-
પ્રત્યક્ષ પરમેશ્વર – વૈશ્વાનરં
ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના
દિનેશ.લ. માંકડ
” તમે ઈશ્વરને જોયા છે ?” એવો કોઈ આપણને પ્રશ્ન કરે તો બે ઘડી તો આપણે અનુત્તર જ હોઈએ.માંડુક્ય ઉપનિષદે તેનો સરળ ઉત્તર આપી દીધો છે.सर्वꣳह्येतद्ब्रह्मायमात्माब्रह्मसोऽयमात्माचतुष्पात्॥ ‘ આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે. આ આત્મા પણ બ્રહ્નરૃપ જ છે.એ ચાર ચરણવાળા સ્થૂળ અથવા પ્રત્યક્ષ,સૂક્ષ્મકારણ અને અવ્યક્ત રૂપમાં પ્રભાવી છે.’ જિજ્ઞાસુ તો સીધો જ સવાલ કરે કે આ સ્થૂળ રૂપ તે કયું રૂપ ? એનો ઉત્તર પણ આ જ ઉપનિષદઆપે છે. जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ‘ પ્રથમ ચરણ સ્થૂળ -વૈશ્વાનર ( પ્રગટ વિશ્વનો સંચાલક) છે.જે સમગ્ર સ્થાનમાં રહેનારો ,સાત અંગો અને ઓગણીસ મુખો ( દસ ઇન્દ્રિય ,પાંચ પ્રાણ અને અંતકરણ ચતુષ્ટ ) વાળા તથા સ્થૂલના ભોક્તા છે.’સ્થૂળ રૂપ આ વૈશ્વાનરનો પ્રભાવ વર્ણવતા આગળના એક મંત્રમાં જણાવે છે કે जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्गएकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ‘ જાગૃત સ્થાનવાળો વૈશ્વાનર વ્યાપ્ત અને આદિતત્ત્વ હોવાને કારણે ૐ કારનું આ પ્રથમ ચરણ છે.આ પ્રકારનું જ્ઞાન રાખનારો જ્ઞાની,સંપૂર્ણ કામનાઓ ને પ્રાપ્ત કરશે.બધાંમાં વરિષ્ઠતા મેળવે છે.’
માનવ શરીરને ટકાવવાનો સૌ પ્રથમ આધાર અન્ન છે .અને એટલે જ આપણાં પ્રત્યક્ષ શરીરને અન્નમયકોશ સાથે સૌથી પહેલાં જોડાય છે.પણ પછી જો અન્નમયકોશ ઢીલો પડે તો શરીરમાં બખડજંતર શરુ થાય.બીજી તરફ આધ્યાત્મિક વિકાસની દિશામાં જવા માટે અન્નમયકોશથી આગળ પ્રાણમયકોશને મજબૂત કરવાની દિશામાં જવાની ગતિ-દિશા શરુ થાય.એટલે જે અન્ન લેવાય તે તો સાત્ત્વિક હોય જ એ અન્નની સાથે પ્રાણને શુદ્ધ કરવાની પ્રક્રિયા જ પ્રબળ હોવી જોઈએ. અને એ વખતે પરબ્રહ્મ-પરમાત્માનું વૈશ્વાનર રૂપ મદદમાં આવે.. શરીર વિજ્ઞાનીઓ ભલે તેને જઠરાગ્નિ કહે પણ હકીકતમાં તે પ્રત્યક્ષ દેવ જ છે.
છાંદોગ્ય ઉપનિષદમાં વૈશ્વાનરના વિરાટ સ્વરૂપના અને તેને રીઝવવા તેની ઉપાસના પદ્ધતિની વાત ખુબ જ વિસ્તૃત રીતે થયેલી છે.ઉપમન્યુ પુત્ર ઔપમન્યવ ( પ્રાચીનશીલ ),પુલુશ પુત્ર પૌલુષિ ( સત્યયજ્ઞ ) ભલ્લ્વીના પુત્રો ( ઇન્દ્ધ્રુમ ),શર્કરાક્ષનો પુત્ર જનશર્કરાક્ષ ,અશ્વતરાશ્વનો પુત્ર બુડીલ-પાંચેય શાસ્ત્ર અને અધ્યયનમાં નિપુણ વિમર્શ કરતાં પરસ્પર પૂછવા લાગ્યા ,’ અમારો આત્મા કોણ છે ? અને બ્રહ્મ શું છે?’ ,प्राचीनशाल औपमन्यवः सत्ययज्ञःपौलुषिरिन्द्रद्युम्नो भाल्लवेयो जनः शार्कराक्ष्योबुडिल आश्वतराश्विस्ते हैते महाशाला महाश्रोत्रियाः
समेत्य मीमाꣳसांचक्रुःको न आत्मा किं ब्रह्मेति ॥ ચર્ચા પછી પણ નિષ્કર્ષ પર નઆવ્યા એટલે આ વૈશ્વાનર વિદ્યાના જ્ઞાની એવા આરુણિ પુત્ર ઉદ્દાલક પાસે ગયા.એમણે પોતાની અપૂર્ણતા જાહેર કરીને કૈકેય પુત્ર અશ્વપતિ પાસે મોકલ્યા અને સાથે પોતે પણ ગયા.
જ્ઞાની રાજા અશ્વપતિએ સહુનો સત્કાર કરી વૈશ્વાનર- વિજ્ઞાનથી યુક્ત વિદ્યા સમજાવી. तान्होवाच प्रातर्वः प्रतिवक्तास्मीति ते ह समित्पाणयःपूर्वाह्णे प्रतिचक्रमिरे तान्हानुपनीयैवैतदुवाच ॥ પ્રારંભમાં દરેક જિજ્ઞાસુને વ્યક્તિગત પૂછ્યું કે,‘ તેઓ પોતે કેવી રીતે ઉપાસના કરે છે. દરેકને તેઓ જે ઉપાસના કરે છે, તેનું કેટલું ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય તે પણ કહી બતાવ્યું. अथ होवाच सत्ययज्ञं पौलुषिं प्राचीनयोग्य कंत्वमात्मानमुपास्स इत्यादित्यमेव भगवो राजन्नितिहोवाचैष वै विश्वरूप आत्मा वैश्वानरो यंत्वमात्मानमुपास्से तस्मात्तव बहु विश्वरूपं कुलेदृश्यते ॥ સાથે સાથે એ પણ જણાવ્યું કે, ‘તે ઉપાસનાની આપૂર્તિ આવશ્યક જ હતી અને તેઓ આવ્યા એ પણ યોગ્ય કર્યું ‘ એમ કહીને રાજા અશ્વપતિએ વૈશ્વાનરના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું.तस्य ह वा एतस्यात्मनो वैश्वानरस्य मूर्धैवसुतेजाश्चक्षुर्विश्वरूपः प्राणः पृथग्वर्त्मात्मा संदेहोबहुलो बस्तिरेव रयिः पृथिव्येव पादावुर एव वेदिर्लोमानिबर्हिर्हृदयं गार्हपत्यो मनोऽन्वाहार्यपचन आस्यमाहवनीयः ‘ આ વૈશ્વાનરનું મસ્તક જ દ્યુલોક છે.નેત્ર જ સૂર્ય છે.પ્રાણ જ વાયુ છે.શરીરનો મધ્ય ભાગ આકાશ છે.બસ્તિ જ જળ છે.મોં અહવનીય અગ્નિ સમાન છે કારણકે તેમાં જ હવન થાય છે.’
ઉપનિષદો દ્વારા ગુરુ શિષ્ય સંવાદના માધ્યમથી માનવજીવનને ઉત્કૃષ્ટ બનાવવાનો અવસર મળે છે. આપણે સહુ નિયમિત અન્ન આહાર કરીએ છીએ.એ પોતે શરીરમાં રહેલા પરમાત્માની પૂજા છે -યજ્ઞ છે .એટલે જ પ્રારંભમાં ભોજન શરુ કરતાં પહેલાં કેટલાક આહુતિ શ્લોક થોડા જાણકાર મિત્રો બોલે પણ છે ખરા. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ समानाय स्वाहा” પણ એ પ્રત્યેક મંત્રનો ભાવાર્થ અને તેની ફલશ્રુતિ જાણીએ તો સાચા અર્થમાં તે યથાર્થ થાય.
અહીંથી અશ્વપતિ વૈશ્વાનરની પર્ણ ઉપાસના અને ફલશ્રુતિની વિદ્યા પ્રદાન કરે છે.तद्यद्भक्तं प्रथममागच्छेत्तद्धोमीयꣳसयांप्रथमामाहुतिं जुहुयात्तां जुहुयात्प्राणाय स्वाहेतिप्राणस्तृप्यति ॥ ‘ અન્ન -ભોજંન વખતે જે યજ્ઞ કરાય તેની પ્રથમ આહુતિ જે ‘ પ્રાણાય સ્વાહા: ‘ મંત્ર સાથે સમર્પિત કરવામાં આવે છે.એનાથી પ્રાણ તૃપ્ત થાય છે.’ प्राणे तृप्यति चक्षुस्तृप्यति चक्षुषितृप्यत्यादित्यस्तृप्यत्यादित्ये तृप्यति द्यौस्तृप्यतिदिवि तृप्यन्त्यां यत्किंच द्यौश्चादित्यश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानुतृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेनेति ॥ પ્રાણ તૃપ્ત થતાં જ ચક્ષુ તૃપ્ત થાય છે.ચક્ષુ તૃપ્ત થતાં સૂર્ય તૃપ્ત થાય છે.સૂર્ય તૃપ્ત થતાં દ્યુલોક તૃપ્ત થાય છે.દ્યુલોક તૃપ્ત થતાં જ જે કોઈની ઉપર દ્યુલોક અને આદિત્ય પ્રતિષ્ઠિત છે એ પણ તૃપ્ત થાય છે.એના તૃપ્ત થવાથી સ્વયં ભોજન કરનાર પ્રજા,પશુ વગેરેની સાથે તેજ ( શારીરિક ) ,અને બ્રહ્મતેજ ( જ્ઞાનજન્ય તેજ ) દ્વારા પ્રાપ્ત થાય છે.’
એ પછીથી જે બીજી આહુતિ સમર્પિત કરવામાં આવે છે अथ यां द्वितीयां जुहुयात्तां जुहुयाद्व्यानाय स्वाहेतिव्यानस्तृप्यति ॥ એ સમયે ‘વ્યાનાંય સ્વાહા: ‘મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. આ રીતે વ્યાનને તૃપ્તિ થાય છે. व्याने तृप्यति श्रोत्रं तृप्यति श्रोत्रे तृप्यतिचन्द्रमास्तृप्यति चन्द्रमसि तृप्यति दिशस्तृप्यन्तिदिक्षु तृप्यन्तीषु यत्किंच दिशश्च चन्द्रमाश्चाधितिष्ठन्तितत्तृप्यति तस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येनतेजसा ब्रह्मवर्चसेनेति ॥ ‘વ્યાનના તૃપ્ત થતાં કર્ણેન્દ્રિય તૃપ્ત થાય છે .શ્રોત્રતા તૃપ્ત થવાથી ચંદ્રમા તૃપ્ત થાય છે.ચંદ્રમાના તૃપ્ત થવાથી દિશાઓ અને દિશાઓના તૃપ્ત થવાથી જે કોઈની ઉપર ચંદ્રમાઓ અને દિશાઓ સ્વામી ભાવથી રહેલી છે એ અવશ્ય તૃપ્ત થાય છે.એની તૃપ્તિ બાદ ભોક્તા પ્રજા વગેરે તેજ અને બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે.’
ત્યાર પછી ત્રીજી આહુતિ ‘ અપાનાય સ્વાહા: ‘ મંત્રની સાથે આપવી જોઈએ. अथ यां तृतीयां जुहुयात्तां जुहुयादपानायस्वाहेत्यपानस्तृप्यति ॥ એનાથી અપાન તૃપ્ત થાય છે.’અપાન’ના તૃપ્ત થતાં અગ્નિને તૃપ્તિ મળે છે.અગ્નિ તૃપ્ત થતાં જ પૃથ્વી તૃપ્તિ મેળવે છે અને પૃથ્વી તૃપ્ત થવાથી જે કોઈની ઉપર પૃથ્વી અને અગ્નિ સ્વામીભાવથી રહેલ છે એ તૃપ્ત થાય છે .ત્યાર બાદ પ્રજા વગેરે પણ તેજ અને બ્રહ્મતેજ દ્વારા તૃપ્તિને પ્રાપ્ત કરે છે .अपाने तृप्यति वाक्तृप्यति वाचि तृप्यन्त्यामग्निस्तृप्यत्यग्नौतृप्यति पृथिवी तृप्यति पृथिव्यां तृप्यन्त्यां यत्किंच
पृथिवी चाग्निश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसाब्रह्मवर्चसेनेति ॥
ત્યારબાદ ચોથી આહુતિ ‘સમાનાય સ્વાહા: ‘ મંત્રની સાથે આપવી જોઈએ .એનાથી ‘સમાન ‘તૃપ્ત થાય છે.अथ यां चतुर्थीं जुहुयात्तां जुहुयात्समानाय स्वाहेतिसमानस्तृप्यति ॥ સમાનનના તૃપ્ત થતાં જ મનને તૃપ્તિ મળે છે.મન તૃપ્ત થતાં જ પર્જન્ય તૃપ્ત થાય છે.અને પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુતને તૃપ્તિ મળે છે.જેની ઉપર પર્જન્ય અને વિદ્યુતનો સ્વામીભાવ છે તે પણ તૃપ્ત થઇ જાય છે.તેની તૃપ્તિ પછી પ્રજા વગેરે તૃપ્ત થાય છે.समाने तृप्यति मनस्तृप्यति मनसि तृप्यति पर्जन्यस्तृप्यतिपर्जन्ये तृप्यति विद्युत्तृप्यति विद्युति तृप्यन्त्यां यत्किंचविद्युच्च पर्जन्यश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेनेति|
પાંચમી આહુતિ ‘ઉદાનાય સ્વાહા:’ મંત્રથી આપવી જોઈએ अथ यां पञ्चमीं जुहुयात्तां जुहुयादुदानायस्वाहेत्युदानस्तृप्यति ॥. ઉદાન તૃપ્ત થવાથી ત્વચા તૃપ્ત થાય છે.ત્વચાના તૃપ્ત થવાથી વાયુ,વાયુના તૃપ્તથવાથી આકાશ અને વાયુ તથા આકાશના સ્વામીભાવ વાળા સર્વે તૃપ્ત થાય.તેનાથી પ્રજા વગેરે તૃપ્ત થાય.તે -બ્રહ્મતેજ મેળવે. उदाने तृप्यति त्वक्तृप्यति त्वचि तृप्यन्त्यां वायुस्तृप्यतिवायौ तृप्यत्याकाशस्तृप्यत्याकाशे तृप्यति यत्किंचवायुश्चाकाशश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेन|
આ રીતે પાંચ વિશેષ રીતે અપાતી આહુતિની સમજણ આપીને રાજા અશ્વપતિએ તારણરૂપ ખુબ અગત્યની વાત કરી अथ य एतदेवं विद्वानग्निहोत्रं जुहोति तस्य सर्वेषु लोकेषुसर्वेषु भूतेषु सर्वेष्वात्मसु हुतं भवति ॥ ઉપર્યુક્ત બતાવેલ ક્રમ મુજબ જે વૈશ્વાનર વિદ્યાને જાણી સમજીને યજ્ઞ કાર્ય સંપન્ન કરે છે એના દ્વારા બધા લોક,સમસ્ત પ્રાણી સમુદાય અને સંપૂર્ણ આત્માઓને માટે યજન કાર્ય પરિપૂર્ણ બની જાય છે.
ગુજરાતી ભાષાના કવિ હરિહર ભટ્ટએ પોતાના એક કાવ્યમાં સહજ શબ્દોમાં આધ્યાત્મિક વાત કરી છે.’ વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.’-બ્રહ્મ પ્રાપ્તિ માટેની ઝંખના કવિએ નમ્ર ભાવે મૂકી છે. ઉપનિષદોએ જેને પૂર્ણ બ્રહ્મ કહ્યો છે તે વૈશ્વાનરને આત્મસાત કરવાની દિશામાં એક ડગલું તો ચોક્કસ ભરાય.
શ્રી દિનેશ માંકડનું ઈ-મેલ સંપર્ક સરનામું :- mankaddinesh1952@gmail.com
સંપાદકીય નોંધ:સહર્ષ જનાવવાનું કે આ લેખમાળા “ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના” તરીકે પ્રકાશિત થઈ ચુકેલ છે.

પુસ્તક પ્રકાશનની વિગત નીચે મુજબ છે.
* પુસ્તકનું નામ -ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના ( પ્રસ્તુત પુસ્તકમાં અનેક ઉપનિષદોમાં પસંદ કરેલા મંત્રો ,તેના ભાવાનુવાદ સાથે તથા અનેક ગુરુ શિષ્ય સંવાદ અને દૃષ્ટાંતો મુકવામાં આવ્યા છે.પુસ્તક પ્રાચીન ભારતીય શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્ય પ્રદર્શિત કરે છે.
*પૃષ્ઠ સંખ્યા -168
* મૂલ્ય – રૂ. 310/- { વેબગુર્જરી વાચકોને વિશેષ વળતર }
* પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન – સંસ્કાર સર્જન ,અમદાવાદ .સંપર્ક -9427960979
* ઈમૈલ – mankaddinesh1952@gmail.com -
રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૧

સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ
અંક બીજો:પ્રવેશ ૫ થી આગળ
અંક ત્રીજો
પ્રવેશ ૧ લો
સ્થળ : દુર્ગેશનું ઘર.
[દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]
દુર્ગેશ : પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.
કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.
દુર્ગેશ : સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.
કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.
દુર્ગેશ : કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત? જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.
કમલા : કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.
દુર્ગેશ : એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ
રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે ! પ્રાણેશ્વરી ! તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત !
(વસંતતિલકા)
તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,
તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;
ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,
ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧કમલા : અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.
દુર્ગેશ : શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.
કમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્યની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે ‘પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે? અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ.
દુર્ગેશ : શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય? ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના !
કમલા : પહેલાં મને એમ લાગતું કે શ્રીમતી અને ભગવન્તની ગંભીરતા તથા પ્રૌઢતામાં પ્રેમનો અવકાશ નહિ હોય, પણ આપણા લગ્ન પહેલાંના વૃતાન્તમાં મારે એમનો બહુ પરિચય થયો ત્યારે ખબર પડી કે એમનો પ્રેમ અગાધ છે. અને એમની આસક્તિમાં રાગ માતો નથી એટલો ભરપૂર છે. માત્ર એક વાત આશ્ચર્ય જેવી લાગી. ‘પ્રિયા’ અને ‘પ્રાણનાથ’ અને એવાં પ્રેમના સંબોધનોના ઉચ્ચાર કરતાં મેં તેમને કદી સાંભળ્યા નથી. બહુ કુતૂહલ થવાથી તેમનાં એકાન્ત સંભાષણ મેં છાના રહી એક બે વાર સંભળેલાં, પણ , એવાં વચનો તેમના મુખમાંથી નીકળેલા નહિ.
દુર્ગેશ : પ્રિયતમે ! મને તો એમ લાગે કે તને પ્રેમવાચક વચનોથી સંબોધન કર્યા વિનાની એક ઘડી ગઈ હોય તો તે સૃષ્ટિના ઇતિહાસમાં નિરર્થક ગઇ.
કમલા : પ્રાણવલ્લભ ! તમારી આ અશેષ ભક્તિ કોઈ કોઈ વાર મને ભયભીત કરે છે કે એમાં અણુમાત્ર શિથિલતા કોઈ કાળે થશે તો હું તે શી રીતે સહન કરીશ.
દુર્ગેશ : તને મારા પ્રેમની નિશ્ચલતા પર શ્રદ્ધા નથી?
કમલા :
(માલિની)
હ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,
થઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;
જિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,
હ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.લગ્ન પહેલાં શ્રીમતીએ મને કહેલું કે ‘ગયેલું યૌવન પાછું મેળવવાનો ઉપચાર મહારાજ પર્વતરાયને જડ્યો છે, પણ ગયેલો પ્રેમ પાછો મેળવવાનો ઉપચાર કોઈને જડ્યો નથી. માટે, પ્રેમમાં નિરંતર દૃઢ રહેવાનું મનોબળ તમારા બન્નેમાં છે એમ તમને લાગતું હોય તો જ લગ્ન
કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.
દુર્ગેશ : તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ?
કમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી હતી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.
દુર્ગેશ : પ્રાણપ્રિયા ! તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે?
કમલા : હ્રદયેશ્વર ! હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય ! તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.
દુર્ગેશ : એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.
કમલા : એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે ‘તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.’ એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.
દુર્ગેશ : એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે ‘તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.’
કમલા : એમની ગુપ્તતામાં મહાતેજ ઢંકાયેલું છે, એમ લાગ્યા વગર રહેતું નથી. અહો ! આ એ જ આવે છે.
[રાઈ પ્રવેશ કરે છે અને બેસે છે.]
રાઈ : તમે બન્ને મારી નિંદા કરતાં હતાં એમ જણાય છે.
કમલા : જેની સંપૂર્ન સ્તુતિ અશક્ય હોય તેને અપૂર્ણ સ્તુતિ નિંદા જ છે.
રાઈ : પોતાને માટે તો તમે કહેતાં હતાં કે વિવાહિત દંપતીને માટે જગતમાં સર્વ સંપૂર્ણ જ છે. તેથી, દુનિયામાં વધેલી અપૂર્ણતા કુંવરાઓને બક્ષિસ આપી દેતાં હશો !
કમલા : તમે કુંવારા છો એટલું પણ અત્યારે જ જાણી છીએ. તેથી એ બક્ષિસની કલ્પના સંભવતી નથી.
રાઈ : આટલો બધો તમારો કૃપા પાત્ર છતાં હું તમારાથી અંતર રાખું છું એ મને બહુ ખૂંચે છે, પરંતુ જ્યારે એ અંતર દૂર કરવાને સમય આવશે ત્યારે મારું વાજબીપણું તમે કબૂલ કરશો.
દુર્ગેશ : એ વિષે અમને સંદેહ છે જ નહિ, માત્ર કમલાને જિજ્ઞાસા દાબી રાખવી બહુ કઠણ પડે છે.
કમલા : પુરુષોની જિજ્ઞાસા સ્ત્રીઓ જેટલી જ તીવ્ર ન હોય તો ખોળતા ખોળતા તેઓ પાતાળ સુધી જાત નહિ.
દુર્ગેશ : અત્યારે તો અમારી જિજ્ઞસા તારા મનોરમ સંગીત માટે છે લે આ સારંગી.
[ઊઠીને સારંગી આપે છે]
કમલા : [સારંગી વગાડીને ગાય છે]
(ખમાચની ઠુમરી)
રસ સુખકર ઘન શો વરસી રહ્યો !
વરસી રહ્યો, વરસાવી રહ્યો! રસ૦પ્રેમ ગગન કેરો કંઈ આણી,
પુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,
સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,
સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦ભિંજવિ કેસર પાંખડિ તંતુ,
કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦રાઈ : શી સંગીતની મધુરતા ! એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.
કમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.
રાઈ : કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય?
દુર્ગેશ : તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.
રાઈ : તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.
રાઈ : મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.
દુર્ગેશ : મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.
રાઈ : ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે?
દુર્ગેશ : મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.
રાઈ : લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે?
દુર્ગેશ : એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.
રાઈ : લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.
દુર્ગેશ : જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં?
રાઈ : તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.
દુર્ગેશ : યોજના ઉત્તમ છે.
કમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.
[સર્વ જાય છે.]
ક્રમશઃ
● ●
સ્રોત : વિકિસ્રોત
-
… માણસ છું / … નહીં ફાવે
(૧)
હૈયે તો છું પણ હોઠેથી ભુલાઈ ગયેલો માણસ છું,
હું મારા ડાબે હાથે ક્યાંક મુકાઈ ગયેલો માણસ છું.સૌ જાણે છે કે ચાવું છું હું પાન હંમેશાં મઘમઘતાં,
હર પિચકારીમાં રોજ અહીં થૂંકાઈ ગયેલો માણસ છું.પાણીમાં પડેલાં કાગળના આકાર જેવા છે શ્વાસ બધા,
જીવું છું ઝાંખુ પાંખું હું ભૂંસાઈ ગયેલો માણસ છું.પાણીનો છે આભાસ એવો લાગું છું સ્વયં દરિયા જેવો,
કંઈ એવી તરસથી રણ જેવું સુકાઈ ગયેલો માણસ છું.ક્યારેક એવું પણ લાગે છે આ વસ્તીમાં વસનારાને,
એક સાવ બજારુ ઓરત છું ચૂંથાઈ ગયેલો માણસ છું.સૌ આવી ગુનાહો પોતાના કબૂલીને મનાવે છે મિસ્કીન,
કોને કહેવું હું મારાથી રિસાઈ ગયેલો માણસ છું.રાજેશ વ્યાસ ‘મિસ્કીન’
(૨)
તમે મન મૂકી વરસો, ઝાપટું આપણને નહીં ફાવે,
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે.કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું,
પણ આ છીછરું ખાબોચિયું આપણને નહીં ફાવે.તું નહીં આવે તો એ ના આવવું પણ ફાવશે અમને,
ઘરે આવી, તારું પાછું જવું, આપણને નહીં ફાવે.તને ચાહું, ને તારા ચાહનારાઓને પણ ચાહું ?
તું દિલ આપી દે પાછું, આ બધું આપણને નહીં ફાવેતમાચો ખાઈ લઉ ગાંધીગીરીના નામ પર હું પણ,
પણ આ પત્નીને બા સંબોધવું, આપણને નહીં ફાવે.– ખલીલ ધનતેજવી
-
શીર્ષક આવરતા ગીતો – ૩
નિરંજન મહેતા
આ શ્રેણીના બે ભાગના લેખોમાં (તા. ૨૮.૧૦.૨૦૨૩ અને ૨૫.૧૧.૨૦૨૩) ૧૯૬૭ સુધીના ગીતોને સમાવી લીધા હતાં. હવે આ ભાગમાં ત્યાર પછીના ૧૯૭૩ સુધીના ગીતોને રજુ કર્યા છે
૧૯૬૬ની ફિલ્મ ‘બહારે ફિર ભી આયેગી’નુ આ ગીત એક સંદેશાત્મક ગીત છે.
बदल जाए अगर माली
चमन होता नहीं खाली
बहारे फिर भी आती है
बहारे फिर भी आयेगीહતાશ વ્યક્તિને પ્રોત્સાહિત કરતા આ ગીતના કલાકાર છે ધર્મેન્દ્ર જેના શબ્દો છે કૈફી આઝમીના અને સંગીત આપ્યું છે ઓ.પી. નય્યરે. ગાયક કલાકાર મહેન્દ્ર કપૂર.
૧૯૬૮ની ફિલ્મ ‘પત્થર કે સનમ’નુ આ ગીત હતાશ પ્રેમીના મનોભાવ વ્યક્ત કરે છે.
पत्थर के सनम
तुजे हमने मुहब्बत का खुदा जानाવહીદા રહેમાનથી નારાજ મનોજકુમાર પર રચાયેલ આ ગીતના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના. લક્ષ્મીકાંત પ્યારેલાલનુ સંગીત અને રફીસાહેબનો સ્વર.
૧૯૬૯ની ફિલ્મ ‘આરાધના’નુ આ પાર્શ્વગીત છે.
बनेगी आशा एक दिन काहे को रोये
सफल होगी तेरी आराधनाકોઈક કારણસર ઘર છોડીને જતી શર્મિલા ટાગોર પર આ પ્રોત્સાહક ગીત રચાયું છે. સાથી છે પહાડી સન્યાલ. ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર અને ગાયક સચિન દેવ બર્મન.
૧૯૬૯ની ફિલ્મ ‘પ્યાર હી પ્યાર’નુ આ ગીત પ્રેમિકાને પટાવવા ગવાયું છે.
देखा है तेरी आँखों में
प्यार ही प्यार बेसुमारવૈજયંતીમાલાને સંબોધાયેલું આ ગીત ધર્મેન્દ્ર પર રચાયું છે. શબ્દો છે હસરત જયપુરીના અને સંગીત આપ્યું છે શંકર જયકિસને. સ્વર છે રફીસાહેબનો.
૧૯૬૯ની ફિલ્મ ‘જીને કી રાહ’નુ આ ગીત સંદેશાત્મક ગીત છે.
एक बंजारा गाये
जीवन के गीत सुनाये
हम सब जीनेवालो को
जीने की राह बतायेમજ્દૂરોને અપાતી પાર્ટીમાં જીતેન્દ્ર આ ગીત ગાય છે જેમાં તેને તનુજાનો સાથ મળે છે. ગીત છે આનંદ બક્ષીનુ અને સંગીત છે લક્ષ્મીકાંત પ્યારેલાલનુ. ગાયક રફીસાહેબ.
૧૯૭૦ની ફિલ્મ ‘ગીત’નુ આ ગીત બે પ્રેમીઓના સંદર્ભમાં મુકાયું છે.
मेरे मितवा मेरे मित रे
आजा तुज को पुकारे मेरे गीत रेગીતના કલાકારો છે રાજેન્દ્ર કુમાર અને માલા સિંહા. ગીતકાર છે આનંદ બક્ષી અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયકો છે લતાજી અને રફીસાહેબ.
૧૯૭૦ની ફિલ્મ ‘મેરે હમસફર’નુ ગીત બે પ્રેમીઓના ભાવને વ્યક્ત કરે છે.
किसी राह मे किसी मोड़ पर
कहीं चल न देना तू छोड़कर
मेरे हमसफ़र मेरे हमसफ़रટ્રકમાં સફર કરતાં જીતેન્દ્ર અને શર્મિલા ટાગોર આ ગીતના કલાકારો છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે કલ્યાણજી આણંદજી. ગાયક કલાકારો છે લતાજી અને મુકેશ.
૧૯૭૦ની ફિલ્મ ‘જહાં પ્યાર મિલે’નુ ગીત છે
चले जा चले जा चले जा
जहाँ प्यार मिलेસ્ટેજ પર ગાતી અંજલી કદમ(?) પર રચાયેલ આ ગીત હતાશ શશીકપૂર માટે જાણે હોય તેમ જણાય છે. હસરત જયપુરીના શબ્દોને સંગીત આપ્યું છે શંકર જયકિસને અને સ્વર છે સુમન કલ્યાણપુરનો.
૧૯૭૧ની ફિલ્મ ‘કટી પતંગ’નુ આ અતિ પ્રચલિત ગીત હતાશ આશા પારેખના મનોભાવ દર્શાવે છે.
ना कोई उमंग है न कोई तरंग है
मेरी जिंदगी है क्या एक कटी पतंग हैગીતકાર આનદ બક્ષી અને સંગીતકાર આર. ડી. બર્મન. દર્દભર્યો સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ ‘એક નજર’નુ ગીત છે.
प्यार को चाहिए
बस एक नज़र एक नज़रટાઈટલ દર્શાવતી વખતે આ ગીત પાર્શ્વગીત તરીકે આવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાયક કલાકાર છે કિશોરકુમાર.
૧૯૭૨ની ફિલ્મ ‘પિયા કા ઘર’નુ આ ગીત એક નવોઢાનાં ભાવોને વ્યક્ત કરે છે.
पिया का घर है ये
रानी हु मै रानी घर की
मेरे पिया का घर है ये
रानी हु मै रानी घर कीજયા ભાદુરી પર રચાયેલ આ ગીતના શબ્દો છે આનંદ બક્ષીનાં અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આનંદિત સ્વર છે લતાજીનો.
૧૯૭૨ની ફિલ્મ ‘હરે રામ હરે કૃષ્ણ’નુ આ ગીત આજે પણ અત્યંત લોકપ્રિય છે.
दम मारो दम
मिट जाए हम
बोलो सुबह शाम
हरे राम हरे क्रिष्णाસંજોગોને કારણે હિપ્પીઓની જમાતમાં સામેલ ઝીનત અમાન આ ગીતના કલાકર છે. આનંદ બક્ષીનાં શબ્દો અને આર.ડી.બર્મનનુ સંગીત જેને સ્વર આપ્યો છે ઉષા આયર અને આશા ભોસલેએ.
૧૯૭૨ની ફિલ્મ ‘રાજા જાની’નુ આ ગીત છેડછાડભર્યું ગીત છે.
ऐ बी सी डी छोडो
नैनो से नैना जोड़ो
देखो दिल ना तोड़ो
आई शाम सुहानी
राजा जानी राजा जानीહેમા માલીની ધર્મેન્દ્રને કટાક્ષમાં કહે છે કે એ બી સી ડીને બદલે પ્યારને વ્યક્ત કરો. શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીતકાર છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. નટખટ સ્વર છે લતાજીનો.
૧૯૭૩ની ફિલ્મ ‘યાદો કી બારાત’નુ આ ગીત નાનપણમાં છૂટા પડેલા ભાઈઓને ભેગા કરવાનું નિમિત્ત બને છે. સ્ટેજ પર તારીક ગીત ગાતા પહેલા આ મુજબની વાત કરે છે.
यादो की बारात निकली है आज
दिल के द्वारे दिल के द्वारेઅન્ય ભાઈઓ છે વિજય અરોરા અને ધર્મેન્દ્ર. ગીતકાર મજરૂહ સુલતાનપુરી અને સંગીતકાર આર.ડી.બર્મન. કિશોરકુમાર અને રફીસાહેબ ગાયક કલાકારો.
૧૯૭૩ની ફિલ્મ ‘બોબી’નુ આ ગીત હજી પણ પ્રચલિત છે.
बाहर से कोई अन्दर ना आ सके
……………
तेरे नैनो की भूलभुलैया में
बोबी खो जाए
…………..
तेरे बैया के झूले में सैया
बोबी झूल जाएયુવા પ્રેમીઓ રિશીકપૂર અને ડિમ્પલ કાપડિયા કલ્પનાના ઘોડા દોડાવતા આ ગીત ગાય છે જેના શબ્દો છે આનંદ બક્ષીના અને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગીતના ગાયકો છે લતાજી અને શૈલેન્દ્ર સિંહ.
૧૯૭૩ પછીના ગીતો હવે પછી.
Niranjan Mehta
A/602, Ashoknagar(old),Vaziranaka, L.T. Road,Borivali(West),Mumbai 400091Tel. 28339258/9819018295વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com -
ફિલ્મી ગઝલો – ૩૦. જાવેદ અખ્તર
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
અડધી શતાબ્દી પહેલાં ફિલ્મોમાં લેખન શરુ કર્યું હોય અને હજુ પણ સક્રિય હોય એવા લેખકોમાં ગત હપ્તે આપણે ગુલઝારની વાત કરી. એવા જ એક અન્ય ગીતકાર એટલે જાવેદ અખ્તર.
જન્મથી ઘરમાં જ સાહિત્યિક માહૌલમાં ઉછરેલા જાવેદ અખ્તર જાંનિસ્સાર અખ્તરના પુત્ર, મુઝ્તર ખૈરાબાદીના પૌત્ર, મજાઝ લખનવીના ભાણેજ અને કૈફી – શૌકત આઝમીના જમાઈ છે. શબાના આઝમીના ખાવિંદ તો ખરા જ. આ બધી શખ્સિયતો કળા-સાહિત્ય સાથે પ્રગાઢપણે સંકળાયેલ છે. કારકિર્દીની શરુઆતના વર્ષોમાં દારુણ સંઘર્ષ બાદ લેખક – અભિનેતા સલીમ ખાન સાથે પટકથા લેખક તરીકે સફળતાના એવા શિખર સર કર્યા કે આજ સુધી પાછું વાળીને જોયું નથી ! જીવ મૂળભૂત કવિનો એટલે પછીથી અનેક ફિલ્મોમાં ગુણવત્તાસભર ગીતો પણ લખ્યા જે ધૂમ ચાલ્યા. હજૂ પણ એ સફર અવિરત ચાલે છે. એમના એક કવિતા સંગ્રહનું નામ ‘ તરકશ ‘ છે.એમના ગીતોમાંથી એમના શરૂઆતી દૌરની ફિલ્મ ‘ સાથ સાથ ‘ ના ગીતો મને વિશેષ પસંદ છે. એ ફિલ્મની એક હમ કાફિયા હમ રદીફ ગઝલનો એક શેર જૂઓ :
હમ જિસે ગુનગુના નહીં સકતે
વક્ત ને ઐસા ગીત ક્યોં ગાયા ..દેશ અને દુનિયાના મૌજુદા હાલાત વિષેના એમના વિચારો અને દ્રષ્ટિકોણ પણ બિલકુલ સાફ અને નિડર. આ સ્પષ્ટવક્તાપણાને પણ સલામ કરવા પડે !
ફિલ્મોમાં ઘણી ગઝલો પણ લખી. એમાંની બે સાવ ઓછી જાણીતી પેશ છે :
ફિરતે હૈં કબ સે દરબદર, અબ ઈસ નગર અબ ઉસ નગર, એક દૂસરે કે હમસફર, મૈં ઔર મેરી આવારગી
ના-આશના હર રહગુઝર, ના – મેહરબાં સબ કી નઝર, જાએં તો અબ જાએં કિધર, મૈં ઔર મેરા આવારગીએક દિન મિલી એક મેહજબીં, તન ભી હંસીં જાં ભી હંસીં, દિલ ને કહા હમ સે વહીં, ખ્વાબોં કી હૈ મંઝિલ યહીં
ફિર યૂં હુઆ વો ખો ગઈ, તો મુજકો ઝિદ્દ – સી હો ગઈ, લાએંગે ઉસકો ઢૂંઢ કર, મૈં ઔર મેરી આવારગીયે દિલ હી થા જો સહ ગયા, જો બાત ઐસી કહ ગયા, કહને કો ફિર ક્યા રહ ગયા, અશ્કોં કા દરિયા બહ ગયા
જબ કહ કે વો દિલબર ગયા, તેરે લિયે મૈં મર ગયા, રોતે હૈં ઉસકો રાત ભર, મૈં ઔર મેરી આવારગીહમ ભી કભી આબાદ થે, ઐસે કહાં બરબાદ થે, બેફિક્ર થે આઝાદ થે, મસરૂર થે દિલશાદ થે
વો ચાલ ઐસી ચલ ગયા, હમ બુઝ ગએ દિલ જલ ગયા, નિકલે જલા કે અપના ઘર, મૈં ઔર મેરી આવારગી ..– ફિલ્મ : દુનિયા ૧૯૮૪
– કિશોર કુમાર
– આર ડી બર્મન
( આ ગઝલ ફિલ્મમાં લેવાઈ નહોતી. )
હુઝુર ઈતના અગર હમ પર કરમ કરતે તો અચ્છા થા
તગાફૂલ આપ કરતે હૈ, સિતમ કરતે તો અચ્છા થાકહા કિસને કે યે ઝોર-ઓ-વફા મત કીજિયે હમ પર
બસ ઈતની સી ગુઝારિશ હૈ કિ કમ કરતે તો અચ્છા થાખુદા કી મહેરબાની હૈ કિ અચ્છે હૈં, મગર ગમ હૈ
ખુદા ને મહેરબાની કી – સનમ કરતે તો અચ્છા થાગઝલ મેં દર્દ-ઓ-ગમ અપના બયાં કરને સે ક્યા હોગા
યે બાતેં હમ ઉન્હેં ખત મેં રકમ કરતે તો અચ્છા થા .– ફિલ્મ : સરદારી બેગમ
– આરતી અંકલીકર
– વનરાજ ભાટિયા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
“સીક્રેટ ફંડ”
હરેશ ધોળકિયા
ટી.વી.ની એક ચેનલ પર એક સીરિયલ આવે છે-” વાગલે કી દુનિયા.” મધ્યમ વર્ગની તકલીફો અને આનંદો વ્યકત કરતી નિર્દોષ સીરિયલ છે. જોવી ગમે એટલા માટે છે કે તે સામાન્ય વર્ગની તકલીફોને સરસ રીતે રજૂ કરે છે. તેના એક હપ્તામાં એવી વાત રજૂ કરી કે કોલેજમાં પરદેશમાં ભણવા કેમ અને શા માટે જવું તે કહેવા એક નિષ્ણાત આવે છે. તેની કસોટીમાં વાગલેની પુત્રી સખી પાસ થાય છે અને તેને પરદેશ જવાનું સૂચવવામાં આવે છે. તે ખુશ થઈ જાય છે અને પિતાને વાત કરે છે. પિતા તેનો ઉત્સાહ જોઈ કહી શકતા નથી કે તેના પાસે પૈસા નથી. ઉલટું પ્રોત્સાહન આપે છે. ત્યારે પત્ની કહે છે કે પૈસાનું શું ! ત્યારે પિતા કહે છે કે તેના પાસે એક ” સીક્રેટ ફંડ” છે જેની મદદથી પુત્રી ભણી શકશે. હકીકતે કોઈ સીક્રેટ ફંડ તેના પાસે નથી હોતું. તે પુત્રીના ખર્ચ કાઢવા લોન માટે બેન્કોના ધકકા ખાવા શરુ કરે છે, પણ બેન્કોનાં વ્યાજ જોઈ હચમચી જાય છે.
સીરિયલમાં તો આ “સીક્રેટ ફંડ”ની જુઠ્ઠી વાત કરે છે. મધ્યમ વર્ગ પાસે તો જાહેરમાં પણ ફંડ હોતું નથી, ત્યાં સીક્રેટ ફંડ કયાં હોવાનું ! મોટા ભાગના લોકો ચૂસ્ત મર્યાદિત આવકમાં જીવતા હોય છે. તેના દૈનિક ખર્ચા એવા હોય છે કે વધારાનો કોઈ પણ ખર્ચ ઊભો કરવા તેણે ઉધારી જ કરવી પડે છે.
પણ આ વાતને એક બીજી રીતે પણ તપાસી શકાય. વ્યકિત ભલે મધ્યમ કે નીચલા મઘ્યમ વર્ગની હોય, ભલે તેની આવક મર્યાદિત હોય, પણ તે તપાસ કરે તો ખરેખર તેના પાસે એક “સીક્રેટ ફંડ” હોય જ છે.
પણ ઉધારીમાં જીવનાર પાસે આવું ફંડ કયાંથી હોઈ શકે? તે શકય છે?
શકય છે. આ ફંડને નાણાકીય બાબત સાથે સંબંધ નથી. આ ફંડ બીજું જ છે.
ક્યું?
માણસ પાસે એક પ્રબળ, તાકાતવર માધ્યમ છે. તેનું નામ છે ‘ મન.” આ મન એટલું તો શકિતશાળી છે કે તેની ભાગ્યે જ કોઈને કલ્પના હોય છે. કુદરતે માણસને મનરુપી એક અદભુત બાબત આપી છે. આ મન અનંતગણી શકિત ધરાવે છે. તે ધાર્યું કરી શકે છે. નાનામાં નાનાં કામથી માંડી મંગળના ગ્રહ સુધી જવા સુધીનું કામ તે કરી શકે છે. અને કરતું દેખાય પણ છે. માનવજાતનો ઈંતેહાસ જુઓ. લાખો વર્ષ પહેલાં માણસ ઝાડ પર કે ગુફામાં રહેતો હતો. કોઈ જ સગવડ ન હતી. સતત ભયમાં રહેતો હતો. કઈ પળે તેનો નાશ થશે તેનો તેને પણ ખ્યાલ ન હતો. અને છતાં આજે લાખો વર્ષ પછી પણ તે છે. બધા જ ભયો દૂર કર્યા છે તેણે. ગુફામાંથી સ્કાયસ્ક્રેપરમાં રહે છે. અદ્યતન સગવડો ભોગવે છે. બીજા ગ્રહોમાં વસવાટ કરવાની તૈયારી કરે છે. ગુફાવાસી માનવ કે ભૂતકાળના અશોક કે અકબર જેવા રાજા આજે આવે અને આજના માણસને જુએ તો કલ્પના પણ ન કરી શકે. આજના ગરીબ પણ તેમના કરતાં વધારે સગવડ ભોગવે છે.
એમ કેમ બન્યું?
માત્ર માનવના ” મનના કારણે.
માનવ મન પાસે અનંત શકિત છે. એક વાર જો તેનો ઉપયોગ કરતાં આવડી જાય, તો માણસ ધાર્યું કરી શકે છે. એક સમયે ગુફામાં રહેતો માણસ આજે મહેલો જેવા બંગલામાં રહે છે. એક વાર માઈલો સુધી પગે ચાલતો માણસ આજ રોકેટમાં ઊડે છે અને કલાકોમાં હજારો માઈલ કાપી નાખે છે. હાથમાં રહેલ એક રીમોટથી હજારો કામ સરળતાથી કરી શકે છે. એક જમાનામાં સંદેશ પહોંચાડવામાં દિવસો નીકળી જતા હતા, તે આજે મોબાઈલની મદદથી સેકન્ડોમાં કરી શકાય છે. અને હવે તો આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સની મદદથી તો બધાં કામ તેના પાસે કરાવી શકે છે.
મનની શકિતની, મનની તાકાતની, મોટા ભાગના લોકોને કશી જ ખબર નથી. આજની શોધોથી બધા જ પ્રભાવિત થાય છે. આ શોધો તેમને ચકિત કરે છે. કમ્પ્યુટરની ઝડપ કલ્પનાતીત છે. મોબાઈલ પર નંબર નોંધાય છે પછી સેકન્ડના લાખમા ભાગમાં સામો નંબર લાગી જાય છે. હવે સરનામું પૂછવાની જરુર નથી રહી. દુનિયાનો કોઈ પણ જગ્યાનો ફોટો જી.પી.એસ. પર પળમાં આવી જાય છે. પત્ર લખવાની જરુર નથી. મેઈલ પળમાં થઈ જાય છે. પુસ્તકાલયમાં જવાની જરુર નથી. બધાં પુસ્તકો નેટ પર મળે છે. ટૂંકમાં ઘરબેઠે બધી જ સગવડો મળે છે. આ બધું આપણને નવાઈ પમાડે છે. થાય છે કે અહો ! ટેકનોલોજી કેટલી અદભુત છે!
પણ ત્યારે એ વિચાર નથી આવતો, મોટા ભાગનાને, કે આ ટેકનોલોજી સર્જી કોણે ? બનાવી કોણે ? શોધી કોણે ?
એનો શોધક માણસ છે. અને માણસ એટલે તેનું મન ! આ બધો મનનો ખેલ છે. દુનિયાની અદભુતમાં અદભુત શોધ મનમાંથી જ ઉત્પન્ન થાય છે. હજારો “મન” પ્રયોગશાળાઓમાં આ કામ કરે છે. સમગ્ર વિકાસ, સમગ્ર પ્રગતિનાં મૂળિયાંમાણસના મનમાં છે.
આ “મન ”જ “સીક્રેટ ફંડ” છે.
જયારે પણ તકલીફ પડે, જરુરત ઊભી થાય, ત્યારે જો આ મનનો ઉપયોગ કરતાં આવડે, તો તેનામાં રહેલ આ સીકેટ ફંડમાંથી શકિત પ્રગટ થાય છે અને સમસ્યાનો ઉકેલ કરી શકે છે. મત એક એવી બેન્ક છે જેમાં અનંત ધન છે. ધારીએ ત્યારે તેમાંથી ગમે તેટલું ધન – કોઈ પણ વ્યાજ આપ્યા વિના- ઉપાડી શકાય છે. અને મજાની વાત એ છે કે આટલું ધન ઉપાડયા છતાં તેમાંથી એક રૂપિયો પણ ઓછો થતો નથી. ઉલટું તેનો નિયમ એવો છે કે જેમ મનનો ઉપયોગ વધારે થાય છે તેમ તેમ તેના ધનમાં, ફંડમાં, સતત વધારો થતો રહે છે. ઉલટું, જો આ ફંડનો ઉપયોગ ન થાય, તો, સમય જતાં, ફંડ ઓછું થઈ જાય છે !
મનનું સૂત્ર છે ‘ ઉપયોગ કરો અથવા ગુમાવો.” અંગ્રેજીમાં કહે છે : ” યુઝ ઈટ ઓર લૂઝ ઈટ.”
એટલે ફંડ નથી એમ માનવા બદલે મનમાં રહેલ આ ફંડનો ઉપયોગ કેમ કરવો તે શીખવાનું છે. તેની તાલીમ લેવાની છે.
શું છે તેની તાલીમ ?
એક સરસ પુસ્તક છે : ” રહસ્ય.” ( મૂળે અંગ્રેજીમાં “સીક્રેટ.’) ખૂબ સરસ પુસ્તક છે. મોટું છે, પણ તેની પહેલી લીટીમાં તેનું રહસ્ય છૂપાયેલ છે. તેમાં લખે છે, ” વ્યકિત જેવો વિચાર કરશે તેને તે આકર્ષશે.” તે કહે છે કે સમગ્ર જગત આકર્ષણના નિયમ પર ચાલે છે. વિચારનું જગત પણ આ નિયમ પર જ ચાલે છે. વ્યકિત જેવા વિચારો સતત કરશે, તેવા વિચારોને તે આકર્ષશે. એટલે કે જેવા તે વિચાર કરશે, તેવા જ વિચારો કરતા લોકોના વિચારો તેના તરફ આકર્ષાશે. માની લો કે તે જે વિચાર કરે છે, તેવા જ વિચાર જગતમાં એક કરોડ લોકો કરે છે. તો આ કરોડ વિચારો આ વ્યકિત તરફ આકર્ષાશે અને ‘ હુમલો” કરશે. એટલે તે વ્યકિતનો વિચાર કરોડગણો પ્રબળ થઈ જશે. પરિણામે તે વ્યકિતને તે વિચારનો અમલ કરવો જ પડશે. તે તેને અટકાવી નહીં શકે.
હવે જો આ વિચાર નકારાત્મક હશે તો ? તો વ્યકિત નકારાત્મક રીતે વર્તશે અને, સ્વાભાવિક રીતે, નકારાત્મક પરિણામો ભોગવશે. અને હકારાત્મક, સરસ, વિચારો કરશે, તો હકારાત્મક પરિણામો ભોગવશે. સંશોધનો કહે છે કે જગતના નેવુ ટકા લોકો સતત નકારાત્મક વિચારો જ કરે છે. માટે જ જગતમાં અશાંતિ અને પછાતપણું છે. અને તેનું કારણ એ છે કે લોકોને યોગ્ય રીતે વિચારવાની તાલીમ જ નથી આપવામાં આવતી. તેમને વિચાર કરવા બદલે આવેશથી વર્તવાની તાલીમ આપવામાં આવે છે. અને આવેશ ખોટાં જ પરિણામો લાવે. માટે જગત આજે અદભુત શોધો અને સગવડો વચ્ચે રહેવા છતાં માણસજાત દુઃખી અને અસ્વસ્થ છે. કારણ ? વિચારનો અભાવ અથવા ખોટા અને નકારાત્મક વિચારો. પોતામાં રહેલ માનસિક “સીક્રેટ ફંડ”નો યોગ્ય ઉપયોગ કરવાની આવડતનો અભાવ.
આજે જે અદભુત સંશોધનો થાય છે, પ્રગતિ થાય છે, સુખો વધે છે, એ બધાનું કારણ એ છે કે તે કરનારા પાસે મનની તાલીમ છે. સીક્રેટ ફંડનો ઉપયોગ કેમ કરવો તેની જાણ અને આવડત છે. અને આ બધા વચ્ચે પણ જેઓ દુઃખી કે પછાત છે, તેનું પણ કારણ છે આ ફંડનો ઉપયોગ કરવાની અનાવડત. સાચા વિચાર કરવાની આવડતનો અભાવ. એટલે જયારે પણ તકલીફ ઊભી થાય, સમસ્યા ઊભી થાય, કશાક અભાવની લાગણી થાય, ત્યારે નિરાશ થવા બદલે મનમાં રહેલ આ “સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત કેળવવાની છે. જેમ જેમ આ આવડત વધતી જશે, તેમ તેમ ઉપાયો મળતા જશે.
દુનિયામાં બધી જ સમસ્યાઓના ઉપાય છે-બહાર નહીં, માણસના મનમાં ! આજે હજારો ગરીબો તેની મદદથી આગળ વધી રહ્યા છે અને હજારો સુખીઓ તેનો ઉપયોગ કરવાની આવડતના અભાવે પાછળ રહે છે. પ્રગતિનાં માધ્યમો ભલે બહાર હશે, પણ મૂળિયાં તો મનમાં જ છે. બહાર કદાચે અનેક મુશ્કેલીઓ ઊભી થઈ શકે, પણ જો આ સીકેટ ફંડનો યોગ્ય ઉપયોગ કરતાં આવડતું હશે તો બધી જ મુશ્કેલીઓના ઉપાય આપોઆપ મળતા જશે.
જગતના ભૂતકાળના અને આજના બધા જ સફળ લોકોનું એક જ રહસ્ય છે- આ ” માનસિક સીક્રેટ ફંડ”નો ઉપયોગ કરવાની આવડત.
શિક્ષણ પણ એક જ આપવાનું છે-માનસિક રીતે હકારાત્મક, શુભ, પ્રોત્સાહક, પ્રગતિશીલ વિચારો કરવાની આવડત કેળવવાનું.
સીક્રેટ ફંડ હાજર છે. દરેક પળે. તાકાત હોય તો ઉપયોગ કરો અને સમૃધ્ધ થાવ.
શ્રી હરેશ ધોળકિયાનાં સંપર્ક સૂત્રો
નિવાસસ્થાન – ન્યુ મિન્ટ રોડ , ભુજ (ક્ચ્છ) , ગુજરાત, ૩૭૦૦૦૧
ફોન +૯૧૨૮૨૨૨૭૯૪૬ | ઈ-મેલ : dholakiahc@gmail.com -
બાળ ગગન વિહાર – મણકો-૩૧ વાત અમારા મારિઓ : છુપા રુસ્તમની-
શૈલા મુન્શા
હોય છે બાળપણ,
કેવું સીધુંને સરળ.
પણ વાત જ્યાં મારિયાની,
સીધીને સાથે જલેબી જેવી!!મારિઓ અમારા ક્લાસમાં લગભગ જાન્યુઆરીની શરૂઆતમાં આવ્યો હતો. મોટા ભાગના મેક્સિકન બાળકોની જેમ ગઠિયો અને ગોળ ચહેરો. માતા પિતા પણ સામાન્ય ઊંચાઈ કરતાં ઓછી ઉંચાઈવાળા. બસ નાનકડો પરિવાર, મારિઓ અને એક નાની બેન.
સ્પેસીઅલ નીડ વાળા બાળકો આખા વર્ષ દરમિયાન ગમે ત્યારે શાળામાં દાખલ થઈ શકે. જેવા ત્રણ વર્ષ પુરા થાય અને ડોક્ટરે Autistic, A.D.H.D., અથવા speech therapyનુ નિદાન કર્યું હોય તો એ બાળકને અમારા ક્લાસમાં દાખલ કરી શકાતા.
મારિઓ પણ જ્યારે આવ્યો ત્યારે અમને લાગ્યું કે એની વાચા પુરી ખુલી નથી એટલે જ એ અમારા ક્લાસમાં છે, બાકી તો બીજી કોઈ ખામી દેખાતી નહોતી.
મારિઓ આવ્યો ત્યારથી રડવાનુ નામ નહિ, બધું કામકાજ વ્યવસ્થિત, સવારના જેવી નાસ્તાની કાર્ટ લઈ કાફેટેરિઆની કર્મચારી આવે કે તરત નાસ્તાના ટેબલ પર ગોઠવાઈ જાય. એને દુધની એલર્જી એટલે જાતે જ દુધનુ કાર્ટન બાજુ પર મુકી જ્યુસ લઈ લે. વ્યવ્સ્થિત ખાય, કાંઈ ઢોળવાનુ નહિ, ખાઈને ખાલી કાર્ટન વગેરે ટ્રેશ કેનમાં નાખીને પોતાની જગ્યાએ બેસી જાય. શરૂઆતમાં થોડા દિવસ થોડો શરમાયો પણ પછી તો ઊભો થઈ નાસ્તો જો વધ્યો હોય તો બીજો લઈ આવે. જમવાના સમયે અમારા બાળકોને અમે ક્લાસમાં જ જમવાનું આપતા. અમારા ત્રણ શિક્ષકોમાંથી કોઈ એક કાફેટેરિઆમાં જઈ બધા બાળકોની ટ્રે લઈ આવતાં. મારિયો થોડા દિવસમાં જ સમજી ગયો અને જેવો અગિયાર વાગ્યાનો સમય થાય, ઊભો થઈ અમારી નાનકડી કાર્ટ ખેંચી દરવાજે પહોંચી જતો. અમારી સાથે કાફેટેરિઆમાં આવે અને એને જે જોઈતું હોય એ ટ્રેમાં મુકાવતો.
અમે તો બધા ખુશ ખુશ!! વાહ વાહ શું વાત છે!! ઘણા વખતે એવો બાળક ક્લાસમાં આવ્યો હતો જે રોજ હસતો હસતો ક્લાસમાં આવતો અને ક્લાસના નિયમોનું સરસ પાલન કરતો.
ધીરે ધીરે અમને સમજાયું કે મારિઓ સીધો તો ખરો પણ આપણી ભાષામાં કહીએ તો, જલેબી જેવો સીધો. એ ભાઈના અવનવા રૂપનો પરચો તો અમને ધીમે ધીમે થવા માંડ્યો.
સ્પેસીઅલ નીડ ક્લાસમાં જ્યારે પણ કોઈ બાળક દાખલ થાય ત્યારે એની આખી ફાઈલ હોય. એમના મેડિકલ ટેસ્ટ, કોઈ એલર્જી છે કે નહિ, શું ખાઈ શકે વગેરે બધી માહિતી હોય. મારિઓ બોલતો નહોતો એ સિવાય બીજી કોઈ માનસિક વિકલાંગતા એનામાં દેખાતી નહોતી. લગભગ બે એક અઠવાડિઆ પછી બપોરે બાળકોના સુવાના સમયે હું મારિઓની બાજુમાં બેઠી હતી અને મને કોઈ કાંઈ બોલતું હોય એવો અવાજ આવ્યો. જોયું તો મારિઓ દિવાલ પર લગાડેલા આલ્ફાબેટ્સ અક્ષરો અને ચિત્રો વાંચી રહ્યો હતો like A for apple B for baby etc. જ્યારે કહીએ ત્યારે બોલે નહિ અને બારી બહાર જોયા કરે જાણે કાંઈ સમજતો જ નથી.
મેં તરત મીસ ડેલને બોલાવી. મારિઓને બોલતો સાંભળી એ પણ નવાઈ પામી ગઈ. વાત એટલેથી અટકતી નથીં મારિઓ આવ્યો ત્યારે ચાર વર્ષનો હતો પણ અમારા ક્લાસમાં પાંચ અને છ વર્ષના બાળકો પણ હતા.એ વર્ષે ક્લાસમાં છોકરાંઓની સંખ્યા વધારે હતી અને એમાં પણ બે ચાર જણ તો એકદમ તોફાની બારકસ! રમતના મેદાનમાં તો દોડાદોડી કરે જ પણ ક્લાસમાં પણ ધમાલ. કોઈને પણ અડફટે લઈ લે. અમારી નજર સતત એમના પર રહેતી જેથી કોઈને વાગી ન જાય.
મજા તો ત્યારે આવતી કે રમતનાં મેદાનમાં કે ક્લાસમાં કોઈથી પણ દોડતાં દોડ્તાં એમની ટપલી જો મારિઓને વાગી જતી તો મારિઓ જઈને એમને ટપલી તો ના મારતો પણ કાંઈક અડપલું કરી આવતો અને પછી દોડીને અમારી પાછળ સંતાઈ જતો. કોઈનો માર ખાઈને કે કોઈની દાદાગીરી સહન કરી બેસી રહે એ મારિઓ નહિ. કોઈને ચીઢવવામાં, સળી કરવામાં એવો ઉસ્તાદ અને પાછો એવો હસતો ચહેરો કે એના ઉપર તો કોઈને શંકા જ ક્યાંથી આવે !!
આજના બાળકોને બીજું કાંઈ આવડે કે નહિ પણ iPhone કે Ipad વાપરતાં બરાબર આવડે છે. મારિઓ પણ એમાં બાકાત નહોતો. અંગ્રેજીમાંથી સ્પેનિશ ભાષા બદલતાં પણ એને આવડતી. ધીરે ધીરે એની વાચા વધારે ખુલી અને ક્લાસમાં અમે જે શીખવાડતાં એ જ શબ્દોને ફરીવાર બોલી અમને સંભળાવતો.
ઘણીવાર અમે જાણીજોઈને મારિઓને ચીઢવવા એ લેગો કે કોઈ બીજી રમત રમવા માટે માંગતો અને અમે જો ના કહીએ એટલે એ પાછો અમને અમારા જ લહેકામાં ના કહી સંભળાવતો. એનો એ ચહેરો, એની સ્ટાઈલ જોઈ અમે હસી પડતાં અને એના ચહેરા પર નવાઈનો ભાવ ઉપસી આવતો.
આવાં તો કાંઈ કાંઈ અવનવા મારિઓના અટકચાળાં અમને હેરત પમાડતાં અને આજે પણ જ્યારે એની યાદ આવે છે તો મારાં ચહેરા પર એક હાસ્ય ફરકી જાય છે.
ખરેખર મારિઓ અમારો છુપો રૂસ્તમ હતો, એને આપેલી પદવીને એણે સાર્થક કરી હતી.
મારિઓ અને બીજાં બધાં બાળકોએ અમને જીવવાનો નવો અર્થ સમજાવ્યો છે, અને ભવિષ્યમાં સહુ નીલ ગગનના ચમકતાં સિતારા બનશે એમાં કોઈ શંકા નથી.
સુશ્રી શૈલાબેન મુન્શાનાં સંપર્ક સૂત્રો::
ઈ-મેલ: smunshaw22@yahoo.co.in
બ્લૉગ: www.smunshaw.wordpress.com -
દરેક જણ પોતે જ પોતાનો નેતા
મંજૂષા
વીનેશ અંતાણી
લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. હવે કલેક્ટિવ લીડરશિપનો ખ્યાલ વિકસ્યો છે.

સિત્તેર વર્ષ પહેલાંની વાત છે. એક ગામના થોડા છોકરા રોજ સાંજે એમની શેરીમાં ક્રિકેટ રમતા. ગામના સુતારે બનાવેલાં બેટ અને વિકેટ. રબરનો દડો. શેરીનો એક ઊંચો-જાડો દાધારંગો છોકરો જાતે એમનો નેતા બની બેઠો હતો. ઉંમરમાં મોટો. છોકરાઓ એની શેહમાં આવી ગયા હતા. એ કહે તે જ નિયમ. બોલ-બેટ વગેરેના ભાગે પડતા પૈસા આપતો નહીં. બેટિંગ કરતો હોય ત્યારે આઉટ થાય તો કહેતો કે નોટ આઉટ છે. એને અનુકૂળ આવે તેમ રમતના નિયમો બદલાવી નાખતો. કોઈ છોકરો એનો વિરોધ કરી શકતો નહીં.
એ જ શેરીમાં બિન્ધાસ્ત છોકરી રહેતી હતી. રોજ ઓટલા પર બેસી છોકરાઓની રમત જોતી. એક દિવસ દાધારંગા છોકરાની વિકેટને બોલ વાગ્યો છતાં એણે જાતે જ નો બોલ જાહેર કર્યો. છોકરીથી સહન ન થયું. એ એની સામે ઊભી રહી, ચલ, નીકળ, તું આઉટ છો. હવે મારી બેટિંગ. છોકરાએ કહ્યું: ‘તું છોરી છો, તારાથી છોરા ભેગું ન રમાય.’ છોકરીએ એના હાથમાંથી બેટ ખેંચી લીધું. છોકરાએ એને ધક્કો માર્યો. છોકરીએ એની બોચી પકડી લીધી, ‘ખબરદાર બીજી વાર મને હાથ અડાડ્યો છે તો!’ બીજા છોકરાઓને કહ્યું, ‘હાલો. બોલ નાખો.’ બધાએ એને બેટ પાછું આપવા સમજાવી. છોકરીએ શરત મૂકી, ‘મને રમાડો તો તમને રમવા દઈશ.’ લાંબી રકઝક પછી છોકરા તૈયાર થયા. છોકરીએ માથાભારે છોકરા સામે આંગળી ચીંધીને નવી શરત મૂકી: આને કાઢો તો જ હું રમીશ અને તમને રમવા દઈશ. બધાએ કબૂલ થવું પડ્યું. છોકરીએ બધાની સાથે મળી રમતના યોગ્ય નિયમો બનાવ્યા અને પેલાને રવાનો કર્યો.
વાત સામાન્ય છે પરંતુ એમાંથી નેતૃત્વ – લીડરશિપના ઘણા મુદ્દા સમજાય છે. કોઈ વ્યક્તિ એની મરજી મુજબ સંચાલન કરી શકે નહીં. કોઈ લીડર પોતાના જ લાભ માટે કાર્યવાહી કરતો હોય અને સાથીદારોને અન્યાય કરતો હોય તો મૂંગા મોઢે સહન કરાય નહીં. આ વાત પરિવારથી માંડી વિવિધ સંસ્થાઓ, નાનીથી મોટી કંપનીઓ અને રાજકારણ જેવાં બધાં ક્ષેત્રોને લાગુ પડે છે.
સૌથી અગત્યની બાબત એ કે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવાનો અધિકાર માત્ર પુરુષોને જ નથી. આજે અનેક મહિલાઓએ દરેક ક્ષેત્રમાં એમની કાબેલિયતથી આ વાત સાબિત કરી દીધી છે. સફળ નેતૃત્વ કળા છે. ઘણાં લોકોમાં એનાં બીજ અગાઉથી પડેલાં હોય છે, ઘણાં લોકો યોગ્ય તાલીમ અને અનુભવથી નેતૃત્વની કળા વિકસાવે છે. આજના ગળાકાપ સ્પર્ધાના સમયમાં નેતૃત્વના ગુણની ડગલે ને પગલે કસોટી થાય છે. એના નિર્ણયો અને સંચાલનની આવડત સામે પડકારો આવે છે.
આપણે કોઈ સંસ્થા કે કંપનીનો વિચાર કરીએ ત્યારે સામાન્ય રીતે આપણું ધ્યાન ટોચના નેતાઓ પર જ જાય છે. નીચેની હરોળના લોકો તરફ ધ્યાન જતું નથી. હવે એ માળખું જૂનવાણી થવા લાગ્યું છે.
લીડરશિપના ખ્યાલોમાં પરિવર્તન આવી રહ્યું છે. ઘણાં ક્ષેત્રોમાં કલેક્ટિવ લીડરશિપ – સહિયારું નેતૃત્વ –નો ખ્યાલ વિકસ્યો છે. સહિયારું નેતૃત્વ એટલે અલગઅલગ પ્રકારની નિપૂણતા ધરાવતા લોકો સાથે મળીને સંસ્થાના હિતમાં નિર્ણયો લે એવું માળખું. દરેકની ભૂમિકા નક્કી કરવામાં આવે છે અને એમણે એમના વિભાગની સંપૂર્ણ જવાબદારી ઉપાડવાની હોય છે. ઘણી કંપનીઓમાં નીચેની પાયરીએ કામ કરતા લોકોને પણ નેતૃત્વની તાલીમ આપવાનું વલણ વધ્યું છે, જેથી દરેકમાં નેતૃત્વની ભાવના વિકસે અને સમય આવે ત્યારે જાતે નિર્ણય લઈ શકે.
તાજેતરમાં સંપન્ન થયેલા વન ડે ક્રિકેટના વર્લ્ડ કપની રમતો દરમિયાન ભારતના યશસ્વી ઓલ રાઉન્ડર રવીન્દ્ર જાડેજાને એક પત્રકારે એવા મતલબનો સવાલ પૂછ્યો કે એમને ટીમના કેપ્ટન થવું ગમે કે કેમ? જાડેજાએ પહેલાં હળવાશમાં જવાબ આપ્યો કે ચોક્કસ ગમે, પછી ઉમેર્યું: ‘હું કેપ્ટન નથી પણ મારી પ્રથમ મેચથી કેપ્ટનની જેમ જ વિચારું છું.’ એ કહેવા માગતા હતા કે રમતમાં ઊભી થતી પરિસ્થિતિ પ્રમાણે દરેક ખેલાડીએ ચોક્કસ સમયે ટીમના હિતમાં જાતે નિર્ણય લેવા પડે છે. ભારતની ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ એકથી વધારે વાર જણાવ્યું હતું કે ભારતની ટીમના દરેક ખેલાડી એમણે શું કરવું તે જાણે છે. અફઘાનિસ્તાન સામેની એક મેચમાં ઓસ્ટ્રેલિયાનો પરાજય નિશ્ચિત હતો ત્યારે બેટર મેક્સવેલ ઇજાગ્રસ્ત હતો છતાં એણે બસો રન બનાવીને એકલા હાથે ટીમને વિજય અપાવ્યો. ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ એની સાથે ક્રિઝ પર હતો છતાં મેચના એ તબક્કે મેક્સવેલે જ બધા નિર્ણય લીધા હતા.
લશ્કરમાં પણ જવાનોને એમનાથી ઉપરની પાયરીની તાલીમ આપવામાં આવે છે, જેથી સમય આવે ત્યારે તેઓ ચાલુ યુદ્ધે સિનિયરનું સ્થાન લઈ શકે. આ અભિગમ કોઈ પણ ક્ષેત્રની ટીમ માટે આવશ્યક છે. કોરોના સમયમાં લોકડાઉન વખતે વર્ક ફ્રોમ હોમની પ્રથા શરૂ થઈ પછી અલગ પ્રકારનું વર્ક કલ્ચર ઊભું થયું છે. એક સમયે એક જ છત નીચે ઓફિસરની કડક નિગરાનીમાં કામ કરવાનું રહ્યું નથી. ઘેરથી જ કામ કરતા લોકોની કામ પ્રત્યેની પ્રતિબદ્ધતાના અભિગમમાં બદલાવ જરૂરી છે. નિષ્ઠાની સાથે સ્વયંશિસ્તની ભાવના વિકસે તો કાર્ય પ્રત્યે પ્રામાણિકતાનું મહત્ત્વ સમજાય અને સફળતા મળવી સહેલી થઈ જાય. પોતે જ પોતાના નેતા બનીએ.
શ્રી વીનેશ અંતાણીનો સંપર્ક vinesh_antani@hotmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
‘દિવ્ય ભાસ્કર’ની ‘રસરંગ’ પૂર્તિમાં લેખકની કૉલમ ‘ડૂબકી’માં આ લેખ પ્રકાશિત થયો હતો.
-
સાહિત્યનગરીની ઓળખ મેળવવા શું કરવું?
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
ઘટના ભલે ગુજરાતની નથી, કેરળની છે, પણ આનંદદાયક અને વિશિષ્ટ કહી શકાય એવી છે. ઝાઝું રહસ્ય ઊભું કર્યા વિના કે મોણ નાખ્યા વિના પહેલાં એ ઘટનાની વાત, અને એ પછી તેની પૃષ્ઠભૂમિ વિશે. કેરળના કોઝીકોડ એટલે કે અગાઉ કાલીકટ તરીકે ઓળખાતા શહેરને ‘યુનેસ્કો’ દ્વારા ‘સીટી ઑફ લિટરેચર’નું તેમજ મધ્ય પ્રદેશના ગ્વાલિઅર શહેરને ‘સીટી ઑફ મ્યુઝિક’ બિરુદ પ્રાપ્ત થયું છે.

તસવીર: નેટ પરથી ‘યુનેસ્કો ક્રિએટીવ સિટીઝ નેટવર્ક’ (યુ.સી.સી.એ.) અંતર્ગત ૨૦૦૪થી એવાં વિવિધ શહેરો વચ્ચેના સહયોગને ઉત્તેજન આપવા માટે આરંભાયેલું અભિયાન છે કે જેમણે શહેરી વિકાસ માટે પોતાની ઓળખ તરીકે સર્જનાત્મક પરિબળને આગળ ધર્યું હોય. વિશ્વભરનાં સો દેશોમાં આવાં ૩૫૦ શહેરોનો સમાવેશ થાય છે.
કોઈ વિદેશી સંસ્થા આપણી ટીકા કરે તો તેની અધિકૃતતા વિશે જ શંકા ઉઠાવવી અને તે આપણને પ્રમાણપત્ર આપે તો એ ગળે લટકાવીને ફરવું એવા સામાન્ય બની રહેલા વલણને બાજુએ મૂકીને કોઝીકોડને મળેલા આ વિશિષ્ટ સન્માન અંગે જાણવા જેવું છે. વિકાસની આંધળી દોટ હજી શરૂ થઈ નહોતી એવે સમયે પ્રત્યેક શહેરની આગવી ઓળખ હતી. વિકાસ પછી આવાં શહેરો એકવિધ બનતાં રહ્યાં છે. અલબત્ત, તેમનું આગવાપણું સાવ નાબૂદ નથી થયું, પણ ઘણે અંશે જવા લાગ્યું છે. એમાં પણ બી.આર.ટી; મેટ્રો રેલ્વે જેવી પરિવહન સુવિધાના આગમનથી શહેર ભૂગોળ તેમજ તેનાં સીમાચિહ્નો સાવ બદલાઈ ગયાં છે.
કોઝીકોડ શહેરની વસતિ અંદાજિત ૫.૯૪ લાખ છે. પાંચસોથી વધુ જાહેર ગ્રંથાલયો, અનેક પુસ્તકવિક્રેતાઓ, પ્રકાશકો, કળા, રાજકારણ સહિત અનેક વિષયો પર અનૌપચારિક ચર્ચા કરતી કોલાયાના મેળાવડાની ઉજ્જ્વળ પરંપરા, વખતોવખત યોજાતા પુસ્તકમેળા જેવાં અનેક પરિબળો આ શહેરને પ્રાપ્ત થયેલા ‘સાહિત્યનગરી’ના બિરુદ માટે જવાબદાર છે. આ વિસ્તારના વી.મુહમ્મદ બશીર, એમ.ટી.વી.નાયર, પી.વલ્સલ જેવા સાહિત્યકારો દેશભરમાં જાણીતા છે. પણ શહેરના વિકાસ અને આયોજન વેળા તેમાં સર્જકતાને, તેની મુખ્ય ઓળખ એવા સાહિત્યને કેન્દ્રમાં રખાયું છે.
કોઝીકોડની કોલાયા પરંપરા વિશિષ્ટ છે. ઘરના વરંડામાં જ સમરસિયાઓ એકઠા થાય અને વિવિધ વિષયોની ચર્ચા મંડાય. દર સપ્તાહે યોજાતી આ બેઠકપરંપરા એક સમયે કોલકાતાનાં કૉફી હાઉસોમાં ભરાતા મેળાવડાની યાદ અપાવે. કળા અને સાહિત્યની વિવિધ પરંપરા અહીં વખતોવખત શરૂ થઈ, દૃઢ થઈ, પણ એમાંની મોટા ભાગની હજી ચાલી રહી છે એ મહત્ત્વની બાબત છે.
ગુજરાતમાં ભાવનગર, વડોદરા જેવાં શહેરો ક્યારેક સંસ્કારનગરી કહેવાતાં હતાં કે નડીયાદ જેવું નગર સાક્ષરભૂમિ તરીકે ખ્યાત હતું. ભરૂચનું પણ એક આગવું સ્થાન હતું. એક સમયે આ શહેરોમાં કળા અને સાહિત્યને પોષક વાતાવરણ હતું, પણ બન્ને શહેરોની પ્રવર્તમાન સ્થિતિ સાવ જુદી છે. તેમની એ જૂની ઓળખ હવે સ્મૃતિમાં રહી ગઈ છે. કોઝીકોડ સાથે સરખામણી કરવાનો સવાલ નથી, પણ ગુજરાતમાં સાહિત્ય અને સાહિત્યકારોની એક સમયની ઉજ્જ્વળ પરંપરા શા કારણે ભૂતકાળ બની ગઈ? એ માટે જવાબદાર કોણ? સાહિત્યકાર? સરકાર? કે લોકો? અત્યારે પચાસ પાર કરી ચૂકેલી કોઈ પણ વ્યક્તિ અગિયારમા કે બારમા ધોરણમાં અભ્યાસ કરતા કોઈ વિદ્યાર્થી કે વિદ્યાર્થીનીનું ગુજરાતીનું મૂળભૂત જ્ઞાન જુએ તો આઘાતથી છળી મરે. સામાજિક નેટવર્કિંગનાં માધ્યમો પર માતૃભાષાનું ગૌરવ લેતા, સાહિત્યિક કાર્યક્રમોમાં હાજરી આપીને સાહિત્યકારો સાથે સેલ્ફી પડાવવામાં ગૌરવ અનુભવતા, ‘આવા બધામાં આપણને બહુ રસ’નું ગાન ગાતા આપણા નાગરિકોના ધ્યાનમાં હજી સુધી આ વાત આવી કેમ નથી એ નવાઈની વાત છે. જૂજ અપવાદ સિવાય સાહિત્યકારોનાં કોઈ સ્મારક નથી અને જો છે તો બિસ્માર તેમજ જર્જરિત અવસ્થામાં છે. વારસાના સાચવણની સૂઝ આપણું પ્રજાકીય લક્ષણ નથી.
એક સમયે નાનાં, મધ્યમ કે મોટાં નગરોમાં અનેક સાહિત્યિક-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ધબકતી રહેતી. સાહિત્યકારો અને સાહિત્યરસિકોની આખી પેઢી તેના દ્વારા ઘડાઈ છે. આવી પ્રવૃત્તિઓ છૂટીછવાઈ હજી થઈ રહી હશે, પણ તેની ધરી બદલાઈ ગઈ છે. કાં તે પરસ્પરની પીઠ ખંજવાળવાનું માધ્યમ બની રહી છે, કાં તે ધર્માશ્રયી કે રાજ્યાશ્રયી બની રહી છે. સાહિત્યિક મેળાવડા કે પુસ્તકમેળા ગુજરાતમાં છાશવારે યોજાતા રહે છે, પણ તેમાં મુખ્ય આકર્ષણ ખાણીપીણીનું બની રહે છે. લેખન સાથે સંકળાયેલો મોટો વર્ગ પોતાના ચાહકોને ‘અંકે કરવામાં’ ઈતિશ્રી માને છે કે પોતે કોઈક બાપુ, ગુરુ કે એવું જ ઉપનામ ધરાવતી સાંપ્રદાયિક ઓળખ ધરાવતી વ્યક્તિનો ‘ચાહક’ હોવાનું છાપરે ચડીને પોકારે છે.
અમદાવાદમાં એક સમયે બચુભાઈ રાવત ‘બુધવારિયું’ તરીકે ઓળખાતા, દર બુધવારે યોજાતા કવિમિલનની બેઠકો નિયમિતપણે યોજતા, જેમાં અનેક કવિઓ ઘડાયા છે. વર્તમાન સમય એવો છે કે શું રાજકારણ કે શું સાહિત્ય, ઘોંઘાટ ઘણો છે, પણ સંવાદ ક્યાંય નથી કે નથી સ્વસ્થ ચર્ચાનો માહોલ. સાહિત્યકારો રાજકારણીઓની કૃપાદૃષ્ટિ માટે લાલાયિત હોય, તો રાજકારણીઓ સાહિત્યના મેળાવડા શોભાવતા જોવા મળે.
ગુજરાતીમાં રોજેરોજ કેટલાંય પુસ્તકો પ્રકાશિત થતાં હશે, છતાં તે લોકોમાં વાંચનપ્રેમને સંકોરી શકતો નથી. અપવાદને બાદ કરતાં ગુજરાતનાં મોટા ભાગનાં પુસ્તકાલયો સરકારી અનુદાન પર નભી રહ્યાં છે. એ જ રીતે અનેક પ્રકાશકો પુસ્તકાલયને ધ્યાનમાં રાખીને પુસ્તકો પ્રકાશિત કરી રહ્યાં છે. ગુજરાતીમાં વાચક અને પ્રકાશકને જોડતો સેતુ બનવાનો આરંભ થયો છે કે કેમ એ જ ખબર નથી.
ગુજરાત અને ગુજરાતીના આવા માહોલમાં કેરળના કોઝીકોડને ‘સાહિત્યનગરી’નું બિરુદ મળે એ આનંદદાયક તો છે જ, પ્રેરણાદાયી પણ કહી શકાય. એ યાદ રાખવું રહ્યું કે મહત્ત્વ એ નથી કે આ સન્માન ‘યુનેસ્કો’ દ્વારા પ્રાપ્ત થયું છે. આ શહેરની ઉજ્જ્વળ સાહિત્યિક પરંપરા પોંખાઈ છે એ વધુ મહત્ત્વનું છે. ચાહે એ પોંખનાર કોઈ પણ હોય!
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૪ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
(૧૨૬) ગ઼ાલિબનું સર્જન, સંકલન, અર્થઘટન અને રસદર્શન – ૭૨ (આંશિક ભાગ –3)
કભી નેકી ભી ઉસ કે જી મેં ગર આ જાએ હૈ મુઝ સે
(શેર ૪ થી ૬ થી આગળ)
(શેર ૭ થી ૮ )
– મિર્ઝા ગ઼ાલિબ
વલીભાઈ મુસા (રસદર્શનકાર)હુએ હૈં પાઁવ હી પહલે નબર્દ-એ-ઇશ્ક઼ મેં જ઼ખ઼્મી
ન ભાગા જાએ હૈ મુઝ સે ન ઠહરા જાએ હૈ મુઝ સે (૭)[નબર્દ-એ-ઇશ્ક઼= પ્યારની લડાઈ]
રસદર્શન :
આ શેર એટલો બધો રમૂજી છે કે આપણે આપણા હાસ્યને ખાળી શકીએ નહિ. માશૂક કહે છે કે મહેબૂબા સાથેની ઇશ્કની લડાઈમાં પહેલાંથી જ પગ એવા તો ઘાયલ થઈ ગયા છે કે તેમનાથી ભાગી જઈ શકાતું નથી કે ઠહેરી પણ શકાતું નથી. અહીં ગૂઢાર્થ તો એ છે મહોબ્બતની લડાઈમાં માશૂકા વધુ આક્રમક છે અને તેથી જ તો માશૂકના પગ ઘાયલ થઈ ગયા છે. હવે મહેબૂબા તરફથી વધુ પિટાઈ ન થાય તે માટે માશૂકે ભાગી જવું તો જોઈએ, પણ એ શક્ય નથી; તો વળી ત્યાં ને ત્યાં રોકાઈ જવું પણ મુનાસિબ નથી. આમ સાવ દેશી શબ્દોમાં કહી શકાય કે ‘બેઉપાનું દુ:ખ’ એટલે કે ‘બંને તરફનું દુ:ખ’ છે. હવે આપણે આ જ શેરને થોડોક ગંભીરતાથી લઈએ, તો માનવજીવનમાં ઘણીવાર એવા સંજોગો ઉદ્ભવતા હોય છે કે સામસામા બંને છેડે જોખમ તો એક સરખું જ રહેતું હોય છે; જેમ કે આગળ કૂવો અને પાછળ ખાઈ (ખીણ), એટલે કે બંને તરફ મોત! શેરનો બીજો ઇંગિત અર્થ ‘અનિર્ણાયક સ્થિતિ’ એ પણ લઈ શકાય. આ વાતના સમર્થનમાં શેક્સપિયરના નાટક ‘હેમલેટ’ના વિખ્યાત સંવાદ ‘To be or not to be, that is the question.’ને ટાંકી શકાય. છેલ્લે વિચારતાં એમ લાગે છે કે આ શેરના શબ્દચિત્રને માત્ર માશૂક-માશૂકાનું દ્વંદ્વયુધ્ધ એવા સ્થૂળ અર્થમાં ન સમજતાં હળવા ભાવાત્મક એવા વાક્યુદ્ધના અર્થમાં સમજીએ તો એમ લાગશે કે માશૂકાનું માશૂક પરત્વેનું કંઈક એવું સંકુલ અને શાબ્દિક વર્તન છે કે જેનાથી માશૂક માશૂકા સામે હિંમતભેર ઊભો રહી પણ શકતો નથી કે તેને છોડીને જઈ પણ શકતો નથી.
* * *
ક઼યામત હૈ કિ હોવે મુદ્દઈ કા હમ-સફ઼ર ‘ગ઼ાલિબ‘
વો કાફ઼િર જો ખ઼ુદા કો ભી ન સૌંપા જાએ હૈ મુઝ સે (૮)[ક઼યામત= ન્યાયનો દિવસ, (અહીં) આફત, બલા, મુસીબત; મુદ્દઈ= દુશ્મન; હમ-સફ઼ર= સહપ્રવાસી; કાફ઼િર= અજ્ઞાની, અધર્મી]
રસદર્શન :
ગ઼ઝલનો આ મક્તા શેર છે. પહેલા જ મિસરાના પહેલા જ શબ્દ ‘ક઼યામત’નો પ્રત્યક્ષ અર્થ ‘ન્યાયનો દિવસ’ (Judgemeent Day) ન લેતાં તેનો રૂઢિપ્રયોગાત્મક અર્થ ‘મુસીબત’ કે ‘આફત’ લઈએ તો અર્થઘટન એક દિશા પકડશે, તો મૂળભૂત અર્થમાં તે જુદી દિશાએ જશે. હવે ઉપરોક્ત બેઉ અર્થઘટનો ‘મુદ્દઈ’ શબ્દ ઉપર આધારિત છે. ‘મુદ્દઈ’ શબ્દનો અર્થ તો ‘દુશ્મન’ જ છે; પણ કોનો દુશ્મન એ નક્કી કરી લેવું ઘટે, ઈશ્વર-અલ્લાહનો કે શાયરનો? ક઼યામતનો દિવસ એક મેદાનમાં હશે, જેને ‘હશ્રનું મેદાન’ પણ કહેવામાં આવે છે. હશ્રના મેદાનમાં સઘળા જીવોને એકત્ર કરવામાં આવશે. હવે એ મેદાન તરફની સફરમાં સહપ્રવાસી તરીકે જે છે તે ખુદાઈ દુશ્મન એટલે કે નાસ્તિક (ઈશ્વરનો ઇન્કાર કરનાર) હોય તો પણ શાયર તેને ઈશ્વરના હવાલે કરતાં અચકાશે; કેમ કે ઈશ્વરના અસ્તિત્વને નકારનાર ક્રૂર શિક્ષાને પાત્ર થશે અને તેના આક્રંદને તે સહી નહિ શકે, અને તેથી જ તો શાયર ‘ન સૌંપા જાએ હૈ મુઝ સે’ કહે છે.
હવે સહપ્રવાસી જો શાયર અર્થાત્ માશૂકનો મુદ્દઈ (દુશ્મન) હોય તો પણ તેને ખુદાના હવાલે નહિ કરવામાં આવે એમ માનવું પડે. પ્રથમ તો આપણે જાણી લઈએ કે માશૂકનો અંગત દુશ્મન કોણ હોઈ શકે; તો દેખીતું જ છે કે તે અન્ય કોઈ નહિ, પણ માશૂકનો પ્રતિસ્પર્ધી જ હોય! તો પછી ઈશ્વર-અલ્લાહ અને માશૂકના દુશ્મનો સમકક્ષ હોઈ શકે ખરા? તેનો મારો જવાબ છે, હા. આ વાત સ્વીકારવા માટે આપણે ‘ઇશ્ક઼-એ-હકીકી’ અને ‘ઇશ્ક઼-એ-મિજાજી’ને પારખવા પડે, જેમાં પ્રથમ છે ઈશ્વર-અલ્લાહ પરત્વેનો પ્રેમ અને દ્વિતીય છે દુન્યવી એટલે માશૂક યા માશૂકા પરત્વેનો પ્રેમ. ઉભય પ્રેમ માગે છે, આત્મસમર્પણ. દુન્યવી પ્રેમ પણ જો પવિત્ર હોય; તો તેને પણ ઈબાદત નહિ, તો ઈબાદતની સમકક્ષ તો જરૂર ગણી શકાય! આમ માશૂક અહીં તેના પ્રતિસ્પર્ધી દુશ્મનને પણ માફ કરવાનું અને તેને ખુદાના હવાલે ન કરવાનું વિચારે છે. મારા મતે માશૂકની આ દરિયાવદિલી એ રીતે સમજાય છે કે પેલા ખલનાયકની ખલનાયકી છતાં માશૂકનો માશૂકા પરત્વેનો પ્રેમ કસોટીની એરણે ટિપાઈને અણીશુદ્ધ પાર ઊતરે છે. આમ માશૂક પેલા દુશ્મનનો અહેસાનમંદ છે કે જેના કારણે પોતે કામયાબ પ્રેમી પુરવાર થયો છે.
છેલ્લે વિશેષ જ્ઞાન અન્વયે કહેતાં, માશૂકને કઈ રીતે ખબર પડી શકે કે સહપ્રવાસી દુશ્મન છે? અત્રે હું એક ઈસ્લામિક હદીસ (કથન) ટાંકીશ : ‘કોઈ વ્યક્તિના સાચા ચારિત્ર્યની પરખ તેની સાથેના કેટલાક દિવસના સહપ્રવાસથી મેળવી શકાય.’ આ જ મતલબનો ગુજરાતીમાં રૂઢિપ્રયોગ છે : ‘સોનું પરખો કસીને અને મનેખ પરખો વસીને.’
(સંપૂર્ણ)
* * *
ઋણસ્વીકાર:
(૧) મૂળ ગ઼ઝલ (હિંદી લિપિ) અને શબ્દાર્થ માટે શ્રી અલી સરદાર જાફરી (દીવાન-એ-ગ઼ાલિબ)નો…
(૨) http://www.youtube.com વેબસાઇટનો…
(૩) Aksharamukha : Script Converter http://aksharamukha.appspot.com/converter
(૪) સૌજન્ય : urdustuff.blogspot અને વીકીપીડિયા
(૫) Courtesy : https://rekhta.org
(૬) Courtesy – urduwallahs.wordpress.com
(૭) Courtesy – http://sukhanwar-ghalib.blogspot.in
(૮) યુ-ટ્યુબ/વીડિયોના સહયોગી શ્રી અશોક વૈષ્ણવ અને શ્રી નીતિન વ્યાસ
* * *
શ્રી વલીભાઈ મુસાનાં સંપર્કસૂત્ર:
ઈ મેઈલ – musawilliam@gmail.com ||મોબાઈલ : + 91-93279 55577 // +91 94261 84977
નેટજગતનું સરનામુઃ
William’s Tales (દ્વિભાષી-ગુજરાતી/અંગ્રેજી) || વલદાનો વાર્તાવૈભવ | | માનવધર્મ – જીવો અને જીવવા દો
