વેબ ગુર્જરી

ગુજરાત, ગુજરાતી અને ગુજરાતીઓ માટેનો વિચાર-મંચ

Home

  • ગુજરાતના એક અંધારમુલકમાં અંજવાસ

    લ્યોઆ ચીંધી આંગળી

    રજનીકુમાર પંડ્યા

    ગુજરાતના જ એક  બાંઠીવાડા વિસ્તારનું નામ સાંભળ્યું છે ? ભાગ્યે જ કોઇએ સાંભળ્યું હશે, બાકી એ કાંઇ નાનોસૂનો વિસ્તાર નથી. એમાં એકવીસ તો મુવાડા (નાના ગામ) છે. લાલાકુવા, હીરાટીંબા, હીરોલા, કરણપુર, જેમાંના મુવાડા,બોઘા, ભેમાપુર, મેડી વગેરે…..

    અને નોંધવાનું એ છે કે એ તમામે તમામ મુવાડાઓ આદિવાસી ડામોરની વસ્તીથી ભરચક છે, જે વસ્તીમાંથી છોંતેર ટકા જેટલા લોક તો ગરીબીરેખા નીચે જીવી રહયા છે. અચ્છા, બીજી વાત! ત્યાંથી એક તરફ માત્ર પંદર કિલોમીટર દૂર રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાનો સીમલવાડા તાલુકો છે તો બીજી તરફ પંદર કિલોમીટરના અંતરે પંચમહાલનો લુણાવાડા તાલુકો છે. આ તરફનો વિસ્તાર કે જે ગુજરાતના સાબરકાંઠા વિસ્તારમાં ગણાય છે (હવે એ અરવલ્લી જિલ્લામાં આવ્યો છે), તે પણ સત્તાવાર રીતે ‘ડાર્ક ઝોન’ ગણાયો હતો. પચાસ કિલોમિટરની ત્રિજ્યા ધરાવતો આ આખો પ્રદેશ ભલે રાજકીય રીતે ગુજરાત અને રાજસ્થાન વચ્ચે વહેંચાયેલો હોય, પણ તેમાં રહેનારા આદિવાસી અને ડામોર લોકો ગુજરાત-રાજસ્થાનના ભેદને ગણકારતા નથી. ચોવીસમાંથી અઢાર અઢાર કલાક પોતાનું તન તોડીને, કાળી મજૂરી કરીને જ્યારે બે પૈસા રળે છે ત્યારે હટાણું કરવા મેઘરજ ગામે આવે છે. કારણ કે ત્યાંથી માત્ર ત્રીસ જ કિલોમીટર આઘે આવેલા નગર મોડાસા સુધી એમની બસભાડા જેટલી પહોંચ નથી. એમને ત્યાં જવું ગમતું પણ નથી. પણ સાજેમાંદે? કારણ કે, માંદા તો સૌ પડે, પણ સારવાર લેવી સૌને પરવડતી  નથી. કારણ કે પરસેવો પાડીને પેદા કરેલા મોંઘેરા નાણાં એમાં જ હોમાઇ જાય. એમાંય મોડાસા તો જવાય જ નહિ, કારણ કે ત્યાં સારવાર કંઇ થોડી સસ્તી પડી છે! ખાનગી દવાખાનાના ભાવ પણ કેટલા બધા? એક વારની મુલાકાતે પંદર દિવસની કમાણી ખાઇ જાય એટલા ઉંચા !

    પણ છે. એક આશરો છે ખરો. આવા ભૌગોલિક રીતે પ્રતિકૂળ અને અભાવગ્રસ્ત મુલકમાં આવા સાજેમાંદે કામ આવે એવી આરોગ્યસંસ્થા એક છે ખરી. બલકે એક માત્ર છે અને તે છે મેઘરજ ગામમાં છેક ૧૯૯૮ થી ખાસ આવા જ બેહાલો માટે રાતદિવસ સેવા આપતી આરોગ્યસંસ્થા ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’! જે આ મેઘરજ ગામમાં જ ઉંડવા નદીને કાંઠે  આવેલી છે. તેના આજ સુધીના પચીસ વરસના પ્રલંબ અને જ્વલંત વિકાસ અને આ ગરીબી રેખા નીચે જીવતા એવી પ્રજાના સેવાકાર્યનું વર્ણન હું અગાઉ અહીં અને અન્યત્ર અનેક સ્થળે આપી ચૂક્યો છે એટલે અહીં પુનરાવર્તન કરવું ઠીક નથી અને એ વળી એ એક આખો પીએચ.ડી.નો વિષય છે. સમાજશાત્રનો કોઇ તેજસ્વી વિદ્યાર્થી એને માટે કલમ સજાવે અને એ સેવા સહિતની આરોગ્યસેવાને કે‍ન્દ્રમાં રાખીને ડૉક્ટરેટ કરે તેમ હું સૂચવું. બધી મદદ આપવા અને અપાવવા હું તૈયાર છું.

    (શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ, મેઘરજ)

    એને બદલે એ સંસ્થાની આજની પ્રવૃત્તિની સાવ થોડી ઝાંખી આપીને પછી જ એ સંસ્થાની અકલ્પ્ય એવી આજની હરણફાળ-ધી સ્ટેટ ઓફ આર્ટ હૉસ્પિટલની એ જ કેમ્પસમાં સ્થાપનાની થોડી વાત કરું તો એ વધારે સમયોચિત ગણાશે.

    માત્ર થોડી આજની વાત કરીએ તો ડૉક્ટરોને, નર્સોને અને વહીવટી સ્ટાફથી માંડીને સફાઈ કામદાર સુધીનાને મહિને મહિને પગાર ચૂકવવાનો  હોય છે. સામાન્ય રીતે પેરા મેડિકલ સ્ટાફનો પગાર માસિક પાંચ હજારથી માંડીને પંદર હજાર અને એક કન્સલ્ટન્ટ ડૉક્ટરનો માસિક પગાર બે લાખ જેટલો હોય  છે. આટલો ઉંચો પગાર ના આપીએ તો આ અંધારમુલકના ટચુકડા ગામમાં કયો ક્વૉલિફાઇડ ડૉક્ટર નોકરી કરવા આવે? સાત ફુલ ટાઈમ ડૉક્ટરો  ઉપરાંત પાંચ મેડિકલ ઑફિસર સાથેના સાત વિભાગો જેવા કે પ્રસુતિ અને સ્ત્રી રોગ, સર્જિકલ, નવજાત શિશુ અને બાળરોગ, શારિરીક અને હૃદયરોગ, ઓર્થોપેડીક, આંખ અને દંતરોગ. ઉપરાંત નર્સિંગ સ્ટાફનો જબરો વાર્ષિક ખર્ચ! આ હૉસ્પિટલ પાસે ઓછામાં ઓછા બે કરોડની કિંમતના આધુનિક તબીબી ઉપકરણો છે. આવા ઉપકરણોનો જાળવણી અને મરમ્મત ખર્ચ પણ જંગી હોય છે. વળી  વિજળી,પાણી, સ્ટેશનરી અને એક અતિ મહત્વની વાત ભોજન ખર્ચની. ૨૦૧૨ના માર્ચ સુધી તો ફક્ત નેત્રરોગના ઓપરેશનોવાળા દરેક દર્દીને અને બરદાસીને મફત ભોજન અપાતું હતુ. પણ તે પછી કચ્છના ‘કોટિ વૃક્ષ અભિયાન’થી સુવિખ્યાત એલ.ડી.શાહે જલારામ ટ્રસ્ટ અંતર્ગત દસ લાખ રૂપિયા આપ્યા. ત્યાર પછી માત્ર નેત્રરોગના જ નહીં, પણ અહીં દાખલ થતા દરેક દર્દી અને એક બરદાસીને સવાર સાંજ મફત ભોજન આપવાની શરૂઆત કરી છે.  એ પછી તો  ભોજન ખર્ચનો આંકડો વાર્ષિક  આઠથી દસ લાખે પહોંચ્યો છે. એલ.ડી.શાહે આપેલા ૨૦૧૧માં આપેલા  રૂપિયા દસ લાખ તો  ૨૦૧૩માં જ પૂરા થઇ ગયા .આ હૉસ્પિટલના વર્ષે દહાડે  ચાર કરોડના ખર્ચની સામે આવક બાદ કરતાં વર્ષે દોઢ કરોડની ચોખ્ખી ખાધ રહે છે. એટલે કે હૉસ્પિટલને કાર્યરત રાખવા માટે અંદાજે તેની આવક ઉપરાંત દર મહિને દસ લાખ તો જોઇએ જ.

    ‘પૂઅર પેશન્ટ્સ ફંડ’ પૂરતું હોય તો જ એ જોગવાઈ કરી શકાય. કેસ કઢાવવાની ફી તો મામૂલી વાત છે, પણ મોતીયાના ઓપરેશનો તો દરેકને નિઃશુલ્ક કરી આપવામાં આવે છે. અને બીજાં ઓપરેશનો શહેરની ખાનગી હૉસ્પિટલો કરતાં લગભગ ચોથા ભાગના દરે કરી આપવામાં આવે છે. તેવા ઓપરેશનો પણ જો લાયક દર્દીઓને આ ફંડમાંથી તદન ફ્રી અથવા રાહત દરથી કરવા અને બાળરોગ વિભાગ તથા શારીરિક અને હૃદયરોગ વિભાગમાં રાહત દરથી સારવાર આપવા માટે વર્ષે દહાડે  સીતેરથી એંસી લાખ જોઇએ. આપવા ઇચ્છનારા અહીં ડાયરેક્ટ  આપે અથવા તો પોતાના મિત્રવર્તુળમાંથી ભેગા કરીને વર્ષો વર્ષના ખર્ચ જેટલી રકમ એકઠી કરીને મોકલી આપે તોય ચાલે.

    એક અનન્ય પ્રવૃત્તિ અહીં થઇ રહી છે તે પુખ્ય વયના નેત્રદર્દીઓની સાથોસાથ શાળાએ જતા કે ના જતા બાળ નેત્રરોગીઓની આંખોની સંભાળ અને સારવારની. આ માટે તાલુકાની એકે એક સ્કૂલમાં નેત્રરોગના કેમ્પ યોજીને એક એક બાળકની આંખોનું પરીક્ષણ અને રોગ નિદાન કરવામાં આવે છે. જરુરી હોય તો સારવાર અને જરૂરી હોય ત્યાં ચશ્મા પણ સાવ નિઃશુલ્ક આપવામાં આવે છે. (મોટાઓને માત્ર ૫૦ રૂપિયાની મામૂલી કિમતે આપવામાં આવતા  હોય છે ) આ એક બહુ ખર્ચાળ સેવા છે જે સારવાર અને ચશ્માપ્રદાન તથા અન્ય બાળરોગોની મફત સારવાર માટે વર્ષે દહાડે પચીસ થી ત્રીસ લાખનું બજેટ માગે છે. આટલી રકમ જેટલું વ્યાજ દર વર્ષે ઉપજી રહે તેટલી રકમનું કોર્પસ ફંડ (સ્થાયી ભંડોળ) હોય તો વારેવારે અલગ અલગ ગામોના સંભવિત દાતાઓ પાસે દોડવું પડે છે તે સ્થિતિ નિવારી શકાય.

    આ હજારો નબળા અથવા આદિવાસી વર્ગના દર્દીઓની સારવાર જેનાથી થઇ રહી છે તે બધી મશીનરી અને ઉપકરણોની કિંમત ગણીએ તો બે કરોડની થાય. આ વિસ્તારની અદ્યતન ખાનગી હૉસ્પિટલ પાસે પણ આટલી જંગી મશીનરી નહીં હોય, પણ ડર એ વાતનો છે કે એની સાચવણનું શું?  . સ્વર્ગસ્થ બાલકૃષ્ણભાઈ મહેતાની સ્મૃતિમાં તેમનાં પત્ની હંસાબહેન મહેતાએ બહુ મદદ કરી છે, બીજાઓ પણ છે, પ્રફુલ્લ્ભાઈ વોરા પણ છે. એમનાં દાન ઉપકરણો, જનરેટર લેવામાં કે સ્ટાફ-ક્વાર્ટર માટે કામ આવ્યાં છે. પણ આ ગરીબ દર્દીઓના રાહત ફંડ માટે હજુ પૂરતી રકમ ઉભી થતી નથી.

    ત્યાં જઇને, મુલાકાત લઈને નજરે જોઈ શકાય તો ઉત્તમ, પણ તેમ ના બને તો તેની ગુજરાતી (અંધારમુલકનું આરોગ્યતીર્થ) અને અંગ્રેજી (A torch in the tribes) વિડિયો ડોક્યુમેન્ટરી સંસ્થા પાસેથી નિ:શુલ્ક મંગાવીને જોઈ શકાય, જે મુંબઈના શ્રીમતી હંસાબહેન મહેતાએ બનાવડાવી આપી છે. મળતા દાન માટે 80 (જી) તથા CSR  મુજબ કરમુક્તિની જોગવાઈ છે.વિદેશથી દાન મેળવવાની મંજૂરી પણ છે.

    પણ એક ખાસ વાત: હવે આ નવા પ્રસ્થાનની વાત પર પણ એક નજર નાખી લઇએ. એ નવું પ્રસ્થાન આરંભ્યાને પણ આજે દોઢ વર્ષ થયું. તા ૧૪ મી માર્ચ, ૨૦૨૨ ના રોજ અત્યારના વર્તમાન ‘શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ’ના કેમ્પસને અડીને ખાસ ખરીદાયેલા જુદા વિશાળ પ્લોટ પર, પોતાના સ્થાનક તલગાજરડાથી હેલિકોપ્ટર દ્વ્રારા લાંબુ આકાશી અંતર પાર કરીને ખાસ પધારેલા પૂ મોરારીબાપુના વરદ હસ્તે એનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને પૂ મોરારીબાપુએ પોતાના ચિત્રકુટ ધામ તરફથી પણ એ દિવસે રુપિયા સવા લાખનો ફાળો અર્પણ કર્યો.

    અને એ રીતે એમણે આ આદિવાસી – ડામોર –  આર્થિક રીતે પછાત અને તેનાથી પણ નીચેના વર્ગના દર્દીઓ માટે આકાર લઇ રહેલી મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ માટે પ્રાણવાયુ ફૂંક્યો.

    પણ એ એક સમજી શકાય એવી નક્કર હકીકત છે કે ૩૫૦ બેડની આ State of the Art Hospital કહો કે મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પીટલ કહો, તેના અંદાજિત ખર્ચનો આંકડો પ્રાંરભમાં ૬૦ કરોડ ગણ્યો હતો. પણ એ વાતને એક વરસ ઉપર થયું પરંતુ હાલ જે ઝડપે સામગ્રી અને સેવાઓના ભાવ સતત વધી રહ્યા છે તે જોતાં સ્વાભાવિક ધોરણે પણ પ્રોજેક્ટ પૂરો થતાં સુધીમાં એમાં ૧૦ થી ૧૫ ટકા જેટલો વધારો ગણતાં એને એકદમ વ્યવસ્થિત રીતે પાર પાડતાં એ ખર્ચ હવે સહેજે ૭૫ કરોડને આંબે તેમ છે. એમાંથી આ સંસ્થાને ૪૦ થી ૪૫ કરોડ રુપીયાના દાનના કમીટમેન્ટ્સ તો મળી પણ ગયા છે. પણ હજુ આ બજેટમા જે ઘટ ( Shortfall) રહે તેમાં દાતાઓ તરફથી શક્ય તેટલી વધુ રકમ મળે તો એનો દાખલો દઇને અને એને અનુસરવાની વિનંતી કરીએ તો થોડી બીજા દાતાઓ પાસેથી મળવાની ઉમેદ રાખી શકાય એવું પ્રતિપાદિત કરવાનો આ લેખનો  હેતુ છે.

    એટલે, માત્ર સંસ્થા તરફથી જ નહીં, પણ મુખ્ય દાતા શ્રી પ્રવીણભાઇ શાહ તરફથી પણ એવી વિનંતી સ્વાભાવિક જ છે કે આ વાંચનાર પણ ડોનેશનમાં એટલી હદે હિસ્સેદારી કરે કે આજુબાજુના ૧૦૦ કિલોમીટરના વિસ્તારમાં તમામ જરુરતમંદ લોકોને આરોગ્યસેવા પૂરી પાડતાં આ નવા આરોગ્યધામ એટલે કે આ મલ્ટી સ્પેશ્યાલીટી આરોગ્યધામ સાથે કાયમ માટેનું પ્રદાન લોકોની સ્મૃતિમાં રહે.

    સંપર્ક: શ્રી જલારામ આરોગ્ય સેવા ટ્રસ્ટ; ઉંડવા રોડ, મેઘરજ(જિલ્લો – અરવલ્લી)-383350, / મોબાઇલ   +91 94263 88670 અને +91 90995 91159. તેમની વેબસાઇટ- http://www.shreejalaramarogyasevatrust.com  અને ઈમેલ- shreejalaramhospital@yahoo.com છે. સંપર્ક:શ્રી પ્રફુલ્લભાઈ વોરા, મુંબઇ- 400023, +91 98118 7400


    લેખક સંપર્ક –

    રજનીકુમાર પંડ્યા.,
    બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
    મો. : +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +9179-25323711/ ઇ મેલ- rajnikumarp@gmail.com

  • ‘ભ્રમણા’ વિશ્વવ્યાપી છે

    ફિર દેખો યારોં

    બીરેન કોઠારી

    ઘણા અંગ્રેજી શબ્દો આપણી ગુજરાતી ભાષામાં ભળવા લાગ્યા છે. અમુક લોકો આયાસપૂર્વક ગુજરાતીમાં અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરે છે, તો અમુક અનાયાસે. હકીકત એ છે કે ભાષા પ્રવાહી હોય છે, અને તે સતત બદલાતી રહે છે. ઘણા ભાષાઝનૂનીઓ શુદ્ધ ભાષાનો દુરાગ્રહ સેવે ત્યારે એ ચેષ્ટા ઘણાખરા કિસ્સામાં ઉપહાસમય બની રહે એ શક્યતા વધુ હોય છે. કોઈ વક્તા સંસ્કૃતમાં વક્તવ્ય આપે તો એનાથી લોકો અંજાય છે ખરા, પણ સાંભળનારાને મન એ એક ભાષાકીય ગતકડાથી વિશેષ કશું નથી. ભાષાની શુદ્ધતાના આગ્રહીઓને વાંધો પોતાની ભાષામાં ભળતા અંગ્રેજી શબ્દોનો વધુ હોય એમ જણાય છે. સામે પક્ષે અંગ્રેજી અનેક ભાષાના શબ્દોને પોતાનામાં સમાવિષ્ટ કરતી રહી છે.
    અંગ્રેજી ભાષા સાથે સંકળાયેલાં વિવિધ પ્રકાશનગૃહો કે અન્ય સંસ્થાઓ દ્વારા દર વર્ષે ‘વર્ડ ઑફ ધ યર’ એટલે કે ‘વર્ષનો શબ્દ’ ઘોષિત કરવાની પરંપરા હવે તો ઠીક ઠીક જૂની કહી શકાય એવી છે. વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા શબ્દની પસંદગી આ માટે કરવામાં આવે છે. ઈન્ટરનેટના આગમન પછી આ પસંદગીપ્રક્રિયા વધુ સરળ બની છે. એ મુજબ જે શબ્દની ‘શોધ’ સૌથી વધુ વાર કરવામાં આવી હોય તેની પસંદગી કરવામાં આવે છે. ‘વોર્ત દસ યારસ’ નામના જર્મન પ્રકાશન દ્વારા ૧૯૭૧માં આ પરંપરા આરંભાયેલી. ‘અમેરિકન સોસાયટી ઑફ ડાયલેક્ટ’ દ્વારા ૧૯૯૦થી તે શરૂ કરવામાં આવી. અમેરિકાની સુખ્યાત ‘મેરીઅમ વેબસ્ટર’ ડિક્શનરી’ ૨૦૦૩થી વર્ષ દરમિયાન સૌથી વધુ ઉપયોગમાં લેવાયેલા દસ શબ્દોની યાદી બહાર પાડે છે. ‘ઑક્સફર્ડ ઈન્ગ્લીશ ડિક્શનરી’ ૨૦૦૪થી ઈન્‍ગ્લેન્‍ડ અને અમેરિકા એમ બન્ને દેશો માટે અલાયદા વર્ડ ઑફ ધ યર’ ઘોષિત કરે છે. ‘ઑસ્ટ્રેલિયન નેશનલ ડિક્શનરી સેન્‍ટર’ અને ઓસ્ટ્રેલિયાની ‘મક્વરી ડિક્શનરી’એ ૨૦૦૬થી આ પ્રથા અપનાવી. ઈન્‍ગ્લેન્‍ડની ‘કૉલિન્‍સ ડિક્શનરી’એ ૨૦૧૩થી તેનો આરંભ કર્યો. અતિ પ્રતિષ્ઠિત ‘કેમ્બ્રીજ ડિક્શનરી’એ ૨૦૧૫થી ‘વર્ડ ઑફ ધ યર’ની પ્રથા અનુસરવાનું શરૂ કર્યું.
    જે તે વર્ષનો શબ્દ પસંદગી પામે એ ખરું, પણ કયા કારણથી લોકોએ તેના અર્થની ખોજ કરી એ કારણ આની સાથે જાણવા મળે છે અને એ બહુ રસપ્રદ હોય છે. વર્તમાન વર્ષ ૨૦૨૩નો કેમ્બ્રીજ ડિક્શનરી દ્વારા પસંદ કરાયેલો’વર્ડ ઑફ ધ યર’ છે ‘હેલ્યુસિનેટ/Hallucinate’. માનસશાસ્ત્ર સાથે સંકળાયેલો આ શબ્દ અતિ પ્રચલિત છે અને ગુજરાતી, હિન્‍દી જેવી ભાષાઓમાં પણ ઘણી વાર એ જ સ્વરૂપે વપરાશમાં લેવાય છે. તેનો અર્થ છે ‘ભ્રાંતિ’ અથવા ‘ભ્રમણા’ એટલે કે જે ન હોય, છતાં કોઈ વ્યક્તિને એ દેખાય એ ઘટના. આ શબ્દનો સંબંધ ‘એ.આઈ.’ (આર્ટિફિશ્યલ ઈન્‍ટેલિજન્‍સ/કૃત્રિમ બુદ્ધિમતા) સાથે હોવાનું એક તારણ છે.
    ‘કૉલિન્‍સ ડિક્શનરી’ દ્વારા પસંદગી પામેલો ‘વર્ડ ઑફ ધ યર’ છે ‘એ.આઈ.’ બે અલગ અલગ તારણોમાં પસંદગી પામેલા આ શબ્દો વચ્ચે શો સંબંધ? એ સંબંધ કંઈક એ રીતે નીકળે છે કે ‘એ.આઈ.’ દ્વારા પૂરી પડાયેલી ખોટી તેમજ ગેરમાર્ગે દોરતી માહિતી માનસને ચિંતાજનક રીતે અમુકતમુક દિશામાં દોરી જાય છે. તેને કારણે એ રીતે દોરાનારને નજર સામે દેખાડાતી ચીજ સાચી હોવાની ભ્રમણા થાય છે. ઉદાહરણથી આ વાત સારી રીતે સમજી શકાશે.
    માર્ચ, ૨૦૨૩માં એક તસવીર વાયરલ બની. એ તસવીર પોપ ફ્રાન્‍સિસની હોવાનું જણાવાયું હતું. પોપે પોતાના પરંપરાગત પોષાકની ઉપર સ્ટાઈલીશ પફર (નરમ ગાદી ધરાવતો) કોટ પહેરેલો હતો. તેમના ગળામાં ચેઈન પણ લટકાવાયેલી દેખાતી હતી, જેની પર ક્રોસ લટકતો હતો. એટલે કે તે પોપ હોવાનું પ્રમાણિત કરતી હતી. રોમના કેથલિક ચર્ચના વડા પોપ આવા ફેશનેબલ પરિધાનમાં હોવાથી આ તસવીર ફરતી થઈ ગઈ. વાસ્તવિકતા સાવ જુદી જ હતી. આ તસવીર બનાવટી હતી, અને ‘એ.આઈ.’ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. તેના માટે ‘મિડજર્ની’ નામનું સોફ્ટવેર વપરાયું હતું.
    આવો જ કિસ્સો અભિનેત્રી રશ્મિકા મંદાના બાબતે બનેલો. એક વિડીયો ક્લીપ તેમના નામે ફરતી થઈ. પછી ખબર પડી કે એ વિડીયોમાં દેખાતી મહિલા રશ્મિકા મંદાના નથી. તેને ‘એ.આઈ.’ થકી તૈયાર કરવામાં આવી છે. આ પ્રકારની સામગ્રીને ‘ડીપફેક’ જેવા શબ્દ વડે ઓળખવામાં આવે છે. ‘ડીપફેક’ને સરળતાથી સમજીએ તો કહી શકાય કે તેના અંતર્ગત અસંખ્ય તસવીરો અને વિડીયો થકી ચહેરાની લાક્ષણિકતાઓને ઓળખવાની ‘તાલીમ’ જે તે પ્રોગ્રામને આપવામાં આવે છે. એટલે કે તેનો મૂળભૂત ઉપયોગ જ કૃત્રિમ સામગ્રી ઊભી કરવાનો, ભ્રમણા પેદા કરવાનો છે. આ સામગ્રી નેટના વપરાશકર્તા સુધી પહોંચે ત્યારે તે ‘હેલ્યુસીનેટ’ થાય છે. એટલે કે તેના મગજને નજર સામે દેખાતી છબિ કે દૃશ્ય સાચું હોવાની ભ્રાંતિ થાય છે.

    આપણા દેશમાં આને રોકવા માટે કાયદાની કોઈ સીધી કલમ નથી, પણ આઈ.ટી.ઍક્ટની કલમ ૬૬ ઈ અંતર્ગત તે ગુનો બને છે. એ મુજબ સંબંધિત વ્યક્તિની પરવાનગી વિના તેની છબિ લેવી, જાહેર કરવી કે અન્યને મોકલવું ગેરકાનૂની ગણાય છે. આ કલમના ભંગ બદલ મહત્તમ સજા બે લાખ રૂપિયાનો દંડ કે ત્રણ વર્ષની કેદ છે. ‘કેમ્બ્રીજ ડીક્શનરી’ દ્વારા પસંદગી પામેલો આ વર્ષનો શબ્દ આમ જોઈએ તો ટેક્નોલોજીના એક મોટા ભયસ્થાન તરફ નિર્દેશ કરે છે. ઈન્‍ટરનેટના તમામ સ્તરના વપરાશકર્તા આનો એક યા બીજી રીતે ભોગ બની શકે. અલબત્ત, એક સજાગ નાગરિક તરીકે આપણાથી એટલું અવશ્ય થઈ શકે કે આપણી પાસે આવી કોઈ છબિ કે સામગ્રી આવે તો તે આગળ કોઈને ન મોકલીએ. આટલું આપણા હાથમાં છે અને એ કરીએ તો આપણે આવી છલનાનો કેવળ ભોગ જ નહીં, ભાગ બનતા પણ અટકીએ.


    ‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૧ – ૧૨ – ૨૦૨૩ના રોજ આ લેખ પ્રકાશિત થયો હતો.


    શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
    ઈ-મેલ: bakothari@gmail.com
    બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)


  • કોઈનો લાડકવાયો (૩૮) : ગદરના વીરો (૧)

    દીપક ધોળકિયા

    ૧૮૪૯થી પંજાબ પર અંગ્રેજોનો સંપૂર્ણ કબજો થઈ ગયો હતો.  કૂકા વિદ્રોહમાં આપણે જોયું કે આ દરમિયાન ધર્મ પર ઘણા હુમલા થયા.  પરંતુ આર્થિક અસંતોષ પણ એટલો જ પ્રબળ હતો. પહેલાં જમીનની માલિકી સહિયારી હતી, પણ ઈસ્ટ ઇંડિયા કંપનીએ નવી મહેસૂલ પદ્ધતિ દાખલ કરી એટલે હવે જમીન વ્યક્તિગત માલિકીની બની ગઈ. મહેસૂલ રોકડેથી ચુકવવાનું રહેતું એટલે ખેડૂતો પાયમાલ થઈ ગયા અને કામધંધા વગર રઝળતા થઈ ગયા. એના એક ઉપાય તરીકે અંગ્રેજોએ ખેડૂતોના જુવાન દીકરાઓને લશ્કરમાં ભરતી કરવાનું શરૂ કર્યું.

    લશ્કરમાં આવ્યા પછી એમને બ્રિટનની જુદી જુદી વસાહતોમાં મોકલી દેવાતા. પંજાબના ખેડૂતો હવે માસિક નવ રૂપિયાના પગારે અમેરિકા, ચીન, ઈરાન, બર્મા. ઈજિપ્ત, પૂર્વ આફ્રિકામાં અંગ્રેજોની લડાઈઓ લડતા થઈ ગયા અથવા મલાયા (હવે મલયેશિયા), સિંગાપુર, હોંગકોંગમાં અંગ્રેજ ઑફિસરો્ની ઑફિસો અને બંગલાઓમાં ચોકીદાર કે નોકર તરીકે કામ કરવા લાગ્યા. ત્યાં એમને પોલીસની નોકરીમાં પણ લીધા. ઘણા પંજાબીઓ કેનેડા ગયા. પહેલાં તો એમનું સ્વાગત થયું કારણ કે આ લોકો મહેનત કરી જાણતા અને જે મળે તેમાં જીવી લેતા. તેમ છતાં પંજાબ કરતાં તો એમના જીવનમાં સુધારો થયો હતો.

    પણ તે પછી, કૅનેડાને ડોમિનિયન સ્ટેટસ મળતાં કાયદા બનાવવાની સત્તા એને મળી. ડોમિનિયન સરકારે હવે હિન્દુસ્તાનીઓના પ્રવેશ પર કડક નિયંત્રણો લાદી દીધાં. ભારતથી જહાજ આવે તે સીધું જ આવે, વચ્ચે ક્યાંય રોકાય નહીં અને બીજા મુસાફરો લીધા વિના આવે તેને જ પ્રવેશ મળતો. આ અઘરું હતું કારણ કે જહાજને બળતણ લેવા માટે તો ક્યાંક લાંગરવું પડતું. બીજા એવા નિયમ હતા કે ઘરડાઓને પ્રવેશ ન મળતો. સ્ત્રીઓ અને બાળકોને પણ લાવી ન શકાતાં. કૅનેડામાં કામ માટે ગયેલા લોકો તો એમ માનતા કે એ માત્ર ભારતના નહીં, આખા બ્રિટિશ સામ્રાજ્યના નાગરિક હતા અને બ્રિટનની કોઈ પણ વસાહતમાં રહેવાનો એમને અધિકાર હતો.

    કૅનેડા  કે અમેરિકા ગયા એમને નાગરિકોની સમાનતાનું ભાન થયું. એમના પ્રત્યે ભેદભાવ થતો હતો તે પણ એમને સમજાયું. આમ રાજકીય સમજનો  વિકાસ થયો. એમાંથી કેટલાકને ખબર પડી કે અમેરિકામાં વધારે સારી દહાડી મળે છે. એવા લોકો અમેરિકા પહોંચ્યા. અમેરિકામાં ભારતની અંગ્રેજ હકુમત વિરુદ્ધ બહુ ટેકો મળવા લાગ્યો. ત્યાં એક ઇંડો-અમેરિકન સોસાઇટી બનાવવામાં આવી. સોસાઇટીએ લંડન જેવું જ ‘ઇંડિયા હાઉસ’ શરૂ કર્યું, તે પછી ઇંડો-અમેરિકન નેશનલ ઍસોસિએશન બન્યું એનું મૂળ કામ જ ભારતીયોને ઉદ્યોગની તાલીમ આપવાનું અને વિદ્યાર્થીઓને આકર્ષવાનું હતું. ૧૯૦૬ના બંગાળના ભાગલા પછી વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અખૂટ હતો. એને વ્યક્ત કરવાની સ્વતંત્રતા અને કુશળતા અમેરિકામાં મળી.

    એ જ રીતે, કૅનેડામાં ઍસ્ટોરિયામાંહિન્દુસ્તાની સોસાઇટી ઑફ પૅસિફિક કોસ્ટ’ની સ્થાપના થઈ. વેનકુવરમાં શેઠ હસન રહીમ અને આત્મારામે મળીને યુનાઇટેડ ઇંડિયા લીગ’ની સ્થાપના કરી અને ‘હિંદુસ્તાન’ નામનું અખબાર શરૂ કર્યું.  શેઠ હસન રહીમ કાઠિયાવાડના હતા. એમણે ગુજરાતીઓને સંગઠિત કરવાની જવાબદારી સંભાળી લીધી. એ અને એમના સાથી વઝે ખાં ગુજરાતના લોકોમાં જાગૃતિ ફેલાવતા હતા અને ઇંડસ્ટ્રિયલ વર્કર્સ ઑફ ધી વર્લ્ડ’ની પ્રવૃત્તિઓમાં પણ આગળપડતો ભાગ ભજવતા હતા. આમ વિદેશોમાં વસતા ભારતીય મજૂરો, વેપારીઓ, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અધ્યાપકોમાં સામ્રાજ્યવાદ વિરુદ્ધ માર્ક્સવાદી વિચારધારા જોર પકડતી જતી હતી. કૅનેડામાં સરકારે ભારતીયોને દેશમાં આવતાં રોકવાની કોશિશ કરી તેની સામે ત્યાં રહેતા ભારતીયોએ આંદોલન ચલાવ્યું અને મિલોના ભારતીય મજૂરો પણ એમાં જોડાયા. આખા અમેરિકા ખંડના ભારતીયો એક સૂત્રે બંધાયા. ફરી એક ડગલું આગળ વધવા મિલમજૂરોએ બીડું ઝડપ્યું. એમણે બધાને સંગઠિત કરીને એક પાર્ટીની સ્થાપના કરી. આ પાર્ટી એટલે ગદર પાર્ટી (ગદર એટલે બળવો).  સરદાર સોહન સિંઘ ભકના કૅનેડાના શીખોમાં જાગૃતિ ફેલાવતા હતા. ગદર પાર્ટીના એ પ્રથમ પ્રમુખ બન્યા

    રાજા મહેન્દ્ર પ્રતાપ, મૌલવી બરકતુલ્લાહ, લાલા હરદયાલ જેવા ભારતમાં રહેતા ક્રાન્તિકારી નેતાઓએ પણ ગદર પાર્ટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.  રાજા મહેન્દ્ર પ્રતાપ અને મૌલવી બરકતુલ્લાહ તો અફઘાનિસ્તાન પણ ગયા અને ત્યાંના અમીરને મળીને આરઝી હકુમત (કામચલાઉ સરકાર) પણ સ્થાપી. એમની યોજના અમીરની મદદથી ભારત પર આક્રમણ કરવાની હતી. અમીર મોઢેથી તો સહમતી દેખાડતો રહ્યો પણ ખરેખર એ અંગ્રેજોથી ડરતો હતો એટલે એમની યોજના પાર ન પડી શકી.

     બીજી બાજુ, દેશદ્રોહીઓ પણ ઊભા થતા જતા હતા. એક સભામાં હસન રહીમ હિન્દુસ્તાની દગાખોરને હાથે ઘવાયા. બીજા પણ દેશભક્તો પોતાના જ ભાઈઓને હાથે જખમી થવાની ઘટનાઓ પણ બની. હિન્દુસ્તાનીઓ જાણતા હતા કે પોલીસ ખાતાનો ઊપરી વિલિયમ હૉપકિન્સન હિન્દુસ્તાનીઓને જાસૂસ અને હત્યારા તરીકે વાપરતો હતો. હૉપકિન્સન મૂળ તો કૅનેડાનો જ હતો પણ ભારતમાં અંગ્રેજી હકુમતની નોકરી કરતો હતો. એ રજામાં કૅનેડા ગયો ત્યારે એને ત્યાંની સરકારે નોકરીએ રાખી લીધો. એને હિન્દુસ્તાની આવડતી હતી એટલે શરૂઆતમાં તો એ હિન્દુસ્તાનીઓના કેસ ચાલે ત્યારે દુભાષિયા તરીકે કામ કરતો. આમ એણે ઘણા હિન્દુસ્તાનીઓ સાથે મિત્રતા કરી લીધી હતી. આથી વિદ્રોહીઓએ મૂળમાં ઘા કરવાનું નક્કી કર્યું.

    ૨૧મી ઑક્ટોબર ૧૯૧૪ના દિવસે કોર્ટના કંપાઉંડમાં ભાઈ મેવા સિંઘ લોપોકેએ એને કોર્ટના વરંડામાં જ ગોળી મારી દીધી. આ કેસમાં મેવા સિંઘને ફાંસીની સજા આપવામાં આવી. સજા સાંભળીને એમણે ગરજતા સ્વરમાં કહ્યું કે મારા દેશના દુશ્મનના આવા જ હાલ થવા જોઈએ.

    ૧૯૧૫ની ૧૧મી જાન્યુઆરીએ મેવાસિંઘ લોપોકેએ દેશ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા.

    (ગદર ગાથા ચાલુ રહેશે).

    000

    સંદર્ભઃ

    1. गदर पार्टी का इतिहास – प्रथम भाग 1912-17 (દેશ ભગત યાદગાર કમિટી, જાલંધર) પ્રથમ આવૃત્તિઃ (મૂળ પંજાબી), ૧૯૬૧, બીજી આવૃત્તિ, ૧૯૬૯. હિન્દી અનુવાદ, ૨૦૧૩.

    ISBN 978-93-81144-29-9 (હાર્ડ બાઉંડ). ISBN 978-93-81144-30-5 (પેપરબૅક)

    સંપર્કઃ daanishbooks@gmai.com //www.daanishbooks.com


    દીપક ધોળકિયા

    વિજાણુ સંપર્ક ટપાલ સરનામુંઃ: dipak.dholakia@gmail.com

    બ્લૉગ સરનામું: મારી બારી


  • કલમના કસબી : કનૈયાલાલ મુનશી – કૃષ્ણાવતાર

    પુસ્તક પરિચય

    રીટા જાની

    સાહિત્યની પગથારના વિવિધ સોપાનો પર કદમ મૂકતાં અને સાહિત્યરસને માણતાં આપણે એક નવા કદમ પર છીએ. એ કદમ છે – આ લેખમાળાનું અંતિમ કદમ.

    કનૈયાલાલ મુનશીની  લેખમાળા અંતર્ગત આજે વાત કરવી છે મુનશીની અંતિમ કૃતિ ‘કૃષ્ણાવતાર’ની. મુનશીની ઇતિહાસને જીવંત કરવાની કળાથી આપણે સહુ પરિચિત છીએ. પણ કૃષ્ણ એ આપણા માટે ઇતિહાસ નથી, પણ અવતાર છે.  કૃષ્ણને વંદન કરીને આપણે કૃતકૃત્ય થઈએ છીએ કેમ કે કૃષ્ણ હર ધડકનનું સ્પંદન છે.

    કૃષ્ણના આકર્ષક વ્યક્તિત્વની ઝાંખી મૂળ મહાભારતમાં મળે છે. પરંતુ તેના પર દંતકથાઓ, ચમત્કારો અને ભક્તિના કારણે અનેક સ્તોત્રોના સ્તર ચડતા ગયા. શ્રીકૃષ્ણ શૂરવીર હતા, તો શાણા પણ હતા. તેઓ પ્રેમાળ હતા, છતાં તેમની જીવનચર્યા મુક્ત હતી. તેમનામાં પૂર્ણ માનવીની પ્રફુલ્લતા હતી. તો શ્રીકૃષ્ણનો પ્રભાવ દૈવી હતો. મુનશીએ આ પહેલાં પણ નવલકથા તેમજ નાટકોમાં પૌરાણિક પાત્રોનું નિરૂપણ કર્યું છે. અગસ્ત્ય, લોપામુદ્રા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, પરશુરામ અને સહસ્રાર્જુનને ‘લોપામુદ્રા”, ‘લોમહર્ષિણી’ અને ‘ભગવાન પરશુરામ”માં આલેખ્યા હતા તો ચ્યવન ને સુકન્યા ‘પુરંદર પરાજય” અને “અવિભક્ત આત્મા” માં વસિષ્ઠ અને અરુંધતિના પાત્રો નિરુપ્યા હતા. એ જ રીતે શ્રીકૃષ્ણનું આલેખન કરતાં પણ મુનશીએ કેટલીક ઘટનાઓ તેમના વ્યક્તિત્વને સુસંગત બનાવવા ઉપજાવી કાઢી છે. મુનશીએ પોતાની કલ્પનાનો આશ્રય લઈને પુરાણોના કેટલાક  પ્રસંગોના નવા અર્થ પણ ઘટિત કર્યા છે. અને એ વાત જ સમગ્ર કથાને ખૂબ  રોચક બનાવે છે.

    કૃષ્ણ અને તેની કથાથી કોણ પરિચિત નથી? તો પછી કૃષ્ણમાં અવતાર કહી શકાય તેવું શું છે? આજે પણ કૃષ્ણ કેમ પ્રસ્તુત છે? કદાચ આવા પ્રશ્નો અસ્થાને નથી. કૃષ્ણ સહુને પરિચિત છે, છતાં અપરિચિત છે, કારણ કે કૃષ્ણ સદંતર નવીન છે. કૃષ્ણ આંખોથી જોવા કે કાનથી સાંભળવા કરતાં હૃદયથી અનુભવવાની વાત છે. રાધાની આંખોથી પ્રતીક્ષા કરીએ કે મીરાંની જેમ કૃષ્ણભક્તિમાં લીન થઈએ કે નરસિંહની જેમ કરતાલ લઈ ભજીએ તો કૃષ્ણ નર નહીં, પણ નારાયણ છે, આત્માથી પરમાત્મા સુધીની દોટ છે. કૃષ્ણ રસમય છે કારણ કે તે નિત્ય નવીન છે. કૃષ્ણ બાલકૃષ્ણ તરીકે ગોકુળમાં બાલ કનૈયો છે, તો ઇન્દ્રને પડકાર ફેંકી ગોવર્ધન તોળનાર કૃષ્ણ એ શક્તિમાન ગોવર્ધનનાથ પણ છે. રાસ રમનાર અને રાધાજીના પ્રેમને આત્મસાત કરનાર કૃષ્ણ મથુરામાં કંસને મારી પણ શકે છે, તો ચાલાક કૃષ્ણ કાલયવનથી  યુદ્ધમાં નાસે છે અને રણછોડ તરીકે પ્રખ્યાત થાય છે. કૃષ્ણ કાલયવનનો નાશ મુચકુંદ ઋષિ દ્વારા કરાવે છે. પરંતુ આ જ કૃષ્ણ દ્વારિકાધીશ તરીકે દ્વારિકાને સોનાની દ્વારિકાનું નામ અપાવી શકે તેવી વિચક્ષણતા ધરાવે છે અને પાંડવોને વિજય પંથે દોરી જનાર કૃષ્ણ જ ગીતાના ઉદ્ ગાતા પણ બને છે અને કર્મયોગનો ઉપદેશ પણ આપે છે. કૃષ્ણ નર અને નારાયણ બંને છે અને તેથી જ કૃષ્ણ અવતાર છે.

    આ કથાની શરૂઆતનો ઇતિહાસ રસિક છે પણ અંતનો ઇતિહાસ કરૂણ છે. જ્યારે લેખનકાર્ય આરંભ્યુ ત્યારે ફક્ત બે ખંડમાં જ આ કથા રજૂ કરવાની મુનશીજીની ઇચ્છા હતી. પણ જેમ જેમ કથા આગળ વધતી ગઈ તેમ તેમ વાચકસમુદાયનું એના પ્રત્યેનું આકર્ષણ વધતું ચાલ્યું. મુનશીજીને પણ શ્રીકૃષ્ણના જીવનમાં અગત્યનો ભાગ ભજવતાં પુરાણ અને મહાભારતના પાત્રોએ આકર્ષ્યા. પરિણામે એમણે કથા લંબાવી અને જીવનના અંતિમ દિવસોમાં પણ આઠમા ખંડ સુધી વાર્તાપ્રવાહ અસ્ખલિત વહેતો રાખ્યો. ‘કૃષ્ણાવતાર’નો આઠમો ખંડ ‘કુરુક્ષેત્રનું કથાનક’ અપૂર્ણ રહ્યો. સાતમા ખંડના પ્રાસ્તાવિક લખ્યાના માત્ર બાર દિવસ પછી જ મુનશીજીની જીવનલીલા સંકેલાઈ ગઈ અને એક મહાનવલ અધૂરી રહી ગઈ.

    કૃષ્ણ જ્યાં પણ જતા, ત્યાં લોકો એમને પૂજતા, કલહ આપોઆપ શમી જતા અને ધર્મ માટે આધાર પ્રગટતો. કૃષ્ણનું જીવન કાર્ય વિશિષ્ટ હતું. ધર્મશીલોનું રક્ષણ, દુષ્ટાત્માઓને દંડ અને ધર્મની સ્થાપના.  મુનશીના શબ્દોમાં કૃષ્ણ ‘શાશ્વત ધર્મગોપ્તા’ હતા. यतो धर्म स्ततो जय:  કૃષ્ણની હાજરીમાં જીવનનું તેજ પ્રસરી જતું. તેમનું સ્મિત સૌને જીવનનું બળ આપતું. કૃષ્ણના ઉત્સાહનો પ્રવાહ પણ લોકો પર પડતો. કૃષ્ણનું વ્યક્તિત્વ તેમના મુકુટમાં ધારણ કરેલ મોર પિચ્છ સમાન છે. કૃષ્ણ એટલે આકર્ષણ, મોહિની રૂપ, સખા, પ્રેમી, રાજનીતિજ્ઞ, ગ્વાલ, રાજા….અને ઘણું બધું. મુનશીની મહારત એ છે કે કથા ભલે પરિચિત હોય, પણ  ‘કૃષ્ણાવતાર’ માં કૃષ્ણને આપણે મળીએ છીએ, ઓળખીએ છીએ એક નવા સ્વરૂપે – આને શું કહીશું? કલમનું કૌવત, કૌશલ્ય, કળા કે કસબ?


    મુનશીના એ શબ્દ વૈભવ, સંસ્કાર વૈભવ ને સંસ્કૃતિ વૈભવની અનુભૂતિ જે મેં કરેલી તેના ઘુંટડાઓનું રસપાન સૌને કરાવી આજના ફાસ્ટ ફોરવર્ડના યુગમાં પણ મુનશીના સાહિત્ય વારસાની ઝલક આજની પેઢીને મળે એમ વિચારી આરંભ થયો મારી લેખમાળાનો- કલમના કસબી: કનૈયાલાલ મુનશી. એક ઝરણાને જેમ માર્ગ મળી જાય વહેવાનો તેમ મને પણ મારી અભિવ્યક્તિ માટે એક પ્લેટફોર્મ મળ્યું, જે અંતર્ગત એકાવન હપ્તા પહેલા ‘બેઠક’ પર પ્રકાશિત થયા અને  હાલમાં વેબગુર્જરી પર પ્રકાશિત થઈ રહ્યા છે.

    આજે જ્યારે હું મુનશી વિશે લખું તો હવે એક એવી દ્રષ્ટિ છે કે વાચકને શું ગમશે, આજના સમયમાં વાચકોની અપેક્ષા શું છે સાહિત્ય પાસેથી, એવી કઈ વાતો છે જે વર્તમાન સમયમાં પણ પ્રસ્તુત છે, એવી કેટલીક જાણી અજાણી વાતોને ઉજાગર કરવી જે આ સાહિત્યના લેખનનો ભાગ હોય. લેખક વિશેની એવી માહિતી જેમાં વાચકને પણ રસ પડે. માટે જ તેને પુસ્તકરૂપે પ્રકાશિત કર્યું જેમાં વાચકને મુનશીજીના સર્જનના તમામ સાહિત્ય પ્રકારો – ઐતિહાસિક નવલકથા, પૌરાણિક ઐતિહાસિક નવલકથા, સામાજિક નવલકથા, નવલિકા, નાટક, આત્મકથા – તમામની ઝાંખી મળી રહેશે. આ પુસ્તક ખરીદવા આપ સંપર્ક કરી શકો છો:

    વિજ્યા ગ્રાફિક્સ ઍન્ડ પબ્લિકેશન,સુરત
    https://wa.me/c/919879575905


    મુનશીના ખ્યાતનામ પુસ્તકોનો રસાસ્વાદ એટલે બત્રીસ ભોજન અને તેત્રીસ પકવાન. ઇતિહાસ, પુરાણ અને પૌરાણિક વાતો સાથે વર્તમાનને સાંકળી લઇ ઇતિહાસને જીવંત કરવાનો કસબ આપના સુધી પહોંચડવા વિશેષ આભાર  વેબગુર્જરી, સાહિત્યકાર સખી સુ.શ્રી.રાજુલ કૌશિક અને શ્રી.અશોક વૈષ્ણવનો. મારી લેખમાળાના તમામ વાચકોનો તેમના પ્રેમ, પ્રોત્સાહન અને પ્રતિભાવ માટે હૃદયપૂર્વક આભાર માનું છું. મુનશીના સર્જનો પરનું આ અભ્યાસપૂર્ણ પુસ્તક સાહિત્યરસિકોને અને અભ્યાસુઓને  ઉપયોગી થઈ પડશે એવી આશા. ફરી મળીશું  અદભુત રંગોના આસમાનમાં મોરપિચ્છની કલમને સાહિત્યમાં ઝબોળીને… ફરી કોઈ નવી રસ ગાથા સાથે… આભાર.


    સુશ્રી રીટાબેન જાનીનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું:    janirita@gmail.com

  • નાટ્યલેખનથી નાટ્યપ્રસ્તુતિની સફર આલેખતું પુસ્તક

    પુસ્તક પરિચય

    લીલા:નૌશિલ મહેતા

    પરેશ પ્રજાપતિ

    સાહિત્યસર્જનમાં નાટક એ સાહિત્યનો વિશિષ્ટ પ્રકાર મનાય છે. પરંતુ વાર્તા, નવલકથા કે કવિતાનાં પુસ્તકોની સરખામણીએ નાટકનાં પુસ્તકો ઓછાં જોવા મળે છે. નાટકમાં રજૂઆત મુખ્ય ભાગ ભજવે છે. નૌશિલ મહેતા નાટ્યલેખન સાથે સંકળાયેલા છે. તેમણે ગુજરાતી તેમજ અન્ય ભાષાઓમાં મૌલિક તથા પ્રેરિત નાટકો લખ્યા છે. મુંબઇની રંગભૂમિમાં નાટ્યલેખન ઉપરાંત તેઓ દિગ્દર્શન અને નિર્માણમાં પણ સક્રિય છે. ભૂપેન ખખ્ખર લિખિત ‘મોજીલા મણિલાલ’ તથા મધુ રાય લિખિત ‘આ શેખર ખોસલા કોણ?’નું નિર્માણ પણ નૌશિલ મહેતાએ કર્યું છે. ‘લીલા’ તેમનું પ્રથમ નાટ્યપુસ્તક છે. તેઓ માનતા હતા કે નાટકનાં પુસ્તકો ન હોય; આમ છતાં પુસ્તક માટે તેમણે કેમ મન બનાવ્યું, તેનાં અંગત સંભારણાં સાથેનો પ્રવેશલેખ ‘સંગતની રંગત’ શિર્ષક હેઠળ આપ્યો છે.આ લેખમાં તેમણે નાટક લખવા તરફના પહેલવહેલા ધક્કાની વાતો સરસ રીતે પીરસી છે.

    કુલ દસ નાટકો ધરાવતું આ પુસ્તક મૌલિક નાટકો અને પ્રેરિત નાટકો એમ બે ભાગમાં વિભાજિત છે. પહેલા વિભાગમાં સાત મૌલિક નાટકોનો સમાવેશ છે.

    ‘નૌશિલ મહેતા આપઘાત કરે છે’ એ આ વિભાગમાં પહેલું નાટક છે, જે તેમની લખાઇ રહેલી રહસ્યકથાના એક અંશ પર આધારિત હતું. આ નાટકને લાભશંકર ઠાકરની ઉત્સાહવર્ધક ટિપ્પણી ઉપરાંત ઘણાં ઇનામો અને ટ્રોફીઓ મળી હતી. કેતન મહેતાની હિંદી ફિલ્મ ‘હીરો હીરાલાલ’ આ નાટક પર આધારિત હતી.

    બીજું નાટક ‘શ’ મીઠીબાઇ કોલેજને જીતાડવાના ઉદ્દેશ્યથી લખાયેલું હતું. મૂળે ‘રિયલ ટુ સિમ્બોલિક’ થીમ આધારિત નાટક ‘વણઝારા’ લખવામાં તે નિષ્ફળ ગયા હતા. પરંતું તેના પ્રયોગની કલ્પના પર આધારિત સાવ અનોખા નાટક ‘શ’નું સર્જન થયું હતું. નાટકમાં એક પણ સંવાદ નહોતા, પરંતું માત્ર ભજવણી દ્વારા વાત કહેવાનો એક નવતર પ્રયોગ હતો. શફી ઇનામદાર તથા પરેશ રાવલ જેવાઓએ નાટકના એ પ્રયોગને વખાણ્યો હતો. નાટકમાં સંવાદો ન હોવાથી પુસ્તકમાં તેના રિહર્સલના ફોટાઓને સ્થાન આપ્યું છે.

    ‘ખાનગી ભાષા’ મનોવૈજ્ઞાનિક અસરો વર્ણવતું નાટક છે.

    રંગભૂમિ પર એક જ સેટનો ઉપયોગ થાય તેનું ધ્યાન રાખી મૌલિક નાટક લખવાની ત્રણ નાટ્યલેખકો વચ્ચે આપસી સ્પર્ધા થઇ. પ્રચાર માટે નામ રાખ્યું હતું ‘ત્રણ ગુજરાતી’. તેમાં નૌશિલ મહેતાએ ‘લીલા’ નાટક લખ્યું હતું, જેમાં ગુમાવેલી પ્રેમિકાની યાદો વાગોળતા બે ડોસાની કથા છે. આ નાટક હિંદીમાં ‘રંગબિરંગી’ નામથી ભજવાયું હતું.

    ‘હું તને ગમું છું?’ – આર ડી લૅન્ગના પુસ્તક ‘Do you really love me?’ ની સ્મૃતિ આધારિત માત્ર દસ મિનિટના નાટકના ટુકડા પરથી લખાયેલું નાટક છે, જે ‘ત્રણ ગુજરાતી’ના બીજા ભાગ રૂપે છે.

    ‘વાનરપુરની વાત’ નાટક સ્ત્રીભ્રૂણહત્યા અંગે સંદેશ આપતું નૌશિલભાઇએ લખેલું પહેલું બાળનાટક છે. પુસ્તકનું કોઇ પણ નાટક ભજવવા લેખકની પરવાનગી જરૂરી હોવાની પુસ્તકમાં નોંધ છે, પરંતુ આ નાટકને સહેતુક તેમાંથી મુક્ત રખાયું છે.

    સ્થાનિક બોલીને કારણે રસપ્રદ નીવડેલું પુસ્તકનું સાતમુ નાટક ‘લાપસી’ એવું નાટક છે, જે ‘ચોરી’ થયું હતું! તે ગુજરાતી ઉપરાંત મરાઠી, પંજાબી અને કન્નડ ભાષામાં પણ ભજવાઇ ચૂક્યું છે.

    પ્રેરિત નાટકોના બીજા વિભાગમાં ‘એક ને એક એક’, ‘ડ્રામો’ તથા ‘ડાબા પગનો ખેલ’ એમ ત્રણ નાટકોનો સમાવેશ થાય છે, જેમાં ‘ડાબા પગનો ખેલ’ ડાર્ક હ્યુમર ધરાવે છે.

    પ્રત્યેક નાટકની શરૂઆતમાં ભજવણીની અવધિ, પ્રથમ પ્રયોગની વિગતો કે સમય, કલાકારો, નિર્માણ સંસ્થા, સંગીતકાર ઉપરાંત પ્રકાશ રચના સંભાળનારના નામોલ્લેખ જેવી નાટક સાથે સંકળાયેલી ઝીણી વિગતો છે.

    **** **** ****

    કવિતા કે નવલકથા કરતાં નાટ્યલેખન ઘણું જુદું પડે છે. કારણ કે નાટકો ભજવીને દેખાડવાનાં હોય છે. તેમાં વર્ણનો ન ચાલે. વળી, રંગમંચની પણ કેટલીક મર્યાદાઓનું ધ્યાન રાખવું પડે છે. નૌશિલ મહેતાએ પુસ્તકમાંના દરેક નાટક પહેલાં નાટકને અંગત લખાણોની સંગત આપી છે. તેમાં પ્રત્યેક નાટક કેવી રીતે અને કેવા સંજોગોમાં લખાયું? કેમ લખાયું? વિચારબીજ ક્યાંથી અને કેવી રીતે મળ્યું અને તે કેવી રીતે વિકસ્યું? કેવા પડકારો હતા અને કેવી મૂઝવણોએ તેમને પરેશાન કર્યા? તેનાં રિહર્સલો ક્યાં અને કેવી રીતે થયાં? છેવટે એનું પરિણામ શું આવ્યું? વગેરે બાબતોને સાંકળી લીધી છે. આ રસપ્રદ અને માહિતીપ્રદ લખાણો પુસ્તકને આગવું બનાવે છે. તેમાં નાટ્યલેખનના પડકારો અને વિટંબણાઓની સાથે લેખકે તેમાંથી કેવી રીતે માર્ગ શોધ્યો તેની પણ રસપ્રદ વાતો છે. તેથી નાટ્યલેખન અને ભજવણીની અજાણી અને અનોખી દુનિયાની આહ્લાદક સફર કરાવતું આ પુસ્તક, નાટ્યલેખનની દિશામા આગળ વધવા માંગતી વ્યક્તિ માટે પથદર્શક પણ બની રહે તેમ છે.

    *** * ***

    પુસ્તક અંગેની માહિતી:

    લીલા: નૌશિલ મહેતા

    પૃષ્ઠસંખ્યા : 216

    મૂલ્ય : ₹ 300/-

    પ્રથમ આવૃત્તિ: જાન્યુઆરી 2013

    પ્રકાશક: ક્ષિતિજ સંશોધન કેન્દ્ર, એ-403, પારસનાથ, સુધા પાર્ક, શાંતિપથ, ઘાટકોપર(પૂર્વ), મુંબઇ-400 077; email etadindia@gmail.com

    પ્રાપ્તિસ્થાન :ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ. 199/1, ગોપાલ ભુવન, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઇ- 400 002. ફોન. 022-22002691, 22001358;

    1-2, અપર લેવલ, સેન્ચૂરી બજાર, આંબાવાડી સર્કલ, અમદાવાદ 380 006. ફોન. 079- 26560504; 26445836; email: imagebdl@gmail.com

    નવભારત સાહિત્ય મંદિર, 134- શામળદાસ ગાંધી માર્ગ, મુંબઇ- 400 002. ફોન. 022-22017213; 22085593; email: nsmmum@yahoo.com

    પ્રસાર, 1888, આતાભાઇ એવન્યુ, ભાવનગર, 364 001 ફોન. 0278-2568452; email: jayantmeghani@gmail.com


    પુસ્તક પરિચય શ્રેણીના સંપાદક શ્રી પરેશ પ્રજાપતિનું વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : pkprajapati42@gmail.com

  • નવ નિર્માણ આંદોલન – વિદ્યાર્થીઓએ કરેલી ક્રાંતિનાં ૫૦ વર્ષ

    તવારીખની તેજછાયા

    • ડિસેમ્બર, ૧૯૭૩ : આઝાદી પછીનું કદાચ એ પહેલંુ એવું આંદોલન હતું, જેમાં રાજ્ય સરકારે ખુરશી ખાલી કરવી પડી હતી
    • તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ
    • નવ નિર્માણ આંદોલનનાં પચાસ વરસ એ આગળ જવા સારુ પાછળ નજર કરવાનો અવસર છે. કાનૂની સાર્વભૌમ પર રાજકીય સાર્વભૌમની સત્તાનો સિદ્ધાંત એણે ઘૂંટ્યો હતો.

    પ્રકાશ ન. શાહ

    તીર પર કૈસે રુકૂં મૈં, આજ લહરોં મેં નિમંત્રણ: ૧૯૭૪ના ફેબ્રુઆરીનું બીજું અઠવાડિયું છે અને ગુજરાત યુનિવર્સિટીના ઓપન એર થિયેટરમાં હરિવંશરાય બચ્ચનની આ સલામી પંક્તિઓ સાથે એક બુઝુર્ગે વાત માંડી છે. આરંભે કદાચ ક્ષીણ લાગતો આ અવાજ સામે છલકાતા છાત્રયુવા મહેરામણની આંખ શું આંખ પ્રોવતો એકદમ ખૂલવા લાગે છે, કેમ કે ખરી દૂંટીનો એ અવાજ જયપ્રકાશ નારાયણનો છે. એ જયપ્રકાશનો જેણે ગુજરાતની તરુણાઈના તેડ્યા સ્વરાજ આગમચ પાંચ જ દિવસ પર, દસમી ઓગસ્ટે, ગુજરાત કોલેજમાં શહીદ વીર વિનોદ કિનારીવાલાની ખાંભી ખુલ્લી મૂકી હતી. શું હતું જેપીનું નિમિત્ત? નવ નિર્માણ આંદોલનના વાસંતી ઉદ્રેક સાથે, જોઈએ તો જયપ્રકાશને હાઈજેક કરી લાવો એવા છાત્રયુવા સાદ સાથે, ‘રવિશંકર મહારાજનો સંદેશ એટલે આદેશ’, એવા હૃદયભાવ સાથે એ આવી પુગ્યા હતા. ગુજરાતના યુવજન સૌ રણે ચડ્યા એનો બુંગિયો અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં ફૂડબિલના આકરા વધારા થકી (એમાંથી ઢેકો કાઢતા ભ્રષ્ટાચાર ને મોંઘવારીના એકંદર માહોલ થકી) બજ્યો હતો. પૂર્વે મોરબીની એન્જિનિયરિંગ કોલેજે પણ આવા કોક મુદ્દે યુવા અજંપો પ્રગટ કીધો હતો અને પોલીસ દમન વહોર્યું હતું.

    પણ અમદાવાદના કેન્દ્રવર્તી સ્થાને વ્યાપક ગુજરાતમાં વમળો જગવ્યાં હતાં અને યુનિ. સિન્ડિકેટના વિદ્યાર્થી સભ્ય મનીષી જાનીના પ્રતિબદ્ધ નેતૃત્વમાં કંઈક સ્વયંભૂ એવો લોકઉદ્રેક પ્રગટ થવા લાગ્યો હતો. છાત્રયુવા અજંપો ને મધ્યમવર્ગી પ્રતિક્રિયા એકત્ર આવી રહ્યાં હતાં અને 14 ઓગસ્ટ શ્રમજીવી હિલચાલોનોયે એમાં હિસ્સો હશે સ્તો. જરી પાછળ જઈને એકંદર સિનાર્યો સંભારીશું? ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનને પશ્ચિમ પાકિસ્તાનની સાંસ્થાનિક પકડમાંથી મુક્ત કરી બાંગ્લાદેશનું નિર્માણ કર્યા બદલ ઈન્દિરા ગાંધીની પ્રતિમા ખાસી ઊંચકાઈ હતી ને ‘ગરીબી હટાવો’ના નારા સાથે નયી રોશનીની ચમકદમક પણ હતી. એમણે લોકસભાની મુદતવહેલેરી ચૂંટણી નાખી અને જ્વલંત ફતેહ હાંસલ કરી. પણ વળતે વરસે ગુજરાત વિધાનસભા માટે કોંગ્રેસી ઉમેદવાર પસંદગી બાબતે તેમ આંતરિક જૂથબંધીની સત્તામારી અંગે મધ્યમવર્ગની તીવ્ર પ્રતિક્રિયા હતી.

    હજુ ૧૯૭૧માં તો લોકસભાની ચૂંટણી વખતે ઈન્દુલાલ યાજ્ઞિકે કોંગ્રેસના નિશાન પર અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો હતો. પણ ૧૯૭૨ના માર્ચમાં લોકસભામાં એમણે જે વક્તવ્ય આપ્યું એમાં મોહભંગનાં લક્ષણો દેખાતાં હતાં. જુલાઈમાં તો એ ગયા અને ખાલી પડેલી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને શિકસ્ત આપીને અપક્ષ ઉમેદવાર પુરુષોત્તમ માવળંકર ચૂંટાઈ આવ્યા તેમાં ઈન્દિરાજી સામે પડકારનો મિજાજ ચોખ્ખો વરતાતો હતો.

    ૧૯૭૨ની ચૂંટણીમાં કોંગ્રેસે વિધાનસભામાં બહુમતી મેળ‌વી અને ઘનશ્યામ ઓઝા ઈન્દિરાનીમ્યા દંડનાયક પેઠે મુખ્યમંત્રી બન્યા. એમની પ્રતિભા જરૂર સારી હતી પણ જેમ જૂની કોંગ્રેસમાં ‘સર્વોચ્ચ’વાદ ચાલતો હતો તેવું આ નિમણૂકમાં જણાયું એથીયે લોકલાગણી કંઈક વંકાઈ. એને એક ઓર વળ અને આમળો ત્યારે મળ્યો જ્યારે પોતાના જ મુખ્યમંત્રીને ઉથલાવીને ચિમનભાઈ પટેલે સત્તા હાંસલ કરી. એમણે બહુમતી ઊભી કરવા ને સાબિત કરવા જ્યાં ધારાસભ્યોને એકઠા કર્યા તે પંચવટી ફાર્મને લોકજીભે ઓળખ પણ ચોંટડૂક મળી, પ્રપંચવટી! મોંઘ‌વારી, જૂથબંધી, ભ્રષ્ટાચારના આ માહોલ વચ્ચે એલ.ડી. એન્જિનિયરિંગ ઘટના ને પોલીસ પ્રતિક્રિયા સામે એકંદર જનરોષ બહાર આવ્યો અને જોતજોતામાં જંગલના દવની જેમ ગુજરાતવ્યાપી બની રહ્યો એની શરૂઆત ડિસેમ્બર ૧૯૭૩માં થઈ હતી.

    આજે, ૨૦૨૩માં, પાછળ નજર કરીએ ત્યારે એની પચાસીએ શું સમજાય છે? યુવા ઉદ્રેકનું તત્કાળ નિમિત્ત જે પણ હોય, ૧૯૬૮માં યુરોપીય-અમેરિકી કેમ્પસો પરથી જે યુવા ઉન્મેષ પડમાં આવવા લાગ્યો હતો, કંઈક એની જેમ જ અહીં વર્તમાન સામે ફરિયાદ ને ભાવિ સુધારનો કાંઈક આંતરિક ધક્કો ખસૂસ હતો… કેવો મિજાજ હશે ત્યારે એનું એક ઉદાહરણ, કંઈક હટકે આપું? ‘જવાની દિવાની’ નામે ફિલ્મનું અવલોકન રાધેશ્યામ શર્માએ જુલાઈ ૧૯૭૩માં લખ્યું, એનું શીર્ષક હતું- ‘જવાની દિવાની’ : ખાનદાની ખૂન વર્સીસ યુવા વિદ્રોહ.

    વ્યાપક પ્રજાવર્ગની સહાનુભૂતિ સાથે છાત્રયુવા આંદોલનમાં અધ્યાપકોનું જોડાવું એ પણ એક મોટી વાત હતી. પણ આંદોલન જેવું આગળ ‌વધ્યું અને કોંગ્રેસના જૂથગત નેતાપલટા માત્રે એણે અટકવું મુનાસીબ ન માન્યું ત્યારે અધ્યાપક મંડળ ખસી ગયું. એ પ્રજાકીય આંદોલન સાથે નહીં એટલું કોંગ્રેસનો આંતરિક સત્તામારીમાં એક જૂથ સાથે હતું.

    વિધાનસભાના વિસર્જનની માંગ એક નિર્ણાયક મુદ્દો હતો. માર્ચના બીજા અઠવાડિયામાં મોરારજી દેસાઈએ આંદોલનની માંગના સમર્થનમાં અને હિંસાના વિરોધમાં અનશનનો રાહ લીધો અને ૧૫મી માર્ચે રાજ્યપાલના સલાહકાર સરીને એમને રૂબરૂ મળીને ખબર આપી કે કેન્દ્ર સરકાર વિધાનસભાના વિસર્જનમાં સંમત છે.

    ખરું જોતાં બહુ જ ઉતાવળે અને કંઈક અછડતી વાત આ કરી છે. એંશી-પંચાસી દિવસના આ આંદોલનને ગોળીબારથી નીપજેલ ચાળીસથી વધુ મોત કે જાહેર નુકસાનીના આંકડામાં અગર તો ટૂંક સમયમાં ચારસોથી વધુ નવ નિર્માણ સમિતિઓ કાર્યરત થઈ એવી વિગતમાત્રમાં ખતવી ન શકાય. મુદ્દે, વિધાનસભા વિસર્જનની એની સફળ માંગે લોકશાહી રાજકારણમાં એક મહદ્ સિદ્ધાંત સ્થાપી આપ્યો કે કાનૂની સાર્વભૌમ (સરકાર) પર આખરી સત્તા રાજકીય સાર્વભૌમ એટલે કે લોકોની છે. સાંકડા રાજકીય-શાસકીય માળખાની બહારથી આવેલી લોકપહેલનો આ ચમકારો તે જયપ્રકાશને મળેલો ‘પ્રકાશ’ હતો. બિહાર આંદોલન ઉપડ્યું એના સમર્થનમાં ગુજરાતથી સૌ દિલ્હી ગયા, ઓક્ટોબર ૧૯૭૪માં આચાર્ય કૃપાલાનીના નેતૃત્વ હેઠળની રેલીમાં, ક્યારે ઉમાશંકર જોશી, ભોગીલાલ ગાંધી સાથે પગપાળા ચાલતા મિત્રોમાં વડનગરના વસંત પરીખે મજાનું સૂત્ર આપ્યું હતું: ‘ગુજરાત કી જીત હમારી હૈ, બિહાર કી રીત ન્યારી હૈ…’એ બધી વાતો વળી ક્યારેક, યથાપ્રસંગ.


    સાભાર સ્વીકાર: ‘દિવ્ય ભાસ્કર’ની ૨૦ – ૧૨ – ૨૦૨૩ ની પૂર્તિ  ‘કળશ’માં લેખકની કોલમ ‘તવારીખની તેજછાયા’ માં પ્રકાશિત લેખ


    શ્રી પ્રકાશ ન. શાહ નો સંપર્ક prakash.nireekshak@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે.

  • આધુનિક ભારતના સમાજ સુધારક સંત : ગાડગે બાબા

    નિસબત

    ચંદુ મહેરિયા

    આજકાલ બધે ચર્ચા તો બાગેશ્વર બાબાની છે પણ આપણે વાત ગાડગે બાબાની કરવી છે. હવે આડા બે વરસ છે ને એમનું  દોઢસોમું જન્મ પર્વ મનાવાશે. મૂળ નામ તો ડેબુ કે ડેબુજી. પણ જાણીતા થયા  ગાડગે બાબા(૧૮૭૬-૧૯૫૬)  તરીકે. પત્ની- સંતાનો સહિતના પરિવારને છોડી  લોકસેવા માટે એમણે ભારતના આમ આદમી જેવું જીવન સ્વીકાર્યું.  તેમાં બદન પર ફાટેલા લુગડાં અને એકમાત્ર મિલકત સમું માટીનું શકોરું હતા. શકોરાને મરાઠીમાં ગાડગં કહે છે એટલે તેને કાયમ સાથે રાખનાર તરીકે ગાડગે બાબા તરીકે પ્રખ્યાત થયા હતા.

    મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લાના શેણગાંવમાં ૨૩મી ફેબ્રુઆરી ૧૮૭૬ અને મહાશિવરાત્રિના દિવસે નિર્ધન ધોબી પરિવારમાં ગાડગે બાબાનો જન્મ થયો હતો. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ.  ધોબી જ્ઞાતિનો ઉત્તર અને પૂર્વ ભારતમાં અસ્પૃશ્ય અને  પશ્ચિમ તથા દક્ષિણ ભારતમાં પછાત વર્ગમાં સમાવેશ થાય છે. બાબા ગાડગેના જન્મ સમયનું ,  ઓગણીસમી સદીનું ,  ભારત અને મહારાષ્ટ્ર ધાર્મિક વહેમ, અંધશ્રધ્ધા, પાખંડ, રૂઢિજડતા, પશુબલિ, વ્યસનો, ગરીબી , અસ્પૃશ્યતા અને  શિક્ષણના અભાવથી ગ્રસ્ત હતું. ડેબુના પિતા પણ દારૂના વ્યસન અને શાહુકારોના કરજથી મુક્ત નહોતા. આઠ વરસના એકમાત્ર સંતાન પુત્ર ડેબુને છોડીને અંતિમ વિદાય લેતાં એમણે પત્ની પાસેથી  દીકરાને દારુ અને ધાર્મિક પાખંડથી દૂર રાખવાનું વચન લીધું હતું.પિતાનું અવસાન થતાં, માતાએ પિયરવાટ પકડી. ડેબુજીનું બાળપણ મોસાળમાં વીત્યું. નિશાળે જવાનો તો કોઈ સવાલ જ  નહોતો. ઢોર ચરાવવાનું અને ખેતીનું કામ કરતા મહેનતુ ભાણાને મામાએ બહુ વહેલો પરણાવી દીધો.

    ગોવાળિયા તરીકે ઢોર ચરાવતી વેળા કે વિશ્રાંતિમાં ભજનો લલકારતા ડેબુજીએ ભજન મંડળી પણ ઉભી કરી હતી. જોકે નિરક્ષર ડેબુજીનો અભિગમ ધાર્મિક કરતાં માનવતાવાદી વધુ હતો. સારાનરસા અને ન્યાયઅન્યાયની પરખે મામાની સાથે શાહુકારે કરેલી છેતરપિંડી  અને તેમના પ્રતિકાર સામે કુટુંબની શરણાગતિએ તેમને હલાવી મૂક્યા. અગાઉ પ્રથમ સંતાનના જન્મ વખતે તેમણે પશુબલિનો ઈન્કાર કરીને સમાજમાં સુધારાની શરૂઆત તો કરી જ હતી. મનની ચૈતસિક સ્થિતિ અને સમાજની હાલત વિશે વિચારીને કુટુંબના નાના દાયરાની બહાર નીકળી બહોળા સામાજિક જીવન અને સમાજસુધાર માટે તેમણે ગૃહત્યાગ કર્યો હતો.

    ગર્ભવતી પત્ની અને ત્રણ બાળકોને છોડીને ડેબુજી નીકળી પડ્યા હતા. ૧૯૦૫થી ૧૯૧૭ના બાર વરસ તેઓએ આખા મહારાષ્ટ્ર અને દેશના ઘણાં ભાગોમાં પગપાળા અને ક્યારેક રેલવેમાં ખુદાબક્ષ તરીકે ભ્રમણ કર્યું હતું. આ વરસોમાં અપમાન,ઉપેક્ષા, તિરસ્કાર અને માન જેવા બધા અનુભવો કર્યા. બાર વરસનો આ સાધનાશ્રમ ખરેખર તો અનુભવશ્રમ કે સ્વાધ્યાય હતો. રોજ ભીખ માંગીને ખાધું અને બદલામાં તનતોડ મજૂરી કરી. ભીખના બદલામાં કોઈના લાકડા ફાડ્યા તો ખેતર કે મહોલ્લો સાફ કર્યો.

    શેઠના બંગલે કે ગાંધીના સેવાગ્રામ સુધ્ધામાં દેશના અદના આદમીની જેમ જમીન પર બેસીને હાથમાં રોટલો અને ચટણી લઈ બાબા હંમેશા ખાતા. શકોરું કે છાલિયાની જેમ સાવરણો પણ એમની ઓળખ. ગાંધી હજુ ભારતમાં આવ્યા પણ નહોતા તે પૂર્વે ગાડગે બાબાએ સ્વચ્છતાને આચરણ દ્વારા ઉપદેશ બનાવ્યો. મંદિર હોય કે ગામનો ચોક સઘળું દિવસભર ચોખ્ખુંચણાક કરી દેતા. ગંદકીથી ખદબદતા તીર્થસ્થાનોને પણ એમણે ચમકાવ્યા હતા.સમાનતા અને સ્વચ્છતાની અલખ મારું જીવન એજ મારી વાણીથી જગવ્યા હતા..

    ભ્રમણ દરમિયાન દિવસે મજૂરી કરતાં ગાડગે મહારાજ રાત્રે કિર્તન કરતા હતા. તેમના મધુર અવાજમાં કબીર અને રૈદાસ, જ્ઞાનેશ્વર અને તુકારામના પદો એવા તો ગવાતા કે જે લોકો તેમને પાગલ સમજતા તે પણ સાંભળવા બેસી જતા. બાબાની કિર્તન કરવાની પધ્ધતિ સંવાદની કે સવાલ-જવાબની હતી. સરળ અને લોકભોગ્ય શૈલી તથા  વિદર્ભની કરાડી બોલીમાં તે ઘણી અઘરી વાતો તર્કબધ્ધતાથી લોકોના ગળે ઉતારતા. આખાબોલા બાબા કડવાબોલા પણ એટલા જ હતા. માનવમાત્ર અને પશુપક્ષી પ્રત્યે અપાર કરુણા ધરાવતા બાબા લોકોને ખોટું  કરતા જોઈને દુ:ખી થતા.  તેઓ કિર્તન કે સંવાદમાં અસ્પૃશ્યતા, ભાઈચારો, ધાર્મિક અંધશ્રધ્ધા, શાહુકારોનું કરજ, પશુબલિ, ગરીબી અને શિક્ષણ જેવા વિષયો ચર્ચતા હતા. બાબા કિર્તનમાં કોઈ આત્મા-પરમાત્માનું આધ્યાત્મિક જ્ઞાન આપવાને બદલે લોકોના જીવનને સ્પર્શતી સામાજિક- ધાર્મિક સુધારાની બાબતો કહેતા એટલે લોકોને તે વધુ ઉપયોગી બનતી.

    ગાડગે બાબા કહેતા કે ના હું કોઈનો ગુરુ છું કે ના કોઈ મારો ચેલો છે. એટલે રાત્રે કિર્તન પૂરું કરીને એ અલોપ થઈ જતા હોય તેમ બીજા ગામ જતા રહેતા. તેમની પાછળ રહેતા તેમના કિર્તનના શબ્દો, જે લોકો જીવનભર ગાંઠે બાંધતા. બાબાએ જ્યાં પણ લોકોની મુશ્કેલીઓ જોઈ ત્યાં તેમને મદદ કરી. દલિતો, પછાતો, ગરીબો, કુષ્ઠરોગીઓ, વૃધ્ધો અને વિકલાંગોની સેવા તેમની પ્રાથમિકતા રહેતાં. કર્મસ્થળ ઋણમોચનની પૂર્ણા નદી, મંદિર અને ઘાટની સફાઈનું આરંભિક નમૂનેદાર કાર્ય તેમની કાયમી ઓળખ બની ગયું. જનહિત માટે તેમણે લોકફાળાથી લોકોપયોગી ઘણા ઘાટ,ધર્મશાળા, શાળા, વૃધ્ધાશ્રમ , અનાથાલય અને ઔષધાલય બનાવ્યા હતા.

    આભડછેટનો તેમનો વિરોધ ખુદના આચરણથી ઉભો થયો હતો. એટલે સો ટચનો હતો. પંઢરપુરમાં વિશાળ ચોખામેળા ધર્મશાળા તેમણે દલિતો માટે બનાવી હતી. જાતે નિરક્ષર હતા પણ શિક્ષણની મહત્તા જાણતા હતા.એટલે ગરીબોને કહેતા કે બાળકોને ભણાવવાના પૈસા ન હોય તો ખાવાની થાળી વેચીને પણ બાળકોને ભણાવજો. થાળી વિના રોટલો હાથમાં લઈને ખાઈ શકાશે પણ ભણ્યા વિના નહીં ચાલે. મહારાષ્ટ્રના અમરાવતીની ગાડગે બાબા યુનિવર્સિટી અભણ બાબાના લોકશિક્ષણ અને સામાજિક સુધારણાનું જીવંત સ્મારક છે.

    નિરક્ષર ગાડગે બાબા પાસે અનુભવનું જ્ઞાન એટલું કે ડો.આંબેડકર અને ગાંધીજી બેઉ તેમની સાથે વિમર્શ કરતા અને માર્ગદર્શન મેળવતા. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે બાબાને સવિશેષ ભાવ હતો.પંઢરપુરની ધર્મશાળા બાબાએ બાબાસાહેબને દલિત વિધ્યાર્થીઓની હોસ્ટેલ માટે અર્પિત કરી હતી. કરોડાના ખર્ચે લોકસેવાના કામો અને બાંધકામો છતાં બાબા અકિંચન જ રહ્યા. કોઈ કીર્તિ અને કલદાર તેમને ચળાવી ના શક્યા.રાજ્ય અને રાષ્ટ્રના અનેક નેતાઓ તેમને મળતા  પણ એ તો સદાય ચીંથરેહાલ અને શકોરા સાથે જ રહ્યા.

    સાથી કાર્યકરોની પસંદગી તેઓ આકરી તાવણીથી કરતા.. ગણપતરાવ ગાંગણા બાબાના બધા કામોનો હિસાબકિતાબ રાખતા. કામમાં કુશળ અને પ્રામાણિક એટલા કે બાબા ગણપતરાવ જેવાના ગામ વસાવવાનું કહેતા. આ જ ગણપતરાવ પર ખોટું આળ મૂકાયું તો એમણે આત્મદહન કરીને જીવ આપી દીધો હતો. લોકોને તીર્થયાત્રાઓમાં નકામા સમય, શક્તિ, નાણા ન વેડફવા બાબા કહેતા.સાચા ભગવાન મંદિર, મસ્જિદ કે તીર્થમાં નથી કે નથી પથ્થરની મૂર્તિઓમાં સાચા દેવ દરિદ્રનારાયણ  છે. તેમની સેવા એ જ સાચી સેવા છે એમ ઉપદેશતા બાબા સેવાના નામે ચાલતા ધંધાથી વાકેફ હતા. થોડી સેવા અને ઝાઝી પ્રસિધ્ધિને બાબા સેવાના નામે ચાલતી દુકાનદારી કહેતા હતા.

    ૮૦ વરસની વયે ૧૯૫૬ની ૨૦મી ડિસેમ્બરે અવસાન પામેલા ગાડગે બાબા લોકસેવાની એવી મિશાલ હતા કે સ્વામી આનંદે તેમને સેવક સંત કહ્યા હતા.  આચાર્ય અત્રેના મતે અડધી સદી સુધી શુધ્ધ માર્ક્સવાદનું લોકશિક્ષણ આપનાર ગાડગે બાબા મહારાષ્ટ્રની સમાજવાદની પીઠ હતા.


    શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

  • ભારતીય શાસ્ત્રનું આધુનિક દર્શન – ઋગ્વેદ ૦૨

    ચિરાગ પટેલ

    १.२.८ (१७) ऋतेन मित्रावरुणावृतावृधावृतस्पृशा । क्रतुं बृहन्तमाशाथे ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – मित्रावरुण छन्द – गायत्री

    અર્થ સત્યને ફલિતાર્થ કરનાર સત્ય યજ્ઞના પુષ્ટિકારક હે મિત્રાવરુણ! આપ અમારા કાર્યોને સત્યથી પરિપૂર્ણ કરો.

    મિત્ર અને વરુણ એકબીજા સાથે અભિન્નપણે જોડાયેલાં દેવો છે. ઋષિ આ મંત્રમાં તેમને સત્ય યજ્ઞના પુષ્ટિકારક કહે છે. સત્ય યજ્ઞનો અર્થ વિશ્વને ચલાવતાં નિયમો એવો અભિપ્રેત છે. પૃથ્વી માટે સૂર્ય અને જળ જીવન અને જૈવિક પ્રક્રિયાઓનું મૂળ છે. ઋષિ મધુચ્છંદા વૈશ્વામિત્ર આ સત્ય જોઈ શક્યા છે એમ સ્પષ્ટ જણાય છે. વળી, ઋષિ પોતાના સર્વે કાર્યોમાં આ સત્ય કે વૈશ્વિક નિયમો હોય એમ ઈચ્છે છે. એટલે કે, ઋષિ પોતે જે કાર્ય કરે એ વિશ્વના સંતુલન કે વિશ્વના નિયમોને હાનિ પહોંચે એવું ના હોય એમ ઈચ્છે છે. આધુનિક યુગમાં આ મંત્રને ચરિતાર્થ કરવાની ઘણી જ આવશ્યકતા છે.

    १.३.८ (२६) विश्वे देवासो अप्तुरः सुतमा गन्त तूर्णयः । उस्रा इव स्वसराणि ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – विश्वेदेवा छंद – गायत्री

    અર્થ સમયાનુસાર વર્ષા કરનાર હે વિશ્વેદેવો! આપ કુશળ અને શીઘ્ર કાર્ય  કરનાર છો. આપ સૂર્યકિરણો સમાન ગતિશીલ બની અમને પ્રાપ્ત થાઓ.

    સમય પ્રમાણે થતી વર્ષાઋતુ કૃષિ માટે આવશ્યક છે. આ મંત્રમાં આડકતરી રીતે વૈદિક યુગમાં ખેતી થતી હોય એવો ઉલ્લેખ છે. વર્ષાઋતુનું નિયમન વૈશ્વિક દેવો અર્થાત્ ઇન્દ્ર, અગ્નિ, વરુણ, અશ્વિનીકુમારો ઇત્યાદિ કરે છે એમ ઋષિ જણાવે છે. આ સર્વે દેવો સૂર્ય કિરણોની ગતિથી પ્રાપ્ત થાય એમ ઋષિ ઈચ્છે છે. વૈદિક કાળમાં કિરણોની ગતિને સહુથી ઝડપી ગણવી એ પ્રશંસાપાત્ર છે.

    १.३.१० (२८) पावका नः सरस्वती वाजेभिर्वाजिनीवती । यज्ञं वष्टु धियावसुः ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

     

    १.३.११ (२९) चोदयित्री सूनृतानां चेतन्ती सुमतीनाम् । यज्ञं दधे सरस्वती ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

     

    १.३.१२ (३०) महो अर्णः सरस्वती प्र चेतयति केतुना । धियो विश्वा वि राजति ॥

    ऋषि – मधुच्छंदा वैश्वामित्र देवता – सरस्वती छंद – गायत्री

    અર્થ પવિત્ર કરનારી, પોષણ દેનારી, બુદ્ધિપૂર્વક ઐશ્વર્ય પ્રદાન કરનારી સરસ્વતી  જ્ઞાન અને કર્મથી અમારા યજ્ઞને સફળ કરો.

    સત્ય બોલવાની પ્રેરણા આપનારી, મેધાવી લોકોને યજ્ઞની પ્રેરણા કરનારી સરસ્વતી અમારા આ યજ્ઞનો સ્વીકાર કરી અમને ઉત્તમ વૈભવ પ્રદાન કરો.

    જે પ્રચુર જળ પ્રવાહિત કરે છે તે સુમતિ જગાવનારી સરસ્વતી યાજકોની પ્રજ્ઞાને પ્રખર બનાવે છે.

    ઋગ્વેદમાં આ ત્રણ એવાં પ્રથમ મંત્રો છે જેમાં દેવીનું આહવાહન હોય. અહિ દેવી રૂપે સરસ્વતી છે જે વિશાળ જળ પ્રવાહની સ્વામિની નદી છે. પૌરાણિક સરસ્વતી દેવી જે વિદ્યા અને જ્ઞાનદાત્રી છે એનું મૂળ આ ત્રણ ઋચાઓમાં જોઈ શકાય છે. વળી, ઋષિ સરસ્વતી દેવી પાસેથી ઐશ્વર્ય અને વૈભવની પણ માંગણી કરે છે.

    સરસ્વતી નદી અંગે પુરાતત્વવિદો અનેક અનુમાન કરે છે. વર્તમાનમાં ઘગ્ઘર-હાક્રા નદી પ્રવાહને વૈદિક સરસ્વતી માનવામાં આવે છે. સરસ્વતીનો વિશાળ જળ પ્રવાહ હિમાલયથી નીકળી કચ્છના અખાતમાં ભળી જતો હતો. આ નદીના તટ પર સિંધુ સરસ્વતી સભ્યતાના અનેક નગરોનાં અવશેષો મળી આવે છે. વૈદિક કાળ અને આ સભ્યતા વચ્ચે સામ્યતા હોવાના અનેક પુરાવાઓ મળી આવ્યાં છે.

    અન્ય એક અર્થમાં વિદ્વાનો માને છે કે, આપણી મંદાકિની આકાશ ગંગાનો આકાશમાં દેખાતો દૂધમલ પટ જોઈને ઋષિએ આ મંત્રોની રચના કરી હોય.

     

  • પ્રત્યક્ષ પરમેશ્વર – વૈશ્વાનરં

    ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના

    દિનેશ.લ. માંકડ

    ” તમે ઈશ્વરને જોયા છે ?” એવો કોઈ આપણને પ્રશ્ન કરે તો બે ઘડી તો આપણે  અનુત્તર જ હોઈએ.માંડુક્ય ઉપનિષદે તેનો સરળ ઉત્તર આપી દીધો છે.सर्वꣳह्येतद्ब्रह्मायमात्माब्रह्मसोऽयमात्माचतुष्पात्॥ ‘ આ સંપૂર્ણ જગત બ્રહ્મરૂપ જ છે. આ આત્મા પણ બ્રહ્નરૃપ જ છે.એ ચાર ચરણવાળા સ્થૂળ અથવા પ્રત્યક્ષ,સૂક્ષ્મકારણ અને અવ્યક્ત રૂપમાં પ્રભાવી છે.’ જિજ્ઞાસુ તો સીધો જ સવાલ કરે કે આ સ્થૂળ રૂપ તે કયું રૂપ ? એનો ઉત્તર પણ આ જ ઉપનિષદઆપે છે. जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्ग एकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ‘ પ્રથમ ચરણ સ્થૂળ -વૈશ્વાનર ( પ્રગટ વિશ્વનો સંચાલક) છે.જે સમગ્ર સ્થાનમાં રહેનારો ,સાત અંગો અને ઓગણીસ મુખો ( દસ ઇન્દ્રિય ,પાંચ પ્રાણ અને અંતકરણ ચતુષ્ટ ) વાળા તથા સ્થૂલના ભોક્તા છે.’સ્થૂળ રૂપ આ વૈશ્વાનરનો પ્રભાવ વર્ણવતા આગળના એક મંત્રમાં જણાવે છે કે  जागरितस्थानो बहिष्प्रज्ञः सप्ताङ्गएकोनविंशतिमुखःस्थूलभुग्वैश्वानरः प्रथमः पादः ॥ ‘ જાગૃત સ્થાનવાળો વૈશ્વાનર વ્યાપ્ત અને આદિતત્ત્વ હોવાને કારણે ૐ કારનું આ પ્રથમ ચરણ છે.આ પ્રકારનું જ્ઞાન રાખનારો જ્ઞાની,સંપૂર્ણ કામનાઓ ને પ્રાપ્ત કરશે.બધાંમાં વરિષ્ઠતા મેળવે છે.’

    માનવ શરીરને ટકાવવાનો સૌ પ્રથમ આધાર અન્ન છે .અને એટલે જ આપણાં પ્રત્યક્ષ શરીરને અન્નમયકોશ  સાથે સૌથી પહેલાં જોડાય છે.પણ પછી જો અન્નમયકોશ ઢીલો પડે તો શરીરમાં બખડજંતર શરુ થાય.બીજી તરફ આધ્યાત્મિક વિકાસની દિશામાં જવા માટે અન્નમયકોશથી આગળ પ્રાણમયકોશને મજબૂત કરવાની દિશામાં જવાની ગતિ-દિશા શરુ થાય.એટલે જે અન્ન લેવાય તે તો સાત્ત્વિક હોય જ એ અન્નની સાથે પ્રાણને શુદ્ધ કરવાની પ્રક્રિયા જ પ્રબળ હોવી જોઈએ. અને એ વખતે પરબ્રહ્મ-પરમાત્માનું વૈશ્વાનર રૂપ મદદમાં  આવે.. શરીર વિજ્ઞાનીઓ ભલે તેને જઠરાગ્નિ કહે પણ હકીકતમાં તે પ્રત્યક્ષ દેવ જ છે.

    છાંદોગ્ય ઉપનિષદમાં વૈશ્વાનરના વિરાટ સ્વરૂપના અને તેને રીઝવવા તેની ઉપાસના પદ્ધતિની વાત ખુબ જ વિસ્તૃત રીતે થયેલી છે.ઉપમન્યુ પુત્ર ઔપમન્યવ ( પ્રાચીનશીલ ),પુલુશ પુત્ર પૌલુષિ ( સત્યયજ્ઞ ) ભલ્લ્વીના પુત્રો ( ઇન્દ્ધ્રુમ ),શર્કરાક્ષનો પુત્ર જનશર્કરાક્ષ ,અશ્વતરાશ્વનો પુત્ર બુડીલ-પાંચેય શાસ્ત્ર અને અધ્યયનમાં નિપુણ વિમર્શ કરતાં પરસ્પર પૂછવા લાગ્યા ,’ અમારો આત્મા કોણ છે ? અને બ્રહ્મ શું છે?’ ,प्राचीनशाल औपमन्यवः सत्ययज्ञःपौलुषिरिन्द्रद्युम्नो भाल्लवेयो जनः शार्कराक्ष्योबुडिल आश्वतराश्विस्ते हैते महाशाला महाश्रोत्रियाः

    समेत्य मीमाꣳसांचक्रुःको न आत्मा किं ब्रह्मेति ॥ ચર્ચા પછી પણ નિષ્કર્ષ પર નઆવ્યા એટલે આ વૈશ્વાનર વિદ્યાના જ્ઞાની એવા  આરુણિ પુત્ર ઉદ્દાલક પાસે ગયા.એમણે પોતાની અપૂર્ણતા જાહેર કરીને કૈકેય પુત્ર અશ્વપતિ પાસે મોકલ્યા અને સાથે પોતે પણ ગયા.

    જ્ઞાની રાજા અશ્વપતિએ સહુનો સત્કાર કરી વૈશ્વાનર- વિજ્ઞાનથી યુક્ત વિદ્યા સમજાવી.  तान्होवाच प्रातर्वः प्रतिवक्तास्मीति ते ह समित्पाणयःपूर्वाह्णे प्रतिचक्रमिरे तान्हानुपनीयैवैतदुवाच ॥ પ્રારંભમાં દરેક જિજ્ઞાસુને વ્યક્તિગત પૂછ્યું કે,‘ તેઓ  પોતે કેવી રીતે ઉપાસના કરે છે. દરેકને તેઓ જે ઉપાસના કરે છે, તેનું કેટલું ઉત્તમ  પરિણામ પ્રાપ્ત થાય તે પણ કહી બતાવ્યું. अथ होवाच सत्ययज्ञं पौलुषिं प्राचीनयोग्य कंत्वमात्मानमुपास्स इत्यादित्यमेव भगवो राजन्नितिहोवाचैष वै विश्वरूप आत्मा वैश्वानरो यंत्वमात्मानमुपास्से तस्मात्तव बहु विश्वरूपं कुलेदृश्यते ॥  સાથે સાથે એ પણ  જણાવ્યું કે, ‘તે ઉપાસનાની આપૂર્તિ આવશ્યક જ હતી અને તેઓ આવ્યા એ પણ યોગ્ય કર્યું ‘ એમ કહીને રાજા અશ્વપતિએ વૈશ્વાનરના વિરાટ સ્વરૂપનું વર્ણન કર્યું.तस्य ह वा एतस्यात्मनो वैश्वानरस्य मूर्धैवसुतेजाश्चक्षुर्विश्वरूपः प्राणः पृथग्वर्त्मात्मा संदेहोबहुलो बस्तिरेव रयिः पृथिव्येव पादावुर एव वेदिर्लोमानिबर्हिर्हृदयं गार्हपत्यो मनोऽन्वाहार्यपचन आस्यमाहवनीयः ‘ આ વૈશ્વાનરનું મસ્તક જ દ્યુલોક છે.નેત્ર જ સૂર્ય છે.પ્રાણ જ વાયુ છે.શરીરનો મધ્ય ભાગ આકાશ છે.બસ્તિ જ જળ છે.મોં અહવનીય અગ્નિ સમાન છે કારણકે તેમાં જ હવન થાય છે.’

    ઉપનિષદો દ્વારા ગુરુ શિષ્ય સંવાદના માધ્યમથી માનવજીવનને ઉત્કૃષ્ટ  બનાવવાનો અવસર મળે છે. આપણે સહુ નિયમિત અન્ન આહાર કરીએ છીએ.એ પોતે શરીરમાં રહેલા પરમાત્માની પૂજા છે -યજ્ઞ છે .એટલે જ પ્રારંભમાં ભોજન શરુ કરતાં પહેલાં કેટલાક આહુતિ શ્લોક થોડા જાણકાર મિત્રો બોલે પણ છે ખરા. ॐ प्राणाय स्वाहा, ॐ अपानाय स्वाहा, ॐ उदानाय स्वाहा, ॐ व्यानाय स्वाहा, ॐ समानाय स्वाहा”  પણ એ પ્રત્યેક મંત્રનો ભાવાર્થ અને તેની ફલશ્રુતિ જાણીએ તો સાચા અર્થમાં તે યથાર્થ થાય.

    અહીંથી અશ્વપતિ વૈશ્વાનરની પર્ણ ઉપાસના અને ફલશ્રુતિની વિદ્યા પ્રદાન કરે છે.तद्यद्भक्तं प्रथममागच्छेत्तद्धोमीयꣳसयांप्रथमामाहुतिं जुहुयात्तां जुहुयात्प्राणाय स्वाहेतिप्राणस्तृप्यति ॥ ‘ અન્ન -ભોજંન  વખતે જે યજ્ઞ કરાય તેની પ્રથમ આહુતિ જે ‘ પ્રાણાય સ્વાહા: ‘ મંત્ર સાથે સમર્પિત કરવામાં આવે છે.એનાથી પ્રાણ તૃપ્ત થાય છે.’ प्राणे तृप्यति चक्षुस्तृप्यति चक्षुषितृप्यत्यादित्यस्तृप्यत्यादित्ये तृप्यति द्यौस्तृप्यतिदिवि तृप्यन्त्यां यत्किंच द्यौश्चादित्यश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानुतृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा  ब्रह्मवर्चसेनेति ॥ પ્રાણ તૃપ્ત થતાં જ ચક્ષુ તૃપ્ત થાય છે.ચક્ષુ તૃપ્ત થતાં સૂર્ય તૃપ્ત થાય છે.સૂર્ય તૃપ્ત થતાં દ્યુલોક તૃપ્ત થાય છે.દ્યુલોક તૃપ્ત થતાં જ જે કોઈની ઉપર દ્યુલોક અને આદિત્ય પ્રતિષ્ઠિત છે એ પણ તૃપ્ત થાય છે.એના તૃપ્ત થવાથી સ્વયં ભોજન કરનાર પ્રજા,પશુ વગેરેની સાથે તેજ ( શારીરિક ) ,અને બ્રહ્મતેજ ( જ્ઞાનજન્ય તેજ )  દ્વારા પ્રાપ્ત થાય છે.’

    એ પછીથી જે બીજી આહુતિ સમર્પિત કરવામાં આવે છે अथ यां द्वितीयां जुहुयात्तां जुहुयाद्व्यानाय स्वाहेतिव्यानस्तृप्यति ॥ એ સમયે ‘વ્યાનાંય સ્વાહા: ‘મંત્રનું ઉચ્ચારણ કરવું  જોઈએ. આ રીતે વ્યાનને તૃપ્તિ થાય છે.  व्याने तृप्यति श्रोत्रं तृप्यति श्रोत्रे तृप्यतिचन्द्रमास्तृप्यति चन्द्रमसि तृप्यति दिशस्तृप्यन्तिदिक्षु तृप्यन्तीषु यत्किंच दिशश्च चन्द्रमाश्चाधितिष्ठन्तितत्तृप्यति तस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येनतेजसा ब्रह्मवर्चसेनेति ॥  ‘વ્યાનના તૃપ્ત થતાં કર્ણેન્દ્રિય તૃપ્ત થાય છે .શ્રોત્રતા તૃપ્ત થવાથી ચંદ્રમા તૃપ્ત થાય છે.ચંદ્રમાના તૃપ્ત થવાથી દિશાઓ અને દિશાઓના તૃપ્ત થવાથી જે કોઈની ઉપર ચંદ્રમાઓ અને દિશાઓ સ્વામી ભાવથી રહેલી છે એ અવશ્ય તૃપ્ત થાય છે.એની તૃપ્તિ બાદ ભોક્તા પ્રજા વગેરે તેજ અને બ્રહ્મતેજ પ્રાપ્ત કરે છે.’

    ત્યાર પછી ત્રીજી આહુતિ ‘ અપાનાય સ્વાહા: ‘ મંત્રની સાથે આપવી જોઈએ. अथ यां तृतीयां जुहुयात्तां जुहुयादपानायस्वाहेत्यपानस्तृप्यति ॥ એનાથી અપાન તૃપ્ત થાય છે.’અપાન’ના તૃપ્ત થતાં અગ્નિને તૃપ્તિ મળે છે.અગ્નિ તૃપ્ત થતાં જ પૃથ્વી તૃપ્તિ મેળવે છે અને પૃથ્વી તૃપ્ત થવાથી જે કોઈની ઉપર પૃથ્વી અને અગ્નિ સ્વામીભાવથી રહેલ છે એ તૃપ્ત થાય છે .ત્યાર બાદ પ્રજા વગેરે પણ તેજ અને બ્રહ્મતેજ દ્વારા તૃપ્તિને પ્રાપ્ત કરે છે .अपाने तृप्यति वाक्तृप्यति वाचि तृप्यन्त्यामग्निस्तृप्यत्यग्नौतृप्यति पृथिवी तृप्यति पृथिव्यां तृप्यन्त्यां यत्किंच

    पृथिवी चाग्निश्चाधितिष्ठतस्तत्तृप्यतितस्यानु तृप्तिं तृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसाब्रह्मवर्चसेनेति ॥

    ત્યારબાદ ચોથી આહુતિ ‘સમાનાય સ્વાહા: ‘ મંત્રની સાથે આપવી જોઈએ .એનાથી ‘સમાન ‘તૃપ્ત થાય છે.अथ यां चतुर्थीं जुहुयात्तां जुहुयात्समानाय स्वाहेतिसमानस्तृप्यति ॥ સમાનનના તૃપ્ત થતાં જ મનને તૃપ્તિ મળે છે.મન તૃપ્ત થતાં જ પર્જન્ય તૃપ્ત થાય છે.અને પર્જન્ય તૃપ્ત થવાથી વિદ્યુતને તૃપ્તિ મળે છે.જેની ઉપર પર્જન્ય અને વિદ્યુતનો સ્વામીભાવ છે તે પણ તૃપ્ત થઇ જાય છે.તેની તૃપ્તિ પછી પ્રજા  વગેરે તૃપ્ત થાય છે.समाने तृप्यति मनस्तृप्यति मनसि तृप्यति पर्जन्यस्तृप्यतिपर्जन्ये तृप्यति विद्युत्तृप्यति विद्युति तृप्यन्त्यां यत्किंचविद्युच्च पर्जन्यश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेनेति|

    પાંચમી આહુતિ ‘ઉદાનાય સ્વાહા:’ મંત્રથી આપવી જોઈએ  अथ यां पञ्चमीं जुहुयात्तां जुहुयादुदानायस्वाहेत्युदानस्तृप्यति ॥. ઉદાન તૃપ્ત થવાથી ત્વચા તૃપ્ત થાય છે.ત્વચાના તૃપ્ત  થવાથી વાયુ,વાયુના તૃપ્તથવાથી આકાશ અને વાયુ તથા આકાશના સ્વામીભાવ વાળા સર્વે તૃપ્ત થાય.તેનાથી પ્રજા વગેરે તૃપ્ત થાય.તે -બ્રહ્મતેજ મેળવે. उदाने तृप्यति त्वक्तृप्यति त्वचि तृप्यन्त्यां वायुस्तृप्यतिवायौ तृप्यत्याकाशस्तृप्यत्याकाशे तृप्यति यत्किंचवायुश्चाकाशश्चाधितिष्ठतस्तत्तृप्यति तस्यानु तृप्तिंतृप्यति प्रजया पशुभिरन्नाद्येन तेजसा ब्रह्मवर्चसेन|

    આ રીતે પાંચ વિશેષ રીતે અપાતી આહુતિની સમજણ આપીને રાજા અશ્વપતિએ તારણરૂપ ખુબ અગત્યની વાત કરી  अथ य एतदेवं विद्वानग्निहोत्रं जुहोति तस्य सर्वेषु लोकेषुसर्वेषु भूतेषु सर्वेष्वात्मसु हुतं भवति ॥ ઉપર્યુક્ત બતાવેલ  ક્રમ મુજબ જે વૈશ્વાનર વિદ્યાને જાણી સમજીને યજ્ઞ કાર્ય સંપન્ન કરે છે એના દ્વારા બધા લોક,સમસ્ત પ્રાણી સમુદાય અને સંપૂર્ણ આત્માઓને માટે યજન કાર્ય પરિપૂર્ણ બની જાય છે.

    ગુજરાતી ભાષાના કવિ હરિહર ભટ્ટએ પોતાના એક કાવ્યમાં સહજ શબ્દોમાં આધ્યાત્મિક વાત કરી છે.’ વિશ્વાનલ હું અધિક ન માગું, માગું એક ચિનગારી.’-બ્રહ્મ પ્રાપ્તિ માટેની ઝંખના કવિએ નમ્ર ભાવે મૂકી છે. ઉપનિષદોએ જેને પૂર્ણ બ્રહ્મ કહ્યો છે તે વૈશ્વાનરને આત્મસાત કરવાની દિશામાં એક ડગલું તો ચોક્કસ ભરાય.


    શ્રી દિનેશ  માંકડનું  ઈ-મેલ સંપર્ક સરનામું :-   mankaddinesh1952@gmail.com


    સંપાદકીય નોંધ:
    સહર્ષ જનાવવાનું કે આ લેખમાળા “ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના” તરીકે પ્રકાશિત થઈ ચુકેલ છે.

    પુસ્તક  પ્રકાશનની વિગત નીચે મુજબ છે.
    * પુસ્તકનું નામ -ઉપનિષદોમાં શિક્ષણ વિભાવના  ( પ્રસ્તુત પુસ્તકમાં અનેક ઉપનિષદોમાં પસંદ કરેલા મંત્રો ,તેના ભાવાનુવાદ સાથે તથા અનેક ગુરુ શિષ્ય સંવાદ અને દૃષ્ટાંતો મુકવામાં આવ્યા છે.પુસ્તક પ્રાચીન ભારતીય શિક્ષણની પદ્ધતિઓનું મૂલ્ય પ્રદર્શિત કરે છે.
    *પૃષ્ઠ સંખ્યા -168
    * મૂલ્ય – રૂ. 310/- { વેબગુર્જરી વાચકોને  વિશેષ  વળતર }
    * પ્રકાશક  અને પ્રાપ્તિસ્થાન – સંસ્કાર સર્જન ,અમદાવાદ .સંપર્ક  -9427960979
    * ઈમૈલ – mankaddinesh1952@gmail.com

  • રાઈનો પર્વત (૧૯૧૩) – અંક ત્રીજો: પ્રવેશ ૧

    સર્જક : રમણભાઈ મહિપતરામ નીલકંઠ

    અંક બીજો:પ્રવેશ ૫ થી આગળ

    અંક ત્રીજો

     

    પ્રવેશ ૧ લો

    સ્થળ : દુર્ગેશનું ઘર.

     

    [દુર્ગેશ અને કમલા બેઠેલાં પ્રવેશ કરે છે.]

     

    દુર્ગેશ :  પ્રિય ! આજે આપણા લગ્નને એક માસ પૂર્ણ થયો, પણ જાણે પ્રથમ દિવસ જ હોય, તથા દિન અને રાત, પહોર અને ઘડી, પળ અને વિપળ સહુ એકાકાર થઈ તેમની વચ્ચેનાં અંતર લુપ્ત થયાં હોય, એમ લાગે છે.

    કમલા : વહાલા ! સ્વર્ગમાં કાલની ગણના હોતી જ નથી.

    દુર્ગેશ :  સ્વર્ગમાં કાલ નથી તેમ દિશા પણ નથી. અને સીમા ન હોવાથી સ્વર્ગવાસીઓને કદી સ્વર્ગ બહાર જવાનો પ્રસંગ આવતો નથી.

    કમલા : આપણને એ સ્વર્ગનાં અધિકારી કરનારનું પ્રભુ કલ્યાણ કરજો.

    દુર્ગેશ :  કલ્યાણકામ અને સાવિત્રીદેવીના ઉપકારના ઋણમાં તો આપણે જીવનપર્યંત બંધાયાં છીએ. તેમના વિનાનું બીજું કોણ તારા પિતાની સખતાઈને મુલાયમ કરી શકત? જ્યાં બીજાને હાથે ભંગ થાત ત્યાં તેમને હાથે કમાન વળી છે.

    કમલા : કન્યાદાન દેતી વખતની મારા પિતાની સંપૂર્ણ પ્રીતિ એ સર્વ ભૂતકાલનું વિસ્મરણ કરાવે છે.

    દુર્ગેશ :  એ સર્વ ઘટનાના નાયક અને મને કનકપુરમાં આણનાર ભગવન્ત કલ્યાણકામના હ્રદયની ઉદાત્તતાના દર્શનથી મારું હ્રદય વિકાસ પામ્યું છે. પાછળ દૃષ્ટિ કરું છું તો મારા ચિત્તમાં વસેલી સ્વાર્થી રાજ્યલોભની અને અધમ

    રાજ્યદ્રોહની બુદ્ધિ કેવી નષ્ટ થઈ છે ! પ્રાણેશ્વરી ! તારા પ્રેમપ્રસાદ વિના એ સર્વ સુભાગ્ય મને ક્યાંથી પ્રાપ્ત થાત !

    (વસંતતિલકા)

    તેં પ્રેમ પ્રેરિ ઉરને ગતિ ઊર્ધ્વ આપી,
    તેં નેત્ર-વ્યંજક વડે છવિ દિવ્ય છાપી;
    ધોઈ સુધાથિ કર્યું તેં મુજ ચિત્ત સ્વચ્છ,
    ને તેથિ આત્મબળની થઈ પ્રપ્તિ શક્ય. ૩૧

    કમલા : અબલાનું તમે બહુ મહત્ત્વ કલ્પો છો.

    દુર્ગેશ :  શક્તિ અબલા રૂપે પ્રકટ થાય છે, એ રસિક કલાવિધાન જ છે.

    કમલા : સાવિત્રીદેવીએ મહિષાસુર મર્દિનીનું ચિત્ર કાઢ્યું છે. તેમાં દુર્ગાને ચંડી નહિ, પણ સૌમ્ય આકૃતિવાળી ચીતરી છે. તેની હાથમાંનું ખડ્ગ ફૂટતી કૂંપળોવાળી ડાળીનું છે. તેના પગ નીચે દબાયેલો મહિષ તે મનુષ્યની જડતા છે એમ ફલિત કરવા સારુ માથું મારતાં ભાંગેલા શિંગડાં વચ્ચેનું તેનું કપાળ અને આંખો સ્થૂલ બુદ્ધિના માણસ જેવાં કાઢ્યાં છે, તેના કાન અને તેનું નાક થોડાં માણસ જેવાં અને થોડાં પશુ જેવા કાઢ્યાં છે. સહુને એ ચિત્ર બહુ હ્રદયંગમ લાગે છે. માત્ર વંજુલ કહે છે કે ‘પાડાને તોપૂંછડું હોય અને શિંગડા હોય; પાડો તે વળી માણસ જેવો કાઢ્યાથી શોભતો હશે? અને વળી, દુર્ગા તો ચંડી જ હોય. તેને તો વિકરાલ અને લોહીની તરસી જ કાઢવી જોઈએ.

    દુર્ગેશ :  શ્રીમતીની પરમ તીવ્રતાવાળી બુદ્ધિમાંથી અને અનુપમ કોમળતાવાળા હ્રદયમાંથી નીકળતી રસસૃષ્ટિની એ જડસાને શી પરીક્ષા હોય? ક્યાં જડતામાં બંધાઈ રહેલી એની બુદ્ધિ અને ક્યાં શ્રીમતીની ઉચ્ચ ભાવના !

    કમલા : પહેલાં મને એમ લાગતું કે શ્રીમતી અને ભગવન્તની ગંભીરતા તથા પ્રૌઢતામાં પ્રેમનો અવકાશ નહિ હોય, પણ આપણા લગ્ન પહેલાંના વૃતાન્તમાં મારે એમનો બહુ પરિચય થયો ત્યારે ખબર પડી કે એમનો પ્રેમ અગાધ છે. અને એમની આસક્તિમાં રાગ માતો નથી એટલો ભરપૂર છે. માત્ર એક વાત આશ્ચર્ય જેવી લાગી. ‘પ્રિયા’ અને ‘પ્રાણનાથ’ અને એવાં પ્રેમના સંબોધનોના ઉચ્ચાર કરતાં મેં તેમને કદી સાંભળ્યા નથી. બહુ કુતૂહલ થવાથી તેમનાં એકાન્ત સંભાષણ મેં છાના રહી એક બે વાર સંભળેલાં, પણ , એવાં વચનો તેમના મુખમાંથી નીકળેલા નહિ.

    દુર્ગેશ :  પ્રિયતમે ! મને તો એમ લાગે કે તને પ્રેમવાચક વચનોથી સંબોધન કર્યા વિનાની એક ઘડી ગઈ હોય તો તે સૃષ્ટિના ઇતિહાસમાં નિરર્થક ગઇ.

    કમલા : પ્રાણવલ્લભ ! તમારી આ અશેષ ભક્તિ કોઈ કોઈ વાર મને ભયભીત કરે છે કે એમાં અણુમાત્ર શિથિલતા કોઈ કાળે થશે તો હું તે શી રીતે સહન કરીશ.

    દુર્ગેશ :  તને મારા પ્રેમની નિશ્ચલતા પર શ્રદ્ધા નથી?

    કમલા :

    (માલિની)

    હ્રદય સકલ મારું અર્પિયું જેહને મેં,
    થઈ અનુરત જેમાં દૂભવ્યા તાતને એ;
    જિવતર મુન જેના પ્રેમ માટે જ ધારું,
    હ્રદય અચલ તેનું પૂર્ણ શ્રદ્ધાથિ માનું.

    લગ્ન પહેલાં શ્રીમતીએ મને કહેલું કે ‘ગયેલું યૌવન પાછું મેળવવાનો ઉપચાર મહારાજ પર્વતરાયને જડ્યો છે, પણ ગયેલો પ્રેમ પાછો મેળવવાનો ઉપચાર કોઈને જડ્યો નથી. માટે, પ્રેમમાં નિરંતર દૃઢ રહેવાનું મનોબળ તમારા બન્નેમાં છે એમ તમને લાગતું હોય તો જ લગ્ન

    કરજો. ફીણના ઊભરાથી પાણીની ઊંડાઈનું માપ થતું નથી, માટે ઊભરો શમી જાય ત્યારે પાણી કેટલું રહેશે એનો ખ્યાલ પ્રથમથી કરી મૂક્જો.

    દુર્ગેશ :  તે પછી મારા મનોબળ વિષે તેં મને પૂછ્યું કેમ નહિ?

    કમલા : મારા મનોબળથી તમારા મનોબળનું માપ હું કરી શકી હતી. એક ધરી પર ફરનારાં બે ચક્રમાં એકની ગતિ સરખી જ બીજાની ગતિ હોય છે.

    દુર્ગેશ :  પ્રાણપ્રિયા ! તારા હ્રદયની ઉદાત્તતા પરથી તું મારા હ્રદયની ઉદાત્તતાનું અનુમાન કરે છે, તો ભવિષ્યમાં તારું હ્રદય શિથિલ નહિ થાય અને મારું હ્રાદય શિથિલ થશે એવી અન્યાયભરેલી શંકા શા માટે કરે છે?

    કમલા : હ્રદયેશ્વર ! હું તમને અન્યાય નથી કરતી. મને માત્ર આપણા સુખની પરિપૂર્ણતા જોઇ અધીરાઈના વિચાર આવે છે કે રખેને એ પરિપૂર્ણતા કાળની ચંચળતા પંજામાં સપડાય ! તમારા મિત્ર તે દિવસે કહેતા હતા કે કાળને મન સહુ સરખા છે.

    દુર્ગેશ :  એમના વચનનો અર્થ એવો હતો કે કાળ એકની પાસે ઊભો રહે અને બીજા પાસેથી ચાલ્યો જાય એમ બનતું નથી.

    કમલા : એમને આવવાનો હવે વખત થયો છે. એમણે કહ્યું હતું કે ‘તમારા લગ્નાના માસિક ઉત્સવમાં સામેલ થવા સારુ નિત્ય કરતાં આજે હું વહેલો આવીશ.’ એ પોતાનું નામ કહેતા નથી, તેથી એમને માટે સર્વનામ જ વાપરવા પડે છે.

    દુર્ગેશ :  એમણે પોતાનું નામ અને વૃતાન્ત ગુપ્ત રાખ્યાં છે, તે છતાં એમની સાથે અકસ્માત્ સમાગામ થયો તે જ ક્ષણથી મારે એમના પર સંપૂર્ણ વિશ્વાસ ઉત્પન્ન થયો છે. એ કહે છે કે ‘તમે મારો વિશ્વસ કરો છો તે કરતાં હું તમારો વધારે વિશ્વાસ કરું છું, અને તે વખત આવ્યે સમજાશે.’

    કમલા : એમની ગુપ્તતામાં મહાતેજ ઢંકાયેલું છે, એમ લાગ્યા વગર રહેતું નથી. અહો ! આ એ જ આવે છે.

    [રાઈ પ્રવેશ કરે છે અને બેસે છે.]

    રાઈ :   તમે બન્ને મારી નિંદા કરતાં હતાં એમ જણાય છે.

    કમલા : જેની સંપૂર્ન સ્તુતિ અશક્ય હોય તેને અપૂર્ણ સ્તુતિ નિંદા જ છે.

    રાઈ :   પોતાને માટે તો તમે કહેતાં હતાં કે વિવાહિત દંપતીને માટે જગતમાં સર્વ સંપૂર્ણ જ છે. તેથી, દુનિયામાં વધેલી અપૂર્ણતા કુંવરાઓને બક્ષિસ આપી દેતાં હશો !

    કમલા : તમે કુંવારા છો એટલું પણ અત્યારે જ જાણી છીએ. તેથી એ બક્ષિસની કલ્પના સંભવતી નથી.

    રાઈ :   આટલો બધો તમારો કૃપા પાત્ર છતાં હું તમારાથી અંતર રાખું છું એ મને બહુ ખૂંચે છે, પરંતુ જ્યારે એ અંતર દૂર કરવાને સમય આવશે ત્યારે મારું વાજબીપણું તમે કબૂલ કરશો.

    દુર્ગેશ :  એ વિષે અમને સંદેહ છે જ નહિ, માત્ર કમલાને જિજ્ઞાસા દાબી રાખવી બહુ કઠણ પડે છે.

    કમલા : પુરુષોની જિજ્ઞાસા સ્ત્રીઓ જેટલી જ તીવ્ર ન હોય તો ખોળતા ખોળતા તેઓ પાતાળ સુધી જાત નહિ.

    દુર્ગેશ :  અત્યારે તો અમારી જિજ્ઞસા તારા મનોરમ સંગીત માટે છે લે આ સારંગી.

    [ઊઠીને સારંગી આપે છે]

    કમલા : [સારંગી વગાડીને ગાય છે]

    (ખમાચની ઠુમરી)

    રસ સુખકર ઘન શો વરસી રહ્યો !
    વરસી રહ્યો, વરસાવી રહ્યો! રસ૦

    પ્રેમ ગગન કેરો કંઈ આણી,
    પુલક પુલક વિકસાવી રહ્યો. રસ૦

     

    મર્મ ઉપર સિંચી રસ જ્યાં ત્યાં,
    સુરભિ સુરભિ પ્રકટાવી રહ્યો. રસ૦

    ઊર્મિમાળા ધરા મહીં ઘેરી,
    સરિત સરિત ઉછળાવી રહ્યો. રસ૦

    ભિંજવિ કેસર પાંખડિ તંતુ,
    કુસુમ કુસુમ નિતરાવી રહ્યો. રસ૦

    રાઈ :   શી સંગીતની મધુરતા ! એ મિષ્ટતાથી પ્રસન્ન થઈ ચિત્ત ઉત્તુંગ પદે આરોહણ કરે છે, અને કવિતાથી ઊઘડતી કલ્પનાની પાંખે ચઢી ઘનવર્ષણમાં ગર્ભિત રહેલી ખૂબીની ઝાંખી કરે છે.

    કમલા : એ માત્ર સૌજન્યનો પક્ષપાત છે.

    રાઈ :   કોરી ઋતુમાં પણ મારા સરખા કોરાને આર્દ્રતાનો અનુભવ થવાથી ઉપકારબુદ્ધિ થાય તેને પક્ષપાત કેમ કહેવાય?

    દુર્ગેશ :  તમારી સહ્રદયતામાં કોરાપણાને અવકાશ નથી.

    રાઈ :   તે છતાં કોરાપણું લાગતું હોય તો મને સહિયર મેળવી આપશો, એટલે તે શી રીતે જતું રહ્યું તે પણ ખબર નહિ પડે.

    રાઈ :   મારે હજી ઘણું મેળવવાનું બાકી છે.

    દુર્ગેશ :  મહારાજ પર્વતરાય રાજ્યતંત્ર પાછું હાથમં લે ત્યારે તમારે રાજસેવામાં દાખલ થવું એવી મારી સૂચના છે.

    રાઈ :   ઇશ્વરેચ્છા હશે તેમ થશે. ગમે તે પ્રકારે લોકસેવા કરવી એ મારી ઉત્કંઠા છે. મહારાજના પાછા આવવા સંબંધમાં લોકો કેવી વૃત્તિ છે?

    દુર્ગેશ :  મહારાજને પાછા જોવા લોકો ઘણા ઉત્સુક છે.

    રાઈ :   લોકોને મહારાજ વૃદ્ધ હોય તે વધારે પસંદ પડે કે મહારાજ જુવાન હોય તે વધારે પસંદ પડે?

    દુર્ગેશ :  એ તો કહી શકું નહિ; હું પોતે પસંદ કરું છું તે કહી શકું.

    રાઈ :   લોકો શું પસંદ કરે છે તે મંત્રી મંડળે જાણવાની જરૂર નથી.

    દુર્ગેશ :  જરૂર હોય તોપણ એવા વિષયમાં લોકોનાં મન શી રીતે જાણાવાં?

    રાઈ :   તમે સંમત થાઓ તો રાત્રે વેશ બદલી આપણે નગરચર્યા જોવા નીકળીએ.

    દુર્ગેશ :  યોજના ઉત્તમ છે.

    કમલા : મને ઘરમાં એકલી મૂકીને બહાર નીકળી પડાવાની યોજના તો ઉત્તમ છે, પરંતુ અત્યારે તો નદીતટે વિહારગૃહમાં જવાની યોજના પાર પાડવાની છે. ચાલો , હવે વિલંબનું કારણ નથી.

    [સર્વ જાય છે.]


    ક્રમશઃ

    ● ●

    સ્રોત : વિકિસ્રોત