ડાળીનો ટેકો લઈ અમે કોઈ પર્વતારોહકની અદાથી ચાલી રહ્યાં હતાં. અચાનક પતિદેવ બાજુમાં આવી ટમકું મૂકી ગયા ‘કાં કવયિત્રીજી, કેમ છો? સાચા હો તો અત્યારે કવિતા લખી બતાવો!’ મેં લાલઘુમ આંખો બતાવતાં કહ્યું ‘અત્યારે છાનામાના આ ચારે તરફ ફેલાયેલી ઈશ્વરની કવિતા વાંચો. ઘરે જઈને મારી કવિતા સંભળાવીશ.’ બરાબર એ સમયે જ એક ફોરેનર્સ ગ્રુપ ત્યાંથી પસાર થયું પતિદેવે એમાંની એક સુંદર યુવતી તરફ ઈશારો કરતા કહ્યું ‘આ પણ ઈશ્વરની જ કવિતા છે તું કહેતી હોય તો વાંચું’ આ સાંભળી હું લાકડી લઈને એમની પાછળ દોડી અને હાજર રહેલા બધા ખડખડાટ હસી પડ્યા. નિર્દોષ હસીમજાકથી રસ્તાના વૃક્ષો પણ મર્માળુ હસતા હોય તેમ ડોલવા લાગ્યાં.

    હવે મંદિરનો ઘણોખરો ભાગ દેખાવા લાગ્યો હતો. અલબત્ત હજુ ઘણુ દૂર હતું પણ આશ્વાસન લઈ શકાય એટલા તો નજીક પહોંચવા આવ્યાં હતાં. અમારી બાજુમંથી એક ભાઈ પસાર થયા, તેના ખભા પર હાથ મુકી પંદરેક વર્ષનો એક છોકરો ચાલી રહ્યો હતો. દરેક પગથિયે પેલા ભાઈ બોલતા હતા ‘સ્ટેપ’ અને છોકરો પગ ઉંચકીને પગથિયું ચડી જતો હતો. પાછળ જ છોકરાની મમ્મી આવી રહ્યાં હતાં એમણે અમને કહ્યું ‘દીકરો નાનપણથી જ અંધ છે પણ દાદાના દર્શન કરાવવાની માનતા હતી એટલે બાપ-દીકરાએ હિંમત કરી નાંખી.’ મારી આંખો આ દૃશ્ય જોઈને ધન્ય થઈ કે જો ધારે તો બાપ-દીકરો કેવું સરસ ટ્યુનીંગ જાળવીને ગમે તેવા કઠીન રસ્તાને પણ પસાર કરી શકે છે. મને વિચારમાં પડેલી જોઈ પતિદેવ પ્રગટ થઈ કાનમાં ગણગણ્યા ‘જોયું? આને કહેવાય બાપનો પ્રેમ!’ મેં આંખોથી જ હામી ભરી અને અમે આગળ વધ્યા.

    હવે અમે પહાડની ટોચ પર આવી ગયાં હતાં. અહીંયા વિશાળ મેદાન હતું જેમાં હરિયાળી ચાદર પથરાયેલી હતી. દૂર થોડી ગાયો ચરતી હતી. ગોવાળિયાઓ લીલા ઘાસમાં લેટ્યા હતા. માથા પર ખુલ્લુ અફાટ આકાશ હતું અને ચોતરફ ખીણ હતી. ખીણમાં આમતેમ ભટકતા રખડુ છોકરાઓ જેવા વાદળા હતાં અને અમે વાદળાથી યે ઉપર  ઇશ્વરના સાન્નિધ્યમાં પહોંચ્યા હતાં. ઉન્નત મસ્તકે તાકતા વૃક્ષો જાણે અમારી હિંમતને સલામી આપતા હોય તેમ કતારબદ્ધ થઈને ઊભા હતા. વાદળ અને વૃક્ષોની આ જુગલબંદી એક અનોખી દૃશ્યાવલી રચી આપતી હતી. વાતવરણમાં એક આહ્લાદક ઠંડક ફેલાયેલી હતી. આગળ જતાં જ બે નાનકડા તળાવ દૃશ્યમાન થયાં. અહીંયા વારંવાર વરસાદ આવતો હોવાથી બન્ને છલોછલ ભર્યા હતાં. તળાવનું પાણી જોઈ મન માંકડુ કુદાકુદ કરવા લાગ્યું. પરસેવાથી લથપથ અને થાકથી ચુર થયેલી કાયાને આટલી રાહત તો જરુરી હતી. પરંતુ સુરજ માથા પર આવી ગયો હતો એટલે રોકાવું પોસાય તેમ ન હતું. દૂરથી દેખાતી ધજા અને મંદિરમાંથી સંભળાતો ઘંટનાદ પગને લોહચુંબકની જેમ પોતાના તરફ ખેંચી રહ્યાં હતાં.

    મંદિર નજીક પહોંચી  હાથ-મોં ધોઈ ફ્રેશ થયા. મંદિરની બહાર દિવાલ પર મંદિર વિશે માહિતી આપતું લખાણ છે તેની અને ગૂગલ દેવતાની મદદ વડે અમે મહિતગાર થયાં કે હિમાચલ પ્રદેશની કુલ્લુ વેલીનું આ પ્રખ્યાત મંદિર દરિયાઈ સપાટીથી ૨૪૩૫ મીટરની. ઊંચાઈ પર આવેલ છે. કુલ્લુથી દસ કિલોમીટર દૂર આવેલ આ મંદિર વિશે એક ચમત્કાર જોડાયેલો છે. કહેવાય છે કે દર બાર વર્ષે વરસાદની આંધી અને વિજળીના આક્રમણથી શિવલીંગ ટુકડે ટુકડા થઈને આસપાસના વિસ્તારમાં વેરાઈ જાય છે. વરસાદી ઋતુ દરમ્યાન આ જગ્યા બંધ રહે છે. બરફના તોફાનો શાંત થયા પછી પૂજારીને સપનું આવે છે કે શિવલીંગના ટુકડાઓ ક્યાં પડ્યા છે. પુજારી તેને એકત્ર કરીને ગાયના ઘી તથા માખણ વડે જોડે છે અને સમય જતા એ શિવલીંગ અખંડ સ્વરુપ ધારણ કરી લે છે. આ શિવલીંગ માખણ વડે જોડવામાં આવ્યું હોવાથી તેના પર જલધારી મુકવામાં આવતી નથી. આખુ વર્ષ અહીંયા ઠંડુ વાતાવરણ રહેતું હોવાથી માખણનું શિવલીંગ પીગળતું નથી. શિવરાત્રિ પર અહીંયા પુષ્ક્ળ ભીડ હોય છે. સમગ્ર હિમાચલ પ્રદેશના લોકોનું આ શ્રદ્ધાકેન્દ્ર છે. સ્થાનિક લોકો વર્ષમાં ઘણીવાર દાદાના દર્શને આવે છે.

    પગથિયાં પાસે પગરખાં ઉતાર્યા અને કવિ ગૌરાંગ ઠાકરની પંક્તિઓ યાદ આવી

     ’હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
      પગરખાં નહીં બસ અભરખાં ઉતારો’

    મન ફરી વિચારે ચડ્યું કે એમ અભરખાં ઉતારી શકાતા હોત તો તો શું જોઇતું હતું! પગથિયાં પરની રજ માથા પર ચડાવીને મંદિરમાં પ્રવેશ્યાં. મંદિરમાં પ્રવેશતા જ સાદગીની ભવ્યતાના દર્શન થયા. માખણથી બનાવેલ ઘાટીલા પીળા  શિવલીંગ પર પૂજાદ્રવ્યો અને ફુલો ચડાવેલા હતાં.આસપાસ અગરબત્તી અને ધૂપની પવિત્ર ધુમ્રસેરોથી એક પૂજ્યભાવનું વાદળ બંધાયુ હતું. બીજા પ્રવાસીઓ ઉતાવળે દર્શન કરી બહાર નીકળી ગયા હતા.મંદિરમાં ભોળિયાનાથ અને હું એકલા પડ્યાં. બે હાથ જોડાયા અને મસ્તક આપોઆપ નમી પડ્યું. આંખો બંધ થઈ અને મન અંતર્મુખી બન્યું. બંધ આંખમાં વિજળીના પ્રહારથી તુટીને વિખેરાઈ જતું શિવલીંગ દેખાવા લાગ્યું. ધીમે ધીમે એના ટુકડાઓ એકત્ર થતાં દેખાવા લાગ્યાં. ધીમે ધીમે ફરી એક નવું શિવલીંગ રચાઈ ગયું અને આંખો જળધારીમાં ફેરવાઈ ગઈ. મન કોઈ અગોચર શક્તિ સાથે વાર્તાલાપ કરવા લાગ્યું ‘હે ઇશ્વર… તમે તુટીને અનેક ટુકડાઓમાં ફેરવાઈ જાઓ છો અને ફરી જોડાઈને પૂર્વવત્ત થાઓ છો તો હે નાથ… આ ક્ષમતા, આ શક્તિ અમને કેમ નથી આપી? અમે પણ તમારી જેમ જ તુટીએ છીએ, અનેક ટુકડાઓમાં વિખેરાઈએ છીએ પરંતુ અમને જોડનારું કોઈ નથી હોતું અમે એક્વાર તુટ્યા પછી આજીવન એ વેરણ છેરણ અસ્તિત્વનો ભાર લઈને ફરતા રહીએ છીએ. આવું કેમ? ભલે અમે તુટીએ , અમને તુટવું મંજુર છે પરંતુ હે નાથ… ફરી જોડાવાનું બળ આપો…ફરી બેઠા થવાની પાત્રતા આપો.’ હાથ હજુ યે જોડાયેલાં હતાં, માથુ નમેલું હતું, આંખો બંધ હતી. એક કવયિત્રી આજે કોઇ અદૃશ્ય ખભે માથું રાખી હળવી થઈ રહી હતી. એની આંખ આજે ઘણા વખતે વરસી રહી હતી. મંદિરમાં એ શિવલીંગ સાથે સંવાદ કરી રહી હતી. એના આંસૂની આંચમાં શિવલીંગ પીગળી જવાનું હોય એવી આબોહવા રચાઈ ગઈ હતી. એ અલૌકિક આબોહવાને ચીરતો બહારથી પતિદેવનો સાદ આવ્યો ‘ચાલો….હવે… બહુ વાતો કરી ભોળિયાનાથ સાથે’. કવયિત્રીએ માથું જમીનને સ્પર્શે તેમ નમાવ્યું. કપાળ પર એ પાવન ભુમીનો સ્પર્શ થવા દીધો. આંખોના જળને એ પવિત્ર જમીન પર વહેવા દીધા અને પોતાના અસ્તિત્વનો એક ટુકડો ત્યાં જ રહેવા દઈને બહાર નીકળી ગઈ. મનો મસ્તિષ્કમાં પંક્તિઓ ગુંજવા લાગી

                                   ‘પીડ અજરા-અમર અમારામાં,
                                    ધ્વસ્ત કોઈ નગર અમારામાં.’

    મંદિરમાંથી બહાર આવી પાછળ આવેલા ઘાસના ઢાળવાળા મેદાનમાં સૌ ભેગા થયાં. બધા થાક્યાં હોવાથી લાંબા થઈને પથરાઈ પડ્યાં. પુરુષવર્ગ તો આ લીલાછમ્મ ઢોળાવ પર શવાસનની મુદ્રામાં લેટી જ ગયો, સ્ત્રીવર્ગ પણ લાંબા પગ કરીને બેઠો. ચારેબાજુથી સાંય સાંય કરતો પવન વિંટળાઇ રહ્યો હતો. થાકેલા દેહની નીચે ઘાસની લીલી પથારી હતી અને ઉપર પવનની પારદર્શક ઓઢણી હતી. બધા નિઃશબ્દ હતાં. એક અભુતપૂર્વ વાતાવરણ રચાઈ ગયું હતું. કોઈ ઊભા થવાનું નામ લે તેમ ન હતું  પરંતુ અંદર રહેલા વૈશ્વાનરે પોતાની હાજરીની જાણ કરી અને સૌ ભાવસમાધીમાંથી  બહાર આવ્યાં.

    સાથે લાવેલ લંચપેકમાંથી ચણા-પરોઠા અને અથાણાનું ભોજન કર્યું. આસપાસના કુતરા અને વાંદરાઓની ક્ષુધા શાંત કરવામાં ફાળો આપ્યો. જમીને આમતેમ ટહેલ્યાં. ખુબ ફોટા પાડ્યા. કુદરતની આ વિશાળ અને અદભુત કલાકૃતિને કેમેરાના ટચુકડા પરદામાં કેદ કરવાની કોશીશ કરી. પર્વતની ટોચે ઊભા રહીને સમયના આ ટુકડાને મનભરીને જીવી લીધો.સમગ્ર પરિવેશને હૃદયના કોઈ સુરક્ષિત ખુણામાં સાચવીને મૂકી દીધો અને નીચે જવા પગ ઉપાડ્યાં.

    જીવન હોય કે પહાડ ચઢાણ જ આકરા હોય છે. ઉતરવું તો સાવ સરળ હોય! ઢાળ ઉતરતાં ઉતરતાં કવયિત્રીને પોતાની પંક્તિ યાદ આવી.

                                ‘હા, મજા તો છે ઘણી બેશક પરંતુ,
                                 જોખમો છે ઢાળ રસ્તે ચાલવામાં.’

    લીંબુ શરબતના નશામાં અને મોબાઈલમાં વાગતા ફિલ્મી ગીતો પર ઝુમતા ઝુમતા આખું ગૃપ એકસાથે સડસડાટ પગથિયાં ઉતરી રહ્યું હતું. થાક તો સાવ ગાયબ થઈ ગયો હતો. ચાલતાં હતાં ત્યાં જ એક દંપતિ હસતું રમતું અમારી બાજુમાંથી પસાર થયું. એમના તરફ નજર જતાં જ જોયું કે બહેને પોતાની પીઠ પર પોતાના પાંચેક વર્ષના દીકરાને ઊંચકી લીધો હતો. એમના પતિદેવ મોજથી ચાલી રહ્યા હતા અને બેનની પીઠ પર દીકરો આનંદથી મલકી રહ્યો હતો. મેં હળવેકથી પતિદેવના કાનમાં કહ્યું ‘જોયુ? આને કહેવાય માની લાગણી.’ અમારા બન્નેની આંખ સામે એકસાથે બે દૃશ્યો સ્થિર થઈ ગયાં. એક અંધ દીકરાને રસ્તો બતાવતા પિતા અને એક સ્વસ્થ દીકરાને પીઠ પર ઊંચકી જતી માતા! હું પતિદેવના કાનમાં ફરીથી બોલી ‘સાહેબ… પિતા રસ્તો બતાવે જ્યારે માતા તો રસ્તો પાર કરાવે સમજ્યા!’ પતિદેવે લાગણીથી મારી સામે જોઈ હામી ભરી.

    લગભગ પોણા પાંચ સુધીમાં તો અમે આ ત્રણ કિલોમીટરનું ઉતરાણ હોંશે હોંશે પસાર કરી દીધું. જતી વખતે ગીતા બહેનને જે ઘરે થાપણ તરીકે મૂકીને ગયા હતાં ત્યાં એમના દીકરો અને દીકરી તેમને લેવા રોકાયા અને અમે નીચે બસ અડ્ડા પર સ્થાનિક લોકો સાથે મંડળી જમાવી. ત્યાંના લોકોએ હવામાન વિશે, ત્યાંની સ્કુલો વિશે, મંદિર તથા યાત્રીઓ વિશે ઘણી વાતો કરી.

    લગભગ સાડા પાંચે ગીતાબહેન અને તેમના સંતાનો નીચે આવ્યાં અને અમે બસમાં બેઠાં. બસ ચાલુ થતાં જ ગીતાબહેને પોતાના અનુભવની વાત માંડી અમે બધા ગીતાબહેનની આસપાસ ટોળુ વળીને ઊભા રહી ગયાં. એમણે વાત શરુ કરી ‘તમે લોકો ગયા પછી યજમાન દંપતિએ મને ચા-નાસ્તો કરાવ્યા. અમે લોકોએ એકબીજાને પોતાની ઓળખ આપી. નાસ્તો પત્યા પછી મને એમના સગા-વ્હાલાઓને ત્યાં મુલાકાત માટે લઈ ગયાં. યજમાન તથા તેમના સગા-વ્હાલાઓ તો ગુજરાતના મહેમાનને જોઈને ઓછા ઓછા થઈ ગયાં. બધાનો એક જ સૂર હતો કે ‘અમારે ત્યાં ગુજરાતના મહેમાન ક્યાંથી?’ બધા મારી આસપાસ ગોઠવાઈને આપણા ગુજરાત વિશે પ્રશ્નો પૂછવા લાગ્યાં. એ ગરીબ ખેડુતો ક્યારેય પોતાના પ્રદેશમાંથી બહાર નીકળ્યા ન હોવાથી ગુજરાત તો તેમને વિદેશ જેવું લાગતું હતું. અમે બધાએ પેટભરીને વાતો કરી. બપોર થતાં જ ખીર-પૂરીનું ભોજન પીરસાઈ ગયું. મને તો એવું લાગતું હતું જાણે હું મારા પિયર ન આવી હોઉં? અત્યારે નીકળતી વખતે મારા બાળકોને સો-સો રુપિયા રોકડા અને મને ગરમ શાલ,સ્કાર્ફ અને ટોપી ભેટમાં આપ્યાં.’ ગીતાબહેનની આંખમાંથી પાણી વરસી રહ્યાં હતાં, અમારા બધાની આંખો પણ એની અસરમાં ભેજવાળી થઈ ગઈ. મારાથી મનોમન બોલાઈ ગયું ‘વાહ રે…પ્રભુ! તારી દુનિયાના કેટકેટલા રંગ!’

    નયનરમ્ય ઢોળાવો પર બસ રેવાલ ચાલે સરકી રહી હતી. સૌ થાક્યા હોવાથી ઝોલે ચડ્યાં હતાં. હું પણ બારીના ટેકે આંખો મીંચીને બેઠી હતી. બંધ આંખના પરદા પર અનેક દૃશ્યો રચાતા અને વિલાતા જતાં હતાં. બાપના ખભે હાથ મૂકી પર્વત ચડતો અંધ છોકરો, માતાની પીઠ પર બેસી પર્વત ઉતરતો છોકરો, વૃદ્ધ દંપતિના બોખલા મોં પર રેલાતું પ્રેમાળ હાસ્ય, ગીતાબહેન પર પ્રેમની વર્ષા કરતા સાવ અજાણ્યા દેહાતી માનવો, બિજલી મહાદેવના શરણમાં ઝુકીને અશ્રુભિષેક કરતી કવયિત્રી.

    ખબર નહીં ક્યારે ગંતવ્ય સ્થાન આવ્યું? ક્યારે પેલા લીલા સફરજનના સથવારે ડીનર લીધું? ક્યારે તંબુની ચેઈન બંધ કરીને પથારીમાં ઝંપલાવ્યું? ક્યારે આંખ મીંચાઈ? કશું જ યાદ નથી. મીંચેલી આંખ પાછળ એક જ દૃશ્ય સ્થિર થઈ ગયું હતું. પર્વતની ટોચે આવેલ એક નાનકડા શિવમંદિરના ગર્ભગૃહમાં એક સ્ત્રી નતમસ્તકે અશ્રુભિષેક કરી રહી હતી. એના અસ્તિત્વનો એક ટુકડો મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો હતો, એની ફરતે પૃથ્વિ, સુર્ય,ચન્દ્ર, તારા, ગ્રહો સહિતનું આખુયે બ્રહ્માંડ પ્રદક્ષિણા કરી રહ્યું હતું. કવયિત્રીને પંક્તિઓ સ્ફૂરી રહી હતી.

                            ‘શિખરનો, ધજાનો, ગભારાનો જાદૂ, છવાયો છે ગેબી ઈશારાનો જાદૂ.
    ‘અઠે દ્વારિકા’ કહીને બેસી જવાયું, હતો કંઈક એવો ઉતારાનો જાદૂ’


    સુશ્રી પારુલ ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પગદંડીનો પંથી – ભાગ ૨ – તાવ/જ્વર (Fever/Pyrexia) એટલે શું?

    તબીબી સારવાર અને નિદાન અંગેની આવશ્યક માહિતી

    ડૉ.પુરુષોત્તમ મેવાડા,
    એમ. એસ.

    તાવ આવવો અથવા જ્વર (Pyrexia) થવો એ સામાન્ય રીતે બધાને ખબર હોય કે શરીરનું તાપમાન જે હોવું જોઈએ એનાથી વધ્યું છે. તો પહેલા સામાન્ય શરીરનું તાપમાન એટલે શું, એ સમજીએ. શરીરની આંતરિક ક્રિયાઓ માટે શરીરનું તાપમાન જળવાઈ રહેવું આવશ્યક છે. પણ યાદ રહે કે આ સામાન્ય તાપમાન દરેકને માટે સહેજ ફેરફાર સાથે જુદું હોઈ શકે. સવાર કરતાં સાંજનું વધારે હોય, વળી કસરત કે કામ કર્યા પછી પણ વધારે હોય. ઉંમર, સ્ત્રી/પુરુષ, વાતાવરણ, વગેરેની ઉપર પણ આધાર હોય છે. વળી શરીરના કયા ભાગે કઈ પદ્ધતિથી લેવાયું છે તે પણ ધ્યાનમાં રાખવું પડે.

    સામાન્ય મનુષ્યના શરીરનું તાપમાન (Body Temperature), બગલમાં (Axilla), મોઢામાં (Mouth/Oral), ગુદાદ્વારમાં (Anal/Rectal), ચામડી (Skin) ઉપર, કે કાનમાં (Otic) થર્મોમીટર રાખી લેવાય છે. થર્મોમીટર અત્યાર સુધી પારાના (Mercury Thermometer) હોય છે, પણ હવે ડિજિટલ (Analogue-Digital Thermometer with disposable probe) અને ચામડી-કપાળ ઉપર લગાડવાની પટ્ટી (Thermo-Sensitive Strips) અને ઇન્ફ્રારેડ મશીન (Temperature Sensitive Infrared Device) જેવાં સાધનો પણ વપરાય છે. પારો ભરેલાં કાચનાં થર્મોમીટર ટૂટવાથી પારાના ઝેરનો ડર રહે છે.

    સામાન્ય રીતે તાવ ડિગ્રી ફેરનહિટ (Fahrenheit) કે સેલ્સિયસ (Celsius)માં મપાય છે.

    માપવાની જગ્યાઓ પ્રમાણે સામાન્ય શરીરનું તાપમાન, (Normal Body Temperature as per site)ઃ

    મોઢામાં – ૩૭.૭ ડિગ્રી સેલ્સિયસ (૩૩.૨ થી ૩૮.૨)

    બગલમાં અને કાનમાં – ૩૭.૨ ડિગ્રી સેલ્સિયસ ૩૫.૫ થી ૩૭.૦)

    ગુદાનું – ૩૭.૫ (૩૪.૪ થી ૩૭.૮) આ રીતે લેવાયેલું તાપમાન વધારે સચોટ છે.

    નોંધઃ સેલ્સિયસમાંથી ફેરનહિટમાં ફેરવવા માટે, સેલ્સિયસને ૧.૮થી (અથવા ૯/૫) ગુણીને ૩૨ ઉમેરવા.

    F=(CX1.8)+32 or F=(CX9/5)+32).

    તાવ આવવાની પ્રક્રિયા-(Mechanism of raise in body temperature)

    આપણા શરીરનું તાપમાન કેવી રીતે જળવાઈ રહે છે, એ પ્રશ્ન થાય છે? આપણા મગજમાં હાઈપોથેલેમસ (Hypothalamus) નામનો ભાગ છે, ત્યાં એને કંટ્રોલ કરવાનું કેન્દ્ર છે. એ તાપમાન જાળવી રાખવાના મશીન જેમ કામ કરે છે (Like Thermostat). એના ઉપર શરીરમાં રોગના કારણે અથવા અમુક રસાયણોની અસર થવાથી એ એનું કામ બરાબર કરી શકતું નથી, ત્યારે તાવ આવે. આ ખૂબ જ જટિલ રાસાયણિક પ્રક્રિયા છે, જેનું વિવરણ અત્યારે આવા લેખમાં અસ્થાને છે. એ બધાને પાઇરોજન (Pyrogens) કહેવાય છે, જે બેક્ટેરિઆ, વાઇરસ કે શરીરના કોષોના અમુક પ્રોટીન છે, દા.ત. એન્ડોટોક્ષિન (Endotoxins), પ્રોશ્ટાગ્લેન્ડિન ઈ-૨ (PGE2), સાઇટોકીનિન (Cytokines), ઇન્ટરલ્યુકિન (Interleukins), ઇન્ટરફેરોન (Interferon), સીરોટોનિન (Serotonin) વિ. અને આની અસર આપણી અજાગ્રત ચેતાતંત્રને (Autonomous Nervous System) ઉત્તેજિત કરે છે, અને વિવિધ પ્રક્રિયાઓથી તાવની અસર વર્તાય છે, જેમ કે ઠંડી લાગવી, ધુજારી ચડવી, પરસેવો થવો, હૃદયના ધબકારા વધવા, બીપી વધવું, વગેરે.

    સમયાનુસાર તાવ વધતો-ઓછો થવાની અમુક પ્રકારની ચોક્કસ પ્રક્રિયા (Pattern) રોગ પ્રમાણે હોય છે. લગાતાર તાવ રહે (ન્યુમોનિઆ, ટાયફોઇડ), એકાંતરે, એકાદ બે દિવસને આંતરે (મેલેરિયા), આછો કાયમી દરરોજ (ટી.બી./Tuberculosis), અચાનક આવે (Abrupt) અને અચાનક થોડી વારમાં ઊતરી જાય, આખા દિવસ દરમ્યાન વધતો ઓછો થાય, થોડા દિવસ મટીને ફરીથી આવે વગેરે. આ બધાનો ચાર્ટ/ગ્રાફ બનાવીએ, તો કયો રોગ હશે તેણી પણ જાણકારી મળે. ડૉક્ટરો પહેલાં આ પદ્ધતિ નિદાનાર્થે વાપરતા હતા, પણ તપાસનાં નવાં સાધનો આવ્યાં પછી હવે તે ઉપયોગી નથી રહી.

    તાવનાં કારણો – Causes of Fever જોઈએ.

    (૧) બેકટેરિયા, ફંગસ કે વાઇરસનો ચેપ, મલેરિયા કે ફાઇલેરિયાના પેરેસાઇટ, સામાન્ય શરદી, ફ્લૂ (H1N1 type etc), અછબડા (Chikenpox), એઇડ્ઝ (AIDS), ન્યુમોનિયા (Pneumonia), ગૂમડાં (Boils. Abcesses), રસીકરણ (Vaccinations), પેશાબનો ચેપ (Urinary Tract Infections), મગજના આવરણનો ચેપ (Meningitis), શરીરના કોઈ ભાગમાં રસી ભરાવી (Appendicitis, Cholicystitis), વગેરે

    (૨) અમુક દવાઓની અસર-નશો કરવા વપરાતી દવાઓ અને રસાયણો.

    (૩) કેન્સર, દા.ત. લોહીનું કેન્સર (Leukaemia)

    (૪) લોહી ચઢાવવાની અસર (effects of Blood transfusion)

    (૫) ઓટોઇમ્યુન રોગો/ઇમ્યૂનિટીને અસર થવાથી (Autoimmune Diseases, SLE and reduced/compromised Immunity in cancers etc.)

    (૬) લોહીની નળીઓની બીમારી કે એમાં લોહી જામી જવું (Vasculitis, Deep Vein Thrombosis, Pulmonary Embolism)

    (૭) શરીરના બંધારણીય કોશો ની બીમારી (Connective Tissue Disorders, Rheumatoid Arthritis, Gout)

    (૮) શરીરને ખૂબ વાગવાથી (Traumatic Fever/Crush Syndrome.)

    આ સિવાય પણ ઘણાં કારણો હોય છે. સંપૂર્ણ તપાસ કર્યા પછી પણ તાવનું કારણ ના મળે અને ત્રણ અઠવાડિયાં ઉપર સમય વીતી જાય તો એને ફીવર ઑફ અનનોન ઑરિજિન (FUO) કહે છે, જોકે ઘણા કિસ્સામાં કેન્સર (Malignancy), ન પકડી શકાયેલી શરીરમાં ઊંડે છુપાયેલી રસી (Deep Abcess), આંતરશ્રાવની (થાઇરોઇડની) કે એઇડ્ઝ જેવા રોગોમાં આમ બને છે.

    ડૉક્ટર જરૂર લાગે એ પ્રમાણે તાવમાં કરવામાં આવતી તપાસ કરાવે છે.

    (૧) લોહીની તપાસ – પેરિફેરલ સ્મિયર (PS-Periferal Smear and Culture), અને શ્વેતકણોની તપાસ (WBC Count), જંતુઓ છે કે નહીં તે (Bacteraemia/Virus), લીવર (LFT) અને થાઇરોઇડની (T3, T4 & TSH) તપાસ.

    (૨) પેશાબની સામાન્ય અને અન્ય તપાસ (Urinary Rroutine Examination/Culture) અને બેક્ટેરિઆની હયાતી (Presence of Bacteria/Pathogens).

    (૩) એક્સ રે (Chest X-ray) અને બીજાં સાધનોથી ફોટા પડાવવા, દા.ત. સોનોગ્રાફી (USG), સીટી સ્કૅન (CTS), એમઆરઆઈ (MRI).

    (૪) ઇમ્યુનિટી ને લગતા ટેસ્ટ.

    આ બધા ટેસ્ટની મોટે ભાગે જરૂર પડતી નથી, અને સામાન્ય રીતે ફેમિલી ડૉક્ટરથી જ તાવ મટી જતો હોય છે. પણ ઉપર જણાવ્યા પ્રમાણે ખૂબ જ ઊંચું તાપમાન અને ઘણા દિવસો સુધી ચાલે તો દાખલ થઈ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર પાસે સારવાર કરાવવી જોઈએ.

    તાવની સારવારઃ

    (૧) જરૂર ના પડે

    (૨) તાવ ઊતરવાની દવાઓ દાત. પેરાસીટેમોલ (Paracetamol)/એસીટામીનોફીન (Acetaminophene) કે બ્રુફેન (Brufen). બાળકને એસ્પિરીન કદી ના આપવી. (Never give Aspirin to children).

    (૩) એન્ટિબાયોટિક સ(Antibiotics) જો જરૂર જણાય તો એન્ટિવાઇરલ (Antiviral) દવાઓ.

    (૪) ઠંડા પાણીનાં (બરફ નહીં) પોતાં મૂકવાં, કપાળે, અને બગલ અને જાંઘની જગ્યાએ. (Cold Sponging)

    (૫) પુષ્કળ પાણી પીવું અને જો થઈ શકે તો પચે એવો હલકો ખોરાક લેવો.

    જો તાવ વધારે હોય અને સાથે અશક્તિ, ભૂખ ના લાગવી, શરીરની ચામડી ઉપર ચાઠાં/ફોલ્લા થાય, તાણ (Convulsions/Seizures) આવે (ધ્રુજારી નહીં), ગળામાં સોજો અને દુખાવો, માથું દુ:ખે, પસીનો થાય, માનસિક અસર જેમ કે ઊંઘ જેવું લાગ્યા કરે, બેભાનાવસ્થા લાગે, કાન દુ:ખે, ગળું પકડાઈ જાય, ગળામાં ખોરાક/પાણી ઉતારવામાં તકલીફ થાય, શ્વાસ લેવામાં મુશ્કેલી થાય, ઊલટી, પાતળા/ઝાડા થાય અથવા લોહી પડે, અને તાપમાન ૩૯.૪ સેલ્સિયસથી વધે (Hyperpyrexia), તો ડૉક્ટરને તાત્કાલિક બતાવી અને જરૂર હોય તો દવાખાનામાં દાખલ થવું જોઈએ.

    તાવ/રોગ અટકાવવા આટલું કરી શકાયઃ

    (૧) સાફસૂથરા વાતાવરણ અને શરીરને સુરક્ષિત કરીને સારવાર કરવી જેથી ચેપ ના લાગે. (Cleanliness & other protective measures, like use of gloves)

    (૨) રસીકરણ કરાવવું. (Vaccination)

    (૩) અમુક પ્રકારની દવાઓનો નિષેધ – એમ્ફિટેમિન, કોકેઇન, અને અત્યારે વારંવાર સમાચારપત્રોમાં ચમકતી દવાઓ. (Illegal Drugs)

    એક વાત ખાસ યાદ રાખવી કે બધા તાવ જોખમી હોતા નથી અને ઘણીવાર દવા કર્યા વગર જ મટી જાય છે, તાવ એ રોગ નથી (Not a disease by itself), પણ કોઈ રોગની નિશાની (symptom) માત્ર છે. એટલે એ રોગનું યોગ્ય નિદાન (Proper Diagnosis) કરી એ પ્રમાણે દવા કરવાથી મટે છે. સામાન્ય તાવ ઉતારવાની દવાઓ ફક્ત તાપમાન ઓછું કરે પણ તેના કારણમાંનો રોગ મટે નહીં. તાવ ફાયદાકારક બને છે જ્યારે તે શ્વેતકણો ને કાર્યરત કરવામાં મદદ કરે છે અને રોગના જંતુઓને મારવામાં મદદ કરે છે, જંતુઓના ઝેરને ઓછું કરે, અને ટી કોષોને પસરવામાં અને વધવામાં મદદ કરે છે.

    તાવથી ઘણી વાર લોકો ખૂબ જ ગભરાઈ જાય છે, ખાસ કરીને બાળકને તાવ ચઢે ત્યારે, અને એટલી હદ સુધી કે આવા ‘ફીવર ફોબિયા’ (Fever Phobia)થી ન કરવાનું કરી બેસતાં હોય છે. એકવાર સર્જન હોવા છતાં મારે અડધી રાત્રે ભણેલા અને પોશ એરિયામાં રહેતા એક બાળકના તાવનો કૉલ એટેન્ડ કરવો પડેલો. જોયું તો બાળકની મમ્મીએ બાળકને બરફના પાણીમાં, બાથરૂમમાં ડુબાડી રાખેલું અને બાળક ધ્રુજતું, ચીસો પાડતું હતું. મેં તાત્કાલિક એને બહાર લેવા કહ્યું તો એ બહેન માનવા પણ તૈયાર નહોતાં!

    નોંધી લો- (Important Note).

    જવલ્લેજ ખૂબ તાવની અસર રૂપે (Hyperpyrexia) તાણ (Convulsions/Seizures) આવે ત્યારે તેની અસર મગજને નુકસાન કરે ત્યાં સુધી થાય છે. અને કોઈવાર જાનનું જોખમ થાય. મેનિન્જાયટિસ (Meningitis), કે મગજમાં/કાન દ્વારા (Otitis media) જો મગજના ભાગમાં રસી (Brain Abscess) થઈ હોય તો આમ થઈ શકે. પણ અત્યાર સુધી કેમ રોગ પકડાયો નહી અને દવા કેમ ના થઈ? તાણ અને ધ્રુજારી વચ્ચેનો તફાવત ના સમજી શકાય તો ગભરાટ વધી જાય છે.

    બીજી એક ખાસ વાત કે તાપમાન એકાએક વધી જવાનું કારણ વાતાવરણનું ઊંચું તાપમાન. દા.ત. ઘણાં કારખાનાંમાં, ખાસ કરીને ઉનાળામાં થાય છે, પણ અને એને તાવ ના કહેવાય, જેની તાત્કાલિક સારવાર ના થાય તો એ ઘાતક સાબિત થાય છે. શરીરને જલદી ઠંડું કરવું એ એની મુખ્ય સારવાર છે. આવા કેસને, હાઇપરથર્મિયા (Hyperthermia) કહેવાય.

    એ જ રીતે થાઇરોઇડની બીમારીમાં થાઈરોઈડના વધારે પડતા સ્ત્રાવને કારણે ખૂબ ઊંચું તાપમાન થાય (Thyroid storm) તે પણ ઇમર્જન્સી છે, પણ તેની સારવાર જુદી પડે છે.


    ક્રમશ: 


    ડૉ.પુરુષોત્તમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વિજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • પાંચ શેરોમાં ગૂંથેલ રમલ મુસદ્દસ મહઝૂફ છંદની (૧૯ માત્રા) ગઝલ

    નવી કલમની કવિતા અને આસ્વાદ

    ગઝલઃ  

     

    હાથ જોડી સહેજે કરગરવું નથી
    મોતની પહેલાં કદી મરવું નથી 

    બાગમાં મહેકી જવું છે ફૂલ સમ
    પાંદડાંની જેમ તો ખરવું નથી

     આંખમાં ડૂબી જવું છે એમની,
    કોઈ દરિયામાં હવે તરવું નથી

     સ્મિત માફક હોઠ પર રાખો મને,
    આંસુ થઈને આંખથી સરવું નથી.             

     જિંદગી બાજી રમે છે બંધમાં,
    દાવ સામેથી રમી ડરવું નથી.

    — મનીષા શાહ ‘મોસમ’

     આસ્વાદઃ

    દેવિકા ધ્રુવ 

     ટૂંકી બહેરના પાંચ શેરોમાં ગૂંથેલ રમલ મુસદ્દસ મહઝૂફ  છંદની (૧૯ માત્રા) આ ગઝલ કાબિલેદાદ બની છે.

    નૈરોબી (કેન્યા) નિવાસી બહેન  મનીષા ‘મોસમ’ ઉપનામથી ગઝલો લખે છે. નવી અને તાજી કલમ છે પણ ગઝલની કેફિયત અનોખી છે.

     પ્રથમ શેરમાં જ એક ગમતી ખુમારીથી શરૂઆત કરે છે કે,

    હાથ જોડી સહેજે કરગરવું નથી.
    મોતની પહેલાં કદી મરવું નથી. 

    એક સુંદર જીવન જીવી જાણવાની વાત છે અને તે પણ સ્વાભિમાનથી. માણસ માત્ર કશાક ને કશાક જબરદસ્ત એક બળથી જીવે છે. એ કાં તો પોતાની જન્મજાત આંતરિક શક્તિઓથી વિકસે છે અને કાં તો માયાવી જગતની વચ્ચે, સંસારની વચ્ચે સ્વમાનને અકબંધ રાખીને જીવે છે. મોટેભાગે તો આ બંને ખૂબ જ જરૂરી ઘટકો છે પણ હમેશાં જળવાઈ જ રહે તેવું બનતું હોતું નથી. ક્યારેક અસુખનાં વાદળો વચ્ચે કે અણધારી આપત્તિઓમાં માનવી અટવાઈ જાય છે અને જીવતરને નિષ્પ્રાણ બનાવી દે છે. અહીં ગઝલની નાયિકાની એક નેમ પ્રગટ થાય છે. 

    ઉપવનમાં મહેકતાં ફૂલોની જેમ ખીલવું છે અને સુગંધ ફેલાવવી છે. એમ જ મોસમની સાથે ખરી પડતાં પાંદડાની જેમ નહિ પણ હરહંમેશ પમરાટ પ્રસરાવતા પુષ્પો સમ મહેકતા રહેવું છે. હા, પુષ્પો પણ ખરે તો છે જ પણ એની સુગંધ કદી વિસરાતી નથી. એ તો આસપાસ સદા ફેલાતી જ રહે છે. એથી વધુ આગળ વધીને આંખોમાં ડૂબવાની વાત કરે છે, દરિયામાં તરતા રહેવામાં શી મઝા? ખરી મઝા તો કોઈની આંખોમાં ડૂબવાની છે. અહીં કવિ શ્રી બાલમુકુંદ દવેનો એક શેર યાદ આવે છે કે, છીછરા નીરમાં હોય શું નહાવું? તરવા તો મઝધારે જાવું.
    ઑર ગાણામાં હોય શું ગાવું? ગીત ગાવું તો પ્રીતનું ગાવું!
     

    આ કવયિત્રી લગભગ એવી જ વાત તેમના આ ત્રીજા શેરમાં કરે છે કે,

    આંખમાં ડૂબી જવું છે એમની,
    કોઈ દરિયામાં હવે તરવું નથી.  

    આંખેથી દેખાતો દરિયો અને પ્રેમનો દરિયો એ બંનેના ભેદની વાત છે આ. સ્થૂળ અને સૂક્ષ્મ,  દુન્યવી અને દૈવી આનંદના ફેરની વાત છે અને એકવાર એ સમજાઈ જાય કે અનુભવાઈ જાય પછી તો બીજું કાંઈ કરવાનું ક્યાં રહે છે જ? કેવળ એક અને અદ્વૈતાનંદ. સાચા સ્નેહના સાગરમાં ડૂબનારના હોઠ પર સ્મિત જ હોય ને? આંખમાં આંસુને અવકાશ જ ન રહે. ને ફરી પાછી એજ સ્વમાન અને ખુમારીની મસ્તીથી ચોથા શેરમાં નાયિકા જણાવે છે કે,

     સ્મિત માફક હોઠ પર રાખો મને,
    આંસુ થઈને આંખથી સરવું નથી.     

    અને છતાં જીવનની કરામત તો જુઓ? કેટલાં બધાં આવરણોથી એક નાનકડો જીવ લપેટાયેલો છે. 

    એક બંધ બાજીની જેમ જિંદગીનો જુગાર ખેલાય છે. જટિલ છે આ જાળભરી જિંદગી. વાળની ગૂંચ જેવી અણઉકલી છે. કોઈને મન ઉજવણી છે, તો કોઈને ઘર પજવણી છે.કદી લાગે સફર સુહાની છે, તો ક્યારેક લાગે અમર કહાની છે. કવયિત્રી કહે છે કે, બંધ બાજીના આ ખેલમાં સામેથી રમીને ડરવું નથી! પડશે તેવા દેવાશે. જે પાનું ખુલે તેને ખુલવા દો. એક હિંમત ભર્યો પડકાર છે.પણ અહીં ખૂબી જુઓ કે આંધળિયા સાહસની વાત નથી, હદથી વધુ રમવાનો ઈરાદો નથી. કારણ કે, એ બરાબર જાણે છે કે, excess of anything is dangerous. છતાં જે આવી પડે તેના પૂરા સ્વીકારની તૈયારી છે. અંતરમાં એક સ્પષ્ટ અને સાચી સમજણ છે. સામે ચાલીને કશું અઘટિત નોતરવું નથી. આવી સૂઝ પણ હકીકતે તો એક હિંમત જ છે ને?

    બીજો અર્થ એ પણ અભિપ્રેત હોઈ શકે કે, પોતાને પક્ષે કોઈ ખેલ ખેલવો નથી, કોઈ unwanted situation સર્જવી નથી, કોઈ અણગમતી પરિસ્થિતિ ઊભી થવા દેવી નથી. બધું બરાબર જ હોય, સારું અને યોગ્ય જ હોય તેવું જીવી જવાનો ભાવ પ્રગટે છે.

    જિંદગી બાજી રમે છે બંધમાં,
    દાવ સામેથી રમી ડરવું નથી.

     આમ છતાં અહીં ડરવું શબ્દ જરાક કઠે છે. તેને સ્થાને વધુ બંધબેસતા કાફિયા મળી શક્યા હોત.

    મનીષા શાહની નવી કલમને આવકાર છે. વધુ ને વધુ લખતા રહે એવી શુભેચ્છાઓ.

  • ભારતીય રાજનીતિનું ન્યૂ નોર્મલ એટલે રાજકારણમાં વંશવાદ

    નિસબત

    ચંદુ મહેરિયા

    નવમી ઓગસ્ટના હિંદ છોડો ચળવળ દિવસથી ભારતીય જનતા પક્ષે રાજનીતિમાંથી પરિવારવાદ હઠાવવાનું અભિયાન છેડ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી દિને લાલકિલ્લાની રાંગેથી કરેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં રાજકારણમાં વંશવાદ અને પારિવારિક રાજકીય પક્ષોને લોકતંત્ર સામેનો ખતરો ગણાવ્યા હતા.

    New Zamindars in Mera Feudal India!
    કાર્ટુન નેટ પરથી સાભાર

    ભારતના રાજકારણમાં પરિવારવાદની દીર્ઘ પરંપરા છે. આઝાદી પૂર્વે પિતા મોતીલાલ નહેરુ પછી ભલે સ્વબળે અને ખુદની પ્રતિભાના જોરે પુત્ર જવાહરલાલ નહેરુ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રેસિડેન્ટ બન્યા હતા. પરંતુ પરિવારવાદના આલોચકો છેક ત્યાં તેના મૂળિયાં જુએ છે. રાજનીતિમાં પરિવારવાદની ચર્ચા ગાંધી નહેરુ પરિવારના ઉલ્લેખ વિના અને પરિવારવાદને વકરાવવામાં કોંગ્રેસની અહમ ભૂમિકા વિના થઈ શકતી નથી. જોકે આજે બીજેપી સહિતના અને ડાબેરી પક્ષો સિવાયના લગભગ તમામ રાજકીય પક્ષો એક યા બીજી રીતે પરિવારવાદના પોષક અને પારિવારિક પક્ષોના સાથી તથા સમર્થક રહ્યા છે.

    કોઈ એવી વ્યક્તિ રાજનીતિમાં પ્રવેશે જેના પરિવારનો કોઈ સભ્ય રાજનીતિમાં હોય, પૂર્વે ચૂંટણી જીત્યા હોય કે હાલમાં કોઈ પદ પર હોય, ટૂંકમાં રાજકીય કુટુંબના બ્રેકગ્રાઉન્ડમાંથી આવતી વ્યક્તિનો રાજકારણ પ્રવેશ એટલે વંશવાદ. ભારતમાં પરિવારનો એક સભ્ય મંત્રી હોય કે મોટો નેતા હોય તો તેના ખાનદાનને રાજનીતિ કે સત્તા વારસામાં મળે છે. ગાંધી-નહેરુ કુટુંબ પાંચ પેઢીથી, હરિયાણાનું દેવીલાલ-ચૌટાલા ફેમિલી ચાર પેઢીથી, કર્ણાટકના દેવેગૌડા, મહારાષ્ટ્રના ઠાકરે,પંજાબના બાદલ વગેરે પરિવારોની ત્રીજી પેઢી રાજકારણમાં સક્રિય છે. ઘણા બધા રાજકીય ઘરાનાની બીજી પેઢી પંચાયતથી પાર્લામેન્ટ સુધી રાજકારણમાં જોડાઈને દેશની સેવા કરી રહી છે !

    હવે તો ભારતીય રાજનીતિએ  વંશવાદના ક્ષેત્રે એટલી બધી પ્રગતિ કરી છે કે કોઈ પક્ષમાં પરિવારને બદલે આખો પક્ષ જ પરિવારનો બનેલો હોય છે. ઉત્તરપ્રદેશની સમાજવાદી પાર્ટીમાં મુલાયમસિંઘ યાદવના બૃહદ પરિવારના વીસેક સભ્યો એમ.પી., એમ.એલ.એ થઈ ગયા છે. એટલે ઘણા તેને સમાજવાદીને બદલે પરિવારવાદી પાર્ટી કહે છે. લાલુ પ્રસાદ યાદવની આરજેડી, ફારુક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરન્સ, કરુણાનિધિની દ્રમુક, શિબુ સોરેનની ઝારખંડ મુક્તિ મોરચો, શરદ પવારની એનસીપી, પ્રકાશસિંઘ બાદલની શિરોમણિ અકાલી દલ અને બીજી એવી ખાનદાની પાર્ટીઓ દેશમાં ડઝનબંધ છે અને નવી બનતી રહે છે.

    ભારતની લોકસભામાં રાજકીય પરિવારમાંથી આવતા સભ્યોની સંખ્યા વધતી જાય છે. ૨૦૦૯માં લોકસભાના કુલ સભ્યોમાં ૯.૫ ટકા રાજકીય કુટુંબની પૃષ્ઠ્ભૂ ધરાવતા હતા. જે ૨૦૧૪માં ઘટીને ૮.૬ ટકા થયા હતા પરંતુ ૨૦૧૯માં તે ત્રણ ગણા વધીને ૩૦ ટકા થયા હતા. વર્તમાન લોકસભાના ૫૪૨માંથી ૧૬૨ સાંસદો રાજકીય ખાનદાનોમાંથી આવે છે. તેમાં કોંગ્રેસના ૩૧.૧૯ ટકા અને ભાજપના ૨૨.૦૨ ટકા છે. ૨૦૧૯માં સૌથી વધુ ૬૨ ટકા રાજકીય પરિવારના લોકસભા સભ્યો પંજાબમાંથી ચૂંટાયા હતા. તે પછીના ક્રમે બિહાર ૪૩ ટકા, મહારાષ્ટ્ર ૪૨ ટકા, કર્ણાટક ૩૯ ટકા, તમિલનાડુ ૩૭ ટકા, આંધ્ર ૩૬ ટકા, તેલંગણા ૩૫ ટકા, ઓડિશા ૩૩ ટકા અને રાજસ્થાન ૩૨ ટકા છે. દેશના લગભગ બધા જ રાજ્યોમાં રાજકીય વંશવાદ પ્રસરેલો છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીઓ ચીમનભાઈ પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિહ ચૌધરી,  કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલાના કુટુંબીજનો (પત્ની અને સંતાનો) રાજનીતિમાં વંશવાદના દ્રષ્ટાંતો છે.

    આઝાદી પછી રાજાઓના રજવાડાની સાથે રાજાશાહી નાબૂદ થઈ હતી અને દેશે લોકતંત્ર તરફ મક્કમ ડગ માંડ્યા છે.પરંતુ રાજકીય વંશવાદરૂપે નવી રાજાશાહી  ઉભી થઈ છે. આમ તો તેઓ લોકશાહી પ્રક્રિયાને અનુસરીને, બાકાયદા ચૂંટણી લડીને, ચૂંટાય છે. પરંતુ લોકોના તેમને ચૂંટવાના અને દિનબદિન રાજનીતિમાં પરિવારવાદમાં વધારો થવાના કારણો શું હોઈ શકે તે વિચારણીય છે. ભારતીયોમાંથી વ્યક્તિપૂજા અને સામંતી માનસિકતા હજુ ગઈ નથી. તેનો લાભ રાજકીય પરિવારોને મળે છે. રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગી તેની જીતની શક્યતાના આધારે કરે છે. તેમાં પારિવારિક પાર્ટીઓના કુટુંબીજનો  અને રાજકીય પરિવારોની પસંદગી થવી સહજ બની જાય છે. રાજકીય પક્ષો જીતની શક્યતાના આધારે મહિલાઓને ઉમેદવારો બનાવવામાં ઉદાસીન રહે છે. પરંતુ પારિવારિક પાર્ટીઓના મહિલા ઉમેદવારો તેમાં અપવાદ હોય છે. હાલની લોકસભાના સમાજવાદી પાર્ટી, તેલુગુ દેશમ, દ્રવિડ મુનેત્ર કડગમ, અકાલી દળ  અને એન.સી.પી.ના મહિલા સાંસદો રાજકીય પરિવારના જ છે. દેશના બે મુખ્ય રાજકીય પક્ષોમાં, ભારતીય જનતા પક્ષે છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૨૨ ટકા ટિકિટો રાજકીય પરિવારના સભ્યોને આપી હતી તેમાંથી ૨૫ ટકા વિજયી થયા હતા. કોંગ્રેસે ૩૧ ટકા ટિકિટો રાજકીય ખાનદાનોને આપી હતી. તે પૈકી ૪૪ ટકા ચૂંટાયા હતા. એટલે વિજ્યનું ગણિત અને મતદારોનો ઝૂકાવ પરિવારવાદની વિરુધ્ધમાં જોવા મળ્યો નથી.

    રાજનીતિમાં વંશવાદને લોકતંત્ર માટે એટલે ખતરો માનવામાં આવે છે કે તેમના માટે રાષ્ટ્રહિત કરતાં કુટુંબનું હિત મોટું હોય છે. રાજનીતિ તેમના માટે સેવા નહીં પણ વ્યાપાર છે. ભારતમાં આમેય  રાજનીતિ લાભદાયક પારિવારિક વ્યવસાય બની ગયો છે ત્યારે પરિવારવાદી રાજનીતિ અને પારિવારિક પક્ષો લોકતંત્રના હિતમાં નથી. આ પ્રકારનો પરિવારવાદ સમાન તક, યોગ્યતા, ક્ષમતા અને પ્રતિભાને તો હણે છે તે વ્યક્તિપૂજા, ખુશામત  અને દરબારી સંસ્કૃતિને પ્રોત્સાહિત કરે છે. મતદારોના દુ:ખ-દર્દ, આકાંક્ષાને સમજે એવા જમીન સાથે જોડાયેલા કાર્યકરોની ઉપેક્ષા થાય અને દરબારી ઉમેદવારો લદાય તો તે પક્ષ અને દેશના હિતમાં નથી. રાજકીય ખાનદાનના ઉમેદવારોને કારણે મતદારો માટે પસંદગી મર્યાદિત બની જાય છે. તો પરિવારના જોરે ફરી ચૂંટાવાની ખાતરી હોઈ આવા પ્રતિનિધિઓ મતવિસ્તારના કામો કરવામાં ઉદાસીન  કે અંડર પરફોર્મર હોય છે. વળી પારિવારિક પક્ષોમાં તો પરિવારનું આધિપત્ય જ નહીં તમામ નિર્ણયોમાં એકાધિકાર હોય છે.

    વંશવાદ કે પરિવારવાદ ભારતીયોના ડીએનએનું અભિન્ન અંગ છે. આપણે ત્યાં ગમે તે પસંદગીમાં  વ્યક્તિના ગુણોને બદલે ‘ ઘરની વ્યક્તિ પહેલી’ નો માપદંડ ચાલે છે. એટલે ના માત્ર રાજકારણમાં ઉધ્યોગ-ધંધા, શિક્ષણ –રોજગાર, સ્પોર્ટ્સ અને ફિલ્મોમાં પણ નેપોટિઝમ કે વંશવાદની બોલબાલા છે.રાજનીતિમાંથી પરિવારવાદ દૂર કરવા માટે રાજકીય પક્ષોમાં આંતરિક લોકશાહી હોવી ખૂબ જ જરૂરી છે. બહુજન સમાજ પાર્ટી અને શિવસેનાને ચૂંટણી પંચની તાકીદ પછી તેમણે સંગઠનની ઉપરછલ્લી ચૂંટણીઓ યોજી હતી. કોંગ્રેસમાં વડાપ્રધાન જ પક્ષ પ્રમુખ હોય તેવી વણલખી પરંપરા હતી. ગાંધી-નહેરુ ખાનદાન વડાપ્રધાન પદથી દૂર રહ્યું ત્યારે પણ પક્ષની કમાન તો તેના હાથમાં જ  રહી હતી. રાજકીય પક્ષો માટે રાજનીતિમાં પરિવારવાદ કોઈ સૈધ્ધાંતિક મુદ્દો નથી પણ ચૂંટણી મુદ્દો  છે. હાલના કેન્દ્રના સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષના નરેન્દ્ર મોદી મંત્રીમંડળના સભ્યો રાજનાથસિંઘ, પીયૂષ ગોયેલ, ધર્મેન્દ્ર પ્રધાન, અનુરાગ ઠાકુર વગેરે પોતે કે તેમના સંતાનો વંશવાદના ઉદાહરણો હોવા છતાં ભાજપ વંશવાદથી  સાવ મુક્ત પાર્ટી હોવાનો દેખાવ કરવામાં સફળ રહે છે તે ભારતીય રાજનીતિની બલિહારી છે.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ

    તવારીખની તેજછાયા

    દર્શક, મેઘાણીનું તાજવે ફોરતું ને સમ સંવેદને દૂઝતું ગાંધીઘટન લઈને આવ્યા. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક મળી રહ્યા

    પ્રકાશ ન. શાહ

    એ એ કસાથે સંભારવા છે આજે બેઉને: ૨૮મી ઓગસ્ટે મેઘાણી જયંતી અને ૨૯મી ઓગસ્ટે દર્શક સ્મૃતિ. આ લખી રહ્યો છું ત્યારે એમ જ સ્મરણ સરી આવે છે કે ૨૦૦૧ના ઓગસ્ટની ૨૯મીએ દર્શક ગયા ત્યારે ભાદરવા સુદ અગિયારસ હતી. મને આ કિસ્સામાં તિથિ સંભારવી ગમે છે, કેમ કે એમાં યથાસ્થિતિનો અસ્વીકાર છે અને પરિવર્તનનો પુરસ્કાર છે. લગરીક આત્મકથાત્મક ઢબે શરૂઆત કીધી જ છે તો વળી એમ જ આગળ ચાલું.

    મેઘાણીને પંચોતેર થયા ત્યારે ચોટીલા ડુંગરના પેટાળમાં, નીચે, મોટી સભા ભરાઈ હતી. પાંચેક હજાર માણસ હશે. વાંસોવાંસ, લોકભારતી પરિવાર સમક્ષ દર્શકે ત્રણ મેઘાણી વ્યાખ્યાનો આપ્યા- ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી.’ એ બહાર તો ૧૯૭૨ – ૭૩માં પડ્યાં હશે, પણ મેં ચાવથી ઘૂંટડે ઘૂંટડે પીધાં પાલનપુર સબ જેલમાં, માર્ચ `૧૯૭૫. મહેન્દ્ર મેઘાણીએ મને જેલમાં એ મોકલી આપેલ.

    ગુજરાતમાં ભરકટોકટીએ બાબુબાઈ જશભાઈની જનતા મોરચા સરકાર પડી ત્યારે A Suitable Boyની આપહેસિયતથી પહેલા ઘાણમાં પકડાયેલા પૈકી હુંયે હતો અને કવિ ઉપવાસી (ભોગીભાઈ ગાંધી)નો નિત્યસોબતી એટલે ચિત્તમાં રમતી પંક્તિ અલબત્ત એ જ હતી કે ‘નહીં કંઈ ગુમાવવું- ફક્ત શૃંખલાબેડીઓ!’ જેલમાં ‘અધર ધેન એન્ટિસોશિયલ’ અમે ચાર-પાંચ જ જણા હતા. બાકી બધા કાચા કામના કેદીઓ બહુધા, ‘લોકવરણ’ જ કહો ને… અમે કટોકટી સામે લડનારા હતા, પણ સામાન્ય સમાજથી કેટલા કપાયેલ હોઈશું, ન જાણે!

    બરાબર આ જ દિવસોમાં ‘ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી’ એ મેઘાણી વ્યાખ્યાનો હાથમાં આવ્યાં. શો આબાદ મુખડો બાંધ્યો’તો વીર દર્શકવાળાએ! એમણે કહ્યું કે અકેકો શબ્દ તોળી તોળીને બોલનાર ગાંધીજીએ મેઘાણીને રાષ્ટ્રીય શાયર કહ્યા એ ચીલેચલુ અર્થમાં તો હોય જ નહીં- શૌર્ય ને વીરરસના પોવાડા કે ‘સિંધુડો.’ રાષ્ટ્રીય જાગૃતિ ને વીરરસની રચનાઓ તો ખાસ્સી હતી, જેમ કે ‘કેસરભીના કંથ હો સીધાવો જી રણવાટ.’ કે પછી, ‘પાર્થને કહો ચડાવે બાણ.’ એટલે ગુજરાતમાં કોઈ રાષ્ટ્રનાં ગીતો ગાનાર કવિઓ તો હતા નહીં અને મેઘાણી ‘રાષ્ટ્રીય શાયર’ થયા એવું તો નથી. દર્શકે બરાબર મુદ્દો ઊંચક્યો: ગાંધીજીના મનમાં રાષ્ટ્રીય શાયરનો અર્થ એ હશે કે રાષ્ટ્રના જે બે વિભાગો પડી ગયા છે- ભણેલા ને અભણ- એ બેને જે સાંકળી શકે તે રાષ્ટ્રીય શાયર. એ બે વચ્ચેની, જો મેઘાણીની ભાષામાં કહીએ તો- ‘હે જી ભેદની ભીંત્યુંને આજ મારે ભાંગવી, મનડાની આખરી ઉમેદ.’ પોરો રે આવ્યો સંતો પાપનો. જૂના જમાનામાં ગામડામાં દરબારો હોય અને રૈયત પણ હોય, પણ આર્થિક-સામાજિક એવો વર્ગવિચ્છેદ નહોતો જે ભણેલા અને અભણ વચ્ચે આવ્યો. જે કંઈ તળપદ તેને સારુ એક તુચ્છભાવ ભણેલામાં પેદા થયો.

    દર્શક આ સંદર્ભમાં રા. વિ. પાઠકની ‘મુકુન્દરાય’ વાર્તા સંભારે છે. મેઘાણીએ જે માહોલ ઊભો કર્યો એમાં ભણેલા જુવાનિયા પાળિયા, દેરીઓ, જંગલ-પહાડ, પોતાનાં ગામ, ડોશી, મીર, ચારણ બધાં તરફ આદરથી જોવા લાગ્યા. તમે જેની સાથે એકતા કરવા માગતા હો તેની સાથે પરિચય થવો જોઈએ, અને તેને ચાહો તેવો પરિચય થવો જોઈએ.

    મેઘાણીના આ તાજવે ફોરતા ગાંધીઘટનમાં દર્શકે ‘છેલ્લો કટોરો’ સરખી સુપ્રતિષ્ઠ ને સર્વસ્વીકૃત રચનાએ નહીં અટકતાં એક જુદી જ રચનાને આગળ કરી છે. પૂર્વે સુંદરજી બેટાઈ સરખા એકાદા સુખદ અપવાદને બાદ કરતાં કોઈએ એના પર આવી ને આટલી નજર નોંધી નથી. આ રચના તે ‘છેલ્લી સલામ.’ હિંદુઓ ને હરિજનોથી અલગ પાડતા ચુકાદા સામે ગાંધીએ સવર્ણ માનસને પલટાવવા અનશન આદર્યા. એ અનશન અવસરે મેઘાણી લઈને આવ્યા: ‘સો સો રે સલામું મારાં ભાંડુડાંને કે’જો રે…’

    કવિની સ્વાધીનતા, એનો મિજાજ તો જુઓ: રઘુપતિ રામ મારા રુદાનો વિસામો- એણે ઋષિઓને વચને ખાધેલ ખોટ્યું હો…જી, પ્રભુનામ ભજતો એણે પારાધી સંહારિયો રે, એનું ઘોર પાતક આજે ઊમટ્યું હો…જી! આખો સમાજ એવો ગેગી ગયો છે કે- ટીપે ટીપે શોણિત મારાં તોળી તોળી આપું તોયે, પૂરાં જેનાં પ્રાછત કદીયે જડશે ન જી… વાત આજની જ નહીં, છેક રામ ને કૃષ્ણના વારાની છે… કીધાં ખાખ ખાંડવવનને પાંડુ તણા પુત્રે તે દી… છેદ્યાં, બાળ્યાં, ગારદ કીધાં પૃથ્વીના પેટમાં, ને અસુરો કહીને કાઢ્યા વનવાસ જી. આદિવાસીઓ, દુબળાને માથે વીતાડવામાં શું બાકી રાખી છે? હસતાં મુખડાંની અમને વિદાયું દિયો રે, વા’લાં’! રખે કોઈ રોકે નયણાં રડીને હો…જી! રાષ્ટ્રીયતાના વિમર્શ આખાને વીરરસની, ‘ધ અધર’ને વિહારવાની મૂઠમાંથી ઉગારી ગાંધી-રવીન્દ્ર-આંબેડકર પરંપરામાં સમતા સંઘર્ષ અને સમતા સ્નેહનમાં ઢાળવાની આ મેઘાણી પહેલ, શબ્દો જડતા નથી એને માટે.

    જેલમાં એ વાંચતો હતો, અને બેડી તૂટતી અનુભવતો હતો. ભવભૂતિએ કહ્યું કે કાળ નિરવધિ છે અને પૃથ્વી વિપુલ છે- ક્યારેક તો, ક્યાંક તો મને કોઈક સમાનધર્મા મળશે. મેઘાણી નસીબદાર કે એમને એમના જ સમયખંડમાં અને એમના જ પંથકમાં દર્શક લગભગ વાંસોવાંસ મળી રહ્યા.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૩૦ – ૦૮  -૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.