-
ફિલ્મી ગઝલો – ૩૮. પ્યારેલાલ ( P L ) સંતોષી
ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
પ્યારેલાલ સંતોષી પોતાના જમાનાના હરફનમૌલા કલાકાર હતા. નિર્માતા, દિગ્દર્શક, લેખક, સંવાદ લેખક, પટકથાકાર અને ગીતકાર. હાલ સક્રિય ફિલ્મકાર રાજકુમાર સંતોષીના એ પિતા પણ એ ઓળખાણ અન્યાયકારી ગણાય. એમણે ૪૦૦ થી યે વધુ સુંદર અને લોકપ્રિય ગીતો લખ્યા પણ એમાં ગઝલ નહીંવત. ‘ જબ દિલ કો સતાએ ગમ તૂ છેડ સખી સરગમ ‘ અને ‘ કોઈ કિસીકા દીવાના ના બને ‘ એ બન્ને ગીતો (ફિલ્મ : સરગમ ) એમની પહેચાન તરીકેઉલ્લેખી શકાય. એમણે જે ગણીગાંઠી ગઝલો લખી એમને પણ, એમની ગાયન શૈલી
જોતાં ગઝલો તરીકે ઓળખ મળી નહીં ( એ પણ કબૂલ કે સરેરાશ શ્રોતાને ગીતની મીઠાશ અને કર્ણપ્રિયતા જોડે સંબંધ છે, એ ગીત, ગઝલ, ભજન કે નઝ્મ છે એની સાથે નહીં ! )કહે છે, એ જમાનાની મશહૂર અભિનેત્રી રેહાનાના એ ગડાબૂડ પ્રેમમાં હતા. એમણે જ્યારે પ્યારેલાલના પ્યારને ઠુકરાવ્યો ત્યારે એ વેદનામાંથી પ્યારેલાલની કલમેથી એક ગીત નીપજ્યું ‘ તુમ ક્યા જાનો તુમ્હારી યાદ મેં હમ કિતના રોયે ‘ અને એ ગીત એમણે પોતે બનાવેલી અને નિર્દેશિત કરેલી રેહાના દ્વારા જ અભિનીત ફિલ્મ ‘ શીન શિનાકી બુબલા બૂ ‘ માં લીધું અને સી રામચંદ્રના સંગીત અને લતાના કંઠે એમના શબ્દોને અમર કરી દીધા !
ફિલહાલ, એમણે લખેલી પણ ગઝલો ક્યારેય ન કહેવાઈ એવી બે ગઝલો :
વો હમ સે ચુપ હૈં હમ ઉનસે ચુપ હૈ, મનાને વાલે મના રહે હૈં
નિગાહેં ઉઠ-ઉઠ કે ઝુક રહી હૈં, મઝે મુહોબત કે આ રહે હૈયે જૂઠી આહેં યે જૂઠે આંસૂ, ઝલક રહે હૈં જો હર પલક મેં
બતા રહે હૈં કે ટૂટે દિલ દો, હઝારોં સદમે ઉઠા રહે હૈંઘડી મેં બિગડે ઘડી મેં ઝઘડે, હૈં બૈઠે ફિર ભી ઐસી અદા સે
દબા કે અપને હોઠોં કો દોનોં, હંસી કો અપની છુપા રહે હૈં..– ફિલ્મ : સરગમ (૧૯૫૦)
– લતા / ચિતલકર
– સી રામચંદ્ર
જો મુઝે ભુલા કે ચલે ગએ, મુઝે યાદ ઉનકી સતાએ ક્યોં
જો કિસીકા બન કે ન રહ સકે, વો કિસી કો અપના બનાએ ક્યોંતેરા પ્યાર એક બહાના થા, એક દો ઘડીકા ફસાના થા
મુઝે ઉમ્ર ભર કો રુલાના થા, કોઈ ચાર દિન કો હંસાએ ક્યોંવો દિન રહે ન વો રાતેં રહીં, ન વો તુમ રહે ન વો બાતેં રહીં
વો બહાર આઈ ચલી ગઈ, દિલ ઉસ પે આંસૂ બહાએ ક્યોં ..– ફિલ્મ : સંગીતા (૧૯૫૦)
– લતા
– સી રામચંદ્ર
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
કુંવારા બાપ (૧૯૭૪)
ટાઈટલ સોન્ગ
(આ શ્રેણીમાં હિન્દી ફિલ્મોમાં આવતાં ટાઈટલ્સ દરમિયાન વાગતાં ગીતો વિશે વાત કરવાનો ઉપક્રમ છે.)
બીરેન કોઠારી
બાળ કલાકાર તરીકે અભિનય કારકિર્દીનો આરંભ કરનાર મહેમૂદે આગળ જતાં ચરિત્ર અભિનેતા અને પછી હાસ્ય અભિનેતા તરીકેની ઓળખ પ્રાપ્ત કરી, જે આજીવન બની રહી. આ ઉપરાંત તેઓ ગાયક, દિગ્દર્શક અને નિર્માતા પણ બની રહ્યા અને એ તમામ ક્ષેત્રે સફળ રહ્યા. અનેક પ્રતિભાશાળી કલાકારોને તેમણે ફિલ્મમાં તક આપી. રાહુલ દેવ બર્મનને સ્વતંત્ર સંગીતકાર તરીકે અજમાવ્યા એ પછી સંગીતકાર રાજેશ રોશનને પણ! આ બન્ને સંગીતકારો પ્રતાપી પિતાના પુત્રો હતા. આથી તેમના આગમન વખતે તેમની પાસે અનેક અપેક્ષાઓ હશે. રાહુલ દેવે આગળ જતાં પોતાનો આગવો માર્ગ કંડાર્યો અને પિતાની ઓળખથી સાવ ભિન્ન ઓળખ ઊભી કરી. તો રાજેશ રોશને પણ લગભગ એમ કર્યું. માધુર્ય રાજેશ રોશનના સંગીતની ઓળખ કહી શકાય, જે પ્રકારભેદે રોશનના સંગીતની પણ ઓળખ હતી. રાજેશ રોશને પોતાની આગવી શૈલી ઊભી તો કરી, પણ તેઓ એમાં કેદ થઈ ગયા એમ જણાય છે. આ ઉપરાંત વિદેશી ધૂનોનો તેમણે ઘણો ઉપયોગ કર્યો. રાજેશ રોશનના સંગીતની વાત નીકળે ત્યારે સહજપણે જ ‘જુલી’, ‘દૂસરા આદમી’, ‘ખટ્ટામીઠા’, ‘દેસપરદેસ’, ‘મનપસંદ’, ‘સ્વર્ગનર્ક’, ‘આપ કે દીવાને’, ‘યારાના’, ‘કામચોર’, બાતોં બાતોં મેં’ જેવી ફિલ્મોના ગીતો યાદ આવી જાય.

રાજેશ રોશનનો સંગીતકાર તરીકે પ્રવેશ મહેમૂદ દિગ્દર્શીત ‘કુંવારા બાપ’ દ્વારા થયો, જેની રજૂઆત ૧૯૭૪માં થઈ હતી. આ ફિલ્મની કથા પર ચાર્લી ચેપ્લિનની ‘ધ કીડ’ની પ્રગાઢ અસર હતી, છતાં તેની પર સુવાંગ મહેમૂદની છાપ હતી. મહેમૂદે આ ફિલ્મ દ્વારા પોલિયોની રસી મૂકાવવાનો સંદેશ આપીને તેને એક સંદેશાત્મક ફિલ્મ બનાવી.

(રાજેશ રોશન) મહેમૂદની ફિલ્મમાં ધર્મેન્દ્ર, હેમામાલિની, અમિતાભ બચ્ચન જેવા કલાકારો મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળે એ આશ્ચર્ય નથી. પણ આ ફિલ્મ થકી પ્રવેશેલા નવાસવા સંગીતકાર રાજેશ રોશને ફિલ્મના સંગીત થકી આશ્ચર્ય સર્જ્યું. ફિલ્મનાં કુલ ગીતો ફક્ત ચાર જ હતાં, જે મજરૂહ સુલતાનપુરીએ લખેલાં હતાં. પણ આ ચાર પૈકીનું એક ગીત સાવ નવિન પ્રકારનું હતું. તેના ગાયકો કદાચ સૌ પ્રથમ વાર ફિલ્મમાં ગાઈ રહ્યા હતા. એ ગીત એ વર્ષની ‘બિનાકા ગીતમાલા’માં ટોચના સ્થાને રહ્યું. મહમ્મદ રફી અને મહેમૂદની સાથે એ ગીતમાં પહેલવહેલી વખત વ્યંઢળોના સ્વરનો ઉપયોગ કરવામાં આવ્યો. એ ગીત હતું ‘સજ રહી ગલી મેરી માં’. મહેમૂદને મંદિરમાંથી એક બાળક મળી આવે છે અને એ તેને પોતાની સાથે લઈ આવે છે. બાળકના આગમનની જાણ થતાં વ્યંઢળો તેને રમાડવા આવે છે અને પૂછે છે કે આ બાળકની મા કોણ? એ તારી પાસે ક્યાંથી આવ્યું? આ સવાલના જવાબમાં ગીત છે, જેમાં મહેમૂદ આખો ઘટનાક્રમ જણાવે છે. ‘મૈં મંદિર પહુંચા…’ ‘હાજી’, ‘એક બચ્ચા દેખા…’ ‘હાજી’ જેવી પંક્તિઓમાં વ્યંઢળોનું સમૂહગાન ‘હાજી’ એ સમયે એટલું બધું લોકપ્રિય થઈ ગયેલું કે અમે મિત્રો વાતવાતમાં એનો પ્રયોગ કરતા. આ ગીત આજે પણ એટલું જ અસરકારક લાગે છે.
આ ગીત ઉપરાંત કિશોરકુમાર અને લતા મંગેશકરના સ્વરમાં ‘આ રી આજા નિંદીયા, તૂ લે ચલ કહીં’ અત્યંત મધુર લોરી છે. લતા અને કિશોરના સ્વરમાં ગવાયેલું ગીત ‘જય ભોલેનાથ હો પ્રભુ’ સરેરાશ ગીત છે.
આ ફિલ્મના ટાઈટલ સોન્ગ તરીકે ‘મૈં હૂં ઘોડા, યે હૈ ગાડી’ ગીત છે. આ ગીતની મૂળ ધૂન ‘શતરંજ’ ફિલ્મમાં મહેમૂદ દ્વારા જ ગવાયેલી પંક્તિઓ ‘લાલ ઘોડા, લાલ જોડા’ની જ સંવર્ધિત આવૃત્તિ છે. આ ફિલ્મમાં મહેમૂદની ભૂમિકા પગરીક્ષાવાળાની છે. પોતાની પગરીક્ષા ચલાવતાં ચાલકની નજરે પડતી સૃષ્ટિનું એમાં વર્ણન છે.
ગીતના શબ્દો આ મુજબ છે. આરંભ મહેમૂદના સ્વર અને એ પછી કોરસથી થાય છે. ‘મૈં હૂં ઘોડા’ વખતે ઘોડાની ટાપનો અવાજ સરસ રીતે પ્રયોજ્યો છે.
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है,ना ये काली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
ओय! अरे, सामने क्या देख रहे हैं, पीछे से पाकिट मार रहा है…
एक रुपैया भाड़ा, पैसेंजर इतना जाड़ा
माला नाको रे नाको रे नाको रेमाला नाको रे नाको रे नाको रे
हो दुबला पतला चलेगा, आड़ा तिरछा चलेगा
साला हो या हो वो साली, याने की आधी घरवाली
हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
जे हवालदार! खाली मोटर दिख रही क्या? रिक्शावाले कु भी देखो, भई!
एक दिखाकर बीड़ी, ठुकवा दी चार गाडी.
अरे पैसे का खेला है खेला
हो जो मर्ज़ी है करा लो, पाकिट से नोट निकालोफिर ले जाओ जेब खाली,
एएए बाजू हट बुर्केवाली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली….हम आज़ाद हैं मिस्टर, क्या इन्सां और क्या जनवर,
मेरे देश में सारे बराबर
मेरे देश में सारे बराबर
हो कुत्ता गद्दे पे सोये
मानव चादर को रोये
ज़िन्दगी लगती है गाली
हो ज़िन्दगी लगाती है गाली
हो हो हो हो हो होघर तक पहुंचा देने वाली….
मैं हूँ घोडा, ये है गाडी
मेरी रिक्शा सब से निराली
ना गोरी है, ना ये काली
हो हो हो हो हो हो
घर तक पहुंचा देने वाली
हे….
घर तक पहुंचा देने वाली
हो….
घर तक पहुंचा देने वाली‘કુંવારા બાપ’નું આ ટાઈટલ સોન્ગ નીચેની લીન્ક પર સાંભળી શકાશે.
(તસવીરો નેટના અને વિડીયો ક્લીપો યુ ટ્યૂબના સૌજન્યથી)
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
‘વિજ્ઞાન વિચાર’ : પ્રકરણ ૧લું – વિજ્ઞાન એટલે શું’? – વિજ્ઞાનની પધ્ધતિ – નિયમશોધન
આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
કેવલ કલ્પનાશક્તિથી પ્રાપ્ત કરેલા નિયમો ઘણીવાર ખોટા પડે છે; અને ઘણીવાર બધી મહેનત વ્યય જાય છે. જુદા જુદા તથ્યોને ખોટા વગમાં મુકવાથી, તેમની વાસ્તવિક અગત્ય ભુલાઇ જાય છે અને તેથી પરિણામો પણ દોષિત યાય છે. માટે તથ્યો એકઠાં કર્યા પછી પણ તેમનું પૃથક્કરણુ અને વર્ગીકરણ કરવાનું અને તેમાંથી વ્યવસ્થાના તત્ત્વો શોધવાનું કામ ઘણી જ સ’ભાળ અને ચતુરાઇથી કરવાનું છે. તેમાં નકશા, પત્રકો, કોઠા, રેષાઓ,* વગેરે યુક્તિઓના લાભ લેવાથી કામ સરળ યાય છે. નિયમિત અને અનિયમિત વર્તન સહેલાઇથી પારખી શકાય છે, અને તેથી બન્નેનો ભેદ સમજીને તેર્માથી વધુ પ્રયોગ અને નિરીક્ષણની નવી દિશા અને નવાં ક્ષેત્ર શોધવાની તક મળે છે. રસાયનવિઘામાં મેન્ડેલીફ નામના રશિયન વૈજ્ઞાનિકે બધાં રાસાયનિક તત્ત્વાને તેમના અણુવજનની સંખ્યા પ્રમાણે ગોઠવવાથી, અને તે પ્રમાણે એક કોષ્ટક તૈયાર કરવાથી રાસાયનિક અન્વેષણને ઘણી રીતે ઉત્તજન મળ્યું છે. કોષ્ટકમાં ખાલી રહેલી જગ્યાએ નવાં તત્ત્વો હોવાં જોઇએ એ વિચારથી તેની શોધ કરવાની પ્રગત્તિ યઈ અને સામગ્રી પણ મળી. વળી જૂનાં જાણીતાં તત્ત્વોના અણુભારાંકમાં પ્રયોગાત્મક ભેદ અથવા ભૂલ શોધવાનું નવું સાધન પ્રાપ્ત થયું.
તથ્યોની વ્યવસથા કરવાનું કામ ફકત બહારની ગોઠવણમાં પૂરું થતું નથી. દરેક તથ્યને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં અને ત્તેની પરીક્ષા કરવામાં તે વિષયના ખાસ શિક્ષણની જરૂર પડે છે. રાસાયનિકોના હાથે પદાર્થના વાસ્તવિક સ્વરૂપની તપાસ કરવાને માટે પૃથક્કરણ કરવામાં આવે છે. તે કામથી શિલા અને પથ્થરની બારીક પતરી ધસીને સૂક્ષ્મદર્શક કાચ નીચે જોવાનું કામ જુદા જ પ્રકારનું હોય છે, અને તેથી પ્રાણીવિદ્યાના અભ્યાસીઓનું પ્રાણીઓની અંદરની રચના જોવાનું કામ અથવા તો જંતુશાસ્રીઓની કામ કરવાની યુકિતઓ જુદા જ પ્રકારની હોય છે. તે છતાં વિજ્ઞાનની બધી શાખાઓના અભ્યાસની પ્રણાલિકા છેવટે એકસરખી જ હોય છે. દરેક ધટના સંબંધી સઘળું જ્ઞાન મેળવ્યા પછી, ખરી ખોટી હકીકતો જુદી પાડ્યા પછી અને બધાં તથ્યોને એકઠાં કર્યાં પછી અથવા તો એકઠાં કરવાની ક્રિયામાં જ ઘણા! પ્રકારના સંબંધો સ્પષ્ટ થાય છે, તેમની પૂર્વાનુગામી વસ્તુસ્થિતિ સ્પષ્ટ થાય છે અને સાથેના કાર્યકારણના સંબંધની દિશાનું કાંઇક રેખાદર્શન થાય છે. તે ઉપરથી વ્યાપ્તિઓ પણુ સ્ફુરી આવે છે. આ સ્ફુરણો નૈસર્ગિક શોધકબુદ્ધિવાળાઓને ફક્ત કલ્પના અને વિચારથીજ સ્ફુરે છે[1]; પરંતુ સાધારણ વૈજ્ઞાનિકને તો ઘણી મહેનત અને ચિંતનને જ પરિણામે પ્રાપ્ત થાય છે. પહેલા પ્રકારના સ્ફુરણાનાં દૃષ્ટાંત ન્યૂટન અને ડાર્વિન અને મેયરનાં આપણે જોઈ ગયા. બીજા પ્રકારનાં સ્ફુરણાનાં ખાસ દૃષ્ટાંત તો વૈજ્ઞાનિકોના કાર્યમાં રોજ મળે છે. સૂર્ય ઉપરના ડાઘનો સતત ત્રીસ વર્ષ અભ્યાસ કરનાર શ્વાબે ફ્ક્ત એક જ વ્યાપ્તિ નિયમ શોધી શક્યો હતો કે સૂર્ય ઉપર દેખાતા આ ડાધ નિયમિત રીતે વધતા-ધટતા દેખાય છે. અને આ વધઘટ-કાળ લગભગ દ૨ દર વર્ષે ફરીથી આવે છે. પરંતુ તેથી શ્વાબેનું કામ વ્યય ગયું એમ કહી શકાય નહિ. તેના જેવા અસ’ખ્ય વિજ્ઞાનીઓ ફક્ત તથ્યો ચોકસાઇથી એકઠાં કરીને રાખી મૂકે છે; આ તથ્યોમાંથી કેપ્લર, ન્યૂટન કે ડાર્વિનન જેવા કોઇ એક પ્રતિભાસાલી વિચારકો જ વ્યાપ્તિમય નિયમોની શોધ કરી શકે છે. વર્ણનાત્મક વનસ્પતિશાસ્ર, વર્ણનાત્મક જીવનવિદ્યા, વર્ણનાત્મક રસાયનવિદ્યા વગેરે અનેક વિજ્ઞાનની શાખાઓના વર્ણનાત્મક વિભાગમાં કેવલ તથ્યોનો સંગ્રહ હોય છે, પરંતુ તૈ વર્ણનાત્મક વિભાગમાંથી નવા નિયમો અને સિદ્ધાન્તો ફલિત થાય ત્યારે ખરૂં વિજ્ઞાન ઉદ્ભવે છે. ટાઈકોબ્રાહી જેવા ખગોલવૈત્તા બધાં તથ્યો એકઠાં કરે ત્યાર પછી જ કેપ્લર જેવા વિચારકોને નિયમશોધનનું કાર્ય સૂઝે અને ત્યાર પછી જ ન્યૂટન જેવા મહાવિજ્ઞાનીનું કામ સિદ્ધ થઈ શકે. તથ્ય શોધવાનું અને નિયમ શોધવાનું’ એ બે કામ ઘણા જુદા જ પ્રકારનાં છે. એ વિષે લૌર્ડ કેલ્વીન બહુ ભાર દેતા. તેઓ પહેલા કાર્યને “કુરતનો ઇતિહાસ” અને બીજા કાર્યને “કુદરતતુ’ તત્વજ્ઞાન” એમ કહેતા. આ શબ્દો હવે વપરાતા નથી, પરં’તુ તે ઉપરથી નિમમશોધનના કાર્યની અગત્ય સમજાય છે.
[1] વધુ માટે જુઓ: Tyndall – Scientific use of imagination.
ક્રમશઃ
હવે પછીના અંશમાં “નિયમ સિદ્ધિ”વિશે વાત કરીશું.
-
ખેતીમાં “જૈવ જગત” નું અમૂલું યોગદાન
કૃષિ વિષયક અનુભવો
હીરજી ભીંગરાડિયા
મારે વાત કરવી છે ૧૯૫૦ – ૬૦ ના સમયગાળા આસપાસની-મારી સાંભરણ્યની. તે વખતે ગામડું એ એક સ્વાવલંબી એકમ હતું. તેનો ખેતી જ મુખ્ય ઉદ્યોગ હતો. ખેતીની જ પેદાશમાંથી પાકો માલ બનાવનારા-કપાસ લોઢવાના ચરખા-જીન, કાપડ વણવાની હાથશાળો, કોલ્હુ, તેલઘાણી વગેરે ગ્રામોદ્યોગો પણ ખેતીની આસપાસ જ વણાએલા હતા. અને ગામની જરૂરિયાતો માટે લુહાર, સુથાર, ચમાર, કુંભાર, દરજી, વાળંદ, ગોર, ગોવાળ, પૂજારી વગેરે ગામડે વસતાં. અનાજથી માંડી મસાલા સુધીનું બધું ખેડૂતો પકવતા. નાણાંનું ચલણ ઓછું હતું. કામ કરનાર મજૂરને રોજેરોજ અને વહવાયાં બધાંને બાર મહિને ઉધડથી માલના રૂપમાં મહેનતાણું આથ-અપાતું.
તે દિવસોના ગ્રામ્યજીવનની વાત કરું તો જરૂરિયાતો ઓછી હતી. જીવ સંતોષી હતો. બીજાના સુખદુ;ખમાં સૌ ભળતાં. સારા પ્રસંગે અગાઉ થયેલ મનદુ:ખના સમાધાન થતાં. ગરીબોની ચિંતા સૌ કરતા. પુજારી, બ્રાહ્મણ, ભંગી, જેવા બીન ધંધાર્થી માટે લગ્ન પ્રસંગમાં “ગામઝાંપો” લેવાતો. ઘરડાઘર અને વૃદ્ધાશ્રમની કલ્પના પણ નહોતી. સંબંધ,વેવિશાળ કે લગ્ન બાબતે વડિલોની આમન્યા રખાતી. લગ્ન એ ફારસ નહીં, પવિત્ર બંધન ગણાતું. જવલ્લે જ બનતો “છૂટાછેડા” નો પ્રસંગ દુ:ખદ ગણાતો.
ખેતીમાં પશુઓની ભેર લેવાતી.=
ગાય, બળદ, ભેંશ, ઘેટાં-બકરાં અને ઘોડી તો ખેતી અને ખેડૂતના બડકંમદાર ભેરુ ગણાતા. બધાંને ખેતીમાંથી નીકળતી ગૌણપેદાશ રૂપી ઘાસ-ખાણ ખવડાવીને તેમની પાસેથી શક્તિભર કામ લેવાતું. તેમાંયે “ગાય” એ તો માત્ર “પશુ” નહીં, પણ “માતા” ગાણાતી. એને કપાળે ચાંદલો કરી, પ્રદક્ષિણા ફરી, પૂજા એટલામાટે કરાતી કે તે હાંડો ભરીને “દૂધ” તો આપે, પણ વધારામાં ધરતીની ભૂખ ભાંગે એવું “ગોબર” આપે, ખેતીપાક અને માનવ આરોગ્યની ચિંતા કરનારું “ગોમૂત્ર” પણ આપે.એટલે તો સારા માઠા પ્રસંગોએ સ્થળ જંતુ રહિત કરવા ગોમૂત્રનો છંટકાવ અને ગોબરનું લીંપણ આજે પણ કરવામાં આવે છે.
તે સામે ખેડૂતો તરફથી પાલતુ પશુઓ લાડ-પ્રેમ પણ કુટુંબના સભ્ય હોય તેટલો પામતાં.અત્યારે હાલ, આવો અમારી વાડીએ- દરવાજામાં દાખલ થઈએ ને અમારી ગાયો બોલીને આવકાર ન આપે તો અમારો પરસ્પરનો ભાવ ઓછો છે તેમ ગણજો. સવાર-સાંજ દોહન ટાણે મારાં ગૃહિણી જ્યાં હાથમાં હાંડો અને શેલાયું લઈ ઓંશરીનાં પગથિયાં ઉતરતી હોય ત્યાં “શ્યામલી” [ગાયનું નામ] વગર વાછરુંએ પારહોઈ જાય છે અને શેલો વાળે વાળે ત્યાં દૂધની શેડ્યો ચાલુ થઈ જાય છે ! આજે પણ એવું હેત ગાયો પાસેથી અમે પામીએ છીએ.
અરે, જેના કંધોલે આ દેશની ખેતીનો ભાર છે એવાં ધીંગાધોરી પણ ગાયમાતાનાં જ ફરજંદ છે ને ! છીછરી-ઊંડી ખેડ, વાવણી, આંતરખેડ, કૂવામાંથી પાણી ખેંચવું, ગાડે જૂતી માલ વહન કરવો, ગામગામતરે જવું કે દીકરાની જાન જોડવા સુધીમાં ક્યાંય કશાયે ખર્ચ વિના તમામ કામો થતાં. ઉર્જા પાછળ ડીઝલનો ખર્ચ નહોતો. ધુમાડાથી બચાતું. પર્યાવરણની રક્ષા આપોઆપ થતી. બળદની સૌને મન કિંમત હતી. બાર બાર ને પંદર વીસ ધર [વરસ] હાલેલ બળદના ગઢપણ પળાતાં. આંગણે જ મૃત્યુ થતું. તમે માનશો ? મારા 20 ધર ચાલેલી વઢિયારા બળદની જોડી-એના મરી ગયા પછી 8 દિ’ ખાવું નહોતું ભાવ્યું. મેં એના મોકલી-શિંગડાંનો સેટ વરસો સુધી એની સ્મૃતિરૂપે ફરજામાં ટીંગાડી રાખેલો ! સદગત કુટંબીજનો માફક તેયે ભુલાતાં નથી.
તે દિવસોમાં સારા ઘેર સાયકલ અને મોભાદારને ઘેર “ભટભટિયું” [બાઇક] નજરે ચડતું. અહુર-સવાર વાડીએ આંટો જવું કે ગામ ગામતરે જવામાં ઘોડી જ હોંકારો આપતી. તેને નહોતી ચાલવા માટે સડકની જરૂર કે ટાંકીમાં પુરાતા પેટ્રોલની જરૂર ! ઘોડાની માલિક પ્રત્યેની વફાદારીના થોકબંધ સાચા પ્રસંગો ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાં વાંચવા મળે છે.
અને કૂતરું ? કૂતરું તો માણસનો પ્રેમ પારખનારું પ્રાણી છે. એને એકવાર આપણો વિશ્વાસ બેસી ગયો ? ખલ્લાસ ! એના તરફના પ્રેમના બે બુચકારા અને રોટલાનો ટુકડો જ બસ થઈ પડે ! એ કૂતરું આપણા ઘર-વાડીનો વગર પગારનો વફાદાર રખોપિયો છે. તમે જુઓ ! તે વખતે દરેક ઘેર ગૃહિણીઓ પહેલી રોટલી ગાય માટેની અને છેલ્લી રોટલી કૂતરા માટેની કાયમ ઘડતી. અરે ! કૂતરાને ખાવા તો ખાસ “લાડવા” બનાવવાનો શિરસ્તો તમામ ગામડાંઓમાં આજે યે સચવાઈ રહ્યો છે. આજેય અમારી વાડીનો કૂતરો “મગળિયો” વાડીમાં નીલગાય, ભૂંડ કે શિયાળિયાંને દેખી ગયો ? તગડે પાર કરે ! અરે દરવાજે કોઇ રેઢિયાર ઢોરું નજરે ચડે કે અહુર-સવાર વેળા ક વેળા કોઇ કાવરુ માણસની હલચલની ગંધ આવી જાય, પછી એને ભસતા ભસતા પાછળ પડી દૂર કર્યા વિના શાંત થઈ જાય તો એને પહેરેગીર કહેવો કેમ ? અને એને સમજણ પાછી પૂરતી કે વાડીમાં આંટા મારતા વાડીના મોર-ઢેલ, બિલ્લી કે પંખી સુદ્ધાંને વતાવે નહી. મફતમાં જ એના પ્રેમ-વફાદારી ખેતર વાડીને મળી રહ્યાં ગણાયને!
ખેતીમાં ઝીણાં જીવો થકી બહુ મોટું કામ થાય છે:
ભગવાન શંકરે “સાપ” ને ગળાનો હાર ગણ્યો અને એના દિકરા ગણેશજીએ “ઉંદર” ને પોતાનું વાહન ગણ્યું ! એકબીજાને ઊભાએ ભડે નહીં, છતાં પ્રકૃતિને બન્નેની જરૂર જણાઇ હશે એટલે જ બન્નેનું મહત્વ આંક્યું હશેને ! સાપની તો બહુબધી જાતો છે. એ બધાનું કામ ખેતીપાકોને ખુબ નુકશાન કરતા ઉંદરડાંઓ અને અન્ય જીવડાંઓના ત્રાસને કાબુમાં રાખવાનું હોવાથી, તેની અગત્યતા પારખીને જ તો વડવાઓએ નાગપાંચમે તેની પૂજા કરવાનું ગોઠવ્યું હશેને ?
“દેડકાં” ને જોતાં ચીતરી ચડે. કારણ કે પીઠ ખરબચડી ને ગંદી-ચીકણું પ્રવાહી ચેટેલું હોઇ ગમતા નથી. એનો સ્વભાવ કુદરતે એવો ઘડ્યો છે કે એને કાદવ ખુબ ગમે ! પણ એમાં એનો બિચારાનો શો વાંક ? જેના વખાણ કરતાં ધરાતા ન હોઇએ તેવી એક લાખ રોકડા આપી ખેરીદી લાવેલી અને નવારીને ચોખ્ખી કરેલી નવસુંદરી ભેંશ પણ ગંદુપાણી કે કાદવ ભાળી ભસ કરતી બેસી નથી પડતી ? દેડકાંઓ ખેતીપાકને નડતાં-રંજાડતાં અસંખ્ય જીવડાંઓને ઓહિયા કરી જનારા હોઇ, ફિલીપાઇંસમાં તો દેડકાંઓની વધુ હરફરવાળા વિસ્તારમાં રોડ પર રીતસર “વાહન ધીમે હાંકો-અહીં દેડકાં પસાર થાય છે” એવી સુચના લખેલ હોયછે.
ખેતીપાકોમાં ભમતાં કીડી-મકોડા-કાચિંડા-ઘો-ગરોળી-ભોફિંડા જેવા બધાં જ જીવો માંસાહારી છે. જીવડું મળે ત્યાં સુધી બીજું એ ખાતા નથી. કહેવાય છે કે કીડીનું નાક અને ગરજની આંખ બહુ બળિયાવર ! ગાઉના ગાઉથી “ખાજ” ગરજાની નજરે ચડી જાય અને કીડીને એની વાસ આવી જાય ! કીડી માંસાહારી છે. તે પોતાના વજનથી પચાસગણો વજનદાર પદાર્થ ઢસડી શકે ! સડેલી વસ્તુની ગંધ કીડીને આવી જાય. મોટાભાગના મરેલા જીવોની અંતેષ્ઠી કીડીઓ કરે છે. કીડીઓ ન હોય તો ધરતી ગંધાઈ ઊઠે ! ખેતીપાકોમાં ઝીણી મોલો-મસી, મધિયો, ચીટકો અને તેના બચ્ચાંનો સફાયો કીડીઓ આસાનીથી કરી શકે છે. કીડીઓ ખેતીપાકને ક્યાંય સહેજ પણ નડતરરૂપ નથી. એટલે તો એને બચાવવા જ્યારે ખોરાકની ખૂબ ખેંચ હોય તેવા ચૈત્ર મહિનામાં લોટ-ગોળ-તેલ-ઘીના કીડિયારાં પૂરાતાં.
“અળસિયું” તો ખેડૂતનું મિત્ર-ધરતીનું “હળ” ગણાય. જે માટી અને કચરો ખાઇ, હગારરૂપે વિવિધ તત્વોથી ભરપૂર એવો વનસ્પતિ માટે પોષક આહાર પૂરો પાડવા ઉપરાંત જમીનના નીચલા થરાના તત્વોને ઉપર ખેંચી લાવી, વધુકા પાણીને નીચે ઉતરી શકે અને ખેતીપાકના મૂળિયાંને હવા અવકાશની અનુકૂળતા થાય તે અર્થે તેની ઉપર-નીચે આવન-જાવન વખતના સ્થિર થઈ રહેલા દર- નાળો બનાવી જમીનને પોચારો બક્ષનાર અળસિયાં વગર ખર્ચે ખેતીપાકોને બહુ મોટું યોગદાન આપી રહેલ છે. ઉપરાંત જમીનના ગુણધર્મોની સાચવણ કરી જીવંતતા બક્ષનાર ગણ્યા ગણાય નહીં એટલી સંખ્યામાં સુક્ષ્મજીવો જમીનમાં વસતાં હોય છે.જે બધા જમીનમાં અલભ્ય સ્વરૂપે પડેલા પોષકદ્રવ્યોનું રાંધણું કરી પાકના મૂળિયાંને મિજબાની કરાવવામાં જ રત હોય છે
ખેતીનો વ્યવસાય એટલે છોડવા અને ઝાડવાની ગોવાળી કરવાનો. વનસ્પતિ તેની નવી પેઢી માટે બાળક [બીજ] ના જન્મ માટે નર-માદા અંગોના મિલન માણસ કે પશુ-પંખીની જેમ નથી કરાવી શકતી. આ માટે અગત્યનું યોગદાન પ્રકૃતિદત પવનનું અને એના પછીનું કામ મધમાખી અને કીટ-પતંગિયાનું જ હોય છે. એમાંયે “મધમાખી” તો માખી જગતનો સર્વશ્રેષ્ઠ જીવ છે. એક છોડથી બીજે છોડ પરાગરજ પહોંચાડવા ઉપરાંત માનવ તંદુરસ્તી માટે પોષક એવા મીઠામધની ઉત્પાદન ફેક્ટરીના સંચાલકો ગણાય.ખલેલાં.રાય,જીરુ,ધાણા,અજમા,વરિયાળી જેવા પાકોમાંતો એમની હરફર થકી બીજના બંધારણના સંયોગો રચાતા હોય છે.
ઝાડવાના ઘેરામાં કે ઉંચા કપાસમાં આંટો મારતાં મોઢે ઝાળું ભટકાય એટલે સમજી જવાનું કે ઉડતી ઝીણી જીવાંત પકડવા પોતાની લાળથી બનાવેલ આ “પાહલો” કરોળિયાભાઇનો જ છે ! ગમે તેટલી વાર ઝાળું વિંખાઈ જાય, થાક્યા વિના ફરી બનાવ્યે પાર કરે. આ ઝાળાં-રચના પણ મધપૂડાની રચનાની જેમ એક આર્કિટેકને ગુંચવાડામાં નાખી દે તેવી ગજબની ગુંથણીવાળી હોય છે, હિંમત હાર્યા વિના પુરુષાર્થ કર્યે જવાનું ઉદાહરણ કરોળિયાનું અપાય છે.. “કરતા જાળ કરોળિયો ભોંય પડી પછડાય,વણ તૂટેલે તાંતણે ઉપર ચઢવા જાય” આપણા ખેતીકામને હું કરોળિયાના જાળા સાથે સરખાવું છું. કેટલીય તલ્લિનતા અને મહેનત પછી આ બન્નેના સર્જનો થાય છે. છતાં આવનારા પ્રતિકૂળ સંજોગો તેને હતા ન હોતા કરી નાખે છે. છતાં ફરી એજ તલ્લિનતા અને મહેનતથી નવસર્જનમાં બન્ને જણા લાગી જાય છે.
નિરખજો ક્યારેક નિરાંતવા થઈને ! ઢાલિયા, ક્રાયસોપા, ટ્રાઇકોગામા ભમરી-ફુદડી વગેરે પણ મોલાતોમાં ફરી એના ગજા પ્રમાણે કેટલીય નુકશાન કારક જીવાતોના ઇંડા અને બચ્ચાંને ખોરાક બનાવી ખેતીપાકનું સંરક્ષણ કરતી હોય છે.
ખેતીમાં પંખીઓનું યોગદાન :
કોઇ ગામનું પાદર પંખીઓને ચણ નાખવાના પંખીઘર વિનાનું નથી હોતું. કુટુંબના સારા-માઠા પ્રસંગે “કબુતરની જુવાર” ની રકમ જૂદી મૂકી દેવાય છે. આ પંખીઓ પ્રત્યેના આપણો પ્રેમ જ બતાવે છે ને ? અરે, સીતાહરણ પ્રસંગે રાવણ પાસેથી સીતાજીને છોડાવવા પોતાના દેહનું બલિદાન આપનાર જટાયુ એક પક્ષી ગીધ જ હતાને ? આ પ્રસંગ દ્વારા પંખી અને માનવ-સમાજ વચ્ચે આત્મીયતાભર્યા સંબંધની ઇતિહાસ પણ શાખ પૂરે છે.
જ્યારે ખેતીપાકો પર ઇયળોનો ઉપદ્રવ ફાટી નીકળ્યો ત્યારે “વૈયા”ની ટુકડીઓ ઉતરી પડતી હોય, જમીન ઉલટસુલટ થાય તેવા કરાતા કોઇપણ ખેતીકામ વખતે “બગલાં”-”કાબર” જેવા કેટલાય પક્ષીઓ સાંતીની પાછળ દોડાદોડી કરી બસ જીવાતોને વિણી ખાવાનું કામ કરતી હોય છે. અરે ! મોલાતમાં પિયત થતું હોય કે ગાય-બળદ જેવા ઢોરાં બેઠાં બેઠાં પોરો ખાતા હોય ત્યારે કાબર-બગલાં તો તેના શરીર ઉપરેથી લાણ- ઇતરડી-ગિંગોડા જેવાને શોધી શોધી પશુઓનો અસો દૂર કરવામાં રત હોય છે.
ગાય-બળદના શિંગડે કે કોંટે બેસી સીસોટીયુ વગાડનાર “કાળિયોકોશી” ઉડતા જીવડાને પકડી ખાવાની અદકેરી આવડતવાળો છે તો “તેત્તર-બટાવરાં” અને “ટીટોડી” વળી જમીન ખોતરી અંદરથી ઉધઈ જેવી નુકશાન કરતી જીવાતોનો સફાયો કરવામાં રોકાયેલ હોય છે. અરે, “ઘુવડ અને ચીબરી” તો રાતના રખેવાળ ! ઘરચકલી, દેવચકલી, મામાનાઘોડા, કાગડિયો કુંભાર, કુકડાં, સુગરી જેવાં બધાં જ પક્ષીઓ માંસાહારી હોઇ, જીવાતો જ શોધ્યા કરતા હોય છે. શ્રાધ વખતે નખાતી “કાગવાસ” એ શું છે ? કાગડાના બચ્ચાં-કાગોલિયાંને ખોરાકપૂર્તિ માટેની એક રીત જ છે ભલા ! બીજે ભલે કાગડા ન દેખાતા હોય, આવો અમારી વાડીએ, સાંજે પોણોસો કાગડા ભેળા થયેલા દેખાડું ! અરે, અમારા પંચવટીબાગમાં તો 35-40 જેટલી મોર-ઢેલની સંખ્યા વાડીમાં ફર્યા કરી જીવાતો વિણવાનું જ કામ કર્યા કરતી કોય છે. બધાના રૂપ, રંગ,આકાર, બોલી, વર્તણુંક ભલે જુદા જુદા રહ્યા હોય,પણ મોટાભાગના પંખીઓ ખેતીમાં ભમતી-ફરતી-ઉડતી જીવાતો પર નભી તેમનું જીવન ગુજારતા હોય છે.
વૃક્ષો ભજવે ભાગ પર્યાવરણરણ સમતૂલાનો :
”વૃક્ષો” ને આપણે સમગ્ર વનસ્પતિ સૃષ્ટિનું પ્રતિક માન્યું છે.ખેતીનો વ્યવસાય વનસ્પતિના કંધોલે બેઠેલ વ્યવસાય છે. ખેતીમાંથી વૃક્ષોની-કહોને વનસ્પતિની બાદબાકી કરી દઈએ તો એકડા વગરના એકલા મીંડા જેવું જ ગણાય ! ફળો, ગુંદર, લાકડકૂકડ, છાંયો, ખાતર, રંગ, મીણ, મધ જેવી પેદાશો ઉપરાંત વાતાવરણમાં ઠંડક અને પ્રાણવાયુનું ઉમેરણ–વૃક્ષો દ્વારા પ્રાણીસૃષ્ટિને સહજ અને મફત મળતા લાભો છે.એનું મહત્વ સમજીને જ “વૃક્ષમાં વાસુદેવ”,-”પીપળો એટલે સરવણાનું વૃક્ષ”,-“આંકડો તો હનુમાનજીનું વહાલું વૃક્ષ,”-“ખીજડો કાપીએ તો મામો વળગે” વગેરે ઉક્તિઓ વૃક્ષોને ધાર્મિક રક્ષણ આપવા કાજે જ પ્રચલીત થઈ હોવી જોઇએ એવું નથી લાગતું આપને ?.
સારનો સાર :
સારનો સાર એટલો જ કે ઉપર વર્ણવ્યા એ બધા જ પશુ, પક્ષીઓ, ધરતી પર અને મોલાતમાં ફરતા ભમતા મધમાખી અને કીટપતંગિયા, જમીનની અંદર કાર્યરત અળસિયાં અને અગણિત સંખ્યામાં વસેલા સુક્ષ્મજીવો, વૃક્ષો સુદ્ધાંનું પર્યાવરણ રક્ષા અને જીવ સૃષ્ટિને ઉપયોગી થવામાં કોઇપણ જાતનો ચાર્જ લીધા વિના એમના યોગદાનો પોતપોતાની રીતે ચાલુ જ હોય છે. તમામ પશુ-પંખીઓ સાથે ખેતીને જેટલો સીધો સંબંધ છે તેવો બીજાકોઇ વ્યવસાયને નથી.એ દરેકની વિશિષ્ટ શક્તિ અને સદગુણ જો વ્યક્તિની દ્રષ્ટિ ગુણગ્રાહકની હોય તો જીવન ઘડતર માટેનો બહુ મોટો પ્રેરકપાઠ બની રહે છે.
પણ…….
આજે ગાયોની થઈ રહેલી અવહેલના, તેનાં નરબચ્ચાં અને બળદોને રેઢિયાર બનાવી રખડતાં મેલી દઈ, જે ડીઝલ માગે, ઓઇલ માગે, ટ્યુબ-ટાયરનો ઘસારો માગે, ધુમાડો ઓકે, ભીની જમીનમાં ટૉર લગાડે અને ખર્ચ વધારવા ઉપરાંત પર્યાવરણ બગાડે એવા યંત્રો તરફની વિનાશી દોટ અને રા.ફર્ટિલાઇઝરોનું જમીનમાં આડેધડનું ઊમેરણ, પાકસંરક્ષણના બહાના હેઠળ ઝેરીલી પેસ્ટીસાઈડ્ઝનાં ફુંકાતા ફુવારા, તથા ઊંડા તળના મોળાં-ભાંભળાં-ખારાં-ઉનાં ફળફળતાં પ્રવાહી પિયતમાં આપી, જમીનની અંદર વસેલા સુક્ષ્મજીવો, મોલમાં ફરતા મિત્રકીટકો, અને પંખીઓ-બધાંનો સોથ વાળી રહ્યા છીએ અને શેઢે-પાળેથી પણ વૃક્ષને મૂળ સમેત ઉખાડી સમૂળગો વંશ કાઢી નાખવાના જે વિધાતક કાર્યક્રમો આદર્યા છે તેને બંધ કરી શકીએ તો તો ભાયડા કહેવાઈએ ! પણ એ બાબતે વિવેક દાખવતા થઈ જઈએ તો પણ જૈવ વિવિધતાને ચિરંજીવ બનાવવામાં મદદગારી કરી કહેવાશે હો મિત્રો ! વિચારજો.
સંપર્ક : શ્રી હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ : krushidampati@gmail.com
-
પરિવર્તન – ૪ : પાનખર
અવલોકન
– સુરેશ જાની
તે દિવસે પાર્કની મુલાકાતે ગયો હતો. પાનખર હવે પતવામાં છે. ઓતરાદા વાયરા અને ઠંડીનો ચમકારો શરુ થઈ ગયાં છે. ઠેકઠેકાણે ખરેલાં પાંદડાં પડ્યાં છે. સાવ નિર્જીવ, શબ જેવાં, પવનના ઝપાટામાં દીશાવિહીન, આમથી તેમ અફળાતાં પાંદડાં.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી આ ઝાડની નીચે ઘણાં બધાં પાંદડાનો ઢગલો પડ્યો છે. ઝાડ પર હતાં ત્યારે તેના રંગ નિખરેલા હતા. આ જ પાંદડાં ઝાડ પર હતાં ત્યારે કેટલાં સોહામણાં લાગતાં હતાં? માત્ર ઝાડની જ નહીં, આખા પાર્કની શોભામાં ચાર ચાંદ લાગી જતા હતા. અત્યારે એ સાવ મૃત થઈને પડેલાં છે.
હું થોડો આગળ ચાલું છું. આ બીજા ઝાડ પર તો એકેય પાંદડું બાકી નથી. ઠંડીના ચમકારામાં થરથરતું એ ઝાડ સાવ બોડું થઈ ગયું છે. તેની ઉપર તો શું, નીચે પણ એકેય પાંદડું બચ્યું નથી. બધાંયને વાયરાનો સૂસવાટો તાણી ગયો છે. તેની બધી સમૃદ્ધિ નામશેશ થઈ ગઈ છે.
લ્યો… એની બાજુવાળા આ જનાબ હજી હવે પાનના રંગ ખીલવી, રંગીન મિજાજમાં મ્હાલી રહ્યા છે. તેમનો વારો હજુ હવે આવશે. પણ અત્યારે તો એ પૂરબહારમાં છે. બાજુના મહાશય તો સદાકાળ હરિતપર્ણધારી જ છે. એ તો હમ્મેશ લીલા ને લીલા જ. તેમને કોઈ પાનખર વિચલિત કરી શકતી નથી. તેમની ખુમારી તો કાંઈ અજીબોગરીબ જ છે.
એની બાજુમાં જ એક કાપેલા ઝાડના થડનો, માંડ એક બે ઈંચ ઉંચો પાયો, માત્ર સમ ખાવા માટે ટુંટીયું વાળીને પડ્યો છે – જાણે કે, ઝાડની કબર. તેનો ક્રોસ સેક્શન/ આડછેદ જોતાં એ દાદા ૬0 – ૬૫ વરસ જીવ્યા હોય એમ લાગે છે. લ્યો ! આ તો મારા જ સમવયસ્ક નીકળ્યા! તેની બધી ખુમારી તો શું ? – સમગ્ર અસ્તિત્વ ઓસરી ગયું છે .
દરેક ઝાડની પોતાની એક ખાનદાની રસમ હોય છે. એનું પોતાનું આગવું એક કેલેન્ડર હોય છે. દરેકનો પોતાનો એક મિજાજ, એક રંગ, એક નિયત જિંદગી હોય છે. તેનો અણુએ અણુ પોતાની પરંપરાને બરાબર પાળે છે. પાનખર હો કે વસંત – દરેક પોતાની નિયતિ પ્રમાણે પાંદડાં ધારણ કરે છે અને વિખેરી દે છે. એ પાંદડાંય હમ્મેશ નથી રહેતાં અને એ થડ પણ નહીં.
પાર્કથી થોડે દુર ઝાડીઓવાળો પ્રદેશ છે. ત્યાં ગીચ ઝાડીની વચ્ચે પવનથી ઊડીને આવેલાં પાંદડાંઓના ઢગના ઢગ પડ્યા છે. વરસાદ આવશે, સ્નો પડશે, માટીના થરના થર તેમને આવરી લેશે. તે સૌ જ્યાંથી પ્રગટ્યાં હતાં, તે ધરતીનો એક અંશ બની જશે. એમાંથી રસ અને કસ ઊતરી, અન્ય વૃક્ષોનાં મૂળિયાં સુધી પહોંચશે. ફરી એ નવપલ્લવિત કુંપળોમાં રસસિંચન કરશે. બીજા જ કોઈ વૃક્ષનું કોઈ પાન, બીજી કોઈ પાનખરે, કોઈ બીજો જ રંગ મઘમઘાવશે.
—————————–
અને આ પાંદડાંની જેમ હું પણ વાર્ધકયમાં પ્રવેશી ચૂક્યો છું. મારો રંગ તેમના જેવો આકર્ષક નિખાર તો નથી જ આપતો! એક દિવસ તેમની જેમ હું પણ ખરી જઈશ. વાયરો મારા અવશેષોને ઊડાડીને ધરતીની સાથે એકરસ કરી નાંખશે. જેણે મારા જીવન દરમિયાન મારું પોષણ કર્યું છે; તે ધરતીના કણકણમાં મારું સમગ્ર અસ્તિત્વ ઓગળી જશે. મને ખબર નથી કે, જેને હું ‘હું’ કહું છું, તેનું પછી શું થશે.
આ જ તો પાંદડાની, થડની, મારી અને તમારી સૌની નિયતિ છે.
ફરી જન્મ, ફરી મૃત્યુ.
આ જ જીવનક્રમ
હજારો વર્ષોથી ચાલ્યો આવે છે.
ચાલતો રહેશે.સતત પરિવર્તન. કશું શાશ્વત નહીં. સમાપનમાં એક જૂની સોનેટ રચના
અરે ! આ પાનખરના રંગને કોઇ નામ ના આપો.
બધા રંગો ઊડી જાશે, તરુવર શુષ્ક થઇ જાશે.
પછી પર્ણો નહીં મળશે, પછી તરણું નહીં મળશે,
અરે! આ નભ તણી શોભાય સૌ બરબાદ થઇ જાશે.જમીન પર પાંદડા ઊડશે, સૂકાયેલા, દુણાયેલા
સૂસવતો, વાયરો શિતળ, અરે જલ્લાદ થઇ જાશે.
ન કોઇ દર્દ કે પીડા, ન કોઇ લાગણી રહેશે.
નહીં દૃશ્યો, શબદ કે ગંધ, કે આ સ્પર્શ પણ રહેશે.પછી આશા નહીં રહેશે, ન કોઇ આહ પણ રહેશે.
ન કોઇ ખ્યાલ પણ રહેશે, ન કોઇ સ્વપ્ન પણ રહેશે
જીવન કેરું જતન જે પ્યારથી, કુમાશથી કીધું,
મને ના પૂછશો , આ ખેલનો અંજામ શું રહેશે?શીતલ કો બિંદુના મૃદુ સ્પર્શથી રે ! કૂંપળો ફૂટશે,
નવાં પર્ણો , નવાં ફૂલો, નવેલી જિંદગી ઉગશે.
શ્રી સુરેશ જાનીનો સંપર્ક surpad2017@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
અન્નસુલભતાના વિરોધાભાસે મોનાલીસાનું રહસ્યમય સ્મિત
ફિર દેખો યારોં
બીરેન કોઠારી
સામ્યવાદની પ્રગાઢ અસર હતી એવા સમયમાં અનેક લોકો કળાને ‘ભર્યા પેટના ચાળા’ ગણતા હતા. બે ટંક ભોજનના ફાંફા હોય એવે ટાણે કળાનો વિચાર શેં આવે? કળાનું બજાર વિકસતું ગયું એમ આ ખ્યાલ કદાચ દૃઢ થતો ગયો હશે, કેમ કે, વિવિધ કળાકૃતિઓ ઊંચા દામે વેચાતી થઈ અને તેને ખરીદવી એ મોભાનું પ્રતીક ગણાવા લાગ્યું. કળાનું બજાર આજે એટલું જ જોરમાં છે, પણ એ માટે લોકોનો કળાપ્રેમ નહીં, નાણાંપ્રેમ જવાબદાર છે.
વર્ષના આરંભે જાન્યુઆરી, ૨૦૨૪ના અંતિમ સપ્તાહમાં ફ્રાન્સના પેરિસ ખાતે આવેલા જગમશહૂર લુવ્ર મ્યુઝીઅમમાં બનેલી એક ઘટના પ્રસાર માધ્યમોમાં ચમકી. બે કાર્યકર્તા મહિલાઓએ આ મ્યુઝીઅમમાં મૂકાયેલી ખ્યાતનામ ચિત્રકાર લિઓનાર્દ દ વિન્ચીની ચિત્રકૃતિ ‘મોનલીસા’ પર સૂપ ફેંક્યો. સૂપ ફેંકીને તેઓ ચિત્રની સામે ઊભી રહ્યાં અને ફ્રેન્ચ ભાષામાં બોલ્યાં, જેનો અર્થ આવો હતો, ‘વધુ મહત્ત્વનું શું છે? કળા કે સ્વસ્થ અને ટકાઉ આહારપ્રણાલિ?’ સાશા અને મેરી-જુલિયેટ નામની આ બન્ને મહિલાઓ ‘રીપોસ્ત એલીમોન્તેર’ નામના એક પર્યાવરણસંબંધી સંગઠનની સભ્ય હતી. આ સંગઠને પછી બન્નેનાં આ કૃત્યની જવાબદારી લેતાં ઘોષિત કર્યું, ‘સાશા અને મેરી-જુલિયેટ ટકાઉ આહારની સામાજિક સુરક્ષા અંગેની માગણી કરે છે.’ [1]
આ ઘટનાનાં વિવિધ પરિમાણ છે. ‘મોનાલીસા’ યુરોપના નવજાગરણ યુગની એક મહત્ત્વની કૃતિ લેખાય છે, જે ખરા અર્થમાં અમૂલ્ય છે. દર વરસે લાખો મુલાકાતીઓ આ કૃતિના દર્શને ઉમટે છે. પરિણામે આ કૃતિને અટકચાળું કરવાથી જગતભરના લોકોનું ધ્યાન આકર્ષી શકાશે એમ ધારીને દેખાવકારો કે વિરોધીઓ તેને વિકૃત કે કુરૂપ કરવાનો પ્રયત્ન કરતા રહ્યા છે. આ હુમલા અગાઉ પણ પાંચ વખત તેની પર એક યા બીજી રીતના હુમલા થઈ ચૂક્યા છે. અલબત્ત, તે કુરૂપ ન થાય એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આ કિસ્સામાં પણ કૃતિ બુલેટપ્રૂફ કાચ પાછળ ઢંકાયેલી હોવાથી તેને કશું નુકસાન થયું નથી.
પોતાની વાજબી કે ગેરવાજબી માગણીઓ પ્રતિ જગતના લોકોનું, ખાસ કરીને સત્તાધીશોનું ધ્યાન દોરવા માટે કોઈ ત્રાહિત બાબતને વચ્ચે લઈ આવીને તેના નુકસાનનો પ્રયત્ન કરવો એ એક પ્રચલિત અને પુરવાર થયેલી કાર્યપદ્ધતિ છે. આ પદ્ધતિનું અંતિમવાદી સ્વરૂપ એટલે અપહરણ યા અન્ય પ્રકારનું ત્રાસવાદી કૃત્ય. આ કિસ્સામાં બન્ને મહિલાઓ શું ઈચ્છતી હતી? તેમણે એમ કહ્યું હોવાનો અહેવાલ છે કે, ‘આપણી કૃષિપ્રણાલિ નકામી છે. આપણા ખેડૂતો કાર્યસ્થળે મરી રહ્યા છે.’
જે સંગઠનની તેઓ સભ્ય છે એ જૂથે ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે ‘ફ્રાન્સમાં દર ત્રણ પૈકી એક જણ સ્રોતના અભાવે આહાર પામી શકતો નથી. બીજી તરફ વીસેક ટકા જેટલો ઉત્પાદિત ખોરાક ફેંકી દેવામાં આવે છે.’ આથી આ સંગઠનની માગણી છે કે ‘આહારને સામાજિક સુરક્ષાના માળખામાં સામેલ કરી લેવામાં આવે અને પ્રત્યેક નાગરિકને દર મહિને દોઢસો યુરોનું એક કાર્ડ આપવામાં આવે, જેથી તેઓ ‘લોકશાહી ઢબે પસંદ કરાયેલી’ પૂર્વમંજૂરી ધરાવતી પેદાશ ખરીદી શકે.’ ઉલ્લેખનીય છે કે ફ્રાન્સમાં ઘણા વખતથી ખેડૂતો સરકારી નિયમનો અને વધતી જતી ઈંધણની કિંમતોના વિરોધમાં પ્રદર્શન કરી રહ્યા છે.
બન્ને મહિલાઓના આ કૃત્ય અંગે વિવિધ પ્રકારની ટીપ્પણીઓ થઈ રહી છે. કેટલાક લોકો એને ‘દેખાડાબાજી’ ગણાવી રહ્યા છે. કેટલાક માને છે કે તેમનો મુદ્દો સાચો હોય તો પણ વિરોધની આ રીત ખોટી છે, કેમ કે, તેઓ લોકોનું ધ્યાન કદાચ આકર્ષી શકે, પણ એનું પરિણામ ખાસ કશું મળતું નથી. કેટલાકે તો ટકાઉ ખોરાકપ્રણાલિ ઊભી કરવા અંગેની માગણી માટે ‘ખોરાકની ચીજ’ એવા સૂપના આ રીતે બગાડ સામે પણ વ્યંગ્ય કર્યો છે.
બન્ને મહિલાઓને જે સજા થાય એ ખરી, પણ આ ઘટના એ હકીકત તરફ નિર્દેશ કરે છે કે ફ્રાન્સની પરિસ્થિતિ કેટલી ગંભીર છે. આ સ્થિતિ કેવળ ફ્રાન્સની કે યુરોપના દેશ પૂરતી મર્યાદિત નથી, વિશ્વભરમાં તે પ્રવર્તી રહી છે. થોડા સમય અગાઉ આ કટારમાં અન્નના અનાદર વિશે લખવામાં આવ્યું હતું. એ મુજબ રાંધેલા અન્નનો બગાડ પૃથ્વીના પર્યાવરણને પ્રદૂષિત કરવામાં મોટું પ્રદાન કરે છે, કેમ કે, તેના માટે અનેક પ્રકારના નૈસર્ગિક સ્રોતનો ઉપયોગ થતો આવે છે.
આપણા દેશમાં પણ પરિસ્થિતિમાં ઝાઝો ફરક નથી. એક તરફ એક મોટો શહેરી વર્ગ એવો ઊભો થયેલો જોઈ શકાય છે કે જેઓ સપ્તાહાંતે કે રજાના દિવસોએ બહાર ભોજન કરવા લાગ્યો છે. નાણાં ખર્ચીને પ્રાપ્ત કરાયેલા આ ભોજનનો બગાડ કરવાનો જાણે કે તેમને અધિકાર મળી જાય છે. ઢગલાબંધ વાનગીઓનો ઓર્ડર આપવો, અને પછી તેને પ્લેટમાં પડી રહેવા દેવી એ જાણે કે નવસામાન્ય પરિસ્થિતિ બની ગઈ છે. શુભાશુભ પ્રસંગોએ પણ ભોજનનો ગુનાહિત વેડફાટ આપણી પરંપરા બની રહી છે. બીજી તરફ એવો મોટો વર્ગ અસ્તિત્વમાં છે કે જેના માટે બે ટંકનું ભોજન સુદ્ધાં વૈભવ સમાન છે. આવો વર્ગ સામાન્ય રીતે નજરે ન પડે એનો અર્થ એમ નહીં કે તેનું અસ્તિત્વ નથી. આવો વર્ગ બોલકો નથી, અને તેમના વતી અવાજ ઉઠાવી શકે એવા બહુ ઓછા છે.
સત્તાધીશોની પ્રાથમિકતામાં આ મુદ્દો આવે ત્યારે ખરો, પણ વ્યક્તિગત ધોરણે આપણે અન્નનો વેડફાટ અટકાવીએ તોય ઘણું.
‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૭ – ૦૨ – ૨૦૨૪ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.
શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી) -
પ્રિયજન-એક પ્રેમોપનિષદ
અમૃતાનુભવની ઉજાણી
દર્શના ધોળકિયા
શ્રી વીનેશ અંતાણી કૃત ‘પ્રિયજન’ પ્રેમના વિવિધ આયામોને પ્રગટ કરતી. પ્રેમના ઊંડાણનો સ્પર્શ કરાવતી, સરળ-ગહન ભાવોનું દર્શન કરાવતી એક એવી નવલકથા છે જેના વિશે મૂક થઈને વાચાળ થવાનો વિરોધાભાસી અનુભવ સહૃદય અનુભવતો રહે છે. ‘પ્રિયજન’ ભાવોના સાધારાણીકરણની આત્યંતિક ક્ષણોમાં આપણને મૂકી દે છે. આખી કૃતિ વાંચી લીધા પછી એક નવલકથા પૂરી કરી એવું લાગવાને બદલે વેદનાનું વન પસાર કર્યાની લાગણીમાં ભાવક ઘેરાઈ જાય છે.

કૃતિ એક નવા જ વાતાવરણમાં સતત વિકસતી રહે છે. અનેકવાર કહેવાતી કોઈ પ્રેમકથા અહીં નથી; કે નથી કોઈ પ્રણયત્રિકોણનો આભાસ. અહીં તો બે પુરુષો ને બે સ્ત્રીઓનાં – બે દામ્પત્યોનાં ભરપૂર જીવન વચ્ચેનો ઘેરો અવકાશ કૃતિનો ‘સા’ છે. કૃતિ ચાર પાત્રોમાં વહેંચાતી વહેચાતી અખંડત્વને પામતીરહે છે.
પંચાવનમેં વર્ષે પહોંચેલા નિકેત અને ચારુનું એક સમયના પ્રિયજનોનું –ચારુના ગામમાં થયેલું આકસ્મિક મિલન ને એ મિલને ઠેલી દીધેલાં વર્ષો, સ્મૃતિ માટે ઉઘાડેલી બારીઓ – એ ‘પ્રિયજન’નું પાતળું કથાવસ્તુ.
પ્રિયજન એવાં ચારુને નિકેત, કારણોસર, સમજપૂર્વક છૂટા પડેલાં છે, બંને પોતપોતાના જીવનમાં ગોઠવાય છે; પોતાનું સ્વત્વ તેમને મળેલા અનેરાં પાત્રો દિવાકરને ઉમામાં ઓગાળવા ભરપૂર પ્રયત્ન કરે છે. પણ એક ઘેરા શૂન્યાવકાશનું આછેરું આવરણ તેમના વર્તમાનને ભૂતકાળમાં ઢાળી દે છે.
નિવૃત્ત થયેલો નિકેત જીવન દરમ્યાન મનમાં જીવાયેલા ગામમાં – ચારુના ગામમાં-નિવૃત્તિનો પ્રારંભ ગાળવા માટે આવે છે ને અચાનક જ તેનું ચારુ સાથે મિલન થઈ જાય છે. ચારુના આમંત્રણથી એ ચારુને ઘેર જ આવે છે. એકબીજાને જોતાં જ બંનેને ખ્યાલ આવે છે કે આ ક્ષણ બંનેના પરસ્પર પુનઃપ્રવેશની નથી કે કેમકે એ બંને એકબીજાની અંદર જ જીવેલા છે.
બંનેના જીવનમાં વચ્ચેનાં વર્ષોનો એક અજાણ્યો પ્રવાહ વહ્યો છે. એ અજાણ્યા પ્રવાહમાં બે પાત્રો તરતાં દેખાય છે-નિકેતની પત્ની ઉમા ને ચારુનો પતિ દિવાકર. આ બંને પાત્રો કૃતિમાં પ્રત્યક્ષ હાજર નથી પણ નિકેત અને ચારુના મન પર તેમનો જે અદ્રશ્ય કબજો છે એનું બળ કૃતિને અત્યંત સંવેદનશીલ ક્ષણોમાં મૂકી દે છે. આ બંને પાત્રોએ પોતપોતાનાં પ્રિયજનોને ભરપૂર જીવન આપ્યું છે છતાં નિકેત અને ચારુનો એકબીજા વિનાનો સૂક્ષ્મ અવકાશ પૂરી શકાયો નથી. જીવનની આ ઝીણી વેદના બંનેના જીવનપટ પર ફેલાયેલી રહી છે. આથી જ તો ચારુ નિકેતને પૂછે છે કે, ‘ઉમાએ મારી ખોટ ન આવવા દીધી ?’ ત્યારે નિકેતનો ઉત્તર મળે છે : ‘એમ તો કેમ કહું? તારા સંદર્ભમાં જીવતો હતો એ વેદના ઠરીને છેક તળિયામાં સ્થિર થઈ ગઈ. તું જાણે ફ્રીઝ થઈ ગઇ મારામાં. અને ઉમા ચારે તરફ ફરી વળી.’ ઉમા નિકેતનું સર્વસ્વ પણ કેન્દ્રબિંદુ તો ચારુ જ.
ચારુએ પણ જીવનભર એ જ અનુભવ કર્યો. એના મનના તળિયામાં સમુદ્ર જેવી જ એક બીજી જીવનસૃષ્ટિ જીવતી રહી.
આ બંનેને પ્રેમ દરિયાકિનારે જ ઊગ્યો, પાંગર્યો ને વિસ્તર્યો તેથી એ નિઃસીમ બની શકયો, પ્રૌઢ બની શક્યો. આ પ્રૌઢીને જાળવતાં જાળવતાં મનુષ્ય હોવાને નાતે એ બંને બેવડ વળી જાય એટલી હદે તૂટી ગયાં છે પણ પોતાની પ્રૌઢી છોડી નથી. આથી જ તો ‘સમયનાં કેટલાં વન પસાર કરવાનાં હોય છે?’ એવા ચારુના ઉદ્ગારના જવાબમાં અપાયેલો નિકેતનો ઉત્તર પરિપક્વતાનો દ્યોતક છે. એ કહે છે ‘તે પણ ઘવાયા વિના. જેવા હોઈએ તેવા જ પાર નીકળવાનું . એ વનનો એક પણ કાંટો ચુભવો ન જોઈએ કે એક પણ ફૂલ જોયા વિનાનું ન રહી જવું જોઈએ.
સમયના વન તરફની આ પ્રામાણિક નિષ્ઠાને કારણે જ ચારુને નિકેત પોતપોતાને મળેલા જીવનને પૂર્ણ રીતે જીવવાનો પ્રયત્ન કરી શક્યા છે ને એ પ્રયત્નમાં મહદંશે સફળ પણ બની શક્યાં છે; બંનેનાં જીવનમાં આવેલાં અજાણ્યાં પ્રિયજનોનું કેન્દ્રબિંદુ બની શકયા છે. ઢળતા જતા જીવનની એક સમજે ચારુ ઓફિસથી આવેલા દિવાકરને પૂછે, તમે થાકી ગયા છો ?’ ને જવાબ મળે, ‘તારા જેવી પત્ની હોય અને થાકી જવાય.” સંતાનો સાથે રમતના મેદાનમાં બેઠેલા ચારુ દિવાકર બધાની વચ્ચે એકલા પડી શકે, ખોવાઈ જઈ શકે એટલી હદે ચારુએ દિવાકરને પોતામાં ઓગાળ્યો છે.
નિકેત- કદાચ પુરુષ હોવાને કારણે ઉષામાં આટલો બધો ઓગળી શક્યો નથી પણ એણે ઉમાને પોતાની તો કરી જ છે. પોતાના ભૂતકાળને દમ ભરીને ભૂલતાં ભૂલતાં એ ઉમાને પોતાની અંદર પ્રવેશવાની તક આપતો આપતો ઉમાનો પ્રિયજન બની બેસે છે. ઝીણી વેદનાને જીવતાં જીવતાં આ બંને પાત્રો આટલું કરી શક્યાં એ એમના પ્રેમની હેસિયત સૂચવી જાય છે.
પણ કૃતિના વિસ્તાર માટે આટલું પૂરતું નથી. આ બંનેનો અનુરાગ વિરહની કસોટીએ ચડ્યો છે ત્યારે,ભાર તડકાના વાતાવરણની વચ્ચે વૃક્ષના વિસામા જેવાં દિવાકરને ને ઉમાનાં પાત્રો જે રીતે અહીં ઊઘડ્યાં છે તે ક્ષણો ક્ષણભર તો ચારુ – નીકેતને પણ વિસરાવી દે છે. દિવાકર ને ઉમાની બાથ બહુ મોટી છે. પોતપોતાનાં પ્રિયજનોને તેમની ઉદાસીન ક્ષણોની સાથે બંનેએ સ્વીકારી લીધાં છે. આ ઉદાસીન ક્ષણોનાં બંને સાક્ષી હોવા છતાં ખબર હોવાનો ભાવ તેઓ કળાવા દેતા નથી. ને જયારે આ ભાવ કળાવાની તક બંને ઝડપે છે. ત્યારે ચોકવાનું ચારુ-નિકેતના ભાગે આવે છે.
ઉમાએ નિકેતની ક્ષણેક્ષણ પ્રમાણી છે. કાશ્મીરના પ્રવાસે ગયેલો નિકેત, શિકારામાં બેઠાં બેઠાં ભરપુર સુખ અનુભવે છે અને બરાબર ત્યારે જ ચારુનો ચહેરો તરવરી ઊઠે છે. પરિણામે વિહવળતાનો ઓછાયો તેના પર ફરી વળે છે. આ જોઇને ઉમા કહે છે. ‘તમારા ચહેરા પર આવડો મોટો સળ પેડ ને હું ન ઓળખું? તમારા તરફ મારી પીઠ હોય તોપણ મને ખબર પડે. જયારે આ તો તમારો ચહેરો મારી સામે છે.’
ઉમા, નિકેતના અવસાદની સતત સાક્ષી છે. મૂક રીતે નિકેતની હૃદયગુહામાં કોઈનો આકાર તેણે જોયો છે.. પણ ઉમા ખૂલે તો છે પોતાની જીવનસંધ્યાની ક્ષણે. નિવૃત્ત થયેલો નિકેત ફરીથી એકવાર ભરપૂર ક્ષણોની વચ્ચે ચારુને સંવેદે છે ત્યારે પાન બનાવતી ઉમાના હાથ તેના ખભાને સ્પર્શે છે. નિકેત એને કોઈ સંદર્ભ વિના પ્રશ્ન કરે છે, ‘આવું કેમ બનતું હશે?’ ત્યારે માત્ર અનુભવથી જ સમજેલી ઉમા કહે છે, ‘સમજી શકાય એવું છે. આ બધાની ઉપર તમારી અંદર બીજો પણ એક સમયખંડ જીવતો હોય તો –‘ ને નિકેત લગભગ ફાટી આંખે જોઈ રહ્યો. ઉમા ત્યારે સ્પષ્ટ થતા કહે છે, ‘એનું નામ આજે તો મને કહો.. જયારે તમારો પંચાવન વર્ષનો પ્રવાસ પૂરો થયો હોય, પૌત્ર સાઇકલ ફેરવતો હોય, પત્ની પાન બનાવતી હોય ત્યારે પણ તમારી પાઈપ ઉપર જલતો વર્તમાન થોડી ક્ષણો માટે ઠરી જાય ને છતાં તમે પ્રમાણિક ન બનો? હવે આપણા જીવનમાં તરડ નહીં પડે. સંબંધોની ઉપર ઘણું જીવી લીધું આપણે. હું તમારી ક્ષણેક્ષણને ઓળખું એવું અભિમાન રાખું ને છતાંય તમારી અંદર લાંબા પટ જેવા વિસ્તરેલા એક સમયખંડ વિશે કશું જ જાણતી ન હોઉં એ મારી કેવડી મોટી નિષ્ફળતા કહેવાય? તમે એવું ઈચ્છો છો કે હું તમારા વિષે અધૂરી રહું ? આ ઉમાનો ચહેરો છે, જેને નિકેત કદાચ પહેલીવાર, આવી નાજૂક ક્ષણે ઓળખી શક્યો છે, ઉમાની આ આકૃતિ સમક્ષ નિકેત ક્ષણભર ઝાંખો પડે છે.
બરાબર ઉમા જેવો જ ચહેરો દિવાકર પણ ધરાવે છે એ ચારુ – નિકેતના જીવનનું સુખદ આશ્ચર્ય છે. જીવનસંધ્યાએ દિવાકર ચારુને પૂછી બેસે છે. ‘ક્યારેક ક્યારેક મને એવું લાગે છે કે તું મારી બનુંમાં જીવતી હોય છે છતાં જોજનો દૂર હોય છે…. હું માત્ર જાણવા માંગું છું . હું તને કશુંક ઓછું આપતો હોઉં એવું લાગે છે… તારા મનનો એક ખૂણો રણ જેવ બળબળતો જીવે છે ને તારા મનનો એ પ્રદેશ હું શોધી શક્યો નથી. હું તો આખી ચારુને મારા હોવાપણાથી ઢાંકી દેવા માંગું છું.’ જવાબમાં ચારુ કહે છે , ‘તે ઢાંકી જ છે.’ ત્યારે દિવાકર પૂછે છે, ‘તો પછી?’
‘એનું નામ શું છે?’ પૂછતી ઉમાને ‘તો પછી?’ પૂછતો દિવાકર, એક બિંદુ પાસે અનાયાસ ભેગા થઇ જાય છે. બંનેમાં પ્રિયજન તરીકે રહેલું સંવાદનું આ તત્ત્વ પ્રેમના એક રૂપનું ઉદઘાટન કરે છે જે રૂપમાં માલિકીભાવનો, અણધડ અધિકારતવનો અભાવ છે. ચારુ-નીકેતને પોતાનાં બનાવવામાં કશુંક ખૂટ્યાનો ભાવ ચારુ-નીકેતને બદલે આ બંને અનુભવે છે ! ભાવક આ ક્ષણે મુખ્ય પાત્રોને ભૂલીને ઉમા-દિવાકર વચ્ચે બીડાઈ જાય છે. તેની આજુબાજુ આ બંને કોમળતાની વજ્ર દીવાલ ઊભી કરી દે છે.
‘પ્રિયજન’ સંજ્ઞા વિસ્તૃત થતી થતી પરાકાષ્ઠાએ પહોચે તો છે દ્રષ્ટિને અંતે. વિદાય લેતો નિકેત ચારુને પૂછે છે, ‘અત્યારે કેવો અનુભવ થાય છે?’ ચારુ કહે છે, ‘દિવાકર બીજીવાર મૃત્યુ પામતા હોય એવું લાગે છે.’ ને વિદાય લેતા નિત ઉમા પાસે પહોંચવા ઉતાવળો બને છે. ઉમા ને દિવાકરના આરોહાનનું આ અંતિમ ચરણ છે. કોણ કોનું પ્રિયજન છે એ વાત વિચારવાનો હવે અવકાશ જ રહેતો નથી, ને અર્થ પણ નહીં. બધાં પાત્રોની રેખાઓ પરસ્પરમાં ઓગળી જાય છે ને ચારે જણ બને છે ભાવકના પ્રિયજન.
કવિ સાદ્યંત, પ્રચ્છન્ન રીતે સૂક્ષ્મ કસકનો અનુભવ આપે છે. કરુણનું ધીમું ગાન સહૃદયના મનોજગતના સુકાયેલા તળાવ જેવા ચીરા પાડતું પાડતું કૃતિને અંતે ન સહેવાય તેવા વેદનાના ઓથાર નીચે ચાંપી દે છે. પાત્રોની બાહ્ય પ્રસન્નતા તેમાં સહેજ પણ મદદ કરતી નથી. દ્રષ્ટિનો અનુભવ મીરાંની જીવનભરની વેદનાની યાદ અપાવે એવો ગેરુઓ રંગ ધારણ કરે છે. ભાવક પણ કશાકથી છૂટા પડી ગયાની વેદનાને આત્મસાત કરે છે.
કૃતિમાં પ્રગટ થયેલો પ્રેમનો મર્મ ‘પ્રેમ’ એવી સામાન્ય સંજ્ઞાના સમાવેશની બહારનો છે. એની નિઃસીમતા મૌનસમાધિમાં મૂકી દે છે. કૃતિ બને છે એક પ્રેમોપનિષદ. નવલકથાને બહાને અહીં જે કહેવાય છે તેની સાથે ભાવકનો એક અનોખો અનુબંધ રચાય છે. આ નિઃશબ્દ ક્ષણોને માણવા જેવી છે – ‘પ્રિયજન’ના પ્રિયજન બનીને.
સૌજન્ય: ‘કચ્છમિત્ર’માં દર બુધવારે પ્રકાશિત થતી કોલમ ‘વાચનથાળ’
ડૉ. દર્શના ધોળકિયાનો સંપર્ક darshnadholakia@gmail.com વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
સિનેમા પેરેડીસો – આ તો જાણે આપણા ગામનું થિયેટર
સંવાદિતા
આપણા સૌની બચપણની સ્મૃતિઓના ગામોમાં આવા થિયેટરો હતાં જ્યાં હવે શોપીંગ સેંટરો ધમધમે છે અને જ્યાં હજી પણ આપણી ખટમીઠી સ્મૃતિઓના અવશેષ ધરબાયેલા પડ્યા છે.
ભગવાન થાવરાણી
આજે વાત કરીએ ૧૯૮૮ ની એક ઉત્તમ ઈટાલિયન ફિલ્મ ‘ સિનેમા પેરેડીસો ‘ એટલે કે ‘ પેરેડાઈઝ ટોકીઝ ‘ વિષે. ફિલ્મના નિર્દેશક છે ગિસેપ તોરનાતોરે . આ આપણામાના એવા લોકોના મનની વાત છે જેમનું પોતાનું એક ગામ હતું, ગામનું એક ચર્ચ ( કે મંદિર ) હતું, ચર્ચનો પાદરી ( કે પૂજારી ) હતો, નિશાળ હતી, ચોક હતો, ચોકમા બહુ ભીડ નહીં એવી આછેરી ચહલપહલ હતી અને સૌથી અગત્યનું કે એ ચોકમાં એક સિનેમા હતું જ્યાં દર અઠવાડિયે નવી ફિલ્મો ‘ ચડતી ‘ ! આ ગામના આબાલવૃદ્ધ ફિલ્મઘેલા લોકો એ ફિલ્મો અને એની વાર્તાઓ રીતસરની જીવતા. એમના આનંદ, દુખ, ઉલ્લાસ, ઉદાસી, પ્રેમ અને નિરાશાઓ એ સિનેમા અને એમાં લાગતી ફિલ્મો સાથે વણાયેલી હતી.
‘ સિનેમા પેરેડીસો ‘ 1ગાથા છે દ્વિતીય વિશ્વ યુદ્ધેતર ઈટાલિના એક નાનકડા ગામ ગિઆનકેલ્ડોની, ત્યાંના સિનેમાગૃહ ‘ પેરેડીસો ‘ અને એના પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની, તેની સાથે એક ફિલ્મઘેલા બાળક તોતો ઉર્ફે સાલ્વાટોર ઉર્ફે સાલ્વાટોર ડી વિત્તાની દોસ્તીની. .ફિલ્મ વર્તમાન – ૧૯૮૮ માં શરુ થાય છે અને પછી ભૂતકાળમાં સરી પડી પાછી વર્તમાનમાં આવે છે. જગવિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તાને એની માનો ગામેથી ફોન આવે છે કે એનો મિત્ર આલફ્રેડો અવસાન પામ્યો છે અને એ મિત્રની અંતિમયાત્રામાં હાજર રહેવા માંગતો હોય તો તુરત ગિઆનકેલ્ડો પહોંચે. સાલ્વાટોર ઉર્ફે તોતો ત્રીસ વરસ પહેલાં એનું ગામ, વિધવા મા મારિયા, નાની બહેન લિયાને છોડીને રોમ આવી વસ્યો છે જ્યાં એણે એક ફિલ્મકાર તરીકે વિશ્વવ્યાપી કીર્તિ અને કલદાર હાંસલ કર્યા છે. એ પછી એ ક્યારેય ગામ ગયો નથી. મા સાથે અછડતો ટેલિફોન – વ્યવહાર જળવાયો છે, બસ . સંદેશો મળતાં એ સ્મૃતિવનમાં સરી પડે છે.૧૯૪૪. બાળક તોતો ફિલ્મઘેલો છે. ભણવામાં હોશિયાર પણ એ સંમોહિત છે ફિલ્મો અને એના ઝગમગતા સિતારાઓની આભાથી. મા એને દૂધ લેવા મોકલે અને એ દૂધના પૈસામાંથી ફિલ્મની ટિકિટ લઈ સિનેમામાં બેસી જાય ! એના પિતા યુદ્ધના મોરચે ગુમ છે અને એમને મૃત માની લેવામાં આવ્યા છે. ક્યારેક એ સિનેમાના પ્રોજેક્ટર રૂમમાં ઘુસી જાય અને પ્રોજેકશનીસ્ટ આલફ્રેડોની કારીગરી મુગ્ધતા અને કુતુહલપૂર્વક જોયા કરે. શરુઆતમાં એને હડધૂત કરી હાંકી કાઢતો આલફ્રેડો ધીમે ધીમે એનું બાળમાનસ સમજે છે અને એને રીલ બદલવા, પ્રોજેક્ટર ચાલુ કરવા વગેરેનો કસબ શીખવે છે. બન્નેની મૈત્રી કાળેક્રમે પ્રગાઢ સ્વરૂપ પકડે છે અને સંતાનવિહોણો આલફ્રેડો તોતોને પોતાનો માનસપુત્ર માનવા લાગે છે.પેરેડાઈઝ સિનેમા ગામના પાદરીની માલિકીનું છે. સમાજના ‘ નૈતિક મૂલ્યો ‘ ની જાળવણી માટે પાદરીએ એક નિયમ રાખ્યો છે. ફિલ્મ જાહેર જનતા માટે પ્રદર્શિત થાય એના આગલા દિવસે પોતે એકલા સિનેમામાં જઈ આલફ્રેડોને આખી ફિલ્મ ચલાવવાનું કહે અને જેવા પડદા પર કોઈ ચુંબન કે આલિંગન જેવા દ્રષ્યો આવે કે તુરત પોતાના હાથની ચેતવણીસૂચક ઘંટડી વગાડે. એનો અર્થ આલફ્રેડોએ એવો સમજવાનો કે એ દ્રષ્યની પટ્ટી એણે કાપી નાંખવાની છે !ગામના ચોકની બરાબર મધ્યમાં આવેલા આ એકમાત્ર સિનેમા હોલમાં રાત્રિનો છેલ્લો શો છૂટે કે તરત ચોકમાં જ પડ્યો – પાથર્યો રહેતો એક ગાંડો લોકોને બૂમો પાડી ચોક તાબડતોબ ખાલી કરવાની કડક સૂચના આપે કારણ કે એણે ચોકને ‘ તાળું મારવાનું ‘ છે !એક દિવસ પ્રોજેક્ટર રૂમમાં જ્વલનશીલ ફિલ્મ રોલ સળગી ઊઠતાં આગ લાગે છે. તોતોની હાજરીમાં આલફ્રેડો ગંભીર રીતે દાઝે છે. તોતો એને બચાવી તો લે છે પણ એ બન્ને આંખો ગુમાવે છે. આખું સિનેમા સળગી જાય છે.ગામનો એક નવ-શ્રીમંત સિનેમાનું પુનર્નિર્માણ કરાવે છે. નવા રંગરૂપ સાથેના સિનેમાના પ્રોજેક્ટર રૂમનો હવાલો બાળક તોતોને સોંપવામાં આવે છે કારણ કે ગામમાં એના સિવાય કોઈને એ કામ આવડતું નથી !તોતો યુવાન થાય છે. હવે એને બધા સાલ્વાટોર કહે છે. અંધ આલફ્રેડો ક્યારેક આવીને સાલ્વાટોર સાથે પ્રોજેક્ટર રૂમમાં બેસે છે. સાલ્વાટોર પણ એને પરમ મિત્ર અને પિતા સમાન માન આપે છે. ગામમાં નવી રહેવા આવેલી એલેના નામની છોકરીને જોઈ એ એના પ્રેમમાં પડે છે પણ એલેનાના શ્રીમંત માબાપને આ સંબધ મંજૂર નથી. અનુભવી આલફ્રેડોને આ પ્રેમ નામે પદારથ અને એનાથી થતા ખાનાખરાબીના રહસ્યોની ખબર છે. એલેનાના પ્રેમના કારણે હવે પોતાના નાના મુવી કેમેરાથી નાની – નાની ફિલ્મો પણ બનાવવા લાગેલા સાલ્વાટોરને એ ચેતવે છે કે પ્રેમમાં પાગલ થઈશ તો તારું ભવિષ્ય બની રહ્યું ! તારું સ્થાન આ ભૂખડીબારસ ગિઆનકેલ્ડોમાં નહીં, રોમ જેવી કલા નગરીમાં છે. આ બધું છોડીને ભાગ અને ત્યાં જઈ તારું અધિકારપૂર્વકનું નામ કમાવ ! તારા જેવા હોનહાર માટે અહીં કશું જ નથી. જતો રહે. પાછું વાળીને જોઈશ નહીં. મને કે તારા કુટુંબને યાદ કરીશ નહીં. લાગણીવેડામાં પડીશ નહીં.ઘણી કશ્મકશ પછી સાલ્વાટોર રોમ જતો રહે છે. ત્યાં એને એની ક્ષમતા મૂજબની કીર્તિ પ્રાપ્ત થાય છે. એ હવે વિખ્યાત ફિલ્મસર્જક સાલ્વાટોર ડી વિત્તા છે. સમગ્ર દેશ એના નામ અને કામથી પરિચિત છે.ત્રીસ વર્ષ. આલફ્રેડોની સલાહ અક્ષરશ: માની એણે પોતાના ગામ કે સ્વજનો ભણી પાછું વાળીને જોયું નથી. ગામમાં મા હવે વૃદ્ધ થઈ છે અને એકલી રહે છે. બહેન પરણી ગઈ છે અને એના ઉમરલાયક બાળકો છે. અચાનક આ દુખદ સમાચાર ! એ ગામ જવાનું નક્કી કરે છે. ગામ હવે નાનું એવું શહેર બન્યું છે. બધું બદલાઈ ગયું છે. એના પરિચિતો બધા હવે વૃદ્ધ થયા છે. સહાધ્યાયીઓ એની જેમ પાકટ. એ મોટા ભાગનાને ઓળખી જાય છે. લોકો એની નામનાથી પરિચિત છે. મા એના બારણે ટકોરાને ઓળખી જાય છે. ‘ આ તો મારો તોતો જ ‘ વિચારતી એ બહાવરી બની બારણું ખોલવા દોડે છે. એના હાથમાં ગૂંથાઈ રહેલા સ્વેટરના તાણાવાણા એની દોટ સંગે ઉખડે છે એના સ્મરણોના ઘોડાપૂર સાથે !સાલ્વાટોર આલફ્રેડોની અંતિમ યાત્રામાં શામેલ થાય છે. આલફ્રેડોની વિધવા એને કહે છે કે એ તારા નામે બે વસ્તુ મૂકતા ગયા છે. તું નાનો હતો ત્યારે જેના પર ચડીને ફિલ્મનું રીલ ફેરવતો એ સ્ટૂલ અને ફિલ્મનું એક રીલ.ફિલ્મના એક હૃદયવિદારક દ્રષ્યમાં હવે ખખડધજ બનેલા સિનેમા પેરેડીસોને સુરંગથી ઉડાડી દેવામાં આવે છે. એ જગાએ હવે આધુનિક પાર્કીંગ લોટ બનવાનો છે. જેમની સ્મૃતિઓ આ સિનેમા સાથે જોડાયેલ છે એ બધા એ કરુણ દ્રષ્ય જોવા ટોળે વળે છે અને સજળ નેત્રે પોતાના સપનાના મહેલને કડડભૂસ થઈ તૂટી પડતું નિહાળે છે. પ્રેક્ષકોમાં તોતો – સાલ્વાટોર પણ છે. એના માટે તો એ થિયેટર એના જીવનનું સૌથી અગત્યનું પ્રકરણ !ફિલ્મનું અંતિમ દ્રષ્ય. પોતાના ઘરે રોમ પાછા ફરી સાલ્વાટોર પેલા આલફ્રેડોવાળા ફિલ્મના રીલને પ્રોજેક્ટર પર ચડાવે છે. એના આશ્ચર્ય વચ્ચે એ નિહાળે છે એ બધા અંતરંગ રોમાંસના સાંધી દીધેલા દ્રષ્યો જે પાદરીએ ફિલ્મમાંથી કપાવી નંખાવેલા પણ આલફ્રેડોએ એના પરમ મિત્ર તોતો માટે સાચવી રાખેલા !મૂળ ફિલ્મઆશરે ત્રણ કલાક લાંબી છે જે બાળક તોતો, યુવાન સાલ્વાટોર અને પ્રૌઢ સાલ્વાટોર ડી વિત્તાની કથની વચ્ચે વહેંચાયેલી છે.ફિલ્મના બધા મુખ્ય પાત્રોની ભૂમિકાઓ એમની ઉંમરના બદલાતા દૌર અનુસાર અલગ – અલગ કલાકારોએ ભજવી છે, એક આલફ્રેડોના પાત્ર સિવાય જે ફિલીપ નોઈરેટ નામના ફ્રેંચ અભિનેતાએ અદ્ભૂત રીતે ભજવ્યું છે.ફિલ્મને ૧૯૮૯ ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મનો ઓસ્કર મળેલો. એની ગણના વિશ્વની સર્વકાલીન ઉત્તમ ફિલ્મોમાં થાય છે.
1
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
-
આપણા રોજબરોજનાં જીવનનાં સુખની ખોજનું અર્થશાસ્ત્ર : પ્રકરણ # ૪.૫ ઉપાડ
જીવનની અર્થવ્યવસ્થાનો
વ્યાવહારિક અમલ
૪.૫
ઉપાડ
દિવ્યભાષ સી. અંજારીઆ
કમાણી, ખર્ચા, બચતો, રોકાણો કરવાં અને પાછાં ઉપાડી લેવાં અને બચતો, રોકાણો કે વળતરો જેવાં સંસાધનોની શી રીતે વહેંચણી કરવી. એવા રોજબરોજના નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં છે.
આ પહેલાં આપણે # ૪.૧ માં કમાણી, # ૪.૨ માં ખર્ચ , # ૪.૩માં બચત અને # ૪.૪ માં રોકાણ એમ ચાર મહત્વનાં પાસાંઓની જુદી જુદી લાક્ષણિકતાઓ વિશે વાત કરી ગયાં.
હવે આપણે અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં પાંચમાં મહત્ત્વનાં ઘટક ‘ઉપાડ‘ વિશે વાત માંડીશું.
ઉપાડ શા માટે?
આપણે આપણાં રોકાણોને સજાવી રાખીને, તેમને જોઈ જોઈને, ખુશ ન થયા કરી શકીએ. આપણે રોકાણ કરીએ જ એટલા સારૂ છીએ કે આપણા ભવિષ્યના ખર્ચાઓને, કે અચાનક આવી પડતા, વિપરીત, સંજોગોને, પહોંચી વળી શકીએ. ભવિષ્યમાં જ્યારે જરૂર પડે ત્યારે યોગ્ય સમયે, યોગ્ય પ્રમાણમાં આપણું રોકાણમાંથી ઉપાડ કરીને એ પરિસ્થિતિની જરૂરિયાત પુરી કરવી પડતી હોય છે.
ઉપાડ કેટલો કરવો?
આપણી હાલની જરૂરિયાતને પહોંચી વળી શકાય તેટલી આપણી કમાણી ન હોય તો ભૂતકાળમાં કરેલી બચતો, કે રોકાણો,માંથી ઉપાડ કરીને એ જરૂરિયાત પુરી કરી શકાય છે. બચત કે રોકાણ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય પણ એ જ તો હોય છે.
આપણી જરૂરિયાત પુરી થઈ શકે એટલો ઉપાડ આપણે આપણી બચત કે રોકાણમાંથી કરવો જોઈએ.
પણ જો બચત કે રોકાણ પર્યાપ્ત ન હોય તો?
બચત કે રોકાણ કરતી વખતે આપણી ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળી શકાય તેનું આપણે ધ્યાન રાખ્યું હોય તો પણ ઘણી વાર એવું બને છે કે જ્યારે ખરેખર જરૂરિયાત ઊભી થાય ત્યારે એ બચત કે રોકાણ પુરાં ન પડે. આમ થવા પાછળનાં મુખ્ય કારણોમાંનું પહેલું કારણ તો એ કે બચત કે રોકાણ કરતી વખતે આપણે ભવિષ્યના ખર્ચાની જે ગણતરી મુકી હોય તેના કરતાં વાસ્તવિક ખર્ચ ઘણું વધારે આવી પડે. કે પછી ધાર્યા કરતાં ખર્ચ વહેલું પણ આવી પડ્યું હોય એમ પણ બને. આપણે અપેક્ષા કરી હોય તે કરતાં ખરેખર મળેલું વળતર ઓછું હોય તો પણ આપણું રોકાણ અને વળતર મળીને પણ આપણી જરૂરિયાત પુરી ન થાય. આપણે ગણતરી મુકી હોય તે કરતાં આપણી જરૂરિયાતની ચીજવસ્તુઓ કે સેવાના ભાવ ઘણા વધારે વધી જવાને કારણે આપણી તે સમયની જરૂરિયાત માટે આપણી ખરીદ શક્તિ પર્યાપ્ત ન પરવડે એમ પણ બનતું હોય છે. તે ઉપરાંત આપણી વધતી જતી અપેક્ષાઓને કારણે આપણી જરૂરિયાતો જ એટલી વધી ગઈ હોય કે આપણી વર્તમાન બચત કે રોકાણથી તેને સંતોષી ન શકાય.
આ બધી સંભવિત ઘટનાઓ નાણાકીય અર્થવ્યવસ્થામાં નાણાના સંદર્ભમાં લેવાયેલા નિર્ણયો અને તેના અમલ સાથે સંબંધિત છે. આ દરેક કિસ્સાઓમાં આવક, વર્તમાન ખર્ચાઓ, બચત અને રોકાણનાં દરેક પાસાંને અનુરૂપ નાણાની જે કંઈ વ્યવવ્સ્થા કરી હતી તે ભવિષ્યની જરૂરિયાતોના સંદર્ભમાં અપુરતી નીવડેલ છે. રોકાણ સલાહકારો એવી સલાહ આપતાં હોય છે કે પોતાની જરુરિયાત પુરી કરવા માટે જે ઉપાડ કરવો પડવાની શક્યતા હોય તેના કરતાં વધારે બચત ઊભી કરવી હિતાવહ છે, જેથી સંભવિત ફુગાવાની અસરોને પહોંચી વળી શકાય. પરંતુ જેમની વર્તમાન આવક અમુક સ્તરની જ બચત કરવા માટે પુરતી હોય એવા સંજોગોમાં વધારાની બચત કરવા માટે અત્યારની, કે ભવિષ્યની, જરૂરિયાતોમાં કાપ મુકવાની જરૂર પડી શકે, કે વધારાનું કરજ ઉભું કરવું પડે. આવતી કાલની ચિંતામાં આજની જરૂરિયાતો પર કાપ મુકવાની સલાહ કેટલે અંશે વ્યાજબી ગણવી ? નાણાકીય અર્થવ્યવસ્થાના સિદ્ધાંતોની દૃષ્ટિએ કદાચ એ ઉચિત સલાહ હશે,પણ દરેક વ્યક્તિની પોતાની જીવનશૈલી અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ ઘડાતી અંગત અર્થવ્યયસ્થાના માળખામાં તે માંડ બંધબેસતી જણાય.
આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે
આ સંજોગોમાં આપણાં વ્યક્તિગત જીવનની અર્થવ્યવસ્થા મદદરૂપ બની શકે. આપણી આવક, ખર્ચાઓ કે બચતોમાં નાણાનો સિંહ ફાળો તો રહેવાનો જ છે; એ મુજબ નાણાનું સમજી વિચારીને રોકાણ કરવાની આવશ્યકતાનું અગત્ય પણ ઓછું ન આંકવું જોઈએ. તેમ છતાં, આપણી બિનનાણાકીય આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં સંસાધનોને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવામાં કામે લગાડી શકાય. આ બધાં સંસાધનોને યોગ્ય, કે ક્યારેક થોડાં કલ્પનાશીલ, રીતે કામે લગાડીને આપણી આજની તેમ જ ભવિષ્યની જરૂરિયાતોમાં કાપ મુકવાની સંભાવનાઓને મહદ અંશે નીવારવાની વ્યવસ્થા ઉભી કરી શકાય.
આવડતો, સંપર્કો, સમય અને મહેનત જેવાં આપણાં બિનનાણાકીય સંસાધનોના વર્તમાન ઉપયોગને ભલે હાલનાં નાણા ઉપાર્જનમાં કામે ન લગાડીએ, પણ ભવિષ્યની જરૂરિયાત પુરી કરવામાં કામ આવે એવી આવડત કે સંપર્ક કેળવવામાં, કે કોઈ બિનનાણાકીય સેવા સંસ્થા કે સમુદાયની પ્રવૃત્તિઓમાં યોગદાન આપવા જેવા વિકલ્પોમાં રોકાણ જરૂર કરી શકીએ. સેવાઓની અર્થવ્યવસ્થા પર ભાવ વધારાની અસરો બહુ અસર નથી થતી. એટલે તેટલા પુરતી એ અર્થવ્યવસ્થા વિનિમય અર્થવ્યવસ્થા જેવી ગણી શકાય. એટલે કે, આપણી આવડત કે સેવાનું વર્તમાનમાં આપણે “ખર્ચ” કરીને ભવિષ્યની જરૂરિયાતો પુરી કરવાં મદદરૂપ થાય એવાં “વળતર”વાળાં “રોકાણ”ને ઊભું કરી શકીએ.
નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થામાં આવક રળવા, ખર્ચ કે બચત કે રોકાણ કરવા કે પછી ઉપાડ કરવા માટે નાણાની સમજ જરૂરી છે
નાણા એવી એક કેન્દ્રવર્તી બાબત છે જેના પાયા પર આજની સમગ્ર વ્યવસ્થાની ઈમારત રચાય છે. વ્યક્તિઓ, સંસ્થાઓ અને રાષ્ટ્રોના વ્યક્તિગત તેમ જ સામુહિક આદર્શો અને સ્વપ્નો નાણાના સંદર્ભમાં જ આકાર લે છે. આપણે કમાઈએ નાણામાં છીએ અને ખર્ચ, બચત, રોકાણ અને ઉપાડ પણ નાણાનાં માધ્યમથી જ કરીએ છીએ. એટલે, નાણાકેન્દ્રી અર્થવ્યવસ્થાનાં એક એકમ તરીકે આપણે નાણાની લાક્ષણિકતાઓ, બારીકીઓ, ક્ષમતાઓ અને મર્યાદાઓને સારી રીતે સમજવી એ આજના સમયની માંગ છે.
આપણે જો વિનિમય અર્થવ્યવસ્થામાં રહેતાં હોઈએ તો નાણાને ઓછું મહત્ત્વ, કદાચ, આપી શકીએ. પણ આજે વિનિમય અર્થવ્યવસ્થા લગભગ બધે જ અપ્રસ્તુત બની ગઈ છે. પરિણામે, આપણાં જીવન વ્યવહારોનાં ચેતાતંત્રને ઉર્જા નાણા જ પુરી પાડે છે. એ સંજોગોમાં નાણાની ભૂમિકા અને ઉપયોગની સમજણ આપણાં જીવનમાં આપણે અપેક્ષા કરેલાં સુખની સિદ્ધિ પ્રાપ્તિ આપણે નાણાકેન્દ્રી અર્થ વ્યવસ્થામાંથી ખોળી કાઢવાની છે. તેથી, સુખ અને સંતોષમય વ્યક્તિગત જીવનશૈલી માટેની માર્ગદર્શિકાની આપણે જે રૂપરેખા તૈયાર કરી રહ્યાં છીએ તેમાં નાણાના વ્યવહારોની આર્થિક તેમ અંગત જીવન વ્યવસ્થા પરની અસરોની સમજણનાં રેખાંકનોની આડવાત વચ્ચેથી કરી લઈશું.
આપણી અંગત અર્થવ્યવસ્થાના માળખાંનાં વ્યાવહારિક અમલનાં મહત્ત્વનાં પાસાં સંબંધી નાણાકેન્દ્રી તેમ જ બીનનાણાકીય છ નિર્ણયો અને તેના સંબંધી રોજબરોજના વ્યવહારો ની આડવાત પેટે આપણે હવે પછી નાણાની સમજણની વાત કરીશું.
શ્રી દિવ્યભાષ સી. અંજારીઆનો સંપર્ક dc@anjaria.email વીજાણુ ટપાલ સરનામે થઈ શકે છે.
-
મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વને વધુ સમાવેશી બનાવવાની જરૂર
નિસબત
ચંદુ મહેરિયા
દેશની પહેલી લોકસભામાં મહિલા પ્રતિનિધિત્વ પાંચ ટકા હતું. આશરે સિત્તેર વરસો પછી વર્તમાન સત્તરમી લોકસભામાં તે વધીને પંદર ટકા થયું છે. અર્ધી આબાદીનું રાજકીય પ્રતિનિધિત્વ કેટલું ઓછું છે અને તેમાં વૃધ્ધિ કેટલી ધીમી છે તેનું આ પ્રમાણ છે. આખા દેશની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો સરેરાશ ૮ ટકા જ છે. ગુજરાત સહિત ૧૯ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા ધારાસભ્યો ૧૦ ટકાથી ઓછા છે. ગ્લોબલ જેન્ડર ગેપ રિપોર્ટ ૨૦૨૨માં મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વના મુદ્દે ૧૪૬ દેશોમાં ભારતનું સ્થાન ૪૮મું હતું.
મહિલાઓ માટે પંચાયતથી પાર્લામેન્ટ સુધીના દ્વાર આપણી પિતૃસત્તાત્મક સમાજ વ્યવસ્થાએ ભીડી રાખ્યા છે. રાજનેતાઓની માનસિકતા અને રાજકીય પક્ષોની વિકટરી ફેકટરની સમજે પણ તેમાં મોટો ભાગ ભજવ્યો છે. મહિલાઓના અલ્પ રાજકીય પ્રતિનિધિત્વ માટે લૈંગિક અસમાનતા પણ કારણભૂત છે. રાજકારણ ગંદુ, ભ્રષ્ટ અને બેહદ કઠોર ક્ષેત્ર છે એટલે નરમ, કોમળ, સંવેદનશીલ, મમતામયી અને ચારિત્ર્યશીલ મનાતી મહિલાઓનું તેમાં કામ નહીં તેવી પણ છાપ ઉભી કરવામાં આવી છે. આ કારણોથી મહિલાઓનો રાજનીતિમાં પ્રવેશ ઓછો છે અને પુરુષો તેમાં બાધક છે.એટલે મહિલા અનામત દ્વારા મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વમાં વૃધ્ધિના પ્રયાસો કરવામાં આવ્યા છે.
પંચાયત અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા અનામત ઘણાં વરસો પૂર્વે દાખલ કરી શકાઈ હતી પરંતુ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓમાં મહિલા અનામતનો પ્રયત્ન લાંબા સમયથી સફળ થઈ રહ્યો નહોતો. પ્યૂ રિસર્ચ સેન્ટરના સર્વેક્ષણ પ્રમાણે દર બે પૈકીનો એક ભારતીય માને છે કે મહિલા અને પુરુષ સમાન રીતે સારા રાજનેતા બની શકે છે. દર દસે એક ભારતીય માને છે કે સામાન્ય રીતે મહિલા પુરુષની તુલનામાં સારા રાજનેતા બની શકે છે. એકંદર ભારતીય લોકમાનસ મહિલાઓના રાજકીય પ્રતિનિધિત્વની તરફેણમાં હોવા છતાં સત્તાવીસ વરસોના દીર્ઘ વિલંબે લોકસભા અને વિધાનસભાઓમાં ૩૩ ટકા મહિલા અનામતનું બિલ પસાર થઈ શક્યું છે.

સાંદર્ભિક તસ્વીર: નેટ પરથી સંસદના બંને ગૃહોએ લગભગ સર્વાનુમતે પસાર કરેલા નારી શક્તિ વંદન અધિનિયમ ૨૦૨૩માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાઓમાં મહિલાઓ માટે ૩૩ ટકા જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિની મંજૂરી પછી હવે તે કાયદાનું સ્વરૂપ લેવાની પ્રતીક્ષામાં છે. હાલનું મહિલા અનામત બિલ ૧૨૮મો બંધારણ સુધારો છે. બંધારણના અનુચ્છેદ ૩૩૦ (લોકસભામાં મહિલા અનામત), ૩૩૨ (વિધાનસભાઓમાં મહિલા અનામત) અને ૨૩૯ એ એ ( દિલ્હી વિધાનસભામાં મહિલા અનામત) માં સુધારા કરવામાં આવ્યા છે. મહિલા અનામત માટે ૧૫ વરસોની સમય મર્યાદા ઠરાવવામાં આવી છે. નવી વસ્તી ગણતરી અને પરિસીમન પછી મહિલા અનામતનો અમલ કરવામાં આવશે. અનુસૂચિત જાતિ અને જનજાતિની હાલની જે અનામત બેઠકો છે તેમાં ૧/૩ બેઠકો મહિલાઓ માટે ફાળવવામાં આવી છે. એટલે અનામતમાં પેટાઅનામત કે કોટા વિધિન કોટાની જોગવાઈ છે.
સત્તાવીસ વરસોથી આઠ વખતના પ્રયત્નો છતાં મહિલા અનામત બિલ પસાર થઈ શકતું નહોતું તેનું એક કારણ ઓબીસી મહિલાઓ માટે અનામતની જોગવાઈની માંગણી હતી. લોકસભામાં જે બે મુસ્લિમ સાંસદોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું તેમની માંગણી મુસ્લિમ મહિલાઓ માટે અનામતની માંગણી હતી. આ બંને માંગણીઓને આંકડાકીય હકીકતો સાથે ચકાસતાં તેમાં તથ્ય જણાય છે અને વિરોધ વાજબી લાગે છે.
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૮૪ મહિલા સાંસદો ચૂંટાયા હતા. તેમાં સામાન્ય વર્ગના ૫૫, દલિત અને આદિવાસી ૧૨-૧૨, મુસ્લિમ ૪ જ્યારે ઓબીસી ૧ હતા. ૮૨ મહિલા સાંસદોમાં એક જ અન્ય પછાતવર્ગના હોઈ તેમનું પ્રતિનિધિત્વ માત્ર ૧.૨૧ ટકા જ છે. જોકે ઓબીસીના પુરુષ સાંસદો ૧૧૯ છે. મંડલ રાજનીતિના ઉભાર પછી કથિત ઉચ્ચ જ્ઞાતિઓનું વર્ચસ ખતમ કરીને પછાત વર્ગો લોકસભામાં પ્રવેશ્યા છે. હવે જો તેમની બેઠકો સામાન્યવર્ગની મહિલા અનામતમાં ફેરવાય તો પછાત વર્ગોનું વર્ચસ ઘટી જાય. લોકસભામાં દલિતો માટેની ૮૪ અનામત બેઠકોમાં ૨૮ મહિલાઓ માટે, આદિવાસીઓની ૪૭ માંથી ૧૬ મહિલાઓ માટે અનામત રાખવાની છે પરંતુ ઓબીસી મહિલાઓ માટે અનામતની જોગવાઈ ન હોવાથી સામાન્ય વર્ગની મહિલાઓને જે ૧૩૭ અનામત બેઠકો ફાળવીછે તે ઓબીસી પુરુષોની બેઠકોને અસર કરી શકે છે. સરકાર પક્ષે એવી દલીલ છે કે અન્ય પછાત વર્ગોને શિક્ષણ અને નોકરીઓમાં રિઝર્વેશન આપવામાં આવ્યું છે પરંતુ તેમને પોલિટિકલ રિઝર્વેશન આપવામાં આવ્યું નથી .તેથી ઓબીસી મહિલાઓ માટે અનામતનો સવાલ જ નથી. આ દલીલ પણ બંધારણીય રીતે સાચી છે.
મુસ્લિમ મહિલાઓ દેશની કુલ વસ્તીમાં ૬.૯ ટકા છે પરંતુ લોકસભામાં તેમનું પ્રતિનિધિત્વ ૦.૭ ટકા જ છે. કેમકે ૨૦૧૯માં ૫૪૩ સભ્યોની લોકસભામાં ૪ જ મુસ્લિમ મહિલા ચૂંટાયા હતાં. સત્તરમાંથી પાંચ લોકસભા ચૂંટણીમાં એક પણ મુસ્લિમ મહિલા ચૂંટાયા નહોતાં.અને તમામ લોકસભામાં તેમની મહત્તમ સંખ્યા ચાર જ હતી. લોકસભામાં દેશના ૨૪ રાજ્યોનું મુસ્લિમ મહિલા પ્રતિનિધિત્વ શૂન્ય છે. એટલે ઓબીસી અને મુસ્લિમ મહિલાઓનું રાજકીય પ્રતિનિધિત્વ નહિવત હોવાથી મહિલા અનામતમાં તેઓ અલગ ભાગ માંગે છે.
મહિલા અનામતનો મુખ્ય ઉદ્દેશ રાજનીતિમાં મહિલા ભાગીદારી વધારવાનો છે. ભારતમાં વર્ણ, વર્ગ અને ધર્મની રીતે તમામ મહિલાઓ સમાન નથી. તેથી તમામ મહિલાઓના પ્રતિનિધિત્વ વિનાની મહિલા અનામત અંગે ફેર વિચારની આવશ્યકતા છે. સમાજના તમામ વર્ગોની મહિલાઓનો મહિલા સંબંધી કાયદા અને નીતિઓ ઘડતી વખતે અવાજ હોય તે માટે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવાની જરૂર જણાય છે.જો તમામ મહિલાઓને પ્રતિનિધિત્વ ના મળે તો કદાચ જે તે સમુદાયની વાત રજૂ ના થઈ શકે. એટલે કાયદામાં અને યોજનામાં ઉણપ રહી શકે છે. જો કાયદાનો આશય મહિલા પ્રતિનિધિત્વમાં વૃધ્ધિ નો હોય તો કથિત ઉચ્ચ વર્ણનાં મહિલાઓની સાથે તમામ જ્ઞાતિ- ધર્મના મહિલાઓને સ્થાન મળવું જોઈએ.
મહિલા અનામતથી પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ ઘટશે તો તે આ કાયદાની સૌથી મોટી ખામી હશે.અનુસૂચિત જાતિ, જનજાતિને પણ તેમની હાલની બેઠકોમાં જ મહિલા અનામત ફાળવી છે એટલે તે વર્ગોના પુરુષોની રાજકીય કારકિર્દીનો સવાલ પણ ઉભો થશે. કદાચ ૨૦૨૯ કે તે પછી મહિલા અનામતનો અમલ શરૂ થશે. અત્યારે તો વિપક્ષોએ મહિલાવિરોધી ના ગણાઈ જવાય તેની બીક્માં સરકારનું સમર્થન કર્યું છે. પરંતુ કોંગ્રેસસહિતના તમામ વિરોધપક્ષોએ અને ભારતીય જનતા પક્ષના ઓબીસી નેતાઓએ ઓબીસી મહિલાઓ માટે અનામતની માંગ કરી છે. આ માંગ બુલંદ બને તે પૂર્વે તમામ રાજકીય પક્ષોએ એક મતે મહિલા અનામતને વધુ સમાવેશી બનાવવા વિચારવું જોઈએ.
શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.
