વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • “શુભ” vs “અશુભ” ની ખેંચતાણ

    કૃષિ વિષયક અનુભવો

    હીરજી ભીંગરાડિયા

    [કૃષિવિકાસ મંડળ માંહેનો એક ચર્ચિત વિષય ]  

        [દર મહીનાના છેલ્લા બુધવારે મળતી મંડળની બેઠક ઉગામેડી ગામના શ્રી દેવરાજભાઇ ગઢિયાની વાડીએ મળી હતી. વિષય નિષ્ણાત તરીકે સુરતથી ડાયમંડ એસોસીએશનના માજી ચેરમેન અને પ્રતિષ્ઠિત સામાજિક કાર્યકર શ્રી રામજીભાઇ ઇંટાળિયાનું આજે સાંનિધ્ય સાંપડ્યું હતું. વીસેક ગામમાંથી પધારેલા સોએક ખેડૂતોના આવી ગયા પછી સભાના આરંભે મેં સૌને આવકાર્યા]

    “મિત્રો ! કૃષિવિકાસ મંડળની આપણી આજની મીટીંગમાં આપણા આમંત્રણને માન આપી, પોતાના અગણિત રોકાણોમાંથી ખાસ સમય ફાળવી આપણને માર્ગદર્શન પૂરું પાડવા આ.શ્રી રામજીભાઇ ઇંટાળિયા આપણી વચ્ચે પધારી આપણને સૌને ઉપકારી બનાવ્યા છે. મિત્રો ! સચ્ચાઇ અને ખંત જેમનાં હાડેહાડમાં વણાએલાં છે એવા શ્રીરામજીભાઇ અંધશ્રધ્ધા, કુરિવાજો, જ્યોતીષ અને કર્મકાંડો વગેરેના સખત વિરોધી છે. ભાંગ્યાના ભેરુ એવા તેમણે કરેલાં કામો ગણાવું તો ગારિયાધારની માંદી પડેલી બી.બી હોસ્પિટાલને કામ કરતી બનાવી હતી. બીજું, રાજસ્થાન-પાવાપૂરીની જૈનોની અતિ વિશાળ ગૌશાળાને સંભાળી લઈ જીવંતતા બક્ષી દીધી હતી. અરે, કચ્છના ગોજારા ધરતીકંપે ભાંગી પડેલ ગામડાંઓને બેઠા કરવાની પીડાએ રામજીભાઇના હૈયાને હલબલાવી નાખ્યું. અને પ્રશ્ન હાથમાં લઈ પોતાના આંતરસૂઝ અને કાર્યનિષ્ઠાના બળે એને નિપટાવ્યો હતો.. મહેનતકશ પટેલોમાંના સેવાભાવી યુવાનોને આઇ.એ.એસ. અને આઇ.પી.એસ. કેડરના પ્રામાણિક અધિકારીઓ રૂપે તૈયાર કરવા માટે આખી શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા નોંધપાત્ર કાર્ય કરી રહ્યા છે. અને એવાં બીજાં સમાજ ઉપયોગી અગણિત કાર્યો તેમના દ્વારા થઈ રહ્યાં છે. તેઓનુ ભાવભીનું સ્વાગત કરું છું અને સમાજમાં જે શુભ-અશુભ, શુકન-અપશુકન જેવા પ્રસરી રહેલા ખ્યાલો વિશે આપણા સવાલો પર સાચું માર્ગદર્શન આપે એવી વિનંતી કરું છું.”

    રામજીભાઈએ સૌને સત્કારી પોતાની ખુશી વ્યક્ત કરી મૂળ વિષયને ઉપાડ્યો. ”તો ભાઇઓ, પૂછો, શું પૂછવું છે ?”

    મંડળના સભ્ય શ્રી મહેંદ્રભાઇ ગોટીએ પ્રશ્ન કર્યો, “રામજીભાઈ ! મેં થોડા દિવસો પહેલાં ફૂલછાબમાં શ્રી કૌશિકભાઇ મહેતાના લખાણમાં 13 નો અંક અશુભ છે એ વિશે લોકોમાં પ્રસરી રહેલી ગલત માન્યતા અંગે વાંચેલું. આપના મતે 13 ના અંક વિશે શું કહેવું છે ?”. ““જુઓ ભાઈ ! એકડાથી શરુ કરી ૧૦૦ સુધીના કોઇ અંકમાં શુભ કે અશુભ જેવું કંઇ હોતું નથી. આ બધા અંકોમાંથી કોઇ અંકને વહાલો કે દવલો આપણે જ કલ્પી લીધેલ છે. ઇશુખ્રિસ્તને વધસ્થંભ પર ચડાવવામાં તેનો 13મો શિષ્ય કારણભૂત હતો. તેથી 13 ના આંકડાનું અશુભપણું એ ક્રિશ્ચયનોની ભેટ છે. તમે જુઓ, તેથી જ કેટલાક બહુમાળી મકાનોમાં 13 નંબરનો માળ જ નથી રાખતા. 12 પછી સીધો 14 મો માળ જ આવે. અરે, માળની અંદરની ઓફીસો કે દુકાનોમાં 13 નંબર આપવાનો જ નહીં ! પૂછીએ તો કહેતા હોય છે કે 13 નંબર રાખીએ તો લોકો એને ખરીદવામાં અચકાતા હોય છે, અને માનોકે કોઇ ગ્રાહક ખરીદવા તૈયાર થાય તો ઓછી કીમતે માગતા હોય છે. હવે હું તમને પૂછું કે 13 નો અંક બીજે ક્યાં ક્યાં અશુભ ગણવામાં આવે છે, કોઇ કહેશો ?” રામજીભાઇએ 13 ની અશુભતાના વધુ ઉદાહરણ માગ્યા.

    “રમતગમત રમનારા ખેલાડીઓમાં કોઇ 13 નંબરની જર્સી પહેરવા તૈયાર હોતા નથી.” પોપટ્ભાઇએ પોતાની જાણકારી બતાવી.

    “ અરે પોપટભાઈ આપણી ભારતીય ટીમનો ખેલાડી મહોમ્મદ સિરાજ 13 નંબરની જર્સી સામેથી માગીને પહેરે છે અને તેનાથી કોઇ ગેરફાયદો તેને થયો જણાયો નથી. એટલે 13 નો અંક અશુભ છે એ માત્ર કેટલાક લોકોનો ભ્રમ છે. બોલો, હવે બીજું કાંઇ ?”

    “ અમારા ગામમાં એક હિરાવાળાના દીકરાએ એની બુલેટ મોટરસાયકલ માટે રુ.૫,૦૦૦ ખર્ચીને એને પસંદ એવો નંબર લીધો. આવું કરવા પાછળ એનો કેવો હેતુ હશે ?” ઠાકરશીભાઇએ પોતાના ગામની હકિકત કીધી.

    “ઠાકરશીભાઈ ! વધુકુ નાણું ખરચી પોતાને પસંદ એવો નંબર લેવો એ એકજાતની પૈસાની ખુવારી અને પોતાની ગાંડાઇ જ ગણાય. વાહનનો નંબર આર.ટી.ઓ. તરફથી એ વાહનની ઓળખ માટે અપાતો રજીસ્ટેશન નંબર ગણાય. અને એવા નંબરો તો લાખો વાહનોને દેવાતા હોય. એમાં શુભ-અશુભ જેવું કંઇ હોય નહીં. પણ આપણા સમાજમાં ભાત ભાતનું વહેમી માનસ ધરાવતા લોકો છે. તમારી વાતમાં હુંયે સૂર પૂરાવું કે મારી જાણમાં એક જુવાનડો છે કે જે પોતાના અને કુટુંબના સભ્યોના ટુ વ્હીલ અને ફોર વ્હીલ બધાને ચાર અંકોમાંથી પાછલા બે અંકો 97 આવે એવું કરવા આર.ટી.ઓમાં થોડો ખર્ચ કરીને પણ ગોઠવ્યા કરે છે. તમારી વાત સાચી છે. બોલો હવે 13 ની જેમ બીજા કોઇ અંક વિશે આવું છે ?”

    “13 ની જેમ 3 નેપણ કેટલાક અશુભ માને છે. એટલે તો સારાકામે બહાર જતા હોઇએ ત્યારે ત્રેખડ-એટલે કે 3 જણે નહીં જવાનું.”

    “મનુભાઇની જેમ મારે પણ એમ જ કહેવાનું છે કે અમ ખેડૂતોમાં 3 બળદવાળો અને બે બૈરાવાળો ખેડૂત દુ;ખિયો ગણાય. અરે વા-વંટોળિયાને ગોળચકરડી ફરતો ભાળી જાય તો કહેતા હોય છે કે “જાજે બે બૈરાવાળને ત્યાં”.મનુભાઇની જેમ વાલેરાભાઇએ પણ કહ્યુ.

    “સાંભળો મનુભાઇ અને વાલેરાભાઈ ! બળદ ભલે 3 હોય. પણ સાંતીએ કે ગાડે તો એક સાથે બે ને જ જોડવાના હોય ને ? ત્રીજાની

    પળોજણ તો વધારાની ખરી. પણ 3 બળદ રાખવામાં ફાયદોયે છે. માનો કે તમારે કોઇ કામ ખૂબ ઉતાવળથી વગર અટક્યે પાર પાડવું છે, તો બપોર વચાળે પોરો દેવાનું બંધ રાખી ત્રણેને વારાફરતી- બે જૂતેલા અને એક ચારો અને પોરો ખાઈ લે- અને કામ ચાલુ જ રહે છે ભાઈ ! ત્રણ બળદનું ત્રેખડ એક બાજુ કપાણ્યવાળું અને બીજી બાજુ લાભદાયી પણ છે. અને બીજી વાત કરી કે બે બૈરાવાળો જણ પણ દુ:ખી દુ:ખી હોય ! એને ઘેર રોજે રોજ કંઇ ને કંઇ કંકાસ રહેતો હોય ! પણ એમાંયે સ્વભાવે સ્વભાવે ફેર હોવાનો. મારી જાણમાં જ છે આ હીરજીભાઇના જૂના ગામ ચોસલામાં પોપટભાઇ ડોબરિયા અને કલ્યાણ ભગત બન્નેને બે બે બૈરાં હતાં પણ તેઓ કાયમ સુખેથી જીંદગી જીવતાં હતાં. બોલો, હવે છે કોઇને પ્રશ્ન?” રામજીભાઇને પણ નતનવા પ્રશ્નોમાં રસ પડ્યે જતો હતો.

    “એવું કેમ હશે કે કોઇના લગ્નપ્રસંગમાં ચાંદલો કે હાથગરણું લખાવતી વખતે ૧૦ -૫૦ -૧૦૦ – ૫૦૦  કે ૧૦૦૦ લખાવવાને બદલે ૧૧ -૫૧ -૧૦૧ – ૫૦૧  કે ૧૦૦૧જેવો આંકડો લખાવતા હોય છે?” બાબુભાઇએ સવાલ કર્યો.

    “ જુઓ બાબુભાઈ ! એવું કરવા પાછળ એવી માન્યતા રહેલી છે કે છેલ્લે 0 [મીંડું] આવે એ આંકડો શુકનવંતો ન ગણાય, માટે  એમાં ૧ નો ઉમેરો કરતા હોય છે. પણ મારી દ્રષ્ટિએ 0 [મીંડું] તો અતિ કીમતી છે. જે અંકની પછવાડે મીંડું મૂકીએ એ અંકની કીમત દસગણી વધી જાય છે. દા.ત. ૧ ની પાછળ 0 મૂકીએ એટલે ૧ ની કીમત ૧0 થઈ જાય. અને ૧00 ની પાછળ 0 મૂકીએ એટલે ૧000 થઈ જાય. આ 0 અંકને અશુભ કેમ ગણવો, તમે કહેશો કોઇ ?” રામજીભાઇએ સૌને વિચારતા કર્યા.

    “રામજીભાઈ ! ચાલુ લગ્નની સીઝનમાં અમારા કુટુંબમાં દીકરીના લગ્નનું મુહૂર્ત જોવરાવ્યું તો વદ-૧૨ [બારશ} નું આવ્યું. અને કંકોત્રી છપાવી તો અંકોમાં ‘૧2’ અને અક્ષરોમાં ‘સાડી અગિયારશ’ એમ છપાવ્યું. આવું કરવું જરૂરી ?” ધીરુભાઇએ પ્રશ્ન કર્યો.

    “જૂઓ ધીરુભાઇ ! સામાન્યરીતે બારશના અંકને મુહૂર્ત જોનારા બ્રાહ્મણો વગેરે ઓછો લાભદાયી ગણતા હોય છે. એટલે જેમ કોઇને “સાપ કરડી ગયો” એમ કહીએ એટલે એને સાપનું નામ સાંભળતાં જ ધ્રાસકો પડી જાય, એવું ન થાય માટે “જીવડું અડી ગયું” એમ કહીએ છીએ. જેથી થોડી હળવાશ રહે. એમ “બારશ” બોલ્યા ભેળું બહુ ગમે નહીં-માટે બારશને બદલે “સાડી અગિયારશ” બોલે છે. પણ એથી કોઇ ફેર પડે નહીં, એવું મારું માનવું છે. અને એવી બાબતોમાં તો આપણે બધા બ્રાહ્મણો કહે તેમ જ કરનારા છીએને ? બાકી શુભ કે અશુભ જેવું જેઓ મનના ઢીલા હોય, તેમને જ નડવા કરે. અને શંકાનું કોઇ ઓહડ નથી. એ શંકાનું નિવારણ કરવા ભૂવા અને ભરાડી પાસે જાય,અને વધુ ખુવાર થાય. આ કોઇ સમજણા માણસનું કામ નથી.”

    “હું અમારી જ વાત કરું, અમે તો દીકરા દીકરીના લગ્નમાં મુહૂર્ત જોવરાવતા નથી, ચોઘડિયામાંયે માનતા નથી. તમે માનશો ? દીવાળી અને બેસતાવર્ષ વચ્ચે કોઇ કોઇ વરસ એક ઓફ અશુભ દીવસ ધોકાનો આવતો હોય છે. એ ધોકાના દીવસે કોઇ લગ્નનું મુહૂર્ત માગે ? આ તમારી સાથે જે હીરજીભાઇ છે ને તેમના સંયુક્ત કુટુંબમાં એક દીકરાના લગ્ન ધોકાના દીવસે જ ગોઠવ્યા હતા એવી મને જાણ છે. જેથી મંડપમાળણ-રસોયા- લગ્ન માટે સમાજન વાડી વગેરે બધું જ ખાલી હોઇ બધી જ બાબતે ખુબજ અનુકૂળતા રહી હતી. આ બધા તો મનના વહેમ છે, જે એ વહેમને તાબે થાય એને એ નડશે. બાકી નડતાં હોય છે આપણાં અપલખણ જો કોઇ હોય તો !”

    “જો ડાબી હથેળીમાં ખજવાળ આવે તો નાણું મળવાની આગાહી અને જમણીમાં આવે તો નાણું ગુમાવવાની આગાહીના એંધાણ ગણાય, એ તો ખરું ને ?“ વહેમ શામજીભાઇનો કેડો છોડતો નહોતો.

    “જુઓ શામજીભાઇ ! હથેળીમાં જ નહીં, આપણાં બધાં અંગોમાં ખજવાળ આવતી હોય છે. નાણાની લેવડ-દેવડને અને હાથની ખજવાળને કોઇ લેવા દેવા નથી.”

    “ જો ડાબી આંખ ફરકે તો કંઇક સારું બનવાનું અને જમણી ફરકે તો નઠારું બનવાના એંધાણ છે, એવુંયે કહે છે,”

    ‘તમારું નામ વીરજીભાઇ ને ? તો વીરજીભાઈ ! આપની કઈ આંખ ફૂટે તો સારું અને કઈ આંખ ફૂટે તો નબળું ? ભલા બન્ને આંખો આપણે માટે એટલી જ મહત્વની  છે. એમાં કંઇક અંદર સ્નાયુ કે નસમાં હલન ચલન થવા પામી હોય તો  આંખ જરા ફરકે અને ઘડીક ફરકીને બંધ થઈ જાય તો સ્વાભાવિક કહેવાય, પણ એકધારી જો ફરક્યા કરે તો તે આંખની કોઇ બીમારી ગણાય.  એવું હોય તો તરત જ આંખના ડૉક્ટરની સારવાર લઈ લેવી પડે.”

    “રામજીભાઈ ! કોઇનું અવસાન થયું હોય તો ખરખરે જવામાં પણ રવિવાર, મંગળવાર કે બુધવાર-આ ત્રણ વારે નહીં જવાનું. શનિ-સોમ અને ગુરુ-શુક્ર ચાર વાર જ યોગ્ય ગણાય, તે કેમ વારમાં કંઇ વહાલા-દવલું હોય ?’?’કરશનભાઇએ ખરખરાને સંભાર્યો.

    “જુઓ કરશનભાઇ ! આમ તો “આઠેયવાર અલ્લાના” છે, દિવસો બધા જ સરખા પણ વારના નામ આપણે પાડ્યા છે છતાં આ વ્યવ્સ્થા આપણા ગલઢેરાઓએ બહુ સમજી વિચારીને ગોઠવી હશે એવું લાગે છે. કારણ કે સાતેય વારે લોકો ખરખરે આવ્યા જ કરે તો જેને ઘેર મૃત્યુ થયું હોય તેમણે પોતાના કૌટુંબીક કાર્યો કેવીરીતે કરવા ? એટલે સાતમાંથી ત્રણ વાર બહારથી ખરખરે આવનારાને રજા રાખવા માટે આ વ્યવસ્થા ગોઠવાઈ હશે એવું લાગે છે. પછી એમાં પહેલેથી રવિ.મંગળ અને બુધ બંધ રખાયા હશે. એટલે હાલ પણ એ પ્રથા ચાલુ રહી છે. જો કે હવે શહેરોમાં ઘણા સુધારા આવ્યા છે . માત્ર એક દિવસ જ બેસણું રાખી સોગકાર્ય પૂર્ણ કરાય છે.

    “પણ પાછું સનાનમાં ગયા હોય એમણે ઘેર આવી ફરજિયાત નહાવું પડે. અને એમ ન કર્યું હોય તો બૂરી બલા વળગે, અને એ ન વળગે એટલા માટે બારણે લીંબુ-મરચાં લટકાવવા પડે એવું કહે છે. એ વાતમાં કેટલું તથ્ય ગણાય ?” મોહનભાઇએ પ્રશ્ન કર્યો.

    “જો ભાઈ ! આપણે અંતિમસંસ્કારમાં ગયા હોઇએ, વળી સ્મશાનમાં બીજાએ રોગી-નિરોગી મૈયત અગ્નિસંસ્કાર માટે આવતા હોય, એટલે તે સ્થળનું વાતાવરણ જ એટલું દુષિત હોય કે જો પરત ફરી સારી રીતે સ્નાન કરી લઈએ તો કોઇ નુકશાન કારક બેક્ટેરિયા કે રોગકારક વાયરસ આપણને લાગવાના ભયમાંથી મુક્ત થઈ જવાય. આ તો સારી વાત ગણાય. બાકી મરચાં-લીંબુ ની આખી ગાંહડી લટકાવી દઈએ તો પણ મનમાં ઘૂસી ગયેલ બૂરી બલા જાય નહીં હો મોહનભાઈ !”

    “હજુ મને એવી શુભ-અશુભ ઘટનાની એક વાત યાદ આવે છે કહું ?” કેશુભાઇથીયે પૂછ્યા વિના ન રહેવાયું.

    “અરે કહોને ભાઈ ! તમારા મનમાં ઊભા થયેલ સવાલનો ઉકેલ શા માટે બાકી રાખવો ? કહો !”

    “અમારા દાદીમા વાત કરતા કે ભૂલમાંયે જો દૂધ ઢોળાઇ જાય તો એ અપશુકનની એંધાણી ગણાય. વાંકા વળી એને આંગળી વડે ચાખી લેવું પડે. અને જો કોઇ કારણસર અરિસો હાથમાંથી પડી જઈ ફૂટી જાય તો એ પણ અપશુકન, પણ કાચનું કોઇ વાસણ-કપ-રકાબી જેવું ફૂટે તો કહે કંઇ વાંધો નહીં, આ તો શુકન થયા ગણાય, એવું કહે. આનો અર્થ શું કરવો ?”

    “અરિસો થોડો કીમતી હોય, એ ફૂટે એટલે નુકશાન થાય. અને નુકશાન કરનારી ઘટના તો અશુભ જ ગણાય ને ? જ્યારે કપ-રકાબી-ગ્લાસ જેવા તો ચાલુ વપરાશના વાસણ ગણાય. બહેન-દીકરી કે વહુવારુથી કામ કરતા કરતા ફૂટ્યા કરતા હોય, એ ઘટનાને ગંભીરતાથી લેવાય તો કામ કરનારને રીંહ ચડી જાય. એટલે એ ઘટનાને વડીલો જરા હળવાશથી લેતા હોય છે. વાંધો નહી, શુકન થયા-એ વાસણ આમેય જૂનું થઈ ગયું હતું, હવે નવું લાવશું. મનને આશ્વાસન આપવાની વાત છે ભૈલા ! અને દૂધ તો આપણી ખોરાકી ચીજોમાં અમૃત સમાન ગણાય, એટલે એને માન આપવાના હેતુ સર ચાખી લેવાનું વડીલોએ ગોઠવ્યું હશે.

    તો ભાઇઓ ! અન્ધશ્રદ્ધાભર્યા વ્યવહારો વિશે વાતો કરવાની ખુબ મજા આવી તમારી સાથે. આપ સૌએ શાંતિથી મેં કર્યા એવા ખુલાસા માન્ય રાખ્યા એથી વળી ઓર આનંદ આવ્યો. તમારા સૌની વચ્ચે મને આવવાનો મોકો ઊભો કરનાર આયોજકોનો ઋણી થયો છું. આભાર.”

    રામજીભાઇએ વકતવ્ય પૂર્ણ કર્યું. અને મંડળના સભ્ય શ્રી દેસુરભાઇએ રામજીભાઇનો આભાર માન્યો અને શ્રી દેવરાજભાઇએ સૌને બપોરા કરવા માટે સાદ કર્યો અને સૌ રોંઢો કરવા ઊભા થયા.


    સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com

  • ‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – તથ્ય

    આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

    આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

    સંપાદન મડળ – વેબ ગુર્જરી


    પોપટલાલ ગોવિંદલાલ શાહ

    ગયા અંશ [૩] માં આપણે જોયું હતું કે નિરીક્ષણ અને  પ્રયોગથી સિદ્ધ કરવા એ વિજ્ઞાનની જે પધ્ધતિના ચાર વિભાગ કરી શકાય છે.

    આજના મણકામાં આપણે આ ચાર વિભાગ પૈકી પહેલા વિભાગ ‘તથ્ય’ની વાત કરીશું.

    તથ્ય

    વિજ્ઞાનનો મુખ્ય હેતુ સૃષ્ટિની મુખ્ય ઘટનાઓ સમજીને તેમના પૂર્વાનુપૂર્વી સંબંધો શોધવાનો છે એ આપણે જોઈ ગયા.. પરંતુ આ કામ થઈ શકે તે પહેલાં ખરી હકીકતો મેળવવાની, અને મજબૂત પાયો રચવાની જરૂર રહે છે. સાધારણ દૃષ્ટિથી ખરી હકીકતો તપાસ કરતાં ખોટી માલૂમ પડે છે, તેથી મૂળ પાયામાંથી  જ  ખરી બાતમી મેળવવી અને ખોટી બાતમીને દૂર રાખવી એ પ્રથમ કાર્ય ઘણું મહત્ત્વનું છે. ખરી બાતમી – ખરી હકીકત – સિદ્ધ થયેલી હકીકતને અંગ્રેજીમાં ‘ફેક્ટ’ કહે છે. તેને માટે આપણે ગુજરાતીમાં “તથ્ય” શબ્દ પ્રયોજીશું. “તથ્ય” એટલે વાસ્તવિક અને ખરી હકીકત; જાદુ, હાથચાલાકી, ઇંદ્રજાળ વગેરે બાહ્ય દર્શંનથી છેતરાયા વિના પ્રાપ્ત કરેવામાં આવેલું ઘટનાનું વાસ્તવિક રૂપ એ તથ્ય. ચાલતી આગગાડીમાંથી આપણને ઝાડ અને ખેતરો દોડતાં લાગે છે, તેવી જ રીતે સૂર્ય પૃથ્વીનું પરિક્રમણ કરે છે એમ લાગે છે.એ પ્રત્યક્ષ નજરોથી દેખાતી હકીકતો ખરી છે કે ખોટી, અને ખરું તથ્ય શું છે તે શોધી કાઢવાનું કામ કઠિન અને અગત્યનું છે.

    વૈજ્ઞાનિક તથ્યનાં બે સ્વરૂપ બહુ જ ધ્યાનથી યાદ રાખવાનાં છેઃ

    (૧) ખરી બનેલી, અને ચોકસાઈથી વર્ણવેલી હકીકતને જ, અને,

    (૨) અન્ય નિરીક્ષકોથી અનુભવી શકાય, અને તેમનાથી પણ ખાત્રી કરી શકાય એવાં રૂપમાં મૂકેલી હકીકતને જ,

    “તથ્ય”નું નામ આપી શકાય.

    આ પ્રમાણે યોજના રાખવાથી અન્વેષકોના મનના તરંગો અને અપૂર્ણતાઓ દૂર રાખી શકાય છે, અને ખોટી માન્યતાઓ અને ખોટા પાયાઓ પરથી ખોટા સિદ્ધાંતો રચાતા અટકે છે.  આ કામ બહારથી દેખાય છે એટલું સહેલું નથી

    માન્યતા અને તથ્ય

    પ્રત્યક્ષ નિરીક્ષણ અને પ્રયોગાત્મક પદ્ધતિ અર્વાચીન સમયમાં બે-ત્રણ શતકથી જ પ્રચલિત થઇ છે. પ્રાચીન દેશોમાં, ખાસ કરીને  પ્રાચીન હિંદમાં, આ પદ્ધતિ અમુક અ’શે પ્રચલિત હતી, પરંતુ એકવાર તે લુપ્ત થયા પછી મધ્યકાલીન સમયમાં, અને તે પછીના કાળમાં, પ્રયોગથી પ્રત્યક્ષ નિરીક્ષણ કરવાની પદ્ધતિ તદ્દન ભુલાઇ ગઇ હતી. યુરોપમાં લિયોનાર્ડો દ વીન્સી, રોજર બૅકન, અને લૉર્ડ બૅકન વગેરેના પ્રયાસોથી આ પદ્ધતિનાં બીજ રોપાયાં હતાં; અને આ પદ્ધતિ પ્રમાણે તપાસ કરવાને અંતે સત્યશોધનને માટે ઈંગ્લંડમાં રોયલ સોસાઇટીની સ્થાપના સન ૧૬૬૧માં થઇ હતી. આ સોસાઈટીનો મુખ્ય ઉદેશ સમસ્ત પ્રકૃતિતી ધટનાનાં કારણોની શોધ કરવાનો અને પ્રયોગાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવાનો હતો. તે સમયમાં સાધારણ માન્યતાઓ અને ખરી હકીકતો-તથ્યનો ભેદ સમજવાનું કામ અપરિચિત હતું. અભિપ્રાયોને પ્રમાણ માનવાને બદલે પ્રત્યક્ષ. નિરીક્ષણ અને પ્રયોગથી સિદ્ધ કરવાના પ્રશ્નોની યાદીમાં નીચેના પ્રશ્નો હતા :

    “લોહચુંબક હાથમાં રાખવાથી સંધિવા દૂર ચાય છે.”

    “હીરો એ કઠણ પદાર્થ છે અને હીરાકણી સિવાય બીજા કશાથી કાપી શકાતો નથી, છતાં બકરાના લોહીથી તે નરમ થઇ જાય છે.”

    “તુલસીથી વીંછી ઉત્પન્ન થાય છે અને તેનાં પાંદડાં સુંઘવાથી માણસના મનમાં વીંછી ઉત્પન્ન થાય છે.”

    “હાથીના શરીરમાં સાંધા હોતા નથી, તેથી જમીન ઉપર સૂઈ શકતો નથી અને ઝાડને અઢુલીને સૂએ છે. તેથી આ ઝાડ પડી જાય તો હાથી પણ મરી જાય છે.”

    ઉપરનાં દૃષ્ટાંતો ઉપરથી દેખાશે કે તે સમયમાં વિજ્ઞાનના પ્રાથમિક તથ્યો વિષે કેટલું અજ્ઞાન હતું. તેમ છતાં આ અજ્ઞાન દૂર કરનારાઓને તે સમયમાં લોકો ઘણું પજવતા, અને ગોલ્ડસ્મીથ અને ગુલીવર જેવા લેખકો પણ આ વૈજ્ઞાનિકોની મજાક કરવાનું છોડતા નહિ.

    ગોલ્ડસ્મીથે લખેલું કે અમુક જાતના પતંગિયાં શું ખોરાક ખાય છે તે જાણવાથી જગત ડાહ્યું થવાનું કે સુધરવાનું નથી; અતે ગુલીવરે કાકડીમાંથી સૂર્ય કિરણો કાઢવાનો આઠ વર્ષ સુધી પ્રયોગ કરનાર વૈજ્ઞાનિકનું વર્ણન આપ્યું છે!  પરંતુ સાહિત્યકોનો આ વિરોધ થોડો જ સમય રહ્યો. વિજ્ઞાનની પ્રતિષ્ઠા અને વિજ્ઞાનની પદ્ધતિ હવે સુસ્થાપિત થઈ છે. તે છતાં સાધારણ માન્યતા અને વૈજ્ઞાનિક તથ્યનો ભેદ સમજતાં ધણાં મનુષ્યો ડગલે પગલે ભૂલો કરે છે. આવી ખોટી ઠરેલી અર્વાચીન માન્યતાના થોડાં દૃષ્ટાંત બસ થશેઃ-

    “પૃર્ણિમાને દિવસે વાદળાં ઓછાં થાય છે”[1]

    “ચંદ્રની વધધટની સાથે હવામાનમાં ફેર થાય છે”[2]

    “ગ્રહો અને તારાની ગતિથી હવામાનમાં ફેરફાર ચાય છે.”[3]

    “તોપોના ભડાકા થવાથી વરસાદ બહુ થાય છે. ”[4]

     “વીજળીના કડાકાની સાથે વજ્ર પૃથ્વી પર્ પડે છે.”

    “દેડકા પથ્થરનાં પોલાણમાં અસંખ્ય વર્ષો સુધી જીવે છે.”

    સમયના અભાવને લીધે, અને વિષયાંતર થવાના ભયને લીધે ઉપરની દરેક માન્યતા ખોટી છે એ અત્રે સિદ્ધ કરી શકાય તેમ નથી, પરંતુ તે દરેક વિષે ટુંકાણમાં ટિપ્પણથી સમજાવવામાં આવ્યું છે તે ઉપરથી દેખાશે કે આવી માન્યતાઓ અને વૈજ્ઞાનિક તથ્યની વચ્ચે કેટલો ભેદ છે, અને વૈજ્ઞાનિક તથ્યની પ્રાપ્તિ કેટલી કઠિન છે.


    ક્રમશઃ

    હવે પછીના અંશમાં “તથ્ય પ્રાપ્તિ” અને “તથ્યની વ્યવસ્થા” વિશે વાત કરીશું.


    [1] પંદર વર્ષ સુધી નિરીક્ષણ કરનાર એક પાદરી વૈજ્ઞાનિકે સિદ્ધ કર્યું હતું કે વાદળા પૂનમને દિવસે ઓછા થતા  નથી. ઘણું કરીને વાદળાં સવારમાં વધારે હાય છે અને સાંજરે ઓછાં યાય જ તેથી પૂર્ણચંદ્ર ઊગતી વખતે વાદળા ઓછા હોવાનો ભાસ થાય છે.

    [2] ચંદ્રને લીધે હવામાં દરિયાની પેઠે ભરતીઓટ આવે છે પરતુ તેનાથી એક ઇંચના પચાસમા ભાગ કરતાં વધારે ફેર પડત્તો નથી. તેથી નબળા મનના માણસ ઉપર કંઈક અસર થાચ પણ તેથી કોઈ વરસાદ કે તોફાનનો સંબંધ સિદ્ધ થતો નથી.

    [3] આ માન્યતા જ્યોતિષની ઉત્પત્તિના સમચથી ચાલતી આવે છે. પરતુ આ ગ્રહો અને તારા પૃથ્વીથી એટલા બધા દૂર છે કે તેમની કોઈ પણ્ અસર પૃથ્વીના હવામાન ઉપર થઈ શકતી નથી. આખા તારામંડળમાંથી દેખાતો બધો પ્રકાશ એકઠો કરવામા આવે તો છત્રીસ ફૂટ જેટલે છેટે મૂકેલી એક મીણબત્તી જેટલો થાય. આટલી ઉષ્ણતાથી હવામાન શી રીતે ફરી શકે? તારા અને ગ્રહ્ોમાંથી કોઈ અજ્ઞાત પ્રકારના કિરણ આવીને આ હવામાનમાં ફેરફાર કરતા હોય તો તે અસભવિત ન ગણાય, પરતુ તારા અને ગ્રહોની ગતિની સાથેનો હવામાનનો સંબંધ હજી સુધી સિધ્ધ થયો નથી.

    [4] આ સંબંધી એટલુ અજ્ઞાન છે કે ૧૯૧૧ માં પાર્લમેન્ટના એક સભાસદે અમુક ગામમાં બહુ વરસાદ થતો હોવાથી ત્યાથી દૂર જઈને વહાણોને દારૂગોળાની પ્રેક્ટીસ કરવાને વિનંતિ કરી હતી.

  • ભાષા ભલે બચાવે કે મરાવે, પણ ભાષા ખુદ મરવા પડે ત્યારે?

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    માનવની ઉત્ક્રાંતિ થતી ગઈ તેમ તેને વ્યવહાર માટે ભાષાની જરૂર પડતી ગઈ. આગળ જતાં સંસ્કૃતિના વિકાસની સાથોસાથ ભાષાનો પણ વિકાસ થતો ચાલ્યો. ભાષા અને બોલી અલગ ગણાયાં. ભાષાશાસ્ત્રના નિયમો બનતા ગયા. વિવિધ ભાષામાં વિભિન્ન પ્રકારનું સાહિત્ય રચાતું ગયું. સંસ્કૃતિનો વિકાસ તેની ચરમસીમાએ પહોંચે એ પછી શું? સંસ્કૃતિવિકાસની ગતિ ચક્ર જેવી રહી છે. એક સમયે જે ભાષાઓ નવી ગણાતી હતી, વિકસતી જતી હતી એ પૈકીની કેટલીક ભાષાઓ લુપ્ત થવા લાગી. કેમ કે, એ ભાષા બોલનાર વર્ગ ઘટવા લાગ્યો. આ રીતે લુપ્ત થઈ રહેલી ભાષાને બચાવવાની ઝુંબેશ આરંભાઈ. આ બધાની વચ્ચે ભાષાગૌરવ પણ પ્રસ્થાપિત થતું ગયું. આ સંદર્ભે યુનાઈટેડ કિંગ્ડમ ઑફ ગ્રેટ બ્રિટનના વેલ્સમાં બોલાતી વેલ્શ ભાષાની વાત રસપ્રદ કહી શકાય એવી છે. ઈન્‍ગ્લેન્‍ડ, સ્કૉટલેન્‍ડ, વેલ્સ અને ઉત્તર આયર્લેન્‍ડ- એમ ચાર દેશનો સંયુક્ત સમૂહ યુ.કે. અથવા ગ્રેટ બ્રિટન તરીકે ઓળખાય છે. નાનકડા હોવા છતાં આ ચારે પ્રાંતની આગવી સાંસ્કૃતિક વિશેષતા તેમજ આગવી ભાષા છે.

    ૧૦ એપ્રિલ ૨૦૧૪ થી વપરાતો S4C ચેનલનો લોગો

    ૧૯૫૦ અને ૧૯૬૦ના દાયકામાં વેલ્શ ભાષા મૃત:પ્રાય અવસ્થામાં આવી ગઈ હતી. આજે એકવીસમી સદીના ત્રીજા દાયકાના આરંભે આ ભાષાનો ઉપયોગ કરનારની સંખ્યા વધી છે. વેલ્શની સરકાર ૨૦૫૦ સુધીમાં વેલ્શ બોલનારાની સંખ્યા દસેક લાખે પહોંચવાનો અંદાજ બાંધે છે. એવું જરાય નથી કે વચગાળાનાં સીત્તેર-એંસી વરસોમાં કશો ચમત્કાર થયો છે અને વેલ્શ બોલનારની સંખ્યામાં વધારો થતો રહ્યો છે. વચ્ચે વચ્ચે તેમાં ઘટાડો પણ નોંધાતો રહ્યો છે. છતાં, છેલ્લા ચારેક દાયકાથી તેમાં વૃદ્ધિ થતી રહી છે. તેના માટે વિવિધ પરિબળો અને આયોજનો જવાબદાર છે. એ પૈકીનું મુખ્ય એટલે ૧૯૮૪માં આરંભાયેલી, વેલ્શ ભાષાની ‘એસ.ફોર.સી.’ ( વેલ્શ ભાષામાં Sianel Pedwar Cymru, એટલે કે ચેનલ ચાર વેલ્શ) નામની નિ:શુલ્ક ટી.વી.ચેનલ. કહેવાય છે કે વેલ્શ ભાષાને નવજીવન આપવામાં અને વેલ્સમાં આવી રહેલાં પરિવર્તન સાથે સુસંગતતા કેળવવામાં આ ચેનલનું પ્રદાન અતિ મહત્ત્વનું બની રહ્યું. એ સમય વિવિધ ટી.વી.ચેનલનો હતો અને લોકો તે જોવાનું પસંદ કરતા. હવે લોકો ઝડપથી ‘ઓ.ટી.ટી.’ (ઓવર ધ ટૉપ)તરીકે ઓળખાતાં વિવિધ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ તરફ વળી રહ્યાં છે. સ્વાભાવિકપણે જ તેની વિપરીત અસર ‘એસ.ફોર.સી.’ પર થયા વિના રહે નહીં. એક અહેવાલ અનુસાર આ ચેનલના પ્રેક્ષકોની સંખ્યામાં ઘટાડો નોંધાવા લાગ્યો છે. વિવિધ સંગઠનો અને લોકોની બનેલી સમિતિના જણાવ્યા અનુસાર આ પ્રકારનાં વૈશ્વિક માધ્યમોના પ્રભાવને કારણે વેલ્શ ભાષામાં થતું પ્રસારણ હાંસિયામાં ધકેલાઈ જશે. વૈશ્વિક પ્રભાવ ધરાવતાં માધ્યમોની અસર વિધેયાત્મક તેમજ નકારાત્મક એમ બન્ને હોઈ શકે છે. જેમ કે, વિશ્વપ્રસિદ્ધ ઓ.ટી.ટી. પ્લેટફોર્મ પર દર્શાવાયેલા એક ટી.વી.શો ‘ધ વીચર’માં બતાવાયેલા એક રહસ્યમય ટાપુના લોકોને એક ગુપ્ત ભાષા બોલતા બતાવાયા હતા. આ ગુપ્ત ભાષા વેલ્શ હતી. એ રીતે તેમાં વેલ્શ ભાષાને સાવ અજાણી, ગૂઢ અને મર્યાદિત લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી બતાવાઈ હતી. બીજી તરફ ‘દલ અ મેલ્ત’ નામની વેલ્શ ભાષામાં બનેલી ધારાવાહિકને આ જ માધ્યમ પર દર્શાવાઈ રહી છે. એટલે કે હવે તે માત્ર વેલ્શ પૂરતી મર્યાદિત ન રહેતાં વેલ્શ ભાષા ન જાણતા વિશાળ વર્ગ સુધી પહોંચી શકી છે. આવો ફાયદો હોવા છતાં આ પ્રકારનાં માધ્યમોની સ્થાનિક ભાષાની સામગ્રી પર વિપરીત અસર ચોક્કસ થાય છે.

    વેલ્શ યુરોપની પ્રાચીનતમ ભાષાઓ પૈકીની એક છે. તેને ટકાવવા માટે રાજકીય આધારની પણ મહત્ત્વની ભૂમિકા રહી છે. ૧૯૯૦ના દાયકાના આરંભે અહીંના હાઉસ ઑફ કૉમન્‍સના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ

    એ બાબતને ફરજિયાત બનાવી હતી કે વેલ્શમાં તમામ જાહેર સેવાઓ વેલ્શ ભાષામાં ઉપલબ્ધ હોવી જોઈએ. એકવીસમી સદીના આરંભથી વેલ્શ માધ્યમની શાળાઓમાં વધારો થવા લાગ્યો તેમજ રાજકારણ અને પ્રસાર માધ્યમોમાં વેલ્શ અને અંગ્રેજી એમ દ્વિભાષી જાણકારો માટે રોજગારની તકો વધવા લાગી. આને કારણે વેલ્શ ભાષાનો વ્યાપ પ્રસરતો ચાલ્યો. જો કે, છેલ્લા દાયકામાં તેમાં ઘટાડો થઈ રહ્યું હોવાનું નોંધાયું છે. દર દસ વર્ષે થતી વસતિ ગણતરીના ૨૦૨૨ના અહેવાલ અનુસાર છેલ્લા દાયકામાં વેલ્શ બોલનારાની સંખ્યા ઘટીને 5,38,300 થઈ છે, જે  ૨૦૧૦ના દાયકામાં ૫,૬૨,૦૦૦ હતી. બીજી તરફ વાર્ષિક વસતિ સર્વેક્ષણ ૨૦૨૨ અનુસાર વેલ્શ બોલનારની સંખ્યા ૯,૦૦,૬૦૦ છે. આમ, બન્ને પ્રકારની ‘વેલ્શ ભાષા બોલનારા’ની વ્યાખ્યામાં થોડી સંદિગ્ધતાને કારણે એમ બન્યું છે, કેમ કે, કેટલા પ્રમાણમાં એ ભાષાનો ઉપયોગ કરે તો એ વ્યક્તિને એ ભાષા બોલનાર ગણાય? આમ છતાં, વિવિધ પરિબળોને ધ્યાનમાં લઈને વેલ્શની સરકારે ઈ.સ.૨૦૫૦ સુધી વેલ્શ ભાષા બોલનારની સંખ્યા દસ લાખે પહોંચાડવાનું લક્ષ્ય બનાવ્યું છે.

    ભાષાપ્રેમ અને ભાષાગૌરવ બન્ને અલગ બાબતો છે. ભાષાગૌરવ લેવામાં ખાસ કશું કરવાપણું હોતું નથી, કેમ કે, આ કિસ્સામાં ગૌરવ અને મિથ્યાગૌરવ બન્ને એકસમાન છે. ભાષાપ્રેમમાં વિવિધ સ્તર અને તીવ્રતા હોઈ શકે છે, છતાં તેમાં ભાષાના ઉપયોગનું માહાત્મ્ય છે.

    વેલ્શ ભાષાને જાળવવા માટે થઈ રહેલા આ પ્રયત્નોની સરખામણીએ ઘરઆંગણે ગુજરાતી ભાષાની અવદશા જોઈએ તો એમ થાય કે સરકાર, પ્રસાર માધ્યમો, શાળા એમ તમામ સ્તરે સૌ કોઈ આ ભાષાને મરણતોલ બનાવવાના નિષ્ઠાવાન પ્રયત્નો કરી રહ્યા છે. આ કથનમાં અતિશયોક્તિ લાગતી હોય તો તેની સાથે સંકળાયેલું કોઈ પણ પ્રકાશન જોઈ લેવું. બીજી તરફ લખનારાનો એક મોટો વર્ગ પોતાની માતૃભાષા ગુજરાતી પર ગર્વ અનુભવીને તેની ‘સેવા’ કરવા મથી રહ્યો છે. કેમ જાણે, જન્મ લીધા પછી પોતે પસંદગીથી માતૃભાષા તરીકે ગુજરાતી પર કળશ ન ઢોળ્યો હોય! અન્ય એક વર્ગ પોતાનું સંતાન ગુજરાતીમાં બોલે તો શરમ અનુભવે છે, તો બીજો વર્ગ પોતાનું સંતાન ગુજરાતી હોવા છતાં તેને ગુજરાતી ન આવડવા બદલ ગર્વ મહેસૂસ કરે છે.

    આ માહોલમાં ગુજરાતી ભાષાની જે હાલત થવી જોઈએ એ જ થઈ છે. કદાચ દરેક સમયમાં ભાષાની દશા એટલી જ સારી કે ખરાબ થતી હશે, જેટલા લાયક તેના નાગરિકો હોય.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • કોઈનો લાડકવાયો (૩૭) : દિલ્હીના શહીદોઃ ૧૯૧૨

    દીપક ધોળકિયા

    બંગભંગનો નિર્ણય અંગ્રેજ સરકારે પાછો ખેંચી લીધો તે પછી પણ બંગાળમાં રાજકીય વાતાવરણમાંથી ઊગ્રતા ઓગળી નહોતી. બ્રિટનની સરકારને લાગવા માંડ્યું હતું કે કલકત્તામાં પાટનગર રાખવાથી અશાંતિનો સતત સામનો કરતા રહેવું પડશે. આથી પાટનગર દિલ્હી લઈ જવાનો નિર્ણય લેવાયો. ૧૯૧૨ની ૨૩મી ડિસેમ્બરે હાર્ડિંગે ભવ્ય શોભાયાત્રામાં દિલ્હીમાં પ્રવેશ કર્યો.  હાર્ડિંગ અને એની પત્ની હાથી પર બેઠાં હતાં. ફૂલેકું વાજતેગાજતે ચાંદની ચોક પહોંચ્યું ત્યારે પંજાબ નેશનલ બૅંકની બિલ્ડિંગમાંથી એના પર બૉમ્બ ફેંકાયો. પહેલાં તો અંબાડી પર કંઈક અફળાયું એવું લાગ્યું, પણ લૅડી હાર્ડિંગનું ધ્યાન ગયું કે એની પાછળ બેસીને ચામર ઢોળનારો ખાસદાર હાથી પર ઊંધો લટકી ગયો હતો અને હાર્ડિંગના ખભામાંથી લોહી નીકળતું હતું. હાર્ડિંગને પોતાને એનો ખ્યાલ નહોતો આવ્યો. પણ તે પછી શોભાયાત્રા રોકી દેવાઈ અને હાર્ડિંગને સારવાર માટે લઈ જવાયો.

    પછી બૉમ્બ ફેંકનાર કોણ, તેની ખોજમાં આખું પોલીસ તંત્ર લાગી ગયું. પોલીસને લાગ્યું કે આની પાછળ બંગાળના ક્રાંતિકારીઓનો હાથ હોવો જોઈએ કારણ કે બૉમ્બ ફેંકવાની યોજના  બંગાળી ક્રાન્તિકારીઓની યાદ આપતી હતી. રાસ બિહારી બોઝ બંગાળ અને પંજાબના ક્રાન્તિકારીઓ વચ્ચે કડીરૂપ હતા. રાસ બિહારી બોઝ અરવિંદ ઘોષે સ્થાપેલી યુગાંતર સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. પોલીસ એમને પકડી શકે તે પહેલાં એ દિલ્હીથી ભાગી છૂટ્યા અને પછી જાપાન પહોંચી ગયા. ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજ બનાવી.(સુભાષબાબુએ આ જ આઝાદ હિન્દ ફોજને પુનઃ સજીવન કરી. એ રાસ બિહારી બોઝના આમંત્રણથી જ જાપાન ગયા હતા).  ૧૯૧૪ના ફેબ્રુઆરીમાં હાર્ડિંગ પર હુમલો કરનારા ક્રાન્તિકારીઓ પકડાઈ ગયા.

    આ ઘટના ‘પહેલા લાહોર કાવતરા કેસ’  અથવા ‘દિલ્હી-લાહોર કાવતરા કેસ’તરીકે ઇતિહાસમાં  નોંધાયેલી છે. એમાં દિલ્હીની એક શાળાના શિક્ષક માસ્ટર અમીર ચંદ, ભાઈ બાલમુકુંદ, અવધબિહારી, બસંત કુમાર બિશ્વાસ, ગણેશીલાલ ખસ્તા, વિષ્ણુ ગણેશ પિંગલે, ચરન દાસ, લક્ષ્મી નારાયણ શર્મા અને લાલા હનવંત સાહીને સજા થઈ. કેસ પૂરો થયા પછી લક્ષ્મી નારાયણ શર્મા અને ગણેશીલાલને વારાણસી લઈ જવાયા. એમને આજીવન કારાવાસની સજા મળી હતી.

    ૧૯૧૫ના મે મહિનાની આઠમી તારીખે દિલ્હીમાં માસ્ટર અમીરચંદ, ભાઈ બાલમુકુંદ અને અવધબિહારીને દિલ્હીમાં  ફાંસી આપી દેવાઈ. . એમને ફાંસી આપવામાં આવી તે ફાંસીઘર હવે દિલ્હીની મૌલાના મૅડિકલ કૉલેજના પ્રાંગણમાં સમાઈ ગયું છે. દર વર્ષે શહીદોને અંજલિ આપવાનો કાર્યક્રમ યોજાતો હોય છે.

    બીજા દિવસે અંબાલા જેલમાં બસંત કુમાર બિશ્વાસને પણ ફાંસી આપી દેવાઈ. પોલીસે સાબીત કર્યું હતું કે બોમ્બ ફેંકવાનું કૃત્ય બસંત કુમારે કર્યું હતું.

    અમીર ચંદનો જન્મ ૧૮૬૯માં થયો હતો. પિતાની જેમ એ પણ શિક્ષક હતા અને સ્વદેશી આંદોલન તેમ જ બીજાં સામાજિક સુધારા કાર્યોમાં પણ સક્રિય હતા. લાલા હરદયાલને મળ્યા પછી ગદર આંદોલનમાં પણ સક્રિય બન્યા અને ઉત્તર ભારતમાં ક્રાન્તિકારી કાર્યોના માર્ગદર્શનમાં મહત્ત્વનો ભાગ ભજવતા હતા. ભાઈ બાલમુકુંદનો જન્મ ૧૮૮૯માં ઝેલમ (હવે પાકિસ્તાન)માં ઔરંગઝેબ સામેના વિદ્રોહમાં શીખ ગુરુ તેગબહાદુરજીના એક અનન્ય સાથી અને શહીદ વીર ભાઈ મતીદાસના કુળમાં થયો હતો. અવધ બિહારી અમીર ચંદના વિદ્યાર્થી હતા. બસંત કુમાર બિશ્વાસ બંગાળના હતા.અને એમને ફાંસી અપાઈ ત્યારે એમણે ૨૦ વર્ષ પણ પૂરાં નહોતાં કર્યાં. ચારેય શહીદોને પ્રણામ કરીએ.

    000

    સંદર્ભઃ

    https://mygoldenbengal.wordpress.com/2015/08/06/partition-of-bengal-1905-and-its-annulment-in-1911/

    (૨)  https://wallsofignorance.wordpress.com/2015/05/30/this-month-of-may-dedicated-to-freedom-fighters/


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી

  • ” ભગવાન પરશુરામ ” : આર્ય સંસ્કૃતિના સ્થાપનની કથા

    દર્શના ધોળકિયા

    ઇતિહાસ અને પુરાણને ચિત્રાત્મક તેમજ લયબદ્ધ રીતે રજૂ કરનાર ગુજરાતી સાહિત્યના ઊંચા ગજાના સર્જકોમાં કનૈયાલાલ મુનશીનું નામ પ્રથમ પંક્તિની હરોળમાં લેવામાં આવે છે. કનૈયાલાલ મુનશી આર્ય સંસ્કૃતિના અનન્ય ચાહક અને ઉપાસક છે. આથી સહેજે તેમને પરશુરામનું ખેંચાણ છે એટલા માટે જ પ્રસ્તાવનામાં મુનશીએ  નોંધ્યું છે કે, ‘આ કૃતિ મારી ઉલ્લાસમય તપશ્ચર્યાનો અંત છે. ‘

    જ્યારે આર્ય ભૂમિનો પ્રાતઃકાળ હતો અને આ ભૂમિમાં જે સત્તા ભોગવતો હતો તે સહસ્ત્રાર્જુન પરશુરામ અને પછીથી તેની થનાર પત્ની લોમાને પકડીને દ્વારકા મૂકે છે અને ત્યારથી કથાનો પ્રારંભ થાય છે અને સહસ્ત્રાર્જુનના અંતથી આ કથા પૂરી થાય છે. આ બંને બિંદુઓની વચ્ચે કૃતિ સહૃદયને રસતરબોળ બનાવી દે છે.

    પરશુરામ રામના પણ સમકાલીન છે અને કૃષ્ણના પણ સમકાલીન છે. આ બધાના સમયમાં પરશુરામ શ્વસ્યા છે. આ ભાર્ગવ રામમાં વશિષ્ઠ રોપાયા છે, વિશ્વામિત્ર રોપાયા છે,  દંડનાથ જેવો અઘોરી પણ રોપાયો છે. માત્ર 30 વર્ષની ઉંમરમાં તેઓ રામમાંથી પરશુરામ બને છે અને પછીથી ભગવાન પરશુરામમાં રૂપાંતરિત થાય છે પૌરુષત્વ નો પર્યાય જાણે મુનશીએ પરશુરામ દ્વારા આપી દીધો છે. ભગવાન પરશુરામનું આલેખન એવું થયું છે કે બધા જ કથા પ્રસંગો વચ્ચે તેઓ તુંગ શિખરની જેમ ઊપસી આવે છે અને બીજાં બધાં જ પાત્રો તેમની સામે ઝાંખા પડી જાય છે – તેમના પિતા અને  ગુરુઓ સુદ્ધાં.

    ઇતિહાસ સાક્ષી રહ્યો છે તે પ્રમાણે સંક્રાંતિ કાળની કોઈપણ વ્યક્તિને હળાહળ તકલીફો જ સહન કરવી પડતી હોય છે. જ્યારે વેદકાળ પૂરો થતો હતો અને બ્રાહ્મણકાળની શરૂઆત થતી હતી એ વચ્ચેના સંક્રાંતિકાળનું પાત્ર છે આ પરશુરામ. બંને યુગની વચ્ચે સમન્વય સાધવાનું કામ તેમના ફાળે આવ્યું છે. અને આખી કૃતિમાં જો એમનું મહત્વનું લક્ષણ હોય તો તે અભય અને સત્વસંશુદ્ધિ છે.  પરશુરામ ઉત્તમ પતિ છે, સાચા સમાજસુધારક, જાગૃત નેતા, સંસ્થાપક તેમજ વિવેકી રાજનીતિજ્ઞ પણ છે. પરશુરામ ના પગમાં ચક્ર છે જે તેને વણથંભ ચલાવે છે. ધીમે ધીમે આખી નવલકથામાંથી પસાર થતાં મુનશી આપણે બતાવતા જાય છે કે પરશુરામ એ પાત્ર નથી પણ ચરિત્ર છે. તેનો વ્યાપ કૃષ્ણની જેમ વિરાટ રૂપ ધારણ કરે છે. આ મહાનાયક દ્વારા મુનશી એ પણ સ્થાપવા માગે છે કે અભય અને સત્વસંશુદ્ધિ એ આ મહાનાયક ના બે મૂળ પાયા છે.

    આ કથા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : પહેલા ખંડમાં રામની દ્વારકા થી જૂનાગઢ સુધીની યાત્રા છે, બીજામાં એ નર્મદાકાંઠે દંડનાથ અઘોરી પાસે વિદ્યા શીખે છે તેની વાત છે અને અંત ભાગમા યાદવોને, શૌર્યતોને એકજૂથ કરે છે ત્યારે ઘોર સંગ્રામ થાય છે અને અંતે સહસ્ત્રાર્જુનનો વધ થાય છે તેની કથા છે.

    પરશુરામનો જન્મ જ આર્યત્વની સ્થાપના માટે થયો છે. એ જન્મથી જ ગુરુ છે. વારંવાર આ વાતને તેઓ ઘૂંટે છે કે હું ગુરુ છું અને ગુરુ જ રહીશ. જોવાની ખૂબી એ છે કે પરશુરામ માં એટલી સત્વસંશુદ્ધિ છે કે આ કહેતાં પણ તેમનાં પાત્ર દ્વારા અભિમાનની અનુભૂતિ નથી થતી. ભીષ્મ અને કર્ણ જેવા તેના શિષ્યો છે, જેને નિયતિનો ભોગ બનવું પડ્યું છે પણ તેમને હરાવવા અશક્ય છે, કારણકે તેઓ મહાગુરુ પરશુરામના શિષ્યો છે.

    પરશુરામના જીવનમાં ઘણા પ્રસંગો બન્યા છે કે જેમાં તેમના સિદ્ધાંતો કેન્દ્રમાં રહ્યા છે. ફરતા ફરતા તેઓ પિતા પાસે પહોંચે છે ત્યારે તેમના પિતા પરશુરામની માતા રેણુકા ભ્રષ્ટ થયેલી છે એવી વાત કરે છે ત્યારે પરશુરામનું લોહી ઉકળી જાય છે અને પિતાના આદેશ મુજબ માતાનું ડોકું કાપી નાખવા માટે તેઓ તૈયાર થઈ જાય છે. માતાને શોધતા એ ગાંધર્વ ઋષિના આશ્રમમાં પહોંચે છે ત્યારે સામેનું ચિત્ર જોતાં અવાક્ થઇ જાય છે. ઋષિ ગાંધર્વ અને નગરવાસીઓને જે રોગનો ભોગ બન્યા છે તેની સેવાચાકરીમાં માતા રેણુકા મગ્ન હોય છે. આ જોતાં પરશુરામ પિતાની ગેરસમજને દૂર કરવા માતાને પિતા પાસે લઈ આવે છે અને પિતાની ગેરસમજણનું આકરા શબ્દોમાં સમાધાન લાવી આપે છે. મુનશીએ પરશુરામના ચરિત્રના આલેખન દ્વારા એ પણ સૂચવ્યું છે કે જ્યાં સિદ્ધાંત આવે ત્યાં સગા પિતાને પણ છોડી દેવા પડે. આ પૌરુષત્વની નિશાની છે. આવું પૌરુષત્વ એક ગુણ છે, એક તત્ત્વ છે. વ્યક્તિના સિદ્ધાંતો જ તેની મૂડી હોય છે. આખું જીવન પરશુરામ લડયા છે – પોતાના પિતાની સાથે પણ. અનંતરાય રાવળે નોંધ્યું છે કે, ‘એ જ પરશુરામની પૃથ્વીને નક્ષત્રિય કરવાની વાત છે. ‘ વિચારોનાં, રૂઢિનાં, ગેરસમજણોનાં જાળાં પરશુરામ એક પછી એક દૂર કરતા ગયા છે.

    મુનશીની આ નવલકથાનાં સ્ત્રી પાત્રો પણ હંમેશા જાજરમાન અને સંકુલ રહ્યાં છે. પરશુરામના જીવનની આસપાસ પણ અનેક સ્ત્રી પાત્રો છે, જેના કારણે સતત પરશુરામની પરીક્ષા થતી રહી છે. કલ્વિણી કુક્ષી ઋષિની પત્ની છે. તે પ્રથમવાર રામને જોતાં જ તેના પ્રેમમાં પડે છે અને તેના પૌરુષત્વ પર મોહી પડે છે. એક વખત કલ્વિણી પરશુરામને પોતાને ઘેર નિમંત્રે છે. અને યુવાન રામ કલ્વિણીનો નિર્વસ્ત્ર દેહ જુએ છે. પરંતુ રામ સામાન્ય પુરુષ નથી કે કામતત્ત્વમાં તણાઈ જાય. એ પરશુરામ છે, જિતેન્દ્રિય પુરુષ છે. એ ક્ષણે તેઓ કલ્વિણીને સોટો  વિંઝી દે છે. જે ક્ષણ ચારિત્ર્ય સરકી જવાની ક્ષણ હતી તે ક્ષણને પરશુરામ સાચવી શક્યા છે અને માટે જ તેઓ આર્યત્વનું સ્થાપન કરવામાં સફળ રહ્યા છે.

    બીજું સ્ત્રીપાત્ર મૃગાનું છે. એ ખૂબ નાની હતી ત્યારથી જ એ માતા પિતા વિહોણી છે અને સહસ્ત્રાર્જુને જેને પોતા પાસે આશ્રય આપ્યો છે તેવી એ  જે સહસ્ત્રાર્જુનની ઉપપત્ની અને ગણિકા સ્ત્રી છે. મૃગા ખુબ જ સુંદર અને કામુક છે. સહસ્ત્રાર્જુન જેવો આસુરી પુરુષ પણ તેના વિના રહી શકતો નથી. ગણિકા હોવા છતાં તેણે સહસ્ત્રાર્જુન સિવાય કોઈ બીજા પુરૂષનો વિચાર સુધ્ધાં કર્યો નથી. વાતવાતમાં એ પરશુરામને પૂછી બેસે છે કે, તમે મારું શું કરો? કલ્વિણીને તો તમે સાઠકાથી મારી હતી. એ ક્ષણે ત્યારે અત્યંત માર્મિક વિધાન પરશુરામના મુખમાં મૂકીને  મુનશી સ્ત્રીહૃદયને જીતી શક્યા છે. પરશુરામ જવાબ આપે છે કે, ‘ તમારે માટે હું એવું નહીં કરી શકું કારણકે તમે સહસ્ત્રાર્જુનને પરણ્યાં ન હોવા છતાં, ઉત્તમ ચારિત્ર્ય ન ધરાવતાં હોવા છતાં આખું જીવન એક જ વ્યક્તિને તમે પ્રેમ કર્યો છે. એટલે મારા મતે તમે ચારિત્ર્યવાન પ્રમાણિત થયાં છો. માટે હું તમને મારી મોટી બહેન માનું છું. ‘ આમ કહીને પરશુરામે મૃગા જેવી સ્ત્રીને ભાર્ગવીનું પદ આપી દીધું છે. માર્મિકતાની આ અંતિમ સીમા મુનશીને ઉત્કૃષ્ટ નવલકથાકાર ઠેરવે છે.

    ત્રીજું, પરંતુ સૌથી મહત્ત્વનું એવું પાત્ર લોમાનું છે. નાનપણથી જ લોમા પરશુરામની સાથે છે. સ્ત્રી-પુરુષનો  ભેદ ન કરી શકાય એવો મૈત્રીસંબંધ લોમા અને પરશુરામની વચ્ચે છે. મુનશી રંગદર્શિતાના લેખક છે. વચ્ચે વચ્ચે રંગદર્શિતા દર્શાવતા અનેક પ્રસંગો આવે છે પરંતુ બંને આ લાગણી પ્રત્યે અજાણ છે. કલ્વિણીને નિર્વસ્ત્ર જોઈ પરત ફરેલા પરશુરામ જ્યારે લોમા તરફ દૃષ્ટિ કરે છે ત્યારે તેમને પ્રથમવાર અનુભવાય છે કે આ પ્રેમ કરી શકવા જેવી સ્ત્રી છે અને તેથી તેઓ લોમા પાસે લગ્ન માટે પ્રસ્તાવ મૂકે છે. ક્યાં ઝુકી જવું અને ક્યાં તટસ્થ રહેવું એની કલામાં પરશુરામનો જોટો નથી.

    એક તરફ આર્ય સંસ્કૃતિનું સ્થાપન કરતા પરશુરામ છે અને બીજી તરફ પોતાના માનસિક સંચલોને જોઈ શકતા અને બદલતા જતાં પરશુરામ છે. આ બંને પરશુરામનાં પરિવર્તન પામતાં જતાં રૂપ આ નવલકથામાં સમાંતરે ચાલ્યાં છે. પરશુરામના હિંસા અને અહિંસા પ્રત્યેના ખ્યાલો પણ તદ્દન જુદા છે. પરશુરામ માને છે કે દ્વેષ જીવનમાં ક્યારેય ન હોવો જોઈએ. એ આર્યત્વનું પ્રમાણ છે. પણ કોઈ વ્યક્તિ અંત સમય સુધી ન જ માને તો તેને હિંસા પૂર્વક મારી નાખવી એ દ્વેષ નથી પરંતુ દુર્જનોને દૂર કરતી એક પ્રકારની અહિંસા છે.

    પરશુરામ ચરિત્ર પુરાણમાંથી લેવામાં આવેલું છે એટલે તેમાં અદભૂત રસ પણ છે. નર્મદાતટનો અઘોરી દંડનાથ પાણી પર ચાલી શકે છે, પાલતુ પશુઓ ની જેમ તેણે હિંસક મગરમચ્છને પાળ્યા છે. એ ઘડીકમાં પશુનું રૂપ લઇ શકે છે તો ઘડીકમાં મૃદુ સ્ત્રીનું રૂપ લઇ શકે છે. પ્રથમ નજરે જોતાં દંડનાથ જુગુપ્સાયુક્ત, ક્રૂર લાગે. પરંતુ બહુ જ સંયમપૂર્વક પરશુરામ આ બધી જ વિદ્યાઓ તેમની પાસેથી ગ્રહણ કરે છે. અને બદલામાં અઘોરીઓના આખા સમાજ જીવનને સુધારવાનું અદભૂત કાર્ય કરે છે. મહાદંતી જેવી અઘોરી સ્ત્રીનું સત્ત્વ પણ પરશુરામે પોતાનામાં સમાવ્યું છે અને પરિણામે પરશુરામનું તેજ દ્વિગુણિત બનતું ગયું છે. પરશુરામ ગર્વથી કહી શક્યા છે કે, અઘોરીએ મને દીકરો બનાવ્યો છે. વ્યંજનાઓનો એવો ભરપૂર ધોધ મુનશીએ આ કથામાં વહેડાવ્યો છે કે સમસંવેદનયુક્ત વાચક બે ઘડી માટે મુનશીની માયાજાળમાં ઓગળી જાય.

    પરશુરામમાં જાણે નવું જ મિશ્રણ જોવા મળે છે – જેમાં વશિષ્ઠ ની સૌમ્યતા છે, વિશ્વામિત્રની પ્રખરતા છે, દંડનાથની આવડત છે, મહાદંતીના ચમત્કારો છે, માતાની કોમળતા છે અને પિતા જમદગ્નિનું આર્યત્વ છે.

    પરશુરામને કારણે સહસ્ત્રાર્જુન રાત્રે ઊંઘી નથી શકતો એવી પરિસ્થિતિ છે. ભય અને અભયનો,  સદ અને અસદનો ભેદ આ કથામાં કેન્દ્રમાં છે. પરશુરામનું હોવું જ અસદ તત્ત્વોને પીડે છે. રામથી આરંભાતી આ કથા સહસ્ત્રાર્જુનનો અંત આણતા અને ભગવાન પ્રમાણિત થતા પરશુરામ દ્વારા પૂર્ણ થાય છે. આમ, એક પછી એક પગથિયાં મુનશી સહૃદયને ચડાવતા ગયા છે. તેમને સ્થાપિત એ કરવું છે કે સહસ્ત્રાર્જુન જેવો આર્ય કર્મોને લીધે અઘોરી થઈ ગયો અને દંડનાથ જેવો અઘોરી આર્ય થઈ ગયો. સદ-અસદનો આ ભેદ નવલકથામાં સતત અનુભવાતો રહે છે.

    મુનશીએ વિષય પસંદ કર્યો છે પૌરાણિક વસ્તુનો પરંતુ એમનો અભિગમ તદ્દન આધુનિક છે. મૃગા જેવી ગણિકા સ્ત્રીને મુનશી ‘પતિવ્રતા’ કહી શક્યા છે. અને પુરુષ સર્જક હોવા છતાં સ્ત્રીનાં નાજુક સંવેદનોને સમજી શક્યા છે એ ઘટના નોંધપાત્ર બને છે. માતાનું મસ્તક ઉડાડી નાખવાની ઘટનાને નવો વળાંક આપી પિતાને પણ સચોટ જવાબ પરખાવી દેતા પરશુરામ અહીં તદ્દન આધુનિક માનવ સાબિત થયા છે.

    આ કથા લખતાં મુનશીને ૨૩ વર્ષ લાગ્યાં છે. પુરાણ અને આધુનિકતાનાં મિલનની તપશ્ચર્યા સભર આ કૃતિને અંતિમ અંજલિ આપતા અનંતરાય રાવળ નોંધ્યું છે કે, ‘ભગવાન પરશુરામ મુનશીના વાઙમય યજ્ઞનું શ્રીફળ છે. ‘


    સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી  કોલમ ‘વાચનથાળ’


    ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • છઠ્ઠી ડિસેમ્બરે ચંદ મિનિટ સીતા સંગાથે

    તવારીખની તેજછાયા

    એક પા, ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ તો બીજી પા ‘જય સિયારામ’ને રુખસદ અને ‘જય શ્રીરામ’નો જયજયનાદ: ક્રાન્તિની નિયતિ સીતા જેવી છે, શું પહેલાં કે શું પછી, એને લલાટે વનવાસ નક્કી.

    પ્રકાશ ન. શાહ

    કેમ કે છઠ્ઠી ડિસેમ્બર સારુ તેજછાયામાં રમી રહ્યો છું, રામ જન્મભૂમિ પ્રકરણનું સ્મરણ થઈ આવે છે, લગરીક જુદે છેડેથી, સીતાને છેડેથી.સીતા ક્યાં ખોવાઈ ગયાં, કેમ ખોવાઈ ગયાં, એવી એક અભિજાત અંતરખોજને ધક્કે આ લખી રહ્યો છું. અવધ પંથકનું જે સર્વસાધારણ લોક, એનો પરસ્પર અભિવાદનનો સહજોદ્્ગાર ‘જય સિયારામ’ રહ્યો છે. હમણેનાં વરસોમાં એ અખિલ હિંદ ફલક પર ખાસ કાકુ સાથે સહસા ‘જય શ્રીરામ’માં તબદલી થઈ ગયો છે (અ લા દારાસિંહ?) શું કહેવું એને વિશે, વિમાસું છું. અને હા, લખતે લખતે એ પણ સાંભરે છે કે ૧૯૯૨ની છઠ્ઠી ડિસેમ્બરે જે બધું ધ્વસ્ત થઈ ગયું એમાં ‘સીતા કી રસોઈ’નું સ્થાનક પણ હતું.

    કેમ કે સીતાની વાત ચાલી છે, ચિત્ત થોડા દાયકા પાછળ જવા કરે છે. ૧૯૭૦માં ‘સાહેબ’ (જયન્તિ દલાલ) ગયા તે પછી વરસોવરસ રંજનબહેનનાં નિમંત્ર્યાં સૌ જ. દ. સ્મૃતિ દિવસે એમના નિવાસસ્થાને, શરૂનાં વરસોમાં સાંકડી શેરી, જીવણ પોળમાં અને પછી નદીપાર ‘જીવભાઈ’માં મળતાં અને ભજનસંધ્યામાં ભળતાં. એમાં જ્યારે રતિકુમાર વ્યાસ આવી ચઢે ત્યારે રંજનબહેનની આરતે ભીંજી આગ્રહી ફરમાયશ હોય – અને રતિકુમારને કંઠે ‘મારા રામ તમે સીતાની તોલે ન આવો’ અચૂક સરી આવે.

    એકોતરી ઊતરે એ પહેલાં, ૧૯૯૬-૧૯૮૦નાં વરસોમાં ચિત્તનો કબજો એ મતલબની બે મરાઠી કાવ્યપંક્તિઓએ લીધો હતો કે ક્રાન્તિની નિયતિ સીતા જેવી હોય છે, વનવાસમાં રામની સાથે અને રામના રાજ્યારોહણ પછી જ્યારે જ્યારે એક જેપી બટુક તરીકે પાછા પડ્યાની લાગણી જાગતી ત્યારે એ પંક્તિઓ આળસ મરડી બેઠી થઈ જતી, શલ્યાની અહલ્યા જાણે. સીતા આસપાસ જે પણ વાંચવા વાગોળવાનું બન્યું હશે એમાં મને સવિશેષ અપીલ કરી ગયેલી કિતાબ ગાંધીજીના પૌત્ર અને રાજાજીના હૌહિત્ર રામચંદ્ર ગાંધીની ‘સીતા’ઝ કિચન’ છે. એની પહેલી આવૃત્તિ ૧૯૯૨ પહેલાંની છે. વારુ રસોઈ કે રસોડું કહેતાં ઊઠતો ને ઠરી રહેતો ભાવ એક તરેહની અંતરંગ આત્મીયતા ને પવિત્રતાનો છે. માત્ર બેઠકખાનાનો નાતો નહીં પણ દિલી નાતો. વળી, રામુ ગાંધી ઉમેરશે, રસોડું આવ્યું અને વનપક ફળ ને ઝરણાંનાં જળ ઉપરાંત (અગર એને સ્થાને) પક્વ અન્નનો ખયાલ પણ લેતું આવ્યું. અહીં વિવિધ રસ છતાં એકરસ-સમરસ, એવો ઘાટ છે. આ રસોડું તે કુદરત સાથેના મનુષ્યના મુકાબલાની બલકે અર્થપૂર્ણ આપલેની મહદ્ ઘટના છે. કુદરતમાં જીવતો મનુષ્ય નગર બાંધતો, સમાજ ઘડતો ને વિકસાવતો બન્યો. એક મેલ્ટિંગ પોટ જ કહો ને.

    ભારતીય પરંપરામાં, જેમ કે, ઈસ્લામ થકી સૂફી મત પ્રવેશ્યો તે આવા એક સંવાદી મિલન મુકાબલાની અને તેથી કરીને સીતાને રસોડે નવ્ય વ્યંજનની ઈતિહાસ શક્યતા હતી અને છે. સીતા તો ધરતીની પુત્રી. સમાઈ પણ ધરતીમાં. ધાત્રીધરિત્રી બધું એકાકાર. અણુરેણુમાં વ્યાપ્ત જે ચૈતન્ય એનો જ એક આવિષ્કાર નિસર્ગકૃપાએ મહોરેલ વનસંપદા એમાં વિકસેલી ને વસેલી પ્રાણીસૃષ્ટિ બલકે પર્યાવરણ સમસ્ત આ ચૈતન્યનો સ્તો સાક્ષાત્કાર છે. આ અભિગમપૂર્વક રામુ ગાંધી રામાયણની સૃષ્ટિમાં પ્રવેશ્યા હતા. (એટલે, પછીથી, એમને મન સીતા કી રસોઈ સમેત પરિસર સમગ્રનો ધ્વંસ ભારતીય પરંપરાનો ધ્વંસ જ બની રહે ને?) કૌંચ યુગલની પ્રણયસમાધિન, હિંસ્ર ભંગે કરીને વ્યથાવ્યાકુલ વાલ્મીકિએ રચના કરી. એમાં જો ધર્મ અવિરુદ્ધ કામનો સહજ સમાદર છે તો મનુષ્યજાતિ તેમ પશુપંખી સર્વે યોનિઓ ને વનસંપદા સૌનોયે છે. પર્યાવરણના, પ્રાણીમાત્રના પાવિત્ર્યની આ રામાયણ પરંપરા છે. (કોઈ ઉચ્ચવર્ણી વર્ગ વિશેષ, સંપ્રદાય વિશેષ, કોમ વિશેષની પ્રતિષ્ઠાની નહીં પણ) લોકપરંપરા ભણીની એની ગતિ છે. નિષાદ, શબર, વાનર સૌને એમાં સ્થાન છે. રામુ ગાંધીએ જોકે ખાસ સંભારેલો પ્રસંગ તો ગુહે રામ-સીતા-લક્ષ્મણને નદી પાર કરાવી તે છે. આદિમ કહો, આદિ જાતિ કહો, એની કને એવું કોઈ ગુહ્ય જ્ઞાન હતું કે તે અયોધ્યાની નગર સંસ્કૃતિના ઉત્તમોત્તમ પ્રતિનિધિની નૈયા પાર કરાવી શકે. નહીં કે સીતા પરત્વે કોઈ સાત્ત્વિક ફરિયાદને અવકાશ નથી. સીતાએ મૃગને માટે હઠ લીધી હતી.

    કંચન-કામિની સંલક્ષણ (સિન્ડ્રોમ)થી હટીને રામુ ગાંધીએ કરેલો ફરિયાદ મુદ્દો એ છે કે મૃગના પ્રાણ હરવાની પેરવી વાસ્તવમાં પ્રાકૃતિક સમતુલા સામે કારનામાનો કિસ્સો છે. ક્ષમયા ધરિત્રી એ ખયાલને ધરતી-માતા-પુત્રીની ઓળખ લેખે જોતાં હોઈએ તો આ મૃગઘટના વાસ્તવમાં ધરતીએ ધરતીપણું ખોયાની ને ધરતીબાળ એવા મનુષ્યે મનુષ્યપણું ખોયાની નિશાની છે. એટલે સીતા લંકાવાસ વેઠે, પ્રાકૃતિક સમતુલાને જોખમાવવા સબબ કંઈક યંત્રણામાંથી પસાર થાય એમાં લેખક કવિન્યાય જુએ છે, અને એમાંથી તત્ત્વબોધ પામે ને પમાડે છે. ગમે તેમ પણ, જેમણે તહસનહસ કીધું એમને ઓસાણ સરખાં પણ ક્યાંથી હોય કે આપણે આ એક સાર્થક સંવાદતક ખોઈ રહ્યા છીએ. રામુ ગાંધીનું આ વેદનાદર્શન વાંચીએ છીએ ત્યારે સિતાંશુ સાંભરે છે: વેદના, તું નેત્ર દે. શરૂમાં મેં ‘જય સિયારામ’થી ‘જય શ્રીરામ’ એ સંક્રાન્તિની જિકર કરી અને સીતા ક્યાં ગયાંનું કૌતુક કીધું, પણ એની સામે શાસ્ત્રસમ્મત સમજૂત અલબત્ત આપી શકાય કે શ્રી કહેતાં લક્ષ્મી, એનો અવતાર તે સીતા, માટે સ્તો શ્રીરામ. વાત સાચી પણ રણઘોષ વચ્ચે આવી કોઈ સભાનતાને ભાગ્યે જ અવકાશ હોય. આટલો વિચાર વિહાર – નકરો વિહાર નહીં – તે સાંકડી સમજથી ઊંચે ઊઠી સભ્યતાના વ્યાપક ફલક પર સહિયારી ખોજમથામણ વાસ્તે.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૦૬ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

     

  • આંબેડકર તમે આવા ય હતા ?

    નિસબત

    ચંદુ મહેરિયા

    ભારતીય બંધારણના ઘડવૈયા અને દલિતોના માનવ અધિકારોના લડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકર( ૧૮૯૧-૧૯૫૬) ના નિર્વાણને હવે તો ખાસ્સા પોણા સાત દાયકા થયા છે. પણ તેમના જીવનકાર્ય અને વિચારોની પ્રસ્તુતતા જરાય ઘટી નથી. ઘણા દેશી-વિદેશી લેખકોએ લખેલા તેમના જીવનચરિત્રો પ્રકાશિત થયાં છે અને નવા નવા પ્રકાશિત થઈ રહ્યાં છે. તેમાં તાજેતરનું નોંધપાત્ર ઉમેરણ નવા સંશોધનો સાથેનું પ્રા. આકાશસિંહ રાઠોડ લિખિત Becoming Babasaheb  છે.

    જેમ બાબાસાહેબનું જીવન તેમ તેમના વિચારો પણ અભ્યાસીઓના રસ-રુચિ અને આકર્ષણનું કેન્દ્ર છે. ડો.આંબેડકરના આટઆટલા  જીવનચરિત્રો છતાં હજુ તેમના જીવનનું માનવીય પાસું કોઈ એક જીવનચરિત્રમાં પૂર્ણપણે ઉઘડ્યું નથી. આંબેડકર હોય કે ગાંધી, નહેરુ  હોય કે સરદાર, માર્ક્સ હોય કે લેનિન – આખરે આ સૌ આપણા જેવા હાડચામના માણસો હતા. એ વાત તેમના વિભૂતિમત્વના આલેખનમાં વિસરાઈ જાય છે. બાબાસાહેબ એક વિદ્વાન તરીકે તો જરૂર આલેખાયા છે પણ એક માણસ તરીકેનું તેમનું ચિત્રણ બાકી છે. એટલે બાબાસાહેબના એકાધિક જીવનચરિત્રો અને સ્વજનો-મિત્રોએ લખેલા સ્મરણોમાંથી તારવી-સારવીને તેમનું માનવીય પાસું વ્યક્ત કરતા થોડા પ્રસંગો પ્રસ્તુત છે.

    મહાનગર મુંબઈની ડબક ચાલ ,બી આઈ ટી ચાલ અને પોયબાવાડી ચોકી પાસેની ખોલીઓમાં કણકી અને રોટલા પર ડો.આંબેડકરે દહાડા  ટૂંકા કર્યા હતા. પિતાની સલાહ તો છાંયડે બેસીને થાય તેવા કામો કરવાની હતી. પણ સમાજસેવા છોડીને તગડા પગારવાળી નોકરી ભણી તેમણે કદી જોયું નથી.

    ૧૯૦૬માં ડો.આંબેડકરના લગ્ન થયા હતા. લગ્નનું સ્થળ હતું,  મુંબઈના ભાયખલાનું મચ્છી બજાર. રાત્રે ખાલી થઈ જતાં આ બજારમાં ખુલ્લા આકાશ નીચે, દીવા અને ફાનસના અજવાળે, વગર મંડપે , વગર બેન્ડવાજે તેઓ પરણ્યા હતા. ગંભીર પ્રકૃતિના આંબેડકરનો પત્ની રમાબાઈ સાથેનો વર્તાવ અત્યંત પ્રેમાળ હતો. પત્નીને તે ભાગ કે રામુ કહીને બોલાવતા હતા. ‘ પાકિસ્તાન ઔર ધ પાર્ટીશન ઓફ ઈન્ડિયા’  ગ્રંથ બાબાસાહેબે રમાબાઈને અર્પણ કરતાં લખ્યું છે, ‘ ઉમદા માનસ, ચારિત્ર્યની પવિત્રતા, ઠંડી ધીરજ અને મારી સાથે સહન કરવાની તૈયારી-ખાસ કરીને અમારા જેવા જૂથ પર આવી પડેલ અછત અને ચિંતાના મિત્રવિહોણા દિવસોમાં-   દર્શાવનાર રમુને, સ્નેહના પ્રતીક રૂપે ‘.

    ૧૯૩૫ની યેવલા પરિષદ સુધી ડો.આંબેડકર પાસે ખુદની મોટરકાર નહોતી. મુંબઈની મ્યુનિસિપલ બસનો તે ઉપયોગ કરતા.હતા. જ્યારે કાર વસાવી ત્યારે  પુસ્તકોની ખરીદીના બિલ જેટલા પૈસા પાસે ના હોય તો બાકી બિલ પેટે પ્રકાશકને કાર સોંપી  ચાલી નીકળતા પણ તે ખચકાતા નહોતા.પિતા રામજીએ તેમના બધા સંતાનોને અંગ્રેજી લખતાં, વાચતાં, બોલતાં કરેલા. એક વાર મુંબઈની મારવાડી વિધ્યાલયમાં જસ્ટિસ ચંદરવાકરના અધ્યક્ષસ્થાને મળેલી સભામાં એક યુવાને અસ્ખલિત અંગ્રેજીમાં ઘણાં સવાલો પૂછ્યા. સભા પૂર્ણ થયા પછી ન્યાયમૂર્તિ ચંદરવાકર તે યુવાન પાસે ગયા અને વાતો કરવા માંડી.. કદાચ તેઓ તે યુવાનને આંબેડકર સમજી બેઠા હતા. એટલે પેલા યુવાને ગેરસમજ દૂર કરતાં કહેલું , વિલાયતમાં જે  ભણે છે તે આંબેડકર છે, એ મારો નાનો ભાઈ છે. હું તો તેનો મોટો ભાઈ બલરામ છું. ભાષાઓ પ્રત્યે બાબાસાહેબને ગજબનો લગાવ હતો. મરાઠી એમની માતૃભાષા. પણ અંગ્રેજી બહુ સારું.એમ તો અમદાવાદની સભામાં ડો.આંબેડકરે ગુજરાતીમાં વક્તવ્ય પણ આપ્યું હતું ! જીવનના ઉત્તરાર્ધમાં એ પાલી શિખતા હતા.

    આંબેડકરનો બાહ્ય દેખાવ બહુધા સૂટેડ-બૂટેડનો છે. પરંતુ મુંબઈના માટુંગાની દલિત વિધ્યાર્થીઓ માટેની કુમાર વિનય મંદિર શાળાના એક શિક્ષકે નોંધ્યું છે તેમ, બાબાસાહેબ એક દિવસ તેમની શાળાની મુલાકાતે આવ્યા હતા. બધા વિચારતા હતા કે તેઓ સૂટ અને હેટ પહેરીને આવશે. પણ સવારે લગભગ આઠેક વાગે એક સુદ્રઢ કદ-કાઠીની  વ્યક્તિ મદ્રાસી ઢબની લૂંગી બાંધી, ઉપર ખમીસ  અને  પગમાં ચંપલ પહેરી કોઈ કસરતબાજ પહેલવાનની જેમ શાળામાં આવી અને તે ડો.આંબેડકર છે તે જાણીને બધા અચંભિત થઈ ગયા હતા.

    અમેરિકી પત્રકાર વિન્સેન્ટ શીએને ભારતના અનેક મહાનુભાવોના જીવન વૃતાંતના દળદાર પુસ્તક ‘ હુઝ હુ’ નો ઉલ્લેખ કરી કહ્યું છે કે આ પુસ્તકમાં પોતાના પરિચયમાં કોઈ મહાનુભાવે પોતાની જ્ઞાતિનો ઉલ્લેખ કર્યો નહોતો. પરંતુ ડો.આંબેડકરે કર્યો હતો. અને લખ્યું, જાતે અસ્પૃશ્ય. પોતાના બીજાં પત્ની ડો. શારદા કબીરના પરિચયમાં લખ્યું હતું,  જાતે બ્રાહ્મણ. જો કે આઝાદ ભારતની સંસદમાં જ્યારે આભડછેટ નાબૂદીનો કાયદો પ્રસ્તુત થયો ત્યારે બાબાસાહેબે કાયદાના નામ અંગે જ પોતાની અસંમતિ વ્યક્ત કરી હતી.તેમનું કહેવું હતું કે સ્વતંત્રતા અને બંધારણ પછી હવે આ દેશમાં કોઈ સ્પૃશ્ય નથી અને કોઈ અસ્પૃશ્ય નથી. બધા એક સમાન નાગરિક છે. એટલે આભડછેટ નાબૂદી કાયદાનું નામ નાગરિક હક સંરક્ષણ ધારો હોવું જોઈએ.

    ગંભીર વિદ્વાન આંબેડકર કરતાં વ્યક્તિ આંબેડકર ઘણા રસિક હતા. એમને ચિત્રો દોરવા ગમતા હતા. વાધ્ય શિખતા અને વગાડતા. વિવિધ પ્રકારની ફાઉન્ટન પેનોનું તેમને આકર્ષણ હતું. તેમના હસ્તાક્ષરો બહુ સુંદર હતા. શરાબ કે સિગારેટને કદી હાથ લગાવ્યો નથી. પિતા, પત્ની, સંતાનો અને ખાસ અંગત મિત્રોના જ નહીં પેટ ડોગના અવસાન સમયે પણ તેમણે  ભારે આક્રંદ કર્યું હતું. ક્યારેક ક્રિકેટ, ચેસ  અને બ્રિજ રમતા. સમુદ્રસ્નાન કરતા. અઠંગ વાચક આંબેડકરે અછૂત કન્યા, અંકલ ટોમ, ઓલિવર પ્રિસ્ટ  અને ગરીબો- દલિતોકેન્દ્રી કેટલીક ફિલ્મો સજળ આંખે જોઈ હતી. જાતભાતની રસોઈ આવડતી પણ ભોજન માટેની ચોક્કસ વાનગીનો કદી આગ્રહ રાખતા નહીં. ખાવાનું અને બોલવાનું બંધ કરીને તેઓ કોઈ વ્યક્તિ પર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા ખરા પણ જો એ ગાળો લંબાય તો અરે હું તો એકલો પડી ગયો કહીને ગુસ્સો થૂંકી કાઢતા.આજાર શરીરે  નિર્વાણના ચાર દિવસ પહેલાં દિલ્હીના કોનોટપ્લેસની પુસ્તકોની દુકાને જઈ પુસ્તકોની ખરીદી કરી હતી. બાળ ભીમરાવને કોઈ પાઈ પૈસો આપે તો રોપો ખરીદી લાવે અને વાવે. મહારાષ્ટ્રના પછાત મરાઠાવાડા વિસ્તારના ઔરંગાબાદમાં કેળવણીકાર આંબેડકરે કોલેજ શરૂ કરી તો કોલેજ કેમ્પસમાં એક છોડ વાવવાની શરતે તે મુલાકાતીઓને મળતા હતા. ૫૫ વરસના થયા ત્યાં સુધી માથાનો એકેય વાળ કાળો થયો નહોતો પણ દાંત બહુ વહેલા જવા માંડેલા.

    બાબાસાહેબે આત્મકથા લખી નથી.પરંતુ પરદેશીઓને ભારતની જાલિમ જ્ઞાતિપ્રથા અને અસ્પૃશ્યતાનો પરિચય કરાવવાના હેતુથી ‘ વેઈટિગ ફોર વિસા’  મથાળે થોડા આત્મકથનાત્મક લખાણો લખ્યા હતા. ડો. આંબેડકરને જ્ઞાતિમુક્ત ભારત અને જ્ઞાતિમુક્ત માનવના પરવાનાની પ્રતીક્ષા હતી. તેમના નિર્વાણ દિને આપણે પણ તેની પ્રતીક્ષા જ કર્યા કરીશું શું?


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪. ૪ અંશ ૧

    જીવનની અર્થવ્યવસ્થાનો

     વ્યાવહારિક અમલ

    ૪. ૪

    રોકાણ

    દિવ્યભાષ સી. અંજારીઆ

    ૪.૩ થી આગળ

    કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને  બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.

    આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, #૪.૨ માં ખર્ચ અને #૪.૩માં બચત એમ ત્રણ મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.

    હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  ચોથાં મહત્ત્વનાં ઘટક રોકાણ  વિશે વાત માંડીશું.

    રોકાણ શા માટે?

    નાણાની બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવાને બદલે ભવિષ્યમાં વધારે નાણા મળી શકે તે રીતે કામે લગાડવાને રોકાણ કહે છે.

    કમાયેલાં નાણામાંથી પોતાનાં જીવનની પ્રાથામિકતાઓ અનુસારની જરૂરિયાતો પુરી કરવામાં કમાણીનો અમુક ભાગ વપરાઈ  જાય છે. તે પછી જે બચે તેનો ઉપયોગ ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાને સમયે કામ આવી શકે એ માટે તેનું રોકાણ કરવું જોઈએ.

    પરંતુ બચતને રોકાણમાં ફેરવવી જરૂરી છે? આ સવાલનો જવાબ નાણાકેંદ્રી અર્થવ્યવસ્થાની આગવી ખાસિયતમાં છે. ૧૯મી સદીની ઔદ્યોગિક ક્રાન્તિ અને તે પછી હવે ડિજિટલ ટેક્નોલોજીની ક્રાન્તિને પરિણામે ઉત્પાદન ક્ષમતાઓ કુદકે ને ભુસકે વધતી ગઈ.  વધતી જતી નિપજોમાંથી ઉત્પાદકો વધારે ને વધારે નફો રળી શકે એ માટે ગ્રાહકની ખરીદ શક્તિ વધતી રહે એ જરૂરી છે. માંગ અને પુરવઠાનું જે ચક્ર ગોઠવાય છે તેમાં છેવટે પરિસ્થિતિ એ બનતી આવી છે કે પેદાશો અને સેવાઓના ભાવો વધતા જ જાય છે. એટલે આજે થયેલ બચતને બિનઉત્પાદક સ્વરૂપે પડી રહેવા દેવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતાઓ વધારે રહે છે. આમ આજની બચતની ભવિષ્યની ખરીદ શક્તિ જાળવી રાખવા માટે પણ તેનું ઉત્પાદક રીતે રોકાણ કરવું જ ઈષ્ટ છે.

    આજે કરેલ ખર્ચ એ વર્તમાન જરૂરિયાતો પુરી કરવા માટે કરેલ ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી છે. તેમ કરતાં જે કમાણી બચે તે ભવિષ્યની અપેક્ષિતપણે વધતી જતી ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરશે એવી અપેક્ષા સ્વાભાવિકપણે રહે. એ માટે આજની બચતની, ભવિષ્યની ભાવ સપાટીએ, ખરીદ શક્તિ – મૂલ્ય – જળવાય, કે વધે, એ આવશ્યક છે. વળી, નાણાકેંદ્રી આધુનિક અર્થવ્યવસ્થાનું ઘડતર ચીજવસ્તુઓ અને સેવાઓના વધતા જતા ભાવો સાથે સંકળાયેલ છે. એટલે નાણાની બચત એમને એમ રાખી મૂકવામાં આવે તો તેની ભવિષ્યની ખરીદ શક્તિ ઘટવાની શક્યતા વધારે છે. યાદ રહે કે આજની નાણાકેંદ્રી અર્થવ્યવસ્થામાં સમયની સાથે નાણા અને બચતનું મૂલ્ય ઘટતું જ રહેવાનું છે.

    આવા સજોગોમાં, આજે કરેલ ખર્ચમાંથી થયેલ બચતમાંથી થયેલ આજનાં રોકાણો ભવિષ્યની  ઊંચી કક્ષાની જરૂરિયાતો પુરી કરી શકે એવી વધારે સારી ચીજવસ્તુઓ અને સેવાઓની ખરીદી  કરવાને સમયે સક્ષમ રહે એ રીતે કરવામાં આવે એ પણ જરૂરી બની જાય છે.

    બચત કરેલ નાણાની જરૂર ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવા ઉપરાંત આપણાં ભવિષ્યની સલામતી માટે પણ છે. ભવિષ્યમાં માંદગી જેવા આકસ્મિક સંજોગોને, કે પછી સંતાનો (કે તેમનાં પણ સંતાનો)નાં ભણતર જેવી અપેક્ષિત જરૂરિયાતોને, પહોંચી વળવા માટે આજની બચત એક સલામત વ્યવસ્થા નીવડી શકે છે.

    ગાદલાં ગોદડાં નીચે કે કબાટોમાં સંગ્રહી રાખેલ બચત ભવિષ્યની ખરીદ શક્તિને પહોંચી વળાય એટલું મૂલ્ય જાળવી રાખવામાં મદદરૂપ ન બની શકે. આજની બચતનાં ભવિષ્યનાં મૂલ્યને જાળવી રાખવા માટે, કે મૂલ્યમાં વૃદ્ધિ કરવા માટે, આયોજિત સ્વરૂપે રોકાણ કરવું આવશ્યક બની રહે છે.

    અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં  ઘટક ‘રોકાણ’નાં લગતાં મહત્ત્વનાં પાસાં – બચતમાંથી રોકાણમાં રૂપાંતર – શી રીતે અને ક્યાં ક્યાંની  ચર્ચા હવે પછીના મણકામાં કરીશું.


    શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.

  • કાર્ટૂનકથા : ૧૦

    બીરેન કોઠારી

    આ શ્રેણીમાં માત્ર ‘સાહિત્ય’ના વિષયને કેન્‍દ્રમાં રાખીને ચીતરેલાં કાર્ટૂન મૂકવામાં આવે છે, જે વાર્તા સામયિક ‘વારેવા’માં અગાઉ પ્રકાશિત થઈ ચૂક્યાં છે.

    ‘વારેવા’ના દસમા અંકમાં આ કાર્ટૂન પ્રકાશિત થયાં હતાં. આ અંકમાં પણ મેં માત્ર કાર્ટૂન દોરીને મોકલ્યાં હતાં, જ્યારે સંવાદ હાથે લખવાને બદલે મુદ્રિત સ્વરૂપે મૂકાયા હતા. અહીં એ મૂળ કાર્ટૂન અને તેની નીચે સંવાદ મૂકેલાં છે.

    વાર્તાવ્યંગ્ય

    ઉધઈ ઉવાચ


    (વાર્તામાં, વાર્તાલેખનમાં રસ ધરાવનાર સૌ કોઈને આ વિશિષ્ટ સામયિકમાં રસ પડશે. તેના વિશે વધુ વિગતો તેની સાઈટ https://vareva.co.in/ પર જોઈ શકાશે.)


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

  • છાયા પેટી કળા

    મહેન્દ્ર શાહનાં કળાસર્જનોનો સંપુટ

     

    Mahendra Shah – Shadow Box Art

     


    મહેન્દ્ર શાહનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : mahendraaruna1@gmail.com